Opinion Magazine
Number of visits: 9669249
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણને કોઈ મૂરખ બનાવી શકે એમ નથી, આપણે છીએ જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 November 2022

ચૂંટણી સભાઓ, રોડ શો અને રાજકીય વચનોનાં માહોલમાં આપણે ખેંચાઈ રહ્યાં છીએ ને કોને મત આપવો એની ગડમથલમાં દિવસો કાઢીએ છીએ. બધાં જ રાજકીય પક્ષો આપણને જાતભાતનાં વચનો આપીને ભરમાવી રહ્યા છે. નેતાઓ વાયદાઓ કરે છે. એ વાયદાઓ આપણે યાદ રાખવાના ને ફાયદાઓ એમણે યાદ રાખવાના. આગલી ચૂંટણીઓમાં કેટલું કહેલું અને એમાં કેટલું થયું તે એ લોકોને નથી ખબર, આપણને ખબર છે, એવું જ આ વખતે પણ ખરું. સુરતની જ વાત કરીએ તો અગાઉનાં કોઈ ભા.જ.પી. કેન્દ્રીય બજેટમાં સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત થયેલી. ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સુરતના છે ને રેલવે મંત્રી પણ સુરતના છે, છતાં તેમાં કેટલું થયું તે આજનું સ્ટેશન જોવાથી સમજાય એમ છે. તે પછી તો ગાંધીનગર રેલવે સ્ટેશન આંતરરાષ્ટ્રીય સ્તરે ડેવેલપ થયું. ઠીક છે, એવું બધું તો ચાલ્યા કરે. નેતાઓના વાયદાઓને માનવાના ન હોય તે તો છોકરું ય જાણે છે.

એ પણ જવા દો, સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર પર ભરોસો નથી એવું આજે જ ચૂંટણી કમિશનરની નિમણૂક સંદર્ભે કહેવાયું છે. શંકા પડે એવું છે જ. વાત એવી છે કે હાલ જે ચૂંટણી કમિશનર નીમાયા તે અરુણ ગોયલ વિષે સુપ્રીમને એ વાતે શંકા પડી છે કે ગુરુવારે ગોયલને વી.આર.એસ. મળ્યું, શનિવારે એમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ અને સોમવારે તો તેમણે પદ સંભાળી પણ લીધું. આટલો ઝડપી વિકાસ સુપ્રીમને પણ પચાવવાનું અઘરું થયું એટલે તેણે સરકાર પાસેથી ગોયલની ફાઇલ જોવા માંગી છે. સુપ્રીમને તો એવા ચૂંટણી કમિશનરની અપેક્ષા છે જે વખત આવ્યે વડા પ્રધાનને ય પડકારી શકે. એવા તો મળે ત્યારે ખરા ! જો કે, સુપ્રીમની ચકાસણી વાજબી છે. ચૂંટણી કમિશનર તો સ્વતંત્ર અને સ્વાયત્ત જ હોવા ઘટે. આમ પણ નબળા વિપક્ષને કારણે લોકશાહી ડામાડોળ થઈ જ છે, ત્યાં ચૂંટણી કમિશનર પણ સ્વાયત્ત ન હોય તો લોકશાહી જેવું જ કેટલું ટકે?

આમાં નાગરિક તરીકે જવાબદાર આપણે પણ છીએ. આપણે ફોગટિયાં સંસ્કૃતિથી એટલાં લલચાયાં છીએ કે બધું મફતનું જ શોધીએ છીએ. ડિસ્કાઉન્ટ, ફ્રી અને એક્સચેન્જ ઓફરોથી છેતરાઈએ છીએ. કોઈ કૈં મફત આપવાનું કહે છે કે આપણી લાળ ટપકવા માંડે છે. કોઈ પક્ષ કહે કે અમે બે વડા પ્રધાન આપીશું. એક પર એક ફ્રી ! તો, તેનો ય વાંધો નથી, કારણ આપણને કોઈ વાતે ફેર જ નથી પડતો. મૂરખ બનવા આપણે કાયમ તત્પર હોઈએ છીએ. જેમ એક પર એક ફ્રીનું છે એવું જ રાજકીય વાયદાઓનું પણ છે. તે આગલા અનુભવો પરથી સમજાવું જોઈએ. સાચું તો એ છે કે સામે પક્ષે બધા જ સાચા હોવાનો દાવો કરનારા છે, ત્યારે આપણો વિવેક કામે લગાડવાનો રહે. આપણે કાઁગ્રેસનું શાસન જોયું છે, બી.જે.પી.નું જોઈ રહ્યાં છીએ ને આપને તક જોઈએ છે. આપણે એટલું પણ સમજી લઇએ કે આ બધા જ વેપારીઓ છે ને વેચવા ઊભા છે. એ કૈં આપે કે ન આપે, આપણે મત આપવાનો છે. એ વેચવો કે આપવો એ આપણે નક્કી કરવાનું છે. વાત આટલેથી જ અટકતી નથી. ગુજરાતનાં પરિણામોનો પડઘો કેંદ્રમા ય પડવાનો છે તે ભૂલવા જેવું નથી.

એ સંદર્ભે વિચારીએ તો હાલ ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર છે, કેન્દ્રમાં પણ ભા.જ.પ.ની સરકાર છે ને તે પાય એટલું જ પાણી ગુજરાત પીએ છે. ડબલ એન્જિન જોડ્યા વગર ગુજરાતની ગાડી દોડે એમ નથી. ગુજરાતમાં અને કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર લાંબો સમય રહી. કાઁગ્રેસના સમયમાં જ ભ્રષ્ટાચાર શરૂ થયો ને તેનો છેડો હજી આવ્યો નથી. વડા પ્રધાનની ખાતો નથી – વાળી વાત સાચી, પણ ખાવા દેતો નથી – વાળી વાત ખોટી છે. ગુજરાતમાં 27વર્ષ અને કેન્દ્રમાં 8 વર્ષ પહેલાં કાઁગ્રેસ સત્તા ભોગવી ચૂકી છે, પણ તેણે બહુ ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવ્યો છે. એ સાથે જ દિલ્હી અને પંજાબમાં આપને શાસનની તકો ઊભી થઈ છે. એવી તક તે ગુજરાતમાં શોધે છે. સુરત કોર્પોરેશનથી તેણે શરૂઆત કરી છે. તેની સ્વસ્થતા વધે તો કાઁગ્રેસની ઢીલાશ, આપને વિધાનસભા સુધી લઈ જાય એમ બને.

અનેક વાંધાઓ છતાં ભા.જ.પ.નું ગુજરાત અને કેન્દ્રમાં થયેલું કામ અવગણી શકાય એમ નથી. નોટબંધી ને લોકડાઉન જેવામાં ભા.જ.પ. સરકારે ઉતાવળ કરી છે, તો કોરોના વખતે કરોડો લોકોને સરકારે મફત રસી આપી, એટલું જ નહીં, વિદેશ પણ મોકલી. આ નાનું કામ નથી, એ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી જેવાં કામો નજર અંદાજ કરી શકાય નહીં. વડા પ્રધાને ભારતનું વિદેશમાં જે વર્ચસ્વ ઊભું કર્યું છે તે ઐતિહાસિક છે. વીજળી, પાણી, રસ્તા, ટેક્નોલોજી અને અનેક પ્રોજેકટોની બાબતે પણ નોંધપાત્ર કામ થયું જ છે, પણ પક્ષમાં અસંતોષ, મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે સરકાર બેક ફૂટ પર છે. ગરીબોને સહાય મળે છે, પણ કામની, રોજગારીની બાબતે તેમની સ્થિતિ હજી કાળજી માંગે છે. ઘણીવાર એમ પણ લાગે છે કે દેશ ઉદ્યોગપતિઓના હાથમાં છે અથવા સરકાર ઉદ્યોગપતિઓના હાથમાં છે. મોંઘવારી વધારવામાં એમનો હાથ છે ને સરકારે એમના પર નિયંત્રણો મૂકવાની જરૂર છે. અબજો રૂપિયા બેન્કોના ડુબાડીને એન.પી.એ. વધારવામાં ને વિદેશ ભાગી જવામાં ઉદ્યોગપતિઓએ આડો આંક વાળ્યો છે. દેશના કરોડો રૂપિયા લોન માફીમાં વેડફાયા છે. દેવા માફી અમીરોની પણ હોય એ તો આ જ દેશમાં બને. પૈસા કરતાં પણ પ્રમાણિકતાનો અભાવ દેશને વધારે હાનિ પહોંચાડી રહ્યો છે. દેશનો ગરીબ જેટલો પ્રમાણિક છે, એટલો અમીર નથી તે દુ:ખદ છે.

એમાં સૌથી વધુ કફોડી સ્થિતિ તો મધ્યમ વર્ગની છે. અમીરોને મોંઘવારી નડતી નથી, ગરીબોનું સહાય પર નભી જાય છે, પણ મધ્યમ વર્ગ કશીયે મદદ વગર પગાર પર નભે છે. મોંઘવારી વધે છે એ ઝડપે પગાર કે ભથ્થાં વધતાં નથી. કોઈ પણ કોર્પોરેટર એકાદ વર્ષમાં કરોડપતિ થઈ જાય છે. એટલી ઝડપે મધ્યમ વર્ગની આવક વધતી નથી. તેનો પગાર, ટેક્સ કપાયા પછી હાથમાં આવે છે. એને અપ્રમાણિક થવાની તકોયે ઓછી છે. બીજું બધું જવા દઇએ, માત્ર પેટ્રોલનો જ વિચાર કરીએ તો 2014માં પેટ્રોલ 66 રૂપિયે અને ડિઝલ 50 રૂપિયે લિટર હતું, તે 8 વર્ષમાં 100નીયે પાર પહોંચ્યું. એને લીધે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, પરિણામે ઘણી વસ્તુઓ મોંઘી થઈ. લોન સસ્તી થઈ તે સાથે ડિપોઝિટના રેટ પણ ઘટયા. એની અસર સિનિયર્સની આવક પર પડી ને તેમને ઓછી આવકમાં વધુ મોંઘવારીનો સામનો કરવાનો આવ્યો. એનું પેન્શન અપડેટ થતું નથી ને એ આઉટ ઓફ ડેટ થતો જાય છે. એની સામે આવકવેરાનો સ્લેબ અઢી લાખ અને સિનિયર્સનો ત્રણ લાખ 2014થી એમનો એમ જ છે. 2014માં મોદી સરકારનું પહેલું બજેટ આવ્યું ત્યારે નાણાં મંત્રી અરુણ જેટલીએ આવકવેરાનો સ્લેબ બે લાખથી વધારીને અઢી લાખ અને સિનિયર્સ માટે ત્રણ લાખ કરેલો, તે પછી બધું જ વધ્યું, પણ સ્લેબ વધ્યો નથી. દૂધને ત્રણ ચાર મહિને બબ્બે રૂપિયા વધવાની ટેવ પડી છે, પણ આવકવેરાનો સ્લેબ હતો ત્યાં જ સ્થિર છે. પ્રજા પણ સ્થિર છે. તે પ્રચારમાં ટોળે વળે છે, પણ દૂધ મોંઘું થાય છે તો ચુમાઈને બેસી રહે છે.

આપણી કેન્દ્ર સરકારને ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ વિષે ગેરસમજો ઘણી છે. તે 6થી 18 લાખની આવકવાળાને નિમ્ન મધ્યમ વર્ગમાં મૂકે છે, તો 8 લાખની આવકવાળાને ગરીબ ગણે છે. નાણાં મંત્રીએ 2021માં મિડલ ઇન્કમ હાઉસિંગ સ્કિમ માર્ચ, 2021 સુધી લંબાવતાં કહેલું કે એનો લાભ જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખની વચ્ચે છે તે લોઅર મિડલ ક્લાસને મળશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં ઉમેરેલું કે જે ગરીબી રેખાની ઉપર છે એવા નિમ્ન મધ્યમ વર્ગને આ લાભ મળશે. છેને કમાલ ! 6 લાખવાળો નિમ્ન મધ્યમ વર્ગમાં અને 8 લાખવાળો ગરીબ વર્ગમાં.

મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ આર. મહાદેવન્‌ અને જસ્ટિસ સત્ય નારાયણ પ્રસાદની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને પુછાવ્યું છે કે 8 લાખની આવક ધરાવનાર નબળા વર્ગમાં આવતો હોય તો તેની પાસેથી આવકવેરો કેમ વસૂલાય છે? અઢી લાખથી વધુ આવકવાળો ગરીબ ગણાતો નથી ને તેની પાસેથી આવકવેરો વસૂલાય છે, જ્યારે 8 લાખની આવકવાળો ગરીબ ગણાય છે. મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી આવી છે, જેમાં આવકવેરાની હાલની જોગવાઈને પડકારવામાં આવી છે. અરજી મુજબ આવકવેરા વસૂલાત માટે સ્લેબ અઢી લાખનો છે ને ઇકોનોમિકલી વીકર સેકશન (EWS) માટેની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 103માં બંધારણીય સુધારા બિલની કાનૂની માન્યતાને સમર્થન આપ્યું છે જેમાં EWS માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે ને એની આવક મર્યાદા આઠ લાખ નક્કી કરવામાં આવી છે. આ વિસંગતતા મદ્રાસ હાઇ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે ને કોર્ટે તેનો જવાબ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો છે. અરજદારે 8 લાખથી ઓછી આવકવાળા તમામને આવકવેરાના દાયરામાંથી બહાર રાખવા આ અરજી કરી છે. આ મુદ્દો ખરેખર વિચાર માંગે એવો છે. સરકાર પોતે જ જો 8 લાખની આવકવાળાને આર્થિક રીતે નબળા ગણતી હોય તો તે અઢી લાખથી આઠ લાખની વચ્ચેની આવકવાળા ગરીબો પાસેથી ટેક્સ વસૂલી કઇ રીતે શકે? સરકારે આ મુદ્દે ફેર વિચારણા કરીને નવાં કેન્દ્રીય બજેટમાં આવકવેરાનો સ્લેબ ઓછામાં ઓછો આઠ લાખ કરવો જોઈએ. એ ન કરે તો પ્રજા તરીકે આપણે તેને ફરજ પાડવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2022

Loading

રાજશ્રી પ્રોડક્શનની ‘દોસ્તી’ની ‘ઊંચાઈ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 November 2022

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્જોગ્પા અને બોમન ઈરાની એમ ચાર મિત્રોના પ્રેમ અને સાહસની વાર્તા લઈને આવેલી ફિલ્મ ‘ઊંચાઈ’ આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યા છે અને તેમની ફિલ્મ નિર્માણ કંપની રાજેશ્રી પ્રોડકશન આ વર્ષે તેની સ્થાપનાનાં 75 વર્ષ પણ પૂરાં કરે છે. રાજેશ્રી પ્રોડકશન પારિવારિક મનોરંજન અને મૂલ્યો માટે જાણીતી છે. જીવન મૃત્યુ, પિયા કા ઘર, ચિત્તચોર, દુલ્હન વહી જો પિયા મન ભાવે, અખિયોં કે ઝરોખો સે, સારાંશ, મૈને પ્યાર કિયા, હમ આપ કે હૈ કૌન જેવી ફિલ્મો દ્વારા રાજેશ્રીએ ભારતીય ફિલ્મ દર્શકોમાં એક ઈજ્જતભર્યું સ્થાન ઊભું કર્યું છે.

રાજેશ્રીની ફિલ્મોમાં લગ્નો, તહેવારો, રીત-રિવાજો, પારિવારિક પ્રસંગોનું એક અનોખું સ્થાન છે અને એ ફિલ્મો જોઇને મોટા થયેલાં ચાહકોને ‘ઊંચાઈ’ રાજેશ્રીની ‘લિક સે હટકે’ ફિલ્મ લાગે, પરંતુ આગલી પેઢીના દર્શકોને યાદ હશે કે રાજેશ્રીની બીજી જ ફિલ્મ (1962માં આવેલી પહેલી ફિલ્મ ‘આરતી’ વિશે આપણે તાજેતરમાં જ અહીં વાંચી ગયા છીએ) ‘દોસ્તી’માં પણ બે મિત્રોના પ્રેમ અને હમદર્દીની વાર્તા હતી. એટલે એવું કહી શકાય કે રાજેશ્રી પ્રોડકશને તેના 75માં વર્ષમાં ફરીથી એ જ વિષયને છેડ્યો છે જે તેણે 1964માં ‘દોસ્તી’ ફિલ્મમાં છેડ્યો હતો.

અને કેવો છેડ્યો હતો! 1965ના છ ફિલ્મફેર પુરષ્કાર ‘દોસ્તી’ લઇ ગઈ હતી; શ્રેષ્ઠ ફિલ્મ- તારાચંદ બડજાત્યા (સૂરજના દાદા), શ્રેષ્ઠ સંગીત – લક્ષ્મીકાંત-પ્યારેલાલ, શ્રેષ્ઠ વાર્તા – ગોવિંદ મૂનિસ, શ્રેષ્ઠ ગાયક કલાકાર – મહોમ્મદ રફી (ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે) અને શ્રેષ્ઠ ગીતકાર – મજરૂહ સુલતાનપૂરી (ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે). શ્રેષ્ઠ નિર્દેશકની કેટેગરીમાં ‘દોસ્તી’ના નિર્દેશક સત્યન બોઝનું નોમીનેશન પણ હતું, પરંતુ ‘સંગમ’ માટે રાજ કપૂર એમાં મેદાન મારી ગયા હતા.

1964માં બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનારી ટોપ ટેન ફિલ્મોમાં ‘દોસ્તી’ ત્રીજા નંબરે હતી. તેની આગળ અનુક્રમે ‘સંગમ’ અને ‘આયી મિલન કી બેલા’ હતી. બે બાળ કલાકારો, સુશીલ કુમાર અને સુધીર કુમાર અભિનીત આ ફિલ્મને દર્શકોએ અનહદ પ્રેમ કર્યો હતો. પાછળથી આ બંને કલાકરો ખોવાઈ ગયા હતા. બંનેને લઈને તેમની હત્યા, અકસ્માત, અન્ડરવર્લ્ડ કનેક્શન વગેરે જેવી અનેક અફવાઓ ફેલાઈ હતી, પણ એ એવા ખોવાઈ ગયા કે કોઈની પાસે તેમની સાચી માહિતી નહોતી. તેમની સાથેનો બીજો એક કલાકાર આગળ જઈને મોટો સ્ટાર બન્યો; એ ફિરોઝ ખાનનો ભાઈ સંજય ખાન હતો.

કોઈ જ મોટા સ્ટાર વગર, બે સાવ નવા નિશાળિયા એક્ટરને લઈને માત્ર મર્મસ્પર્શી વાર્તા અને મધુર સંગીતના દમ પર એક સુપરહીટ ફિલ્મ કેવી રીતે બને એ જો કોઈએ શીખવું હોય તો ‘દોસ્તી’ને જોવી-જાણવી જોઈએ.

ભારતને આઝાદી મળી તે જ દિવસે, 15મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈમાં “રાજશ્રી” નામની ફિલ્મ ડિસ્ટ્રબ્યૂશન કંપની શરૂ કરનારા મારવાડી બિઝનેસમેન તારાચંદ બડજાત્યાએ 1962માં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું, ત્યારે ‘આરતી’ માટે તેઓ નવોદિત કલાકારોની તલાશમાં હતા, પણ નવા ધંધામાં પૈસે-ટકે ભરવાઈ ન જવાય તેવી બીકમાં તેમણે મીના કુમારી, પ્રદીપ કુમાર અને અશોક કુમાર જેવા ધરખમ સ્ટાર સાથે ફિલ્મ બનાવી. ફિલ્મ ઠીકઠાક ચાલી અને તેનાં ગીતો પણ (“કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંજિલ, રાહી …” અને “અબ ક્યા મિશાલ દૂં મૈં તેરે શબાબ કી, ઇન્સાન બન ગઈ હૈ કિરણ મહેતાબ કી”) પણ મશહૂર થયાં એટલે તારાચંદને હિમ્મત આવી અને બે વર્ષ પછી અજાણ્યા કલાકારોવાળી ‘દોસ્તી’ લઈને આવ્યા. એ બે ફિલ્મોથી, રાજેશ્રી પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે તેનું સંગીત ઉત્કૃષ્ઠ જ હોય એવો શિરસ્તો બેસી ગયો, જે ‘ઊંચાઈ’માં જળવાઈ રહ્યો છે.

‘દોસ્તી’માં કુલ છ ગીતો હતાં; પાંચ મહોમ્મદ રફીના અવાજમાં અને એક લતા મંગેશકરના અવાજમાં. એમાં ચાર ગીતો અત્યંત લોકોપ્રિય થયાં; ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે, કોઈ જબ રાહ ના પાયે, રાહી મનવા દુઃખ કી ચિંતા કયું સતાતી હૈ … દુઃખ તો અપના સાથી હૈ અને જાનેંવાલોં જરા મૂડ કે દેખો મુજે. એ ચારમાં ‘ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે, કોઈ જબ રાહ ના પાયે’ તો આજે પણ મહોમ્મદ રફીનાં ટોપ ટેન સર્વશ્રેષ્ઠ ગીતોમાં શાનથી બેઠું છે.

1964માં, ક્રિકેટની ભાષામાં કહીએ તો, એક એક મોટો અપસેટ સર્જાયો હતો કે જે તેમના ગીત-સંગીત માટે જાણીતા હતા તે રાજ કપૂરની ઇસ્ટમેન કલર ફિલ્મ ‘સંગમ’નાં એટલાં જ સમૃદ્ધ ગીતોને પછાડીને, એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ‘દોસ્તી’નું એ ગીત ફિલ્મફેર એવોર્ડ લઇ ગયું. ત્યાં સુધી કે લક્ષ્મીકાંત-પ્યારેલાલને પણ સુખદ આશ્ચર્ય થયું હતું કે ‘સંગમ’ને સંગીતનો એવોર્ડ ન મળ્યો.

રસપ્રદ વાત એ છે કે લક્ષ્મીકાંત-પ્યારેલાલને ‘ચાહૂંગા મૈં તુજે’ને લઈને બહુ વિશ્વાસ નહોતો અને તેઓ એ ગીતને કાઢી નાખવાના મતના હતા, પણ તેમણે રફી સાહેબનો મત જાણવાનું નક્કી કર્યું હતું. રફીએ જ્યારે એ ધૂન સાંભળી ત્યારે તેમણે કહ્યું કે તમે રેકોર્ડીંગની તૈયારી કરો, આપણે આ ગીત રાખીશું.

ફિલ્મની વાર્તા અત્યંત હૃદયસ્પર્શી હતી; બે ગરીબ મિત્રો, રામૂ અને મોહન, ઘર-પરિવારથી અનાથ થઈને મુંબઈની સડકો પર એક બીજાને ભટકાય છે. રામૂ લંગડો છે અને મોહન આંધળો. બંને તેમની ગાવા-વગાડવાની પ્રતિભાના જોરે નિર્દયી મુંબઈ શહેરમાં કેવી રીતે જીવનનિર્વાહ કરે છે અને એકબીજા માટે બલિદાન આપે છે તેની આ વાર્તા એક રીતે નહેરુના ભારતની ગરીબી, બેરોજગારી અને અનીતિની પણ વાર્તા હતી. નોંધપાત્ર એ છે કે બંનેને તેમની પીડા માટે દુનિયા સામે ફરિયાદ નથી. બલકે તેઓ તેમની સ્થિતિમાં સકારાત્મક રહેવાનો પ્રયાસ કરે છે;

રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યોં સતાતી હૈ

દુઃખ તો અપના સાથી હૈ

સુખ હૈ એક છાંવ, ઢલતી આતી હૈ, જાતી હૈ

ભારતમાં ગરીબ હોવું એ એક શ્રાપ છે, તે એ વખતે જેટલું સાચું હતું એટલું જ આજે પણ સાચું છે. જેમ કે અભ્યાસમાં હોંશિયાર રામૂ તેના પરિવાર અને એક પગને ગુમાવી દે છે તે સાથે ઉત્તમ ભવિષ્યનું તેનું સ્વપ્ન પણ લંગડું થઇ જાય છે. એક રીતે એ આઝાદીના એક દાયકા પછીની પેઢીનું સ્વપ્ન તુટવાનો વાત હતી. મોહન સાથે પણ એવું જ થાય છે. તેની બહેનની શોધમાં આવેલા મોહનને મોટા શહેરના મતલબી લોકોની ઉદાસીનતાનો અનુભવ થાય છે, જેમની પાસે વંચિત અને હાંસિયામાં ધક્લાઈ ગયેલ લોકો માટે ન તો સમય છે કે ન તો સંવેદના.

ગરીબ, ભિખારી, રસ્તે રઝળતા અનાથ લોકો પ્રત્યે સમાજની સંવેદનશૂન્યતા કેવી હોય છે તેનાથી પરિચિત મજરૂહ સુલતાનપુરી એમાં મોહનના મોઢે ગવડાવે છે;

જાનેંવાલોં જરા મૂડ કે દેખો મુજે

એક ઇન્સાન હું મૈં ભી તુમ્હારી તરાહ

પ્રગટ : ‘સુપરહીટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 23 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલસાહિત્યનો નવો સશક્ત અવાજ 

Opinion - Literature|24 November 2022

‘હાજર હ્રદયથી હોઈએ’ – (ગઝલસંગ્રહ) લેખક : વિકી ત્રિવેદી – પ્રકાશક : મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ 2022

છેલ્લા એકાદ વર્ષથી ગઝલકાર વિકી ત્રિવેદી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. તેઓ ફેસબુક પર દરરોજ એક ગઝલ મૂકે, જેના આઠ-દસ-બાર શેર હોય, બધા જ શેર દમદાર હોય અને દરેક શેરમાં અનુભૂતિનો રણકો હોય. આવું એક-દોઢ વર્ષ ચાલ્યા પછી, હમણાં જ તેમણે ‘હાજર હ્રદયથી હોઈએ’ નામે પૂરી એકસો એકાવન ગઝલનો સંગ્રહ પ્રકાશિત કર્યો. ‘કલમ કરતાં નાની વયનો કવિ’ (ભાવેશ ભટ્ટ), આશાસ્પદ ગઝલકાર (ગૌરાંગ ઠાકર), ગઝલવિશ્વનો તેજસ્વી તારક (રઈશ મનીઆર) – અધિકારી પૂર્વસૂરિઓ દ્વારા વધાવાયેલ વિકી ત્રિવેદીએ સર્જનની શરૂઆત ‘સંધ્યા સૂરજ’ નામની નવલકથાથી કરી તે પણ નોંધવું જોઈએ. અન્ય નવલકથા અને અનુવાદના બાર-તેર પુસ્તકો પછી તેઓ ગઝલની ગલીમાં વળ્યા અને નોન-સ્ટોપ એટલે કે સંગ્રહ પછી પણ આજ પર્યંત ગઝલ કહેતા જ રહ્યા છે. આ અગાઉ સોશિયલ મીડિયા થકી જે સર્જક આપણને મળ્યા, તે પારૂલ ખખ્ખર. એ જ માર્ગે પોતાની મહત્તા – ઇયત્તા અને ગુણવત્તા – બંનેની દૃષ્ટિએ સિદ્ધ કરનાર વિકી ત્રિવેદી નવી પેઢીનો સર્જક કેવો હોય તે બતાવી આપે છે.

‘હાજર હ્રદયથી હોઈએ’ની ગઝલોમાં પરંપરા અને નાવીન્યનું અજબ રસાયણ રચાયું છે. અત્યંત ઉર્જાવાન (ફેસબુક યુઝર્સને ખબર છે) વિકીએ નાની ઉંમરમાં અભાવો જોયા છે. આર્થિક પાયમાલીનો જાતઅનુભવ તેને સમસંવેદનશીલ બનાવે છે. આર્થિક ગરીબી સાથે તેણે માણસાઈની ગરીબી પણ નજીકથી જોઈ છે. આમ જીવનની વાસ્તવિકતા, વાચનશોખ, અને દેખાતા વિરોધાભાસ અને વિડંબના તેની ગઝલોને તીક્ષ્ણ અને ધારદાર બનાવે છે. પહેલી જ ગઝલનો આ છેલ્લો શેર જુઓ.

જાણું છું જિંદગી બધાની બેવફા જ છે 

લાગે છે તો ય સાલી બીજાની સરસ મને (પૃ. 25)

‘સાલી’ – આત્મીયતાસૂચક અપશબ્દનો સહજ અને જાયકેદાર ઉપયોગ અન્યત્ર પણ જોવા મળશે. ક્રમમાં બીજી ગઝલમાં એક શેર અપરિમેય વિશાળતા બતાવે છે.

આ ચાંદ જેનો ચાંદલો છે એનું મુખ બતાવ 

હે ! આસમાન, બોલ તું કોનું કપાળ છે ? (પૃ. 26)

કલ્પનોત્થ વ્યાપકતા ભાવકને વિસ્ફારિત કરી મૂકે છે !

મરીઝનો આ શેર આપણને સૌને યાદ છે ..

  હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં 

  તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને 

વિકી કહે છે, 

સમજી ગયો છું જ્યારથી સૌની સમજને હું

કહેતો નથી હું કોઈને ‘તું પણ સમજ મને’ (પૃ. 27) 

મરીઝમાં ‘જોવું’ અને અહીં ‘સમજવું’નું તત્ત્વજ્ઞાન છે. એવો જ આ શેર પણ સાથે જોઈ લઈએ.

‘સમજણ વિષે છે મારો અનુભવ જરા અલગ 

 સમજ હશે એ કોઈને સમજાવશે નહીં’(પૃ. 72) 

ક્યારેક વ્યક્તિ ખૂબ ઝઘડીને પણ નૈકટ્ય કેળવે છે.

સ્વયંથી મને જે નિકટતા મળી છે 

એ ખુદથી ઝઘડતાં ઝઘડતાં મળી છે ! (પૃ. 29)

આ મત્લાથી શરૂ થતી આખી ગઝલના સાની મિસરામાં પુનરુક્તિનો સાર્થક પ્રયોગ આસ્વાદ્ય છે. જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન, મુખભાવ, વગેરે જુદાં જુદાં હોય છે. સર્જકચિત્તમાં આવી તમામ ઝીણી ઝીણી વાતો ઝિલાતી હોય છે અને યથાકાળે યથાસ્થળે પ્રયોજાતી હોય છે. આ શેર જુઓ …

એકરાર કરવા આવ્યા હશે કેમ માનવું ?

ચહેરા ઉપર તો એમના કાંઈ મૂંઝવણ નથી (પૃ. 31) 

પ્રણયભાવને વ્યક્ત કરતો આ શેર માતબર કવિઓના અશઆરની યાદ અપાવડાવે છે. છેતરાવાનો પણ આનંદ હોય છે પરંતુ ક્યાં સુધી ? જુઓ, વિકી કહે છે,

 હા, છેતરાવું તો ગમે છે તારા હાથથી 

 પણ દોસ્ત શું કરું હવે એ ભોળપણ નથી (પૃ. 31)

આ લેખ લખાય છે ત્યાં સુધી વિકી ત્રિવેદીના ઘણા શેર ભાવકોની જીભે ચઢી ગયા છે તેથી તેનું પુનરાવર્તન નહીં કરું. આ કવિના શેર કેમ તરત જ સર્વસ્વીકૃત થઈ ગયા? એનું કારણ છે, વિચાર / ઊર્મિ અને અભિવ્યક્તિની સ્પષ્ટતા અને સરળતા. તેમને ખૂબ આસાનીથી સૂક્ષ્મ વ્યંગ કરતાં પણ આવડે છે. કેટલાક શેર ટાંકું …

જે જે સફળ થયા એ રસ્તો નહીં બતાવે 

એ કારણે મેં કેવળ નિષ્ફળ વિશે લખ્યું છે (પૃ. 38)

બંને તો શક્ય કેવી રીતે થઈ શકે ‘વિકી’?

માણસ બનાય કાં તો સફળ થઈ શકાય છે (પૃ. 71)

આટલી ઊંચી ગઝલ ના લાખ કવિ 

આ જગતને છીછરાની ટેવ છે. (પૃ. 78)

ઈશ્વર પર થયેલ વ્યંગ જુઓ … 

એની ભૂલો તો એને ખબર પણ નહીં પડે

ઈશ્વરની સામે કોણ અરીસો ધરી શકે? (પૃ. 56)

બાળકને કૈંક થાય તો એ આવે જાન પર 

ને તારે આવવું છે પ્રભુ માના સ્થાન પર ?(પૃ. 63)

પીડામાં રસ લેતા સમાજના લોકોના નિમ્ન કક્ષાના અભિગમ પરત્વેનો વ્યંગ જુઓ.

એ રીતે મારા દુ:ખની વાત સૌએ સાંભળી 

કે જાણે હાથમાં ગમતો વિષય આવી ગયો (પૃ. 80) 

અને એ જ ગઝલનો છેલ્લો શેર જગત પર આ રીતે કટાક્ષ કરે છે.

જગત સ્વાગત કરે છે તેજ બુદ્ધિનું ‘વિકી’,

છે તારી ભૂલ તું લઈને હ્રદય આવી ગયો (પૃ. 80)

 હજી સત્તાવીસ વર્ષની વયના વિકીના કેટલાક શેરમાં અલ્લડપન અને બેફિકરાઈ છે તથા બાળવાર્તાના સંદર્ભો પણ છે. ક્યારેક તો હ્રદયને શારી નાખે એવી વાત વિકી કહે છે .. જુઓ ..

મને મારીને છાનો કોણ રાખે વ્હાલથી ?

મા ચાલી ગઈ પછી મેં કંઈ શરારત ના કરી (પૃ. 111)

 નાની ઉંમરમાં પોતાના મા-બાપ ખોયાના જખમમાંથી આ શેર આવ્યો હોવાનું સ્પષ્ટ કળાય છે. ‘હા હા હા’ રદીફ ધરાવતી ગઝલમાં વિકીનો મસ્તીખોર સ્વભાવ ડોકાય છે. કોઈ હોંશિયાર બાળક અંદરની વાત જાણી ગયો હોય અને પછી અટ્ટહાસ્ય કરતો હોય તેવા ભાવની આ ગઝલનો રંગ સાવ નોખો છે. અહીં પણ વાતો તો ઊંડી અને અર્થપૂર્ણ જ છે પણ શૈલી હળવી છે .. વિવેચકને અડફટમાં લેતો શેર જ માણો …

વિવેચક છો તમોને અંગ બીજાનાં જ દેખાશે,

તમારા કિંતુ વાંકા અંગ છે અઢાર,હા હા હા (પૃ. 92)

વિકીની ગઝલબાની પરંપરાગત શાયરોની છે પણ વાત એની પોતાની છે એટલે બને છે એવું કે પરંપરાગત રીતિથી ટેવાયેલો ભાવક શેરના સૂરને તરત પકડી લે છે અને નવીન ચીજનો મજેથી આસ્વાદ લે છે. ‘હાજર હ્રદયથી હોઈએ’માં આવી ગઝલોની બહુલતા છે જે સુજ્ઞ ભાવક તરત જ જાણશે, પણ જુઓ આ વાતને વિકી કેવી રીતે કહે છે !

શાહી કદી ન ખૂટજો એના વિચારની 

કોઈના પણ પ્રભાવમાં જેની કલમ નથી (પૃ. 98)

અહીં વિકીને ટપારતા કહીએ કે ભાઈ, નવી પેઢીનો કવિ પણ આગળની પેઢીના ખભા પર જ ઊભો હોય છે. યુગપ્રવર્તક પાશ્ચાત્ય વિવેચક ટી.એસ. એલિયટ પોતાના ખ્યાતનામ એવા ‘Tradition and Individual Talent’ નિબંધમાં કહે છે, 

‘No poet, no artist of any art, has his complete meaning alone. His significance, his appreciation is the appreciation of his relation to the dead poets and artists. You cannot value him alone; you must set him, for contrast and comparison, among the dead. I mean this as a principle of aesthetic, not merely historical, criticism. The necessity that he shall conform, that he shall cohere, is not one sided; what happens when a new work of art is created is something that happens simultaneously to all the works of art which preceded it. The existing monuments form an ideal order among themselves, which is modified by the introduction of the new (the really new) work of art among them. The existing order is complete before the new work arrives; for order to persist after the supervention of novelty, the whole existing order must be, if ever so slightly, altered; and so the relations, proportions, values of each work of art toward the whole are readjusted; and this is conformity between the old and the new.’ (poetryfoundation.org) 

અહીં શબ્દશ: અનુવાદ ન કરતાં તારતમ્ય કહું તો તેઓ કહે છે કે કોઈ પણ નવી કલાકૃતિને એકલી મૂલવી શકાય નહીં. આગળ રચાઇ ગયેલી કૃતિઓ સંદર્ભે જ તેનું મૂલ્યાંકન થઈ શકે. આમ તેઓ માત્ર ઐતિહાસિક કે વિવેચનાત્મક રીતે નહીં પણ સૌન્દર્યશાસ્ત્રના અભિગમથી પણ કહે છે. જ્યારે કોઈ નવી કૃતિ આવે છે ત્યારે પરંપરાની સ્થાપિત વ્યવસ્થાની તરાહ બદલાય છે.

એટલે કે કોઈ નવો કવિ પ્રભાવમાં હોય જ નહીં એમ ના કહી શકાય. તો ખરા અર્થમાં નવી રીતે લખનારો કવિ પરંપરાની વ્યવસ્થાને બદલવાનું ગજું રાખે છે એ પણ એટલું જ સાચું છે.

નીચેના શેરમાં દિગ્ગજોની સાથે પોતાનું નામ મૂકવાની વિકીની ચેષ્ટા અમને ગમી જ છે અને આમ કરવાનું તેમને ગમ્યું તે એલિયટની વાતનું સમર્થન કરે છે.

 ઘાયલ, મરીઝ, શૂન્ય, ગની, સૈફ કે વિકી,

 આ કાગળોને હોય છે બસ રક્તની તરસ (પૃ. 51)

 વિકીનો સર્જનઉછાળ ગુજરાતી ગઝલ માટે એક નવો વળાંક લઈને આવ્યો છે એમ સહેજે કહી શકાશે.

‘સ્નેહલ’, પ્રજાપતિ વાડી સામે, ગાંધી રોડ, બારડોલી – 394 602. જિ. સુરત, ભારત
e.mail : sandhyanbhatt@gmail.com
પ્રગટ : ‘અવલોકન’, “પરબ”, સપ્ટેમ્બર 2022; પૃ.75-78

Loading

...102030...1,3201,3211,3221,323...1,3301,3401,350...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved