Opinion Magazine
Number of visits: 9458515
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—158

દીપક મહેતા|Opinion - Opinion|13 August 2022

સ્વતંત્રતા સંગ્રામના સેનાની અને ગાયક 

અંધ કવિ હંસરાજ હરખજી કાનાબાર  

ઊતર્યાં રે કાંઈ આથમણે ઓવાર રે 

પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં 

આપણા દેશની આઝાદીની લડત વખતે માત્ર મુંબઈના રસ્તાઓ પર જ નહિ, ગુજરાતના ચોરે-ચૌટે પણ આ ગીત ગવાતું. પ્રભાત ફેરીઓમાં, સભા-સરઘસોમાં. અને એ સાંભળતા જ પરદેશી સરકારની તાબેદાર પોલીસના દેશી સિપાઈઓ લાકડી લઈને ગાનારાઓ પર તૂટી પડતા. પણ કેમ? કારણ સરકાર માબાપે આ ગીત પર, એના રચનારનાં બીજાં ગીતો પર પણ પ્રતિબંધ મૂકેલો, આજે પણ જે વારંવાર વપરાય છે તે ‘દેશદ્રોહ’નો ગૂનો દાખલ કરીને. ૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે : “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” હા, એક જમાનામાં ઓળખતું હશે. આજે તો આ નામ સાવ અજાણ્યું બની ગયું છે. આઝાદીનાં ૭૫ વરસના સરકારી ઉજવણામાં ઘણાં ઢોલ-ત્રાંસા વાગે છે. એમાં આવી વીતેલાં વર્ષોની પિપૂડી તે વળી કોણ સાંભળે?

અંધ કવિ હંસરાજભાઈ

પણ આ હંસરાજભાઈ હતા કોણ? ૧૯૨૨માં પ્રગટ થયેલ પુસ્તક ‘કાવ્ય ત્રિવેણી.’ ૧૩૨ પાનાંના આ પુસ્તકના ટાઇટલ પેજ પર છાપ્યું છે : ‘રચી પ્રસિદ્ધ કરનાર હંસરાજ હરખજી અમરેલીવાળા.’ પુસ્તક છપાયું છે ભાવનગરના જાણીતા સરસ્વતી છાપખાનામાં. એ જમાનામાં તેની એક હજાર નકલ છપાઈ હતી. તેમાંનાં ઘણાંખરાં કાવ્યો હંસરાજભાઈની ઉત્કટ દેશદાઝને પ્રગટ કરે છે. પુસ્તકની શરૂઆતમાં ‘ચી. ભાઈ હંસરાજ હરખજીનું સંક્ષેપ જીવન વૃત્તાંત’ છાપ્યું છે જે લખ્યું છે તેમના પિતા હરખજી કલ્યાણજીએ. તેમાં જણાવ્યું છે કે હંસરાજભાઈનો જન્મ સંવત ૧૯૪૮ના આસો વદી ૪(એટલે ૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૨)ના રોજ થયો હતો. જન્મ વખતે તેમની આંખોમાં કશો રોગ નહોતો, પણ છ એક મહિનાની ઉંમરે આંખની તકલીફ શરૂ થઈ. પહેલાં ઘરગથ્થુ ઉપાય કર્યા, અને પછી દાક્તરી સારવાર. તે માટે છ મહિના જૂનાગઢ રહીને ડોક્ટર ત્રિભુવનદાસની દવા કરી. પણ છેવટ ત્રણ-ચાર વર્ષની ઉંમરે બંને આંખો ગુમાવી. પરંપરાગત રીતે શિક્ષણ આપવાનું શક્ય નહોતું એટલે મીણના અક્ષરો અને આંકડા બનાવી સ્પર્શ દ્વારા અક્ષરજ્ઞાન આપ્યું. યાદદાસ્ત સારી હોવાથી કવિતા અને ભૂગોળનું શિક્ષણ સાંભળીને મેળવ્યું, અને આઠ વર્ષની ઉંમરે બીજા ધોરણની પરીક્ષામાં પાસ થયા. પછી એ જ રીતે ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ મોટે ભાગે અમરેલીમાં રહી પૂરો કર્યો. સાથોસાથ ગાયન અને તબલાં તથા હારમોનિયમ વગાડવાની તાલીમ પણ લીધી. છ એક મહિના મુંબઈની વિક્ટોરિયા બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ થયા અને બ્રેલ લિપિનું જ્ઞાન મેળવ્યું, પછી ફરી અમરેલી જઈ અંગ્રેજી શીખ્યા અને મેટ્રિકની પરીક્ષા આપી, પણ વિજ્ઞાનના વિષયમાં નાપાસ થયા. પછી ત્રણ વર્ષ વડોદરા રહી ત્યાંની મુખ્ય સંગીત શાળામાં તાલીમ લીધી અને ફિડલ, વીણા, દિલરૂબા, સિતાર, જલતરંગ જેવાં વાદ્યો વગાડતાં શીખ્યા. એક જલસામાં ફિડલ વગાડવા માટે ૭૫ રૂપિયાનું ઇનામ મેળવ્યું. અમરેલી જઈ હારમોનિયમ શિક્ષક તરીકેની નોકરી કરી. ૧૯૨૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે લખેલા આ જીવન વૃત્તાંતને અંતે તેમના પિતા લખે છે : “ભાઈ હંસરાજની કવિત્વ, વાદ્ય અને ગાયનની શક્તિ ઘણી સારી અને ઊંચા પ્રકારની છે. તે સાથે તેમની યાદદાસ્ત પણ ઘણી સારી અને ઉત્તમ છે.”

જીવન વૃત્તાંત પછી હંસરાજભાઈનું ચાર પાનાંનું નિવેદન છપાયું છે. તેમાંથી જાણવા મળે છે કે ૧૯૨૧-૧૯૨૨ના અરસામાં અમરેલીના ખાદી ભંડારે કાઠિયાવાડમાં બધે ફરીને પોતાનાં ગાયન-વાદનથી સ્વદેશીનો પ્રચાર કરવાનું કામ હંસરાજભાઈને સોપ્યું હતું. પોતે જે લખે છે તેની ગુણવત્તા અંગે તેઓ પૂરેપૂરા સભાન છે. નિખાલસતથી લખે છે : “મારાં કેટલાંક ગીતો માત્ર જન સમાજ પર અસર કરવા સારૂ માત્ર જોડકણાં છે. એમાં કવિતાનો એક પણ અંશ નથી. એવાં જોડકણાંને કવિતા કહી કાવ્યમાતાનો ઉપહાસ હું હરગિજ ન કરૂં.” આ ‘કાવ્ય ત્રિવેણી’નું પહેલું વહેણ ભક્તિ કે અધ્યાત્મને લગતી ૩૯ રચનાઓનું છે. બીજું વહેણ દેશભક્તિની રચનાઓનું છે. આ વિભાગની શરૂઆતમાં અલગ ‘અર્પણ પત્રિકા’ અને ‘મંગળાચરણ’ની પદ્યકૃતિઓ મૂકી છે. માતૃભૂમિને અર્પણ કરતાં લખે છે :

ઓ હિન્દ! ધર્મ ધાત્રી, સઘળું તને સમર્પું;
તેત્રીસ કોટિ ત્રાત્રી, સઘળું તને સમર્પું.
આ દેહ ને જીવન આ, આત્મા અને હૃદય આ;
આ પ્રેમ, આ સબંધો, સઘળું તને સમર્પું.

વ્યસનોનો વિરોધ કરતી રચનાઓમાં હોટેલનો વિરોધ કરતી એક રચના પણ છે. હોટેલ સામેના વિરોધનું એક મુખ્ય કારણ એ કે તેમાં વર્ણાશ્રમના ભેદ જળવાતા નથી.

એક જ ડોલ તણી ગંગામાં સર્વે પ્યાલા પાવન થાય,
શૂદ્ર તણો પીધેલો પ્યાલો એમ જ બ્રાહ્મણને દેવાય.
એકબીજાના મુખ વિષે અથડાએ એક બીજાના શ્વાસ,
શસ્ત્ર વિના વર્ણાશ્રમ કેરું હોટલ વાળે સત્યાનાશ.

ગાંધીજી પ્રેરિત આઝાદી માટેની ચળવળના સેનાની અને ગાયક ન્યાત-જાતના ભેદમાં માનતા હોય એ જોઈ થોડી નવાઈ લાગે. પણ એ સમયગાળાને ધ્યાનમાં રાખીએ તો તેમનું વલણ સમજી શકાય. અને આવા ભેદ તો હજી આજે ય તે પૂરેપૂરા દૂર ક્યાં થયા છે?

હંસરાજભાઈનું સૌથી મહત્ત્વનું પુસ્તક નવેમ્બર ૧૯૩૮માં પ્રગટ થયું હતું. ૮૮૦ પાનાંના આ દળદાર કાવ્યસંગ્રહનું નામ છે ‘હંસ માનસ’. જો કે તેના ટાઈટલ પેજ પર રચનાર તરીકે માત્ર ‘કવિ હંસ’ એટલું જ છાપ્યું છે. અમરેલીના મિનરવા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા પુસ્તકની કિંમત ફક્ત ત્રણ રૂપિયા હતી. તેનું એક કારણ એ કે પુસ્તકના પ્રકાશનની બધી જવાબદારી ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ઉપાડી લીધી હતી. પુસ્તકના ટાઇટલ પેજ પર પ્રકાશક તરીકે પણ તેમનું જ નામ છાપ્યું છે. જો કે પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે પટ્ટણીસાહેબનું અવસાન થયું હતું. કવિએ પુસ્તક તેમને જ અર્પણ કર્યું છે અને છ પાનાંનું અર્પણ કાવ્ય તથા ફોટો પણ મૂક્યાં છે. પુસ્તકની શરૂઆતમાં કાકાસાહેબ કાલેલકરની બે પાનાંની પ્રસ્તાવના છે. જો કે માંદગીને કારણે કાકાસાહેબ બધાં કાવ્યો વાંચી શક્યા નહોતા. છતાં તેઓ લખે છે : “કવિ હંસરાજ ગુજરાતના જાહેર જીવનના એક અત્યંત ઉજ્જવળ યુગના પ્રતિનિધિ થઈ શક્યા છે. ગુજરાતે જે જે પરાક્રમો કર્યાં, જે જે ક્ષેત્રો ખેડ્યાં, તે બધાં સાથે કવિએ સમરસ થઈ તેનું વાતાવરણ ગુજરાતી ભાષામાં શબ્દબદ્ધ કરી આપ્યું છે. કવિની ભાષા સરળ છે, સંસ્કારી છે, અને જોમદાર છે.”

કાકાસાહેબની પ્રસ્તાવના પછી હંસરાજભાઈનું પાંચ પાનાનું નિવેદન છે, તેમાંથી એ માહિતી મળે છે કે હંસરાજભાઈ આઝાદીની લડત દરમ્યાન ૧૯૨૩, ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલમાં ગયા હતા. અને પુસ્તકમાંનાં ઘણાં કાવ્યો કારાવાસ દરમ્યાન લખાયાં હતાં. સંગ્રહમાંની રચનાઓને આઠ વિભાગમાં વહેંચી છે : છંદ વિભાગ (૧૭ રચનાઓ), યુવાન વિભાગ (૭૪), રાસ વિભાગ (૫૫), બાળ વિભાગ (૧૧), હરિજન વિભાગ (૩૨), અધ્યાત્મ વિભાગ (૫૩), ભક્તિ વિભાગ (૮૬), અને શેષ વિભાગ (૬૪). કુલ ૩૯૨ રચનાઓ.

હંસરાજભાઈનું ત્રીજું પ્રકાશન તે માત્ર ૩૦ પાનાંની એક પુસ્તિકા. છેલ્લે પાને છાપેલી માહિતી પ્રમાણે રાણપુરના સ્વાધીન મુદ્રણાલયમાં મનુભાઈ અમૃતલાલ શેઠે આ પુસ્તિકા છાપી હતી અને કવિ હંસે ભાટીઆ શેરી, અમરેલીથી પ્રગટ કરી હતી. બીજી એક વાત પણ ખાસ ધ્યાન ખેંચે છે : એ જમાનામાં હંસરાજભાઈની સૌથી વધુ ગવાતી રચના તે ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યા.’ પણ ‘કાવ્ય ત્રિવેણી’ પુસ્તકમાં કે ૧૯૩૮માં પ્રગટ થયેલ ‘હંસ માનસ’માં આ રચના જોવા મળતી નથી. બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો તેને કારણે આમ બન્યું હોય. પણ રાણપુરમાં છપાયેલી પુસ્તિકામાં આ રચના જોવા મળે છે જે પૂરાં સાત પાનાં રોકે છે. 

૨૦૧૦માં કાલિન્દી પરીખ સંપાદિત ‘હંસ-માનસ’ સંગ્રહ અમરેલીના સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયો છે. તેમાં કુલ ૧૨૯ રચનાઓ સમાવી છે. પાછલા પૂંઠા પર ‘ટોપીવાળા’ કાવ્યની ફક્ત ૧૯ પંક્તિ છાપી છે. આખું કાવ્ય પુસ્તકમાં નથી. પુસ્તકની શરૂઆતમાં કિશોરભાઈ મહેતા, કાલિન્દી પરીખ, છેલભાઈ વ્યાસ, જસવંત કાનાબાર (કવિ હંસના પિત્રાઈ મોટા ભાઈ) તથા રાજેન્દ્ર દવેનાં લખાણો મૂકાયાં છે. તેમાંથી કેટલીક મહત્ત્વની માહિતી મળે છે.

હંસરાજભાઈ મુંબઈમાં જ્યાં રહેતા તે આર્યનિવાસ

કવિ હંસ અપરિણીત હતા. ૧૯૪૮ સુધી તેઓ અમરેલીની ભાટીઆ શેરીમાં આવેલા નાના મકાનમાં એક માત્ર બહેન ગોદાવરીબહેન, તેમના પતિ કાનજીભાઈ, તથા ભાણેજ અમૃતલાલ સાથે રહેતા હતા. ત્યાર બાદ સંગીતનાં ખાનગી ટ્યૂશન આપવા તેઓ મુંબઈ આવ્યા અને ૧૯૪૮થી કાલબદેવી પરના ‘આર્ય નિવાસ’ નામના ગેસ્ટ હાઉસમાં કાયમી ધોરણે રૂમ રાખી રહેવા લાગ્યા. થોડા વખત પછી ભાણેજ અમૃતલાલ અને તેમનાં પત્ની સાવિત્રીબહેનને પણ મુંબઈ બોલાવી ગાયવાડીમાં ભાડાની જગ્યામાં રાખ્યાં. એ જ અરસામાં જસવંત કાનાબાર પણ મુંબઈવાસી બન્યા હતા અને હંસરાજભાઈને સતત સાથ આપતા હતા. કવિ ઉપરાંત હંસરાજભાઈ સારા ગાયક પણ હતા તેથી મુંબઈમાં ઘણી વાર ઘર, મંદિર, વગેરેમાં ગાવા જતા. ૧૯૫૭ના માર્ચ મહિનાના એક ગુરુવારે (ચોક્કસ તારીખ મળતી નથી પણ ૧૯૫૭ના માર્ચની ૭, ૧૪, ૨૧ અને ૨૮મી તારીખે ગુરુવાર હતો એટલે આ ચારમાંની કોઈ એક તારીખે) રાતે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં કુંવરજીભાઈના ઘરમાં આવેલા જલારામબાપાના મંદિરમાં ભજનો ગાવા ગયા હતા. રાતના સાડા અગિયારના સુમારે પોતાનું ‘આવ્યો તમારે દ્વાર, આવ્યો તમારે દ્વાર, મંદિરિયે લ્યો લ્યો હરિ!’ એ ભજન ગાતાં ગાતાં અત્યંત ભાવવિભોર થઈ ગયા અને અણધાર્યા હૃદયરોગના હુમલાથી એ જ સ્થળે તેમનું અવસાન થયું. 

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”, 13 ઓગસ્ટ 2022

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૨) 

સુમન શાહ|Opinion - Literature|13 August 2022

અનુવાદોનો સહ્ય અને આવકાર્ય પ્રકાર ભાવાનુવાદ છે. ભાવાનુવાદથી જ મૂળ કૃતિના પ્રાણની રક્ષા થતી હોય છે. બહુશ: હું એ પ્રકાર જ અપનાવું છું. આ ‘સાર-સંક્ષેપ’-માં પણ એનો જ વિનિયોગ છે.

અનુવાદોનો નિકૃષ્ટ પ્રકાર તરજૂમો છે. એથી મૂળ કૃતિની અને અનુવાદના વાચકોની સાહિત્યકલારુચિની ઘોર હત્યા થાય છે. તરજૂમો અનુવાદક્ષેત્રનો કચરો છે. એનાથી સાહિત્યના જાણતલોએ અને પ્રેમાળ સાહિત્યરસિકોએ હમેશાં દૂર રહેવું.

વાચકે યાદ રાખવું જોઈશે કે કથા ઇતિ-હ-આસની રીતે નથી લખાઇ. સમયમાં લેખક આગળ પાછળ જાય છે. એથી, પિલ્લાં વાળવાની રીતે રજૂ થતા મૌખિક ઇતિહાસની ઔપચારિકતા તૂટે છે. પરિણામે, એક મિથિક ફીલ આવે છે.

પ્રકરણ : ૨ :

કથક કથાને હવે પાછળના સમયમાં લઈ જાય છે.

હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાન એક નાના ગામમાં જન્મ્યાં હતાં. બન્ને કઝિન્સ હતાં, છતાં લગ્ન-સમ્બન્ધથી જોડાયેલાં.

રિઓહાચ પર સર ફ્રાન્સિસ ડ્રેકે હુમલો કરેલો. આ બે જણાં ડ્રેકના હુમલાથી બચી ગયેલાંઓનાં સન્તાનોનાં સન્તાનો થાય.

વાત એમ છે કે ઉર્સુલા પોતાના લગ્નસમ્બન્ધને સમ્ભોગથી પરિપૂર્ણ કરતાં ડરતી’તી, કેમ કે એ એમ સમજતી’તી કે નજીક નજીકનાં સગાંઓ વચ્ચેના સમ્ભોગથી ખોડખાંપણવાળાં બાળકો જન્મે છે. અને એમ બનવા ય લાગેલું – એમનાં બે સગાંઓએ ડુક્કરની પૂંછડીવાળા બાળકને જન્મ આપેલો.

લગ્ન પછી સમય વીતતો ગયો, પણ સમ્ભોગ માટે ઉર્સુલાની ‘ના’, ‘હા’ ન થઈ તે ન જ થઈ. બન્યું એમ કે ગામલોકો હોસેનો ઠઠ્ઠો કરવા લાગ્યા.

એક પ્રુદેન્સિયો આગિલાર નામનો જન, હોસેનો હરીફ, હોસેને ‘નપુંસક’ કહે છે. હોસે એની હત્યા કરે છે. જો કે, હોસેને પ્રુદેન્સિયો ભૂત ભાસે છે, એને ગુનાઇતતાની લાગણી થાય છે. હોસેને એમ સમજાય છે કે પ્રુદેન્સિયોને મારી નાખીને પોતે ઘણું ખોટું કર્યું છે; ઘર છોડીને નીકળી ગયેલો.

ઘણા મહિનાઓના ભટકાર પછી એણે માકોન્ડો ગામની સ્થાપના કરેલી.

જિપ્સીઓએ બતાવેલો બરફ જોઈને હોસેને યાદ આવેલું કે પોતે કેવુંક માકોન્ડો રચવા માગતો’તો. એણે ઇચ્છ્યું હતું કે ગામનાં બધાં ઘરની દીવાલો દર્પણની બની હોય, એટલે કે, એની નજરે, બરફની.

વળી પાછો એ દીકરા ઔરેલિયાના સાથસંગાથમાં, પોતાના વિજ્ઞાન-અધ્યયનમાં મચી પડે છે.

દરમ્યાન, મોટા દીકરા હોસે આર્કાદિયોને, જે હજી તો કિશોર હતો, ગામની એક પિયાર તરનેરા નામની યુવતી વાપરી જાય છે. કહે છે, તરનેરા હોસેના મોટી સાઈઝના શિશ્નથી લલચાઈ ગયેલી. તેથી, સરવાળે, હોસે આર્કાદિયોથી તરનેરાને ગર્ભ રહે છે.

પરન્તુ બાળક અવતરે એ પહેલાં, પોતે પિતા બને એ પહેલાં, હોસે આર્કાદિયો એક જિપ્સી છોકરીને મળ્યો અને એના પ્રેમમાં પડ્યો. પાગલ એવો કે જિપ્સીઓ માકોન્ડો છોડીને જતા’તા ત્યારે એમની જોડે નીકળી ગયો.

એ મોટા દીકરાને જતો જોઈને ઉર્સુલાને ઘણું દુ:ખ થયેલું. તેમ છતાં, પોતાની નવજાત બાળકી અમરન્તાને ઝૂલતી મેલીને એ પણ જિપ્સીઓ જોડે જોડાઈ ગયેલી. 

પાંચ મહિના પછી ઉર્સુલા પાછી ફરે છે. બે દિવસના રઝળપાટ પછી જુએ છે કે પેલું કળણ માકોન્ડોને સભ્ય સમાજ સાથે કેવું તો જોડી રહ્યું છે. 

(હવે પછી, પ્રકરણ -૩)
(August 14, 2022: USA)
Pic courtesy : The New York Times.
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પોતીકું લાગતું ઘર મકાન-મિલકત બની જવાની વ્યથા

આરતી નાયર|Opinion - Opinion|13 August 2022

આશિષ કક્કડથી ઉંમરમાં બે દાયકા નાનાં, પણ તેમનાં અત્યંત નિકટનાં મિત્ર એવાં લેખિકા આલેખે છે એ ઘરનો મહિમા, જે આશિષ કક્કડના વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંને આબાદ વ્યક્ત કરતું હતું.

—

એ ઘરની પહેલી મુલાકાત મારી કલ્પનાથી તદ્દન વિપરીત રહી હતી. તે શહેરના એક જાણીતા કલાકાર હતા. હું માંડ બે-એક મહિનાથી એમને ઓળખતી હતી અને એમના વિશે એટલું જાણી ચૂકી હતી કે તે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા અતરંગી માણસ હતા. મને હતું કે તેમનું ઘર ખૂબ જ કલાત્મક હશે અથવા મસ્ત મજાનો મોટો બંગલો હશે. પણ કાટ ખવાઈ ગયેલો ઝાંપો ધીમેથી ખોલીને, આડેધડ ઊગી નીકળેલાં ડાળી-ડાળખાં રસ્તામાંથી હટાવતાં ઘરમાં હું ઘરમાં દાખલ થઈ, ત્યાં જ મને સમજાઈ ગયું કે આ કંઈક અલગ છે. ઘરના વરંડામાં અઢળક લીલોતરી હતી, પણ વ્યવસ્થિત બગીચા જેવી નહીં. ઝાડવાં તેમની મરજી પ્રમાણે ઊગી નીકળ્યાં હતાં. ઘરના મુખ્ય બારણા પાસે ઠીક ઠીક કટાયેલો એક હીંચકો હતો, જેની છત પરનાં કેટલાંક નળિયાં તૂટેલાં હતાં.

એમણે ચહેરા પર સ્મિત સાથે બારણું ખોલ્યું અને ઉષ્માપૂર્વક ભેટ્યા. અમારી વચ્ચે ઉંમરમાં વીસ વરસનો તફાવત હતો. છતાં જે સહજતાથી અમે ભળી ગયેલાં, એની મને પણ નવાઈ લાગી. ઓરડામાં ખૂણામાં સોફા પડ્યો હતો. હું હજી બેસું એ પહેલાં જ તેમણે ચોખવટ કરી, “બધું જરા અસ્તવ્યસ્ત લાગશે. પણ હું આમ જ રહું છું. એટલે તું આરામથી બેસ.”

“બિલકુલ નહીં,” મેં ખોટેખોટું કહ્યું. અમારી વચ્ચેના નાના ટેબલ પર ઢગલાબંધ વસ્તુઓ ખડકાયેલી હતી. જેમનું કવર પણ ખૂલ્યું ન હોય એવાં મૅગેઝિન, નહીં ખોલાયેલાં કુરિયર, બૅન્કના ચેક ને ચેકબૂક, ધૂળ ખાતાં પુસ્તકો, કોરી ડાયરીઓ, બિઝનેસ કાર્ડ અને એચ.પી.નું એક જૂનુંપુરાણું કાળું લૅપટોપ. પુસ્તકો મને હંમેશાં આકર્ષે. તે પડ્યાં હોય તો જોવાનું મન થાય જ. ખડકલામાંથી મેં એક પુસ્તક ઉઠાવ્યું, ત્યાં તો કેટલીક ચોપડીઓ નીચે પડી. તરત તેમણે કહ્યું, “કશો વાંધો નહીં. ચાલ્યા કરે.” મેં ક્ષોભ સાથે કહ્યું, “સૉરી! હું જરા ક્લમ્ઝી (અથડાવા-કુટાવા-પડવા-આખડવાવાળી) છું.” તે હસીને કહે, “ડોન્ટ વરી. મારું પણ એવું જ છે.”

તેમના ઘરના પડદા આછા પીળા રંગના હતા. પાછળ દીવાલો પણ એ જ રંગની હતી. દીવાલ પર ચાર ફોટા હતા, જે તમામ તેમનાં સ્વર્ગસ્થ માતા-પિતાના હતા. મેં એ લોકોના અવસાન વિશે પૂછ્યું (તે કેન્સરમાં મૃત્યુ પામ્યાં હતાં) અને કહ્યું કે તેમનો ચહેરો બિલકુલ તેમના પપ્પા જેવો લાગતો હતો. વાતચીત દરમિયાન એમણે મને કૉફી માટે પૂછ્યું. મેં તેમને મારા કૉફીપ્રેમ વિશે કહ્યું. પછી અમે ડાઇનિંગ ટેબલ પર વાતો કરવા બેઠાં. તેની ફરતે પાંચ ખુરશી હતી. મને થયું, ઘરમાં માણસ એક ને તેને આવડા મોટા ડાઇનિંગ ટેબલની શી જરૂર હશે? જો કે હું બોલી નહીં.

એ દિવસે તેમના ઘરેથી નીકળી ત્યારે મને વિશિષ્ટ પ્રકારની હૂંફની અનુભૂતિ થઈ રહી હતી. ઘર ભલે ઘણી રીતે વેરવિખેર હતું, પણ તેના વાતાવરણમાંથી જાણે મારા માટે આવકાર ઊઠતો હતો. એ ઘર આગળ જતાં મારું ઘર બની રહેવાનું હતું— મારું મજબૂત આશ્રયસ્થાન.

આ ઘરે જ હું ટેબલ ટેનિસ રમતાં શીખી. ઘરના ઉપરના માળે, એમના બેડરૂમની સામેના ઓરડામાં ટેબલ રાખેલું હતું. અમે ત્રણ-ચાર મિત્રો ત્યાં રમવામાં નિયમિત હતાં. રમતાં પહેલાં અને પછી અમે સૌ ધાબા પર બેસીને વાતો કરતાં. હું આ ઘરમાં જ ફિલ્મોને માણતાં શીખી. એમની પાસે એક ટેરાબાઇટની હાર્ડ ડિસ્કમાં દુનિયાભરની ઉત્તમ ફિલ્મોનો ખજાનો હતો. માજિદ મજીદી, ચૅપ્લિન, તથા હિન્દી અને અંગ્રેજી ભાષાની કેટલીક ઉત્તમ ફિલ્મો વિશે મેં અહીંથી જ જાણ્યું હતું. ફિલ્મ જોયા પછી અમે અમારા પ્રતિભાવ અને અનુભૂતિ વિશે ચર્ચા કરતાં.

અમારી મિત્રાચારીનાં શરૂઆતનાં પાંચ વરસ દરમિયાન આ ઘર મારા ઘરેથી બીજે ક્યાં ય જતાં-આવતાં વચ્ચે કરવાનું સ્ટેશન બની ગયું. ઑફિસેથી, મિત્રોના ઘરેથી કે બહાર જમવા ગયા પછી પાછા ઘરે જતાં કે ત્યાર પહેલાં તેમને ફોન કરું. જો એ ઘરે હોય તો હું ઊડતી મુલાકાતે પહોંચી જાઉં. ‘હું ત્યાં મુલાકાતે જાઉં’ એમ કહેવું જરા વિચિત્ર લાગે છે. કારણ કે, એ ઘર લગભગ મને ખેંચતું. એકાદ વાર ત્યાં ન જઉં, તો જાણે દિવસ અધૂરો લાગતો. તેમને મળવું તો મને બહુ ગમતું જ. સાથોસાથ, તે એક એવું ઠેકાણું હતું જ્યાં હું કોઈ પણ જાતના ભાર કે બંધન વિના મારું અસ્તિત્વ અનુભવી શકતી. ત્યાં કોઈ સવાલ ન હતા ને કોઈ અપેક્ષા પણ નહીં.

જ્યારે પણ કોઈ પાર્ટીનું કે મિત્રોના મેળાવડાનું આયોજન કરવાનું હોય, એ કહી દેતા, ‘આપણા ઘરે રાખીએ.’ એ ક્યારે ‘આપણું ઘર’ બની ગયું એની સરત જ ન રહી. પણ એ અહેસાસ બહુ મીઠો હતો. જીવનમાં તેમની રીત હતીઃ નાનામાં નાની બાબતોને ઊજવવી. બૅન્કનું કામ પત્યું? તો અમે સેવ-પૂરી ખાઈને પાર્ટી કરતાં. ત્યારે મારું સ્ટાર્ટ અપ ચાલતું હતું. એટલે કોઈ રોકાણકાર સાથે મારી મિટિંગ સરસ જાય કે કઠણ લાગતી બ્લૉગ પોસ્ટ લખાઈ જાય તો અમે ડેઝર્ટ બનાવતાં. મારો બૉયફ્રેન્ડ સી.એ.ના પહેલા ગ્રૂપમાં પાસ થયો ત્યારે અમે તેની ઊજવણી કરી હતી—અને પછી બે વાર નાપાસ થયો ત્યારે પણ ઊજવણી તો ખરી જ. તેમના મિત્રો, મારા મિત્રો, અમારા મિત્રો … બસ, કાયમ જાણે પાર્ટી જ પાર્ટી. તેમના ઘરે મળતી મોકળાશથી મને વિચાર આવતો કે આટલી મુક્ત અને અંકુશમુક્ત તો કદાચ હું મારા ઘરમાં પણ ન રહી શકું—મારા ખાસ મિત્રો સાથે પણ નહીં.

આ ઘરમાં તૂટેલી વસ્તુઓ કાયમ એ જ અવસ્થામાં રહેતી. ફર્નિચર, બાથરૂમના નળ, રસોડાના કબાટ … પણ આ તો વસ્તુઓની વાત થઈ. માણસો માટે તો આ ઘર ચાર્જિંગ સ્ટેશન જેવું હતું. તમામ પ્રકારના લોકો ત્યાં આવતા અને હામ, હૂંફ તથા હૈયાધારણ મેળવતા.

આ જ ઘરે મારા બૉયફ્રેન્ડ (અને હવે મારા પતિ) હેમિલે વર્ષ ૨૦૧૭માં મારી બર્થ ડેની સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. આંખે પટ્ટી બાંધીને એ મને “અજાણી જગ્યાએ” લઈ જવા નીકળ્યો. છતાં, તેના ઍક્ટિવાના દરેક વળાંકે અમે ક્યાં જઈ રહ્યાં છીએ તે વિશેની મારી ખાતરી પાકી થતી જતી હતી. મને ગૂંચવવા માટે તેણે લાંબો રસ્તો પસંદ કર્યો. છતાં, કટાયેલો ઝાંપો ખોલ્યા પછી તેણે મને ઢાળ હોવાથી સહેજ સાચવીને ડગ માંડવા કહ્યું, એટલે તરત જ મેં કહ્યું, ‘મને ખબર જ હતી.’ મારી આંખે પટ્ટી બંધાયેલી જ હતી. રસ્તામાં આવતાં ડાળીડાળખાં મારા હાથને સ્પર્શતાં હતાં. ઘરના બારણા પાસે પાર્ક કરેલા બાઇક પર હાથ ગયો. હવે તો સરપ્રાઇઝ જેવું કશું રહ્યું જ ન હતું. છતાં મેં આંખ પરથી પટ્ટી ખોલી ત્યારે આંખમાંથી આંસુની દડી પડ્યાં. એ રૂમમાં હું જેને ખૂબ ચાહતી હતી એવા તમામ લોકો— મારાં મમ્મી-પપ્પા, દાદી, મિત્રો— હાજર હતાં. અને ઘરના માલિક? એ કોઈ પણ પ્રકારના માલિકીપણાના ભાવ વિના એક ખૂણે ઊભા હતા. વર્ષગાંઠનું આ સરપ્રાઇઝ હું કદી નહીં ભૂલી શકું.

આ ઘર માત્ર મારા માટે જ નહીં, એમના ઘણા મિત્રો માટે કાયમ ખુલ્લું રહેતું. મને હજુ યાદ છે. તેમના એક મિત્ર ફક્ત તેમને મળવા માટે થઈને આઠ કલાકની મુસાફરી ખેડીને આવ્યા હતા. તેમની પ્રિયતમા તેમને છોડીને ચાલી ગઈ હોવાથી તે બહુ દુઃખી હતા અને જીવનમાંથી રસ ગુમાવી બેઠા હતા. તેમને લાગતું હતું કે હવે જીવન જીવવાનો કોઈ મતલબ રહ્યો નથી. એ આવ્યા ત્યારે હું ત્યાં હતી. ખરું કહું તો થોડા સમય પછી મને તેમની કથાથી અકળામણ થવા લાગી. પણ આ ઘરમાં તેમને આવકારો અને હૂંફ જ મળ્યાં. એવું નથી કે તે ઘરે પાછા જવા નીકળ્યા ત્યારે તેમની બધી તકલીફો દૂર થઈ ગઈ હતી. પણ તેમને માનસિક વ્યગ્રતામાં થોડી શાતા તો મળી હશે.

વચ્ચે ઘણા સમય સુધી ઘરની એક ચાવી મારી પાસે રહેતી હતી. મને ખબર હતી કે તે બધાને ઘરની ચાવી આપતા નથી. હું તેમના ઘરે જતાં પહેલાં ફોન કરી લેતી, પણ તેમણે મને કહી રાખેલું કે ઘર બંધ હોય તો પણ હું જઈ શકું. એ ઘરની ચાવીને દરવાજા પાસે એવી રીતે સંતાડીને જતા કે જેથી હું ત્યાંથી લઈને બારણું ખોલી શકું. અમારી મિત્રતા પછી એટલી ગાઢ થયેલી કે એક વરસ સુધી તો ચાવી મારી પાસે બૅગમાં જ રહી. નીચેના રૂમનું નામ જ ‘આરતીનો રૂમ’ પડી ગયું હતું. હું ત્યાં વાંચતી, લખતી, મારા પ્રોજેક્ટનાં કામ કરતી અને મન હળવું પણ કરતી.

હવે એ ઘર જોયાને ઘણા મહિના થયા. છેલ્લે ત્યાં ગઈ ત્યારે તેમને કૉફિનમાં લાવવામાં આવ્યા હતા. તે એવા જ હૅન્ડસમ લાગતા હતા. પણ ઘરનો રૂમ તેના પડઘાતા હાસ્યના અવાજને બદલે હળવાં ડૂસકાંના અવાજથી ભરાઈ ગયો હતો. લગભગ તે જ ક્ષણે મને પહેલી વાર લાગ્યું કે આ ઘર હવે મકાન બની ગયું છે— એક મકાન, એક મિલકત. હા, એક જ દિવસમાં ઘરમાંથી મિલકત. એક સાથે પ્રિય વ્યક્તિ અને વહાલું આશ્રયસ્થાન બંને જતાં રહ્યાં.

હવે હું અમદાવાદમાં નથી રહેતી. એ હકીકત કદાચ મારી વ્યથાને થોડી હળવી બનાવે છે. પણ મને નથી લાગતું કે એ ઘરે ફરી કદી પણ હું જઈ શકું. તેમના ખાલીપાથી ભરેલું ઘર હું નહીં જોઈ શકું. જેને આંખે પટ્ટી બાંધી હોવા છતાં પણ હું ઓળખી ગઈ હતી, એ ઘરને હવે છતી આંખે જોવાનું મને અશક્ય લાગે છે. કારણ કે એ ઘરનો આત્મા એવા મારા દિલોજાન મિત્ર હવે નથી. એ ઊપડી ગયા છે— અચાનક અને કાયમ માટે. એમના વિના કશું પહેલાં જેવું નહીં રહે— હું પણ નહીં ને એ ઘર પણ નહીં.

છતાં, તેમની પરંપરા ચાલુ રાખવા માટે આ લેખ લખી શકાયો અને પૂરો થયો, તેની પાર્ટી તો કરવી પડશે.

મૂળ અંગ્રેજી પરથી અનુવાદ :  સુજાત

E.mail : rtnair91@gmail.com
પ્રગટ : “સાર્થક જલસો − 15”, ઑક્ટોબર 2021; પૃ. 43-46

Loading

...102030...1,2911,2921,2931,294...1,3001,3101,320...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved