Opinion Magazine
Number of visits: 9458411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહે તો જ કામ થાય : સરદાર પટેલ 

સોનલ પરીખ|Opinion - Opinion|13 November 2022

·       ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ

·       વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મક્કમતાથી સામનો કરો

·       મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા

·       જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે, અહિંસક એને કહેવાય એને 

·       લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય 

—     સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર પટેલ તેમના પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું. લગભગ 158 કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3,000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’એ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શ્રોતાઓનાં હૃદય ધબકારા ચૂકી ગયાં.

દરમિયાન પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા હોય છે એથી પ્રવાસીઓને સૂચના આપવામાં આવી કે વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળી જવું કેમ કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની સંભાવના ઘણી હોય છે. પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઊતારી દીધું. 

સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છેઃ ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ આ હતી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના હૃદયની મજબૂતી.

વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં સરદાર પટેલ છે એવી ખબર પડતાં જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યાં ખાટલા બિછાવ્યા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા. અંધારું થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા કે.બી. લાલ નામના અધિકારીએ પછીથી લખ્યું હતું : ‘હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ આ હતું સરદારનું સંવેદનશીલ, જવાબદાર નેતૃત્વ.

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગાંધીજી, પંડિત નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેની જીવનકથા લખી છે. એમનું કહેવું છે કે ‘જે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરી છે. આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ઇતિહાસ ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો.

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું.

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા.

સરદાર પટેલ કહેતા, ‘ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ.’ ‘વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મજબૂત હાથોથી સામનો કરો.’ ‘મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા.’ ‘અહિંસક એને કહેવાય જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે.’ ‘લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય.’

સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની હતી કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે, એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ભારતરત્ન વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર 2022

Loading

યુ.એસ.એ.માં મધ્યસત્રની ચૂંટણીનો મોટો પ્રશ્નઃ ટ્રમ્પનું પુનરાગમન થાય તો શું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 November 2022

યુ.એસ.એ.ની મધ્યસત્રની ચૂંટણીમાં ‘ટ્રમ્પ’ના સિક્કા ધાર્યા એટલે ઉછળ્યા નહીં, પરંતુ ધારો કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની વાપસી થાય તો શું?

યુ.એસ.એ.માં હાલમાં મધ્યસત્રની ચૂંટણી ચાલી રહી છે. ભલે આપણે મેચની ચિંતા કરતા હોઇએ પણ યુ.એસ.ની ચૂંટણી આખી દુનિયા માટે એક અગત્યનું જોણું તો છે જ. એમાં ય વળી કૉવિડ-19ની કટોકટી અને ૬ જાન્યુઆરી ૨૦૨૧માં યુ.એસ. કેપિટલ પરના હુમલા પછી યુ.એસ.માં આ પહેલી ચૂંટણી છે.

મધ્યસત્રની ચૂંટણી શરૂ થઇ તે પહેલાં અટકળો શરૂ થઇ જાય તે સ્વાભાવિક છે. મધ્યસત્રની ચૂંટણીમાં ડેમોક્રેટ્સનો દેખાવ નબળો હશે અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ તથા સેનેટ પર રિપબ્લિકન્સનો કાબૂ હશે પ્રકારની ચર્ચાઓ પણ છેડાઇ. આ સાથે સૌથી મોટી અટકળ પર વાત શરૂ થઇ કે શું વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી શક્ય છે?

ડોનાલ્ડ ટ્રમ્પ કોઇને ગમે કે ન ગમે – વાસ્તવિકતા એ છે કે રિપબ્લિકન પાર્ટીમાં તે એક અગત્યનો ચહેરો તો છે જ. રિપબ્લિકન પાર્ટીને જો પ્રમુખ પદ માટે ઉમેદવાર જાહેર કરવાનો આવે તો પૂરી શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જાહેર થાય. જો મંગળવારે જ્યોર્જિયા, ન્યુ હેમિસ્ફિયરનાં પરિણામો પછી ટ્રમ્પનું કદ રિપબ્લિકન પાર્ટીમાં જરા ઘટ્યું છે ખરું. રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે મધ્યસત્રની ચૂંટણીમાં ઝૂકાવ ભલે વ્હાઇટ હાઉસમાં બેઠેલાની વિરોધમાં હોય પણ જ્યારે પ્રમુખ પદ માટે ચૂંટણી થશે ત્યારે આવું નહીં જ હોય. આમ પણ પારંપરિક રીતે જે પક્ષ સત્તા પર હોય તેને મધ્યસત્રની ચૂંટણીમાં જરા પાછી પાની કરવાનો જ વારો આવે છે કારણ કે લોકો તેમની વિરોધમાં મત આપીને પોતાનો રોષ અને અસંતોષ જાહેર કરે છે.

ટ્રમ્પને હવે પહેલા જેટલો બહોળો મજબૂત ટેકો મળવાનો નથી. છતાં ય અમુક વિશેષજ્ઞોએ એવી ધારણાઓ કરીને પોતાની ટિપ્પણીઓ આપી કે જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં પાછા ફરે તો શું થાય? પહેલાં ય ટ્રમ્પે અણધારી જીત મેળવી છે અને માટે ભલે તેમની તરફી ઝૂકાવ કે ટેકો ઓછાં હોય પણ ડોનાલ્ડ ટ્રમ્પને તદ્દન નકારી કાઢવાની ચૂક યુ.એસ. રાજકારણમાં અત્યારના તબ્બકે કોઇ કરવા નથી માંગતું. જો બાઇડનના અપ્રુવલ રેટિંગ્ઝ સાવ નીચે છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક સાથે ત્રણ ઇલેક્શનમાં હાર કોટે વળગાડી છે. યુ.એસ.ના રાજકારણમાં ટ્રમ્પ તરફીઓમાંના કેટલાકને ગવર્નર પદ માટે ટ્રમ્પે પસંદ કરેલા ઉમેદવારો સામે વાંધો છે કારણ કે એ ઉમેદવારો પ્રાઇમરી ચૂંટણીમાં તો જીતી ગયા પણ જનરલ ઇલેક્શનમાં કંઇ ખાસ ઉકાળી ન શક્યા. આ તરફ ટ્રમ્પે પોતાના કક્કો ખરો કરવામાં કઇ બાકી ન રાખ્યું – મિયાં પડે પણ ટંગડી ઊંચી વાળા હિસાબે જાહેરમાં તો એમ જ કહ્યું કે ભલે ગઇકાલની ચૂંટણી નાસીપાસ કરે તેવી હતી પણ મારે માટે ૨૧૯ વિન્સ અને ૧૬ હાર જરા ય ઓછી નથી. ટ્રમ્પ સાહેબ ટ્વીટર પર તો છે નહીં, એટલે આ વાત તેમણે ટ્રુથ સોશ્યલ નેટવર્ક પર લખી હતી.  જો કે અમેરિકામાં હાલમાં બ્રાન્ડ ટ્રમ્પને બહુ વધારે માન-મરતબો આમે ય નથી મળતો.

ટ્રમ્પને મધ્યસત્રની ચૂંટણી પહેલાં પુછવામાં આવ્યું કે જો આ પરિણામો રિપબ્લિકન પાર્ટીની તરફેણમાં હોય તો એમને કેટલી વાહવાહી મળવી જોઇએ તો તેમનો જવાબ હતો કે બધી જ ક્રેડિટ તેમને જ મળવી જોઇએ, વળી ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો એ લોકો હારી જાય તો એમણે તેમનો વાંક ન કાઢવો. કાંટો આવે તો હું જીતું અને છાપ વે તો તમે હારો વાળું ટ્રમ્પનું ગણિત કોઇને ય આંખમાં ખૂંચે એવું તો છે જ. મીડિયા ટાયકૂન રૂપર્ડ મર્ડોકનો ટેકો ટ્રમ્પને માટે હવે રહ્યો નથી. તેમના માધ્યમો પર ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીના સૌથી મોટા ‘લૂઝર’ ગણાવી દેવાયા છે, વળી જે રાજકારણીઓને ટ્રમ્પે ટેકો આપ્યો તે બધા હારને રસ્તે હતા એવું પણ કહેવાયું.

આ બધી તો યુ.એસ.એ.ના આંતરિક અભિપ્રાયો અને ગમા-અણગમાની વાત છે. પરંતુ જો ટ્રમ્પ ફરી યુ.એસ.એ.ના પ્રમુખ બને તો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ તેનો ઘેરો પ્રભાવ પડે. ખાસ કરીને ક્વૉડ દેશોના સંબંધે જાપાન અને ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં બાકીના રાષ્ટ્રો એક સરખા ઝુકાવ વાળા એટલે કે જમણેરી હોય. હવે ઘર ભણી નજર કરીએ તો ભારતે તો રિપબ્લિકન સાથે પણ સારું રાખ્યું છે અને ડેમોક્રેટ્સ સાથે પણ દિલ્હી ઑફિસની દોસ્તી સારી જ રહી છે. આવું હોય ત્યારે ભારતને અમેરિકાના પ્રમુખ તરીકે કોણ આવે છે તેનાથી બહુ ફેર કદાચ પડે. યુ.એસ. અને ભારતના સંબંધો બન્ને પક્ષો માટે અગત્યના રહ્યા છે. મધ્યસત્રની ચૂંટણીનો કોઇ સીધો પ્રભાવ ભારત – યુ.એસ.ના સંબંધો પર ન પડે. ભારત માટે યુ.એસ.ના પ્રમુખ પદે કોણ બેઠું છેનો પ્રશ્ન ત્યારે જ જરૂરી બને જ્યારે ‘સિવિલ ન્યુક્લિયર કોર્પોરેશન’ જેવા મોટા નિર્ણયો લેવાતા હોય.

બાય ધી વેઃ

આમ આપણને ઘેર બેઠા એવો વિચાર આવે ખરો કે યુ.એસ.એ.માં જે થવું હોય એ થાય આપણે શું? પરંતુ રશિયાએ જાહેર કરેલું યુદ્ધ, માથે તોળાતી મંદી, ઇમિગ્રેશનના મુદ્દાઓ જેવું કેટલું ય છે જે સીધી કે આડકતરી રીતે આપણને અસર કરે જ છે. વળી વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા યુ.એસ.એ.ની પ્રજા ધર્માંધતા, ખ્રિસ્તી રાષ્ટ્રવાદ, ઝેનોફોબિયા(બીજા રાષ્ટ્રના લોકો પ્રત્યેનો અણગમો)ના પક્ષમાં મત આપે છે કે પછી ડેમોક્રેટ્સની પસંદગી કરે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ ચિવટથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પગલાં લેવા રહ્યાં કારણ કે માત્ર બે રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની દોસ્તીથી કે સારાસારીથી સમસ્યાઓ નથી ઉકેલાઇ જતી. આપણે વિકાસશીલ દેશ છીએ અને માટે જ આપણે માટે આંતરરાષ્ટ્રીય રાજકારણના વાટાઘાટ બહુ મહત્ત્વનાં હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 નવેમ્બર 2022

Loading

અનામતની જોગવાઈ કેવી રીતે નક્કી કરવી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 November 2022

આર્થિક રીતે પછાત (ઇકોનોમિકલી વીકર સેક્શન) સવર્ણોને દસ ટકાની અનામત આપવાનો સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો ગેરબંધારણીય અને સામાન્ય બુદ્ધિથી ચકાસો તો પણ ટકી ન શકે એવો વાહિયાત છે. પણ આ યુગ જીહજૂરીનો છે એટલે શાસક પક્ષની વિચારધારાને અનુકૂળ થવાનો સર્વત્ર પ્રયાસ થઈ રહ્યો છે, એનું આ ઉદાહરણ છે. આ આઘાતજનક ઘટના એટલા માટે છે કે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચનો આ ચુકાદો છે. બંધારણીય બેંચનું કામ માત્ર બંધારણનું અર્થઘટન કરવાનું નથી, પણ તે દ્વારા બંધારણીય જોગવાઈઓનું અને બંધારણીય ભારતનું જતન કરવાનું છે. ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં મૂળભૂત અધિકારને લગતા કેસોમાં પણ આવી જ રીતે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ પાણીમાં બેસી ગઈ હતી. ત્યારે પણ સર્વોચ્ચ અદાલતના કેટલાક ન્યાયમૂર્તિઓએ એ વખતના શાસકોનાં વલણને (વલણને, અત્યારના શાસકોની જેમ વિચારધારાને નહીં) અનુકૂળ થવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એ.એન. રાયે કહ્યું હતું કે રાજ્યએ દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે એટલે રાજ્ય મૂળભૂત અધિકાર પાછા પણ લઈ શકે અને તે સંકોરી પણ શકે. જે આપે તે પાછા લે પણ ખરા અને ઘટાડે પણ ખરા.

દેશમાં સેંકડો-હજારો વર્ષ જૂની પરંપરાગત અન્યાયી વ્યવસ્થાને કારણે કેટલીક પ્રજાને સામાજિક સીડી ઉપર ચડવા નહોતું મળતું અથવા ચડવા દેવામાં નહોતા આવતા. આને કારણે દેશની ઘણી મોટી સંખ્યામાં ચોક્કસ પ્રજા માનવીય વિકાસ અને ગરિમાના માપદંડોથી ચકાસવામાં આવે તો હાંસિયામાં જીવતી આવી છે. તેમને હાંસિયામાંથી બહાર કાઢવી હોય અને અન્ય વિકસિત પ્રજાની સમકક્ષ બનાવવી હોય તો તેમને થોડા સમય માટે વિશેષ તક આપવી જોઈએ. જેમ લાગણીવાળી જવાબદાર માં બીમાર કે નિર્બળ બાળકને વધુ શીરો ખવડાવે અને સગવડ ન હોય તો બીજા બાળકને ઓછો શીરો આપે એમ. બંધારણમાં આવી જોગવાઈ કરનારા મોટાભાગના સભ્યો સવર્ણ હતા, પણ તેમનું હ્રદય માંનું હતું. આવી જોગવાઈ વિશ્વના અનેક દેશોમાં છે અને તેને પોઝિટીવ ડિસ્કીમિનેશન અથવા અફરમેટીવ એક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. આપણે ત્યાં તેને અનામત તરીકે ઓળખાવવામાં આવે છે.

પણ આની સામે સવર્ણનો એક વર્ગ એવો હતો જેને શરૂઆતથી જ પછાત પ્રજાને વિશેષ તક આપવામાં આવે એ જોઇને પેટમાં દુઃખતું હતું. રાજ્ય લાગણીશીલ જવાબદાર માતાની ભૂમિકા ભજવે એ તેમને પહેલેથી જ ગમતું નહોતું. તેમને સામાજિક-આર્થિક (મુખ્યત્વે સામાજિક) સરસાઈ જતી રહેશે અને દલિતો અને અન્ય પછાત કોમ સાથે સમાન ધોરણે જીવવું પડશે એ વાતનો ડર લાગતો હતો. હવે તેઓ એમ તો કહી શકે નહીં કે જે પછાત છે એ પાછલા જનમમાં તેમણે કરેલાં પાપની સજા ભોગવી રહ્યા છે એટલે તેમની દયા ખાવાની જરૂર નથી. તેમણે આ ભવમાં સારાં કર્મો કરીને હવે પછી બ્રાહ્મણના ઘરે જન્મ મેળવવો જોઈએ. હકીકતમાં તેઓ આવું જ માને છે, પણ બોલતા શરમાતા હતા.

માટે તેઓ અનામતના વિરોધમાં એક દલીલ એવી કરતા હતા કે માની લો કે પછાતો સાથે અન્યાય થયો પણ છે તો એ અમારા બાપદાદાઓએ કર્યો છે અને તેમની સજા આજે અમને શા માટે? એકની સજા બીજાને કરવી એ અન્યાય નથી? તેમની બીજી દલીલ એવી હતી કે બંધારણમાં કહ્યું છે કે ભારતનાં પ્રત્યેક નાગરિક સમાન હશે અને રાજ્ય કોઈ દેશના કોઈ નાગરિક સાથે તેનાં ધર્મ, ભાષા, જ્ઞાતિ કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ નહીં કરે. બંધારણમાં આવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં પછાતો અને સવર્ણો વચ્ચે ભેદભાવ કરવો એ ખોટું નથી? તેમની ત્રીજી દલીલ એવી હતી કે અનામતની જોગાવાઈ ક્યાં સુધી? અનામતની જોગવાઈ આપી તેને ૨૫ વરસ થયાં, એ પછી ૫૦ વરસ થયાં અને હવે ૭૫ વરસ થયાં તેનો કોઈ અંત ખરો કે નહીં? તેમની ચોથી દલીલ એવી હતી કે અનામતના કારણે ગુણવત્તા (મેરિટ) જોખમાઈ રહી છે. કોઈ દેશ મેરિટ વિના આગળ કઈ રીતે વધી શકે? દુનિયાની આપણે બરોબરી કરવાની છે, હરીફાઈનો યુગ છે વગેરે. તેમની પાંચમી દલીલ એવી હતી કે અમે પણ પછાત છીએ. એવું થોડું છે કે પછાતો માત્ર પછાત કોમની યાદીમાં સ્થાન પામેલી જ્ઞાતિઓમાં જ છે. અમે પણ પછાત છીએ. પાટીદારો, મરાઠાઓ, જાટો વગેરે જ્ઞાતિના લોકો આવી દલીલ કરવા માગ્યા હતા. તેમની (ખાસ કરીને બ્રાહ્મણોની) છઠ્ઠી દલીલ એવી હતી સવર્ણોની અંદર જે આર્થિક રીતે પછાત છે તેને પણ અનામતનો લાભ મળવો જોઈએ.

છેલ્લા પાંચ દાયકાથી અનામતનો વિરોધ કરનારાઓ આદુ ખાઈને અનામતની જોગવાઈની પાછળ લાગ્યા છે. તેઓ કોઈ પણ ભોગે તેને ખતમ કરવા માગે છે. પણ વીતેલા યુગની એક વિશેષતા હતી અને એ વિરોધ કરનારાઓને કનડતી હતી. મીડિયામાં મોટા ભાગના પત્રકારો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. ન્યાયતંત્રમાં મોટા ભાગના જજો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. વીતેલા યુગમાં પત્રકારો વિવેકનો, સભ્યતાનો અને ન્યાયનો પક્ષ લેતા હતા અને અનામતનો બચાવ કરતા હતા. એવું નથી કે તેઓ અનામતની જોગવાઈમાં રહેલી મર્યાદાઓ નહોતા બતાવતા, પણ અનામતની જોગવાઈને ટેકો આપતા હતા. સ્વાર્થપરક વાહિયાત દલીલોની ત્યારે ઠેકડી ઉડાડવામાં આવતી હતી. અદાલતોમાં અનામતની જોગવાઈની સામે અનેક અરજીઓ કરવામાં આવી હતી અને દરેક વેળાએ જજો અનુકંપા, ન્યાય, વિવેક અને બંધારણનાં આત્માની પડખે ઊભા રહેતા હતા; બ્રાહ્મણ અને સવર્ણ હોવા છતાં. અત્યારે સ્થિતિ બદલાઈ ગઈ અને સાચું પૂછો તો સ્થિતિ બદલવામાં આવી છે. મીડિયામાં અને અદાલતોમાં એવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે જેઓ સ્થાપિત હિતોના પક્ષકાર બનવામાં શરમ ન અનુભવે. એવા લોકો છે જેઓ ન્યાય, વિવેક, બંધારણનો આત્મા, અનુકંપા વગેરેને કિનારે કરી આપે.

ઉપર જે છ દલીલો બતાવવામાં આવી એમાંની છેલ્લી બે દલીલો અનામતની જોગવાઈનો પ્રાણ હરી લેવા માટેની છે. અનામતની જોગવાઈને હાસ્યાસ્પદ બનાવવા માટેની છે. અમે પણ પછાત છીએ. અનામત આપો અને નહીંતર અમે મત નહીં આપીએ. પટેલો, જાટો, મરાઠાઓ આવી માગણી કરી રહ્યા છે. તેમને ખબર છે કે બધા જ અનામતમાં ઘૂસી જશે તો ગોકુળ નાનું અને વૈષ્ણવ ઝાઝા જેવી સ્થિતિ થશે અને જોગવાઈ હસ્યાસ્પદ બની જશે. મીડિયામાં અને ન્યાયતંત્રમાં હવે એવા માણસો છે જેનો અંતરાત્મા વેચાઈ ગયો છે. પત્રકારો પ્રવેશનો બચાવ કરશે અને જજો આપશે. એ પછી હમ ભી પછાત, સામાજિક રીતે નહીં તો આર્થિક રીતે. બોલો તમારે શું કહેવાનું છે? તેમને પણ જાણ છે કે મીડિયામાં અને ન્યાયતંત્રમાં વિવેકહીન અંતરાત્મા વિનાના માણસો બેસી ગયા છે. આમ પાંચમી અને છઠ્ઠા પ્રકારની દલીલ કરનારાઓએ અનામતમાં પ્રવેશ મેળવી લીધો છે.

જો આ દલીલમાં દમ હતો તો તેને સ્વીકારવામાં ૭૫ વરસ શા માટે લાગ્યાં? આ કોઈ પહેલીવાર કરવામાં આવેલી દલીલ નથી. શું અત્યાર સુધીના જજો અને પત્રકારો બેવકૂફ હતા? અન્યાય કરનારા હતા? અત્યારે અચાનક જ્ઞાન લાધવાનું શું કારણ? અને બીજું, મેરીટનું શું? બહુ મેરીટની ચિંતા કરતા હતા, દેશનું શું થશે એવું કહીને છાતી ફૂટતા હતા તો હવે મેરીટનું શું થશે? પણ ચિંતા નહીં કરતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ ઉચ્ચકુલીન છે માટે સ્વયંસંપૂર્ણ છે, એટલે ભલે એ અનામતવાળો હોય, ૩૫ માર્ક્સવાળો હોય, મેરીટ જળવાઈ રહેશે. મેરીટ વિષે કોઈ કાંઈ બોલે તો કહેજો.

અને હા, એક વાત કહેવી રહી. જગત આખામાં કોઈ દેશમાં આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ આપવામાં નથી આવતી. આર્થિક પછાતપણું (ગરીબાઈ) નક્કી કરવું અશક્ય છે, તે બદલાતું રહે છે અને આર્થિક પછાતપણું વિકાસમાં અવરોધરૂપ નથી બનતું. એનું એક પ્રમાણ એ છે કે ભારતને આઝાદી એ લોકોએ અપાવી હતી જેઓ આર્થિક રીતે પછાત ગરીબીમાં જન્મ્યા હતા અને તે બધા (મોટા ભાગના) સવર્ણ હતા. સવર્ણ હોવાને કારણે તેઓ એક પ્રકારની જાગૃતિ ધરાવતા હતા અને દેશને જાગૃત કર્યો હતો. ગરીબ ઘરે જન્મ્યા હોવા છતાં. જે લોકો સંપન્ન હતા તેઓ આઝાદીનો વિરોધ કરતા હતા. અને આજે? વિડંબના જુઓ, દેશને આઝાદી અપાવનારાઓનાં સંતાનો દલીલ કરે છે કે તેઓ ગરીબીને કારણે લાચાર છે અને સર્વોચ્ચ અદાલતના જજો કહે છે કે હા, તેમની વાત સાચી છે, એ દિશાહીન લાચાર બિચારાઓને કાખઘોડીની જરૂર છે. આપણે સર્વોચ્ચ અદાલતના એ ત્રણ જજોને પૂછવું જોઈએ કે જેને કાખઘોડીની જરૂર છે તેણે આઝાદી કેવી રીતે અપાવી? સાહિત્ય, વિજ્ઞાન અને બીજા ક્ષેત્રોમાં તેઓ કેવી રીતે ઝળક્યા? અંગ્રેજોએ તો કોઈ અનામતની જોગવાઈ આપી નહોતી. સર્વોચ્ચ અદાલતના સંખ્યાબંધ જજો એવા હશે જેઓ ગરીબ પછાત પરિવારમાં જન્મ્યા હશે.

આખો ખેલ અનામતને હાસ્યાસ્પદ બનાવીને પછાતોને ન્યાયથી વંચિત રાખવાનો છે અને બ્રાહ્મણી હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 નવેમ્બર 2022 

Loading

...102030...1,1961,1971,1981,199...1,2101,2201,230...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved