Opinion Magazine
Number of visits: 9458618
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સૌથી શાંત દેશ જાપાનમાં આવી હિંસા કેમ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 July 2022

વિશ્વના સૌથી સલામત દેશોમાં જાપાનનો નંબર એકથી દસમાં આવે છે. ગ્લોબલ પીસ ઇન્ડેકસમાં જાપાન છેલ્લા 13 વર્ષથી ટોપ ટેનમાં રહ્યું છે. દેશમાં અપરાધનો દર, આંતરિક સામાજિક ઘર્ષણ અને રાજકીય આતંક લગાતાર નિમ્ન સ્તરે રહ્યો છે. અમુક ઇલાકાઓ છે, જ્યાં માથાકૂટ ચાલતી રહે છે, પણ તે પાડોશી રાષ્ટ્રોને લઈને છે. જાપાનમાં ઈમિગ્રેશન સૌથી ઓછું છે અને હથિયારો આસાનીથી મળતાં નથી. સ્વ-સુરક્ષા માટે હથિયાર રાખવાનો જાપાનમાં અધિકાર નથી. 1958નો જાપાનનો કાયદો કહે છે કે, “કોઈ વ્યક્તિ હથિયાર કે તલવાર રાખી નહીં શકે.”

2019માં, અમેરિકામાં પ્રતિ 1,00,000 લોકો વચ્ચે, કોકને ગોળીએ દેવાની ચાર ઘટનાઓ બની હતી, ત્યારે એ જ વર્ષે જાપાનમાં એક પણ ઘટના બની નહોતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને શિકાગો યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, જાપાનમાં 175 પરિવારો વચ્ચે એક પરિવાર પાસે બંધૂક હોય છે. તેની સરખામણીમાં, અમેરિકામાં દર ત્રણ પરિવારમાંથી એક પાસે બંધૂક હોય છે.

2020માં, હથિયાર ચલાવવા બદલ 21 લોકોની ધરપકડ થઇ હતી, જેમાંથી 12 ઘટનાઓ ગુંડા-ટોળી સંબંધી હતી. 13 કરોડ લોકોના આ દેશમાં, દર વર્ષે બંધૂકથી મરી જનારા લોકોની સંખ્યા ભાગ્યે જ દસથી ઉપર જાય છે. 2014માં, કુલ 6 માણસો હિંસક મોતે મર્યા હતા. 2006માં, માત્ર 2 જ લોકોને ગોળીએ વીંધવામાં આવ્યાં હતા.

2016માં, 19 લોકોનો જેમાં જીવ ગયો હતો તે જાપાનના ઇતિહાસની સૌથી મોટી સામૂહિક હત્યા હતી, અને તેમાં બંધૂક નહીં, પણ ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 30 વર્ષ પહેલાં, ઓમ શિન્રિકો નામના કટ્ટર સંપ્રદાયના અનુયાયીઓ ટોકિયો મેટ્રોમાં સરિન નામનો ઝેરી ગેસ છોડીને 13 લોકોને મારી નાખ્યા હતા, તે ઘટનાને હજુ પણ જાપાનીઓ ભૂલ્યા નથી. ત્યારથી, જાપાનમાં અપરાધનો દર સતત ઘટતો રહ્યો છે.

જાપાનમાં રાજકીય હત્યાઓ તો એથી ય દુર્લભ છે. છેલ્લા 100 વર્ષમાં, કુલ 11 જાપાની નેતાઓની હત્યા થઇ છે. તેની સરખામણીમાં, ભારતમાં ખાલી છેલ્લા 50 વર્ષમાં 37 રાજકીય હત્યાઓ થઇ છે. જાપાનમાં છેલ્લી હાઈ-પ્રોફાઈલ રાજકીય હત્યા 90 વર્ષ પહેલાં થઇ હતી. 15 મે 1932ના રોજ, નૌ સેનાના સશસ્ત્ર ઓફિસરોનું એક જૂથ પ્રધાન મંત્રી સુયોશિ ઈનુકાઈના ઘરમાં ઘુસી ગયું હતું અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે ઈનુકાઈના અંતિમ શબ્દો હતા, “મને બોલવા દેશો તો તમે સમજી શકશો.” હત્યારાઓએ કહ્યું હતું, “સંવાદ બેમતલબ છે.” સેનાની વધતી સત્તા અને અમુક રાજકીય નિર્ણયોને લઈને મતભેદ થતાં તેમની હત્યા થઇ હતી.

એકંદરે, જાપાન બહુ શાંતિપૂર્ણ દેશ છે. તેનાં અમુક કારણો છે. એક સમાજ તરીકે જાપાન સહનશીલ અને અહિંસક છે. ત્યાંના લોકો ક્રોધ અને આક્રમકતાને શરમજનક ભાવ ગણે છે અને વ્યક્તિના અંગત સન્માનને સૌથી ઉચ્ચ ગુણ ગણે છે. ખાસ કરીને, બીજા વિશ્વયુદ્ધ અને હિરોશીમા-નાગાસાકી પર પરમાણું બોમ્બના વિસ્ફોટ પછી જાપાને દેશમાં જ નહીં, પરંતુ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો માર્ગ અખત્યાર કર્યો છે.

જાપાનના બંધારણમાં શાંતિવાદના વિચારને સામેલ કરવામાં આવ્યો છે. યુદ્ધ પછી અમેરિકન નિયંત્રણના અનુભવ પછી જાપાને બંધારણમાં સુધારો કરીને લખ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકલેવા માટે યુદ્ધ કરવામાં નહીં આવે. શિન્ઝો આબે એમાં સુધારો કરવા માંગતા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન તેમને એમાં સફળતા મળી નહોતી. 

તેના ઇતિહાસમાં, જાપાન અનેક સંકટોમાંથી પસાર થયું છે. ગૃહ યુદ્ધો, દુષ્કાળ, ધરતીકંપો, વાવાઝોડાં, મહામારીઓ જેવી દુર્ઘટનાઓ જાપાનીઝ લોકો માટે આશ્ચર્યજનક નથી. તેમાંથી જ તેઓ મુશ્કેલીના સમયમાં શાંત રહેવાનું શીખ્યા છે. લોકો પરંપરાગત અર્થમાં ધાર્મિક નથી, છતાં બૌદ્ધ અને શિન્તો ધર્મના સિદ્ધાંતોનો તેમના આચાર-વિચાર પર ગહેરો પ્રભાવ છે.

જાપાનના આ ઇતિહાસને જોતાં, કોઇ પણ માણસને એમાં આશ્ચર્ય ન થાય કે, તેના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શિન્ઝો આબે, નારા નામના શહેરના ચાર રસ્તા પર ઊભા રહીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ભૂતપૂર્વ પ્રધાન મંત્રી છોડો, તમે ભારતના કોઈ ભૂતપૂર્વ મંત્રીને સડકના કિનારે ઊભા રહીને ભાષણ કરતા જોયા છે? ભારતમાં આવા નેતાઓ હંમેશાં મંચ પર હોય છે અને શ્રોતાઓથી ઘણા દૂર હોય છે. જાપાનમાં એકંદરે શાંતિ અને સલામતીનો માહોલ છે એટલે એક ભૂતપૂર્વ પ્રધાન મંત્રી, રોડ પર ચાર બેરીકેટ વચ્ચે ઊભા રહીને, કુતૂહલવશ ત્યાં ઊભા રહેલા રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને સંબોધતા હોય તેવું દૃશ્ય સામાન્ય ગણાય છે, અને એટલે જ એક બંધૂકધારીએ તેમની પર બે ગોળીઓ છોડી, એ ઘટના એક શાંતિપ્રિય દેશ (અને બાકી વિશ્વ) માટે આઘાતજનક હતી.

જાપાનની સંસદના ઉપલા ગૃહની ચૂંટણી માટે આબે નારા શહેરના પ્રવાસે હતા, અને 8મી જુલાઈના રોજ સવારે 11 વાગે, શહેરના રેલવે સ્ટેશન બહાર એક ચોક જેવા વિસ્તારમાં તેઓ હાથમાં માઈક પકડીને ભાષણ આપતાં હતા, ત્યારે તેમની પાછળ થોડે દૂર ઊભેલા 41 વર્ષના તેત્સુયા યમાગમી નામના એક માણસે તેમની પર વારાફરતી બે ગોળીઓ છોડી હતી. પહેલી ગોળી નિશાન ચૂકી ગઈ હતી, પણ બીજી ગોળી આબેની ડાબી છાતી પર વાગી હતી.

હત્યારાએ પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે તેણે આબેને ધાર્મિક નેતા સમજીને ગોળી મારી હતી. તેની માતા એ ધાર્મિક પંથમાં દાન આપી-આપીને કંગાળ થઇ ગઈ હતી. તેણે એવું પણ કહ્યું હતું કે આ પંથને જાપાનમાં પ્રોત્સાહન આપવાનું કામ શિન્ઝો આબેએ કર્યું હતું, તેનો તેને ગુસ્સો હતો. આ તેત્સુયા યમાગમી બેરોજગાર હતો. 2020માં તે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ કરતો હતો. તે પહેલાં તે ત્રણ વર્ષ માટે જાપાનની કોસ્ટ ગાર્ડમાં કામ કરી ચૂક્યો હતો. તેણે આ હત્યા માટે જાતે બનાવેલી ગનનો ઉપયોગ કર્યો હતો.

બંધૂકથી કોઈની હત્યા કરવાની ઘટનાઓ જાપાનમાં બનતી નથી. બહુ બહુ તો ચાકુ વપરાય છે. મોટા ભાગના જાપાનીઓએ તેમના જીવનમાં બંધૂક જોઈ પણ નથી હોતી. પોલીસ પણ જવલ્લે જ રિવોલ્વર ચલાવે છે. સૌથી વધુ વસ્તીવાળા ટોકિયો શહેરમાં ગોળી છૂટવાની ઘટના ભાગ્યે જ બની છે.

ટોકિયોની નિહોન યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટ કોલેજના પ્રોફેસર શિરો ક્વામોટોએ આબેની હત્યા પછી ‘ધ જાપાન ટાઈમ્સ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો આઘાતમાં છે. લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે કે જાપાનમાં પણ બંધૂકથી હિંસા થઇ શકે છે. જાપાની રાજકારણીઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવાની જરૂર છે. આવો હુમલો ફરી નહીં થાય તેવું માનવું ભૂલ ભરેલું છે.”

ટોકિયોની જ રિસ્શો યુનિવર્સિટીમાં ક્રિમીનોલોજીના પ્રોફેસર નોબુઓ કોમિયાએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ સમાચારપત્રને કહ્યું હતું કે, “જાપાની લોકો લડવા-ઝઘડવામાં માનતા નથી. યુદ્ધની અને બોમ્બની તબાહી જોઈને લોકો હિંસાને સમસ્યાનું સમાધાન માનતા નથી.”

હત્યાનું અસલી કારણ શું હતું તે તો આવનારા સમયમાં બહાર આવશે, પરંતુ બાકી દુનિયાને એ જાણીને આઘાત લાગ્યો છે કે સૌથી ઓછા ક્રાઈમ દર અને બંધૂકોને લઈને કડક નિયમોવાળા જાપાનમાં, એક પૂર્વ પ્રધાન મંત્રીને આવી રીતે ધોળે દિવસે, સૌના દેખતાં મારી નાખવામાં આવે તે બતાવે છે કે આપણે કેવાં નાજુક સમયમાં જીવી રહ્યા છીએ.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 જુલાઈ 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જે સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે જેલમાં પૂરાવી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 July 2022

[પાર્ટ-3]

હત્યારાઓને ફાંસીએ ચડાવવા તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોધરા હત્યાકાંડનો બદલો અમદાવાદમાં લઈ શકાય નહીં ! પરંતુ જ્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ઉપર સવાર થઈને ‘સત્તા’ મેળવી હોય ત્યારે ‘સત્તા’; તોફાનીઓ ઉપર કડક પગલાં લઈ શકે નહીં. સરકાર તરફથી નિર્દોષ લોકોની સલામતી માટે જે પગલાં લેવાવાં જોઈએ તે સરકાર તરફથી લેવાયાં ન હતા. 2002ના તોફાનોમાં 'લાર્જર કૉન્સપીરેસી' છે કે નહીં; તેની ઉપર સુપ્રિમકોર્ટે વિચાર કરવાનો હતો; તેના બદલે ફરિયાદી ઝાકિયા જાફરીને મદદ કરનાર તીસ્તા સેતલવાડ અને IPS અધિકારી આર.બી. શ્રીકુમાર વગેરે ઉપર ધોકો પછાડ્યો છે ! સુપ્રિમકોર્ટને પીટિશનમાં સરકારને બદનામ કરવાનું કાવતરું દેખાયું તે ચિંતાનો વિષય છે !

2009માં સુપ્રિમકોર્ટે તિસ્તા સેતલવાડ અને 'સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ'ની કામગીરીને બિરદાવી હતી; જ્યારે 24 જૂન 2022ના ચૂકાદામાં, એ જ કોર્ટ તેમને કાવતરાખોર કહે છે ! સુપ્રિમકોર્ટના ચૂકાદાના ફકરા-88માં ગોધરાકાંડ પછીનાં તોફાનોની ચર્ચાને જીવતી રાખવા માટે કોઈ કાવતરું હોય તેવી શંકા વ્યક્ત કરીને તીસ્તા સેતલવાડનું નામ નોંધ્યું છે. આ અંગે ‘તપાસ કર્યા વિના જ’ બીજે જ દિવસે તીસ્તાને અને પૂર્વ IPS અધિકારી આર.બી. શ્રીકુમારને જેલમાં પૂરવામાં આવ્યાં; તે શું સૂચવે છે? એક વેળાએ સુપ્રિમકોર્ટ તીસ્તાની મદદ લેતી હતી; હવે તીસ્તા કાવતરાખોર લાગે છે; આવું કેમ? 2008માં, સુપ્રિમકોર્ટે SITની રચના; ઝાકિયા જાફરી અને તીસ્તા સેતલવાડની રજૂઆતના કારણે જ કરી હતી. તે સમયે સુપ્રિમકોર્ટને લાગ્યું હતું કે ગુજરાત પોલીસની કામગીરી બરાબર નથી, માટે SITની રચના કરી ! તીસ્તાની રજૂઆતના કારણે જ સુપ્રિમકોર્ટે બિલકીસબાનો કેસ / બેસ્ટ બેકારી કેસ ગુજરાત બહાર મુંબઈમાં ટ્રાન્સફર કર્યા હતા ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ હતી; આ બન્ને કેસ ગુજરાતમાં ચાલ્યા હોત તો આરોપીઓને સજા થાત? ઉપરાંત તીસ્તાની રજૂઆતના કારણે SITની રચના થઈ અને SITના કારણે અનેક કેસોમાં આરોપીઓને સખ્ત સજા થઈ છે ! જો SITની રચના થઈ જ ન હોત તો બાબુ બજરંગી / માયા કોડનાણી વગેરેને સજા થઈ હોત? સુપ્રિમકોર્ટને ગુજરાત પોલીસની કામગીરી યોગ્ય નહોતી લાગી; એટલે SITની રચના કરવાની જરૂર પડી હતી; આ બાબત સુપ્રિમકોર્ટ કઈ રીતે ભૂલી શકે? ‘સત્તા’નો ચમત્કાર એ છે કે હવે સુપ્રિમકોર્ટને તીસ્તા ‘ષડયંત્રકારી’ લાગે છે ! હવે તેને લાગે છે કે સરકારને બદનામ કરવા તીસ્તાએ કાવતરું કર્યું હતું ! સવાલ એ છે કે SITએ પોતાનો રિપોર્ટ તો 2012માં સુપ્રિમકોર્ટને સુપ્રત કરી દીધો હતો; છેલ્લાં 10 વર્ષ દરમિયાન સુપ્રિમકોર્ટે આ રિપોર્ટના આધારે તીસ્તા અને બીજા કાવતરાખોરોની ધરપકડ કરવા કેમ કહ્યું નહીં? માની લઈએ કે તીસ્તાએ કાવતરું કર્યું હતું; તો 2000થી વધુ નિર્દોષ લોકોની હત્યા થઈ, એ માટે કોઈની જવાબદારી હોય કે નહીં? હિંસાનો શિકાર બનેલાઓને કે તેમના વતી અવાજ ઊઠાવનારને કાવતરાખોર કહી શકાય? રાજ્યને બદનામ કરવા / રાજ્યને અસ્થિર કરવા / રાજ્ય સામે કાવતરું કરવાનો આરોપ ફરિયાદી સામે મૂકી શકાય? જો રાજ્ય આવો આરોપ મૂકે કે તો કોઈ ફરિયાદી સલામત રહે ખરો? કોર્ટનું વલણ બંધારણ આધારિત હોવું જોઈએ કે ‘સત્તા’ આધારિત? શું ‘રાજ્ય’ અને ‘નેતા’ પર્યાયવાચી બની ગયા નથી? શું કોર્ટ ‘સત્તા’ની એક શાખા છે?

સુપ્રિમકોર્ટને થયું છે શું? 16 આદિવાસીઓની હત્યાની તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર એક્ટિવિસ્ટ હિમાંશુ કુમારને 5 લાખનો દંડ? સુપ્રિમકોર્ટને વામપંથી ચરમપંથીઓને બચાવવાનું કાવતરું દેખાય છે ! 2000થી વધુ મોત અંગે તપાસ થવી જોઈએ; તેવી અરજ કરનાર ઝાકિયા જાફરીના સાથીદારોને જેલમાં પૂરવાના? સુપ્રિમકોર્ટને રાજ્યને બદનામ કરવાનું કાવતરું દેખાય છે ! દરેક અરજદાર જે રાજ્ય સામે અદાલતનો દરવાજો ખખડાવે તેની વાત સાંભળવી જ જોઈએ. તેને દંડિત કરી શકાય નહીં કે જેલમાં પૂરી શકાય નહીં ! ફરિયાદીને જ ઠમઠોરવાનો સુપ્રિમ કોનો નવો અવતાર જોવા મળ્યો છે; જે લોકશાહી માટે ભયંકર સંકેત છે. સત્તાની તરફેણમાં મજા / લાભ / પુરસ્કાર / નિમણૂંકો / વાહવાહી મળે છે ! સત્તા વિરુદ્ધ લખવામાં તમને બદનામ કરે /રાષ્ટ્રદોહી ચીતરે / તમારા NGOના ફંડ અંગે તપાસ થાય / કેસ થાય / જેલમાં પૂરે / ભક્તો ટ્રોલ કરે / ગાળો આપે / હિંસક હુમલા કરે / કાળી શાહી ફેંકે ! સત્તા વિરુદ્ધ બોલવું અને લખવું જોખમકારક છે ! આ સ્થિતિને લોકતંત્ર નહી ષડયંત્ર કહી શકાય ! સૌથી મોટો સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટ એવું માને છે કે નાગરિકોને નહીં; રાજ્યને અદાલતી-સુરક્ષાની જરૂર છે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોરાંભીનાં સ્મરણો (૨)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2022

મને કપડાંનો, વસ્ત્રોનો, પ્હૅરવેશનો બહુ શોખ. હતો, હવે ખાસ રહ્યો નથી. પણ એ માટે ગમે એટલા પૈસા ખરચી જાણું. વાયદા પર વાયદા કર્યે જતો નરોતમ દરજી યાદ આવે છે. તો પણ, મારા ડભોઇમાં રેડીમેડ ગારમૅન્ટની દુકાન ખૂલી એ મને નહીં ગમેલું.

ત્યારે નાનપણમાં તો શર્ટને હાફપૅન્ટ પર ઝૂલતું છોડી દેવાનું. મોટપણે પૅન્ટ શરૂ થયા, એટલે ઇનસર્ટ શરૂ થયું અને એટલે બેલ્ટ બાંધવાનું પણ થયું. એ શર્ટ ત્રણેક બટનનું હોય, માથું ઘાલીને પ્હૅરવાનું. પછી અમેરિકન સ્ટાઇલનાં શર્ટ આવ્યાં – બે પડખાં સળંગ ખૂલે ને બંધ થાય, છ બટન હોય. આજે એ જ ચાલે છે. મને હાફ-સ્લીવ શર્ટ ન્હૉતાં ગમતાં, ફુલ્લ-સ્લીવ સિવડાવતો ને કફ-લિન્ક પણ લગાવતો. ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયા પછી ટાઇ પ્હૅરવાનું છોડી દીધું કેમ કે એવું થાય કે આ બધા વિદ્વાનો ‘સારસ્વત’ લાગે ને એમની વચ્ચે હું કેવો લાગું ! એટલે ટાઇપિનો પણ ગઈ ને કફલિન્કો પણ ગઈ. હશે ઘરમાં કોઇ કબાટના ખૂણે ચૂપચાપ સૂતેલી ને નીરવે બબડતી. 

સ્મરણોનું પણ એવું જ છે, મગજના ખૂણે ખૂણે પડી રહ્યાં હોય છે. કઈ ઘડીએ ઊંચાંનીચાં થઈ કેવીક સહજતાથી બેઠાં થઈ જાય છે, નથી સમજાતું. “યુલિસિસ”-ના સર્જક જેમ્સ જૉય્યસનું ‘સ્ટ્રીમ ઑફ કૉન્સ્યસનેસ’ ક્ષણભર મને કૃત્રિમ લાગે. મને ‘મૅમરીલેન’ શબ્દ પણ નથી ગમતો, કેમ કે એમાં તો કલ્પના દાખલ થઈ જાય છે. અને હું કંઈ એ શેરીની લટારે નથી નીકળ્યો હોતો. હું તો ભૂલા પડેલા બાળકની જેમ સ-જીવ અને સાચ્ચાં સ્મરણોને ગોતતો ફરું છું. કોઇ વાર એ પણ પાલતુ પશુની જેમ સાંજે સાંજે પાછાં ફરે છે.

જૂનની ૧૫-મીએ કૉલેજમાં / ડિપાર્ટમૅન્ટમાં નવું સત્ર શરૂ થાય. મારો નિયમ કે તે દિવસે નવાં જ શર્ટ-પૅન્ટ જોઈએ. પૅન્ટનું કાપડ હું આજે પણ ‘રૅમણ્ડ’-નું જ ખરીદું છું. વડોદરામાં લ્હૅરીપુરા પાસે ‘રૅમણ્ડ’-ના એક રીટેઇલરની શૉપ. એની પાસે એક એવું સાધન કે કાપડ પર મૂકે એટલે સૂટ કેવો લાગશે તે નાની સાઈઝમાં જોઈ શકાય. મજા પડતી. અને હા, શૂઝ પણ નવા જ જોઇએ. એ જ વડોદરામાં દાંડિયાબજારમાં એક મોચી મૉંઘો પણ રીયલ લેધરના શૂઝ બનાવી આપે. એની પાસે હું ‘ઑક્સફર્ડ’ સ્ટાઇલના બનાવરાવતો. લાંબો વાયદો કરે પણ તે દિવસે શૂઝ મળે જ મળે. મેં રૂપિયા ૪૦ ખરચ્યા હોય પણ ઘરે કહું કે ૨૦-ના આવ્યા. આજે ૫૫-૫૭ વર્ષ પછી એવા જ શૂઝ અમેરિકામાં મને ૬૦ ડૉલરમાં, રૂપિયામાં ગણું તો લગભગ ૪૮૦૦-માં, તૈયાર મળે છે. એ દુકાન હજી હશે એમ ધારું છું.

મને રેડીમેડ શર્ટ થઈ રહે છે, બને ત્યાં લગી બ્રાન્ડેડ જ લઉં. રેડીમેડ પૅન્ટ નથી થતા, એટલે સિવરાવું છું. પણ આ કોરોનાકાળમાં અમદાવાદના મારા ટેલરની દુકાન ‘સ્ટાઇલો’ ઊઠી ગઇ. એ દુ:ખ સાથે મારે હવે નવો ટેલર શોધવાનો છે.

ત્યારે વડોદરામાં ‘કોઠી’ પાસે એક મૉંઘામાં મૉંઘો ટેલર; દુકાનનું નામ, ‘મૉડર્ન ટેલર્સ’. પોતે લન્ડનમાં ભણી આવ્યો છે એવું એણે સર્ટિફિકેટ લટકાવેલું. એ એટલો ‘મૉડર્ન’ તો ખરો જ. હું એની પાસે શર્ટ બનાવરાવતો. કૉલરને સ્ટેબિલાઈઝ્ડ કેવી રીતે કરાય છે તે બતાવે, પણ એ વિશેષતાના આઠ આના વધારે લે. હમણાં, બે-ત્રણ માસ પહેલાં, ત્યાંથી પસાર થવાનું બન્યું તે બહુ ગમેલું.

દરેક મૉડર્નિસ્ટને વેઠવું તો પડે જ, કાં તો પરમ્પરાગતોથી અથવા નવ્ય આગંતુકોથી. એ કોઠીવાળાને હંફાવવા મંગળબજારમાં ‘ન્યૂ મૉડર્ન ટેલર્સ’ ખૂલ્યું. એનો માલિક મગનભાઈ પેલા જેવો ઠાંસુ નહીં, તે મને ફાવી ગયેલું. બધાં કપડાં એને ત્યાં જ બનાવરાવતો, સૂટ પણ, અરે, મગનભાઈ ‘ન્યૂ’ મૉડર્ન અથવા ‘પોસ્ટ’ મૉડર્ન તે એ જ કાપડમાંથી ટાઈ પણ બનાવી આપતો ! એક હજી છે મારી પાસે. મારે મગનભાઈને મળવું છે, પણ એ હશે ખરો?

વસ્ત્ર સભ્યતાનું પ્રતીક છે. પણ નગ્નતા શું છે? મનુષ્ય સિવાયનાં પ્રાણીઓ વસ્ત્ર નથી પ્હૅરતાં, તેમ છતાં, નાગાં નથી લાગતાં. માણસ તો છતે વસ્ત્રે નાગો લાગી શકે છે. વસ્ત્ર દમ્ભ નથી તો શું છે? અમેરિકામાં વિન્ટરમાં પોતાના ડોગીને એની માકલણ બંડી પ્હૅરાવે છે, ત્યારે એ મને ગમતું હોતું નથી કેમ કે કુદરતી કુરકુરિયું માણસનું બચ્ચું લાગતું હોય છે – નીચી મૂંડીએ બચારું જતું હોય.

નગ્નતા પ્રાકૃતિક છે. ૧૯૮૯ના અરસામાં હું અસમના ગામડાંઓમાં ફરતો હતો. ત્યારે મેં શ્રમજીવી સ્ત્રીઓને વિના બ્લાઉઝ જોયેલી, સાડીછેડો બાંધી રાખ્યો હોય. ખેતરમાં નિંદામણ કરતી હોય. અમારા ફળિયામાં સ્ત્રીઓ બ્લાઉઝ નીચે કશું પ્હૅરતી નહીં, સિત્તરેક વર્ષ પરની વાત, પ્રસંગે પ્હૅરે, પણ બ્રા નહીં, કેમ કે ત્યારે એ નવી નવાઈની ચીજ હતી. બા અને બીજી પડોશણો એ માટે મોહન દરજી પાસે ‘બૉડિસ’ સિવરાવી લેતી. કોઈ કોઈ પ્રૌઢો ધોતિયા પર ગંજીફરાકમાં ફરતા, પણ બીજા તો હમેશાં માત્ર ધોતિયામાં જ હોય, ઉપર કશું જ ન હોય, જનોઈ હોય તો મૅલી, કાળી. એ અર્ધનગ્નો આમ તો નિર્દોષ હતા, પણ પ્હૅરવેશને વિશેની એમની વિભાવના – કન્સેપ્ટ – કુણ્ઠિત હતી. એ બધા અત્યારે પણ દેખાય છે, અહીંતહીં ભમતા.

પશ્ચિમના અનેક દેશોમાં ‘સોશ્યલ ન્યુડિટી’ એક મૂલ્ય છે, એટલું જ નહીં, ઝુંબેશ ચાલે છે કે એને માનવઅધિકારનો દરજ્જો અપાય. નગ્નતા સામુદાયિક વર્તન રૂપે સૅટ થઈ છે. એકલા યુ.ઍસ.એ.માં ૪૮-થી ૫૦ એવાં સ્થળો છે, જ્યાં જઈને સ્ત્રીઓ ને પુરુષો નિર્વસ્ત્ર હરીફરી શકે છે. ન્યુડ બીચીસ પર કે પ્રાઇવેટ રીસોર્ટમાં વસ્ત્રહીન જીવી શકે છે. ત્યાં લોકો ન્યૂડ સ્વીમિન્ગ કરે છે, સનબાથ માટે કલાકોના કલાકો નાગાં પડ્યાં રહે છે. આશય રીક્રીએશનનો બતાવાય છે. શરત એટલી છે કે કોઈને કનડગત ન થવી જોઈએ. જો કે એવો કોઈ બાપડો એ નગ્નોની વચ્ચે કયા લાડવા લેવા જવાનો’તો?

સમજવાનું એ છે કે મારા ફળિયાવાળા અરધા નાગા ફરે અને યુ.ઍસ.એ.વાળા આખ્ખા ફરે એટલે એ વાત રિવાજ થઈ જાય અને ખાસ તો એ કે કોઈને એમાં કશું અજૂગતું તો લાગે જ નહીં ! બુદ્ધિસત્તાધીશોના સમૂહે ભેગા થઈને નક્કી કર્યું હોય કે આમ જીવવાનું ને આમ નહીં જીવવાનું, એટલે એને ‘સમાજ’ કહેવાય ! દરેક વ્યક્તિએ એને અનુસરવાનું. બુદ્ધિસત્તાધીશોના સમૂહે નક્કી કર્યું હોય કે આ નીતિ, આ સદાચાર, એટલે એને ‘સંસ્કૃતિ’ કહેવાય ! દરેક વ્યક્તિએ એને અનુસરવાનું. ન અનુસરે તે આઉટસાઈડર ગણાય અને પેલા એને ધિક્કારે. નથી લાગતું કે સમાજ અને વ્યક્તિ વચ્ચે મસમોટાં પોલાણો છે?

જરા ઓળખીએ એ પોલાણોને …

= = =

(July 18, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3201,3211,3221,323...1,3301,3401,350...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved