Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયા અને રિટેલ રોકાણોના ટ્રેન્ડમાં ‘ફિનફ્લુએન્સર્સ’ પર ભરોસો કરતાં પહેલાં ચેતજો …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 June 2025

આપણો બચતલક્ષી દેશ હવે રોકાણલક્ષી બની રહ્યો છે, ત્યારે માહિતીનું લોકશાહીકરણ બહુ જ સારી બાબત છે, પણ તે સમતુલિત હોય, સુરક્ષિત હોય અને  રોકાણકારોને છેતરપીંડી અને ખોટી માહિતીથી બચાવે તે પણ જરૂરી છે.  

ચિરંતના ભટ્ટ

ડિજીટલ યુગની વાત જેટલી થાય એટલી ઓછી. સર્ચ એન્જિન, સોશ્યલ મીડિયા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – ટૅક્નોલૉજીનો વિસ્તાર એ હદે થઈ રહ્યો છે કે તેની કલ્પના કરવાની ભાંજગડ પણ હવે કરવા જેવી નથી. પરિવર્તનો થતા રહેશે અને આપણે એ તમામનાં સાક્ષી બનતા રહીશું. ફોનમાં કલાકો પસાર કરવા, રીલ્સ, વૉટ્સએપ ફોરવર્ડ્ઝ અને મીમ્સની દુનિયામાં રચ્યા-પચ્યા રહેવું એ આપણા જીવનની વાસ્તવિકતા બની ચૂકી છે. ડૂમ સ્ક્રોલિંગ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે અને સાથે સાથે ડિજીટલ ડિટોક્સના પ્રયત્નો પણ આપણા વર્તમાન સમયનું સત્ય છે. લોકો પોતાની દલીલોમાં સોશ્યલ મીડિયા પર આવેલી માહિતીઓનો ઉપયોગ કરતાં પહેલાં વિચારતા નથી. આ સંજોગોમાં ફાયનાન્શિયલ – રોકાણો, બચત વગેરેની સલાહો મેળવવાનું પણ એક ક્લિક જેટલું કે એક ફિંગર સ્ક્રોલ જેટલું સહેલું થઇ ગયું છે. કયા સ્ટૉકમાં રોકાણ કરવું, કયા મ્યુચ્યઅલ ફંડ ખરીદવા – એ સવાલોના જવાબ મેળવવા માટે સામાન્ય લોકો સોશ્યલ મીડિયા તરફ નજર કરતાં થયાં છે. એક આખી જમાત ખડી થઇ છે એવાં લોકોની જે પોતે એક બ્રાન્ડ બની ચૂક્યાં છે – ફાયનાન્શિયલ સલાહો આપવા માટે. ફાયનાન્શિયલ ઇન્ફ્લુએન્સર્સ – ટૂંકમાં ‘ફિનફ્લુએન્સર્સ’નો આ વર્ગ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, નાણાંકીય સલાહો આપે છે અને તેને અનુસરનારાઓનો આંકડો તેમનાં ફોલોઅર્સ જેટલો અને ક્યારેક તેનાથી પણ વધારે મોટો છે. આર્થિક રોકાણો કે બચતની માહિતીનું આ ફિનફ્લુએન્સર્સ લોકશાહીકરણ કરી રહ્યા છે એમ ચોક્કસ કહેવાય – માતબર રકમ ન કમાનારા માણસોને પણ રોકાણો કે બચત અંગે માર્ગદર્શન મળતું થયું છે – તેમણે કોઈ ફાયનાન્શિયલ એડવાઇઝર્સને પૈસા નથી ચુકવવા પડતાં એ ખરું, પણ શું આ પૂરેપૂરી રીતે સલામત છે? ફિનફ્લુએન્સર્સની સંખ્યા વધી છે તેની સાથે ખોટી માહિતી, આર્થિક છેતરપીંડી અને ધારધોરણોનાં પડકારો કે ચૂકનાં જોખમો પણ વધ્યાં છે જેને જરા ય હળવાશથી લેવાય એમ નથી.

યુટ્યૂબ, ઇન્સાટગ્રામ અને ટેલિગ્રામ જેવાં માધ્યમો પર આ ફિનફ્લુએન્સર્સ સ્ટોક્સ, મ્યુચ્યઅલ ફંડ, ક્રિપ્ટો કરન્સી અને પર્સલન ફાયનાન્સની સલાહો આપતા રહે છે. આર્થિક બાબતોને લગતી તમામ માહિતીનું સરળીકરણ કરીને તેઓ પોતાનો અભિપ્રાય મુકતા હોય છે એટલે તે મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચે છે. ભારતના યુવાનોને આ માધ્યમ માફક આવે છે. તેમની પાસે પપ્પાની કે પપ્પાના મિત્રની વાતો સાંભળવાની ધીરજ નથી, તેમને કદાચ એમ લાગે છે કે પોતે કોઈ સી.એ. સાથે અત્યારે વાત કરે તેટલું તે કમાતા નથી – તો પછી આ ફિનફ્લુએન્સર્સ જે કડકડાટ બોલીને સહેલી રીતે બધું સમજાવે છે તેમની પર આધાર રાખવો. વળી જો આવી વાતો કરનારાના ફોલોઅર્સનો આંકડો મોટો હોય તો પછી ચિંતા જ નથી કારણ કે તેમની વાતમાં દમ હોય તો જ તેમને આટલા ફોલોઅર્સ હોય તેવું ભારતીય યુવા પેઢી માની લેતી હોય તો તેમાં તેમની ભૂલ નથી પણ એક ભ્રમ છે. ફર્સ્ટ-ટાઇમ ઇન્વેસ્ટર્સને આ બધું ગમે છે ખાસ કરીને જ્યારે આર્થિક સંજોગો સતત બદલાતા રહેતા હોય.

ફિનફ્લુએન્સ્રસનું આકર્ષણ બે વાતોને કારણે હોય છે – એક તો તેમની સાથે લોકો તરત જોડાઇ શકે છે અને બીજું કે તેઓ ઝડપી આર્થિક લાભનો વાયદો આપતા હોય છે. કમનસીબે આ આકર્ષક લાગતી બાબતો ઘણીવાર ઔપચારિક ફાયનાન્શિયલ તાલીમ અને ધારધોરણોનાં અનુસરણ વગર લોકો સુધી પહોંચતી હોય એવું બને છે. દરેક ફિનફ્લુએન્સરે નાણાંકીય બાબતોની તાલીમ નથી લીધી હોતી, તે દરેક સી.એ. થઈને કે કેપિટલ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટનો કોર્સ કરીને બેઠા હોય એવું નથી હોતું. 

કડક નિયમોની ગેરહાજરીને કારણે જેની ખરાઈ ન કરાઈ હોય તેવી માહિતીઓ અને જોખમી ફાયનાન્શિયલ સલાહોનો કોલાહલ વધ્યો છે. CFA ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર આટલા બધા ઇન્ફ્લુએન્સર્સની ભીડમાં માત્ર બે ટકા જ ફિનફ્લુએન્સર્સ એવાં છે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે SEBIમાં રજિસ્ટર્સડ છે અને તેની માન્યતા મેળવ્ય બાદ આ કામ કરી રહ્યાં છે છતાં ય આર્થિક સલાહકારોનો સોશ્યલ મીડિયા પર રાફડો ફાટ્યો છે.

નિયમોના નિયંત્રણની આ ખાઈને કારણે છેતરપીંડીના અનેક બનાવો બનતા રહે છે. તાજેતરમાં જ અભિનેતા અર્શદ વારસી અને તેની પત્ની મારિયા ગોરેટ્ટી પર SEBIએ સાધના બ્રોડકાસ્ટ શૅર દ્વારા યુટ્યૂબ પર પ્રમોટ કરાયેલી પમ્પ એન્ડ ડમ્પ યોજનામાં ભાગ લેવા બદલ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ જ રીતે અસ્મિતા જિતેશ પટેલ જેને ‘શી વુલ્ફ ઑફ સ્ટોક માર્કેટ’ તરીકે લોકો જાણે છે તેની પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેણે રોકાણકારો સાથે ટ્રેડિંગ એજ્યુકેશન પ્રોગ્રામને નામે નોંધણી વગરની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીના સદંતર નકલી નેજા હેઠળ સો કરોડની છેતરપીંડી કરી અને અંતે તેના કારનામા બહાર આવ્યા. કઈ રીતે નિયમોથી પરે જઇને, કોઇપણ પ્રકારની બાંયધારી વિના લોકો રોકાણ અંગેની સલાહો ફેંકતા હોય છે તેના આ બન્ને બહુ મોટા ઉદાહરણો છે – અને આ તો હજી હીમશીલાની ટોચ છે – આવાં તો કેટલાં ય ગોટાળા ચાલતા હશે. 

ફિનફ્લુએન્સર્સના વધતા પ્રભાવ અને તેની સાથે જોડાયેલા જોખમને ધ્યાનમાં રાખીને SEBIએ કેટલાક નિયમો અમલમાં મૂક્યા છે. પહેલું છે પાર્ટનરશીપ રિસ્ટ્રિક્શન્સ – ભાગીદારી પ્રતિબંધ – SEBIએ પોતાની સાથે રજિસ્ટર્ડ હોય તેવી એન્ટીટીઝને નોંધણી વિનાના ફિનફ્લુએન્સર્સ સાથે જોડાવાની મનાઈ ફરમાવી છે. આ ફિનફ્લુએન્સર્સ જો SEBI સાથે રજિસ્ટર્ડ ન હોય તો તેઓ માર્કેટમાં કોઈપણ રજિસ્ટર્ડ એન્ટીટીના સારા કે ખરાબ પરફોર્મન્સ અંગે કશું પણ બોલી નહીં શકે. રજિસ્ટર્ડ એન્ટિટીઝ આવા બિન-નોંધણી વાળા ફિનફ્લુએન્સર્સના ફોલોઅર્સ કે ડિજીટલ ક્લાઉટનો ઉપયોગ નહીં કરી શકે. 

જેટલા પણ રજિસ્ટર્ડ ફાયનાન્શિયલ એડવાઇઝર્સ છે તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર ચાલતી બધી જ પ્રવૃત્તિઓને જાહેર કરવી પડશે જેથી પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે. રોકાણકારોને ફાયનાન્શિયલ એડવાઇઝર્સને મામલે માહિતગાર કરવામાં, તેમની પ્રમાણભૂતતા ચકાસવાને મામલે SEBIએ જાગૃત કરવાના પ્રયત્નો વધારી દીધા છે. નિયમો કડક છે અને જોખમો અંગે પણ તેમને સતત સતર્ક કરાય છે.

જો કે SEBIની આ પહેલ છતાં પણ નિયમોનું અમલીકરણ પડકારજનક છે કારણ કે સોશ્યલ મીડિયા અલગોરિધમ પર ચાલતી બાબત છે અને તેને SEBIના નિયમોથી કોઈ ફરક નથી પડતો. જે પ્રમાણમાં સોશ્યલ મીડિયા પર કોન્ટેન બન્યા કરે છે અને લોકો સુધી પહોંચતું રહે છે તેના પર SEBI ધારે તો પણ સીધેસીધું નિયંત્રણ તો ન જ લાવી શકે. 

ભારતમાં ફિનફ્લુએન્સર્સ પર નિયમો કેવી રીતે અને કેવા લાદવા તેનો સંઘર્ષ ચાલે છે તો બીજી તરફ યુનાઇટેડ આરબ એમિરાટ્સ – UAEએ આ મામલે પૂર્વ તૈયારીનો અભિગમ વાપર્યો છે. UAEની સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટીઝ ઑથોરીટી(SCA)એ ફાયનાન્શિયલ સલાહો આપતા દરેકને માટે લાઇસન્સ મેળવવું ફરજિયાત કરી દીધું છે. આ નિયમ એ દરેકને લાગુ પડે છે જેના ઓછામાં ઓછા 1,000 ફોલોઅર્સ હોય. વળી આર્થિક સલાહ આપતાં માધ્યમના પ્રકારોમાં પણ તેમણે કોઈ બાંધછોડ નથી રાખી સોશ્યલ મીડિયા પોસ્ટ, બ્લોગ અને જાહેર પરિસંવાદ પ્રકારની દરેક પ્રવૃત્તિ માટે આ લાઈસન્સ અનિવાર્ય છે. લોકો આ નિયમ અનુસરે એ માટે SCAએ રજિસ્ટેરશન અને રિન્યુઅલની ફીઝ ત્રણ વર્ષ માટે માફ કરી છે. આ એવું માળખું છે જેનાથી ઓનલાઇન અપાતી આર્થિક સલાહોની વહેંચણી ચોકસાઇ અને પ્રામાણિકતાના ધારા-ધોરણો સાથે મેળ ખાય છે.

ફિનફ્લુએન્સર્સનો વધતો પ્રભાવ એ સાબિત કરે છે આર્થિક બાબતોમાં સલાહ મેળવવા ઇચ્છનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બચતલક્ષી દેશ હવે રોકાણલક્ષી બની રહ્યો છે ત્યારે માહિતીનું લોકશાહીકરણ બહુ જ સારી બાબત છે, પણ તે સમતુલિત હોય, સુરક્ષિત હોય અને  રોકાણકારોને છેતરપીંડી અને ખોટી માહિતીથી બચાવે તે પણ જરૂરી છે.  ભારતીય નિયમો અને ધારા-ધોરણોમાં આ ડિજીટલ ફાયનાન્શિયલ સલાહકારોએ ખડા કરેલા જોખમો સામે ટકી રહેવાનો મોટો પડકાર છે. SEBIમાં ફરજિયાત નોંધણી, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે SEBIનું એવું જોડાણ જેમાં આર્થિક બાબતોના લગતા કોન્ટેન્ટનું નિરીક્ષણ થઇ શકે, જાહેર જાગૃતિ માટેના અભિયાન અને પ્રમાણિત વ્યવસાયીની જ સેવાઓ લેવા પર ભાર મૂકવા જેવા પગલાં આપણને આ પડકારો સામે ઝિંક ઝીલવામાં મદદરૂપ થઈ શકે છે. 

બાય ધી વેઃ 

તાજેતરમાં જ એક રિપોર્ટમાં એવા લોકોએ પોતાના અનુભવો વહેંચ્યા હતા જે પોતે કોમર્સ કે ફાયનાન્સના ક્ષેત્ર સાથે હોવા છતાં ફિનફ્લુએન્સર્સની વાતમાં આવીને છેતરાયા હતા અને તેમણે ગુમાવેલી રકમ નાનીસૂની નહોતી. આપણે એ સમજવું પડશે કે સોશ્યલ મીડિયા પર પૈસા ખરીદીને ફોલોઅર્સ મેળવી શકાય છે, કોઈપણ પોસ્ટને વાઇરલ બનાવવા તેમાં પૈસા નાખીને તેને બુસ્ટ કરી શકાય છે. ફિનફ્લુએન્સર્સને અમુક-તમુક બ્રાન્ડ્ઝ પોતાનો પ્રચાર પ્રસાર કરવા પૈસા આપતી હોય છે કારણ કે તેમના માર્કેટના પરફોર્મન્સમાં ધડા નથી હોતા. સ્ક્રિપબૉક્સ કે ઝેરોદા કે પછી અપસ્ટૉક્સ જેવાં પ્લેટફોર્મ્સ પર આધાર રાખી શકાય પણ ફિનફ્લુએન્સર્સથી જોજનો દૂર રહેવામાં જ સાર છે. ડિજીટલ વિશ્વમાં પૈસા મેળવવા, મોકલવા, રોકવા સહેલું બન્યું છે પણ સહેલાઈથી કામ પતી જશેની લાલચ તમને રાતે પાણીએ રડાવી પણ શકે છે. ફેક ટ્રેડિંગ ગ્રૂપ, ઇન્વેસ્ટમેન્ટ એપ્સ, ધૂતારાઓના ભાગીદારો દ્વારા શૅર કરતા તદ્દન ખોટા દાવા કરતા સ્ક્રીન શોટ્સ, ફાયનાન્શિયલ એપ પર પ્રિમયમ અપગ્રેડની લાલચ આ બધું જ આપણા આર્થિક વિશ્વની વાસ્તવિકતાઓ છે. વળી ફોન પર શૅરમાં રોકાણ કરવાની સલાહ પણ અપાય છે, SEBIના નકલી દસ્તાવેજ બનાવનારાઓ છે તો પ્રિ-એપ્રુવ્ડ લોન્સ, યુ.પી.આઇ. રિફંડ અને ક્યૂ.આર. કૉડના કૌભાંડ વગેરે ધુતારાઓની અનેક ચાલમાંની કેટલીક ચાલની યાદી છે. સતર્ક રહો અને છેતરપીંડીથી બચો – લાલચ તમને લઈ ડૂબશે એ ભુલતા નહીં. અને એક એકસ્ટ્રા બાય ધી વે એ કે તમે કોઈને ફોન કરો એ પહેલાં જ્યારે સતર્કતનો જે એક પ્રિ-રેકોર્ડેડ મેસેજ આવે છે એ કંટાળો આવતો હોય તો પણ એકવાર વધુ સાંભળી લેવો જેથી જોશમાં આવીને તમે કોઈની સાથે તમારા યુ.પી.આઈ. પીન, ઓ.ટી.પી., પાન નંબર, આધાર કે કેવાયસી ડૉક્યુમેન્ટ આપવાની ભૂલ ન કરી બેસો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—292

દીપક મહેતા|Opinion - Opinion|8 June 2025

બાવલા ખૂન કેસને કારણે ઇન્દોર નરેશે છેવટે રાજગાદી છોડવી પડી      

રાજકારભારનું કામ પૂરું થઈ જાય પછી દીવાનને રોકીને ઇન્દોર નરેશ તુકોજીરાવ હોલકર (ત્રીજા) ઘણી વાર તેમને પૂછતા : આપને શું લાગે છે? હવે શું થશે? જવાબ મળતો : મહારાજ! આપ નાહકની ચિંતા કરો છો. એ ખટલો તો પૂરો થઈ ગયો છે. અને આપ નામદારનો વાળ પણ વાંકો કરવાની મગદૂર કોની છે? એક-બે વાર તો રાજ જ્યોતિષને પણ બોલાવીને પૂછ્યું હતું. તેણે તો તરત રેકર્ડ વગાડવી શરૂ કરી હતી : ‘નામદાર! યાવત્ ચંદ્રદીવાકરૌ, આસમુદ્ર પર્યન્તમ્ …’ ‘બસ કરો. હવે આપ સિધાવી શકો છો.’ ક્યારેક તો રણવાસમાં પણ મોટી અને નાની રાણી સાથે પણ વાત છેડતા. પણ એ બંને તો તરત બાધા-આખડી-માનતા માનવાની વાતો કરતી. 

ઈન્દોરની રાજમુદ્રા

દીવાનજી, રાજ-જ્યોતિષી, રાણીઓની વાત છેક ઉપર ભગવાન સુધી પહોંચી કે નહિ એની તો ખબર નહિ, પણ દિલ્હી સુધી તો ન જ પહોંચી. ૨૬ જાન્યુઆરી ૧૯૨૬ની સવારે સેન્ટ્રલ ઇન્ડિયા પોલિટિકલ એજન્સીના એજન્ટ સર રેજીનાલ્ડ ગ્લેન્સીનો સંદેશો મળ્યો તુકોજીરાવને. ‘વહેલામાં વહેલી તકે આપની મુલાકાત માટે સમય નક્કી કરી જણાવો. આ મુલાકાત વખતે આપણા બે સિવાય બીજું કોઈ હાજર નહિ રહે. હા, આપને દુભાષિયાની જરૂર હોય તો તેને હાજર રાખી શકો છો.’ અલબત્ત, ગ્લેન્સી જાણતા હતા કે તુકોજીરાવ ઇન્દોરની ડેલી કોલેજમાં અને દેહરાદૂનની કોલેજમાં ભણ્યા હતા. એટલે અંગ્રેજી સારું જાણતા હતા. ૧૯૧૧માં રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક સમારંભમાં હાજર રહ્યા હતા, એટલે બ્રિટિશ રીતરસમથી સારી રીતે પરિચિત હતા. છતાં કાનૂની દૃષ્ટિએ દુભાષિયાને તેઓ હાજર રાખી શકે, એટલે એ તક આપવી જોઈએ. દીવાનજી સાથે મસલત કરીને તુકોજીરાવે જવાબ પાઠવ્યો : ‘આવતી કાલે આપને અનુકૂળ સમયે જરૂર પધારો.’

પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લાન્સી

તુકોજીરાવ અને પોલિટિકલ એજન્ટ વચ્ચેની મુલાકાત થાય એ પહેલાં થોડી વાત સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી વિષે. ૧૮૫૭ પહેલાં જ કંપની સરકારે જુદાં જુદાં દેશી રાજ્યો સાથેના સંબંધ માટે ૧૮૫૪માં જુદી જુદી પોલિટિકલ એજનસીની સ્થાપના કરી હતી. બીજી કેટલીક એજન્સીઓ તે બરોડા એજન્સી, કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી, મહીકાંઠા એજન્સી, વગેરે. દરેક એજન્સીનો વડો તે પોલિટિકલ એજન્ટ. તેનો સીધો સંબંધ વાઈસરોય અને ગવર્નર જનરલ સાથે. તેમની ‘સૂચનાઓ’ રાજાઓ સુધી પહોંચાડવાનું કામ પોલિટિકલ એજન્ટનું. રાજાઓને પણ કોઈ વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડાવી હોય તો પોલિટિકલ એજન્ટ મારફત જ પહોંચાડાય. 

માણેકબાગ પેલેસ

૨૭ જાન્યુઆરી ૧૯૨૬. સવારના અગિયાર વાગે પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લેન્સીની પધરામણી રાજ મહેલમાં થઈ. પહેલાં તો પરંપરાગત રીતે ફૂલના ગુચ્છા અને શાલ વડે તેમની આગતાસ્વાગતા થઈ. દીવાનજી સાથે થોડી આડીઅવળી વાતો થઈ. પછી તુકોજી મહારાજ અને સર ગ્લેન્સી ખાનગી મંત્રણા ખંડમાં ગયા. એ લોકો ગયા પછી દિવાનજીએ બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી : ‘હે ભગવાન! સૌ સારાં વાનાં કરજે!’ લગભગ એ જ વખતે બંધ બારણાં પાછળ સર સાહેબ તુકોજી મહારાજને કહી રહ્યા હતા : ‘નામદાર વાઈસરોયસાહેબે આપને બે દરખાસ્ત મોકલી છે. આપે બેમાંથી એકની પસંદગી કરવાની છે.’ 

‘દરખાસ્ત શી છે એ તો કહો.’ 

‘પહેલી દરખાસ્ત એ કે આપના વારસદારોમાંથી આપની પસંદગીના કોઈ એકને રાજગાદી સોંપીને આપ રાજ્યત્યાગ કરો.’ 

‘અને જો એમ ન કરું તો?’

‘તો ન્યાય અને વ્યવસ્થામાં માનતી બ્રિટિશ સલ્તનતના વફાદાર પ્રતિનિધિ તરીકે નામદાર વાઈસરોયે  આપની વિરુદ્ધ તપાસ કરવા એક ખાસ કમિશન નીમવાનું નક્કી કરવું પડશે.’  

‘કયા ગુના સબબ?’

‘બ્રિટિશ સલ્તનતની રૈયત અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુના સબબ.’

‘એ કેસ અંગેનો બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવી ગયો છે. હવે એમાં મારું નામ વચમાં કેવી રીતે આવે?’

‘બોમ્બે હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે મુંબઈના પોલીસ કમિશનર મિસ્ટર કેલીએ તેમની પાસેના બધા પુરાવા અદાલતમાં રજૂ નહોતા કર્યા. પણ મને તે મોકલ્યા હતા અને મેં નામદાર વાઈસ રોયને મોકલ્યા હતા.’ 

‘કયા પુરાવા અને કઈ વાત? એ બનાવ બન્યો ત્યારે હું તો મુંબઈમાં નહિ, મારા ઇન્દોરમાં હતો. એટલે મારા પર આરોપ શો મૂકી શકશો?’

હા જી. અમે જાણીએ છીએ કે એ દિવસે આપ મુંબઈમાં નહિ, ઇન્દોરમાં હતા. પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ, એને પાર પાડવા માટે આપના રાજ્યના નોકરો અને અધિકારીઓમાંથી કેટલાકની પસંદગી કરવાનો આરોપ, આપની યોજના પાર પાડવા માટે જરૂરી નાણાં પૂરાં પાડવાનો અને બંદૂકો, બીજાં હથિયાર, રેડ મેક્સવેલ મોટર વગેરે પૂરાં પાડવાનો આરોપ, મિસ્ટર બાવલાનું ખૂન મુંબઈમાં થયું તે રાતે જ ભાગીને ઇન્દોર આવેલા ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ, બોમ્બે પોલીસના અધિકારીઓ તપાસ માટે ઇન્દોર આવ્યા ત્યારે તેમના કામમાં અવરોધો ઊભા કરવાનો આરોપ, બ્રિટિશ સરકારના ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ. In short, aiding and abetting of murder.’

‘બસ, બસ. અને હું રાજગાદીનો ત્યાગ કરું તો?’

‘તો ઇન્ક્વાયરી કમિશન નીમવાનું માંડી વાળશે એવું વચન છે વાઈસ રોય સાહેબનું.’

‘મને વિચાર કરવા માટે સમય આપો.’

‘ભલે, પંદર દિવસમાં આપનો નિર્ણય જણાવવા વિનંતી. હું એ જવાબ નામદાર વાઈસ રોયને પહોંચાડીશ.’ 

પોલિટિકલ એજન્ટ ગયા પછી ઇન્દોર નરેશે તરત દીવાનજીને બોલાવ્યા અને બધી વાત તેમને કહી. દીવાનજી કહે કે આપણી પાસે પંદર દિવસ છે એટલે કોઈ ને કોઈ રસ્તો નીકળી આવશે. તુકોજીની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. હજી તો માંડ ૩૬ વરસની ઉંમર. આ ઉમર તો રાજગાદીનાં સુખચેન ભોગવવાની હોય. એ ઉંમરે ગાદી છોડી દેવાની? અને એ પણ એક મામૂલી જુવાનના મોતને કારણે? પણ ગાદી ન છોડું તો રાજ્યમાં, દેશમાં, અને દુનિયામાં ભારોભાર બદનામી. કદાચ સજા પણ ભોગવવી પડે! કારાવાસ … પણ આ ધોળીઆઓ ગાજ્યા મેહ વરસે નહિ, એવા નથી. એ તો ગાજશે ય ખરા અને વરસશે ય ખરા! 

તુકોજી મહારાજે રાજ્ય બહારના જાણકારોની સલાહ લેવાનું નક્કી કર્યું. સર તેજબહાદુર સપ્રુ, સર શિવાસ્વામી અય્યર, અને મેજર ગ્રેહામ પોલને સલાહ લેવા બોલાવ્યા. તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘આપણે વચલો રસ્તો કાઢીએ. બે વરસ માટે હું ગ્રેટ બ્રિટન ચાલ્યો જાઉં. મારી ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ ચલાવવા માટે આપ નામદાર એક કમિશનની નિમણૂક કરો. તેના રાજ્યવહિવટમાં હું કે મારા કોઈ કુટુંબીજનો દખલ નહિ કરીએ એની બાંહેધરી હું આપું છું.

પણ વાઇસરોયને આ દરખાસ્ત મંજૂર નથી એવો સંદેશો પોલિટિકલ એજન્ટ તરફથી તરત મળ્યો. હવે? પંદર દિવસની મુદ્દતના છેલ્લા દિવસો આવી લાગ્યા. દિવાનની સલાહથી મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : વિચાર કરવા માટે મને વધુ સમય આપો. જવાબ : ભલે, ફેબ્રુઆરીના છેલ્લા દિવસ સુધીમાં તમારો નિર્ણય જણાવો. અને જો નહિ જણાવો તો નામદાર વાઈસરોયે નછૂટકે કમિશનની નિમણૂંક્ની જાહેરાત કરવી પડશે. પોતાનાં બધાં હથિયાર હેઠાં પડ્યાં છે એની ખાતરી તુકોજીરાવને થઈ ગઈ. પોલિટિકલ એજન્ટે આપેલી મુદ્દત ૨૮મી ફેબૃઆરીએ પૂરી થતી હતી. ૨૬મી ફેબ્રુઆરીએ ઇન્દોરના મહારાજ તુકોજીરાવ ત્રીજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘મારા પુત્ર યશવંતરાવ હોલકર બીજાની તરફેણમાં હું રાજગાદી છોડવા તૈયાર છું. પણ જો મને વાઈસરોય તરફથી વચન મળે કે મારી સામે કોઈ પણ જાતનાં પગલાં લેવામાં નહિ આવે તો, અને તો જ.’ નામદાર વાઈસરોયે મહારાજાનો આભાર માનીને તેમની માગણી સ્વીકારી. પછી ચાલી લેવડ-દેવડની વાત. બ્રિટિશ સરકાર તરફથી દર વરસે તુકોજીરાવને પાંચ લાખ રૂપિયાનું પેન્શન, મોટાં રાણીને ૧,૬૪,૯૦૦ રૂપિયાનું વર્ષાસન, નાનાં રાણીને ૮૬,૫૦૦ રૂપિયાનું વર્ષાસન. 

ઇન્દોર નરેશ યશવંતરાવ હોલકર બીજા

૧૧ માર્ચ, ૧૯૨૬. સવારે સાત વાગે યશવંતરાવ હોલકર, બીજાની સવારી માણેક બાગથી નીકળીને જૂના રાજવાડા પહોંચી. પિતા તુકોજીરાવે હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ થઈ. બરાબર ૧૧ વાગ્યે એકવીસ તોપોની સલામી સાથે તુકોજીરાવના દીકરા યશવંતરાવ હોલકર બીજા રાજગાદી પર બેઠા. તુકોજીરાવે પોતે તેમને રાજતિલક કર્યું. અને પછી, નવા રાજાને માન આપવા પાછે પગલે ચાલીને સામે પહેલી હરોળમાં આસન પર બેઠા. 

અને તેમની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. ૩૧ જાન્યુઆરી ૧૯૦૩નો એ દિવસ. બાર વરસની ઉંમરે પોતે રાજગાદીએ બેઠા હતા એ દિવસે. પિતા શિવાજીરાવ હોલકર લગભગ કાયમના માંદા. અગાઉ પણ બે-ત્રણ વખત રાજગાદી છોડવાની વાત છેડેલી. પણ દીવાન અને બીજાઓએ રોકેલા. પણ છેવટે વાઈસ રોય લોર્ડ કર્ઝને મંજૂરી આપી અને પિતાએ રાજગાદી છોડી. આજે પોતે રાજગાદી છોડી. પણ પોતાની ઈચ્છાથી નહિ. સમય સમય બળવાન હૈ, નહિ પુરુષ બળવાન! 

નવા રાજા પર સોના-ચાંદીનાં પુષ્પોની વર્ષા થઈ. શરણાઈના સૂર હવામાં લહેરાયા. આખા ઇન્દોર શહેરમાં મીઠાઈ વહેંચાઈ. ગરીબોને અન્ન-વસ્ત્ર વહેચાયાં. રાજ્યાભિષેક વખતે પોલિટિકલ એજન્ટ સર ગ્લેન્સી ખાસ હાજર રહ્યા હતા. પહેલી હરોળમાં બેઠા હતા. દીકરાને રાજતિલક કર્યા પછી તુકોજીરાવ બેઠા ત્યારે ગ્લેન્સી તેમને ભેટીને રડ્યા, અને પછી જવાની મંજૂરી માગી. બહાર નીકળીને જોયું તો તુકોજીરાવના મહેલ પર હજી ઇન્દોર રાજ્યનો ઝંડો ફરકતો હતો. હાજર રહેલા એ.ડી.સી.ને તેમણે હુકમ કર્યો : ‘અત્તર ઘડી તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઉતરાવી દો. હવે તેમને આ ઝંડો ફરકાવવાનો હક્ક નથી. અને બે-ચાર મિનિટમાં જ તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઊતરી ગયો.

પ્રિય વાચક! પણ હજી અહીં વાત પૂરી થતી નથી. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 જૂન 2025 

Loading

પરાક્રમની જે ખ્યાતિ ઈઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2025

રમેશ ઓઝા

કમાલ કરી. કમાલ પણ પાછી એવા દેશે કરી જે આવી કમાલ કરી શકે એની કોઈએ કલ્પના નહોતી કરી. એ દેશ વિશ્વગુરુ નથી અને હજુ હમણાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ દેશના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસમાં બોલાવીને ઉપ પ્રમુખ સાથે મળીને લતાડ્યા હતા. કોઈ મહેમાન મુલાકાતી નેતાનું પત્રકારો અને કેમેરાની સામે આવું અપમાન કરવામાં આવ્યું હોય એવું જગતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. ટ્રમ્પે કહી દીધું હતું કે તું (ઝેલેન્સી) આક્રમણકારી છે, માથાફરેલો છે, રશિયન પ્રમુખ પુતિનની વાત સાંભળતો નથી એટલે હવે અમેરિકા તને મદદ નહીં કરે. ઝેલેન્સકીએ દબાયા વિના અને ડર્યા વિના અમેરિકન પમુખ અને ઉપ પ્રમુખનો મુકાબલો કર્યો હતો. અમેરિકાને ખનીજ સંપત્તિ આપવાની ના પાડી દીધી હતી. એ પછી એમ લાગતું હતું કે અમેરિકાની મદદ વિના રશિયા સામે યુક્રેન ટકી શકે એ શક્ય જ નથી એટલે દુનિયાભરના રાજકીય નિરીક્ષકોએ એમ માની લીધું હતું કે યુક્રેન યુદ્ધ હારી ગયું છે. હવે માત્ર આબરૂ રાખવા યુદ્ધવિરામની જાહેરાત બાકી છે અને તેને માટેની વાટાઘાટો તુર્કીમાં ઈસ્તંબુલમાં શરૂ થઈ ગઈ હતી. 

અને એની વચ્ચે કમાલ કરી! જગતને લશ્કરી કમાલ બતાવવાનો અત્યાર સુધીનો ઇતિહાસ ઇઝરાયેલનો છે. મુસ્લિમ દેશોની વચ્ચે ઘેરાયેલું ઇઝરાયેલ ટકી રહેવા માટે જે જદ્દોજહદ કરે છે એ જોઇને હિંદુરાષ્ટ્રવાદીઓ ઇઝરાયેલના ઓવારણા લેતા થાકતા નથી. તેમને એ સમજાતું નથી કે ઇઝરાયેલની તાકતનું રહસ્ય શું છે? એ વિજ્ઞાનવિરોધી નથી. એ શિક્ષણ અને શિક્ષિતોથી દૂર ભાગતું નથી. એ ઇતિહાસમાં જીવતું નથી. ઇતિહાસપુરુષોના ખોટા કે સાચા પરાક્રમોને ભૂંજીને ગુજારો કરતું નથી. તેના નેતા બહાદુરીના ખોખલા દાવા કરતા નથી. તે માત્ર અને માત્ર વર્તમાનમાં જીવે છે, કારણ કે ટકી રહેવાનો પડકાર વર્તમાનનો છે. માત્ર ટકી રહેવાનો જ નહીં, બનાવેલી જગ્યા પકડી રાખવાનો, હજુ વધારે જગ્યા બનાવવાનો પડકાર પણ વર્તમાનનો છે. આમાં ગમે એટલો ગૌરવશાળી ઇતિહાસ હોય, કામમાં નથી આવવાનો. વર્તમાન, વર્તમાન અને વર્તમાન. હિન્દુત્વવાદીઓ વર્તમાનથી ડરે છે અને દૂર ભાગે છે. 

ખેર, પરાક્રમની જે ખ્યાતિ ઇઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું અને એ પણ જગતના યુદ્ધના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરીને. પશ્ચિમમાં નોર્વેની સરહદથી લઈને પૂર્વે સાઈબિરિયા સુધી ફેકાયેલા રશિયાના પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન, છથી સાત પાકિસ્તાન સમાઈ શકે એટલો ભૂભાગ અને યુક્રેનથી ચાર હજાર કિલોમીટર અંદર સુધી ઘૂસીને યુક્રેને હુમલા કર્યા. એ હુમલા વિમાન દ્વારા નહોતા કરવામાં આવ્યા. મિઝાઈલ દ્વારા કરવામાં નહોતા આવ્યા. નાનાં વિમાનમાં ગોઠવેલા માનવરહિત ડ્રોન મિઝાઈલ દ્વારા નહોતા કરવામાં આવ્યા, પણ ફોટોગ્રાફી માટે વપરાતાં ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા અને તેનું રીમોટ દ્વારા સંચાલન યુક્રેનથી કરવામાં આવ્યું હતું. દિલધડક હકીકત એ હતી કે એ ડ્રોન ટ્રક દ્વારા ટાર્ગેટ સુધી મોકલવામાં આવ્યા હતા, ટ્રક પણ રશિયન હતી અને છેક ટાર્ગેટના દરવાજે પહોંચીને ટ્રકમાંથી હજારોની સંખ્યામાં ડ્રોન નીકળ્યાં હતાં અને રશિયન એરબેઝનો ખાત્મો બોલાવ્યો હતો. રશિયાની ત્રીજા ભાગની લશ્કરી તાકાત નષ્ટ કરી હોવાનો યુક્રેન દાવો કરે છે. 

આનો અર્થ એવો નથી કે રશિયા ખતમ થઈ જશે કે હારી જશે. ઘણું કરીને રશિયા યુક્રેનને જડબાતોડ જવાબ આપશે. પણ જેમ શિયાળ સિંહને લાફો મારે અને સિંહનો ચેહરો મોળો પડી જાય એવું તો બન્યું જ છે. ડ્રોન હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિનને ચક્રમ તરીકે ઓળખાવ્યા છે. ઈસ્તંબુલની વાટાઘાટોમાં રશિયા યુદ્ધવિરામ માટેની શરત વધારતું જ જતું હતું અને યુક્રેને વાટાઘાટોની વચ્ચે હુમલા કરીને ટેબલની દિશા બદલી નાખી. પુતિનને ચક્રમ તરીકે ઓળખાવવાનું કારણ આ છે. અસંસ્કારી નાદાન કી દોસ્તી. ભારતને પણ આનો એકથી વધુ વખત પરિચય થઈ ગયો છે અને ઓપરેશન સિંદુર વખતે અમેરિકાએ યુદ્ધવિરામની ઘોષણા કરીને નરેન્દ્ર મોદીને ભોંઠા પાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કમ સે કમ વડા પ્રધાન એટલું તો બોલે કે અમેરિકાએ તેની મર્યાદામાં રહેવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવું જોઈએ. સભ્ય ભાષામાં પણ આ કહી શકાય છે. ઝેલેન્સકી બનવું તો બહુ દૂરની વાત છે. 

ગયા વર્ષે મેં પ્રવીણ સાહનીનું ‘ધ લાસ્ટ વૉર : હાઉ એ.આઈ. વિલ શેપ ઇન્ડિયાઝ ફાયનલ શોડાઉન વિથ ચાઈના’ વાંચ્યું હતું અને એ વાંચ્યા પછી અક્ષરસ: શરીરમાંથી લખલખું પસાર થયું હતું. મેં મારી કોલમમાં એ પુસ્તક વિષે લખ્યું પણ હતું. પ્રવીણ સાહનીએ જે પ્રકારનાં યુદ્ધનું વર્ણન એ પુસ્તકમાં કર્યું છે લગભગ એવું જ યુદ્ધ યુક્રેને લડ્યું. એક પણ સૈનિકને રશિયા મોકલ્યા વિના. એક ટ્રકમાં હજારોની સંખ્યામાં ડ્રોન મોકલી શકાય એટલાં નાનાં ડ્રોન. પ્રવીણ સાહની તો કહે છે કે ચીન પાસે એનાંથી નાનાં ડ્રોન છે અને તમે એ જાણીને ચોંકી જશો કે મધમાખી જેવડાં ડ્રોન અને એ પણ લાખોની સંખ્યામાં. યુક્રેન દાવો કરે છે કે ગયા વરસે તેણે બાવીસ લાખ ડ્રોન બનાવ્યા હતાં અને આ વરસે ૪૫ લાખ ડ્રોન બનાવવાનો ઈરાદો છે. એટલે પ્રવીણ સાહનીએ કહ્યું છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો એ લાસ્ટ વૉર હશે. તમને એક પણ ચીનો સરહદે નજરે નહીં પડે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ડ્રોનના મોરચે ચીન જગતના કોઈ પણ દેશ કરતાં એક દશક આગળ છે. એટલે કે ભારત જો અત્યારે ચીનની બરાબરી કરવા કમર કસે તો ચીનના આજના સ્તરે પહોંચતા દસ વરસ લાગે. ત્યાં સુધીમાં ચીન ક્યાં પહોંચ્યું હોય એ કલ્પનાનો વિષય છે. પ્રવીણ સાહની કહે છે કે ચીને પોતાનો ડ્રોન પ્રોજેક્ટ છૂપાવ્યો પણ નહોતો. ભારત પણ આ જાણે છે, પરંતુ ભારતના અત્યારના શાસકોને ચીન કરતાં ઔરંગઝેબની ચિંતા વધારે છે. એનો ડર વધારે છે. લડાખ ભલે હાથથી જાય, પણ ઔરંગઝેબને ભૂ પીવડાવી દેવું જોઈએ. 

ઓપરેશન સિંદૂર વખતે પહેલાં બે દિવસ તો અમેરિકાએ કોઈ રસ નહોતો લીધો. પણ ત્રીજા દિવસે જ્યારે ખબર પડી કે ચીનની આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત લશ્કરી સહાય પાકિસ્તાનને મળી રહી છે અને એ પણ સક્રિય પણે ત્યારે અમેરિકાએ ભારત પર દબાણ કરીને બારોબાર યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલાં ચીનના એન્ગલનો વિચાર નહોતો કર્યો. 

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. સોવિયેત રશિયાનું વિઘટન થયું અને યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યાર પછી ૧૯૯૪માં યુક્રેન, રશિયા, અમેરિકા અને બ્રિટન વચ્ચે એક લેખિત સમજૂતી થઈ હતી કે યુક્રેન તેની પાસેનાં અણુશ્સ્ત્રોનો અંત લાવશે અને સામે જો કોઈ દેશ યુક્રેન પર ચડાઈ કરશે તો આ ચાર દેશ યુક્રેનની પડખે ઊભા રહેશે. ફ્રાન્સે એ સમજૂતીને ટેકો આપ્યો હતો યુક્રેનની મદદમાં ઊભા રહેવાની ગેરંટી આપી હતી. એ એક છેતરપિંડી હતી એમ યુક્રેન માને છે. સત્તાવાર રીતે યુક્રેન પાસે અણુશસ્ત્રો નથી એટલે લશ્કરી સંતુલનનો લાભ યુક્રેનને મળતો નથી અને એના અભાવમાં યુક્રેને ડ્રોનનો માર્ગ અપનાવીને જડબેસલાક તમાચો મારી દીધો. અણુશસ્ત્રો ધરાવતા દેશ પર અણુશસ્ત્રો નહીં ધરાવતા દેશે વ્યાપક હુમલા કર્યા. પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન અને ચાર હજાર કિલોમીટર અંદર સુધી. આને કહેવાય ખમીર. 

ગોપનીયતા કમાલની હતી. યુક્રેનની જાસૂસી એજન્સી સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેન દોઢ વરસથી ડ્રોન હુમલાની તૈયારી કરતી હતી. બાવીસ લાખ ડ્રોન બનાવ્યાં અને એટલી બારીક ચોકસાઈ સાથે ઓપરેશન કર્યું અને જગતમાં કોઈને જાણ પણ ન થઈ. ચેલાઓએ ગુરુને તમાચો માર્યો. જ્યારે સોવિયેત રશિયા અખંડ હતું ત્યારે રશિયન ગુપ્તચર સંસ્થા કે.જી.બી.નું નેતૃત્વ અત્યારના રશિયન પ્રમુખ પુતિન કરતા હતા. સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેનના સીનિયર અધિકારીઓ પુતિનના હાથ નીચે તૈયાર થયા છે. 

માઈક્રો ડ્રોન યુદ્ધ ભારત માટે અને દુનિયાના દેશો માટે ગંભીર ચિંતાનો વિષય છે. માત્ર પચાસ હજારની કિંમતમાં બનતું ડ્રોન ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે છે. ઓછી ઘાતક ક્ષમતાવાળા (લો ઇન્ટેન્સીટી) અનેક હુમલા એક સાથે નાગરિકો પર થઇ શકે છે. ઓછા ખર્ચે અને વગર માનવીએ મોટી ખુવારી શક્ય છે. જો ગંભીરતા સમજાતી હોય અને ભવિષ્યની ચિંતા હોય તો સત્તા માટે હિંદુ મુસ્લિમ કરવાની જગ્યાએ વર્તમાનમાં ઝડપથી બદલાતી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આંખ ઉઘાડનારા ટીકાકરોને ગાળો દો અને ઉઘાડી વાસ્તવિકતાથી મોઢું ફેરવી લો તો એનાથી નથી વાસ્તવિકતા બદલવાની કે નથી તેનો અંત આવવાનો. તમે તક ગુમાવી દેશો એ નક્કી વાત છે.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025

Loading

...102030...121122123124...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved