Opinion Magazine
Number of visits: 9668054
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરક્ષણ : સમુદાયોનું કલ્યાણ કે સત્તાની સીડી?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 November 2022

એ યોગાનુયોગ પણ હોઈ શકે, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગ (ઈકોનોમિકલી વીકર સેક્શન – ઈ.ડબલ્યુ.સી.) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણને બહાલી આપવાના સુપ્રીમ કોર્ટના ફેંસલાની સીધી અસર ગુજરાતની ચૂંટણી પર પડશે. ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીના સવા બે દાયકાના એકચક્રી શાસનમાં, સૌથી ગંભીર પડકાર 2015માં પાટીદારોના અંદોલનના રૂપમાં આવ્યો હતો, જેમણે હાર્દિક પટેલના નેતૃત્વમાં આર્થિક રીતે પછાત વર્ગના દરજ્જા માટે મોટા પાયે આંદોલન કર્યું હતું. એ આંદોલનમાં જ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલનો ભોગ લેવાયો હતો.

લગભગ છ મહિના સુધી ચાલેલા આ હિંસક આંદોલનને ઠંડુણ પાડવા માટે, એપ્રિલ 2015માં, ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા આરક્ષણની જાહેરાત કરી હતી. એ રીતે ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે જનરલ કેટેગરીમાં 10 ટકા આરક્ષણ જાહેર કર્યું હતું. 2019માં, નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં બંધારણની જોગવાઈમાં ફેરફાર કરીને તે જોગવાઈને મંજૂરી આપી હતી. હવે, સુપ્રીમ કોર્ટે તેને બહાલી આપી છે.

અગાઉ, આ જોગવાઈને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે એવું કહીને સરકારની નીતિને ખારીજ કરી નાખી હતી કે આ પ્રકારના આરક્ષણની જરૂર છે તેનો ન તો કોઈ અભ્યાસ છે કે ન તો તેનાથી સમાજમાં શું પ્રભાવ પડશે, તેનું કોઈ વિશ્લેષણ. ટૂંકમાં કહીએ તો, સરકારે આંદોલને ચઢેલા પાટીદારોને ખુશ કરવા માટે આ આરક્ષણ જાહેર કર્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડીની ડિવીઝન બેંચે આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરેવીને કહ્યું હતું કે, “આર્થિક સ્થિતિ બદલાતી રહે છે, એટલે રાજ્ય સરકાર કોઈ વર્ગને આર્થિક રીતે નબળો જાહેર કરીને બિનઆરક્ષિત કેટેગરીમાં આરક્ષણ જાહેર કરી ન શકે.”

2019માં, જ્યારે મોદી સરકારે સંસદમાં તે જોગવાઈને બંધારણીય સ્વરૂપ આપ્યું, ત્યારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સોમવારે, 5 જજોની બંધારણીય બેંચે 3 વિરુદ્ધ 2 મતથી આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા આરક્ષણને બહાલી આપી છે.

એમાં ભિન્ન મત આપનાર ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે કહ્યું હતું કે, “આરક્ષણનો આર્થિક આધાર બંધારણની વિરુદ્ધ છે અને બંધારણમાં તે માટેનો 103મો સુધારો ભેદભાવવાળો છે.” તેમની સાથે સહમત થતાં જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે કહ્યું હતું કે, “આરક્ષણ એ કોઈ ફ્રી પાસ નથી કે ગમે તેને વહેંચી દેવાય. આર્થિક પછાતપણું દૂર કરવામાં બીજા પણ રસ્તા છે.” બીજા ત્રણ જજ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ પારડીવાલાએ, ચોક્કસ સમયમર્યાદા માટે આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા આરક્ષણને ઉચિત ઠેરવ્યો હતો.

આમ, દેશમાં હવે ચાર પ્રકારનું આરક્ષણ અમલમાં આવ્યું છે; ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) – 27 ટકા, એસ.સી. (શેડ્યુલ કાસ્ટ) – 15 ટકા, એસ.ટી. (શેડ્યુલ ટ્રાઈબ્સ) – 7.5 ટકા અને હવે ઈ.ડબલ્યુ.એસ. – 10 ટકા.

સુપ્રીમ કોર્ટ તો ખેર કોઇ પણ જોગવાઈની બંધારણીય યોગ્યતા-અયોગ્યતા પર નિર્ણય કરતી હોય છે, પરંતુ સરકારોના નિર્ણયો પાછળ સામાજિક અને રાજકીય ગણતરીઓ હોય છે. ભારતમાં આરક્ષણનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી ગરીબી જૂની છે. આઝાદી પહેલાં, વિંધ્ય અને દક્ષિણનાં પ્રેસિડેન્સી ક્ષેત્રો અને રિયાસતોમાં પછાત વર્ગ (બી.સી.) માટે આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના મહારાજા છત્રપતિ સાહૂજી મહારાજે 1902માં પછાત વર્ગમાં ગરીબી દૂર કરવા માટે રાજ્યના પ્રશાસનમાં તેમના માટે આરક્ષણ રાખ્યું હતું. તેમણે બાકાયદા એક વટહુકમ જારી કર્યો હતો. દલિત કલ્યાણ માટે આરક્ષણનો એ પહેલો સરકારી આદેશ હતો.

સુપ્રીમ કોર્ટના તાજેતરનો ફેંસલો ગુજરાત માટે બીજી રીતે પણ મહત્ત્વનો છે. પાટીદારોએ આરક્ષણ માટે અંદોલન કર્યું તેના મૂળમાં એક બીજી ભાવના પણ હતી; સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિ(સોશ્યલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ કાસ્ટ – એસ.ઈ.બી.સી.)ને જો આરક્ષણ મળતું હોય, તો પછી પાટીદારોમાં જે લોકો પછાત છે તેમને કેમ નહીં?

વાસ્તવમાં, પાટીદારોના આંદોલનના મૂળમાં 1985નું એક બીજું આરક્ષણ આંદોલન છે, જેને આપણે અનામત-વિરોધી આંદોલન તરીકે ઓળખીએ છે. એ રીતે જોઈએ તો, આરક્ષણને લઈને ગુજરાતે બે મોટાં અને હિંસક આંદોલન જોયાં છે; એક તેની વિરુદ્ધમાં અને એક તેની તરફેણમાં. તેનાં મૂળમાં ગુજરાતનું જાતિગત રાજકારણ છે.

પાટીદારો રાજકીય રીતે પ્રભાવશાળી વર્ગમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા 1981ની આરક્ષણ નીતિના કારણે અને તે નારાજગી હિંસક રીતે 2015માં બહાર આવી હતી. પાટીદારોનું આરક્ષણ ‘પાટીદાર આઇડેન્ટિટી’ને આગળ ધરવા માટેનું માધ્યમ હતું. આનંદીબહેનની સરકારે એ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો તેમાં પાટીદારો ભાજપથી વિમુખ થઇ ગયા હતા.

2015માં યોજાયલી પંચાયતની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતના પાટીદારોએ મોટા પ્રમાણમાં કાઁગ્રેસને મત આપ્યા હતા. પાટીદારોને પાછા ભા.જ.પ.માં લાવવા અને તેમને ખુશ કરવાના પ્રયાસો ત્યારથી ચાલતા હતા. તેનો અંત બે રીતે આવ્યો; હાર્દિક પટેલ સહિતના ઘણા પાટીદાર નેતાઓ આજે ભા.જ.પ.ની છાવણીમાં છે અને હવે તો સુપ્રીમ કોર્ટનો ફેંસલો પણ તેમની તરફેણમાં આવ્યો છે. એટલે 2022ની વિધાનસભામાં પાટીદાર મતો ભા.જ.પ.માં અકબંધ રહે તેવો ઘાટ ઘડાયો છે.

1981માં, માધવસિંહ સોલંકીની કોંગ્રેસ સરકારે, બક્ષી પંચની ભલામણના આધારે, ગુજરાતના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (જેમાં 82 જેટલી જાતિઓ આવે છે) માટે મેડિકલ અને ટેકનિકલ કોલેજોમાં અને નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ કરી હતી. જેના પગલે ગુજરાતના પટેલ અને અન્ય સવર્ણ વર્ગોએ તેનો વિરોધ કર્યો હતો અને તે 1985 સુધીમાં ક્રમશ: કોમી તોફાનોમાં તબદીલ થઇ ગયો હતો. 

માધવસિંહે 1977થી ગુજરાતમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વર્ગની રાજકીય ગઠબંધન બનાવ્યું હતું,  જેને આપણે ‘ખામ’ તરીકે ઓળખીએ છીએ. એ ગઠબંધનના જોરે સત્તામાં આવ્યા પછી તેમણે ‘પછાત’ના નામે 28 ટકા આરક્ષણ કર્યું હતું. એ આરક્ષણ માટેની લાયકાતમાંથી જાતિ કાઢી નાખી આવવામાં આવી હતી. આનો સૌથી મોટો વિરોધ પટેલો અને અન્ય ઉચ્ચ જ્ઞાતિમાં પડ્યો અને આખું ગુજરાત હિંસામાં ધકેલાઈ ગયું હતું. સવર્ણોએ આ આરક્ષણને ગરીબોના ઉદ્ધાર માટેની યોજના તરીકે નહીં, પણ ઉચ્ચ વર્ગને હાંસિયામાં ઘકેલી દેવાના કાવતરા તરીકે જોયું હતું.

ગુજરાતમાં પાટીદારો એ સમયથી કાઁગ્રેસથી વિમુખ થયા હતા અને ભા.જ.પે. ધીમે ધીમે એ જ સવર્ણોને પોતાનો આધાર બનાવીને ગુજરાતમાં સ્થાન મજબૂત કર્યું હતું. એવો પણ આરોપ છે કે 85ના આરક્ષણ-વિરોધી આંદોલનમાં ભા.જ.પે. પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઇતિહાસની વિડંબના કેવી છે કે એ જ ભા.જ.પ.ને આરક્ષણની માંગણી સાથે પાટીદારોના ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું. ૩૫ વર્ષ પછી, નરેન્દ્ર મોદીએ પણ જાતિની બહાર જઈને પાટીદારો માટે આરક્ષણ જાહેર કર્યું, તે સાથે આરક્ષણની રાજનીતિનું એક આખું ચક્ર પૂરું થયું છે.

પ્રશ્ન એ છે કે આ આરક્ષણ સાચે જ કલ્યાણકારી સાબિત થશે કે પછી માત્ર રાજકીય ‘રમત’ બનીને રહી જશે? તેનો આછો જવાબ ગુજરાતના રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ આપે છે. 1981 અને 1985નાં આંદોલનને યાદ કરીને તેઓ લખે છે;

“ગુજરાતમાં આર્થિક વિકાસની સાથે માધ્યમ વર્ગનો પણ તોતિંગ વિકાસ થયો છે પણ તે તેમની જરૂરિયાતો સંતોષી શકતો નથી કે તેનો પારંપરિક દરજ્જો જાળવી શક્યો, પરિણામે વંચિત હોવાનો અનુભવ કરે છે. ઉચ્ચ અને માધ્યમ જાતિના લોકોને નીચલી જાતિને મળતા મહત્ત્વની ઈર્ષ્યા થાય છે. અનામત વિરોધી બે અંદોલનો મૂળભૂત રીતે ઉચ્ચ અને મધ્યમ વર્ગ તેમ જ નીચલી જાતિના વર્ગ વચ્ચેનો સંઘર્ષ હતો. તેમાં મીડિયા, શિક્ષણ, બ્યુરોક્રસી અને પોલીસને નિયંત્રિત કરતા મૂડીવાદી વર્ગનું સમર્થન હતું. વંચિત વર્ગોની આકાંક્ષાઓને સંતોષવા માટે અને મતો લેવા માટે રાજકીય વર્ગે આરક્ષણનો સહારો લીધો હતો, પરંતુ તેમાં સામાજિક પરિવર્તનનો કોઈ દૃષ્ટિકોણ ન હોવાથી તે રાજકીય રમત બનીને રહી ગયું છે.”

લાસ્ટ લાઈન :

“જે દેશમાં લોકો ખુદને પછાત સાબિત કરવાની હોડમાં હોય, તે દેશ આગળ કેવી રીતે વધી શકે?”

(વોટ્સએપ ફોરવર્ડ)

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 13 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સુરતનાં કલાજગતને –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 November 2022

ગુજરાતીઓને ગુજરાતી ભાષા પ્રત્યે સૂગ છે ને બને ત્યાં સુધી અંગ્રેજીની, ભાષા અને સંસ્કાર બાબતે ભદ્દી નકલ ન કરે તો તેમને સંતોષ નથી થતો. એવું ન હોય તો ‘છેલ્લો શો’ જેવી ઓસ્કાર સુધી પહોંચેલી, અમરેલીના આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો’ શો જેવી તો ચાલે નહીંને ! ‘હેલ્લારો’ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ને તેનો સંગીતનો પુરસ્કાર સુરતના મેહુલ સુરતીને મળ્યો. સુરતના નાટ્ય કલાકારો ફિલ્મોમાં પ્રવેશ્યા છે ને અત્યારે ગુજરાતીમાં સારી ફિલ્મો બની રહી છે, તેનું માર્કેટ ઊભું થયું છે, ત્યારે થાય છે કે સુરતમાં કે ગુજરાતમાં કોઈ સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં કે કોઈ ખાનગી સંસ્થામાં પૂર્ણ કક્ષાનો ફિલ્મ મેકિંગનો કોર્સ શરૂ થવો જોઈએ. ગુજરાત સરકાર તેની કોઈ યુનિવર્સિટીમાં, બને તો સુરતમાં આ પ્રકારનો ડિગ્રી કોર્સ શરૂ કરે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં વેગ આવે અને ગુજરાતને સારી ફિલ્મો મળે. લોકાલ, સંગીત, ગાયક, ગીતકાર, કલાકાર, દિગ્દર્શક એમ બધું અહીં છે. વધારામાં ગુજરાત સરકારે સીનેમેટિક ટુરિઝમ પોલિસી ગયા સપ્ટેમ્બરમાં જ જાહેર કરી છે. સુરતમાં નર્મદ યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ છે ને અહીંના કલાકારો એની માંગ કરે તો આ અશક્ય નથી. પ્રતીક્ષા છે સુરતના અને ગુજરાતના કલાકારો સક્રિય કે સજીવ થાય એની –

એમ લાગે છે કે આપણે વત્તે ઓછે અંશે રાજકારણનો ભાગ થઈ ગયાં છીએ. હવે આપણો રસ મત આપવા પૂરતો જ નથી રહ્યો, પણ કોઈ રાજકીય પક્ષ સાથે આપણી સીધી કે આડી ભાગીદારી થતી આવે છે. આમ સીધાં રાજકારણમાં આપણે નથી, પણ કોઈ પક્ષનો પ્રધાન કે નેતા આપણને જાણે કે ન જાણે, પણ આપણે તેનાં થઈ ઊઠીએ છીએ. એની વાતો, એનું રાજકારણ આપણે ઘરમાં લઇ આવીએ છીએ ને એને માટે મરવા – મારવા પર આવી જઈએ છીએ. આ બધું નિસ્વાર્થ ભાવે થતું નથી, કારણ, રાજકારણ પોતે નિસ્વાર્થ ભાવે થતું નથી. આપણે ખરેખર કોઈ પક્ષની નીતિ – અનીતિમાં માનીએ એ જુદી વાત છે, પણ કૈં ન મળવાનું હોય તો પણ ગલી-મહોલ્લામાં કે નાની મોટી સભાઓમાં બાંયો ચડાવવા તૈયાર થઈ જઈએ છીએ. ઘણુંખરું તો ચર્ચાની કે હિંસાની એ નેતા કે પક્ષને ખબર પણ નથી હોતી ને આપણે અમથાં જ કુટાઈ મરીએ છીએ. આપણામાંના કેટલાંક કોઈ રાજકીય લાભ કે માન-સન્માન ખરેખર યોગ્યતાને ધોરણે મેળવે છે, તો કેટલાંક તેની ભક્તિ કરીને, આરતી ઉતારીને તે પામે છે ને વધુને વધુ કૃપા પામવા ખુશામત કરતાં રહે છે. આ વર્ગ જ્યાં લાભ મળે ત્યાં લોટે છે. રાજકીય નેતાઓ ટિકિટ ન મળે તો જ્યાં મળે તે પક્ષમાં જઈને તેની આરતી નથી ઉતારતા? એવું જ પ્રજા પણ કરે છે. સાધારણ પ્રજા તો કરે, પણ કલાકારો એવું કરે ત્યારે પીડા થાય. હવે સ્વમાન ન હોય તે કલાકાર હોય – એવું સૂત્ર વધુ પ્રચલિત છે. બધા જ વેચાઉ છે એવું નથી ને જે કાને વાત ધરે એવા છે એને માટે જ તો આ લખવાનું થયું છે.

એટલું છે કે કળાકીય પ્રવૃત્તિઓ આ શહેરમાં અટકી છે. જ્યાં થાય છે ત્યાં સત્વ નહીં, પણ સત્તા ને સમાધાન વર્ચસ્વ ભોગવે છે. એક સમય હતો જ્યારે સંસ્થાઓના હૉલ શ્રોતાઓથી ભરેલા રહેતા. કળાકીય પ્રવૃત્તિઓથી ધમધમતા રહેતા. આ કૈં બહુ અગાઉના સમયમાં બન્યું છે એવું નથી, દાયકો પણ માંડ થયો હશે ને આ શહેર સાહિત્યિક, કળાકીય પ્રવૃત્તિઓનાં નામનું નાહીને તડકે પડ્યું છે. હજી ક્યાંક કવિ સંમેલનો થાય છે કે ચંદ્રકો વહેંચાય છે, પણ એમાં પાણીનો ય ભાવ ન પૂછવાની ઉદાસીનતા પ્રવર્તે છે. શ્રોતાઓ કે પ્રેક્ષકોની ગરજ કોઈને જ રહી નથી. અગાઉ કાર્યક્રમોની જાહેર નોંધ આવતી ને જાહેર આમંત્રણ અપાતું. શ્રોતાઓથી હૉલ છલકાતા. હવે કોઈ બોલાવતું નથી ને કોઈ આવતું ય નથી એ સ્થિતિ છે. ઓનલાઇનનો મહિમા એટલો છે કે ઓડિયન્સ ન હોય તો પણ યુ-ટ્યૂબ પર કાર્યક્રમ મૂકે એટલે સંસ્થાઓને સંતોષ થઈ જાય છે. હોલમાં કોઈ ન હોય તો વાંધો નથી, મંચ પર કેમેરામાં એકાદ ચહેરો ઝડપાય તો મોટો કાર્યક્રમ થયાનો સંતોષ મળી રહે છે. વાર્તા, આસ્વાદ, હાસ્ય, ચર્ચાના કાર્યક્રમો લગભગ અટકી ગયા છે. આમ થવામાં એક કારણ, રાજકારણ ઘરમાં ઘૂસી આવ્યું છે એ છે. મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરેની વ્યસ્તતા એટલી વધી છે કે કાર્યક્રમ માટે હૉલ સુધી જવાની નવરાશ કોઈ પાસે નથી. કોઈ રાજકીય પાર્ટીની ચર્ચામાં, કોઈની પ્રશંસા-ચુગલીમાં, કોઈ નેતા કે પાર્ટીના પ્રચારમાં સામાન્ય માણસ તો પડતો જ ન હતો, પણ હવે કહેવાતા બુદ્ધિજીવીઓ, કળાકારો વગેરે પણ રસ લેતા થયા છે, એને કારણે ઘણો બધો સમય એ પ્રકારની વાતોમાં જ નીકળી જાય છે. ફિલ્મી કલાકારો રાજકીય પ્રચારમાં પડે તે તો સમજી શકાય, પણ કોઈ લેવાદેવા વગર ઘણાં વૉટ્સએપ કે સોશિયલ મીડિયામાં અમુકની તરફેણમાં કે અમુકના વિરોધમાં ગળચટ્ટો કે ગાળચટ્ટો પ્રચાર કરતાં રહે છે ત્યારે તેમનું તાટસ્થ્ય જોખમાતું લાગે છે. આ એમનું કામ નથી ને એ કરે છે ને જે કામ એમનું છે એ ટલ્લે ચડતું રહે છે. એમની ઓળખ કલાકારની છે ને એ કળા કોઇની ભાટાઇમાં વેડફાતી હોય તો તે પુનર્વિચાર માંગે છે.

એક સમય હતો જ્યારે નાટકો કે સાંસ્કૃતિક કાર્યક્રમો રંગ ઉપવનમાં કે ટેક્સટાઇલ માર્કેટના ઓડિટોરિયમમાં થતાં. ટેક્સટાઇલ માર્કેટનાં ઓડિટોરિયમમાં ધંધાદારી નાટકો જ આવતાં. રંગ ઉપવનમાં ધંધાદારી નાટકો ઉપરાંત કોર્પોરેશનની અને વિદ્યાર્થી સંઘની નાટ્ય સ્પર્ધાઓ થતી. એ પછી ટેક્સટાઇલ માર્કેટનું ઓડિટોરિયમ બંધ પડ્યું. શહેરની મધ્યમાં નાનપરામાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ 1980માં શરુ થયું ને ક્લોઝ્ડ અને કોમ્પેક્ટ થિયેટરની માંગ પૂરી થઈ. અનેક કળાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમાં થઈ ને એ પણ 2019થી બંધ પડ્યું છે. બંધ શું, જમીનદોસ્ત થયું છે. એ શરૂ થયું તે પછી એકાદ વખત રીપેરિંગ માટે 2011માં થોડા મહિના બંધ રહેલું. તે પછી એકાદ મોટો પોપડો 12 જુલાઇ, 2019 ને રોજ ખરી પડતાં તે બંધ કરવાનો અને નવું બાંધવાનો નિર્ણય સત્તાવાળાઓએ લીધો. એ વાતને ય વર્ષો થયાં. વચ્ચે એવી વાત પણ આવી કે હવે એ નાટકને માટે ફરી બંધાવાનું નથી, પણ અન્ય કમર્શિયલ હેતુ માટે તેનો ઉપયોગ થવાનો છે. એ સંદર્ભે પૂર્વ મેયરને પૂછતાં તેમણે વિશ્વાસ આપ્યો કે ત્યાં નાટ્યગૃહ જ બનશે. એ વાતને ય સમય થયો, ગાંધી સ્મૃતિનો કોઈ અણસાર અત્યારે તો વર્તાતો નથી. ત્યાં ભવન થવાનું છે કે બીજું કૈં એનો પણ કોઈ ફોડ કોર્પોરેશન પાડતું નથી. આમ તો ત્યાં હેરિટેજ થીમ પર ઓડિટોરિયમ થવાની વાત હતી, પણ બાંધ્યાં પહેલાં જ તે હેરિટેજમાં ન જાય તો સારું. હેરિટેજમાં ગણાવવા પણ કોઈ ઇમારત તો જોઈશે. એવું કૈં થશે કે કેમ એની ચિંતા છે. આમ તો આ ભવન માટે 24 સભ્યોની સમિતિ બનાવાઇ છે. સભામાં 46 કરોડ ખર્ચવાની વાત પણ થઈ છે જે સમય જતાં વધે એમ બને. આ સમિતિની કેટલી મીટિંગ થઈ છે તે નથી ખબર, પણ તેમાં નાટ્યકારો પણ છે. એમની અને કોર્પોરેશન વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન છે કે માત્ર વચ્ચેથી દિવસો જ પસાર થાય છે તે પણ નથી ખબર, પણ સમિતિના નાટ્યકારોએ આ મામલો તાકીદે હાથ પર લઈને જે તે સ્થિતિની સ્પષ્ટતા કરવી જોઈએ. કમ સે કમ એમણે આ જગ્યાનો નાટ્ય, કલા પ્રવૃત્તિ સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ નહીં જ થાય એની ખાતરી મેળવવી જોઈએ અને પ્રજાને આપવી જોઈએ.

હાલના મેયરની પણ ટર્મ પૂરી થવામાં છે. અત્યારે ઇલેક્શનનો વાવર ચાલે છે. નવા મેયર આવે તેમને  ‘ગાંધી સ્મૃતિ ભવન’માં કેટલો રસ હશે તે નથી ખબર, પણ જે રીતે કળાકીય પ્રવૃત્તિઓ સુરત મહાનગર પાલિકામાં ક્ષીણ થતી આવે છે તે જોતાં લાગે છે કે ‘ગાંધી સ્મૃતિ ભવન’ વિષે કોઈ સત્તાધીશ ગંભીર નહીં હોય. કોર્પોરેશનની વ્યાખ્યાન માળાઓ, નાગરિક સન્માન અને અન્ય કળાકીય પ્રવૃત્તિઓનો કોર્પોરેશનમાં હ્રાસ થયો છે તે જોતાં ગાંધી સ્મૃતિ ફરી સજીવન થાય એમ લાગતું નથી. એ સંજોગોમાં હાલના મેયરે એટલું પાકું કરી લેવું જોઈએ કે ગાંધી સ્મૃતિ ફરી સજીવન થશે. કમ સે કમ કોર્પોરેશને એટલી ખાતરી પ્રજાને આપવી જોઈએ કે ગાંધી સ્મૃતિ થઈને રહેશે. ગાંધી સ્મૃતિનાં પુનર્નિર્માણ માટે ટેન્ડર બહાર પડ્યું હતું એ ખ્યાલ છે, પણ તે કોઈક કારણોસર નકારવામાં આવ્યું. એ પછીની ગતિવિધિની ખબર નથી.

– અને આ શહેરનાં સાહિત્યકારો અને કલાકારોને તે શું કહેવું? આ જ મુદ્દે અગાઉ પણ આ જગ્યાએથી વાત થઈ છે, પણ એ જાણે કોઈ બીજા જ પ્રાણીને લગતી વાત હોય તેમ સૌ ચૂપ છે. આ શહેરનો હાલનો દરેક કલાકાર જ્યોતિ વૈદ્યથી અને તેનાં નાટકોથી પરિચિત છે. એની ખબર પણ નહીં પડે એ રીતે જ્યોતિ વૈદ્યના નામનું પાટિયું કોઈ ઉદ્યાનને ખાનગીમાં મારીને કોર્પોરેશને ફરજ બજાવી લીધી છે. એની વિધિવત જાહેરાત થઈ હોત તો આનંદ થયો હોત. જ્યોતિ વૈદ્ય કૈં બાગનાં પાટિયાનાં જ મહોતાજ નથી. એમનાં નાટકો આજની પેઢી સહિત ગુજરાત આખું ભજવે છે. એવી વ્યક્તિનું નામ ગાંધી સ્મૃતિ સાથે જોડીને એમનું યોગ્ય તે તર્પણ પાલિકાએ કરવું જોઈએ. વધારે નહીં તો ગાંધી સ્મૃતિનું ‘ગાંધી જ્યોતિ ભવન’ એટલું તો ઓછામાં ઓછું થઈ જ શકે. કોર્પોરેશન એટલી ફરજ બજાવે તે નાટ્ય કલાકારોએ જોવાનું રહે. કમ સે કમ આ મુદ્દે અવાજ ઉઠાવીને સજીવ હોવાની ખાતરી કલાકારો આપે તો ય ઘણું. કલાકારો સાવ નિર્વીર્ય તો ન હોવા ઘટે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 નવેમ્બર 2022

Loading

“આટલાં જૂઠાણાં ફેલાવવાનો અધિકાર તમને કોણે આપ્યો?”

અનુવાદક : નંદિતા મુનિ|Opinion - Opinion|14 November 2022

રાજમોહન ગાંધીનો જવાહરલાલ નેહરુ વિશે ફેલાવાતા જૂઠા સમાચારો બાબતે અફસોસ

‘ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવ’માં મહુવા મોઇત્રા સાથે પોતાના છેલ્લા પુસ્તક ‘1947 પછીનું ભારત :  ચિંતન અને સ્મૃતિઓ’ વિશે ચર્ચા કરતી વખતે ઇતિહાસવિદ્‌ રાજમોહન ગાંધીનો કંઠ લાગણીથી અવરુદ્ધ બની ગયો હતો.

પ્રશ્ન : તમને સૌથી દુ:ખદ વસ્તુ શું લાગે છે?

ઉત્તર : ઉચ્ચ સ્થાનેથી અત્યાચારો વિશે સેવવામાં આવતું મૌન.

પ્રશ્ન : આવું કોણે જણાવ્યું?

ઉત્તર : એ જ વ્યક્તિએ, જેનો કંઠ વર્તમાન ભારતમાં જવાહરલાલ નેહરુને નફરતનું નિશાન બનાવવાની નવી પ્રણાલિકા વિશે વાત કરતા રુંધાઇ ગયો હતો.

પ્રશ્ન : ભારતીયો હજી નેહરુ પ્રત્યે આટલી ઊંડી લાગણી ધરાવે છે?

ઉત્તર : હા. કમ સે કમ એક ભારતીયને તો એવી લાગણી છે જ. અને શક્ય છે કે હિમાલયને પણ એવી લાગણી થતી હોય.

***

નેહરુ વિશે ફેલાવાઈ રહેલા વિષાક્ત જૂઠાણાં અને ભારતીય સમાજના એક મોટા હિસ્સા દ્વારા એના સત્ય તરીકે સ્વીકાર વિશે એક સાહિત્ય ઉત્સવમાં બોલતી વખતે ઇતિહાસકાર રાજમોહન ગાંધી લાગણીવશ થઈ ગયા હતા.

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી હાલ અર્બાના-શેમ્પેઇન, યુ.એસ. ખાતેના ઈલિનોઈ વિશ્વવિદ્યાલયમાં  સંશોધન પ્રાધ્યાપક છે. કસૌલી(હિમાચલ પ્રદેશ)માં યોજાતા ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવમાં તેઓ પોતાના નવા પુસ્તક ‘1947 પછીનું ભારત : ચિંતન અને સ્મૃતિઓ’ વિશે તૃણમૂલ કાઁગ્રેસનાં લોકસભા સદસ્ય મહુઆ મોઈત્રા સાથે ચર્ચા કરી રહ્યા હતા.

નેહરુ વિશે પૃચ્છાના જવાબમાં એમણે કહ્યું હતું કે “જે રીતે અમેરિકામાં રહેતા શ્વેતવર્ણીઓનો મોટો ભાગ એવું માનવા લાગ્યો છે કે બરાક ઓબામાનો જન્મ અમેરિકામાં નહોતો થયો, એ જ રીતે ભારતમાં અત્યારે કરોડો ભારતીયો એવું માનવા લાગ્યા છે કે જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુ મુસ્લિમ હતા. છેલ્લાં કેટલાં ય વર્ષોથી આ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

“જો મોતીલાલ નેહરુ કે એમના કોઇ પૂર્વજ મુસ્લિમ હોત – જે તદ્દન ખોટી વાત છે – તો પણ, એ કોઈ ગુનો કે ગેરલાયકાત તો નથી જ. પૂર્વજોનાં કૃત્યના કારણે કોઇ પણ વ્યક્તિ પર આરોપ મૂકવો, સજા આપવી કે હત્યા કરવી યોગ્ય નથી.”

87 વર્ષની વયના વિદ્વાને આગળ ઉમેર્યું: “નેહરુએ જેલમાં ચૌદ વર્ષ ગાળ્યા, અને જેલની બહાર આવ્યા ત્યાં તરત એમનાં પત્નીનું અવસાન થયું. એમ છતાં, એક સારા, મહાન અને ઓજસ્વી વ્યક્તિ વિશે કેટલી સાવ જૂઠી વાતો ફેલાવાઇ છે! નેહરુની નીતિઓની તમે ટીકા કરી શકો, પણ આવાં નરાતાળ જૂઠાણાં ફેલાવવાનો હક્ક તમને કોણે આપ્યો છે?”

લાગણીથી કંઠ રુંધાઇ જવાના કારણે રાજમોહન કેટલોક સમય બોલી ન શક્યા. પછી એમણે શ્રોતાજનો સામે – જેમાં કાઁગ્રસના એક સમયના મંત્રી મણિશંકર ઐયર પણ શામેલ હતા – અંગુલિનિર્દેશ કર્યો અ‍ને કહ્યું : “હા, આ બાબતે હું ભાવુક થઈ જાઉં છું. અને હિમાલયને જોઈને મારી આ લાગણી વધારે તીવ્ર બને છે. જવાહરલાલ નેહરુ હિમાલયને ચાહતા હતા. હિમાલય આ જૂઠાણાંનો વિરોધ કરશે, ખુદ પૃથ્વી પણ વિરોધ કરશે. એમની નીતિઓની જેટલી આકરી ટીકા કરવી હોય એ કરવાની તમને સ્વતંત્રતા છે; પણ એક ઉમદા અને સારા માનવ વિશે ગંદા જૂઠાણાં બોલવાની નીચતા તો ન બતાવો.”

મહાત્મા ગાંધી વિશે રાજમોહને કહ્યું : “ગાંધી અને ભારતના બીજા કેટલા ય લોકો બાબતે આશ્ચર્યજનક વાત છે કે એમના સમયના તમામ પ્રશ્નો હલ ન કરવા માટે તો ઠીક, પણ વર્તમાન સમયના પ્રશ્નો હલ ના કરવા માટે પણ એમનો દોષ કાઢવામાં આવે છે. આ તો બહુ વધારે પડતું કહેવાય. ગમે તેમ તો ય, એ માનવી હતા. કેટલાક પ્રશ્નો આપણે પણ હલ કરવાના રહે …

“માની લો, કે એમણે હજાર – અરે, દસ હજાર ભૂલ કરી. ગાંધી, નહેરુ અને પટેલ – માની લો કે એમણે લાખો ભૂલ કરી. પણ એ લોકો જેમાં વિશ્વાસ રાખતા હતા એ આદર્શોનું શું?”

એમણે આગળ ઉમેર્યું : “ગાંધીની નિંદા કરો, તો એ તો સલામત છે. એમને કશું નુકસાન થવાનું નથી. પણ જો તમે સમાનતા, મૈત્રી, પારસ્પરિક આદર, શ્રદ્ધા કે ગૌરવને નુકસાન પહોંચાડશો, તો હું તમારો શત્રુ છું.”

સ્વાતંત્ર્ય પછીના કાળમાં ભારતીય પ્રજાનાં મૂલ્યોમાં આવેલા પરિવર્તન વિશે અફસોસ કરતાં રાજમોહન ગાંધીએ જણાવ્યું : “ભારતના મોટા ભાગના લોકોએ નિશ્ચય કર્યો હતો કે ભાગલા સમયના અત્યાચારો છતાં, ભારત સર્વનો દેશ બનશે. અત્યારે તમે જાણો જ છો કે શું થઈ રહ્યું છે. અનેક દુ:ખદ ઘટના થઈ રહી છે; યંત્રણાજનક બનાવો બની રહ્યા છે. અને સૌથી દુ:ખદ ઘટના શું છે એ જાણો છો?  આ અત્યાચારો વિશે ઉચ્ચ સ્થાનેથી સેવવામાં આવતું મૌન.”

એમણે ઉમેર્યું : “મૌન એક ઉમદા સદ્‌ગુણ છે … પણ તમે એક રાષ્ટ્રના નેતા હો અથવા અસરકારક મંચ ધરાવતા વ્યક્તિ હો; લોકો તમને સાંભળતા હોય, તમને માન આપતા હોય અને તમારા અનુસરણમાં પોતાના વિચારો ઘડતા હોય ત્યારે, કંઇક ક્રૂર કે નિર્મમ ઘટના બને ત્યારે તમારે કંઈક બોલવું જ રહ્યું.”

વિપક્ષોની એકતાની સંભાવના વિશે તેમણે કહ્યું : “(અત્યારના ભારતના વિપક્ષોની) નીતિ છે કે શત્રુઓને ભૂલી જવા અને સાથીઓનો નાશ કરવો. આનો હલ શોધવો પડશે.

“આ માટે જરૂરી છે હૃદયની ઉદારતા, ધૈર્ય, બધી દિશામાં સંપર્ક કરીને સૌને સાથે લાવવાવાળી વ્યક્તિઓ. કદાચ જરૂરી છે કે કોઇ અગત્યની ભૂમિકાવાળી વ્યક્તિના પતિ કે પત્ની એને ભારપૂર્વક કહે કે  “બંધ કરો આ બધી મૂર્ખતા! એને બદલે કંઇક રચનાત્મક કામ કરો.”

રાજમોહન ગાંધી 1989માં અમેઠી બેઠક પરથી રાજીવ ગાંધી સામે જનતા દળના ઉમેદવાર તરીકે, અને 2014માં પૂર્વ દિલ્હીની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં તેઓ અસફળ રહ્યા હતા.

એ પછીથી તેઓ પક્ષમાં સક્રિય રહ્યા નથી, પણ 2019માં પૂર્વ દિલ્હીની બેઠકના ‘આપ’ના ઉમેદવાર અતીશીને એમણે સમર્થન આપ્યું હતું. હિમાચલની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર બેઠક જીતવા માટે ‘આપ’ ઉત્સુક છે.

(તા. 18 ઑક્ટોબર 2022ના ‘ટેલિગ્રાફ’ અખબારમાંથી)
e.mail : nandita.muni@gmail.com
મૂળ અંગ્રેજી લખાણની લિંક :

https://www.telegraphindia.com/india/rajmohan-gandhi-rues-fake-news-about-jawaharlal-nehru/cid/1892660                                        

Loading

...102030...1,3291,3301,3311,332...1,3401,3501,360...

Search by

Opinion

  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved