Opinion Magazine
Number of visits: 9458522
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફેલોશિપ માટે જાહેરાત

----|Opinion - Literature|14 October 2022

ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર, ગંગોત્રી ટ્રસ્ટ

ગંગોત્રી ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર [Umashankar Joshi Center for Gujarat Studies] શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રવૃત્તિ તરીકે ગુજરાતનાં સાહિત્ય, સમાજ અને ઇતિહાસના આંતરસંબંધો પર સંશોધનનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે. 

આ પ્રવૃત્તિની શરૂઆત ગુજરાતના દલિતો, આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયો દ્વારા રચાયેલા સાહિત્ય પર સંશોધન માટે [લેખિત કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં] ફેલોશિપ આપીને કરવાનું નક્કી કર્યું છે. સંશોધન આ સાહિત્યના કોઈ એક પાસા કે મુદ્દા પર કેન્દ્રિત હોય એ ઇચ્છનીય છે.

ફેલોશિપ માટેની જરૂરી વિગતો નીચે આપી છે :

૧.  વીસ વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિ આ સંશોધન માટે લાયક ગણાશે. દલિત, આદિવાસી અને અન્ય વંચિત સમુદાયોના સંશોધકોને પ્રાધાન્ય આપવામાં આવશે. 

૨.  ઉમેદવારે સંશોધનની એક ટૂંકી રૂપરેખા આપવી જરૂરી રહેશે. શક્ય હોય તો સાથે સંદર્ભ સૂચિ પણ જોડી શકાય.

૩.  સંશોધનની અવધિ એક વર્ષની હશે.

૪.  સંશોધકને રૂ. એક લાખની ફેલોશિપ આપવામાં આવશે. 

૫.  સંશોધન પૂરું થયે એને પ્રકાશિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

૬.  ઉમેદવારે બે પાનાંનો પોતાનો પરિચય (C.V.) આપવાનો રહેશે. પોતાનું નામ, ઈ-મેઈલ સરનામું, સંપર્ક નંબર, ઘરનું સરનામું અવશ્ય આપવું પડશે. 

૭.  સંશોધન ગુજરાતી ભાષામાં કરવાનું રહેશે. જો કોઈ સંશોધક બીજી ભાષામાં લખવા ઇચ્છે તો ગુજરાતીમાં અનુવાદની વ્યવસ્થા કરવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય હેતુ ગુજરાત અને ગુજરાતી ભાષામાં સાહિત્ય અને સમાજ વિશે એક લોકતાંત્રિક અને સમાવેશી સમજ ઊભી કરવાનો છે. 

૮.  સંશોધન માટેની અરજી (રૂપરેખા અને સ્વપરિચય સાથે) નીચેના સરનામે અથવા ઈ-મેઈલ દ્વારા uj.gangotritrust@gmail.com  પર મોકલવા વિનંતી છે.

૯.  સંશોધન માટેની અરજી ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે.

૧0. કેન્દ્રની બીજી પ્રવૃત્તિઓ, જેવી કે વિવિધ વિષયના નિષ્ણાતો સાથે સાહિત્ય, સમાજ અને ઇતિહાસ અંગે તેમ જ સંશોધન / વિવેચનનાં સાધનો વિશે વખતોવખત ચર્ચાઓ, પરિસંવાદો અને કાર્યશિબિરોનો લાભ તેમ જ જરૂર જણાય તો માર્ગદર્શકની મદદ સંશોધકોને મળી શકશે. 

૧૧.  સાહિત્ય અને સંશોધન પર એક વિચારનોંધ નીચે આપી છે.  

નિયામક

ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર,

ગંગોત્રી ટ્રસ્ટ,

૨૬, સરદાર પટેલ નગર,

એલિસબ્રિજ, અમદાવાદ—૩૮૦ ૦૦૬


સાહિત્ય અને સંશોધન – એક વિચારનોંધ 

ભારતમાં સંસ્થાનવાદ દરમ્યાન અંગ્રેજી શિક્ષણ અને સાહિત્ય, સંસ્થાનવાદી તેમ જ રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાઓ, પ્રાચ્યવિદ્યા(Orientalist Studies)નો ઉદ્ભવ અને વિકાસ વગેરેની અસર નીચે ‘સાહિત્ય’ની, ખાસ કરીને ‘ભારતીય સાહિત્ય’ની, એક પરિભાષા ઊભી થઈ. ભારતની અનેકવિધ મૌખિક, લેખિત તેમ જ વાચિક સાહિત્યિક પરંપરાઓ, જેમાં વિવિધ સામાજિક સમુદાયોનું સર્જન આ પહેલાંની સદીઓમાં થયું હતું અને જે ભારતીય સાહિત્યની લાક્ષણિકતા હતી તેને સ્થાને સાહિત્યની એક સમાનધર્મી  [homogeneous] ચોક્કસ સમજ ઊભી થઈ. સંસ્થાનવાદી શિક્ષણમાંથી જે વિદ્વાનો નીકળ્યા તે મુખ્યત્વે ઉચ્ચ વર્ણના, મધ્યમવર્ગી, શહેરી પુરુષો હતા જેમણે ભારતની ભાષાઓમાં પ્રિન્ટ સાહિત્યનું સર્જન કર્યું. છાપકામના ઉદ્યોગની શરૂઆતને લીધે લેખિત કે પ્રકાશિત કૃતિ એ જ સાહિત્ય એવી સીમિત સમજ ઊભી થઈ. જ્યારે દેશમાં એંશી ટકાથી પણ વધારે પ્રજા નિરક્ષર હતી અને અક્ષરજ્ઞાન હોય એમાંના પણ મોટા ભાગના લોકો સંસ્થાનવાદી શિક્ષણથી વંચિત હતા ત્યારે સાહિત્યની આ વ્યાખ્યા સ્વીકારવી મુશ્કેલ છે. આને કારણે અનેક પ્રકારનું સર્જન હાંસિયામાં ધકેલાઈ ગયું. આ સાથે સાહિત્યના ઇતિહાસલેખનને સંસ્થાનવાદી અને રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાની અસર નીચે પ્રાચીન / હિન્દુ, મધ્યકાલીન / મુસ્લિમ અને અર્વાચીન / બ્રિટિશ વિભાગોમાં વહેંચવામાં આવ્યું. આ ઇતિહાસને કોઈ બીજા પ્રકારના ઇતિહાસના સંદર્ભમાં જોયા સિવાય આ વૈચારિક વિશ્વની અંદર સંસ્થાનવાદી સંશોધનનાં સાધનો વિકસ્યાં. સાહિત્યની અનેકવિધતા અને પાયાની એકતા જે અનેક પ્રદેશોમાં જોવા મળતી તેને સંકુચિત ચોકઠાંઓમાં ગોઠવવામાં આવી. સાહિત્યના ઇતિહાસને આ રીતે એક પ્રકારની સીમિત એકરૂપતા આપવામાં આવી અને દરેક ભાષામાં આ રીતે અલગ અલગ ઇતિહાસ લખવામાં આવ્યો.  

આપણા સાહિત્યના ઇતિહાસ લેખનની અને વિવેચનની આ પદ્ધતિ અપૂરતી છે. બીજો પ્રશ્ન એ પણ છે કે સાહિત્ય વિશે જે કઈ સંશોધન થયું છે અને થઈ રહ્યું છે તે સાહિત્યની કૃતિ એ સ્વતંત્ર કલાત્મક કૃતિ છે એવી વિચારધારાથી મહદંશે પ્રેરિત છે. સાહિત્યિક સર્જનના સામાજિક / ઐતિહાસિક મૂળને જરા પણ તપાસ્યા વિના કૃતિ, સ્વરૂપ, સમય, ભાષાકીય સ્વરૂપો અને શૈલી, બધાંને અલગ અલગ ચોકઠાંઓમાં મૂકીને સાહિત્યનું વિવેચન થાય છે. ઉપરાંત, આ વિવેચન / ઇતિહાસમાં પ્રાચીન સમયના સંસ્કૃત સાહિત્યને મહત્ત્વ આપી બ્રાહ્મણવાદી સાહિત્યિક પરંપરાનું આધિપત્ય સાહિત્યમાં સ્થપાયું છે જે પરંપરા આજ સુધી ચાલુ છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે મુખ્યત્વે ઉત્તર ભારતની પ્રાચીન સમયની વૈદિક, સંસ્કૃત, ધાર્મિક અને આધ્યાત્મિક કૃતિઓ એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. બીજી ભાષાઓના, જેમ કે તમિળના, પ્રાચીન સાહિત્યનો ઉલ્લેખ પણ થતો નથી. આ પ્રકારની સાહિત્યની પરંપરાની સમજ એ કેવળ અનૈતિહાસિક જ નહીં પરંતુ અતાર્કિક અને અધૂરી પણ છે. 

આ સીમિત પરંપરાને લીધે ભારતીય સાહિત્યને સમગ્રતામાં ઐતિહાસિક રીતે સમજવું અને તેને સૈધ્ધાંતિક રીતે મૂલવવું મુશ્કેલ બને છે. સાહિત્યનું ઐતિહાસિક બંધારણ, વિવિધ સ્વરૂપોનું સમયાંતરે નિર્માણ, એકતા અને વિવિધતા વચ્ચેનું દ્વંદ્વ [dialectics], ભાષાઓ વચ્ચે સામ્ય, જેવા અનેક મહત્ત્વના પ્રશ્નો અનુત્તર રહે છે. આ સંદર્ભમાં સાહિત્યિક કૃતિનું નિર્માણ અને તેનો ઇતિહાસ; વર્ગ, જાતિ, લિંગ વગેરેના એકબીજા સાથે ભિડાતા ખ્યાલો; વિચારધારાઓનો સંઘર્ષ અને તેની સાહિત્યસર્જન પર અસર; મૌખિક, લેખિત અને પ્રિન્ટ પદ્ધતિઓના ઇતિહાસ અને આંતરસંબંધો વગેરેને વિગતમાં જોવાનું પણ  જરૂરી બને છે. 

સાહિત્ય અને સાહિત્યના ઇતિહાસ / વિવેચન / સંશોધન વિશે મૂળમાંથી જ ફેરવિચારણા કરવાની અને સંશોધનનાં નવાં સાધનોનો ઉપયોગ કરવાની આને કારણે જરૂર ઊભી થાય છે. ખાસ તો સાહિત્યને સાહિત્ય ઉપરાંત બીજા વિષયો જેવા કે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, નૃવંશશાસ્ત્ર વગેરે માનવશાસ્ત્રો અને સમાજશાસ્ત્રોના અભ્યાસની મદદથી ફરીથી સમજવાની જરૂર છે. ટૂંકમાં, ઐતિહાસિક અને સાંસ્કૃતિક / સામાજિક પ્રવાહોના વિશાળ અભ્યાસનો એક ભાગ હોય તે રીતે એક જુદી જાતનો સાહિત્યનો અભ્યાસ કરવાની જરૂર છે.

સાહિત્ય એ કેવળ એક સ્વતંત્ર અને સ્વાયત્ત પ્રવૃત્તિ કે અભિવ્યક્તિ નહીં પરંતુ સમાજ અને ઇતિહાસનો એક અંતર્ગત ભાગ છે જે તે બંને વિશે એક સમજ ઊભી કરે છે. આથી ઉપર જણાવ્યા મુજબ મહત્ત્વનું એ જોવાનું બને છે કે સમાજના કયા સમૂહનું સાહિત્ય એ મુખ્ય પ્રવાહનું સાહિત્ય બને છે, જે સાહિત્ય વિશે એક સામાન્ય સમજ ઊભી કરે છે જેને લીધે બીજા અનેક સમૂહોનું સાહિત્ય એ સાહિત્યિક પરિભાષાથી બાકાત રહે છે. સાહિત્યની સમજ કોઈ એક વર્ચસ્વ ધરાવતા સમૂહની મર્યાદિત સમજ બનીને ન રહે, કોઈ એક સમૂહના ‘સાહિત્ય’ વિશેના માપદંડોથી દરેક સમૂહનું સાહિત્ય ન મપાય એ જોવું, અને સાથેસાથે સાહિત્ય વિશે એક સમાવેશી સમજ ઊભી કરવી અને એ દ્વારા કોઈ પણ કૃતિ કે સમૂહનું સાહિત્ય તપાસવું, જરૂરી બને છે. સાહિત્યનાં સ્વરૂપો પણ બદલાતા સામાજિક અને ઐતિહાસિક પ્રવાહોમાંથી જન્મતાં હોય છે. સાહિત્યની કૃતિ કયા પ્રકારના સમાજ અને ઇતિહાસમાંથી જન્મે છે અને કયા પ્રકારના સમાજ અને ઇતિહાસને આકાર આપે છે એ તપાસવું એ આ સંશોધનનું પાયાનું ધ્યેય છે. 

સાહિત્યની નવેસરથી વિચારણા કરતાં એની પરિભાષા વિસ્તૃત કરવી જરૂરી બને છે. એની સીમિત, કેવળ લેખિત, સાહિત્ય તરીકેની પરિભાષાને કારણે અનેક સમુદાયોનું સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે જેનો મુખ્યધારામાં સમાવેશ કરવો જરૂરી છે. આપણા દેશમાં અનેક સમુદાયો અનેક માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન કરે છે. ટેક્નોલૉજીના વિકાસ અને વિસ્તારને કારણે આજે આપણી પાસે અભિવ્યક્તિનાં અનેક માધ્યમો છે જેનો પણ સાહિત્યની અભિવ્યક્તિ માટે ઉપયોગ થવો જોઈએ જેથી બીજાં માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન તેમજ સંશોધન થઈ શકે. આને પરિણામે સાહિત્યની એક સમાવેશી પરિભાષા ઊભી થઈ શકે અને છેવટે સાહિત્યનું સ્વરૂપ બદલી શકાય.

સૌજન્ય : સ્વાતિબહેન જોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સોનલ શુક્લકૃત વીરાંગના : ઘટના અને અર્થઘટન – સ્ત્રીની આંખે 

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|13 October 2022

“આ એવો દેશ છે જ્યાં ઘરો સાદાં છે, કૌટુંબિકતા સહજ છે અને જ્યાં સ્ત્રીઓ સ્વાર્થરહિત પ્રેમથી કચવાટ વિના પોતાનાં સ્નેહીજનોની સવારથી સાંજ સુધી સેવા કરે છે.” આ વિધાન ભગિની નિવેદિતાનું છે જેને માટે સોનલબહેન લખે છે, “આવા વિધાનને સ્થળકાળના સંદર્ભમાં જ લઈ શકાય, બાકી ઓગણીસમી સદીમાં સ્ત્રીઓની સ્થિતિ કેવીક હતી તે સૌ જાણે છે.” (પાનું : ૨૧૫) એકવીસમી સદીમાં શો ફરક પડ્યો તે સમજવા માટે મેં પૂરું પુસ્તક ધ્યાનથી વાંચ્યું. ૬૫ વીરાંગનાઓની ૩૦૨ પાનાંમાં સમાવિષ્ટ જીવનગાથાનું સંકલન સોનલ શુકલ લિખિત ઉપરોક્ત પુસ્તકમાં થયું છે, એમાં એક સિસ્ટર નિવેદિતાની કર્મકથા પણ છે. સમગ્ર પુસ્તકમાં નારીવાદી દૃષ્ટિથી મૂલ્યાંકિત આ પ્રકારનાં વિધાનો ઠેરઠેર વાંચવાં અને સમજવાં મળે, જે પુસ્તકનું વિશિષ્ટ પાસું છે. દુનિયાભરની કર્મશીલ સ્ત્રીઓની મુક્તિ માટેની ચાહત, સંઘર્ષ અને સિદ્ધિની કથાઓ વિદુષી  સોનલબહેન શુકલે ‘જન્મભૂમિ પ્રવાસી’ અને ‘મુંબઈ સમાચાર’માં પોતાની કોલમ ‘ઘટના અને અર્થઘટન સ્ત્રીની આંખે’માં આલેખી છે. વિદુષી વિભૂતિ પટેલની અભ્યાસુ કલમે લખાયેલી વિશ્લેષણાત્મક પ્રસ્તાવના નારી આંદોલનમાં લખાયેલા નારી કેન્દ્રિત ઇતિહાસને અધિકૃત અને બળવંત બનાવે છે.

દુનિયાભરમાં સ્થાપિત હિતો સામે છેડાયેલાં આંદોલનોમાં સ્ત્રીઓની ભૂમિકાને એમણે તાદૃશ કરી છે. વંચિતો માટે કહેવાય છે કે તમે એક થાઓ અને સંઘર્ષ કરો અને સફળ થાઓ. જો તમે સંગઠિત રહો તો તમારે કશું ગુમાવવાનું નથી. જે અંગત છે તે જ વિશ્વસંગત છે, માનવ અધિકાર તે જ સ્ત્રીઓનાં અધિકાર, સ્ત્રીઓની ના તે ના જ અને હા તે જ હા હોઈ છે, આવી નારીવાદી સમજ પણ દરેક કથામાંથી મુખરિત થતી રહે છે. કયા દેશની સ્ત્રીઓએ જાહેરમાં આવીને પોતાનો અવાજ બુલંદ નથી કર્યો એવો સવાલ થાય તો જવાબ અહીં છે. આફ્રિકા, અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન, ઈજિપ્ત, ભારત ……. યાદી લગભગ સમગ્ર જગતને આવરી લે છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે ન્યોછાવર થતી રાણીથી માંડી અદની તૃણમૂળ સ્ત્રીઓની નિસબત અને સમર્પણની ચેતનવંતી કથાઓ જોમ અને જોશવંતી તો છે જ સાથે સાચો વિદ્રોહ કોને કહેવાય તે પણ સમજાવે છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય, માનવ અધિકાર અને ચીલો ચાતરનાર વીરાંગનાઓએ ક્યારે ય પીછેહઠ કરી નથી. એક એક પરિવારમાંથી બે-ત્રણ સભ્યો ક્યાંક ને ક્યાંક સક્રિય રહ્યાં હોય એ સહજ બાબત હતી. સારાભાઈ કુટુંબમાં માલિક કે મજૂર પક્ષે ભાઈ-બહેન હોય કે રાજકારણમાં કૃપલાણી દંપતી હોય એમને સામસામે રહી લડત આપવાનો સંકોચ ન હતો, એમ હતું છતાં એમના સંબંધોને આંચ આવતી ન હતી તેવાં અનસૂયાબહેન સારાભાઈ, સુચેતા કૃપલાણીની કથાઓ અહીં વર્ણવાયેલી છે તો વિની માંડેલા અને નેલ્સન માંડેલાની કહાણી પણ છે. દરેક કથા સાથે જે તે સમયના વાતાવરણની અસર ઝિલાયેલી છે તો અનેક આડકથાઓ પણ સમાવાયેલી છે. સોનલબહેને કોઈપણ પૂર્વગ્રહ વગર વર્ગ, વર્ણ, જાતિ કે અન્ય ભેદભાવ માટે ફક્ત ને ફક્ત નારીવાદી દૃષ્ટિથી તટસ્થપણે પોતાની કલમ ચલાવી છે. પારિવારિક અને અંગત સંઘર્ષની કથાનું પણ અહીં આલેખન થયું છે. જેમાં મેં લખેલી અંબિકાની (નામ બદલ્યું છે.) સંઘર્ષકથા પણ છે. મૂળભૂતવાદીઓ હોય કે સામ્યવાદીઓ, સમાજવાદીઓ હોય કે કાઁગ્રેસીઓ જે ટીકાટીપ્પણની જરૂર લાગી હોય તે એમણે પારદર્શકતાથી તો ક્યારેક ધારદાર રીતે કરી જ છે. તસ્લીમા નસરીન, સફિયા ખાન, મૃણાલ ગોરે, વાંગારી માથાઈ, સ્લિવિયા પ્લાથ, શાઈલિંગ જેવી તેજસ્વિનીઓની સંઘર્ષકથા સાથે તેમને કેવી રીતે નજરઅંદાજ કરવામાં આવે છે કે ભુલવાડી દેવાય છે તે એમણે અહીં સુપેરે સમજાવ્યું છે. પત્રકારત્વ, સાહિત્ય, સંગીત, રાજકારણ કે વિજ્ઞાનક્ષેત્રે કોણે કેવું કાઠું કાઢ્યું અને કોની કલમ કઈ રીતે ચાલી એમાં નોબેલ વિજેતા સ્ત્રીઓથી લઈ  રોકૈયા શેખાવત હુસેન, સરોજિની નાયડુ, વિદ્યા બાલ, ગંગાબહેન અને હિમાંશી શેલત સુધીનાં સાહિત્યકર્મીઓને એમણે યાદ કરીને ‘વાણી’ વૈચારિક જૂથની પ્રવૃત્તિઓનો પરિચય પણ આપ્યો છે.

એમણે સ્ત્રીઓની દૃશ્યતા – અદૃશ્યતા બાબતે તો ખાસ્સું ચિંતન કર્યું છે. ખાસ કરીને ભારતીય બંધારણ સભામાં સક્રિય પંદર વિદુષીઓના પ્રદાનને તો એમણે સળંગ આલેખન દ્વારા બિરદાવ્યું છે. દરેક પોતાની રીતે કેટલાં સક્ષમ રહ્યાં છે તેનો ખ્યાલ પણ આપ્યો છે. હંસાબહેન મહેતા, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાણી, દક્ષાયણી વેલાયુધન, અમૃત કૌર, બેગમ કુદસિયા ઝૈદી જેવી સન્નારીઓ બંધારણ સભામાં સ્થાન પામેલાં છતાં ત્રણસોથી વધારે સભ્યો ધરાવતી એ સભામાં સ્ત્રીઓની સંખ્યા પંદર જ કેમ એવો સવાલ સોનલબહેન ઉઠાવે છે તે રીતે દરેક ક્ષેત્રે પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવનાર સ્ત્રીઓ આંદોલન કે ચળવળમાં ઊલટભેર ભાગ લે છે અને શાંતિના સમયમાં તેઓ ક્યાં ખોવાઈ જાય છે તે સવાલ પણ તેઓ કરતાં રહે છે. રાજ્યસભાના સભ્ય, સંસદસભ્ય, પ્રધાનપદ કે રાજ્યપાલના હોદ્દા શોભાવનાર સ્ત્રીઓએ પોતાની સૂઝસમજથી ફરજ બજાવી છે તેનું ચિત્રણ અહીં સુપેરે થયું છે. સવાલ તો એવા પણ ઊભા થઈ શકે કે જે સંસ્થાઓ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ચેતના પ્રગટાવવા સક્રિય હતી તેમની પ્રવૃત્તિઓએ આઝાદી પછી ક્યો માર્ગ અપનાવ્યો ? ઓગણીસમી કે વીસમી સદીમાં સ્ત્રીઓની જે સમસ્યાઓ હતી તેનું સ્વરૂપ એકવીસમી સદીમાં કેવું છે ? સમાજસુધારાની પ્રવૃત્તિઓ મંદ પડી છે ?

દહેજ, સ્ત્રીઓ પર થતા ઘરેલુ કે કાર્યસ્થળ પર થતા અત્યાચાર, જન્મદરની શી સ્થિતિ છે ? સ્ત્રીઓ માટે ઊચ્ચ શિક્ષણના દ્વાર ખુલ્લા છે છતાં કેટલા ટકા યુવતીઓ ઊચ્ચ શિક્ષણ મેળવી શકી છે ? માતા અને બાળકના આરોગ્ય સંદર્ભે વાસ્તવિકતા શું છે ? વ્યસન મુક્તિ કાર્યક્રમોની શી હાલત છે ? વિધવા,  અપરિણીતા, વિભક્તા, ત્યક્તા એવી એકલનારી કે માતૃત્વ સાથે સંકળાયેલી સ્ત્રીઓની બધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે ? તો જવાબ છે કે પરિવર્તન દેખાય છે છતાં એની ગતિ ધીમી છે અથવા નહીંવત્ છે. ત્યારે વિચાર આવે કે સ્ત્રીઓના મુદ્દે કામ કરે તેવા સ્ત્રી-પુરુષકર્મીઓની ખોટ તો છે. ભારતમાં ગાંધીજીએ સ્વતંત્રતા ચળવળ સમાંતર રચનાત્મક કાર્યો માટે જે ચેતના જગાડેલી અને કર્મઠ વ્યક્તિઓ નિસ્વાર્થ ભાવે તૃણમૂળ ક્ષેત્રે કાર્યરત થયેલી તે પેઢીની નિસબત અને પ્રતિબદ્ધતા ક્યાં અને કેવી રીતે અદૃશ્ય થઈ રહી છે ? વિશ્વભરમાં સ્ત્રીઓના મુદ્દે કેવા પ્રકારના કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે તે જાણવું જરૂરી બની રહ્યું છે. ઇતિહાસમાં ડોકિયું કરીશું તો વર્તમાન અને ભવિષ્યને જોડતી કડીઓ જડશે ? આ પુસ્તકમાં સંકલિત સ્ત્રી ગાથાઓ સંઘર્ષ સાથે સિદ્ધિની પણ છે છતાં સ્ત્રી સમાનતા અને સ્ત્રી-મુક્તિના પડકારો વધી રહ્યા છે અને મેલ બેકલેશની વાસ્તવિકતા એ પડકારોનો સામનો કરવાની શક્યતા કઠિન બનાવી રહી છે તે પણ હકીકત છે. આજે સ્ત્રીઓ માટે એક ડગલું આગળ તો બે ડગલાં પારોઠનાં ભરવા પડે તે સચ્ચાઈ સામે છે. શિક્ષણ અને આર્થિક સ્વનિર્ભરતા એમનો માર્ગ સરળ કરશે એ અનુમાન કેટલેક અંશે સાચું નીવડ્યું છે છતાં એમનાં પર થતી હિંસાનો ઉકેલ આવ્યો નથી. જગત એક સાથે બે-ત્રણ સદીમાં જીવે છે. એકવિધ, બીબાંઢાળ અને પરંપરાગત ભૂમિકા ક્યાંક વધારે દૃઢ બની રહી છે તો ક્યાંક બજારસંસ્કૃતિને હવાલે પણ થઈ રહી છે. સચ્ચાઈ જાણવા માટે તો આંકડાકીય માહિતી પણ તપાસવી પડે.

આવી વાસ્તવિકતામાં આ પુસ્તકની શી અસર થશે ? એનાં દ્વારા ક્યું અને કેવું માર્ગદર્શન મળી શકશે ? કોઈ ઉકેલ જડશે ? મને લાગે છે કે અહીં સંકલિત સ્ત્રીગાથાઓ કાર્યકર્તાઓ માટે પ્રેરક બનશે, એમનામાં હિંમત, જોમ અને જોશનું સિંચન કરશે. ધ્યાનથી વાંચતાં લાગ્યું કે અહીં તો ગાગરમાં સાગર જેવો માહિતીનો સ્રોત છે. અલબત્ત, આ સંકલન વર્તમાનપત્રની સાપ્તાહિક કોલમનું છે એટલે એ સંદર્ભે મર્યાદા તો રહેવાની વળી કોઈનું પણ જીવનકવન બે કે અઢી પાનાંમાં તો વર્ણવી ન જ શકાય પરંતુ જે તે વ્યક્તિ વિશે પાયાની માહિતી મળે છે એટલે રસ પડે તો ઊંડાં ઊતરીને વધારે જાણકારી મેળવી શકાય. કેટલીક વ્યક્તિઓ વિશે માહિતી નથી મળતી કારણ કે ભારતીય પરંપરામાં શ્રુતિ અને સ્મૃતિનું મહત્ત્વ રહ્યું છે એટલે દસ્તાવેજીકરણની જરૂરિયાત અને મહત્ત્વ સમજાયું ન હતું. હવે એ વિશે ઘણી શક્યતાઓ ઊભી થઈ છે. સોનલબહેને વર્ષો સુધી વિવિધ વ્યક્તિઓ, સમૂહ, ઘટનાઓ વિશે સતત લખ્યું એ સાંપ્રતકાળનું અમૂલ્ય દસ્તાવેજીકરણ છે.

આઝાદીના અમૃત પર્વે ટીના દોશી સંકલિત ૭૫ વીરાંગનાઓની કથાનું પુસ્તક પણ મળ્યું છે. તો મોસમ ત્રિવેદી સંકલિત પચાસથી વધારે ગાંધીમાર્ગી સ્ત્રી કાર્યકર્તાઓનું સંકલન પણ પ્રકાશિત થવાનું છે. કેટલીક સ્ત્રી કથાઓનું પુનરાવર્તન પણ હશે છતાં આ દરેક પુસ્તક ચોક્કસ જ માર્ગદર્શક અને પ્રેરક બની રહેશે. મને પણ મારું અલગ અંદાજમાં લખાયેલું પુસ્તક ‘સ્ત્રીઓ મારી આસપાસ, જીવનના વિવિધ પડાવે’ યાદ આવે છે જેમાં રંજના દેસાઈ, સોનલબહેન શુક્લ, વિભૂતિ પટેલ, નીરાબહેન દેસાઈ, વસુબહેન ભટ્ટ, કુમુદબહેન જોશી, ઈલાબહેન પાઠક, કુન્દનિકાબહેન કાપડીઆ, હિમાંશી શેલત, રૂપા મહેતા, સરૂપ ધ્રુવ  જેવાં અનેક  કર્મશીલો અને સમાજપરિવર્તકોના અને મારા પરિવારની સ્ત્રીઓના જીવનકવન અને એમની સાથેના મારાં અનુભવોનું આલેખન છે. આમ આપણી પાસે ગુજરાતી ભાષામાં વૈશ્વિકથી તૃણમૂળ ક્ષેત્ર સુધી વિવિધ સ્ત્રીઓનાં જીવનકવનના દસ્તાવેજીકરણની સમૃદ્ધિમાં ઉમેરણ થઈ રહ્યું છે. જીવનના અંતિમકાળ સુધી સક્રિય અને ઉત્સાહિત રહેલાં સોનલબહેન તો સદૈવ યાદ રહેશે, ખેવના, યજ્ઞા જ્ઞાનને વાચા ટીમની નિસબતથી પ્રાપ્ત સોનલબહેનના આ પુસ્તકને દિલી આવકાર .

[વલસાડ]
e.mail : bakula.ghaswala@gmail.com
પ્રાપ્તિસ્થાન : સંપર્ક : 
વાચા ટ્રસ્ટ, ૧૪૦૪, આઝાદ નગર -૨, વીરા દેસાઈ રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૫૩. • ફોન : + ૯૧૯ ૩૭૨૮૬ ૦૬૪૫ • Email : communications@vacha.org.in

Loading

દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2022

મુલાયમસિંહ યાદવને અંજલિ આપતા સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા પ્રધાન બની શક્યા હોત. શરદ યાદવે તો માત્ર એક જ વાક્ય કહ્યું છે અથવા એટલું જ મારા વાંચવામાં આવ્યું છે, પરંતુ તેમની સાથે સંમત થતા મારો અભિપ્રાય તો ત્યાં સુધી છે કે મુલાયમસિંહ યાદવ પોતાની તાકાતથી સમાજવાદી પક્ષની બહુમતી સાથે વડા પ્રધાન બની શક્યા હોત. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામડામાં ગરીબ પરિવારમાં જન્મેલા મુલાયમસિંહ યાદવમાં આટલી વ્યક્તિગત તાકાત હતી અને તેનાથી પણ વધુ તાકાત સમાજવાદીઓમાં અને સમાજવાદી આંદોલનમાં હતી. બિહારમાં કર્પૂરી ઠાકુર, લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન અને ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ અને મધ્ય પ્રદેશમાં જન્મેલા પણ સમગ્ર ઉત્તર ભારતમાં એક ઓળખ ધરાવનારા શરદ યાદવ એમ આ છ જણમાં એટલી તાકાત હતી કે તેઓ દેશનો ઇતિહાસ બદલી શક્યા હોત. આ દરેક પોતાને રામ મનોહર લોહિયાના શિષ્ય ગણાવે છે.

પણ એવું બન્યું નહીં અને બનવાનું પણ નહોતું. 

આઝાદી પહેલાં સમાજવાદીઓ કાઁગ્રેસની અંદર કાઁગ્રેસ સમાજવાદી પક્ષ નામનો એક બ્લોક રચીને કામ કરતા હતા. આઝાદી પછી કોઈએ તેમને કહ્યું નહોતું કે તેઓ કાઁગ્રેસ છોડીને ચાલ્યા જાય. ઊલટું જવાહરલાલ નેહરુએ તો તેમને સમજાવ્યા પણ હતા કે તેઓ કાઁગ્રેસની અંદર જ રહીને પક્ષને સમાજવાદ તરફ લઈ જવા પ્રેરણા આપે અને જરૂર પડ્યે દબાવ આણે. પણ સમાજવાદીઓને એમ લાગ્યું હતું કે તેઓ કાઁગ્રેસની અંદર રહીને લોકશાહી સમાજવાદી ભારતનું તેમનું સપનું સાકાર નહીં કરી શકે. તેમને એમ પણ લાગ્યું હતું કે દેશને કાઁગ્રેસના વિકલ્પની પણ જરૂર પડશે જે સમાજવાદી પક્ષ આપી શકશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને કાઁગ્રેસને મળેલા ૪૫ ટકા મતની સામે ૧૦.૫૯% મત પણ મળ્યા હતા જે નિરાશાજનક ન કહેવાય. ડૉ. લોહિયાએ જેલ, મતપેટી અને પાવડો એમ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. જેલ એટલે કે લોકોના અધિકારો માટેની લડત. મતપેટી એટલે કે ચૂંટણી લડવી. મુખ્યત્વે જીતવા માટે નહીં, પણ લોકોને મુદ્દાઓથી પરિચિત કરવા માટે અને પાવડો એટલે કે લોકોની વચ્ચે રહીને લોકોનાં કલ્યાણ માટેનાં રચનાત્મક કામો.

તૈયારી સંપૂર્ણ હતી પણ ધીરજ ખૂટવા લાગી. આનું મુખ્ય કારણ એ હતું કે કાઁગ્રેસે પોતાની અંદર સોશ્યલ એન્જિનિઅરિંગ (સત્તાને અને વગને સામાજિક સીડી પર નીચલા થરના લોકોને ઉપર ચડાવવાની પ્રક્રિયા) કરવાનું શરૂ કર્યું. નેહરુ-ગાંધી પરિવારને એ પરવડે એમ હતું અને તેનાં હિતમાં પણ હતું. પરિવારની સત્તાને ઉની આંચ આવે એમ નહોતી કારણ કે પ્રજા પરિવારની સાથે હતી અને જો સ્ત્રીઓ, બહુજન સમાજ અને દલિતોની તરફેણમાં સત્તાંતરણ કરવામાં આવે તો વધુ ફાયદો થાય એમ હતું. સૌથી મોટો ફાયદો એ હતો કે પરિવાર આના દ્વારા કદાવર સવર્ણ નેતાઓને હાંસિયામાં ધકેલી શકતો હતો. ૧૯૭૦ સુધીમાં વડા પ્રધાનપદે પરિવાર હતો, પણ રાજ્યોમાં મુખ્ય પ્રધાનપદ બ્રાહ્મણોના હાથમાંથી સરકીને બહુજન સમાજના હાથમાં જતાં રહ્યાં હતાં. કોઈ મોટા પ્રતિકાર કે પરિવર્તનના દેકારા વિના. જેમના હાથમાંથી સત્તા સરકી રહી હતી એ પ્રતિકાર કરવાની સ્થિતિમાં નહોતા અને બહુજન સમાજને વગર માગ્યે લાભ મળતા હતા એટલે કોઈ દેકારા કરવાની તેમને જરૂર નહોતી પડી. એક પ્રકારની મૂંગી કણાતી હતી. પરિવાર અને તેની સત્તા હજુ પણ સલામત હતાં.

આ સ્થિતિમાં સમાજવાદીઓ સામે સવાલ ઉપસ્થિતિ થયો હતો કે જગ્યા કોની વચ્ચે બનાવવી? મુસ્લિમ વિરોધીઓ અને જૂનવાણી માનસ ધરાવનારાઓ જનસંઘ સાથે હતા. સવર્ણ મધ્યમવર્ગ કાઁગ્રેસ સાથે હતો. આર્થિક ન્યાયની બાબતે આક્રમક વલણ ધરાવનારાઓ સામ્યવાદી પક્ષ સાથે હતા. સોશ્યલ એન્જિનિઅરિંગના કારણે બહુજન સમાજ અને દલિતો કાઁગ્રેસની સાથે હતા. સમાજવાદી પક્ષમાં અને ડૉ. આંબેડકરની રિપબ્લિકન પાર્ટીમાં અનુક્રમે જેટલા બહુજન સમાજના નેતાઓ અને દલિત નેતાઓ હતા તેનાં કરતાં વધુ કાઁગ્રેસમાં હતા. કાઁગ્રેસમાં રહેવાથી બેવડો લાભ હતો. નીચલી જ્ઞાતિના હોવાનો લાભ મળતો હતો અને ઉપરથી જ્ઞાતિવાદી રાજકારણ (કાસ્ટ પોલિટીકસ) કરતા હોવાના લેબલથી બચી શકાતું હતું.

સમાજવાદીઓમાં હતાશા વધવા લાગી જેનાં બે પરિણામ આવ્યાં. એક તો તેમનો કાઁગ્રેસવિરોધ વધુને વધુ આકરો થવા લાગ્યો અને તે ત્યાં સુધી કે તેઓ પરસ્પર પણ અસહિષ્ણુ થવા લાગ્યા. બીજું, તેમનું સામાજિક ન્યાયનું રાજકારણ જગ્યા શોધવાની જદ્દોજહદમાં જ્ઞાતિકીય થવા લાગ્યું. તીવ્ર કાઁગ્રસવિરોધથી પીડાતા સમાજવાદીઓએ હિન્દુત્વવાદીઓને પણ સાથે લીધા અને તેમને મદદ કરી.

ઉપર જે પાંચ નામ ગણાવ્યા એ જ્યારે સમાજવાદી આંદોલનમાં પ્રવેશ્યા ત્યારે તેમાંના કોઈ જ્ઞાતિવાદી, પ્રદેશવાદી અને પરિવારવાદી નહોતા. તેઓ નખશીખ સમાજવાદી હતા; જેવા જયપ્રકાશ નારાયણ, અશોક મેહતા, આચાર્ય નરેન્દ્ર દેવ કે ડૉ. લોહિયા હતા. તેમનો સંઘર્ષ પણ કાબિલેદાદ હતો. સમજ પણ ખૂબ ઊંડી હતી. પણ કાઁગ્રેસમાં થયેલા અનાયાસ સોશ્યલ એન્જિનિઅરિંગને કારણે તેઓ આકરા થતા ગયા અને મધ્યમ માર્ગ છોડતા ગયા. ધીરેધીરે તેઓ પોતાનું રાજ્ય, પોતાની જ્ઞાતિ અને છેવટે પોતાનાં પરિવારમાં સીમિત થતા ગયા. સવર્ણ માધ્યમવર્ગ માટે તેમને જ્ઞાતિવાદી, પરિવારવાદી, અભણ, અસંસ્કારી ફૂહડ, બિનભરોસાપાત્ર, સત્તાભૂખ્યા વગેરે લેબલો ચોડવાનું આસાન બની ગયું. આ લેબલ હિન્દુત્વવાદીઓએ તેમને હાથે પકડાવ્યા હતા અને એ વર્ગ બી.જે.પી.નો સમર્થક બની ગયો. આ ઉપરાંત સંજોગોએ પણ અન્યાય કર્યો. આચાર્ય નરેન્દ્ર દેવ ૧૯૫૬માં અવસાન પામ્યા. એ જ અરસામાં જયપ્રકાશ નારાયણ પક્ષીય રાજકારણ છોડીને સર્વોદય આંદોલનમાં જતા રહ્યા. ૧૯૬૭માં ડૉ. રામ મનોહર લોહિયા ગુજરી ગયા અને ૧૯૬૩માં ડૉ. અશોક મહેતા તીવ્ર કાઁગ્રસવિરોધના વિરોધમાં સમાજવાદી પક્ષ છોડીને કાઁગ્રેસમાં જોડાઈ ગયા. સમાજવાદી આંદોલનની પહેલી પેઢીનો અસ્ત થયો. 

સમય અને સંજોગોનાં કારણે સમાજવાદી નેતાઓનો કાઁગ્રેસવિરોધ તીવ્ર નહોતો, અંધ હતો. તેમને બી.જે.પી.ની સાથે જવામાં પણ સંકોચ નહોતો થયો. પણ એમાં અપવાદ હતા મુલાયમસિંહ યાદવ અને લાલુ પ્રસાદ યાદવ. તેઓ સતત બી.જે.પી.ની સામે ઊભા રહ્યા. કાઁગ્રેસનો વિરોધ કર્યો, પણ બી.જે.પી.ને સાથ નહીં આપ્યો. ખુલ્લેઆમ સેક્યુલર પોઝીશન લેતા તેઓ ગભરાયા નથી. દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા, પણ સમય અને સંજોગો તેમની વિરુદ્ધ ગયા.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2022

Loading

...102030...1,2261,2271,2281,229...1,2401,2501,260...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved