Opinion Magazine
Number of visits: 9743975
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.બી.સી. અને હેન્ડેનબર્ગ : હેડલાઈન્સની પેલે પાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 February 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, ભારતમાં શાહરૂખ ખાનની તાજી ફિલ્મ ‘પઠાણ’નો હાથે કરીને ઊભો કરેલો ‘ટેક્સ્ટબૂક’ વિવાદ ચાલતો હતો (એમાં તો ખુદ વડા પ્રધાને ટકોર કરવી પડી હતી કે ફિલ્મોને લઈને બિનજરૂરી ટીકા-ટીપ્પણીઓ કરવી ન જોઈએ) ત્યારે અચનાક જ જાણે સિલેબસ બહારનો પ્રશ્ન પૂછાયો હોય તેમ બી.બી.સી.ની ડોક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગનો રિપોર્ટ આવી પડ્યો. અંગ્રેજીમાં તેના માટે ‘આઉટ ઓફ બ્લુ’ શબ્દ છે; આકાશ એકદમ ચોખ્ખું ચણાક હોય અને અચાનક જ વરસાદ આવી જાય. બંને રિપોર્ટના રાજીકીય અને આર્થિક સૂચિતાર્થ છે.

પહેલાં એ બંને રિપોર્ટ શું છે તેની થોડી વાત. 17મી જાન્યુઆરીએ, લંડન સ્થિત બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બે ભાગની ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ રિલીઝ કર્યો. તેમાં, 2002નાં ગુજરાતનાં તોફાનોની વાત હતી. તે વખતે નરેદ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ડોક્યુમેન્ટરીએ બ્રિટિશ સરકારના રિપોર્ટ સહિત અન્ય દસ્તાવેજોની છાનબીન કરીને એવો દાવો કર્યો કે તોફાનોમાં લઘુમતી કોમ નિશાન બની હતી ત્યારે સરકારે આંખ આડા કાન કર્યા હતા અને તેને ઉત્તેજન પણ આપ્યું હતું. આ પહેલાં ભાગમાં મોદી કેવી રીતે રાજકારણમાં મોટા થયા અને કેવી રીતે તોફાનો થયાં તેની વિગતો હતી.

બીજા ભાગમાં (જે 24 જાન્યુઆરીએ રિલીઝ થયો હતો), 2019માં મોદી વડા પ્રધાન પદે ફરીથી ચૂંટાયા તે પછી કાશ્મીરની 370ની કલમ, સિટિઝનશીપ કાનૂન, કૃષિ કાનૂન અંગેના મોદી સરકારના નિર્ણયો અને 2020નાં દિલ્હીનાં તોફાનોની વાત છે. બંને ભાગનું ફોકસ, ભારતના મુસ્લિમો સાથે મોદીના સંબંધ પર છે. આ ડોક્યુમેન્ટરી ‘બી.બી.સી.-2’ પર રિલીઝ કરવામાં આવી હતી, જે ભારતમાં ઉપલબ્ધ નથી (ભારતમાં બી.બી.સી.-1 જોવાય છે).

ભારત સરકારે આ ડોક્યુમેન્ટરીને ભારત વિરોધી પ્રોપેગેન્ડા ગણાવીને પ્રતિબંધ મૂકી દીધો તેમ જ યુટ્યુબ સહિતની સોશ્યલ મીડિયા સાઈટ્સને આ ડોક્યુમેન્ટરીની લિંક ઉતારી લેવા આદેશ કર્યો. જો કે, દેશની અમુક યુનિવર્સિટીઓમાં વિધાર્થીઓએ પ્રતિબંધમાં છીંડાં પાડીને લેપટોપ પર તેના શો કર્યા. પોલીસે વિધાર્થીઓ પર કાર્યવાહી પણ કરી. બી.બી.સી.એ પ્રતિબંધના જવાબમાં કહ્યું કે તેની ડોક્યુમેન્ટરી કડક રીતે રિસર્ચ કરાયેલી છે અને તેમાં ભા.જ.પ. સહિતના અગ્રણી લોકોના અભિપ્રાય પણ છે.

દરમિયાનમાં, જનહિતની અરજીઓ કરવા માટે જાણીતા એમ.એલ. શર્મા નામના એક વકીલે સરકારના પ્રતિબંધને એકપક્ષી અને ગેરબંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તો બીજી તરફ પત્રકાર એન. રામ અને વકીલ પ્રશાંત ભૂષણે પણ ડોક્યુમેન્ટરીની લિંકવાળી ટ્વીટ દૂર કરી દેવાના આદેશ સામે સુપ્રીમમાં અરજી કરી છે. આ બંને અરજીઓ પર 6 ફેબ્રુઆરીને સોમવારે વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ચંદ્રચુડ તૈયાર થયા છે.

25 જાન્યુઆરીના રોજ, હેન્ડેનબર્ગ રિસર્ચ નામની ન્યુયોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપ પર એક રિપોર્ટ જારી કર્યો. એનું શીર્ષક હતું, “અદાણી સમૂહ : વિશ્વનો ત્રીજા નંબરનો ધનિક કેવી રીતે કોર્પોરેટના ઇતિહાસમાં સૌથી મોટી ઠગાઈ કરી રહ્યો છે.” હેન્ડેનબર્ગ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ, કોર્પોરેટ કંપનીઓ તેમના બિઝનેસમાં કેવી ઘાલમેલ કરે છે અને શેરોમાં શોર્ટ-સેલિંગ કરે છે તેના પર રિપોર્ટ જારી કરતી રહે છે. અગાઉ તેણે નિકોલા, ક્લોવર હેલ્થ, કાંડી ટેકનોલોજી, લોર્ડ્સટાઉન મોટર્સ અને ટેકનોગ્લાસ નામની કંપનીઓના ગોટાળા ઉજાગર કર્યા હતા.

તેના તાજા રિપોર્ટમાં, હેન્ડેનબર્ગે અદાણી સમૂહ પર મુખત્વે 5 આરોપ મુક્યા છે : 1. અદાણી સમૂહની કંપનીઓએ શેરોની કિંમતમાં ઘાલમેલ (મેન્યુપ્યુલેટ) કરી છે અને અકાઉન્ટ ફ્રોડ કર્યું છે. 2. અદાણી સમૂહે વિદેશમાં અનેક કંપનીઓ બનાવીને ટેક્સ બચાવાનું કામ કર્યું છે. 3. મોરેશિયસ અને કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ હેવન દેશોમાં ઘણી બેનામી કંપનીઓ છે, જેમાં અદાણી સમૂહની કંપનીઓની ભાગીદારી છે. 4. અદાણીની લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે, જેનાથી આખું સમૂહ આર્થિક રીતે અસ્થિર છે. 5. ઊંચા વેલ્યુએશનના કારણે કંપનીના શેરોની કિમત 85 ટકા જેટલી વધુ બતાવામાં આવી રહી છે. 

આ રિપોર્ટ પછી અદાણીના શેરોમાં કડાકો બોલ્યો અને માર્કેટમાં ગભરાટ ફેલાયો. કંપનીએ બે તબ્બકે આ રિપોર્ટનું ખંડન કર્યું. પહેલીવાર, કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જગશીન્દર સિંહે વીડિયો મારફતે નિવેદન જારી કરીને કહ્યું કે, “હેન્ડેનબર્ગે રિપોર્ટ અદાણીના એફ.પી.ઓ.ને ખોરંભે પાડવાની બદઈરાદાવાળો છે.” સી.એફ.ઓ.એ આ વીડિયોમાં તેના ડેસ્કની બાજુમાં ત્રિરંગો ધ્વજ ગોઠવ્યો હતો.

હેન્ડેનબર્ગે તેને નિશાન બનાવીને વળતા બયાનમાં કહ્યું કે અમે જે સવાલો ઊભા કર્યા છે તેના તાર્કિક જવાબો આપવાને બદલે અદાણી તેની ગોલમાલને રાષ્ટ્રવાદમાં છુપાવે છે.  બીજા દિવસે, સમૂહે 413 પાનાંનો જવાબ આપ્યો. તેમાં સમૂહની આર્થિક ચોખ્ખાઈની વાતો તો હતી જ, પરંતુ અદાણીએ તેમાં એક મહત્ત્વનો ઈશારો કર્યો હતો. તેણે કહ્યું કે, “આ કોઈ એક કંપની પર અનુચિત હુમલો છે એટલું જ નહીં, તે ભારતની સંસ્થાઓની સ્વતંત્રતા, નિષ્ઠા અને ગુણવત્તા પર અને ભારતની પ્રગતિની કહાની અને મહત્ત્વાકાંક્ષા પર હુમલો છે.” સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કંપનીએ તેની આર્થિક ઘાલમેલના આરોપોને સમગ્ર ભારત પરના હુમલા તરીકે ઓળખાવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે.

આ બંને, બી.બી.સી. ડોક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગ રિપોર્ટ, મોદી સરકાર માટે તકલીફવાળા છે. બી.બી.સી. રિપોર્ટમાં ખેર સીધું નરેન્દ્ર મોદી પર નિશાન છે અને સરકારે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને તેના પર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટેકનિકલી, હેન્ડેનબર્ગ રિપોર્ટ સેબી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દાયરામાં આવે છે અને બંને સ્વાયત્ત સંસ્થાઓ છે, પરંતુ આ રિપોર્ટ પણ વડા પ્રધાને એટલા માટે ‘અડે’ છે કારણ કે વિરોધ પક્ષો લગાતાર આરોપ મુકતા રહ્યા છે કે અદાણીની પ્રગતિ તેમની મોદી સાથેની ઘનિષ્ઠતાનું પરિણામ છે.

ત્યાં સુધી કે ખુદ ગૌતમ અદાણીએ તેનું ખંડન કરવું પડ્યું છે. તાજેતરમાં જ તેમણે પત્રકાર રજત શર્માના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં સફાઈ આપતાં કહ્યું હતું કે તેમને કોઈ એક સરકારે મદદ નથી કરી. તેમણે કહ્યું હતું કે કાઁન્ગ્રેસના શાસનમાં રાજીવ ગાંધીની, નરસિંહમા રાવની અને ગુજરાતમાં ભા.જ.પ.ની કેશુભાઈની સરકારની નીતિઓથી અદાણીની પ્રગતિ થઇ છે.

એટલે આ બંને વિવાદના આર્થિક અને રાજકીય તાણાવાણા એકબીજામાં જોડાયેલા છે. બંને રિપોર્ટ એક સાથે જ જારી થયા તે માત્ર યોગનુગોગ છે કે ગણતરીપૂર્વકની યોજના? એક વર્ગ, ખાસ કરીને સરકારનો સમર્થક વર્ગ, એવું માને છે કે નરેન્દ્ર મોદીની સરકાર અમુક લોકો અને વર્ગને પસંદ નથી એટલે આ બંને રિપોર્ટ જારી કરવાનો સમય જાણી જોઈને પસંદ કરવામાં આવ્યો છે.

કેરળના રાજ્યપાલ આરીફ મહોમ્મદે એવો આરોપ મુક્યો કે આ વર્ષે ભારતને જી-20નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે જ આપણી પર બસો વર્ષ સુધી રાજ કરનારાઓ તરફથી આવો મિથ્યા રિપોર્ટ આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં આવેલા બી.બી.સી.ના રિપોર્ટને મોદી સરકારે ભારતને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે અને અદાણી સમૂહે પણ હેન્ડેનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલો ગણાવ્યો છે.

પ્રશ્ન એ છે કે બી.બી.સી. કે હેન્ડેનબર્ગને નરેન્દ્ર મોદી પાછા સત્તામાં આવે કે ન આવે તેમાં શું રસ હોય? ડિપ્લોમસીને જાણતા લોકોને આખી વાતમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો એન્ગલ દેખાય છે. આ યુદ્ધમાં ભારત ખુલ્લેઆમ રશિયાની પડખે છે. પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરી રહ્યાં છે. પશ્ચિમે રશિયા સામે અનેક પ્રતિબંધો લગાવી રાખ્યા છે, પણ ભારતે તેના હિતમાં અમુક લે-વેચ ચાલુ રાખી છે. આનાથી ભારત તરફ નારાજગી પ્રવર્તે છે. ઇન ફેક્ટ, બી.બી.સી. રિપોર્ટના મુદ્દે રશિયા ભારતની તરફેણમાં બહાર આવ્યું છે. સોમવારે, રશિયન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું હતું કે, “આ વધુ એક પુરાવો છે કે બી.બી.સી. માત્ર રશિયા જ નહીં, પરંતુ સ્વતંત્ર નીતિઓ પર ચાલતી વૈશ્વિક તાકાતો વિરુદ્ધ અલગ-અલગ રીતે ઇન્ફોર્મેશન યુદ્ધ કરી રહ્યું છે. “અમુક વર્ષોથી બી.બી.સી. બ્રિટિશ સત્તાની અંદર પણ અમુક જૂથો વતી બીજા જૂથો સાથે લડાઈ કરી રહ્યું છે.”

એક વાત સાફ છે કે બી.બી.સી. ડોક્યુમેન્ટરી નરેન્દ્ર મોદીની ઈમેજને નુકશાન કરે તેવી નથી. અત્યારે સુધીનો રેકોર્ડ છે કે જ્યારે પણ હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ થયું છે, ત્યારે તેમને રાજકીય રીતે તો ફાયદો જ થયો છે. ઊલટાની, આ ડોક્યુમેન્ટરી તો તેમના સમર્થકોમાં ‘મજબૂત નેતા’ની તેમની ઈમેજને વધુ મજબૂત કરે છે, પરંતુ અદાણીનો મામલો વધુ ગંભીર છે અને એટલી ઝડપથી ઠંડો પણ નહીં પડે. માર્કેટ અને મતદારોનો વ્યવહાર સરખો નથી હોતો. અદાણીની આર્થિક પ્રગતિ મોદીની રાજકીય પ્રગતિના ગ્રાફ સાથે જોડાયેલી છે એવો આરોપ ઘણા વખતથી થતો રહ્યો છે અને હેન્ડેનબર્ગ રિપોર્ટે એ ધારણાને બળ આપ્યું છે. બી.બી.સી. જેટલું નુકશાન નહીં કરી શકે તેટલું નુકશાન આ રિપોર્ટ કરી શકે તેમ છે. જોવાનું એ છે કે સરકાર કેવો અને કેટલો સમય સુધી અદાણીથી પોતાને અલગ રાખી શકે છે.

લાસ્ટ લાઈન :

“અર્થતંત્ર રૂપ વેશ બદલીને કામ કરતું રાજકારણ જ છે.”

— હેઝલ હેન્ડરસન 

બ્રિટિશ-અમેરિકન પર્યાવરણવિદ્દ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિન્ડનબર્ગ રિપોર્ટ અને અદાણી જૂથઃ આર્થિક બાબતોનું પોલું સાંબેલુ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 February 2023

ગણતરીના કલાકોમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નીચે ઉતરી ગયા

શાણા માણસો એટલે કે જેમને ડહાપણની ભેટ હોય તે હંમેશાં એમ કહે કે માણસની પ્રગતિ જેટલી ઝડપથી થાય એટલી જ ઝડપથી એની અધોગતિ પણ થાય. સડસડાટ ઉપર ચઢેલા ભફાંગ દઇને પડે અને એમણે પોતે ધાર્યુ હોય તેના કરતાં પહેલા પડે. ગૌતમ અદાણીને કદાચ આ ખબર નહીં હોય. છેલ્લા કેટલાક વખતથી ગૌતમ અદાણી એશિયાના અને વિશ્વના સૌથી ધનિકોની રેસમાં મોટા માથાઓને પાછળ રાખીને સડસડાટ આગળ વધી રહ્યા હતા. એમાં

ચિરંતના ભટ્ટ

યુ.એસ. શોર્ટ સેલર હિન્ડનબર્ગ જે એક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મે અદાણી ગ્રૂપના સ્ટોક મેન્યુપલેશન (ચેડાં) પર રિપોર્ટ રજૂ કરીને તેમને સવાલ કર્યા. આમ તો ગૌમત અદાણીને એમ હશે જ કે આપણે જો વિશ્વના સૌથી ધનિક માણસ બનવાના માર્ગે હોઇએ તો આ બધું તો થવાનું પણ યુ.એસ.એ.ના ન્યુ યોર્ક સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના રિપોર્ટે તેમના આ સપનાંને પત્તાનાં મહેલની માફક વિખેરી નાખ્યું. હિન્ડનબર્ગે આવા રિપોર્ટ પહેલાં બીજી કંપનીઝના પણ બનાવ્યા છે. વળી અદાણી જૂથના એવા બિઝનેસિઝ પણ છે જેના પરફોર્મન્સ સારા છે અને તે તેના બિઝનેસિઝ અને સર્વિસિઝના દેવા ભરપાઇ કરવા સક્ષમ છે, પણ અહીં સવાલ એ છે કે અપારદર્શક કોર્પોરેટ વર્કિંગમાં ખોટી રીતે શૅરને આસમાને પહોંચાડાયો અને કોઇએ તેની પર સવાલ પણ ન કર્યો.

હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો અને અદાણી ગ્રૂપના શૅરનો ભાગ ગગડ્યો. 66 બિલિયન ડૉલર્સનું નુકસાન થયું અને અદાણીની નેટ વર્થ પણ હતી ન હતી થઇ ગઇ. ગણતરીના કલાકોમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પણ નીચે ઉતરી ગયા. 20 હજાર કરોડની ફોલો ઓન પબ્લિક ઑફર(FPO)માં રોકાણકારોએ રોકેલા પૈસા પાછા આપવાની બુધવારની મોડી રાતની અદાણી જૂથની જાહેરાત કોર્પોરેટ વિશ્વની ઐતિહાસિક ઘટના જ કહેવાય. અદાણી જૂથે માર્કેટની અસ્થિરતા અને સંવેદનશીલતાને પગલે FPO રદ્દ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું. વળી એમ પણ ઉમેર્યું કે આમ કરવું તેમને નૈતિક રીતે યોગ્ય લાગ્યું જો કે આ શૅરના મુદ્દે તેમની ભાવિ યોજનાઓમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.

અબુ ધાબીના ફંડ્ઝ અને અન્ય ભારતીય કરોડપતિઓની મદદથી ભંડોળ એકઠું કરીને જે યોજનાને સફળ બનાવાઇ હતી સફળતાના બીજા જ દિવસે 28 ટકાનો ફટકો ન ઝીલી શકી. હિન્ડનબર્ગે તો તેના રિપોર્ટમાં અદાણીને કોર્પોરેટના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરનાર જૂથમાં ખપાવ્યું છે. જો કે હિન્ડનબર્ગ ગ્રૂપે આ પ્રકારના રિપોર્ટ પહેલા બીજી કંપનીઓ માટે પણ જાહેર કર્યા છે કારણ કે આ કરવું તેમનું કામ છે.

અત્યાર સુધી નરેન્દ્ર મોદી સાથેની ઘનિષ્ઠતાને કારણે અવાર-નવાર સમાચારોમાં ઝળકેલા ગૌતમ અદાણીને રાજકીય ફેવર્સ પણ મળી છે જે તે સ્વીકારતા નથી. રોકાણકારોથી માંડીને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સની મદદ અદાણી ગ્રૂપને હંમેશાં મળી છે. બોર્ડરલેસ મની – એટલે ગોલ્બલ પેમેન્ટ સોલ્યુશન જેનાથી પૈસા ફેરવવા સાવ સહેલા થઇ જાય કારણ કે એ એક વિકેન્દ્રિત ફાઇનાન્સ પ્રોટોકોલ છે જેના મારફતે સોશ્યલ રોકાણો થાય છે. પરંતુ બોર્ડરલેસ મનીની આ જ તાકત છે – તે વિશ્વના સૌથી ધનિક ગણાતા માણસના પગ તળેથી 8,000 કિલોમીટર દૂરથી ય જમીન ખસેડી શકે છે.

અદાણી જૂથ સામે હિન્ડનબર્ગની આ લડાઇએ આપણને આર્થિક વૈશ્વિકરણના બોધપાઠ શીખવ્યા છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો પછી થોડા દિવસ તો અદાણી જૂથ ‘ડિનાયલ’ એટલે કે અસ્વીકારમાં રહ્યું કે તેમને સ્ટૉક પ્રાઇઝને મામલે કોઇ પણ ચેડાં કર્યા છે, કોઇ પણ છેતરપીંડી પણ થઇ હોવાની વાતને રદિયો આપ્યો એમાં પછી ફોલો-ઓન પબ્લિક ઑફરનું પગલું તો લેવાયું જ.  અદાણી જૂથનો આ જ આત્મવિશ્વાસ અને શૅરનું વેચાણ હિન્ડનબર્ગના રિપોર્ટમાં કહેવાયેલી વાતોની નક્કરતા સાબિત કરવાનું માધ્યમ બની ગયા. ગૌતમ અદાણી પાસે બચાવના કીમિયા ખૂટી પડ્યા, રોકાણકારોને 400 પાનાંથી વધુ પાનાંની ચોખવટ પણ ગળે ન ઊતરી, અદાણી જૂથના ચિફ ફાઇનાન્શિયલ ઑફિસરે રાષ્ટ્રવાદનું ગાન ગાયું અને અદાણી જૂથ પર આંગળી ઉઠાવવી દેશ વિરોધી ગણાય પ્રકારની વાતો કરી, હિન્ડનબર્ગના રિપોર્ટને સામ્રાજ્યવાદી અંગ્રેજોએ કરેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવ્યો. આટલી બધી કાગારોળ પછી પણ સ્ટૉકનો ભાવ ગગડ્યો પણ અદાણીએ ફોલો ઓન ઓફર પાછી ન ખેંચી, ભાવ ઘટાડાનું જોખમ પણ વહોર્યું. બીજા ધનિકોની મદદથી જોર લગાડ્યું અને રિટેલ ઇન્વેસ્ટરે તેમને માટે અનામત રખાયેલા 12 ટકા શેર જ ખરીદ્યા. જરાક સફળ કહી શકાય તેવા શૅર વધારે મ્હોં ભેર પછડાયા જ્યારે ક્રેડિટ સુઇસ ગ્રૂપ એ.જી. અને સિટી બેંકે અદાણી કંપનીના બોન્ડ્ઝ ખાનગી બેંકિંગ ક્લાયન્ટ્સ માટેની માર્જિન લોન્સ માટે સ્વીકારવાનું બંધ કર્યું હોવાની જાહેરાત કરી. આખરે અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટૉક દિવસને અંતે 28 ટકા નીચે ધસી ગયો અને બંદરો – એરપોર્ટ્સના માલિક અદાણીએ ફોલો-ઓન ઑફર પાછી ખેંચી લીધી. અદાણીના ખાનગી ઑફ શોર ટ્રસ્ટ્સ, ઑફ શોર કંપનીઝ, મોરેશિયસ ફંડ્ઝ અને શેલ એન્ટિટિઝમાં કઇ રીતે અદાણી જૂથના પૈસા ફરતા હતા તેની વાસ્તવિકતાઓ ઉઘાડી પડી ગઇ છે.

અદાણી અને વિવાદને સારી પેઠે બને છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં તો કેરળના માછીમારો અદાણીને માથે માછલાં ધોવા બેઠા હતા કારણ કે ત્યાં 900 મિલિયન ડોલર્સને ખર્ચે બંદરનું બાંધકામ ચાલી રહ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનો સામે ગૌતમ અદાણીએ માછીમારોના નેતાઓ અને કેરળ રાજ્ય સરકાર સામે કેસ માંડ્યો. વળી ઑસ્ટ્રેલિયામાં પણ પર્યાવરણવાદીઓએ વર્ષો સુધી અદાણીના કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો જેના કારણે ગ્રેટ બેરિયર રીફને નુકસાન થઇ રહ્યું હતું અને કાર્બનનો ફેલોવા પણ મોટા પ્રમાણમાં થાય તેમ હતું.

એફ.પી.ઓ. પાછો ખેંચાયા પછી અબુ ધાબીના આઇ.એચ.સી.ને અદાણી ગ્રૂપના એફ.પી.ઓ.માં રોકાયેલા 400 મિલિયન ડૉલર્સ પાછા અપાયા, બાંગ્લાદેશે અદાણી પાવરને 2017ના એક્સેસિવ પ્રાઇસિંગના પેક્ટની પુનઃચકાસણી કરવા કહ્યું છે, અદાણીના શૅરની માર્કેટ વેલ્યુ અત્યાર સુધીની સૌથી નીચા સ્તરે છે, એસ.બી.આઇ. પાસેથી અદાણીને મળેલી 2.6 બિલિયન ડૉલર્સની લોન પણ ચર્ચામાં, રિઝર્વ બેંકે પણ બીજી બેંક્સ પાસેથી અદાણી ગ્રૂપ સાથેની તેમની કડીઓ જાહેર કરવા માંગ કરી છે – વિરોધ પક્ષે પણ હોબાળો કર્યો છે અને તપાસની માંગ કરી છે.

સત્યમ કૌભાંડ પણ તોતિંગ કૌભાંડ હતું અને તેના પ્રમોટર રાજુએ જેલવાસ પણ ભોગવ્યો. અદાણી જૂથનો આ ક્રેશ એશિયાનો સૌથી ઐતિહાસિક ક્રેશ ગણાય. આપણે ત્યાં કોર્પોરેટ ગવર્નન્સ પર સરકારી નિયમન એજન્સીની નજર હોવી જરૂરી છે. અદાણી જૂથના શૅરની કિંમતો ઇન્ફ્લેટેડ હતી તે બધા જાણતા જ હતા પણ આપણા દેશની નિયમનકારી સંસ્થાઓ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી જાગે એની પાછળ કયા પરિબળો જવાબદાર છે? આ લખાઇ રહ્યું છે ત્યારે અદાણી જૂથના માર્કેટ લોસિઝનો આંકડો અંદાજે 100 બિલિયન ડૉલર્સ જેટલો થયો છે.

બાય ધી વેઃ

શૅરના વેચાણથી આવનારાં નાણાંથી અદાણી જૂથ જે નાણાંકીય ખર્ચ કે દેવાઓ ભરી દેવાનું પ્લાનિંગ કરીને બેઠું હતું તે અત્યારે હવામાં છે. કેન્દ્ર સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો હવે કેવા હશે? નરેન્દ્ર મોદીને અદાણીને માથે ચડાવવાની ભૂલને લીધે કંઇ ભોગવવાનું આવશે? આ બધા સવાલોના જવાબ વખત આવ્યે જ મળશે. અદાણીનું જે થવાનું હશે એ થશે પણ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં પહેલાં ચાર વાર વિચારશે એ ચોક્કસ, જેમણે રોકાણ કર્યા હશે તે પોતાની મિલકતોનું પુનઃમુલ્યાંકન પણ કરશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ફેબ્રુઆરી 2023

Loading

ટપાલટિકિટ એટલે નાનકડો દસ્તાવેજ, નાનકડો રાજદૂત

સોનલ પરીખ|Opinion - Opinion|5 February 2023

દરેક રાષ્ટ્રની ટપાલટિકિટ તે રાષ્ટ્રના લોકોનાં આસ્થા અને તત્ત્વદર્શન, આકાંક્ષાઓ અને આશાઓ, કલા અને ઇતિહાસ, મહાપુરુષો અને તેમના પ્રદાનનું પ્રતીક છે. આ નાનકડો, સુંદર કરકરિયાં અને અર્થપૂર્ણ ચિત્રથી શોભતો ચોરસ ટુકડો – મોકલનારે ટપાલખર્ચ ભોગવ્યો છે એની સાબિતી આપવા સાથે ઘર-ઘરમાં, શેરીઓમાં, નગરો, મહાનગરો અને દેશોમાં ભ્રમણ કરે છે અને દેશના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે. 1947ની 21 નવેમ્બરે સ્વતંત્ર ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી હતી …

આજે તો ટપાલ ટિકિટ પણ જાણે ઇતિહાસ બનવા જઈ રહી છે, પણ એનો એક રસપ્રદ ઇતિહાસ છે અને એ ઇતિહાસમાં 21 નવેમ્બરનો દિવસ મહત્ત્વનો છે કેમ કે એ દિવસે ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી હતી. અનેક સ્મૃતિઓ તાજી થાય છે. એક વખત એવો હતો કે દરેક ઘરમાં એક ખાનું કે એક બૉક્સ પોસ્ટની ચીજો માટે રહેતું. એમાં પોસ્ટકાર્ડ, ઈનલૅન્ડ લેટર, એરોગ્રામ, પોસ્ટનાં કવર, સાદાં કવર, બેત્રણ મનીઑર્ડર ફૉર્મ, જેના જવાબ આપવાના બાકી હોય એવા પત્રો વગેરે રહેતું. આ પેટી ઘરના વડીલના કબજામાં રહેતી અને એમાંથી એકાદ પૉસ્ટકાર્ડ જોઈતું હોય તો તેઓ એવી કાળજીથી એ આપતા જાણે તિજોરીમાંથી કોઈ કીમતી રત્ન કાઢી આપતા હોય. મને તો સૌથી વધારે રસ ટિકિટોમાં પડતો. એની સાઈઝ, એનો સ્પર્શ, એના પરના ચિત્રો, એનાં કરકરિયાં – એના પર ટેરવાં ફેરવવાનું ખૂબ ગમતું. જો કે વડીલો ખિજાતા, ‘મૂકી દે. ડાઘા પડી જશે.’ દિવાળી આવે ત્યારે ઢગલાબંધ કાર્ડ અને એના પર લગાડવાની ટિકિટોનું પતાકડું મોટા થયેલા સંતાનને મળે ત્યારે એને જે મઝા પડતી! રેવન્યૂ સ્ટેમ્પનો દમામ વળી જુદો. અમૃતા પ્રીતમે પોતાની આત્મકથાનું નામ ‘રસીદી ટિકટ’ ભલે ખુશવંત સિંહના કહેવાથી આપ્યું પણ તેની પાછળ એક રોમાન્સ આવો પણ નહીં હોય?

આમ તો એક નાનકડો, સુંદર કરકરિયાં અને અર્થપૂર્ણ ચિત્રથી શોભતો ચોરસ ટુકડો – મોકલનારે ટપાલખર્ચ ભોગવ્યો છે એની સાબિતી. પણ એમાં વણાયેલાં હોય છે દેશનાં ઇતિહાસ, ભૂતકાળ, સંસ્કૃતિ, વિકાસયાત્રા, કલા અને વર્તમાન. આ નાનો કલાપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ ઘર-ઘરમાં, શેરીઓમાં, નગરો, મહાનગરો અને દેશોમાં ભ્રમણ કરે છે અને દેશના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે. દરેક રાષ્ટ્રની ટપાલટિકિટ તે રાષ્ટ્રના લોકોનાં આસ્થા અને તત્ત્વદર્શન, આકાંક્ષાઓ અને આશાઓ, કલા અને ઇતિહાસ, મહાપુરુષો અને તેમના પ્રદાનનું પ્રતીક છે.

ટપાલસેવાના ત્રણથી પાંચ હજાર વર્ષ જૂના અને અત્યંત રસપ્રદ ઇતિહાસની વાત પછી ક્યારેક, આજે વાત કરીએ ટપાલટિકિટની. ટપાલટિકિટનો વપરાશ શરૂ થયો એ પહેલાં ટપાલખર્ચ પત્ર મોકલનાર અથવા જેને પત્ર મોકલ્યો હોય તેની પાસેથી વસૂલ થતું. આમાં ખૂબ ખોટ જતી કેમ કે મોકલનારે ખર્ચ ન આપ્યું હોય અને મેળવનાર પત્ર સ્વીકારે નહીં તો એને મોકલવાનો જે ખર્ચ થયો હોય તે પોસ્ટઑફિસ પર આવી પડે. સુધારાઓ થતા, છતાં ઘણા વખત સુધી કાર્યક્ષમ અને સસ્તી ટપાલસેવા જનતાને ઉપલબ્ધ થઈ નહીં. 

19મી સદીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં ટિકિટ પદ્ધતિનો વિચાર થયો અને ઉત્તમ ટિકિટ કેવી હોવી જોઈએ એવી એક સ્પર્ધા થઈ. શરતો એ હતી કે ટિકિટ વાપરવામાં સગવડભરી, બનાવટ ન થઈ શકે એવી, તપાસ અને ચકાસણી સરળતાથી થઈ શકે એવી અને ખર્ચનો આંકડો બતાવતી હોવી જોઈએ. રોલેન્ડ હિલ દ્વારા તૈયાર કરાયેલી દુનિયાની પહેલી ટિકિટ 6 મે 1840ના દિવસે બહાર પડી. તેના પર રાણી વિકટોરિયાની તસવીર હતી. એની કિંમત એક પેની હતી અને એનો રંગ કાળો હતો એટલે તે ‘ધ પેની બ્લેક’ નામથી ઓળખાઈ. આ ટિકિટની કિનારી સીધી હતી અને તેની પાછળ ગુંદર પણ ન હતો. પછીના પંદર વર્ષમાં તો ઘણાખરા દેશો ટપાલટિકિટો વાપરતા થઈ ગયા હતા. 

ભારતમાં સિંધના કમિશનર બાર્ટલ ફ્રેરે 1852માં કાગળની ટિકિટો દાખલ કરી. ‘સિંધ ડાક્સ’ તરીકે ઓળખાતી આ ટિકિટ આખા એશિયામાં ચાલતી. ટિકિટ ખૂલતા લાલ રંગની હતી અને તેની વચ્ચે ઈસ્ટ ઇંડિયા કંપનીની નિશાની રૂપ પહોળું તીર અંકિત હતું. પાતળા કાગળ પર મીણથી આકૃતિ ઉપસાવવામાં આવી હતી. અડધા આનાના મૂલ્યની આ ટિકિટ અત્યારે મળતી નથી. 1854માં કેપ્ટન તુરીયે લિથોગ્રાફીથી બ્નાવેલી ટિકિટો વપરાવી શરૂ થઈ. વાદળી રંગની આ ટિકિટ અડધા આનાના મૂલ્યની, ક્વિન વિક્ટોરિયાના ચિત્રવાળી હતી. 1856થી 1926ના ગાળામાં થોમસ દલ રું એંડ કંપની ભારતની ટપાલટિકિટો છાપતી. જેમાં રાણી વિક્ટોરિયા પછી એડવર્ડ સાત અને જ્યૉર્જ પાંચમા અને છઠ્ઠાનું માથું જુદા જુદા રંગમાં દેખાતું. 1926માં નાસિકમાં ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ ઊભું થયું અને ટપાલટિકિટો ત્યાં છપાવા લાગી. 

સ્વાતંત્ર્ય બાદ તરત જ ભારતે ત્રણ ટપાલટિકિટો છપાવી જેમાં અશોકસ્તંભ, રાષ્ટ્રધ્વજ અને એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનાં ચિત્રો હતાં. એનો વપરાશ 21 નવેમ્બરથી શરૂ થયો. એની કિંમત હતી સાડાત્રણ આના.

પછી તો ભારત સરકાર દ્વારા જીવન અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓને આલેખતી ટપાલટિકિટોની શ્રેણીઓ પ્રસારિત થઈ જેમાં આપણાં પ્રાણીઓ, ધર્મો, પંચવર્ષીય યોજનાઓ સાથે સંબંધિત વિષયો, સામાજિક અને શૈક્ષણિક વિષયો, ઐતિહાસિક બનાવો, સિદ્ધિઓ વગેરે ચિત્રિત કરવામાં આવ્યા છે. તેને વધારે આકર્ષક બનાવવાના પ્રયત્નો પણ થયા છે. ભારતીય મહોરો, ભારતીય લઘુચિત્રો, ભારતીય નૃત્યો વગેરે શ્રેણીમાં રંગોનો વધારે ઉપયોગ થયો છે.

વિશ્વના 195 દેશોમાંથી 175 દેશોએ ગાંધીજીના ચિત્રવાળી કુલ 300 પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આટલું માન વિશ્વના કોઈ નેતાને મળ્યું નથી. ગાંધીજીની ટિકિટ બહાર પાડનારો પહેલો દેશ પોલેન્ડ હતો. ભારતે મહાત્મા ગાંધીની 80મા જન્મદિને એમના ચિત્રવાળી પહેલી ટપાલટિકિટ બહાર પાડી હતી. આજ સુધીમાં ગાંધીજીના ફોટાવાળી 50 ટિકિટો ભારતમાં બની છે. ગાંધીજીના શતાબ્દીવર્ષે 40 જેટલા દેશે એમની ટિકિટો બહાર પાડેલી. ભારતમાં છેલ્લી ગાંધી-ટપાલટિકિટ 2020માં ગાંધી સાર્ધશતાબ્દી નિમિત્તે બહાર પડી, જે પાંચ, દસ અને પંદર રૂપિયાની કિંમતની છે. 2017માં મહાત્મા ગાંધીની દસ રૂપિયાની એક દુર્લભ ટિકિટ 2 લાખ પ હજાર ડૉલર(ત્યારના 89 લાખ રૂપિયા)માં વેચાઈ હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ‘ભારત છોડો’ આંદોલન વખતે બ્રિટિશ સરકારે ગાંધીજીના ચિત્રવાળી અને બૉયકોટ બ્રિટિશ ગૂડ્સ આવું સ્લોગન છપેલી ટપાલટિકિટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ટપાલટિકિટ સંગ્રહનું પણ એક વિશ્વ છે. ટપાલટિકિટોના શાસ્ત્રીય અભ્યાસને અને હવે ટપાલટિકિટ સંગ્રહના શોખ/કલાને પણ ફિલાટેલી કહે છે. ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે. ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો સંગ્રહ બેનમૂન હતો. આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી(1850-1917)નો જન્મ ફ્રાંસમાં, પણ પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.

ટિકિટસંગ્રહનો વિશ્વના સંગ્રહશોખોમાં સૌથી લોકપ્રિય અને વ્યાપક છે અને તેને ‘રાજાઓનો શોખ અને શોખનો રાજા’ કહે છે. એક બ્રિટિશ મહિલા સંગ્રાહકે પોતાના ડ્રૅસિંગ રૂમને શણગારવા માટે વપરાયેલી ટિકિટો મેળવવા 1841માં ‘ધ ટાઇમ્સ ઑફ લંડન’માં એક વિજ્ઞાપન છપાવેલું. ટિકિટસંગ્રહ કલા અને સંગ્રહનો એક વિશિષ્ટ શોખ ગણવામાં આવે છે. સંગ્રાહકો માટે ટપાલ કચેરીમાં ફિલાટેલિક બ્યૂરો અને તેનાં માહિતીપત્રક હોય છે. ભારતમાં પ્રથમ કૅટલૉગ જાલ કૂપર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

ભારતમાં 1892માં મુંબઈમાં ‘બૉમ્બે ફિલાટેલિક સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. તેના દ્વારા ‘ઇન્ડિયન ફિલાટેલિસ્ટ’ નામનું માસિક બહાર પાડવાનું ચાલુ થયું. તેના તંત્રી જુલિયો રિબેરો હતા. ગુજરાતમાં ‘ગુજરાત ફિલાટેલિક ઍસોસિયેશન’ અમદાવાદ ખાતે કાર્યરત છે જે નિરંજન ઝવેરી દ્વારા 1972માં સ્થાપવામાં આવેલ અત્યારે માણેક જૈનનું કૅટલૉગ ખૂબ જ પ્રચલિત છે. આવા સંગ્રહોનાં સ્થાનિકથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનો થાય છે.

અને અંતે, એક રસપ્રદ કિસ્સો – 2015માં માયા એન્જુલુને શ્રદ્ધાંજલિ આપતી એક ટપાલટિકિટ અમેરિકામાં બહાર પડી. પણ બહાર પડતાંની સાથે વિવાદનો વિષય બની ગઈ કેમ કે એમાં એના ફોટા સાથે આપેલું અવતરણ એનું ન હતું! ગોટાળા આપણે ત્યાં જ નહીં, બધે થાય છે!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 નવેમ્બર 2022

Loading

...102030...1,2781,2791,2801,281...1,2901,3001,310...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved