Opinion Magazine
Number of visits: 9566891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાર ઓળખપત્ર અને આધારકાર્ડનું જોડાણ : ફરજિયાત કે મરજિયાત ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 February 2023

ચંદુ મહેરિયા

ચૂંટણી સુધારાની દિશામાં નોંધપાત્ર મનાતું ચૂંટણી કાયદો (સુધારા) વિધેયક ૨૦૨૧ સંસદમાં ચર્ચા વિના અને સંસદ બહાર વ્યાપક લોકપરામર્શ વિના પસાર થયું હતું. એટલે તે કાયદો બન્યા પછી પણ વિવાદ અને રાજકીય ચર્ચાનો વિષય છે. ૧૯૫૦ના લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૨૩માં સુધારો કરતો આ કાયદો કેટલીક મહત્ત્વની જોગવાઈઓ ધરાવે છે. કાયદામાં પત્નીને બદલે વપરાયેલો જીવનસાથી શબ્દ, અઢાર વરસ પૂર્ણ કરનારા નવા મતદારની વરસમાં એક જ વાર પહેલી જાન્યુઆરીએ નોંધણીને બદલે વરસમાં ચાર વાર (જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓકટોબર) નોંધણી, જેવી સારી જોગવાઈઓ કરતાં આ કાયદો મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડના જોડાણ અને તેની અસરો બાબતે વધુ ચર્ચામાં છે.

ભારતના લોકો રેશનકાર્ડ, વોટરકાર્ડ, પાનકાર્ડ અને આધારકાર્ડ જેવા ઓળખ, રહેઠાણ અને નાગરિકતાના સરકારી દસ્તાવેજો ધરાવે છે. તે સૌમાં ૨૦૦૯માં અવતરિત આધારકાર્ડ વધુ વિશ્વસનીય અને વ્યાપક છે. ડિસેમ્બર ૨૦૨૧માં ૯૯.૭ ટકા પુખ્ત ભારતીયો પાસે આધારકાર્ડ હોવાનો દાવો કરાયો હતો. આધારકાર્ડ સાથે બેન્ક એકાઉન્ટ, રેશનકાર્ડ, પાનકાર્ડ પછી હવે મતદાર ઓળખપત્રનું જોડાણ કરવાનું નક્કી થયું છે. ચૂંટણી પંચ, સરકાર અને સુપ્રીમ કોર્ટ સુધ્ધાં આધાર અને વોટર આઈ.ડી.નું લિંકેજ સ્વૈચ્છિક હોવાનું તો જણાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જોડાણ મરજિયાત છતાં ફરજિયાત જેવું છે. 

બાયોમેટ્રિક ડેટાના આધારે ફાળવેલી બાર આંકડાની વિશિષ્ટ ઓળખનું બનેલું આધારકાર્ડ સબ દુ:ખોં કી એક દવા જેવું બની ગયું છે. ચૂંટણી સુધારા માટે પણ આધાર સાથે મતદાર યાદી અને મતદાર ઓળખપત્રનું જોડાણ થઈ રહ્યું છે. એક તરફ આ જોડાણનો વિરોધ થઈ રહ્યો છે તો ૨૦૨૧માં ૨૦ કરોડ મતદારોએ જોડાણ કરાવી દીધું હતું.

આધારના વોટર આઈ.ડી. સાથેના જોડાણથી ચૂંટણીઓ વધુ સ્વતંત્ર, તટસ્થ અને ત્રૂટિરહિત બનશે એવો સરકારનો દાવો છે. મતદાનના દિવસે મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદો ઊઠે છે અને રાજકીય પક્ષો મતદારયાદીમાં ઘાલમેલ થયાના આરોપ લગાવે છે. આધારના જોડાણથી આ ફરિયાદ દૂર થવાનો ઉદ્દેશ છે. ઉપરાંત લિંકેજથી સ્થળાંતરિત મતદારોને તેમના કામનાં સ્થળે મતદાનનો લાભ મળી શકે છે. બેવડા મતદારો અને બેવડા ઓળખપત્રો અટકશે. પ્રોક્સી મતદાન સરળ બનશે. બોગસ મતદાન અને નકલી મતદારો પર રોક લગાવી શકાશે. ભવિષ્યમાં ઈલેકટ્રોનિક કે ઈન્ટરનેટ આધારિત મતદાનમાં સહાયરૂપ થશે. ટૂંકમાં આધારકાર્ડ સાથેના જોડાણથી સમગ્ર ચૂંટણીપ્રક્રિયા આસાન બનશે.

જો કે જોડાણના વિરોધીઓ ફાયદાના દાવા સ્વીકારતા નથી. આધારકાર્ડની વ્યાપકતા સ્વીકારનારા પણ તે પૂર્ણ વિશ્વસનીય હોવાનું માનતા નથી. માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલી માહિતીમાં દેશમાં આઠ કરોડ નકલી આધારકાર્ડ હોવાનું જણાવાયું છે. ‘કેગ’ના એક રિપોર્ટમાં પાંચ લાખ ડુપ્લીકેટ આધારકાર્ડ હોવાનું કહેવાયું હતું. આધારની અધિકૃતતાની ચકાસણીમાં બાર ટકા ક્ષતિ માલુમ પડી છે. આધારકાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, જ્યારે મતદાર ઓળખપત્ર છે. એટલે  બંને કાર્ડ સમાન ન હોઈ જોડાણ થઈ શકે નહીં. આધારકાર્ડ અને વોટર આઈ.ડી. લિંક કરવાનો કોઈ લાભ ન હોવાની વિરોધીઓની આ બધી દલીલોમાં વજુદ લાગે છે.

આધાર સાથેના બીજા કાર્ડના જોડાણમાં જે એક સામાન્ય મુશ્કેલી જણાઈ છે તે વ્યક્તિના અંગ્રેજી નામની જોડણી છે. અંગ્રેજી નામના સ્પેલિંગમાં નજીવા ફેરથી પણ લિંકેજ થતું નથી. લિંકેજ ઓફલાઈન અને ઓનલાઈન થઈ શકશે તેવા વહીવટીતંત્રના દાવા છતાં નામના અંગ્રેજી શબ્દની જોડણીમાં સુધારો કરાવવાનું કામ વ્યક્તિ માટે સમય અને નાણાંની દૃષ્ટિએ ખર્ચાળ છે.

લિંકેજની મુશ્કેલી હલ થયા પછી જોડાણના ઉદ્દેશો પાર પડે છે કે કેમ અને આ કામમાં નિર્દોષ ગરીબો તો દંડાતા નથી ને? તે વિચારવાનું રહે છે. રેશનકાર્ડનો આધાર લિંકેજનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો હતો. પરંતુ અનુભવે જણાયું છે કે રેશન અને આધારકાર્ડનું લિંકેજ ના થવાનો ભોગ ગરીબો બન્યા છે અને તેઓ અનાજ વગરના રહ્યા છે. લિંકેજના અભાવે રદ્દ થયેલા ૯૦ ટકા કાર્ડ સાચા હોવાનું પુરવાર થયું છે. ભૂતિયા રેશનકાર્ડ તો દૂર ના થયા પણ સાચા રેશનકાર્ડધારકોને સહન કરવું પડ્યું છે. જાહેર વિતરણ વ્યવસ્થાની ખામી કે ભ્રષ્ટાચાર માત્ર ભૂતિયા કાર્ડ જ નથી પરંતુ દુકાનદાર સમયસર અનાજ ના આપે, વજનમાં ઓછું આપે અને હલકી ગુણવત્તાનું આપે તે છે. જોડાણથી આ ખામી દૂર થતી નથી.

એક અભ્યાસ પ્રમાણે એક મતવિસ્તારમાં લગભગ ૨૫ હજાર સંદિગ્ધ મતદારો હોય છે. જો તેમના આધારકાર્ડનું મતદારયાદી અને ઓળખપત્ર સાથે લિંકેજ થઈ ગયું હોય તો તેમને મતદાન કરતા રોકી શકાતા નથી. ઓછા અંતરથી ઉમેદવારની હારજીતમાં આવા મતદારોની મોટી ભૂમિકાને આધારકાર્ડ સાથેના જોડાણથી અટકાવી શકાતી નથી. તેટલે અંશે ચૂંટણી પ્રક્રિયા દૂષિત જ રહે છે. ચૂંટણીપંચે વધુ ચોક્સાઈભરી અને અદ્યતન મતદાર યાદી તૈયાર કરવાની પોતાની જવાબદારીથી  હાથ ખેંચી લઈને ચૂંટણી સુધારાના નામે જોડાણનો તુક્કો લડાવ્યો છે. જે ભાગ્યે જ ઉદ્દેશો પૂરા કરશે.

મતદારની પ્રાઈવસીના અધિકારને સુપ્રીમ કોર્ટે મૂળભૂત હક ગણ્યો છે. જોડાણના કારણે મતદારની ઘણીબધી માહિતી સત્તાપક્ષને પહોંચી શકે છે અને તેની નિજતા જોખમાય છે. આધાર સાથે લિંક ના થવાથી મતદારનો મતદાનનો હક છીનવાશે નહીં અને જોડાણ સ્વૈચ્છિક છે, તેવી ખાતરી એટલે પણ બોદી લાગે છે કે જે મતદાર આધાર સાથે લિંકેજ ન કરાવે તેણે તેનાં પર્યાપ્ત કારણો આપવાનાં હોય છે. આ નિયમને કારણે તથા લિંકેજની કામગીરી કરતા કર્મચારીઓને ફાળવેલા સો ટકા કામગીરીના લક્ષ્યાંકો પરથી  જોડાણ કરાવવું ફરજિયાત બને છે.

જોડાણ કરાવવાની સમયમર્યાદા ચૂંટણીપંચે માર્ચ ૨૦૨૩ની ઠરાવી છે. એટલે આ બાબત તેના માટે તાકીદની હોવાનું અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી તેના આધારે કરાવવાની તૈયારી લાગે છે. પાનકાર્ડધારકોની મર્યાદિત સંખ્યા છતાં તેના આધાર સાથેના જોડાણની સમયમર્યાદા સતત વધારાઈ છે. પરંતુ વોટર આઈ.ડી. સાથેનું જોડાણ જે ઝડપે થઈ રહ્યું છે તે જોતાં ઝાઝો મુદ્દત વધારો મળશે નહીં.

વ્યાપક સંસદીય અને લોકપરામર્શ વિનાનો આ કાયદો અને તેનું અમલીકરણ ગરીબો માટે નુકસાનકારક બની શકશે. એ જ  લોકતંત્ર સાર્થક ગણાય જેમાં કાયદા, સુધારા અને વ્યવસ્થા છેવાડાના માનવી માટે સુગમ, સરળ અને સહજ હોય. આ માપદંડે જોતાં આધારકાર્ડનું વોટર આઈ.ડી. સાથેનું જોડાણ ગરીબોને કનડનારું બની શકે છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બજેટ પર બધાંની નજર હોય છે, તો ય એને કોઇની નજર લાગતી નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 February 2023

રવીન્દ્ર પારેખ

1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ, નાણાં મંત્રીએ રજૂ કર્યું ત્યારે આખા દેશની નજર નિર્મલા સીતારામન્‌ પર તો હતી જ, પણ તેમણે કેવા રંગની સાડી પહેરી હતી તેનાં પર પણ હતી. ઘણાંને તો બજેટ કરતાં સાડીની ચર્ચા કરવાનું વધારે માફક આવ્યું. એમણે ગૃહમાં ‘પોલ્યુશન’ને બદલે ‘પોલિટિકલ’ શબ્દ વાપરીને ભૂલ કરી ને સુધારી પણ ખરી, પણ ભૂલ તો થઈ જ હતી, કદાચ પોલ્યુશનનો સમાનાર્થી શબ્દ એમને પોલિટિકલમાં જડ્યો ! એક જમાનામાં જૂની ને નવી પત્નીનો મહિમા હતો, પણ હવે જાહેરમાં એ માન્ય નથી એટલે નાણા મંત્રીએ આશ્વાસન આપવા જૂની ને નવી સ્કિમનાં વિકલ્પો આપ્યા છે. એ સાથે જ જે નવી સ્કિમમાં જોડાય છે તેણે આગળ ઉપર તેને જ અનુસરવાનું રહે એવી ફરજ પણ પડાઈ છે.

આખા બજેટનો અભ્યાસ કરવાનું તો આવકવેરા વિભાગથી ય થતું હશે કે કેમ, તે નથી ખબર, પણ અર્થશાસ્ત્રીઓ અભ્યાસ કરી રહે ત્યાં સુધીમાં તો બીજું નવું બજેટ આવી રહે છે. બજેટ તો એક જ હોય છે, પણ તે વ્યક્તિએ વ્યક્તિએ જુદો અભિપ્રાય ઉપસાવી આપે છે. પેલી વાર્તા નથી, જેમાં અંધ, હાથીને તપાસે છે? એક અંધને હાથી થાંભલા જેવો લાગે છે, તો બીજાને પાઇપ જેવો લાગે છે. બજેટનું પણ એવું જ છે. કોઈને તે રાહત આપનારું લાગે છે તો કોઈને તે લૂંટનારું લાગે છે. એમાં રાજકીય પક્ષો જુએ તો બજેટ પક્ષ પ્રમાણે સારું, નબળું પણ થઈ જાય છે. ભા.જ.પ.ના એક પણ સભ્યને એમાં કશું જ નબળું લાગતું નથી, તો વિપક્ષના એક પણ સભ્યને એમાં કશું જ સારું દેખાતું નથી. જેમ કે, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ભા.જ.પ. સરકારનું બજેટ, નારીશક્તિની તરફેણ કરતું લાગે છે, તો બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીને આ બજેટ ચૂંટણીલક્ષી અને લોકકલ્યાણની ભાવના વગરનું લાગ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આ બજેટ, દૂરંદેશી, કૃષિલક્ષી કે યુવા પેઢી તરફી લાગ્યું છે, તો કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીને આ બજેટમાં નોકરીઓ સર્જવાનું, અસમાનતા દૂર કરવાનું, મોંઘવારી સામે લડવાનું વિઝન દેખાતું નથી. આવું બધું બજેટ કોઈ પણ હોય, બોલાતું રહે છે.

પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ પૂર્વગ્રહ કે પશ્ચિમગ્રહ વગર વાતને જોઈ શકતું જ નથી. કેટલાક ખરેખરા અર્થશાસ્ત્રીઓ બધી બાજુએથી વિચારવામાં એટલું ઊંડું ચિંતન કરે છે કે તેઓ પછી સપાટી પર આવી શકતા નથી ને આવે છે તો લોકો ધંધે લાગી ગયા હોય છે, તો કેટલાંક તાજા અનર્થશાસ્ત્રીઓ પાસે કોઈ માંગે કે ન માંગે, પ્રતિક્રિયાઓ બજેટ પહેલાંથી જ લગભગ તૈયાર હોય છે. બજેટ કોઈ પણ હોય એમની રેસિપીમાં ફેર પડતો નથી. એ તો સારું છે કે આ બજેટમાં રાહતો અપાઈ છે, પણ રાહતો ન અપાઈ હોત તો પણ ઘણાં  બની બેઠેલા અનર્થશાસ્ત્રીઓને રાહતો આભાસી લાગે છે, તો ઘણાંને એમાં કૈં મેળવવા કે ગુમાવવા જેવું પણ લાગતું નથી. કોઈ પણ સરકારનું બજેટ હોય, ઘણાંને એ ‘આવકારદાયક’, ‘વિકાસલક્ષી’ બજેટ જ લાગે છે, કોઈને દરેક માટે એમાં કૈં સારું દેખાયું છે, તો કોઈને એ અમૃતકાળનું નહીં, પણ ‘મિત્ર’કાળનું બજેટ પણ લાગ્યું છે, કોઈને એમાં મોંઘવારી વધતી દેખાઈ છે, તો કોઈને મોંઘવારી બજેટ પહેલાં જ ઘટતી પણ લાગી છે. જેટલાં મોઢાં એટલી વાતો …

બજેટમાં અનેક ક્ષેત્રો અને મંત્રાલયોને માટે લાખો કરોડ ફાળવાયા છે. સામાન્ય માણસને એમાં રસ પણ હોતો નથી. એ સારું પણ છે, બાકી, રસ પડે તો આનંદ ભાગ્યે જ થાય. જેમ કે થોડાં બજેટ પહેલાં, ભા.જ.પ. સરકારે સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત મૂકેલી, પણ કામ છેક ગયા વર્ષને અંતે શરૂ થયું, બુલેટ ટ્રેન, મેટ્રો વગેરે પ્રોજેક્ટ્સ પણ લંબાતા જ ચાલે છે. ઘણી વાર તો એની જરૂર અંગે પણ પ્રશ્નો થાય, પણ હશે, કોઈ હેતુ તો હશે, એ સ્વીકારીને ચાલવું પડે. ઘણીવાર બજેટમાં રકમ ફાળવાતી રહે ને કામ ઘોંચમાં જ પડ્યું હોય ને પછી તો સરકાર ભૂલી જાય ને લોકોને ય યાદ ન હોય એમ બને.

શિક્ષણ, સંરક્ષણ, કૃષિ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રો માટે દર વર્ષે કરોડો રૂપિયા જુદી જુદી યોજનાઓ માટે બજેટમાં ફાળવાય છે. બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરવાની વાત છે. શિક્ષણ માટે 1,12,899.47 કરોડ ફાળવાયા છે. આગામી ત્રણેક વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયકોની નિમણૂક્ થશે ને એનો લાભ 3.50 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને મળશે. આવું આવતાં બજેટમાં પણ ઉમેરાઈ શકે. અત્યાર સુધીમાં શિક્ષકોની ભરતીના જેટલા આંકડાઓ બજેટમાં આવ્યા છે, એ બધા જો સાચા હોય તો ભારત શિક્ષક પ્રધાન દેશ બની જાય, પણ એવું થતું નથી. હજારો શિક્ષકોની ભરતી થતી જ નથી ને ઘણી સ્કૂલો એક, બે શિક્ષકોથી જ ચાલતી હોવાની નવાઈ નથી, ત્યારે પ્રશ્ન થાય કે આટલી ફાળવણી છતાં જો જગ્યાઓ ખાલી જ રહેતી હોય તો કોઈક સ્તરે અપ્રમાણિકતા કે ભ્રષ્ટતા ભાગ ભજવે છે એવું, નહીં? રેલવે માટે સૌથી વધુ 2.4 લાખ કરોડ ફાળવાયા છે, છતાં એમાં સિનિયર્સને અપાતું કન્સેશન બાકાત છે. રેલવે એટલી ગરીબ છે કે તે લાચાર વૃદ્ધોને મદદ ન કરવા લાચાર છે. બજેટમાં રકમ ફાળવાતી જ રહે ને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં તંત્રો આનાકાની કરે ત્યારે કારભાર ખાડે ગયો છે એમ માનવું પડે ને તેને અખાડે લઈ જવો જોઈએ એવું ખરું કે કેમ?

હેલ્થ સેક્ટર માટે ગયા બજેટ કરતાં 13 ટકા વધુ એટલે કે 89,155 કરોડ ફાળવાયા છે. એ સાથે જ 157 નર્સિંગ કોલેજો શરૂ કરવાની વાત પણ છે. 22 નવી એઇમ્સ માટે 6,835 કરોડ ફાળવાયા છે, આ ઉપરાંત સંરક્ષણ બજેટ 5.94 લાખ કરોડનું છે, જે ગયાં વર્ષ કરતાં 13 ટકા વધારે છે. આ ઉપરાંત શસ્ત્રો વિમાનો, યુદ્ધ જહાજોની ખરીદી માટે 1.62 લાખ કરોડ બાજુ પર રખાયા છે. પડોશી દેશોની રમતો સંદર્ભે આ ખર્ચ અનિવાર્ય છે. 2023-‘24નાં બજેટમાં MSME માટે 22,138 કરોડ ફાળવાયા છે જેથી કોરોનાને કારણે નિષ્ફળ ગયેલા નાના ને મધ્યમ ઉદ્યોગોને ટેકો થઈ શકે. વ્યવસાય શરૂ કરવા હવે પાન કાર્ડ પૂરતો ગણાશે. MSMEને 9 હજાર કરોડની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે. કૃષિ ક્ષેત્ર માટે કોઈ ચોક્કસ જાહેરાતો બજેટમાં નથી, હા, કૃષિ ક્રેડિટ કાર્ડ (KCC) 20 લાખ કરોડ વધારવાની જાહેરાત છે. આમે ય ખેડૂત દેવાદાર જ હોય છે તેમાં વધુ દેવાદારો ઊભા કરવાની આ તરકીબ છે. આવી તો ઘણી દરખાસ્તો છે ને એમ મનાય છે કે બજેટની જાહેરાતોનો સમયસર અસરકારક અમલ થાય તો એ ખરેખર અમૃતકાળનું બજેટ બની રહે, પણ આ આખો વ્યાયામ મોટે ભાગે બિન અસરકારક જ પુરવાર થાય છે એવું આગલા બજેટો પરથી પણ કહી શકાય. જો આ બજેટમાં પણ એવું થાય તો અમૃતકાળમાં ‘અમૃત’ અને ‘કાળ’ ચોઘડિયાં સૂચક જ ગણવાં પડે. આ ઉપરાંત સોનું, ચાંદી, સિગારેટ જેવી વસ્તુઓ મોંઘી થતી આવી છે તો તે મોંઘી થશે ને રમકડાં, મોબાઈલ પાર્ટ્સ, સાઇકલ, ઇલેક્ટ્રિક વેહિકલ્સ વગેરે સસ્તાં થશે. તે એટલે કે સોનાં, ચાંદી પર સરકારે ડ્યૂટી વધારી છે ને મોબાઈલ પાર્ટ્સ, રમકડાં પર ડ્યૂટી ઘટાડી છે,

આમ તો બજેટમાં દરખાસ્ત થતી રહે છે ને સમય જતાં બરખાસ્ત પણ થતી હશે, પણ મૂળ પ્રશ્ન છે તે અસરકારક અમલીકરણનો. એ ઉપરાંત અગાઉ ફાળવાયેલી રકમનો કોઈ હિસાબ થાય છે કે કેમ તેની પણ જનતાને ખબર પડતી નથી. બજેટમાં ગમ્મત એવી પણ થતી રહે છે કે રૂપિયો કયાંથી આવશે ને ક્યાં જશે? ને એ ગ્રાફિક્સ દ્વારા બતાવાય પણ છે, પણ ગોળ તો કુલડીમાં જ ભંગાતો રહે છે. ઘણીવાર તો રૂપિયો વધતાં જતાં દેવામાંથી આવે છે ને છેવટે તો આવે છે સરકાર પાસે જ, સિવાય કે રૂપિયો બ્લેકનો હોય ! બ્લેકનો હશે તો તિજોરીમાં જ જશે એટલું નક્કી છે. ધનિકોને એ સગવડ ટેક્સ ઘટાડાએ પણ પૂરી પાડી છે. મહત્તમ ટેક્સ 42.74 ટકા હતો તે ઘટાડીને 39 ટકા કરાયો છે. આ સ્લેબમાં મોટે ભાગે સૌથી વધુ ધનિકો આવે છે એટલે એમને લાભ થશે. ચારેક ટકાનો ઘટાડો થતાં 25 કરોડની આવકવાળા ધનિકોને સીધો 1 કરોડનો લાભ થશે, એના પ્રમાણમાં મધ્યમવર્ગને અપાયેલી રાહત ઓછી જ લાગવાની.

એ જે હોય તે પણ 2014 પછી પહેલીવાર અઢી લાખનો ઇન્કમટેક્સનો સ્લેબ બદલાયો તેથી લોકો ગેલમાં આવી ગયા છે. નવી ટેક્સ સિસ્ટમમાં 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉમેરાયું છે. જુદી જુદી માન્ય કલમો હેઠળ કરવામાં આવેલ રોકાણનો લાભ મળતાં 5 લાખ સુધી ટેક્સ લાગતો ન હતો, હવે તે સાત લાખની આવક સુધી નહીં લાગે. સિનિયર્સ તો મોટે ભાગે પેન્શન પર ને બચત પર નભતા હોય છે. એ તો પાંચ લાખ સુધી પણ ઘણીવાર નથી પહોંચતા. એ જો ત્રણચાર લાખની આવકમાં દોઢ લાખ જેવું રોકાણ કરે કે 50,000નો મેડિક્લેમ લે, તો તે આખું વર્ષ ટકે કઇ રીતે એ પણ વિચારવાનું રહે. જો કે, નવી સ્કિમમાં 7 લાખની આવક સુધી કરમુક્ત માળખું સ્વીકારવાનું હોય તો, રિબેટના લાભો જતાં કરવા પડે એ પણ છે. અહીં એ પ્રશ્ન પણ છે કે નવી સ્કિમમાં રિબેટનો લાભ ન મળવાનો હોય તો ને સાત લાખ સુધી ટેક્સ ન લાગવાનો હોય તો તેને 3થી 6 ને 6થી આગળનાં ટેક્સ રેટ કઇ રીતે લાગુ થાય? એ અંગેની સ્પષ્ટતા અપેક્ષિત છે. આમ તો ત્રણ લાખ સુધી કોઈ ટેક્સ નથી, ને ત્રણથી છ, છથી નવ, નવથી બાર, બારથી પંદર લાખ ને પંદરથી  ઉપરના સ્લેબમાં અનુક્રમે 5, 10, 15, 20 ને 30 ટકા ટેક્સ લાગશે.

એક ગમ્મત વરિષ્ઠ નાગરિકોની બચત મામલે પણ છે. બચત ખાતામાં રાખવાની રકમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરી દેવામાં આવી છે તો એમને માટે જ બચતની સીમા 15 લાખની હતી, તે વધારીને 30 લાખ કરવામાં આવી છે, ત્યારે પ્રશ્ન થાય કે આટલી બચત કરવા જેટલી ક્ષમતા વરિષ્ઠોની છે ખરી? મોટે ભાગના વરિષ્ઠો પેન્શન પર નભે છે તો તેની એટલી આવક છે ખરી કે તે આવી યોજનાનો લાભ લઈ શકે? બીજી તરફ મહિલાઓને પ્રસન્ન કરવા મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટની જાહેરાત પણ થઈ છે. એમાં બે વર્ષ સુધીનાં 2 લાખનાં રોકાણ પર 7.5 ટકા વ્યાજ આપવાની દરખાસ્ત છે. બજેટની આટલી ખણખોદ પછી પણ હાથ તો નિરાશા જ લાગે છે. આપણાં બધાં બજેટ એમ માનીને તૈયાર થાય છે કે દરેક કરદાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ઇન્કમટેસ અધિકારી છે.

એક સાધારણ માણસ ઇન્કમટેક્સની ઓફિસે ઉચ્ચ અધિકારી પાસે ગયો ને બોલ્યો કે તે ઇન્કમટેક્સ ભરવા માંગે છે તો અધિકારીએ કહ્યું કે તમારી આવક કેટલી છે, તો પેલો બોલ્યો કે આવક તો નથી, સવારથી રાત સુધીમાં એટલી જાતના ટેક્સ ચૂકવું છું કે ઇન્કમટેક્સ ભરવા જેટલી ઇન્કમ રહેતી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ફેબ્રુઆરી 2023

Loading

મિલનની રૈના અને ‘અભિમાન’નો અંત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 February 2023

રાજ ગોસ્વામી

જે વર્ષે અમિતાભ બચ્ચનની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ઝંઝીર’ આવી (મે 1973), તેના ત્રણ મહિના પછી જુલાઈમાં ‘અભિમાન’ આવી. નિર્દેશક ઋષિકેશ મુખરજીની અમિતાભ સાથે એ પહેલી ફિલ્મ હતી. તેની પાછળ તરત, ચાર મહિનામાં, ‘નમક હરામ’ આવી. પછી તો ઋષિ’દાએ અમિતાભ સાથે ‘ચુપકે ચુપકે,’ ‘મિલી,’ ‘આલાપ,’ ‘જુર્માના’ અને ‘બેમિસાલ’ પણ આપી હતી. ‘ઝંઝીર’ જેવી મારધાડવાળી એક્શન ફિલ્મ પછી અમિતાભે ઓછા બજેટની, સમાંતર અને ‘સાફ-સુથરી’ ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું હતું, તેની શરૂઆત ‘અભિમાન’થી થઇ હતી.

‘અભિમાન’ એક અસાધારણ ફિલ્મ હતી. ગીત-સંગીતના એક જ વ્યવસાયમાં કામ કરતાં દંપતી વચ્ચે, એકબીજાંની પ્રતિભા અને લોકપ્રિયતાને લઈને અભિમાનની ટક્કર થાય, તેવી વાર્તાનો વિચાર ઋષિકેશ મુખરજીને તો જ આવ્યો હોય, જ્યારે તેમને સિનેમાના પરિવારોની આંતરિક ખટપટોની ખબર હોય. ફિલ્મ એટલી બધી વાસ્તવિક અને પ્રમાણિક લાગતી હતી કે તેની પાછળ કોઈ અસલી દંપતીનો સંદર્ભ ન હોય તો જ નવાઈ. એ વખતે, અને આજે પણ, લોકોને પ્રશ્ન થયો હતો કે આ કોની વાર્તા છે, જેણે ઋષિ’દાએ પરદા પર સાકાર કરી છે.

તેને લઈને બે વાત છે. એક, ઋષિ’દાને આ ફિલ્મની પ્રેરણા સિતારવાદક રવિ શંકર અને તેમની પહેલી પત્ની અન્નપૂર્ણા દેવી વચ્ચેના ગજગ્રાહ પરથી મળી હતી અને બીજી વાત એવી છે કે તેમાં ગાયક કિશોર કુમાર અને તેની પહેલી પત્ની રૂમા દેવીની વાર્તા હતી.

બ્રિટિશ રાજમાં (મધ્ય પ્રદેશના) મૈહર સ્ટેટના મહારાજા બ્રિજનાથ સિંહના દરબારમાં સરોદવાદક બાબા અલ્લાઉદ્દીન ખાનને ત્યાં તાલીમ લેવા આવતા 18 વર્ષના રવિશંકર અને 13 વર્ષની તેમની દીકરી અન્નપૂર્ણાનાં લગ્ન થયાં હતાં. બંને શાસ્ત્રીય સંગીતમાં માહેર હતાં. એટલે જ ભેગાં થયાં હતાં, પરંતુ સમય જતાં એ જ વિખવાદનું કારણ બન્યું. કહેવાય છે કે અન્નપૂર્ણાને રવિશંકર કરતાં વધુ કાર્યક્રમો અને વાહવાહી મળતી હતી. 

એમાં રવિશંકરનો ‘પુરુષ અહમ્‌’ ઘવાયો હતો. પરિણામે, અન્નપૂર્ણા દેવી પંડિતીજીના અને જાહેર જીવનમાંથી ખસતાં ગયાં. ૧૯૬૨માં પંડિતજીથી છૂટા થઈને તેમણે મુંબઈના ફલેટમાં પોતાની જાતને કૈદોબંધ કરી દીધી. ‘માનુષી’નાં નારીવાદી સંપાદક મધુ કિશ્ચર ટ્વિટર પર લખે છે કે, “રવિશંકરે અન્નપૂર્ણાની સંગીતની કારકિર્દી બરબાદ કરી નાખેલી. એ પંડિત કરતાં ય  પ્રતિભાવાન હતાં અને એક કાર્યક્રમમાં તો પંડિતે ક્રૂરતાથી એમને ઘસીટ્યાં હતાં. એ દિવસથી એમણે કાર્યક્રમ બંધ કરી દીધા.”

‘અભિમાન’માં આવી જ વાર્તા હતી. એક પ્રોફેશનલ ગાયક સુબિર (અમિતાભ) ગામડાની ગોરી ઉમા(જયા બચ્ચન)ને મળે છે અને તેની પ્રકૃતિદત્ત ગાયકીથી આકર્ષાઈને લગ્ન કરે છે. લગ્ન પછી, ઉમાની કારકિર્દી રંગ લાવે છે અને સુબિરની કારકિર્દી ગબડવા લાગે છે. એમાં એનો અહંકાર ઘવાય છે અને લગ્નમાં ખટરાગ શરૂ થાય છે. પરિણામે, ઉમા ગાવાનું છોડીને પાછી પિયર જતી રહે છે.

ગુજરાતી લેખક-કાર્ટૂનિસ્ટ આબિદ સુરતીના પુત્ર આલિફ સુરતીએ, 2002માં ‘મેન્સ વર્લ્ડ’ નામના અંગ્રેજી સામાયિક માટે અન્નપૂર્ણા દેવીનો એક દુર્લભ ઈન્ટરવ્યુ કર્યો હતો (અન્નપૂર્ણા દેવી ન તો એ ફ્લેટમાંથી બહાર આવતાં હતાં કે ન તો કોઈને મળતાં હતાં). એમાં તેમણે કહ્યું હતું કે, “હું જ્યારે પરફોર્મ કરતી અને લોકો દાદ આપતા હતા તે પંડિતજીને ગમતું નહોતું. મને તો આમ પણ પરફોર્મ કરવામાં કોઈ રસ નહોતો એટલે મેં બંધ કરી દીધું અને સાધના ચાલુ રાખી.”

સુરતી લખે છે કે “‘અભિમાન’ ફિલ્મ શરૂ કરતાં પહેલાં ઋષિકેશ મુખરજીએ અન્નપૂર્ણા દેવી સાથે વાર્તાની ચર્ચા કરી હતી. ફિલ્મમાં તો દંપતી પાછાં ભેગાં થાય છે, પણ અસલ જીવનમાં રવિશંકર અને અન્નપૂર્ણા દેવીએ છૂટાછેડા લઇ લીધા હતા. લગ્નને બચાવવા માટે દેવીએ બાબા અને શારદા માતાની પ્રતિમા સમક્ષ પણ મુક્યું હતું કે તે ક્યારે ય જાહેરમાં પરફોર્મ નહીં કરે. જો કે એ બલિદાન પણ લગ્નને બચાવી શક્યું નહોતું.”

વરિષ્ઠ ફિલ્મ-પત્રકાર રાજુ ભારતનનો દાવો એવો છે કે ‘અભિમાન’ની વાર્તા કિશોર કુમાર અને રૂમા દેવી પર આધારિત હતી. એક જગ્યાએ તે લખે છે, “આપણે જાણીએ છીએ તે પ્રમાણે, કિશોરની પત્ની (અમિતની માતા) રૂમા કૈં ઓછી પ્રતિભાશાળી નહોતી. કિશોરને તેની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો, પણ તેને એ ખબર હતી કે રૂમામાં કુદરતી રીતે જ સંગીતની પ્રતિભા હતી. ઋષિ’દા એક અચ્છા વાર્તાકાર હતા અને તેમણે આ વિષયને પકડીને ‘અભિમાન’માં સરસ વાર્તા ઘડી હતી.”

કિશોર કુમાર તો ખેર મોટા ભાઈ અશોક કુમારની દેખાદેખી ફિલ્મોમાં આવ્યો હતો, પણ સંગીત તો રૂમા દેવી ઠાકુરતાના પરિવારમાં જ હતું. તેની માતા સત્યજીત રેના સંબંધમાં હતી. રૂમા નાનપણથી નૃત્ય શીખી હતી. તેણે દિલીપ કુમારની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’માં કામ કર્યું હતું. 1951માં, કિશોર સાથે લગ્ન કરીને તે મુંબઈ આવી હતી, પણ 8 વર્ષ પછી છૂટાછેડા લઈને પાછી કલકત્તા જતી રહી હતી. એવું કહેવાય છે કે રૂમા કારકિર્દી પસંદ સ્ત્રી હતી અને કિશોરને ‘ઘરેલું પત્ની’ જોઈતી હતી, એમાં બંને વચ્ચે વાંકું પડ્યું હતું.

રવિશંકર-અન્નપૂર્ણા અને કિશોર-રૂમાના લગ્નમાં આમ ઘણું સામ્ય હતું અને બની શકે કે ઋષિ’દાને આ બંને પરથી જ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હોય. એ જે હોય તે, પણ ‘અભિમાન’માં તેમણે વૈવાહિક સંબંધની જટિલતાને નારીવાદી દૃષ્ટિકોણથી જે રીતે પેશ કરી હતી તેને દર્શકોએ બહુ સરાહના કરી હતી. એક તો તેની વાર્તા ખૂબ સશક્ત હતી, બીજું તેના મુખ્ય કલાકારો(અમિતાભ, જયા, બિંદુ, અસરાની, એ.કે. હંગલ, દુર્ગા ખોટે)એ ઉમદા અભિનય કર્યો હતો અને ત્રીજું તેનું સંગીત (સચિન દેવ બર્મન) લાજવાબ હતું. ફિલ્મને 1974નો બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ મ્યુઝિક અને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર અને એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

અમિતાભ અને જયાનાં લગ્ન થયાને થોડા જ મહિનામાં ફિલ્મ રિલીઝ થઇ હતી અને ફિલ્મમાં પણ નવવિવાહિત દંપતીની જ વાત હતી એટલે ફિલ્મની વાસ્તવિકતા વધુ નીખરી હતી. ખાસ કરીને એમાં સુબિરના ‘પુરુષ અહમ્‌’ જે રીતે પેશ કરવામાં આવ્યો હતો તેનાથી લોકોને લાગ્યું હતું કે કારકિર્દી પસંદ પુરુષો આવા જ  હોય છે અને પત્નીઓએ તેમનો પડછાયો બનીને જ રહેવું પડે છે. પત્નીની એ મજબૂરીને મજરૂહ સુલતાનપુરીએ ખૂબસુરત રીતે આ શબ્દોમાં વ્યક્ત કરી હતી;

પિયા એસે રૂઠે, કે હોંઠોં સે મેરે, સંગીત રુઢા

કભી જબ મૈ ગાઉં, લગે મેરે મન કા, હર ગીત જૂઠા

એસે બિછડે, હો … એસે બિછડે મોસે રસિયા

પિયા બિના, પિયા બિના પિયા બિના, બસિયા

ફિલ્મમાં અભિમાનની લડાઈ એટલી તીવ્ર હતી કે એક ચાહક ઉમાને જોઇને જોરથી ‘રાધા … રા આ આ ધા’ બોલે છે ત્યારે ઈર્ષાથી સળગી ઊઠેલો સુબિર દાઢમાં બોલે છે, “વાહ, ક્યા ક્લાસિક નામ હૈ!” એવી રીતે સુબિર ઉમાને પૂછે છે કે તને મારાં ગીત ગમે છે? ત્યારે ઉમા તેનાં ગીતોને ‘હા હૂ, ચીખના ચિલ્લાના’ જેવાં ગણાવે છે. ત્રીજા એક દૃશ્યમાં સુબિર તેની દોસ્ત ચિત્રા(બિંદુ)ને ત્યાં શરાબના પેગમાં તેના દુઃખને ડુબાડતો હોય છે ત્યારે કહે છે, “પહેલે અકેલા થા, અબ ભી અકેલા હૂં.”

ઋષિ’દાએ ફિલ્મ નકારાત્મક ન બની જાય એટલા માટે પિયર જતી રહેલી ઉમાને ગર્ભપાત થઇ જાય છે અને સુબિરનું હૃદય પરિવર્તન થાય છે તેવો અંત મૂકીને ફિલ્મને પાછી પારિવારિક ફિલ્મોના પાટે ચઢાવી હતી. એમાં પણ એક ગીતમાં મજરૂહ સા’બ અને બર્મન’દાએ કમાલ કરી હતી. ફિલ્મની શરૂઆત કિશોર કુમારના સોલો ગીત ‘મિત ના મિલા રે મન કા’ ગીતથી થાય છે (જે ઉમાને મન ‘ચીખના ચિલ્લાના’વાળું ગીત છે) અને ફિલ્મનો અંત કિશોર-લતાના ડ્યુએટથી થાય છે. એમાં પતિ-પત્નીનું પુર્નમિલન તો છે જે, ઉમાની ગાયકીની વાપસી પણ છે. એમાં સુબિર ગાય છે;

તેરે મેરે મિલન કી યે રૈના, નયા કોઈ ગુલ ખીલાયેગી

તેનો સાથ આપીને ઉમા કહે છે;

નન્હા સા ગુલ ખીલેગા અંગના, સૂની બૈયા સજેગી સજના

આ એક પંક્તિમાં સૂના હાથ ફરીથી સજાવાનો અને એક નવા જીવનને શરૂ કરવાનો આશાવાદ હતો. એ ‘અભિમાન’નો અંત પણ હતો. 

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક કોલમ, “સંદેશ”, 01 ફેબ્રુઆરી 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2111,2121,2131,214...1,2201,2301,240...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved