Opinion Magazine
Number of visits: 9568938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મફતિયું 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 November 2022

આપણે બેઝિકલી મફતિયા છીએ

મફતનું ખાવું, મફતનું પીવું તો જાણે લોહીમાં છે !

સાચું તો એ છે કે લોકો

મફતિયા, ડિસ્કાઉન્ટિયા, એક્સચેન્જિયા છે

પણ મફતમાં શું મળે છે

તે જોઈએ તો સિલકમાં તો ખોટ જ રહે છે

મફતિયાં મેન્ટાલિટીનો લાભ પણ ઘણાં લે છે

કોઈ વીજળી મફત આપે છે, તો કોઈ ગેસ !

તે એવો કે ગેસ ટ્રબલ વધે

વાંદરા દારૂ પીતા નથી

તો ય ઘણાં ‘વાંદરા’ને દારૂ પાઈને

સત્તા કમાઈ લે છે

આપણે પણ મફત વીજળીને નામે

સત્તાનો સટ્ટો ખેલી કાઢીએ છીએ

હકીકતે આપણને કોઈ

મૂરખ બનાવી શકે એમ જ નથી

કારણ આપણે મૂરખ છીએ જ !

એવી જ રીતે કેટલાક મફતિયાઓ

પોતાને માંડી વાળવાનું પણ કહેતા ફરે છે

જેમ કે સોસાયટીની લાઇટ, રસ્તા વાપરવાનો

આ ફોગટિયાઓને વાંધો નથી

પણ મેન્ટેનન્સ આપવાનું આવે તો

એમના મોતિયા મરી જાય છે

એમનું ચાલે તો દવા કરાવવાના પૈસા

ડૉક્ટર પાસેથી સામેથી માંગે

પણ આપવાનું આવે તો માંગનારા થઈ જાય છે

એમનું ચાલે તો બે પગમાં એક જ ચંપલ પહેરે

તે તો સમજ્યા

પણ મફતથી પણ આ લોકો ધરાતાં નથી

મફત હોય તો એમને બે જોઈએ છે

એટલે જ

એક પર એક ફ્રીથી એ લોકો રાજી થતાં નથી

ને એક પર બે શોધતા ફરે છે

આ ફ્રીમાં પણ પાછી ચોઈસ હોય

જેમ કે કોઈ લાઇબ્રેરી

એક પર એક ચોપડી ફ્રી વાંચવા આપે તો

આ લોકો ઘરની પસ્તીમાં એને વેચી મારે

આ જમાત એક પર ત્રણ શર્ટ ફ્રી મળતાં હોય

તો ચાર ક્યાં મળે તેની વેતરણમાં રહે છે

એ તો સારું છે કે એક પર બે મળતી નથી

નહિતર દુકાને બૈરી લઈ જવાનું પણ કોઈ ન ચૂકે

બૈરી પણ એક્સ્ચેન્જ ઓફરમાં ધણી

બદલાતો હોય તો બદલવા દોડે એમાં શંકા નહીં !

આ મફતિયાં સંસ્કૃતિ પહેલાં આટલી ન હતી

એટલે જ કદાચ લોકો આટલા છેતરાતા ન હતા

તમે શું કહો છો?

છેતરાતા હતા?

(‘સંદેશ’માં બુધવારની મારી કોલમ ‘કાવ્યકૂકીઝ’)
e.mail : ravindra21111946@gmail.com

Loading

મહાત્મા ગાંધી : સ્ત્રીઓના સાચા મિત્ર અને સાથી

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|9 November 2022

સ્ત્રી એ અહિંસાની સાક્ષાત્‌ પ્રતિમા છે. અહિંસાનો અર્થ જ નિરવધિ પ્રેમ અને એવો પ્રેમ એટલે કષ્ટસહનની અસીમ શક્તિ … એકબીજાનાં પીંછાં ખેંચતી અને અંતરની શાંતિને સારુ વલખતી આજની દુનિયાને શાંતિની કળા શીખવીને પ્રેમનું સુધામૃત પાવા પુસ્તકિયા જ્ઞાનની નહીં, કષ્ટસહન અને શ્રદ્ધામાંથી નીપજતા દૃઢ હૈયાની જરૂર છે, જે સ્ત્રી પાસે છે.

—    મહાત્મા ગાંધી 

‘સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરિ ગણવો, વચન પાળવું અને માથે લીધેલું કામ પાર પાડવું, સહિષ્ણુ-સમજદાર થવું, જુદો કે વિરોધી અભિપ્રાય ધરાવનાર સાથે સ્વસ્થપણે વર્તવું, દરજ્જા-સત્તા કે સંપત્તિનો ખ્યાલ કર્યા વગર સૌ પ્રત્યે સમાન સૌજન્ય દાખવવું, દીનહીનો સાથે તાદાત્મ્ય સાધવું અને સૌથી વિશેષ તો કોઈ ઉમદા હેતુ માટે મૃત્યુ વહોરી લેવું – આ બધાં જો આધુનિકતાનાં લક્ષણો હોય, તો ગાંધીજી આધુનિક હતા.’ આચાર્ય કૃપલાણીનાં આ વિધાનો ખૂબ જાણીતાં છે અને આજે પણ વિચાર કરતા કરી મૂકે એવાં અને તેટલાં જ પ્રેરક લાગે છે. ખૂબી એ છે કે વાચકનું ચિત્ત ગાંધીજી આધુનિક હતા કે નહીં એ પ્રશ્નનો ઉત્તર તો પામે છે, સાથે આધુનિકતાના સાચા અર્થ પર જાય છે અને પછી એ પોતે એમાં કેટલો બંધ બેસે છે એ વિમાસણ પર સ્થિર થાય છે. આમ થવાનું કારણ જેટલા મહાત્મા ગાંધી છે એટલા જ એમના વિચક્ષણ સાથી આચાર્ય કૃપલાણી પણ છે. ગાંધીજીને યોગ્ય રીતે જાણવા અને જણાવવા માટે પણ એક સ્તર જોઈએ.

આચાર્ય કૃપલાણીએ ‘ગાંધીજી અને સ્ત્રીઓ’ એવો પણ એક સુંદર લેખ લખ્યો છે. ગાંધીજી અને સ્ત્રીઓ વિશે ઘણું બધું લખાયું છે, લખાય છે જેમાં સ્ત્રીસશક્તીકરણથી માંડી સંબંધો અને બ્રહ્મચર્યના પ્રયોગો સુધીનું કંઈ કેટલું ય આવી જાય છે. એમાંનું ઘણું બહુ છીછરું, વાચાળ અને પૂર્વગ્રહયુક્ત પણ છે. વાચકોને પણ અટકવાની કે વિચારવાની ખાસ ફુરસદ હોતી નથી અને બધો પ્રવાહ ચાલ્યો જાય છે. આ સમયસંજોગોમાં જરા અટકવાનું મન થાય એવો આ લેખ છે, જેના થોડા અંશ આપણે અહીં જોઈશું.

પહેલું જ વાક્ય છે, ‘ગાંધીજી અહિંસામાં માનતા હોઈ જીવનના કોઈપણ ક્ષેત્રમાં અસમાનતાના વિરોધી હતા. તેઓ સ્ત્રીપુરુષ વચ્ચે ભેદ કરતા નહોતા.’ ગાંધીજી કહેતા કે ‘મનુના નામે ચડેલું વચન કે સ્ત્રીને સ્વાતંત્ર્ય ન હોય, અનુલ્લંઘનીય નથી (એટલે કે બ્રહ્મવાક્ય નથી). એ એટલું જ બતાવે છે કે એક સમય એવો આવ્યો જ્યારે સ્ત્રીના ઘણા બધા અધિકારો છીનવી લેવામાં આવ્યા અને તેને હલકે દરજ્જે ઉતારી પાડવામાં આવી.’

ગાંધીજીના વખતમાં બાળલગ્નની પ્રથા હતી અને એટલે બાળવિધવાના પ્રશ્નો પણ હતા. ગાંધીજી એવાં લગ્નોને શરૂઆતથી જ રદ્દબાતલ ગણતા, એટલે કે લગ્ન જ ગણતા નહીં એટલે બાળવિધવા એ ખરું જોતાં વિધવા જ નથી, એને કુંવારી માનીને જ ચાલવું જોઈએ એમ કહેતા. ‘આપણે ગોરક્ષા માટે બૂમો પાડીએ છીએ, પણ ગરીબ ગાય જેવી વિધવાની રક્ષા કરવાની ના પાડીએ છીએ. જેને લગ્નસંસ્કારની જ સમજ ન હોય એવી લાખો દીકરીઓ પર વૈધવ્યનો બોજો નાખીએ છીએ. આ પશુતા છે, અપરાધ છે.’ ‘પતિના પ્રેમનો અનુભવ કરી ચૂકેલી સ્ત્રી ઈચ્છાપૂર્વક વૈધવ્ય સ્વીકારે એ જીવનને માધુર્ય અને ગાંભીર્ય આપનારી વાત છે, પણ ધર્મ અથવા રુઢિથી બળજબરીથી લદાયેલું વૈધવ્ય પાપ છે.’

આવો જ વિરોધ એમને પડદાની પ્રથાનો હતો. એને લીધે સ્ત્રીઓ છૂટથી હરીફરી શકતી નથી એટલું જ નહીં, તેમની પ્રગતિ અને શક્તિ રુંધાય છે. કૃપલાણીજી કહે છે ‘મેં ગાંધીને પડદાની સરિયામ ઉપેક્ષા કરતા જોયા છે. તેઓ અંત:પુરમાં પોતાને લઈ જવાય તેવો આગ્રહ રાખતા. પડદો પાળતા મુસલમાન કુટુંબોમાં પણ તેઓ સ્ત્રીઓને મળવાનો આગ્રહ રાખતા અને એ બાબતમાં કોઈની ના સાંભળતા નહીં. સ્ત્રીઓ પણ તેમને બારણાની તડમાંથી જોવાને બદલે રૂબરૂ જેવા માગતી.’ આ સ્ત્રીઓને મળવાની ગાંધીજીને એટલા માટે જરૂર હતી કે તેઓ એમ ઈચ્છતા હતા કે પુરુષોની સાથે સ્ત્રીઓ પણ દેશના સ્વાતંત્ર્ય માટેની અહિંસક લડતમાં ભાગ લે અને એ લડતના જીવંત અંગરૂપ રચનાત્મક કાર્યને આગળ ધપાવે. સ્ત્રીઓને વિકટ પરિસ્થિતિમાં મોકલતા તેઓ અચકાતા નહીં. સ્ત્રી પોતાને અબળા માને તેવું તેઓ ઈચ્છતા નહીં.

ગાંધીજીએ ભારતની સ્ત્રીઓને આઝાદીની લડતમાં ભાગ લેવા આમંત્રી તેનું કારણ ફક્ત એ જ નહોતું કે તેઓ પુરુષોની સમાન હતી, પણ એનું કારણ એ પણ હતું કે તેમનામાં કેટલાક ગુણો એવા હતા કે જેને કારણે તેઓ અહિંસક યુદ્ધમાં પુરુષો કરતાં ચડિયાતી હતી. અહિંસક યુદ્ધમાં અપાર ધીરજ અને મૂંગે મોઢે સહન કરવાની શક્તિની જરૂર પડે છે. તેઓ કહેતા, ‘સ્ત્રી એ અહિંસાની સાક્ષાત્‌ પ્રતિમા છે. અહિંસાનો અર્થ જ નિરવધિ પ્રેમ અને એવો પ્રેમ એટલે કષ્ટસહનની અસીમ શક્તિ … એકબીજાનાં પીંછાં ખેંચતી અને અંતરની શાંતિને સારુ તલસતી આજની દુનિયાને શાંતિની કળા શીખવીને પ્રેમનું સુધામૃત પાવા પુરુષ જેવા પુસ્તકિયા જ્ઞાનની નહીં, કષ્ટસહન અને શ્રદ્ધામાંથી નીપજતા સ્ત્રીના દૃઢ હૈયાની જરૂર છે.’

ઘરની બેઠક સુધી આવતાં પણ વિચાર કરતી ત્યારની સ્ત્રીઓ જાહેર જીવનમાં અને પુરુષોના સંસર્ગમાં આવવું પડે એવી સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લેતી કેવી રીતે થઈ? એ શક્ય બન્યું એનું કારણ ગાંધીજીનું અણીશુદ્ધ પવિત્ર ચારિત્ર્ય હતું. લડતમાં ભાગ લેતી સ્ત્રીઓ સલામત છે એવી સૌને ખાતરી રહેતી.

ગાંધીજી માનતા કે સ્ત્રીનું સૌંદર્ય તેના ચારિત્ર્યમાં છે. ‘સ્ત્રીએ પોતાને પુરુષના ભોગનું સાધન માનવાનું છોડી દેવું જોઈએ. હું જો સ્ત્રી હોત તો સ્ત્રીને પોતાનું રમકડું માનનાર પુરુષ સામે જરૂર બંડ કરત. જો સ્ત્રીએ સમાન ભાગીદાર બનવું હોય તો તેણે પુરુષને ખાતર, પોતાના પતિને ખાતર સુદ્ધાં શણગાર સજવાની ના પાડવી જોઈએ. તમારે તમારી સુવાસ ફેલાવવી હોય તો તે સૌંદર્યપ્રસાધનોમાંથી નહીં, તમારાં હૃદયકુસુમમાંથી ફેલાવવી પડશે. અને તમારાં હૃદયકુસુમ વિકસશે ત્યારે તમે પુરુષનાં મન હરણ કરતી મટીને મનુષ્યમાત્રનાં મન હરણ કરશો. એ તમારો જન્મસિદ્ધ હક્ક છે.’

આધુનિક કાળમાં સ્ત્રીઓના ઉદ્ધાર માટે ગાંધીજી કરતાં વધારે કોઈએ કર્યું નથી. સ્વાતંત્ર્યની લડતને કારણે તેમને પોતાની ફરજો બજાવવાનું શક્ય બન્યું અને ફરજ બજાવવાને પરિણામે હક્ક પ્રાપ્ત થતા હોવાથી સ્વાતંત્ર્ય પછી ભારતની સ્ત્રીઓને રાષ્ટ્રના જીવનનાં બધાં ક્ષેત્રોમાં પુરુષોની સાથે સમાન તકો આપવામાં આવી. આ બાબતમાં પુરુષો તરફથી કદી વિરોધ થયો નથી. યુરોપની અને અન્ય દેશોની સ્ત્રીઓને પોતાના અધિકાર મેળવવા લડત આપવી પડી હતી, ભારતની સ્ત્રીઓની બાબતમાં એવું બન્યું નથી.

ગાંધીજી પહેલા પણ સ્ત્રીઓ માટે કામો થયાં હતાં, પણ એમાં સ્ત્રીઓ નબળી છે, એમને મદદની જરૂર છે ને આપણે એમનો ઉદ્ધાર કરવાનો છે એ પ્રકારનો ભાવ હતો. ગાંધીજીએ એ વાતનો છેદ જ ઉડાડી દીધો. એમણે સ્ત્રીઓને પોતાની ક્ષમતાઓ પ્રત્યે જાગૃત કરી અને એનાથી સ્ત્રીઓમાં ગજબનો આત્મવિશ્વાસ અને હિંમત આવ્યાં. એમણે કહ્યું કે ‘સ્ત્રી પુરુષની સાથી છે અને તેનામાં પુરુષ જેટલી જ બૌદ્ધિક ક્ષમતા છે’. સ્ત્રી અને પુરુષ બન્ને માટે આ એક નવો દૃષ્ટિકોણ હતો. તેનાથી સ્ત્રીપુરુષસંબંધનો એક નવો આયામ ખૂલ્યો. પણ ‘સ્ત્રીને અબળા ગણવી એ ભૂલ છે, અન્યાય છે. જો તાકાતનો અર્થ નૈતિક બળ એવો કરીએ તો સ્ત્રી પુરુષ કરતાં નિ:શંકપણે ચડિયાતી છે’, આ વિધાન તો સ્ત્રીને ગાંધીજીની પોતાની, તેઓ જ આપી શકે એવી દેન હતી, છે અને રહેશે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 ઑક્ટોબર 2022

Loading

ગિરનાર પરિક્રમા ૨૦૨૨ (વિ. સં. ૨૦૭૯)

સંજય ચૌધરી|Opinion - Opinion|8 November 2022

ગુરુવાર, નવેમ્બરની ત્રીજી તારીખે (કાર્તિક સુદ દસમ) ત્રણેક વાગ્યે ગિરનાર તળેટી પહોંચ્યા અને માનવ મહેરામણ જોઈને લાગ્યું કે આ વખતે પરિક્રમામાં ભારે ભીડ હશે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ તો હજુ આવતી કાલે – દેવઊઠી અગિયારસ – પ્રબોધિની એકાદશ – ચોથી નવેમ્બરની રાતે થશે.  સામાન્ય રીતે લોકો નાના સમૂહમાં આઠમ કે નોમે પરિક્રમા શરૂ કરી દેતા હોય છે, પણ આ વરસે પ્રશાસને લોકોને અંદર જવા માટે ગેટ ત્રીજી તારીખે સવારે જ ખોલ્યો છે. જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં આશરે બે લાખ જેટલા માણસોએ તો પરિક્રમા પૂરી પણ કરી દીધી છે.

આ વખતે અમે સાત જણા છીએ – સુરેશ, રમેશ, ભોળાભાઈ, રમેશ (વકીલ), વિજય તથા મનોજ. વિજયે છેક સુધી ઇનોવા ગાડી ચલાવી છે પણ તેમને  સહેજે થાક નથી. તેઓ પોલીસ ફોર્સમાં છે અને  જીમમાં જઈને નિયમિત રીતે વ્યાયામ કરે છે. ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિસર્ચ કરવાની સાથે સાથે મનોજ નિયમિત ક્રિકેટ રમે છે તેમ જ તેનું કોચિંગ પણ લે છે. તે અમારા સહુની વ્યવસ્થા માટે તત્ત્પર હોય છે. બંને યુવાનો અમારા મોટા ભાગના કામ સરળ બનાવી રહ્યા છે. સુરેશ ગુજરાત એગ્રોમાં છે અને સતત વ્યવસ્થા કરતા રહેવું તેમના સ્વભાવમાં છે. તેમનો થાક્યા વગર વાગતો રહેતો મોબાઇલ ફોનનો અવાજ તળેટીમાં પહોંચીને અચાનક બંધ થઈ ગયો છે. અમારા માટે લાકડી તથા ટોર્ચની ખરીદી દરમ્યાન તેમના ખિસ્સામાંથી કોઈક ચાલાકીથી ફોન તફડાવી ગયું છે. રમેશ પોલીસ ફોર્સમાં છે, ખડતલ છે, ખેતરનું કામ નિયમિત રીતે કરે છે અને કોઈ પણ કામ કરવું કે ઉપયોગી થવું તેમને સહજ રીતે ગમે છે. સુરેશ તથા રમેશે અગાઉ સાતેક વાર પરિક્રમા કરી છે. ગિરનારની મારી આ બારમી પરિક્રમા થશે. ભોળાભાઈ જી.એન.એફ.સી.માં હતા અને બે વર્ષ અગાઉ સેવામાંથી નિવૃત્ત થયા છે. રમેશ વકીલાતના વ્યવસાયમાં છે. બંને અમારી સાથે પહેલી વાર જોડાયા છે. મેં જોયું કે બંનેને ધાર્મિક તથા આધ્યત્મિક વિષયમાં ઊંડો રસ છે. બંને મિત્રોને ચઢાણ વિશે ચિંતા રહે છે. જે રીતે બંને પોતાના શરીરને સાચવે છે તે જોતાં તેમને કોઈ તકલીફ પડે તેમ લાગતું નથી. મનસુખ સાવલિયા આ વખતે અમારી સાથે નથી જોડાઈ શક્યા પણ મેસેજ દ્વારા સમાચારની આપલે કરી રહ્યા છે.

ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કરી, રૂપાયતન પાસે થઈ, ઇંટવાની ઘોડી (પર્વત) તરફ ચાલ્યા. સહેજે પવન નથી  શરૂઆતમાં આ ઘોડી પરનું ચઢાણ હંફાવે છે પણ સાથે સાથે શરીરને પછીના આકરા ચઢાણ માટે તૈયાર કરે છે. ઇંટવાની ઘોડીની ઊંચાઈ ખાસ નથી અને તેના ચઢાણ પછીના ઢાળ પર વનવિભાગે લાઇટો પણ મૂકી છે. અગાઉ ૨૦૧૬ની પરિક્રમા દરમ્યાન જોયું હતું કે વનવિભાગ આ ક્ષેત્રમાં એકલદોકલને ચાલવા નહોતા દેતા કેમ કે ત્યાં દિપડાનો રંજાડ છે. ચઢાણ કે ઢાળ પર લિસ્સી થતી જતી માટીના કારણે લપસી પડાતું હોય છે. આ વખતે ઢાળ પર સિમેન્ટ-ક્રોંકીટનું તળિયું છે, જેના કારણે લપસી તો નથી પડાતું પણ ચાલવામાં ઘૂંટણ તથા પંજા પર વધારે ભાર આવે છે.

ધીમે ધીમે ચાલીને, વચ્ચે વિસામા લઈ, એકાદ વાર રસ્તાની બાજુમાં રીતસરના આડા પડી જઈને થાક ઉતારતા ઉતારતા કાળકા માતાના વડલા પાસે આવી, ઝીણા બાવાની મઢી પહેલાં ડાબી બાજુએ આગળ જઈ, લગભગ ચૌદેક કિલોમીટર ચાલ્યા પછી એક સ્ટોલના મંડપમાં લંબાવ્યું. સાથી મિત્રો ઝીણા બાવાની મઢી તથા મંદિરના દર્શને ગયા. મઢીની અંદર રામનાથ મહાદેવનું મંદિર અને ઝીણાબાવાનો ધૂણો છે. બાજુમાં મુંબઈથી આવેલા સંઘના લોકો સૂઈ રહ્યા છે. તેઓ પણ દર વર્ષે પરિક્રમામાં જોડાય છે. આસપાસ દૂર દૂર સુધી તાપણાં દેખાય છે. રસોઈ માટેનાં તાપણાંનો મોડી રાતે ઉપયોગ ઠંડી ઉડાવવા માટે પણ થશે. જો કે ગિરનારના આ ભાગમાં રાતે ઠંડી નથી લાગી રહી. ક્યારેક હળવો પવન વર્તાય છે. રાતે ક્યારેક જાગીને જોઈએ તો ઠરતાં જતાં તાપણાંમાંથી અંગારા ઉડતા દેખાય છે.

વહેલી સવારે ત્રણેક વાગ્યે સરકડિયા હનુમાનની ઘોડીનું ચઢાણ શરૂ કર્યું. ઝીણાબાવાની મઢીથી બે રસ્તા ફંટાય છે. એક રસ્તો માળવેલાની ઘોડી તરફ અને બીજો રસ્તો સરકડિયા હનુમાનની ઘોડી તરફ. મોટા ભાગના લોકો માળવેલાની ઘોડી તરફ જાય છે. સરકડિયા હનુમાનની ઘોડી લાંબી છે, આકરી છે, અને ક્યારે તેનું ચઢાણ પૂરું થશે તેનો ખ્યાલ જ નથી આવતો. આગળ ઉપર જતાં એક જગ્યાએ રસ્તામાં મોટી શિલા છે. તેની બાજુમાંથી માત્ર એક જ માણસ જઈ શકે અને તેની જમણી બાજુએ ખાઈ છે ! આ ભાગ ભયજનક છે. આગળ ઉપર જતાં લિસ્સી માટી લપસાવે છે. ઘણી બધી વાર આગળ બાજુએ નમીને જ ચાલવું પડે છે. ચઢાણ લગભગ પૂરું થવા આવ્યું છે. ધીરે ધીરે અને મક્કમ રીતે ચાલીને ઉપર જઈ એક બાજુએ અમે સહુ આડા જ પડી ગયાં. ઉપર આકાશમાં ટમટમતા તારા, આસપાસ મૌન ધારણ કરીને ઊભેલા પહાડો, ઠંડો ઠંડો મંદ મંદ પવન, વૃક્ષોનાં પાંદડાંનો અવાજ અને નીચે દૂર દૂર દેખાતો હસનાપુર ડેમ. ક્યારે આંખ મિંચાઈ ગઈ તેની ખબર જ ના રહી. હળવે હળવે આંખો ખૂલી અને જોયું તો જમણી બાજુના પહાડના માથા પરથી સૂર્યના કિરણો આસપાસમાં ફેલાઈ રહ્યાં છે. રમેશ પોતાનાં ખેતરમાંથી લીમડાનાં દાતણ લાવ્યા છે અને અમને સહુને આપી રહ્યા છે.

થોડુંક ઉપર ચઢી, ટોચ પર થોડીક વાર ઊભા રહી, ઢાળ ઉતરવા માંડ્યા. આજે શુક્રવારે મોડી રાતે અથવા શનિવારે વહેલી સવારે ગિરનાર તળેટી પહોંચી જવું છે એટલે આજે લગભગ પચીસેક કિલોમીટર ચાલવું જ પડશે. સરકડિયા હનુમાન મંદિરમાં દર્શન કર્યા. મંદિરની આસપાસની જગ્યામાં થતું નવું બાંધકામ જોઈ આશ્ચર્ય પણ થયું. માથા પર તાપ આવી રહ્યો છે અને આ વર્ષે બપોરનો તાપ આકરો લાગી રહ્યો છે. માળવેલા જતા રસ્તામાં વહેળાને જોઈને મન રોકી ના શકાયું. માળવેલાની જગ્યામાં મહાકાળીમાતા, શાંતિનાથ મહાદેવ તથા ભૈરવનાથનું મંદિર છે.  પુરાણોમાં એવા ઉલ્લેખ છે કે પરશુરામનો આશ્રમ અહીં હતો તથા રામગંગાનું વહેણ અહીં છે. બપોર આકરો બને તે પહેલાં નળ પાણીની ઘોડી પસાર કરી બોરદેવીની જગ્યામાં પહોંચી જવું છે, જેથી થોડોક આરામ કરીને મોડી રાતે ભવનાથ તળેટી પહોંચી શકાય.

નળ પાણીની ઘોડીના ચઢાણ પહેલાં વિજયે મારો થેલો ઊંચકી લીધો છે અને તેના કારણે મને રાહત છે. ટોચ પર પગથિયાંને કારણે ચઢવામાં રાહત છે. અગાઉ આ જગ્યાએ લિસ્સી માટીને કારણે લોકો લપસી પડતા. ભીડ સતત વધી રહી છે અને એકદમ ધીમે ધીમે આગળ વધી શકાય છે. અહીં ટોચ પરના ટાવરમાં વનકર્મીઓ પરિક્રમામાં જોડાતા લોકોની ગણતરી કરે છે. ટોચ પર ચઢીને તરત જ ઉતરવાના પગથિયાં શરૂ થઈ જાય છે આ ભાગ સાંકડો થઈ જાય છે અને લોકોની ધીરજ પણ ખૂટતી જાય છે. આ બાબત ક્યારેક જોખમી બની શકે છે.

બોરદેવીની જગ્યામાં પહોંચતા અંધારું થઈ ગયું. અહીં આડા પડેલા થડ પર બેઠા. બાજુમાં એક યુવાન તેના કેમેરાથી ફોટા પાડી રહ્યો છે. થોડી વારે તેણે પૂછ્યું, “તમે સંજય ચૌધરી ને ?” પછી તો નિરાંતે વિસ્તારથી વાત થઈ. શ્યામ ખંભોળજા વલ્લભવિદ્યાનગર સ્થિત બી એન્ડ બી પોલિટેકનીકમાં ફિઝીક્સના અધ્યાપક છે. તેમની આ પહેલી પરિક્રમા છે. તેમણે પરિક્રમા પૂરી કર્યા પછી તેમણે તૈયાર કરેલો કલાત્મક વીડિયો મોકલ્યો છે. જે અહીં મેં મૂક્યો છે. તેઓ ફેસબુકમાં એક્ટિવ નથી અને ઇન્ટાગ્રામમાં તેમની આઈ.ડી.  છે –  Shyam3n

રાતે બોરદેવી માતાના દર્શન કરી, થોડોક આરામ કરીને વહેલી સવારે ભવનાથ તળેટી તરફ ચાલ્યા. ખાસ ભીડ નથી એટલે ઘૂળ પણ ઉડતી નથી. તળેટી પહોંચી ગયા ત્યારે સવારના લગભગ ત્રણ વાગ્યા હતા. આસપાસના મંદિરોમાં ભજનો ગવાઈ રહ્યા છે. ભવનાથ મંદિરે મહાદેવના દર્શન કરીને ઘોરાજી નીકળી ગયા. ગિરનાર પરિક્રમા દરમ્યાન થયેલા અન્ય અનુભવો વિશે વિસ્તારથી લખવું છે.

રમેશભાઈની  ભાણેજ  કોમલ  તથા  ભાણેજજમાઈ  પીયૂષ  ધોરાજી  રહે  છે. પીયૂષ  સર્વ  શિક્ષા અભિયાનમાં નોકરી કરે છે. કોમલ નાનપણમાં તેના રમેશમામાને ત્યાં બાપુપુરા રહેલી  એટલે અમારાથી થોડીક પરિચિત પણ છે. પીયૂષની સાથે તેમના પડોશી મિત્ર શૈલેશભાઈ બાલધા તથા તેમના બે દીકરા પરિક્રમામાં અમારી સાથે જોડાયેલા અને ઝડપથી ચાલતા તેથી અમારી આગળ રહેલા. કોમલ – પીયૂષના ઘરે આરામ કરી સવારે નવેક વાગ્યે સહુ તૈયાર થઈ ગયા.

તેમની બે દીકરીઓ કેયા તથા જીસાનો પણ પરિચય થયો. જીસા દોઢેક વર્ષની છે. તેને શરૂઆતમાં અમારા સહુમાં રસ નહીં પડેલો. પછી તેણે તેની ભાષામાં અમારા સહુ સાથે સંવાદ શરૂ કર્યો. ભલે અમને તે સમજાતું નહોતું પણ તેમાં સૂર તો પૂરાવતા રહ્યા.

શૈલેશભાઈને દોરી બનાવવાની ફેકટરી તેમ જ વાડી પણ છે. તેમનાં પત્ની સોનલબહેન ઘોરાજીમાં કોર્પોરેટર છે. નીકળતી વખતે કોમલ તથા તેનાં સાસુએ અમે સોમનાથથી વળતી વખતે તેમના ઘરે ભોજન માટે આવીએ તે માટે ખાસ આગ્રહ રાખેલો. મહેમાનોની આગતા  સ્વાગતા માટે તત્ત્પર આ કુટુંબના સહુ સભ્યો તેમ જ તેમના પડોશીઓના ચહેરા ખાસ યાદ રહેશે.

સોમનાથ પહોંચ્યા અને તે જ વખતે થતી આરતીનો લાહવો મળ્યો. આરતી પછીના સુંદર અને સ્પષ્ટ મંત્રોચ્ચાર મનને અપૂર્વ શાંતિનો અનુભવ કરાવે છે. સામે સમુદ્ર હિલોળે ચઢ્યો છે. ઇચ્છા તો થાય કે ત્યાં જ બેસી રહીએ. સોમનાથદાદાના દર્શન કરી અમે સહુ નીકળ્યા. ભાઈ વિજયે થાક્યા વગર સરસ રીતે ઇનોવા ચલાવી રવિવારે વહેલી સવારે અમદાવાદ પહોંચાડી દીધા. ગિરનારની પરિક્રમા પૂરી કરીને આવીએ એટલે ઘરમાં થોડાક દિવસ માટે ચેન નથી પડતું. તે સ્થળ જ એવું છે તથા તેનું મહાત્મ્ય જ એવું છે કે તે સતત યાદ આવ્યા જ કરે.

જય ગિરનારી.

સૌજન્ય : સંજયભાઈ ચૌધરીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2961,2971,2981,299...1,3101,3201,330...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved