Opinion Magazine
Number of visits: 9458442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંગળ સોહલો 

બીજલ જગડ|Opinion - Opinion|24 October 2022

કમળ પ્રફુલ્લિત પ્રકાશમાં આંગણું આજ મંગળ સોહલો,

આનંદ છે રે અતિ ગણો આંગણું આજ મંગળ સોહલો.

તે સમયની શોભા શી વર્ણવું આંગણું આજ મંગળ સોહલો.

ચોળ્યા કેસર કસ્તૂરી અગરજા આંગણું આજ મંગળ સોહલો.

લક્ષ્મી દીસે ઘેર મધુર સ્વર મુખે આંગણું આજ મંગળ સોહલો.

કળયુગમાં દે આશિષ ઉત્તમ આંગણું આજ મંગળ સોહલો.

સુખ પોઢે રે ચિત્તમાં નહિ ચિંતા આંગણું આજ મંગળ સોહલો.

મનના મનોરથ સુફળ માગીએ આંગણું આજ મંગળ સોહલો.

દિવાળી પર્વ ઈશ્વર આશા પૂરશે રે આંગણું આજ મંગળ સોહલો.

દિલડાનાં ટળશે દુઃખ સુગુણવાન આંગણું આજ મંગળ સોહલો.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—167

દીપક મહેતા|Opinion - Opinion|23 October 2022

એક સો સોળ વરસ પહેલાંના મુંબઈની દિવાળી

શાહી રસાલા સાથે અમે મુંબઈ પહોચ્યા ત્યારે દિવાળીના દિવસો હતા. મલબાર હિલ પરના એક બંગલામાં અમે ઊતર્યા હતા. સાંજે એક વિક્ટોરિયા – ઘોડા ગાડી – ભાડે કરી અમે શહેરમાં ફરવા નીકળ્યા : ગ્રાન્ટ રોડ, મુંબાદેવીનું તળાવ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, ભીંડી બજાર, અને બીજી કેટલીક જગ્યાએ ગયા. મુંબઈમાં મનોરંજનની ખોટ તમને ક્યારે ય ન વર્તાય – અને દિવાળીના દિવસોમાં તો નહિ જ! તમે જો પહેલી વાર મુંબઈ આવ્યા હો તો શરૂઆતમાં ચારે બાજુના ઘોંઘાટથી અકળાયા વિના રહો નહિ. પણ પછી ધીમે ધીમે તમે તેનાથી ટેવાતા જાવ. અને વખત જતાં એ ઘોંઘાટ, સેંકડો લોકોની એ ચહલપહલ તમને કોઠે પડી જાય – અરે, ગમવા પણ લાગે. અવાજોનું વૈવિધ્ય એટલે શું એનો ખ્યાલ તમને મુંબઈમાં આવે. એક બાજુથી તમરાંનો અવાજ, બીજી બાજુથી કૂતરાઓના ભસવાનો અવાજ, બીજાં પ્રાણીઓના અવાજ, માણસોની આવન-જાવનથી થતા જાતજાતના અવાજ, લોકોના હાથ અને ગળા વડે થતા અવાજ, કાગડાઓનું કો-કો, કબૂતરોનું ઘૂ-ઘૂ, ચકલીઓનું ચીં-ચીં. આ બધા અવાજો ભેગા મળીને જાણે કે અવાજનું કોકટેલ બનાવે!

મુંબઈની બજાર

હવે અમારી ગાડી બજાર નજીક આવી પહોંચી. ગાડીવાન પગ પાસે રાખેલી બેલ સતત વગાડતો હતો. છતાં લોકો આઘા ખસતા નહોતા. અને એમાં લોકોનો વાંક નહોતો. આઘા ખસવા જેટલી જગ્યા રસ્તા પર હોય તો બચારા ખસે ને! આખો રસ્તો માણસોથી ઊભરાતો. જાણે હજારો કીડીઓ એક સાથે દરમાંથી નીકળીને રસ્તા પર આવી ગઈ ન હોય! હવે અમારા મનમાં બત્તી થઈ. આ ગાડીમાંથી ઊતરીને અમે પણ જો રસ્તા પર ચાલવા માંડીએ તો વધુ ઝડપથી આગળ વધી શકશું! એટલે અમે ગાડીવાળાને ગાડી રોકવા કહ્યું. અગાઉથી ઠરાવેલું પૂરેપૂરું ભાડું તેને ચૂકવ્યું, અને ઉપરથી બક્ષિશના ચાર આના પણ આપ્યા એટલે એ રાજી થતો, સલામ ભરીને ચાલતો થયો.

તમે જ્યાં સુધી મુંબઈના રાહદારીઓ સાથે ભળી ન જાવ ત્યાં સુધી મુંબઈ એટલે શું એ તમને પૂરેપૂરું સમજાય નહિ. પોતાની સાથે કોક ગોરો પણ ચાલી રહ્યો છે એ જોઈને પહેલાં તો લોકો ચમકે. પણ એ મહેમાનને આગળ વધવા માટે જગ્યા કરી આપવાનું તો અશક્ય. એટલે પછી બહુ બહુ તો તમને ધક્કે ન ચડાવે એટલું જ. હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી લોકો મુંબઈમાં ઠલવાય છે, રોજેરોજ. કોઈ ભણવા માટે, કોઈ નોકરી માટે, કોઈ વેપાર-વણજ માટે. કોઈ દેવનાં દર્શન માટે, તો કોઈ વૈદ પાસે ઉપચાર કરાવવા માટે. કોઈ સાધુબાવાની સેવા માટે, કોઈ ભૂવા કે બાવા પાસે જંતર-મંતર કરાવવા માટે. તો કોઈ વળી અમારી જેમ ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કહેતાં અહીંથી તહીં ઘૂમતા હોય. પણ હા, એક વાત છે: દરેક માણસના પહેરવેશ પરથી, તેના કપાળે કરેલા જાત-ભાતના ટીલાંટપકાં પરથી, હાથમાં ઝાલેલી કોઈ ને કોઈ વસ્તુ પરથી, એ માણસ કયા પ્રદેશનો છે, કયો ધર્મ પાળે છે, કયો વ્યવસાય કરે છે એ તમે જાણી શકો. જોતાંવેંત ખબર પડે કે આ તો પારસી છે, જૈન છે, હિંદુ છે, મુસલમાન છે, કે ખ્રિસ્તી છે. સીમા પ્રાંતથી આવેલા પડછંદ પઠાણો, મદ્રાસ તરફથી આવેલા કાળા, દૂબળા મજૂરો, એક હાથમાં ખડિયો-કલમ લઈને ઝડપભેર ચાલતા ગુજરાતી કે મારવાડી મુનીમો. લંડનના રસ્તા પર ચાલતા લોકો અંગે આ રીતે કહેવું મુશ્કેલ. જ્યારે અહીં તો તમે બીજું કશું ન જુઓ, કોણે માથા પર શું પહેર્યું છે, કેવી રીતે પહેર્યું છે એ ધ્યાનથી જુઓ તો પણ તમને તેની અડધી ઓળખાણ તો મળી જ જાય.

મુંબઈની બજાર

વળી આ તો છે દિવાળીના દિવસો. એટલે પુરુષોના કપાળે જાતજાતનાં, રંગરંગનાં ટીલાંટપકાં જોવા મળે. અહીંના લોકો તો માણસને જોતાંવેંત કહી શકે: આ વાણિયો છે, પેલો બામણ છે, આ વેપારી છે, પેલો મજૂર છે. બ્રાહ્મણ પગમાં ચામડાનાં પગરખાં ન પહેરે. કાં લાકડાની સપાટ પહેરે, કાં ઉઘાડે પગે હોય. વાણિયો મોટે ભાગે તગડો હોય, ફાંદવાળો હોય. કારણ અહીંના લોકો પાસે જેમ વધારે પૈસા હોય તેમ તે દૂધ, ઘી, માખણ, મીઠાઈઓ વધુ ને વધુ ખાય. અહીં શરીર સમૃદ્ધિ એ ધનવાનની ઓળખ હોય છે. તો તેની બાજુમાં ચાલે છે એક યુવાન. સફેદ ધોતિયા પર કાળો હાફ કોટ પહેર્યો છે. કોટના ઉપરના ખિસ્સામાં કાળી ફાઉન્ટન પેન ખોસી છે. હાથમાં બ્રાઉન કલરના પૂંઠાવાળી ડાયરી છે. નક્કી એ સરકારી નોકર.

પણ અહીં રંગોનું પૂર ઊમટે છે તે તો સ્ત્રીઓના પહેરવેશમાં. અલબત્ત, ‘મોટા’ ઘરની વહુ દીકરીઓ અહીં રસ્તા પર ચાલતી ભાગ્યે જ જોવા મળે. પડદા પાડેલા માફામાં કે ઘોડા ગાડીમાં કે પછી પાલખીમાં જતી હોય. પણ બીજી સ્ત્રીઓના પહેરવેશનાં ઘાટઘૂટ, રંગો, સાડી પહેરવાની ઢબ, વગેરેમાં વૈવિધ્યનો પાર નહિ. હા, ઘણા પુરુષોની પાછળ એક નહિ પણ બે સ્ત્રીઓ ચાલતી જોવા મળે. કારણ હજી આ દેશમાં એક કરતાં વધુ સ્ત્રી સાથે પરણવાનો ચાલ છે – ખાસ કરીને ખાધેપીધે સુખી ઘરના નબીરાઓમાં. જો કે કોઈ પુરુષ પાછળ એક જ સ્ત્રી ચાલતી હોય તો ય એમ ન માની લેવું કે તેણે એક જ સ્ત્રી સાથે લગ્ન કર્યાં હશે. એ માનીતીને લઈને ફરવા નીકળ્યો હોય અને બીજી ઘરને ખૂણે બેઠી હોય. અને હા, જો બેમાંથી એકે છોકરો જણ્યો હોય અને બીજીએ છોકરી, તો તો છોકરીની મા નક્કી ઘરને ખૂણે સમસમતી બેઠી હોય.

પણ જે સાથે હોય તે સ્ત્રીનો ઠસ્સો જોવા જેવો હોય. રંગરંગીન સાડી, જે પહેરવાની પાછી જાતજાતની ઢબછબ. રંગો અને ડિઝાઈનોનો તો પાર નહિ. મોટે ભાગે ચાંદીનાં જાતજાતનાં ઘરેણાંથી લદાયેલી હોય. સોનાનાં ઘરેણાં પહેરી શકે એટલા તવંગર ઘરની સ્ત્રી તો રસ્તા પર ચાલતી ભાગ્યે જ જોવા મળે. કારણ એ બધી તો કોઈ ને કોઈ વાહનમાં બેસીને જતી હોય.

મહાલક્ષ્મીનું મંદિર

અંધારું થાય તે પહેલાં જ રસ્તાઓ, બજારો, ઘરો, રોશનીથી ઝગમગવા લાગે છે. દિવાળી લક્ષ્મીનો તહેવાર છે. પશ્ચિમમાં જે સ્થાન વિનસ દેવીનું છે તે સ્થાન અહીં વિષ્ણુપત્ની લક્ષ્મીનું છે. વિનસની જેમ જ લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટી હોવાનું મનાય છે. વેપારીઓ અને દુકાનદારો માટે તો આ તહેવાર ખાસ મહત્ત્વનો છે. વહેલી સવારે તેઓ મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરવા જાય છે. એકાઉન્ટ બુક્સને અહીંના લોકો ‘ચોપડા’ કહે છે. અને દિવાળીની સાંજે દરેક વેપારી કે દુકાનદાર પોતાના નવા વરસના હિસાબી ચોપડાની પૂજા કરે છે. સફેદ ધોતિયું પહેરેલ ભૂદેવના ઉપલા શરીર પર માત્ર સફેદ દોરા – જે જનોઈ તરીકે ઓળખાય છે – લટકતા હોય છે. ધૂપદીપ કરી, સંસ્કૃત મંત્રો ગગડાવી તેઓ પૂજા કરાવે છે, અને પછી ચાર-આઠ આનાની ‘દક્ષિણા’ લઈ બીજી દુકાને પૂજા કરાવવા ઝડપથી ઊપડી જાય છે.

દુકાનોની અંદર ઘરનાં બૈરાં મોંઘાં ઘરેણાં-સાડી પહેરી અંદર અંદર વાતો કરતાં હોય છે. છોકરાઓ નવાં કપડાં પહેરી પકડદાવ કે એવી બીજી કોઈ રમત રમતા હોય છે. ઓટલા પર બેઠેલી તેમની બહેનો મૂંગી મૂંગી એ રમતો જોઈ રહેતી હોય છે. ચોપડા પૂજન થઈ જાય પછી છોકરાઓ ફટાકડા ફોડે. જો કે ફટાકડાના અવાજ કરતાં છોકરાઓનો ઘોંઘાટ વધુ હોય છે. ક્યાંક ક્યાંક ઓટલે બેઠેલી છોકરીના હાથમાં કોઈ એકાદ સિલ્બેરા – ફૂલઝર – પકડાવી દે તો એ છોકરીનું મોં આનંદથી ઝગારા મારતું થઈ જાય છે.

હિન્દુસ્તાનમાં દિવાળીનું મહત્ત્વ એટલું છે કે મુંબઈના યુરોપિયન સ્ટોર – જ્યાં કોઈ ‘દેશી’ ખરીદી કરવા ભાગ્યે જ જાય – પણ શણગારાય છે. ફક્ત પૈસાદારો જ જ્યાં જાય તેવી મોટર વેચતી દુકાનોમાં પણ રોશની કરાય છે. દિવાળીના દિવસોમાં અહીં કોઈ ઘર એવું નહિ હોય જ્યાં બીજું કંઈ નહિ તો એક-બે કોડિયાં પણ ન મૂક્યાં હોય. ઘણાં ઘરોનાં બારી-ઝરૂખા શણગારાય છે. સાંજ પડ્યે ઘરની સ્ત્રીઓ રંગબેરંગી કપડાં પહેરી ઝરૂખામાં ઊભી રહીને રસ્તા પરનાં મેદનીને અને ઝળહળાટને જોતી ક્યાં ય સુધી ઊભી રહે છે. એક ઝરૂખામાં તો મેં ત્રીસ માથાં ગણ્યાં હતાં!

હા, આ બધાથી સાવ અલગ પડતી એક ઈમારત પણ ઊભી છે. નથી ત્યાં રોશની, નથી કોઈ ઉજવણી, નથી રંગબેરંગી કપડાં પહેરેલા માણસોની અવરજવર. જાણે અજવાળાના સાગર વચ્ચે અંધારાનો ટાપુ. એ છે મસ્જિદ. હા, એની બહાર ભૂરા યુનિફોર્મ પહેરેલા પોલીસના સિપાઈઓ હાથમાં ડંડૂકા લઈને ઊભા છે. એમના ઉપરી સફેદ ટોપો પહેરેલા ગોરા સાર્જન્ટના હાથમાં રિવોલ્વર છે. એની બાજ નજર સતત ચારે બાજુ ફર્યા કરે છે. ઘોડેસ્વાર પોલીસના બે સિપાઈઓ પણ કંઈ હુલ્લડ જેવું લાગે તો ગમે તે ઘડીએ ઘોડાને મારી મૂકીને ત્યાં પહોંચી જવા તૈયાર હોય છે. જો કે હવે મુંબઈમાં કોમી રમખાણોનું પ્રમાણ ઘટી ગયું છે એમ કહેવાય છે.

મુંબઈના મજૂરો

એક વાક્યમાં કહેવું હોય તો જેણે પૂર્વથી પશ્ચિમ તરફ પડખું બદલતું હિન્દુસ્તાન જોવું હોય તેણે મુંબઈ તો જોવું જ રહ્યું. અને મુંબઈ જોવું હોય તેણે એ દિવાળીના દિવસોમાં જોવું રહ્યું. જાતભાતના લોકોથી ઊભરાતું મુંબઈ. રોશનીથી ઝળાંહળાં થતું મુંબઈ. દિવાળીનો તહેવાર ઊજવતું મુંબઈ.

(નોંધ: નવેમ્બર ૧૯૦૫થી માર્ચ ૧૯૦૬ સુધી પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ હિન્દુસ્તાનની મુલાકાતે આવ્યાં ત્યારે તેમની સાથેના પત્રકારોના કાફલામાં સ્ટાન્ડર્ડ નામના અખબારના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ તરીકે સિડની લો આવેલા. રાજવી પ્રવાસ ઉપરાંત પોતે અલગથી હિન્દુસ્તાનમાં શક્ય તેટલું ફરેલા અને અહીંના લોકો અને તેમના જીવનને જોવા-જાણવાનો પ્રયત્ન કરેલો. આ પ્રવાસને આધારે લખાયેલું પુસ્તક ‘અ વિઝન ઓફ ઇન્ડિયા’ ૧૯૦૭માં ન્યૂ યોર્કથી પ્રગટ થયેલું. તેમાંનો કેટલોક ભાગ સંકલિત કરીને અહીં રજૂ કર્યો છે. અહીં મૂકેલા બધા ફોટા પણ એ પુસ્તકમાંથી લીધા છે.)

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 22 ઓક્ટોબર 2022

Loading

સોલિલ્લડા સરદારા : ખડગે કાઁગ્રેસને તારી શકશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 October 2022

એક સમયે જેની અખિલ ભારતમાં સત્તા હતી અને હવે જે એક સક્ષમ વિરોધ પક્ષની નવી ભૂમિકામાં પોતાને ઢાળવાની મથામણ કરી રહી છે, તે અખિલ ભારતીય કાઁગ્રેસ કમિટીના અધ્યક્ષ પદે, 24 વર્ષમાં એક બિન-ગાંધી વ્યક્તિની વરણી થાય, તે પાર્ટીના વિવિધતાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલા ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિન્હ છે. તેનાથી દેશની વિભિન્ન ચૂંટણીઓનાં બેલેટ-બોક્સમાં શું ફરક પડશે અથવા પડશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ દેશ અત્યારે જે સ્વરૂપમાં ઊભો છે, તેના એક મહત્ત્વના શિલ્પકાર ગણાતી કાઁગ્રેસ પાર્ટીમાં જે પણ ઊથલ-પાથલ થઇ રહી છે, તે એક સમજદાર નાગરિક માટે કુતૂહલનો વિષય ચોક્કસ બને.

આ પદ પર, 80 વર્ષના વરિષ્ઠ કાઁગ્રેસી મલ્લિકાઅર્જુન ખડગેની વરણીની સાથે, સોનિયા ગાંધીના કાર્યકાળનો અંત આવે છે, જે સૌથી લાંબો સમય સુધી કાઁગ્રેસનાં અધ્યક્ષપદે રહેવાનું ‘બહુમાન’ ધરાવે છે. સ્વતંત્રતા પહેલાંના તેના ઇતિહાસને સળંગ ગણીએ, તો 1885થી શરૂ કરીને કાઁગ્રેસમાં 97 લોકો અધ્યક્ષપદે રહી ચુક્યાં છે. ખડગે 98મા છે. સોમવારે જાહેર થયેલાં પરિણામમાં તેમને 7,897 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ શશી થરુરને 1,072 મત મળ્યા હતા.

1951માં પહેલીવાર જવાહરલાલ નહેરુ પાસે પાર્ટીની કમાન આવી હતી. તે પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના અધ્યક્ષ રહી ચુક્યાં છે. એ પાંચે વચ્ચે, કુલ 10 બિન-નહેરુ-ગાંધી વ્યક્તિઓ અધ્યક્ષપદે રહી ચૂકી છે. જો કે, આ સર્વેનો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો છે અને મોટાં ભાગનાં વર્ષોમાં પાર્ટી ગાંધી પરિવારના નિયંત્રણમાં રહી છે. ખડગે તેમાં અગિયારમા બિન-ગાંધી અધ્યક્ષ છે.

ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે કાઁગ્રેસને ‘પરિવારવાદી પાર્ટી’ કહીને કાયમ નિશાન બનાવી છે. ભા.જ.પ.માં આવો કોઈ આરોપ લાગી શકે તેમ નથી. જો કે, કાઁગ્રેસ હવે ભા.જ.પ.ના અધ્યક્ષને ‘રબર-સ્ટેમ્પ’ તરીકે ગણાવે છે, કારણ ભા.જ.પ.માં ઈલેકશન નહીં, સિલેકશન થાય છે. 137 વર્ષ જૂની કાઁગ્રેસ પાર્ટીમાં માત્ર પાંચ વખત જ ચૂંટણીઓ થઇ છે; 1939, 1950, 1977, 1977 અને 2000. સોમવારે તેની છઠ્ઠી ચૂંટણી હતી.

ખડગેની ચૂંટણીથી પાર્ટીને એક ફાયદો એ થશે કે તેના માથા પરથી ‘ગાંધી પરિવારની બાપીકી મિલકત’નું કલંક ભુંસાઈ જશે, પરંતુ એ ફાયદો બહુ સાધારણ જ હશે, કારણ કે ગાંધી પરિવાર તેને પાછલા બારણે ચલાવે છે તેવી છાપ યથાવત રહેવાની છે. એ સાચું પણ અનિવાર્ય દૂષણ છે. કાઁગ્રેસ પાર્ટીને ગાંધી પરિવારની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં ઘણો સમય લાગશે અને તેના માટે એક ગતિશીલ અધ્યક્ષની જરૂર પડશે. ખડગે એ વર્ગમાં આવતા નથી.

ખડગેની જીત અપેક્ષિત મનાતી હતી. તેઓ ગાંધી-પરિવારની ‘પસંદ’ના ઉમેદવાર હતા. ખડગે 50 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં ગાંધી પરિવારને સમર્પિત રહ્યા છે. તેઓ કર્ણાટકની વિધાનસભાની એક જ બેઠક પરથી 1972થી 2004 સુધી લગાતાર ચૂંટાતા આવ્યા હતા. તેના માટે કન્નડમાં તેમને ‘સોલિલ્લડા સરદારા’ તરીકે બોલાવામાં આવે છે; પરાજય વગરના નેતા.

ખડગે અધ્યક્ષપદની રિંગમાં ત્યારે આવ્યા હતા, જ્યારે ગાંધી-પરિવારની પહેલી પસંદ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતે રીતસર સોનિયા ગાંધી સામે બળવો કરી દીધો હતો. પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતને અખિલ ભારતીય કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાનો “પાયલોટ પ્રોજેક્ટ,” ડેપ્યુટી મુખ્ય મંત્રી અને પ્રદેશ કાઁગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટના કારણે નિષ્ફળ ગયો હતો. અથવા એવું કહો કે ગહલોતે પોતે જ તેને નિષ્ફળ બનાવ્યો છે.

ગહલોત રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ઉમેદવારી કરે, તો પાર્ટીના “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમ મુજબ તેમણે મુખ્ય મંત્રીની ખુરશી ખાલી કરવી પડે. ગાંધી પરિવારે પક્ષના અધ્યક્ષ પદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવા માટે ચૂંટણીની કવાયત હાથ ધરી, એમાં બે નેતાઓએ ઉમેદવારી કરવાની ઈચ્છા બતાવી હતી. એક, થિરુવંથપુરમ-કેરળના સાંસદ શશી થરુર અને બીજા ગહલોત. ઉમેદવારી કરવા માટે તેમણે સોનિયા ગાંધીની “મંજૂરી” પણ લીધી હતી. ગહલોત ઉમેદવારી પત્ર પણ ભરવાના હતા, પણ એ પહેલાં આગલી રાતે રાજસ્થાન કાઁગ્રેસમાં બળવો થયો, અને સરકાર તૂટી પડે એવી સ્થિતિ ઊભી થઇ.

દરઅસલ, “ભારત જોડો યાત્રા”માં વ્યસ્ત રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે ગહલોત ઉમેદવારી કરશે તો “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમનું પાલન થશે. તેમને ખબર નહોતી કે ગહલોત મુખ્ય મંત્રીની ખુરશી છોડવા ઇચ્છતા નથી. અથવા એવું કહો કે તેઓ તેમના હરીફ સચિન પાયલટને તેમના ઉત્તરાધિકારી બનવા દેવા માંગતા નહોતા. રાષ્ટ્રીય અધ્યક્ષપદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવાની કવાયત કેટલી પેચીદી છે એ આ ગહલોતના ઉદાહરણ પરથી સાબિત થાય છે. ખડગેએ આવું સળગતું ઘર હાથમાં લીધું છે.

32 વર્ષ સુધી જીત જાળવી રાખવાના તેમના વિક્રમના બદલામાં તેઓ ત્રણ વખત કર્ણાટકના મુખ્ય મંત્રી બનતાં-બનતાં રહી ગયા હતા, પરંતુ દર વખતે તે નિષ્ફળતાને સ્વીકારીને તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા. વ્યક્તિગત  મહત્ત્વાકાંક્ષાને બાજુએ મૂકીને પક્ષની નીતિઓ અને સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત રહેવાની તેમની વૃત્તિ તેમને કાઁગ્રેસમાં એક સન્માનનીય નેતા બનાવે છે.

જો કે તેનો અર્થ એ નથી કે કાઁગ્રેસના અધ્યક્ષ તરીકે તેમનો રસ્તો આસાન છે. અત્યાર સુધી કાઁગ્રેસ માટે જે ગાંધી પરિવાર આશીર્વાદરૂપ હતો, તે હવેના બદલાયેલા રાજકીય સંજોગોમાં અભિશાપ બની ગયો છે. અધ્યક્ષ માટેની વર્તમાન ચૂંટણી એ શાપને ઉતારવા માટેની કવાયત હતી. મુસીબત એ છે કે પાર્ટીમાં ગાંધી પરિવારની સર્વસ્વીકૃત છબીની તોલે આવે તેવો કોઈ નેતા પણ નથી. એ સાચું કે ગાંધી પરિવાર પાર્ટીને જીત અપાવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, પરંતુ સામે પક્ષે એ પણ એક વાસ્તવિકતા છે કે પક્ષના તમામ મણકા છૂટા ન પડી જાય તે માટે ગાંધી-પરિવારનો દોરો ટકી રહે જરૂરી છે. નહીં તો આંતરિક ખટપટો માટે કુખ્યાત કાઁગ્રેસીઓ પાર્ટીને લઈને ડૂબે તેવા છે.

ખડગેએ એ દોરો બાંધી રાખવાનો છે અને કાઁગ્રેસમાં નવું જોમ ઉમેરીને તેને ચૂંટણીનાં મેદાનમાં જીતનો ઘોડો પણ બનાવવાનો છે. 24 વર્ષમાં ખડગે પહેલા બિન-ગાંધી અધ્યક્ષ બન્યા છે એ હકીકત તેમના માટે એક મોટો ભાર છે. તેમણે એ જવાબદારીને સફળ સાબિત કરી બતાવવી પડશે. ખડગે સામે અંદર અને બહાર બંને મોરચે પડકારો છે. કાઁગ્રેસને ડૂબતું જહાજ ગણીને ઘણા નેતાઓ પાર્ટી છોડી ગયા છે, તેવા સંજોગોમાં તેમની ચૂંટણી એ ધોવાણને ખાળવા માટે અગત્યની હતી. ખડગેએ પાર્ટીને બચાવવાની પણ છે અને બદલવાની પણ છે.

બ્રિટનમાં એક જમાનાની સશક્ત લેબર પાર્ટીની આજે જે હાલત છે, તેવી જ હાલત કાઁગ્રેસની છે અને લેબર પાર્ટી માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે જે કહ્યું હતું, તે કાઁગ્રેસને પણ એટલું જ લાગુ પડે છે. ગયા વર્ષે તેમણે કહ્યું હતું, “માત્ર નેતા બદલવાથી પાર્ટી ઊભી નહીં થાય. તેના માટે સંપૂર્ણ વિખંડન અને નવસર્જનથી ઓછુ ના ખપે.”

ટૂંકા ગાળામાં, ખડગેની પહેલી પરીક્ષા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ છે. બંને રાજ્યોમાં ભા.જ.પ.નો કાબૂ છે. બંને રાજ્યોમાં કાઁગ્રેસ નબળી છે એટલું જ નહીં, આમ આદમી પાર્ટી પૂરી ગંભીરતાથી ભા.જ.પ.ના મુખ્ય વિરોધ પક્ષની જગ્યા કબજે કરી રહી છે. ખડગે હજુ નવા છે એટલે આટલા ટૂંકા સમયમાં આ બે રાજ્યોમાં તે ખાસ ચમત્કાર નહીં કરી શકે, પરંતુ એમાં જેટલો પણ ધબડકો થશે તે તેમના નામે ઉધારાશે.

તેમનો લાંબા ગાળાનો પડકાર કાઁગ્રેસને એક લડાયક વિરોધ પક્ષ તરીકે અને અન્ય વિરોધી પક્ષોને એક દોરીએ પરોવાની તાકાત તરીકે સાબિત કરવાનો રહેશે. તેના માટે ખડગેએ કાઁગ્રેસની વૈચારિક દિશા નક્કી કરવી પડશે, કારણ કે આર્થિક મુદ્દાઓ, લઘુમતીઓના મુદ્દાઓ, હિન્દુત્વના મુદ્દાઓ અને રાષ્ટ્રવાદને લઈને પાર્ટીમાં સ્પષ્ટતાનો અભાવ છે, અને એટલે પાર્ટીના કાર્યકરોથી લઇને મતદારો સુદ્ધાં મુંઝવણમાં છે. અત્યાર સુધી તો કાઁગ્રેસ ભા.જ.પ. અને ખાસ તો નરેન્દ્ર મોદીની ટીકા કરવા સુધી જ સીમિત થઈને રહી ગઈ છે. તેણે જનતા સામે કોઈ વૈકલ્પિક વિચારધારા રજૂ નથી કરી.

રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં 11 જેટલાં રાજ્યોની ચૂંટણી થવાની છે. એમાં એક રાજ્ય ખડગેનું વતન કર્ણાટક છે. પાર્ટીમાં નેતાગીરીમાં અમુલ પરિવર્તન અને દક્ષિણના રાજ્યોમાં રાહુલની યાત્રા કાઁગ્રસને જો ચાવીરૂપ રાજ્યોમાં પણ સંતોષજનક લાભ કરાવી શકે, તો ખડગે માટે રસ્તો થોડો આસાન થશે. બાકી, કાઁગ્રેસનું પતન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી, ટોની બ્લેર કહે છે તેમ, તેનું વિખંડન ન થઇ જાય.

લાસ્ટ લાઈન :

“રાજકારણીઓ અને ડાઈપર્સને, એક જ કારણથી, વારંવાર બદલતા રહેવું જોઈએ.”

— માર્ક ટ્વેઇન 

ઇંગ્લિશ લેખક

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2151,2161,2171,218...1,2301,2401,250...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved