Opinion Magazine
Number of visits: 9567335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દુબહેન અનિલભાઈ શાહઃ એક અણમોલ વારસો

પલ્લવી ગાંધી|Profile|20 January 2023

ઇન્દુબહેન એ ગ્રામવિકાસને વરેલા સ્વર્ગસ્થ અનિલભાઈ શાહનાં પત્ની હતાં, ઝવેરચંદ મેઘાણી અને દમયંતીબહેનનાં પુત્રી હતાં, પલ્લવી ગાંધી અને આશિષ શાહનાં વહાલસોયાં માતા હતાં. અને, સાસુ, દાદી, પરદાદી, બહેન, મિત્ર … સગપણની યાદી લાંબી છે.

આયુના નવ દાયકા એમણે આ બધી ભૂમિકા સુપેરે નિભાવી. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ૯૪ વર્ષની વયે અમદાવાદમાં એમનું નિધન થયું.

ઝવેરચંદ મેઘાણીનાં બીજા સંતાન ઇન્દુબહેનનો જન્મ 12 ઑક્ટોબર, 1928ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. ઇન્દુબહેનને બાળપણથી જ નૃત્યનો અને ગાવાનો ઘણો શોખ. ખાસ કરીને તેઓ  પિતાનાં ગીતો જેવાં કે ‘કોઈનો લાડકવાયો,’ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ ‘મા મને કોઈ દી સાંભરે નૈ’ અને બીજી રચનાઓ મૂળ સૂરમાં, હૃદય ડોલાવતા બુલંદ અવાજમાં ગાતાં ત્યારે શ્રોતાઓને ઝવેરચંદ મેઘાણીની યાદ આવી જતી. આકાશવાણી રેડિયોના એ માન્ય ગાયિકા હતાં અને તત્કાલીન જાણીતા કવિઓનાં ગીતો ગાવાનો અને સુગમ સંગીતનો અનન્ય શોખ હતો.

ઇન્દુબહેનને નૃત્યકલાનું પણ નાનપણથી જ ઘેલું લાગ્યું હતું. બચપણથી શરૂ થયેલી નૃત્યસાધના માતા બન્યા પછી પણ ચાલુ રહી હતી. તેઓએ સ્ટેજ પર નૃત્યનાટિકા ‘અભિસાર-સન્યાસી ઉપગુપ્ત,’ છાયા નૃત્ય ‘મારા નાના ખેતરને શેઢે’ અને અન્ય નૃત્યો રજૂ કરેલાં. તેઓ લાસ્યપૂર્વક રાસ-ગરબા મોટી ઉંમરે પણ કરતાં.

ઇન્દુબહેને પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું. એમણે ભજવેલી વિવિધ સાંસારિક ભૂમિકામાં માતા અને પત્ની તરીકેની ભૂમિકા નોંધનીય છે. પતિ અનિલભાઈએ ૧૯૪૨માં ગાંધીજી સાથે આઝાદીની લડાઈની ચળવળમાં ભાગ લીધો એ સાથે ઇન્દુબહેનની સમર્પણગાથા આરંભાઈ. અનિલભાઈને ૧૭ વરસની ઉંમરે એક વર્ષનો જેલવાસ થયો હતો. ઇન્દુબહેને પણ આઝાદીની ચળવળમાં ટૂંકી જેલયાત્રા વેઠી હતી.

ઉલ્લેખનીય છે કે તેમણે વિજ્યાલક્ષ્મી પંડિતનાં પુત્રી નયનતારા સાથે ઐતિહાસિક હરિપુરા કૉન્ગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો, જેમાં એમને પંડિત જવાહરલાલ નેહરુની કુટિરની દેખભાળની જવાબદારી સોંપવામાં આવી હતી.

લોકવિકાસકાર્યો માટે જીવન સમર્પિત કરનાર અનિલભાઈની સરકારી નોકરીને લીધે ગુજરાત અને અન્ય રાજ્યોમાં બદલીઓ થતી. ઇન્દુબહેન વંથલી અને રાજપુર (દેહરાદૂન) જેવા નાનાં ગામોમાં સામાન્ય સગવડ વગર રહ્યાં અને લોકહિતનાં  કાર્યોમાં પતિનો સાથ આપ્યો.  સમાજના ગરીબ અને નિઃસહાય વર્ગના લોકો માટે એમનામાં કરુણાભાવ અને સહાનુભૂતિ રહેતાં. સરકારમાં લાંબો સમય લોકવિકાસ કાર્ય કરી નિવૃત્તિ પછી “આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ” (એ.કે.આર.એસ.પી.) અને “ડેવેલપમેન્ટ સપોર્ટ સેન્ટર” (ડી.એસ.સી.) જેવી બિનસરકારી સંસ્થાની સ્થાપનામાં ઇન્દુબહેન પતિ સાથે સહભાગી રહ્યાં.

ઇન્દુબહેનનાં બન્ને સંતાનોને જીવનભર એમના સાથ-સહકાર-પ્રેમ-હૂંફ સતત મળતાં રહ્યાં. પુત્ર-પુત્રીથી લઈને પૌત્ર-પૌત્રી-પ્રપૌત્રો-પ્રપૌત્રી, સગાંસ્નેહી, સૌનાં એ ‘બા’ હતાં.

ઇન્દુબહેન ભરપૂર જીવ્યાં, પરંતુ જીવનના વિવિધ તબક્કે તેમણે સંઘર્ષ પણ ઘણો કરવો પડ્યો. માત્ર પાંચ વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું, ૧૯ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. આ ઉપરાંત ૨૦૦૭માં ૭૯ વર્ષની વયે પતિને ગુમાવ્યા. એમણે પોતે પણ બ્રેસ્ટ કૅન્સરને હિંમતભેર લડત આપી હતી. છેલ્લે, કોવિડ -19થી ગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં દાખલ થયેલાં, પણ એમાંથીયે એ સાજાં થઈ ગયેલાં.

ઇન્દુબહેન અડીખમ જીવ્યાં અને આખરી શ્વાસ સુધી લડાયક રહ્યાં. ઇન્દુબહેન ઘણી બાબત માટે યાદ રહેશે, પરંતુ એ સૌથી વધારે યાદ રહેશે એમના નિર્વ્યાજ પ્રેમ માટે. એમની કર્તવ્યપરાયણતા માટે. કૌટુંબિક ભાવના માટે.

આવાં એક પ્રેમાળ, વાત્સલ્યસભર, કર્તવ્યનિષ્ઠ  ‘બા’ અને ‘બા’નું જીવન ‘બા’ની વાતો આવનારી પેઢી માટે એક અણમોલ, પ્રેરણાદાયી વારસો બની રહેશે.

e.mail : pallavigandhi@yahoo.com 

Loading

મન્તવ્યજ્યોત (૨૭) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સંજ્ઞાપ્રક્રિયા – સૅમિયોસિસ

સુમન શાહ|Opinion - Literature|19 January 2023

સૅમિયોસિસ અથવા સાઇન-પ્રોસેસ. ગુજરાતીમાં, સંજ્ઞાપ્રક્રિયા. એ એક પ્રક્રિયા છે, ક્રિયા છે, ને તેથી સૅમિયોસિસ એક કર્મ છે, વર્તન છે. સંજ્ઞાઓને સાથે રાખીને હું એક એવું કર્મ કરું છું જેમાં સંજ્ઞાઓ અને તેનાં અર્થઘટનોનો મેં સમાસ કર્યો હોય છે; અને એ સઘળું લઈને હું આગળ ચાલું છું. મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ છે. (લેખમાં હું ‘સંજ્ઞાપ્રક્રિયા’ ને સ્થાને ‘સૅમિયોસિસ’ પ્રયોજીશ).

સંજ્ઞાઓ મને વસ્તુઓ દર્શાવે છે. જેમ કે ખુરશી એક સંજ્ઞા છે. હું એનો અર્થ ઘટાવું છું, ખુરશી મને દેખાય છે, ને હું ખુરશી સુધી પ્હૉંચી જઉં છું. સંજ્ઞા, વસ્તુ (ખુરશી) અને (હું) અર્થઘટનકાર, ત્રણ મળીને જે સંકુલ રચાય છે એને સંકેતવિજ્ઞાનમાં ‘સાઈન રીલેશનલ કૉમ્પલેક્સ’ કહે છે. સંકેતવિજ્ઞાનની એ એક અગત્યની વિભાવના છે.

સૅમિયોસિસ એ સંકુલની ભૂમિકાએ સંભવે છે. સમજીએ :

ખુરશી લાકડાની કે લોખંડની? ગાદીવાળી પોચી કે આરામ આપનારી આરામખુરશી? કે પ્લાસ્ટિકની? એમાંનો એક પણ વિશેષ કે ગુણવિશેષ ‘ખુરશી’ સંજ્ઞામાં પોતામાં નથી. એટલું જ નહીં, એ સંજ્ઞાથી જે કંઈ સૂચવાતું નથી હોતું એ માટે મારે, એટલે કે, અર્થઘટનકારે સર્વસાધારણ સ્વરૂપની વિભાવનાઓમાં જવું જરૂરી બની જાય છે. શાસ્ત્રીય રીતે એમ કહેવાય કે એથી રીલેશનલ ડેટાબેઝની કૉલમ્સમાં જે ડેટા ખૂટતો હોય તેને પામી શકાય છે અને તે માટે પૂર્તિ કરી શકાય છે.

બાકી, જનસામાન્ય અને શિક્ષિતો પણ એમ માનીને ચાલે છે કે સંજ્ઞાએ સરજેલા બધા જ અર્થસમ્બન્ધો સરળ અને અકબંધ છે; પણ હકીકત જુદી છે, સંજ્ઞાઓ માત્ર ચિહ્નો છે. ગુજરાતીમાં તો ‘સંજ્ઞા’ એટલે જ, ચિહ્ન.

મુદ્દાની બીજી વાત એ છે કે સંજ્ઞાની પાછળ તેનો યોજક પોતાના આશયને છુપાવી શકે છે. અર્થઘટનકાર એ સંજ્ઞાવૃત આશયોને પામી શકતો નથી.

પેલાએ કરેલો પ્રયોગ : ‘એ બિલ્લી છે’.

દાખલા તરીકે, કોઈ કહે કે ‘એ બિલ્લી છે’ તો ‘બિલ્લી’ સંજ્ઞા એણે અમુક યુવતી માટે પ્રયોજી છે અને તે યુવતીમાં ચપળતાથી શિકાર કરવાની ક્ષમતા છે એવો એ કહેનારનો આશય હોય, તો તે મને નથી પ્હૉંચતો. એટલું જ નહીં, એના ‘એ બિલ્લી છે’ પ્રયોગથી ‘બિલ્લી’ સંજ્ઞાનો અત્યારલગીમાં મારામાં સંચિત થયેલો અર્થ જાગે છે. મારામાં સંચિત અર્થ આ છે : બિલ્લી એક ક્યુટ અને વ્હાલ કરવું ગમે એવું પ્રાણી છે, એને પાળી-પોષી શકાય છે. એટલું જ નહીં, અમારા બે સિવાયની ત્રીજી વ્યક્તિ પાસે, કદાચ એ જ યુવતી પાસે, એક ત્રીજો અર્થ આ પણ છે : બિલ્લીથી ડરતા રહેવું કેમ કે એ વાઘતણી માસી છે. 

અમારા ભાષા-સાહિત્ય ભવનમાં એક પટાવાળો દુબળો-પાતળો અને ઢીલા સ્વભાવનો હતો, કરમાયેલો લાગે, છતાં એનું નામ ગુલાબ હતું. જોગાનુજોગ, અમારી કામવાળીનું નામ પણ ગુલાબ હતું. સાહિત્યકારોમાં ગુલાબદાસ બ્રોકર સૌને જાણીતું નામ. હું જાતે સુમન છતાં નર-નારીના ભેદ વગરનાં એ બધાં ગુલાબની સુગન્ધ લેવાનો માત્ર પ્રયત્ન કરી શકતો. મુમ્બઇ ગયો હોઉં ને કામસર ગુલાબદાસને મળવા ગયો હોઉં, તો ક્હેતા – સુમન, એનું (એમનાં પત્નીનું) નામ પણ સુમન છે ને ઘણી વાર એ મને ગુલાબ કહે છે. સ્વીકારવામાં મને થોડી મૂંઝવણ તો થતી જ ! યાદ કરો, ગુજરાતી વ્યાકરણમાં નામોને ‘સંજ્ઞા’વાચક કહ્યાં જ છે.

આમ, સંજ્ઞા એટલે ઘણું બધું અને સંજ્ઞા એટલે કંઈ નહીં. સંજ્ઞાની પ્રકૃતિ ધૂંધળી છે. સંજ્ઞાઓ વિશ્વસનીય નથી. એને કારણે પ્રજાઓ અને કોમો વચ્ચે વાદવિવાદ મતભેદ દુ:ખો ઝઘડા અને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો થયાં છે. ભારતીય વર્ણવ્યવસ્થામાંથી અસ્પૃશ્યતા જેવું મહા દુ:ખદ દૂષણ જન્મ્યું કે સંસારમાં હિન્દુ-મુસ્લિમ કે નાઝી-જ્યૂ જેવા ઘાતક ભેદ પેદા થયા, એમાં એ સંજ્ઞાઓ અને એ સંજ્ઞાતન્ત્રોનો ફાળો ઓછો ન્હૉતો.

એમ પણ કહેવું જોઈએ કે સંજ્ઞા એટલે સાવચેતીસૂચક લક્ષણ – સિમ્પટમ. મારું મૉં લેવાઈ ગયું હોય ને હું કણસતો હોઉં એ, મને આવેલા કે આવનારા તાવનું લક્ષણ છે. સંજ્ઞાને સાવધાનીસૂચક લક્ષણ ગણીને હું તપાસ, ગવેષણા, ઇન્વેસ્ટિગેશન ચલાવું એ મારી ગતિશીલ પ્રવૃત્તિ કહેવાય અને તે પ્રવૃત્તિ સૅમિયોસિસ છે.

મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં, એક લેખમાં, મેં ‘ઑલ આઉટ ફૉર અમૂલ’ અને બીજી જાહેરાતોની સંરચનાવાદની રીતે ચર્ચા કરી છે. અમદાવાદના નહેરુ બ્રિજના એક છેડેના હોર્ડિન્ગમાં ક્રિકેટરને અમૂલ માટે આઉટ થતો ચીતર્યો હતો અને એ દિવસોમાં શ્હૅરમાં મૅચ પણ રમાતી હતી. અમૂલ કમ્પનીનો આશય તો એટલું જ સૂચવવાનો હતો કે અમૂલબટર પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક છે એટલે તો જુઓ ને, બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા. મને એ સૂત્રના રચયિતા કલાકારનું નામ યાદ હતું પણ આ ક્ષણે નથી યાદ આવતું.

પણ શ્હૅરમાં રમાઈ રહેલી મૅચના જીવન્ત સંદર્ભ સાથેનું અને શ્હૅરની અતિખ્યાત જગ્યા પરનું એ પેઇન્ટિન્ગ મારા માટે સંજ્ઞાતન્ત્ર હતું ને મને એના અર્થઘટન માટે પ્રેરતું હતું. અને પ્રેરાઈને મેં જે લખ્યું એ ક્રિયા કે મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ હતી.

હું એવી પ્રવૃત્તિ કેમ કરું છું? કેમ કે ‘ઑલ આઉટ ફૉર અમૂલ’-નું એ વિશાળ હોર્ડિન્ગ કે ચિહ્નરૂપ તેમ જ લક્ષણરૂપ સંજ્ઞાઓ મને જંપવા દેતાં નથી. હું સંજ્ઞાનો સામાના અર્થ જોડે અને મારામાં કે અન્ય કોઈમાં રહેલા સંચિત અર્થ જોડે મેળ પાડતો હોઉં છું.

એમ કરીને હું એક એવો મૅસેજ રચું છું જે મને તો પ્હૉંચ્યો જ હોય છે પણ મને સાંભળનાર સૌને પ્હૉંચવાની ક્ષમતા ધરાવતો હોય છે. જેમ કે, હું કહું કે અમૂલે પોતાનું બટર વધુ ને વધુ વેચાય એવી ધંધાદારી દૃષ્ટિથી એ જાહેરાત બનાવરાવેલી અને તે માટે ‘ક્રિકેટર’ ‘ઑલ’ અને ‘આઉટ’ સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો, ચિત્ર અને જાહેરાત જેવાં સંજ્ઞાતન્ત્રોનો ઉપયોગ કરેલો, તો સૌને એ મૅસેજ ગળે ઊતરવાનો. એને કહેવાશે, એક સાર્થક સંક્રમણ – કૉમ્યુનિકેશન.

અને, એવા સાર્થક કૉમ્યુનિકેશન્સથી સૅમિયોસિસ પ્રવૃત્તિનો આકાર બંધાય છે.

પણ કૉમ્યુનિકેશનની સુખ્યાત પદ્ધતિ છે – ડીકોડિન્ગ અને તે પૂર્વે થતું ઍન્કોડિન્ગ.

ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ પણ ડીનોટેશન-કોનોટેશન અને સાઈન રીલેશનલ કૉમ્પ્લેક્સ જેવી સંકેતવિજ્ઞાનની નૉંધપાત્ર વિભાવના છે.

એ વિશે હવે પછી.

= = =

(Jan 20, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2023

રમેશ ઓઝા

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનકરે ગયા અઠવાડિયાના બુધવારે જયપુરમાં કહ્યું હતું કે ૧૯૭૩ના કેશાવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો જોતાં પ્રશ્ન થાય છે કે શું આપણે લોકતાંત્રિક નથી? ગયા અઠવાડિયે આપણે જોયું એમ કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતની ૧૩ ન્યાયમૂર્તિઓની બેન્ચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ ચુકાદો આવ્યો હતો કે સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે, પણ બંધારણના મૂળભૂત માળખામાં (બેઝિક સ્ટ્રકચર) ફેરફાર કરવાનો અધિકાર નથી. મૂળભૂત માળખામાં શું આવે છે એ પણ આ શ્રેણીમાં જણાવવામાં આવ્યું હતું.

લોકશાહી દેશમાં અંતિમ પ્રભુસત્તા (સોવરેન્ટી) નાગરિક ધરાવે છે અને નાગરિક જેને પોતાનો બહુમૂલ્ય મત આપીને બહુમતી સાથે પસંદ કરે એ લોકપ્રતિનિધિઓ તેમ જ શાસકો આપોઆપ નાગરિકોની પ્રભુસત્તાના અધિકારી બને છે. જગદીપ ધનકરની દલીલ આ છે. જો લોકોના પ્રતિનિધિઓ લોકોએ આપેલા કૉલનું પાલન ન કરી શકે તો એ લોક્શાહી કહેવાય? જયદીપ ધનકર સવાલ કરે છે.

હવે ધનકર સાહેબને તો જાણ છે, પણ તમને કદાચ જાણ નહીં હોય કે ૧૯૭૦ના દાયકામાં ઇન્દિરા ગાંધી અને તેમના ધનકરો બરાબર આ જ દલીલ કરતા હતા જે આજે કરવામાં આવી રહી છે પણ ત્યારે બી.જે.પી.ના પૂર્વાવતાર ભારતીય જનસંઘે તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે પણ તેનો વિરોધ કર્યો હતો. ખાતરી કરવી હોય તો જનસંઘના એ સમયના ઠરાવો અને સંઘના મુખપત્રોમાં છપાયેલા સંપાદકીયો અને લેખો જોઈ જાવ. સંઘ અને જનસંઘના નેતાઓએ ત્યારે કાઁગ્રેસના ધનકરોને સમર્થન આપવું જોઈતું હતું, પણ નહોતું આપ્યું. સાચા લોક્શાહીવાદી છો ને? હજુ એક હકીકત તરફ ધ્યાન ખેંચું? એ સમયે સંઘ પરિવારના નેતાઓ બંધારણના બેઝીક સ્ટ્રક્ચરની વ્યાખ્યા કરનારા ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાને માથે લઈને નાચતા હતા. 

લોકશાહી દેશોમાં હંમેશાં ફાસીવાદી સરમુખત્યાર શાસકો લોક્શાહી માર્ગે સત્તા સુધી પહોંચે છે અને પછી લોક્શાહીનું ગળું પીસી નાંખે છે કે જેથી તેમને કોઈ પડકારી ન શકે અને સત્તા પરથી હટાવવાની તો કોઈ જગ્યા જ ન બચે. જર્મનીમાં હિટલર આ રીતે લોક્શાહી માર્ગે જ સત્તા સુધી પહોંચ્યો હતો અને પછી તેણે શું કર્યુ એ ઇતિહાસ છે. હિટલર પણ પોતાને સાચો અને સવાયો લોક્શાહી પ્રેમી અને લોક્શાહીનો રક્ષક ગણાવતો હતો.

ધનકર સાહેબ જેને બંધારણના મૂળભૂત માળખામાં પણ સુધારા કરવાનો અધિકાર આપવા માગે છે એ લોકપ્રતિનધિઓ દેશનાં અને પ્રજાનાં હિતોને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ બંધારણને સમજતા હોય અને તેને વરેલા હોય એ જરૂરી નથી. તેઓ સત્તાકીય લાભ માટે પક્ષના શક્તિશાળી નેતાઓની ગુલામી કરતા હોય છે એ તો આપણને રોજ જોવા મળે છે. એકાદ દસકામાં એકાદ લોકપ્રતિનિધિ માંડ મળશે જેણે અંતરાત્માને વફાદાર રહીને મોઢું ખોલ્યું હોય અને પક્ષના નેતાઓ સામે અસંમતિ જાહેર કરી હોય. મોટા ભાગે તો ગામના ઉતાર જેવા લોકો રાજકારણમાં જાય છે અને ખોટા માર્ગે એકઠું કરેલું ધન ખરચીને તેમ જ પક્ષના નેતાઓની ખુશામત કરીને ટિકિટ મેળવે છે અને લોકપ્રતિનિધિ બને છે. જે પોતાનાં અંતરાત્માને વફાદાર નથી એ દેશનાં અંતરાત્માની રખેવાળી કરે? અને જેની બૌદ્ધિક ક્ષમતા દેશના સરેરાશ નાગરિકની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં પણ ઓછી છે એ શું લાબું જોઈ શકાવાનો! આવા ભ્રષ્ટ અને અલ્પબુદ્ધિ નેતાઓને સત્તા ભલે આપીએ, રાજ્યના સ્વરૂપ સાથે ચેડાં કરવાનો અધિકાર ન અપાય.

માટે સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસમાં કહ્યું હતું કે લોકપ્રતિનિધિઓને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર ખરો, પણ બંધારણનાં મૂળભૂત માળખાની બાબતે નહીં. લોકો દ્વારા ચુંટાઈને લોકપ્રતિનિધિ બન્યો એનો અર્થ એવો નથી કે એ આખા દેશનો અવાજ છે. અને અવાજ છે તો એ એક અવાજ છે અને તેની સામે બીજા ઘણા અવાજો છે. જો એ લોકોનો અવાજ છે તો એ આજનો અવાજ છે, સર્વકાલીન અવાજ નથી. માટે આ લખનારે ઇન્દિરા ગાંધીના વખતમાં પણ લોકપ્રતિનિધિના અબાધિત અધિકારની દલીલનો વિરોધ કર્યો હતો અને આજે પણ કરે છે. હા, કેટલાંક ગોદી ગલૂડિયાંઓએ ૧૯૭૦ના દાયકાને ભૂલી જઇને આજે સૂર બદલ્યો છે અથવા ચૂપ રહે છે. જ્યાં બૌદ્ધિકોને ખરીદવામાં આવતા હોય અને જ્યાં બૌદ્ધિકો વેચાતા હોય ત્યાં લોકતંત્રની સલામતી કેટલી?

અહીં એક પ્રસંગની યાદ અપાવવી યોગ્ય રહેશે. ૧૯૫૯-૬૦ના વરસમાં નાણાવટી ખૂન કેસ બહુ ગાજ્યો હતો. એ કેસ ગાજ્યો એનું કારણ જ્યુરી હતું. એ જમાનામાં અદાલતને મદદરૂપ થવા ખટલાની સુનાવણી વખતે આમ નાગરિકોની બનેલી જયુરીને બેસાડવામાં આવતી. જ્યુરીના સભ્યો જજની સાથે સાથે સુનાવણી વખતે બન્ને પક્ષની દલિલો સાંભળતા અને પછી પોતપોતાનો અભિપ્રાય જજને આપતા. હેતુ એવો હતો કે એક કરતાં વધુ કાન સાંભળતા હોય અને એક કરતાં વધુ ચિત્ત છણાવટ કરતાં હોય તો ન્યાયદાનની પવિત્ર ભૂમિમાં નિર્દોષને અન્યાય ન થાય. પણ નાણાવટી ખૂન કેસમાં કેવો અનુભવ થયો? ખૂનના આરોપી કમાન્ડર કે.એમ. નાણાવટીનું મોહક વ્યક્તિત્વ અને તેમના વકીલ કાર્લ ખંડાલાવાલાની હાવભાવયુક્ત નાટ્યપૂર્ણ (થિયેટ્રિકલ) અસ્ખલિત અને ધુંવાધાર દલીલો સાંભળીને અદાલતની જ્યુરીના સભ્યો અને અદાલતમાં ઉપસ્થિત લોકો મેસ્મેરાઈઝ્ડ થઈ ગયા. એમાં પાછી આરોપી સ્ત્રી હોય અને ઉપરથી બેવફા પત્ની હોય તો પૂછવું જ શું? અદાલતમાં પ્રેક્ષકોને ભાવવિભોર કરી મૂકે એવું નાટક ભજવાયું અને ખૂનીની જગ્યાએ બેવફા સ્ત્રી વિરુદ્ધ અને તેનાં પ્રેમી વિરુદ્ધ જ્યુરીનો મત બન્યો. બાય ધ વે, વાચકોને હું ‘એક રુકા હુઆ ફેંસલા’ નામની ફિલ્મ જોવાની ભલામણ કરું છું.

જ્યુરીના સભ્યો એરે ગેરે નથુ ખેરે નહોતા. સમાજમાં થોડીઘણી પ્રતિષ્ઠા ધરાવનારા લોકો હતા. કાયદાનું ભલે ઊંડું નહીં, પણ પ્રાથમિક જ્ઞાન ધરાવતા હતા. તેમની પાસે દોરવાયા વિના નીરક્ષિર વિવેકની અપેક્ષા હતી પણ તેઓ ભાન ભૂલી ગયા અને કાંઠો છોડીને વહી ગયા. એ ખટલા પછી જયુરીની સિસ્ટમ ખતમ કરી નાખવામાં આવી.

જો જયુરીના સભ્યો ભાન ભૂલી જાય તો સામાન્ય નાગરિક ભાન ભૂલે એમાં કોઈ નવાઈ ખરી! ઘણીવાર કોઈ નેતાની પાછળ લોકો ભાન ભૂલી જતા હોય છે. ઍડૉલ્ફ હિટલરે તેની આત્મકથામાં લખ્યું છે કે પ્રજામાં સ્ત્રીનાં લક્ષણો હોય છે એટલે તેની અંદર કોઇને વરવાની એક પ્રકારની તડપ હોય છે. નેતાને માત્ર પ્રજાની અંદર તેના પ્રતિ વરવા માટેની તડપ પેદા કરતા આવડવું જોઇએ. પછી જુઓ શું થાય છે! નેતા એ પછી પ્રજાનાં સમર્થન દ્વારા ધારે એવી મનમાની કરી શકે છે.

પ્રજાનો સાથ અને પ્રજાનો અવાજ એ જ લોકતંત્ર એવો એક ખોટો ખ્યાલ લોકોમાં તો શું, વિદ્વાનોમાં પણ પ્રવર્તે છે. ૧૯૬૭માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણમાં મૂળભૂત અધિકારોની બાબતે સુધારા કરવાનો સંસદને અધિકાર નથી એવો ચુકાદો આપ્યો ત્યારે સમાજવાદી સંસદસભ્ય બેરિસ્ટર (પ્લીઝ નોટ, બેરિસ્ટર) નાથ પૈએ લોકસભામાં ખરડો રજૂ કર્યો હતો. ખરડામાં એવી જોગવાઈ હતી કે બંધારણમાં કોઈ પણ પ્રકારના સુધારા કરવાના સંસદના અધિકારને રોકવાના સર્વોચ્ચ અદાલતના અધિકારને મર્યાદિત કરવો જોઇએ. કારણ? કારણ કે લોકસભાના સભ્યોને લોકોએ ચૂંટ્યા છે, તેઓ લોકોનાં અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેને વાચા આપે છે, વગેરે. પ્રજાના અને દેશનાં હિતમાં કઈ નીતિ અપનાવવી એ શાસકોએ નક્કી કરવાનું છે અને એમાં અદાલત અવરોધ પેદા ન કરી શકે. એ નીતિ માટે પ્રજાની સંમતિ મળી ગઈ એટલે પત્યું. એ સમયે બીજા એક સમાજવાદી નેતા અને સંસદસભ્ય મધુ લિમયેએ નાથ પૈને ટોણો મારતાં કહ્યું હતું કે તમે જો કાયદા સાથે ઇતિહાસનો પણ અભ્યાસ કર્યો હોત તો સારું થાત.

જો નાથ પૈં જેવો માણસ મુગ્ધતામાં વહી જાય તો ભારતીય રાજ્યને કોના ભરોસે મુકવું? ભારતીય રાજ્યને બંધારણને ભરોસે જ મુકાય, કારણ કે રાજ્યની કલ્પના બંધારણમાં છે અને બંધારણે દરેક પક્ષકારને વિવેકની મર્યાદામાં બાંધ્યા છે. ટકાઉ સંતુલન રચીને આપ્યું છે અને એ સંતુલનને ખેરવવાનો કોઈને અધિકાર નથી. પ્રજાનો અવાજ, પ્રજાની સર્વોપરિતા વગેરે વાતો છેતરામણી છે. પોતાનાં પક્ષે સંતુલન ખોરવવાની રમત છે.

ઇન્દિરા ગાંધીનો હેતુ સમાજવાદી ભારતનાં નિર્માણનો હતો. એમાં વિચારધારા ઉપરાંત રાજકારણ પણ હતું. પોતાની ગરીબ તરફી ઈમેજ વિકસાવવાનો ઈરાદો હતો અને તેમાં ન્યાયતંત્ર આડું આવતું હતું. અત્યારના શાસકોનો ઈરાદો હિંદુરાષ્ટ્ર સ્થાપવાનો છે અને તેમાં ન્યાયતંત્ર આડું આવી શકે છે. આ જે ઉધામા છે એ હિંદુ રાષ્ટ્ર માટે બંધારણ પર ધાડ પાડવા માટેના છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2251,2261,2271,228...1,2401,2501,260...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved