Opinion Magazine
Number of visits: 9458646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાત સરહદ પાર : આઝાદીના અમૃતપર્વની ખરી ઊજવણી!

કિરણ કાપુરે|Opinion - Opinion|27 August 2022

બી.બી.સી. દ્વારા, હાલમાં હિંદી અને ઉર્દૂ ભાષાના ન્યૂઝ પોર્ટલ પર એક સિરીઝ આરંભાઈ છે, અને તેનું નામ છે : ‘બાત સરહદ પાર’. દેશની આઝાદીની અમૃત જંયતી ઉજવાઈ રહી છે ત્યારે તેની ઊજવણી ખરા અર્થમાં આ કાર્યક્રમમાં થઈ રહી છે. અહીંયા ભારત અને પાકિસ્તાનના સાહિત્ય-સિનેમા સાથે જોડાયેલી હસ્તીઓ એકબીજા સાથે સંવાદ કરે છે. દર શુક્રવારે નવા એપિસોડ સાથે આ સંવાદ બી.બી.સી. પોડકાસ્ટ પર સાંભળી શકાય છે. સિરીઝના બીજા એપિસોડમાં 23 જુલાઈના રોજ ભારત વતી જાણીતા ગીતકાર-વ્યંગકાર વરૂણ ગ્રોવર હતા અને પાકિસ્તાન તરફથી ડિરેક્ટર-એક્ટર સરમદ ખૂસટ. આ અગાઉ પ્રથમ એપિસોડમાં ગાયિકા સુનિધી ચૌવ્હાણ અને પાકિસ્તાનનાં ગાયિકા-ગીતકાર ઝેબ બંગાશે વાત કરી હતી. વરૂણ ગ્રોવર અને સરમદ ખૂસટે સાહિત્ય-સિનેમા વિશે તો વાત કરી સાથે તેમણે બંને દેશોના પોતાના અનુભવ રસપ્રદ રીતે કહ્યા. આમ તો આ સંવાદનો લહાવો સાંભળીને વધુ લઈ શકાય, પણ તેમ ન થાય એમ હોય તો અહીં તેના કેટલાક અંશો જરૂરથી વાંચી લેવા જોઈએ.

‘બાત સરહદ પાર’ સિરીઝનું પ્રોડક્શન ખૂબ સરસ રીતે થયું છે. કાર્યક્રમ શરૂ થતાં અગાઉ આવતું મધુર સંગીત, થિમ ગીત અને તે પછી ટૂંકમાં માહિતી પીરસીને કાર્યક્રમનો ઉપાડ કરતાં પ્રેઝેન્ટર રૂપા ઝાનો અવાજ. તુરંત આમંત્રિત હસ્તીઓ સંવાદનો દોર સંભાળે છે અને શરૂ થાય છે બંને દેશો વચ્ચેનો સહિયારો ઇતિહાસ, પેઢી દર પેઢી ચાલી આવતી પોતાના ગામ, શહેરની સ્મૃતિઓ, ખાનપાન, નાચગાન, પહેરવેશ, ભાષા-બોલી, સાહિત્ય-સિનેમાની વાતો, જે માત્ર બે પેઢી અગાઉ એક સરીખી હતી. બીજા એપિસોડમાં સંવાદનો દોર આરંભાયો અને વરૂણ ગ્રોવરે નમસ્કાર, આદાબ અને હેલો કહીને શ્રોતાઓનું સ્વાગત કર્યું. વરૂણ-સરમદ બંને પંજાબી છે એટલે પહેલાં પંજાબી ભાષામાં વાત આગળ વધી અને પછી સરમદે વરૂણે લખેલાં ગીત ‘મોહ મોહ કે ધાગે’ની વાત કરી. તેઓ કહે છે કે પૂરા પાકિસ્તાનમાં એવું કોઈ નહીં હોય જેમણે આ ગીત ન સાંભળ્યું હોય! વરૂણ કહે છે કે, “બંને દેશો વચ્ચે ઘણાં બધા કનેક્શન છે. અને કમનસીબી એ છે કે આપણે પોલિટિકલ માહોલના કારણે વાત નથી કરતાં. બંને દેશોમાં જે અંતર નિર્માણ કરવામાં આવ્યું છે તે અંતરને પ્રોટેટ્ક કરનારાં બંને દેશો તરફ એટલાં મજબૂત છે કે વધુ વાતો થઈ જ શકતી નથી.”

સરમદ ખૂસટનું નામ પાકિસ્તાનની ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સન્માનથી લેવાય છે. તેમણે અભિનય, નિર્દેશન અને લેખક તરીકે ઉમદા કામ કર્યું છે. તેમની ‘મન્ટો’ ફિલ્મ ભારતમાં પણ ખૂબ જોવાઈ છે, જેનો ઉલ્લેખ આ વાતચીતમાં વરૂણે કર્યો છે. સરમદ અહીં વાત મૂકે છે કે : “હિંદુસ્તાન પર રેખા ખેંચીને જ્યારે ભારત-પાકિસ્તાન નિર્માણ થયા ત્યારે તેની સાથે જે મલિન અનુભૂતિ સૌમાં પ્રસરાવામાં આવી કે હવે બધું જ અલગ થઈ ચૂક્યું છે. જે બંને દેશોની માટીમાં ભળેલું છે તેને પણ અલગ કરી દેવામાં આવ્યું છે. આ અકુદરતી છે. કારણ કે તમે કેવી રીતે માહોલ, રંગ, તહેવારને એકબીજાની સ્મૃતિમાંથી કાઢી નાંખશો.” વરૂણ સરમદની વાત સાથે સંમત્તિ દર્શાવીને આગળ કહે છે કે, “જુઓ આપણે બંને અલગ દેશમાં બેઠા છીએ, પરંતુ કોઈ પણ એવો શબ્દ નથી જે તમારો મને નથી સમજાતો, કે મારો તમને. અને આપણે ત્રણ અલગ-અલગ ભાષામાં વાત કરી શકીએ છીએ. જ્યારે અમારા દેશમાં જ એવું છે કે બે અલગ રાજ્યો, જેમ કે કોઈ તમિલનાડુથી છે અને અન્ય કોઈ ઓરિસ્સાથી છે, તો તેમની વચ્ચે ભાષા, આહાર કે સંસ્કૃતિના સંદર્ભ એટલાં નહીં મળતાં હોય જેટલાં આપણી વચ્ચેના એટલે કે દિલ્હી-લાહોરના મળે છે. અથવા તો લાહોર-લખનઉ કે લાહોર-ભોપાલના મળે છે.” આગળ વરૂણ કહે છે કે, “એવી અનેક બાબત છે જેને આપણે કલ્ચર અને નેશન કહીએ છીએ. નેશનની અનેક વ્યાખ્યા મોજૂદ છે, પરંતુ હવે પોલિટિકલ જ ડેફિનેશન આપણી પાસે રહી ગઈ છે કે જે નકશો છે તે જ દેશ છે. બાકી તો આપણી સ્મૃતિ પણ એકસરીખી છે.”

ભારત-પાકિસ્તાનની સંસ્કૃતિ અને સ્મૃતિ કેટલાં હદે એક જેવી છે તે વિશે સરમદ પોતાનો એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હું 22-23 વર્ષનો હતો ત્યારે મેં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું, અને હું દિલ્હી આવ્યો હતો. કસમથી જ્યારે હું પહેલીવાર એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને એ વાતનો ખૂબ અફસોસ થયો કે આને હું ઇન્ટરનેશનલ ટુર ન કહી શકું. આ ટુરના આધારે હું ક્યારે ય એવું નહીં માનું કે મેં ઇન્ટરનેશનલ ટુર કરી છે. મેં જોયું કે અહીંયા તો ચહેરા, ઝાડ-પાન, રસ્તાઓ, રસ્તાઓના નામ બધું સરીખું હતું. મારી સાથે મારા પિતા હતાં તેમને તો મેં ત્યાં સુધી કહ્યું કે પપ્પા અહીંયાની સુંગધ અને દુર્ગંધ પણ આપણા મુલ્ક જેવી છે.” આ વાતને આગળ વરૂણ આ રીતે પૂરી કરે છે : “જેવું મેં કહ્યું હતું કે આપણી સહયારી સંસ્કૃતિની સ્મૃતિઓ તો છે જ, અને બંને દેશો એટલાં બધા એક જેવા છે કે તેમની એફિસિયન્સી તો સરખી છે, ઇનએફિસિયન્સી પણ સરખી છે.”

સરમદ ખૂસટ તે પછી પાકિસ્તાનમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફનું જે આકર્ષણ છે તેની વાત કહે છે. તેમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, મહેશ ભટ્ટની ફિલ્મો જેવાં વિષય પર સંવાદ થાય છે. તે પછી સરમદ વ્યંગનો વિષય છેડે છે. વરૂણના વ્યંગ સરમદે સાંભળ્યા છે અને વ્યંગમાં ધ્યાને રાખવાની બાબતો ઉપરાંત પાકિસ્તાનમાં એ વ્યંગનું ટ્રેડિશન ન રહ્યું જે ભારતમાં છે, તો તે વિશે વરૂણને વાત કરવા કહે છે. વરૂણ કહે છે : “વ્યંગના મુદ્દે પણ આપણાં બંને દેશો સરખા છે. અહીં ઘટનાઓ જ એટલી હાસ્યાસ્પદ હોય છે કે તમે હસ્યા વિના નથી રહી શકતા. અને આ બંને દેશોમાં એક ડાર્ક હ્યુમર એલિમેન્ટ છે. અને આજે તો સેટાયર કરવું એ ખૂબ પડકારજનક થઈ ચૂક્યું છે કારણ કે તેની સ્પર્ધા હવે વાસ્તવિકતા સાથે છે. વાસ્તવિકતા એટલી હાસ્યાસ્પદ છે કે તેની સામે હું શું જોક બનાવું?” આ વાત સમજાવવા વરૂણ એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હમણાં મને મારા મિત્રએ એક ન્યૂઝની લિંક મોકલી છે. આ ન્યૂઝમાં પટનાની કોર્ટનો કિસ્સો છે. અહીં એક આરોપીને રજૂ કરવા અર્થે પોલીસ આરોપી સહિત કોર્ટમાં બોમ્બ લઈને આવી હતી. આ બોમ્બ આરોપી બ્લાસ્ટ કરવાનો હતો. થોડી જ વારમાં કોર્ટમાં જ બોમ્બ બ્લાસ્ટ થયો. રાહતની વાત એ છે કે કોઈને નુકસાન થયું નથી. બોમ્બ બ્લાસ્ટ થયા પછી જજે પોલીસને પૂછ્યું કે, ‘તમે આ બોમ્બ અહીં કેમ લાવ્યા છો?’ પોલીસે કહ્યું ‘અમે સત્ય સામે લાવવા માટે બે બોમ્બ લાવ્યા હતા, અને બીજો બોમ્બ પણ ત્યાં જ મૂક્યો છે, જે હજુ સુધી બ્લાસ્ટ થયો નથી’ પછી કોર્ટ ખાલી કરી દેવામાં આવી. હવે તમે જ કહો કે આ દેશમાં કોઈ સેટાઇરિસ્ટ નહીં બને તો ક્યાં બનશે.”

વ્યંગની બાબતે વરૂણ આગળ ભારતના શ્રેષ્ઠ વ્યંગલેખકો શ્રીલાલ શુકલ, હરિશંકર પરસાઈ અને શરદ જોશીની વાત કરે છે અને આજના સમયમાં તેઓ હોત તો આટલી સ્વતંત્રતાથી ન લખતાં હોત તેમ પણ કહે છે. આ વિશે વરૂણ કહે છે કે, “સોશિયલ મીડિયા પર જ્યારે તમે હરિશંકર પરસાઈ, શરદ જોશી કે શ્રીલાલ શુકલનો પેરેગ્રાફ પોસ્ટ કરો તો લોકો એવી કોમેન્ટ કરે છે કે શોધો આમને અને જેલમાં નાંખો. ત્યારે એમને કહેવું પડે છે કે તેઓ તો આઝાદ થઈ ચૂક્યા છે આ દુનિયાની જેલોથી.” તે પછી વરૂણ પાકિસ્તાનના ઉમર શરીફના સંદર્ભે વાત કરે છે, જેમની ‘બકરા કિશ્તોં પર’ નામની હ્યુમર ડ્રામા તેમણે ખૂબ જોઈ. પાકિસ્તાનના હ્યુમરીસ્ટ મોઈન અખ્તર અને અનવર મકસૂદની પણ વાત કરે છે, જે ભારતમાં ખૂબ જાણીતા હતા.

અંતે વરૂણ કહે છે કે, મળતાં રહીશું આ રીતે. આમ તો અંગ્રેજોએ જ આપણને જુદાં કર્યાં છે અને આજે અંગ્રેજો જ આપણો ભેટો કરાવી રહ્યા છે.

e.mail : kirankapure@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—160

દીપક મહેતા|Opinion - Opinion|27 August 2022

ક્યાં કોટન મિલ, ક્યાં ખાણાવળ, પણ બંને વચ્ચે સંબંધ નિકટનો

ખાણાવળ, વીશી, હોટેલ, નામરૂપ જૂજવાં

મરાઠીમાં ખાણાવળ. ગુજરાતીમાં વીશી. પણ આ બે જ નહિ, બીજી પણ ઘણી ભાષામાં આજે લોકજીભે ચડી ગયેલો શબ્દ તે તો હોટેલ. કેટલાક ‘હોટલ’ પણ બોલે. ભગવદ્ ગોમંડળ કોશ ‘હોટેલ’નો અર્થ આ પ્રમાણે આપે છે: “પૈસા આપી ચા, પાણી, નાસ્તો તથા જમવા વગેરે માટે રખાતું જાહેર સ્થળ; ચાખાનું; ચા પાણી ઇત્યાદિ નાસ્તાની દુકાન.” ગુજરાતી અને મરાઠી ઉપરાંત તમિળ, તેલુગુ, બંગાળી, ઉર્દૂ, અરબી, હિન્દી, જેવી ભાષાઓમાં પણ ‘હોટેલ’ શબ્દ વપરાય છે. અને લગભગ એક સરખા અર્થમાં. મૂળ શબ્દ ફ્રેંચ ભાષાનો. તેમાં તથા અંગ્રેજીમાં તેનો જે અર્થ થાય છે તેના કરતાં આપણી ભાષાઓ જૂદા અર્થમાં વાપરે છે. અંગ્રેજી, ફ્રેંચ વગેરે ભાષાઓમાં હોટેલ એટલે જ્યાં રહેવાની તેમ જ ખાવાપીવાની પણ સગવડ હોય તે જગ્યા. આપણે હોટેલ શબ્દ વાપરીએ છીએ જ્યાં ફક્ત ખાવા-પીવાનું મળતું હોય, રહેવાની સગવડ ન હોય એવી જગ્યા માટે પણ. ‘ચાલો, આજ તો હોટેલમાં જઈએ’ એમ કોઈ કહે તો એનો અર્થ ખાણાવળ કે વીશીમાં જઈએ એવો થાય. પણ મુંબઈની બોલીમાંથી આ બે શબ્દો લગભગ ભૂસાંઈ ગયા છે. એની જગ્યાએ આવી ગયો છે શબ્દ હોટેલ. જ્યાં માત્ર ખાવા-પીવાની સગવડ હોય તે જગ્યા માટે અંગ્રેજીમાં સાચો પ્રયોગ છે ‘રેસ્ટોરાં’ અથવા ‘રેસ્ટોરન્ટ.’ આ પણ મૂળ ફ્રેંચ ભાષાનો શબ્દ. પણ આપણે ત્યાં તેને માટે રૂઢ થઈ ગયો છે તે તો ‘હોટેલ.’

ના, જી. કોઈ હોટેલ કે રેસ્ટોરાંની જાહેરાત કરવાનો ઈરાદો નથી, હોં! પણ ઈરાદો છે મુંબઈમાં આ હોટેલની શરૂઆત ક્યારે, શા માટે, કેવી રીતે થઈ તેની વાત કરવાનો. મુંબઈ જેવા મહાનગરનો વિકાસ તાડનાં ઝાડની જેમ થતો નથી, પણ વિશાળ વડલાની જેમ થતો હોય છે. વડવાઈઓ એવી તો ગૂંચવાઈ જાય કે આમાં થડ ક્યાં, ડાળ ક્યાં, શોધવાનું અઘરું બની જાય. 

મુંબઈના મિલ–ઉદ્યોગના પિતા કાવસજી નાનાભાઈ દાવર

હવે કોઈ કહે કે મુંબઈમાં હોટેલના આગમનનો સીધો સંબંધ કોટન મિલ કહેતાં ગિરણીના વિકાસ સાથે છે તો તમે કહેવાશો કે ટાઢા પહોરનાં ગપ્પાં હાંકો માં! પણ હકીકતમાં આ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. મુંબઈમાં મોટા ઉદ્યોગોની શરૂઆત થઈ તે આ કોટન મિલ ઉદ્યોગથી. આજે તો એ નામ લગભગ ભૂલાઈ ગયું છે, કાવસજી નાનાભાઈ દાવર. ૧૮૧૪ના અરસામાં જન્મ. માત્ર ૫૯ વરસની ઉંમરે ૧૮૭૩ના ડિસેમ્બરની ૨૨મી તારીખે બેહસ્તનશીન થયા. મૂળ તો વેપારી. ‘નાનાભાઈ ફરામજીના છોકરાઓની કંપની’ નામે આયાત-નિકાસનો નાનકડો વેપાર. પણ માણસ ચકોર, અથવા પારસીઓ કહે તેમ ‘ચાણાક.’ જોયું કે અહીંના ખેડૂતો પરસેવો પાડીને જે કપાસ ઉગાડે છે તે પાણીના ભાવે ગ્રેટ બ્રિટન જાય છે. ત્યાંની કોટન મિલો તેમાંથી કાપડ વણે છે, અને મોંઘુ દાટ કાપડ પાછું આપણા દેશમાં આવે છે. એટલે વિચાર કર્યો કે આપણા દેશમાં જ કાપડ કેમ વણી ન શકાય? લોકોને કામ મળે, કાપડ સસ્તું થાય તો ઘણા વધુ લોકોને ખરીદવાનું પોસાય. સર વિલિયમ ફેરબેઈમની મદદ લીધી. તેમણે કોટન મિલની ડિઝાઈન તૈયાર કરી આપી. અને તારદેવ વિસ્તારમાં ઊભી થઈ મુંબઈની પહેલવહેલી કોટન મિલ, નામે બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની. ૧૮૫૪ના જુલાઈની સાતમી તારીખે તેનું ઉદ્ઘાટન. પણ તેમાં સુતરાઉ કાપડનું ઉત્પાદન શરૂ થયું તે છેક ૧૮૫૬ના ફેબ્રુઆરીની સાતમી તારીખે.

મુંબઈની પહેલી મિલ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની

(આ ફોટો ૧૮૫૪નો નહિ, પછીના સમયનો છે)

પછી તો મુંબઈમાં મિલોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. ૧૮૭૦માં ૧૩ મિલ, તો પાંચ જ વરસ પછી ૧૮૭૫માં સંખ્યા વધીને ૭૦! ૧૯૧૫ સુધીમાં ૮૩ મિલ. મુંબઈની સ્થાનિક વસતી કોળી, ભંડારી, આગરી. હા, પારસીઓ અને બીજા ગુજરાતીઓ ખરા. પણ એ બધા પાંઢરપેશી. મિલમાં તો આઠ-દસ-બાર કલાકની મજૂરી. આવું કાઠું કદ હોય ખેડૂતોનું. એટલે મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથી મિલ મજૂરો આવવા લાગ્યા. મિલોના વિસ્તાર ‘ગિરણગાંવ’માં બંધાયેલી ચાલોમાં રહે (આ ગિરણગાંવ’ તે ગિરગાંવ નહિ). પણ જે આવે તે એકલા. બૈરાં-છોકરાંને પાછળ ‘દેશ’માં મૂકીને આવતા. ચાલની એક-દોઢ ઓરડીમાં એક ગામના કે એક જ્ઞાતના ચાર-પાંચ પુરુષો રહે. કાચી-પાકી રસોઈ કરતાં આવડતી હોય તો ય કરે ક્યારે? દસ-બાર કલાકની મજૂરી પછી? અને ગમે તેમ કરીને પેટનો ખાડો તો રોજેરોજ પૂરવો પડે ને?

એટલે ગિરણગાંવ વિસ્તારમાં શરૂ થઈ ‘ખાણાવળ’. હા, એમાં ય ન્યાત-જાતના ભેદ તો ખરા જ. અને જમવાનું મળે તે એકદમ ઘરઘુતી. જુવાર કે ઘઉંની ભાખરી, ઝણઝણીત, તીખું તમતમતું શાક, ભાત. લોણચં કહેતાં અથાણું, કાંદાનું કોશીમ્બીર કહેતાં કચુંબર. રવિવારે કે તહેવારને દિવસે ‘ફીસ્ટ’માં ગોળનો શીરો, પૂરી, ને ભજિયાં, કાંદાનાં. ભોંય પર પાથરેલા પાથરણા પર બેસવાનું. સામે પિત્તળના થાળી, વાટકા, ગિલાસ. આજની ભાષામાં અનલિમિટેડ ભાણું. હા, આખા મહિનાના પૈસા અગાઉથી આપવાના.

ઉદ્યોગો આવ્યા એને પગલે વેપાર-વણજ વધ્યા. પેઢીઓ, દુકાનો, ગોદામો વધતાં ગયાં. તેમાં કામ કરવા આવ્યા ગુજરાતનાં ગામડાંના અને શહેરના પુરુષો. કાલબાદેવી કે ગ્રાન્ટ રોડ પરની કોઈ ચાલ કે માળામાં રહે. એમના ખાવા માટે ઊભી થઈ ગુજરાતી વીશીઓ. ફરી ભગવદ્ ગોમંડળ કોશ જોઈએ. કહે છે : વીશી એટલે “માસિક અથવા છૂટક નાણું આપવાથી જ્યાં તૈયાર જમવાનું મળે તે ઠેકાણું; ભોજનગૃહ; પૈસા લઈ ને જમવાની સગવડતા આપતું ગૃહ.” અહીં ઘઉંના ફૂલકાનું અને બાજરીના રોટલાનું રાજ. ભાત સાથે દાળ કે કઢી પણ ખરી. શાકમાં રોજ થોડી વિવિધતા. અને હા, છાશનો ગ્લાસ તો ખરો જ. રવિવારે ફીસ્ટમાં લાડુ કે ખીર કે શીરો. બકાલાનાં ભજિયાં કે નાના, થોડા ગળ્યા ગુજરાતી બટાકા વડા. પણ અહીં પણ ‘ઘરના જેવી’ રસોઈનું મહત્ત્વ. સમય કેટલો બદલાતો જાય છે! આજે ઘરની રસોઈ ‘બહારના જેવી’ કે હોટેલના જેવી હોય એ આદર્શ થઈ ગયો છે.

કામધંધા કે નોકરી ખાતર એકલા રહેતા પુરુષોની બીજી જરૂરિયાત તે ચા અને પાનપટ્ટી, બીડી-તમાકુ. એટલે ગુજરાતનાં ઘણાં શહેરોમાં જેને ‘ચાની કીટલી’ કહે છે તેવી નાની નાની દુકાન મુંબઈમાં શરૂ થઈ. મોટે ભાગે રાજસ્થાનના ‘ભૈયા’ ચલાવે. કડક મીઠી ચા, જીભ ચોંટી જાય એટલી ગળી. થોડી થોડી વારે પ્રાઈમસ પર નવી તપેલી ચડે. દૂધ, પાણી, ચાની ભૂકી, ખાંડ, તાજું પીસેલું આદુ ઉમેરાય. ચા બરાબર ગરમ થઈ છે કે નહિ તે જોવા ‘ભટજી’ ડોયામાં થોડી ચા લઈ એક-બે ટીપાં હાથના કાંડા પર મૂકે. પછી હથેળીમાં ચાંગળું લઈને ચાખે. જરૂર લાગે તો ફરી ખાંડ ઉમેરે. પ્રાઈમસને પંપ મારે. એલ્યુમીનિયમની કીટલીમાં ભરી સામે ગોઠવેલાં પિત્તળનાં કપ-રકાબીમાં ઉપરથી રેડીને ફીણ બનાવે. અને મૂકે ઘરાકના હાથમાં.

હજી આજથી ૬૦-૭૦ વરસ પહેલાં મુંબઈ જેવા મુંબઈમાં પણ ‘કાફી’નું ચલણ ઝાઝું નહિ. એ તો ‘મદ્રાસીઓ’ પીએ એમ ગુજરાતીઓ માને. ઘણા ઘરમાં તો કોઈ સાજુંમાંદુ હોય તો તેને માટે કોફીનો પાઉડર આવે. આજના જેવી જાતજાતની અને મોંઘી દાટ બાટલીઓ તો ત્યારે હતી નહિ. પણ કોફીના ‘બુંદ’ તમારી નજર સામે પીસીને તેનો પાઉડર બનાવી આપનારી દુકાનો હતી. અને સાહેબ, શી એ તાજી દળેલી કોફીની સોડમ! તમે રસ્તાની બીજી બાજુ ચાલતાં હો તો ય તમારા નાક પર છવાઈ જાય! દૂધમાં કે દૂધ-પાણીમાં એ પાઉડર નાખીને ઉકાળવાનો. અને ગુજરાતીઓ ઢગલો ખાંડ ન નાખે એવું તો બને જ કેમ?

આજે તો સો-સવાસો રૂપિયાનું અને તેથી ય વધુ મોંઘુ પાન વેચનારી દુકાનો મુંબઈમાં ઠેર ઠેર. એ વખતે પાઈ-બે પાઈમાં પાન. સાવ બેઝિક : પાન પર કાથો, ચૂનો, કાતરેલી કે ટુકડા સોપારી, કાચી કે શેકેલી. માગો તો ઉમેરાય તમાકુ. બસ. પાનને ઝાઝા લાડ-કોડ નહિ. સાથે વેચાય દેશી બીડીની ઝૂડી. લાલ કે લીલા દોરાથી બાંધેલી. પછી આવી બ્રાન્ડેડ બીડી. પાતળા ગુલાબી કાગળ પર મોટા અક્ષરે નામ છાપ્યું હોય : શિવાજી બીડી, કે બીજું કોઈક. ‘ધોળી’ સિગરેટ તો ગોરા કે પારસી સાહેબ લોકો પીએ, મોંઘી દાટ! સિગરેટ કરતાં બીડીને સળગાવતાં વાર લાગે. એટલે દુકાનની બહાર સિંદરીનો ટુકડો બાંધ્યો હોય, એક છેડો સળગતો. એ છેડાને અડાડીને બીડી સળગાવવાની. આજે પણ ઝૂંપડપટ્ટીની કે તેની આસપાસની કોઈ દુકાનમાં આવી બળતી સિંદરી જોવા મળે ખરી. ભલે હવે બીડી કરતાં ‘ધોળી’નું ચલણ વધ્યું હોય.

અફીણીઓનો અડ્ડો પ્રખ્યાત ચિત્રકાર એમ.વી. ધુરંધરની પીંછીએ

આજે હવે જાહેરમાં તો જોવા ન મળે, પણ ઓગણીસમી સદીના મુંબઈમાં ઠેર ઠેર જોવા મળતી ‘ક્લબ.’ આ ક્લબ તે આજની માલેતુજારોની ક્લબ નહિ હો. આમ તો નાનકડો ઓરડો, બહુ બહુ તો બે. અને ત્યાં મળે ફક્ત એક જ ચીજ, અફીણ. ઘણાખરા આવનારા રોજિંદા ઘરાક. એક-બે આનામાં આખી રાત આ દુનિયાને ભૂલીને બીજી જ ભૂમિમાં ખોવાઈ જવાય. કોઈને હુક્કામાં ફાવે, કોઈને ચલમનો ધૂમાડો છાતીમાં ભરવાથી મોજ. કોઈ જીભ પર મૂકી ચગળ્યા કરે. જેને જે જોઈએ તે મળે અહીં. બારીઓ બધી જ બંધ. દરવાજો જાડા પડદાથી ઢાંકેલો. બહાર મોટી મૂછોવાળો ‘ભૈયો’ ચોકીદાર હાથમાં ડાંગ લઈને બેઠો હોય. અજાણ્યા-અનાગતને રોકીને પૂછપરછ કરે પછી જ જવા દે. અંદરનો કોઈ ઘરાક તોફાને ચડે કે પૈસા ચૂકવવામાં અડીબાજી કરે તો બાવડેથી પકડી કે ઘસડી બહારની ફૂટ પાઠ પર ફેંકી દે તેને. સાથે બંને પક્ષે ગાળોનો વરસાદ.

આજે તો હવે સાપ ગયા ને લીસોટા રહ્યા છે. પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાનાં મુંબઈમાં હતી ઈરાની કેફે કહેતાં હોટેલની. પણ એ અંગેની વાત હવે પછી. ત્યાં સુધી શંકરવિલાસ હોટેલમાં જઈ અડધી-અડધી કડક મીઠી પી નાખીએ.

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx 
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”, 27 ઓગસ્ટ 2022 

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (ઉપકારક માહિતી) 

સુમન શાહ|Opinion - Literature|27 August 2022

આ નવલકથા સાત પેઢીની મહા સાહસકથા છે. દરેક પેઢીનાં પાત્રોનાં પારસ્પરિક સમ્બન્ધો અને વ્યક્તિત્વલક્ષણો પ્રકરણોમાં નિર્દેશ પામ્યાં જ છે. છતાં, નીચે મેં એ સમ્બન્ધો અને લક્ષણોને જરા વધારે સ્પષ્ટ કરતી માહિતી આપી છે. એથી કથાને સમજવામાં ઉપકાર થશે.

અહીં દરેક પેઢી ભૂલોનું પુનરાવર્તન કરે છે. વળી, અગાઉની પેઢીની સફળતાઓને માણે પણ છે. બ્વેન્દ્યા પરિવારનાં સભ્યો માર્ક્વેઝનાં પ્રોટેગનિસ્ટ્સ છે. માર્ક્વેઝ સૂચવે છે કે ઇતિહાસ પુનરાવર્તનશીલ છે. પાત્રોનાં નામો સરખાંસરખાં રાખીને એમણે પુનરાવર્તનને આકાર આપ્યો છે. બ્વેન્દ્યા વંશની દરેક પેઢીના પુરુષો હોસે આર્કાદિયો કે ઔરેલિયાનો છે, સ્ત્રીઓ ઉર્સુલા, અમરન્તા, અને રેમેડિયોસ છે. નવલકથાની સંરચના પણ ચક્રાકાર રાખી છે. એમાં સરખા સરખા સંજોગોમાં સંભવેલી ઘટનાઓ પણ પુનરાવર્તન પામ્યા કરે છે.

હોસે આર્કાદિયો નામનાં અહીં પાંચ પાત્રો છે. ઉર્સુલા એ દરેક માટે કહે છે કે એ ‘આવેગશીલ અને સાહસિક’ છે. કોઇકે ગણી કાઢ્યું છે કે નવલકથા સમગ્રમાં ઔરેલિયાનો નામનાં બાવીસેક પાત્રો છે. ઔરેલિયાનો આર્કાદિયોથી અવળી વ્યક્તિતા ધરાવતા હોય છે, તેઓ ‘અતડા છે પણ સાલસ અને સરળ’ છે.

આવાં વિરુદ્ધ લક્ષણવન્તાઓએ મુશ્કેલીઓ સરજી છે. એમના તાપ-પ્રતાપે માકોન્ડો દૂષિત અને ભયગ્રસ્ત રહ્યું છે. તેઓએ પોતાની જિન્દગીઓમાં વિનાશ નૉતર્યો છે, એમાં માકોન્ડોની વસતી જાણ્યેઅજાણ્યે સંડોવાઈ ગઈ છે.

એટલે, બે સરખાં પાત્રનામ વચ્ચેનો ફર્ક સમજવામાં અને કોઈને સમજાવવામાં તકલીફ થાય છે.

વિદ્વાનોની ભલામણ છે કે વાચકે એ તકલીફ વેઠી લેવી, કેમ કે, છેવટે તો માર્ક્વેઝ એ જ દર્શાવી રહ્યા છે કે માનવસ્વભાવ કદી બદલાતો નથી, અને તેથી બ્વેન્દ્યાઓ પણ પુનરાવર્તનના ચક્રમાં ફસાયેલા છે. કથાપ્રવાહને આત્મસાત કરવા માટે પાત્રોનાં પૂરાં આખ્ખાં નામોને જ અનુસરવું હિતાવહ પુરવાર થશે. જો કે એથી ક્યારેક બે નામ વચ્ચેનો ફર્ક પણ નહીં પકડી શકાય -જેમ કે, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને એનો દીકરો તે હોસે આર્કાદિયો … જો કે, પછીનાં પ્રકરણોમાં એમ આવશે કે એ ઔરેલિયાનો સેગુન્દોનો દીકરો પણ હોસે આર્કાદિયો છે, એને હોસે આર્કાદિયો – બીજો કહેવો જોઇશે, ભલે માર્કવેઝે એમ નથી કહ્યું.

સાત પેઢીઓની આ મહા સાહસગાથામાં પુનરાવર્તન ઉપરાન્તનું ઊડીને આંખે વળગે એવું લક્ષણ incest છે – ગોત્રગમન – નજીકનાં સગાં વચ્ચે સમ્ભોગ, નિષિદ્ધ સમ્ભોગ. લગભગ દરેકનું એથી જુદું જાણવું અસંભવ છે. કથાચક્રમાં એના નિર્દેશો પણ અવારનવાર થતા રહ્યા છે. બ્વેન્દ્યા પરિવારના એ રસાયણના મૂળમાં ભૂતકાલીન નિષિદ્ધ સમ્ભોગો જ છે. એટલે લગી કથકે જણાવ્યું છે કે ‘ઉર્સુલાની એક માસી હોસે આર્કાદિયોના કાકા સાથે જોડાયેલી, પરણેલી, ને છોકરો જન્મેલો … બૂચના આકારની કુમળાં હાડકાંની પૂંછડી સાથે છોકરો મોટો થયો, પૂંછડીને છેડે ગુચ્છાદાર નાની ચોટલી હતી.’

ઉર્સુલા અને હોસે આર્કાદિયો એમના મૂળ વતનથી દેશનિકાલ કરાયેલાં છે.

પહેલી પેઢી એ બન્નેથી છે – ઉર્સુલા ઇગોરાન અને હોસે આર્કાદિયો બ્વેન્દ્યા :

હોસે આર્કાદિયો બ્વેન્દ્યા :

આપણે જોયું કે એ માકોન્ડોનો સ્થાપક છે, બ્વેન્દ્યા પરિવારનો પહેલો કુળપૂર્વજ છે. એનામાં સરસ નેતૃત્વશક્તિ છે, સાથોસાથ, પૂરા કાળની સહજતા, નિર્દોષતા પણ છે. પહેલાં કંઈ ન્હૉતું ત્યાં એણે માકોન્ડો વસાવ્યું – જંગલમાં મંગલ; અને પછી માકોન્ડોને તેમ જ પરિવારને બહારના સભ્ય સમાજ સાથે જોડ્યું; નવા જમાનાની દિશામાં સંકોર્યું, દોર્યું.

એની એ નિસબત અને તે પાછળની શોધબુદ્ધિ આપણને સ્પર્શે છે. જેમ કે, જિપ્સીઓ લાવેલા એ ઊડતી કારપેટને (ઉડન ખટોલા?) રીયલમાં જોવા એણે પોતાની લૅબમાં પુરાઇને રીતસરની તપશ્ચર્યા કરી છે. પ્રાચીન જાદુઓને એટલે કે ચમત્કારોને એણે વૈજ્ઞાનિક વિચારોમાં અથવા વિભાવનાઓમાં બદલવાના ભરપૂર પ્રયાસ કર્યા છે. એ સદા જ્ઞાન-વિજ્ઞાન માટે મથ્યા કરે છે. એની એ ઝંખના એના વારસોમાં પણ ઊતરી છે.

પણ અવળું એ બને છે કે પરિવારની કુદરતી નિર્દોષતાનો નાશ થાય છે. ક્રમે ક્રમે હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો સમગ્ર જ્ઞાનપુરુષાર્થ એને પણ થકવે છે, એ નિર્ભ્રાન્ત થતો થતો પાગલ થઈ જાય છે. જ્ઞાનઝંખના અને પ્રગતિલાલસાનું એક પરિણામ, બુદ્ધિનાશ – મનુષ્યજીવનની અર્થહીનતાનો, ઍબ્સર્ડિટીનો, કરુણ પુરાવો.

એને એવું થયેલું કે પોતે ‘શાશ્વત ગતિ’ – ‘પર્પેચ્યુઅલ મોશન’ – સરજી શકાય એવું સાધન શોધી શક્યો છે. એક એવી યુક્તિ કે જે વડે વસ્તુને એક વાર ગતિશીલ કરી દો પછી સદા કાળ ગતિમાં જ રહે. આપણને યાદ છે કે એણે સરજેલી બૅલેરિના ત્રણ દિવસ લગી નાચ્યા કરેલી. આમ તો, એવી ગતિ શક્ય નથી, એ સંભવે માત્ર સમય વિનાના વિશ્વમાં.

એની એ ધૂને એને ગાંડો બનાવી દીધો. હોસેનું જીવન નિ:સમયને શરણે વીતવા લાગ્યું. આપણે જોયું છે કે મંગળવાર થયેલો સોમવાર એના ચિત્તમાં સોમવારનો સોમવાર જ રહેલો. નવલકથામાં પણ ભૂત વર્તમાન ભવિષ્ય – ત્રણેય કાળનું વારંવાર અધિવ્યાપન – ઓવરલૅપિન્ગ – થયા કરે છે. નિ:સમયમાં જીવતો હોસે વારસદારોને ભૂત ભાસે છે પણ તેથી જ એની ઉપસ્થતિ માકોન્ડોમાં સૌને નિરન્તર અનુભવાય છે.

બ્વેન્દ્યા પરિવાર

Pic Courtesy : Family Tree

ઉર્સુલા ઇગોરાન :

ઉર્સુલા સૌથી વધુ જીવી છે, સૉ વરસથી પણ વધારે. અણજાણ રેબેકાને એણે અપનાવી અને દીકરીની જેમ ઉછેરી. એના ટેબલ પર અનેક મહેમાનો, વટેમાર્ગુઓ પણ, જમી ગયા છે. એને કશા સ્પિરિચ્યુઅલ ધખારા નથી. એ વ્યવહારુ સ્ત્રી છે, વાસ્તવનું માણસ. બન્યું એમ કે એના તમામ વારસો કાં તો લફરાંમાં કાં તો યુદ્ધ સંડોવાયાં. એથી તો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ જાય. પણ ઉર્સુલાનો જીવનપુરુષાર્થ એ હતો કે બ્વેન્દ્યા પરિવાર કદી તૂટી ન જવું જોઈએ. ઉર્સુલા સૌનો કાયમી ટેકો બની રહી ને સૌ ભલે સારાનરસા કારણોથી પણ જોડાયેલાં રહ્યાં.

જો કે અમુક પરિણામ માટે એ કડવી પણ બનેલી, જેમ કે, હોસે આર્કાદિયો અને રેબેકાને એણે ઘર બહાર કાઢી મૂકેલાં. મૂળે તો એ કારણે કે નજીકનાં સગાં વચ્ચેનો જાતીય સમ્બન્ધ, એનું પોતાનું પોતાના જ કઝિન સાથેનું એ જ રીતનું હતું. એ એને પહેલેથી સાલતું’તું, સતાવતું’તું. એ અપ્રતિમ ગિલ્ટને એ જીવતી રહી. એને ડર રહ્યા કર્યો છે કે ડુક્કરની પૂંછડીવાળું બાળક અવતરશે તો … નિષિદ્ધ સમ્બન્ધોના રસાયણે રસાયેલા પરિવારનો વિનાશ થાય એ એનો ભય સાચો પડે છે.

બીજી પેઢી : અમરન્તા, હોસે આર્કાદિયો, કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા, રેમેડિયોસ મોસ્કોતે, અને રેબેકા.

અમરન્તા :

અમરન્તા હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનની દીકરી છે. એ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા અને હોસે આર્કાદિયોની બહેન થાય છે.

આપણે જોયું કે એને રેબેકા માટે ઘણી ઈર્ષા છે, ઘૃણા છે. એને એમ થઈ ગયેલું કે એના પિએત્રો ક્રેસ્પોને રેબેકાએ ઝૂંટવી લીધો. મૂળમાં તો અમરન્તા, ઔરેલિયાનો હોસેની ઇન્સેન્શયસ પૅશનનો ભોગ બની છે, એ ઘટનાનો ટ્રૉમા એના જીવનમાંથી નષ્ટ નથી થયો. તેથી એ પુરુષમાત્રથી ડરે છે, એટલે લગી કે પિએત્રો જ્યારે એના પ્રેમમાં પડ્યો, એણે એને ફગાવી દીધો. પિએત્રોએ આપઘાત કર્યો. પસ્તાવા રૂપે અમરન્તાએ હાથ બાળ્યો ને જીવનભર એ પર કાળું કપડું બાંધી રાખ્યું. આપણે જોઈશું કે વૃદ્ધ થઈ ત્યારે એને એનો ખરો પ્રેમી મળી તો ગયો, કર્નલ જેરિનેલ્ડો માર્ક્વેઝ, પણ એને ય એણે તિરસ્કાર્યો અને કાયમ માટે ફગાવી દીધો – ત્યારે પણ કારણમાં હતો પેલો ટ્રૉમા અને તેથી જન્મેલો ડર.

અમરન્તાને સરખું જીવવા ન મળ્યું એની વેદનાથી એ સદા રોષિત અને કટુ રહી છે. કરુણતા એ છે કે એ એકાકી કુંવારકા રૂપે – લોન્લિ વર્જિન રૂપે – મરી છે.

હોસે આર્કાદિયો :

હોસે આર્કાદિયો, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનનો પહેલો પુત્ર છે. એને શક્તિ સામર્થ્ય વારસામાં મળ્યાં છે. એ પણ આવેગભર્યું જીવતો હોય છે. એક જિપ્સી છોકરી પાછળ એ ભાગી ગયેલો. પાછો ફરે છે ત્યારે જંગલી અને પશુ ભાસે છે. બ્વેન્દ્યાઓએ અપનાવેલી અનાથ રેબેકાને પરણે છે. પણ પિલાર તરનેરા સાથે સમ્ભોગથી જોડાય છે. તરનેરાથી જનમેલા આર્કાદિયોનો એ બાપ બને છે. કર્નલ ઔરેલિયાનો બ્વેનદ્યા અને અમરન્તાનો એ ભાઈ થાય છે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા :

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા, હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અને ઉર્સુલા ઇગોરાનનો બીજો પુત્ર છે. રેમેડિયોસનો વિધુર છે. આમ તો એને કશું સ્પર્શી શકે એવો એનો સ્વભાવ નથી. પણ બાલિકા વધૂ રેમેડિયોસથી એ પહેલી વાર લાલાયિત થયેલો. રેમેડિયોસના મરણ પર એને સમજાય છે કે પોતે થવો જોઈએ એટલો આર્દ્ર નથી થઈ શકતો. જો કે જુદી જુદી ૧૭ સ્ત્રીઓથી જન્મેલા ૧૭ દીકરાઓનો એ બાપ પણ છે. એ ૧૭નું દરેકનું નામ પણ ઔરેલિયાનો રાખવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે એ એક અચ્છો સિલ્વરસ્મિથ તો છે જ પણ કવિ છે, કાવ્યો કરે છે. એની અનેકવિધ કલ્પકતાને પ્રતાપે સૅંકડો સુવર્ણ માછલીઓના સર્જનનું એ આયોજન કરી શક્યો છે.

આપણે જોયું છે કે એ કેવો તો મહાબાહુ છે. કૉન્ઝર્વેટિવ ગવર્ન્મૅન્ટના ભ્રષ્ટાચાર સામે એ ક્રોધે ભરાયો, લિબરલ્સ સાથે જોડાઈને સિવિલ વૉરનો સેનાની બન્યો, વિદ્રોહ કર્યો, અને તે દિવસથી એ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા કહેવાય છે. બને છે એવું કે વરસો લગી લડાઈ, લડાઈ ને લડાઈને કારણે એ વધુ સખત થતો ગયો, એની સ્મૃતિ નષ્ટ થવા લાગી. સુલેહપત્ર પર સહી કરી આપે છે ને પોતાની વર્કશોપમાં પાછો ફરે છે. છેવટે એનું રહ્યુંસહ્યું ભાવજગત પણ ભુંસાવા માંડ્યું. એણે કાવ્યો બાળી દીધાં. વીસેક સુવર્ણ માછલીઓ બનાવી પણ છેલ્લે એને ય ઑગાળી નાખી. એ પણ એકાકી જીવનને પામ્યો.

એની સમજ બની કે સમય ચક્રાકારે ફરતો રહે છે, અને એના જેવા માણસ માટે વર્તમાન સિવાયનું કશું છે જ નહીં. એને સમજાય છે કે સિવિલ વૉર કે કોઈપણ લડાઈ મિથ્યા છે, બન્ને પક્ષ લડતા રહે એ જ ફલશ્રુતિ છે. એણે આપઘાતનો પ્રયાસ કર્યો એની પાર્શ્વભૂમાં એની આ નિર્ભ્રાન્તિ છે, નૈરાશ્ય છે.

રેમેડિયોસ મોસ્કોતે :

રેમેડિયોસ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની બાલિકા વધૂ છે. સંભવત: કસુવાવડમાં એનું મૃત્યુ થયું છે.

રેબેકા :

રેબેકા અનાથ હતી. એનાં મૂળ વિશે કોઈને કશી જ જાણ નથી. એક દિવસ એ બ્વેન્દ્યાઓને ત્યાં આવી ચડે છે. બ્વેન્દ્યાઓ એને અપનાવી લે છે, પરિવારજન ગણે છે. એને માટી અને ભીંતના પોપડા ઉખેડીને ખાવાની ટેવ હતી. એને અનિદ્રાનો રોગ હતો. એના અનિદ્રારોગનો ગામ આખાને ચેપ લાગે છે. એ કારણે લોકોની સ્મૃતિ પણ ચાલી જાય છે. એના પતિ હોસે આર્કાદિયોના અવસાન પછી એને એમ લાગે છે કે – મારું કોઈ નથી – ન પરિવાર – ન ગામ. રેબેકા એકાન્વાસી થઈ જાય છે, એના ખંડેર થઈ ગયેલા ઘરની બહાર કદીપણ જોવા નથી મળી. 

++

આ બે પછીની પાંચ પેઢીઓની વાત હવે પછી, જરૂરતે જરૂરતે, ક્રમે ક્રમે.

(August 27, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2751,2761,2771,278...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved