Opinion Magazine
Number of visits: 9568753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાલિબ અને ગુજરાત : હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 January 2023

જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે

મરીઝનો આ પ્રખ્યાત શેર છે. આવા તો અનેક છે. મરીઝે જીવન વિશે, સંબંધો વિશે, મિત્રો અને ઈશ્વર વિશે સુક્ષ્મ વાતો કહેતા કલાત્મક શેર આપ્યા છે. તેમના શેરની ગહેરાઈના કારણે જ કવિતાના ચાહકોએ તેમને ગાલિબ સાથે સરખાવ્યા હોય. મરીઝનું મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી હતું. તે સુરતમાં જમ્યા હતા. મજાની વાત એ છે કે મિર્ઝા અસદુલ્લા બેગ ખાન ઉર્ફે મિર્ઝા ગાલિબ(1797-1869)નો પણ સુરત સાથે સંબંધ હતો. આ અઠવાડિયે, 27 ડિસેમ્બરે, ગાલિબની 225મી વર્ષગાંઠ ગઈ.

ગાલિબ શાયરી એટલે કે પદ્યની સીમાની બહાર ગદ્યમાં પણ બેમિસાલ છે એ તેમની બીજી વિશેષતા છે. ગાલિબનો પત્રવ્યવહાર વ્યાપક હતો અને એમાં એણે સીધી, સરળ અને સંવેદનાત્મક ઉર્દૂ ભાષા વિકસાવી હતી એ બહુ લોકોને ખબર નથી. એથી ય ઓછા લોકોને એ ખબર હશે કે ગાલિબના આ પત્રલેખનમાં ગુજરાતનું પણ એક સ્થાન હતું.

ગાલિબનું મોટા ભાગનું જીવન ઉત્તર ભારત(દિલ્હી, આગ્રા, કોલકાતા)માં વીત્યું હતું. ગુજરાત સાથે તેમનો સંવેદનાત્મક સંબંધ હતો. સુરતના નવાબ મીર જફર અલી ખાન સાથે ગાલિબે પત્રવ્યવહાર કર્યો હતો. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે સુરતનો કબજો લઇ લીધો હતો અને નવાબ પરિવારની સંપત્તિ પચાવી પાડી હતી, ત્યારે આ નવાબે બ્રિટિશ સંસદ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જીત મેળવી હતી.

1859થી 1869 સુધી ગાલિબે તેમને 61 પત્રો લખ્યા હતા. નવાબ મીરના પ્રપૌત્ર અને હાલ મુંબઈ સ્થિત નવાબ મીર જફર ઈમામે ૨૦૦૩માં ‘મિર્ઝા ગાલિબ એન્ડ ધ મીર્સ ઓફ ગુજરાત’ શીર્ષક હેઠળ આ પત્રોનું સંપાદન કર્યું છે. રૂપા એન્ડ કંપનીએ એનું પ્રકાશન કર્યું છે.

ગુજરાતીમાં આ પુસ્તક છે? જાણમાં નથી, પરંતુ 2009માં સુરત મહાનગરપાલિકાની ૩૭મી નાટયસ્પર્ધામાં એ.એસ. કસલીવાલા લિખિત અને નરેશ કાપડિયા દિર્ગ્દિશત દ્વિઅંકી નાટક ‘મિરજા ગાલિબ સુરતમાં’નું મંચન પણ થયું હતું. વાર્તા એવી હતી કે 1869માં મૃત્યુ પામેલા ગાલિબ નરકમાં ‘હાઉસફૂલ’નું બોર્ડ જોઇને અને સ્વર્ગમાં પ્રવેશબંધીના કારણે વર્ષો પછી પાછા દિલ્હી આવે છે અને ત્યાં સુરતના એક પત્રકારને મળીને પોતે 140 વર્ષ પહેલાંના ગાલિબ જ છે એ સાબિત કરવા પ્રયાસ કરે છે.

નવાબ મીર જફુર અલી ખાને ગાલિબને સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. તે વખતે ગાલિબ બીમાર હતા અને અનુકરણીય શૈલીમાં એમણે જવાબ લખ્યો હતો, ‘કિસી સૂરત મેં મૈં સુરત નહીં આ શકતા.’ અહીં એના તેમના પેલા વિખ્યાત શેર, ‘કોઈ ઉમ્મીદ બર નથી આતી, કોઈ સૂરત નજર નહીં આતી … આગે આતી થી હાલ-એ-દિલ પે હંસી, અબ કિસી બાત પે નહીં આતી’નું અનુસંધાન છે.

સુરતના નવાબ પરિવારમાં દાદ ખાન સૈયાહ મીર ગુલામ બાબા અને બીજા  શાહી સભ્યો સાથે ગાલિબ પત્રોથી સંપર્કમાં હતો. કેટલાક અભ્યાસીઓ માને છે કે માત્ર પત્રોના કારણે ય ઉર્દૂ સાહિત્યમાં ગાલિબનું સ્થાન નિશ્ચિત હતું. ગાલિબ પહેલાં ઉર્દૂ અલંકારિત ભાષા હતી. ગાલિબે એને આમ અને સંવેદનાત્મક બનાવી દીધી. એ એવી રીતે લખતા જાણે ‘વાત’ કરી રહ્યા હોય. એક પત્રમાં એ લખે છે, ‘સો કોસ સે બા-જબાન-એ કલમ બાતેં કીયા કરો ઔર હીજ્ર મેં વિસાલ કે મઝે લીયા કરો’ – માઈલો દૂરથી કલમના મોઢેથી વાતો કરો અને છૂટા પડી ગયા હો તો ય મિલનની મઝા લૂંટો. બીજા એક પત્રમાં એ લખે છે, ‘મેં કોશિશ કરતા હૂં કી કુછ ઐસી બાત લીખૂં કી જો પઢે ખુશ હો જાયેં.’

એમનું પત્રલેખન બહુ વ્યસ્ત હતું, એ રોજના પાંચથી છ પત્રો લખતા હતા. ઘણી વાર તો એ પોતાના સરનામે પણ પત્ર મોકલતા. કોઈકે એક વાર એમનું સરનામું પૂછયું તો ગાલિબે કહેલું, “અસદુલ્લાહ ગાલિબ, દિલ્હી કાફી હોગા.” મુનશી હરગોપાલ તફતા પરના એક પત્રમાં ગાલિબનો અંદાજ જુઓ, ‘‘ક્યોં સાહબ રુઠે હી રહોગે યા માનોગે ભી? ઔર કિસી તરહ નહીં માનતે તો રુઠને કી વજહ લિખો. મેં ઈસ તન્હાઈ મેં સિર્ફ ખતોં કે ભરોસે જીતા હૂં. યાની ઉસકા ખત આયા. મૈંને જાના કી વહ શખ્સ તશરીફ લાયા. હૂં ન તંદુરસ્ત ન ખુશ હૂં ન નાખુશ, ન મુર્દા હૂં ન જિંદા. જીયે જાતા હૂં બાતેં કિયે જાતા હૂં. રોટી રોજ ખાતા હૂં. જબ મૌત આયેગી તો મર ભી રહૂંગા.’

કવિ તો નિજાનંદ માટે લખે એવી ફકીરી-ફિલોસોફીની આપણે ત્યાં ગુજરાતીમાં નિબંધો લખનારા, વાર્તાઓ લખનારા અને બીજા એસોર્ટેડ કલમબાજો જે જુર્રત કરે છે એવું ગાલિબની બાબતમાં નથી. ‘નિજાનંદ માટે લખવાની’ ચાલાકીથી તમે સામાજિક જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ છો એ એક બોનસ પોઈન્ટ છે. ગાલિબનો આ શેર ‘મગર લિખવાયે કોઈ ઉસકો ખત તો હમસે લિખવાયે, હુઈ સુબહ ઔર ઘર સે કાન પર રખકર કલમ નિકલે.’ વાંચો તો તમને કદાચ નર્મદનું ચિત્ર યાદ આવી જાય.

ગાલિબની આ બીજાના દુઃખે દુઃખીવાળી ઈન્સાનિયત બહુ પ્રકાશમાં નથી આવી. એમના કેટલાક શેર આની સાબિતી છે. એ લખે છે, ‘બસ એક દુશ્વાર હૈ હર કામ કા આસાં હોના, આદમી કો ભી મય્યસર નહીં ઈન્સાં હોના.’ મતલબ આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં દરેક કામ અઘરું છે, આજકાલ તો આપણે માણસ પણ બની નથી શકતા. આદમી અને ઈન્સાનનો આ ફર્ક ગાલિબ જ કરી શકે.

ઉર્દૂ સાહિત્યકાર ડો. ઈબ્દદાદ બરૈલવી લખે છે કે, ‘‘ગાલિબની મહાનતા એમાં છે કે એ બીજાનાં દુઃખ-દર્દને અનુભવી શકે છે અને એની કથની અને કરણીમાં આ મહત્ત્વની બાબત છે.’’ આ વાંચોઃ ‘રગો મેં દૌડતે ફિરને કે હમ નહીં કાઈલ, જબ આંખ હી સે ના ટપકા તો ફિર લહુ ક્યા હૈ.’ નસમાં રક્ત ફરે છે એ સાબિતી છે કે આપણે જીવતા છીએ પણ એનો મતલબ એ નથી કે આપણે જીવંત છીએ. જીવંતનો મતલબ બીજાના દર્દનો અહેસાસ. સંવેદનશીલતાનો સાચો મતલબ  બીજાના દર્દથી પોતાની આંખમાંથી આંસુ ટપકે તે. ગુજરાતી કલમબાજો શબ્દોના  પ્રાસ જોડીને અથવા તો ક્રોસવર્ડ રમતા હોય એમ જે ‘વાક્યો’ બનાવે છે, એને સંવેદનશીલતા નહીં, હાથચાલાકી કહેવાય.

મહાત્મા ગાંધીએ ગાલિબને વાંચ્યો હશે કે નહીં એ એક અભ્યાસનો વિષય છે, પરંતુ ક્ષમા અને સહિષ્ણુતાનું ચિંતન પણ ગાલિબમાં ભરપૂર છે. ઘણા શેર છે, પરંતુ આ એક શેર આ ચિંતનને અદ્ભુત રીતે વ્યક્ત કરે છે : ‘ના સૂનો ગર બુરા કહે કોઈ, ના કહો ગર બુરા કરે કોઈ, રોક લો ગર ગલત ચલે કોઈ, બખ્શ દો ગર ખતા કરે કોઈ.’

હિન્દી સાહિત્યમાં ગોસ્વામી તુલસીદાસનું જે સ્થાન છે એવું જ સ્થાન ઉર્દૂમાં ગાલિબનું છે. ગાલિબ એક રોમેન્ટિક અથવા ઈશ્કીયાં શાયર હતો એ બહુ સંકુચિત વ્યાખ્યા છે. એની શાયરી સૂફિયાના આધ્યાત્મિક અંદાજને સ્પર્શે છે. આ એની સાબિતી : ‘ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા, ડુબોયા મુઝકો હોને ને, ન મેં હોતા તો ક્યા હોતા … હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ, વો હર ઈક બાત પર કહતા કિ યૂં હોતા તો ક્યા હોતા.’ એક અનંત, વિશાળ બ્રહ્માંડમાં માણસની પામરતા વિશેનો આટલો સરસ વ્યંગ એક ફકીર જ કરી શકે.

મિર્ઝા જમાલ નામના એક ગાલિબપ્રેમીએ ‘ગાલિબ કે ખતૂત’ નામથી  એની ઓડિયો બનાવી છે. જે યુટયુબ પર ઉપલબ્ધ છે. ત્રણ ભાગના આ ઓડિયોમાં ઝીયા મોઈયુદ્દીને તેમની આગવી  શૈલીમાં પત્રોનું પઠન કર્યું છે. આ પ્રયત્ન પાકિસ્તાનની ઈ.એમ.આઈ. કંપની દ્વારા થયો છે. ભારતમાં આવું કામ કેમ નથી થયું એ આશ્ચર્યની વાત છે. એમ તો સુરતના મીરને લખાયેલા પત્રો ગુજરાતીમાં ઉપલબ્ધ નથી એ પણ જરા વિચારવા જેવી વાત છે. ગુજરાતીઓ જો કે ‘ગાલિબ કોણ?’ એવો પ્રશ્ન પૂછે તો નવાઈ નહીં. જો કે એનો જવાબ પણ ગાલિબ જ આપી ગયો છે :

‘ઉમ્ર ભર દેખા કીયા મરને કી રાહ,

મર ગયે ફિર દેખીયે દિખલાયેં ક્યા!

પૂછતે હૈ વોહ કી ગાલિબ કૌન હૈ?

કોઈ બતાયેં કી હમ બતાયેં ક્યાં!’

પ્રગટ : “બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 01 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2023: વૈશ્વિક રાજકારણના કયા મુદ્દાઓ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે આ વર્ષે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 January 2023

ભારતે વાત બધા સાથે કરવી પડશે પણ કામ કોની સાથે કરવું તે મામલે ચીવટ રાખીને આગળ વધવું પડશે

આજે ૨૦૨૩નો પહેલો દિવસ છે. આમ તો આજે આપણે નવા વર્ષના મિજાજમાં હોઇશું. વળી, આપણામાંને જેટલા પણ વાસ્તવવાદી છે એમને ખબર છે કે આ બધું નવી વહુ નવ દા’ડા જેવો ઘાટ છે, અને પછી જેમનું તેમ બધું ચાલવા માંડશે. આપણી ઘટમાળમાં નક્કી કરેલાં પરિવર્તનો આવે પણ અને કદાચ ન પણ આવે પણ એક વાત ચોક્કસ છે કે કશું અટકવાનું નથી. આપણી આસપાસ બધું દેખીતી રીતે ન બદલાય પણ વૈશ્વિક ફલક પર છેલ્લા એક વર્ષમાં પાસાં સાવ પલટાયા છે. આમ જોવા જઇએ તો આપણે કદાચ એવું ય વિચારીએ કે જે થવાનું હોય એ થાય આપણે કેટલા ટકા? પણ વૈશ્વિક ફલક પર આવતાં પરિવર્તનોની અસર ભલેને લાંબે ગાળે પણ છતાં ય દરેક સુધી પહોંચતી જ હોય છે.

આમ પણ કોરોનાવાઇરસ રોગચાળાએ જ્યારે ૨૦૨૦માં વિશ્વને પોતાના ભરડામાં લીધું ત્યારથી બહુ બધાં સમીકરણો બદલાયાં. રોગચાળો, યુદ્ધ, અર્થતંત્ર એ ત્રણેયે વૈશ્વિક રાજકારણ પર ઘેરી અસર કરી અને જે દેશો સત્તાની દોડમાં મોખરે હતા તે બધા જ આ ત્રણેય પાસાંઓમાં આવેલાં પરિવર્તનોને કારણે કાં તો ધીમા પડ્યા, કાં તો હાંસિયામાં ધકેલાવા માંડ્યા. યુ.એસ.એ., યુરોપ, ચીન, રશિયા અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા દેશો તમામે અણધાર્યા સંજોગો કાં તો ખડા કર્યા કાં તો તે તેનો ભોગ બન્યા. આવામાં વિકાસશીલ દેશ ગણાતા ભારતે મુત્સદ્દીપણાથી વહેવાર રાખવો જરૂરી હતો.

ગયા વર્ષની શરૂઆત જરા ભારે રહી કારણ કે ઓમાઇક્રોને પોતાનો પરચો બતાડ્યો અને બધા રાષ્ટ્રો હજી તેની સાથે ભાંજગડમાં હતા, ત્યાં ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રશિયાના વ્લાદિમીર પુતિને કંઇ એવું કર્યું કે જેનાથી ૨૧ સદીના આધુનિક ઇતિહાસની સંચરના પલટાઇ ગઇ. એક તરફ પુતિને યુક્રેન પર ચઢાઇ કરી અને એના ગણતરીના દિવસો પહેલાં મોસ્કો અને બેઇજિંગે બિનશરતી દ્વિપક્ષીય (Unconditional bilateral relationship) સંબંધોને લગતા સંયુક્ત કરાર પર સહી કરી હતી. આ બન્ને ઘટનાઓએ વૈશ્વિક રાજકારણમાં તાણનો માહોલ ખડો કર્યો. રશિયાએ છેડેલા યુદ્ધને કારણે ખોરાક અને ઊર્જાનાં માર્કેટનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે અને રોગચાળા પછી ભલભલા રાષ્ટ્રોએ આ બન્ને ચીજો માટે મોંઘવારીનો બોજ વેઠવો પડ્યો છે. વળી ચીન જે હંમેશાંથી બધી જ રીતે આક્રમક રાષ્ટ્ર રહ્યું છે એ કોરોના વાઇરસ માટે જવાબદાર ઠેરવાયું અને અત્યારે પણ તે કોરોનાવાઇરસની જંજાળમાંથી બહાર નથી નીકળ્યું. ચીન પર બીજા રાષ્ટ્રોનો ભરોસો ઘટતો ગયો અને આ અવિશ્વાસને પગલે પશ્ચિમી દેશોએ નક્કી કર્યું કે ઉત્પાદનને મામલે તોતિંગ એવા ચીનથી છેટું જ રાખવું પડશે, ચીન પરનો આધાર ઘટાડવા માટે પશ્ચિમી દેશોએ સ્થાનિક બજારો પર ધ્યાન આપ્યું અને ચીનના વિકલ્પો શોધવાનું ચાલુ કર્યું. વળી યુક્રેન પર રશિયાએ ચઢાઇ કરી તે પહેલાં ચીન રશિયા માટે આર્થિક ગેરંટર દેશ હતો પણ ચીનની ઝીરો કોવિડ નીતિ પણ ૨૦૨૨ના વૈશ્વિક સ્લો ડાઉનનું કારણ બની. સત્તા માટે ફેણ પછાડતા રાષ્ટ્રોને કારણે આખા વિશ્વ માટે જે અગત્યનો મુદ્દો હતો – ક્લાઇમેટ ચેન્જ – જેને કારણે દુકાળ અને કુદરતી આફતોનો રાફડો ફાટ્યો – એ વખારે મુકાયો અને આ બધું એ હદે બગડ્યું છે કે આવતું વર્ષ પણ આ જ ગુંચવાડાઓથી ભરેલું હશે.

યુક્રેન સાથેની લડાઇ અને ચીનની આડોડાઇ કંઇ એક માત્ર કારણ તો છે નહીં કારણ કે યમન, ઇથોપિયા, વેનેઝુએલા, પેલેસ્ટાઇન, ઇરાન અને મ્યાન્માર જેવા દેશોમાં માનવતાવાદી અરાજકતાના સંજોગો ખડા થયા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોના પોતાના પ્રશ્નો છે – આતંકવાદ, રાજકીય અસ્થિરતા તો જાણે આ રાષ્ટ્રોના સ્થાયી ભાવ બની ગયા છે.

૨૦૨૩માં યુક્રેનને મામલે શાંતિપૂર્ણ વાટાઘાટો થવાના એંધાણ સમિક્ષકોને પાંખા લાગે છે, યુદ્ધો જે ટેબલ ખુરશીની ચર્ચાથી પૂરા થતા હોય છે તે નીતિ આ દસ મહિનાથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આણવા નહીં કામ લાગે. રશિયાને પોતાની જીદ અને જોર છે તો યુક્રેનને પોતાનું સ્વમાન છે. પશ્ચિમ દેશોએ લગાડેલા પ્રતિબંધો છતા રશિયાના જી.ડી.પી.માં ચાર જ ટકા પતન થયું છે, વળી જર્મની, ચીન, ભારત જેવા રાષ્ટ્રો રશિયા પાસેથી તેલ અને કુદરતી ગેસ ખરીદે જ છે. આ પ્રશ્ન ૨૦૨૩ના પૂર્વાર્ધમાં તો ચાલવાનો જ. બીજો મુદ્દો છે ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોનો જે આખી દુનિયાના ભવિષ્ય પર અસર કરનાર છે. જો બાઇડન અને શી ઝિનપિંગને તો સંબંધો બગડે નહીં એવી ઇચ્છા છે જે G20 સમિટમાં નવેમ્બરમાં દેખાયું. વૉશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વહેવાર શરૂ થયો કારણ કે યુ.એસ.એ.ના હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ તાઇવાનની મુલાકાત લીધી જેનાથી ચીનના સામ્યાવાદી નેતૃત્વની ફટકી ગઇ હતી. યુ.એસ. અને ચીન વચ્ચેની સ્પર્ધા ક્યાંક વિખવાદમાં તો નહીં ફેરવાઇ જાય ને? એ તો વખત આવ્યે ખબર પડશે. બે નેતાઓ વચ્ચેની બેઠકથી કંઇ યુ.એસ. અને ચીન દોસ્તાર નથી બની ગયા.  શી પણ ચીનમાં કિલ્લેબંધી વાળું નેતૃત્વ ચાહે છે જેમાં પશ્ચિમી દેશોના રોકાણની જરૂર ન પડે અને આ તરફ યુ.એસ.એ. પણ ચીન પર પોતાનું આલંબન ગયા વર્ષ કરતાં ૨૦ ટકા ઘટાડી ચૂક્યો છે. યુરોપિયન યુનિયનને પણ ચીન પર પોતાનો આધાર ઘટાડવો છે. આમ કેનેડા સિવાયના પશ્ચિમી રાષ્ટ્રોને ચીનથી અંતર કરવામાં રસ છે.

આ બધાની સાથે પૂર્વિય રાષ્ટ્રોમાં ચૂંટણીઓ થવાની છે – જેમ કે ટર્કી, ગ્રીસ, સાયપ્રસ. ઇઝરાઇયલ અને પેલેસ્ટિન વચ્ચેનો તણાવ પણ આકરો બનશે. વિશ્વમાં ૧૨,૭૦૫ અણુ શસ્ત્રો છે જેમાંથી ૨,૦૦૦ જેટલા રશિયા અને યુ.એસ. પાસે છે – એમાં પાછા સંજોગો પોતાનો રોલ તો ભજવે જ છે. ઉત્તર કોરિયાએ આઠ ઇન્ટર કોન્ટનેન્ટલ મિસાઇલ ગયા વર્ષે લૉન્ચ કરી અને ૬૦ મિસાઇલનાં પરિક્ષણો કર્યા.

આમ તો આ વાત અહીં અટકે એમ છે જ નહીં પણ હવે ભારતની વાત કરીએ તો ભારતે રાજકીય મુત્સદ્દીપણાને મામલે સુરંગોની બિછાત પર ચાલવાનું છે. આપણે ભલે  2035 સુધીમાં ૧૦ ટ્રિલિયન ડૉલર્સની ઇકોનોમી બનવાના હોઇએ પણ ભારત વૈશ્વિક નેતૃત્વના મંચ પર પોતાનો કેટલો પ્રભાવ પાડી શકશે? ૧૦ ટ્રિલિયનની ઇકોનોમી બની આપણે આર્થિક મહાસત્તાની યાદીમાં ત્રીજા ક્રમાંકે હોઇશું. પણ 2035ને હજી બહુ વાર છે. આવતા વર્ષની વાત કરીએ તો ભારત પાસે છે G20 અને શાંઘાઇ કોપરેશન ઓર્ગેનાઇઝેશનનું (એસ.સી.ઓ.) નેતૃત્વ. ભારત સામે પડકાર છે બધા દેશો સાથે સંવાદ ચાલુ રાખવો, એમાંથી સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રોને પોતાના ધ્યેયલક્ષી રોકાણો માટે તૈયાર કરવા. ભારતે વાત બધા સાથે કરવી પડશે પણ કામ કોની સાથે કરવું તે મામલે ચીવટ રાખીને આગળ વધવું પડશે. સંઘર્ષથી દૂર રહી, રાષ્ટ્રલક્ષી લાભ મેળવવા ભારતનું ફોકસ છે અને રહેશે. ભારતે ચીન અને રશિયાને મામલે શતરંજની ચતુરાઈ ભરી બાજી ખેલવી પડશે. ભારતે આ સમિટ્સ દરમિયાન એ રીતે સંવાદ સાધવો પડશે કે એવી વિદેશ નીતિ ઘડાય જેનાથી ધાર્યા પરિણામો મળે. ભારતે સહકારની ભાવનાને કેન્દ્રમાં રાખીને વૈશ્વિક રાજકારણની ત્રિરાશીઓ માંડવી પડશે નહિંતર સબ કા સાથ, સબકા વિકાસ વાળી સિદ્ધિ મેળવવી મુશ્કેલ હશે.

બાય ધી વેઃ

મૂળે બધી બબાલ ચીન, રશિયા અને યુ.એસ.એ.ની અમુક તમુક પ્રકારની આડોડાઇને લીધે થઇ છે. આપણે વૈશ્વિક નેતૃત્વનો ચહેરો બનવું હશે તો એક બીજી વાત પણ સાચવવી પડશે કે ખાલી બહારથી બધું ચકાચક હશે તો નહીં ચાલે. આપણા દેશનું આંતરિક બંધારણ મજબૂત હોય, અહીં ધ્રુવીકરણની રાજનીતિ ન ખેલાયા કરે એ પણ જરૂરી બનશે. 2024ની ચૂંટણીમાં જે થશે તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ પડવાના અને સાહેબે જે રીતે બધું ગોઠવી રાખ્યું છે એ જોતા ભા.જ.પા.ની જીત તો વર્તાય જ છે પણ શું વૈશ્વિક મહાસત્તામાં વાડાબંધી, ધર્માંધતા, ધનિકો જ ધનિક બને વાળી વૃત્તિ હોય તો ચાલે? યુ.એસ.એ.માં આવું બધું લાંબો વખત ચાલ્યું પણ હવે એ પણ મુશ્કેલીમાં છે, આપણને એક દેશ તરીકે બહુ સમય નહીં મળે કારણ કે હવે તો માહિતીના ઉભરામાં બધું બહુ જલદી બહાર પડી જાય છે. આપણું ભવિષ્ય ઉજ્જવળ જ છે પણ વર્તમાનનો સ્થાયીભાવ સમભાવ અને સહિષ્ણુતા હશે તો સોને પે સુહાગા એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જાન્યુઆરી 2023

Loading

શું આપણા બંધારણને વકીલો આંચકી ગયા છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|1 January 2023

આપણી સામે આજે પ્રશ્નો આટલા છે :

૧. આપણું બંધારણ વાસ્તવિક ભારતને નિરૂપતું બંધારણ નથી, પણ હોવા જોઈતા ભારતને નિરૂપતું બંધારણ છે.

૨. બંધારણ નિરુપિત હોવું જોઈતું ભારત દરેકને પૂરેપૂરું સ્વીકાર્ય છે એવું નથી. કોઈને બ્રાહ્મણોના વર્ચસવાળું સનાતની ભારત જોઈએ છે, કોઈને હિંદુઓની સરસાઈવાળું હિંદુરાષ્ટ્ર જોઈએ છે, કોઈને સામ્યવાદી ભારત જોઈએ છે, કોઈને સમાજવાદી ભારત જોઈએ છે અને કોઈને વળી ભારતની અંતર્ગત દ્રવિડ ભારત, શીખ ભારત વગેરે જોઈએ છે. કેટલાક મુસલમાનોને બંધારણની સમાંતરે ઇસ્લામિક કાયદાઓની પણ આણ જળવાય એવું ભારત જોઈએ છે. એ દરેકને તેમની કલ્પનાના ભારતના નિર્માણમાં ભારતનું વર્તમાન બંધારણ અડચણરૂપ છે. આમ અત્યારે જે લોકો દેશ ઉપર શાસન કરી રહ્યા છે એ લોકોને હિંદુઓના વર્ચસવાળું હિંદુરાષ્ટ્ર જોઈએ છે એટલે તેમને ભારતનું બંધારણ અત્યારના સ્વરૂપમાં સ્વીકાર્ય નથી. ભારતનું બંધારણ હિંદુરાષ્ટ્રની રચનામાં બાધારૂપ છે.

૩. બંધારણનું અર્થઘટન કરવાનું, બંધારણનું રક્ષણ કરવાનું, બંધારણીય ભારતનું રક્ષણ કરવાનું, ભારતના સામર્થ્યહિન અદના આદમીના (નાગરિકના) અધિકારોનું રક્ષણ કરવાનું, ભેદભાવ વિના પ્રત્યેક નાગરિકને ન્યાય આપવાનું કામ ન્યાયતંત્રને અને મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવ્યું છે.

૪. દેખીતી રીતે જે લોકો પોતાની કલ્પનાના ભારતને સાકાર કરવા માગે છે તેમને વર્તમાન બંધારણની સાથે સાથે એ બંધારણનું, બંધારણીય ભારતનું તેમ જ બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરનાર ન્યાયતંત્ર પણ અડચણરૂપ છે.

૫. આખરે માનવરચિત પ્રત્યેક સંસ્થા માનવી જ ચલાવે છે અને એમાં ન્યાયતંત્રનો પણ સામવેશ થાય છે. ન્યાયતંત્રમાં નિયુક્ત થતા જજોની પ્રામાણિકતા, તેમની આવડત, બંધારણ-કલ્પિત ભારત માટેની તેમની પ્રતિબદ્ધતા, તેમની તટસ્થતા, તેમની નીર્વૈરતા અને નિર્ભયતાની ગેરંટી કોઈ ન આપી શકે.

૬. આ સ્થિતિમાં રસ્તો એક જ બચે છે; ચાળીચાળીને જજોની ભરતી કરવામાં આવે, ચાળીચાળીને બઢતી આપવામાં આવે, ચાળીચાળીને જજોને સર્વોચ્ચ અદાલતમાં મોકલવામાં આવે.

૭. પણ આ કરે કોણ? કરવાનો અધિકાર કોને આપવામાં આવે અને ચાળવાની અને પસંદગીની પ્રક્રિયા કેવી હોય? એ પ્રક્રિયા પણ કોણ ઘડે અને કોણ નક્કી કરે?

આપણા દુર્ભાગ્યે કે પછી કદાચ આપણા સદભાગ્યે બંધારણ ઘડનારાઓએ આ પ્રશ્ન ખુલ્લો રાખ્યો છે અને ભવિષ્યની પેઢી પર છોડ્યો છે. આમ કરવા પાછળનું એક કારણ તો એ કે જગતના કોઈ દેશમાં જજોની પસંદગીની અને બઢતીની ક્ષતિરહિત આદર્શ વ્યવસ્થા નથી. જે પણ પ્રક્રિયા અપનાવવામાં આવે એમાં પ્રશ્નો છે. બીજું કારણ એ કે આદર્શ વ્યવસ્થાના અભાવમાં કોઈ એક (એક બાજુ ન્યાયતંત્ર અને બીજી બાજુ સરકાર અને સંસદ અર્થાત્ એક્ઝીક્યુટીવ અને લેજીસ્લેચર)ને અસંતુલિત સત્તા આપવા કરતાં ભલે ખોરવાતું રહે, પણ સંતુલન સારું. ભવિષ્યમાં લડતા ઝઘડતા, પડતા-આખડતા ફરી પાછા સંતુલન મેળવી લેશે. ત્રીજું કારણ એ હશે (અને આ મારું અનુમાન છે) કે બંધારણ કલ્પિત ભારતને હજુ ઘડવાનું છે અને ઘડતર એક એવી પ્રક્રિયા છે જેમાં ઘડનારાઓના હાથ ચુસ્તપણે બાંધી લેવામાં ફાયદા કરતાં નુકસાન વધુ થઈ શકે. વળી ઘડનારાઓ એક નથી અનેક છે અને અનેક સ્તરે છે. દરેકના પોતાના અધિકારો છે અને ફરજો છે. માટે કોઈ એક પક્ષે ધોરીમાર્ગ કંડારી આપવા કરતાં અનેક કેડીઓ કંડારવામાં વધારે સલામતી છે. એ કેડીઓ ક્વચિત મળશે અને ક્વચિત છેદ ઉડાડશે, પણ અસંતુલન પેદા નહીં કરે.

આટલી પૃષ્ઠભૂમિ સમજી લીધા પછી જુઓ શું બને છે! બંધારણ ઘડનારાઓની દૂરદૃષ્ટિ નજરે પડશે.

હજુ તો બંધારણીય ભારત અસ્તિત્વમાં આવ્યું ન આવ્યું અને પ્રશ્ન ઉપસ્થિતિ થયો જમીનદારીનો. ભારતમાં જમીનદારી હતી અને કેટલાક લોકો પાસે હજારો એકર જમીન હતી. બીજું, જમીનદારી એ માત્ર જમીનની માલિકી નહોતી, જમીનદારી એક સામાજિક આર્થિક વ્યવસ્થા હતી જેને સામંતશાહી તરીકે ઓળખાય છે. જમીન ખેડનારા કૃષિ મજદૂરોને પેઢી દર પેઢી ગુલામ તરીકે રાખી શકાય, જમીનની માલિકીનો વારસો પરિવારના માત્ર પુરુષ સભ્યોને જ મળે અને કેટલીક વાર તો માત્ર મોટા દીકરાને જ મળે. આમ જમીનદારને ત્યાં જમીન ખેડનારા મજૂરને થઈ રહેલા અન્યાયની વાત છોડો, જમીનદાર પરિવારનાં સભ્યોને પણ અન્યાય કરવામાં આવતો હતો. માટે જમીનદારી એ જમીનની માલિકીનો પ્રશ્ન નહોતો પણ એ પોતે એક સામંતી વ્યવસ્થા હતી અને દેખીતી રીતે બંધારણ કલ્પિત ભારત સાથે વિસંગત હતી. બંધારણ નિરુપિત ભારતનું નિર્માણ કરવું હોય તો આ જમીનની માલિકીજન્ય સામંતી વ્યવસ્થાનો અંત લાવવો જરૂરી હતો.

હવે બન્યું એવું કે જે તે રાજ્યો જમીનદારી નાબૂદીના કાયદા ઘડવા લાગ્યા અને જમીનદારો તેને અદાલતમાં પડકારવા લાગ્યા. તેમની દલીલ એવી હતી કે જમીનદારી નાબૂદીના કાયદાઓ તો પ્રતિનિધિગૃહો(લેજીસ્લેચર)નાં ઘડેલા કાયદાઓ છે, જ્યારે ભારતના પ્રત્યેક નાગરિકને મૂળભૂત અધિકારો તો બંધારણ સભાએ આપેલા છે અને માટે તે વધારે વજન ધરાવે છે. આ દલીલ સાચી છે. બંધારણીય જોગવાઈ અને કાયદાકીય જોગવાઈ વચ્ચે અથડામણ થાય તો કાયદાકીય જોગવાઈ વધારે વજન ધરાવે છે. શ્રુતિ અને સ્મૃતિ જેવો સંબંધ છે. મૂળભૂત અધિકારોમાં સંપત્તિની માલિકીનો પણ સમાવેશ થાય છે. 

એમાં કોઈ શંકા નથી કે ભારતના પ્રત્યેક નાગરિકને સંપત્તિના અધિકાર સહિત કેટલાક મૂળભૂત અધિકારો બંધારણે આપ્યા છે, તેને પવિત્ર માનવામાં આવ્યા છે, તેને સુરક્ષિત કરવામાં આવ્યા છે અને તેની સુરક્ષા કરવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. પણ એ જ સમયે સામંતી ભારત પણ સ્વીકાર્ય નહોતું. જમીનદારો જમીનદારી નાબૂદીના કાયદાઓને ઉપર કહી એવી દલીલોનો આશરો લઈને વડી અદાલતોમાં પડકારતા હતા અને જજો મોટાભાગે તેમની વિરુદ્ધ ચુકાદાઓ આપતા હતા. જજોનો વિવેક કામ કરતો હતો. તેમને જાણ હતી કે મૂળભૂત અધિકારો અદના નાગરિકના રક્ષણ માટે આપવામાં આવ્યા છે, તેની આડમાં સામંતશાહીને પોષવા માટે નથી આપવામાં આવ્યા. પણ એમાં એવું બન્યું કે પટનાની વડી અદાલતે જમીનદારની તરફેણમાં ચુકાદો આપ્યો અને એ પણ મૂળભૂત અધિકારોના સિદ્ધાંતનો આશ્રય લઈને.

એ ચુકાદો કાયદાની એરણે ન્યાયી હતો, પણ એ છતાં અન્યાયી હતો. એ ચુકાદો કાયદાની દૃષ્ટિએ ચુસ્ત હતો, પણ માનવતાની દૃષ્ટિએ અમાનવીય અને પછાત હતો. અન્યાય માત્ર જમીનદારના મજૂરોને જ નહોતો થતો, જમીનદારનાં પોતાનાં પરિવારના સભ્યોને પણ થતો હતો. એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પટનાની વડી અદાલતના ચુકાદાથી વ્યથિત થઈ ગયા હતા. તેમણે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું (અને અહીં મૂળ અંગ્રેજી ટાંકવાની લાલચ રોકી શકતો નથી.) : “Somehow, we have found that this magnificent constitution that we had framed was later kidnapped and purloined by lawyers.” નેહરુએ કહ્યું હતું કે આખરે આપણા મહાન બંધારણને વકીલો આંચકી ગયા.

જો પટનાની વડી અદાલતના જજે બીજી અદાલતોના જજોની માફક વિવેક વાપર્યો હોત તો આ ન બન્યું હોત અને બીજું ઘણું બધુ ન બન્યું હોત જે એ ઘટનાને પરિણામે બન્યું અને બની રહ્યું છે. આજે પણ તેના ઓળાથી ભારતનું બંધારણ અને બંધારણ નિરુપિત રાષ્ટ્ર મુક્ત નથી થઈ શક્યું.

એ પછી શું થયું એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2461,2471,2481,249...1,2601,2701,280...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved