Opinion Magazine
Number of visits: 9669889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરાળ દહનની મોસમી સમસ્યાનો કાયમી કકળાટ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 December 2022

રાજધાની દિલ્હીમાં દિવાળી અને તે પછીનો એકાદ મહિનો ભારે પ્રદૂષિત હોય છે. દિલ્હીની શિયાળુ સવાર જ નહીં બપોર પણ ધુમ્મસછાયી જોવા મળે છે. આ સ્થિતિનું કારણ પાડોશી રાજ્યો પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા થતાં પરાળના દહનને માનવામાં આવે છે. ખરીફ ફસલ તરીકે ડાંગરના પાકની કાપણી પછી આગામી રવી પાકની રોપણી માટે ખેતર સાફ કરવા ડાંગરની પરાળ તરીકે ઓળખાતા પાકના અવશેષોને  ખેડૂતો બાળી નાંખે છે. તેને કારણે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જે દિલ્હીને પણ અસર કરે છે.

ખેડૂતો દિવાસળીની બેચાર સળીથી પરાળ સળગાવી દે છે અને આખા દિલ્હીને પ્રદૂષિત કરી મૂકે છે, એવા આરોપ લગાવવામાં આવે છે પરંતુ ખેડૂતો કેમ આ કરે છે તેનાં કારણોની ખાસ ચર્ચા થતી નથી.

ભારતની હરિયાળી ક્રાંતિએ જે કેટલાંક દૂષણો સર્જ્યાં છે તેમાંનું એક પરાળ દહન છે. તેને ભૂલાવીને પર્યાવરણના બગાડનો દોષ ખેડૂતોના માથે નાંખી દેવામાં આવે છે. પંજાબ કહેતાં પંજ આબ કે પાંચ નદીઓના આ રાજ્યમાં ભાગલા પછી પાંચને બદલે ત્રણ જ નદીઓનું મહત્તમ પાણી રહ્યું છે. મહેનતુ કિસાનો, શ્રમિકો અને પાણીની છતને લીધે હરિત ક્રાંતિ પછીના પંજાબને દેશના ધાનના કટોરાનું બિરુદ તો મળ્યું પણ  રાજ્યને કેટલુંક નુકસાન પણ થયું છે.

હરિત ક્રાંતિ પછીના પંજાબમાં બે વસ્તુઓ ખાસ જોવા મળે છે. એક બોરવેલ અને બીજા હાર્વેસ્ટર. પંજાબના લોકો તેમના ખોરાકમાં ચોખાનો વપરાશ ખાસ કરતા નથી. પણ આ ફૂડ બાઉલ ઓફ ઇન્ડિયા આખા દેશ માટે જાતભાતની ડાંગર પકવે છે. તે માટે પાણીનો વધુ વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે ૧૯૯૩-૯૪માં ડાંગરની નવી જાત ‘ગોવિંદા’ ઉગાડવા સરકારી કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને અપીલ કરી. ફલત: ખેડૂતો એક જ ખરીફ મોસમમાં બે વાર પાક લઈને ચોખાનું મબલખ ઉત્પાદન કરવા લાગ્યા. જો કે એક કિલો ‘ગોવિંદા’ ચોખા માટે ૪,૫૦૦ લિટર પાણી વપરાતું હતું તે હકીકત પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા. એટલે ઉત્પાદન અને આવક તો વધ્યાં પણ પાણી ઘટવા માંડ્યું હતું.

૨૦૦૯માં પંજાબ અને હરિયાણાની રાજ્ય સરકારોએ ભૂગર્ભ જળના સંરક્ષણનો કાયદો ઘડ્યો. આ કાયદા મુજબ દસમી મે પહેલાં ડાંગરની રોપણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કિસાનોને સિંચાઈ માટે વરસાદી પાણીનો જ ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી. આ રાજ્યોમાં ૨૦૦૯ પૂર્વે ડાંગરની રોપણી એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં થઈ જતી હતી. તેને બદલે હવે જૂનના મધ્ય ભાગમાં થવા લાગી. પાક ચક્ર બદલાઈ જતાં મોડી રોપણીને કારણે પાક મોડો તૈયાર થતાં છેક ઓકટોબરમાં કાપણી થવા માંડી.

અગાઉ સપ્ટેમ્બરમાં પાક તૈયાર થઈ જતો હતો એટલે ખેડૂતોને નવી મોસમની ફસલ ઉગાડવા ખેતરો સાફ કરવા પૂરતો સમય મળી રહેતો હતો. હવે તે સમય મળતો બંધ થયો. કાપણી માટે મજૂરોની અછત અને મજૂરીના વધારે દામને કારણે ખેડૂતો હાર્વેસ્ટરથી ડાંગરની કાપણી કરાવે છે. મશીનો ખેતરમાં ઉભેલા પાકને મૂળમાંથી કાપી શકતા નથી પણ ઉપરનો ભાગ જ કાપે છે. એટલે પરાળ તરીકે ઓળખાતા ડાંગરના એક-દોઢ ફૂટના અવશેષો બાકી રહી જાય છે. તેને કાપવા માટે મજૂરો મળતા નથી કે ખેડૂતોને પોસાતા નથી. વળી નવી સિઝન માટે ખેતરો સાફ કરવા પર્યાપ્ત સમય હોતો નથી. એટલે તેઓ પરાળ બાળી નાંખે છે. અગાઉની તુલનામાં હવે ભર શિયાળે પરાળ બાળવામાં આવે છે એટલે પણ પ્રદૂષણની વધુ અસર જોવા મળે છે. પરાળ દહન પાછળની આ ભૂમિકા સમજ્યા વિના પર્યાવરણના નુકસાન માટે પંજાબના કિસાનોને જવાબદાર ઠેરવવામાં આવે છે.

પરાળ સળગાવવાની અસર જમીનની ફળદ્રુપતા પર પણ થાય છે. જમીનમાં રહેલા નાઈટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો બળી જાય છે. સૂક્ષ્મજીવો પણ મરી જાય છે તેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. એટલે ખેડૂતોને આગામી પાકમાં વધુ રાસાયણિક ખાતર વાપરવું પડે છે. ખેડૂતોના માથે ખર્ચ વધે છે તો સરકારને માથે વધુ ખાતર સબસિડીનો બોજ પડે છે. ખાતરની આયાત વધતાં આયાત ખાધ વધે છે. આમ આ વિષચક્ર ચાલ્યા કરે છે.

દિલ્હીનું પ્રદૂષણ અને પરાળદહન દિલ્હી અને પંજાબમાં ડબલ એન્જિન સરકાર ના હોવાને કારણે રાજકીય વિવાદનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની સંસ્થા ‘સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ’(સફર)ના મતે ૨૦૧૮માં દિલ્હીના પ્રદૂષણમાં પરાળદહનનું પ્રમાણ ૩થી ૩૩ ટકા, ૨૦૧૯માં ૪૪ ટકા  હતું. સરેરાશ પ્રમાણ ૨૦થી ૨૫ ટકા જ હોય છે. એટલે દિલ્હીના પ્રદૂષણનું એક માત્ર કારણ પરાળ દહન નથી. પરાળ તો મોસમી સમસ્યા છે જ્યારે દિલ્હી તો લગભગ બારેમાસ પ્રદૂષિત હોય છે. દિલ્હીનાં પ્રદૂષણ માટે વાહનોનું પ્રદૂષણ, ઔદ્યોગિક પ્રદૂષણ, ફટાકડા, ઈંટભઠ્ઠા અને બાંધકામનું પ્રદૂષણ પણ કારણભૂત છે.  આઈ.આઈ.ટી. દિલ્હીનું એક અધ્યયન જો કે એવું તારણ દર્શાવે છે કે દિવાળીના ફટાકડાનાં પ્રદૂષણની અસર બાર કલાક પછી ઘટી જાય છે પરંતુ પરાળદહનના પ્રદૂષણની અસર ઘણા દિવસો સુધી રહે છે.

દિલ્હીનાં પ્રદૂષણ માટે ભારે ઉહાપોહ થાય છે કેમ કે તે દેશનું પાટનગર છે પરંતુ જ્યાં પરાળ બાળવામાં આવે છે તે પંજાબ અને હરિયાણાનાં પ્રદૂષણની તો કોઈ વાત જ કરતું નથી! પરાળ સળગાવવાથી નિકળતા કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુની ખરાબ અસર આરોગ્ય પર થાય છે. પરંતુ તે અંગે મૌન સેવાય છે. પ્રદૂષણ ફેલાવવા માટેના આસાન શિકાર તરીકે કિસાનોને દોષ દેવાય છે પરંતુ ખુદ કિસાનો તેના ભોગ બની રહ્યા છે તેનું શું ?

આ સમસ્યાના ઉકેલ માટે કિસાનો, કૃષિ નિષ્ણાતો, કેન્દ્ર અને રાજ્ય સરકારો, વહીવટીતંત્ર તથા નાગરિક સમાજે સાથે મળી પ્રયત્નો કરવા જોઈએ. બેરોજગારીથી પીડિત દેશમાં મજૂરોને બદલે મશીનોનો વ્યાપક ઉપયોગ ટાળવો જોઈએ. વળી મશીનો ખેડૂતોને પરવડે તેવી કિંમતના અને પાકને છેક મૂળમાંથી કાપે તેવા બનાવવા જોઈએ. જેથી પરાળનો પ્રશ્ન જ ન રહે. તે દરમિયાન પરાળનો નિકાલ પણ મશીનોથી કરવાને બદલે મજૂરોથી કરવા અને તેમાં ‘મનરેગા’ લાગુ કરવા વિચારી શકાય. ઓછા સમયે અને ઓછા પાણીથી તૈયાર થતા પાક અંગે સંશોધનો કરવા જોઈએ. પંજાબના ખેડૂતો પર ડાંગરના વિપુલ ઉત્પાદનનું દબાણ ઘટાડવાની પણ આવશ્યકતા છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

મન્તવ્યજ્યોત (૧૮) : સાક્ષરજીવન -સાહિત્યિકતા 

સુમન શાહ|Opinion - Literature|2 December 2022

સમસામયિક સાહિત્યિક વાતાવરણ વચ્ચે, મને લાગે છે કે નવ્ય ‘સાક્ષરજીવન’ લખવાનો સમય પાકી ગયો છે. સાક્ષરનું જીવન એટલે સાક્ષર કહેતાં સાહિત્યકાર સર્જક-કલાકારનું જીવન; એના જીવનનની નીતિરીતિ; એનો લેખનધર્મ; એનો વ્યવહારધર્મ, એનાં દાયિત્વ વગેરેની નિરૂપણા. ગોવર્ધનરામે એ લખ્યું છે.

પણ વર્તમાન સંજોગોમાં એ સર્વથા ‘નવ્ય’ હોવું જોઇશે. મારાથી એ તો લખાશે ત્યારે … પણ એની પૂર્વતૈયારી રૂપે કેટલાંક છૂટાંછવાયાં મન્તવ્યો રજૂ કરીશ.

વર્તમાન પરિદૃશ્યને જોતાં-અવલોકતાં, આપણ સૌએ ઓછામાં ઓછી ત્રણ સંજ્ઞાઓના સંકેતાર્થો વિશેની આપણી સંચિત સમજદારીમાં સુધારાવધારા કરી લેવાની જરૂરત છે :

સાહિત્યિકતા. વસ્તુલક્ષીતા. અંગતતા.

આજે, માત્ર સાહિત્યિકતા વિશે :

સાહિત્યિકતા, એટલે કે, લિટરરીનેસને આત્મસાત કરનારો જન સાહિત્યપુરુષ હોય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે રસાનન્દ અને કલાસૌન્દર્યને આત્મસાત કરનારો જન સાહિત્યપુરુષ હોય છે. એને સર્જક-કલાકાર પણ કહી શકીએ.

એના તમામ સાહિત્યિક વ્યવહારોમાં સરળતા અને સંવાદિતા અને આકર્ષક રસવૃત્તિ જોવા મળે છે, સૌથી સહજપણે અનુભવાય છે :

૧ :

એ, એટલે કે સર્જક-કલાકાર, હમેશાં સાહિત્યિકતાની શોધમાં અને ખેવનામાં રત રહેતો હોય છે. એ માટે એ ઘરદીવડાનાં ઝાંખાંપાખાં અજવાળામાં ફાંફાં નથી મારતો; પોતાના સાહિત્યમાં તો નહીં જ નહીં પણ પોતાની ભાષાના સાહિત્યસંસારમાં પણ પુરાઇને નથી બેસી રહેતો, એ વિશ્વસાહિત્યમાં જ્યાં એની ચાંચ બૂડે ત્યાં મચી પડે છે, એટલે કે, સમ્પ્રાપ્ત કૂજામાં કંકર નાખીને એ જળને પામવાની મથામણ કરે છે.

સ્વ-તા એનો પ્રાણ કહેવાય પણ એને ભાન રહે છે કે સ્વ-તા પ્રાણઘાતક પણ નીવડી શકે છે. એ અહંભાવી હોય એ એનું ભૂષણ ગણાય પણ એને ખબર હોય છે કે અહંકાર ઊંડી ખાઈ છે, જેમાં ઊંડે ને ઊંડે ઊતરવા સિવાયનો અન્ય કોઈ માર્ગ હોતો નથી.

૨:

એ હમેશાં સાહિત્યિક સંવાદ ચાલુ રાખે છે. એ હમેશાં સાહિત્યિક પત્રવ્યવહાર જાળવે છે અને સામાને ઉત્તર આપે છે – મૂંગો રહીને મોટાઈના માંચડે બેસી નથી રહેતો. એ પોતાને નીવડેલો નથી માનતો તેમ નવોદિતને નવોદિત નથી માનતો; પોતાને ઉચ્ચ અને બીજાને નીચ, પોતાને સિદ્ધ અને બીજાને અ-સિદ્ધ, પોતાને ડુંગર અને બીજાને તરણું, ના, નથી માનતો. એને એ હકીકતનો છોછ નથી હોતો કે એની બાજુમાં સાવ જ નવોદિતની કૃતિને સ્થાન અપાયું છે. નવોદિતને એ પ્રેમભરી હૂંફ આપે છે, નવોદિતના ઉત્કર્ષ માટે પોતે ઉત્સાહમાં રહે છે.

સર્જક-કલાકાર સોશ્યલ મીડિયા અને ઇન્ડિવિડ્યુઅલ મીડિયાના લાભાલાભ સમજતો હોય છે છતાં ફેસબુક વગેરે અધુનાતન પ્લૅટફૉર્મ્સની આભડછેટ નથી રાખતો.

એ સજ્જનને તો જિસસને મળેલું એવું ખોવાયેલું ઘેટું મળી ગયેલું, ખુશ રહૅ બચ્ચા, કહીને ખભે સુવાડીને જતો’તો, પણ પાખંડીઓએ એને કૂતરું ઠેરવ્યું. અન્ય પ્રાણીનો પોતા પર પડછાયો પડતાં મિથ્યાચારીઓ જ ન્હાવા બેસી જાય છે. સર્જક-કલાકાર હર કોઇ પ્લૅટફૉર્મને સ્વચ્છ ગણે છે.

એ સઘળી ઉચ્ચાવચ શ્રેણીઓથી મુક્ત હોય છે. જો એમ ન હોય, તો એ દિશામાં જાતને સક્રિય રાખવાની એ પ્રામાણિક કોશિશ કરતો હોય છે.

Pic courtesy : Art Print

૩:

સામાન્યપણે એ પોતાનાં સાહિત્યિક નામકામને જાતે ને જાતે આગળ નથી કરતો, કે એ માટેની પેરવીઓ નથી કરતો, કે પેરવીઓ માટે પોતાની સામાજિક વ્યક્તિતા કે પદ-પ્રતિષ્ઠાને વ્યાપારવતી નથી બનાવતો. પોતાની સ્તુતિ થાય એ માટે સમીક્ષકોને આડાંતેડાં પ્રલોભનો આપીને લલચાવતો નથી.

પોતાના સ્વીકારનું કામ એણે સહૃદયસમાજ પર તેમ જ સમીક્ષકમંડળી પર છોડ્યું હોય છે, સાહિત્યિક સંસ્કૃતિનાં પાલક અને સંરક્ષક હોવાનો દાવો કરતાં સંસ્થા-સંસ્થાપનો પર પણ છોડ્યું હોય છે.

૪:

આ રીતભાત અનુસાર, એ કદી ફરિયાદ નથી કરતો કે – મારાં નામકામનો બીજાઓ ઉલ્લેખ કેમ નથી કરતા, ઉલ્લેખ કરે છે તો મારી સમ્મતિ કેમ નથી મેળવતા, સમ્મતિ મેળવે છે તો હું કહું એ પ્રકારે ઉલ્લેખને રચતા-મઠારતા કેમ નથી. વગેરે એ નથી કરતો. કોઈ જન સામેથી એનાં નામકામના નિર્દેશ કરે, સમીક્ષા કરે, તો ખાસ કારણ વિના એ મૌન સેવે છે. અલબત્ત, સમ્યક સમીક્ષાને વધાવી લે છે ને આભારવશ રહે છે.

૫:

પોતે કવિ તરીકે ઝિલાયો એનો અર્થ એ એવો નથી કરતો કે પોતે માત્ર કવિ જ છે અને હમેશાં છે. એવી ઠાંસનો માર્યો એ જો પોતાને બધે વર્તતો લાગે, તો શરમાય છે. કેમ કે એને મન બધી જ સાહિત્યકલાવિધાઓનું સરખું ગૌરવ હોય છે. એ જાણે છે કે કવિતાને જ શ્રેષ્ઠ વિધા ગણ્યા કરવી એ ડાબલા પ્હૅરી લેવા જેવું લૉપસાઇડેડ વર્તન છે. બલકે એ ડેડ નૅરેટિવની કે ગૉખલાના દેવની પૂજા કરવા જેવું વૃથા છે.

સર્જન લેખન અધ્યાપન સમીક્ષા અનુવાદ સાહિત્યપરક પત્રકારત્વ વગેરે પોતાનાં બધાં જ કામોને એ સરખી કોટિનાં ગણે છે.

૬:

પોતાની નબળી રચનાને એ કદી સૂર્યપ્રકાશમાં કે અન્ય પ્રકાશમાં નથી મૂકતો. એ ચેષ્ટા એ ત્યારે જ કરે છે જ્યારે એને અમુક કક્ષાની કૃતિસમ્પન્નતાની આત્મપ્રતીતિ થઈ હોય છે. પોતાની રચના પર એવી આત્મપ્રતીતિનું તાળું માર્યા પછી જ સમ્પાદકને કે સમીક્ષકને ધરે છે. પોતાના અધબોબડા સર્જનકર્મને હરાયા ઢોરની જેમ સાહિત્યસમાજમાં ફરતું નથી કરતો. આત્મપ્રતીતિના આવા ધૉરણે, એની કૃતિ કદી નવી કે જૂની નથી હોતી – અલબત્ત, સદ્ગૃહસ્થની જેમ માગણને પણ એ ઉચ્છિષ્ટ જ ધરે છે ન વાસી કે છાંડેલું.

ક્રમશ :

= = =

(Dec 1, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભાવિ, ઉમેદવારોનું સીલ થાય છે કે જનતાનું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 December 2022

કાલે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઈ અને 89 સીટ માટે 19 જિલ્લામાં ઉમેદવારી કરનાર 788 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થઈ ગયું. બીજા તબક્કાની 92 સીટ માટેનો પ્રચાર તેનાં અંતિમ તબક્કામાં છે. આ 92 સીટ પરનાં ઉમેદવારોનું ભાવિ 5મી ડિસેમ્બરે કેદ થઈ જશે. પહેલાં તબક્કાની જ વાત કરીએ તો મતદારોએ છેવટ સુધી મન કળાવા દીધું નથી ને ઉત્સાહ એવો દાખવ્યો છે કે બધાં, બધાંને જ મત આપવાના હોય ! નોટબંધી વખતે ન લાગી હોય એવી લાઈનો મત આપવા લાગી હોય એમ બન્યું છે, તો જામજોધપુરના ધ્રાફા ગામમાં 2 વાગ્યા સુધી એક પણ મત ન પડ્યો હોય એમ પણ બન્યું છે. મહિલાઓ માટે ગામમાં અલગ બૂથની વ્યવસ્થા આ વખતે કરવામાં ન આવી એટલે નારાજ ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો. સમજાવટના બધા પ્રયત્નો છતાં ત્યાં મતદાન ન જ નોંધાયું. એવું જ ઝઘડિયા સીટના કેસર ગામમાં પણ બન્યું. ત્યાં પણ ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા ન હોવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો. વાંસદા સીટના વાટી ગામમાં પણ અંબિકા નદી પર પુલ ન બનતાં મતદારો, મતદાનથી દૂર રહ્યા, પરિણામે 700માંથી એક પણ મત ઇ.વી.એમ.માં ન નોંધાયો. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ એક ઘરડી સ્ત્રીને પગમાં તકલીફ હતી છતાં પોલીસ અને અન્યોની મદદથી વાંકી વળી, પગથિયાં ચડીને તે મત આપવા પહોંચી. એ ઉપરાંત એવા ઉત્સાહી મતદાતાઓ પણ હતા, જેમણે સવારે મતદાન મથકનાં દરવાજા ખૂલ્યાં કે મત આપવા ધસારો કર્યો, તો સુરતના મજૂરાના જૈનો પૂજાનાં પરંપરાગત વસ્ત્રોમાં જ ઢોલનગારાં સાથે સમૂહમાં મત આપવા નીકળ્યા. સુરતમાં જ સગાં ભાઈબહેને પ્રથમ વખત મતદાનનો અધિકાર ભોગવવા ઘોડા પર સવાર થઈને નીકળવાનું સ્વીકાર્યું. આ બધું છતાં, 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી હતી. સૌથી ઓછું મતદાન 42.26 ટકા જામનગર અને સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 64.27 ટકા હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ મતદાન 42 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56 ટકા નોંધાયું. આમ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં દક્ષિણ ગુજરાતનું મતદાન 14 ટકા વધારે હતું. ટૂંકમાં, ત્રણ વાગ્યે પહેલા તબક્કાનું સરેરાશ મતદાન 48.48 ટકા હતું.

આ વખતે આદિવાસી વિસ્તારોમાં સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ હતો ને મતદાનની ટકાવારી પણ એથી વધારે હતી. આદિવાસીઓ એવું માને છે કે કાઁગ્રેસે તો એના વખતમાં મત લેવા પૂરતો જ રસ દાખવ્યો હતો એ જ સ્થિતિ ભા.જ.પ.ની પણ તેનાં 27 વર્ષનાં શાસન દરમિયાન રહી. એટલે કે આ બંને રાજકીય પક્ષોએ આદિવાસીઓનો ઉપયોગ જ કર્યો. આ સ્થિતિ જાણીને આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પૂરી શક્તિથી એ વિસ્તારોમાં કામ કર્યું. આપના કેજરીવાલે અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને છેલ્લી રાત સુધી પ્રચારમાં કસર ન રાખી, તો ભા.જ.પ.ના નેતાઓએ પણ કોઈ કસર ન જ છોડી. વડા પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહે પણ અનેક સભાઓ અને રોડ શો કરીને જનતાનું ધ્યાન ખેંચ્યું જ ! 25,000 કરોડનું કૃષિ સિંચાઇ નેટવર્ક, સરકારી કોલેજો શરૂ કરવાની વાતો, 20 લાખ યુવાનોને રોજગારી, યુનિફોર્મ સિવિલ કોડ, 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર જેવા ઘણા વાયદા ભા.જ.પે. ગુજરાતને આપ્યા છે. હા, કાઁગ્રેસે બહુ ઊહાપોહ નથી કર્યો, પણ પ્રજા લાલચુ છે એમ માનીને તેણે પણ મફત મફતનાં મણકાઓ તો ફેરવ્યા જ છે. જૂની પેન્શન યોજના લાગુ કરવી, 300 યુનિટ મફત વીજળી, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સુધીની મફત સારવાર, દેવાં માફી, કાયમી નોકરી જેવી લાલચો કાઁગ્રેસે પણ આપી જ છે. તો, આમ આદમી પાર્ટી પણ બાકી શું કામ રહે? તેણે પણ મફત વીજળી, મહિલાઓને મહિને હજાર રૂપિયાની સહાય, શિક્ષકો, માછીમારો ને અન્યોને માંગે ઈ ગેરંટી જેવી વાતો કરી છે. વાયદા કરનાર અને સાંભળનાર બંને જાણે છે કે યે તો સબ ફુસલાનેકી બાતેં હૈં. એટલે મતદારોએ લાલચને વશ થઈને મત આપ્યા હશે તો કોઈ પણ પક્ષ સત્તા પર આવે, તેણે તો હાથ જ માથે દેવાનો થશે. જોઈએ બેની લડાઈમાં ત્રીજો કોણ છે ને ફાવે છે?

પહેલાં તબક્કામાં 2.39 કરોડ મતદાતાઓએ તેમની પસંદગી કાલે જણાવી દીધી છે, પણ 5મીએ બીજો તબક્કો બાકી છે, એ પૂરો થશે, એટલે કુલ 4.91 કરોડ મતદાતાઓની પસંદગી સ્પષ્ટ થશે ને એનો નિર્ણય 8મીએ આવશે. એ નક્કી કરશે કે ગાંધીનગરની લોટરી કોને લાગી છે? એના પરથી કોણ કોની સેવા કરશે તે તો ઠીક, પણ કોણ કેટલું કમાવાનું છે તેનો અંદાજ આવશે. કોઈ પણ આવે, કમાયા વગર નહીં નીકળે એટલું નક્કી છે. પહેલાના મંત્રીઓ દેવાદાર પણ નીકળતા, હવે જનતાને દેવું કરાવીને નીકળે છે. આડે દિવસે ફરિયાદ કરનારા, મત ન માંગવા આવવાનું કહીને બહિષ્કાર કરનારા મતદાતાઓએ, મતદાનને દિવસે બહુ ફરિયાદો કરી હોય એવું જાણવા મળ્યું નથી. મીડિયા એન્કરોએ વળી વળીને પૂછ્યું કે શાસકો સામે કશું કહેવાનું છે? તો, કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે પણ કેમેરા સામે જનતાએ ખાસ પ્રતિક્રિયાઓ આપી નથી, તો કેટલાક ગેસના બાટલા લઈને પણ મતદાન કરવા નીકળ્યા છે. મોરબીની પુલ તૂટવાની ઘટના બની જ ન હોય તેમ ન તો ઉમેદવારોએ કે ન તો પક્ષોએ કે ન તો ત્યાંની પ્રજાએ કોઈ અફસોસ વ્યક્ત કર્યાનું જાણવા મળ્યું છે. 30મી નવેમ્બરે મહિનો થતાં, મૃતકોના પરિવારોએ મૌન રેલી કાઢી એ ખરું, તો 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન પણ ત્યાં જ નોંધાયું છે. કેટલાક લોકોએ ઉમેદવારને સમર્થન આપવા કેટલીક રકમ કે વસ્તુઓની માંગણી કરી હોવાની વાત પણ છે જ !

છેલ્લી માહિતી મુજબ પહેલા તબક્કામાં અંદાજે 57.75 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 54. 53 ટકા મતદાન થયાની વાત છે, એમાં ગીર-સોમનાથમાં સૌથી વધુ 60.46 ટકા અને ભાવનગરમાં સૌથી ઓછું 51.54 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં દસેક ટકા વધુ, એટલે કે 64.40 ટકા વધુ મતદાન થયું છે. ત્રણ વાગે આ માર્જિન 14 ટકા હતો તે ત્રણ વાગ્યા પછી સૌરાષ્ટ્ર-કચ્છની ટકાવારી વધતાં ચારેક ટકા ઘટ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા નોંધાયું છે.

આ આંકડાઓ પરથી કેટલીક વાતો તારવી શકાય એમ છે. પહેલી વાત તો એ કે લગભગ 40 ટકા લોકોને મતમાં ને એટલે લોકશાહીમાં ભરોસો રહ્યો નથી. બીજા તબક્કામાં, પહેલાં તબક્કાનો પડઘો પડે તો ટકાવારી ઑર ઘટે એમ બને. બીજું એ કે કામ ન થાય તો પણ મતદાતાઓ મત આપે જ, એ સ્થિતિ હવે બદલાઈ છે. અહીં ઉદાહરણો આપ્યાં તે ત્રણ મતદાન મથકોમાં એક પણ મત નથી પડ્યો તે એ વાત રોકડી કરે છે કે કામ નહીં થાય તો મત નહીં મળે. ત્રીજી વાત, મતદારોનું મન કળી શકતું નથી. જે પ્રકારનો સઘન પ્રચાર બધા પક્ષોએ અને તેનાં નેતાઓએ કર્યો, એના પ્રમાણમાં મતદાનની ટકાવારી ઓછી છે. ચૂંટણી પંચના પ્રયત્નો છતાં મતદાન ઓછું થયું એમાં એક કારણ લગનસરા પણ ખરા. લગ્ન પહેલાં મત આપવાની કાળજી લેનાર હતા એમ જ લગ્ન વખતે મતદાનને સ્થળે હાજર ન રહી શકવાને કારણે પણ મતદાન પરત્વે ઉદાસી દાખવાઈ હોય એમ બને. આ ઉપરાંત શિક્ષણની ટકાવારી વધવાની સાથે ને મતદાર વધુ સભાન થયો હોવાને લીધે મતદાનના ટકા વધવા જોઈએ, પણ એવું થયું નથી, તે આ સિસ્ટમમાંથી શિક્ષિતોનો ઘટી રહેલો વિશ્વાસ સૂચવે છે. એ સાચું કે લોકોની આવક વધી છે, એટલે તેની ખર્ચની ક્ષમતા વધે, પણ જે રીતની મોંઘવારી વધી છે એનાં પ્રમાણમાં આવક વધી નથી. એટલે મોંઘવારીથી ત્રાસેલ લોકોએ પણ મત આપવાનું ટાળ્યું હોય એમ બને. આ ઉપરાંત નોટાનું પ્રમાણ વધ્યું હોવાની પણ શંકા છે. બીજી બધી બાબતે ઓનલાઈન કે ડિજિટલ સિસ્ટિમને આગળ કરાતી હોય તો મતદાનની ફૂલપ્રૂફ ડિજિટલ વ્યવસ્થા અંગે વિચાર થાય તો પણ મતદાનની ટકાવારી વધી શકે. ઓનલાઈન એજ્યુકેશન, બેન્કિંગ જો શક્ય હોય તો ઓનલાઈન વોટિંગ પણ અશક્ય નથી. એમ થશે તો મતદાન મથકે ન પહોંચી શકતા મતદાતાઓના મત પણ રેકોર્ડ થઈ શકશે. જો કે, આ ઓછી ટકાવારી સત્તા પરિવર્તન સૂચવતી નથી. અગાઉની ચૂંટણીની ઓછી ટકાવારી એ વાતની સાક્ષી પૂરે છે, પણ ટકાવારી સાવ જ ઓછી છે એવું પણ નથી. એમાં આદિવાસી વિસ્તારોમાં વધેલું વોટિંગ કાઁગ્રેસ કે ભા.જ.પ. તરફી સત્તાનો સંકેત આપતું નથી. અગાઉ આપેલો સંદર્ભ એવો છે કે આદિવાસીઓને એમ લાગ્યું છે કે ભા.જ.પ. અને કાઁગ્રેસે તેમનો ઉપયોગ જ કર્યો છે. એ સાચું હોય તો આ સીટ પર આપને લાભ થઈ શકે. આ ઉપરાંત છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામો એમ સૂચવે છે કે ભા.જ.પ.ની સીટો ઉત્તરોત્તર ઘટતી આવી છે. એમાં ગુજરાતમાં આપનો ઉમેરો ભા.જ.પ.ને અસર કર્યા વગર ન રહે એમ બને. કમ સે કમ ગુજરાતમાં છ સીટ પણ આપને મળે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત થાય ને જે રીતનો તેણે પગ પેસારો ગુજરાતમાં કર્યો છે તે તેને નિષ્ફળ જવા દે એમ લાગતું નથી. બને કે કાઁગ્રેસને મળનારી બેઠકો આપને મળે ને ભા.જ.પ.ને બહુ ફેર ન પડે, પણ સારું કે ખરાબ, જે હોય તે, પણ આપ આ વખતે ગુજરાતની વિધાનસભાથી દૂર રહે એમ લાગતું નથી. જોઈએ, આઠમી તારીખ કોને લાવે છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ડિસેમ્બર 2022

Loading

...102030...1,3131,3141,3151,316...1,3201,3301,340...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved