Opinion Magazine
Number of visits: 9458565
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસાઈના મશાલચી  ડો. મફતભાઈ પટેલ : સંપાદક – દધીચિ ઠાકર 

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|2 August 2022

વિહંગાવલોકન :

નાનુબાપાના ‘સંવેદન સામયિક‘માં ‘અચલા’ની નોંધ કે જાહેરખબરમાં ડો. મફતભાઈ પટેલનું નામ જોયેલું ત્યારે એમની ઓળખાણ ન હતી. હજી પણ રૂબરૂ મેળાપ થયો નથી. દધીચિએ લગભગ એકસો ત્રેપન પરિચિતો-સ્વજનો-મિત્રો લિખિત ચારસો સાઠ પાનાનું દળદાર પુસ્તક મોકલ્યું અને મારી સામે મેં નજર ફેરવવા રાખ્યું ત્યારે પણ મને ખાતરી ન હતી કે હું એ પૂરું વાંચીશ. શરૂઆત કરી જેમના નામથી હું પરિચિત હતી એમના અને મફતભાઈના સંતાનોના લેખોથી. એમ કરતા ખાસ્સું વાંચી લીધું.

ડો. મફતભાઈ પટેલની ઓળખ આ રીતે મળી. હિંદી સાથે સુવર્ણચંદ્રક વિજેતા સ્નાતક, હિંદી, સંસ્કૃત અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપરાંત ડોક્ટરેટ. હિંદીમાં રાષ્ટ્રભાષા રત્ન, રત્નાકર, સંસ્કૃતમાં વિશારદ અને સાહિત્યશાસ્ત્રી. અમદાવાદ શિક્ષણ સમિતિના ચેરપર્સન, શિક્ષણવિદ્, અચલા-ધરતી-હિંસા વિરોધ નામનાં સામયિકો સાથે સંલગ્ન તંત્રી-લેખક-સંપાદક, હિંદી ભાષા પ્રસારક, સમાજ સુધારક, સેવાદળથી રાષ્ટ્રીય સેવક સંઘ – જનસંઘ – ભારતીય જનતા પક્ષના મૂળસોતા કાર્યકર્તા, દુનિયાને સમજવા મથતા આકંઠ પ્રવાસી, હરિપુરા ગામના હામી અને નવસર્જક. તે પહેલાં તો પિતૃવત્સલ, મુઠ્ઠી ઊંચેરા, ઋજુ હૃદયી, ઉમદા માનવી.

દધીચિએ પોતાની કલમે એમનું જે શબ્દચિત્ર દોર્યું છે તેમાં પૌત્રભાવ છે તો સાથે દાદાના સમગ્ર વ્યક્તિત્વને પ્રમાણવાનો પ્રયત્ન પણ છે. સમાજસુધારક તરીકે રવિશંકર મહારાજથી પ્રેરાઈને એમણે યુવાવસ્થાથી જ સમાજના પ્રચલિત કુરિવાજો, રૂઢિ-રસમો અને વ્યવહારોનો વિરોધ કરવાનું વલણ કેળવેલું. તેઓ બાળલગ્નો, ખર્ચાળ લગ્નો, દહેજપ્રથાનો વિરોધ કરતા આવ્યા છે. મરણોત્તર ક્રિયાનું ભોજન ન ખાવું જેવા કુરિવાજો સામે આજીવન લડતા રહ્યા અને પોતે આચારવિચારનો મેળ જાળવી દાખલારૂપ પણ બન્યા. અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રવૃત્તિઓ દ્વારા સમાજસેવા અને શિક્ષણસેવાને હંમેશાં પ્રાધાન્ય આપતા રહ્યા છે. વાંચન પ્રવૃત્તિને ધબકતી રાખવા એમણે પ્રયત્નો કર્યા છે જેનાં કારણે કડા ગામે એમણે સમૃદ્ધ પુસ્તકાલયનું સર્જન કર્યું. એમના ગુણાનુરાગીઓ એમને પ્રગતિશીલ, દીવાદાંડીરૂપ મુઠ્ઠી ઊંચેરા માનવી માને છે.

અનેક લેખકો ડો. અનિતા પટેલના મફતકાકા વિશેનાં વ્યક્તિ ચરિત્ર પ્રકારના પુસ્તક ‘માનવસેવાની સોનોગ્રાફી’થી પણ પ્રભાવિત થયા છે જે પુસ્તકમાંથી પસાર થતાં જણાય છે. ડંકેશ ઓઝાએ તો સરસ રીતે પુસ્તક પરિચય કરાવ્યો છે. એમના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિ પાસે એવા પ્રસંગો છે જે એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરે છે. એમની પાસે અપેક્ષા રાખીને નિજી કામ માટે આવનાર નિરાશ ન થાય, ગાંઠના ગોપીચંદન કરીને જાહેરકાર્ય માટે ન્યોછાવર થાય, પુસ્તકો વચ્ચે જીવન વ્યતિત કરનાર, બોલાયું તે બોલાયું …. હવે શું ? કાંઈ નહીં એવું વલણ ધરાવતા સાચુકલા ભડવીર, મોકળાશથી ખડખડાટ હસી શકનાર, પ્રેમાળ વડીલ, મિત્ર, સ્વજન તરીકે એમને યાદ કરવામાં આવ્યા છે.

એમનાં સંતાનોએ એમના હૂંફભર્યા વાત્સલ્યની ઊંડી અનુભૂતિ કરી છે. જાહેરજીવન સાથે અને ખાસ કરીને રાજકારણ સાથે સતત સંકળાયેલ દંપતીનાં સંતાનોનું જીવન પણ મોટાભાગે અંગત રહેતું નથી એ આ વ્યક્તિચરિત્ર દ્વારા આંખે ઊડીને વળગે એવું સત્યદર્શન કરાવે છે. ઘરમાં અગ્રિમ હરોળના નેતાઓની અવરજવર સાથે અંત્ય વર્ગના માનવીઓની અવરજવર રહેતી હોય તે વાતાવરણમાં બાળકોનું જે પ્રત્યક્ષ ઘડતર થાય તેનું આબેહૂબ વર્ણન સંજયભાઈ, હિનાબહેન, ધર્મ, અનારબહેન, જયેશભાઈ, સંસ્કૃતિએ કર્યું છે. એમણે દાદા કે પિતાને દેખાવે નાળિયેર જેવા કઠોર અને અંદરથી મલાઈદાર એ રીતે  નહીં  પણ બહાર કે ભીતર કોઈપણ રીતે ફક્ત ને ફક્ત પ્રેમાળ, ઋજુ, સંવેદનશીલ આપ્તજન તરીકે જ અનુભવ્યા છે.

એમને કેન્સરનું નિદાન થયું અને જે કારણ બહાર આવ્યું તે મને વાચક તરીકે આઘાતજનક લાગ્યું.  પ્રોફેસર કે શિક્ષક તરીકે સતત બોલવાના અને ચોકનો પાવડર ઊડવાના કારણે એમને ગળાનું કેન્સર થયું, કે તેઓ સાજા થઈ ગયા એ સારું થયું. શંકરસિંહ વાઘેલા-બાપુ, ડો. કેશુભાઈ પટેલ, રજનીકુમાર પંડ્યા, જય વસાવડા, ડો. લીલાબહેન સ્વામી જેવાં પરિચિતો દ્વારા વર્ણવાયેલા મફતભાઈ વધારે સાચુકલા લાગે. નરહરિ અમીન, પ્રવીણભાઈ લહેરી, સુદર્શન આયંગાર, ભાગ્યેશ જહા, બળવંત જાની, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિનાયક રાવલ  જેવા મિત્રો-પરિચિતોની કલમે એમની જાહેર અને સેવાકીય કારકિર્દીની ઝલક પણ મળે છે. એમને માટે પોતાની લાગણી વ્યક્ત કરનારી વિવિધ અભિવ્યક્તિમાં  સંસ્કૃત, અંગ્રેજી ભાષા જોવા મળી તો કાવ્ય રચનાઓની ઝલક પણ જડી. એમનાં પુસ્તકોની નોંધ પણ લેવાયેલી છે જેમાં ‘દાદાની દીકરીઓ‘નો ઉલ્લેખ અનેક વાર થયો છે.

સામાન્ય રીતે આ પ્રકારનાં પુસ્તકો વ્યક્તિ પ્રત્યેનું ગુણાનુરાગી દર્શન કરાવતાં હોય છે એટલે વાચક તરીકે પણ ખ્યાલ હોય જ કે વાંચનસામગ્રીનું રૂપ કેવું હશે. મને અહીં વિશિષ્ટ શું લાગ્યું તો એ જ કે સામાન્ય રીતે આપણે પુરુષોની સફળ જીવનયાત્રામાં પત્નીના મૂકપ્રદાનની વાતો સાંભળતા-વાંચતા આવ્યાં છીએ, અહીં એક ઘરમાં દરેક સભ્ય સ્વતંત્ર વ્યક્તિ તરીકે કારકિર્દી બનાવે છે તે જાણવા મળ્યું. અલબત્ત, આનંદીબહેનની કલમનો પરિચય અહીં થયો નહીં. ગુજરાતનાં મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેનનાં નામ-કામથી પરિચિત પરંતુ ડો. મફતભાઈ પટેલ વિશે મને કોઈ વિશેષ જાણકારી ન હતી એટલે વિવિધ કલમો દ્વારા જે શબ્દાંકિત ચિત્ર જોવા મળ્યું એ ગમ્યું. એમાં સમાવિષ્ટ ચિત્રો સહિત એનું મુદ્રણ નયનરમ્ય છે. ભાઈ દધીચિએ આ પુસ્તક સપ્રેમ મોકલ્યું એ બદલ એનો આભાર અને માણસાઈના મશાલચીનું અભિવાદન.

[01 ઑગસ્ટ 2022]
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઋષિ સુનકમાં ખુશ થવા જેવું ભારતીયપણું શું છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 August 2022

તમે સપરિવાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો, ત્યારે એક દૃશ્ય અચૂક જોયું હશે. જમવાનું પતી ગયું હોય, અને વેઈટર અથવા તો મેનેજર તમારા ટેબલ પાસે આવીને તમારી સાથે અપેક્ષા સભર આંખો મિલાવે, એટલે તમે કહો કે “જમવાનું જોરદાર હતું,” અને એ એટલો બધો ખુશ થઇ જાય કે તમને એવું લાગે કે જાણે કિચનમાં એપ્રોન પહેરીને એ જાતે છેલ્લા અડધા કલાકથી તમારા માટે મરી-મસાલાનો વઘાર કરતો હતો!

બ્રિટનમાં, બોરિસ જોહ્નન્સનના રાજીનામા પછી, અગામી વડા પ્રધાનની રેસમાં દોડી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર ઋષિ સુનકને લઈને છેલ્લા ઘણા વખતથી ભારતના લોકોની હાલત રેસ્ટોરન્ટના વેઈટર જેવી છે. બ્રિટનમાં હવે એક “ભારતીય વડા પ્રધાન” હશે તેવા શુભ સમાચારોથી ભારતીયોમાં “ગૌરવ”નું એક એવું સામૂહિક કલાઇમેકસ આવી ગયું છે, જાણે ઋષિ સુનકને બાળપણથી મોટા કરવામાં તેમનો સીધો હાથ હોય! આને બેગાની શાદી મેં અબ્દુલા દીવાના પણ કહી શકાય.

ડાયસ્પોરામાં ભારતીય નામો વાંચીને ભીના થઇ જતા ભારતીયો એ જાણવાની પણ તસ્દી લેતા નથી કે જેમની શાદીમાં તેઓ દીવાના થાય છે તે સાચે જ “આપણા”માંના છે કે “એ” લોકો પૈકીના. પહેલી વાત તો એ કે બ્રિટનમાં ચાન્સેલર ઓફ એક્સ્ચેકર (નાણા મંત્રી) રહી ચૂકેલા અને 2015થી સંસદ સભ્ય ઋષિ સુનક જન્મે જ બ્રિટિશર છે. સધર્ન ઇંગ્લેન્ડમાં આવેલા સાઉધમ્પટન શહેરમાં 1980માં તે જન્મ્યા હતા. તેમના સંજય અને રાખી નામનાં બે ભાઈ-બહેન પણ છે.

તેમનાં માતા-પિતા યશ્વીર અને ઉષા સુનક, સાઉથઇસ્ટ આફ્રિકાના ભારતીય ડાયસ્પોરામાંથી આવે છે. પિતા યશ્વીર કોલોની એન્ડ પ્રોટેકટોરેટ ઓફ કેન્યા(હાલના કેન્યા)માં જન્મ્યા હતા, જ્યારે માતા ઉષા ટાંગાન્યીકા(જે પછીથી તાન્ઝાનિયામાં ભળી ગયું હતું)માં પેદા થયાં હતાં. યશ્વીર અને ઉષાનાં પેરેન્ટ્સ મૂળ પંજાબનાં હતાં અને ઇસ્ટ આફિકા સ્થળાંતર કરી ગયાં હતાં. સાઈઠના દાયકામાં બંને ઇંગ્લેન્ડ ગયાં હતાં. યશ્વીર જનરલ ફીઝીશિયન હતા અને ઉષા દવાની દુકાન ચલાવતાં હતાં.

ઋષિએ હેમ્પશાયરની સ્કૂલમાં અને વિન્ચેસ્ટર બોર્ડિંગ કોલેજમાંથી પ્રાથમિક ભણતર મેળવ્યું હતું. વેકેશનમાં તે સાઉધમ્પટનની હોટેલમાં વેઈટરનું કામ કરતા હતા. 2001માં તે ઓક્સફર્ડની લિંકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તેમનાં લગ્ન, ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિની પુત્રી આકાંક્ષા મૂર્તિ સાથે થયાં છે. ઋષિ ચાન્સેલર હતા ત્યારે ટેક્સના મામલે વિરોધ પક્ષોએ આકાંક્ષાને નિશાન બનાવી હતી.

એક ભારતીય સમાચારપત્રને ઋષિએ કહ્યું હતું, “વસ્તી ગણતરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન’ એવું ખાનું હોય છે, હું તેમાં ટિક કરું છું. હું સંપૂર્ણપણે બ્રિટિશ છું, આ મારું વતન અને મારો દેશ છે, પણ મારો ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક વારસો ભારતમાં છે, મારી પત્ની ભારતીય છે.”

ઋષિ સુનક, બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં પહોંચી ગયા તેમાં તેમનું બ્રિટિશ હોવું કારણભૂત છે, ભારતનું મૂળ નહીં. બ્રિટનમાં કોઈપણ બ્રિટિશ નાગરિક વડા પ્રધાન બની શકે છે, પછી ભલે તેનો જન્મ બીજે ક્યાંક થયો હોય. બીજી રીતે કહીએ તો, કોમનવેલ્થ દેશનો કોઈ પણ નાગરિક બ્રિટિશ વડા પ્રધાન બની શકે. આમાં વ્યક્તિની લાયકાત તો ખરી જ, સિસ્ટમ પણ તેને મદદ કરે છે.

તો, ઋષિ સુનક તેમની પ્રતિભાના જોરે એક ઉદારવાદી દેશમાં ટોચ સુધી પહોંચે, તેમાં આપણે શું કામ ખુશ થવું જોઈએ? જયારે પણ ભારતીય મૂળની કોઈ વ્યક્તિ યુરોપ-અમેરિકામાં સફળ થાય છે ત્યારે આપણે એવી રીતે ખુશ થઈએ છીએ જાણે તેની સફળતામાં આપણું યોગદાન હોય. એમ તો એવા ઘણા ભારતીયો રશિયા, ફ્રાન્સ કે ચીનમાં પરસેવો પાડે છે, પણ તેમને અમેરિકા-બ્રિટન જેવી સફળતા નથી મળતી.

બુનિયાદી રૂપે, વ્યક્તિ અંદરની હોય કે બહારની, દેશ મેરિટ અને ટેલેન્ટને કેટલું મહત્ત્વ આપે છે, તેના પર તેની સફળતાનો આધાર રહે છે. ભારત સરકારનો તાજો અહેવાલ કહે છે કે 2021માં, દોઢ લાખથી વધુ ભારતીયો ભારતનું નાગરિકત્વ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઇ ગયા છે. તેમાં સૌથી વધુ લોકો અમેરિકા (78,284), ઓસ્ટ્રેલિયા (23,533), કેનેડા (21,597) અને બ્રિટન (14,637) ગયા છે.

કેમ? અલગ-અલગ કારણો છે, પરંતુ આખી દુનિયામાં સામાન્ય વલણ એવું છે કે લોકો સામાજિક-આર્થિક કારણોસર બીજા દેશમાં જાય છે. અમુક લોકોને બીજા દેશમાં તેમની ટેલેન્ટની વધુ સારી રીતે કિંમત થતી દેખાય છે, જયારે અમુક લોકોને વતનનું સામાજિક-રાજકીય વાતાવણ તેમની પ્રગતિમાં નડતરરૂપ લાગતું હોય છે. મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેવા હાઈ-પ્રોફાઈલ લોકો કાયદકીય ચુંગાલમાંથી બચવા વિદેશ સ્થાયી થઇ જાય છે.

ટૂંકમાં, જે તે દેશનું સામાજિક-રાજકીય વાતાવરણ વ્યક્તિની સફળતા-નિષ્ફળતામાં ભૂમિકા ભજવે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસવુમન ઈન્દ્રા નૂઈ માટે હંમેશાં એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે અમેરિકા ન ગઈ હોત, તો એક મલ્ટીનેશનલ કંપનીની સી.ઈ.ઓ. અને ચેરપર્સન બની હોત? પેપ્સિકોમાં તે જોડાઈ ત્યારે તેના એક્ઝીક્યુટીવ વર્ગમાં એક પણ મહિલા નહોતી અને બધા જ ગોરા અમેરિકનો હતા. તેમા છતાં, નૂઈ કંપનીમાં સૌથી ઊંચી પોસ્ટ પર પહોંચી હતી.

તેનું કારણ અમેરિકન બિઝનેસ કલ્ચર છે. નૂઈ તેમની આત્મકથામાં લખે છે કે, “દુનિયામાં યુ.એસ. હજુ પણ સૌથી ઉદાર દેશ છે.” પુસ્તકમાં તે એક પ્રસંગ ટાંકે છે. એકવાર બ્રિટનના વડા પ્રધાન સાથે તેમની લંચ-મિટિંગ હતી. બંને ગપસપ કરતા હતા, ત્યારે વડ પ્રધાને સહજ રીતે પૂછ્યું કે વર્ષો પહેલાં તમે ભારતથી યુ.કે. કેમ ન આવ્યાં? (સિત્તેરના દાયકામાં યુ.કે. હોટ-ફેવરીટ હતું). નૂઈએ વડા પ્રધાનને કહ્યું, “હું જો યુ.કે. આવી હોત, તો તમારી સાથે લંચ કરતી નહોત.”

નૂઈને અમેરિકાએ એટલો મોટો અવસર આપ્યો હતો કે તે દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીની સી.ઈ.ઓ. બની હતી અને તેના જોરે જ તે વડા પ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ઊઠબેસ કરતી હતી. બ્રિટને આ તાકાત આપી હોત? એક ઈમિગ્રન્ટ, અને તે પણ મહિલા, માટે કોઈ કંપનીની સી.ઈ.ઓ. બનવાનું અમેરિકા સિવાય શક્ય નથી.

ભારતમાંથી બહાર જઈને સફળતાના પરચમ લહેરાવતા અગ્રવાલો, નડેલાઓ, નૂઈઓ અને પિચાઈઓ આપણી તાળીઓના હકદાર જરૂર છે, પણ આપણે તેમની ટેલેન્ટ અને જે તે દેશની ઉદારતા માટે ખુશ થવું જોઈએ, નહીં કે તેમના ભારતીય મૂળ માટે, કારણ કે ભારત કોઈ સ્પેશ્યલ ભૂમિ નથી કે તે દુનિયાના લીડરો પેદા કરે છે. આપણે તેમની સફળતામાંથી પ્રેરણા લઈને આપણી નિષ્ફળતા પર ચિંતન કરવું  જોઈએ.

ઈન્દ્રા નૂઈએ કહ્યું હતું, “હું એક એવી વાર્તા છું, જે માત્ર અમેરિકામાં જ ઘટી શકે.”

ઋષિ સુનક એક એવી વાર્તા છે, જે માત્ર બ્રિટનમાં જ આકાર લઇ શકે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 જુલાઈ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સર્જક રાષ્ટ્રવાદી નથી હોતો; વિશ્વવાદી હોય છે !

રમેશ સવાણી|Opinion - Opinion|1 August 2022

પ્રિન્સટન, ન્યુ જર્સીમાં કનુભાઈ સૂચકના ઘેર ‘સાહિત્ય સંસદ, નોર્થ અમેરિકા’ના ઉપક્રમે, એક બેઠકનું આયોજન 30 જુલાઈ 2022ના રોજ થયેલ. તેમાં સર્જક મિત્ર ભૂપેન્દ્રસિંહ રાઓલ સાથે મને પણ આ બેઠકમાં હાજર રહેવાનો અવસર મળ્યો. સાંજના 5:00થી 7:00 સુધી સર્જક બાબુ સુથારે પોતાની કવિતાઓ અને વાર્તાઓનું વાંચન કર્યું; જલસો પડી ગયો ! બાબુ સુથારની રચનાઓમાં સામાજિક નિસ્બત છે, જે મને ગમી. સાહિત્ય, સામાજિક નિસ્બતવાળું ન હોય તો કામનું શું? એમની રચનાઓમાં ગૂઢાર્થ / વ્યંગ્ય હોય છે. એમની ફેસબૂક વોલ ઉપર આંટો મારશો તો મજા પડશે અને ખાતરી થશે કે સર્જક રાષ્ટ્રવાદી નથી હોતો; વિશ્વવાદી હોય છે !

પ્રસંગે લીધી છવિ : ભૂપેન્દ્રસિંહ રાઓલ, બાબુ સુથાર અને રમેશ સવાણી

બાબુ સુથાર કોણ છે? તેમના વિચારોથી જ જાણીએ :

[1] ગઈ કાલે ન્યૂ યોર્ક ગયેલો. Museum of Modern Art (MoMa) જોવા. છ માળના એ મ્યુઝિયમમાં બીજો માળ જોયો. સમકાલીન કળાનો. ત્યાં મોટા ભાગની કળા protest artની કોટિમાં જાય એવી. એ જોતાં સહેજે ગુજરાતી સાહિત્ય યાદ આવી ગયું અને થયું : હે રામ, આખેઆખી પેઢી જાણે કે મૂંગી થઈ ગઈ છે. આપણે વાત કરીએ લોકોની પીડાની અને ગુજરાતી સાહિત્યકારો વાત કરે પતંગિયાંની !

[2] Neuroscientistsના કહેવા પ્રમાણે આપણે મોટા ભાગના નિર્ણયો બે systems પ્રમાણે લેતા હોઈએ છીએ. System-1માં લાગણી અને સહજવૃત્તિ કામ કરતાં હોય છે; જ્યારે System-2માં તર્ક કામ કરતો હોય છે. એક સંશોધન પ્રમાણે 95% લોકો System-1 પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. એમાં કોને મત આપવો એ અંગેના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. એટલે જ રાજકારણીઓ મતદારોની લાગણીઓને સ્પર્શવાનો પ્રયાસ કરતા હોય છે; નહીં કે એમના તર્કને. આ જ વાત આપણા સાહિત્યકારોને પણ લાગુ પડે. મોટા ભાગના સાહિત્યકારો ભાવકોની લાગણી અને એમની સહજવૃત્તિને target બનાવતા હોય છે. બહુ થોડાં; ભાવકના logicને ધ્યાન રાખતા હોય છે. લોકપ્રિય સાહિત્યકારો પહેલા પ્રકારમાં આવે !

[3] એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ: માએ એના બાળકને કહ્યું કે ગોડઝિલા જેવું કોઈ પ્રાણી નથી. એ એક કાલ્પનિક પ્રાણી છે. પછી માએ બાળકને YouTube પર જઈને ગોડઝિલા ફિલ્મની એક ક્લિપ બતાવે છે. એમાં ગોડઝિલા સાન ફ્રાન્સિસસ્કોનો Golden Bridgeને ખાતાં ખાતાં તોડી નાખતો હોય છે. થોડાક દિવસો પછી મા કારમાં એના છોકરાને લઈને પેલા Golden Bridge પરથી પસાર થાય છે. એ દરમિયાન બાળકને બીક લાગતી હોય છે: ક્યાંક ગોડઝિલા આવશે અને બ્રિજને તોડી નાખશે તો? મા એને સમજાવે છે કે ગોડઝિલા એક કલ્પના છે. પણ, બાળક એ વાત માનવા તૈયાર નથી. બાળક માને માનવા તૈયાર નથી, પણ ફિલ્મની imageને માનવા તૈયાર છે! Power of image over power of words.

[4] ભારતમાં ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થઈ ત્યારે મને એમ હતું કે હાશ, હવે ત્યાં પણ અમેરિકાની જેમ યુનિવર્સિટીઓ જે બોલવું હશે તે બોલશે અને જે કરવું હશે તે કરશે. પણ, ના. એવું ન થયું. ઊલટાની મોટા ભાગની ખાનગી યુનિવર્સિટીઓ સરકારની પગચંપીમાં પડી ગઈ. કેમ કે એમને જ્ઞાનના નિર્માણ સાથે સંબંધ ન હતો. બધાંને તક મળી છે તો રળી લેવું હતું. ગયા અઠવાડિયે હું વરસો પછી જ્યાંથી મેં પીએચ.ડી.ની ડિગ્રી લીધી છે, એ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના કેમ્પસ પર લટાર મારવા ગયો. ત્યાં મેં Annenberg Public Policy Center જોયું. અત્યારે એમાં સાઈઠેક વિદ્વાનો સંશોધનનું કામ કરી રહ્યા છે! આ સેન્ટરના ઉપક્રમે આપણી altnewsના જેવી જ એક વેબસાઈટ ચલાવવામાં આવે છે. કોઈ રાજકીય પક્ષને કે વિચારધારાને ન વરેલી એવી આ સંસ્થા સતત રાજકારણીઓ જે કંઈ બોલે એ સાચું છે કે ખોટું છે એની તપાસ કરતી હોય છે અને જો ખોટું હોય તો લોકોને એ વિશે જાણ કરતી હોય છે. જ્યારે રાજકારણીઓ અસત્યમેવ જયતેની આરતી ઉતારતા હોય ત્યારે લોકો અસત્યને સત્ય ન માની લે એની આ લોકો કાળજી રાખતા હોય છે. તમને લાગે છે કે ગુજરાતની કોઈ યુનિવર્સિટી આવું કશુંક કરી શકે? મારો જવાબ છે : ના. રામનામ લો. આપણી મોટા ભાગની યુનિવર્સિટીઓને યુનિવર્સિટીઓ કહી ન શકાય. એ બધી દુકાનો છે. સરકારના પરવાના પર ચાલતી.

[5] અમેરિકામાં Christopher Hitchens, Richard Dawkins, Sam Harris, અને Daniel Dennett, આ ચાર વિદ્વાનોએ ખ્રિસ્તી ધર્મના જ નહીં, ધર્મ માત્રના પાયા હચમાચવી નાખ્યા. મેં આ ચારેય વિદ્વાનોને બરાબર વાંચ્યા છે. એમનાં પુસ્તકો પણ વાંચ્યાં છે. એમાં Sam Harrisનું A Letter to a Christian Nation તો એક અદ્દભુત પુસ્તક છે. મેં ઘણી વાર એની વાત Facebook પર કરી છે. એ પુસ્તકમાં Harris કહે છે કે ધાર્મિક લોકોએ હત્યાઓ કરી છે, નાસ્તિકોએ નથી કરી. પણ, મજાની વાત એ છે કે આ ચારમાંથી એકેય પર કોઈએ ધાર્મિક લાગણી દુભાવાની ફરિયાદ કરી નથી. એટલું જ નહીં, આ ચારમાંથી એકેયના પુસ્તક પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એમનાં પુસ્તકો ખુલ્લેઆમ વેચાય છે. એટલું જ નહીં, એ પુસ્તકો પર ચર્ચાઓ પણ થાય છે. અમેરિકાના પ્રમાણમાં ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા વધારે પડતી છે. હિન્દુઓ આ પહેલાં આટલા બધા અસહિષ્ણુ ન હતા. હું એવું માનું છું કે અસહિષ્ણુતા, ખાસ કરીને ધાર્મિક અસહિષ્ણુતા, એક પ્રકારની રાજકીય product હોય છે. એટલે કે, એમાં ધર્મ ઓછો હોય છે અને રાજકારણ વધારે હોય છે. રાજકારણીઓ ધાર્મિક અસહિષ્ણુતાને એક પ્રકારની commodity બનાવી દેતા હોય છે. એ લોકો એનો ઉપયોગ પોતાની મતબેંકને મજબૂત કરવામાં કરતા હોય છે. પણ, આપણે એ બધું જોતા નથી. અને જોઈએ છે તો પણ ઘણી વાર દેખાદેખીથી એમાં જોડાઈ જતા હોઈએ છીએ.

[6] પહેલાં એ લોકો hatredનું ઉત્પાદન કરવાનું start up બનાવશે. પછી એ start upને એ લોકો એમનાં ગાણાં ગાતાં સમૂહમાધ્યમોને આપશે. ત્યાર બાદ, એ સમૂહમાધ્યમો hatredનું mass production કરશે. પછી એ માધ્યમો તમારા મગજમાં hatred manufacturing device ઇન્સટોલ કરશે. પછી તમે તમે નહીં હો. તમને કોઈક દૂર બેઠું બેઠું ચલાવશે. તમે માનશો કે હું સ્વતંત્ર છું. પણ, ના. hatred તમને બીજાના ગુલામ બનાવશે. આ આખી મશીનરી સમજો.

[7] એક માણસે એક જનાવરનો મૃતદેહ ગામની વચોવચ ફેંક્યો. થોડીક વારમાં આકાશ આખું ગીધોથી ભરાઈ ગયું. લોકો ગીધોની ટીકા કરવા માંડ્યા. પૂછવા લાગ્યા : ક્યાંથી આવ્યાં છે આ ગીધડાં? કોણે મોકલ્યાં? શા માટે આવ્યાં હશે આ? પછી ગામલોકોએ નક્કી કર્યું: ‘મારો આ ગીધડાંને’. બધા પોતપોતાના ઘરમાંથી બંદૂક લઈ આવીને મારવા માંડ્યા ગીધોને. બધાં ગીધ મરી ગયાં પછી ગામલોકોએ ઉજાણી કરી. પણ, કોઈએ એમ ન પૂછ્યું કે કોણ નાખી ગયેલું પેલા જનાવરનો મૃતદેહ આપણા ગામની વચોવચ? એટલું જ નહીં, કોઈએ એ મૃતદેહને ત્યાંથી દૂર કરવામાં પણ રસ ન લીધો. અને બીજા દિવસે પાછાં ગીધડાં … સમજો. તમે જે પરિસ્થિતિમાં છો એનાં કારણોમાં જાઓ.

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3011,3021,3031,304...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved