Opinion Magazine
Number of visits: 9458561
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેદાંતા-ફોક્સકોન: ઉદ્ધવ સેનાને ભાવતું હતું અને કેન્દ્રએ પીરસ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 September 2022

1.54 લાખ કરોડનો વેદાંતા-ફોક્સકોન સેમીકંડકટર પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્રને બદલે પાડોશી ગુજરાતમાં ઉત્પાદન કરશે. હાલના ડેપ્યુટી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની 2015માં સરકાર હતી, ત્યારે આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં સ્થાપવાની કાર્યવાહી શરૂ થઇ હતી. આ પ્રોજેક્ટથી રાજ્યમાં એક લાખ રોજગાર ઊભા થવાના હતા. હવે એ અવસર ગુજરાતને મળશે.

ગયા મંગળવારે, 13 સપ્ટેમ્બરે, વેદાંત રિસોર્સિસના સ્થાપક ચેરમેન અનિલ અગ્રવાલે જાહેરાત કરી કે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના માંધાતા ફોકસકોન સાથે મળીને તેમણે ગુજરાતમાં સેમીકંડકટરનો પ્લાન્ટ નાખવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના કરાર કર્યા છે. કરાર વખતે રેલવે, વાણિજ્ય, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિન વૈષ્ણવ ઉપસ્થિત હતા. અગ્રવાલે કહ્યું હતું કે, “ગુજરાતમાં બે વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થશે. તેનાથી દેશની ઈલેક્ટ્રોનિક્સ આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણા લોકોને એક લાખથી વધુ નોકરીઓ મળશે.”

વેદાંતે ભારતમાં સેમીકંડકટરનું ઉત્પાદન કરવા માટે ફોક્સકોન સાથે 60:40ની ભાગીદારી કરી છે. મોટરકારથી લઈને મોબાઈલ ફોન સુધીની ડિજિટલ પ્રોડક્ટ્સમાં સેમીકંડકટર્સ અથવા માઈક્રોચિપ્સ અગત્યનો પાર્ટ છે. કંપની ઘણા મહિનાઓથી મહારાષ્ટ્ર સરકાર સાથે મંત્રણાઓ ચલાવી રહી હતી અને અચનાક તેણે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી આવી છે.

આ વિવાદ ત્યારે જ ઊભો થયો છે, જયારે શિંદે-ફડણવીસની ટીમ મુંબઈ મહાનગરપાલિકાની અગામી ચૂંટણીમાં ઉદ્ધવ સેનાને પછાડવા માટે કમ્મર કસી રહી છે. શિવસેનામાંથી બળવો કરીને તાબડતોબ ઊભી થયેલી તેમની સરકાર માટે મહાનગરપાલિકા બહુ અગત્યની છે, જેનું વાર્ષિક બજેટ 27, 811 કરોડનું છે, જે દેશનાં નાનાં રાજ્યો જેટલું છે. પાલિકા અત્યારે ઉદ્ધવ સેના પાસે છે અને અસલી સેના (અને અસલી તાકાત) કોની પાસે છે તે સાબિત કરવા માટે પાલિકામાં ફરીથી તેનો ઝંડો ફરકાવવો અગત્યનો છે. પાલિકાની ચૂંટણીનાં પરિણામનો રાજ્ય વિધાનસભાની 2024માં યોજાનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડશે.

અપેક્ષિત રીતે જ, વેદાંત-ફોક્સકોન ‘ફિયાસ્કો’ને ઉદ્ધવ સેનાએ પકડી લીધો છે અને તેને મહારાષ્ટ્ર વિરોધી નિર્ણય ગણાવ્યો છે. તેના યુવા નેતા અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ આ વિવાદની આગેવાની લીધી છે. તેમણે શિંદે-ફડણવીસ પર આરોપ મુક્યો છે કે કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકારના ઈશારે કામ કરતી મહારાષ્ટ્ર સરકારે પડોશી ગુજરાતના હિતમાં આ પ્રોજેક્ટને હાથમાંથી જવા દીધો છે. “મને ખુશી છે કે આ પ્રોજેક્ટ ભારતમાં જ છે, પણ જે પ્રોજેક્ટ નક્કી થઇ ગયો હતો તે જતો રહ્યો તે આઘાતજનક છે. નવી સરકાર રાજ્યના વિકાસ માટે કેટલી ગંભીર છે તે આ બતાવે છે.” આદિત્યએ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવે તે માટે તેમણે જાતે મહેનત કરી હતી અને મહા વિકાસ આઘાડીની સરકારે લગભગ તેને નક્કી કરી નાખ્યો હતો. 

એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાને લઈને કંપનીએ રાજકીય રીતે વધુ સ્થિર ગુજરાતમાં આ પ્લાન્ટને લઈ જવાનું નક્કી કર્યું છે. એવું હોય તો શિંદે સરકાર માટે એ સારા સમાચાર નથી. મહારાષ્ટ્રમાં જ્યારે સરકારના નામે માત્ર શિંદે અને ફડણવીસની જ કેબિનેટ હતી, ત્યારે જુલાઈમાં કંપનીએ તેના પ્રોજેક્ટની સલામતી માટે “કેન્દ્ર સરકારનું અલાઇનમન્ટ” અને કેબિનેટની મંજૂરી માગી હતી. એ પછી મુખ્ય મંત્રી શિંદે વેદાંતના ચેરમેનને એક પત્રમાં કહ્યું હતું કે, “રાજ્ય પાસે (તમારી) બે મહત્ત્વની વિનંતીઓ કેન્દ્ર સરકારનું અલાઇનમન્ટ અને કેબિનેટની મંજૂરીની છે. તમને જણાવતાં આનંદ થાય છે કે બંને દિશામાં કામ આગળ વધી રહ્યું છે.”

જો કે તે પહેલાં કંપનીએ “વ્યવસાયિક અને સ્વતંત્ર સલાહ”ને અનુસરીને ગુજરાત સાથે કરાર કરવાનું મુનાસીબ માન્યું હતું. ચેરમેન અગ્રવાલે કહ્યું હતું કે “અમારી અપેક્ષાઓ પૂરી થતી હોવાથી અમે મહિનાઓ પહેલાં ગુજરાત જવાનું નક્કી કર્યું હતું.” દેખીતી રીતે જ, ગુજરાત સરકારે કંપનીને મહારાષ્ટ્રની સરખામણીમાં બહેતર ઓફર કરી હોવી જોઈએ.

એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ત્રણ મહિના પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી જે રીતે રાજ્યમાં પગ પેસારો કરી રહી છે તે જોતાં ભા.જ.પ. માટે તેની એકપણ બેઠક ઓછી થાય તે નાલેશી જેવું છે. દેખીતી રીતે જ, કેન્દ્ર સરકાર ગુજરાતમાં તેની બેઠકો વધારવા માટે તમામ પ્રયાસો કરશે. એવામાં વિકાસના તેના નારાને સાબિત કરે તેવો એક લાખ ગુજરાતી યુવાનોને નોકરીઓ આપે તેવો આવડો મોટો પ્રોજેક્ટ ગુજરાત માટે લોટરી જ છે. ઇન ફેક્ટ, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતમાં આ પ્રોજેક્ટ શરૂ થાય છે તેની ખુશી વ્યક્ત કરી છે.

ઉદ્ધવ સેનાનો આરોપ છે કે શિંદે સરકાર કેન્દ્રની મોદી સરકાર સામે ઝુકી ગઈ છે. શિવસેનાના મુખપત્ર “સામના”માં એક તંત્રી લેખમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તેનું કારણ બહુ સીધું છે – એકનાથ શિંદેને મુખ્ય મંત્રી બનાવવા બદલ ભા.જ.પે. તેમની પાસેથી એક ફેવર માગી હતી અને એ પ્રમાણે જ થયું. “આ આરોપ નથી, પણ અમને ખાતરી છે. જે રીતે ફડણવીસે ઇન્ટરનેશનલ ફાયનાન્સ હબને મુંબઈમાંથી ગુજરાત જવા દીધું, એકનાથ શિંદેએ ફોક્સકોન-વેદાંત ગુજરાત જવા દીધું,” એમ ‘સામના’એ લખ્યું હતું.

આમાં એમ.એન.એસ.ના રાજ ઠાકરે પણ જોડાયા છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે લાખો રૂપિયાનો આ પ્રોજેક્ટ ગુજરાત જતો રહ્યો તેમાં શું કંપની પાસે પૈસા માગવામાં આવ્યાં હતા? આ વાતની તપાસ થવી જોઈએ. ઉદ્ધવ અને રાજ બંને “મરાઠી માણુસ”ના નારા પર તેમની રાજનીતિ કરતાં આવ્યા છે, એટલે દેખીતી રીતે જ આમાં મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુજરાતના જૂનાં જખ્મ તાજાં થાય તેમ છે.

ડેપ્યુટી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ બચાવની ભૂમિકામાં આવી ગયા છે. તેમણે વળતો ઘા મારીને કહ્યું છે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં રહે તે માટે મહાવિકાસ આઘાડીની સરકારે ગંભીરતા બતાવી નહોતી અને પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તો તેઓ એવી બૂમો પાડે છે જાણે ગુજરાત પાકિસ્તાનમાં હોય. દરમિયાનમાં, રાજ્ય સરકારને પણ અંદાજ છે કે ઉદ્ધવ સેના આને મુદ્દો બનાવશે. આ વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટની ભરપાઈ માટે તેઓ 3. 5 લાખ કરોડના રત્નાગિરિ રિફાઇનરી પ્રોજેક્ટને ધક્કો મારે અને કેન્દ્ર સરકાર એમાં સહયોગ કરે તેમ મનાય છે.

આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તેનાથી ઔધોગિક રોકાણમાં મહારાષ્ટ્રની “સૌથી પસંદગીના” રાજ્યની છબીને પણ ધક્કો લાગ્યો છે. પરંપરાગત રીતે, મહારાષ્ટ્ર બિઝનેસ અને ઉધોગો સ્થાપવામાં મોખરે રહ્યું છે, પરંતુ 2021ના રિઝર્વ બેંકના ડેટા અનુસાર દેશના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે. સી.એન.બી.સી.ના રિપોર્ટ પ્રમાણે, મેન્યુફેક્ચરિંગમાં નાણાંકીય વર્ષ 12થી 20 વચ્ચે ગુજરાતનું ગ્રોસ વેલ્યુ એડિશન વાર્ષિક 15.9 ટકાના દરે વધ્યું છે, જ્યારે એ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રનો દર 7.5 ટકા રહ્યો હતો.

બિઝનેસનાં રોકાણો માટે રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે તે સરવાળે દેશ માટે સારું જ છે, પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યો સાથે જો સંતુલિત અને તંદુરસ્ત વ્યવહાર ન કરે તો કેન્દ્ર-રાજ્યો વચ્ચેના સંબંધો વરવા સાબિત થાય તેમ છે. દેશમાં ઓલરેડી વિપક્ષોની રાજ્ય સરકારો સાથે કેન્દ્રના અન્યાયી વ્યવહારની ફરિયાદો ઊઠી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એવું બહુ જોવા મળ્યું હતું.

આ નવા વિવાદમાં જોખમ એ છે મહારાષ્ટ્ર અને ગુજરાતના તંગ સંબંધો 50 વર્ષ જૂનાં છે, જ્યારે ભાષાના આધારે બે રાજ્યો અલગ પડ્યાં હતાં અને મુંબઈને લઈને બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. મોદી મુખ્ય મંત્રી હતા ત્યારથી ગુજરાત અને અમદાવાદ ઘણા બિઝનેસ આકર્ષિત કરી રહ્યું છે. વેદાંતા-ફોક્સકોનનો પ્રોજેક્ટ ગુજરાત ગયો તેમાં એવી છાપ મજબૂત થવાની સંભવાના છે કે મોદી સરકાર ગુજરાતને વધુ મહત્ત્વ આપે છે. ગુજરાતી-મરાઠીઓના સંબંધો માટે આવી છાપ જોખમી છે.

ગુજરાતીમાં કહેવત છે – ભાવતું હતું અને વૈધે કહ્યું. મહારાષ્ટ્રમાં ગયા જૂન મહિનામાં સત્તામાંથી બહાર ફેંકી દેવાયેલી ઉદ્ધવ સેનાને શિંદે સેના પર વાર કરવા માટે કશુંક જોઈતું હતું અને કેન્દ્રની ભા.જ.પ.ની સરકારે તેને તલવાર જ પકડાવી દીધી.

લાસ્ટ લાઈન:

“તમે જો કેન્દ્ર સરકારને સહારાના રણનો કારભાર સોંપો, તો 5 વર્ષમાં રેતીની અછત સર્જાય.”

— મિલ્ટન ફ્રાઈડમેન, અમેરિકન અર્થશાસ્ત્રી

(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

* પધારો શાકંભરી ઓ દુર્ગા! *

પંચમ શુક્લ|Poetry|26 September 2022
સતત સદંતર ફૂંકાતા બણગા,
પ્રફુલ્લ છાતી, પ્રગટ છે જંઘા.
બધું અનાવૃત થઈને રહેશે,
જુગારી જૂગટે ચડ્યા અઠંગા
ચઢે છે નેવાંનાં પાણી આભે,
જટાથી દરિયે વહે છે ગંગા.
ક્યાં ભાગ્ય છે ને ક્યાં છે વિધાતા?
તલાશે ગુજરાત, ખોજે બંગા.
અશક્ત દૈવત ને દુર્ગ દારુણ,
પધારો શાકંભરી ઓ દુર્ગા!
ઓગસ્ટ -સપ્ટેમ્બર 2022
* શાકંભરી: દુર્ગ નામના રાક્ષસનો નાશ કરવા પાર્વતીએ શિવની આજ્ઞાથી રૂપ ધર્યું હતું. દુર્ગ અથવા દુર્ગમાસુર એણે તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યું કે મને સંપૂર્ણ વેદ આવડે. બ્રહ્મદેવે તથાસ્તુ કહેતાં જ એને સઘળા વેદ આવડી ગયા અને બ્રાહ્મણ માત્રને વેદની વિસ્મૃતિ થઈ. એમ થવાથી યજ્ઞાદિ કર્મ બંધ થઈ ગયાં. દેવોને હષિર્ભાગ મળતો બંધ થવાથી તેમની શક્તિ ક્ષીણ થઈ. તેથી પૃથ્વી ઉપર અનાવૃષ્ટિ થઈ. દુર્ગમે સઘળા દેવોનાં સ્થાન લઈ લીધાં. દેવોએ આદિશક્તિની આરાધના આરંભી. સઘળા દેવો આગળ શક્તિ પ્રગટ થઈ અને વર માગો એમ કહ્યું, પરંતુ અશક્તપણાને લીધે કશું બોલાયું જ નહિ. શક્તિએ પોતાની શતાવધિ આંખોથી દયા ભરેલી દૃષ્ટિએ દેવતાઓ સામે નિહાળ્યું અને પોતાને હાથે તેમને અનેક વનસ્પતિ ખવરાવી તેમની ગ્લાનિ દૂર કરી. આ ઉપરથી શક્તિનું નામ શાકંભરી પડ્યું. પછી શક્તિએ દુર્ગનો વધ કર્યો, એ ઉપરથી શક્તિનું નામ દુર્ગા પડ્યું.

Loading

વિકૃતિ જ હવે સંસ્કૃતિ છે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 September 2022

એવો દિવસ નથી ઊગતો જેમાં સ્ત્રીઓને લગતા અપરાધોથી મીડિયા બચી ગયું હોય. નાની છોકરીથી માંડીને કોઈ પણ ઉંમરની સ્ત્રીને દુષ્કર્મનો ભોગ બનાવવાનું સામાન્ય થઈ પડ્યું છે. છેડતી, બળાત્કાર, બીભત્સ ફોટો – વીડિયો વાયરલ કરી દેવાની ઘટનાઓ હવે કશા ય ક્ષોભ કે સંકોચ વગર બહાર આવે છે. પ્રેમી કે બોયફ્રેન્ડ હવે લગ્નની રાહ નથી જોતાં. અંગત પળોનો વીડિયો કે ફોટો પ્રેમી ઉતારે છે ને પ્રેમિકા તે ઉતારવા પણ દે છે ને પછી પ્રેમી તેને વાયરલ કરી દેવાની ધમકી આપી તેનું આર્થિક કે શારીરિક શોષણ કરે છે તો પ્રેમિકા પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. પણ, આ બધું ય હવે કોઠે પડી ગયું હોય તેમ એમાં કોઈને કૈં ચિંતા કરવા જેવું લાગતું નથી. આમાં ઘટાડો થતો નથી ને એને સ્વાભાવિક ક્રમમા સ્વીકારી લેવા જેવી ખંધી સ્વસ્થતા સૌએ કેળવી લીધી છે. અનેક પ્રકારે અને રીતે સ્ત્રીઓનો દુરુપયોગ અગાઉ નવી વાત ન હતી ને હવે પણ નથી. પણ આશ્ચર્ય ને આઘાત એ વાતે છે કે શિક્ષણ જેમ જેમ વધતું આવે છે તેમ તેમ એવા અપરાધોમાં ઉત્તરોત્તર વધારો જ થતો જોવામાં આવે છે, ત્યારે પ્રશ્ન થાય કે આવી માનસિકતા આજનાં શિક્ષણનું પરિણામ તો નથી ને? માણસ પણ હવે ઉપયોગનાં સાધનથી વિશેષ કૈં નથી ને શિક્ષણ પણ હવે તેના ઉપયોગની રીતો પૂરી પાડતું હોવાનો વહેમ પડે છે.

અઠવાડિયા પર પંજાબના મોહાલીમાં એક બે નહીં, પણ 60 નહાતી વિદ્યાર્થિનીઓના વીડિયો વાયરલ થયા ને એની એ વિદ્યાર્થિનીઓ પર એવી ઘેરી અસર પડી કે 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાની કોશિશ કરી અને તેમાંથી એકની હાલત ગંભીર થઈ ગઈ. આ ઘટના પંજાબની ખાનગી યુનિવર્સિટીમાં બનતાં મોહાલીમાં અને આખા દેશમાં તેના પડઘા પડ્યા છે. એમાં આઘાત આપનારી બાબત એ છે કે આ વીડિયો ઉતારવાનો આરોપ એ જ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની એક વિદ્યાર્થિની ઉપર છે. તે ગર્લ્સ હૉસ્ટેલના બાથરૂમમાંથી વીડિયો બનાવતાં રંગેહાથ પકડાઈ છે. તેણે સીમલાના તેના મિત્રને એ વીડિયો મોકલ્યો ને તેણે એ વાયરલ કરી દીધો. વિદ્યાર્થિનીઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરી અને પોલીસે એ કથિત વિદ્યાર્થિનીની ધરપકડ પણ કરી છે. હોબાળો એટલો થયો કે પોલીસે મામલો હાથમાં લીધો ને નોબત લાઠીચાર્જ સુધી આવી. બીજી તરફ મેનેજમેન્ટ એ પેરવીમાં છે કે વાત વણસે નહીં, એટલે એ વિદ્યાર્થીઓ પર દબાણ લાવીને મામલો થાળે પાડવા માંગે છે. 6 દિવસ સુધી કેમ્પસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો ને 2 વૉર્ડનને સસ્પેન્ડ કરી દેવામાં આવી. કાયદો એની રીતે કામ કરે કે ન કરે, તે તો સમય કહેશે. આનો પડઘો હોય કે ટેલિપથી, ખબર નથી, પણ આવી જ ઘટના ધરમપુર તાલુકાની ઓઝરપાડાની એક ‘કન્યા સાક્ષરતા નિવાસી શાળા’માં પણ બની.

આ શાળાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે કે હૉસ્ટેલના રસોઈયાઓ બાળકીઓ નહાતી હોય કે કપડાં બદલતી હોય ત્યારે બાથરૂમની બારીમાંથી ફોટા પાડે છે અને વાયરલ કરી દેવાની ધમકી આપે છે. આ ઉપરાંત આ રસોઈયાઓ છોકરીઓ સામે અભદ્ર કોમેન્ટ પાસ કરે છે. છોકરીઓએ આ અગાઉ ખરાબ ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાની ફરિયાદ પણ કરી છે, બને કે રસોઈયાઓનું કૃત્ય તેની પ્રતિક્રિયા જ હોય. આચાર્યાએ પોલીસ ફરિયાદ કરી છે. રસોઈયાઓ ઊંચી જાતિના હોવાથી આદિવાસી કન્યાઓની છેડતીનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ રીતે વર્તતા હતા. જો કે, હોબાળો થતાં બંને ભાગી ગયા હતા અને આચાર્યાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી શનિવારે તેમની ધરપકડ પણ કરી છે. આચાર્યાએ પણ સ્વેચ્છાએ બદલી માંગી લીધી છે. એમણે બદલી માંગી છે કે પ્રશાસને કરી છે તે બહુ સ્પષ્ટ નથી. આચાર્યા, ગૃહમાતાની ભૂમિકા શંકાસ્પદ છે. આચાર્યા વીડિયોમાં એવું કહેતાં દેખાય છે કે વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી અને રસોઈયાઓને કાઢી મુકાયા, પણ એ પણ તરતનું લેવાયેલું પગલું લાગતું નથી. એમણે ક્યાં ય સુધી તો એવું જ રટણ કર્યું છે કે વિદ્યાર્થિનીઓએ કે શિક્ષિકાઓએ એવી કોઈ ફરિયાદ કરી નથી કે ફરિયાદ પેટીમાં પણ એક પણ ફરિયાદ આવી નથી. બીજી તરફ વાલીઓ સુધી ફરિયાદ પહોંચી છે ને એ પછી આચાર્યાને આ મામલે સક્રિય થવાનું બન્યું હોય એમ બને. આ સંસ્થા કન્યાશાળા છે એવું યાદ આવતાં મેનેજમેન્ટે પછી રાંધવા માટે દસ મહિલાની વ્યવસ્થા કરી હોવાનું બહાર આવ્યું છે. એની વે, પોલીસે પોકસો અને એટ્રોસિટી મુજબનો ગુનો નોંધી રસોઈયાઓને પકડી પાડ્યા છે.

એને અકસ્માત જ ગણવો પડે કે પંજાબ અને ગુજરાતમાં એક જ પ્રકારની બે ઘટનાઓ એક જ અઠવાડિયામાં બને છે. બંનેમાં નહાતી વિદ્યાર્થિનીઓનાં ફોટા-વીડિયો ઊતરે છે ને વાયરલ કરી દેવાની ધમકી અપાય છે. એકમાં, આવા વીડિયો, સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જ ઉતારે છે ને બીજામાં એ કામ પુરુષો-રસોઈયાઓ કરે છે. આમ જુઓ તો આ મર્યાદાભંગ, અવિવેક અને બેશરમીનું પરિણામ છે. એમાં સ્ત્રી હોય કે પુરુષ બહુ ફરક પડતો નથી. એ વિચારવા જેવું છે કે આવું કેમ થાય છે? આવું આજે જ થાય છે ને પહેલાં થયું જ નથી એવું નથી, પણ જે રીતે એનું પ્રમાણ વધતું આવે છે તે અનેક સ્તરે વિચારતા કરી મૂકે એવું છે.

સ્ત્રી-પુરુષનો પ્રેમ પરાપૂર્વથી ચાલ્યો આવે છે, પણ એમાં જે એકબીજાં માટેનો આદર હતો, લાગણી હતી, તેનું પ્રમાણ ઘટતું આવે છે. એ સંદર્ભે કુટુંબમાં જે સ્નેહ, વાત્સલ્ય હતાં તે હવે પહેલાં જેવાં નથી. એમાં જે નિર્ભેળ લાગણીઓ વહેતી હતી તેણે એકબીજા તરફની ફરજો, જવાબદારીઓ ઊભી કરી હતી. એનું સ્થાન હવે અધિકાર અને અહંકારે લીધું છે. એ પણ છે કે જ્યાં અમર્યાદ સંપત્તિ આવી, તેણે માણસને વધુને વધુ લોભી બનાવ્યો. હક વગરની સંપત્તિએ એ લોભનો વિસ્તાર કર્યો. એમાં જ્યાં રાજકારણ ઉમેરાયું ત્યાં કેવળ સ્વાર્થનું અને સમૃદ્ધિનું અનિષ્ટ જ વિકસ્યું. કોઈ પણ કામ પૈસાથી કરાવી શકાય છે અથવા તો અટકાવી શકાય છે એ (અ)જ્ઞાન, ઉપરથી નીચે સુધી રેલાયું. એવું નથી કે બધે જ આમ થયું. સપત્તિ અને સંબંધો વચ્ચે વિવેક જળવાયો પણ ખરો. પણ અનેક સ્તરે નાલાયકી અને હરામની કમાણીનો આગ્રહ વધતો આવ્યો. આમ તો ટેકનોલોજી મનુષ્યની મદદ માટે જ આવી હતી, પણ એના દુરુપયોગે એ સ્થિતિ સર્જી કે કુટુંબ વચ્ચેનો સંબંધ લગભગ ખતમ થયો. મોબાઇલના અતિશય ઉપયોગે નિર્જીવનો મહિમા વધાર્યો અને સજીવની ઘોર અવગણના કરી. એક જ કુટુંબનાં બધા સભ્યો મોબાઈલને કારણે ઘરની બહાર નીકળ્યા ને દુનિયાભરના પારકા સભ્યો ઘરનાં બેડરૂમ સુધી ઘૂસી આવ્યા. ઘરનાં પારકા થયા ને પારકા ઘરમાં આવી ગયા. એમાં બધા જ કામના હતા એવું ન હતું, એ સૌ સમય પસાર કરવા જ ઘરમાં આવ્યા અને સ્થિતિ એવી થઈ કે કોઈની પાસે જ સમય ન રહ્યો. નવરા બધા હતા, પણ સમય કોઈની પાસે ન હતો. એમાં સૌથી વધુ ભોગ કુટુંબનો લેવાયો. એના સભ્યો વચ્ચે હૂંફ, લાગણી જેવું ખાસ ન રહ્યું. તેણે સ્વાર્થ અને બદમાશીનું રૂપ ધારણ કર્યું. મોબાઈલથી ફોટા પાડી શકાય, વીડિયો ઉતારી શકાય એ સારી વાત હતી, પણ તેણે અંગતતાને જાહેર કરી. પોતાની જ પ્રેમિકાનો વીડિયો તેને બદનામ કરવાનું નિમિત બન્યો. દીકરી જેવી વિદ્યાર્થિનીને મોબાઈલે નહાતી જોઈ ને તેને બદનામ કરવાનો, લાભ લેવાનો વિચાર આવ્યો. આ વિચાર વિકૃતિ સુધી ગયો. આજે ઠેર ઠેર આવી વિકૃતિના અડ્ડા જામ્યા છે. એવું નથી લાગતું કે આપણે ઉકરડાઓ વચ્ચે શ્વસી રહ્યા છીએ?

આમ તો ટેકનોલોજી શિક્ષણનું જ પરિણામ હતી, પણ જે પ્રકારનાં શિક્ષણનો મહિમા આપણે વધાર્યો છે એમાં સંસ્કૃતિ, સમાજ, ભાષા, સાહિત્ય, કળાનો સમાવેશ કેટલો છે એ વિચારવા જેવું છે. એ સાચું છે કે આજીવિકા આવાં શિક્ષણથી ખાસ મળતી નથી. શિક્ષણ હવે આનંદ માટે નથી, તે પગાર માટે છે. જે વધારે પગાર આપે તે જ શિક્ષણ ને તેવું જ શિક્ષણ કામનું છે એવી વ્યાખ્યા હવે બંધાતી આવે છે. એવું હોય તેનો ય વાંધો નથી, પણ કળા, સંસ્કૃતિનો જ જ્યાં છેદ ઊડે ત્યાં પગારદાર રોબોટ્સ નહીં તો બીજું શું હાથ લાગે ને એને માનવીય ગુણોનું તો શું કામ પડે? આજે અંગ્રેજીને બાદ કરતાં ભાષાનું, કળાનું મહત્ત્વ ઘટતું આવે છે. યુનિવર્સિટીઓ પણ એનું મહત્ત્વ ઘટે એને માટે પ્રયત્નશીલ છે. અંગ્રેજીનું મહત્ત્વ ભાષા પૂરતું નહીં, પણ તે કમાવી આપનારું માધ્યમ છે એટલે છે. આવી સ્થિતિ હોય ત્યાં અપરાધની જ આરાધના થાય ને એ કરવામાં અત્યારે તો આખું જગત જોડાયું હોય એમ લાગે છે. ક્યાંયથી પણ ચોખ્ખો શ્વાસ મળે એવી હવા દેખાતી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,2441,2451,2461,247...1,2501,2601,270...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved