Opinion Magazine
Number of visits: 9567576
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વતંત્રતા, સ્વચ્છંદતા અને ફેશન … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 November 2022

જગતમાં પહેલો પુરુષ અવતર્યો ત્યારે એ સ્વતંત્ર હતો. પહેલી સ્ત્રી અવતરી તો એ પણ સ્વતંત્ર હતી, પણ એ બે ભેગાં મળ્યાં કે સ્વતંત્રતા હાલક ડોલક થવા લાગી ને જેમ જેમ દુનિયાનો વિકાસ થવા લાગ્યો કે સ્વતંત્રતાને માટે સ્ત્રીએ ને હવે તો પુરુષે પણ, લડત આપવી પડે એવી સ્થિતિ છે. સ્વતંત્રતાને સ્નેહ કે સમર્પણ સાથે બહુ બનતું નથી. સ્નેહ હોય ત્યાં સ્વતંત્રતાનો અલગથી વિચાર કરવો પડે એવી સ્થિતિ ખાસ આવતી નથી કે સમર્પણમાં તો જાતને જ ખોઈ નાખવાની છે. એમ તો પોતાને, બીજાને સોંપવાનો જ મહિમા છે, ત્યાં સ્વતંત્રતાની વાત કેટલી ટકે એ પ્રશ્ન જ છે. આમ દેશ સ્વતંત્ર હોય તો તેનો નાગરિક પણ સ્વતંત્ર જ ગણાય છે. બંધારણમાં પણ વ્યક્તિ સ્વાતંત્ર્યને સ્વીકૃતિ અપાયેલી છે, પણ વાસ્તવિકતા વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોઈ શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય પછી પણ સ્ત્રી, પુરુષની દાસી બનવા કે પુરુષ, સ્ત્રીનો દાસ બનવા ઉત્સુક હોય એવા ઘણા દાખલા આજે પણ જોવા મળે એમ છે, તો સ્વાતંત્ર્ય કોનું એ પ્રશ્ન વિચારવાનો રહે. પશુ, પંખી, મનુષ્ય એમ બધાં જ સ્વતંત્ર છે, પણ પશુ, પંખી માટે પાંજરાં પણ છે જ. સ્ત્રી-પુરુષ સ્વતંત્ર છે, પણ બંને પરણે છે, લગ્ન કરે છે ને લગ્નને બંધન તરીકે પણ ઓળખાવાયું છે. તો સવાલ એ થાય કે સ્વતંત્રતા છે કોને માટે? એનો ક્યાંક તો ખપ હશે જને ! છે. એ કૈં હવામાં તરતો રહે એવો શબ્દ નથી જ !

પણ એ શબ્દને વ્યાપક અને ઊંડી રીતે સમજવાનો રહે. સાદી વાત એટલી છે કે સ્વતંત્રતા, જવાબદારી વગર શક્ય નથી. સ્ત્રી કે પુરુષ એકલાં રહે તો સ્વતંત્ર જ છે. એ રીતે ઘણાં સ્વતંત્ર રહે પણ છે, પણ એમાં એકબીજાં વગર ચલાવવાની વાત છે. જ્યાં બંનેને એકબીજાની જરૂર જણાય છે, ત્યાં જવાબદારી પણ સ્વતંત્રતાની સાથે સાથે જ આવે છે. આમ તો સાથે રહેવાના કોઈ નિયમ, સમાજ ન હતો, ત્યારે ન હતા, પણ સમાજ અસ્તિત્વમાં આવ્યો ને નીતિનિયમો-ધારાધોરણો અમલમાં આવ્યાં. લગ્ન દ્વારા સહજીવનની તકો ઊભી થઈ. એમાં પણ જવાબદારી ઉપાડવામાં વાંધો પડ્યો તો લિવ ઇન જેવા વિકલ્પો સામે આવ્યા. જો કે,  એ પણ સારો વિકલ્પ બનવાને બદલે સમસ્યાઓ ઊભી કરવાનું કારણ જ બન્યો. ખાસ કરીને એમાં છેતરાવાનું સ્ત્રીને જ વધારે આવ્યું. એમાં મોકળાશ હતી, તો મુશ્કેલીઓ પણ હતી. આજે પણ ઉત્તમ વિકલ્પ તો લગ્ન જ લાગે છે, એ ખરું કે લગ્નમાં સ્ત્રી અને પુરુષ, બંનેને જવાબદારીઓ છે. એમાં સ્વતંત્રતા ઓછી ને જવાબદારીઓ વધારે છે. એ સાથે જ સ્વતંત્રતા સંદર્ભે એમાં પુનર્વિચાર જરૂરી બને છે. એક બાબત સ્પષ્ટ છે કે વ્યક્તિ એકલી હોય તો એ કેવળ સ્વતંત્ર હોઈ શકે છે, પણ જેવી બે વ્યક્તિ વચ્ચે સંપર્કની વાત આવે છે કે સ્વતંત્રતા વત્તેઓછે અંશે પ્રભાવિત થયા વિના રહેતી નથી.

ટૂંકમાં, સ્વતંત્રતા સંદર્ભે એ સ્વીકારી લેવાનું રહે કે જવાબદારી વગરની સ્વતંત્રતા બીજું કૈં પણ હોય, સ્વતંત્રતા નથી. ખાસ કરીને લગ્નને લાગે વળગે છે ત્યાં સુધી એ સમજી લેવાનું રહે કે એની શરૂઆત સ્વતંત્રતાથી પછી, પણ જવાબદારીથી પહેલાં થાય છે. પતિપત્ની થનાર બંને વ્યક્તિ એ સમજ સાથે જ જોડાય છે કે બંનેને એકબીજાની જરૂર છે ને બંને મનમાની કરવા નહીં, પણ મન મૂકીને એકબીજાનાં થવાં  લગ્નમાં પ્રવૃત્ત થઈ રહ્યાં છે. બંનેએ પોતાનાં થવા ઉપરાંત બીજાના પણ થવાનું છે. આ બીજાના થવામાં જ પોતાની વાત ઓછી થતી આવે છે. પત્નીએ, પતિનાં ને પતિએ, પત્નીનાં થવાનું છે. પત્નીએ પતિને ભરોસે પિયર છોડ્યું છે, તો પતિએ પણ, ઘર છોડ્યા વગર, ઘરનાં સભ્યો કરતાં પત્નીનું મહત્ત્વ સ્વીકારવાની સમજ સાથે પરણવાનું સ્વીકાર્યું છે. ઘરનાં સભ્યો કરતાં પત્નીનું મહત્ત્વ પતિને વધુ જ હોવાનું. તેને બદલે એ પત્નીનાં શોષણનું કારણ બને કે શોષણ થવા દે તો તે તેની પત્ની પ્રત્યેની ફરજ ચૂકે છે. એવી જ રીતે પત્ની, પતિને બદલે પિયરનું મહત્ત્વ જ આંકતી રહે તો તે પણ પોતાની ફરજ ચૂકે છે. હવે જ્યાં જવાબદારી જ ન રહેતી હોય ત્યાં સ્વતંત્રતા એકલી ટકે તો પણ કેટલુંક?

પતિ-પત્નીની સ્વતંત્રતા સંદર્ભે કેટલીક વાતો ધ્યાનમાં લેવાની રહે. જ્યાં લગ્ન કેન્દ્રમાં છે, ત્યાં સ્વતંત્રતા પોતાની પછી, બીજાની પહેલાં આવે છે. જરા વિચિત્ર લાગે એવું છે, પણ સ્વતંત્રતા સાથે નથી રહેતી, તે સામે રહે છે. મતલબ કે સ્વતંત્રતા વિચારવાની જ હોય તો પહેલાં સામેની વ્યક્તિની વિચારવાની રહે છે. સામેની વ્યક્તિની મોકળાશ જ પોતાને માટેની મોકળાશ ઊભી કરી આપે છે. સ્વતંત્રતા પતિની, પત્નીએ ઊભી કરી આપવાની છે. એ જ રીતે પતિએ પત્નીની મોકળાશનો વિચાર પહેલાં કર્યો હશે તો પોતાની મોકળાશ આપોઆપ જ ઊભી થશે. જ્યાં પણ વ્યક્તિ પોતાને બાજુએ મૂકે છે ત્યાં બીજો તેને આગળ કરી આપે છે. પત્ની, પોતાને બાજુએ મૂકશે, તો પતિ, તેને મોખરે રાખશે, પણ એવું બને છે ઓછું. હકો પોતાનાં ને ફરજ બીજાની એવું જ્યાં પણ છે ત્યાં શાંતિ રહેતી નથી.

એવું પણ બને છે કે લગ્ન તો થાય છે, પણ પછી કોઈ, કોઇની પરવા કરતું નથી. પતિ-પત્ની બંને પોતાનું ધારેલું જ કરતાં હોય છે. બંને સાથે હોય છે જ એટલે કે કોઈ, કોઈનું ન માને. પોતાનું ધારેલું કરવા જ એવા લોકો પરણતાં હોય છે. એ નથી ઘર સાચવતાં કે નથી તો વ્યક્તિઓને કે સંતાનોને સાચવતાં ને અરાજકતા ત્યાં ઘર કરી જાય છે. આમાં આપવા કરતાં પડાવવાની વૃત્તિ વધુ હોય છે. આવું હોય ત્યાં કોઈનું પણ લાંબું ચાલતું નથી ને વાત છૂટાં થવા પર આવે છે. એમાં લાભ ઓછો ને હાનિ વધુ થતી હોય છે. જ્યાં બીજાનો ખ્યાલ નથી કે બીજાને માટે જીવવાનું નથી, ત્યાં સ્વતંત્રતા નહીં, પણ સ્વચ્છંદતા જ કામ કરતી હોય છે. જવાબદારી વગરની સ્વતંત્રતાનું બીજું નામ જ સ્વચ્છંદતા છે. આ સ્વચ્છંદતા બહાર તો બહુ કામ લાગતી નથી, પણ ઘરમાં એ ચાલે છે. દાખલા તરીકે સ્વચ્છંદતા ફેશનમાં ઠેર ઠેર જોવા મળે છે.

વસ્ત્રો માફક ન આવતાં હોય પણ, ફેશન છે એટલે યુવા સ્ત્રી-પુરુષો તે જ પહેરે છે જે નથી શોભતું. ટાઈટ જીન્સ પેન્ટ નથી ફાવતાં તો પણ તે પહેરવાનું ભાગ્યે જ કોઈ છોડે છે. કપડાં એટલાં ટાઈટ પહેરાય છે કે બેસવા જતાં કે ઊઠતાં ફાટે છે, પણ પહેરવાનું ચાલે જ છે. હવે તો શરીરનાં માપનાં વસ્ત્રો નથી સીવાતાં, પણ વસ્ત્રોનાં માપનું શરીર સીવાય છે. એને માટે જરૂર લાગે તો કપડાં નાનાં, મોટાં કરવાને બદલે સર્જરી કરાવવાનું ય પસંદ કરાય છે. ડોકટરો ચેતવે છે કે ટાઈટ કપડાં કે હાઇ હિલ્સ નુકસાન કરે છે, પણ તે પહેરવાનું છોડાતું નથી. નુકસાન થાય તો પણ ફેશન કેન્દ્રમાં આવી જ જાય છે. એ વખતે કોઈનું જ કાને ધરાતું નથી. યુવા વર્ગ મનમાની કરીને જ રહે છે. ખાવાપીવાની બાબતે પણ પૂરતી સ્વચ્છંદતા ભોગવાય છે. જેની તબીબો સલાહ નથી આપતાં એ જ ખવાય છે. પછી દવાની જરૂર પડે તો તબીબો ક્યાં નથી? એમાં જ પછી યોગા કે એક્સરસાઈઝની વાતો ચાલે છે, ડાયેટિંગની શરૂઆત થાય છે, પણ એ બધું છેવટે તો ખાતર પર દિવેલ જ પુરવાર થાય છે. હઠ, સ્વચ્છંદતા વગેરે સ્વતંત્ર હોવાના વહેમમાં યુવા માનસ અપનાવે છે, પણ એનો લાભ બીજાને તો ઠીક, એમને પોતાને પણ થતો હોય એવું બહુ લાગતું નથી.

કોણ જાણે કેમ, પણ પતિપત્ની એકબીજાને અનુકૂળ થવા બહુ રાજી નથી હોતાં, એવી જ રીતે યુવા વર્ગ પણ ઘરને બહુ માનતો કે સ્વીકારતો નથી. બધી સમજ છે, પણ કેટલીક બાબતોમાં યુવકો ને યુવતીઓ સ્વતંત્ર હોવાના વહેમમાં સ્વચ્છંદી જ વધારે જણાય છે. એમાં લાંબે ગાળે હાનિ જ હાથમાં આવે છે. ચેતવાને બદલે યુવા પેઢી ચેતાવવામાં વધુ માનતી હોય એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 27 નવેમ્બર 2022

Loading

શ્રીકૃષ્ણ અને હર્ક્યુંલિસ : હરિ તારાં નામ છે હજાર!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 November 2022

તમે હર્ક્યુંલિસ સાઇકલનું નામ સાંભળ્યું છે? 2010માં, બર્મિંગહામ – ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી હર્ક્યુંલિસ સાઇકલ એન્ડ મોટર કંપની એક જમાનામાં વર્ષે 30 લાખ સાઈકલો બનાવતી હતી. 1949માં આ કંપનીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીને વેચી દેવામાં આવી હતી, અને ભારતમાં આજે પણ દસ ટોચની સાઇકલ બ્રાન્ડ્સમાં હર્ક્યુંલિસ મોખરે છે. આ સાઇકલનું નામ ગ્રીક હિરો હેરાક્લીસ પરથી પાડવામાં આવ્યું હતું. બાકી દુનિયામાં હર્ક્યુંલિસ નામથી લોકપ્રિય થયેલો હેરાક્લિસ તેની અવિશ્વનીય તાકાત માટે જાણીતો છે. તે પરંપરાગત બીમારીઓ અને વૃદ્ધત્વથી મુક્ત હતો. તે ઊભા-ઊભા 100 ફૂટનો ઊંચો કૂદકો ભરી શકતો હતો.

ગ્રીક દંતકથા મુજબ, હર્ક્યુંલિસે ગુસ્સામાં આવીને તેની પત્ની મેગારાની હત્યા કરી નાખી હતી. તેના પ્રાયશ્ચિત રૂપે તેને બાર પરિશ્રમ આપવામાં આવે છે. હર્ક્યુંલિસ બાર વર્ષ સુધી બધે ફરીને અસંભવ લાગતાં બાર કામ પૂરાં કરે છે. તેની આ તાકાતના કારણે અંગ્રેજી ભાષામાં ‘હર્ક્યુલીન ટાસ્ક’ એવો શબ્દ પ્રચલિત બન્યો છે. કોઈ કામ અત્યંત કઠિન હોય અથવા જેમાં વિશાળ તાકાતની જરૂર પડે તેને હર્ક્યુલીન ટાસ્ક કહે છે.

આ હર્ક્યુંલિસે અથવા હેરાક્લીસ સાથે શ્રીકૃષ્ણની દંતકથાનો દિલચસ્પ સંબંધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પૌરાણિક ગ્રીસમાં શ્રીકૃષ્ણને હેરાક્લીસ માનવામાં આવતા હતા. એટલું જ નહીં. કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં, ગ્રીક રાક્ષસ નેમીન લાયન સાથે લડતા હેરાક્લીસની એક પ્રતિમા પણ મળી આવી હતી, જેને ‘મથુરા હેરાક્લીસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમા હાલ કોલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. 19મી સદીમાં, બ્રિટિશ આર્મી એન્જિનિયર મેજર જનરલ સર એલેકઝાન્ડર કનિંઘમે આ પ્રતિમા શોધી હતી. તેમાં તૂટેલા માથાવાળા એક પુરુષે સિંહને ઊભો કરીને પકડી રાખ્યો છે. એલેકઝાન્ડરે એવું અર્થઘટન કર્યું હતું કે મથુરા આવેલા ગ્રીક કલાકારોએ આ પ્રતિમા બનાવી હતી. ગ્રીક દેવતા લીસિયન એપોલોની આવી જ એક પ્રતિમા ગ્રીસમાં છે.

શ્રીકૃષ્ણની દંતકથાને ગ્રીક ભાષામાં લઇ જવાનું માન તત્કાલીન ભારતમાં ગ્રીક રાજદૂત મેગસ્થનીજ(ઇ.સ. પૂર્વે 304-299)ને જાય છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય હતું, ત્યારે ગ્રીક સામંત સિલ્યૂકસે તેના રાજ્ય વિસ્તાર માટે. ઇ.સ. પૂર્વે 305માં ભારત પર આક્રમણ કર્યું હતું, પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી અને સંધિ કરવી પડી હતી. તે સંધિના ભાગરૂપે મેગસ્થનીજ રાજદૂત બનીને મૌર્ય દરબારમાં આવ્યો હતો.

તે ઘણાં વર્ષો સુધી ભારતમાં રહ્યો હતો. તેણે ભારતમાં જે કંઈ જોયું હતું, તેના આધારે “ઇન્ડિકા” નામનું એક પુસ્તક લખ્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે ભારતનું સૌથી મોટું નગર પાટલીપુત્ર છે, તે ગંગા અને સોનના સંગમ પર વસેલું છે, તેની લંબાઈ સાડા નવ માઈલ અને પહોળાઈ પોણા બે માઈલ છે, નગરની ચારે તરફ દીવાલ છે, જેમાં 64 દરવાજા અને 570 દુર્ગ છે, નગરનાં મકાન મોટા ભાગે લાકડાંનાં બનેલાં છે.

મેગસ્થનીજે “ઇન્ડિકા”માં ભારતની ભૌગોલિકતા, ઇતિહાસ, વન્ય જીવન, અર્થવ્યવસ્થા, ખાવા-પહેરવાની રીત-રસમ, ચિંતન પરંપરા, વહીવટ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનું વર્ણન કર્યું હતું (મેગસ્થનીજે ભારતમાં સાત વર્ણના લોકો હોવાનું લખ્યું છે). મેગસ્થનીજ પશ્ચિમનો પહેલો માણસ હતો, જેણે ભારત પર લેખિતમાં વિવરણ છોડ્યું હતું. બદનસીબે, “ઇન્ડિકા”ની મૂળ આવૃત્તિ નષ્ટ થઇ ગઈ છે, પણ તેનાં લખાણના ટુકડાઓ ગ્રીક ઇતિહાસકારોનાં પુસ્તકોમાં ઉપલબ્ધ છે, જેને સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે.

મેગસ્થનીજે એ પુસ્તકમાં ભારતના બ્રાહ્મણો પર ઘણું લખ્યું હતું. મેગસ્થનીજ ભારત આવનારો પહેલો પ્રવાસી હતો, એટલે તેણે ભારતને ‘ગ્રીક આંખ’થી જોયું હતું અને લખ્યું હતું કે ભારતના લોકો ગ્રીક દેવતા ડિયોનિસિયસ અને હેરાક્લીસની પૂજા કરે છે. મેગસ્થનીજનું તાત્પર્ય શિવ અને કૃષ્ણની પૂજાનું હતું. મેગસ્થનીજે શ્રીકૃષ્ણની પૂજામાં ગ્રીક દેવતા હેરાક્લીસનું દર્શન કર્યું તે દિલચસ્પ છે. દેખીતી રીતે જ, તેને બંને દેવતાઓમાં ઘણું સામ્ય દેખાયું હતું અને તેણે માની લીધું કે ભારતના લોકો હેરાક્લીસને અનુસરે છે (આ સાંસ્કૃતિક ગુરુતાગ્રંથિનું ઉદાહરણ છે).

મેગસ્થનીજ લખે છે કે આ ભૂમિ પર બે શહેર છે; મેથોરા અને ક્લીસોબોરા અને ત્યાં જોમનસ નામની નદી વહે છે. મેથોરા એટલે મથુરા, ક્લીસોબોરા એટલે કૃષ્ણપુરા અને જોમનસ એટલે યમુના. “ઇન્ડિકા” અનુસાર, સૌરસેનાઈ (શૂરસેના) રાજ્યની રાજધાની મેથોરા અને ક્લીસોબોરાના નિવાસીઓ હેરાક્લીસની આરાધના કરે છે. એલેકઝાન્ડરના સમકાલીન ગ્રીક ઇતિહાસકારો જણાવે છે કે પોરસની સાથે યુદ્ધ લડતી વખતે પણ તે કૃષ્ણ એટલે કે હેરાક્લીસની મૂર્તિ સાથે રાખતો હતો. થોડાં વર્ષો પહેલાં, ઇ.સ. પૂર્વેની ગ્રીક સભ્યતાના અમુક સિક્કા મળ્યા હતા, જેની પર એક દેવતાને કૃષ્ણની જેમ સુદર્શન ચક્ર ધારણ કરેલો અને તેમના ભાઈ બલરામને ગદા તેમ જ હળ ઊંચકેલા બતાવ્યા હતા.

ગ્રીક લોકો કદાચ ગોકુલને ક્લીસોબોરા કહેતા હતા. મથુરા અને ગોકુલ યમુનાની સામ-સામે છે. ગોકુલનું ક્લીસોબોરા કેવી રીતે થયું તેની સ્પષ્ટતા નથી. અમુક ઇતિહાસકારો અનુસાર ક્લીસોબોરાનું સંસ્કૃત રૂપાંતરણ ‘કૃષ્ણપુર’ હોવું જોઈએ. કદાચ તે વખતના ગોકુલમાં સામાન્ય લોકોએ આ નામ આપ્યું હશે. જનરલ એલેકઝાન્ડર કનિંઘમ ભારતની ભૂગોળ લખતી વખતે માન્યું હતું કે ક્લીસોબોરા નામ વૃંદાવન માટે છે. “ઇન્ડિકા”ની એક પ્રાચીન પ્રતમાં ‘કાઈરિસોબોર્ક’નો પાઠ મળે છે, જેનો સંબંધ કાલી નાગના વૃંદાવન નિવાસના કારણે તેના પ્રચલિત થયેલા બીજા નામ ‘કાલિકાવર્ત’ સાથે છે.

મેગસ્થનીજ શ્રીકૃષ્ણ અને હેરાક્લીસના જન્મમાં પણ સામ્ય જુએ છે. જ્યારે હેરાક્લીસનો જન્મ થયો, ત્યારે તેની સાવકી માતા હેરાને એ ગમ્યું નહોતું. તે ઈચ્છતી હતી કે હેરાક્લીસ જીવતો ન રહે અને તેને મારવા માટે તેણે બે સાપ છોડી મુક્યા હતા, પરંતુ હેરાક્લીસ સાપ સાથે રમવા લાગ્યો હતો. શ્રીકૃષ્ણને મારવા માટે મામા કંસે રાક્ષસો મોકલ્યા હતા, જેમાં પૂતનાએ જીવ ગુમાવ્યો હતો.

હેરાએ હેરાક્લીસને મૂઠ મારી હતી અને તેના ગાંડપણમાં આવીને તેણે તેની પત્ની મેગારાની હત્યા કરી હતી. તેના તેના પ્રાયશ્ચિત રૂપે હેરાક્લીસને જે બાર પરિશ્રમ કરવા પડ્યા હતા, તેમાં એક તેના પિતા અને ગ્રીક દેવતા ઝેયસના બગીચામાંથી સોનાનાં સફરજન તોડી લાવવાનું હતું. આ બગીચાની રક્ષા સો ફેણવાળો નાગ કરતો હતો. હેરાક્લીસે તેના માટે એટલાસ નામના દેવતાની મદદ લીધી હતી. ઝેયસે આ એટલાસને પૃથ્વી ઊંચકી રાખવાનું કામ સોંપીને ગુલામ બનાવ્યો હતો. હેરાક્લીસે એટલાસને કહ્યું હતું કે તે થોડીવાર માટે પૃથ્વી ઊંચકી રાખશે અને તું સફરજન તોડી લાવ. એટલાસે એ કામ કરી આપ્યું હતું. હેરાક્લીસેની જેમ જ શ્રીકૃષ્ણએ પણ તેમની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો.

પુરાણકથાઓના લેખક દેવદત્ત પટ્ટનાયક તો એવો પણ દાવો કરે છે કે હર્ક્યુંલિસના નામમાં જ શ્રીકૃષ્ણનો સંદર્ભ છે. તેઓ તર્ક કરે છે કે હર્ક્યુંલિસ એટલે ‘હરિ-કુલ-એશા’ છે; હરિ વંશનો ઈશ્વર.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 27 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—172

દીપક મહેતા|Opinion - Opinion|28 November 2022

ટી, ચા, ચાય, ચહા – બધા શબ્દોનું મૂળ મળે ચીની ભાષામાં

મુંબઈને ચા પીતું કર્યું પોર્ટુગીઝોએ    

“આ પ્રદેશમાં ચાનું પીણું હજી તાજું જ દાખલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો, તેથી એક લોહાણો ડોસો ‘ભ્રામણિયા ચા’ની કીટલી અહીં ફેરવતો એ પણ અત્યારે શેઠિયા માણસની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કિટલી લઈને આવી પહોંચ્યો અને પિત્તળનાં કપ–રકાબીમાં ફરફરતી ચા રેડવા જતો હતો, પણ ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભળાવી દીધું : ‘અમારે ચા પીવાની અગડ છે.’ અને પછી આવશ્યકતા નહોતી છતાં અગડનું કારણ ઉમેર્યું : ‘કિયે છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દિયે છે એટલે ઉકાળાનો રંગ રાતોચોળ થાય છે.”

કાઠિયાવાડની ધરતી, ત્યાંના લોકો, તેમનું જીવન, એ બધાંના પરખંદા જાણતલ ચુનીલાલ મડિયાની જાણીતી નવલકથા ‘વેળા વેળાની છાંયડી’ની શરૂઆતમાં જ આવતો આ પ્રસંગ. ૧૯મી સદીની શરૂઆતમાં ચાનું પીણું કાઠિયાવાડ સુધી પહોચ્યું ત્યારે રૂઢિચુસ્ત લોકોનો પ્રતિભાવ કેવો હતો એનો ખ્યાલ આ પ્રસંગ પરથી આવી શકે.

હા. કેટલી ય સદીઓથી ચાનો અથવા તેના જેવો જંગલી છોડ પૂર્વ ભારતના કેટલાક પ્રદેશોમાં ઊગતો હતો. આદિવાસીઓ એનો ઉપયોગ પણ કરતા. પણ ચા એક સાર્વજનિક પીણું બની તે તો નજીકના ભૂતકાળમાં. Tea, ચા, ચાય, ચહા – આ બધા શબ્દોના સગડ મળે ચીની ભાષાની જુદી જુદી બોલીમાંથી. કારણ ચાનું પિયર છે ચીન. ઈ.સ. પૂર્વે ૧૬૦૦ની આસપાસ ચીનમાં ચાની વ્યવસ્થિત વાવણી શરૂ થઈ. જો કે જંગલી છોડ રૂપે તો તે ઈ.સ. પૂર્વે ૨૪૩૭થી જોવા મળતી હતી. કહે છે કે શેનોંગ નામનો એક દેવ. એક દિવસ પાણી ઊકાળતો હતો. બાજુમાં હતો એક છોડ. એકાએક એ છોડ સળગી ઊઠ્યો. એને કારણે પાંદડાં સૂકાઈ ગયાં અને ઊડતાં ઊડતાં આવીને પડ્યાં પેલા ઊકળતા પાણીમાં. શેનોંગે એ પાણી ચાખી જોયું. ભાવ્યું. રોજ પીતો થયો. વખત જતાં ખ્યાલ આવ્યો કે આ પાણી પીવાથી બીજા ૭૦ જેટલા ઝેરી છોડની અસર દૂર થાય છે!

ચીનમાં ચાનું વાવેતર શરૂ થયું ત્યારે તેના પર બીજી કોઈ પ્રક્રિયા કરતા નહિ, એટલે તેનો સ્વાદ કડવો હતો. એટલે તેનું નામ પડ્યું ‘તુ’, જેનો અર્થ થતો હતો કડવો સ્વાદ ધરાવતી વનસ્પતિ. ઈ.સ. પૂર્વે ૭૬૦માં લુ યુ નામના એક વિદ્વાને ચા વિષે લખતાં ભૂલથી ‘તુ’ને બદલે ‘ચા’ લખી નાખ્યું. (ચીની ચિત્રલિપિમાં મામૂલી ફેરફારથી પણ આખો શબ્દ બદલાઈ જાય છે.)

આસામના ચાના બગીચામાં કામ કરતી સ્ત્રીઓ

ઈ.સ. ૧૫૦૦ના સૈકામાં પોર્ટુગીઝોએ ચીનમાં પ્રવેશ કર્યો. તે વખતે એમનો મનસૂબો તો તેજાના અને મરીમસાલાના વેપાર પર એકહથ્થુ પકડ જમાવવાનો હતો. પણ તેમણે જ્યારે ચા ચાખી ત્યારે તરત થયું કે મરીમસાલા કરતાં ય આ ચાના વેપાર પર પકડ ધરાવવી ઘણી વધુ ફાયદાકારક થશે. એ વખતે દક્ષિણ ચીનમાં વપરાતું નામ ‘ચા’ પોર્ટુગીઝોએ અપનાવ્યું. ત્યાં સુધીમાં ચાનાં પાંદડાં પર પ્રક્રિયા કરવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને તેથી તેનો સ્વાદ કડવો રહ્યો નહોતો. પોર્ટુગીઝોએ ચાની નિકાસ શરૂ કરી અને ઇન્ડોનેશિયા, આફ્રિકા અને પશ્ચિમ યુરપના દેશો સુધી ચાને પહોંચાડી. આ દરિયાઈ રસ્તા ઉપરાંત જમીન રસ્તે પણ ચા બીજા દેશોમાં પહોંચી. ચાની ગુણીઓ પીઠ પર લાદીને મજૂરો એક દેશથી બીજે દેશ ચા લઈ જતા. એ રીતે પર્શિયા થઈ ચા હિન્દુસ્તાન પહોંચી. મૂળ ચીની ભાષાનો ‘ચા’ શબ્દ ફારસીમાં બન્યો ‘ચાય.’ હિન્દી અને ઉત્તર ભારતની બીજી કેટલીક ભાષાઓમાં આજે પણ આ ‘ચાય’ શબ્દ વપરાય છે. ગુજરાતી અને બંગાળીમાં વપરાય છે ‘ચા’. તો મરાઠીમાં વપરાય છે ‘ચહા.’ પોર્ટુગીઝો ઈ.સ. ૧૫૩૪માં મુંબઈ આવ્યા અને પછી ધીમે ધીમે રાજવટ સ્થાપી. સુરત અને મુંબઈના ઘણા ગુજરાતી વેપારીઓના પોર્ટુગીઝો સાથેના વેપારી સંબંધો હતા. એટલે આવા વેપારીઓ દ્વારા પોર્ટુગીઝ ભાષાનો ‘ચા’ શબ્દ ગુજરાતીમાં આવ્યો હોય એમ બને.

અંગ્રેજ  કુટુંબનું બપોરનું ચા–પાન

ગ્રેટ બ્રિટનના લોકોને ચાનો સ્વાદ પહેલી વાર ચખાડ્યો ડચ વેપારીઓએ. ગોરાઓ જોતજોતામાં ચાના બંધાણી થઈ ગયા. પણ એ વખતે ઘણો વેપાર વિનિમય (બાર્ટર) પદ્ધતિથી થતો. ચીનની ચાના બદલામાં આપવું શું? એટલે અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં અફીણના ઉત્પાદનને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આ અફીણ અહીંથી ચીન જતું, અને તેના બદલામાં બ્રિટન ચા ખરીદતું. અફીણના વેપારમાં પારસીઓ મોટે ભાગે આગળ પડતો ભાગ ભજવતા. આજે પણ પારસીઓ ‘ચા’ને બદલે ‘ચાય’ શબ્દ વાપરે છે.

બીજા પ્રદેશોની જેમ મુંબઈમાં પણ ચા એ લાટ સાહેબોનું પીણું હતું. ચા બનાવવાની રીતને તેમણે એક કલાની જેમ વિકસાવેલી. એમાં ચાને ઉકાળાય નહિ. ટી-પોટમાં ચાની પત્તી પર ગરમ ગરમ પાણી રેડવાનું. કપમાં રેડ્યા પછી થોડી ખાંડ અને થોડું દૂધ. ચમચીથી હલાવીને હળવેકથી કપ મોઢે માંડી ચુસ્કી લેતા જવાની, ધીરે ધીરે. સાથે આછો-પાતળો નાસ્તો. ટી-પોટમાંની ચા ઠંડી પડી ન જાય એટલે ટી-પોટને ટોપી કહેતાં ટી-કોઝી પહેરાવવાની. ખાનદાની પારસીઓ આજે પણ આ રીતે ચા પીએ.

ચાય ગરમ લો ચાય ગરમ

દીવાને ખાસની ચા દીવાને આમ પહોંચી ત્યારે ઘણી બદલાઈ ગઈ. તપેલીમાંનું પાણી ગરમ થાય એટલે તેમાં ચા, દૂધ, ખાંડ નાખવાનાં. કેટલાક વળી એકલા દૂધની ચા બનાવે. પછી ઠીક ઠીક વખત ઉકાળવાની. ઘરમાં ગરણીથી અને ચાની દુકાનોમાં કપડાના ગરણાથી ગાળીને ઊંચેથી એવી રીતે રેડવાની કે કપમાં ફીણ થાય. સાચો પીનારો – કે પીનારી – કપ મોઢે ન માંડે. રકાબી કહેતાં સોસરમાં રેડીને ચાનું તળાવ બનાવે અને ઘૂંટડે ઘૂંટડે પીએ. દેશીઓની બીજી એક ખાસિયત. સાથે ખારી કે બિસ્કિટ હોય તો ચામાં બોળી બોળીને ખાવાની. બીજી ખાસિયત તે ચાનો મસાલો, ફુદીનો, આદુ, એલચી વગેરે વગેરે ઉમેરવાની. મુંબઈમાં સૌથી વધુ પીવાતી હોય તો આ રીતની ચા. પહેલાં તો ચાની જ અલગ દુકાનો હતી. પણ વધતાં જતાં ભાડાં અને હરીફાઈને કારણે એવી દુકાનો ઘણી ઓછી થઈ ગઈ. અમદાવાદીઓની ‘ચાની કીટલી’ પણ મુંબઈમાં ઓછી જ જોવા મળે. હા, થર્મોસમાં ભરેલી ગરમ ગરમ ચા સાઈકલ પર ફરીને વેચનારા આજે પણ જોવા મળે.

ચુનીલાલ મડિયાએ નિરૂપ્યો છે તેવો ચાનો વિરોધ મુંબઈમાં તો લગભગ હતો જ નહિ. પણ હા. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી માટેનો વિરોધ ઘણા વખત સુધી રહ્યો. ઘણાં ઘરોમાં પિત્તળનાં કે જર્મન સિલ્વરનાં કપ-રકાબી જ વપરાતાં. કાચનાં તો નોકરો માટે. ચાની દુકાનો પણ બંને જાતનાં કપ-રકાબી રાખે – પિત્તળનાં અને કાચનાં. જેની જેવી માગ. ઘણીખરી દુકાનો આજે આપણે જેને ‘કુકીઝ’ કહીએ છીએ તે પણ રાખે, ચા સાથે ખાવા માટે. અને હા. આ દુકાનોમાં ચા સાવ તાજેતાજી મળે, ફરી ફરી ઉકાળેલી નહિ.

સેન્ટ ઝેવિયર્સ કોલેજથી થોડે દૂર, ધોબી તળાવના નાકા પર એક ચાની દુકાન. કવિ, વિવેચક, અદ્ભુત અધ્યાપક મનસુખભાઈ ઝવેરી દિવસમાં બે-ત્રણ વાર ત્યાં ચા પીવા જાય. જઈને બેસે એટલે એમની ખાસ ચા તાબડતોબ બને. ગરમ ફળફળતી (મડિયા જેને ‘ફરફરતી’ કહે છે) ચાના બે કપ એક સાથે સામેના લાકડાના નાનકડા ટેબલ પર ગોઠવાય. અસાધારણ ઝડપથી એક પછી એક બંને કપ જોતજોતામાં ખાલી! ઘણી વાર બીજા અધ્યાપકોને કે બી.એ.ના બે-ત્રણ વિદ્યાર્થીને સાથે લઈ જાય. બધાના પૈસા અચૂક પોતે જ આપે. આ લખનાર તેમનો વિદ્યાર્થી હતો ત્યારે આવો લાભ ઘણી વાર મળેલો.

પ્લાઈ વૂડનાં ખોખાંમાં ભરેલી જૂદી જૂદી જાતની ચા

એ જમાનામાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ‘લૂઝ ટી’ જ વપરાય. એટલે આવી ચા વેચનારી નાની-મોટી દુકાનો ઠેરઠેર. મોટે ભાગે પારસીઓની કે ખોજા-વ્હોરા વગેરેની. પ્રાર્થના સમાજ આગળ બે ગાળાની એક મોટી દુકાન, ચેમ્પિયન ટી માર્ટ. પ્લાઇવૂડનાં મોટાં મોટાં ખોખાંમાં આઠ-દસ જાતની ચા. બધી તાજી. ઘરાકને જોઈતી ચા તોળીને આપે. આ લખનાર ગિરગામ રહ્યો તે બધાં વરસ ઘરે ચા અચૂક આ દુકાનેથી જ આવે. હવે આવી ફક્ત ચા વેચતી દુકાનો ઘણી ઓછી થઈ ગઈ છે. કારણ પેક્ડ ટીનું ચલણ વધ્યું છે. આજે તો મસાલાથી માંડીને કંઈ કંઈ નાખેલી પેક્ડ ચા વેચાય અને વપરાય છે. અને હા, શુગર ફ્રી ચાની તો કોઈએ કલ્પના ય કરી નહોતી. એક કપ ચામાં ત્રણ-ચાર ચમચી ખાંડ ઠઠાડી દેનારા તો કેટલાયે જોવા મળે. ગુજરાતી ઘરોમાં મસાલા વગરની ચા તો ન્યાત બહારની ગણાય. તો વાર-તહેવારે કે લગ્ન જેવા શુભ પ્રસંગે એલચી-કેસર નાખેલી ચા પણ બને. વર-વહુને એ ચાંદીના કપ-રકાબીમાં પણ અપાય.

મુંબઈની લોકલ ટ્રેનનાં સ્ટેશનોના પ્લેટફોર્મ પરની ચાની વળી જુદી જ ન્યાતજાત. વહેલી સવારથી મોડી રાત સુધી મસ મોટો પ્રાઈમસ ફૂંફાડા મારતો હોય. પિત્તળના મોટા તપેલામાં દૂધ, ચાની ભૂકી – હા પાઉડર જેવી ભૂકી, અને ખાંડ પાણીમાં ઉમેરાતાં રહે. તેમાંથી એલ્યુમિનિયમની કીટલીમાં ચા ઠલવાય. અને તેમાંથી એક પછી એક કાચના ગ્લાસમાં. ના, ત્યારે કાગળની નાની નાની ‘કપડી’ આવી નહોતી. પ્લેટફોર્મ પરની ચા ચુસ્ત લોકશાહી પદ્ધતિની. કમ શક્કર કે દૂધ જ્યાદા જેવા જૂદા ચોતરા નહિ. બધાને સમાન હક, સમાન તક. હજી પ્લેટફોર્મ પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ નહોતી. એટલે પીનારાની એક આંખ ટ્રેનના પાટા તરફ. ટ્રેન આવતી દેખાય તો ફટાફટ પી જાય. નિરાંત જીવે, ચુસ્કી લેતાં લેતાં ચા પીવાનો વૈભવ અહીં તે વળી કેવો?

એક જમાનામાં ચાનું એકચક્રી રાજ. કોફી તો માંદા હોય તે પીએ એવી માન્યતા, મોટે ભાગે. પણ વખત જતાં આ ચિત્ર બદલાવા લાગ્યું. ચા-કોફીના ગજગ્રાહની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 નવેમ્બર 2022

Loading

...102030...1,2781,2791,2801,281...1,2901,3001,310...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved