Opinion Magazine
Number of visits: 9553996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય અને શ્રી ગોવર્ધનસ્મૃતિ મંદિર, નડિયાદ…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 August 2025

રવીન્દ્ર પારેખ

રિક્ષા થોભી અને અમે ઊતર્યા. અમે એટલે હું, ઉદ્યોગપતિ રોહિત મારફતિઆ અને લેખક, પત્રકાર બકુલ ટેલર. હું પહેલી વખત અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય પાસે હતો. નીચે બંને બાજુએ બાંકડા હતા. પુસ્તકાલયમાં, ડાબી-જમણી બાજુએથી ચડીને પ્રવેશી શકાય એવાં પગથિયાં હતાં. નીચેથી જોયું તો વચમાં ચબૂતરા જેવું હતું ને જૂની શૈલીનું, ઘેરા લાલ, લીલા, ગુલાબી રંગોવાળું, ક્યાંક ઘસાઈ ગયેલા કોફીરંગી થાંભલાઓવાળું, ક્યાંક નાજુક કોતરણીવાળું મકાન આકર્ષતું હતું. વચમાં કાળાબોર્ડ પર સફેદ અક્ષરોમાં પુસ્તકાલયનું નામ ચીતરેલું હતું, તો ઉપર સુવર્ણરંગી પતરા પર દેવનાગરીમાં અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકશાળા કોતરાયેલું હતું. તેની ઉપર વીણાધારી સરસ્વતીનું નાનકું ચિત્ર હતું.

વચ્ચે ‘સરસ્વતીચંદ્ર’ના સર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો ફોટો થાંભલા પર જોવા મળ્યો. આસપાસ વાર્નિશ કરેલાં લાકડાનાં જૂનાં કબાટોમાં વિષયવાર પુસ્તકો તાળાંમાં સચવાયેલાં હતાં. બહાર સ્ટેન્ડ પર છાપાં હતાં ને અંદર પુસ્તકો હતાં. આ ઉપરાંત અહીં 80 જેટલાં સામયિકો આવે છે એ પણ જાણ્યું.

આ પુસ્તકાલયની સ્થાપના ગોવર્ધનરામના પિતરાઈ ને એમના માર્ગદર્શક મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ, 25 એપ્રિલ, 1898(વૈશાખ સુદ ચોથ, સંવત 1954)ને રોજ ૩૦,૦૦૦ને ખર્ચે, પત્ની ડાહીલક્ષ્મીની સ્મૃતિમાં કરી. અંગ્રેજોનાં શાસનમાં તેને પુસ્તકાલયનો દરજ્જો મળ્યો. હજારો પુસ્તકો લાઈબ્રેરીઓમાં તો હોય, પણ તે આધુનિક મકાનમાં હોય તેની ફીલિંગ જુદી છે ને ડાહીલક્ષ્મી જેવી 127 વર્ષ જૂની લાઈબ્રેરીમાં હોય એની ફીલિંગ જુદી છે.

અમે પ્રવેશ્યા ત્યારે વિજ્ઞાનની વિદ્યાર્થિની નાઝનીને અમને આવકાર્યા ને લાઈબ્રેરી અંગે માહિતી આપી ને પછી પણ આપતી રહી. અમે લાકડાની ખુરશી પર બેઠા. એમ લાગ્યું, વાર્નિશ કરેલા સમયમાં બેઠા છીએ. ભીંતમાં ચણેલા ઊભા થાંભલાને સ્પર્શીએ તો એ સમય પણ આંગળીઓને અડકતો લાગે છે. અમે લાકડાનો દાદર ચડી ઉપર આવ્યા, પણ એમ લાગ્યું સમયમાં નીચે ઊતરી રહ્યા છીએ. ડાબી બાજુએ લોખંડી ઘોડાઓમાં વિષયવાર પુસ્તકો ગોઠવાયેલાં જોયાં. કેટલાંકનું બાઈન્ડિંગ પણ થયું હતું. એક જૂનું થોથું ઉપાડ્યું. નામ હતું – ‘ક્રોસવાયર’, લેખક રવીન્દ્ર પારેખ. મને હું અહીં જોવા મળ્યો એનો આનંદ હતો. આ વિભાગ સીતાબહેન જેવાં અનુભવી સન્નારી સંભાળે છે. અહીં lawને બદલે low જોવા મળ્યું. ‘લાયબ્રેરી’ શબ્દકોશમાં જ નથી, લાઈબ્રેરી છે. નડીઆદ, નડિયાદમાંથી કોઈ એકને અપનાવી શકાય કે કેમ? ક્યાંક નડીયાદ પણ વાંચવા મળ્યું. લાઈબ્રેરી થોડી સભાન રહે તો ગમે.

ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં મહિનાના પહેલા રવિવારે ‘ગ્રંથનો પંથ’ શીર્ષક હેઠળ પુસ્તકનો પરિચય અપાય તે સ્તુત્ય પગલું છે. સંસ્થામાં બાળકો માટે પણ અલગ વિભાગ છે. લગભગ 26,00૦થી વધુ પુસ્તકો આ લાઈબ્રેરીમાં યોગ્ય રીતે જળવાયાં છે. અહીં મેઘાણીનાં પુસ્તકો અલગ રીતે સચવાયાં છે. મહેન્દ્ર મેઘાણીએ યોગ્ય રીતે જ આ લાઈબ્રેરીને ‘પુરાતન યુગનો જ્ઞાનકોશ’ કહી છે. લાઈબ્રેરીને ઉચિત રીતે જ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયનો શ્રી મૂળજીભાઈ અમીન એવોર્ડ પણ મળ્યો છે.

ડાહીલક્ષ્મીમાં 600-700 વર્ષ જૂની હસ્તપ્રતોનો ભંડાર છે. આ હસ્તપ્રતો ‘શ્રી નારાયણ હસ્તપ્રત ભંડાર’માં જળવાઈ છે. નડિયાદનો એ અક્ષરદેહ છે. ડાબી બાજુ વળીએ તો નડિયાદના સાક્ષરોની યાદી જોવા મળે છે અને અંદર જતાં ગોવર્ધનરામ, મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સાક્ષરોના પરિચય વંચાય છે, તો તેની નીચે, કાચમાં તેમનાં પુસ્તકો પણ જોવાં મળે છે, તો ઉપર, નડિયાદ નગરના ફોટોગ્રાફ્સ પણ ધ્યાન ખેંચે એ રીતે મુકાયા છે. અમે આ બધું જોતાં હતાં, ત્યાં કેમિકલ એન્જીનિયર અને લેખક, બીરેન કોઠારી આવ્યા. તેમને પહેલી વખત મળવાનું થયું. તેમણે લાઈબ્રેરીમાં સચવાયેલી ૩,૦૦૦ જેટલી હસ્તપ્રતો અંગે વાત કરી. ઉપરથી જોઈ શકાય એમ કાચ નીચે એકાદ હસ્તપ્રત જોવા મળી. મેં બીજી હસ્તપ્રત જોવા માંગી તો એમણે લાલ કપડામાં લપેટાયેલી ને સફેદ કવરોમાં રખાયેલી એક હસ્તપ્રત બહાર કાઢીને બતાવી. એ સમયના દેવનાગરી મરોડો જોઇને અભિભૂત થઇ જવાયું. નાઝનીને એક ટેબલ પર મોટો ચોપડો લાવીને મૂક્યો. એમાં હસ્તપ્રતોની વિગતો અનેક ખાનાઓમાં અપાઈ હતી. એ ખરું કે ઋતુઓની અસરો કાગળો, શાહી પર થતી હોય છે. જાળવણી છતાં કાગળો બરડ થતાં હોય કે તૂટી જતાં હોય છે. એ સ્થિતિમાં હસ્તપ્રતો જાહેરમાં મૂકવાનું હિતાવહ નથી, છતાં તે સમયની લખાવટનાં, જુદા જુદા હાથના (અક્ષરોના) મરોડનાં દર્શન થાય એ પણ જરૂરી છે. એવી વ્યવસ્થા હશે, પણ મારા જોવામાં એકાદ અપવાદ સિવાય ન આવી.

એ પછી નડિયાદની ગલીઓ, પોળોમાં જવાનું બન્યું. સાથે બીરેનભાઈ હતા તે નડિયાદી સાક્ષરોના ઘરો બતાવતાં હતાં. એક ઘર બતાવતાં કહ્યું- આ ઘર ગોવર્ધનરામની માતા શિવકાશીનું છે. ગોવર્ધનરામનું ઘર તો પૈતૃક છે, પણ આ ઘર ગોવર્ધનરામે પોતે બંધાવેલું. સાંકડી પોળોમાં જે થોડાં ઘર જોવાના થયાં, તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક, કુલીનચન્દ્ર યાજ્ઞિક, મન:સુખરામ ત્રિપાઠી, રસાયણશાસ્ત્રી અને ગોવર્ધનરામના મિત્ર ટી.કે. ગજ્જર, ભૌતિકશાસ્ત્રના લેખક અને કર્નલ પ્રદ્યુમ્ન આણંદજી પંડ્યા, કવિ-ચિત્રકાર, નવલકથાકાર, અભિનેતા જયકૃષ્ણ ચીમનલાલ સુરતી, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસુ અંબાલાલ બુલાખીરામ જાનીનાં મુખ્ય હતાં. ઘણાં ઘરો મૂળ સ્વરૂપમાં રહ્યાં નથી, પણ જે રહ્યાં છે તે નડિયાદની ઓગણીસમી સદી સાચવીને બેઠાં છે. ઘરની આગળ જે તે સાક્ષરોનાં રેખાંકન સાથે પરિચયાત્મક તકતીઓ મુકાઈ છે. આવું મારી જાણમાં તો ગુજરાતમાં ક્યાં ય નથી. મોટે ભાગના વિકસિત શહેરોમાં સમય નવો નક્કોર વહે છે, ત્યાં ભૂતકાળ ન સચવાય તે સમજી શકાય એવું છે. બકુલ કહે છે તેમ નગરો થોડાં ગરીબ રહે તે પણ સારું છે. એ ગરીબીને જ સમય સાચવવાની પડી હોય છે, બાકી તો જ્યાં ને ત્યાં કોન્ક્રેટી જંગલો જ મળવાનાં.

વેલ, અમે ગોવર્ધનસ્મૃતિ મંદિર નજીક આવ્યા. આગળ જાળીવાળો જૂનો રંગીન દરવાજો હતો ને ઉપલા માળની નીચે, લાકડા પર સફેદ અક્ષરોમાં ચીતરાયું હતું- શ્રી ગોવર્ધનસ્મૃતિ મંદિર. આ ઘરમાં જાળીનો ગજબનો મહિમા હતો. નાની, મોટી જાળીઓ ને એમાંથી આવતાં કિરણો જે ભાત પાડે છે તે હવે ભાગ્યે જ જોવા મળે છે. એક પળ તો કોઈ અદીઠ સાક્ષરી હાથ અમને ઘરમાં લઈ જતો હોય એવું અનુભવાયું. એ સમયની બાંધણી એવી હતી કે વચ્ચે ખુલ્લું હોય, જેથી તડકો વિટામીનની ગરજ સારે. આ ઘર પણ એવું જ હતું. નીચે સોફા હતા. એના પર બેઠા, એટલામાં નડિયાદના વતની અને સૂરજબા મહિલા કોલેજના આચાર્ય ડો. હસિત મહેતા આવી ચડ્યા. ડાહીલક્ષ્મી લાઈબ્રેરીના તેઓ રાહબર છે. તેમણે રોહિતભાઈના પુસ્તક ‘સુરતનું ગૌરવવંતુ ગોપીપરું’ની પ્રશંસા કરતાં નડિયાદના નાગરવાડા અને સુરતના ગોપીપરાના સાક્ષરો વચ્ચે સામ્ય છે એવું જણાવ્યું. એમાં તથ્ય છે. મને તો ગોપીપરું અને નાગરવાડો એક જ ગર્ભનાળથી જોડાયેલાં લાગ્યાં છે. ચં.ચી. મહેતાએ તો નડિયાદની જેમ સુરતને પણ અસલ સાક્ષર નગરી જાહેર કરેલી. ટૂંકમાં, નડિયાદ અને સુરત સાક્ષરી સંબંધે જોડાયેલાં છે ને એ સંબંધ વિકસતો રહે એ ઇચ્છનીય છે.

બીરેનભાઈએ સ્કેન કરીને એક અવાજ સંભળાવ્યો – હું ગોવર્ધનરામની પાઘડી છું – ને બાજુમાં જ કાચના બોક્સમાં મુકાયેલી ગોવર્ધનરામની પાઘડી એમણે બતાવી. એ જ રીતે ગોવર્ધનરામ જે કિત્તો, કલમ વાપરતાં, જે શાહીદાનમાં શાહી ભરતાં એ બધું પણ જોવાનું થયું. એક સાવ સાંકડો લાકડાનો દાદર ચડીને ઉપર આવ્યા. એ ખંડમાં ગોવર્ધનરામનું હિંચકે ઝૂલતું બ્લેક લોન્ગકોટ, ધોતી, પાઘડી પહેરેલું મૂર્ત રૂપ જોયું ને અમે સૌએ એમની પાછળ ઊભા રહી ફોટા પડાવ્યા. સરસ્વતીચન્દ્રના ભાગો હસ્તાક્ષરમાં જોયા. આજે તો પેન/બોલપેનથી કે બોલીને ફટાફટ લખાય છે, પણ તે વખતે કલમને શાહીમાં બોળી બોળીને સરસ્વતીચન્દ્ર અને અન્ય સાહિત્ય ગોવર્ધનરામે કેમ કેમ લખ્યું હશે એ વિચારે ચકરાવે ચડી જવાય છે. ભીંતો પર કેટલાંક ચિત્રો, લખાણો ધ્યાનાકર્ષક હતાં. ગોવર્ધનરામનાં ઘરનાં કેટલાંક શ્રુતચિત્રો જોયાં, જે ઘર જોડે ઘણો મેળ ખાતાં હતાં. તેમનું અંગત પુસ્તકાલય પણ હતું, જેમાં સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી પુસ્તકો જળવાયેલાં હતાં.

નીચે માત્ર સામયિકોના કબાટનો ખંડ હતો. તેમાં સંસ્કૃતિ, વીસમી સદી, ભૂમિપુત્ર, જ્ઞાનસુધા, ગુજરાત, સ્ત્રીજીવન જેવાં પ્રતિષ્ઠિત સામયિકોની ફાઈલો હતી. એવા તો ચારેક વિભાગો હતા. બાકી હતું તે જન્મભૂમિની ફાઈલો પણ હસિતભાઈએ મેળવી હતી. મહાભારતનું સ્કેનિંગ થતું જોયું. કામ ધીમું હતું, પણ સમૃદ્ધિ વધારનારું હતું. કાગળો સંપત્તિ વધારે તે કરન્સી નોટો પરથી ખબર પડે, પણ કાગળો સંસ્કૃતિ પણ વધારે એ લાઈબ્રેરી ને ‘મંદિર’ પરથી અનુભવાય. નડિયાદ જનારે લાઈબ્રેરી અને મંદિરે જવું જ જોઈએ. એ તીર્થના અનુભવથી ઓછું નહીં જ હોય એવું ગર્વથી કહી શકાય …..

                                                                                                                                 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 ઑગસ્ટ 2025

Loading

ઉદ્દેશ્ય એક જ : સત્તા અમર રહેવી જોઈએ !

રમેશ સવાણી|Opinion - Opinion|21 August 2025

રમેશ સવાણી

વડા પ્રધાન કે મુખ્ય મંત્રી ત્યાં સુધી સત્તામાં રહી શકે જ્યાં સુધી લોકસભા કે વિધાનસભામાં તેમની પાસે બહુમતી હોય. જો સંસદસભ્ય કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ કેદની સજા થાય તો તે સંસદ કે ધારાસભાનું સભ્યપદ ગુમાવે છે. એટલે કે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી તરીકે રહી શકે નહીં. હાલ આ જોગવાઈ છે.

કેન્દ્ર સરકાર એટલે કે વડા પ્રધાન / ગૃહ મંત્રી ‘Constitution Amendment Bill’ (બંધારણમાં 130મા સુધારા બિલ, 2025) દ્વારા એવો સુધારો કરવા ઈચ્છે છે કે “વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રીને 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે, જેમાં પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે, તો તેમણે ધરપકડના 31મા દિવસ પહેલા રાજીનામું આપવું પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેમને મંત્રી પદ પરથી દૂર કરવામાં આવશે.”

પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે વડા પ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય મંત્રીને 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને દૂર કરવા જ જોઈએ. તો જ રાજકારણમાં સુધારો આવશે અને મંત્રીઓ ભ્રષ્ટાચાર કરતા અટકશે.

પણ ના, આ ઉદ્દેશ નથી, છૂપો ઉદ્દેશ એ છે કે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓને સત્તામાંથી દૂરનો છે, એટલે જ વિરોધપક્ષોએ આ બિલનો સજ્જડ વિરોધ કરેલ છે.

મોદી સરકારનો ઇતિહાસ રહ્યો છે કે એમણે હંમેશાં એવા કાયદા બનાવ્યા છે જેમાં એમની સત્તા મજબૂત બને અને લોકોના અધિકારો મર્યાદિત બને. કાળ ત્રણ કૃષિ કાનૂનો તેનું ઉદાહરણ છે. 

થોડા સવાલો : 

[1] વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓ પર કેસ કોણ કરે? CBI / ED / ઈન્કમટેક્સ / ANI વગેરે કેન્દ્ર સરકારની એજન્સીઓ. આ એજન્સીઓ વડા પ્રધાન / ગૃહ મંત્રીની સૂચના મુજબ કામ કરે છે. એટલે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓ પર કેસ કરવો અને તેમને 30 દિવસ સુધી જામીન ન મળે તેવું વડા પ્રધાન/ ગૃહ મંત્રી સરળતાથી ગોઠવી શકે છે. ન્યાયતંત્રમાં પણ કરોડરજ્જુ વગરના જજ હોય છે. એટલે જો વિપક્ષના સભ્યો કાળાં નાણાંથી ખરીદી ન શકાય તો તેમને CBI / ED / ઈન્કમટેક્સ મારફતે જેલમાં પૂરી શકાય. 

[2] આ બિલ કોણ લાવી રહ્યું છે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ. જે પોતે ત્રણ હત્યાઓ અંગે જેલમાં જઈ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી તેમને તડીપાર કર્યા હતા ! 

[3] વળી આ બિલમાં વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓની ધરપકડ અંગે ચોખવટ નથી ! વિપક્ષને અસ્થિર કરવા જ આ બિલ લાવવામાં આવી રહ્યું છે, તે સ્પષ્ટ  થાય છે. શું વડા પ્રધાન / ગૃહ મંત્રી પક્ષપાત નહીં કરે? શું સત્તાપક્ષે ક્યારે ય પોતાના મુખ્ય મંત્રી સામે કેસ કર્યો છે? ચૂંટણીમાં હરાવી ન શકાય તો આ રીતે વિપક્ષના મુખ્ય મંત્રી / મંત્રીઓનો કાંટો કાઢી શકાય ! 

[4] 30 દિવસ કસ્ટડીમાં રહે તેનો અર્થ એ થયો કે વર્તમાન મુખ્ય મંત્રી / મંત્રીઓને હટાવવાની કાર્યવાહી તપાસ અને ટ્રાયલ દરમિયાન જ શરૂ થશે, દોષિત ઠેરવ્યા પછી નહીં. શું આ ખતરનાક જોગવાઈ નથી? શું સત્તાપક્ષ આ જોગવાઈનો દુરુપયોગ ન કરે? 

[5] સત્તાપક્ષમાં-ભા.જ.પ.માં જ બળાત્કારીઓ / હત્યારાઓ / તડીપાર / નફરતીઓ / ભષ્ટ્રાચારીઓ મોટી સંખ્યામાં છે. વડા પ્રધાન તેમની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે, તેઓ વિરોધ પક્ષોને તોડીને તેમને જેલમાં મોકલવાનું કામ કરી રહ્યા છે. લોકશાહીમાં આ ઉચિત કહેવાય? શું સરમુખત્યારશાહી તરફનું આ પગલું નથી? 

[6] અટકાયત કરાયેલા મંત્રીને દૂર કરવાની બંધારણમાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. તેથી, બંધારણના આર્ટિકલ-75, 164 અને 239AAમાં સુધારો કરવાની જરૂર હોઈ શકે.  આર્ટિકલ-75 વડા પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો સાથે સંબંધિત છે. આર્ટિકલ-164 રાજ્ય પ્રધાનો સાથે સંબંધિત છે અને આર્ટિકલ-239AA દિલ્હી જેવા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સાથે સંબંધિત છે. જો બિલનો મુખ્ય હેતુ આવા કિસ્સાઓમાં કાનૂની માળખું પૂરું પાડવાનો હોય અને રાજકારણમાં ગુનાહિત તત્ત્વોને રોકવાનો હોય તો વાંધો નથી. પરંતુ વડા પ્રધાન મોદીજી અને ગૃહ મંત્રી અમિત શાહ સત્તાનો દુરુપયોગ કરવાના ખેલાડી છે. એમની મથરાવટી જ એટલી મેલી છે કે કોઈ વિશ્વાસ મૂકે? 

[7] નવી જોગવાઈ મુજબ ‘જો વડા પ્રધાન પોતે 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેમણે 31મા દિવસે રાજીનામું આપવું પડશે.’ પરંતુ વડા પ્રધાનને એરેસ્ટ કરે કોણ? શું આ જોગવાઈ ગલગલિયાં કરાવવા માટેની જ નથી? યૌન શોષણ કરનાર બ્રિજભૂષણસિંહને એરેસ્ટ કરાતો નથી ત્યાં વડા પ્રધાનને એરેસ્ટ કરવાની જોગવાઈનો કોઈ અર્થ ખરો? 

[8] આ નવી જોગવાઈથી રાજકારણનો ચહેરો બદલવાનો નથી, હા વિપક્ષનો ચહેરો જરૂર બદલી જશે ! શું આ બિલ રાજકારણને ગુનામુક્ત બનાવવા માટે એક મોટો સુધારો છે? ના બિલકુલ નહીં. સત્તામાં બેઠેલા ગુનેગારો સુધરે તોપણ દેશની મોટી સેવા થાય ! 

[9] આ બિલ ફક્ત ધરપકડના આધારે કાર્યવાહીની મંજૂરી આપશે. જે ‘સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ના સિદ્ધાંતનો ભંગ નથી? 

[10] દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની દારૂનીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેઓ પદ પર રહ્યા. આવી સ્થિતિ નિવારી શકાશે. જેલમાં બેઠા બેઠા મંત્રીપદ ભોગવે તે સ્થિતિ હાસ્યાસ્પદ તો છે જ; પરંતુ માત્ર વિપક્ષી મુખ્ય મંત્રીને / મંત્રીને જેલમાં કેમ પૂરવામાં આવે છે? શું સત્તાપક્ષમાં બધા દેવદૂતો જ હશે? 

[11] વિપક્ષી મુખ્ય મંત્રી / મંત્રીની ધરપકડની સમીક્ષા કરવા માટે એક ‘સ્વતંત્ર સમિતિ’ ન હોવી જોઈએ? જે કોઈપણ દબાણ વિના અને પ્રામાણિકતા સાથે તપાસ કરે. શું આ શક્ય છે? મોદીજી સત્તામાં હોય ત્યારે આ શક્ય નથી. મોદીજીના બધા મોટા નેતાઓ ગુનેગાર છે. પરંતુ ભા.જ.પ.માં રહીને તેમને ક્લીનચીટ મળી ગઈ છે. અને હવે તેઓ ગુનેગાર નથી પણ દેવદૂત  છે ! મોદીજીની નજરમાં, વિપક્ષથી મોટો ગુનેગાર કોઈ નથી, કારણ કે વિપક્ષે મોદીજીની હાલત ખરાબ કરી દીધી છે. મોદીજીની લોકપ્રિયતા ખતમ થવાના આરે છે. લોકોએ તેમની રેલીઓમાં જવાનું બંધ કરી દીધું છે. 

ટૂંકમાં, ભારતની લોકશાહીને શુદ્ધ કરવા માટે આ એક સાહસિક પગલું નથી પણ સ્વાર્થી પગલું છે. આ બિલનો ઉદ્દેશ્ય એક જ છે : સત્તા અમર રહેવી જોઈએ !

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
20 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 August 2025

વિભાજન

સંહારની એકતરફી રજૂઆત ઇતિહાસનો બોજ હશે, બોધ નથી

જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ–શીખ અહીં પહોંચ્યા નહીં. 

પ્રકાશ ન. શાહ

14મી ઓગસ્ટને વિભાજનની વિભીષિકા દિવસ તરીકે મનાવવાની જાહેરાત સાથે ભા.જ.પ. નેતૃત્વ ઓર આગે વધી રહ્યું છે. એને પક્ષીય ઉજવણીથી (અને એ રીતે કાઁગ્રેસમુક્ત ભારત તેમ કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.ની કોશિશથી) ધરવ નથી. પ્રાથમિક ને માધ્યમિકનાં વરસોમાં સત્તાવાર ધોરણે તે આ બાબત અભ્યાસક્રમમાં સુનિશ્ચિત કરવા માગે છે, અને એ રીતે કશોક પક્ષીય વિચારધારાકીય હેતુ અંકે કરવા ઇચ્છે છે. 

હજુ ગયે અઠવાડિયે જ અભ્યાસકાળમાં પાર્ટિશન હોરર્સ દાખલ થઈ શકે તે દૃષ્ટિએ સરકારી સૂચનાથી એન.સી.ઈ.આર.ટી.એ તૈયાર કરેલ મોડ્યુલની વિગતો પણ પ્રકાશમાં આવી છે. અલબત્ત મોડ્યુલને છેડે એણે શાણી વાત જરૂર કરી છે કે કાઁગ્રેસ વગર મુસ્લિમ લીગ કોઇને ય સાગમટે બધો દોષ ન ખતવાય તે સારુ સમગ્ર ઇતિહાસ જાણવો સમજવો જરૂર છે. 

ભલે ભાઈ. પણ આ શાણીસોજ્જી વાત છતાં એન.સી.ઈ.આર.ટી. ગણાવે છે ત્રણ જવાબદારો – એક, ઝીણા ને લીગ, કેમ કે એમણે પાકિસ્તાનની એટલે કે ભાગલાની માગણી કરી. બે, કાઁગ્રેસ, કેમ કે એણે છેવટે ભાગલાનો નિર્ણય કબૂલ રાખ્યો. ત્રણ, લોર્ડ માઉન્ટબેટન, કેમ કે એમણે ભાગલાનો વિધિવત અમલ કીધો. 

સબૂર. આમાં ભા.જ.પ.-જનસંઘના પૂર્વસૂરિઓ ક્યાં છે? હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાં હતા. આ દિવસોમાં? અને હા, હમણાં પેટ્રોલિયમ ખાતાએ માથે સાવરકર (ને પછી ગાંધી વ.) એવું જે પોસ્ટર પ્રસારિત કર્યું છે તેના વીરનાયક એટલે કે સાવરકર ક્યાં હતા ત્યારે? ઇતિહાસમાં નોંધાયું છે કે સાવરકરનો હિંદુત્વ થિસીસ વીસમી સદીના ત્રીજા દસકાનાં પૂર્વાર્ધમાં બહાર આવી ચૂક્યો હતો. સ્વરાજની ચળવળથી સલામત અંતર રાખવાની સમજૂતી સાથે બહાર આવેલા અંગ્રેજ સરકારના પેન્શનર સાવરકરે 1937માં હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનની અધ્યક્ષીય રજૂઆતમાં સાફ સાફ કહ્યું હતું કે આપણે (હિંદ/ઇન્ડિયા) એક રાષ્ટ્ર નથી, વધુ રાષ્ટ્રો છીએ – ઓછામાં ઓછા હિંદુ અને મુસ્લિમ બે રાષ્ટ્રો તો અહીં છે જ. મુસ્લિમ લીગનો પાકિસ્તાનનો ઠરાવ તે પછી, 1940માં આવ્યો. આ ઠરાવ ફઝલૂલ હકે રજૂ કર્યો હતો, અને હકને બંગાળમાં મુખ્ય મંત્રીપદ દરમિયાન એક મંત્રી તરીકે મળી રહેલો સધિયારો હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીનો હતો. આ જ મુખર્જી પછી સંઘ નેતૃત્વ સાથેની ગોઠવણપૂર્વક જનસંઘના સ્થાપક – પ્રમુખ બનવાના હતા. 

વાસ્તવિકતા એ છે કે કાઁગ્રેસ ખેંચી શકી ત્યાં સુધી એણે ‘આપણે સૌ હિંદીઓ’ને ધોરણે વાત કરી. મુસ્લિમ લીગે ‘મુસ્લિમ’ હોવાના ધોરણે તો સંઘ-હિંદુ મહાસભાએ ‘હિંદુ’ હોવાને ધોરણે. કાઁગ્રેસની ચૂકના પ્રસંગો ગણાવી શકાય, પણ ‘આપણે એક રાષ્ટ્ર નથી’ એવી પાયાની જે ચૂક લીગ અને સંઘ-હિંદુ મહાસભાની હતી, એનીયે ભૂમિકા ખસૂસ છે જ. ભાગલા વખતે રજવાડાને ભારત/પાકિસ્તાનમાં ભળવાનો અગર સ્વતંત્ર હોવાનો જે વિકલ્પ હતો તે દરમિયાન કાશ્મીરના હરિસિંહ સ્વતંત્ર  રાજ્ય તરીકે ‘હિંદુ રાજ્ય’ની ભૂમિકા લે તે માટે એક તબક્કે હિંદુ મહાસભા ઉત્સાહી હતી જેમ એણે ત્રાવણકોર – કોચીનની સ્વતંત્ર રાજ્ય તરીકેની જાહેરાતને ય ‘હિંદુત્વ’ છેડેથી આવકારી હતી. (ચોક્કસ શકવર્તી ગાળા દરમિયાન હિંદુ મહાસભા અને સંઘનું રજવાડાં-સંધાન તપાસ ને અભ્યાસની બાબત છે.)

સંહાર અલબત્ત અમાનવીય બીના જ છે. પણ એની એકતરફી રજૂઆતમાં ઇતિહાસનો બોજ હશે, બોધ નથી. મોડ્યુલમાં જણાવ્યું છે કે આશરે દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા અને કમ સે કમ છ લાખ લોકો માર્યા ગયા. પણ જે વિગત આ મોડ્યુલ માર્તંડો (બલકે એમના માલિકો) ચૂકી ગયા છે તે એ છે કે અહીંથી નીકળેલાં 13 લાખ મુસ્લિમો પાકિસ્તાન પહોંચ્યા નહીં, પાકિસ્તાનથી નીકળેલા આઠ લાખ જેટલા હિંદુ-શીખ અહીં પહોંચ્યા નહીં. 

તો, લમ્હોંમાં ખાયેલી ખતા સબબ સદીઓમાં કિંમત ચૂકવવાની ગાંઠ બાંધીને નીકળેલું નેતૃત્વ જરી જપ્તમાં ઝાંખે અને લગાર પોરો ખાઈ ડગલું ભરે તો શો વાંધો છે, ભાઈ? કાશ, વિભીષિકાની મૂઠ ને મૂર્છા ઉતરે અને કારુણિકાની સંજીવનીનો સ્પર્શ થાય!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 ઑગસ્ટ 2025

Loading

...102030...121122123124...130140150...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved