Opinion Magazine
Number of visits: 9568819
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોઝની કોન્સ્પિરસી થિયરીઓને ઠેકાણે પાડનાર એક ગુજરાતી પત્રકાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 November 2022

આમ તો વાત બહુ નવી નથી, પરંતુ સુભાષચંદ્ર બોઝની ભત્રીજા વહુએ એને દોહરાવી છે, એટલે ફરીથી તેની નોંધ લેવા જેવી છે. વાત “નેતાજી”ના મૃત્યુના કથિત રહસ્યની છે. અંગ્રેજોની નજરકેદમાંથી છટકીને બોઝ કયાં ગયા તેને લઈને દાયકાઓથી તર્કો લડાવામાં આવે છે, પરંતુ હરિન શાહ નામના એક ગુજરાતી પત્રકારે, આ “કોન્સ્પિરસી થિયરીઓ” પર પહેલીવાર પડદો પાડતાં કહ્યું હતું કે બોઝની છેલ્લું ઠેકાણું તાઈપેઈ હતું અને તેના (હવે જૂનાં) એરપોર્ટ પર 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન તૂટી પડ્યું તેમાં બોઝનું અવસાન થયું હતું.

“નેતાજી”ના ભત્રીજા (નાના ભાઈ શરતચંદ્ર બોઝના દીકરા) શિશિર કુમાર બોઝની પત્ની કૃષ્ણા બોઝનું સુભાષચંદ્ર બોઝનું એક જીવનચરિત્ર્ય “નેતાજી સુભાષચંદ્ર બોઝ’સ લાઈફ, પોલિટિક્સ એન્ડ સ્ટ્રગલ” પ્રગટ થયું છે, તેમાં તેમણે આ ગુજરાતી પત્રકારની જાતતપાસ વાળી વાત દોહારવી છે. હરિન શાહે 1956માં “વર્ડિક્ટ ફ્રોમ ફોર્મોસા : ગેલન્ટ એન્ડ ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ” નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે ભેગા કરેલા પુરાવાઓના આધારે કહ્યું હતું કે તેમનું પ્લેન ફોર્મોસા(આજે તાઈપેઈ)માં તૂટી પડ્યું હતું અને ગંભીર રીતે દાઝી ગયેલા બોઝે થોડીક જ મિનિટોમાં જાપાનીઝ મિલીટરી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, બ્રિટિશ સામ્રાજ્ય પર આક્રમણના ભાગ રૂપે, જાપાને ભારતમાં મણિપુર અને નાગા હિલ્સ પર હુમલો કર્યો હતો. એમાં બોઝનું ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ જાપાનની પડખે હતું. તેમાં આઈ.એન.એ.ના સૈનિકોનો સફાયો થઇ ગયો હતો અને બોઝ બ્રિટન વિરોધી મનાતા સોવિયત સંઘમાં જવા માટે બર્મા ભાગી છૂટ્યા હતા. ત્યાંથી તેઓ જાપાની યુદ્ધ વિમાનમાં ઉડ્યા હતા. આ વિમાનમાં વધારે પડતો જ ભાર હતો, અને ફોર્મોસામાં ઇંધણ પુરાવીને ઊડવા જતાં તૂટી પડ્યું હતું.

22 ફેબ્રુઆરી 2020માં, 89 વર્ષની વયે, અવસાન પામેલાં કૃષ્ણા બોઝ તેમના પુસ્તકમાં આ પ્રમાણે લખે છે :

“શિશિર કુમાર બોઝ સાથે લગ્ન કર્યાના થોડા જ વખતમાં હરિન શાહનું પુસ્તક મારા ધ્યાનમાં આવ્યું હતું. શાહે તાઈપેઈની મુલાકાત લઈને નેતાજીના અંતિમ કલાકોનાં તથ્યો ભેગાં કર્યાં હતાં. એ વાંચવાનું કષ્ટદાયક હતું. શિશિરને પહેલેથી જ હરિન શાહના વિવરણની ખબર હતી. તાઈપેઈથી પાછા આવીને શાહે સરદાર પટેલ સાથે વાત કરી હતી. સરદારે તેમને સુભાષના ઘનિષ્ઠ રાજકીય સાથી અને વિશ્વાસુ શરદ બોઝ સાથે વાત કરવા સૂચન કર્યું હતું.

“નવેમ્બર 1948માં, હરિન શાહ પ્રાગની ભારતીય એલચી કચેરીમાં પ્રેસ એટેચી તરીકે કામ કરતા હતા. યુરોપના પ્રવાસે ગયેલા શરદ બોઝ ત્યાં આવ્યા, ત્યારે શાહ તેમને મળ્યા હતા. હોટેલમાં શાહે બે વર્ષ પહેલાં તાઈપેઈમાં
જાતતપાસ કરી હતી તેની વિગતો આપી ત્યારે શિશિર પણ હાજર હતો. શિશિર સુભાષને બહુ ચાહતા હતા અને તેમણે બાળપણ અને યુવાનીનું સંસ્મરણ “સુભાષ અને શરદ : એન એન્ટીમેટ મેમરી ઓફ ધ બોઝ બ્રધર્સ” લખ્યું હતું અને તેમાં આ મિટિંગની વાતો છે.

“શિશિરે 1965માં જાતે તાઈવાનની મુલાકાત લીધી હતી. તેમણે જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે જૂનાં એરપોર્ટની જગ્યાના, નેયાજીએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે નજીકની હોસ્પિટલના અને જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતા તે જગ્યાના બહુ ફોટા પાડયા હતા.”

તાઈપેઈમાં બોઝના મૃત્યુની તપાસ કરનાર ગુજરાતી પત્રકાર હરિન શાહ કોણ હતા? એ 26 વર્ષના હતા અને મુંબઈના સૌથી જૂનાં અંગ્રેજી અખબારો પૈકીના એક “ફ્રી પ્રેસ જર્નલ”માં કામ કરતાં હતા. તે બોઝને, નહેરુને, સરદારને અને મોરારજી દેસાઈને સારી રીતે જાણતા હતા. “ફ્રી પ્રેસ જર્નલ”ના એડિટર એસ. સદાનંદે 1946માં હરિનને યુદ્ધ-સંવાદદાતા તરીકે ચીન-મોંગોલિયા મોકલ્યા હતા. એ જમાનામાં ચીનમાં પોસ્ટીંગ મેળવનાર હરિન શાહ પહેલા ભારતીય પત્રકાર હતા. તે વખતે ફોર્મોસા (તાઈપેઈ) ચીનના કબ્જામાં હતું. ફોર્મોસાને જાપાન પાસેથી છીનવી લેવાની “ઉજવણી”ના ભાગ રૂપે, ચીનના પબ્લિસિટી વિભાગે 52 વિદેશી પત્રકારોની પ્રેસ પાર્ટીની ફોર્મોસા મુલાકાત ગોઠવી હતી.

હરિન એ પાર્ટીમાં હતા. 22 ઓગસ્ટ 1946ના રોજ તે ફોર્મોસા ઉતર્યા હતા. આ પ્રેસ પાર્ટી છ દિવસ માટે ફોર્મોસામાં રહી હતી. તે દરમિયાન, હરિન શાહે બોઝ કેવી રીતે તાઈપેઈ આવ્યા અને તે દિવસે શું થયું હતું તેની વિગતો એકઠી કરી હતી. તેમણે અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી અને માણસોને મળ્યા હતા. તેમણે એ સર્જન અને નર્સનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો, જેમણે બોઝની સારવાર કરી હતી.

હરિને તેમની તપાસના આધારે તારણ કાઢ્યું હતું કે “નેતાજી”નું ફોર્મોસા એરપોર્ટ પર વિમાન અકસ્માતમાં મોત થયું હતું. જો કે, બોઝના સમર્થકો અને તેમની આર્મીના ઓફિસરો એ માનવા  તૈયાર નહોતા કે બોઝનું અવસાન થયું છે. તેનું એક કારણ એ પણ ખરું કે જાપાની અધિકારીઓએ તેમના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બે દિવસ પછી સરકારી સમાચાર એજન્સીએ સમાચાર ફ્લેશ કર્યા હતા કે બોઝ, વિમાનના પાયલોટ, કો-પાયલોટ અને આર્મી જનરલ શિદી માર્યા ગયા છે.

1950ના દાયકામાં એક એવી વાર્તા વહેતી થઇ કે બોઝ માર્યા ગયા નથી, પણ ભારત પાછા આવીને સાધુ બની ગયા છે. બોઝના અમુક સહકાર્યકરોએ તો એક સંગઠન ઊભું કરીને બોઝના સાધુ બની જવાની કલ્પનાને પ્રચલિત કરવાનું પણ કામ કર્યું હતું. એમાં તેમણે ઉત્તર બંગાળમાં એક સાધુ પણ શોધી કાઢ્યો હતો, પણ તેણે બોઝ હોવાનો સતત ઇન્કાર કર્યો હતો. એક વાર્તા એવી પણ વહેતી થઇ કે બોઝ સોવિયત સંઘમાં અથવા ચીનમાં છે.

બોઝના લાપત્તા થઇ જવા અંગે ભારત સરકારે કુલ ત્રણ પંચ બેસાડેલાં : શાહ નવાઝ તપાસ પંચ-1956, ખોસલા પંચ-1975 અને જસ્ટિસ મુખરજી પંચ-2005. એમાં પહેલાં બે પંચે તારણ આપ્યું હતું કે બોઝનું તાઈપેઈની મિલીટરી હોસ્પિટલમાં અવસાન થયું હતું, જ્યારે મુખરજી પંચે એવું તારણ આપ્યું હતું કે “બોઝ વિમાન અકસ્માતમાં નહોતા માર્યા ગયા.” જો કે તેણે એ ના કહ્યું કે બોઝ ક્યાં અને ક્યારે માર્યા ગયા છે. પંચે ખાલી એટલું જ કહ્યું – નેતાજી સુભાષ ચંદ્ર માર્યા ગયા છે!

હરિન શાહની તપાસની એક નોંધપાત્ર વાત ફોર્મોર્સની નાનમોન હોસ્પિટલની એ નર્સ ત્સાન પાઈ શા હતી, જેણે હરિનને કહ્યું હતું, “એ અહીં મૃત્યુ પામ્યા હતા. 18મી ઓગસ્ટે તેમનું અવસાન થયું, ત્યારે હું તેમની બાજુમાં હતી. હું સર્જિકલ નર્સ છું અને મેં એમની દેખભાળ કરી હતી. મને તેમના શરીર પર ઓલિવ ઓઈલ લગાડવાની સૂચના હતી અને મેં એ પ્રમાણે કર્યું હતું. એ જ્યારે પણ ભાનમાં આવતા હતા ત્યારે તેમને તરસ લાગતી હતી. મેં એમને ઘણીવાર પાણી પાયું હતું.”

મજાની વાત એ છે કે, આવું તથ્યાત્મક સંશોધન ઉપલબ્ધ હોવા છતાં, એક ય બીજા કારણોસર, સુભાષચંદ્ર બોઝને લઈને જાતભાતની કોન્સ્પિરસી થિયરીઓ ચાલતી જ રહે છે (અથવા ચલાવામાં આવે છે).

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 નવેમ્બર 22
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પૂછતો નહીં

"પ્રણય" જામનગરી|Poetry|21 November 2022

કાચિંડાનો રંગ ક્યો છે ? 

તું મને પૂછતો નહીં,

આ વખતનો જંગ ક્યો છે;

તું મને પૂછતો નહીં.

તા. ૨૧-૧૧-૨૨

Loading

માણસાઈ માણસમાં જ હોય છે ને કરુણતા એ છે કે એનામાં જ નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 November 2022

હા, માણસાઈ માણસમાં જ હોય છે. તે પશુપંખીમાં જોવા ન મળે. એની પાસેથી એવી અપેક્ષા પણ નથી, છતાં, ક્યારેક વફાદારી, લાગણી વગેરે એનામાં જોવા મળે છે ને માણસમાં એ જોવા મળતી નથી. મનુષ્ય આ પૃથ્વી પરનું ઉત્તમ સર્જન છે, તે છે પણ ખરું, પણ સૌથી વધુ ત્રાસ પણ એ જ ફેલાવે છે. એણે જ શાંતિ માટે પ્રયત્નો કર્યાં છે ને એણે જ સૌથી વધુ યુદ્ધો પણ ખેલ્યાં છે. સ્ત્રી અને પુરુષને એકબીજાં માટે સર્જ્યાં કુદરતે, પણ સૌથી વધુ વિખવાદો એ બે વચ્ચે જ છે. એક તરફ તેમને અહમ્‌થી દૂર રહેવાનું શીખવાયું ને સૌથી વધુ અહમ્‌નો ટકરાવ સ્ત્રી-પુરુષો વચ્ચે જ જોવા મળે છે. શિક્ષણે એ સ્થિતિ સર્જવાની હતી કે મનુષ્ય વધુ નમ્ર ને વિવેકી બને. એ શીખવાયું પણ ખરું, પણ એનો અમલ ખાસ થયો નહીં. એનાં કરતાં કદાચ અશિક્ષિતોમાં અહમ્‌નું પ્રમાણ ઓછું જ જોવા મળે છે. એમ લાગે છે કે શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેણે આકાશની ક્ષિતિજો વિસ્તારી, પણ મનુષ્યને તો વધુ સંકુચિત અને અહંવાદી જ બનાવ્યો. એનાં સૌથી વરવાં પરિણામો સ્ત્રી-પુરુષમાં જ જોવાં મળ્યાં.

એનો અર્થ એવો નથી કે જગતમાં બધું ખરાબ જ થયું છે. ઉત્તમ પણ મનુષ્યે જ કર્યું છે. ક્ષિતિજો તમામ ક્ષેત્રે મનુષ્યે જ તો વિસ્તારી છે. પણ, જેમ જેમ સમય જાય છે તેમ તેમ સતત લોભી, લાલચુ ને હિંસક પણ માણસ જ થયો છે એની ના પાડી શકાશે નહીં. તેમાં પણ સૌથી વધુ પ્રેમ પુરુષે કર્યો હોય તો પણ, સ્ત્રીઓ તરફે સૌથી વધુ હિંસા ને અન્યાય પણ પુરુષે જ કર્યાં છે. આજના સમયમાં સ્ત્રી પણ અન્યાયી અને હિંસક છે જ, પણ તેનું પ્રમાણ પુરુષની તુલનાએ ઓછું છે. સ્ત્રીઓ પર બળાત્કારની સંખ્યા ઉત્તરોત્તર વધતી આવે છે. એ સંસ્કાર ને શિક્ષણનું જ પરિણામ છે. સ્ત્રીઓનાં થતાં ખૂન ને તેની રીત આઘાત જન્માવનારાં છે. સ્ત્રી–પુરુષ એકબીજાને ચાહે ને પરણે એ સ્વાભાવિક ગણાવું જોઈએ, પણ એમાં સૌથી વધુ અરાજકતા આજકાલ જોવા મળે છે. આજે પણ જ્ઞાતિ, જાતિના પ્રશ્નો લગ્નમાં બાધક છે. અમુક જ્ઞાતિ કે જાતિના હોવા માત્રથી જ લગ્નો નથી થતાં ને જ્યાં મન ન હોય ત્યાં પરણવું પડે છે. એ પછી પણ પ્રેમ ન ભુલાય તો અનેક પ્રશ્નો ઊભા થાય છે ને તેનાં પરિણામો અકુદરતી મૃત્યુ સુધી વિસ્તરે છે. આમ તો જ્ઞાતિ, જાતિનાં બંધનો કૂણાં પડ્યાં છે, પણ તે નાબૂદ થયાં નથી. વારુ, લગ્નનું બંધન પણ હવે ન સ્વીકારવાનું વલણ જોર પકડતું જાય છે. લગ્ન વગર સાથે રહેવાનું મુશ્કેલ રહ્યું નથી. લિવ ઇનમાં સ્ત્રી-પુરુષ રહેતાં થયાં છે, પણ તે પછી પણ સ્ત્રીનું લક્ષ્ય લગ્નનું તો હોય જ છે ને તે ઘણીવાર પુરુષને મંજૂર હોતું નથી ને ઝઘડાનું નિમિત એમાંથી ઊભું થાય છે. કોઈ કોઈ છૂટાં થઈ જાય છે, તો ક્યારેક વાત મરવા-મારવા પર પણ આવીને અટકે છે. એવું પણ છે કે લિવ ઇનનો વિકલ્પ લગ્નને વધુ સરળ કરવાનો હતો, પણ એને કારણે જીવન વધુ ગૂંચવાયું હોવાનું જ તેનાં પરિણામો સૂચવે છે. કોણ જાણે કેમ, પણ મનુષ્ય શાંતિ અને આનંદથી રહેવા જ માંગતો ન હોય એવું વાતાવરણ ઘર કરતું આવે છે ને તે ચિંતા ઉપજાવનારું છે.

શ્રદ્ધા નામની એક 25-26ની શાંત, અંતર્મુખી યુવતી. સમુદ્રી સ્વચ્છતા કાર્યક્રમોમાં ભાગ લે. મુંબઈનાં વસઈમાં રહે. માતાની સાથે. માતા અને પિતા સાથે રહેતાં ન હતાં, પરિણામે પિતાનો પ્રેમ શ્રદ્ધાને મળ્યો નહીં. મલાડ કોલ સેન્ટરમાં તે કામ કરે. ત્યાં એ આફતાબના પરિચયમાં આવી. માબાપની પરવા કર્યાં વગર તે આફતાબ સાથે લિવ ઇનમાં રહેવા લાગી, પણ બંને વચ્ચે મેળ ન પડ્યો. 2019માં તેણે માતાને કહ્યું કે તેનો પ્રેમી મારપીટ કરે છે. બાપે તેને અલગ થઈ જવાનું કહ્યું, તો શ્રદ્ધાને યાદ આવ્યું કે તે 25 વર્ષની સ્વતંત્ર યુવતી છે. પોતાનાં નિર્ણયો તે જાતે લઈ શકે એમ છે ને તેણે લિવ ઇનમાં આફતાબ સાથે રહેવાનું ચાલુ રાખ્યું. વધારામાં તેણે પિતાને જણાવ્યું કે તે હવે તેમની દીકરી મટી ગઈ છે. 2020માં શ્રદ્ધાની માતાનું અવસાન થયું. પિતા સાથે તો સંબંધ ખાસ હતો નહીં, એટલે શ્રદ્ધાનો માલિકી હક આફતાબે મેળવી લીધો ને તેની જોહુકમી વધતી ગઈ. ત્રાસીને શ્રદ્ધા પિતાને ત્યાં આવી ગઈ. પિતાએ તેને રાખી. આફતાબે માફી માંગી લેતાં શ્રદ્ધા ફરી આફતાબ પાસે આવી ગઈ. પિતાએ તેની સાથેના સંબંધો પૂરા થયાની ચેતવણી સાથે તેને જવા દીધી. આફતાબ શ્રદ્ધાને લઈને દિલ્હી નજીક મહેરોલીમાં રહેવા લાગ્યો. આની જાણ પણ શ્રદ્ધાએ પિતાને ન કરી. દિલ્હીમાં શ્રદ્ધાએ લગ્ન કરવાનું દબાણ વધાર્યું, પણ આફતાબ બીજી યુવતીના પ્રેમમાં પડ્યો. તેમાં શ્રદ્ધા નડતરરૂપ લાગતાં 18 મે, 2022 ને રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.

હત્યા તો કરી, પણ શ્રદ્ધાનો નિકાલ કરવાનું મુશ્કેલ લાગ્યું તો તેણે આરી વડે તેનાં 35 ટુકડા કર્યાં. તે સાચવવા તેણે 300 લિટરનું ફ્રિજ ખરીદ્યું. આમ કરવાનું તેને સૂઝ્યું, એક ટી.વી. સિરિયલ પરથી. ટુકડા સાચવવા તેણે કેમિકલ પણ ખપમાં લીધું. એ પછી રોજ તે નજીકનાં જંગલમાં જઈને શરીરના ટુકડા વિસર્જિત કરી આવતો. 18 દિવસમાં આ વિસર્જન તેણે પૂરું કર્યું. શ્રદ્ધાના ટુકડા ફ્રિજમાં હતા એ દરમિયાન આફતાબ તેની નવી લિવ ઇન મિત્રને પણ ઘરે લાવતો રહ્યો. શ્રદ્ધાના પિતા સાથેના સંબંધો પૂરા થઈ ગયા હતા એટલે તેનાં પિતા પણ મહિનાઓ સુધી આ હત્યાથી અજાણ જ રહ્યા. કોઈએ ધ્યાન દોર્યું તો પિતાએ પોલીસમાં, શ્રદ્ધા ગુમ થયાની ફરિયાદ નોંધાવી, ગુનો દિલ્હીમાં બન્યો હતો એટલે વસઇ પોલીસે ફરિયાદ દિલ્હી ટ્રાન્સફર કરી. દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી ત્યારે આફતાબે ગુનો કબૂલ્યો ને પોલીસ તેને લઈને શ્રદ્ધાને શોધવા નીકળી તો થોડાક જ ટુકડા તેને હાથ લાગ્યા છે ને બાકીની શ્રદ્ધા તેને હાથ લાગવાની બાકી છે.

આવી જ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહૌલા પોલીસ સ્ટેશન વિસ્તારની પણ બહાર આવી છે જેમાં એક યુવતીના શરીરના ટુકડા કૂવામાંથી મળી આવ્યા છે. આ ઉપરાંત દહેરાદૂનમાં પણ 2010માં અનુપમા ગુલાંટીની હત્યા થયેલી, જેમાં તેનાં પતિ રાજેશ ગુલાંટીએ અનુપમાનાં શરીરનાં 72 ટુકડા કરી તેને ફ્રિજમાં સાચવી હતી અને આફતાબની જેમ જ તેનો નિકાલ કરવા તે ગટરમાં ટુકડા ફેંકવા સુધી ગયો હતો. આ અને આવી ઘટનાઓ આઘાત આપનારી છે. માણસ ખૂન કરે એ જ અસહ્ય છે, ત્યાં તે પૂરી નિર્મમતાથી શરીરના ટુકડા કરે ને તેને સાચવવા ફ્રિજ વસાવે ને કેમિકલના ઉપયોગથી ટુકડા સાચવે એ કેવળ ને કેવળ રાક્ષસી કૃત્ય છે. રાક્ષસ પણ આ હદે ન જાય. આ હત્યાઓ ઉશ્કેરાટમાં નથી થઈ. ઠંડે કલેજે, પૂરી નિર્મમતાથી ને અત્યંત ઘાતકી રીતે થઈ છે. કાયદાની કોઈ પણ મહત્તમ સજા ખૂની માટે ઓછી છે. તે કોઈ પણ જાતિ, ધર્મ કે કોમનો કેમ ન હોય, તે કેવળ ગુનેગાર છે અને તે કોઈ પણ જાતની દયાને પાત્ર નથી.

એ તો કાયદો કાયદાની રીતે કામ કરશે, પણ આ હત્યા કેટલીક બાબતો વિષે વિચારવા પ્રેરે છે. શ્રદ્ધાનાં માતપિતાનું લગ્નજીવન શ્રદ્ધાને જીવન પ્રત્યે અંતર્મુખ બનાવવા પૂરતું છે. પિતૃપ્રેમથી તે વંચિત રહી છે ને માબાપથી વિમુખ થવાની હોય તેમ, પછી તો તેની મા પણ રહેતી નથી એટલે તે આફતાબ તરફ ઢળી હોય ને માબાપનું લગ્નજીવન એ બંનેની વચ્ચે પડઘાતું રહ્યું હોય એ શક્ય છે. યુવા પેઢીનાં આ બંને પ્રતિનિધિઓ છે. તેમની વચ્ચે સ્વસ્થતા નથી. પિતા, આફતાબને છોડીને શ્રદ્ધાને પાછી આવી રહેવા સૂચવે છે ત્યારે રિબાતી શ્રદ્ધા ઘરે આવી જવાને બદલે પોતે સ્વતંત્ર નિર્ણય લેવા સક્ષમ છે એવા વહેમમાં ખોટો નિર્ણય લઈને આફતાબ સાથે લિવ ઇનમાં રહેવાનો નિર્ણય મક્કમ કરે છે. આફતાબનું ફેમિલી બેકગ્રાઉન્ડ ખબર નથી, પણ તેનાં નિર્ણયોમાં રહેલી ક્રૂરતા કોઈ કુટુંબનાં સંસ્કાર હોવા વિષે શંકા પ્રેરે એમ છે. એકથી વધુ પ્રેમિકાઓ હોવી ને ગમે તેને રાખવી કે છોડવી તેવી આજની યુવા માનસિક્તાનો આફતાબ ને એના જેવા ઘણાં યુવાનો શિકાર છે. બધા જ યુવાનો આવા ન જ હોય, પણ જે આછકલાઇ છાશવારે યુવા પેઢીમાં જોવા મળે છે તે ચિંતા પ્રેરે એમ છે. એક ક્રૂર, શૉર્ટકટિયા, સગવડિયા ને તકવાદી ઉગ્ર પેઢી આકાર લઈ રહી છે એનાં આ નમૂનાઓ છે. અપવાદો હશે જ ને વૃદ્ધો બધા જ સારા છે એવું પણ નથી, પણ મનોયાતનાઓથી પીડાનારી ને માનસિક રીતે માંદી પેઢી સામે આવી રહી છે ને તેની ચિંતા નહિ કરવામાં આવે તો એ ઘણી ચિંતા કરાવશે એવું લાગી રહ્યું છે. એને બચાવવાની જરૂર છે ને એને નહીં બચાવાય તો એ ઘણું બચાવવા જેવું નહીં રહેવા દે તે સમજી લેવાનું રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 20 નવેમ્બર 2022

Loading

...102030...1,2841,2851,2861,287...1,2901,3001,310...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved