Opinion Magazine
Number of visits: 9567287
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેશનલ વિચારગોષ્ઠીનો નિચોડ શું?

રમેશ સવાણી|Opinion - Opinion|17 February 2023

11 ફેબ્રુઆરી 2023ના રોજ, નવજીવન પ્રેસના હોલમાં, રેશનલ વિચારગોષ્ઠીનું આયોજન થયેલ. જેમાં 140 લોકોએ ભાગ લીધો હતો. સવાલ એ છે કે આ વિચારગોષ્ઠીમાંથી કોઈ એકશન પ્લાન ઘડી શકાય તેમ છે? એક જાગૃત / રેશનલ નાગરિક તરીકે શું કરવું જોઈએ? આ વિચારગોષ્ઠીનો નિચોડ શું? અહીં વક્તાઓના વિચારો સંકલિત કરીને મૂક્યા છે; જેમાં રેશનલ ચળવળને આગળ ધપાવવા માટેનો રોડમેપ છે જ. આ વિચાર-નવનીત ભવિષ્યની પગદંડી માટે જરૂર ઉપયોગી થશે.

ગોષ્ઠીના સૂત્રધાર જાગુ પટેલ :

હું રેશનલ થઈ ગઈ હતી, પરંતુ કુટુંબને ખબર ન પડે તે માટે ધાર્મિક હોવાની હું એક્ટિંગ કરતી હતી. મમ્મીને ખરાબ ન લાગે માટે. પરંતુ પછી સ્ટેન્ડ લીઘું કે હું આ વિધિવિધાનમાં માનતી નથી. 

.

અહીં બેઠેલા પુરુષો પોતાની પત્નીને સમજાવી શકતા નહીં હોય. એમાં સ્ત્રીઓનો દોષ નથી. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓનો ઉછેર એ રીતે થાય છે કે ધાર્મિક વિધિઓમાં નહીં માનીએ તો લક્ષ્મી જતી રહેશે. પૈસા વિના મુશ્કેલીઓ ઊભી થાય. દશામાંની પૂજા કરીએ છીએ, પણ કેટલા લોકોની દશા બદલી?

રમેશ સવાણી :

શ્રોતાઓ વિનાના ખાલી હોલમાં; વક્તાઓ રેશનલ જ્યોત પ્રગટાવી શકે નહીં.

.

આવી વિચારગોષ્ઠીનું આયોજન શા માટે? શું આ પ્રકારની વિચારગોષ્ઠીથી કંઈ ફરક પડે? 

.

શું  આવી વિચારગોષ્ઠી હળ્યામળ્યા અને ખાધુંપીધુંમાં સમેટાઈ જાય છે? કોઈ નક્કર એકશન પ્લાન ઘડાય છે?

.

રેશનલગોષ્ઠીમાં યુવાનોને વધારે જોડવા શું કરવું જોઈએ? હજુ બીજા ક્યા પ્રયત્નો કરવાની જરૂર છે? કઈ રીતે પ્રગતિશીલ વિચારોની અસરકારકતા વધારી શકાય?

.

વૈજ્ઞાનિક હોય અને રેશનલ પણ હોય તેવા નોખા જીવને શોધીએ, તેમનું જાહેર સન્માન કરીએ. બીજાને પ્રેરણા મળે. 

.

એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ધાર્મિક મહોત્સવો થાય છે; બીજી તરફ રેશનલ વિચાર પર હુમલા થાય છે; આ નાનકડી વિચારગોષ્ઠી તો ખારા સમુદ્ર આગળ મીઠા જળના એકાદ ટીપા સમાન છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ સમાજમાં રેશનલ બૌદ્ધિકોની સંખ્યા જૂજ હોય છે. પરંતુ એ બૌદ્ધિકોએ જ; લોકશાહી મૂલ્યો / માનવ મૂલ્યોના રસ્તે સમાજને વાળ્યો છે. નવા વિચારો / પ્રગતિશીલ મૂલ્યો જ જીવનને જીવવા જેવું બનાવે છે. 

ડો. જિતેન્દ્રસિંહ રાઓલ :

માણસ પાસે જ રેશનલ માઈન્ડ છે, પ્રાણીઓ પાસે નથી. Only rational mind can be irrational ! 

.

Empathy એટલે બીજાના દૃષ્ટિકોણને સમજવો. લોકો બીજાને સાંભળતા જ નથી ! 

.

Humanitarian principle એટલે? તેના ચાર પાસા છે. Attention – ધ્યાન આપવું. Affection – લગાવ. Care – સંભાળ. Kindness – નમ્રતા. આ ચારેય પાસા હોય ત્યારે માણસ માટે પ્રેમ પ્રગટે ! એનો દૃષ્ટિકોણ માનવવાદી બને.

.

જ્યારે Empathy / Attention / Affection / Care / Kindnessની ઊણપ હોય ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. કરોના સમયે lack of Empathyના કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી.

.

રેશનલ વિચારના પ્રસાર માટે Empathy / Attention / Affection / Care / Kindnessના પગથિયાં જ ઉપયોગી થાય.

કિરણ ત્રિવેદી :

રેશનાલિઝમ એ વિચારવાની એક પદ્ધતિ છે. રેશનાલિઝમ એટલે સારાસારનું વિવેકભાન, તર્કબુદ્ધિ. માન્યતાઓ કે શ્રદ્ધા નહીં, પણ જ્ઞાન વિજ્ઞાન આધારિત સમજદારી અને વિશ્વાસ. વિશ્વાસ માહિતી અને જ્ઞાનમાંથી ઉદ્દભવે છે; શ્રદ્ધામાંથી નહીં.

.

જે રેશનલ છે તે જો સામાજિક નિસબત નથી ધરાવતો તો એનો કોઈ અર્થ નથી. ફક્ત પોતાના પૂરતું રેશનલ થવું તે મોટી વાત નથી; તે એક પ્રકારનો સ્વાર્થ છે.

.

રેશનાલિસ્ટ માટે આગળનું સ્ટેજ શું છે? રેશનાલિસ્ટ એ છે કે રેશનલ થિંકિંગને પ્રસારવા માટે સમર્પિત છે.

.

જ્યાં મોકો મળે ત્યાં રેશનાલિસ્ટ / એથિસ્ટ તરીકે સ્ટેન્ડ લો. બોલો. ધર્મ / ઈશ્વર / રીતિરિવાજ / જ્ઞાતિજાતિના મુદ્દા પર તમારો વિરોધ કે વૈકલ્પિક વિચાર લોકોને જણાવો. જોખીતોળીને પણ બોલો.

.

કુટુંબને પણ તમારો મત ધીરજથી પણ મક્કમતાથી જણાવવાની જરૂર છે. કોઈને રોકવાની જરૂર નથી. હું નથી જતો એટલે તું પણ ન જા; એવું કરવાની જરૂર નથી. 

.

મોટા ભાગના રેશનલો ક્લોજેસ્ટ રેશનલ છે. તેઓ જાહેરમાં સ્ટેન્ડ લેતા નથી, બોલતા પણ નથી. પોતે જીવે છે પણ કોઈને શા માટે દુ:ખ લગાડવું? આવો અભિગમ છોડવો પડે. રેશનાલિસ્ટ સમર્પિત હોય છે. રેશનલ સ્ટેન્ડ લેવું / બોલવું સહેલું નથી. પણ જરૂરી ખૂબ છે. હિમ્મતની જરૂર હોય છે. અળખામણા થવાની તૈયારી રાખવી પડે.

.

રેશનાલિસ્ટ હોવું એ ખાલી ફેશન કે ટ્રેન્ડ નથી; એ બહુ મોટી જવાબદારી છે.

.

ફાસીવાદીઓ એ જ ઈચ્છે છે કે તમે ચૂપ થઈ જાઓ, બોલો નહીં. તો જ ખાલી એમનો અવાજ સંભળાય ! વિકલ્પ નથી રહેતો, એટલે જ વિકલ્પ થવાની જરૂર છે. જો ચૂપ જ રહેવું હોય તો પોતાને રેશનાલિસ્ટ ન ગણાવવા !

ઉત્પલ યાજ્ઞિક :

રેશનલ થિંકિંગ વિકસતું કેમ નથી? નાનું બાળક રેશનલ હોય છે. એની રેશનાલિટીને વડીલો ક્રમે ક્રમે ખતમ કરે છે. 

.

બાળકો સમક્ષ આદર્શ મૂકવામાં આવે છે તે કેવા પ્રકારના છે? સીતા / સાવિત્રી / શ્રવણ; આમાં કોઈ વિદ્રોહી વ્યક્તિત્વ તમને જોવા મળે છે ખરું?

.

ધર્મપુરુષોએ જે આજ્ઞા આપી એ જ સર્વોપરી છે; અને એને તમારે ફોલો કરવાની હોય તો આમાં રેશનલ થિંકિંગ વિકસે ક્યાંથી?

.

આપણી સામાજિક વ્યવસ્થાના કારણે / કુટુંબ વ્યવસ્થાને કારણે / શૈક્ષણિક વ્યવસ્થાનાં કારણે માણસનું ક્રિટિકલ / રેશનલ થિંકિંગ પતી જાય છે.

.

આપણે સૌએ ભેગા મળીને રેશનલ થિંકિંગની પ્રોસેસ છે તેને યુવાનો સુધી પહોંચાડવી પડશે. રેશનલી કઈ રીતે વિચારવું તે આપણે શીખવાડવું પડશે. એક વખત એ રેશનલી વિચારતો થશે તો આગળ કંઈ કરવાની જરૂર નથી. તે પોતાનો રસ્તો શોધી લેશે. 

.

રેશનલ ઘડતરથી બાળકોનું માનસ પરિવર્તન થાય છે. જો આપણે બાળકોમાં આ ચિંતન નાનપણથી રોપી દઈશું તો બહુ મોટી સામાજિક ક્રાન્તિ આપોઆપ થઈ જાય !

હેમંતકુમાર શાહ :

માણસ જીવ્યો છે અને ડાયનોસરની જેમ મરી નથી ગયો; એનું કારણ એની બુદ્ધિ છે, એની શ્રદ્ધા નથી. માણસ; રાજ્ય / બજાર / ધર્મ / કુટુંબ / સમાજ, આ પાંચ સંસ્થાઓનું નિર્માણ માણસે પોતાના સુખ /શાંતિ / સલામતી માટે કર્યું. પરંતુ આ પાંચેય સંસ્થાઓ મનુષ્ય પર હાવી થઈ ગઈ છે ! માણસ આ પાંચ સંસ્થાઓની જેલમાં જીવે છે !

.

મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું તે આપણી પ્રથમ ફરજ છે ! માણસ, માણસ તરીકે જીવે નહીં પણ જંતુ તરીકે જીવે તો તેનો કશો અર્થ નથી.

.

અલ્લાહ /ઈશ્વર / ગોડની જે સહકારી મંડળી ચાલે છે; એણે તો આ ભૂકંપ કર્યો ! આ અલ્લાહ / ઈશ્વર / ગોડ તો તમને મારવા બેઠો છે. તમને બચાવે છે કોણ? એ તો પેલું JCBનું મશીન ! મોબાઈલ ફોન બચાવે છે; જેથી ફોન કરીને કહે છે કે હું જીવતો છું બહાર કાઢો ! આ JCB મશીન / મોબાઈલ તો માણસે બનાવેલ છે ! આ માણસની બુદ્ધિનું પરિણામ છે.

.

અદાણી સામે પ્રશ્ન ઊભા કરીએ એટલે કહેશે કે આ તો ભારત પરનો હુમલો છે ! ભારત એટલે અદાણી જૂથની કંપનીઓ? આ ભારત કોણે બનાવ્યું છે? લોકોએ બનાવ્યું છે; મેં બનાવ્યું છે. સુખ /શાંતિ / સમૃદ્ધિ / સલામતી માટે બનાવ્યું છે. હું ભારત માટે નથી, ભારત મારા માટે છે. દુનિયાના દરેક લોકને પોતાના દેશ પ્રત્યે પ્રેમ હોય જ; તે સ્વાભાવિક છે. તમે જ્યારે રાષ્ટ્રભક્તિની વાત કરો છો; તે મારા અસ્તિત્વના ભોગે હોઈ શકે નહીં. 

.

મારે જહાંગીર સામે જ ફરિયાદ હોય તો શું? તો પણ જહાંગીરને જ કહેવાનું ! આ મનુષ્યનું ઈરેશનલ બિહેવિયર હતું; પરંતુ રેશનલ બિહેવિયરમાંથી લોકશાહી આવી / એનાથી વ્યવસ્થા વિકસી. જો તમારે શાસક સામે ફરિયાદ હોય તો ફરિયાદ ન્યાયતંત્ર સમક્ષ કરવાની છે; શાસક સમક્ષ નહીં.

.

જો આપણે સ્વતંત્રતા / સમાનતા / ન્યાય / વ્યક્તિના ગૌરવ માટે સક્રિય / પ્રવૃત્ત નહીં થઈએ તો મને લાગે છે આપણે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છીએ !

.

Critical Thinking થાય તેવું વાતાવરણ ભારતની શાળાઓમાં / કોલેજોમાં / યુનિવર્સિટીઓમાં છે ખરું? અને આવું વાતાવરણ ઊભું કરવાનો ઈરાદો છે ખરો? 

.

યુનાઈટેડ નેશનનની જનરલ એસેમ્બલીએ 10 ડિસેમ્બર 1948ના રોજ, માનવ અધિકારોની જે સાર્વત્રિક ઘોષણા કરી છે તે જ દુનિયાનો સૌથી મોટો ધર્મ હોવો જોઈએ. 

.

સૌથી ચિંતાની બાબત એ છે કે રાજ્ય અંધશ્રદ્ધાને પોષે છે. રાજ્યનું કામ જ બુદ્ધિને આગળ વધારવાનું છે; પરંતુ એ અંધશ્રદ્ધાને આગળ વધારે છે ! એ અંધશ્રદ્ધાને વધારે મજબૂત કરે છે ! આની સામે લડવાનું છે. આ લડવું એ સૌથી મહત્ત્વની બાબત છે; ભક્તિ કરવી તે મહત્ત્વની બાબત નથી. 

.

ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે ભક્તિ એ ધર્મની બાબત હોઈ શકે; પરંતુ રાજકારણમાં ભક્તિ સરમુખત્યારશાહી તરફ દોરી જાય છે. 

.

જો આપણે લોકશાહી મૂલ્યોને મજબૂત નહીં કરીએ; એ મૂલ્યોના રક્ષણ માટે લડીશું નહીં; તો આપણે માણસ તરીકે જીવતા રહી શકીશું નહીં. 

પ્રતિભા ઠક્કર :

‘તારે મંદિરીએ દીપ ધરવાને જાઉં ઠીક નહીં અમને; જ્યાં જ્યાં વિશ્વ મહીં અંધારું ત્યાં ધરીશું દીપક તમને !’ આ કવિતા મારા રેશનાલિઝમનો પાયો છે.

.

અહીં શ્રોતાઓમાં માત્ર 8-10 બહેનો દેખાય છે. આપણે કહીએ છીએ કે હવે બધાંને સ્વતંત્રતા છે, પહેલાં જેવું હવે નથી ! પરંતુ આજે ઘેર રોકાયેલ સ્ત્રીઓ પણ રેશનલ હશે. પણ એને એની જવાબદારીઓ હશે. મોટા ભાગે કુટુંબની જવાબદારીઓ સ્ત્રીઓ પર થોપી દેવામાં આવે છે.

.

નાનપણથી સીતા / અહલ્યાના આદર્શોની વાતો સાંભળીને મોટી થયેલી સ્ત્રીઓ ક્રાન્તિ ન કરી શકે. કેમ કે એમને બીજા વિચાર મળ્યા નથી. બીજાં પુસ્તકો નથી વાંચ્યાં. નથી ધરમાંથી કશું ય મળ્યું. એટલે એ વિધિ-વિધાનમાં જ પડી રહે. આ વિધિ-વિધાનો એટલાં વ્યાવસાયિક રીતે ગોઠવી દીધાં છે કે તેમાંથી તેને બહાર લાવવી તે અઘરું છે. આ વિધિવિધાનોનો અર્થ શો? 

. 

મૂળ તો બધાંને સર્ટિફિકેટ જોઈએ છે કે ‘બહુ ડાહી વહુ આવી છે અમારે ! બહુ ભણેલી છે / નોકરી કરે છે, પણ અમારા ઘરના રિવાજોનું પાલન કરે છે !’ આવા સર્ટિફિકેટનો કોઈ મતલબ નથી. 

.

તમારે સ્પષ્ટ શબ્દોમાં / વિવેકપૂર્વક કહેવું જોઈએ કે હું આમાં માનતી નથી ! મરી મરીને જીવવાની વાત સ્વીકારવી હોય તો તમારે ઈરેશનલી જીવવું પડે આખી જિંદગી ! તમે ‘ના’ કહો તો થોડો વખત હલચલ થાય પરંતુ પછી બધાં ટેવાઈ જાય છે.

. 

અત્યારે ગુજરાતમાં તકલીફ એ છે કે મોટિવેશનલ લેખકો / વક્તાઓનો જમાનો આવી ગયો છે; જે આયોજકો એમને બોલાવે છે; તેમને ગમે એવું એ બોલે છે ! આવા મોટિવેશનલો /કથાકારો / ડાયરા કલાકારો; આ બધાં જ એક આખું વિષચક્ર રચીને બેઠાં છે; એમાંથી બહાર આવવા માટે ધીમે ધીમે એક થોટ પ્રોસેસ વિકસાવી પડે. અમે વાર્તા / કવિતાઓ દ્વારા આ કામ કરીએ છીએ. 

.

અમે ‘સ્ત્રીઆર્થ’માં એવી કવિતાઓ / વાર્તાઓ લઈએ છીએ, જેનાથી બીજા લોકો આ વિષચક્રમાંથી બહાર આવે. 

મનીષી જાની :

“હું વિશ્વાસ કરું છું કે જ્ઞાનભક્તિ મનુષ્યના અભ્યાસ / સંશોધનથી જ થઈ શકે છે. તે કોઈ દૈવીકૃપાથી પ્રાપ્ત થતી નથી. તમામ પ્રકારની સમસ્યાઓનો માણસના નૈતિક અને બૌદ્ધિક મૂલ્યોથી હલ લાવી શકાય છે. અને તેના માટે અલૌકિક શક્તિઓને શરણે જવાની કોઈ જરૂર નથી !” આ ઠરાવ પર આપણા દેશના મોટા ભાગના વૈજ્ઞાનિકોએ સહી કરવાનો ઈન્કાર કરી દીધો ! 

.

સાયન્ટિફિક ટેમ્પર એટલા માટે મહત્ત્વનો છે કે એ કહે છે કે પ્રશ્ન પૂછવો એ અધિકાર છે. બીજું, સાયન્ટિફિક ટેમ્પર તમને નમ્ર બનાવે છે. ‘હું નથી જાણતો, મને ખબર નથી;’ આવું દંભી માણસ નહીં કહે, ઈગો-વાળો માણસ નહીં કહે. પરંતુ જે ખરેખર વૈજ્ઞાનિક અભિગમ વાળો માણસ હશે તે ચોક્કસ કહેશે કે આ જ્ઞાન મારી પાસે નથી ! આ નમ્રતા વૈજ્ઞાનિક અભિગમ શિખવાડે છે, કોઈ ધર્મ શિખવાડતો નથી. 

.

મનુષ્યને કેન્દ્રસ્થાને રાખો. આપણે બેઠાં છીએ / બોલી રહ્યા છીએ; એની પાછળ હજારો વર્ષનો ઇતિહાસ છે. લોકોના શ્રમનો ઇતિહાસ છે. આ બિલ્ડિંગ માટે ઈંટો બનાવી હશે / ચણતર કર્યું હશે / આ ઈકો સિસ્ટમ ઊભી કરી હશે / આ માઈક બનાવ્યું હશે / કેટલાં ય બધાંની શોધ પછી આપણે અહીં પહોંચ્યા છીએ. 

.

23 વરસના સ્પિનોઝાએ કહ્યું હતું કે આ કાયદા કાનૂન બાઈબલે નથી બનાવ્યા, મનુષ્યે બનાવ્યા છે ! એટલે ધર્મગુરુઓએ તેનો બહિષ્કાર કર્યો. તેને કેટલી ય રઝળપાટ કરવી પડી. આજે આપણી પાસે આ આખો વારસો છે. આટલાં બધાંની શહીદી / આટલા બધાંના સંઘર્ષો / આટલા બધાંના વિચારો, એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. એ સચવાય અને તેનો અમલ ચાલુ રહે. 

.

સમાજમાં એક ચાર માળનું એક એવું બિલ્ડિંગ છે. જેમાં ઉપર જવાની કોઈ સીડી નથી કે નીચે ઉતરવાની સીડી નથી ! વર્ણવ્યવસ્થાની આ બાબત આપણા દિલમાં ચૂભતી નથી ! ગાંધીજીએ કહ્યું કે અસ્પૃશ્યતા કલંક છે. પરંતુ અસ્પૃશ્યતા આવી ક્યાંથી? આ વર્ણવ્યવસ્થા જડબેસલાક છે અને એટલી ઊંડી ઊતરી ગઈ છે; પછી આપણામાં ક્યાંથી વૈજ્ઞાનિક અભિગમ આવવાનો? માણસને માણસ જ નથી ગણતા !

.

મનુષ્યને સમાન ગણતા હોઈએ તો આપણે જ્ઞાતિ ફંકશનોમાં ન જવું જઈએ; ફેસબૂક પર ફોટા ન મૂકવા જોઈએ. આ જ્ઞાતિ ગૌરવમાંથી બહાર તો આવતા નથી ! આ અદૃશ્ય દિવાલો આપણી વચ્ચે છે જ; આ દિવાલો હજારો વરસોથી ઊભી કરી છે. મનુસ્મૃતિ વાંચો તો તમે ધ્રૂજી જાવ ! આ પ્રકારનું દમન, આ પ્રકારના નિયમો ! 

.

વર્ણવ્યવસ્થા અને પિતૃસત્તા જોડાયેલાં છે. દરેક જ્ઞાતિએ એવા નિયમો બનાવ્યા છે કે પોતાની જ્ઞાતિથી નીચલી જ્ઞાતિમાં દીકરી ન જવી જોઈએ. પુરુષ માટે છૂટ છે ! જાતિ વ્યવસ્થા પિતૃસત્તાને મજબૂત કરે છે. સ્ત્રીની સ્વતંત્રતા પર કાપ આવે છે. એવું જ ધર્મનું છે. ધર્મ હંમેશા સ્ત્રીઓને કંટ્રોલ કરે છે. ધર્મ અને જાતિ વ્યવસ્થા સૌથી વધુ સ્ત્રીઓને સેકન્ડ નંબરની સિટિઝન બનાવવામાં ભૂમિકા ભજવે છે. 

.

રેશનાલિઝમ એટલે શું? પેરિયારના આ શબ્દો જૂઓ : “જો કોઈ દેશ નાના દેશને દબાવે તો હું નાના દેશની સાથે ઊભો રહીશ. જો એ નાના દેશનો બહુસંખ્યક ધર્મ, તેના અલ્પસંખ્યક ધર્મને દબાવે છે તો હું અલ્પસંખ્યક ધર્મ સાથે ઊભા રહેવાનું પસંદ કરીશ. જો એ અલ્પસંખ્યક ધર્મની જાતિઓ કોઈ એક ધર્મને દબાવે છે તો હું એ જાતિ સાથે ઊભો રહીશ. જો જાતિમાંથી માલિક કોઈ કામદાર પર દમન કરે છે તો હું એ કામદાર સાથે ઊભો રહીશ. અને જો કામદાર ઘેર જઈને પોતાની પત્નીને મારે છે તો હું એ સ્ત્રી સાથે ઊભો રહીશ. મારા મુખ્ય દુ:શ્મન દમન અને જુલમ છે !”

ભૂપેન્દ્રસિંહ રાઓલ :

સ્ટ્રગલ નિવારવા બદમાશ બ્રેઈને વર્ણવ્યવસ્થા ઊભી કરી. અમે એકલા જ ભણીએ / અમે એકલા જ પૈસા કમાઈએ / તમે બધાંની સેવા કરો. બહુ મોટી કોમ્પીટિશન હતી. બધા ભણે તો તકલીફ થઈ જાય. ભણવાનું તો એક જ વર્ણને, લડવાનું તો એક જ વર્ણને, એક જ વર્ણ પાસે પૈસો. આમાં જ ભારત ખતમ થઈ ગયું. જ્ઞાતિપ્રથા / વર્ણવ્યવસ્થાએ આ દેશની ઘોર ખોદી નાખી !

.

શ્રદ્ધા, અંધશ્રદ્ધા એક જ છે. અમિતાભ બચ્ચન માથે ટોપલો મૂકીને ચાદર ચડાવવા જાય તો તેમાં આપણને શ્રદ્ધા દેખાય છે; પરંતુ કોઈ ગરીબ ચૂંદડી ચડાવે તો તેમાં આપણને અંધશ્રદ્ધા દેખાય છે ! ગરીબોની શ્રદ્ધાને આપણે અંધશ્રદ્ધા કહીએ અને અમીરોની અંધશ્રદ્ધાને શ્રદ્ધા કહીએ ! આપણા ધર્મની અંધશ્રદ્ધાઓ આપણને શ્રદ્ધા લાગે છે અને બીજા ધર્મની શ્રદ્ધાઓ આપણને અંધશ્રદ્ધા લાગે છે ! 

.

ઝાડ સમક્ષ બોલનાર અને મૂર્તિ સમક્ષ બોલનારની બ્રેઈન સર્કિટ સરખી જ હોય છે. 

.

આપણા દેશમાંથી વર્ણવ્યવસ્થા દૂર કરવી અઘરી છે. એના માટે જિનેટિક્સનો અભ્યાસ કરો અને તે અભ્યાસ જેટલો ફેલાય તો ખ્યાલ આવશે કે બધાં એકના એક છે. 

.

તમે જિનેટિક્સ વાંચો. હ્યુમન માઈગ્રેશન, જર્ની ઓફ મેન એનો અભ્યાસ કર્યા પછી લાગ્યું કે આ નાતજાત તો છે જ નહીં. બધા હોમો સેપિયન્સ જ છે. તો પછી આ નાતજાત આવી ક્યાંથી? આફ્રિકામાંથી માણસ નીકળ્યો, યમનના દરિયાકાંઠેથી તે ફેલાયો. DNA તો એકના એક જ છે. માર્કર જુદા જુદા હોય. કલહરીનો સામ બુશમેન આખી દુનિયાનો બાપ છે. 

.

ડોક્ટરનું કામ પણ પ્લમર જેવું છે. પ્લમર નળ ફિટ કરી દે તે રીતે ડોક્ટર ઓપરેશન કરે, પછી તે શ્રીનાથજીની પૂજા કરવા જતો રહે ! ભણેલામાં પણ વૈજ્ઞાનિક અભિગમ નથી હોતો. કેટલાંક કહે છે કે આપણા ઋષિમુનિઓ વિમાન બનાવતા / બેટરી બનાવતા / પ્લાસ્ટિક સર્જરી કરતા. પરંતુ બ્લડ ગૃપ મેચ નથી થતું તો બોડી રીજેક્ટ કરે છે, તો હાથીનું માથું કઈ રીતે બાળકના માથે ફિટ થઈ શકે? બાળકની ગરદનનો પરિઘ અને હાથીના માથાનો પરિઘ અલગ અલગ છે; છતાં તે કઈ રીતે સેટ કર્યું હશે? આ બધી ખોટી વાર્તાઓ છે. 2014 પછી અંધશ્રદ્ધામાં ઉછાળો આવ્યો છે. 

.

સહેજ જગ્યા મળે એટલે મંદિર ઊભું કરી દે ! ખૂણાખાંચરે પણ માતાજીનું દેરું બનાવી દે ! આપણે કરોડો કરોડોના ખર્ચે મંદિરો ઊભા કરીશું પણ પ્રથમ 10માં આવે તેવી તક્ષશિલા જેવી યુનિવર્સિટી નથી બનાવી શક્યા ! મંદિર એટલે ડેડ ઈન્વેસ્ટમેન્ટ. તમારે મંદિર જોતું હોય તો સરકાર શા માટે કોલેજ બનાવે? 

.

ઓર્ગેનાઈઝડ ક્રાઈમ અને ઓર્ગેનાઈઝડ રીલિજિયનમાં કંઈ ફેર નથી ! ઓર્ગેનાઈઝ ક્રાઈમમાં દાઉદની બીક બતાવી બતાવીને પૈસા વસૂલે; જ્યારે ધર્મવાળા ભગવાન /ખુદા / ગોડની બીક બતાવીને પૈસા લે છે ! 

.

કર્મ કોઈનું સરનામું ભૂલતું નથી, એ વાત ખોટી છે. કેટલાં ય બદમાશો / શોષણખોરો સુખેથી જીવે છે ! કર્મ રોજે સરનામું ભૂલી જાય છે ! કર્મના નિયમમાં ઘણા છીંડા છે. 3 કે 9 વર્ષની છોકરી પર બળાત્કાર થાય છે, તો એને ક્યા કર્મના નિયમ મુજબ મૂલવશો? શું પૂર્વજનમમાં એ છોકરીએ પેલા પર બળાત્કાર કર્યો હશે, એટલે આ જનમમાં ભોગવવું પડ્યું? જો કર્મનો સિદ્ધાંત જ કામ કરતો હોય તો પોલીસ / કોર્ટ / કચેરીની જરૂર શું છે? 

.

આપણા દેશમાં સવાલ કરવાની મનાઈ છે. તમે સવાલ કરો તો લોકો બહુ ગરમ થઈ જાય ! ગીતામાં જ કહ્યું છે કે ‘संशयात्मा विनश्यति.’ સંશય કરવો નહીં, જે કહીએ તે માની લેવાનું ! ગીતાને સ્કૂલોમાં શિખડાવાની જરૂર નથી; જેને રસ હશે તે ગીતા પર પીએચ.ડી. કરી શકે છે. સ્કૂલોમાં ધર્મ પુસ્તકોનો ભણાવવા તે ષડયંત્ર છે. ધીમે ધીમે તમને પાછળ લઈ જશે; વર્ણવ્યવસ્થા ધીરે ધીરે સોલિડ કરી નાખશે ! 

. 

હોમો સેપિયન્સ બધાં એક જ DNAમાંથી આવેલા છે. દુનિયાની બધી જાત એક જ છે. કાળા-ધોળા બધાં જ એક વંશના છીએ. કોઈ ફરક નથી. આ બધાનો તમે અભ્યાસ કરો / વિચારો તો આમાંથી મુક્ત થવાય.

[આભાર : વિચારગોષ્ઠીનું પોસ્ટર તૈયાર કરી શ્રોતાઓનું રજિસ્ટ્રેન અને ગોષ્ઠીના સંચાલન માટે જાગુ પટેલનો. વક્તાઓનો. શ્રોતાઓનો. નવજીવન હોલ-સાઉન્ડ સીસ્ટમ માટે વિવેક દેસાઈનો. ગોષ્ઠીને લાઈવ કરનાર નવજીવન ન્યૂઝના તૃષાર બસિયા / સોનુ સોલંકી / દેવલ જાદવ / મિલન ઠક્કરનો. ફોટોગ્રાફી માટે લંકેશ ચક્રવર્તીનો. ચા-નાસ્તાની સગવડ કરી આપનાર કર્મ કાફેનો. ગોષ્ઠીની પૂર્વ તૈયારીમાં તથા ગોષ્ઠી દરમિયાન મદદ કરનાર શોયેબ મિર્ઝાનો. ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી હાજર રહી શક્યા નહીં, પરંતુ દૂરથી પણ ગોષ્ઠીના આયોજનમાં કોઈ કસર ન રહે તેની તકેદારી લેનાર પ્રશાંત દયાળનો.]

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અસહાય વિદ્યાના વિદ્યા સહાયકો અને વિદ્યા સહાયકોની અસહાય વિદ્યા

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 February 2023

રવીન્દ્ર પારેખ

શિક્ષણ જગતમાં જે કામચલાઉ વ્યવસ્થાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં ઊભી થઈ છે તેણે શિક્ષિતોમાં ભારે નિરાશા જન્માવી છે. ઘણાંનાં મનમાં પ્રશ્ન થાય છે કે તેણે ઢગલો રૂપિયા ખર્ચીને ભણવું જ શું કામ જોઈએ, જ્યાં અભણ કે ઓછું ભણેલા વધુ તકો ને આર્થિક લાભ મેળવતાં હોય? સાદો દાખલો મંત્રીઓનો લઇએ. એ જો માત્ર આર્થિક રીતે સદ્ધર હોવાને લઈને ઉચ્ચ પદ મેળવતા હોય ને એના હાથ નીચેના કમિશનરો ને કલેક્ટરો હુકમ ઉઠાવતા હોય, પીએચ.ડી. થયેલો અધ્યાપક કોઈ કોલેજ કે સ્કૂલમાં નોકરી કૂટતો હોય ને એનાથી ઓછું ભણેલો રાજકીય વગને કારણે કોઈ યુનિવર્સિટીમાં કુલપતિ થઈને આદેશો આપતો હોય કે કોઈ ઉદ્યોગપતિ વધારે ભણેલા કરતાં મોટા આવાસોમાં લહેર કરતો હોય, તો શિક્ષણનું કેટલું મૂલ્ય ખરેખર રહ્યું છે તે વિચારવાનું રહે.

રાજા કરતાં એનો મંત્રી કે સેનાપતિ વધુ સક્ષમ હોય એવું ઘણીવાર બન્યું છે. કાલિદાસ કે ટાગોર કરતાં વધુ અમીરો જગતમાં હતા જ, પણ વિદ્યાનું, કળાનું ત્યારે મૂલ્ય હતું. સભામાં કોઈ કવિ આવતો તો રાજા તેના સત્કારમાં આગળ આવતો ને તેને યોગ્ય સ્થાન આપતો. ટૂંકમાં, જે આર્થિક રીતે સક્ષમ ન હતી તે વ્યક્તિ વિદ્યાને બળે ઘટતું સન્માન પામતી. એ રીતે વિદ્યા સત્તાની સમકક્ષ મુકાતી. આજે ક્યાંક શિક્ષણનું, કળાનું ઉચિત સન્માન થાય છે, પણ મોટે ભાગે શિક્ષણ કરતાં સંપત્તિ વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી થતી આવે છે. એમ થવાનું એક કારણ શિક્ષણને આપણે અતિશય મોંઘું બનાવી મૂક્યું છે તે છે. લાખો રૂપિયા વગર એન્જિનિયર કે ડૉક્ટર થવાનું મુશ્કેલ છે. સાધારણ ડિગ્રી કોર્સની ફી પરવડે એવી ભાગ્યે જ હોય છે. એમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને તો ગ્રાન્ટ ન મળતી હોવાને લઈને, હેતુ એ રહ્યો છે કે પૈસા હોય તે જ ભણે. એમાં બધું જ ઉત્તમ હોય છે એવું નથી. કમાલ તો એ છે કે પ્રાથમિક શિક્ષણ મફત છે ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ફીથી ચાલે છે. ઘણીવાર તો કે.જી., નર્સરીની ફી જ એટલી હોય છે કે કોલેજની ફી સહ્ય લાગે. આટલી માથાકૂટ પછી, મોંઘી ફી ભરીને પ્રાથમિક શિક્ષક થવું હોય તો તે સહેલું નથી. પ્રાથમિક શિક્ષક થવામાં જ પરસેવો પડી જતો હોય ત્યાં અધ્યાપક કે હેડ થવાનું કેટલું મુશ્કેલ હશે એની તો કલ્પના જ કરવાની રહે છે.

એક તરફ નવી સ્કૂલો ખૂલવાનાં લાઇસન્સો અપાય છે, પણ છે તે સ્કૂલોની દશા બદથી ય બદતર છે. દેશ રામ ભરોસે ને સ્કૂલો ભગવાન ભરોસે ચાલે છે. ગામડાંની સ્કૂલોને જરૂરી વર્ગો નથી, માથે છત નથી, શિક્ષકો નથી ને આપણે ‘મેરા ભારત મહાન’ બોલી બોલીને જ દેશને મહાન કરી રહ્યાં છીએ. કરોડો, અબજોની યોજનાઓ છાશવારે ખુલ્લી મુકાતી રહે છે, એને બજેટની મુશ્કેલી નથી, પણ એક નાની સ્કૂલને સરખી રીતે ચલાવવાની મુશ્કેલીઓ દૂર થતી નથી. શિક્ષકોની ઘટ પુરાતી જ નથી ને વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો, પ્રવાસી શિક્ષકોની હંગામી નિમણૂકોનો ઉપકાર, ઉમેદવારો પર થતો રહે છે. નિર્દયતાનો, નિષ્ઠુરતાનો આ નમૂનો છે. દેખાવ એવો છે કે હંગામી નિમણૂકો દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની બેકારી દૂર કરાય છે, પગાર નહીં, પણ રોજ પર મજૂરો રખાતા હોય એ ધોરણે. બધી રીતે લાયક ઉમેદવારને કોઈ કારીગર કરતાં ઓછો રોજ આપીને આ સેવા શિક્ષણ વિભાગ વર્ષોથી કરે છે.

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા, એક જિલ્લા માટે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. 28 ફેબ્રુઆરી, 2023 અરજી કરવાની છેલ્લી તારીખ છે. બધી જ યોગ્યતા છતાં ઉમેદવાર પસંદ થાય તો તેને ધારાધોરણ પ્રમાણે પગાર નહીં, પણ ફિક્સ પગાર આપવાનું નક્કી થયું છે. પાંચ વર્ષ માટે દર મહિને 19,950, ધોરણ 9-10ના શિક્ષા સહાયક માટે 25,000, તથા 11-12 માટે 26 હજાર અપાશે. આમ તો જે તે યોગ્યતા મુજબ જ ઉમેદવારની પસંદગી થઈ હશે, છતાં પાંચ વર્ષ સુધી સેવા સંતોષકારક જણાશે તો નિયમિત પગાર ધોરણમાં જે તે સહાયકનો સમાવેશ કરાશે ને તેવું ન જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ, એક માસની નોટિસથી તેને છૂટો કરી શકાશે. જોઈ શકાશે કે નિયમિત પગાર ધોરણ માટે જરૂરી છે એ બધી જ યોગ્યતા સહાયકો પાસેથી પણ અપેક્ષિત છે, પણ એમના લાભો મર્યાદિત છે. જેમ કે, પાંચ વર્ષ પૂરાં થતાં પહેલાં સેવા સંતોષકારક ન જણાય તો એક મહિનાની નોટિસથી જે તે વ્યક્તિને ફરજ મુક્ત કરી દેવાશે. સાડા ચાર વર્ષથી વધુ સમય સુધી સારી રીતે નોકરી કરી હોય ને છેલ્લા મહિનાઓમાં સાહેબને લાગે કે સહાયકને છૂટા કરવા છે, તો આગલી શ્રેષ્ઠ સર્વિસનો કોઈ અર્થ ન રહે ને એની નોકરી જશે. હવે આ સેવા ‘સંતોષકારક’ લાગવાનું ગુણવત્તા કે ફરજ પરસ્તી પર જ આધારિત હોય એવું જરૂરી નથી. એ સિવાયનાં માનવીય કારણો પણ હોઈ શકે. એટલે કે જે નોકરી કરે છે તેણે શોષણ માટે પણ તૈયાર રહેવાનું છે. ઉપરી અધિકારીઓને નારાજ કરવાનો સાદો અર્થ નોકરીથી હાથ ધોવાનો જ થાય. જ્યાં પ્રમાણિકતાથી સહાયક કે સાહેબો વચ્ચેના સંબંધો નભે છે ત્યાં તો બહુ વાંધો નથી આવતો, પણ જયાં એવું નથી, ત્યાં સાહેબની ખફગી સહાયકને અસહાય કરી શકે. જો સહાયક ખરેખર જવાબદાર હોય ને તેને છૂટો કરાય, તો તેનો અફસોસ ન થાય, પણ એવું ન હોય તો તેણે પોતાનો ભોગ આપવાનો થાય. પાંચ વર્ષ પછી નિયમિત પગારે તેની નોકરી ચાલુ થાય ને પછી ફરજ બરાબર ન બજાવાય તો બહુ વાંધો નથી આવતો. એવા કેટલા ય કાયમી શિક્ષકો હશે જે પછી તો કોઈ હંગામી નોકરીને ય લાયક નહીં હોય, પણ તે પેન્શન ખાવા જેટલા સફળ ગણાય છે ને વિદ્યા કે શિક્ષા સહાયકો પાંચ વર્ષમાં કોઈ ગફલત કરે તો તેની હાલત કફોડી થઈ જાય છે. તેને બીજે નોકરીનાં ય પ્રશ્નો નડે એમ બને, કારણ પાંચ વર્ષ ઉમર વધી ગઈ હોય ને બીજે પણ નોકરીની ઉંમર નીકળી જાય એમ બને. આ અનિશ્ચિતતા ઉમેદવારનું પેટ ચોળીને ઊભી કરાઈ છે ને છેવટે તો ઉમેદવારોને, સાહેબોની મહેરબાની પર જ છોડી મૂકવા જેવું થાય છે.

આવી જ અનિશ્ચિત્તતા પ્રવાસી શિક્ષકો સંદર્ભે પણ ઊભી થાય છે. પ્રવાસી શિક્ષકોની નિમણૂકનાં નિયમો, તેનું પગાર ધોરણ અને જુદા જુદા જિલ્લાઓમાં ભરતીની સંખ્યાની વિગતો, 1 જુલાઇ, 2022થી 30 એપ્રિલ, 2023ના ગાળા માટે બહાર પડી છે. આ વખતે 10,000 જગ્યાઓ પ્રવાસી શિક્ષકો માટે જાહેર થઈ છે. આમ મજૂરો રોજ પર રખાય છે, પણ પ્રવાસી શિક્ષકોને તાસ પર રખાય છે. પટાવાળો માસિક પગાર પર હોઈ શકે, પણ પ્રવાસી શિક્ષક પિરિયડ પર રાખીને તેમનાં શિક્ષણનું માન જાળવી લેવાય છે. સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં, 1થી 12 ધોરણમાં હજારો જગ્યાઓ ખાલી છે, પણ તેને વિકલ્પે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો, હજારોની સંખ્યામાં રાખે છે. સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં માનદ વેતનમાં 175નો તાસ દીઠ અને મહત્તમ રોજનો 875નો ભાવ પાડ્યો છે. તાસનો ભાવ વધ્યો છે, પણ પિરિયડ 6ના 5 થયા છે. એ જ રીતે ઉચ્ચતર મધ્યમિકમાં તાસ દીઠ ભાવ 200 છે અને મહત્તમ દૈનિક વેતન 800 નક્કી થયું છે. પિરિયડ 6ના 4 થયા છે. પ્રાથમિક શિક્ષણમાં તાસ નથી હોતા, ત્યાં દૈનિક માનદ્દ વેતન 510 છે ને ઉચ્ચક મહત્તમ માસિક વેતન 10,500 છે. આમાં કરકસર છે. મહિનાનો પગાર ગણાય તો 510ને હિસાબે અંદાજે 15,300 થાય, પણ હિસાબ 10,500માં જ પતી જાય. 4,800નો ચોખ્ખો નફો. આવી નાની બચત માટે જે મજૂરો રાખેલા હોય તેમને પણ કૈં ખટાવવું પડેને, તે 4,800માંથી ચૂકવાતું હોય એમ બને. એવી જ રીતે માધ્યમિકમાં 16,500 અને ઉચ્ચતર માધ્યમિકમાં 16,700 નો ભાવ તૂટે નહીં તેની કાળજી લેવાની રહે છે. આ વર્ષે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 14 હજાર જેટલી જગ્યાઓ 10,000 પ્રવાસી શિક્ષકોથી ભરવાની થશે. એ જ રીતે અગાઉ 3,300 વિદ્યા સહાયકો સરકારે લીધા છે. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 9,000 જેટલા પ્રવાસી શિક્ષકો પણ ખાલી પડેલી જગ્યાઓ પર મુકાશે. અહીં સવાલ એ થાય કે આટલી કસરત કરવા કરતાં મૂળ જગ્યાઓ ભરતાં કોણ રોકે છે? આટલી કસરત પછી પણ મૂળ નિમણૂકો તો ઊભી જ છે.

આ બધું જોતાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. શિક્ષણ વિભાગ એ જાણે છે કે કેટલાય પ્રવાસી શિક્ષકોના આટલા ઓછા પગાર પણ ચૂકવી શકાતા નથી ને 6થી 7 મહિનાના પગાર બાકી જ રહે છે? બીજી નોકરી નથી એટલે લાચારીથી આ પ્રવાસી શિક્ષકો 35-40 કિલોમીટરનો પ્રવાસ પોતાને ખર્ચે કરીને સ્કૂલે પહોંચે છે ને તાસ દીઠ ચૂકવણું, મહિનાઓ થવા છતાં નથી થતું તે શિક્ષણખાતું ને શિક્ષણ મંત્રીશ્રી જાણે છે? જ્યાં પગાર થતો હોય ત્યાં સરકારને વધાવીએ, પણ એકને ગોળ ને એકને ખોળ જેવું થતું હોય તો તેની ચિંતા કરવાની કે કેમ? એવો પણ વહેમ પડે છે કે ઉચ્ચક પગાર ને ફિક્સ પગારની આખી ફોર્મ્યુલા શિક્ષકોને પૂરા લાભ ના આપવા પડે એટલે અજમાવાય છે. 10-11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખવાથી બે મહિનાનો પગાર બચે, વેકેશનનો પગાર ન આપવો પડે, અન્ય રજાઓ ને સગવડોથી શિક્ષકોને વંચિત રાખી શકાય, એ કોઈ યુનિયનમાં જઇ ન શકે કે ફરિયાદ ન કરી શકે, કારણ કે એની પાસે બધી યોગ્યતા છતાં પૂરા પગારની નોકરી નથી ને છે તે નોકરી ગુમાવવાનું તેને પાલવે એમ નથી, એટલે એ લાચાર થઈને ઓછામાં પણ ચલાવે છે. શિક્ષણ જ જો શોષણનો પર્યાય હોય તો શિક્ષકના હાથમાં ભવિષ્ય છે એવી શ્રદ્ધા બચે છે ખરી? જેનું પોતાનું ભવિષ્ય ધૂંધળું છે, એ શિક્ષક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે એવી કેટલી જગ્યા આપણે એની પાસે રહેવા દીધી છે? જો બીજા બધા માટે બજેટ ફાળવી શકાતું હોય તો શિક્ષણ માટે વધુ બજેટ ફાળવીને એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે શિક્ષક આત્મનિર્ભર બને ને વિશ્વાસથી દેશનું ભવિષ્ય ઘડે, બાકી, આંગળાં ચાટવાથી પેટ ભરાતું નથી, તે કહેવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ફેબ્રુઆરી 2023

Loading

અમથું-અમથું 

ઉમેશ સોલંકી|Poetry|16 February 2023

કોઈ ગયું

થવાનું હતું એ, થયું.

બળ્યું

રખ્યા જેવુંય પછી કંઈ ન રહ્યું.

ખખડ્યું પતરું

અને ખખડી પડ્યું મન અમથું-અમથું.

e.mail : umeshsol@gmail.com

Loading

...102030...1,1951,1961,1971,198...1,2101,2201,230...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved