Opinion Magazine
Number of visits: 9458585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણની કચરાગાડી અને કચરાગાડીનું શિક્ષણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 September 2022

એક વિદ્યાર્થીને સવાલ પુછાયેલો કે માણસને કેટલી આંખ હોય છે? ને એ કેટલી હોય છે તે ગણવા જતાં તે પકડાઈ ગયેલો. આમ તો આ ટુચકો છે પણ આજના વિદ્યાર્થીઓને જોઈએ તો મોટાભાગના એટલા જ્ઞાની છે કે માણસને એક નાક હોય તેની પણ એ ગણીને ખાતરી કરે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વાત કરીએ તો એ બધાં બે વર્ષ પહેલાં હતાં એટલાં જ ફ્રેશ છે. બે વર્ષ પહેલાં ઘણાં એકડો જાણતા ન હતા ને આજે પણ નથી જ જાણતા. બે વર્ષ ભણ્યા જ નહીં ને માસ પ્રમોશનમાં ત્રીજામાં આવી ગયા. ત્રીજામાં હોય કે પહેલામાં, શિક્ષણ ભેદભાવ કરતું નથી. ત્રીજાવાળો પણ એટલું જ જાણે છે, જેટલું પહેલાંવાળો જાણે છે. મજાની વાત એ છે કે આ જે જાણે છે, શિક્ષણ વિભાગ પણ એટલું જ જાણે છે. સદ્દભાગ્યે મંત્રીઓ બહુ ધાર્મિક આવ્યા છે. એ બધા એટલા ધાર્મિક છે કે રોજ જ ‘કમળપૂજા’ કરે છે. છાપાંઓમાં રોજ ભગવાનોનાં આખા પાનાનાં ફોટા છપાય છે તેનાં સવારમાં ભાવિક ભક્તો દર્શન કરે છે ને જેમ ટ્રેન ઉપડે ને સ્ટેશન આવે જ, તેમ ભગવાનનું નામ ઊઠતાબેસતા, ખાતાપીતા, જાગતાઊંઘતા ઓટોમેટિકલી લેવાયાં જ કરે છે. આ અખંડ સેવાપૂજામાં મંત્રીઓ પણ એટલું જ જાણે છે જેટલું પહેલાંનું બાળક જાણે છે. આને કહેવાય સમાનતા ! બાળક અને મંત્રી, સરખાં જ્ઞાની.

આમ તો શિક્ષણ વિભાગમાં ભાગ ઘણાં છે. બધાં ભાગે પડતું વહેંચી ખાય છે. કામ કોઈને હોતું નથી, પણ ફુરસદ તો કોઈને જ હોતી નથી. આ લગભગ તમામ વિભાગની ખાસિયત છે. કામ કરે છે એવું લાગવું જોઈએ એટલે સાહેબો તેમના ટેકેદારોને – ઠેકેદારોને આદેશ કરે છે કે યુનિવર્સિટી, કોલેજો, સ્કૂલો પાસેથી કામ લો. એ કામ કેવી રીતે લેવું? તો કે ફટાફટ પરિપત્રો બહાર પાડો. પાડતા જ રહો. સૂચનાઓ આપો કે આ કરો. તે કરો. આ ન કરો, તે ન કરો. વળી સાહેબોની સૂચના પણ ખરી કે પરિપત્રો કરીને બેસી ન રહો. જુઓ કે કામ થયું છે કે નહીં? બધાંના જવાબો લો. પ્રાથમિક સ્કૂલો હોય તો જુઓ કે તેને પાઠ્યપુસ્તકો સમયસર ન મળે. તો, એનું પણ બરાબર ધ્યાન રાખો કે તમને સમયસર પરિપત્રોનો જવાબ મળે જ મળે. ખુરશીમાં જાગવાની ટેવ રાખો. એનું પણ ધ્યાન રાખો કે કોઈને સમયસર જવાબ અપાઈ ન જાય. કોઇની માંગણી હોય તો તે સમયસર પૂરી ન થાય તેની કાળજી રાખો. પરિપત્રો જ શિક્ષણ વિભાગનો પ્રાણ છે. એટલા પરિપત્રો મોકલો કે સ્કૂલો જવાબ આપવામાં જ પૂરી થઈ જાય.

આ 13 તારીખે જ શિક્ષણ બોર્ડે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં રોજના પાંચ કલાક લેખે સપ્તાહમાં 27 કલાક ભણાવવા સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડી.ઇ.ઓ.ને પરિપત્ર કરીને સૂચવાયું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં રિસેસને બાદ કરતાં, અઠવાડિયાનું 27 કલાકનું શિક્ષણ થાય તે જોવાય. બોર્ડે આચાર્ય સંઘને પણ જાણ કરી છે. આમ તો સાધારણ રીતે સ્કૂલોમાં રોજના પાંચ કલાકનું શિક્ષણ થાય એવું વર્ષોથી બનતું આવ્યું છે, છતાં બોર્ડે પરિપત્ર બહાર પાડવો પડ્યો એના પરથી લાગે છે કે સ્કૂલોમાં શિક્ષણ પૂરતા કલાકોનું થતું નથી. ક્યાંક મરજી મુજબના કલાકો કોઈએ શિક્ષણને માટે નક્કી કર્યા હોય એમ બને. તે વગર શિક્ષણ બોર્ડ 27 કલાકનું ફરમાન છોડે નહીં. શિક્ષણ કાર્ય અધૂરું ન રહે એટલે આ પરિપત્ર થયો હોય એમ લાગે છે, પણ ધારો કે 27 કલાકનું ટાઈમટેબલ નક્કી થાય છે તો પણ શિક્ષકો કે શિક્ષણ બોર્ડ એમ કહી શકે એમ છે કે શિક્ષણ 27 કલાકનું થશે જ થશે?

સાચું તો એ છે કે વર્ગશિક્ષણ ઘટી ગયું છે. માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ ટ્યૂશન ક્લાસમાં ભણી લે છે, પણ પ્રાથમિકનું પાયાનું શિક્ષણ વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું અપાય છે એ વિષે બે મત નથી. બે વર્ષ કોરોનાને લીધે બગડયાં, પણ તે પછી પણ, બધું મુક્ત થયું છે છતાં, શિક્ષણ પાટે ચડ્યું નથી. ઓનલાઈન શિક્ષણ કોરોના કાળમાં એક વિકલ્પ તરીકે ઠીક હતું, પણ હજી એ રીતે જ શિક્ષણ આપવાનો ઉપક્રમ ઠીક નથી. વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે આવતાં થયાં હોય તો પ્રત્યક્ષ શિક્ષણનો મહિમા વધવો જોઈએ, પણ એવું પૂરતી માત્રામાં થયું હોવાનું જણાતું નથી. યુનિટ ટેસ્ટ વીથ ઓપન બુકનું ચલણ, પ્રત્યક્ષ શિક્ષણ શક્ય ન હતું ત્યારે ઠીક હતું, પણ હજી એકમ કસોટીનો કેડો ન મુકાય તે બરાબર નથી. પ્રાથમિક શાળાઓમાં તો શિક્ષક એકમ કસોટીઓ લેવામાંથી જ ઊંચો નથી આવતો. એમાં અનધિકૃત રીતે એવો આગ્રહ પણ રખાય છે કે 25 માર્કસમાંથી 20 માર્કસ ન આવે ત્યાં સુધી કસોટી લેવાનું ચાલુ રાખવું. એથી વિદ્યાર્થીને પરીક્ષાનો મહાવરો થતો હશે, પણ તેને પ્રત્યક્ષ શિક્ષણનો મહાવરો થતો નથી તે હકીકત છે. ઘણીવાર તો એમ લાગે છે કે સતત પરીક્ષાઓ જ ચાલ્યા કરે છે. પરીક્ષા એ જ શિક્ષણ છે જાણે ! ભણાવવાનું તો લગભગ બધેથી જ ભુલાઈ ગયું છે. તે કદાચ ટ્યૂશન કલાસો પૂરતું જ સીમિત થઈ ગયું છે. આમ તો પરિપત્રમાં 27 કલાકનો વાયદો થયો છે, પણ બહુ જ પ્રમાણિકતાથી એ તપાસવા જેવું છે કે 27 કલાકની અપેક્ષાઓ ભણાવવા માટે છે કે ઈતરપ્રવૃત્તિઓ માટે?

જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી શિક્ષકનો ઘણો સમય કસોટીઓ લેવામાં જ વીતે છે. બાકીનો સમય આચાર્યનો અને શિક્ષકોનો પરિપત્રોના જવાબો આપવામાં, આ કે તે દિવસોની, તહેવારોની ઉજવણીમાં, પ્રવેશોત્સવમાં આવેલા મહેમાનોને જોગવવામાં જાય છે. આ ઉપરાંત ચૂંટણી, વસતિ ગણતરી, રસીકરણ ને એવાં ઘણાં કામોમાં શિક્ષકોને જોતરવામાં આવે છે ને એની સીધી અસર શિક્ષણ પર પડે છે. પરિપત્રો ને બીજા એટલા ફતવાઓ સ્કૂલોને માથે મરાતા રહે છે કે સ્કૂલે પરિપત્રો વાંચવા અને તેનો જવાબ આપવા વધારાનો સ્ટાફ રાખવો પડે. આમ તો પેપરલેસ ઑફિસોની કલ્પનાઓ થઈ છે, પણ કોમ્પ્યૂટર ઓપરેટેડ ઈ મેઈલ કે મેસેજિસથી લેબરમાં બહુ ફરક પડતો નથી. કેટલાક શિક્ષકો સાહેબોથી, સરકારથી એટલો સંકોચ અનુભવે છે કે તેમની મુશ્કેલીઓ ક્યાં ય રજૂ કરી શકતા નથી. ખરેખર તો શિક્ષકોને અભિવ્યક્તિની મોકળાશ જ ઓછી છે. પણ, તેઓ ખરેખર ઈચ્છે છે કે તેમને વિદ્યાર્થીઓને ભણાવવા દેવાય. બીજા કેટલાક એવા પણ છે જેમને પેન્શન અને પે સ્કેલ માટે રેલી-રેલા કાઢવામાં વ્યસ્ત રહેવાનું ગમે છે. એમને એ અંગે જ એટલું વિચારવાનું રહે છે કે ભણાવવાનું તો યાદે ય નથી આવતું.

શિક્ષણ ખાતું કે મંત્રી ભલે શિક્ષણ બાબતે આશ્વસ્ત હોય, પણ ગુજરાતનું શિક્ષણ અનેક રીતે પુનર્વિચાર માંગે છે. શિક્ષણનો દેહ તો હાથ લાગે છે, પણ આત્મા હાથ લાગતો નથી. આત્મીયતા આઉટડેટેડ થતી જાય છે ને બધું જ એક વ્યવહાર પૂરતું, વિધિ પૂરતું, ફરજ પૂરતું થતું હોવાનું લાગે છે. ચાલે છે બધું જ ! સ્કૂલો ખૂલે છે, વિદ્યાર્થીઓ આવે છે, શિક્ષકો વર્ગો લે છે, પરીક્ષાઓ થાય છે, ટોપર્સ ફોટાઓ પડાવે છે, પણ બધું યંત્રવત છે. બધે જીવતાં રોબોટ્સ ફરતાં લાગે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સજીવ સંવાદ ખાસ જણાતો નથી અને એની કદાચ કોઈને પડી પણ નથી. દુ:ખદ કૈં હોય તો તે આ છે.

ક્યારેક તો એમ પણ લાગે છે કે શિક્ષણને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. કારણ કોઈ જ તેને ગંભીરતાથી લેતું નથી. એક સમયે અંગ્રેજોએ કારકૂનો પેદા કરવા હતા તે કર્યા. હવે આ દેશી અંગ્રેજોએ અભણ પેદા કરવા છે એટલે ભણેલા અભણ પેદા કરવાના બે પાળીમાં કારખાનાઓ ચલાવે છે ને જ્ઞાન સિવાય જે શક્ય હોય તે, શૈક્ષણિક સંસ્થાઓ, ગજવાં ખંખેરીને પૂરું પાડે છે. જેને શિક્ષણ કહેવાય તે ખરેખર શું છે તે તો પીએચ.ડી. થઈ ગયા પછી પણ ખબર નથી પડતી. એમ લાગે છે કે મોટ્ટી કચરાગાડી ગુજરાતમાં ફરે છે ને એમાં સૂકો કચરો, લીલો કચરો, હાનિકારક કચરો વગેરે કેટેગરી પ્રમાણે છૂટો પડે છે. આ બધું જે તે યુનિવર્સિટી, કોલેજો, સ્કૂલો, શિક્ષણ બોર્ડ વગેરે .. પરીક્ષાથી કે માસ પ્રમોશનથી છૂટું પાડે છે ને એ બધાં પછી પણ એ કહેવાય છે તો કચરો જ ! જોવાનું એટલું જ છે કે કયો કચરો કોને કામ લાગે છે. ક્યારેક તો કચરા પર દિવાસળી મૂકવાનુંયે મન થાય, પણ ધુમાડો પણ તો પ્રદૂષણ જ કરશેને ! એટલે કચરાગાડી બદલાય તો જ કૈં ફેર પડે, પણ,‘એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી?’

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 સપ્ટેમ્બર 2022

Loading

દો આંખે બારહ હાથ અને એક યહૂદીનો કર્મયોગ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 September 2022

તમારામાંથી ઘણા લોકોએ વી. શાંતારામની “દો આંખે બારહ હાથ” ફિલ્મ જોઈ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. 1957માં આવેલી આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનું લતા મંગેશકરના સ્વરમાં એક ગીત “અયે માલિક તેરે બંદે હમ” આજે પણ પ્રેમ અને કરુણાના ભાવ માટે લોકપ્રિય છે. એક વખતે ભારતની શાળાઓમાં આ ગીત પ્રાર્થનામાં ગવાતું હતું.

શાંતારામ રાજારામ વણકુદ્રે એ જમાનાના ફિલ્મ નિર્માતા હતા, જેમને સમાજિક પરિવર્તનના માધ્યમ તરીકે સિનેમાનું મહત્ત્વ સમજાયું હતું. અન્નાસાહેબ તરીકે ઓળખાતા શાંતારામે, માનવતાવાદને પ્રોત્સાહન મળે તેવી ફિલ્મો બનાવી હતી. જેમ કે – ડો. કોટનિસ કી અમર કહાની, અમર ભૂપાલી, ઝનક ઝનક પાયલ બાજે, નવરંગ, દુનિયા ના માને, ગીત ગાયા પથ્થરો ને, પિંજરા, બૂંદ જો બન ગઈ મછલી અને જલ બિન મછલી નૃત્ય બિન બિજલી.

“દો આંખે બારહ હાથ” તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. 57 વર્ષની વયે, શાંતારામે આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કર્યું હતું એટલું જ નહીં, પોતે એમાં ઉદારવાદી જેલર આદિનાથની મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. આ ફિલ્મ મહાત્મા ગાંધીના “હૃદય પરિવર્તન”ના ચિંતનથી પ્રેરિત હતી, પણ તેનો આધાર એક અસલી ઘટના હતી.

ગાંધી દંડ કે સજાના પક્ષમાં નહોતા. તે માનતા કે પ્રત્યેક વ્યક્તિ બુનિયાદી રૂપે સારો જ હોય છે અને તેને સુધરવાનો મોકો મળવો જોઈએ. માનવતાવાદી દૃષ્ટિકોણ હંમેશાં માણસમાં સંભાવનાઓને જુવે છે. એટલા માટે ગાંધીજી કહેતા હતા કે પાપની ઘૃણા કરો, પાપીની નહીં. નવેમ્બર 1947માં “હરિજન” પત્રિકામાં તેમણે લખ્યું હતું, “દરેક અપરાધીને દરદી ગણવા જોઈએ અને જેલોને હોસ્પિટલ, જેમાં દરદીઓની સારવાર કરવામાં આવે. કોઈ પણ વ્યક્તિ મજા આવે છે એટલે અપરાધ નથી કરતી, એ બીમાર મનનો સંકેત છે.”

“દો આંખે બારહ હાથ”માં શાંતારામે એવા જેલરની ભૂમિકા કરી હતી, જે ખૂનની સજા  ભોગવી રહેલા છ ખૂંખાર કેદીઓને સુધારવા માટે જેલની બહાર એક ખેતરમાં લઇ જાય છે. ત્યાં આ પશુ જેવા અડિયલ કેદીઓ કેવી રીતે આદિનાથની ધીરજ અને આશાની કસોટી લે છે, તેનો ઘટનાક્રમ બને છે. ફિલ્મમાં તેમણે રોચકતા અને રસ ઊભો કરવા માટે તેમની પત્ની સંધ્યાને પણ રમકડાં વેચનારી (ચંપા) તરીકે લીધી હતી. આ ચંપા જ્યારે પણ વાડીમાંથી પસાર થતી, ત્યારે તેનું ધ્યાન ખેંચવા માટે કેદીઓમાં હરીફાઈ થતી.

આગળ કહ્યું તેમ, આ ફિલ્મનો આધાર એક અસલી ઘટના છે. ઘટના બહુ દિલચસ્પ છે.

વીસમી સદીના તેજસ્વી ચિંતક ગણાતા જે. કૃષ્ણમૂર્તિ, 1920ની આસપાસ થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા વતીથી યુરોપમાં પ્રવચનો આપતા હતા, ત્યારે મૂળ વોર્સો(પોલેન્ડ)નો એક યહૂદી એન્જિનિયર છોકરો, મૌરિસ ફ્રાઈડમેન, તેમના પ્રતિ આકર્ષાયો હતો અને પછી તેને હિન્દુવાદમાં રસ પડ્યો હતો. તેણે કૃષ્ણમૂર્તિનાં ભાષણો ગોઠવવાનું અને તેમનાં પુસ્તકોને ફ્રેંચમાં અનુવાદિત કરવાનું કામ પણ કર્યું હતું. 1928માં તે પેરિસમાં તે ઇલેક્ટ્રિક ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે રમણ મહર્ષિના નામથી પરિચિત થયો.

તે વખતે જર્મનીમાં હિટલર અને તેની યહૂદી વિરોધી નાઝી વિચારધારાનો ઉદય થઇ રહ્યો હતો. 1933 સુધીમાં તો તે સત્તામાં હતો અને યુરોપમાં યહૂદીઓ પર તવાઈ શરૂ કરી હતી. તેમાંથી ઘણાં યહૂદીઓ ભારતમાં શરણ લેવા આવ્યાં હતાં. મૌરિસ પણ તેમાંથી એક. 1935માં તેને મૈસુરમાં એક એન્જિનિયર પેઢીમાં નોકરી મળી હતી. રમણ મહર્ષિએ તેને કહેલું, “તું વિદેશમાં જન્મ્યો છું, પણ મૂળ ભારતનો છું.” મૌરિસ ભારતમાં આવીને હિંદુ આધ્યાત્મમાં ઊંડો ઉતરી ગયો.

તે મુંબઈના ખેતવાડીમાં રહેતા અને બીડીની દુકાન ચલાવતા મરાઠી સંત સ્વામી નિસર્ગદત્તા મહારાજ(મારુતિ શિવરામપંત કાંબલી)ના પરિચયમાં આવ્યો હતો, અને સ્વામી જે બોલતા હતા તે દુભાષિયાની મદદથી અંગ્રેજીમાં ઉતારી લેતો હતો. એ લખાણ છેવટે “આઈ એમ ધેટ” નામના આજે પણ અત્યંત લોકપ્રિય પુસ્તક મારફતે દુનિયા સમક્ષ આવ્યું હતું. સ્વામી રામદાસે મૌરિસને સન્યાસ આપીને સ્વામી ભરતાનંદ નામકરણ કર્યું હતું.

ભારત આવ્યાં પછી મૌરિસ મહાત્મા ગાંધી અને તેમની આઝાદીની લડાઈથી આકર્ષાયો હતો. 1938માં તે મરાઠા સામ્રાજ્યના ઔંધ સ્ટેટના રાજા ભાવનરાવ શ્રીનિવાસરાવ પંત પ્રતિનિધિના પરિચયમાં આવ્યો હતો. તેણે ગાંધીજીની લડાઈના સમર્થનમાં રાજાને 70 ગામોની સંપત્તિને મુકત કરવા સમજાવ્યા. ગુલામ ભારતમાં એક પ્રાંતમાં જનશાસન સ્થાપિત કરવાનો આ અનોખો પ્રયોગ હતો. મૌરિસ ઉર્ફે સ્વામી ભરતાનંદે તેનું બંધારણ પણ તૈયાર કર્યું હતું. આ જ સમય દરમિયાન, મૌરિસે એન્જિનિયર હોવાના નાતે ગાંધીજીના ચરખાની બનાવટમાં સુધારો કર્યો હતો.

મૌરિસ ભારતમાં વ્યસ્ત હતો, ત્યારે જ પોલેન્ડમાં તેનો પરિવાર યુદ્ધમાં નષ્ટ થઇ ગયો હતો. મૌરિસ માટે હવે પાછા જવાનું કારણ નહોતું.

ઔંધમાં ભારતના પહેલાં “ગ્રામ રાજ્ય”માં ત્રણ સ્તરની સરકાર હતી. દરેક ગામમાં પાંચ સભ્યોની પંચાયત હોય, જે અધ્યક્ષને ચૂંટે. ગ્રામ અધ્યક્ષ ચાર તાલુકા પ્રમુખને ચૂંટે અને તેવા 12 પ્રતિનિધિઓ ધારાસભામાં જાય, જે રાજ્યના વડા પ્રધાનને ચૂંટે. જાન્યુઆરી 1939માં, ઔંધ બંધારણીય ગણરાજ્ય બની ગયું હતું.

મૌરિસે તેમાં ગાંધીજીથી પ્રેરાઈને બીજો એક પ્રયોગ કર્યો હતો. ત્યાં દેશની પહેલી મુક્ત જેલ સ્થાપવામાં આવી હતી, જ્યાં કેદીઓ તેમના પરિવાર સાથે પેરોલ પર રહેતાં અને પ્રદેશની પાણીની સમસ્યા ઉકેલવા માટે કૂવા ખોદવાનું કામ કરતાં હતા. જેલનું નામ સ્વતંત્રપુર રાખવામાં આવ્યું હતું. 40ના દાયકામાં મહારાષ્ટ્રના ઘણા કાઁગ્રેસી નેતાઓ ઔંધમાં સક્રિય હતા.

ઔંધનો આ પ્રયોગ આમ તો ગુપ્ત હતો. 1947માં જ્યારે રજવાડાંનું ભારતમાં વિલીનીકરણ થયું, ત્યારે ઔંધ પણ ભૂંસાઈ ગયું હતું. મુંબઈમાં વી. શાંતારામને આ પ્રયોગની ખબર પડી હતી. તેમાં તેમને ‘મુક્ત જેલ’નો વિચાર ક્રાંતિકારી લાગ્યો હતો. તેના પરથી તેમણે “દો આંખે બારહ હાથ”ની વાર્તા બનાવી હતી. તેમને એ બતાવવું હતું કે, કેદી હોય કે જલ્લાદ, અંતે તો બધા માણસ જ હોય છે. એક રીતે તે એક ઊંડો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો કે દરેક માણસ બુનિયાદી રૂપે ભલો હોય છે, તેના હૃદયમાં એક કોમળતા હોય છે અને તેને વ્યક્ત થવાનો અવસર મળવો જોઈએ.

એક દાયકા પછી, અપરાધીને પણ સુધરવાનો અધિકાર છે તેવા ભાવ સાથે, રાજેશ ખન્નાની “દુશ્મન,” ધર્મેદ્ર-વિનોદ ખન્નાની “મેરા ગાંવ મેરા દેશ” અને ધર્મેન્દ્ર-અમિતાભની “શોલે” બનાવવામાં આવી હતી.

‘સુપરહીટ’, “સંદેશ”, 14 સપ્ટેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમરસનું અદ્વૈતપણું

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar|15 September 2022

સમરસનો અર્થ અહીં શું કરવો? જવાબમાં સુદર્શન આયંગાર કહેતા હતા : ‘મારા માટે પણ આ એક મૂંઝવણ તરીકે જ આવે છે. ‘સમરસ સમાજ’ એવો અર્થ બરાબર લાગ્યો છે. પરસ્પર પ્રેમ હોય તો સમાજમાં સમરસતા આવે. ઈર્ષ્યા, દ્વેષ, અને ઘૃણા આવે ત્યાં સમરસતામાં ખલેલ પડે.’

અને પછી, શબ્દકોશ, જોડણીકોશ ફંફોળવાની જરૂર પડી. કેમ કે માથું ખંજવાળવાનું ટાળવું હતું ! તેમાં ભગવદ્ગોમંડળ મદદે આવ્યું. તે અનુસાર, સમરસ માટે અર્થ અપાયો છે : એક સરખા રસવાળું. જ્યારે સમરસતા માટે ત્રણ : [1] એકરસતા; સંગતિ; મેળ. [૨] બધા તરફ સરખી લાગણી રાખવાપણું; રાગદ્વેષ રહિત હોવું. અને [3] સ્વરમાધુર્ય; સુસ્વરતા; સ્વરમેળ.

લાગલા, સુદર્શનભાઈ પડકાર જાણે કે ફેંકતા ન હોય તેમ વિશ્વાસપૂર્વક સવાલતા રહ્યા : ‘ડાયસ્પોરા સમાજમાં આ સ્તરે શું અનુભવો રહ્યા, સમરસતા છે? બની રહે છે? ખલેલ પડી છે? હિન્દુસ્તાનમાં બનતા બનાવોની અસર પડે છે? પડી છે? ઉપરોક્ત મુદ્દાઓ પર જૂનાં/નવાં લખાણો હોય તો ફરી પ્રસિદ્ધ કરવા જેવાં કરવા, એવો વિચાર.’

ડાયસ્પોરા સમાજનો આછોપાતળો અનુભવ હોઈ, યુનાઇટેડ કિંગ્ડમને કેન્દ્રમાં રાખી મગજને કસતા કસતા દેખાયું કે ચોતરફ સમરસ સમાજનો અભાવ વકરતો રહ્યો છે. જગતની આજે હાલત છે તેમાં નકરી ખાઈ ભાસે છે. પશ્ચિમના જે દેશો સમૃદ્ધ છે અને બાકીની દુનિયાના જે દેશો અ-સમૃદ્ધ છે તેમની વચ્ચે ક્યાં ય સમાનતા જડતી જ નથી. ચોમેર વળી વેપારવાણિજ્યનું જોર વધી રહ્યું છે અને તેની ચડસાચડસીમાં પર્યાવરણ, પ્રદૂષણના સવાલો ખડકાતા રહ્યા છે. તેની અસર નીચે કેટલાક દેશોમાં વળી સુકાળનો અભાવ છે જ છે. ક્યાંક દુકાળ છે તો ક્યાંક આંતરકલહ. તેને કારણે સ્થળાન્તર, દેશાન્તર સ્વાભાવિક જોર કરે છે અને જે તે મુલકમાં આ શરણાર્થીઓ ઠલવાય છે ત્યાં હમદર્દી તો ઠીક ન જ હોય, બલકે પૂર્વગ્રંથિ જ રાસડા લે છે !

અંગ્રેજો જે દહાડે જગતને ચોક ત્રણ ભાગે પથરાયેલા રહેતા તે દિવસોમાં વિધવિધ ખેતીકામને પહોંચી વળવાને સારુ દક્ષિણ આફ્રિકા ઉપરાંત કેટલાક સુદૂરના ટાપુદેશોમાં પણ ગિરમીટિયા પદ્ધતિ દાખલ કરાયેલી. કેરેબિયન ટાપુ વિસ્તારમાં ગુયાના, ત્રિનિદાદ ને ટોબેગો, હિંદી સમુદ્રમાંના મોરેશિયસ, તો પ્રશાન્ત મહાસાગરના ફીજી ટાપુ આના મજબૂત દાખલાઓ છે. આ ગિરમીટિયા પદ્ધતિ અનુસાર જે કરારનામા થયેલા તેમાં મોટે ભાગે પોતાના તાબા હેઠળના હિન્દુસ્તાનમાંથી હજારો લોકોની ભરતી કરવામાં આવેલી. જે તે મુલકોમાં ગયેલી આ વસ્તીમાં આરંભે બહુધા સમરસતા જોવા મળતી હતી. હા, મોટા ભાગના લોકો પોતાની સમજણ અનુસાર  કર્મકાંડને બોટતા નહીં. પહેરવેશ અને ખોરાકમાં ય ક્વચિત ફેરફારને ય સ્વીકારતા નહીં. સમાજિક સ્તરે, ગાંધીભાઈ જેને ‘કોમ’ કહેતા તે ડાયરામાં, સમરસ સમાજની પેઠે જીવન વ્યસ્ત કરતાં, કેમ કે દરેકને સારુ સ્વભાષાનું ચલણ પ્રધાન હતું, જૂજ લોકોને સારુ અંગ્રેજી ભાષા ઉપરાંત સ્થાનિક ભાષાથી અંતર હોય તેમ વર્તાયું છે.

આફ્રિકા ખંડેથી જોઈએ તો દક્ષિણ આફ્રિકાને નામ બેચાર મજબૂત ચોપડીઓ છે : મો.ક. ગાંધીકૃત ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રનો ઇતિહાસ’, પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’, ઉમા ધૂપેલિયા-મિસ્ત્રીકૃત Gandhi’s Prisoner ? The Life of Gandhi’s Son Manilal Gandhi તેમ જ રામચન્દ્ર ગુહાકૃત Gandhi Before India. તદુપરાંત, અમીના કાછલિયા, અહમદ કથરાડા, ફાતીમા મીર તેમ જ ઈસ્માઈલ મીરનાં આત્મકથાનક પુસ્તકો ય સાખ પૂરે છે. હવે તો બીજું ખૂબ સંશોધન આધારિત અને અભ્યાસુ સાહિત્ય પણ ઊમેરણમાં જોવાં પામીએ. વળી, મો.ક. ગાંધીમાંથી ગાંધીભાઈ બનેલા આ લોકનેતાને નાડ પણ પાકી પકડાઈ ગયેલી. અને પરિણામે તે પૂરેવચ્ચ કામે લાગી રહ્યા હતા. એમણે મણિલાલ ડૉક્ટર, પારસી રુસ્તમજી, સોન્જા શ્લેશિન, આલ્બર્ટ વેસ્ટ, જોસેફ ડોક, અહમદ મહમ્મદ કાછલિયા, હર્માન કેલનબૅક, હેન્રી પોલાક, થામ્બી નાયડુ સરીખાં સરીખાંઓને પણ જોતરી જાણેલા. હિન્દવી જમાતના વસવાટીઓમાં, તે આરંભના ગાળામાં, સમરસતા મહદ્દ અંશે મજબૂત જોવા મળી છે. લોકો કોમને નામે હળતાંભળતાં, એકબીજાના ટેકેટેકે જીવન વ્યસ્ત કરતાં રહેતાં. ગાંધીભાઈએ 1914માં દક્ષિણ આફ્રિકાથી વિદાય લીધી અને 1915માં હિન્દ પરત થયા તે પહેલાં, 15 ઑક્ટોબર 1913ના દિવસે ફિનિક્સ સેટલમેન્ટથી પોતાનો છેલ્લો સત્યાગ્રહ આદર કર્યો તે વેળા સમરસતાનું મજબૂત ચિત્ર તો ‘જીવનનું પરોઢ’માં જોવા પામીએ છીએ. એ કૂચ. હજારોની સંખ્યાને જે તે ગામે સાંચવણ-વ્યવસ્થાનાં કામો થયાં તેની દાસ્તાઁ અનુભવાય જ છે. તેનો જોટો, ભલા, ક્યાં મળે ?

અને આવું છતાં, ઉમાબહેનનું એક તારણ ઊડીને આંખે વળગે છે. ગાંધી પરિવારે ડરબનમાં ગુજરાતીઓ જોડે બહુ નજીકનો તાલમેળ રાખ્યો હતો. તેમ છતાં, શહેરના ગુજરાતી સમાજ સાથેનો એમનો વહેવાર જૂથ બહાર બરાબરના હોય તેમ રહેતો. ડરબનમાં સુરતીઓ તેમ જ કાઠિવાડીઓની અલગ અલગ સંસ્થાઓ હતી. હિન્દુસ્તાનના જ નહીં, બલકે ગુજરાતના જુદા જુદા પ્રાન્તવિસ્તારની અહીં આ છાપ હતી. સુશીલાબહેન ગાંધી તો જાણીતા મશરૂવાળા પરિવારનું સંતાન. એમનાં મૂળ સુરતમાં નીકળે. જ્યારે મણિલાલ ગાંધીનાં મૂળ કાઠિયાવાડમાં. આથી દેખીતી રીતે બન્નેની નાતજાત જુદી લેખાતી. કાઠિયાવાડ હિન્દુ સેવા સમાજ એમને આવકારવા ઠંડોબોળ રહેતો ! એમનાં ત્રીજાં સંતાન ઇલાબહેનને ટાંકીને ઉમાબહેન લખે છે : એમને કોઈકે એકાદી વાર ‘વર્ણસંકર’ [half-caste] છો તેમ કહ્યું તેથી ઇલાબહેનને ઊંડી વેદના થયેલી. વળી, જ્યારે ત્યારે આ અંગે ગાંધી પરિવારને તે જણ ટોણો ય માર્યા કરતા. બીજી તરફ, સુરતી સમાજ પરિવાર અંગે થોડોઘણો કૂણો વર્તાતો. આ ભેદભાવથી પર રહી ગાંધી પરિવાર ગુજરાતી ઓળખને સતત જાળવવી રાખવા પ્રયત્નશીલ રહ્યું છે, તેવું લેખિકા લખે છે.

વારુ, જેમ દક્ષિણ આફ્રિકે, તેમ પૂર્વ આફ્રિકે પણ. ઉછરંગરાય ઓઝાનાં લખાણો, મણિલાલ દેસાઈથી માંડીને અલીભાઈ મુલ્લા જીવણજીને સાંકળતાં સાંકળતાં પિયો ગામા પિન્ટો, મોહમ્મદઅલી રતનસી ને પરિવાર, રણધીર ઠાકર, વી.આર. બોલ, પંડ્યા બંધુઓ, ગિરધારીલાલ વિદ્યાર્થી, હારૂન અહમદ, પ્રાણલાલ શેઠ, તેમ જ બીજાં અનેકોએ સમરસતાના પાઠો ભણાવ્યા કરેલા.

આવાં આ આગેવાનોએ અહીંતહીં  કેટકેટલી સર્વસમાવેશક સંસ્થાઓ આદરેલી, ને ચલાવી જાણેલી. કમ્પાલા માંહેનો ‘યુવક સંઘ’, નાઇરોબી માંહે ‘કલાનિકેતન’, દારેસલ્લામ ખાતે ‘શિશુ કુંજ’ આના નક્કર દાખલાઓ છે. આવી બીજી નાનનીમોટી આંદોલિત સંસ્થાઓ પણ તે દહાડે સક્રિય જોવા મળતી.

અને તેમ છતાં, આપણે તો ઠેરના ઠેર જ છીએ !

ગઈ સદીના આશરે છઠ્ઠે દાયકે, યુગાન્ડાની ‘યુવક સંઘ’ સંસ્થાના મહેમાન તરીકે ઈશ્વર પેટલીકર પૂર્વ આફ્રિકાના પ્રવાસે હતા, ત્યારે કેનિયાના બંદરી નગર મોમ્બાસામાંની એક જાહેર સભામાં આ ઉચ્ચારણ એમણે કરેલું તેમ નોંધાયું વાંચવા મળે છે : ‘મારા પૂર્વ આફ્રિકાના પ્રવાસમાં પટેલને મળાયું; વણિકો(શાહ)ને મળ્યો; બાહ્મણોને મળ્યો; કાઠિયાવાડીઓને મળ્યો; પણ ન મળ્યો કોઈ ગુજરાતીને. પટેલ સમાજોમાં ભાષણો કર્યાં; બ્રહ્મસમાજમાં ભોજનો લીધાં; કાઠિયાવાડી સમાજની ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો પણ એક ગુજરાતી સમાજનો સમાગમ ન થયો.’

વિલાયતમાં તો બેએક સદીઓથી આવનજાવન હતી, અને તેને ઇતિહાસનું બહાનું ય મળે છે. યુરોપના ફ્રાન્સ સમેતના બીજા દેશો, કેનેડા – યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્‌ અમેરિકા તેમ જ, સિંગાપુર, ન્યુઝિલૅન્ડ, ઑસ્ટૃાલિયામાં પણ આજે આપણી વસાહતો વિસ્તરી છે. આમ ચોમેર નજર કરીએ છીએ ત્યારે આપણી જમાતના એક શિરમોર સાહિત્યકાર, વિચારક બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે દાયકાઓ પહેલાં કહેલું તેમાં મીનમેખ ફેર પડ્યો હોય તેમ લગીર દેખાતું નથી.

’આપણાં ગુજરાતીઓમાં પ્રજાપણું નથી. આપણાંમાં પ્રજાપણાનું ઐક્ય નથી. પ્રજાપણાનો ટેક નથી. પ્રજાપણાનાં સતત આગ્રહી ઊજમ અને જોમ નથી. આપણા નેતાઓને પ્રજાપણાવાળી પ્રજાના પીઠબળનો ટેકો નથી. મતભેદ અને ચરિત્રભેદને લીધે ટીકા, ચર્ચા, વૈમનસ્ય અને મતામતિ આપણે ત્યાં જ થાય છે એમ નથી; સર્વત્ર થાય છે. પરંતુ બીજે જ્યારે પ્રજાપણાની ઉષ્માથી એ થતાં આવે તેમ ઓગળતાં પણ જાય છે, અને આરંભેલ સંસ્થા કે કાર્યપ્રવાહ આગળ વધવા પામે છે તેમ તેમ એ વૈમનસ્ય અને મતભેદની નડતર ઓછી પડી જાય છે, ત્યારે આપણે ત્યાં એ નડતર જ વખત જતાં વધુ મોટી બનીને ગમે તેવાં કાર્ય કે કાર્યપ્રવાહને મંદ કરી નાખે છે, અને થોડા જ વખતમાં રૂંધી નાખે છે. આપણા પારસીઓ ગુજરાતી નથી, આપણા મુસલમાનો ગુજરાતી નથી, આપણા કાઠિયાવાડીઓ ગુજરાતી નથી, આપણા કચ્છીઓ ગુજરાતી નથી, આપણા ઈડિરયાઓ ગુજરાતી નથી, આપણા મુંબઈગરા ગુજરાતી નથી, આપણા ગુજરાતીઓમાં પણ સૌ કોઈ ગુજરાતી છે તે કરતાં તે અમદાવાદી કે સુરતી કે ચરોતરી કે પટ્ટણી કે મારવાડી, અગર તો નાગર, બ્રાહ્મણ કે વાણિયા કે અનાવિલ કે જૈન કે પટેલ કે બીજું કંઈ વિશેષ છે.’

બીજી પાસ, સુરત વસતા જાણીતા સાહિત્યકાર પત્રકાર રવીન્દ્ર પારેખ તાજેતરમાં લખતા હતા, ‘સામાન્ય માણસ સ્વતંત્ર થઈને કૈં બહુ પામી ગયો નથી, બલકે, તેને નામે બીજા ઘણું પામી ગયા છે. આમ જોવા જઈએ તો આખો દેશ અનેક વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ છે તે જાતિ-વર્ગના દાખલા જ ગણ્યા કરે છે, બીજો એક, પક્ષીય રાજકારણ અને પ્રચાર, પ્રસારમાં જ જીવનની ઇતિશ્રી જુએ છે, તો એક વર્ગ ધર્મ-અધર્મ, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદમાં જ વ્યસ્ત છે. એક વર્ગ સૌથી વધુ ધન ભેગું કરવામાં પડ્યો છે. વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય લોકોમાં પોતાનો નંબર કયો છે ને તેનાથી ય વધુ ઊંચાઈએ, એટલે કે પહેલાની ય ઉપર જવાય એમ છે કે કેમ એટલું જ લક્ષ્ય એનું હોય છે. એક વર્ગ છે જે ઓછી મહેનતે વધુને વધુ પૈસા કઇ રીતે બનાવી શકાય એની જ કોશિશમાં છે. એ ઘણુંખરું નોકરિયાત વર્ગ છે. એ સરકારી નોકરીઓમાં છે, પોલીસમાં છે, કોર્પોરેશનમાં છે, શિક્ષણમાં છે … લગભગ બધે જ છે. એ કોઈનો હક મારે છે અથવા તો કોઈનો હક દબાવે છે. ભ્રષ્ટાચાર એ જ એને માટે શિષ્ટાચાર છે. …’

જ્યાં કેન્દ્ર નબળું હોય ત્યાં પરીઘે માણસ કેટલું બળ કરી શકે ? તળ ગુજરાતે જ્યાં વકરેલી હાલત હોય તો બૃહદ્દે વિસ્તરેલા ગુજરાતમાં સ્વાભાવિકપણે તળના પડછાયા અને ઓછાયા ડોકાયા કરે. અહીં પણ કોમવાદ વકરેલો છે, તેમ જ્ઞાતિવાદનો મુરબ્બો ચોમેર મધમાખની પેઠે વળગેલો જ ભાસે છે. ઉચ્ચનીચના ભેદ, સામંતવાદી માનસ, અસહિષ્ણુ વાણી – વર્તન, સ્વકેન્દ્રી પ્રકૃતિનું આજકાલ જોર છે અને તેમને રાષ્ટૃપ્રેમ અને રાષ્ટૃવાદનો કોઈ ભેદ કળાતો જ નથી !

આવી પરિસ્થિતિમાં આ સમરસતાને ક્યાં ભાળવી ? ધોળે દહાડે દીવો લઈને શોધવા નીકળીએ તો એકલદોકલ દાખલાઓ સિવાય ચોમેર, કમનસીબે, અંધારું ઘોર દીસે છે.

પાનબીડું :

‘ગીતાની યોજના મહાભારતમાં છે. મહાભારત ને રામાયણ આપણા રાષ્ટૃીય ગ્રંથો છે. તે મહાકાવ્યો છે, અદ્દભુત ગ્રંથ છે. રામાયણ મધુર નીતિકાવ્ય છે. જ્યારે મહાભારત સમાજશાસ્ત્ર છે. સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસજીએ ભગવદ્દગીતામાં ભર્યું છે. ગીતા ઉપનિષદોની ઉપનિષદ છે. ગીતા ધર્મજ્ઞાનનો એક કોષ છે. અર્જુનને શિષ્યભાવે સમરસ થવાથી તેમ જ વ્યાસજીને ગ્રંથકાર ભાવે એક રસ થવાથી કૃષ્ણ સંજ્ઞાઓ મળેલ છે − એટલે કહેવાવાળા કૃષ્ણ, સાંભળનાર કૃષ્ણ અને રચનાર પણ કૃષ્ણ – એટલે એ ત્રણની સમાધિ રૂપે – અદ્વૈતરૂપે – ગીતાજી સ્વયંસિદ્ધ છે.

− આચાર્ય વિનોબાજી

(ભગવદ્દગોમંડળ ભાગ – ૯)
હેરૉ, 15-18 મે 2022
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રગટ : “કોડિયું”, 15 સપ્ટેમ્બર – ઑક્ટોબર 2022; પૃ. 53-55

Loading

...102030...1,2551,2561,2571,258...1,2701,2801,290...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved