Opinion Magazine
Number of visits: 9568836
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાવિ, ઉમેદવારોનું સીલ થાય છે કે જનતાનું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 December 2022

કાલે ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણી પૂરી થઈ અને 89 સીટ માટે 19 જિલ્લામાં ઉમેદવારી કરનાર 788 ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ થઈ ગયું. બીજા તબક્કાની 92 સીટ માટેનો પ્રચાર તેનાં અંતિમ તબક્કામાં છે. આ 92 સીટ પરનાં ઉમેદવારોનું ભાવિ 5મી ડિસેમ્બરે કેદ થઈ જશે. પહેલાં તબક્કાની જ વાત કરીએ તો મતદારોએ છેવટ સુધી મન કળાવા દીધું નથી ને ઉત્સાહ એવો દાખવ્યો છે કે બધાં, બધાંને જ મત આપવાના હોય ! નોટબંધી વખતે ન લાગી હોય એવી લાઈનો મત આપવા લાગી હોય એમ બન્યું છે, તો જામજોધપુરના ધ્રાફા ગામમાં 2 વાગ્યા સુધી એક પણ મત ન પડ્યો હોય એમ પણ બન્યું છે. મહિલાઓ માટે ગામમાં અલગ બૂથની વ્યવસ્થા આ વખતે કરવામાં ન આવી એટલે નારાજ ગ્રામજનોએ ચૂંટણીનો જ બહિષ્કાર કર્યો. સમજાવટના બધા પ્રયત્નો છતાં ત્યાં મતદાન ન જ નોંધાયું. એવું જ ઝઘડિયા સીટના કેસર ગામમાં પણ બન્યું. ત્યાં પણ ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા ન હોવાને લીધે મતદાનનો બહિષ્કાર કર્યો. વાંસદા સીટના વાટી ગામમાં પણ અંબિકા નદી પર પુલ ન બનતાં મતદારો, મતદાનથી દૂર રહ્યા, પરિણામે 700માંથી એક પણ મત ઇ.વી.એમ.માં ન નોંધાયો. એક તરફ આ સ્થિતિ છે તો બીજી તરફ એક ઘરડી સ્ત્રીને પગમાં તકલીફ હતી છતાં પોલીસ અને અન્યોની મદદથી વાંકી વળી, પગથિયાં ચડીને તે મત આપવા પહોંચી. એ ઉપરાંત એવા ઉત્સાહી મતદાતાઓ પણ હતા, જેમણે સવારે મતદાન મથકનાં દરવાજા ખૂલ્યાં કે મત આપવા ધસારો કર્યો, તો સુરતના મજૂરાના જૈનો પૂજાનાં પરંપરાગત વસ્ત્રોમાં જ ઢોલનગારાં સાથે સમૂહમાં મત આપવા નીકળ્યા. સુરતમાં જ સગાં ભાઈબહેને પ્રથમ વખત મતદાનનો અધિકાર ભોગવવા ઘોડા પર સવાર થઈને નીકળવાનું સ્વીકાર્યું. આ બધું છતાં, 3 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી હતી. સૌથી ઓછું મતદાન 42.26 ટકા જામનગર અને સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 64.27 ટકા હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ મતદાન 42 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 56 ટકા નોંધાયું. આમ સૌરાષ્ટ્ર-કચ્છ કરતાં દક્ષિણ ગુજરાતનું મતદાન 14 ટકા વધારે હતું. ટૂંકમાં, ત્રણ વાગ્યે પહેલા તબક્કાનું સરેરાશ મતદાન 48.48 ટકા હતું.

આ વખતે આદિવાસી વિસ્તારોમાં સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ હતો ને મતદાનની ટકાવારી પણ એથી વધારે હતી. આદિવાસીઓ એવું માને છે કે કાઁગ્રેસે તો એના વખતમાં મત લેવા પૂરતો જ રસ દાખવ્યો હતો એ જ સ્થિતિ ભા.જ.પ.ની પણ તેનાં 27 વર્ષનાં શાસન દરમિયાન રહી. એટલે કે આ બંને રાજકીય પક્ષોએ આદિવાસીઓનો ઉપયોગ જ કર્યો. આ સ્થિતિ જાણીને આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ પૂરી શક્તિથી એ વિસ્તારોમાં કામ કર્યું. આપના કેજરીવાલે અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને છેલ્લી રાત સુધી પ્રચારમાં કસર ન રાખી, તો ભા.જ.પ.ના નેતાઓએ પણ કોઈ કસર ન જ છોડી. વડા પ્રધાન અને ગૃહ મંત્રી અમિત શાહે પણ અનેક સભાઓ અને રોડ શો કરીને જનતાનું ધ્યાન ખેંચ્યું જ ! 25,000 કરોડનું કૃષિ સિંચાઇ નેટવર્ક, સરકારી કોલેજો શરૂ કરવાની વાતો, 20 લાખ યુવાનોને રોજગારી, યુનિફોર્મ સિવિલ કોડ, 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર જેવા ઘણા વાયદા ભા.જ.પે. ગુજરાતને આપ્યા છે. હા, કાઁગ્રેસે બહુ ઊહાપોહ નથી કર્યો, પણ પ્રજા લાલચુ છે એમ માનીને તેણે પણ મફત મફતનાં મણકાઓ તો ફેરવ્યા જ છે. જૂની પેન્શન યોજના લાગુ કરવી, 300 યુનિટ મફત વીજળી, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સુધીની મફત સારવાર, દેવાં માફી, કાયમી નોકરી જેવી લાલચો કાઁગ્રેસે પણ આપી જ છે. તો, આમ આદમી પાર્ટી પણ બાકી શું કામ રહે? તેણે પણ મફત વીજળી, મહિલાઓને મહિને હજાર રૂપિયાની સહાય, શિક્ષકો, માછીમારો ને અન્યોને માંગે ઈ ગેરંટી જેવી વાતો કરી છે. વાયદા કરનાર અને સાંભળનાર બંને જાણે છે કે યે તો સબ ફુસલાનેકી બાતેં હૈં. એટલે મતદારોએ લાલચને વશ થઈને મત આપ્યા હશે તો કોઈ પણ પક્ષ સત્તા પર આવે, તેણે તો હાથ જ માથે દેવાનો થશે. જોઈએ બેની લડાઈમાં ત્રીજો કોણ છે ને ફાવે છે?

પહેલાં તબક્કામાં 2.39 કરોડ મતદાતાઓએ તેમની પસંદગી કાલે જણાવી દીધી છે, પણ 5મીએ બીજો તબક્કો બાકી છે, એ પૂરો થશે, એટલે કુલ 4.91 કરોડ મતદાતાઓની પસંદગી સ્પષ્ટ થશે ને એનો નિર્ણય 8મીએ આવશે. એ નક્કી કરશે કે ગાંધીનગરની લોટરી કોને લાગી છે? એના પરથી કોણ કોની સેવા કરશે તે તો ઠીક, પણ કોણ કેટલું કમાવાનું છે તેનો અંદાજ આવશે. કોઈ પણ આવે, કમાયા વગર નહીં નીકળે એટલું નક્કી છે. પહેલાના મંત્રીઓ દેવાદાર પણ નીકળતા, હવે જનતાને દેવું કરાવીને નીકળે છે. આડે દિવસે ફરિયાદ કરનારા, મત ન માંગવા આવવાનું કહીને બહિષ્કાર કરનારા મતદાતાઓએ, મતદાનને દિવસે બહુ ફરિયાદો કરી હોય એવું જાણવા મળ્યું નથી. મીડિયા એન્કરોએ વળી વળીને પૂછ્યું કે શાસકો સામે કશું કહેવાનું છે? તો, કોઈએ મગનું નામ મરી પાડ્યું નથી. મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે પણ કેમેરા સામે જનતાએ ખાસ પ્રતિક્રિયાઓ આપી નથી, તો કેટલાક ગેસના બાટલા લઈને પણ મતદાન કરવા નીકળ્યા છે. મોરબીની પુલ તૂટવાની ઘટના બની જ ન હોય તેમ ન તો ઉમેદવારોએ કે ન તો પક્ષોએ કે ન તો ત્યાંની પ્રજાએ કોઈ અફસોસ વ્યક્ત કર્યાનું જાણવા મળ્યું છે. 30મી નવેમ્બરે મહિનો થતાં, મૃતકોના પરિવારોએ મૌન રેલી કાઢી એ ખરું, તો 3 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન પણ ત્યાં જ નોંધાયું છે. કેટલાક લોકોએ ઉમેદવારને સમર્થન આપવા કેટલીક રકમ કે વસ્તુઓની માંગણી કરી હોવાની વાત પણ છે જ !

છેલ્લી માહિતી મુજબ પહેલા તબક્કામાં અંદાજે 57.75 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 54. 53 ટકા મતદાન થયાની વાત છે, એમાં ગીર-સોમનાથમાં સૌથી વધુ 60.46 ટકા અને ભાવનગરમાં સૌથી ઓછું 51.54 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં દસેક ટકા વધુ, એટલે કે 64.40 ટકા વધુ મતદાન થયું છે. ત્રણ વાગે આ માર્જિન 14 ટકા હતો તે ત્રણ વાગ્યા પછી સૌરાષ્ટ્ર-કચ્છની ટકાવારી વધતાં ચારેક ટકા ઘટ્યો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા નોંધાયું છે.

આ આંકડાઓ પરથી કેટલીક વાતો તારવી શકાય એમ છે. પહેલી વાત તો એ કે લગભગ 40 ટકા લોકોને મતમાં ને એટલે લોકશાહીમાં ભરોસો રહ્યો નથી. બીજા તબક્કામાં, પહેલાં તબક્કાનો પડઘો પડે તો ટકાવારી ઑર ઘટે એમ બને. બીજું એ કે કામ ન થાય તો પણ મતદાતાઓ મત આપે જ, એ સ્થિતિ હવે બદલાઈ છે. અહીં ઉદાહરણો આપ્યાં તે ત્રણ મતદાન મથકોમાં એક પણ મત નથી પડ્યો તે એ વાત રોકડી કરે છે કે કામ નહીં થાય તો મત નહીં મળે. ત્રીજી વાત, મતદારોનું મન કળી શકતું નથી. જે પ્રકારનો સઘન પ્રચાર બધા પક્ષોએ અને તેનાં નેતાઓએ કર્યો, એના પ્રમાણમાં મતદાનની ટકાવારી ઓછી છે. ચૂંટણી પંચના પ્રયત્નો છતાં મતદાન ઓછું થયું એમાં એક કારણ લગનસરા પણ ખરા. લગ્ન પહેલાં મત આપવાની કાળજી લેનાર હતા એમ જ લગ્ન વખતે મતદાનને સ્થળે હાજર ન રહી શકવાને કારણે પણ મતદાન પરત્વે ઉદાસી દાખવાઈ હોય એમ બને. આ ઉપરાંત શિક્ષણની ટકાવારી વધવાની સાથે ને મતદાર વધુ સભાન થયો હોવાને લીધે મતદાનના ટકા વધવા જોઈએ, પણ એવું થયું નથી, તે આ સિસ્ટમમાંથી શિક્ષિતોનો ઘટી રહેલો વિશ્વાસ સૂચવે છે. એ સાચું કે લોકોની આવક વધી છે, એટલે તેની ખર્ચની ક્ષમતા વધે, પણ જે રીતની મોંઘવારી વધી છે એનાં પ્રમાણમાં આવક વધી નથી. એટલે મોંઘવારીથી ત્રાસેલ લોકોએ પણ મત આપવાનું ટાળ્યું હોય એમ બને. આ ઉપરાંત નોટાનું પ્રમાણ વધ્યું હોવાની પણ શંકા છે. બીજી બધી બાબતે ઓનલાઈન કે ડિજિટલ સિસ્ટિમને આગળ કરાતી હોય તો મતદાનની ફૂલપ્રૂફ ડિજિટલ વ્યવસ્થા અંગે વિચાર થાય તો પણ મતદાનની ટકાવારી વધી શકે. ઓનલાઈન એજ્યુકેશન, બેન્કિંગ જો શક્ય હોય તો ઓનલાઈન વોટિંગ પણ અશક્ય નથી. એમ થશે તો મતદાન મથકે ન પહોંચી શકતા મતદાતાઓના મત પણ રેકોર્ડ થઈ શકશે. જો કે, આ ઓછી ટકાવારી સત્તા પરિવર્તન સૂચવતી નથી. અગાઉની ચૂંટણીની ઓછી ટકાવારી એ વાતની સાક્ષી પૂરે છે, પણ ટકાવારી સાવ જ ઓછી છે એવું પણ નથી. એમાં આદિવાસી વિસ્તારોમાં વધેલું વોટિંગ કાઁગ્રેસ કે ભા.જ.પ. તરફી સત્તાનો સંકેત આપતું નથી. અગાઉ આપેલો સંદર્ભ એવો છે કે આદિવાસીઓને એમ લાગ્યું છે કે ભા.જ.પ. અને કાઁગ્રેસે તેમનો ઉપયોગ જ કર્યો છે. એ સાચું હોય તો આ સીટ પર આપને લાભ થઈ શકે. આ ઉપરાંત છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામો એમ સૂચવે છે કે ભા.જ.પ.ની સીટો ઉત્તરોત્તર ઘટતી આવી છે. એમાં ગુજરાતમાં આપનો ઉમેરો ભા.જ.પ.ને અસર કર્યા વગર ન રહે એમ બને. કમ સે કમ ગુજરાતમાં છ સીટ પણ આપને મળે તો તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત થાય ને જે રીતનો તેણે પગ પેસારો ગુજરાતમાં કર્યો છે તે તેને નિષ્ફળ જવા દે એમ લાગતું નથી. બને કે કાઁગ્રેસને મળનારી બેઠકો આપને મળે ને ભા.જ.પ.ને બહુ ફેર ન પડે, પણ સારું કે ખરાબ, જે હોય તે, પણ આપ આ વખતે ગુજરાતની વિધાનસભાથી દૂર રહે એમ લાગતું નથી. જોઈએ, આઠમી તારીખ કોને લાવે છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ડિસેમ્બર 2022

Loading

મારા છૂટા છેડા

હરિકૃષ્ણ પટેલ|Opinion - Opinion|1 December 2022

કેમ ચોંકી ગયા ને ?

છૂટાછેડામાં સાધારણ રીતે ત્રણ વ્યક્તિઓ હોય છે.

મારી બાબતમાં ત્રીજી વ્યક્તિ ‘સગવડતા બહેન’ હતી.

જો ઘડપણમાં છૂટાછેડા લેવાનો વખત આવે, ત્યારે માણસના મગજમાં માનસિક તણાવ એટલો બધો આવી જાય છે કે ના પૂછો વાત. મારા જીવનમાં પણ આવું જ બન્યું છે, પણ હવે અમે (છૂટા છેડામાં બે વ્યક્તિ હોય છે) બન્નેવ હવે ગોઠવાઇ ગયાં છીએ – એ એના ઘરે અને હું મારા નવા ઘરે.

હવે તો આપ સૌ સમજી તો ગયા હશો કે હું શું કહેવા માંગું છું !

આપણે સામાન્ય પ્રમાણે જ્યારે છૂટાછેડાની વાત કરીએ ત્યારે પતિપત્નીના છૂટાછેડાની વાત હોય છે, પણ આ મારી વાત એકદમ અલગ જ છે. મારી વાત બે ઘરોની છે, આથી આની સરખામણી હું આપું છું.

વરસોથી પતિપત્ની એકબીજાં સાથે રહેતાં હોય, એમ આપણે એેક ઘરમાં વરસોથી રહ્યાં હોઇએ અને પછી આપણને એ ઘર છોડીને બીજે નવા ઘરમાં રહેવા જવાનું થાય, એ ઘડપણમાં ઘણું અઘરું છે.

જુવાનીમાં તે સહેલું છે, એટલા માટે કે બન્નેવ પાત્રો ટૂંક સમય પહેલાં જ જોડાયેલ છે, એટલે સ્વભાવિક પ્રમાણે અલગ થતાં દુ:ખ ઓછું જ હોય.

ઘરનો માલિક બદલાય, તે ઘરનો મામલો પણ માલિકનું ઘર બદલાય એ માલિકનો મામલો ગણાય.

મારી બાબતમાં હું માલિક અને મારું ઘર બદલાયું છે.

આ મામલાને મેં છૂટા છેડા સાથે સરખામણી કરી છે.

સ્વભાવિક પણે વરસોથી તમે જે જોડીદાર સાથે રહ્યા હો તો તમે તેની સાથે સંપૂર્ણપણે ગોઠવ્યા હોય અને જે દિવસે તમારો જોડીદાર તમારાથી છૂટો પડી જાય અને કોઇ બીજો અજાણ્યો જોડીદાર તમારા જીવનમાં આવી જાય તો તેની સાથે ગોઠવાતા જરૂર થોડી મુસીબત તો પડે. એવી જ મુસીબત મારી પાછલી જિંદગીમાં આવી પડી હતી, હવે બીજી બાજુ એ છે કે માણસ માત્ર એવો છે કે ઘડપણમાં પણ તેને જો કોઇ સુંદર અને પ્રિય પાત્ર મલે તો તેને લલચાય જતાં વાર નથી લાગતી. મને પણ એક સુંદર ‘સગવડતા બહેન’ મળી ગઇ અને હું લલચાઇ ગયો.

મારી બેગમને પણ આ ‘સગવડતા બહેન’ ખૂબ પસંદ પડ્યાં એટલે અમે બન્નેવે અમારા જૂના જોડીદારને તલ્લાક આપી, નવું જીવન શરૂ કર્યું છે.

આ બધુ મારું પાગલપણ છે; દુનિયા જે સમજે તે પણ મારી આ ટૂંકી વાર્તા પૂરી કરતાં પહેલાં હું ‘સગવડતા બહેન’ની બાબત સમજાવું.

મારા જૂના ઘરમાં બગીચો મોટો હતો, જે અમારાથી સચવાય એમ ન હતો. ઉપરાંત દરોજની જરૂરિયાત વસ્તુઓ લેવા જવા દુકાનો પણ દૂર.

નવી જગ્યાએ બગીચો નથી, અને અમારે આઠમે માળેથી લિફ્ટથી નીચે ઊતરીએ તો સામે જ બધી દુકાનો. આને લઇને મેં ‘સગવડતા બહેન’ નામ આપ્યું છે. અમારી ગેલરીમાંથી અડધું લંડન શહેર દેખાય છે.

ઘડપણમાં આવી લીલાલહેર કરાવનાર અમારો દીકરો છે.

e.mail : harikrishna38@gmail.com

Loading

ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન … … એન્ડ બેબી તબસ્સુમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 December 2022

મલ્લિકા-એ-ગઝલ (ગઝલની રાણી) તરીકે મશહૂર અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તરે 20મી સદીના ઉર્દૂ ગઝલકાર જીગર મોરાદાબાદીની ઘણી ગઝલને સ્વરબદ્ધ કરી હતી. તેમની એક ગઝલ બેગમના અવાજમાં રેડિયો પર બહુ લોકપ્રિય થઇ હતી;

કોઈ યે કહ દે ગુલશન ગુલશન

લાખ બલાયેં એક નશેમન

ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન

લેકિન અપના અપના દામન

(ગુલશન = બગીચો, બલાયેં = આફત, નશેમન = માળો)

શનિવાર તા.19મી નવેમ્બરના રોજ જન્નતના ગુલશનમાં વિદાઈ લઇ ગયેલાં એક્ટ્રેસ અને ટી.વી. હોસ્ટ તબસ્સુમ દૂરદર્શન પર જે કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો, ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’, તેનું શિર્ષક બેગમ અખ્તરની આ ગઝલ પરથી આવ્યું હતું. તબસ્સુમની આ બેહદ પસંદીદા ગઝલ હતી. મુંબઈ દૂરદર્શનનો પ્રારંભ 2જી ઓકટોબર 1972ના રોજ થયો હતો. એ જ અઠવાડિયે (8મી ઓક્ટોબરે) તબસ્સુમનો સેલિબ્રિટી ટોક-શો શરૂ થયો. દૂરદર્શન એ કાર્યક્રમનું નામ “ગુલદસ્તા” રાખવા માગતું હતું, પરંતુ તબસ્સુમેં જિદ્દ કરીને કાવ્યાત્મક “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન” નામ રખાવ્યું હતું.

પાંચ વર્ષમાં જ આ કાર્યક્રમ એટલો મશહૂર થઇ ગયો કે 1978માં, અનિલ કપૂર-બોની કપૂરના પિતા સુરિન્દર કપૂરે રિશી કપૂર-મૌસમી ચેટરજીને લઈને ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ નામથી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મ તો ફ્લોપ ગઈ હતી, પણ તબસ્સુમનો કાર્યક્રમ 21 વર્ષ સુધી ચાલ્યો. દૂરદર્શનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા કાર્યક્રમોમાં તેનો સમાવેશ થાય છે.

80ના દાયકામાં દૂરદર્શનની કમાણીનો “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન” કાર્યકમ એક મોટો સ્રોત હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.ના જમાનામાં એ પહેલો સેલિબ્રિટી ટોક શો હતો. ટી.વી. પર આ પ્રકારનો આ પહેલો શો હતો એટલે કલાકારો આવી રીતે કેમેરા સામે બોલતાં ડરતા હતા અથવા શરમ અનુભવતા હતા, પરંતુ કાર્યક્રમ જેમ જેમ લોકપ્રિય થવા લાગ્યો, તેમ તેમ તબસ્સુમની ઓફિસ બહાર લાઈન લાગવા માંડી હતી. એક જૂના ઇન્ટરવ્યૂમાં તબસ્સુમ કહે છે;

“શરૂઆતમાં અમુક કલાકારો નાકનું ટીચકું ચઢાવતા હતા, પણ એ લોકપ્રિય થયો પછી મોટા-મોટા સ્ટાર દૂરદર્શનની ઓફિસ પર આવીને એપિસોડમાં આવવા માંગણી કરતા હતા. આજના સોશ્યલ મીડિયા કરતાં પણ એ કાર્યક્રમનો ક્રેઝ હતો. “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન”ની બે વિશેષતા હતી; એક તો, સ્ટાર સાથે વાતચીત દરમિયાન તેમની ફિલ્મોનાં દૃશ્યો બતાવવામાં આવતાં હતાં. ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સ રસિયાઓ માટે એક સાથે અસલી સ્ટાર અને તેમની ફિલ્મોનાં દૃશ્યો જોવાનો આખો અનુભવ જ ‘દિવ્ય’ હતો. એક્ટર્સ અને એક્ટ્રેસ ઉપરાંત તેમાં સંગીતકારો, લેખકો, ગીતકારો પણ આવતા હતા, એ એક બોનસ હતું. તેના પહેલાં એપિસોડમાં જ સંગીતકાર નૌશાદ હતા. હેમા માલિની અને રેખા માટે સ્ટંટ કરતી રેશમા પઠાણના ઇન્ટરવ્યૂ પછી બોડી ડબલ આર્ટીસ્ટ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

“ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન”માં આવી ગયેલા અમુક નામો : સોહરાબ મોદી, દુર્ગા ખોટે, શોભના સમર્થ, નૂતન, તનુજા, અશોક કુમાર, પ્રેમ નાથ, શમ્મી કપૂર, અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા, આર.ડી. બર્મન, શત્રુઘ્ન સિંહા, શક્તિ કપૂર, વગેરે.

બીજું, તબસ્સુમની અનુકરણીય સ્ટાઈલ. એક તો તેમનો અવાજ રણકદાર હતો, બીજું તેઓ એકદમ પ્રફુલ્લિત મિજાજથી ઇન્ટરવ્યૂ કરતાં હતાં. કાર્યક્રમમાં લોકોને સુખનો અનુભવ થાય તે માટે તેઓ કાયમ તેમના માથામાં પાછળ ફૂલ ખોસીને આવતાં. કાર્યક્રમના નામમાં ફૂલ, તબસ્સુમના માથામાં ફૂલ, તેમના અવાજમાં ફૂલ જેવી પ્રસન્નતા અને ચહેરા પર મુસ્કાન (તબસ્સુમનો અર્થ જ મુસ્કાન થાય છે). ‘ઝળઝળિયાં’વાળા એ જમાનાના દૂરદર્શન પર આવો અનોખો કાર્યક્રમ લોકોને ન આકર્ષે તો જ નવાઈ.

દર્શકો તબસ્સુમને તેના લાઈટ બલ્બ જેવા હાસ્ય માટે યાદ કરે છે. જેવું નામ હતું, તેવા જ ગુણ હતા. ટી.વી. અને પછીથી એક્ટ્રેસ તરીકે સ્થાપિત થયેલાં તબસ્સુમની શરૂઆત બેબી તબસ્સુમ તરીકે થઇ હતી. તે તેમના ગોળમટોળ અને હસમુખ દેખાવને જોઇને તબસ્સુમ નામ કોણે વિચાર્યું  હતું? તેમનું મૂળ નામ કિરણ બાલા સચદેવ હતું. તેમના પિતા અયોધ્યાનાથ સચદેવ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમની માતા અશઘરી બેગમ પત્રકાર અને લેખક હતાં.

એક વાત એવી છે કે પિતાએ માતાના ધર્મને ધ્યાનમાં રાખીને તેમનું નામ તબસ્સુમ રાખ્યું હતું અને માતાએ પિતાના ધર્મને ધ્યાનમાં રાખીને તેનું નામ કિરણ બાલા પાડ્યું હતું. બીજી વાત એવી છે કે બેબી તબસ્સુમ નામ દિલીપ કુમારે પાડ્યું હતું. દિલીપ કુમાર સાથે તબસ્સુમનો 70 વર્ષનો સંબંધ હતો. દિલીપ કુમારની મોટી બહેન સકિના અને તબસ્સુમની માતા બંને ખાસ સખીઓ હતી. 1947માં, ડેવિડ અબ્રાહમ (પાછળથી જાણીતા ચરિત્ર્ય અભિનેતા ડેવિડ ચાચા), નરગીસ અને રહેમાનને લઈને ‘નરગીસ’ નામની ફિલ્મ આવી હતી. એ ફિલ્મથી ‘બેબી તબસ્સુમ’નો જન્મ થયો હતો. એ નામનો અર્થ આજીવન તેમની સાથે જોડાયેલો રહ્યો. તબસ્સુમ જ્યાં પણ હોય ત્યાં હાસ્ય અને સુખનો અહેસાસ કરાવતાં હતાં.

નરગીસ અને મીના કુમારીની બાળ ભૂમિકાઓમાં તબસ્સુમ એટલાં જાણીતાં થયાં હતાં કે તે વખતે લોકો તેને બેબી નરગીસ અથવા બેબી મીના તરીકે ઓળખતા હતા. દિલીપ કુમાર-નરગીસની ફિલ્મ ‘દીદાર’માં તબસ્સુમ પર ફિલ્માવાયેલું ‘બચપન કે દિન ભૂલા ન દેના’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બિમલ રોયની ‘બાપ બેટી’ ફિલ્મમાં તબસ્સુમ અને આશા પારેખ બંને બાલ કલાકાર તરીકે હતાં. 

અશોક કુમાર, નરગીસ, મીના, સુરૈયા, દિલીપ કુમાર, નિમ્મી, વૈજયંતીમાલા, મધુબાલા, દેવ આનંદ જેવાં સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં તબસ્સુમની હાજરી એટલી સહજ થઇ ગઈ હતી કે એમનું નામ ન હોય તો જ અજુગતું લાગે. એકવાર તબસ્સુમે કહ્યું હતું, “એ બધી ફિલ્મોમાં કલાકારો સાથે અચૂક મારું આવતું. જેમ કે – ‘નરગીસ, દિલીપ કુમાર એન્ડ બેબી તબસ્સુમ.’ એ એટલી વાર વાંચવામાં આવતું કે અંતે હું પણ એવું માનતી થઇ ગઈ કે મારું નામ ‘એન્ડ બેબી તબસ્સુમ’ છે.”

ગુજરાતીમાં સ્વ. મણિભાઈ ત્રિવેદીનું એક મરશિયા ગીત છે; ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યાં ગીત–ઝણકાર.

તબસ્સુમ માટે આ પંક્તિઓ એકદમ ઉચિત છે.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 30 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2751,2761,2771,278...1,2901,3001,310...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved