Opinion Magazine
Number of visits: 9458319
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિસ્ત વિના સ્વપ્ન સાકાર થતાં નથી : લિ ક્વાન યુ

સોનલ પરીખ|Opinion - Opinion|12 November 2022

·       રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી.

·       માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે. 

·       ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે. 

—     લિ ક્વાંગ યુ

નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણું અમુક રીતે વિચારવા ટેવાયેલું મન આવી રહેલા સમયમાં જેને સિદ્ધ કરવાના છે એવાં સ્વપ્નો અને ધ્યેયો તરફ વળે છે – આવતા વર્ષમાં મારે આટલું તો સિદ્ધ કરવું જ છે – પછી વાત કસરતની હોય કે કારકિર્દીની. સાકાર ન થઈ શકે એ સ્વપ્નનો કોઈ અર્થ નથી; અને સ્વપ્ન સાકાર કરવા માટે દૃષ્ટિ, પરિશ્રમ અને શિસ્તની જરૂર પડે છે. વાત કરીએ સિંગાપોર નામના નાનકડા રાષ્ટ્રની. તેની કાયાપલટને ‘આધુનિક ચમત્કાર’ તરીકે ઓળખવામાં આવે છે અને આ ચમત્કાર કરનાર છે તેના ભૂતપૂર્વ વડા પ્રધાન લિ ક્વાંગ યુ. શું કર્યું તેમણે, શું કર્યું સિંગાપોરે કે એક વખતનું ગરીબ અને ગુલામ રાષ્ટ્ર આજે પર્યટન અને વ્યાપારનું ગ્લૉબલ સેન્ટર બન્યું છે?

સિંગાપોર, દક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ 1,500 કિલોમીટર દૂર એક નાનો, સુંદર ટાપુ છે. આધુનિક સિંગાપુરની સ્થાપના 1819માં સર સ્ટેમફોર્ડ રેફલ્સે કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી તરીકે તત્કાલીન વાઈસરૉયે તેમને કંપનીનો વેપાર વધારવા સિંગાપુર મોકલ્યા હતા. પછી સિંગાપોર પર બ્રિટિશ અને એ પછી મલયેશિયન શાસન આવ્યું. 1965માં સિંગાપોર મલયેશિયાથી સ્વતંત્ર થયું.

સિંગાપોરમાં પ્રાકૃતિક સ્રોતોની અતિશય તંગી છે. પાણી મલેશિયાથી; દૂધ, ફળ તેમ જ શાકભાજી ન્યૂઝિલૅન્ડ-ઑસ્ટ્રેલિયાથી અને દાળ, ચોખા તેમ જ અન્ય રોજિંદા ઉપયોગની ચીજો થાઈલૅન્ડ, ઈન્ડોનેશિયા વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે. કદમાં મુંબઈથી થોડા નાના આ દેશમાં 2019ના આંકડા મુજબ લગભગ 57 લાખની વસતિ છે જેમાં ચીની, મલય તથા 8 ટકા ભારતીય લોકો છે. બે સમુદ્રધુનીઓ સિંગાપોરને મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી અલગ કરે છે. સિંગાપોરને મુખ્ય આવક ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં ઉત્પાદન-નિકાસ અને પ્રવાસન દ્વારા થાય છે. 

સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન અને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા હતા લિ ક્વાંગ યુ. તેઓ 1959થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા. 1990માં તેમણે વડા પ્રધાન પદનો ત્યાગ કર્યો અને ગોહ ચોક ટોંગે સત્તા સંભાળી, પણ તેઓ ઉચ્ચ પ્રધાન તરીકે 2004 સુધી રહ્યા. એમના પુત્ર લી હેઈન્સ લૂંગ ત્રીજા વડા પ્રધાન બન્યા ત્યારે લિ સલાહકાર મંત્રી હતા. મૃત્યુ પર્યંત તેમણે તાંજોગપગાર વિસ્તારમાંથી સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

સિંગાપોરને ત્રીજા વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં લઈ આવનાર લિ ક્વાંગ યુ અને તેમના નેતૃત્વ વિશે જાણવા જેવું છે. વકીલ બનવા માટે તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ફિટ્ઝવિલિયમ કૉલેજ ઑફ લૉમાં અભ્યાસ કર્યો, પછી રાજકારણ તરફ વળ્યા. તેઓ આરોગ્ય, કસરત અને ધ્યાન બાબત ખૂબ ચોક્ક્સ હતા. 1990થી 2013 દરમ્યાન તેમના છ સ્મૃતિગ્રંથો પ્રગટ થયા છે.

અમેરિકાને વટાવી ગયેલી સિંગાપોરની ગજબનાક પ્રગતિ કોઈ ચમત્કાર કે અકસ્માત નથી, એની પાછળ અત્યંત પ્રતિભાશાળી અને દેશપ્રેમી દીર્ઘકાલીન વડા પ્રધાન લિ ક્વાન યુની દૂરંદેશી છે. જબરા અને મોટા દેશોથી ઘેરાયેલું અને સંસાધનોના સદંતર અભાવવાળું નાનકડું સિંગાપોર નિષ્ફળ અને દબાયેલું રહેવા જ સર્જાયું છે એવું સૌને લાગતું હતું. પણ લિ ક્વાન યુએ તેને ટકાવ્યું, ઊભું કર્યું અને સફળ બનાવ્યું. સુપિરિયર ઈન્ટેલિજન્સ, શિસ્ત અને સંગઠિત પુરુષાર્થની કમાલ સંસાધનોના અભાવને ઓળંગી ગઈ. લિ વડા પ્રધાન થયા ત્યારે સિંગાપોરની માથાદીઠ આવક 400 ડૉલર હતી. બે પેઢી પછી તે 50,000 ડૉલરનો આંકડો વટાવી ગઈ છે.

કેવી રીતે બન્યું આ? વિશ્વએ, ખાસ કરીને આપણા જેવા ત્રીજા વિશ્વના દેશોએ એમની પાસેથી શું શીખવું જોઈએ? તેઓ ભારત આવ્યા હતા અને જાણકારો કહે છે કે તેઓ ભારતના વડા પ્રધાનોને જે રીતે સમજ્યા હતા એ રીતે ભાગ્યે જ કોઈ સમજ્યા હતા. પંડિત નહેરુને તેઓ ‘લોકોને ખુશ રાખનારા અને સરમુખત્યાર બનવાનું પસંદ ન કરનાર’ કહેતા. લિ ઈન્દિરા ગાંધીએ મૂકેલી કટોકટીના સમર્થક હતા – ‘ભારત જેવા દેશને ડિસીપ્લિન્ડ કરવા કડક પગલાં લેવાં જરૂરી હોય છે.’ તેઓ ભારત આવ્યા ત્યારે એમની દીર્ઘ મુલાકાતો લેનાર અને એનું પુસ્તક કરનાર સુનંદા કે. દત્તા-રૉય કહે છે કે લિ અને શ્રીમતી ગાંધી બન્ને આસપાસના વિશ્વ પર કાબૂ ધરાવતા અને સત્તા માટે કટિબદ્ધ વ્યક્તિત્વો હતાં. પછીનાં વર્ષોમાં નરસિંહરાવ, મનમોહન સિંહ અને અન્ય વડા પ્રધાનો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો હોવા છતાં તેઓ ભારતના સ્વાતંત્ર્ય બાદ થયેલા વિકાસથી ખૂબ અસંતુષ્ટ હતા અને ભારતને વધારે ‘પૂર્વાભિમુખ’ બનાવવા પર ભાર મૂકતા. ‘ભારત વાસ્તવિક અર્થમાં રાષ્ટ્ર નથી, પણ બ્રિટિશ લોકોએ નાખેલી રેલવે લાઈનની આસપાસ વિસ્તરી ગયેલા પ્રદેશોનો લોકશાહી નહીં પણ જમીનદારશાહી સમૂહ છે.’ એવા વિધાનને લીધે એમને ભારતવિરોધી ગણવામાં આવેલા, પણ તેઓ ભારતવિરોધી નહીં, પણ ભારતથી નિરાશ હતા. ભારતની વિપુલ શક્તિ ખોટા રસ્તે વેડફાય છે એવું એમને લાગતું. ‘સાધારણ રીતે ભારતના અમલદારો પોતાના વિસ્તારને કાબૂમાં રાખવા અને શ્રીમંત બનવા પર એકાગ્ર હોય છે. ઉદ્યોગમાલિકોને તેઓ લાલચુ અને તકવાદીઓ કહે છે, એમનો ભરોસો કરતા નથી અને સુવિધાઓ વધારવામાં ભાગ્યે જ ધ્યાન આપે છે.’ આ વિધાનમાં રહેલા સત્યને નકારી શકાય નહીં.

2005માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ લેક્ચર આપવા તેઓ ભારત આવેલા, ત્યારે કહેલું, ‘ભારત પ્રગતિના પંથે જરૂર છે, પણ એની ગતિ ખૂબ ધીમી અને ભૂલભરેલી છે. જે સમય ચાલ્યો ગયો છે એની ભરપાઈ કરવા ભારતે દોડવું જોઈએ અને એ પણ સાચી દિશામાં. નિયતિ સાથે નવો કરાર કરવાનો સમય આવી ગયો છે.’

એમનાં વિચારો આપણે જ નહીં, વિશ્વના દરેક જાગૃત રાષ્ટ્રએ ધ્યાનમાં રાખવા જેવા છે : 

*નવી વિભાવનાઓની મુક્ત લેવડદેવડ જરૂરી છે. ચીન આવકની બાબતમાં અમેરિકાને અડકી ગયું છે, પણ સર્જનાત્મકતાની બાબતમાં તે કદી અમેરિકાને આંબી નહીં શકે કેમ કે એની સંસ્કૃતિ મુક્ત વિચારને મંજૂરી આપતી નથી. 

    • હવેનાં વર્ષોમાં ટેકનોલોજીને લીધે સરકારની શાસનપદ્ધતિ પર બહુ મોટી અસર પડશે. 2030 સુધીમાં વિશ્વની 70 ટકા વસતી શહેરોમાં રહેતી હશે અને ઈંટરનેટ વગેરેને કારણે દરેક બાબતમાં એની જાણકારી અને જાગૃતિ વધારે હશે. અત્યારની રીત પ્રમાણેનું શાસન ત્યારે કરવું શક્ય નહીં રહે. 
    • જે દેશો લોકશાહીથી ટેવાયેલા ન હોય એમના પર લોકશાહી લાદવી એ ભૂલ છે. 
    • માનવસંસાધનની ગુણવત્તા એ રાષ્ટ્ર માટે સૌથી અગત્યનું પરિબળ છે. લોકોની સર્જનાત્મકતા, ઈનોવેશન, સાહસિકતા, ટીમ વર્ક અને વેપારની નીતિઓ રાષ્ટ્રને વિકાસના શિખરે પહોંચાડે છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં ત્રણ ગુણો મહત્ત્વનાં છે : 1. નવી શક્યતાઓ શોધવી અને ગણતરીપૂર્વકનાં જોખમો ખેડવા તૈયાર હોવું 2. ઈનોવેટિવ થવું. 3. વહીવટી કૌશલ્ય કેળવવું જેથી ઉત્પાદનને નવાં બજાર, નવાં વિતરણ-માળખાં મળે. અર્થકારણ નવી જાણકારીઓ અને નવાં સંશોધનોથી ધબકતું રહે. પુસ્તકોની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં ઝંપલાવી માર્કેટિંગ અને મેનેજમેન્ટ, રોકાણ અને નફા જેવી બાબતોમાં નવાં પદાર્પણ કરનાર અર્થશાસ્ત્રી આજે મહત્ત્વનો છે. 
    • રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી. 
    • હું મેકિયાવેલી સાથે સંમત છું કે જો કોઈ મારાથી ડરતું ન હોય તો હું નકામો છું. જ્યારે હું બોલું, મારા શબ્દો ખૂબ ગંભીરતાથી લેવાવા જોઈએ. 
    • માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે. 
    • ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે. 
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ઑક્ટોબર 2022

Loading

ટી-20 વર્લ્ડકપ-2022ની ફાઈનલમાં નહીં પહોંચેલી કેટલીક ટીમોની આઈસીસીમાં ધા

કેતન રુપેરા|Opinion - Opinion|11 November 2022

 હસતાં રમતાં

ટી-20 વર્લ્ડકપ-2022ની ફાઈનલમાં પ્રવેશેલી બે ટીમ તરીકે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ નક્કી થઈ ગઈ છે, પણ ફાઈનલમાં નહીં પહોંચનાર કેટલીક ટીમને ફરિયાદ છે કે ફાઈનલ માટેના સાચા દાવેદાર તો અમે છીએ. એટલે આ બધી અસંતુષ્ઠ ટીમ આઈ.સી.સી.માં ધા નાખે છે. કાં તો ફાઈનલ રદ્દ કરો, કાં તો અમને સાંભળો ને યોગ્ય નિર્ણય કરો.

હવે ….

આઈ.સી.સી. મુંઝાય છે :

“એવું તો કેમ ચાલે?! ક્રિકેટ વર્લ્ડકપ તો છેક બાબા આદમ; સૉરી, ક્લાઇવ લોઈડના જમાનાથી રમાય છે. કદી નહીં ને આ વખતે જ કેમ ફાઈનલ રદ્દ કરવાની માંગ કરો છો. તમે ફાઈનલમાં નથી પહોંચ્યા એ બરાબર છે, પણ જે ટીમ ફાઈનલમાં પહોંચી છે એ પોતે જ્યારે અગાઉના ઘણા વર્લ્ડકપમાં ફાઈનલમાં નહોતી પહોંચી ત્યારે તેમણે કદી આવી ધા નહોતી નાંખી.”

“એ અમે કંઈ ના જાણીએ, પણ તમે એકવાર ફાઈનલ રદ્દ કરો, પછી જુઓ …. એ ટીમો પણ ફાઈનલ કેમ રદ્દ કરી? એમ ન કરાય. એમ કહીને ધા નાંખે છે કે નહીં, જોઈ લેજો.” બધી ટીમો એક સુરે સાથે બોલી ઊઠે છે.

“કેવી વાત કરો છો!! એવું કરે છે કે નહીં તે જોવા માટે કંઈ ફાઈનલ રદ્દ કરાય?! તમારે શું કહેવું છે, એ કહોને.” આઈ.સી.સી.ના સત્તાવાહી સુરનો બધી ટીમોને અહેસાસ થાય છે, એટલે હવે બધી ટીમો નરમ પડે છે.

કાકલુદીભર્યા સુરે બધી ટીમો બોલી ઊઠે છે :

“પણ તમે અમને સાંભળીને ફાઈનલ રદ્દ કરશો ને?”

“એ બધું અત્યારે ના કહી શકાય, તમારે કહેવું હોય એ કહો. અમે સાંભળીશું.”

પહેલાં, “વિશ્વગુરુ ભારત”, સૉરી. અહીં એવું ના આવે.

ટીમ ઇન્ડિયા : અમે સુપર ટ્વેલ્વમાં છેક સુધી સારું રમ્યા. અમારું ગ્રૂપ ટોપ કર્યું. એક જ મેચ હાર્યા. એ પણ ગ્રૂપની સૌથી મજબૂત કહેવાતી ટીમ સાઉથ આફ્રિકા સામે જ. અને એ પછી સેમીફાઈનલ કહેવાતી એવી માત્ર એક જ મેચ હાર્યા ને બહાર?! એ હાર પણ વળી એવી ટીમ સામે જેને આયર્લેન્ડ જેવી નબળી ટીમે હરાવી દીધી હતી!! આવો કેવો નિયમ?!!

સાઉથ આફ્રિકા : અમે ભારતને હરાવ્યું. અમે પાકિસ્તાનને હરાવ્યું. ગ્રૂપ બીમાં આ બે ટીમો ટોપ પર રહી, પણ ટોપ પર રહેતાં પહેલાં અમારી સામે તો એ બંને હારી ગઈ હતી! તો વળી, ટોપની ટીમ કેવી?! અને અમે દર વખતે નોક આઉટ મુકાબલામાં હારી જઈએ છીએ, એ તમને ખબર તો છે. તો આવા નિયમો કેમ બનાવો છો?!

ઑસ્ટ્રેલિયા : ભારત અને આફ્રિકાની વાત જવા દો. અમે તો ઘરઆંગણે જ રમ્યા હતા. લેગ ને ઑફ સાઈડમાં શૉર્ટ બાઉન્ડ્રી, મોટાં મેદાનો, બાઉન્સી પીચ …. બધી જ અમને ખબર હતી. આ વર્ષે જ બીગ બૅશની ફાઈનલ રમનાર ત્રણ ખેલાડીઓ તો અમારી ઇલેવનમાં હતા. અને વરસાદે અમારી એક મૅચ વળી શું ધોઈ નાંખી કે અમે તમારી કહેવાતી એવી સેમીફાઈનલમાંથી બહાર! તમને ખબર છે … એટલે ખબર જ હોય એ તો કે ફાઈનલમાં પહોંચનાર ઇંગ્લેન્ડની ટીમને ગ્રૂપ મૅચમાં હરાવનાર આયર્લેન્ડને અમે ૪૨ રનથી હરાવ્યું હતું ને ૧૧ બૉલ બાકી હતા ત્યારે તો એમને ઑલઆઉટ કરી દીધું હતું. અમારા ય ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડની જેમ સાત પોઈન્ટ્સ હતા ને રન રેટની વાત કરતા હોવ તો ….

આઈ.સી.સી. : (અટકાવીને) બસ બસ, સમજાઈ ગયું. યજમાન ટીમ છો એટલે આટલું બધું બોલવાનું?! કોણ છે હવે આગળ?!

શ્રીલંકા : અમે.

સુપર ટ્વેલ્વમાં ઇંગ્લેન્ડને હરાવનાર આયર્લેન્ડને અમારી પહેલી જ મૅચમાં અમે ૩૦ બૉલ બાકી રાખીને નવ વિકેટે હરાવ્યું હતું. અને તો ય …..

આઈ.સી.સી. : (વચ્ચે અટકાવીને) ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ મેચ સિવાયની વાત કરો. એ દલીલ ભારતે કરી દીધી છે.

(શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગુસપુસ : જોયું, આ ઇન્ટરનૅશનલ નહીં, ‘ઇન્ડિયન’ ક્રિકેટ કાઉન્સિલ જ છે. આપણી દલીલ પણ પૂરી સાંભળતા નથી.)

આઈ.સી.સી. : નેક્સ્ટ!

બાંગલાદેશ : જો પાકિસ્તાન સામેની મૅચ અમે જીતી ગયા હોત તો પાકિસ્તાનના બદલે આજે અમે ફાઈનલમાં હોત. આ તો સાઉથ આફ્રિકા નેધરલૅન્ડ સામે (હવે ધીમા અવાજે) જાણીજોઈને હારી ગયું એટલે અમે બહાર થઈ ગ્યા.

આઈ.સી.સી. : એક મિનિટ, આવી ધડમાથા વગરની વાત નહીં કરવાની. આઈ.સી.સી.ની બધી ટીમો તરફ ચાંપતી નજર છે. ફરી આવી વાત કરશો તો માંડમાંડ મળેલો ટેસ્ટ દરજ્જો છીનવી લઈશું. અને પાકિસ્તાન સામેની મૅચ તમે જીતી ગયા હોત તો તમે કેવી રીતે ફાઈનલમાં હોત? એ તો ગ્રૂપ મૅચ હતી અને ગ્રૂપ મૅચ પછી તો સેમીફાઈનલ આવે ને?

બાંગલાદેશ : હા. સેમીફાઈનલ જ આવે, પણ સેમીફાઈનલમાં તો ન્યુઝીલેન્ડનું હારવાનું નક્કી જ હોય છે. એટલે અમે જ ફાઈનલમાં આવીએ ને …

આઈ.સી.સી. ચકરાવે ચઢી જાય છે. ખરેખર, મુંઝાય છે. સાલું, વાત તો સાચી. બધી ટીમની દલીલોમાં દમ તો છે. કોઈની એકબીજા પરની હાર-જીતના સાંધા જ નથી જડતા. પણ અનિર્ણયાત્મકતાની આ અવસ્થા જાહેરમાં દર્શાવાય તો નહીં ને. એટલે આઈ.સી.સી. વિચારવાનો ડોળ કરે છે. થોડી વાર ગાલ-દાઢીએ ને થોડી વાર કપાળે અંગૂઠા-આંગળી પ્રસરાવી-ઠપકારીને વિચારવાનું ચાલુ રાખે છે. ફરિયાદી ટીમો રાહમાં છે કે આઈ.સી.સી. શું ચુકાદો સંભળાવશે. બીજી બાજુ આઈ.સી.સી. જેટલું વિચારે એટલી વધુ અટવાય છે … ત્યાં જ દૂરથી ધીમી ધીમી બૂમો સંભળાય છે. Oo la la la le o, Oo la la la le o ….  નજીક આવતા સુધીમાં બૂમો બદલાય છે. થોડી મોટી પણ થાય છે.

DJ Bravo DJ Bravo

DJ Bravo DJ Bravo

Champion champion

Champion champion

Champion champion…. સંભળાવા લાગે છે.

બધી ટીમો આમતેમ ભાગવા માંડે છે. ફાઈનલમાં નહીં પહોંચી શકવાના દુઃખની આવી પળોમાં આઈ.પી.એલ.ની દોસ્તીના કારણે ફરજિયાત તાલમાં તાલ મિલાવીને નાચવું પડશે. નાચવું ન પડે એ માટે કોઈક ટેબલ નીચે સંતાઈ જાય છે તો કોઈક વૉશરૂમમાં જતી રહે છે, તો કોઈક વળી પોતાની કિટ પૅક કરવા મંડે છે. પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ નમાજની મુદ્રામાં ગોઠવાઈ જાય છે તો બાંગલાદેશના કેટલાક ખેલાડીઓ રૅપ ડાન્સ ન કરવો પડે એટલા માટે એમાં જોડાઈને નાગીન ડાન્સ કરવા માંડે છે.

…. પણ અનિર્ણયાત્મકતામાં અટવાયેલી આઈ.સી.સી.ને આ તકનો લાભ મળતાં કંઈક ચમકારો થઈ જાય છે. કોણ ક્યાં છે ને શું કરે છે એની પરવા કર્યા વગર પોતાનો ચુકાદો સંભળાવે છે.

આઈ.સી.સી. : જુઓ, આ વેસ્ટ ઇન્ડીઝની ટીમ જુઓ. એક નહીં, બબ્બે વાર ચેમ્પિયન બની છે આ ટીમ! એમના સિવાય કોઈ ટીમ બે વાર ચેમ્પિયન બની છે?! અને તેમ છતાં, આ વખતના વર્લ્ડકપમાં જુઓ, એમનાં શું હાલ છે!

તમે બધા સુપર ટ્વેલ્વ અને સેમીફાઈનલની વાત કરો છો, આ ટીમ તો ક્વોલિફાઇંગ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગઈ હતી. અને પૂછી જુઓ એમને કે કોની સામે હારી હતી? વિવિયન રિચાર્ડઝ અને યુનિવર્સલ બૉસનો વારસો ધરાવતી ટીમ એમને પોતાને ય યાદ નહીં હોય એવા ખેલાડીઓની બનેલી સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમ સામે હારી ગઈ છે. અને જુઓ, તો ય કેટલી ખુશ છે. ….

(પોતાના બૉર્ડે પણ ક્યારે વખાણ કર્યા હતા એ યાદ નથી એવી વિન્ડીઝ ક્રિકેટ ટીમ આઈ.સી.સી.ના મુખે પોતાના વખાણ સાંભળીને વધુ ખુશ થઈ જાય છે. ફાઈનલમાં પહોંચનાર પાકિસ્તાનની ટીમને સુપર ટ્વેલ્વમાં હરાવનાર ઝિમ્બાબ્વેની ટીમને પોતે ગ્રૂપ સ્ટેજમાં દસ બોલ બાકી હતા ત્યારે જ આખી ટીમનું ફીંડલું વાળીને ૩૧ રનથી કેવી હરાવી હતી…. થોડી સેકન્ડો એની યાદોમાં ખોવાઈ જાય છે…..આ બાજુ આઈ.સી.સી.નું ભાષણ, નહીં નહીં … ચુકાદો સંભળાવવાનું ચાલુ છે.)

 … આને કહેવાય સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને પોઝિટિવ અપ્રોચ. અને આ સ્પિરિટ ને અપ્રોચ કેવો રંગ લાવ્યા છે, જુઓ. યોગાનુયોગ ૨૦૨૪નો વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાઈ રહ્યો છે એટલે યજમાન દેશ તરીકે તેમને આપમેળે જ એન્ટ્રી મળી ગઈ છે. એટલે જ કહીએ છીએ કે આ બધી નકારાત્મકતા અને ફરિયાદો છોડો. હસતા રહો, હકારાત્મક વલણ દાખવો. કોરોના પછી માંડ સ્ટેડિયમમાં નેવું હજાર-લાખ પબ્લિક ભેગી થઈને આઈ.સી.સી.ના અને એ થકી ક્રિકેટના કે પછી ક્રિકેટના અને એ થકી આઈ.સી.સી.ના વિકાસમાં ફાળો આપી રહી છે એને ખુલ્લા મને સ્વીકારતા શીખો. આવી ફરિયાદો કરવામાંથી બહાર આવો અને જ્યાં સુધી વાત ટી-૨૦ની છે એ તો જે દિવસે જે ટીમ સારું રમે એ જ જીતે.

આઈ.સી.સી.નો સમજાય નહીં એવો ગોળ ગોળ ચુકાદો સાંભળીને શિસ્ત જાળવતાં બધી ટીમો પોતપોતાના રસ્તે વળે છે. ઇન્ડિયાની ટીમ થોડી પાછળ છે. કંઈક ગડમથલમાં હોય એવું લાગે છે. એમને બોલાવે છે.

એ ય મોકાવાળા, સૉરી. ટીમ ઇન્ડિયાવાળા, આવો જોઈ અહીંયા.

તમને હજુ કોઈ પ્રશ્ન છે? તો ખાનગીમાં કહી શકો છો. જેને જે કહેવું હોય એ કહે, પણ વર્લ્ડકપનો ૯૦% ખર્ચ તો પરોક્ષ રીતે આમ પણ તમે જ ઉઠાવ્યો છે ને, બોલો બોલો ….

ઇન્ડિયાની ટીમ શબ્દો ગોઠવતા ગોઠવતા કંઈક કહેવા જાય છે …. ત્યાં જ આઈ.સી.સી.ના અધિકારીઓના ચહેરાની દિશા બદલાઈ ગયેલી હોય છે. બી.સી.સી.આઈ.ના સેક્રેટરી દૂરથી આવતા દેખાય છે. ફાઇનલ મેચ જોવા જ આવ્યા છે. આઈ.સી.સી.ના અધિકારીઓ એમને આવકારવા આગળ વધે છે, ટીમ ઇન્ડિયાવાળા હવે એમણે કશું કહેવાનું રહેતું નથી એવી નિશ્ચિંતતા સાથે પોતાના હોટલરૂમમાં પરત ફરે છે.

Email: ketanrupera@gmail.com

Loading

ગૂજરાત વિદ્યાપીઠ : ઇતિહાસનાં પૃષ્ઠો અને વર્તમાન અક્ષરો

સોનલ પરીખ|Opinion - Opinion|11 November 2022

1857માં યુનિવર્સિટી સ્થાપતી વખતે મેકોલેએ કહ્યું હતું, ‘આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જેનો રંગ અને લોહી ભારતીય હોય પણ જેની અભિરુચિ, આચારવિચાર અને બુદ્ધિ અંગ્રેજ હોય.’ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાકાળે ગાંધીજીએ કહ્યું હતું કે આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જે દેશને પ્રેમ કરે, ગરીબો અને ગ્રામીણો પ્રત્યે નિસબત ધરાવે, શીલવાન હોય અને જ્ઞાન વહેંચવા તત્પર હોય. સરકારનો પંજો વિદ્યાપીઠ સુધી લંબાયા બાદ હવે શું થશે તે સમય જ કહેશે …

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ પરથી ડૉ. ઈલાબહેન ભટ્ટે આપેલું રાજીનામું છેવટે સ્વીકારાયું અને હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો કારોબાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે, આ સમાચાર આપણે જાણ્યા છે. અત્યાર સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજ્યપાલ ન ગણાતા, પણ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા ગાંધીવાદી હોય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવતા. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો આ ઇતિહાસ 102 વર્ષ બાદ બદલાયો છે. દરમિયાન 18 ઑકટોબર એટલે કે ગૂજરાત વિદ્યાપીઠનો સ્થાપનાદિન આવી રહ્યો છે એ નિમિત્તે ઇતિહાસનાં પૃષ્ઠો ફેરવીએ અને આ ભવ્ય સંસ્થાના ભવ્ય ઇતિહાસમાં ડોકિયું કરીએ.

એક પ્રાચીન સભ્યતા હોવાને નાતે ભારતનો શિક્ષણ-ઇતિહાસ અનેક કાળખંડોમાંથી પસાર થતો અને વૈવિધ્યપૂર્ણ બની રહ્યો છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં ઋષિમુનિઓના આશ્રમોનો ઉલ્લેખ છે. ભારતની સૌથી જૂની ‘રેકૉર્ડેડ’ શિક્ષણસંસ્થા તક્ષશિલાનો કાળ ઈ.સ. પૂર્વે આઠમી સદી છે. હાલ એ પાકિસ્તાનમાં છે. તેનું માળખું જો કે આપણે જેને યુનિવર્સિટી કહીએ છીએ તેના કરતાં જુદું હતું. નાલંદાને વિશ્વની સૌથી પ્રાચીન યુનિવર્સિટી માનવામાં આવે છે. તેના અવશેષો હાલના બિહારમાં છે. પછીની સદીઓમાં શિક્ષણવ્યવસ્થા અનેક નાનાંમોટાં પરિવર્તનોમાંથી પસાર થઈ. ઈ.સ. પૂર્વે 500માં બૌદ્ધ મઠોમાં પદ્ધતિસર શિક્ષણ આપવામાં આવતું. એક સમયે શીખવાનો અધિકાર અમુક જ્ઞાતિવિશેષ પૂરતો સીમિત થયો. પછી પણ નાનાંમોટાં પરિવર્તન શિક્ષણ ક્ષેત્રે થતાં રહ્યાં પણ સૌથી મોટું, સૌથી વ્યાપક અને સૌથી વધુ દીર્ઘજીવી પરિવર્તન અંગ્રેજી શાસન દરમ્યાન લૉર્ડ મેકોલેએ દાખલ કરેલી શિક્ષણપદ્ધતિથી થયું.

25 ઑક્ટોબર 1800ની સાલમાં ઈંગ્લેન્ડમાં જન્મેલા થોમસ બાબિંગ્ટન મેકોલે 1934માં સુપ્રિમ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય તરીકે ભારત આવ્યા હતા. પછીના ચાર વર્ષના ભારતનિવાસ દરમ્યાન એમણે બે મોટાં કામ કર્યાં. એક તો ક્રિમિનલ કૉડમાં સુધારો કરી એક સરખા કાયદા બનાવ્યા અને બીજું બ્રિટિશ માળખા મુજબની યુનિવર્સિટીઓ શરૂ કરી. 1857 ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની જ નહીં, ભારતમાં પહેલી યુનિવર્સિટી શરૂ થયાની પણ સાલ છે. મેકોલેએ કહ્યું હતું, ‘આપણે એવો વર્ગ તૈયાર કરવાનો છે જેનો રંગ અને લોહી ભારતીય હોય પણ જેની અભિરુચિ આચારવિચાર અને બુદ્ધિ અંગ્રેજ હોય.’ રાષ્ટ્રવાદીઓ અને સંસ્કૃતિપ્રેમીઓ ભારતના પ્રચલિત શિક્ષણમાળખાની દરેક ખામી માટે આજે પણ મેકોલેને ગાળો આપે છે, પણ આઝાદી મળ્યાને પોણી સદી થઈ છતાં પણ એમાં સુધારા કરી શક્યા નથી. 2020ની નવી શિક્ષણનીતિ કોઈ સુધારો કરી શકે છે કે કેમ એ તો આવનારાં વર્ષો બતાવશે.

કલકત્તા અને મુંબઈમાં યુનિવર્સિટીની સ્થાપનાથી ભારતમાં આધુનિક શિક્ષણનો વિધિવત્‌ પ્રારંભ થયો. ત્યાર પછીના પચીસેક વર્ષમાં જ ભારતને અંગ્રેજો અને અંગ્રેજોએ પેદા કરેલા બાબુઓથી છોડાવવા રાષ્ટ્રીય શિક્ષણની શરૂઆત થઈ ગઈ હતી. એના પરિપાક રૂપે પહેલા તો સરકારી માન્યતાવાળી રાષ્ટ્રીય શાળાઓ બની અને 1900થી સ્વતંત્ર રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ. 1920 પછી સ્વરાજના ધ્યેય સાથેની રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ અને રાષ્ટ્રની ચેતનામાં ક્રાંતિના બીજ રોપાયાં.

1920 ભારતના રાજકીય અને શૈક્ષણિક ઇતિહાસમાં મહત્ત્વનું વર્ષ છે. ગાંધીજીએ એક તરફ અસહકાર આંદોલન ઉપાડ્યું અને બીજી તરફ રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપક પ્રયોગ શરૂ કર્યો. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા તેમના શિક્ષણના પ્રયોગો ભારતમાં આવ્યા પછી કોચરબ અને સાબરમતીમાં ચાલુ જ હતા. 1920માં અસહકાર આંદોલન ઉપાડવા સાથે તેમણે સૌને બ્રિટિશ સરકારે આપેલા માન-ચાંદ-ખિતાબોનો, અંગ્રેજી શિક્ષણનો અને અંગ્રેજી અદાલતોનો બહિષ્કાર કરવા હાકલ કરી. બ્રિટિશ શાળા-કૉલેજોમાં અપાતું શિક્ષણ બ્રિટિશ સામ્રાજ્ય માટે કારકૂનો પેદા કરવાનું કારખાનું જ છે એ સમજાતાં ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજો છોડ્યાં. આ વિદ્યાર્થીઓ શિક્ષણ અને જ્ઞાનથી વંચિત ન રહે તે માટે રાષ્ટ્રીય કેળવણીને વ્યાપક બનાવવી જરૂરી હતી. દેશનું નવનિર્માણ કરી શકે તેવા સક્ષમ વિદ્યાર્થીઓ તૈયાર કરવા પાંચ વિદ્યાપીઠોની સ્થાપના થઈ જેમાં ગૂજરાત વિદ્યાપીઠ પહેલી હતી.

18 ઑક્ટોબર 1920માં મહાત્મા ગાંધીએ શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પાછળનો વિચાર એ હતો કે અંગ્રેજી કેળવણી આપણા દેશ માટે પ્રતિકૂળ છે તેથી વિદ્યાર્થીઓને સ્વદેશાભિમાની, નિર્ભય અને સ્વાશ્રયી બનાવવા ગુજરાત ભરમાં શિક્ષણસંસ્થાઓ સ્થાપવી અને એમનો સમન્વય કરવા એક વિદ્યાપીઠ ઊભી કરવી. મહાત્મા ગાંધીએ તેનું કુલપતિપદ સ્વીકાર્યું અને ઑક્સફર્ડમાં ભણેલા અસુદમલ ટેકચંદ ગિદવાણી વિદ્યાપીઠના કુલનાયક અને પહેલા આચાર્ય નિમાયા. વિનોબાજી, કાકા કાલેલકર, રા.વિ. પાઠક જેવા દિગ્ગજો ત્યાંના અધ્યાપકો હતા. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી તેના કુલપતિ રહ્યા. સાબરમતી આશ્રમમાં હતા ત્યાં સુધી સાયકલ પર વિદ્યાપીઠ આવતા-જતા.

એમના પછી સરદાર પટેલ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને મોરારજી દેસાઈએ આ પદ સંભાળ્યું. ઈલાબહેન પહેલા નારાયણ દેસાઈ અને સુશીલાબહેન નય્યર પણ કુલપતિઓ હતાં. આ તમામ કુલપતિઓ વિદ્યાર્થીની પરંપરા મુજબ ટ્રસ્ટીમંડળે પસંદ કરેલા ગાંધીવાદીઓ અને સામાજિક અગ્રણીઓ હતા. વિદ્યાપીઠના હાલના કુલપતિ આચાર્ય દેવવ્રત એવા પહેલા વ્યક્તિ છે જે રાજ્યપાલ હોવાના કારણે કુલપતિ બન્યા છે.

સત્ય-અહિંસાનું પાલન, અસહકાર, શ્રમગૌરવ, સર્વધર્મસમભાવ, ખાદી-ગ્રામોદ્યોગને પ્રોત્સાહન, ગ્રામકેળવણી પર ભાર અને શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા – આ સિદ્ધાંતો વિદ્યાપીઠનો પાયો છે. તેનો ધ્યાનમંત્ર છે ‘સા વિદ્યા યા વિમુક્તયે’ વિદ્યા એ જ છે જે મુક્ત કરે. આખા શ્લોકનો અર્થ એવો છે કે ‘સાચું કર્મ એ જે બંધન ન બને, સાચી વિદ્યાએ જે મુક્ત કરે. આ સિવાયના કર્મ માત્ર ઢસરડો છે અને આ સિવાયની વિદ્યા માત્ર કારીગરી છે.’ લોગોમાં આ સૂત્ર સાથે અરબી ભાષાનું એક સૂત્ર પણ મુકાયું છે જેનો અર્થ છે જ્ઞાન મેળવવું એ દરેકનો અધિકાર છે.

અસહકાર વેગ પકડતો ગયો, રાષ્ટ્રનું કૌવત બહાર આવતું ગયું તેની સાથે વિદ્યાપીઠ પોતાની દિશા અને માર્ગ પ્રત્યે ચોક્કસ બનતી ગઈ. ગ્રામોદ્ધાર, ગ્રામીણ પ્રજાની કેળવણી અને સાદાઈનાં તત્ત્વો વિદ્યાપીઠના દરેક કાર્યમાં પ્રતિબિંબિત થતાં. સરદાર પટેલ, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાલા, નરહરિ પરીખ, જુગતરામ દવે, પંડિત સુખલાલજી, પરીક્ષિતલાલ મજમુદાર અને મણિબહેન પટેલ જેવાં સભ્યોનું એક કાયમી ‘ગૂજરાત વિદ્યાપીઠ મંડળ’ સ્થપાયું હતું. 1930-35 અને 1942-45 દરમ્યાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સૌ વર્ગખંડો છોડી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઊતરી આવ્યા હતા ને લાઠીઓ ખાઈ, પકડાઈને જેલમાં ગયા હતા.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ પંદરેક વર્ષે વિદ્યાપીઠ યુ.જી.સી. સંચાલિત ડીમ્ડ યુનિવર્સિટી બની. અભ્યાસક્રમો ડૉક્ટરેટ સ્તર સુધી વિસ્તર્યા. સાથે રાષ્ટ્રભાષા હિંદી પ્રચાર સમિતિ, પ્રૌઢશિક્ષણ, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, જનજાતિ સંશોધન કેન્દ્ર વગેરે અનેક અભિયાનો શરૂ થયાં.

એક સદી દરમિયાન વિદ્યાપીઠે અનેક તડકાછાંયા જોયા છે. પરતંત્રતા, સ્વતંત્રતા, સ્વતંત્ર ભારતની સરકારો, બદલાતી પેઢીઓ, બદલાતાં જનમાનસ, ભ્રષ્ટાચાર, મૂલ્યહ્રાસ, સ્પર્ધાત્મક જીવનશૈલી અને વકરતા ભૌતિકવાદ સામે ઝીક ઝીલતી વિદ્યાપીઠ આજ સુધી અડીખમ ઊભેલી છે. તેના પરિસરમાં આજે પણ ગાંધીમૂલ્યોની હવા વહે છે. ત્યાંની દીવાલોમાં એક સદીનો ઇતિહાસ ધબકે છે.

વિશ્વના, રાજકારણના પ્રવાહો બદલાય તેમ ગાંધીવિચાર ધરાવનાર વ્યક્તિ, સંસ્થા અને સંસ્થાના સંચાલકો પર પણ અમુક જાતનાં દબાણ આવતા હોય છે. ગાંધીવિચાર અને ગાંધી લીડરશીપ સાચી દિશા પકડે તો લોકો સ્પર્ધકો, આક્રમકો કે શોષકો મટી સશક્ત, નિર્ભય, સંગઠિત અને એક ધ્યેય માટે કામ કરતા બને છે એ આપણે જોયું છે. વ્યક્તિનિર્માણ, સમાજનિર્માણ અને રાષ્ટ્રનિર્માણમાં આ બાબતોનું અને આવા લોકોનું હોવું ખૂબ જરૂરી છે. ગાંધીજીએ કહ્યું હતું કે દેશપ્રેમ, ગરીબો અને ગ્રામીણો પ્રત્યે નિસબત, ચારિત્ર્યબળ અને જ્ઞાન વહેંચવાની તત્પરતા એ જ વિદ્યાપીઠની અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની કસોટી છે. સરકારનો પંજો વિદ્યાપીઠ સુધી લંબાયા બાદ હવે શું થશે તે સમય જ કહેશે.

સચ હૈ, સમય બડા બલવાન હૈ …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ઑક્ટોબર 2022

Loading

...102030...1,1971,1981,1991,200...1,2101,2201,230...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved