Opinion Magazine
Number of visits: 9458319
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલુંક છે, હજી?

રવીન્દ્ર પારેખ|Poetry|11 October 2022

શરીર રહી ગયું છે

ને નામ પણ છે હજી

શરીર ભઠ્ઠીમાં જશે

એ સાથે નામ પણ જશે

પણ એનો ભડકો નહીં થાય

એ બહાર આવશે તપીને

અને રહી જશે હવામાં

ફૂલ ખરે છે

ને સુવાસ રહે છે

એમ રહી જવાશે ક્યાંક

કોઈ પંક્તિમાં

કોઈ શબ્દમાં

કોઈ સમરણમાં …

કેવું છે આ?

જીવન પૂરું થઈ ગયું

પણ જીવવાનું પૂરું …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

શું ભારત અને અમેરિકાનાં લોકતંત્ર સૌથી વધુ ભીંસમાં છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 October 2022

આજે જગત આખામાં લોકતંત્ર ભીંસમાં છે, સર્વત્ર લોકતંત્ર સામે અસ્તિત્વનું સંકટ પેદા થઈ રહ્યું છે, પરંતુ એમાં પણ લોકતંત્ર સામે સૌથી મોટું સંકટ હોય તો એ ભારત અને અમેરિકામાં. વસ્તીની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત અને સમૃદ્ધિની દૃષ્ટિએ જગતનો સૌથી શ્રીમંત દેશ અમેરિકા. આ બન્ને દેશો હજુ ગઈકાલ સુધી તેની ઉદારમતવાદી લોકતાંત્રિક પરંપરા માટે ગર્વ અનુભવતા હતા. ભારતમાં પ્રવેશતા પાકિસ્તાનીને ચીડવવા માટે કે પછી પ્રેરિત કરવા માટે અથવા તો પછી ગર્વ લેવા માટે અમૃતસર નજીક વાઘા બોર્ડર પર મોટું વિશાળકાય હોર્ડિંગ મુકવામાં આવ્યું છે જે જગતના સુથી મોટા લોકશાહી દેશમાં આગંતુક મહેમાનનું સ્વાગત કરે છે.

તો પછી આવું બન્યું કેમ? અને ખાસ કરીને જગતના તમામ લોકશાહી દેશોમાં ભારત અને અમેરિકાનાં લોકતંત્ર જ કેમ સૌથી વધુ ભીંસમાં છે? આનાં કારણો તપાસવાં જોઈએ. જો કારણો શોધવામાં આવશે તો ઉકેલ પણ જડશે.

બન્ને દેશો માટે એક કારણ સમાન છે અને એ છે લોકતંત્ર સામેનાં સંભવિત પડકારો સામે આંખ આડા કાન કરવા. પડકારો દાયકાઓથી નજરે પડી રહ્યા હતા. ફેડરલ અમેરિકામાં ફેડરલ ઢાંચાને લગતા પ્રશ્નો વિચિત્ર છે. વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશમાં આવી પણ વિચિત્રતા અને વિસંગતતા હોય એવો પ્રશ્ન પેદા થાય. થયા પણ છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પદ્ધતિ વિચિત્ર છે. આ સિવાય સત્તાની વહેંચણીને લગતા પણ પ્રશ્નો છે. પણ અમેરિકનોએ તેની પરવા કરી નહોતી. લોકશાહી કામ કરે છે ને! જગતમાં ડંકો વાગે છે ને! વિશ્વના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશ તરીકેની અમેરિકા ઓળખ ધરાવે છે ને! ઘરઆંગણે ભલે લોકતંત્ર ભલે વિસંગતિગ્રસ્ત હોય પણ જગતમાં બીજાના સ્વાતંત્ર્યની ઐસીતૈસી કરીને દાદાગીરી કરવા મળે છે ને! બસ પછી બીજું શું જોઈએ? કોલર ઊંચા કરીને જગતના કાજી બનીને ફરવામાં અમેરિકાએ વર્ષો વેડફી નાખ્યાં. પાછો કાજી પણ પ્રમાણિક નહીં, પક્ષપાતી. અને ઉપરથી સમૃદ્ધિ પણ સાચી નહીં, ચળકાટવાળી.

આ સિવાય પણ એક કારણ હતું. અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. રાજ્યોએ સાથે મળીને અમેરિકાની રચના કરી છે તે અમેરિકન રાજ્યો નથી. ભારત પણ રાજ્યોનો સંઘ છે, પણ તે ભારતીય રાજ્યો છે. ભારતનાં રાજ્યો વહીવટી સુગમતા માટે રચવામાં આવ્યાં છે જે વધુમાં વધુ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે અને તે બહુ મર્યાદિત અર્થમાં રાજકીય છે. માટે ભારતમાં આઝાદી પછીથી રાજ્યોની સંખ્યામાં ખાસો વધારો થયો છે અને થઈ રહ્યો છે. ભારતથી ઊલટું અમેરિકન રાજ્યો મૂળભૂતપણે રાજકીય છે. અમેરિકાનાં રાજ્યો અમેરિકન રાજ્યો બનવા તૈયાર નહીં થાય એવો અમેરિકનોને ડર છે. ૧૮૬૫માં આ રાજ્યોએ સંગઠિત અમેરિકા સામે અસ્તિત્વનું સંકટ પેદા કર્યું હતું અને અમેરિકા ટુકડા થતાથતા બચી ગયું હતું.

માટે જેમ ચાલે છે એમ ચાલવા દો. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑક્ટોબર 2022 

Loading

આપણું ડિજીટલ અકરાંતિયાપણું અને E-ફાસ્ટિંગ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 October 2022

મધ્ય પ્રદેશના રાયસેના જિલ્લામાં તાજેતરમાં દિગંબર સમાજના પર્યુષણ પર્વ દરમિયાન અનોખા ઉપવાસ કરવામાં આવ્યા હતા. જિલ્લાના બેગમગંજમાં, એક હજાર જૈનોએ 24 કલાક માટે તેમના મોબાઈલ ફોન મંદિરમાં જમા કરાવી દીધા હતા. સમાજના જૈન મુનિઓએ લોકો સમક્ષ ઇ-ફાસ્ટિંગનો એટલે કે ઇન્ટરનેટથી દૂર રહેવાનો સંકલ્પ મુક્યો હતો. તેની પાછળ તર્ક એવો હતો કે લોકો મોબાઈલ ફોનના એટલા જ વ્યસની થઇ ગયા છે, જેટલા ચા-બીડી-તમાકુના થઇ જાય છે અને હવે એવી સ્થિતિ છે કે તેમાંથી છૂટવા માટે ઉપવાસની ટેવ પાડવી જોઈએ.

જૈન પરંપરામાં ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. નોંધપાત્ર વાત એ છે કે તન-મનની શુદ્ધિ માટેની ઉપવાસ જેવી વૈજ્ઞાનિક ક્રિયાને ધર્મની પ્રાચીનતામાં બાંધેલી રાખવાને બદલે, સમાજના ચિંતનશીલ આગેવાનો-મુનિઓએ તેને વર્તમાન જીવનશૈલી સાથે જોડીને આધુનિક અને વધુ ઉપયોગી બનાવી છે. કોઈ રીત કે રસમને તમે ધર્મ સાથે જોડી દો, તે પછી આસ્થાની તાકાતના જોરે તેનું અનુસરણ કરવાનું આસાન થઇ જાય છે.

દાખલા તરીકે, આપણે ખાવા-પીવાની એક સશક્ત સંસ્કૃતિમાં જીવીએ છીએ. આપણી તમામ સામાજિક પ્રવૃત્તિઓ અને રોજિંદુ જીવન સુધ્ધાં ખાવા-પીવાની આસપાસ ફરે છે. પૃથ્વી પર કૃષિ ક્રાંતિ અને ઔધોગિક કૃષિ પછી ખાવા-પીવાની ઉપલબ્ધતા એટલા વિપુલ પ્રમાણમાં વધી ગઈ છે કે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવુંના નિયમો તડકે મુકાઈ ગયા છે, અને માણસો મન થાય તે રીતે ખાતા થયા છે. જ્યારે આખી સંસ્કૃતિ ખાવા-પીવાની આસપાસ ફરતી હોય, ત્યાં સ્વૈચ્છિક સંયમ અઘરો થઇ જાય છે, પણ તમે જો સંયમને ધાર્મિક આસ્થા સાથે જોડી દો, તો લોકો હોંશે-હોંશે ઉપવાસ કરતાં થાય છે. 

જેમ ખાનપાનનો અતિરેક આધુનિક જીવનનું લક્ષણ છે, તેવી રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ક્રાંતિમાં ડિજીટલ અકરાંતિયાપણું વધી ગયું છે. પાછલા બે દાયકામાં ડિજીટલ ટેકનોલોજીનો એટલો તેજ ગતિએ વિકાસ થયો છે, લોકો હવે તેના વ્યસની બની ગયા છે અને તેનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઇન ફેક્ટ, ઘણી સોશ્યલ મીડિયા કંપનીઓ ડિજિટલ પ્લેટફોર્મ પૂરાં પાડવાને નામે ‘વ્યસન વેચે’ છે. એક જમાનામાં સિગારેટ કંપનીઓ આવી રીતે વ્યસન વેચતી હતી.

હવે સરકારો પણ સફાળી જાગી છે. દાખલા તરીકે, અમેરિકન સેનેટમાં સ્માર્ટ એક્ટનો ખરડો મુકવામાં આવ્યો છે, જેમાં જે કંપનીઓ કાચી ઉંમરનાં બાળકોને ટેકનોલોજી-પ્રોડક્ટ્સના ઉપયોગથી દૂર રાખવામાં નિષ્ફળ જાય તેમને દંડવાની જોગવાઈ છે. તેમાં બીજી પણ એક જોગવાઈ છે. સોશ્યલ મીડિયા કંપનીઓએ તેમનાં પ્લેટફોર્મનો ઉપયોગ 30 મિનિટ સુધી સીમિત કરવો જોઈએ. તેથી વધુ કોઈને ઉપયોગ કરવો હોય, તો તેણે સમય મર્યાદા દૂર કરવા સૂચન કરવું પડશે. બ્રિટન પણ આવો કાયદો વિચારી રહ્યું છે.

સોશ્યલ મીડિયાના વ્યસન અને પાન-બીડી-તમાકુનાં વ્યસનમાં ફરક એ છે કે પાન-બીડી-તમાકુની લત દરેકને એક સરખી લાગે છે, જ્યારે સોશ્યલ મીડિયા વ્યક્તિ-કેન્દ્રિત વ્યસન છે. વ્યક્તિ તેનો જેટલો ઉપયોગ કરે તેટલું તે તેના માટે વ્યસન બનતું જાય, કારણ કે વ્યક્તિ શું સર્ચ કરે છે અથવા શું “આરોગે” છે તેના ડેટાના આધારે તે પ્લેટફોર્મ તેને એવી જ સામગ્રી “પીરસતું” જાય છે.

આ લખનાર જ્યારે કોલજમાં હતો, ત્યારે જોયું હતું કે શહેરના બસ સ્ટેન્ડ પાસે ચાની એક લારી પર અત્યંત ઘરાકી રહેતી હતી. ચાવાળા બીજા પણ હતા, પરંતુ આ ચોક્કસ લારીની ચાની “મજા” જ કંઇક ઔર હતી. એકવાર કોઈ ચા પીવે, પછી પાછો ત્યાં જ આવે. પાછળથી ગપસપમાં ખબર પડી કે ચાવાળો ચામાં અફીણનાં ડીંડવાં નાખતો હતો. સોશ્યલ મીડિયા પણ તમને એક ચીજનો ચસ્કો લગાડે પછી એવી જ ચીજોનાં વિકલ્પ પૂરું પાડતું જાય છે. ફરક એ છે કે પેલાની ચા બધા માટે સરખી બનતી હતી, પણ સોશ્યલ મીડિયાની લારીએ દરેક વ્યસનીની ચાનું અફીણ જુદું-જુદું હોય છે.

ધારો કે બસ સ્ટેન્ડવાળી લારીની સામે આધુનિક ટી-લોન્જ શરૂ થાય છે. એ લોન્જના માણસો તમે જે કપમાં ચા પીધી હોય તે એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલે છે. એ ચાના કપમાં ચોંટેલા તમારા મોઢાના સલિવાનું લેબમાં પરીક્ષણ થાય છે. જેના આધારે તમારી બાયોલોજી કેવા વ્યસન માટે અનુકૂળ છે તેની ખબર પડે છે. બીજા દિવસે તમે ટી-લોન્જમાં જાઓ, ત્યારે તમારા કપની ચામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હોય છે, જેની તમને વધુ “મજા” આવે છે. 

આવું રોજેરોજ બનતું રહે અને લોન્જવાળો ઉત્તરોતર તમારા વિશે ડેટા એકત્ર કરતો રહે અને એવી ચા બનાવતો રહે કે તમે જાતને રોકી ન શકો. હવે તમે તેની ચાના વ્યસની બની ગયા છો અને એ પ્રક્રિયામાં તમે જ તેને મદદ કરી છે. સોશ્યલ મીડિયામાં પણ આવું જ થાય છે. તમે જેટલી વાર એ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, કંપનીનું અલગોરિધમ તમારી હરકતોનો ડેટા ભેગો કરે છે અને તમારા માટે દરેક અનુભવને લત લાગે તેવો બનાવે છે.

સોશ્યલ મીડિયાની કંપનીઓ એવી “સિગારેટ” બનાવે છે, જેમાં તેમનો હેતુ સિગારેટનું ઉત્પાદન વધારવાનો નથી, પણ સિગારેટમાં નિકોટીન વધારતા જવાનો છે. તમે અલગોરિધમને નિકોટીન કહી શકો. જેમ જેમ તમે ઉપયોગ વધારતા જાઓ, તેમ તેમ તેના વ્યસનની તાકાત વધતી જાય. દુનિયાને હવે આ ડિજીટલ રમતની ખબર પડવા લાગી છે અને તેના વ્યસન બાબતે લોકો સભાન થવા લાગ્યા છે.

મધ્ય પ્રદેશના જૈન લોકોએ મોબાઈલ ઉપવાસની જે પહેલ શરૂ કરી છે, પશ્ચિમમાં તેની શરૂઆત ડિજીટલ ડિટોક્સિફિકેશનના નામથી થઇ છે. ડિટોક્સિફિકેશન એટલે શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાં તે. ડિજીટલ વ્યસનના કેસમાં, થોડા સમય માટે મોબાઈલ ફોન કે અન્ય ડિવાઈસને દૂર રાખવાં તેને ડિટોક્સિફિકેશન કહે છે, જેથી મગજને સોશ્યલ મીડિયા કે ઇન્ટરનેટ વગર રહેવાની ટેવ પડે. અમેરિકાનો એક અભ્યાસ કહે છે કે ત્યાં સરેરાસ વયસ્ક લોકો રોજના 11 કલાક ડિજીટલ મીડિયા પર વાપરે છે.

જીવનલક્ષી કોઈ ઉદ્દેશ્ય વગર માહિતીઓને અંદર ઉતારતા જવું આમ ભલે બિનહાનિકારક લાગે, પરંતુ લાંબા ગાળે તે ચિત્તમાં અસર કરે છે. પુસ્તકો અને સામાયિકોથી વિપરીત, સમાચારો અને સોશ્યલ મીડિયાની સામગ્રીઓ આપણે બેસુમાર ‘આરોગીએ’ છીએ, જે આપણને સતત સ્ટ્રેસમાં, ડરમાં, આક્રમક લાગણીઓમાં અને સંકુચિત દૃષ્ટિમાં કેદ રાખે છે. સોશ્યલ મીડિયા પર મોટા ભાગના લોકો સતત ચીડમાં હોય છે, કટાક્ષ અને નફરતની હિંસક ભાવનાઓમાં હોય છે, તે આ ઇન્ફોર્મેશન ઓવર-ઇટિંગનું પરિણામ છે. સમાચારોનો ઉપવાસ માનસિક તંદુરસ્તી માટે ઇચ્છનીય છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2281,2291,2301,231...1,2401,2501,260...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved