Opinion Magazine
Number of visits: 9458384
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સાંભરી આવે બા …’

અશોક મેઘાણી|Profile|24 August 2022

‘ફાર્બસ ગુજરાતી સભા’ના “ત્રૈમાસિક”ના 76માં પુસ્તકમાં, અંક : 1માં, ચિત્તપોથીનું વાંચન અંતર્ગત ‘સાંભરી આવે બા…’ના ટાઇટલ સાથે અશોકભાઇ મેઘાણીએ (ઝવેરચંદ મેઘાણીના દીકરા) રજૂ કરેલી વાત ….. 

====================

પ્રસિદ્ધ અને લોકપ્રિય નામ સાથેના જોડાણમાં એક મોટું જોખમ રહે છે. કોઇ નવી ઓળખાણ થાય અને સવાલ આવે. ‘તમે ફલાણાના કાંઇ સગા?’ શરમાવે એવા બીજા સવાલ પણ આવે. ‘સગા દીકરા?’ કાંઇ લખો છો કે નહીં? એ તો તમારા લોહીમાં જ હોવું જોઇએ.’ આ બધાથી ટેવાયા વગર તો છૂટકો જ નહીં, પણ એક વાત કહેવાનું મન થાય છતાં કહેવાતી નથી. લોહીના જે સંસ્કારની આશા દર્શાવાતી હોય છે એ કાંઇ એક જ બાજુથી આવી શકે એવું થોડું છે?

મારાં બાનો જન્મ નેપાળના એક બ્રાહ્મણ કુટુંબમાં પંડિતશિરોમણિ પિતા અને વિદુષી માતાને ત્યાં 1910માં થયો. જ્યેષ્ઠ એ પુત્રીનું નામ પડ્યું ચિત્રાદેવી. પિતા નેપાળનો રાજદરબાર છોડી મુંબઇ આવી વસેલા. બાર-તેર વરસની ઉંમરે લગ્ન થયાં પછી ચિત્રાદેવી બે જ વરસમાં વિધવા થયાં. થોડાં વર્ષો પછી, 24 વર્ષની ભરયુવાન વયે એ મારા વિધુર પિતાના પરિચયમાં આવ્યાં અને 1934માં લગ્નગ્રંથિથી જોડાયાં. વિધવા પુત્રીનું એક વણિક સાથેનું પુનર્લગ્ન એ સમયના નેપાળી બ્રાહ્મણસમાજને અસ્વીકાર્ય હશે. અને પિયરે તરછોડેલાં બા બધું જ છોડીને સાવ નવા સમાજ અને કુટુંબમાં પ્રવેશ્યાં. એ છેદ એવો થયો કે બાને પોતાને કે એમનાં પાંચ સંતાનોમાંથી અમને કોઇને અમારું મોસાળનું ઘર જોવા નથી મળ્યું. લગ્ન પછી 20-22 વરસે, કદાચ જૂની પેઢીના ગયા પછી અને રૂઢિનાં બંધનો ઢીલાં થતાં, અમારા બે મામાઓ ભાવનગર બાને મળવા આવેલા અને એક તો બે ત્રણ મહિના રોકાયેલા પણ ખરા. પણ મારા મનથી મોસાળ એટલે લોહીની કોઇ જ સગાઇ વગરના પણ ખરા વડિલ ‘ખારાસાહેબ’નું ભાવનગરનું  ‘ખારા નિવાસ’ જ રહ્યું છે.

1947માં મારા બાપુજીના અકાળ અવસાને 37 વર્ષના બાને બીજી વાર વૈધવ્ય આપ્યું. તેર વર્ષના એ લગ્નજીવન દરમ્યાન જન્મેલાં અગિયાર અને અઢી વરસ વચ્ચેની ઉમરનાં પાંચ બાળકોને એકેલે હાથે ઉછેરવાનું કામ બાને માથે આવ્યું. હું ત્યારે હજી ચાર વરસનો પણ નહતો. પણ બાએ એ પછી જે અસામાન્ય સ્વમાન સાથે અને હિંમતથી અમને મોટા કર્યા એનો હું સાક્ષી છું. આજના જમાનાની ‘એકલ માત’ને ભોગવવી પડતી મુશ્કેલીઓની વાત સાંભળું ત્યારે હું 62 વર્ષ પહેલાંના ગુજરાતમાં યુવાન વિધવા બાની શી કપરી હાલત હશે એની કલ્પના પણ કરી શક્તો નથી.

બાપુજીના બહોળા સંબંધો એમના અવસાન પછી પણ બાએ ઘણી કાળજીથી સાચવ્યાનો મને ખ્યાલ છે. બાપુજીનાં ખૂબ નજીકનાં સ્નેહીઓ રવિશંકર રાવળ અને વિજ્યાબહેન-દુર્લભજીભાઇ પરીખ સાથે જિંદગીભર સંપર્ક રાખ્યો અને જ્યારે તક મળી ત્યારે એમને પોતે મળવા અને પ્રસંગોપાત અમને મેળવવાનું પણ બા ચૂક્યાં નથી. ખૂબ આત્મીયતાથી એમની રસોઇના અને પોતાની માનીતી વાનગી પૂરણપોળીનાં નામ દઇને વખાણ કરતા ઉમાશંકર જોશીને પણ સાંભળ્યાની સ્મૃતિ છે.

કોઇને પાસે હાથ લાંબો કરવાનું તો એમના સ્વભાવમાં નહોતું. બાપુજીના મૃત્યુ પછી જન્મભૂમિ ટ્રસ્ટે બાળકોના ભણતર માટે મહિને રૂ.100ની વ્યવસ્થા કરેલી. પણ એ સિવાયની એકમાત્ર આવક એ બાપુજીનાં પુસ્તકોની રૉયલ્ટીનો પોતાના ભાગે આવતો હિસ્સો. એમાંથી છ માણસનું ઘરખર્ચ ચલાવવું અશક્ય જ હશે એમ હું માનું છું. એ ખોટને પહોંચી વળવા આવકનાં બીજાં સાધનો ઊભાં કરવાનાં પ્રયત્નો કર્યા. પરંપરાગત સોરઠી ભરત – ચાકળા, તોરણ વગેરે ‘સોરઠી શણગાર’ એવા નામથી વેચવાનો બાપુજીની હયાતીમાં શોખથી શરૂ કરેલો પ્રયત્ન હવે ધંધાદારી રીતે ઘણા વખત સુધી ચાલુ રહ્યો. લોકભરતનાં એ કામની અસલિયત જાળવવા બોટાદનાં એક કુંભારણ બહેનને ભાવનગર બોલાવી સળી અને શાહીથી હાથી, મોર સહિતની પરંપરાગત ડિઝાઇન એમને હાથે આલેખાવતાં. એના પર સૂતર અને હીરના દોરાનું ભરત ભાવનગરની બહેનો પાસે પોતાની રંગની ઊંડી સમજ વાપરીને તૈયાર કરાવતાં. દિલ્હીના કૉટેજ ઇન્ડસ્ટ્રીઝ એમ્પોરિયમ સુધી પહોંચાડતાં. થોડો સમય અથાણાં બનાવીને મોટા સ્ટોરમાં પહોંચાડવાનો અસફળ પ્રયત્ન પણ કરેલો.

આવી સામાન્ય આર્થિક હાલત છતાં અમને પાંચે સંતાનોને અમે જે, જેટલું અને જ્યાં ભણવાને શક્તિમાન હતા તે કરવાની તક બાએ ગમે તેમ કરીને પણ પૂરી પાડી. બોટાદનું ઘર આ બધી જરૂરિયાતોને પહોંચી વળવા વેચેલું એવો ખ્યાલ છે. બાની એ મદદ વગર હું એન્જિનિયર બની શક્યો જ ન હોત. મારી સમજ પ્રમાણે એ માટેની બાની અણકહી શરત એક જ હતી – સંતાનોએ પોતે જ પસંદ કરેલ ક્ષેત્રના ભણતરમાં એક વરસની પણ નાપાસી સદંતર અસ્વીકાર્ય હતી.

જન્મજાત સંસ્કાર વિશેની ખૂબ પ્રચલિત માન્યતા મેં કદી સ્વીકારી નથી. સંસ્કારી મા-બાપનાં અસહ્ય સંતાનો આપણે બધાએ ઘણાં જોયા હશે. સંતાનનું ખરું ઘડતર મા-બાપે પોતે જ બેસાડેલા દાખલા વગર થઇ ન શકે એવી મારી નમ્ર માન્યતા છે. અમારા ઘડતરમાં બાપુજીની પરોક્ષ અસર જરૂર હશે. પણ પ્રત્યક્ષ અને સતત અસર તો એક બાની જ. સાચા-ખોટાની સમજણ મળવાની શરૂઆત બાને ખોળે બેસીને સાંભળેલી ‘મહાભારતનાં પાત્રો’ની – ખાસ કરીને ભીષ્મની – વાતોમાંથી મળી અને પછી એમની દેખરેખ નીચે જ આકાર પામી. બાએ પોતાના વર્તનથી કે વાણીથી ખોટી કેળવણી આપી હોય એવું મને યાદ નથી. એટલું જ બસ ન હોય તેમ અમારાથી જાણવા છતાં ખોટું કાંઇ થાય તો બા પાસેથી શારીરિક શિક્ષા પણ મળી છે. સંસ્કાર આપવામાં એમણે કદી પાછી પાની નથી કરી. એમણે આપેલાં શિક્ષણની જ્યાં જાળવણી નથી થઇ એ તો મારી પોતાની નબળાઇનું પરિણામ હશે.

બા શિસ્તનાં મોટાં આગ્રહી હતાં. શરૂઆતમાં અમે પાંચે ભાઇ-બહેનો એક-બીજાને ‘તું’ કહીને બોલાવતાં. એક દિવસે બાએ નક્કી કર્યું કે નાનાએ મોટાને ‘ભાઇ’ કે ‘બહેન’ના પ્રત્યય સાથે ‘તમે’ જ કહેવાનું. થોડા દિવસ અને બાની થોડી ‘સક્રિય’ સહાય પછી આજ લગી એ ધારો ચાલુ રહ્યો છે. બાળકોની પોતાની માને ‘તું’ કહીને બોલાવવાની કે વાત વાતમાં ઉતારી પાડવાની આજે પણ ઘણાં ઘરોમાં જોવા મળતી વર્તણૂક અમારા ઘરમાં શક્ય જ નહોતી. અમે પાંચ સાવ જુદી જુદી પ્રકૃતિનાં બાળકોએ બાને હેરાન કરવામાં કાંઇ જ બાકી નહોતું રાખ્યું. પણ પાયાની અમુક શિસ્ત તો એમણે દાખલ કર્યે જ છૂટકો કર્યો.

દીકરી અને દીકરા સાથેના વર્તનમાં કોઇ જ ફેર ન રાખવાનો દાખલો પણ એમણે જ બેસાડ્યો. આશા અને મારા પહેલા બાળકની રાહ જોવાતી હતી ત્યારે એ તો દીકરો – પોતાનો પહેલો પૌત્ર – જ હશે એમ જોરશોરથી કહેતાં. પણ પુત્રીનો જન્મ થતાં વેંત બેલા એમની આંખની કીકી બની ગઇ. અને નિરાશા જો થઇ હોય તો એનો અણસાર પણ કદી જોવા મળ્યો નહીં.

એમનું સહુથી બળવાન લક્ષણ તે કદાચ એમનો સ્વમાની સ્વભાવ હશે. સાચા કારણ વગરનો કોઇ પણ અન્યાય એમણે મૂંગે મોઢે સહન કર્યો નથી. અને ન્યાય જ્યારે પોતાના પક્ષે ન હોવાની ખાતરી થાય ત્યારે ભોગ આપવાની તૈયારી પણ એમની રહેતી. હું છઠ્ઠા કે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષાનું એક જવાબપત્ર ભૂલથી ઘરે લઇ આવેલો. સાંજે શાળાનો પટાવાળો એ લેવા માટે અમારા ઘરે આવ્યો ત્યારે જ મને અને બાને મારી એ ગંભીર ભૂલની જાણ થઇ. બીજે દિવસે હેડમાસ્તરને મળીને કહ્યું કે ‘અશોક મારો દીકરો છે. એ ચોરી કરે જ નહીં પણ અજાણતાં કરેલી આ ભૂલ માટે તમારા નિયમ પ્રમાણે એનું જો એક વરસ બગડે તો મને કબૂલ છે.’ મારે એ વિષયની ખાસ પરીક્ષા ફરી આપવાનો હેડમાસ્તરનો નિર્ણય થયો.

એમના સ્વામાની અને સ્વંતંત્ર સ્વભાવનો મારે મનથી મોટામાં મોટો દાખલો પુત્રનાં લગ્ન સમયે એમણે દર્શાવેલી આ ઇચ્છા છે – ‘દીકરાને જુદા થાઓ એવું કહેવું ન ગમે. પણ રહો તો હું તમારી સાથે નહીં પણ તમે મારી સાથે રહો છો એ સમજીને રહેજો.’ એ જ ખુમારીથી બા પોતાનું આખું જીવન જીવ્યાં. 

બિનગુજરાતી તરીકે ઊછરેલાં બાને વાંચવાનો અનન્ય શોખ. અમારા ઘરનાં સાહિત્યિક વાતાવરણની અસરથી કે ગળથૂથીના સંસ્કારે એ તો રામ જાણે. પણ બા અઠવાડિયાનાં સરેરાશ ચાર પુસ્તકો વાંચતાં. ભાવનગરની બાર્ટન લાઇબ્રેરીના પ્રથમ વર્ગના સભ્યોને એક્સાથે ચાર પુસ્તકો લઇ જવા મળતાં. બા અને હું અઠવાડિયે એક વાર ત્યાંની મુલાકાતે – મારે મન જાત્રાએ જતાં. અમે બન્નેએ બાર્ટન લાઇબ્રેરીના નવલકથા મોટા ભાગનાં પુસ્તકો (બા એમને ‘ઉપન્યાસ’ કહેતાં) વાંચી નાખ્યાં હશે. એમાં ડિટેકટીવ હરનામસિંહથી માંડીને ‘શ્રી મહાભારત’ સુધીનું, અંગ્રેજી-ફ્રેન્ચ-હિન્દી-મરાઠી-બંગળીમાંથી અનુવાદો સહિતનું બધું જ વાર્તા-સાહિત્ય આવી જાય. અમારાં બન્નેનાં માનીતાં ‘ધ કાઉંટ ઑફ મોન્ટે ક્રિસ્ટો’, ટારઝન-શ્રેણી, ‘ચૌલાદેવી’ અને ‘શ્રીકાંત’, વગેરે વારંવાર વાંચ્યાનું સ્મરણ છે. જે કાંઇ પણ હાથમાં આવે તે હળવું વાંચન – ખાસ કરીને જાસૂસી ઉપન્યાસ – વાંચવાનો મારો આજે પણ જીવંત શોખ એ મને એકને જ બાએ આપેલો ખાસ વારસો છે.

પણ ગુજરાતી સાહિત્યના આટલા ઘનિષ્ઠ પરિચય પછી પણ બાની બોલચાલમાં એમના બિનગુજરાતી ઉછેરની અસર સ્પષ્ટ રહી. નાની બહેન મુરલી અને હું હજી પણ બાના રિતુ (ઋતુ), મામ્સ (માંસ), ચાબલઇ (ચાગલાઇ), હંસતાં હસતાં વગેરે ઉચ્ચારો-શબ્દપ્રયોગો યાદ કરીને ‘હંસીએ’ છીએ.

પચાસેક વરસની ઉંમરે બાને વિધિસર હિંદી શીખવાનું મન થયું. ‘પ્રારંભિક’થી શરૂ કરીને ધીમે ધીમે કરતાં ‘કોવિદ’ પાસ થયાં. ઘરનું બધું કામ થઇ જતાં જાડાં પાઠ્યપુસ્તકો (‘ઉપન્યાસ’ નહીં) સાથે પથારીમાં ઊંઘા પડી વાંચતાં-લખતાં અને મોડી રાત સુધી ‘રત્ન’ની પરીક્ષાની તૈયારી કરતાં બા આજે પણ નજર સામે તરવરે છે. દુ:ખની વાત એ છે કે ભણવા-શીખવાનું જ જેમનું કામ હતું એવા ઘરના અમે કોઇએ એમનો દાખલો લઇ એવી મહેનત કદી કરી નહીં.

બાના એક પાસા વિશે એમને જાણતા લોકોમાં બે મત નથી. બાની રસોઇ એક અસાધારણ દરજ્જાની થતી. ગુજરાતી – ખાસ કરીને કાઠિયાવાડી – રસોઇ તો એમની વખણાતી જ. પણ બાએ પોતાની રીતે જાત જાતના અખતરા કરીને નવીન વાનગીઓ પણ તૈયાર કરી. એમના એ અખતરા જિંદગીભર ચાલુ રહ્યા. આજે આટલાં વરસે પણ બાની લસણ-મસાલા ભરપૂર રસોઇથી બગડેલી મારી જીભ મિત્રોની મશ્કરીનું નિશાન બની રહેલ છે.

મારાં બા એક સંત હતાં કે એમનામાં કોઇ ખોડખાંપણ હતી જ નહીં એવું કહેવાનો મારો કોઇ આશય નથી. સ્વતંત્ર મિજાજની દરેક વ્યક્તિમાં હોય એ બધા દોષ એમનામાં જરૂર હશે જ. છંછેડાતાં પ્રગટ થતો ઉગ્ર સ્વભાવ, પારદર્શક હાવભાવ, અમુક બાબતોમાં બાંધછોડ નહીં જ કરવાનો સ્પષ્ટ આગ્રહ બીજી તામસી પ્રકૃતિ બામાં જરૂર હતાં. કહેવાનું ફક્ત એટલું જ કે એમની એ કરડી બાજુ ખોટા કારણે ભાગ્યે જ ડોકિયું કરતી. એમને છાતીફાટ રડતાં એક જ વાર જોયાં છે- પોતાના જ એક સંતાનના અસહ્ય વર્તનના દુ:ખથી.

કોઇનું ખરાબ જેણે ઇચ્છેલું પણ નહીં એવી આ વ્યક્તિના છેલ્લા દિવસો બહુ જ યાતનામાં ગયા. 63 વર્ષે બાને કૅન્સર થયું. રેડિકલ મૅસ્ટેક્ટોમી અને રેડિએશન લીધાં પછી એમની હાલત ઘણી આશાસ્પદ હતી. પણ થોડા મહિને એ જીવલેણ દર્દે શરીરમાં બીજે દેખા દીધી જેની કોઇ જ સારવાર શક્ય નહોતી. એમના છેલ્લા અંધારા દિવસોમાંની એક માત્ર સુવર્ણરેખા બા પોતાના પહેલા પૌત્ર નીરજને જોઇ શક્યા તે હતી. 1974માં એમના અંત સમયે હું હાજર નહોતો પણ એના બે-ત્રણ દિવસ પહેલાંના ફોટા જોયા પછી મેં કૅન્સરે સર્જેલી એ હોનારતી સ્થિતિનાં બાને જોવાની ઇચ્છા ફરી ક્દી નથી રાખી. કર્મનો સિદ્ધાંત ગમે તે કહે, પણ આવું દુ:ખ આપનાર જો ઇશ્વર હોય તો ઇશ્વરી ન્યાય પર મને ઝાઝો ભરોસો એ પછી નથી રહ્યો.

જે બાએ મને આટલો પ્રેમ આપ્યો અને સારી-ખરાબ મારા ઘડતર પર બધાથી વધારે અસર કરી, એ બાની એક જાજરમાન છતાં વહાલસોયી છબિ મારા મનમાં છે. તે હંમેશ માટે એમની એમ જ સાબૂત રહે. એમનો એ પ્રસન્ન અને ‘હંસતો’ ચહેરો જ મારા સંભારણામાં રહે.

[સૌજન્ય : ફેઈસબૂકની દીવાલેથી હરતુંફરતું અહીં સાદર લેવાયું]

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૫) 

સુમન શાહ|Opinion - Literature|24 August 2022

એક વાર માર્ક્વેઝે કહેલું : જ્યારે જ્યારે મારી કૃતિની ભૂરિ ભૂરિ પ્રશંસા એમાં રહેલી કલ્પના માટે થતી હોય છે, ત્યારે ત્યારે મને રમૂજ થાય છે. કેમ કે સત્ય તો એ છે કે મારી તમામ કૃતિઓમાં એક પણ લીટી એવી નથી હોતી જેને વાસ્તવિકતાનો આધાર ન હોય. સમજવાનું એ છે કે કૅરેબિયન રીયાલિટી છે જ એવી, બેફામ કલ્પના જેવી.

માર્ક્વેઝના રસિકોએ, અને સમીક્ષકોએ તો ખાસ, એમનું ઉપર્યુક્ત કથન યાદ રાખવું.

પ્રકરણ : ૫ :

રેમેડિયોસ મોસ્કોતે તરુણાવસ્થાએ પ્હૉંચી હોય છે. એટલે પછી માર્ચના એક રવિવારે ઔરેલિયાનો સાથે એનાં લગ્ન થાય છે. પણ ત્યાંલગી રેમેડિયોસનું બાળપણ ગયું ન્હૉતું. માએ કહેલું – શરીરમાં બદલાવ આવી રહ્યા છે તો તારે શું શું કરવું જોઈશે. પણ ફેબ્રુઆરીની એક બપોરે એની બહેનો ઔરેલિયાનો જોડે લિવિન્ગરૂમમાં ગપાટા મારતી’તી ત્યારે એ બૂમો પાડતી પ્હૉંચી ને ચૉકલેટ-કલરની પેસ્ટવાળી પોતાની પૅન્ટીસ બતાવી રહી. રેમેડિયોસ રજસ્વલા થઈ’તી. શરીર જાતે સાફ કરવું, ઢંગનાં કપડાં પ્હૅરવાં કે ઘરગૃહસ્થી જાણવી વગેરે બધું એને શીખવવા જેટલો મા પાસે સમય જ ન્હૉતો. રેમેડિયોસથી પથારીમાં પેશાબ થઈ જતો. એ ટેવ છૂટે એ માટે એને ઊની ઈંટો પર પેશાબ કરવાનું શીખવવાનો ય સમય ન્હૉતો, કેમ કે લગન ઢૂંકડાં હતાં, માંડ મહિનો બાકી હતો.

પરણ્યા પછીનાં પવિત્ર રહસ્યો રેમેડિયોસને સમજાવવા જતાં એઓને ઘણી મહેનત પડેલી કેમ કે લગ્નની રાતે શું થવાનું એ જાણ્યા પછી એને મૂંઝવણ થયેલી, અચરજ પણ. એટલે એ બધી વીગતો એ સૌ કોઈને જણાવવા માગતી’તી. જો કે એ કામ એને થકવી દેનારું હતું. એટલે પછી, વિધિની તિથિએ એ સુકન્યા એની બહેનોની જેમ દુનિયાદારીની બધી જ બાબતોમાં નિપુણતાથી એકદમ સરસ વર્તવા લાગેલી.

પછી તો, રૉકેટ ઊડતાં’તાં, બૅન્ડવાજાં વાગતાં’તાં, રસ્તા ફૂલોના હાર ને તોરણોથી શણગારાયેલા હતા – એવા વાતાવરણમાં ડૉન અપોલિનર મોસ્કોતે રેમેડિયોસનો હાથ સાહીને એને લગ્નવિધિ માટેની વેદીની દિશામાં દોરી જાય છે. બારીઓ પરથી લોકો રેમેડિયોસને શુભેચ્છાઓ પાઠવતા હોય છે. રેમેડિયોસ સ-સ્મિત હાથ હલાવી દરેકનો આભાર માનતી હોય છે.

પણ ત્યાં મા અને બહેનોને ફડક કે છોકરી વિધિમાં કશો બફાટ ન કરે તો સારું. મા-બેનોની ચિન્તા આખરે એટલી બધી વધી કે લોકલાજ બાજુએ મૂકીને તેઓ રેમેડિયોસને ચૂમીઓ પર ચૂમીઓ ભરવા લાગી. લગ્નની પાર્ટી પછી રેમેડિયોસ સૌ સાથે હેત અને જવાબદારીભાવથી વર્તવા લાગેલી. અરે, એણે એટલે લગી જણાવેલું કે પોતે પિલાર તરનેરાથી જન્મેલા ઔરેલિયાનોના અવૈધ દીકરાને પણ ઉછેરશે. એ દીકરાનું નામ ‘ઔરેલિયાનો હોસે’ રાખવામાં આવ્યું હોય છે.

પણ ત્યારે, લગ્નની વિધિ પછી તરત, રેમેડિયોસે એકદમનું આપોપું અને સહજ તો આ કરેલું : એણે વેડિન્ગ-કેકનો એક મોટો ટુકડો કાપ્યો, પ્લેટમાં મૂક્યો, સાથે કાંટા લીધા, અને, ચેસ્ટનટના થડ સાથે બંધાયેલા, પામની પાંદડાં સમેતની ડાળોની છાપરી નીચે, લાકડાના સ્ટૂલ પર ચૉંટીને બેઠેલા, અતિશય વૃદ્ધ દીસતા, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા પાસે જઈ પ્હૉંચી. તાપ-વરસાદથી હોસેનો ચ્હૅરો શામળો પડી ગયેલો. હોસે ગોળમોળ સ્મિત કરી કૃતજ્ઞતા દર્શાવે છે. કેક પર આંગળાં ફેરવતો કશુંક ન સમજાય એવું ધર્મગીત ગણગણે છે.

રેમેડિયોસ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને કેક આપે છે :

Pic Courtesy : Behance

એ બધાંમાં એક માત્ર દુ:ખી હતી, રેબેકા. પાર્ટી, સમજો, એની નિરાશાનો ઉત્સવ હતી. બાકી, ઉર્સુલાએ આયોજન તો એવું કરેલું કે સાથોસાથ રેબેકાનાં ય લગ્ન થઈ જાય. પણ મોકુફ રાખવા પડેલાં કેમ કે પિએત્રો ક્રેસ્પીને એક પત્ર મળેલો; એમાં જણાવાયેલું કે મા અતિ બીમાર છે ને તાબડતોબ એણે રાજધાની પ્હૉંચી જવું. ક્રેસ્પી નીકળી તો જાય છે પણ રસ્તામાં એને યાદ આવે છે કે મા તો શનિવાર-રાતની નીકળી ગઈ છે. ઔરેલિયાનાના લગનમાં પ્હૉંચી જઈને ગીત ગાવાની’તી જે ગીત એ એના દીકરાના લગનમાં ગાવાની’તી. રવિવારની મધરાતે ક્રેસ્પી પાછો ફરે છે, પેલી પાર્ટીની ‘રાખને’ – અવશેષને – વાળીઝૂડીને ઉશેટી દેવા ! પોતાનાં લગ્ન માટે જલ્દી પ્હૉંચવાની લ્હાયમાં રસ્તે એના પાંચેય ઘોડા થાકી ગયેલા. સુથારો વેદી આગળના મંડપને છોડી કરીને આટોપી લે એ કામ ત્યારે પૂરું ન્હૉતું થયું. છેવટે પુરવાર એમ થયેલું કે પત્ર બનાવટી હતો – લગ્નને વિલમ્બમાં મૂકવાનું તરકટ.

કશી આંતરિક માંદગીને કારણે રેમેડિયોસનું મૃત્યુ થાય છે. બને કે એ કસુવાવડમાં મરી હોય. પરિવારજનો શોકમાં ડૂબી જાય છે. ઉર્સુલાએ શોક પાળવા આજ્ઞાઓ કરી – બારીબારણાં બંધ રાખજો – અનિવાર્યતા વિના આવનજાવન કરશો નહીં. એણે સૌને પૂરા એક વર્ષ લગી મોટેથી ન બોલવાનો આદેશ પણ કરલો. શબને ઉર્સુલાએ ભૉંય પર રાખેલું, ત્યાં, એની બાજુમાં રેમેડિયોસનો ડેરોટાઇપ (ફોટો) ગોઠવેલો, ફરતે કાળી રીબન વીંટાળેલી, ને નિરન્તર પ્રજ્વલિત રહી શકે એવો દીવો મૂકેલો.

કથક કહે છે : ગરમીના દિવસે સૂમસામ બપોરે બે-ના શુમારે, કોઈએ ધક્કો મારીને બારણાને ધડામ્ ખોલી નાખ્યું. એથી ભૉંય સમેત ધરા એવી તો ધણધણી કે ઓટલે બેસી શીવણ કરતી અમરન્તાને અને એની બહેનપણીઓને, બેડરૂમમાં અંગૂઠો ચૂસતી રેબેકાને, રસોડામાં ઉર્સુલાને, અને ચેસ્ટનટ નીચે બેઠેલા એકલાઅટૂલા હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને પણ – બધાંને – ધ્રાસ્કો પડ્યો કે ધરતીકમ્પ થયો ! ઘરનો નાશ થઈ જવાનો !

વિશાળકાય મનુષ્ય આવેલો. એના ખભા એવા પ્હૉળા કે બારણાંમાં સમાતો ન્હૉતો. ઘણો જ બળવાન, મનુષ્ય રૂપે એ પશુ ભાસે. એના બાહુ અને છાતી પર ભેદી ટાટૂ ચીતરેલાં હતાં, આખા શરીર પર હતાં. એનામાં આવેગ અને ક્રૂરતા ભર્યાં પડ્યાં છે.

એના જમણા કાંડા પર સુરક્ષા માટેનું તાંબાંનું બ્રૅસલેટ હતું – કોતરેલું તાવીજ જેમાં “ninos en cruz” (children in the cross) લખેલું હતું. ખુલ્લી ગરમ હવાની ખારાશથી એની ચામડી શેકાઇને બ્રાઉન થઈ ગયેલી. એના વાળ ટૂંકા ને ખચ્ચરના હોય છે એવા સીધા હતા. જડબાં નિશ્ચલ, લોખંડી. એની ઉપસ્થિતિમાત્ર સૌને ધ્રૂજાવી દે એવી ખતરનાક હતી. એનું સ્મિત વિષાદમય હતું.

ઘોડાના પલાણ જોડે બાંધવાનો પોતાનો ઘસાયેલો થૅલો ઝુલાવતો એ દીવાનખણ્ડમાં થઈને પ્રવેશદ્વાર લગી, બેગોનિયા લગી, ગર્જના કરતો પ્હૉંચી ગયો. અમરન્તા અને એની બહેનપણીઓ સ્થિર ! શીવણકામની સૉયો અધ્ધર ! એમને એણે કહ્યું – હૅલોઓ. એના અવાજમાં થાક હતો. થૅલો એણે વર્કટેબલ પર ફૅંક્યો. પછી, ઘરના પાછલા ભાગમાં ગયો. રેબેકાએ જોયું કે એના બેડરૂમ આગળથી જતો’તો. ચૉંકી ગયેલી રેબેકાને એણે ક્હ્યું – હૅલો. સિલ્વરસ્મિથની પોતાની જગ્યાએ સ્વસ્થ બેઠેલા જાગ્રત ઔરેલિયાનોને એણે ‘હૅલો’ કહ્યું. કોઈની પણ જોડે એ રોકાયો નહીં, સીધો રસોડામાં ગયો, ને થંભ્યો. દુનિયાની બીજી બાજુ પરના પ્રવાસ પછી ત્યાં એ પહેલી વાર થંભેલો. ‘હૅલો’, એણે ઉર્સુલાને કહ્યું. પળભર ઉર્સુલાનું મૉં અચરજથી ખુલ્લું રહી ગયું પણ તરત ઊભી થઈ ને એની આંખોમાં નજર પરોવતાં ગળે વળગી રહી. ઉર્સલાના ચ્હૅરે આનન્દનાં આંસુ વ્હૅતાં’તાં … 

એ હતો હોસે આર્કાદિયો.

મોકુફ રખાયેલાં રેબેકા-ક્રેસ્પીનાં લગ્ન અને રેમેડિયોસના મૃત્યુનો શોક હોસે આર્કાદિયો બ્વેન્દ્યાના આ સૌથી મોટા દીકરા હોસે આર્કાદિયોના પુનરાગમનથી ખતમ થઈ જાય છે.

ઘરમાં સમરસ થઈને હોસે આર્કાદિયો કદી પરિવારનો ન થઈ શક્યો. દિવસ આખો ઊંઘે, રાત વેશ્યાબજારમાં ગાળે. ત્યાં પોતાના બળ પર લોકો જોડે શરતી દાવ લગાવે.

કદીમદી ટેબલ પર બેઠો હોય ને ઉર્સુલા જો એને ભાળે, તો એનો ચ્હૅરો ચમકી ઊઠે, કેમ કે એ સરસ મજાની હ્યુમર કરવાનો હોય. વળી, ઉર્સુલાને એણે દૂર દેશાવરનાં પોતાનાં પરાક્રમો વિશે ઘણી વાતો કરેલી :

કહે કે – એક વાર ‘સી ઑફ જાપાન’-માં અમારું વહાણ તૂટી પડેલું ને બે અઠવાડિયાં લગી અમે નિ:સહાય હતા. બનાવ એ બન્યો કે અમારા એક બન્ધુને લૂ લાગી ને એ મરી ગયો. પણ અમને એનું શરીર કામ આવી ગયું. અતિશય ખારું એનું માંસ અમે રાંધ્યું ને એ ખાઈને ટકી ગયા. તાપમાં રંધાયા પછી માંસ દાણાદાર થઈ ગયેલું ને મીઠો સ્વાદ આવતો’તો.

કહે કે – એક વાર ‘ગલ્ફ ઑફ બે’-માં, બળબળતી બપોરે, અમારા જહાજે એક સી-ડ્રેગનને અથાડી પાડેલો. ડ્રેગન મરી ગયેલો. એના પેટમાંથી અમને હૅલ્મેટ, બકલ્સ અને કોઈ ક્રૂઝેડરનાં શસ્ત્રો મળેલાં.

કહે કે – ‘કૅરેબીયન’-માં મેં ‘વિક્ટર હ્યુગો’ના ચાંચિયા વહાણનું ભૂત જોયેલું. મૉતના પવનોએ વહાણના શઢ ફાડી નાખેલા, કૂવાથંભને દરિયાઈ કીડા ચાવી ગયેલા. તો પણ, હોસે ક્હૅ – મારે ‘ગ્વાડલૂ’ તો પ્હૉંચવું’તું જ …

ઉર્સુલા રડવા જેવી થઈ જતી. એને થતું પોતે જાણે હોસેનાં કામો અને એનાં ખોટાં સાહસો દર્શાવતા પત્રો વાંચી રહી છે, જે કદી એને પ્હૉંચ્યા જ ન્હૉતા. 

ઉર્સુલા કહેતી એને : આ ઘર તારું જ હતું ને એમાં તારા માટે શું ન્હૉતું, બેટા? : એ રડી પડતી : કેટલું તો ખાવાનું હતું, ડુક્કરને નાખી દેતાં !

પણ અંદરખાને ઉર્સુલાને ગડ ન્હૉતી બેસતી કે જિપ્સીઓ જેને લઈ ગયેલા તે આ એ જ ખાઉધરો છે, જે લન્ચમાં અરધું સુવર ઝાપટી જતો’તો ને જેના પાદણની વાસથી ફૂલો કરમાઈ જતાં’તાં …?…

(હવે પછી, પ્રકરણ – ૬)
(August 24, 2022 :  USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મીંડું

બીજલ જગડ|Opinion - Opinion|24 August 2022

મૌનમાં સ્થિર મર્મસ્થાને ખુદ કેન્દ્રમાં જડી જાય,

બધી વાણી ડહાપણની જ્યારે જ્યારે શમી જાય.

એક મીંડું અંદર બેઠું છે તગ તગ તાગી રહ્યું,

ચિત્તતંત્ર અનોખી દુનિયાનો મુખ પ્રેક્ષક બની જાય.

ઊંડે .. ઓર .. ઊંડે .. આ વમળમાં ઉતરતા જ,

મનની અંદર પળમાં *હું પણાને મારું* શમી જાય.

એક કોમળ કળી પર ઝાકળ ને અંદર ગેબી નાદ,

પરમ આનંદની અનુભૂતિ પળ ભરમાં થઈ જાય.

અહમના વળ જ્યારે જ્યારે બ્લેક હોલમાં ડૂબે,

સકળ બ્રહ્માંડમાં ખુદને મળી માણસ તરતો જાય.

લાંબી સફર છે જીવન યાત્રા તો શેની સકળ ડખળ,

હાથના ટેરવા ફરતા રહે જન્મ જન્મ જો જાય.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,2791,2801,2811,282...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved