Opinion Magazine
Number of visits: 9670482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી હૈ તો મુમકીન હૈ અને આપ આયે બહાર આયી! 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2022

ચૂંટણીનાં પરિણામોને હાર-જીતથી આગળ જઈને સમજવા માટે, બ્રેકિંગ ન્યૂઝ અને ભાવનાઓના પૂરને ઓસરવાની રાહ જોવી પડે. આ વખતે નાની-મોટ ચાર ચૂંટણીઓ, પેટા-ચૂંટણીઓ હતી. તેની મોટી-મોટી હેડલાઈન આ પ્રમાણે છે; ભા.જ.પે. ગુજરાતમાં રેકોર્ડ તોડ બેઠકો સાથે સત્તા જાળવી રાખી છે. હિમાચલ પ્રદેશમાં ભા.જ.પ.ની હાર થઇ છે અને કાઁગ્રેસને બહુમતી મળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(એમ.સી.ડી.)માં ભા.જ.પ.નું શાસન સમાપ્ત થયું છે અને દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે.

એ સિવાય, વિધાન સભાની પેટા ચૂંટણીઓમાં બિહારમાં ભા.જ.પ., છતીસગઢમાં કાઁગ્રેસ, ઓડીસામાં બીજુ જનતા દળ, રાજસ્થાનમાં કાઁગ્રેસ અને ભા.જ.પ. અને રાષ્ટ્રીય લોક દળને એક-એક બેઠકો મળી છે. લોકસભાની પેટાચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને જીત મળી છે.

આ ચૂંટણીઓમાં બે મહત્ત્વની બાબત ઊડીને આંખે વળગે તેવી છે. ગુજરાતમાં ભા.જ.પ.નો દેખાવ સારો હશે તે પાર્ટીને ખુદને અપેક્ષિત હતું (અને કાઁગ્રેસ જોર નહીં મારે તેનો કાઁગ્રેસને ‘વિશ્વાસ’ હતો), પરંતુ ભા.જ.પ.ને 2017નું અધૂરું રહી ગયેલું સ્વપ્ન પૂરું કરવું હતું. તે વખતે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સાબરમતી નદીના કિનારે કાર્યકરો પાસે 150 બેઠકો મેળવવાના શપથ લેવડાવ્યા હતા, પણ પાર્ટી 99 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. તે સ્વપ્ન 2022માં પૂરું થયું છે. તે સાથે, 2024ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીના જોશમાં ઉમરો થયો છે.

કાઁગ્રેસ ગુજરાતમાં લગાતાર ધોવાતી રહી છે અને આ વખતે પણ એમાં કોઈ ચમત્કાર થવાની આશા નહોતી. એટલા માટે જ પક્ષની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતમાં પ્રચાર કર્યો નહતો. આંતરિક વ્યૂહરચના એવી હતી કે ગાંધી પરિવાર ગુજરાતમાં લો પ્રોફાઈલ રહે, જેથી પ્રધાન મંત્રીને એ મોકો ન મળે કે તેઓ પરિવારને નિશાન બનાવે. અત્યાર સુધી તેમણે દરેક ચૂંટણી પ્રચારમાં ગાંધી પરિવારને ગુજરાતના દુ:શ્મન તરીકે ચીતર્યા છે અને એ યોજના કારગત પણ નીવડી છે. એટલા માટે રાહુલ ગાંધીએ માત્ર બે જ પ્રચાર સભાઓ કરી હતી અને તેમાં પણ કોઈ એવું નિવેદન ટાળ્યું હતું જેનો ભા.જ.પ. હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. તેમાં છતાં, કાઁગ્રેસના નવનિર્વાચિત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ‘રાવણ’વાળી ટીકા મોદી સહિત તમામ નેતાઓએ પકડી લીધી હતી.

કાઁગ્રેસ 17 બેઠકો પર આવી ગઈ તેમાં એ વ્યૂહરચનાની નિષ્ફળતા છે કે બીજાં કારણો તે તો વિગતવાર અભ્યાસનો વિષય છે, પરંતુ હિમાચલ પ્રદેશમાં ભા.જ.પ.ની સરકારને હરાવીને કાઁગ્રેસે એ હકીકત તો સાબિત કરી છે કે ‘કાઁગ્રેસ મુક્ત ભારત’નું સ્વપ્ન એટલું જલદી સાકાર થતું દેખાતું નથી. ગુજરાતની જીત પછી, દિલ્હીમાં ભા.જ.પ.ના કાર્યકરોને સંબોધતાં પ્રધાન મંત્રીએ તેનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે, “હિમાચલની અપેક્ષાઓ પૂરી કરવા માટે ભા.જ.પ. હજુ વધુ મહેનત કરતી રહેશે. હિમાચલમાં વિજેતા પાર્ટી (કાઁગ્રેસ) કરતાં અમારો વોટ શેર એક ટકો જ ઓછો છે તે માટે હું મતદારોનો આભારી છું.”

બીજી મહત્ત્વની બાબત આમ આદમી પાર્ટીને લગતી છે. એક તરફ તેણે દિલ્હી કોર્પોરેશન કબજે કર્યું છે, ત્યારે બીજી તરફ તેણે ગુજરાતમાં 5 બેઠકોથી ખાતું ખોલાવ્યું છે. ગુજરાતમાં આપનો વોટ શેર 12.9 ટકા છે અને કાઁગ્રેસનો 27. 3 ટકા છે (ભા.જ.પ.નો 52.9 ટકા છે). 2017માં કાઁગ્રેસનો વોટ શેર 41. 4 ટકા (તેની બેઠકો 77 હતી). સ્પષ્ટ રૂપે, આપે કાઁગ્રેસના વોટ શેરમાં ભાગ પડાવ્યો છે. ધારો કે, આપ ગુજરાતની ચૂંટણીમાં ન હોત તો પરિણામ કેવું રહ્યું હોત? કાઁગ્રેસના ઉમેદવારો જ્યાં હાર્યા છે તે બેઠકો પર આપને (અને ઓવેસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીનને) કેટલા વોટ મળ્યા છે તેનું વિશ્લેષણ રસપ્રદ બની રહેશે.

આપ અને ઓવેસી ભા.જ.પ.ની ‘બી’ ટીમ તરીકે કામ કરે છે તેઓ આરોપ દરેક ચૂંટણીમાં થતો રહે છે. તેમનું કામ કાઁગ્રેસના વોટ કાપવાનું (અને એ રીતે ભા.જ.પ.ને જીતાડવાનું હોય છે) તેવો વ્યાપક પ્રચાર વિરોધ પક્ષો કરી રહ્યા છે. ઇન ફેક્ટ, ગુજરાતનાં પરિણામો પછી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આ જીત માટે હું ભા.જ.પ.ને અભિનંદન આપું છું, પણ અમારા આટલા ખરાબ દેખાવની આશા નહોતી, અમે તેનું ચિંતન કરીશું પણ આપ અને ઓવેસીને અમારા વોટ કાપવા માટે જ ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.

કાઁગ્રેસે જો કે આ ‘મત કાપ્યા’ની માનસિકતામાંથી બહાર આવી જવું જોઈએ અને એ વિચારવું જોઈએ કે મતદારો બીજા પક્ષોને કેમ મત આપે છે. લોકશાહીમાં દરેક પક્ષને મોટા થવાનો અધિકાર છે અને એ અંતે તો કોઈક પક્ષના ભોગે જ મોટો થાય છે. એવું તો છે નહીં કે તેના માટે એક્સ્ટ્રા મત ઊભા કરવામાં આવે.

ગુજરાતનાં પરિણામ આવ્યાં તેની સાથે જ, ભા.જ..પે મુંબઈ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં આપને મુખ્ય પ્રતિદ્વંદ્વી ઘોષિત કરી દીધી છે. મુંબઈ ભા.જ.પ.ના અધ્યક્ષ એડવોકેટ આશિષ શેલારે એક નિવેદનમાં કહ્યું હતું કે આપે જે ગુજરાત અને હિમાચલમાં લડત આપી છે તે જોતાં લાગે છે કે બી.એમ.સી.માં ભા.જ.પ.ની સીધી લડાઈ આપ સાથે હશે, બીજી પાર્ટીઓનું કોઈ મહત્ત્વ નથી.

એક વાત તો છે કે પહેલાં દિલ્હી, પછી પંજાબ અને હવે ગુજરાતમાં લડાઈ લડીને આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય પાર્ટી બનવાનો રસ્તો ખુલ્યો છે. કદાચ એ રસ્તા પર જ ભા.જ.પ.નું ‘કાઁગ્રેસ મુક્ત ભારત’નું સ્વપ્ન સાકાર થાય તો નવાઈ નહીં. કાઁગ્રેસ પૂરા દેશમાં નબળી પડેલી છે અને મુખ્ય વિરોધ પક્ષની ખાલી પડેલી જે જગ્યાને ભરવાના આપના મનોરથ છે.

ચૂંટણી પ્રચારમાં દાવા ભલે ગમે તે કર્યા હોય, આપ ગુજરાતમાં સત્તા કબજે કરવા નહીં, પણ તેની હાજરી સાબિત કરવા આવી હતી. ગુજરાતનાં પરિણામ આવ્યાં તે સાંજે પક્ષના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ખુશ મિજાજ સાથે કહ્યું હતું, “આજે આપ રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. 10 વર્ષ પહેલાં આપ એક નાનકડી પાર્ટી હતી, આજે 10 વર્ષ પછી બે રાજ્યોમાં તેની સરકાર અને ગુજરાતમાં 5 વિધાનસભ્યો છે.” ગુજરાતને કાઁગ્રેસ મુક્ત કરવામાં આપનું જે યોગદાન છે તેના માટે કેજેરીવાલ અભિનંદનને પાત્ર છે.

આપ માટે ખુશીનું બેવડું કારણ છે. દેશમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને બાદ કરતાં, બીજી કોઇ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં બાકી દેશના લોકોને રસ પડ્યો નથી, પરંતુ આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી(એમ.સી.ડી.)ની ચૂંટણી પર સૌની નજર હતી, તેનું કારણ જ એ હતું કે તેની ચૂંટણી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની સાથે યોજાઈ હતી અને એમાં આમ આદમી પાર્ટી (આપ) એક મુખ્ય ખેલાડી તરીકે હિસ્સો લઇ રહી હતી. દિલ્હી પછી પંજાબ વિધાનસભાને કબજે કરનાર આપ, રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પક્ષ તરીકે કાઁગ્રેસનો વિકલ્પ બનવા માટે સક્ષમ છે કે નહીં તે આ ત્રણે ચૂંટણીઓ પરથી નક્કી થવાનું હતું.

એમ.સી.ડી.નું પરિણામ આપ માટે નૈતિક જુસ્સો વધારનારું છે. આપ માટે આ ડબલ ધમાકા જેવું છે. 2013માં, આપે દિલ્હી વિધાનસભામાં 15 વર્ષ જૂના કાઁગ્રેસના શાસનને સમાપ્ત કર્યું હતું. 2022માં, તેણે એમ.સી.ડી.માં ભા.જ.પ.ના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. મહત્ત્વની વાત એ છે આપે પહેલીવાર ભા.જ.પ.ને કોઈ ચૂંટણીમાં હાર આપી છે.

250ની સભ્ય સંખ્યાવાળા કોર્પોરેશનમાં આપને 134 બેઠકો (બહુમતી કરતાં 8 વધુ) મળી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડનાર ભા.જ.પ.ને 104 બેઠકો મળી છે, જે 15 વર્ષની શાસન-વિરોધી ભાવના વચ્ચે પણ ખરાબ દેખાવ ન કહેવાય. કાઁગ્રેસ 7 પર આવીને સમેટાઈ ગઈ છે, જે તેના પૂરા દેશમાં ઓલ-રાઉન્ડ પતનના ટ્રેન્ડ પ્રમાણે જ છે. 2017ની ચૂટણીમાં ભા.જ.પ.ને 272 વોર્ડમાંથી 181 પર જીત મળી હતી, આપને માત્ર 48 મળી હતી, જ્યારે કાઁગ્રેસે 30 બેઠકો જાળવી રાખી હતી.

આમાં સૌથી રસપ્રદ હિમાચલ છે. કાઁગ્રેસે તાજેતરમાં જ તેના નવા અધ્યક્ષ (મલ્લિકાર્જુન ખડગે) ચૂંટ્યા છે. રાહુલ ગાંધી મહિનાઓથી ‘ભારત જોડો’ યાત્રામાં વ્યસ્ત છે. હિમાચલનું સઘળું સંચાલન પ્રિયંકા ગાંધીના હાથમાં હતું. તે અને હિમાચલ ભા.જ.પ.માં ચાલતા ડખાનો ફાયદો કાઁગ્રેસને મળ્યો છે. કાઁગ્રેસને ગુજરાતમાં તો બહુ આશા નહોતી (ગુજરાત તેના સપૂત નરેન્દ્ર મોદીના નામે વોટ આપશે તેવું સૌને અપેક્ષિત હતું. મોદીએ એટલા માટે જ ‘ઇન્દ્ર’નો પ્રાસ મેળવીને એક રેલીમાં કહ્યું હતું કે ‘ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડશે).

હિમાચલમાં તેનો આત્મવિશ્વાસ હાલકડોલક હતો, પરંતુ પ્રિયંકાના કુનેહપૂર્વકના પ્રચાર મેનેજમેન્ટનો તેનો ફાયદો થયો છે અને ગુજરાતનું નુકશાન ભરપાઈ કરી આપ્યું છે. હિમાચલ માટે કહેવાય છે તેના મતદારો ક્યારે ય એક પાર્ટીને પાંચ વર્ષ પછી રિપીટ નથી કરતાં (તેનાં શું કારણો છે તે વિગતવાર અભ્યાસનો વિષય છે) અને તે પરંપરા પ્રમાણે તેમણે પહેલીવાર મુખ્ય મંત્રી બનેલા ભા.જ.પ.ના જય રામ ઠાકુરની સરકારને ગડગડિયું આપ્યું છે. એ રીતે કાઁગ્રેસ અને આપ બંનેને આ ચૂંટણીઓમાં સંતોષ થયો છે.

પણ એક વાત સાફ છે. ભા.જ.પ.ની જીતમાં નરેન્દ્ર મોદી અનિવાર્ય પરિબળ છે. જ્યાં સુધી મતદારોને આકર્ષવાની વાત છે ત્યાં સુધી બીજો કોઈ નેતા તેમની આસપાસ પણ આવે તેવું નિકટના ભવિષ્યમાં દેખાતું નથી. ભા.જ.પ.ને આજે ‘ઈલેકશન-મશીન’ કહેવામાં આવે છે અને પાર્ટીના હાથમાં એ જાદુઈ છડી પકડાવાનું શ્રેય મોદીને જાય છે. ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો અને જીત કેવી રીતે હાંસલ કરવી એ તેમની પાસેથી શીખવા જેવું છે. ભા.જ.પ.ની તોતિંગ તાકાતને કેવી રીતે પહોંચી વળવું તેના માટે વિપક્ષોએ નવેસરથી ચિંતન કરવું પડશે.

લાસ્ટ લાઈન:

“વોટ બંધૂક જેવો છે. તેની ઉપયોગિતા મતદારના ચારિત્ર્ય પર નિર્ભર કરે છે.”

— થિયોડોર રૂઝવેલ્ટ, અમેરિકાના 26માં પ્રેસિડેન્ટ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘મેરા ભારત મહાન’ જ છે તો હવે ‘ભારત છોડો આંદોલન’ કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 December 2022

કેટલીક વાર આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય પકડાતું નથી. એક તરફ ભારતનું વૈશ્વિક કદ વિકસતું આવતું જણાય છે, તો બીજી તરફ તે સાવ દંભી ને છીછરું પણ દેખાય છે. અમેરિકા અને રશિયા આમ તો પ્રતિદ્વંદ્વી રાષ્ટ્રો છે, પણ એ બંને ભારતના મિત્રો છે, એની પણ કમાલ જ છેને ! અમેરિકા, રશિયા સાથેની ભારતની મૈત્રીની વિશ્વભરમાં નોંધ લેવાતી હોય કે ભારતનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ અને વર્ચસ્વ અગાઉ ક્યારે ય ન હતું એટલું વિકસ્યું હોય તો, પ્રશ્ન એ થાય કે કેટલી ય સિદ્ધિઓમાં ભારત લગભગ છેલ્લે કેમ છે? ભારતે અનેક સ્તરે વિકાસ કર્યો જ છે તેની ના નથી, પણ વૈશ્વિક ભૂખમરાની 2022માં બહાર પડેલી યાદીમાં, 121 દેશોમાં ભારત 107માં નંબરે છે તે પણ હકીકત છે. એ બાબતે તો આપણાં કરતાં યાદીમાં પાકિસ્તાન, શ્રીલંકા કે નેપાળ વધારે આગળ છે. 2021માં ભારત 101માં સ્થાને હતું ને ‘22માં તે 6 નંબર પાછળ ગયું છે એ વિકાસનું કયું લક્ષણ છે તે સમજવાનું અઘરું છે.

એ સિદ્ધિનો આનંદ છે કે ભારતે કરોડો ભારતીયોને કોરોનાની રસી વિના મૂલ્યે પૂરી પાડી, એટલું જ નહીં, લાખો ડોઝ 35થી વધુ દેશોને ગ્રાન્ટ સહાય તરીકે વિના મૂલ્યે પૂરા પાડ્યા. એ પણ ખરું કે ભારતમાં યુવાનોની સેનાના ચાર દેશોમાં ભારત ચોથા નંબરે છે. ભારત બ્રિટનને પાછળ છોડીને પાંચમી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે તે પણ નાની સિદ્ધિ નથી. અર્થવ્યવસ્થામાં આવેલી મંદીને કારણે ભારતની આર્થિક નીતિની ઘણી ટીકા થઈ, પણ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક રિપોર્ટ પ્રમાણે, 137 દેશોની યાદીમાં 55માં ક્રમ પરથી તે છેલ્લાં પાંચ વર્ષમાં 40માં ક્રમ પર આવ્યું છે તેની ના પાડી શકશે નહીં. એ પણ છે કે ભારત પાસે G-20, એસ.સી.ઓ.ની અધ્યક્ષતા આવી છે. આ ઉપરાંત પણ બીજી સિદ્ધિઓ ગણાવી શકાય.

એક સમય હતો, જ્યારે વેપાર, વિદ્યા ને વૃદ્ધિ અર્થે વિદેશથી અનેક પ્રજાઓ મોટી સંખ્યામાં આ દેશમાં આવી અને અહીં જ વસી ગઈ. મોગલો, અંગ્રેજો ને બીજી ઘણી પ્રજાઓ પણ અહીં આવી ને ભારતની ભૂમિ પરખીને તેણે અહીં જ વર્ચસ્વ જમાવ્યું. એ સંદર્ભે આજની સ્થિતિ જુદી છે. છેલ્લાં થોડાં વર્ષોની જ વાત કરીએ તો 2016થી ‘19માં દર વર્ષે ભારતની નાગરિકતા લેનાર વિદેશીઓની વધુમાં વધુ સંખ્યા દર વર્ષે બસોની પણ નથી. 2017માં 175 લોકોએ ભારતની નાગરિકતા લીધી એ સૌથી મોટો આંકડો છે. 2020માં તો એ સંખ્યા 27ની જ હતી ને 2022માં અત્યાર સુધીમાં 60 લોકોએ જ ભારતની નાગરિકતા લીધી છે. એની સામે ભારત છોડીને વિદેશનું નાગરિકત્વ સ્વીકારનારની સંખ્યા છેલ્લાં દસ વર્ષમાં 16 લાખથી વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો દર વર્ષે અંદાજે દોઢ લાખથી વધુ ભારતીયો વિદેશમાં સ્થાયી થયા છે. આ વર્ષની જ વાત કરીએ તો ઓકટોબર, 2022 સુધીમાં ભારત છોડીને અહીંનાં 1,83,741 લોકો વિદેશ જઈને કાયમી વસવાટ કરી ચૂક્યા છે. આ માહિતી રાજ્યકક્ષાનાં વિદેશ પ્રધાન મુરલીધરને લોકસભામાં આપી છે. આમ તો બેન્કોની લોન ડુબાડીને વિદેશ જનાર ઉદ્યોગપતિઓના આંકડા બહાર આવ્યા છે, પણ બીજા લાખો લોકો દેશ છોડતી વખતે અહીંની કેટલી સંપત્તિ સાથે લઈ ગયા તેની માહિતી મળતી નથી. આ ઉપરાંત ગેરકાયદે વિદેશમાં વસતા ભારતીયોની સંખ્યા પણ ઓછી નથી જ !

આમ તો અમેરિકા કે અબુધાબી જેવામાં ભારતીયોની હત્યાઓ કરવામાં આવે છે. ગયા જાન્યુઆરીમાં બે ભારતીય અને એક પાકિસ્તાનીની હત્યા યુ.એ.ઇ.માં કરવામાં આવી. આ હત્યા અજાણતાં થઈ નથી, તે યમનનાં વિદ્રોહી જૂથ ‘હોથી’ દ્વારા જાણીબૂઝીને કરાઈ છે ને હત્યા પછી ચેતવણી પણ અપાઈ છે કે વિદેશી નાગરિકોની હત્યા તેઓ કરતાં જ રહેશે. આ જોખમ છતાં યુ.એ.ઇ.માં 30 ટકા વસતિ ભારતીયોની જ છે. આ એ ભારતીયો છે અબજો રૂપિયા ભારત મોકલે છે. મોટે ભાગના ભારતીયોની પહેલી પસંદ યુ.એ.ઇ. છે. જો હત્યાનું પ્રમાણ વધે તો ભારતીયોને વધુ વેઠવાનું આવે તે પણ સ્પષ્ટ જ છે. એ ઉપરાંત કેનેડાથી ગેરકાયદે અમેરિકા જતાં, સરહદે, ઘણા નાગરિકોના જીવ જાય છે, છતાં, વિદેશ જવાનો લોભ ભારતીયો જતો કરી શકતા નથી તે હકીકત છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્વીડન, સિંગાપોર જેવા સોથી વધુ દેશોમાં ભારતની પ્રજા સ્થાયી વસવાટ કરતી થઈ છે, તો પ્રશ્ન એ થાય કે અહીં શું નથી ને ત્યાં શું છે કે લાખો ભારતીયો વિદેશ તરફ દોટ મૂકે છે ને ત્યાંનાં જ નાગરિક થઈને રહી જાય છે? એનાં કારણો નથી એમ નથી. વિદેશમાં નોકરીની તકો ને કમાણી વધુ છે. યુ.એ.ઈ.ની જ વાત કરીએ તો ભારતીય કરન્સી કરતાં તેની કરન્સી મોંઘી છે. તેનો એક દિરહમ આશરે ભારતના 20 રૂપિયા બરાબર છે. બીજી વાત એ છે કે ભારતનું ટેક્સનું માળખું ગૂંચવનારું ને છેતરનારું છે, જ્યારે યુ.એ.ઇ.માં ઇન્કમ પર ટેક્સ જ નથી. એનો અર્થ એ થાય કે વિદેશની કમાણી ને ત્યાંનું ગ્લેમર ભારતીયોને વિદેશ વસવાનું કારણ પૂરું પાડે છે. એનો અર્થ એ પણ ખરો કે નોકરીની તકો કે શિક્ષણ કે સ્કિલની કદર વિદેશ કરતાં ભારતમાં ઓછી છે. વિદેશ વસતા 60 ટકા ભારતીયો માને છે કે વિદેશમાં નોકરીની તકો અને શિક્ષણની કદર વધુ છે. એક વર્ગ એવું પણ માને છે કે વિદેશનું શિક્ષણ પણ શ્રેષ્ઠ છે. અલબત્ત ! એની ના પાડી શકાશે નહીં. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી ન હોય એ શું સૂચવે છે?

એક તરફ ભારત વિશ્વ ગુરુ બનવાને પંથે હોય ને અહીંનાં લોકોએ ગુરુની શોધ બીજે ચલાવવી પડે એ કેવું? એવું પણ નથી કે નબળું શિક્ષણ ભારતીયોને વિદેશ જવાનું કારણ પૂરું પાડે છે, 2014થી 2018માં 23 હજારથી વધુ કરોડપતિઓએ પણ દેશ છોડી દીધો છે. તે એટલે કે અમીર ભારતીયો ગોલ્ડન વિઝા મેળવવા સ્પર્ધામાં રહે છે. વિદેશમાં રોકાણ કરીને ત્યાંની નાગરિકતા મેળવવાની કોશિશો ભારતીય અમીરો કરતાં જ રહે છે. એનો અર્થ એ થયો કે ઘણા ભારતીય અમીરોને અહીં રોકાણ કરવામાં રસ નથી. એનું આશ્ચર્ય નથી કે અમીરો વિદેશમાં રોકાણ કરે છે, કારણ વ્યાવસાયિક સલામતી જો અહીં મળતી ન હોય તો અહીં રહીને કરવાનું શું એ વાતે એ બધા મુંઝાય છે.

રહી વાત વિદેશ જતાં વિદ્યાર્થીઓની, તો અહીં શિક્ષણ ઠીક નથી ને મોંઘું છે, એટલે એ વિદેશ જાય છે. એ સાચું હોય તો, વિદ્યાર્થીઓ ભણીને સ્વદેશ પાછા ફરવા જોઈએ, પણ એની ટકાવારી ઓછી જ છે, તે એટલે કે ઉચ્ચ શિક્ષણ મેળવીને પરત ફરેલ વિદ્યાર્થીઓને, એને લાયક નોકરી કે વ્યવસાયની તકો અહીં ઓછી જ છે. એ કારણે પણ કેટલાંક વિદ્યાર્થીઓ વિદેશ વસી જવા તૈયાર થાય છે. લગભગ 70થી 80 ટકા વિદ્યાર્થીઓ ભારત પાછા નથી ફરતા. એ સાચું કે વિદેશની ચમકદમક ને આવક, ભારતીયોને વિદેશ વસવા પ્રેરે, પણ વાત એટલી જ નથી, અહીનું રાજકારણ અને અર્થકારણ, પણ ભાગ ભજવે જ છે. અહીંનો ભ્રષ્ટાચાર યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય જગ્યાએ ગોઠવે છે. એમાં જે સંવેદનશીલ છે તે વધુ વેઠે છે, એટલે આમાંથી છૂટવા પણ ઘણાં વિદેશની વાટ પકડે છે.

વારુ, અહીંની પ્રતિભા વિદેશમાં પોંખાય છે ત્યારે ભારતીય મૂળની એ વ્યક્તિ માટે આપણે પોરસાઈએ છીએ, પણ એ વ્યક્તિ આપણી ઉદાસીતાને કારણે વિદેશ વસવા મજબૂર થઈ છે એનો વિચાર ભાગ્યે જ કરતાં હોઈએ છીએ. ઘણાં ભારતીય મૂળનાં ભારતને નફરત કરતાં હોય તો પણ નવાઈ નહીં, કારણ બધી યોગ્યતા છતાં અહીં થયેલ અન્યાયને એ ન ભૂલે એમ બને. એ ભારતીય કમનસીબી છે કે અહીંની બુદ્ધિમત્તાની થવી જોઈતી કદર થતી નથી અને એ વિદેશમાં ઝળકે છે તો ભારતીય મૂળનો વાવટો ફરકાવીને આપણે અમસ્તાં જ ખુશ થયા કરીએ છીએ. આપણી રાજસત્તાઓએ એ વિચારવા જેવું છે કે અહીની ટેલન્ટને અહીં જ સમાવી, વિકસાવી શકાય એમ છે કે કેમ? કે એ વિદેશમાં સત્તા પર આવે એ જોઈને જ તાબોટા ફોડવા છે? અહીંની પ્રતિભા અહીં જ પાંગરે એવું કરવાનું વધારે યોગ્ય છે એવું નહીં? ભારતીયો વિદેશમાં કમાઈને ઘણાં નાણાં મોકલે તો રાજી થઈએ છીએ, પણ અહીંથી જતાં ભારતીયો પાછળ જે નાણાં વિદેશ મોકલાય છે, એનો હિસાબ માંડવા જેવો છે ને પછી એ ભારતીય વિદેશમાં જ સ્થાયી થઈને અહીં નાણાં મોકલવાનું બંધ કરે તો તે ખોટ કેવી ને કેટલી હોય એનો હિસાબ પણ માંડવા જેવો છે. આપણને આપણું જ યુવા ધન વિદેશ ખેંચાઈ જતું જોઈ રહેવાનો સંતોષ કેમનોક થાય છે એ નથી સમજાતું? નથી લાગતું કે આપણે એ મામલે પૂરતાં દંભી અને અપ્રમાણિક છીએ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ડિસેમ્બર 2022

Loading

चुनाव जीतते दल : हारता लोकतंत्र 

कुमार प्रशांत|Opinion - Opinion|11 December 2022

लोकतांत्रिक प्रसव वेदना से गुजर रहे दिल्ली, हिमाचलप्रदेश व गुजरात के गर्भ से चुनाव-परिणाम का जन्म हो चुका है. अब सारे सर्जन, डॉक्टर, नीमहकीम अपने आरामगाहों में लौट चुके हैं. जिन चैनलों की नाल कब की कट चुकी है, वे सब चुनाव परिणामों के विश्लेषण के नाम पर आपसी छीछालेदर में लगे हैं. यह छपने या सुनने वाले मीडिया के सबसे बदरूप चेहरे को बर्दाश्त करने का, सबसे शर्मनाक दौर है.

हर चुनाव में कोई दल जीतता है, कोई हारता है. इस चुनाव में भी यही हुआ है. लेकिन पार्टियां ऐसे दिखा रही हैं कि हारा तो दूसरा है, हमारे हिस्से तो जीत-ही-जीत आई है ! आम आदमी पार्टी इसी का राग अलाप रही है कि इस चुनाव ने उसे राष्ट्रीय दल बना दिया है; कांग्रेस अपनी नहीं, दूसरों की हार का विश्लेषण करने में निपुणता दिखा रही है; भाजपा के प्रधान भोंपू ने इशारा कर दिया तो सारे भाजपाई एक ही झुनझुना बजा रहे हैं कि हमने सारे रिकार्ड तोड़ डाले ! सबकी एक बात सही है कि सभी अपना झूठ छिपा रहे हैं.

चुनाव परिणाम का कोई नाता अगर उस लोकतंत्र से भी होता हो कि जिसके कारण चुनावी राजनीति व संसदीय लोकतंत्र का अस्तित्व बना हुआ है, तो हमें यह खूब समझना चाहिए कि दल जीत रहे हैं, ‘हम भारत के लोग’ और उनका लोकतंत्र लगातार हारता जा रहा है. संविधान अब एक पुराने जिल्द की रामायण भर बची है जिसका राम कूच कर गया है. कौन, क्या जीता इसकी इतनी वाचाल चर्चा की जा रही है ताकि किसी को याद करने की फुर्सत न रहे कि हम कहां, क्या हार रहे हैं. हम चुनावों की संवैधानिक पवित्रता व उसका राजनीतिक अस्तित्व हार रहे हैं; हम चुनाव आयोग हार रहे हैं; हम चुनावों की आचार संहिता हार रहे हैं; हम बुनियादी लोकतांत्रिक नैतिकता हार रहे हैं. हम हर वह नैतिक प्रतिमान हार रहे हैं जिसके आधार पर हमारा संविधान बना है; हम हर वह लोकतांत्रिक मर्यादा हार रहे हैं जिसके बिना लोकतंत्र भीड़बाजी मात्र बन कर रह जाएगा. हर चुनाव में जातीयता जीत रही है, धार्मिक उन्माद जीत रहा है, धन-बल व सत्ता-बल जीत रहा है; झूठ व मक्कारी जीत रही है. यह तस्वीर को काली करने जैसी बात नहीं है; तस्वीर को ठीक से देखने-समझने की बात है.

गुजरात हम सबके लिए गहरे सबब का विषय होना चाहिए. इसलिए नहीं कि वह एक ही पार्टी को लगातार से चुन रहा है बल्कि इसलिए कि वह गर्हित कारणों से लगातार अविवेकी फैसला कर रहा है और देश की तमाम लोकतांत्रिक ताकतें मिल कर भी उसे इस मूर्छा से बाहर नहीं ला पा रही हैं. गुजरात उस हाल में पहुंचा दिया गया है जिस हाल में, यूरोप में कभी जर्मनी पहुंचा दिया गया था. जब जहर नसों में उतार दिया जाता है तब ऐसी की अंधता जन्म लेती है. दुनिया ने भी और हमने भी ऐसी अंधता पहले भी देखी है बल्कि कहूं तो हमारी आजादी अंधता के ऐसे ही दौर में लिथड़ी हम तक पहुंची थी. गांधी ने ऐसे ही नहीं कहा था कि ऐसी आजादी में उनकी सांस घुटती है; और हम जानते हैं कि अंतत: उनकी सांस टूट ही गई.

गुजरात में देश के गृहमंत्री कहते हैं कि 2002 में हमने यहां जो सबक सिखलाया, उसका परिणाम है कि यहां आज तक शांति बनी हुई है. वे देश को खुलेआम धमकी दे रहे हैं कि सांप्रदायिक नरसंहार का रास्ता हम जानते हैं, यह भूलना मत ! यह शर्मनाक है, लोकतंत्र के खात्मे का एलान है, संविधान की आत्मा की हत्या है. वे सैकड़ों सभाओं-रैलियों व रोड-शो में यह सब कहते रहे लेकिन न चुनाव आयोग ने कुछ कहा, न न्यायालय ने ! संविधान ने अपने इतने हाथ-पांव इसलिए ही तो बनाए थे कि एक विकलांग होने लगे तो दूसरा उसकी जगह ले ले; एक गूंगा होने लगे तो दूसरा बोले ! यहां तो सभी विकलांग, गूंगे और बहरे बनते जा रहे हैं.

गुजरात का सामूहिक नैतिक पतन हुआ है. यह सारे देश में हो रहा है. दिल्ली नगरपालिका के चुनाव में खेल का मैदान ही बदल दिया गया; गुजरात में चुनाव आयोग ने अपना अनुशासन ही ताक पर रख दिया. झूठ, मक्कारी, सरकारी संसाधनों व धन-बाहुबल से चुनाव जीतने का प्रपंच किसे नहीं दीखा ?लोकतंत्र और चुनाव-तंत्र में फर्क है. तभी तो संवैधानिक व्यवस्था ऐसी बनाई गई कि चुनाव को 5 साल में एक बार आना है, लोकतंत्र को रोज-रोज अपने चरित्र में उतारना है. मन लोकतांत्रिक बने तो व्यवहार अपने आप लोकतंत्र अपनाने लगता है. चुनाव लोकतंत्र की आत्मा नहीं, उसका एक अंशमात्र है. यहां तो चुनाव को ही लोकतंत्र बना दिया गया है जिसमें अपने प्रधान को आगे रख कर सारी पैदल सेना उतारी जाती है; और वह पुरानी मान्यता शब्दश: अमल में लाई जाती है कि प्यार व युद्ध में सब कुछ जायज है. यह लोकोक्ति ही लोकतांत्रिक नहीं है.

संसदीय लोकतंत्र एक चीज है, संवैधानिक लोकतंत्र एकदम भिन्न चीज है. एक ढांचा है, दूसरी आत्मा है. आत्मा मार कर, ढांचा जीत लिया है हमने; और मरे हुए लोकतंत्र को बड़े धूमधाम से ढो रहे हैं. तभी तो हर असहमति को डांट कर कहते हैं : ‘ वोट हमें मिला है !’ भीड़ की स्वीकृति लोकतंत्र की अंतिम कसौटी नहीं होती है. हम कैसे भूल सकते हैं कि हमारी गुलामी को भी भीड़ की स्वीकृति थी. आजादी की लड़ाई लड़ने वाले तब भी अल्पमत में थे. इसलिए लोकतंत्र की दिशा भीड़ को शिक्षित, जाग्रत जनमत में बदलने की होती है. हम सोचें कि हमारी आजादी की लड़ाई के गर्भ से अगर लोकतंत्र का जन्म नहीं हुआ होता तो चुनाव का यह सारा तामझाम भी नहीं होता न ? तो बुनियाद कहें कि अंतिम कसौटी कहें, लोकतंत्र ही है कि जिसका संरक्षण-संवर्धन करना है. वह बना रहा, स्वस्थ व गतिशील रहा तो बाकी सारा कुछ रास्ते पर आ जाएगा.

इसलिए कह रहा हूं कि इन चुनावों में पार्टियां जीती हैं, हम ‘भारत के लोग’ व हमारा लोकतंत्र हारा है. यह हार हमें बहुत महंगी पड़ेगी.

(11.12.2022)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,3051,3061,3071,308...1,3201,3301,340...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved