Opinion Magazine
Number of visits: 9668059
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યારાના વિદુષીએ લખેલું વિશિષ્ટ પુસ્તક : નગરના પુસ્તકાલયનો ઇતિહાસ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 December 2022

દક્ષિણ ગુજરાતના વ્યારાના વિદ્યાદેવી સમાં  વિવેચક, સંપાદક, કવયિત્રી અને ગુજરાતી વિષયના અધ્યાપક દક્ષા વ્યાસનું આજે 82મા જન્મદિને સન્માન થઈ રહ્યું છે.

વ્યારાના શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયનો જીર્ણોદ્ધાર કરવાનું ખૂબ વંદનીય કામ દક્ષાબહેને 1985થી તેના મંત્રી તરીકેના તેમના 33 વર્ષના કાર્યકાળમાં કર્યુ છે.

પુસ્તકાલયના એક ગ્રંથપાલના દીકરી તરીકે બાળપણથી જ જાણે તેના આંગણે ઉછરનાર દક્ષાબહેન આખી જિંદગી વાચક, સંશોધક અને મંત્રી તરીકે આ પુસ્તકાલય સાથે જોડાયેલાં રહ્યાં છે. એમણે તાદાત્મ્યભાવે લખ્યું છે : ‘ગ્રંથાલય ત્વચાની પેઠે મારા અસ્તિત્વ સાથે જડાઈ ગયેલું છે.’

જાહેર ગ્રંથાલયને જેની કથામાં વણી લેવામાં આવ્યું હોય તેવી એકમાત્ર ગુજરાતી નવલકથા ‘અસૂર્યલોક’ના લેખક ભગવતીકુમાર શર્મા પુસ્તકાલયની મુલાકાત પોથીમાં 26 સપ્ટેમ્બર 2010 ના દિવસે નોંધે છે : ‘આ પુસ્તકાલયનાં દર્શન કર્યાં તેને હું મારું સદ્દભાગ્ય માનું છું. આ માત્ર કોઈ ચીલાચાલુ સામાન્ય લાયબ્રેરી નથી, પણ દક્ષાબહેનની તપોભૂમિ છે. મુઠ્ઠી હાડકાંની એક સન્નારી પોતાની સાહિત્યપ્રીતિ ઉપરાંત સર્વદેશીય દક્ષતા અને કાર્યનિષ્ઠા વડે કેવાં ચમાત્કારિક પરિણામો સિદ્ધ કરી શકે છે તેનું આ પુસ્તકાલય એક ઉજ્જ્વલ જ્વલંત ઉદાહરણ છે.’

વ્યાંસગી દક્ષાબહેને વ્યારાના ગ્રંથાલયના દોઢસો વર્ષનો ઇતિહાસ ‘શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલય : યાત્રાપથ’ (2018)  પુસ્તકમાં લખ્યો છે.

આમ તો દક્ષાબહેનના નામે સર્જન, વિવેચન, સંપાદન, આદિવાસી અભ્યાસ, ચિંતન અને અનુવાદના ત્રીસેક પુસ્તકો છે. તેમાંથી ‘યાત્રાપથ’નું વિશેષ મહત્ત્વ એ છે કે આ પુસ્તક ગુજરાતી ભાષામાં લાઇબ્રેરી વિશેના પૂરાં કદનાં જે સંભવત: બે જ પુસ્તકો થયાં છે તેમાંનું એક છે.

બીજું પુસ્તક એટલે કળા-સંશોધન – દસ્તાવેજીકરણના નિષ્ણાત ઉષાકાન્ત મહેતાએ લખેલું ‘બાર્ટન લાઇબ્રેરી : ઓગણીસમી સદીની બૌદ્ધિક ઘટના’ (2013).

ગ્રંથાલયો વિશેના અન્ય લખાણોમાં નવસારીના વિખ્યાત ‘શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલય’ પરની પરિચય પુસ્તિકા (ક્રમાંક 1272, લે. ડૉ. દિનુભાઈ નાયક), અને કેટલીક સ્મરણિકાઓનો સમાવેશ થાય છે. કપડવંજ, પેટલાદ પાટણના પુસ્તકાલયોની જયંતીઓ પર બહાર પાડેલી સ્મરણિકાઓનો ઉલ્લેખ પીઢ ગ્રંથાલયવિદ્દ મણિભાઈ પ્રજાપતિ પાસેથી મળે છે.

‘યાત્રાપથ’ વ્યારાના ગ્રંથાલયના સાર્ધ શતાબ્દી વર્ષના અવસરે 2018માં પ્રસિદ્ધ થયું. પુસ્તકાલયના પ્રમુખ મહેશભાઈ શાહ આરંભે લખે છે : ‘ગ્રંથાલય જ્યારે એનું સાર્ધ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું હોય ત્યારે આટલા દીર્ઘ કાળ પર્યંત સંસ્થાને ટકાવી રાખનારા, સતત  વિકસાવનારાં પરિબળોને, પાયાના પથ્થર સમા મહાનુભાવોને જાણવાનો આનંદ અનેરો હોય છે. આ અવસરે ગ્રંથાલયની વિકાસયાત્રાની ઝલક લેવાય એ કદાચ અનિવાર્ય લેખાય. આ સમજણ સાથે અમારા મંત્રી દક્ષાબહેન વ્યાસે ઇતિહાસને ઉકેલવાનું મહેનત માગી લેતું કામ કર્યું. ઘણી બધી માહિતી અપ્રાપ્ય અને અધૂરી હોય ત્યારે એમાં પૂર્ણતાની શક્યતા રહેલી નથી. છતાં જેટલું ટકી રહ્યું છે તેને સંઘરી લેવું ને એ રીતે એક પ્રકારનું દસ્તાવેજીકરણ કરવું અને એને ગ્રંથસ્થ કરીને એક કાયમી સંભારણું બનાવવાના હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં અમે આનંદ અને  ગૌરવની લાગણી અનુભવીએ છીએ.’

દક્ષાબહેને તેમના નિવેદનમાં લખ્યું છે : ‘… જાગ્યા ત્યારથી સવાર ગણીને આજે  આ પર્વ નિમિત્તે ગ્રંથાલયની પ્રવૃત્તિઓનો વિગતે પરિચય થાય તે હેતુથી આ પ્રકલ્પ હાથ ધર્યો. જૂની જર્જરિત નોંધોને આધારે ગ્રંથાલયની વિકાસયાત્રાનો આલેખ અહીં રજૂ કર્યો છે. આ  ‘ધૂળધોયાના ધંધા સમું’  કામ છે વિગતોના ખડકલામાંથી હાથમાંથી બટકી જતા કાગળોમાંથી – નીરક્ષીર દૃષ્ટિએ અનિવાર્ય અને શકવર્તી વિગતો તારવવી અને વ્યવસ્થામાં મૂકવી કઠણ કસોટી બની રહે.’

દક્ષાબહેન આગળ  લખે છે : ‘આ યાત્રા દરમિયાન ગ્રંથાલયના કાર્યારંભની દૃષ્ટિએ 118  વર્ષના પુરાણા ઇતિહાસને બહુ ધીરજ, ખંત અને મુગ્ધતાથી માણ્યો છે. એના નિષ્ઠાવાન ગ્રંથપાલ મુ. નવનીતકાકાની કડક દેખરેખ હેઠળ સંસ્કારનું ભાથું સીંચતા પુસ્તકો સાથે હું  ઉછરી, એના મૂલ્યવાન ગ્રંથો વાંચી સર્વોચ્ચ ડિગ્રી લીધી. મારા પિતાશ્રીએ દસ વર્ષ એની  ગ્રંથપાલ તરીકે કરેલી સેવા જોઈ (તેઓ મોટા ચોપડા ઘરે લાવતા અને રાત્રે બારેક વાગ્યા સુધી કાંઈ લખ્યા કરતા, એ જોઈ અમને ભારે આશ્ચર્ય થતું કે ગ્રંથાલયમાં એવું તે શું કામ રહેતું હશે?)… આ યાત્રાપથ પરથી પસાર થતાં અનેક વાર ભાવાવશ થઈ જવાયું છે અને આંખો આપમેળે વરસી પડી છે.’

દક્ષાબહેને ગ્રંથાલયની સાંપ્રત સુધીની તવારીખને અલગ અલગ વર્ષોના જૂથના નવ  ‘સ્તબક’માં વહેંચી છે. જેમ કે, સ્થાપનાથી ઇ.સ. 1915, ઇ.સ. 1915-16 થી 1919-20,ઇ.સ. 1920-21 થી ઇ.સ. 1935-36.દરેક સ્તબકના વર્ષોની સંખ્યા એક સરખી નથી, પણ દરેકમાં વિપુલ વિગતો છે. તેના સ્રોતોમાં જાતભાતનાં દસ્તાવેજો ઉપરાંત વાર્ષિક, પંચવાર્ષિક અહેવાલોનો છે. જમીનપ્રાપ્તિ, બાંધકામ, આવકજાવક, ખરીદવેચાણ, નિમણૂક-પગાર, વિકાસ-વિસ્તાર, દાતાઓ, યોજનાઓ, ઉજવણીઓ, ઠરાવો જેવી ચિક્કાર વિગતો વાંચવા મળે છે.

બે પરિશિષ્ટોમાં ગ્રંથાલયે 1985 પૂર્વે અને તે પછી હાથ ધરેલી 16 પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ છે. ‘મને સાંભરે રે’ વિભાગમાં ગ્રંથાલયના ચાર લાભાર્થીઓએ તેમના ઘડતરમાં ગ્રંથાલયના ફાળાનાં સંસ્મરણો નોંધ્યાં છે. ‘મહાનુભાવોની કલમે’ વિભાગમાં મુલાકાતપોથીમાંથી કેટલાંક અભિપ્રાયો મૂકવામાં આવ્યાં છે.

પુસ્તકમાં મળતી અત્યંત રસપ્રદ વિગતોમાંથી કેટલીક અહીં મૂકી છે.

• હમણાં ત્રણ વર્ષ પહેલાં સુધી, ગ્રંથાલય સરકારી સહાય/અનુદાન વિના માત્ર ટ્રસ્ટીઓ અને નગરજનોએ ઊભાં કરેલાં ભંડોળ તેમ જ સંસાધનોથી ચાલતું

• છેક વીસમી સદીની શરૂઆતમાં આ પુસ્તકાલયમાં મહિલાઓ અને બાળકો માટે અલગ વિભાગ હતો.

•ગ્રંથાલય માટે ભંડોળ એકઠું કરવા ટહેલ નાખવામાં આવતી, નાટકના પ્રયોગ થતાં. એટલું જ નહીં બેસતા વર્ષના દિવસે ગ્રંથાલયના ટ્રસ્ટીઓ, તંત્રવાહકો અને ચાહકો ‘સબરસ’ અને ઝોળી લઈને દાન ઉઘરાવવા નીકળતા.

• ગ્રંથપાલની ગેરહાજરીમાં પુસ્તકોની આપલેનું કામ અટકતું નહીં. કોઈ ટ્રસ્ટી, ગામનો સેવાભાવી વ્યક્તિ કે  નવયુવાન ઇશ્યુ કાઉન્ટર સંભાળી લેતા.

• એક વખત 1917-18ના સ્તબકમાં પુસ્તકો ખોવાયેલાં માલૂમ પડતાં લાઇબ્રેરિયનનો પગાર અટકાવવામાં આવ્યો  હતો.

• વ્યારાના પુસ્તકાલયને અનેક રીતે પ્રોત્સાહન આપનાર સયાજીરાવ ગાયકવાડના રાજ્ય અમલની સુવર્ણ જયંતીએ પુસ્તકાલયે 1926માં યોજેલા કાર્યક્રમ માટે ફાળો આપનારાની યાદીમાં માછી, ખાટકી, દરજી, સુથાર જેવા શ્રમજીવી, કારીગર વર્ગોએ પણ સહયોગ આપ્યો હોવાની વિગતો નોંધાઈ છે.

• એક તબક્કે, આ વિસ્તારના વાચકોની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા મુદતસર પુસ્તકો પાછાં ન આપવા માટેનો દંડ માફ કરવાની નીતિ અપનાવવામાં આવી હતી.

• ગ્રંથપાલ નવનીતરામ જયશંકર દવેએ 1921થી 1971 સુધી ગ્રંથાલયને પોતાના જીવની જેમ  સાચવ્યું હતું તેના અનેક ઉલ્લેખો પુસ્તકમાંથી મળે છે. જોડાયા ત્યારે તેમનો માસિક પગાર વીસ રૂપિયા અને નિવૃત્ત થયા ત્યારે એકસો પાંચ રૂપિયા હતો. તેઓ મોંઘવારી ભથ્થું પણ ન લેતા. એમનો અંગત વ્યવસાય સ્ટૅમ્પવેન્ડરનો હતો. એમાં એમને સરકાર તરફથી જે કમિશન મળતું તેનો એક જ હિસ્સો લઈને બાકીના બે હિસ્સા તે પુસ્તકાલયને સમર્પી દેતા. આ રીતે તેમના કાર્યકાળમાં તેમણે પુસ્તકાલયને કુલ બારસો રૂપિયાનું દાન કર્યું હતું. નવનીતભાઈ ભરબપોરે વ્યારા ગામની શેરીઓમાં પુસ્તકાલયના લવાજમનો રૂપિયો ઉઘરાવવા ધક્કા ખાતા. નવનીતરામે ગ્રંથાલયમાં આવતાં છાપાં અને સામયિકોમાંથી કતરણો કરીને વિવિધ વિષયો પર વીસ  ‘આલબમ’ અને લેખોની પાંત્રીસ ‘ફાઇલ’ બનાવી છે. અનેક લાભાર્થીઓએ આ કામને યાદ કર્યું છે, અનેક મુલાકાતીઓએ તેની નોંધ લીધી છે. તેમાં પ્રસિદ્ધ સાહિત્યકાર સુરેશ જોશીએ પણ ‘શ્રી નવનીતરાય દવેએ  વિશિષ્ટ દૃષ્ટિથી ચિત્રમંજૂષા બનાવી છે’ તે નોંધ્યું છે.

• મુલાકાતપોથીમાં જાણીતા સમાજશાસ્ત્રી સત્યકામ જોશીએ નોંધ્યું છે : ‘વ્યારાની શિવાજી લાયબ્રેરીનાં પુસ્તકો થકી મારી શૈક્ષણિક કારાકિર્દી ઘડાઈ છે. સાંધ્યગોષ્ઠીનું આયોજન અનન્ય છે. આ લાયબ્રેરીનું ‘મૉડેલ’ સમગ્ર ગુજરાતમાં અપનવવામાં આવે તો ખૂબ મોટી વિચારક્રાંતિ આવી શકે.’

ગ્રંથાલયને બેઠું કરવા ઉપરાંત દક્ષાબહેનનું બીજું સામાજિક કાર્ય તે અનાથ બાળકો, બાળમજૂરો, અપરાધમાં આવેલાં બાળકો અને સેક્સ વર્કર્સનાં બાળકો માટેનું.

અખિલ હિંદ મહિલા પરિષદના ભગિની સમાજના વ્યારા એકમમાં તેમણે મહિલાઓને બૌદ્ધિક પ્રવૃત્તિ તરફ વાળવાના ઉપક્રમો ચલાવ્યા અને મહિલાઓ માટે નિ:શુલ્ક કાનૂની સહાય કેન્દ્રમાં છ વર્ષમાં છસોથી વધુ કેઇસેસ પર કામ કર્યું.

દક્ષાબહેનના આ પાસા વિશે બારડોલીના અંગ્રેજીના અધ્યાપક અને સાહિત્યના અભ્યાસી સંધ્યા ભટ્ટે લીધેલી અને ઑક્ટોબર 2016ના ‘શબ્દસૃષ્ટિ’માં પ્રસિદ્ધ થયેલી તેમની ટૂંકી વાચનીય મુલાકાતમાં જાણવા મળે છે.

એમાં દક્ષાબહેન કહે છે : ‘વ્યારા મારું વતન એટલે એના કણ કણ માટે વહાલ જાગે. એના વિકાસ-રકાસથી આંદોલિત થવાય. આ વતનની લાગણીની માપણી ન થાય.’

અને છેલ્લે, શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયને એક સખાવત 19 ફેબ્રુઆરી 1944ના દિવસે મળી. તે કરનાર કાશીબહેનની દુ:ખી જીવનકથા પુસ્તકનાં પાનાં 21-22 પર નોંધાયું છે. આ સખાવત શી હતી ? દક્ષાબહેને પોતાના નિવેદનમાં નોંધ્યું છે : ‘વાસણ માંજતાં કાશીબહેન તો ગ્રંથાલયને પોતાનું આખું ઘર દાનમાં આપી દે છે !’ 

કોલાજ સૌજન્ય : નીતિન કાપૂરે 
 આભાર : પ્રા.સંધ્યાબહેન ભટ્ટ, શ્રી પ્રકાશ સી. શાહ 
26 ડિસેમ્બર 2022
(1110 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘હિન્દ સ્વરાજ’માં દર્શાવેલ ગાંધીની કલ્પના કેમ ચરિતાર્થ ન થઈ?  

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|26 December 2022

ઈ.સ. 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં, કિલડોનિયન કાસલ નામની આગબોટમાં, લખેલ ‘હિન્દ સ્વરાજ’ એ ગાંધી વિચારના અભ્યાસુઓ માટે પરિચિત પુસ્તક છે. ગાંધીજીએ સ્વરાજ, આધુનિક સભ્યતા અને યંત્રીકરણ ઉપરાંત અન્ય અનેક વિષયો ઉપરના પોતાના મંતવ્યો એક વાચક અને અખબારના અધિપતિ વચ્ચેના સંવાદ રૂપે વ્યક્ત કર્યા, અને તેથી આ પુસ્તિકા અનેક રીતે અદ્વિતીય સાબિત થઇ છે. કેટલાક મનીષીઓનો અભિપ્રાય છે કે જેમ બાઇબલ ક્રિશ્ચિયન ધર્મના આસ્થાળુઓ માટે એક માર્ગદર્શક ગ્રંથ છે તેમ ‘હિન્દ સ્વરાજ’ માત્ર હિંદુઓ કે ભારતીયો માટે જ નહીં, પણ સમગ્ર માનવજાત માટે એક ઉત્તમ માર્ગદર્શિકા પુરવાર થઈ છે.

જો ઉપરોક્ત વિધાનો સાથે સહમત થઈએ તો સવાલ એ થાય કે ‘હિન્દ સ્વરાજ’માં ગાંધીજીએ જે પ્રકારની સ્વતંત્રતા, લોકશાહી અને મુક્તિની કલ્પના પ્રગટ કરેલી એ ચરિતાર્થ કેમ ન થઇ?

ગાંધીજીએ વાચકના પ્રશ્નોના ઉત્તર રૂપે સંપાદકને મુખે જે મહત્ત્વના મુદ્દાઓ મૂક્યા છે તેને આજના સંદર્ભમાં ભારત અને ખરું જોઈએ તો સમગ્ર વિશ્વએ જે રીતે રાજ્ય, સમાજ અને અર્થવ્યવસ્થા ઘડી છે તેના સંદર્ભમાં  જોઈશું તો આપણી વિફળતાઓનાં કારણો જડી આવશે.

ભારતીય પ્રજાને વિદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્ત થવું હતું. એ વ્યાજબી હતું કેમ કે અંગ્રેજો આપણું ધન લૂંટીને બ્રિટનને માલામાલ કરતા હતા, તેથી દેશ કંગાળ થયો. ગોરાઓને મોટા હોદ્દા મળ્યા અને ભારતની મૂળ પ્રજાને અન્યાય થયો. હવે, સવાલ એ છે કે આજે ‘આપણા લોકોના’ શાસન દરમ્યાન આમાનું શું નથી થતું? ગાંધીજીએ કહેલું તેમ આપણને આપણો ધ્વજ અને સૈન્યનો કાફલો જોઈતો હતો, પણ અંગ્રેજો નહીં. આમ કરવા જતાં વાઘનો સ્વભાવ રહ્યો, વાઘ નહીં, પણ તે તો આપણા જ દેશ બંધુઓને પ્રજાનું શોષણ કરવા પરવાનો આપ્યો એમ જ ને? વાઘ જેવી મારક અને સ્વકેન્દ્રી વૃત્તિથી વર્તનારા ગોરાની બદલે ઘઉં વર્ણા લાવ્યા, તેથી આમ પ્રજાને શો ફર્ક પડ્યો?

કોઈ પણ દેશની અસ્મિતા તેની ભૌગોલિક સીમાઓ થકી જ નથી ઓળખાતી, બલકે તેની પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક ઐક્યથી કાયમ રહે છે. અંગ્રેજોએ આપણા દેશમાં ભાગલા પાડો અને રાજ  કરવાની નીતિ અપનાવી જે દુનિયામાં સહુથી વધુ નિંદાને પાત્ર ઠરી અને ભારતીય જનતાની ભાવનાત્મક એકતા માટે ખતરનાક સાબિત થઈ. દુઃખદ વાત એ છે કે આઝાદીના શરૂઆતના દાયકાઓ દરમ્યાન આર્થિક અને રાજકીય સ્થિરતા મેળવ્યા બાદ આપણે પણ એ જ નીતિ શીખ્યા, દેશને ધર્મ અને કોમ, જાતિ અને જ્ઞાતિના દંડથી વિભાજીત કરીએ છીએ, તો આપણામાં અને બ્રિટિશ રાજ્યકર્તાઓમાં શો ફર્ક?

આજે સામ્યવાદ, સમાજવાદ અને લોકશાહી રાજ્યવ્યવસ્થા નિષ્ફળ ગયેલા પ્રતીત થાય છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી હોવાનું માન ભારતને મળે છે એ તેની લોકશાહીનાં મૂલ્યોનું વિશુદ્ધ રીતે પાલન કરવાને કારણે કે માત્ર તેની જનસંખ્યા વિશાળ છે તેને કારણે? ગાંધીને મોઢે (કલમે) આકરા શબ્દો નીકળે તે કલ્પનામાં ન આવે. પરંતુ તેમણે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને વાંઝણી અને વેશ્યા કહી. કારણ?  જે પાર્લામેન્ટ પ્રજાહિતનું કામ ન કરે તે વાંઝણી એમ તેઓએ કહ્યું, તો ભારતીય નાગરિક વિચારે, પોતાની પાર્લામેન્ટ પ્રજાહિતનું કામ કેટલે અંશે કરે છે? અને ગાંધીજીએ વધુમાં એમ પણ કહ્યું કે જુદા જુદા પ્રધાનમંડળના અંકુશમાં રહે તેથી વેશ્યાની જેમ તેની વફાદારી બદલાયા કરે. આજનો શિક્ષિત વર્ગ જાણે છે કે કોઈ પણ પક્ષ સત્તાસ્થાને આવશે, લોકશાહી વહીવટી તંત્ર પ્રધાનમંડળના અંકુશમાં રહેશે નહીં કે પ્રજાના, અને તેથી તેની વફાદારી ‘લોક’ પ્રત્યે નહીં, ‘શાસક’ પ્રત્યે રહે, અને આ કારણ છે કે આપણો દેશ વિદેશી સરકારથી સ્વતંત્ર થયો, પણ લોકો હજુ મુક્ત નથી થયા.

હરેક સ્વતંત્ર દેશ પોતાની સીમા સુરક્ષા અને આંતરિક શાંતિ માટે સ્વાયત્ત હોય છે, તેમ જ સંપૂર્ણપણે જવાબદાર પણ હોવી ઘટે. આજે, આઝાદી મળ્યાને સાત દાયકા વીત્યા છતાં ભારતને પોતાની સરહદની સુરક્ષાનો સવાલ નડે છે. ખૂબ શસ્ત્રો હોવા છતાં દેશ અસલામતી અનુભવે છે. પાડોશી દેશો સાથે વ્યાપારી અને સાંસ્કૃતિક કરારો કરીને મૈત્રીપૂર્ણ સંગઠન કરવામાં નિષ્ફ્ળતા મળવાનું કારણ વહીવટકર્તાઓનો અહિંસક પદ્ધતિ પર વિશ્વાસનો સદંતર અભાવ. જેમ આંતરિક વિખવાદ તેમ જ અન્ય દેશો સાથેના સંઘર્ષ ભૂમિ અને સત્તા લાલસાને કારણે થાય છે, કોઈ વિનાશક શસ્ત્રોના ઉપયોગથી નહીં, તો એવા સંઘર્ષોનો ઉકેલ પણ વાટાઘાટો અને શાંતિ મંત્રણાઓથી જ આવશે. ગાંધીજીનું આ સ્વપ્ન સાકાર થવામાં જેટલો વિલંબ થાય છે તેટલું નુકસાન સારી ય માનવ જાતને ભોગવવું પડશે.

અંગ્રેજી શાસન દરમ્યાન ઉપરી અમલદારો અને લશ્કરી વડાઓ ગોરા સાહેબો રહેતા, પણ કારકૂનો, વહીવટદારો અને સૈનિકો બધા ભારતીયો હતા. એને આપણે ગુલામી ગણી. એ સાચું જ હતું. તો આજે એ સ્થાન બહુ રાષ્ટ્રીય કંપનીઓએ લીધું એમ કહી જ શકાય. ગણ્યા ગાંઠયા કંપનીના ડાયરેક્ટરો અને માલિકો ભારતની રોજગાર ભૂખી જનતા પાસે મામૂલી દરે કામ કરાવી માલનું જથ્થાબંધ ઉત્પાદન કરે, જેના નફાનો મોટો હિસ્સો વિદેશી કંપનીના માલિકોને ફાળે જાય, તો ફરી પૂછીએ, બ્રિટિશ વેપારી અને શોષણ નીતિ અને ‘દેશી’ ઉદ્યોગ-વેપારની નીતિમાં શો તફાવત? સર્વોદયની કલ્પના સાકાર ન થવાનું આ જ કારણ.

આજે ‘સબકા વિકાસ’ના ઢોલ બહુ પિટાય, જેમાં પ્રજાની જરૂરિયાતોની માગણી કરતી પિપૂડી ક્યાંથી સંભળાય? અંગ્રેજી શાસન દરમ્યાન ભારતની પ્રજાએ માની લીધું કે યુરોપમાં સુધારા થયા, તો આપણે પણ આઝાદી બાદ એ માર્ગે ચાલીને ‘સુધરેલા’ થઈને માલેતુજાર થઈએ એ જ ખરી સ્વતંત્રતા. પણ ખરું જોતાં ગાંધીજીએ એ સુધારાને ‘કુધારા’ ગણાવેલા. ભારત જેવા વિદેશી શાસનથી સ્વતંત્ર થયેલ દેશોને કદાચ એ દાવો સાચો ન લાગે, પણ ઝીણવટથી જોતાં ખ્યાલ આવશે કે સુધારાને પગલે વિકાસની દોટમાં આંધળા થઈને દોડતા યુરોપની હાલત અત્યારે કુદરતી સંસાધનોની ખેંચ જેવી ભૌતિક કટોકટીથી માંડીને સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનાં ધોવાણ જેવી અમૂર્ત વિપદાઓને કારણે ખાસ્સી દયાજનક થઇ છે. ત્યારે આર્ષદૃષ્ટા ગાંધીજીની વાતમાં તથ્ય લાગે છે અને ભૌતિક તથા શારીરિક સુખમાં જીવનનું સાર્થક્ય માની તેને જ મેળવવા પુરુષાર્થ કરવો તેમાં સાચું સુખ નથી. આથી જ તો યુનાઇટેડ નેશન્સ દ્વારા આર્થિક વિકાસના સૂચકાંક સાથે ખુશીના સૂચકાંકો બહાર પડ્યા. એ શું સૂચવે છે?

ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’માં વકીલો, ડોકટરો અને રેલવેએ આપણને કંગાળ કરી મુક્યા છે તેમ લખ્યું એ જરા વધુ પડતું લાગે. તેનાથી ફાયદાઓ અનેક થયા એ તેમણે નથી સ્વીકાર્યું એમ જરૂર માની  શકાય અને તેથી તેના વિશે વિવાદ પણ રચાય. તેમના આ વિધાનને તત્કાલીન બ્રિટિશ શાસનના સંદર્ભમાં જોવું ઘટે. એ સમયે રેલવેને કારણે અંગ્રેજોનો પૂરા ભારત પર કાબૂ રહ્યો, લશ્કર અને સૈન્યની હેરાફેરી, વેપારી માલની લેણદેણ સહેલી બની; જેનો ફાયદો અંગ્રેજ સરકારને જ થયો. આઝાદી બાદ આપણે પણ તેનો લાભ ઉઠાવી દેશને વિવિધ માલ પૂરો પાડવામાં અને લોકોને એક બીજા સાથે જોડવામાં સફળ થયા તેમાં શક નથી. હવે, ગાંધીજીની એક દલીલ એ પણ હતી કે લોકો દૂર સુદૂર જલદી પહોંચે એટલે રોગ વગેરે જલદી ફેલાય. આ હકીકત કોરોના કાળમાં બરાબર સાબિત થઇ. એ જ રીતે સારાની માફક બુરા વિચારો પણ વાહનો દ્વારા જલદી ફેલાય એ આપણે અનુભવીએ છીએ. પ્રદૂષણ વધે એ નફામાં. તો શું આધુનિક વાહન વ્યવહારના સાધનોને બદલે પારંપરિક ધીમી ગતિનાં સાધનો વાપરવા શરૂ કરવાં? અહીં સવાલ આવે છે એ તમામ ઉપકરણોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની ક્ષમતાનો .. પુરાતન કાળમાં ભારત અને બીજા દેશોમાં લોકો વચ્ચે જીવનનાં સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ જેવાં પાસાંઓમાં ભાવાત્મક એકતા હતી કે નહીં? આજે વાહન અને સંદેશ વ્યવહારના ઝડપી સાધનોને કારણે global village સર્જાયું છે તે કયા પાયા પર? એ જમાનામાં વેપારીઓ અને સાધુ સંતો લોકોની વચ્ચે ફરતા, તેમની ભાષા, જરૂરતો, રીતભાત જાણીને પોતાનો માલ વેંચતા કે પોતાની વિચારધારા સમજાવતા. આજે મોટી મોટી ફેક્ટરીઓમાં જથ્થાબંધ માલ બને તે બહુરાષ્ટ્રીય કંપનીઓ ચપટી ભર માલિકોને અમર્યાદ નફો કરી આપવા માટે દેશ વિદેશમાં વેંચે તે આપણને કઈ રીતે એક બનાવે? ક્યારેક તો માનવ જાતે વાહનો અને સંદેશ વ્યવહારના સાધનોના અમર્યાદિત ઉપયોગ ઉપર રોક લગાવવી જ પડશે.

એકવીસમી સદીની જીવન પદ્ધતિથી લાભને બદલે ગેરલાભ વધવા લાગ્યા છે એ દર્શાવે છે કે આપણે ‘હિન્દ સ્વરાજ’માં પ્રબોધેલ મૂલ્યો વિષે ફેર વિચાર કરવાનો સમય આવી ગયો છે. અને ત્યારે જ ભારતની આમ પ્રજાને સ્વતંત્રતાનો ખરો અનુભવ થશે, દરેક પ્રકારની ગુલામીમાંથી મુક્તિ મળશે અને ગાંધીજીની કલ્પનાની આઝાદી હાંસલ થશે.

e.mail : 71abuch@gmail.com

Loading

જન્મ જુદાં કરે છે ને મૃત્યુ ભેગાં કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 December 2022

હા, જન્મ માબાપ આપે છે, જાતિ, જ્ઞાતિ આપે છે, તે સિવાય કોઈ પણ અગાઉથી માબાપ કે જાતિ, જ્ઞાતિ નક્કી કરી શકતું નથી. કોઈએ હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ-ઈસાઈ થવું તે કોઈના હાથમાં નથી, બિલકુલ એમ જ જેમ કોને ત્યાં જન્મવું એ કોઈનાં હાથમાં નથી. આટલું નક્કી છે એ જાણવા છતાં આપણે અમુક જાતિ – જ્ઞાતિ માટે જે રાગદ્વેષ પાળીએ છીએ તે યોગ્ય નથી. અમુક હિન્દુ છે કે અમુક મુસ્લિમ છે એ વાતે કેટલાં બધાં વેરઝેર આપણે ઉછેરીએ છીએ ને જિંદગી આખી બીજું કોઈ કામ જ ન હોય એમ, તલવાર-ત્રિશૂળ ઉછાળવાની તૈયારીમાં લાગેલાં રહીએ છીએ એ પણ બરાબર નથી. આપણી સૌથી મોટી વીરતા ઘણીવાર તો સામેનામાં દોષ જોવામાં જ પૂરી થઈ જાય છે. એ વખતે વિચાર કરતા નથી કે જે દોષ સામેનામાં જોઈએ છીએ એનો શિકાર તો આપણે ઘણાં વહેલાં થઈ ચૂક્યા હોઈએ છીએ. આપણને એ પણ ખબર છે કે આવાં રાગદ્વેષથી છેવટે તો લોહી જ હાથમાં આવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જો વાંક સામેવાળાનો છે એવું ક્યાંકથી ઠસાવી દેવામાં આવ્યું હોય. વાંક સામેવાળાનો હોય જ નહીં, એવું પણ નથી, સામેવાળાનો હોઈ પણ શકે છે ને એને લીધે આપણું ખુન્નસ વધતું આવે છે. આવું ખુન્નસ વાવનારાઓ નિર્દોષ નથી, ઘણુંખરું તો એવી વાવણી કરનારાઓ બૌદ્ધિકો ને ધાર્મિકો છે. આ લોકો નિર્દોષોને ઉશ્કેરવાનું ને ધાર્યું રાજકારણ પાર પાડવાનું કામ કરે છે. આમ તો આ કહેવાતા બૌદ્ધિકો અને ધાર્મિકો કોઈ મોટાં માથાના હાથા જ હોય છે ને એની વફાદારી નિભાવવામાં એ મોટા સમુદાયનાં ભોળપણનો લાભ ઉઠાવે છે. એમાં એ પોતાનું લોહી બચાવીને શિકાર તો આજ્ઞાંકિતોનો જ કરે છે. આ એ આજ્ઞાંકિતો છે જે ઘેટાંની જેમ પાછળ પાછળ ચાલવામાં જ રાજી છે. એમને પોતાપણું ખાસ નથી. એ તો હોળીનું નાળિયેર બનવા માટે જ છે. એમણે મફત અપાયેલું અનાજ વર્ષો સુધી ખાધું હોય છે ને એની કિંમત તેમનું બ્રેઇન વોશ કરીને વસૂલાતી હોય છે. એ ઉપરાંત બીજા પણ ઘણાં એવાં છે જે ગમે ત્યારે, ગમે ત્યાં દાઝ ઉતારવા તૈયાર હોય છે. એમને ખબર પણ નથી હોતી, શેની દાઝ ઉતારવાની છે, પણ કોઈકે કહ્યું છે ને દાઝ ઉતારવાનું બહાનું મળે છે તો ઉતારી દેવાય છે !

ખરું તો એ છે કે દુનિયામાં બે વિરોધી પરિબળો પહેલેથી જ અસ્તિત્વમાં છે. દેવ છે, તો રાક્ષસ છે. રામ છે, તો રાવણ છે. કૃષ્ણ છે, તો કંસ છે ને યુધિષ્ઠિર છે, તો દુર્યોધન પણ છે જ ! ખબર નહીં કેમ, પણ આસુરી તત્ત્વ આજ સુધી અનેક રીતે ને રૂપે પ્રભાવી રહ્યું છે. અહિંસાનો આટલો મહિમા છતાં, યુદ્ધ ટાળી શકાતું નથી. મહાભારત જેવું ભયંકર યુદ્ધ થઈ ચૂક્યું હોય છતાં, યુદ્ધો અટક્યાં નથી. ભારતને શસ્ત્ર ધારણ ન કરવાનો પહેલો સંકેત કૃષ્ણે (મોહને) આપ્યો, એના યુગો પછી બીજા એક મોહને અહિંસાનો મહિમા કર્યો, તે પછી પણ યુદ્ધો તો થયાં જ છે. બબ્બે વિશ્વયુદ્ધો પછી પણ યુદ્ધો વગર વિશ્વને ચાલ્યું નથી. ચીન અને પાકિસ્તાને ભારતને યુદ્ધમાં જોતરીને સાબિત કર્યું કે લોહી શરીરમાં જ વહે તે પૂરતું નથી, તે શરીરની બહાર પણ વહેવું જોઈએ ! કોણ જાણે કેમ પણ મનુષ્યને લોહીની લલક ઓછી થતી નથી. રશિયા ને યુક્રેન યુદ્ધ વિરામની વાતો કરતાં જઈને લડી તો રહ્યાં જ છે. બીજી તરફ કેટલાંક રાષ્ટ્રો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ પણ ચકાસી રહ્યાં છે ને વાતો વિશ્વશાંતિની કરતાં રહે છે. કદાચ શાંતિ માટે પણ જગતને યુદ્ધ અનિવાર્ય લાગે છે એટલે જ કદાચ જગત અનેક સિદ્ધિઓ પછી પણ છેલ્લો અક્ષર રાખમાં પાડે તો નવાઈ નહીં.

એમ લાગે છે કે કોઈ પણ સલાહ કે ઉપદેશ પછી પણ, માણસ વેરઝેર છોડી શકે એમ નથી. એક સમય હતો જ્યારે સાધારણ હિન્દુને પણ તાજિયાની બાધામાં ઈલાજ મળી જતો હતો કે મુસ્લિમ અગ્રણીઓ ગણેશ વિસર્જનમાં જોડાઈને ભાઈચારો દેખાડતા હતા. ઈ.સ. 2000ની સાલથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં વીસેક વર્ષથી ચાંદીનો રથ એક મુસ્લિમ ભેટ ધરે છે. મહેસાણાનાં ઝુલાસણ ગામમાં દાંલાં માતાનું એક મુસ્લિમ મહિલાનું મંદિર છે અને તેની પૂજા હિન્દુઓ કરે છે. વિખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમસનું આ પૈતૃક ગામ છે ને આ મંદિરનાં તેઓ દર્શન કરી ચૂક્યાં છે. કેરળનાં મંજેશ્વરમ્‌માં એવું મંદિર છે જ્યાં હિન્દુઓ તો આવે જ છે, પણ મુસ્લિમો પણ રથયાત્રામાં જોડાય છે ને એટલું બાકી હોય તેમ પૂજારીઓને મસ્જિદમાં આવવાનું આમંત્રણ અપાય છે. આવાં બીજાં પણ ઉદાહરણો છે, પણ હવે તાણ અને ભયનું વાતાવરણ હેતુપૂર્વક ઊભું કરાઇ રહ્યું છે. એનો યશ કોઈ એક જ કોમને અપાય એવું નથી. કોઈ એવું પરિબળ છે જે ઈચ્છે છે કે આ બંને કોમો વચ્ચે નફરત સલામત રહે.

હવે માઇક પરથી પોકારાતી અજાનનો હિન્દુઓને વાંધો પડે છે, તો અજાન તો બંધ થતી નથી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી સંભળાવવાનું શરૂ કરી દેવાય છે. એમાં પ્રાપ્તિ એટલી જ છે કે પ્રદૂષણ બમણું થઈને સામે આવે છે. ખરેખર તો કોઈ પણ ધર્મનું જાહેર પ્રદર્શન જ અટકવું જોઈએ. ધર્મ જો અંગત બાબત હોય તો તે વરઘોડાઓમાં, પાલખીઓમાં, જાહેર સત્સંગમાં, ઢોલનગારાંઓમાં, વીડિયો કે મેસેજ ફોરવર્ડ કરવામાં કેવી રીતે સચવાય છે તે જોવાવું જોઈએ. કોઈ પણ ધર્મ માત્ર દેખાડાઓમાં તો ન વસે ને ! એક તરફ સર્વધર્મ સમભાવની વાત હોય તો જેહાદની વાત કોઈ કરી જ કઇ રીતે શકે? ધર્મ સમભાવનું લક્ષણ હોય તો ધર્મપરિવર્તનની વાત આવે ક્યાંથી? વટાળ પ્રવૃત્તિ ચલાવનારાઓ ખરેખર જો ઈશ્વરને જાણતા હોય તો એવું કરવાની કલ્પના પણ કરી શકે? જાતિ, ધર્મને વચ્ચે લાવ્યા વગર બે વ્યક્તિ પ્રેમ કરે, પરણે, પછી એ જ પ્રેમિકા કે પત્નીને ધર્મ પરિવર્તનની ફરજ પાડવામાં આવે ને તેમ ન થાય તો અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે એમાં કેવળ ને કેવળ અધર્મ છે. કોઈ ધર્મ એની મંજૂરી આપે નહીં ને આપે તો એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી. નથી જ !

અહીં કોઈ પણ ધર્મની કે રાજકીય પક્ષની તરફેણની કે વિરોધની વાત નથી. આપણે બિનસમ્પ્રદાયિક્તાની નીતિ બંધારણમાં પણ અપનાવી છે. દરેકને પોતાનો ધર્મ પાળવાની ને તહેવારો મનાવવાની છૂટ છે એવું આઝાદી પહેલાં પણ હતું ને પછી પણ છે. કાશ્મીરમાં કોઈ સંપત્તિ ખરીદી ન શકે એવું 370મી લાગુ હતી ત્યારે શક્ય હતું, પણ હવે તો તે કલમ પણ નાબૂદ કરવામાં આવી છે, મતલબ કે કોઈ પણ વ્યક્તિ ક્યાં ય પણ રહી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો આ સ્થિતિ હોય તો પ્રશ્ન એ થાય કે અશાંત ધારાની સ્થિતિ આવે કઇ રીતે? એનો અર્થ એ થયો કે આઝાદી પહેલાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિસ્તારમાં વસી શકતી હતી, એ વાત આઝાદી પછી રહી નથી, એ જ સૂચવે છે કે પ્રજા-પ્રજા વચ્ચે સમભાવ રહ્યો નથી. શેને લીધે આમ બન્યું તે તો બધાં જાણે છે, પણ દુ:ખદ તો એ થયું છે.

ઉત્તર પ્રદેશની એક શાળામાં એક આચાર્યને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણ તેણે બાળકો પાસે અલ્લામા ઈકબાલની એક નઝમ ગવડાવી જેની એક પંક્તિ હતી, ’અલ્લાહ બુરાઇસે બચાના મુઝ કો…’  આનો વાંધો એટલે ઉઠાવાયો કારણ તેનો કવિ અને નઝમ, બંને વિધર્મી છે. આ એ જ ઇકબાલ છે જેની પંક્તિઓ ‘સારે જહાં સે અચ્છા .., હિંદોસ્તાં હમારા’ ગાઈને આજનું ભારત બેઠું થયું છે. ભારત આજ સુધી તો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નથી થયું. જો એ આજે પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બંધારણની રુએ હોય તો તેને કોઈ પણ કવિની પંક્તિ એટલા માટે ગાતાં રોકી ન શકાય કે એનો કવિ વિધર્મી છે. જો ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરી શકાતી હોય તો ગાલિબ કે ઇકબાલનો વાંધો ઉઠાવવાનું કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. બિસ્મિલ્લાખાનની શહનાઈ અને ભીમસેન જોશીને અલગ અલગ કાનથી સાંભળીશું? કાશ્મીરી પંડિતોને જે રીતે ખદેડવામાં આવ્યા એ અપરાધ જ હતો ને હજી એવી પ્રવૃત્તિઓ જ્યાં પણ થતી હોય ત્યાં તે અપરાધ જ છે, બિલકુલ એ જ રીતે જેમ કોઈ કોમ, બીજી કોમ માટે કારણ વગરની નફરત ફેલાવતી હોય. પ્રજા તરીકે એ પણ દરેકે તારવવાનું રહે કે આ પ્રકારની નફરત કુદરતી કેટલી છે ને રાજકીય કેટલી છે? નાતાલનો તહેવાર દિવાળી કરતાં વધુ ઉત્સાહથી હિન્દુઓ પણ ઊજવે છે. સિમલામાં ક્રિસમસની ઉજવણી માટે ધસારો થાય કે સ્કૂલોમાં બાળકો શાન્તાક્લોઝ બનવાનો, ગિફ્ટ આપવાનો આનંદ માણે, એમાં માત્ર ખ્રિસ્તીઓ જ જોડાય છે એવું નથી. આ ઉજવણું હિન્દુ પ્રજા જે ઉદારતાથી કરે છે એવી ઉદારતા ઈશુ ભક્તો પાસેથી પણ રહે, પણ એવું કમનસીબે ઓછું છે એને પરિણામે હિન્દુઓમાં હવે અન્ય તહેવારો ઉજવવા બાબતે ઉદારતા ઘટતી આવે છે. કેટલાક હિન્દુઓ હવે એવું કહેતાં થયા છે કે આ હિન્દુઓનો વિસ્તાર છે, અહીં શાન્તાક્લોઝ નહીં આવી શકે. આ સારું નથી. એક તરફ રાષ્ટ્રપતિ મુર્મુ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતાં હોય ને બીજી તરફ નાતાલની ઉજવણી ખટકે તો એ યોગ્ય છે? કોઈ ઉત્સવ અનુકૂળ ન આવતો હોય તો તેમાં ન જોડાવું, પણ તે ઉજવવા પર રોક લગાવવાની વાત તો બરાબર નથી. કટ્ટરતા કોઇ પણ કોમની હોય, તે ક્ષમ્ય નથી. ભારતીય પ્રજાઓ વચ્ચે વધતું આવતું વૈમનસ્ય પ્રજા વચ્ચે સંપ નથી એની સાક્ષી પૂરે છે. એક બાજુએ ચીન, પાકિસ્તાનનાં આક્રમણનો ભય સરહદ પર તોળાતો હોય ને પ્રજા વચ્ચે સંપ ન હોય તો એનો લાભ કોણ લઈ શકે તે કહેવાની જરૂર છે?

અહીં કોઈને ખરાખોટા ઠેરવવાનો ઇરાદો નથી. હિન્દુઓની બહુમતી છે એની પણ ના નથી, પણ સૈકાઓથી ભારતંમાં હિન્દુઓ એકલા રહ્યા નથી. બીજી ઘણી કોમો ને વિદેશી પ્રજાઓ અહીં આવીને વસી છે. ત્યારે હિન્દુઓ વધારે હતા છતાં એ કોમ કે પ્રજાને અહીં વસતાં કે શાસન કરતાં અટકાવી શકાઈ નથી, બલકે વિદેશી પ્રજા અહીં શાસન કરતી થાય એવી અનુકૂળતાઓ અહીંની કહેવાતી પ્રજાએ ઊભી કરી આપી છે. એ વખતે અહીંની પ્રજાને ગૌરવ આડે આવ્યું હોત તો કોઈ પણ વિદેશી શાસકોની આ ધરતી પર પગ મૂકવાની હિંમત થઈ ન હોત, પણ કમનસીબે અહીંનાં શાસકો અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા અને એ કુસંપનો લાભ એ વિદેશી પ્રજાને મળ્યો. હવે એ પ્રજાની અહીં પેઢીઓ જન્મી અને વિકસી છે. એ હવે ભારતીયો જ છે. માથા સાથે કાન જડેલા છે. આ સ્થિતિ હોય ને સાથે જ રહેવાનું હોય તો વૈમનસ્ય વધારવાનો અર્થ ખરો? જે પ્રજાઓ અહીં રહી છે તે જો વિદેશની વફાદારી દાખવતી હોય તો તે પણ અક્ષમ્ય છે. એટલે અપેક્ષા ને વિનંતી એ જ હોય કે સૌ હળીમળીને રહે. જો એમ સાથે નહીં રહી શકાતું હોય તો મૃત્યુ તો સાથે કરે જ છે. કોઈ ધરતીકંપ થાય છે ત્યારે તે હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈને જુદો નથી દાટતો. કોઈ સુનામી કે રેલ આવે છે તો હિન્દુ, મુસ્લિમ કે શીખ-ઈસાઈને તે અલગ અલગ તાણી નથી જતી, એના ધસમસતા પ્રવાહમાં તો બધું જ એકાકાર થઈને વહી જાય છે. જો મૃત્યુ ભેદભાવ નથી કરતું તો જિંદગી કેમ અલગ અલગ ખાનાઓમાં વહેંચાઈને રહેવા મથે છે? કમ સે કમ સામસામે રહેવાને બદલે આપણે પાસ પાસે રહેવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ડિસેમ્બર 2022

Loading

...102030...1,2911,2921,2931,294...1,3001,3101,320...

Search by

Opinion

  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved