Opinion Magazine
Number of visits: 9458711
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદને નાથવા ભારત USAવાળી કરી શકે પણ USAને પૂછ્યા વિના નહીં!

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 August 2022

ભારતે પોતાના પાડોશીઓને કારણે બહુ વેઠ્યું છે પણ કમનસીબે USAના ચંચુપાત વગર આપણે આતંકીઓ સામે સીધા પગલાં નથી લઇ શકતા

USAની ડ્રોન સ્ટ્રાઇકમાં આતંકવાદી સંગઠન અલ-કાયદાના લીડર અયમાન અલ ઝવાહિરીને કાબુલમાં તેના સેફ હાઉસમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. હચમચી ગયેલું અર્થતંત્ર, રોગચાળા પછી માંડ વળી રહેલી કળ, યુક્રેન પર રશિયાનો હુમલો વગેરે ઉપરાંત દુનિયામાં બીજું ઘણું ય ચાલી રહ્યું છે – એમાં આતંકવાદ નેવે નથી મુકાઇ ગયો. વળી USAને તો આતંકવાદીઓને ઝાલીને પતાવી દેવામાં ફાવટ આવી ગઇ છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી USAનું સૈન્ય નીકળી ગયું ત્યારે સાથે એવી વાત પણ થઇ હતી કે તાલીબાને વચન આપ્યું છે કે તે અફઘાનિસ્તાનને આતંકવાદીઓનું ‘સેફ હેવન’ નહીં બનવા દે. જો કે ઇતિહાસનું પુનરાવર્તન થવાનું જ હતું, જે રીતે ઓસામા-બિન-લાદેન અબોટાબાદમાં સંતાયો હતો તે જ રીતે ઝવાહિરી કાબુલમાં તાલીબાનીઓની મદદદથી રહી રહ્યો હતો. જ્યારે USAએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું ખેંચ્યું ત્યારે દુનિયાને કહેવા ખાતર USAએ તાલીબાનીઓ અફઘાનિસ્તાનમાં અરાજકતા નહીં ફેલાવે એમ કહ્યું પણ ખરું. USAને તાલીબાનીઓની ફિતરત ન ખબર હોય એમ માનવાનું કોઇ કારણ નથી. આ સમીકરણમાં પાકિસ્તાનનો સ્વાર્થ ગુરુત્તમ સામાન્ય અવયવનું કામ કરે છે. આંતરિક સમસ્યાઓ સાથે ઝૂઝતા પાકિસ્તાનને USAને વ્હાલા થવાનું ગમે તે સ્વાભાવિક છે. વળી પાકિસ્તાન અત્યારે તકલીફમાં છે એટલે ભારતમાં આતંકી સળી કરાવવાનું તેને પોસાય એમ નથી.  ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને USAનું સ્વાર્થ, સત્તા અને સલામતીનું કોકડું ગુંચવાયેલું છે અને તેની આગળ વાત કરીએ પરંતુ આ ડૉક્ટર ઝવાહિરી વિશે થોડું જાણીએ.

ઇજિપ્તના આ ડૉક્ટર ૨૦૧૧થી અલ-કાયદાના વડા તરીકે કામ કરતો હતો. ઓસામા બિન-લાદેનના મોત પછી બધો કારભાર ઝવાહિરીને માથે હતો. અલ કાયદાએ કરેલા મોટા આતંકી હુમલા જેવા કે ૧૯૯૮માં ઇસ્ટ આફ્રિકામાં અમેરિકન એમ્બસી પર હુમલાથી માંડીને ૨૦૧૧માં થયેલા ૯/૧૧ના હુમલામાં તેનો હાથ હતો. ઇજિપ્તની ઇસ્લામિક જિહાદના શરૂઆતી દિવસોથી તેનો હિસ્સો રહેલા ઝવાહિરી ૯/૧૧ના વખતથી અલ-કાયદામાં બીજા નંબરે હતો. સર્જનની ડિગ્રી મેળવનારા ઝવાહિરી આતંકી જૂથોમાં યુવાન વયેથી પ્રવૃત્ત હતો. સુસાઇડ બોમ્બિંગને અલ-કાયદાની પેટર્ન બનાવવામાં ઝવાહિરીનો હાથ હતો. ઝવાહિરીનો આતંકવાદી તરીકેનો બાયોડેટા ઘણો લાંબો છે અને લાદેન સાથે જોડાઇને તેણે ઇજિપ્તમાં જે તરકીબો અપનાવવાની કોશીશ કરી હતી તે બધી અલ-કાયદામાં અમલમાં લાવીને ઇસ્લામિક જિહાદને વધુ ધારદાર બનાવી. લાદેન સાથે આફ્રિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એમ બધે જ ઝવાહિરી ફર્યો. યુ.એસ. અધિકારીઓ અનુસાર થોડા વખત પહેલાં સુધી તે પાકિસ્તાનમાં સંતાયેલો હતો અને આ વર્ષની શરૂઆતમાં તે અફઘાનિસ્તાન આવ્યો હતો કારણ કે તેને તાલીબાની રાષ્ટ્રમાં પોતે સલામત રહેશેની ખાતરી હતી. તેની આ ખાતરીનો પુરાવો એ હતો કે તે બિંધાસ્ત બાલ્કનીમાં કલાકો વિતાવતો, તે છુપાઇને ન રહેતો. આવા સંજોગો હોય ત્યારે તાલીબાનને કારણે અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથ પાંગર્યા ન કરે તેનું ધ્યાન માત્ર USAએ નહીં પણ આખી દુનિયાએ રાખવું પડશે.

કોરોનાવાઇરસના ભરડામાં સપડાયેલા વિશ્વને જીવ બચાવવાની લડત ચાલતી હતી ત્યારે આતંકવાદીઓ પોતાનું કામ કરવામાં વ્યસ્ત હતા. ૨૦૨૦ના માર્ચમાં ઇસ્લામિક સ્ટેટ – આઇ.એસ. – દ્વારા ઇજીપ્ત, નાઇઝર, નાઇજીરિયા, ફિલીપિન્સ, યમન અને સોમાલિયામાં આતંકી હુમલા કરાયા.  ૨૦૨૦ના એપ્રિલમાં ઇરાક માત્રમાં આઇસિસે ૧૦૦ જેટલા હુમલા કર્યા હતા. જેહાદીઓ અને કટ્ટરવાદીઓનું જોખમ બદલાયેલા વલણ સાથે આજે પણ દુનિયા આખી પર યથાવત્ છે. ટેક્નોફોબિયા, સેલડ બાર આઇડિયોલૉજી, ઇન્સેલ આઇડિયોલૉજી જેવી જાતભાતની માનસિકતાઓ વધુ ડરામણા-જોખમી અને જીવલેણ આતંકીઓ તૈયાર કરી રહી છે. આવનારાં વર્ષોમાં આતંકવાદની પદ્ધતિઓમાં પણ બદલાવ આવશે. યુરોપ, USA, કેનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં વેક્સિનનો વિરોધ કરનારા જમણેરી કટ્ટરપંથીઓ સાથે મળી જઇને હિંસક દેખાવો કરી ચૂક્યા છે. વળી ઇરાન, ઇઝાયલ અને તેહરાન જેવા દેશો શસ્ત્રોને મામલે ચુપચાપ પોતાના બાવડાં મજબૂત કરી રહ્યાં છે. રાજકીય આતંકવાદ આધુનિક વિશ્વની વાસ્તવિકતા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે USA જે રીતે કાઉન્ટર ટેરરિઝમમાં સફળતા મેળવશે તેમ તેમ જેહાદી ચળવળનું વિકેન્દ્રીકરણ થશે અને પશ્ચિમી દેશોમાં સ્થાનિક કટ્ટરપંથીઓ પેદા કરવા પર તેઓ વધુ ધ્યાન આપશે. આતંકીજૂથોએ રોગચાળાનો પૂરતો લાભ લીધો છે અને નાગરિકો તથા સરકારો સામે હિંસાનો મારો ચાલુ જ રાખ્યો છે. વળી આફ્રિકા વગેરેમાં જ્યાં તેઓ રોગચાળાને ઇશ્વરનો શ્રાપ કહી લોકોને ડરાવી શક્યા ત્યાં તેમણે નવા લોકોને ઉપરવાળાનો ભય બતાવી આતંકી જૂથમાં ભેળવી લેવાનું કામ પણ કર્યું છે.

હવે વૈશ્વિક ફલકથી ફરી એકવાર પાડોશી દેશોમાં પળાતા આતંકવાદીઓની વાત કરીએ. એંશીના દાયકાથી પાકિસ્તાને ભારતમાં આતંકવાદ ફેલાવ્યો છે. USAની વાત કરીએ તો ભારતમાં ૧૯૯૯માં જ્યારે તાલીબાને આઇ.એસ.આઇ. સ્પોન્સર્ડ IC-814 હાઇજેક કર્યું હતું USAને કંઇ ફેર નહોતો પડ્યો. ભારતે મુસાફરોને બચાવવા માટે ખુંખાર આતંકીઓને છોડવા પડ્યા હતા. ૨૦૦૮માં જ્યારે મુંબઇમાં હુમલા થયા ત્યારે ભારત પાકિસ્તાન સામે હુમલો કરી બેસશેની ચિંતા USAને હતી અને તેમણે આપણને એમ કરતા રોકીને ખાતરી આપી કે પાકિસ્તાન આ હુમલાનું ષડયંત્ર કરનારાઓને પકડવામાં મદદ કરશે. હવે આ તો USAની નીતિ દુનિયા માટે છે પણ જ્યારે પોતાના પગ તળે રેલો આવે છે, પોતાનો સ્વાર્થ જ્યારે જોખમાય છે ત્યારે તે કોઇપણ હદે જાય છે. જેમ કે ૯/૧૧ પછી તાલીબાન પાસેથી USAએ બિન-લાદેન માંગ્યો અને જ્યારે એ ન થયું ત્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને હાંકી દઇ USAએ પોતે ત્યાં કબજો કરી લીધો. આઇસીસ અને બીજા આતંકી જૂથોએ અમેરિકા સામે હુમલાની યોજનાઓ ચાલુ રાખી તો USAએ ડ્રોન સ્ટ્રાઇક્સ કરવાનું શરૂ કર્યું. યુ.એસ.ના વડા પાસે એ નામોની યાદી જાય જે USA માટે જોખમી છે અને પ્રેસિડન્ટ નક્કી કરે તેને ટાર્ગેટ પર લઇને તેનો ખાત્મો બોલાવી દેવાય. આખા ખેલમાં પાકિસ્તાનની ગણતરી એવી કે પોતાને ખબર છે કે લોન પર જીવવાનું છે, USAની જરૂર પડશે એટલે જ્યાં લાગે ત્યાં માહિતી આપી દઇ યુ.એસ.ની નજરમાં સારા થઇ જવાનું. ભારતે પોતાના પાડોશીઓને કારણે બહુ વેઠ્યું છે પણ કમનસીબે USAના ચંચુપાત વગર આપણે આતંકીઓ સામે સીધા પગલાં નથી લઇ શકતા.

ભારતની આતંકવાદ સામેની લડતની વાત કરીએ તો સ્પેશ્યલ ઑપરેશન્સમાં રાજકીય નેતૃત્વનો મોટો હિસ્સો હોય છે. આર્મી, નેવી કે એરફોર્સ ધારે તો એક થઇને દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે છે પણ તેમ કરવાની મંજૂરી તેમને પ્રેસિડન્ટ પાસેથી મળવી જોઇએ. સી.આઇ.એ. પાસે જે સવલતો છે તે હજી ભારત પાસે નથી, આપણે પહેલાં એ ક્ષમતા ખડી કરવી પડે.

બાય ધી વેઃ

USA જે કરે છે તે ભારત કરી શકે? – એવો સવાલ થાય જ, કારણ કે મુંબઇ હુમલાના આરોપીઓ હોય કે પ્લેનના અપહરણકર્તાઓ હોય કે પછી દાઉદ ઇબ્રાહિમ જ કેમ ન હોય? – આપણા બધા શત્રુઓ સાવ પડખે જ છે અને તે ય છૂટા ફરે છે. બાલાકોટ પછી આપણને એવું કશું પણ કરતા રોકવામાં આવે છે જે USA પોતે કરે છે. તાલીબાનીઓ કે પાકિસ્તાની સૈન્યને ન્યાયનો કોન્સેપ્ટ ખબર જ નથી પણ આપણે USA સાથે સારાસારી રાખવી પણ જરૂરી છે એટલે આપણે એમના જેવું નહીં કરી શકીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઑગસ્ટ 2022

Loading

ચલ મન મુંબઈ નગરી—157

દીપક મહેતા|Opinion - Opinion|7 August 2022

કવિતા અને કહેવતના પ્રેમી જમશેદજી પીતીત 

જમશેદજીની યાદને સંઘરીને બેઠેલી લાઈબ્રેરી

માત્ર બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં જમશેદજી નશરવાનજી પીતીત બે મોટાં કામ કરી ગયા. ૧૮૫૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે જન્મ. મમ્મા દીનબાઈ હતાં મેહરવાનજી જીજીભાઈ મુગાનાં બેટી. મુંબઈના કોટ વિસ્તારમાં બજાર ગેટ સ્ટ્રીટમાં આવેલા એ કુટુંબના મકાનમાં જમશેદજીનો જન્મ. નસરવાનજી પીતીતને બે બચ્ચાં — એક જમશેદજી અને બીજાં આવાંબાઈ. એક તો દોલતમંદ ખાનદાન. વળી એકનો એક નબીરો. એટલે ચાંદીના નહિ, પણ સોનાના ઘૂઘરે રમેલો. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અને પછી બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં ભણ્યા. ત્યારથી પરગજુ અને ખેરાતી સ્વભાવ. પોતાની સાથે ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પૈસા, પુસ્તકો, કાગળ, પેન્સિલ, વગેરેની અવારનવાર મદદ કર્યા કરતા. અંગ્રેજી સાહિત્યની લગન પણ ત્યારથી જ લાગેલી. પોતીકું નાનકડું પણ સમૃદ્ધ પુસ્તકાલય વસાવેલું. એ વખતે જાણીતા કવિઓના કાવ્યસંગ્રહો ઉપરાંત શેક્સપિયરની તમામ કૃતિઓ તેમાં હતી. શેક્સપિયરનું કોઈ પણ નાટક મુંબઈમાં ભજવાય તો તેમાં જમશેદજી અચૂક હાજર હોય. તેમની સાથે ભણતા બીજા કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવા બોલવામાં નાનમ માનતા, પણ જમશેદજી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી પુસ્તકો, સામયિકો, અને વર્તમાનપત્રો પણ નિયમિત વાંચતા. 

જમશેદજી નસરવાનજી પીતીત

૧૮૭૫માં મેટ્રિક થયા પછી જમશેદજી એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા પણ સેકન્ડ લેંગ્વેજ અંગે કશીક મુશ્કેલી ઊભી થતાં બીજા પારસી વિદ્યાર્થીઓ સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા ગયા. જો કે થોડા વખત પછી મુશ્કેલી દૂર થતાં જમશેદજી ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગયા. પણ પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાતાં થોડા જ વખતમાં તેમણે કોલેજનો અભ્યાસ છોડ્યો. પિતા નશરવાનજીએ તરત જ તક ઝડપી લીધી. એ જ વખતે તેમને ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની એજન્સી મળી હતી એટલે પિતાએ પોરિયાને ધંધામાં લગાડી દીધો. થોડા વખતમાં જમશેદજી ઓરિયેન્ટલ સ્પિનિંગ ઉપરાંત બીજી સાતેક કંપનીમાં ડિરેક્ટરના પદે નિમાયા. જમશેદજીનો વાચનનો શોખ તો પહેલાંની જેમ જ જળવાઈ રહ્યો હતો એટલે તેઓ કેટલાંક જાહેર પુસ્તકાલયોના વહીવટ સાથે પણ સંકળાયા. તેમાં ફોર્ટ રીડિંગ રૂમ એન્ડ લાઈબ્રેરી, દીનશાહ પીતીત લાઈબ્રેરી અને નવસારીના મહેરજી રાણા કિતાબખાનાનો સમાવેશ થાય છે.

સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીએ ગુજરાતીમાં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ૧૮ ભાગમાં વહેંચાયેલી લાંબી કૃતિ ‘માહરી મજેહ’નો ઘણોખરો ભાગ ૧૮૭૩ સુધીમાં, એટલે કે જમશેદજી મેટ્રિક થયા તે પહેલાં લખાઈ ચૂક્યો હતો અને એ જ અરસામાં ‘જ્ઞાનવર્ધક’ નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયો હતો. તે ઉપરાંત વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા નામનાં સામયિકોમાં પણ તેમનાં કાવ્યો અવારનવાર છપાતાં. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય તે માટે જમશેદજી સ્વાભાવિક રીતે જ આતુર હતા પણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’ તેમના મૃત્યુ બાદ ૧૮૯૨માં પ્રગટ થયો.

આ સંગ્રહ લગભગ ૫૦૦ પાનાંનો છે. તેમાં જમશેદજીના નિકટના મિત્ર અને પુસ્તકના સંપાદક જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના જીવનનો અહેવાલ આપ્યો છે, તેમનાં કાવ્યોની ચર્ચા કરી છે, અને જમશેદજીની કવિતાને ગુજરાતી કવિતાની પરંપરામાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહમાંનાં કાવ્યોને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલા ભાગમાં માહરી મજેહ નામનું લાંબું કાવ્ય સમાવાયું છે જે ૧૬૬ પાનાં રોકે છે. બીજા ભાગમાં તેમની છૂટક કવિતા આપી છે. ત્રીજા ભાગમાં જમશેદજીએ કરેલા અનુવાદ કે રૂપાંતર મૂકવામાં આવ્યાં છે અને ચોથા ભાગમાં અગાઉ પ્રગટ ન થઈ હોય તેવી કવિતાઓ મૂકવામાં આવી છે. પુસ્તકને બને એટલું આકર્ષક કરવા માટે તેમાં ઠેરઠેર ચિત્રો મૂકવામાં આવ્યાં છે જે ખાસ ઈંગ્લેન્ડથી આ પુસ્તક માટે મગાવવામાં આવ્યાં હતાં. જમશેદજીની બધી જ કવિતા પારસી ગુજરાતીમાં લખાયેલી છે. તેમણે પરંપરાગત રીતે પંક્તિને અંતે પ્રાસ મેળવવાનો આગ્રહ રાખ્યો નથી પણ અંગ્રેજીમાં જેને રનઓન લાઇન કહે છે તે રીતે કાવ્યોની રચના કરી છે. પારસી ગુજરાતી કવિતામાં આ રીતે કાવ્યરચના કરનાર જમશેદજી કદાચ પહેલા જ છે.

જમશેદજીનો એકમાત્ર કાવ્યસંગ્રહ

અલબત્ત આ કાવ્યો વાંચતી વખતે આજે આપણને સંતોષ થાય તેવાં કાવ્યો બહુ ઓછાં મળે છે. પણ એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે હજી તો જેને જુવાનીની મૂછનો દોરો માંડ ફૂટ્યો છે તેવા એક પારસી યુવાને પોતાના કવિતા માટેના પ્રેમથી પ્રેરાઈને આ રચનાઓ કરી છે. આ સંગ્રહમાંનાં કાવ્યો કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ છે એવો નથી તેમનો દાવો, કે નથી પુસ્તકના સંપાદકનો દાવો. જમશેદજીની કવિતાનો અંદાજ મેળવવા તેમના માહરી માશુક નામના કાવ્યની થોડી પંક્તિઓ જોઈએ. 

અંધારી રાતે હું ઝબકી ઊઠું છ,

વિચાર તાહારો કરવા, ઓ માશુક માહરી!

પવન જ્યારે ધીમેથી બારીની માંહે

સરકતો હોય છ, ને તારાઓ બાહર,

ગુલમહોરનાં ઝાડોમાં ધુજતા દિસે છ. 

મલસકું થતાં હું આશાની માંહે,

મેલાપ તાહરો કરવા, ઓ માશુક માહરી!

બારીથી સામેનાં ઝાડોમાં જોઊં છ,

કે તેઓની ડાહલોમાં તાહરો આકાર,

ઘાસોમાં સરકતો આવે છ કે નહિ.

(ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

માહરી મજેહ નામના લાંબા કાવ્યમાં જમશેદજીએ આ બે પંક્તિઓ લખી છે:

કવિતા લખવી, ને ચાહવાનું સુખ,

એ બે મળ્યાં મહને, ત્યાં બીજી શી ભૂખ?

કવિતા લખવી એ જ જમશેદજીને મન મોટી વાત હતી.

બાર હજાર કહેવતોનો સંગ્રહ

કવિતા લખવાની સાથોસાથ સ્કૂલના અભ્યાસકાળથી જ જમશેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગ્યો હતો. આ રીતે તેમણે એકઠી કરેલી ૧૦ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા નામ સાથે વિદ્યામિત્ર સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીએ એ બધી કહેવતોને અકારાદિ ક્રમે ગોઠવી હતી. તેમના અવસાન સુધીમાં ફ અક્ષર સુધીની કહેવતો વિદ્યામિત્રમાં છપાઈ હતી. એમના અવસાન પછી ૧૯૦૩માં બે ભાગમાં કહેવતમાળા પુસ્તક પ્રગટ થયું હતું.  જમશેદજીના મરણ પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ આ બંને પુસ્તકો ને પ્રગટ કરવા માટે ઘણી મહેનત કરી હતી. બંને પુસ્તકો સાથે સંપાદક તરીકે તેમનું નામ જોડાયું છે.

જમશેદજીનાં બે પુસ્તકોમાંથી કહેવતમાળા પરિશ્રમ અને અભ્યાસને કારણે તેમ જ તેના વ્યાપ અને વિસ્તારને કારણે પણ વધુ ધ્યાનપાત્ર બને તેમ છે. ગુજરાતીની લગભગ ૧૨ હજાર જેટલી કહેવતો અહીં અકારાદિ ક્રમે ગોઠવીને તેમણે રજૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતી કહેવતો આ પહેલી વાર અહીં સંગ્રહાઈ છે. પણ જમશેદજી એટલેથી અટક્યા નથી. ગુજરાતી કહેવતને સમાંતર એવી બીજી કહેવત જ્યાંથી મળી ત્યાંથી તેમણે સાથોસાથ રજૂ કરી છે. આ માટે તેમણે બે-પાંચ જાણીતી ભાષાઓ સુધી જ નજર દોડાવી નથી. ભારતની સંસ્કૃત, હિન્દી, મરાઠી, કશ્મીરી, અને તેલુગુ જેવી ભાષા ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ડેનિશ, ફારસી, વગેરે ભાષાઓની કહેવતો પણ અહીં સમાવાઈ છે. અને આપણે યાદ રાખવું જોઈએ કે ગૂગલ દેવની કૃપા આપણા પર ઊતરી તે પહેલાં તેમણે આવું ગંજાવર કામ એકલે હાથે કર્યું હતું. જમશેદજીના અવસાન પછી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરી પ્રગટ કરવામાં જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ ઘણી મહેનત કરી હતી એટલે આ પુસ્તક જે રૂપે આપણી સામે છે તે રૂપ તેને આપવામાં જીજીભાઈનો ફાળો પણ નાનો સુનો નહીં જ હોય. પણ એટલું તો જરૂર કહી શકાય કે ગુજરાતી કહેવતોના દસ્તાવેજીકરણનો આ એક અત્યંત સમર્થ પ્રયત્ન છે.

અલબત્ત, જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું તે પહેલાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી કહેવતો અંગેનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. આથી કહેવતો અંગેનાં પુસ્તકોની એક લાંબી પરંપરાનો વારસો જમશેદજીને મળ્યો, અને વીસમી સદીની શરૂઆતમાં, ૧૯૦૩માં જમશેદજીનું પુસ્તક આપણને મળ્યું. તે પછી આજ સુધીમાં કહેવતો વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંનાં ઘણાંએ સીધી કે આડકતરી રીતે જમશેદજીના પુસ્તકની મદદ લીધી છે. કેટલાકે ઋણસ્વીકાર સાથે, તો કેટલાકે તેવું સૌજન્ય દાખવ્યા વગર પણ.

જે. એન. પીતીત લાઈબ્રેરી

જમશેદજીનાં લગ્ન સર દીનશાહજી માણેકજી પીતીત બેરોનેટનાં બેટી બાઈ હીરાબાઈ જોડે થયાં હતાં. તેમને સંતાન નહોતું. ૧૮૮૭થી જમશેદજીની તબિયત લથડવા માંડી હતી અને ૧૮/૧૯ માર્ચ ૧૮૮૮ની પાછલી રાતે લગભગ દોઢ વાગે તેમનું અવસાન થયું. છેક ૧૮૫૬માં એલ્ફિન્સ્ટન કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ઉપયોગ માટે કોટ વિસ્તારમાં એક નાનકડી લાઈબ્રેરી ઊભી કરી હતી. એ વખતે તે ‘ફોર્ટ ઈમ્પ્રુવમેન્ટ લાઈબ્રેરી’ તરીકે ઓળખાતી હતી. જમશેદજી આ લાઈબ્રેરીના લાઈફ મેમ્બર હતા એટલું જ નહિ, તેના સંચાલનમાં પણ રસ લેતા. તેમના અવસાન પછી નસરવાનજી પીતીતે પચીસ હજાર રૂપિયાનું દાન આપતાં ફરી એક વાર તેનું નામ બદલાયું: જે.એન. પીતીત ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લાઈબ્રેરી. એ વખતે ચર્ચ ગેટ સ્ટ્રીટ પરના એક મકાનમાં ભાડાની જગ્યામાં એ ચાલતી હતી. જમશેદજીનાં મમ્મા દીનબાઈએ અઢી લાખ રૂપિયાનું માતબર દાન આપતાં દાદાભાઈ નવરોજી રોડ પરની હાલની જગ્યાએ લાઈબ્રેરીનું પોતીકું મકાન બંધાયું. ૧૮૯૮ના મે મહિનાની પહેલી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. ગોથિક રિવાઈવલ સ્ટાઈલમાં બંધાયેલું તેનું મકાન કોટ વિસ્તારમાંનાં મકાનોમાં ધ્યાન ખેંચે તેવું છે. અલબત્ત, વખત જતાં તેની હાલત બગડતી ચાલી હતી. પણ ૨૦૧૪-૨૦૧૫માં નામાંકિત કન્ઝર્વેશન આર્ચિટેક્ટ વિકાસ દિલાવરી અને તેમની ટીમે મકાનનો જીર્ણોદ્ધાર કર્યો હતો. નવાવતાર પામેલા મકાનને યુનેસ્કો તરફથી એવોર્ડ પણ મળ્યો હતો. આ લાઈબ્રેરીમાંનાં દોઢ લાખ જેટલાં પુસ્તકોમાં ૧૯મી સદીનાં ઘણાં દુર્લભ પુસ્તકો અને સામયિકોનો સમાવેશ થાય છે.

માત્ર ૩૨ વર્ષની જિંદગી. ધન-વૈભવનો પાર નહિ. સાધન સગવડ માગ્યા પહેલાં જ મળે. પણ એ બધાંનો ઉપયોગ જમશેદજીએ મોજ મજા માટે ન કર્યો. કવિતા અને કહેવતો માટેના પોતાના પ્રેમને, લગાવને પોષવા માટે કર્યો.

Email : deepakbmehta@gmail.com
++++++
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”, 06 ઑગસ્ટ 2022 

Loading

સંવાદના કીમિયાગર ગાંધીજી આ યુગમાં થયા હોત તો તેઓ શું કરત ?

રમેશ ઓઝા|Opinion - Opinion|7 August 2022

Ramesh Oza

ગયા અઠવાડિયે મારા એક હિન્દુત્વવાદી મિત્રએ મને હિન્દુત્વવાદીઓના અંગ્રેજી સામયિક ‘સ્વરાજ્ય’નાં અંકની લીંક મોકલી અને પૂછ્યું કે આમાં ડૉ. રામમનોહર લોહિયા વિશે જે કહેવાયું છે એ બધું હકીકત આધારિત છે કે પછી લખનારે સત્ય સાથે ચેડાં કર્યાં છે? લખનારે જો બદમાશી કરી હોય તો તમારે સત્ય શું છે એ ઉજાગર કરવું જોઈએ અને જરૂર લાગે તો આખો લેખ પણ લખવો જોઈએ. હિન્દુત્વવાદીઓમાં, ભલે સાવ જૂજ પ્રમાણમાં, પણ થોડા એવા લોકો મળી આવે છે જેઓ વાંચે છે અને વિચારે પણ છે. ગુજરાતના એક બીજા પત્રકાર મિત્ર, જે ઉઘાડા હિન્દુત્વવાદી તો નથી, પણ થોડી સહાનુભુતિ ધરાવે છે એ પણ મને લગભગ છાશવારે કાંઈ ને કાંઈ મોકલીને “શું આ સાચું છે?” એવો પ્રશ્ન કરે છે. આવા બીજા કેટલાક લોકોના મેસેજીઝ પણ મળતા રહે છે.

સુરતમાં રહેતા એક સાહિત્યકાર મિત્ર ગેરહિન્દુત્વવાદીઓએ (મુખ્યત્વે કાઁગ્રેસીઓએ અને મુસલમાનોએ) કરેલા કુકર્મોની માહિતી આપતી ક્લીપ મોકલીને મને સવાલ કરે છે કે આ વિષે તમારે શું કહેવાનું છે? તેઓ અત્યંત આદરપૂર્વક પ્રકાશ પાથરવાનું અને ચર્ચામાં ઉતરવાનું ઈજન આપે છે.

હું મોટાભાગે આવી કોઈ જિજ્ઞાસા(સાચી કે પછી જિજ્ઞાસાનો વરખ ચડાવેલી)નો કે પડકારોનો જવાબ આપતો નથી. હું કબૂલ કરું છું કે આ અવિવેક છે. ગાંધીજી મારાં કરતાં હજારગણા વ્યસ્ત હોવા છતાં તેઓ દરેક પત્રનો જવાબ આપતા હતા, દરેક પ્રશ્નનો ઉત્તર આપતા હતા અને દરેક શંકાનું નિવારણ કરતા હતા. કેટલીકવાર તો નનામા પત્રોના પણ જાહેરમાં જવાબ આપતા હતા જ્યારે કે નનામા પત્રોના જવાબ આપવામાં આવતા નથી અને એવી જરૂર પણ હોતી નથી. એમાં લખનારનું સરનામું હોતું નથી એટલે ગાંધીજી જાહેરમાં જવાબ આપતા હતા. તેઓ ઉપેક્ષા કોઈની ય નહોતા કરતા.

મને ઘણી વાર પ્રશ્ન થાય કે ગાંધીજી આ યુગમાં થયા હોત તો શું કરત? દરેક વ્યક્તિને પૂરી પ્રામાણિકતાથી ખુલ્લા મનથી સાંભળવાની અને તેની સાથે સંવાદ સાધવાની નિષ્ઠા તેઓ પાળી શક્યા હોત? જી હા, પ્રત્યેક વ્યક્તિને ધ્યાનપૂર્વક સાંભળવી અને ખુલ્લા મનથી તેની સાથે સંવાદ કરવો એ તેમની જીવનનિષ્ઠા હતી. તેમને એમ લાગતું હતું કે સામેવાળાનું પ્રત્યેક વાક્ય એ સામેવાળાને નજરે પડતું સત્ય છે અથવા સત્ય-અસત્ય વચ્ચે વિવેક કરવાની તેની મથામણ છે. એ ગમાર છે, કે વિરોધી છે, કે સુધરે એમ નથી, કે માથું ખાય છે, કે સમય બરબાદ કરે છે એમ માનીને કોઈની પણ તેમણે અવગણના કરી નહોતી. એમ કરવું એ તેમને મન પાપ હતું. કોઈની ઉપેક્ષા કરવી એ હિંસા છે.

પણ સવાલ એ છે કે ગાંધીજી આજના યુગમાં થયા હોત તો? આ એવો યુગ છે જેમાં સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક લોકો ધૂળેટી રમે છે. કોઈની પાસે માહિતીઓના રંગ છે, કોઈની પાસે કાદવ છે, કોઈની પાસે જલદી ન છૂટે એવાં રસાયણો છે અને દરેક પાસે સોશ્યલ મીડિયાની પિચકારી છે. કોઈના ચહેરા ઓળખાતા નથી, દરેક ચહેરા રંગાયેલા અને ખરડાયેલા છે. ત્યાં સુધી કે જિજ્ઞાસુ હિન્દુત્વવાદી મિત્રને તેમની પોતાની વિચારધારાને વરેલા સામયિકમાં કહેવામાં આવતી વાત પર ભરોસો નથી. સ્થિતિ જ્યારે આવી હોય ત્યારે આની વચ્ચે નીરક્ષીર સંવાદમાં ઉતરવાનો કોઈ કીમિયો મારી પાસે નથી, એટલે હું મારી કોલમમાં મારી વાત કહીને બાજુએ ખસી જઉં છું. આ ખોટું છે એ હું કબૂલ કરું છું, પણ મનમાં એક પ્રશ્ન હંમેશાં ઘોળાયા કરે છે કે સંવાદના કીમિયાગર ગાંધીજી આ યુગમાં થયા હોત તો તેઓ શું કરત? ગાંધીજીને ગ્રેટેસ્ટ એવર કોમ્યુનિકેટર તરીકે ઓળખવામાં આવે છે તો આજના યુગમાં તેઓ શું કરત?

એક વાતની મને ખાતરી છે કે ગાંધીજીએ પિચકારીધારી ધૂળેટી રમનારાઓ સાથે સંવાદ સાધવાનો કોઈ કીમિયો તો શોધી જ કાઢ્યો હોત. અસત્યના ધોધની વચ્ચે સત્યનું ઝરણું કેમ શોધવું અને લોકોને ઝરણે કેમ પહોંચાડવા તેનો કોઈ રસ્તો શોધી આપ્યો હોત. હું એમ પણ માનું છું કે આજના આ અરાજકતાના યુગમાં વ્યવસ્થા ત્યારે જ પ્રસ્થાપિત થશે જ્યારે સંવાદ રચવા માટે કોઈ જમીન તૈયાર થશે. એવો કોઈ માણસ થશે એની પણ મને ખાતરી છે, કારણ કે એ યુગની જરૂરિયાત છે. દરેક યુગમાં યુગની જરૂરિયાત મુજબ યુગપુરુષ પેદા થતા હોય છે. મારી વાત કરું તો મારામાં એવી રજમાત્ર પણ ક્ષમતા નથી એટલે હું મને સૂઝે છે એવું સત્ય તમારી સમક્ષ રજૂ કરીને બાજુએ ખસી જઉં છું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 ઑગસ્ટ 2022 

Loading

...102030...1,2961,2971,2981,299...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved