Opinion Magazine
Number of visits: 9458757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દો તો શ્રીલંકામાં જે બન્યું તે બને

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2022

જે માણસ દેશ માટે જાન કુરબાન કરવા અમેરિકન નાગરિકત્વ છોડીને ખાસ શ્રી લંકામાં આવ્યો હતો એ આજે જાન બચાવવા માટે અમેરિકા નાસી જવા માગે છે અને એવા અહેવાલ છે કે અમેરિકાએ તેને શરણ આપવાની ના પાડી દીધી છે. શ્રી લંકાના પ્રમુખ ગોટાયાબા રાજપક્સે નવમી તારીખે પ્રમુખપદેથી શરતી રાજીનામું આપ્યું હતું. શરત એવી હતી કે તેમનું રાજીનામું ૧૩મી જુલાઈથી અમલમાં આવે એ પહેલાં તેમને અને તેમના પરિવારને દેશ છોડીને જતા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. દાવેદાર દેશપ્રેમીઓની જ્યારે સમય કસોટી કરે છે, ત્યારે તે કેવા નમાલા પુરવાર થાય છે એનાં એક નહીં, સેંકડો ઉદાહરણ ઇતિહાસમાંથી મળી રહે છે. 

સમયનો ખેલ અજીબ છે. સમય જ્યારે કરવટ બદલે ત્યારે શું નથી થતું! ૧૩મી જુલાઈ ૧૯૮૩ની એ વરસાદી સાંજ મને યાદ છે. ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશવા માટે હું ‘જન્મભૂમિ’ના તંત્રી હરીન્દ્ર દવે પાસે ગયો હતો. મેં અરજી કરી હતી અને મને ઈન્ટરવ્યુ કૉલ નહોતો આવ્યો એ વાતનું મને આશ્ચર્ય થયું હતું. મેં હરીન્દ્રભાઈને આ કહ્યું ત્યારે તેમણે ચીફ સબ એડિટર મનુભાઈ ભટ્ટને કહ્યું હતું કે આ ભાઈની અનુવાદક્ષમતા તપાસી જુઓ. મનુભાઈએ મને પહેલો તાર અનુવાદ માટે આપ્યો હતો એ શ્રી લંકા વિશેનો હતો. એ દિવસે શ્રી લંકામાં અલગ થવા માટેનાં તમિલોનાં હિંસક આંદોલનના શ્રીગણેશ થયાં હતાં. શ્રી લંકા વિશેના મારા અનુવાદિત સમાચાર બીજા દિવસે એમને એમ કોઈ પણ પ્રકારના સુધારા વિના છપાયા પણ હતા, પણ મને નોકરી આપવામાં નહોતી આવી એ જુદી વાત છે. આ માણસ પરવડે એવો નથી એવી તંત્રીસાહેબને સલાહ આપવામાં આવી હતી. 

એ પછી થોડા મહિને મને ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશ મળ્યો હતો અને પાછળ વળીને જોઉં છું ત્યારે નજરે પડે છે કે ત્યારથી લઈને અત્યાર સુધી શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે. ચાર દાયકા થવા આવ્યા પણ આ ટચુકડો દેશ વૈશ્વિક મીડિયામાં ઝળકતો જ રહે છે. શ્રી લંકાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો સુધ્ધા જાન લીધો છે. 

શા માટે? શા માટે શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે? શું ત્યાંની પ્રજાની એકબીજા સામે લડવાની ખુમારી કે જીદને કારણે કે પછી સત્તા ખાતર પ્રજાને સતત લડાવતી રાખવાની શાસકોની પ્રવૃત્તિને કારણે? કોઈ પણ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો બલકે સત્તા જાળવી રાખવા તેને ગુંચવવાને કારણે?

આ જે છેલ્લું કારણ કહ્યું છે એ વધારે સાચું છે. કોઈ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો અને જ્યારે તમે કોઈ પ્રશ્નનો નિવેડો ન લાવો તો એ વધારેને વધારે ગુંચવાય. એ પછી તો નિવેડો લાવવો પણ અઘરો પડે. શાસકોની ભરોસાની દુનિયા ક્રમશઃ સંકોચાતી જાય. પહેલાં તમિલો સામે સિંહાલીઓ ઉપર મદાર હતો. એ પછી કેટલાક સિંહાલીઓએ સિંહાલી રાષ્ટ્રવાદથી ધરાઈને સુખાકારી તરફ નજર દોડાવી ત્યારે કોઈ પણ ભોગે તમિલોનું નખોદ કાઢવું જોઈએ એવું માનનારા તામસિક મનોવૃત્તિ ધરાવતા સિંહાલીઓ ઉપર ભરોસો સીમિત થયો. આ સિવાય નાસી જનારા ભરોસામંદ સિંહાલીઓ નાસી ન જાય એ માટે મુસલમાનો સામે નવો મોરચો ખોલવામાં આવ્યો. એ પછી ખ્રિસ્તીઓ અને એ પછી નાનીમોટી વાંશિક અથડામણો. બધા સિંહાલીઓને એકલા તમિલો માટે જ દ્વેષ હતો એવું થોડું જ છે! 

દૂરનું નહીં જોઈ શકનારા કે નહીં જોનારા સત્તાંધ રાજકારણીઓને એક વાત સમજાતી નથી કે સત્તા માટેનું રાજકારણ જ્યારે પ્રજાકીય થવા માંડે ત્યારે અથડામણો નિમ્ન સ્તરે (જમીની સ્તરે) અને નિમ્ન કક્ષાની થવા લાગે છે. છેક ગ્રામીણ સ્તરે લોકો જે તે અસ્મિતાઓનાં રાજકારણનો ઉપયોગ કરીને ‘બીજા’નો છેદ ઉડાડે છે. માત્ર ‘બીજા’ને જ નહીં, ‘પોતાના’ને પણ મોકો જોઇને રસ્તામાંથી દૂર કરવામાં આવે છે, એમ કહીને કે જે ‘પોતાનો’ છે એ હકીકતમાં પોતાનો નથી, પણ ગદ્દાર છે જે ‘બીજા’ને મદદ કરે છે. આવા ગદ્દારોને જીવવાનો અધિકાર નથી. આમાં નર્યો સ્વાર્થ હોય છે, વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક હોય છે અને હિન્દી વાક્યપ્રયોગનો ઉપયોગ કરીએ તો ‘ઉલ્લુ સીધા કરને કી’ પ્રવૃત્તિ હોય છે. અસ્મિતા માટેની નિસ્બત તો એક બહાનું હોય છે. ભારતના વિભાજન વખતે આ વાતનો અનુભવ આપણને થયો હતો. જેમના વિષે કલ્પના ન કરી હોય એવા લોકોએ જાનવર જેવું વર્તન કર્યું હતું. 

માટે સમજદાર રાજપુરુષો પ્રશ્નોનો નિવેડો લાવે છે. એનો રાજકીય ઉપયોગ કરતા નથી ત્યાં તેને ગૂંચવવાની વાત તો દૂર રહી. આવા રાજપુરુષો ઇતિહાસમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. જે અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરે છે એવા રાજકારણીઓ બે પ્રકારના હોય છે. એક એવા જેને આગ સાથે કેટલું રમવું અને ક્યાં અટકવું એનું ભાન હોય છે. તેઓ સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દેતા નથી. તેમને ખબર છે કે આ જોખમી છે. આ વાઘસવારી છે જ્યાંથી ઊતરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે પ્રજા હિસાબ કરવા લાગે ત્યારે અરાજકતા પેદા થાય છે જે દેશને ચાર-પાંચ દાયકા પાછળ ધકેલી દે છે. અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરનારા બીજા પ્રકારના રાજકારણીઓને ક્યાં અટકવું એનું ભાન હોતું નથી. તેઓ કોકડું વધુને વધુ ગૂંચવાવે છે અને પછી ઉકેલી શકતા નથી. આને કારણે ઉપર કહ્યું એમ તેમના ઉપર ભરોસો રાખનારા સમર્થકોનો વર્ગ સંકોચાતો જાય છે. એક પ્રકારનું વિષચક્ર શરૂ થાય છે. સમર્થન ટકાવી રાખવા માટે વધુને વધુ હાડકાં નાખતા રહેવું પડે છે અને એ વધારે અરાજકતા નોતરે છે. પહેલા તમિલો સામે. એ પછી મુસલમાનો સામે. એ પછી ખ્રિસ્તીઓ સામે અને એ પછી વાંશિક પ્રજાઓ સામે. 

અને એક દિવસ એનો પણ અંત આવે છે. સમર્થકોનો છેલ્લો વર્ગ પણ અરાજકતા અને અવ્યવસ્થાથી ગળે આવી જાય છે ત્યારે શ્રી લંકા રચાય છે. આ મારું શ્રી લંકા વિશેનું ચાર દાયકાનું દર્શન છે. યોગાનુયોગ આજે લખ્યા તારીખ ૧૩મી જુલાઈ છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2022

Loading

ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 

સોનલ પરીખ|Opinion - Opinion|14 July 2022

મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે; તો પણ મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી, કેમ કે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. બાય ધ વે, લોહીના આઠ પ્રકાર વિષે તો આપણે જાણીએ છીએ, પણ બોમ્બે બ્લડ ગ્રુપ નામનો પણ લોહીનો એક પ્રકાર છે, એ ખબર છે ? 

યાદ છે ને 1977ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’? બાળપણમાં જુદા પડેલા ત્રણ ભાઈઓમાં એક હિંદુ, એક મુસ્લિમ, એક ખ્રિસ્તી તરીકે ઉછરે છે. અંધ મા પણ છૂટી પડી ગયેલી છે. એક વાર એને અકસ્માત થાય છે અને એકબીજાને કે માને ન ઓળખતા આ ભાઈઓ, એને એક્સાથે લોહી આપે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે, ‘ખૂન ખૂન હોતા હૈ પાની નહીં …’ દર્શકોને ઈમોશનલ બનાવવામાં સફળ નીવડેલું આ દૃશ્ય હિંદી સિનેમાના ‘મોસ્ટ ઈલ્લોજિકલ’ અર્થાત્‌ સૌથી વધારે અતાર્કિક દૃશ્યોમાંનું એક ગણાય છે!

ફિલ્મનું દૃશ્ય ભલે અતાર્કિક હોય, પણ રક્તદાન એવી પ્રક્રિયા છે જેના એક છેડે જીવ બચ્યાનો ને બીજા છેડે જીવ બચાવ્યાનો આનંદ હોય છે. ટોટલી વિન-વિન સિચ્યુએશન. 

14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડૉનેશન ડે – વિશ્વ રક્તદાન દિવસ છે. આ દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે તેમ જ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સુરક્ષિત રક્તપ્રવાહ ચાલુ રહે એ હેતુથી ઉજવવામાં આવે છે. 14 જૂન એ.બી.ઓ. બ્લડગ્રુપ સિસ્ટમના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિન છે. આ માટે તેમને 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. 

ઑસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના આ બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઈનરે ૧૯૦૧ની સાલમાં શોધ્યું હતું કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું, એના વિવિધ પ્રકાર હોય છે. હાલમાં જે પદ્ધતિ બહુપ્રચલિત છે એવી ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ આર.એચ. ફૅક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે એવું એમણે સાબિત કર્યું. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં ૯૯.૯ ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે. આ સફળતાને પગલે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. એને માટે બ્લડ-ગ્રુપના શોધક કાર્લ લૅન્ડસ્ટેઇનરના જન્મદિવસ ૧૪ જૂનથી વધારે યોગ્ય દિવસ કયો હોઈ શકે ? રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળે એ માટે ૧૯૯૫ની સાલથી દર વર્ષે ૧૪ જૂને આ દિવસ સેલિબ્રેટ થાય છે. 

તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન ‘એ’ અને ‘બી’ હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ આવા ચાર પ્રકારો પડે છે. અને એ ચારે પૉઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારના હોય છે એટલે કુલ આઠ પ્રકારના બ્લડગ્રુપ હોય છે. લોહીના કણોમાં ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને એ.બી.ઓ. સિસ્ટમ કહે છે. આર.એચ.(રહેસસ) ફૅક્ટર તરીકે ઓળખાતા ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની હાજરી કે ગેરહાજરી પરથી પૉઝિટિવ – નેગેટિવ ગ્રુપ જુદાં પડે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય? એ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ એ ગ્રુપ તેમ જ એ.બી. ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને એ તેમ જ ઓ ગ્રુપનું બ્લડ આપી શકાય. ‘બી’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિ ‘બી’ અને ‘એ.બી.’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને ‘બી’ તેમ જ ‘ઓ’ ગ્રુપનું બ્લડ આપી શકાય. ‘એ.બી.’ ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું લોહી ‘એ.બી.’ ગ્રુપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને એ, બી, એબી, અને ઓ એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે. ઓ ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ એ, બી, એબી, અને ઓ એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર ‘ઓ’ ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

કેટલાક લોકોનું બ્લડ-ગ્રુપ ચકાસો તો એ ઓ-પૉઝિટિવ કે ઓ-નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રુપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રુપનું નામ બૉમ્બે બ્લડ-ગ્રુપ પાડવામાં આવ્યું છે. આ સૌથી દુર્લભ બ્લડ-ગ્રુપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રુપ ધરાવે છે. આ બ્લડ-ગ્રુપ ધરાવનારા લોકો પણ નૉર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને ઍક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમ્યાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બૉમ્બે બ્લડ-ગ્રુપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

એક વખતમાં કરેલું રક્તદાન એ 3 અન્ય લોકોનો જીવ બચાવી શકે છે, અને શરીરમાં થોડા કલાકોમાં જ નવું લોહી બની જાય છે. મોટા ભાગના લોકોએ રક્તદાન વિશે વિચાર્યું હોતું નથી. અર્થાત્‌ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિનો ખાસ્સો અભાવ છે. ભય પણ હશે. હાલમાં જુદી-જુદી બ્લડ બૅન્ક દ્વારા કૉલેજો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં રક્તદાન શિબિર યોજી યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવામાં આવે છે. જે ખૂબ જ આવકારદાયક પગલું છે. રક્તદાન શિબિરમાં સલામત રક્તદાન અંગેની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં કોઈ વિશિષ્ટ દિવસ, જન્મ દિવસ અથવા પ્રસંગની ઉજવણી પણ રક્તદાન શિબિર દ્વારા કરવાનું ચલણ વધ્યુ છે. જે ખૂબ જ આવકાર્ય છે. મેડિકલ ક્ષેત્રે ખૂબ સંશોધનો થવા છતાં કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. લોહી એ ફક્ત અને ફક્ત કોઈ રક્તદાતા પાસેથી જ મેળવી શકાય છે. અને આ કારણથી જ લોહીની ખૂબ જ અછત ઊભી થાય છે.

જે લોકો રક્તદાન કરવા માંગતા હોય તેમના લોહીનો સૌ પ્રથમ ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોહી સુરક્ષિત છે કે નહિ તે ખૂબ જ અગત્યની બાબત છે. દાતાને એઈડ્સ કે હિપેટાઈસ જેવી લોહી દ્વારા ફેલાતી બિમારી ન હોવી જોઈએ. ઉપરાંત તે નશીલા પદાર્થનું સેવન કરતો ન હોવો જોઈએ. બ્લડ-પ્રેશર, હિમોગ્લોબીન, શરીરનું તાપમાન અને રક્તદાતાના પલ્સ રેટની પણ તપાસ કરવામાં આવે છે.

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો ઍક્સિડન્ટ કે કુદરતી હોનારતમાં મરે છે. આવી હોનારત દરમ્યાન વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતું લોહી ન મળવાને કારણે અનેક મૃત્યુ થાય છે. પ્રસૂતિ અને હૃદય-કિડની કે અન્ય મોટાં ઓપરેશનો દરમ્યાન પણ લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે. માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૫ ટકા લોકોને જીવનના કોઈક ને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ચાળીસ લાખ જેટલું જ. જો કે આપણે ત્યાં બ્લડ-ડોનેશન કૅમ્પ દ્વારા એકઠા કરવામાં આવતા લોહીમાંથી યોગ્ય મૅનેજમેન્ટના અભાવે હજારો યુનિટ લોહી વપરાયા વિનાનું વેસ્ટ જાય છે. આવું જાણીને બ્લડ-ડોનેશન કૅમ્પોવાળાને કહેવાનું મન થાય કે ભાઈ, જરા સંભલ કે – ખૂન ખૂન હોતા હૈ, પાની નહીં … 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જૂન 2022 

Loading

આચાર્યશ્રી કુંજવિહારી મહેતા શતાબ્દીના પ્રારંભે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 July 2022

આજે 14 જુલાઇ, 2022. આચાર્યશ્રી કે.સી. મહેતા સાહેબનો 100મો જન્મદિન ! એમની સ્મૃતિને કોટિ કોટિ વંદન. 

શતાબ્દી વર્ષ દરમિયાન મહેતા સાહેબને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, ડો. બી.એ. પરીખની અધ્યક્ષતામાં રચાયેલી ‘આચાર્યશ્રી કે.સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ’ દ્વારા થવાના છે. આ સમિતિની રચના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના નેજા હેઠળ કરવામાં આવી છે. આ સમિતિના મંત્રીઓ નરેશ કાપડીઆ અને આસીમ બક્ષી છે, જ્યારે કાર્યક્રમ સમિતિ, નાણાં સમિતિ, ગ્રંથ સંપાદન સમિતિના કન્વીનર અનુક્રમે કપિલદેવ શુક્લ, રાજન ભટ્ટ તથા રવીન્દ્ર પારેખ છે.

આજના પર્વે એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના કે.સી. મહેતા સેમિનાર હોલમાં સાંજે 5.30 કલાકે ‘મહેતા સાહેબ અને હું’ નામક કાર્યક્રમ ડો. બી.એ. પરીખ(દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય)ની અધ્યક્ષતામાં અને સોસાયટીના પ્રમુખ રાજેશ દેસાઇના અતિથિવિશેષ પદે થશે, જેમાં ડો. વિજય શાસ્ત્રી, ડો. હિમાંશી શેલત, ડો. શરીફા વીજળીવાળા, કશ્યપ મહેતા, ભાનુભાઇ જોશી, જયપ્રકાશ મહેતા સંસ્મરણો પ્રસ્તુત કરશે. વર્ષ દરમિયાન મહેતા સાહેબનું જે ક્ષેત્રોમાં પ્રદાન છે તે સંદર્ભે પણ કાર્યક્રમો થશે અને વર્ષને અંતે સાહેબ સાથેનાં સંસ્મરણોનું એક સંપાદન પણ પ્રગટ થશે.

આજના ઝડપી સમયમાં માણસ બહુ સહેલાઈથી ભુલાઈ જતું હોય ત્યારે મહેતા સાહેબ 100 વર્ષે પણ યાદ રહે એવી એમની સહજ પ્રતિભા હતી. એમને ઘરમાં અને કોલેજમાં કામ કરતા જોયા છે, સમારંભોમાં અધ્યક્ષ સ્થાનેથી વક્તવ્ય આપતા જોયા છે, એમ અનેક રીતે ને રૂપે સાહેબને પામવાનું બન્યું છે. 1939થી 1945 એ એમ.ટી.બી.ના વિદ્યાર્થી રહ્યા. જો કે, એમનો વિદ્યાર્થી કાળ બહુ ખબર નથી. હા, એમના માતા એમને બચુ કહેતાં ને, ’બચુ આવ્યો નહીં’ જેવું કહીને નવસારીના ઘરમાં રાહ જોતાં એ ખબર છે. સાહેબ, 1946થી 1969 સુધી અધ્યાપક અને 1969થી 1983 સુધી આચાર્ય એમ.ટી.બી.માં જ રહ્યા. એ ઉપરાંત છેવટ સુધી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનનું સફળ સંચાલન પણ કર્યું ને એના જ પરિપાક રૂપે સોસાયટી આજે યુનિવર્સિટીનો સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત કરી શકી છે.

સાહેબે પોતાની ભક્તિ કરાવી નથી, પણ એ ગુરુભક્તિ ચૂક્યા નથી. સાક્ષરવર્ય ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના એ પરમ અને પ્રિય શિષ્ય. વિષ્ણુભાઈ માટે તેમણે છેલ્લા પુસ્તક ‘સાહિત્યકુંજ’માં બે લેખ લખીને ગુરુભક્તિ પ્રગટ પણ કરી છે. આચાર્ય ડો. યશવંત શુક્લ પણ ત્રિવેદી સાહેબના વિદ્યાર્થી. આ ત્રણેયને 1983માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે એક જ મંચ પર એકત્રિત કરવાનું નિમિત હું બનેલો તેનું ગૌરવ છે. વાત એમ હતી કે નર્મદનું એ સાર્ધ શતાબ્દી વર્ષ હતું. મને વિચાર આવ્યો કે સુરતમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થવું જોઈએ. આ વાત મેં મિત્ર રાજન ભટ્ટને કરી. તેણે વાત વહેતી કરી ને તેનાં પરિણામ સ્વરૂપ અધિવેશન નક્કી થયું. એની સમિતિ રચાઇ. તેના અધ્યક્ષ ઉદ્યોગપતિ રણછોડદાસ પોપાવાળા બન્યા ને કાર્યકારી અધ્યક્ષ થયા મહેતા સાહેબ. એના ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ હતા ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને પરિષદના પ્રમુખ હતા આચાર્ય ડો. યશવંત શુક્લ. આ ત્રણેયને એક મંચ પરથી સાંભળવાનો પણ લહાવો હતો.

1965થી હું છપાતો થયેલો. વહેતી વાર્તાનો એક કાર્યક્રમ હતો. એમાં એક પ્રકરણ રજૂ કરવાનું આમંત્રણ મને પણ હતું. સાહેબ એ કાર્યક્રમના અધ્યક્ષ. એમને કદાચ ત્યારે જ જોવાનું બનેલું. અધ્યક્ષ સ્થાનેથી એમણે કથાને વેગ આપવા બદલ મને બિરદાવેલો, પણ પ્રકરણમાં બબ્બે વાર અકસ્માતનો આશરો લેવો પડ્યો તે બદલ મારી ટીકા પણ કરેલી. એ જ સાહેબ મન મૂકીને વખાણતા પણ ખરા. ‘ગુજરાતમિત્ર’માં ત્યારે સાહેબની ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ ચાલતી. એ કૉલમ એક પણ હપ્તો પાડયા વગર તેમણે સતત 33 વર્ષ એવી ચલાવી કે એમના મૃત્યુ પછી પણ ત્રણેક હપ્તા સુધી એ ચાલુ રહેલી. સોંસરું ને સ્પષ્ટ લખે. ઘણાંને ગમે, ઘણાંને ન પણ ગમે. એ કૉલમ ચાલુ હતી ને મેં એ જ ‘ગુજરાતમિત્ર’માં શિક્ષણ વિષયક એક લેખમાળા શરૂ કરી. એક કાર્યક્રમમાં સાહેબ અધ્યક્ષ. એમણે મારા લેખોની પ્રશંસા કરી. કાર્યક્રમ પૂરો થયા પછી સાહેબ મને શોધતા આવ્યા ને મને થપથપાવતા કહે – શિક્ષણમાં તમારો રસ જોઈને આનંદ થાય છે. હું શું કહું? આભારવશ.

કોઈ વાર યશવંતભાઈ પણ હોય ને ત્રિવેદી સાહેબને ત્યાં અમે ભેગા થતા. ડો. રતન માર્શલ, કવિ વિવેચક ને મારા અધ્યાપક ડો. જયંત પાઠક, મહેતા સાહેબ, ભગવતીકુમાર શર્મા, મનહરલાલ ચોક્સી એમ પાંચ સાત લેખકો નૂતન વર્ષની સવારે ભેગા મળતા ને એમ અમારું નવું વર્ષ શરૂ થતું. ત્રિવેદી સાહેબ હતા ત્યાં સુધી આ ક્રમ જળવાયેલો, પછી તો મહેતા સાહેબે પણ 30 જાન્યુઆરી, 1994 ને રોજ અણધારી વિદાય લીધી. આખું સુરત આઘાતથી સ્તબ્ધ થઈ ગયું. ડો. જયંત પાઠકની અધ્યક્ષતામાં નર્મદના મકાનમાં મહેતા સાહેબની શોકસભા થઈ. એ દિવસે અંજલિ આપતા પાઠક સાહેબની આંખો મેં ઝળઝળિયાતી જોયેલી. એ આખો દિવસ હું એ વિચારતો રહેલો કે મૃત્યુ માણસનું બગાડે છે શું? એ બીજું કૈં કરતું નથી, માત્ર ભવિષ્ય પર ચોકડી મારે છે. એક વ્યક્તિ હોત અને એણે જે કર્યું હોત, તે શક્યતાનો જ મૃત્યુ છેદ ઉડાડે છે.

મહેતા સાહેબ એટલે ગરજ વગરની મદદ !

એમણે એટલા બધાંની મદદ કરી છે કે ઘણાંને આગળ વધવાના માર્ગો ખૂલી ગયા હોય તો નવાઈ નહીં.  વિદ્યાર્થીને ત્યાં સારેમાઠે પ્રસંગે સાહેબ જાતે પહોંચતા ને એમની હાજરી જ આશ્વસ્ત કરનારી નીવડતી. 1977માં મેં બી.એ.ની પરીક્ષા આપી. તેનું એક પેપર સાહેબ પાસે હતું. મારું પેપર વાંચીને સાહેબે નવયુગના સૂરતી સાહેબને ફોન કર્યો. પૂછ્યું – આ નંબરનો વિદ્યાર્થી કોણ છે? સાહેબે કહ્યું – એ અમારો વિદ્યાર્થી છે ને લખે છે. મહેતા સાહેબે કહ્યું – એમને મને મળવાનું કહો. હું ભગવતીકુમાર શર્માની સાથે એમને મળ્યો. સાહેબ કહે – એમ. એ. કરો. બી.એ.માં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છો, તો એમ.એ.માં પણ આવશો. મેં કહ્યું – સાહેબ, હું તો બેંકમાં નોકરી કરું છું. કોલેજ નહીં આવી શકું. એમણે કહ્યું – જ્યારે અનુકૂળતા હોય ત્યારે આવજો ને મેં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે એમ.એ. કર્યું. એ દરમિયાન મારી બાનું અવસાન થયું. હું ભાંગી પડ્યો હતો. બાના સમાચાર જાણીને સાહેબ ઘરે આવ્યા. હું ત્યારે ઘરે ન મળ્યો. બીજે દિવસે સાહેબનો આભાર માનવા ઓફિસે પહોંચ્યો. એમણે પૂછ્યું – તમે પરીક્ષા આપવા નથી માંગતા? એવું ન કરો. પરીક્ષા આપી દો. એમનું માનીને મેં પરીક્ષા આપી અને એમ.એ.માં પણ હું યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ પામ્યો.

સાહેબનો વર્ગમાં કડપ ભારે. માત્ર દૃષ્ટિ ફેરવીને એ વર્ગને શાંત રાખી શકતા. એક વખત સાહેબે વર્ગમાં વાત છેડી. વિશ્વ સામે ધરી શકાય એવા ગુજરાતી સર્જકો કેટલા? ઉમાશંકર ને નિરંજન ભગત. મેં બેઠા બેઠા જ નકારમાં ડોકું ધૂણાવ્યું. સાહેબે પૂછ્યું – મારી વાત બરાબર નથી? મેં કહ્યું – એમાં સુરેશ જોશી ઉમેરવા જોઈએ. સાહેબે મને સોંસરો જોયો અને બોલ્યા – હા, વિશ્વ સામે ધરી શકાય એવા સર્જકો ત્રણ, ઉમાશંકર, નિરંજન અને સુરેશ જોશી. સાહેબે એમનો મત ન સ્વીકારવા બદલ મને ઠપકાર્યો હોત, પણ એમણે એવું ન કર્યું. એમણે સૌની સામે મારો મત સ્વીકાર્યો. આ ખેલદિલી આજે વર્તાતી નથી.

‘સાહિત્યકુંજ’, ’અનુબોધ’, ‘સાહિત્યરંગ’ જેવાં અગિયારેક પુસ્તકો સાહેબને નામે છે. એમણે વાર્તા, નાટક જેવા સાહિત્યપ્રકારો ઉપરાંત વિવેચનમાં પણ રસ લીધો. એમ લાગે છે કે અધ્યાપન અને વહીવટી કામોમાં એ એટલા ઓતપ્રોત રહ્યા કે સાહિત્ય સર્જન અને વિવેચનને વેઠવાનું આવ્યું. એ ન થયું હોત તો એમનું સ્પષ્ટ અને સત્ય વક્તૃત્વ જેમ શિક્ષણ અને સંસ્કારને ફળ્યું એમ જ સાહિત્યને પણ ફળ્યું હોત ! એ લોકપ્રિય હતા, પણ લોકપ્રિય રહેવા એમણે કોઈ સમાધાન સ્વીકાર્યું નથી. એકવાર કોલેજમાં વિદ્યાર્થીઓ આંદોલન કરશે એ ભયે પોલીસ કેમ્પસમાં પ્રવેશવા તૈયાર થઈ, તો એમણે પોતાના જોર પર તેને રોકી. તેમને વિદ્યાર્થીઓ પર ભરોસો હતો. સોસાયટીએ સાહેબને સમજાવ્યા કે પોલીસને આવવા દો. સાહેબે રાજીનામું ધરવાની વાત કરી ને પોલીસને કેમ્પસમાં પ્રવેશતી રોકી. આ સ્વસ્થ ખુમારીને લીધે જ નવનિર્માણના વિદ્યાર્થીઓ પણ સાહેબના કાબૂમાં રહ્યા. સાહેબને કોઇની શરમ નડી નથી, પણ તેમણે શરમ છોડી હોય એવો અપવાદ પણ નથી. યુનિવર્સિટી તો પછી આવી, પણ સાહેબની કુલપતિ કક્ષાની સજ્જતા તો તે પહેલાંની હતી. સાહેબ કુલપતિ થઈ શક્યા હોત, પણ તે માટેની ખુશામતનો તેમનામાં અભાવ હતો, એટલે એ તો એ પદની કલ્પના ય કેમ કરે?

નવસારીમાં 14 જુલાઇ, 1923ને રોજ કુંજવિહારી મહેતાનો જન્મ. તલાટી પિતા ચુનીલાલ ગુલાબદાસ મહેતા અને માતા કપિલાબહેનનું એ પ્રથમ સંતાન. તે પછી એક બહેન ઉષાદેવી અને એક ભાઈ કૃષ્ણકાંત મહેતા. કૃષ્ણકાંતભાઈ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. નવસારીમાં મહેતા સાહેબનું ઘર પંડયા ખડકીમાં. સાહેબ 19 વર્ષનાં હતા ત્યારે પિતાની છાયા ગુમાવી દીધી. ઘરનો ભાર કુંજવિહારી પર આવ્યો. સાધારણ રીતે સાહસ કરનાર સ્વસ્થ ન રહે, પણ સાહેબ સ્વસ્થ સાહસિક હતા. 1950માં તપોધન કન્યા લીલાબહેન રાવલ સાથે એમણે પ્રેમ લગ્ન કર્યાં. લગ્નનો વિરોધ થયો, પણ સાહેબે મચક ન આપી અને એ લગ્ન છેવટ સુધી ટક્યું. કુટુંબ સુરત આવીને વસ્યું એટલે નવસારીનું ઘર ખાલી પડ્યું. વર્ષો પછી એ ઘર કપાતમાં જતું હતું. બીજું કોઈ હોત તો વળતરની અપેક્ષાએ કુટુંબીજનો વાંધો લઈ શક્યાં હોત, પણ મહેતા સાહેબના દીકરા કશ્યપ અને દીકરી સ્વાતિએ રસ્તો પહોળો થતો હતો એટલે લોકહિતમાં અવેજ લીધા વિના સુધરાઈને સંમતિ આપી ને સુધરાઇએ પણ એ માર્ગને કુંજવિહારી મહેતા નામ આપીને સાહેબની સ્મૃતિ સજીવ રાખી.

સાહેબ વિષે વિચારું છું ત્યારે એક સવાલ થયા કરે છે કે માણસ મૃત્યુ પછી પણ જીવતો રહે છે તે કયાં કારણે? મહેતા સાહેબ, હજી લોકહૃદયમાં વસે છે. કેમ? એ અધ્યાપક હતા એટલે? આચાર્ય હતા એટલે? સોસાયટીના મંત્રી, સંચાલક હતા એટલે? કોલમો લખી, પુસ્તકો લખ્યાં એટલે? આવું તો ઘણાં કરે છે, પણ સ્પષ્ટ, સત્ય ને સોંસરું કહો તો અપ્રિય થવાની શક્યતાઓ વધે. મહેતા સાહેબ એમાં અપવાદ હતા. એમણે કશા સ્વાર્થ વગર સમગ્ર શિક્ષણ અને સંસ્કાર જગતને મદદ કરી છે. એ વાત સાહેબને બીજી વ્યક્તિઓથી અલગ તારવે છે. એવી વ્યક્તિ લોકપ્રિય ન થાય તો કોણ થાય?

છેલ્લે એક પ્રાર્થના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને. મહેતા સાહેબ અનેક સ્વરૂપે અને રીતે 1939થી 1994 સુધી એમ.ટી.બી.આર્ટ્સ કોલેજ અને સોસાયટી સાથે જોડાયેલા રહ્યા. એમના દીકરા કશ્યપ મહેતાએ પણ સોસાયટીનું અધ્યક્ષપદ સંભાળ્યું. એમની દીકરી સ્વાતિ મહેતા પણ કે.પી. કોમર્સમાં અધ્યાપક રહી ચૂકી છે. ટૂંકમાં, મહેતા સાહેબ અને તેમનો પરિવાર સોસાયટી સાથે પચાસથી પણ વધુ વર્ષથી સઘન સંપર્કમાં છે, તો સાર્વજનિક યુનિવર્સિટીની સાથે મહેતા સાહેબનું નામ જોડવું જોઈએ એમ લાગે છે. સોસાયટી જ્યારે મહેતા સાહેબની શતાબ્દી ઉજવતી હોય તો એમની સ્મૃતિ આમ કાયમી થાય એથી વિશેષ અંજલિ બીજી કઇ હોઈ શકે? આશા છે, એમ.ટી.બી., સોસાયટી અને આચાર્ય કે. સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ આ અંગે ગંભીરતાથી વિચારશે. આભાર.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2022

Loading

...102030...1,3251,3261,3271,328...1,3401,3501,360...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved