Opinion Magazine
Number of visits: 9667484
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચેન્નાઈનો પક્ષીજણ

સુરેશ જાની|Opinion - Opinion|22 March 2023

સત્યકથા

કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ! એ સ્પાઈડરમેનની જેમ ઊડી નથી શકતો – ‘એ ઊડતા પક્ષીઓના પ્રેમમાં ગળાડૂબ બની ગયેલો, માણસ’ કહેવાય એવો એક જણ છે!

આમ તો જોસેફ સેકર સાવ સામાન્ય માણસ છે. ચેન્નાઈના રોયાપેટ્ટા વિસ્તારમાં ભાડાના મકાનમાં ૨૭ વર્ષથી તે રહે છે. મકાન પણ પચાસ વર્ષ જૂનું છે અને પાંચ ભાડવાત એમાં રહે છે. વ્યવસાયે તે ઇલેક્ટ્રિશિયન છે અને  કેમેરા પણ  રિપેર કરે છે. ઘણી વાત ઘરાક ન મળતાં તેને બે ટંક ભેગા કરતાં ફાંફાં પણ પડતા હતા. પણ જોસેફનું દિલ અમીર છે. ૬૩ વર્ષના જોસેફે ૨૦૦૫ની સાલમાં આવેલ ત્સુનામી વખતે જોયું કે, બે ચાર પોપટ તેની અગાસી પર ચકલીઓએ ન ખાધેલા થોડાક ચોખા શોધવા આમ તેમ ઘૂમી રહ્યા હતા. આમ તો ત્યાં ચકલીઓ અને કબૂતર જ ચણ માટે આવતાં હતાં. તે ઘરમાં પાછો ફર્યો અને થોડાક ચણા લઈ આવ્યો અને અગાસી પર વેરી દીધા. બીજા આઠ દસ પોપટ પણ થોડીક જ વારમાં ત્યાં ભેગા થઈ ગયા અને આનંદની કિકલારીઓ કરવા લાગ્યા.

બસ, ત્યારથી જોસેફને આ નિર્દોષ પક્ષીઓની ભૂખ શમાવવાનું ઘેલું લાગ્યું છે. વધારે પક્ષીઓ ચણી શકે અને ચણનો બગાડ ઓછો થાય એ માટે અગાસી પર લાકડાના પાટિયા પર તે રોજ સવારે ૬ વાગે અને બપોરે ચાર વાગે આ પક્ષી વીશી ચાલુ કરે છે!

એક અંદાજ મુજબ, રોજના ૧,૦૦૦ પક્ષીઓ આ લોજમાં પધારે છે. શિયાળામાં તો આ આંકડો ૮,૦૦૦ સુધી પહોંચી જાય છે. આગંતુકોમાં મોટા ભાગે પોપટ હોય છે. પણ કબૂતર અને ચકલી પણ ખરાં  જ. એ બે જાતનાં ચણ નીરે છે. પાણીમાં પલાળેલા અને વિટામિન પાવડર ઊમેરેલા ચોખા અને ચણા. પોતાની આવકનો ૪૦ % એ જીવદયાના આ કામમાં વાપરી નાંખે છે. સવારે ચાર વાગે જોસેફ ઊઠી જાય છે અને ૭૫ કિલોગ્રામ ચોખા પલાળી દે છે. કલાક બાદ પાંચ છ ફેરા કરી અગાસી પર ચોખા પીરસે છે.

આ કામ પતી જાય પછી તે મકાનના ભોંયતળિયે આવેલી દુકાન ચાલુ કરે છે. બિમાર હોય અને માંડ ઊડી શકતાં હોય તેવાં પક્ષીઓને તે પોતાના ઘરની હોસ્પિટલમાં સારવાર પણ આપે છે, અને તંદુરસ્ત બની જાય પછી એમને છોડી મૂકે છે. આવાં પક્ષીઓ તો તેનાં મિત્ર બની જાય છે. કોઈક વખત તેને બહારગામ જવાનું હોય, ત્યારે એના કુટુમ્બના સભ્યો આ કામ ચાલુ રાખે છે. આમ ૩૬૫ દિવસ આ અભિયાન પંદર વર્ષથી અટક્યા વિના ચાલુ જ છે.

જોસેફનું આ સત્કાર્ય એટલું તો બધું જાણીતું બની ગયું છે કે,એની આ વીશી ચેન્નાઈના ઘણા પ્રવાસીઓ માટે યાદગાર મુલાકાત લેવાનું સ્થળ બની ગઈ છે!

https://www.youtube.com/watch?v=FDqzE-ApAXs

સંદર્ભ –

https://www.newindianexpress.com/cities/chennai/2020/jun/22/chennais-birdman-c-sekar-makes-ends-meet-for-birds-amid-covid-19-lockdown-2159641.html

e.mail : surpad2017@gmail.com

Loading

કેતન મહેતાની અને ધીરુબેન પટેલની ‘ભવની ભવાઈ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 March 2023

રાજ ગોસ્વામી

તાજેતરમાં, હોળી-ધૂળેટી નિમિત્તે આમિર ખાનની પહેલી ફિલ્મ (‘કયામત સે કયામત તક’ નહીં) ‘હોલી’ (1984) વિશે લખ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન કેતન મહેતાએ કર્યું હતું. એ લેખમાં લખ્યું હતું કે કેતન મહેતા સાહિત્યના માણસ છે અને સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો બનાવે છે (‘હોલી’ ફિલ્મ મહેશ ઈલ્કુંચવરના મરાઠી નાટક પરથી બનાવામાં આવી હતી) અને તેમની પહેલી જ ફિલ્મ ‘ભવની ભવાઈ’ ગુજરાતી લેખિકા ધીરુબહેન પટેલના નાટક પરથી બનાવામાં આવી હતી.

આ લેખ છપાયો તેના બીજા જ દિવસે સમાચાર આવ્યા કે 96 વર્ષનાં ધીરુબહેનનું અવસાન થયું છે. કેતન મહેતા આમ તો તેમની હિન્દી ફિલ્મો(મિર્ચ મસાલા, મી. યોગી (ટી.વી. સિરિયલ), હીરો હીરાલાલ, માયા મેમસાબ, સરદાર, મંગલ પાંડે, રંગ રસિયા)થી ઓળખાય છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ ‘ભવની ભવાઈ’ ગુજરાતીમાં હતી.

પત્રકાર દિવ્યાશા દોશી સાથે એક ઇન્ટરવ્યૂમાં મહેતાએ કહ્યું હતું, “ગુજરાતી મારી માતૃભાષા છે અને પિતાજી ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો છે. મેં પણ ગુજરાતી સાહિત્ય પછીથી ખૂબ વાંચ્યું છે. ફિલ્મ સંસ્થામાંથી પાસ થયા બાદ મેં થોડો સમય અમદાવાદની ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું. એ માટે મારે ખેડા જિલ્લામાં પુષ્કળ રખડવાનું થતું હતું. ગ્રામીણ પ્રજા માટે અમે કાર્યક્રમો બનાવતાં એટલે ગ્રામીણ સમસ્યાઓ મારા ધ્યાનમાં આવી. ખાસ કરીને અછૂતોનો પ્રશ્ન મને મૂંઝવતો. એ જ સમય દરમિયાન મને ભવની ભવાઈની વાર્તા મળી જે અછૂતનો વેશ તરીકે ભવાઈમાં ભજવાતી હતી.”

વડોદરામાં જન્મેલાં, મુંબઈમાં ઉછરેલાં અને મુંબઈમાં જ ભણી-ગણીને અધ્યાપક થયેલાં ધીરુબહેનને, ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પ્રચલિત ભવાઈની લોકકળાનો આધાર લઈને અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા પર ‘ભવની ભવાઈ’ નામનું નાટક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે, તેનું કોઈ બયાન મળતું નથી, પરંતુ તેમાં તેમણે દલિત-પછાત સમુદાયનો જે પ્રશ્ન છેડ્યો હતો તે જલદ અને યથાર્થ હતો.

એટલા માટે જ, કેતન મહેતાએ તેના પરથી ફિલ્મ બનાવી તો તેને વિવેચકોએ ખૂબ વખાણી હતી. તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રાષ્ટ્રીય એકતા માટેનો નરગિસ દત્ત પુરષ્કાર મળ્યો હતો, તેને મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી હતી અને થ્રી કોન્ટીનેન્ટ્સ ફેસ્ટીવલમાં યુનેસ્કો ક્લબ હ્યુમન રાઈટ્સનો પુરસ્કાર મળ્યો હતો.

ફિલ્મને દિલ્હીમાં આઠમા ફિલ્મ મહોત્સવમાં રજૂ કરવામાં આવી હતી. એ ઉપરાંત, તેને  અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, હોલેન્ડ, ચેકોસ્લોવાકિયા અને ઇંગ્લેન્ડમાં પણ વાહવાહી મળી હતી. ‘ભવની ભવાઈ’ને પાછળથી ‘અંધેર નગરી’ નામે હિન્દીમાં ‘ડબ’ કરવામાં આવી હતી.

વિધાર્થી ચેટરજી નામના ફિલ્મ વિવેચકે આ ફિલ્મ જોયા પછી લખ્યું હતું, “ભવની ભવાઈ બનાવ્યા પછી કેતન મહેતા નિવૃત્ત થઇ ગયા હોત તો પણ એક અગ્રણી નિર્દેશક તરીકે તેઓ લાંબો સમય યાદ રહ્યા હોત, તેવી આ ફિલ્મમાં તેમની તાકાત અને પ્રતિભા હતી.”

ફિલ્મનું સ્વરૂપ વાર્તા સ્વરૂપે હતું. હરિજનોની એક ટોળી શહેરમાં સ્થળાંતર કરી રહી છે એને એક રાતવાસો દરમિયાન, એક વૃદ્ધ (ઓમ પૂરી) હરિજન રાજા ચક્રસેન(નસીરુદ્દીન શાહ)ની વાર્તા કહે છે. તેની બે રાણી છે. તેમાંથી નાની રાણી (સુહાસિની મૂલે) તેના પ્રેમી અને મંત્રી (બેન્જામિન ગિલાની) સાથે મળીને મોટી રાણીના નવજાત પુત્રને મારી નાખવાનું ષડ્યંત્ર કરે છે, પણ જે સિપાહીને આ કામ સોંપાયું હતું તેને દયા આવે છે અને રાજકુમારને લાકડાની પેટીમાં મૂકીને નદીમાં તારી દે છે.

આ પેટી માલા ભગત નામના હરિજનના હાથમાં આવે છે. તે અને તેની પત્ની ધોળી (દીના પાઠક) બાળકને ‘જીવા’ (મોહન ગોખલે) નામથી મોટો કરે છે. બીજી બાજુ, વારસદાર માટે રાજ જ્યોતિષના કહેવાથી રાજા પાણીની વાવ બનાવે છે, પણ તેમાં પાણી નથી આવતું. રાજ જ્યોતિષને ખબર પડી ગઈ હોય છે કે જીવો રાજકુમાર છે, એટલે તે રાજાને કહે છે કે બત્રીસ લક્ષણા પુત્રનો બલી ચઢાવશો તો વાવમાં પાણી આવશે.

આખા રાજ્યમાં એવો પુત્ર તો માત્ર જીવો જ છે. જીવાની ખોજ શરૂ થાય છે. જીવો જીવ બચાવવા માટે વણઝારા કોમની તેની પ્રેમિકા ઉજમ (સ્મિતા પાટિલ) સાથે ભાગી છૂટે છે. નાસતો-ફરતો જીવો રાજા પાસે શરતી સમર્પણની યોજના મૂકે છે; રાજા જો રાજ્યમાંથી અસ્પૃશ્યતા દૂર કરે તો તે આત્મ સમર્પણ કરશે, અને નહીં તો આત્મહત્યા કરી લેશે. રાજા તેની વાત માને છે, પરંતુ સમર્પણ કરનાર જીવો બલિદાનના દિવસે જ જેલમાંથી નાસી છૂટે છે. જો કે અણીની પળે રાજાને જાણ થાય છે જે જીવો તેનો જ રાજકુમાર છે એટલે બલિ અટકાવી દે છે. એ જ સમયે વાવમાંથી પાણી નીકળે છે.

કેતન મહેતાએ પ્રયોગ કરીને ફિલ્મના બે અંત રાખ્યા હતા અને દર્શકો પર એ છોડ્યું હતું કે તેઓ કયો અંત પસંદ કરે છે. બલિ અટકાવી દેવાના નિર્ણય સાથે માલા ભગત વાર્તા પૂરી કરે છે ત્યારે બીજો એક હરિજન ત્યાં આવીને કહે છે કે ભગત ‘સુખદ અંત’ સંભળાવીને લોકોને ભ્રમિત કરે છે. તે કહે છે કે અસલમાં તો જીવાનો બલિ ચઢે છે અને છતાં પાણી નથી આવતું. પુત્રનું મૃત્યુ સહન ન થતાં માતા ધૂળી મૃત્યુ પામે છે. પુત્ર અને પત્ની બંનેને ગુમાવનાર માલો ભગત રાજાને શ્રાપ આપીને એ જ વાવમાં આત્મહત્યા કરે છે. માલાનું મૃત્યુ થતાં વાવમાં પાણી આવે છે.

કેતન મહેતાની ફિલ્મથી ધીરુબબહેનને ગુજરાત બહાર ખ્યાતિ મળી તે સાચું પણ જેમ ઘણી બધી સર્જનાત્મક જુગલબંધીમાં બને છે તેમ, ‘ભવની ભવાઈ’ના નિર્માણ પછી ધીરુબહેનને આનંદની સાથે આધાત પણ મળ્યો હતો. 2019માં, બી.બી.સી.નાં અસ્મિતા દવે સાથે મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે એક લેખકના હક્ક માટે લડાઈ પણ કરવી પડી હતી.

તેમની વાત પરથી એવું લાગે છે કે ધીરુબહેને આ ફિલ્મ માટે વાર્તા લખી હતી, પણ તેમાં તેમને ક્રેડિટ આપવામાં આવી નહોતી. બંને વચ્ચે શું નક્કી થયું હતું તે ખબર નથી, પરંતુ ફિલ્મમાં ધીરુબહેનનું નામ સંવાદ લેખક અને ગીતકાર તરીકે છે, જયારે સ્ક્રિપ્ટમાં કેતન મહેતાનું નામ છે. આ સ્ક્રિપ્ટ પુસ્તક રૂપે પ્રગટ થઇ હોવી જોઈએ અને તેમાં પણ ધીરુબહેનનું નામ નહોતું તેવું નીચેની વાત પરથી લાગે છે.

‘ભવની ભવાઈ’ પુસ્તકની પ્રસ્તાવનામાં ધીરુબહેન લખે છે;

“મને નહોતી ખબર આ લેખકના ‘ભવની ભવાઈ’ થવાની છે. 22-10-87ના રોજ સવારે મિત્ર ડૉ. સુરેશ દલાલના ફોનની ઘંટડી રણકી. એમણે સીધી વાત કરી, ધીરુબહેન, સ્ટ્રેન્ડબુક સ્ટોરમાં તમારું પુસ્તક જોયું, પણ ખૂબીની વાત એ છે કે ક્યાં ય તમારું નામ ન જડ્યું … મને અત્યંત આશ્ચર્ય થયું … ફિલ્મ -કેતન મહેતા, સ્ક્રિપ્ટનું પુનર્નિર્માણ અને અનુવાદ – શંપા બેનરજી. 23 નવેમ્બર 87ના રોજ કેતન મહેતા મળવા આવ્યા. કહ્યું કે, હું દિલગીર છું, રૉયલ્ટી પણ તમે લઈ લો અને લેખક તરીકે પણ તમારું નામ મુકાવી દઉં … પંદર દિવસમાં કાગળ તો તૈયાર થઈને આવ્યો પણ રૉયલ્ટી અને કૉપીરાઈટની વાત અંતરથી ગુલ. આવા કાગળનો શો અર્થ? … ગુજરાતી લેખકોની આંખ ઉઘાડવા અને કૉપીરાઇટ બાબતે સજાગ કરવા માટે આ પુસ્તક પ્રકાશિત કરું છું. આ અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 22 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પુસ્તકાલય અને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ 

સુમન શાહ|Opinion - Opinion|22 March 2023

== ગુજરાતી સાહિત્ય પરિષદમાં, એના ચી.મં. ગ્રંથાલયના સ્થાપના દિવસે, તારીખ ૧૭-મી માર્ચે આપેલા વ્યખ્યાનનું લેખ-રૂપ == 

સુમન શાહ

આ ક્ષણે મેં જોયેલાં પુસ્તકાલયો યાદ આવે છે : ડભોઇ : સયાજી બાળ પુસ્તકાલય, સયાજી સાર્વજનિક પુસ્તકાલય. વડોદરા : હંસા મહેતા યુનિ લાઇબ્રેરી (ઘણા લાયબ્રેરી બોલે છે, એક રીતે સાચું બોલે છે, પુસ્તકોને અને સાહિત્યકલાને લ્હાય લાગી છે ને બધું ‘બરી’ રહ્યું છે). હંસા મહેતા લાઇબ્રેરીનું એ મકાન બનતું જોવાથી ગમતું અને બની રહ્યું એ પછી એમાં બેસીને વાંચવાની ખૂબ મજા લીધેલી. ‘ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો’ મારું પહેલું વિવેચન-પુસ્તક એમાં બેસીને લખેલું. ઉપલેટા, કપડવંજ અને બોડેલી -કૉલેજોની લાઇબ્રેરીઓ. અમેરિકામાં ફિલાડેલ્ફીઆમાં પેનની લાઇબ્રેરી. સ્વીચ દબાવો ને જોડે જોડેનાં રૅક્સ સાથેની આખી દીવાલ ખસે. પુસ્તક પાછું આપવું હોય તો બૉક્સમાં મૂકી દેવાનું. પન્નાબેન મને કહે, ચાલો હું તમને કંઈક બતાવું. ત્યાં એમણે મને જે બતાવ્યું તે એક પુસ્તક હતું – ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ! હું ‘આનન્દાશ્ચર્ય’ શબ્દ ભાગ્યે જ વાપરું છું પણ તે દિવસે આનન્દાશ્ચર્યનો સાક્ષાત્ અનુભવ કર્યો. એ હજી ત્યાં હશે, કોણે વાંચ્યું, કોણ વાંચશે, રામ જાણે !

અમદાવાદમાં, એમ.જે. અને વિદ્યાપીઠમાં કદીક ગયો છું. આ ચીમનલાલ મંગળદાસમાં કદી નથી આવ્યો. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીનો એક અનુભવ જાણવા જેવો છે. મારે એક પુસ્તક જોઈતું’તું. મેં નમ્બર વગેરેની કાપલી બનાવી લીધેલી. એક માણસ મને નીચેના માળે લઈ ગયો. એ શોધ કરતો ચાલ્યો. મેં એને કહ્યું – કયા રૅકમાં, આ નમ્બર પ્રમાણે છે, તે જુઓ ને. પણ એ કશું બોલે જ નહીં. મને ગુસ્સો આવતો’તો ને મારી નજર ધૂળ શોધતી’તી તે મને દરેક જગ્યાએ દેખાતી’તી. પુસ્તક ન મળ્યું. મેં કાઉન્ટર પરનાં બેનને પૂછ્યું – આ માણસ બોલતો જ નથી એવું કેમ? તો ક્હૅ – એ મૂંગો છે ! લાઇબ્રેરીમાં મૂંગા રહેવાનું હોય એમ શીખવનારો એ મને મહા મોટો શિક્ષક ભાસેલો ! પુસ્તકાલયમાં શાન્તિ જાળવવી જોઈએ એ આજ્ઞાનું જીવન્ત દૃષ્ટાન્ત હતો એ મૂંગેરીલાલ.

મારી હોમ-લાઇબ્રેરીમાં ગમતાં પુસ્તકો ઓછાં છે અને આવી પડેલાં અને રોજ આવ્યા કરતાં પુસ્તકો બહુ છે. તેનું હું વિસર્જન કરી રહ્યો છું અને મારા વડે લખાતાં પુસ્તકોનું સર્જન કરી રહ્યો છું, કોઈ ભાવિમાં થનારા એના વિસર્જન માટે.

આજના મારા વક્તવ્યમાં એક તીવ્ર પ્રશ્ન આ છે : પુસ્તકોની નિયતિ શી?

પુસ્તકાલયો? મેં કેટલીક કૉલેજોનાં પુસ્તકાલયોમાં તાળાંબંધ કબાટ જોયાં છે ! પુસ્તકોને સાચવે છે કે એમ સૂચવે છે કે વાપરવા માટે નથી? સાહિત્યકારો અને સાહિત્યરસિકોનાં ગૃહ ગ્રન્થાલયોમાં પુસ્તકો સચવાશે? એક નિવૃત્ત મુરબ્બી મિત્રે દસબાર પુસ્તકો મને પૂછ્યા વિના જ મોકલ્યાં, ચિઠ્ઠી મૂકેલી – તમારાં રસરુચિને અનુકૂળ આવે એવાં છે. એક-બે પુસ્તકોમાંથી સફેદ કીડા નીકળેલા. પુસ્તકો પસ્તીવાળા લઈ જશે? ગુજરીઓમાં જશે? કાગળ બનાવવાનાં કારખાનાંમાં જશે? કે પુસ્તકોને અગ્નિસ્નાન કરાવાશે? એક વાર એક પસ્તી લેનારો આવેલો, છાપાં તો લીધાં, પણ ક્હે – આ ચૉપડીઓ નથી આપવી? હું ને રશ્મીતા એકસાથે બોલેલાં – અત્યારે નહીં !

પુસ્તક માત્રનું છેલ્લે શું થવાનું? હું એના ઉત્તર લગી પ્હૉંચવા મથીશ.

પરમ્પરાગત પુસ્તકાલય સામે આજે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ ઊભાં થયાં છે. મોટું પ્લૅટફૉર્મ છે, ગૂગલ ક્લાઉડ. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે-દોડે છે, ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ, અને યૂટ્યુબ.

બીજાં વિવિધ પ્લૅટફૉર્મ્સ છે :

૧ : વિમીઓ, સ્પૉટિફાય અને યૂટ્યુબ. એ મીડિયા શૅરેન્ગિ પ્લૅટફૉર્મ્સ છે. એ સોશ્યલ મીડિયા ઍપ્સ છે. આપણે વપરાશકારો એ પર ફોટા વીડિયો ઑડિયો વગેરે મલ્ટિમીડિયા ફાઇલ્સ મૂકીએ છીએ ને શૅઅર કરીએ છીએ.

૨ : ટ્વીટર, ફેસબુક, લિન્ક્ડ્ઇન, અને ઇન્સ્ટાગ્રામ એવી જ સોશ્યલ મીડિયા સાઇટ્સ છે :

૩ : ક્વોરા, સ્ટૅકઓવરફ્લો, અને રેડીફ – નૉલેજ-બેઝ્ડ પ્લૅટફૉર્મ્સ છે. આ હૅલ્પ-સૅન્ટર સૉફ્ટવેર છે. એમાં આપણે એકબીજા માટે જાતે વિષયવસ્તુ સરજી શકીએ, તેનાં આયોજન કરી શકીએ. ક્વોરામાં માહિતીના પ્રશ્નોત્તરની એટલી બધી ચટાકેદાર સચિત્ર લીલા હોય છે કે તમને યાદ જ ન આવે કે તમારે મહત્ત્વનાં બીજાં અનેક કામ છે.

૪ : ગૃબહબ, ઉબર, અને ઍરબન્બ – સર્વિસ-બેઝ્ડ પ્લૅટફૉર્મ્સ છે. એ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલે છે. સૉફ્ટવેરનો પ્રવાહ અસ્ખલિત ચાલે એ માટે મલ્ટિટેનન્ટ આર્કિટૅક્ચરનો વિનિયોગ કરે છે. ભૌતિક અને ડિજિટલ વિશ્વો વચ્ચે ડેટા, ડેટા-મૅનેજમૅન્ટ, ડેટા-સ્ટોરેજ, ડેટા-ઍનાલિસિસની માંગને પ્હૉંચી વળવા આઇ.ટી.ના વ્યાપારોને સંકોરે છે.

ગૂગલે એની એક વિકાસ-સભામાં કહેલું કે એની પાસે ૭ પ્રોડક્ટ્સ છે અને તેના ૧ બિલિયન વપરાશકારો છે. જીમેઇલ, ક્રોમ, મૅપ્સ, સર્ચ, યૂટ્યુબ, ગૂગલ પ્લેસ્ટોર, અને ઍન્ડ્રોઇડ – બે બિલિયન ઍક્ટિવ ડીવાઇસિસ ધરાવે છે.

મૅસેજિન્ગ ઍપ વ્હૉટ્સઍપના સક્રિય વપરાશકારો આશરે ૨૦૦૦ મિલિયન છે. એની પૅરન્ટ ફર્મ ફેસબુક મૅસેન્જરના ૧.૩ બિલિયન વપરાશકારો છે. ભારતમાં વ્હૉટ્સઍપના વપરાશકારો ૪૮૭ મિલિયન છે.

આ બધાં પ્લૅટફૉર્મ્સ જોડાયેલાં છે, ઇન્ટરનેટ સાથે. એમનું હાથવગું થાણું છે, કમ્પ્યૂટર.

કમ્પ્યૂટરમાં શું નથી? કમ્પ્યૂટરને હું વિશ્વના અભૂતપૂર્વ અને વિશાળ માહિતીભંડારોનો હજાર બારીબારણાંવાળો અને એ બહુ જ બહુ માળ ધરાવતો મહેલ કહું છું.

કમ્પ્યૂટરમાં, તમે માગો એ છે : વિશ્વભરનું સાહિત્ય. કાવ્ય, કથા, નાટક. તે-તેનાં શાસ્ત્રો. થીએટર. સિનેમા. ફિલ્મો. બધી જ લલિત કલાઓ. ઍજ્યુકેશન. અધ્યાત્મ અને પૂર્વનાં અને પશ્ચિમનાં બધાં જ તત્ત્વજ્ઞાન. મનોવિજ્ઞાન સહિતનાં બધાં જ સમાજવિજ્ઞાનો. બધાં જ નેચરલ સાયન્સિસ. હરેક પ્રકારની ડિક્ષનરીઓ, પ્રોનનસિએશનની પણ. સ્પેલચૅક. ગુજરાતી માટે સ્પૅલચૅક ક્યારે થશે? જોડણી અને મહામૂલા ‘સાર્થ જોડણીકોશ’-ની ભલામણો મુજબની જોડણી પૂરેપૂરી રફેદફે કે નષ્ટભ્રષ્ટ થઈ જાય એ પ્હૅલાં થાય તો સારું.

આ પ્લૅટફૉર્મ્સને જોઈને શરૂમાં હું નર્મદના જમાનાના માણસની જેમ બ્હાવરું બ્હાવરું જોતો’તો. એવા આગળના જમાનાનું ‘બુધવારિયું’ છાપું જોઈને પેલા બે જણા, જો મારામાં છે એ જ જગ્યાએ તારામાં છે, એમ કહેનારાની જેમ હું અચંબાથી અંજાયેલો હતો. પહેલી વાર કમ્પ્યૂટર પર લખ્યું ત્યારે લાગેલું કે આ ધરતી પરના કોઈ અજાણ્યા ટાપુ પર હરતોફરતો થઈ ગયો છું. હવા જ જુદી હતી. પિતાજી એક વાર વડોદરેથી મારા માટે કણવાળી પેન્સિલ અને પાકાં પૂઠાંની ૩૦૦ પાનની નોટબુક લાવેલા, મારી ખુશીનો પાર નહીં. એ નાનપણની નોટબુકમાં અને આ નોટબુકમાં એ જ કામ કરું છું, લખવાનું. પણ બેમાં ફેર છે. પેલી એક ડેડ આર્કાઇવ બની ગઈ છે, જ્યારે આનાં પાનાં બેહિસાબ છે અને બધું લેખન હાજરાહજૂર હોય છે.

પ્રાથમિક શાળામાં સ્લેટમાં ઘણા બધા ભાઈબંધો થૂંકથી ભૂંસતા, હું સ્વચ્છ પોતું લઈ જતો. લેખક થયો તેમાં, ચૅંકભૂંસ અને સુધારાવધારાથી લખાણ આડું જ નહીં પણ ઊભું, ત્રાંસુ, વચ્ચેની કોઇપણ કોરી જગ્યામાં ગોઠવાઈ ગયેલું થઈ જતું. એ નાનકડો સ્પર્શક્ષમ ગૂંચવાડો હતો. લેખકપત્નીની કરુણા જાગ્રત થતી – લેખકપતિ કેટલા કાર્યરત છે, શ્રમ લઇ રહ્યા છે. કાગળના ડૂચા વેરાયેલા પડ્યા હોય એને કામવાળી કાળજીથી વાળે એ વાતની કાળજી રાખતી. કાળી ને ભૂરી કે લાલ શાહીના ખડિયા ગયા, એ પડ્યા છે ગામડાગામના સૂકા કૂવા જેવા. વડોદરાની ‘પ્રતાપ’ પેનથી માંડીને દુનિયાભરની ઇન્ડિપેનો પણ ઊભી છે પુનર્જન્મની આશામાં જીવતી ડોશીઓની જેમ. મોતીના દાણા જેવા કે ટાઇપ્સ જેટલા મરોડદાર મારા હસ્તાક્ષર હમ્મેશને માટે ગયા. કંઈક લખું છું પછી મને જ નથી ઊકલતું.

પણ મારે “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યૂડ” માટે ઘરની પર્સનલ કે પબ્લિક લાઇબ્રેરીમાં જવાની જરૂર ન્હૉતી પડી. ચૅંકભૂસથી ઊભો થનારો ગૂંચવાડો કર્યા વિના મને ખોટું લાગે એ વાક્યને હું ડીલીટ કરી શકું છું. મને ગમતા કે મારા લખાણને સુસંગત એવા ગમે એટલા પ્રાચીન કે કાળગ્રસ્ત મનીષીનો ફોટો મૂકી શકું છું. લખતો હોઉં તેની સાથે, હરિપ્રસાદ ચૌરસિયાને જોતાં જોતાં સાંભળી શકું છું. ગમે એટલા અઘરા સ્પૅલિન્ગવાળા મહામનાના નામના ઉચ્ચારને એની મૂળ ભાષા પ્રમાણે તેમ જ બીજી અનેક ભાષાઓ પ્રમાણે સાંભળી શકું છું.

પુસ્તકાલય, ના, પુસ્તકાલયો, હવે મારા સ્ક્રીન પર છે. એ જ છે એનો ચિરંજીવી અવતાર. ત્યાંથી શરૂ થાય છે, પુસ્તકની નિયતિ. પુસ્તકનાં સમરિ રૂપો, એનાં અનૂદિત રૂપો, એની સમીક્ષાઓ ત્યાં જ છે.

આપણા જમાનામાં કહેવાયું કે અર્થનું મૃત્યુ થયું છે પણ અહીં પુસ્તકના મરણનો સંભવ જ નથી. અર્થમૃત્યુના સમાચારને ચોપાસથી તપાસી જોવાની સગવડ છે. કોઈ મોટાભાના ઓશિયાળા થવાની જરૂર નથી, એમને પણ તક નથી.

પુસ્તક વાચક માટે એટલું બધું નજીક છે, જાણે એનું હૈયું. એ હૈયામાં એ પુસ્તકનો વાચન-અનુભવ સંઘરાશે પણ વિકસતો રહેશે એ જ છે એની નિયતિ. 

પહેલાં પણ સંઘરાતો હતો પણ હવે એ અનુભવ એ-નો-એ નથી રહેતો, એમાં સુધારાવધારા થયા કરે છે. એ જ છે પુસ્તકવાચનનું ભવિતવ્ય જેમાં એના નિરન્તરના વિકાસની શક્યતા પડેલી છે. કેમ કે, એ વાચન કોઈ એક મલ્લીનાથના સિક્કા પછી અટકી ગયું નહીં હોય. રવીન્દ્રનાથની કૃતિનો અનુવાદ કોઈ એક નગીનદાસની સહી પછી અટકી ગયો નહીં હોય. શેક્સપીયરકૃત ટ્રેજેડીઝ વિશે એ.સી. બ્રૅડલિએ કરેલી સમીક્ષાઓ પછી પણ એ જ ભૂમિકાનાં બીજાં લેખનો થઈ શકતાં હશે.

માનવીય માહિતીસંસારને અને જ્ઞાનપુંજને સતત વિકસાવનારી આ નિત્યવર્ધમાન શક્યતા અભૂતપૂર્વ છે.

મારે એક વાત ભારપૂર્વક કહેવી છે. વેદો જો ‘અપૌરુષેય’ મનાય છે તો આ પ્લૅટફૉર્મ્સની ઉપયોગીતા ‘અપૌરુષેય’ લાગે એટલી બધી સહજ છે, પ્રયાસહીન છે. એવી બે ઉપયોગીતા વિશે દાખલા સહિતની વાત કરવા માગું છું :

એક છે, આપણા રસાનુભવનું દૃઢીકરણ.

કેવી રીતે? જુઓ, હવે આ બધાં પ્લૅટફૉર્મ્સ મારાં પુસ્તકાલયો છે. ‘પુસ્તકાલય’, ‘પુસ્તક’ અને ‘વાચન’ સંજ્ઞાઓના સંકેત બદલાઈ રહ્યા છે. આ પુસ્તકાલયોનાં આ બધાં વિવિધ અને બહુરૂપધારી ‘પુસ્તકો’-નો હું ‘વાચક’ છું. એનો ‘ગ્રન્થપાલ’ પણ હું છું. એની મદદો લઈને હું મારા રસાનુભવને સુધારી શકું છું.

દાખલા તરીકે, મને ‘તે આ જાય શકુન્તલા પતિગૃહે આપો અનુજ્ઞા સહુ’ પંક્તિમાં, એના વ્યાપક સંદર્ભમાં ‘શાન્તરસ’ દેખાયો છે. કાશ્યપની એ ઉક્તિ પાસે હું થંભી ગયેલો. મને યાદ આવ્યું હતું કે આ પ્રસંગને ભલે કરુણમાં ગણાવાય છે, પણ મને એમાં શાન્તરસ અનુભવાયો છે. અને આનન્દવર્ધન જેવા મહાન કાવ્યાચાર્ય પણ દર્શાવી ગયા છે કે ‘મહાભારત’-માં પ્રમુખપણે વ્યાપક રસ કોઈ હોય તો તે શાન્ત છે. તો હું સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં થયેલા સમગ્ર રસવિધાનમાં જવા માગું તો આ પુસ્તકાલયો મને તુરન્ત મદદ કરશે. હું અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાન્તની શબ્દની તાત્પર્યશક્તિની ચર્ચા પાસે જવા માગું તો જઈ શકીશ. રસના મૂળમાં ધ્વનિ છે કહેનારા ધ્વનિવાદ જેવી એકથી વધુ સિદ્ધાન્તસરણીઓ પાસે પણ જઈ શકીશ. ટૂંકમાં, મદદ માટે આ પ્લૅટફૉર્મ્સ પર કેટલાયે સુજ્ઞો મારી સમીપે ઊભા હોય છે. અથવા હું એમની સમીપે જઈ શકું છું.

બીજી અપૌરુષેય મદદ મેળવી શકું છું chatGPT પાસેથી. બે માસ પૂર્વે ચિ. મદીરે એની વાત કરેલી. એનું પૂરું નામ છે, ચૅટજનરેટિવ પ્રીટ્રેઇન્ડ ટ્રાન્સફૉર્મર. આ એક aichatbot છે. એ nlp-નો એટલે કે, નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનો વિનિયોગ કરે છે. એની સ્થાપક openai કમ્પની કહે છે કે આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ભૂમિકાએ વિકસાવાયેલું એક નૂતન મૉડેલ છે. ગૂગલ સર્ચ અને ચૅટજીપીટીમાં ફર્ક એ છે કે ગૂગલ હનુમાનજીની જેમ આખો પર્વત ઉપાડી લાવશે, જ્યારે આ તો સંજીવનીનો માત્ર છોડ જ લાવશે. તમે માગ્યું એ જ આપવું અને એના કેન્દ્રમાં રહીને સંવાદના વર્તુળને વિકસાવવું એ એની વિશેષતા છે.

એ આપણી જોડે વાતચીત કરતું હોય એમ, સંવાદની રીતે, વર્તે છે, અલબત્ત, બોલીને નહીં, પણ હું જો એને પૂછું કે ગુણસુંદરીના ઘરસંસારમાં માનચતુર અને ધર્મલક્ષ્મી એની સાથે કેવોક વર્તાવ રાખે છે, તો એ મને ‘સરસ્વતીચંદ્ર’-માં જોઈને યોગ્ય ઉત્તર આપશે. હું એને કંઈક બીજું પૂછીશ કે ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન કયા કયા વિદ્વાનોએ ચર્ચ્યો છે તો એ મને સુરેશ જોષી સુધી લઈ જશે. અમારી વચ્ચેના એવા સંવાદમાં એની કશીક ભૂલ હશે તો, સુધારશે.

એટલું જ નહીં, ખોટી સ્થાપનાઓને ચૅલેન્જ પણ કરશે. એને હું પૂછું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોષી પછી કોની વિચારસરણી પ્રભાવક નીવડી છે, તો એ કહેશે કે, સુરેશ જોષીની. હું પૂછું કે એ હકીકતને મચડવાનો પ્રયાસ કોણે કર્યો તો એનું નામ અને જેમાં એ મચડાટ છે એ લેખને હાજર કરશે. એવાં એવાં ઉપજાવી કાઢેલાં જેટલાં જૂઠાણાં હશે,‘પોસ્ટ ટ્રુથ’, એ તમામ વિશે રહસ્યસ્ફોટ કરશે. પરિણામે, હવે ખોટા ઇતિહાસ નહીં લખી શકાય.

સામે, ચૅટજીપીટી મારી અનુચિત માગણીઓને પણ ફગાવી દેશે. હું આને એક સુલક્ષણા અને પરિશુદ્ધ વિદ્વાનનું વર્તન ગણું છું. કુદરતી બુદ્ધિવાળો આપણો કહેવાતો વિદ્વાન, બની બેઠેલો મોટાભા, અંગત રાગદ્વેષ ભેળવીને જે પ્રકારની ગરબડ-સરબડ કરે, એ આ આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સની હન્ડ્રેડ પરસૅન્ટ વસ્તુલક્ષીતામાં શક્ય જ નથી.

ગુજરાતી ભાષા અને એના સાહિત્ય વિશે ચૅટજીપીટી હજી અભ્યાસો કરી રહ્યું છે. પણ એના વિધિસરના chat.openai.com પોર્ટલ પર જાય એને એ હાલ મફત વાપરવા દે છે, પછીના સમયમાં ફી માગે, કે ન પણ માગે.

આ બધાં પ્લૅટફૉર્મ્સની મોટી એક મદદ એ છે કે હું જે છું એ જ રૂપે સંસાર સામે રજૂ થઈ શકું છું. એ મારા જ્ઞાનને જાહેરમાં મૂકવાની મારી હિમ્મતને દાદ આપે છે. હું મારી પ્રામાણિકતાને સૂર્યપ્રકાશ હેઠળ મૂકું છું. વિશ્વનો કોઈપણ મનુષ્ય એની ચકાસણી કરી શકે છે. આ ઓપનનેસ પણ અ-પૂર્વ છે.

જેમ કે, હું મારું પુસ્તક પ્રોડ્યુસ કરી શકું છું, મારું પુસ્તકાલય ખડું કરી શકું છું. એ માટે મારે ઘોડા કે કબાટ વસાવવાની જરૂર નથી. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીના પેલા મૂંગેરીની જેમ અહીં બધાં જ મને મૂંગે મૉંએ મદદ કરે છે. હું મારી પોતાની વેબસાઇટ કે બ્લૉગ ખોલીને બધી જ રીતે જાહેર થઈ શકું છું. હું પોડકાસ્ટ પર મારા સાહિત્યકાર સાથીમિત્ર સાથે સંવાદ રચી શકું છું. એનાં ઍપિસોડ્સ કરી શકું છું. સ્ટ્રીમયાર્ડ કે ઝૂમ પર સાહિત્યચર્ચાઓ રાખી શકું છું. સાહિત્યજનો ઓછાં પણ લોકો જ જેમાં વધારે હોય છે એવાં સાહિત્યકલાના જીવને ન છાજે એવાં ભદ્દાં લોકાર્પણ કાર્યક્રમોને સ્થાને એ પુસ્તક વિશે અભ્યાસ કરીને આવેલા ત્રણ-ચાર મિત્રોની વાતો સાથે ઇ-મિત્રાર્પણ કાર્યક્રમ યોજી શકું છું.

પણ જો નીવડેલા લેખકો આ બધી નવતાઓને આત્મસાત્ કરશે નહીં તો કશો જ લાભ થશે નહીં. દેશી નામાની પદ્ધતિ ગઈ એમ પરમ્પરાગત લેખન અને એવું જ પછાત સાહિત્ય કાયમ માટે કદાચ લુપ્ત થઇ જશે. કેમ કે હવે કોઇ પેપર અને પેન લઇને લખવા બેસવાનું નથી. અને નીવડેલાઓ કઈ સમ્પદા સાચવવાને જોડાતા નથી એ જો નવોદિતો સમજશે તો એ દિશાએથી મળનારા લાભને પણ તેઓ આ નવતાઓની મદદથી પોતાનાં લેખનોમાં ઉમેરી શકશે. 

હું ભૂતકાળમાં આસાનીથી જવાય એટલે દૂર જઉં છું એ મારો વર્તમાન હોય છે અને ભવિષ્ય તો મારા હાથમાં જ હોય છે. કાળની આ પ્રવાહિતા આમ પણ સૂચવાઈ છે – આપણે નેવિગેટ કરીએ – સ્ક્રોલ કરીએ – સ્ટ્રીમિન્ગ કરીએ તે શેમાં કરીએ છીએ? એક અપ્રતિમ એવા ડિજિટલ પ્રવાહમાં.

ભવિષ્યમાં પરમ્પરાગત પુસ્તકાલયો પણ ડિજિટલ સગવડોવાળાં થઈ ગયાં હશે, કમ્પ્યૂટર પર જ પુસ્તક, લેખ, લેખક જાતે શોધી લેવાં પડશે. એ પછી જ જે તે સ્થાનેથી મળશે. અમેરિકામાં હું જ્યાં રહું છું એ પીઓરીઆ શ્હૅરની પબ્લિક લાઇબ્રેરી એવી અદ્યતન છે. એમાં પુસ્તકો ઉપરાન્ત, મૂવીઝની કે જાતભાતના સ્ટડીઝની ડીવીડીઝ છે. ઑડિયો બુક્સ છે. સ્પોકન ઑડિયો પણ ઉપલબ્ધ છે. સોફા પર બેસીને વાંચી શકો એવા આરામદાયક સોફા ઠેકાણે ઠેકાણે પાથરેલા છે. ઉનાળાની ગરમીથી બચવા માટે એમાં સૅન્ટ્રલ એ.સી. છે. શિયાળાની ઠંડીથી બચવા તમારા સોફા સામે જ ફાયરપ્લેસ છે. તમારે બે કે ચાર મિત્રોને નાની સભા કરવી છે તો કાચની કૅબિન્સ છે. પણ બધું જ તમારે તમારા કમ્પ્યૂટરથી કે લાઇબ્રેરીનાં કમ્પ્યૂટર્સથી શોધી લેવાનું રહે. તમે ગૂંચવાવ ને લાઇબ્રેરીના કર્મચારીઓ પાસે મદદ માગો તો પ્રેમથી આપશે.

ત્યાં પહેલી વાર મેં દૉસ્તોએવસ્કી કામૂ કાફકા કે સાર્ત્રની સૃષ્ટિઓની કક્ષાનાં પુસ્તકો શોધવા મથામણ કરેલી પણ નિષ્ફળ ગયેલો. મેઇન લાઇબ્રેરિયનબાનુ મને કહે, ધિસ ઇઝ પબ્લિક લાઈબ્રેરી, સર. મને ભાન પડેલું કે જનતાજનાર્દન માટેનું સાહિત્ય વિપુલ છે અને તે પણ ખાસ્સું સુવાચ્ય તેમ જ રસપ્રદ હોય છે.  

= = =

(March 20, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1991,2001,2011,202...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved