Opinion Magazine
Number of visits: 9458367
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરતનાં કલાજગતને –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 November 2022

ગુજરાતીઓને ગુજરાતી ભાષા પ્રત્યે સૂગ છે ને બને ત્યાં સુધી અંગ્રેજીની, ભાષા અને સંસ્કાર બાબતે ભદ્દી નકલ ન કરે તો તેમને સંતોષ નથી થતો. એવું ન હોય તો ‘છેલ્લો શો’ જેવી ઓસ્કાર સુધી પહોંચેલી, અમરેલીના આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો’ શો જેવી તો ચાલે નહીંને ! ‘હેલ્લારો’ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ને તેનો સંગીતનો પુરસ્કાર સુરતના મેહુલ સુરતીને મળ્યો. સુરતના નાટ્ય કલાકારો ફિલ્મોમાં પ્રવેશ્યા છે ને અત્યારે ગુજરાતીમાં સારી ફિલ્મો બની રહી છે, તેનું માર્કેટ ઊભું થયું છે, ત્યારે થાય છે કે સુરતમાં કે ગુજરાતમાં કોઈ સરકારી કે ખાનગી યુનિવર્સિટીમાં કે કોઈ ખાનગી સંસ્થામાં પૂર્ણ કક્ષાનો ફિલ્મ મેકિંગનો કોર્સ શરૂ થવો જોઈએ. ગુજરાત સરકાર તેની કોઈ યુનિવર્સિટીમાં, બને તો સુરતમાં આ પ્રકારનો ડિગ્રી કોર્સ શરૂ કરે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં વેગ આવે અને ગુજરાતને સારી ફિલ્મો મળે. લોકાલ, સંગીત, ગાયક, ગીતકાર, કલાકાર, દિગ્દર્શક એમ બધું અહીં છે. વધારામાં ગુજરાત સરકારે સીનેમેટિક ટુરિઝમ પોલિસી ગયા સપ્ટેમ્બરમાં જ જાહેર કરી છે. સુરતમાં નર્મદ યુનિવર્સિટી, સાર્વજનિક યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ છે ને અહીંના કલાકારો એની માંગ કરે તો આ અશક્ય નથી. પ્રતીક્ષા છે સુરતના અને ગુજરાતના કલાકારો સક્રિય કે સજીવ થાય એની –

એમ લાગે છે કે આપણે વત્તે ઓછે અંશે રાજકારણનો ભાગ થઈ ગયાં છીએ. હવે આપણો રસ મત આપવા પૂરતો જ નથી રહ્યો, પણ કોઈ રાજકીય પક્ષ સાથે આપણી સીધી કે આડી ભાગીદારી થતી આવે છે. આમ સીધાં રાજકારણમાં આપણે નથી, પણ કોઈ પક્ષનો પ્રધાન કે નેતા આપણને જાણે કે ન જાણે, પણ આપણે તેનાં થઈ ઊઠીએ છીએ. એની વાતો, એનું રાજકારણ આપણે ઘરમાં લઇ આવીએ છીએ ને એને માટે મરવા – મારવા પર આવી જઈએ છીએ. આ બધું નિસ્વાર્થ ભાવે થતું નથી, કારણ, રાજકારણ પોતે નિસ્વાર્થ ભાવે થતું નથી. આપણે ખરેખર કોઈ પક્ષની નીતિ – અનીતિમાં માનીએ એ જુદી વાત છે, પણ કૈં ન મળવાનું હોય તો પણ ગલી-મહોલ્લામાં કે નાની મોટી સભાઓમાં બાંયો ચડાવવા તૈયાર થઈ જઈએ છીએ. ઘણુંખરું તો ચર્ચાની કે હિંસાની એ નેતા કે પક્ષને ખબર પણ નથી હોતી ને આપણે અમથાં જ કુટાઈ મરીએ છીએ. આપણામાંના કેટલાંક કોઈ રાજકીય લાભ કે માન-સન્માન ખરેખર યોગ્યતાને ધોરણે મેળવે છે, તો કેટલાંક તેની ભક્તિ કરીને, આરતી ઉતારીને તે પામે છે ને વધુને વધુ કૃપા પામવા ખુશામત કરતાં રહે છે. આ વર્ગ જ્યાં લાભ મળે ત્યાં લોટે છે. રાજકીય નેતાઓ ટિકિટ ન મળે તો જ્યાં મળે તે પક્ષમાં જઈને તેની આરતી નથી ઉતારતા? એવું જ પ્રજા પણ કરે છે. સાધારણ પ્રજા તો કરે, પણ કલાકારો એવું કરે ત્યારે પીડા થાય. હવે સ્વમાન ન હોય તે કલાકાર હોય – એવું સૂત્ર વધુ પ્રચલિત છે. બધા જ વેચાઉ છે એવું નથી ને જે કાને વાત ધરે એવા છે એને માટે જ તો આ લખવાનું થયું છે.

એટલું છે કે કળાકીય પ્રવૃત્તિઓ આ શહેરમાં અટકી છે. જ્યાં થાય છે ત્યાં સત્વ નહીં, પણ સત્તા ને સમાધાન વર્ચસ્વ ભોગવે છે. એક સમય હતો જ્યારે સંસ્થાઓના હૉલ શ્રોતાઓથી ભરેલા રહેતા. કળાકીય પ્રવૃત્તિઓથી ધમધમતા રહેતા. આ કૈં બહુ અગાઉના સમયમાં બન્યું છે એવું નથી, દાયકો પણ માંડ થયો હશે ને આ શહેર સાહિત્યિક, કળાકીય પ્રવૃત્તિઓનાં નામનું નાહીને તડકે પડ્યું છે. હજી ક્યાંક કવિ સંમેલનો થાય છે કે ચંદ્રકો વહેંચાય છે, પણ એમાં પાણીનો ય ભાવ ન પૂછવાની ઉદાસીનતા પ્રવર્તે છે. શ્રોતાઓ કે પ્રેક્ષકોની ગરજ કોઈને જ રહી નથી. અગાઉ કાર્યક્રમોની જાહેર નોંધ આવતી ને જાહેર આમંત્રણ અપાતું. શ્રોતાઓથી હૉલ છલકાતા. હવે કોઈ બોલાવતું નથી ને કોઈ આવતું ય નથી એ સ્થિતિ છે. ઓનલાઇનનો મહિમા એટલો છે કે ઓડિયન્સ ન હોય તો પણ યુ-ટ્યૂબ પર કાર્યક્રમ મૂકે એટલે સંસ્થાઓને સંતોષ થઈ જાય છે. હોલમાં કોઈ ન હોય તો વાંધો નથી, મંચ પર કેમેરામાં એકાદ ચહેરો ઝડપાય તો મોટો કાર્યક્રમ થયાનો સંતોષ મળી રહે છે. વાર્તા, આસ્વાદ, હાસ્ય, ચર્ચાના કાર્યક્રમો લગભગ અટકી ગયા છે. આમ થવામાં એક કારણ, રાજકારણ ઘરમાં ઘૂસી આવ્યું છે એ છે. મોબાઈલ, સોશિયલ મીડિયા વગેરેની વ્યસ્તતા એટલી વધી છે કે કાર્યક્રમ માટે હૉલ સુધી જવાની નવરાશ કોઈ પાસે નથી. કોઈ રાજકીય પાર્ટીની ચર્ચામાં, કોઈની પ્રશંસા-ચુગલીમાં, કોઈ નેતા કે પાર્ટીના પ્રચારમાં સામાન્ય માણસ તો પડતો જ ન હતો, પણ હવે કહેવાતા બુદ્ધિજીવીઓ, કળાકારો વગેરે પણ રસ લેતા થયા છે, એને કારણે ઘણો બધો સમય એ પ્રકારની વાતોમાં જ નીકળી જાય છે. ફિલ્મી કલાકારો રાજકીય પ્રચારમાં પડે તે તો સમજી શકાય, પણ કોઈ લેવાદેવા વગર ઘણાં વૉટ્સએપ કે સોશિયલ મીડિયામાં અમુકની તરફેણમાં કે અમુકના વિરોધમાં ગળચટ્ટો કે ગાળચટ્ટો પ્રચાર કરતાં રહે છે ત્યારે તેમનું તાટસ્થ્ય જોખમાતું લાગે છે. આ એમનું કામ નથી ને એ કરે છે ને જે કામ એમનું છે એ ટલ્લે ચડતું રહે છે. એમની ઓળખ કલાકારની છે ને એ કળા કોઇની ભાટાઇમાં વેડફાતી હોય તો તે પુનર્વિચાર માંગે છે.

એક સમય હતો જ્યારે નાટકો કે સાંસ્કૃતિક કાર્યક્રમો રંગ ઉપવનમાં કે ટેક્સટાઇલ માર્કેટના ઓડિટોરિયમમાં થતાં. ટેક્સટાઇલ માર્કેટનાં ઓડિટોરિયમમાં ધંધાદારી નાટકો જ આવતાં. રંગ ઉપવનમાં ધંધાદારી નાટકો ઉપરાંત કોર્પોરેશનની અને વિદ્યાર્થી સંઘની નાટ્ય સ્પર્ધાઓ થતી. એ પછી ટેક્સટાઇલ માર્કેટનું ઓડિટોરિયમ બંધ પડ્યું. શહેરની મધ્યમાં નાનપરામાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ 1980માં શરુ થયું ને ક્લોઝ્ડ અને કોમ્પેક્ટ થિયેટરની માંગ પૂરી થઈ. અનેક કળાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમાં થઈ ને એ પણ 2019થી બંધ પડ્યું છે. બંધ શું, જમીનદોસ્ત થયું છે. એ શરૂ થયું તે પછી એકાદ વખત રીપેરિંગ માટે 2011માં થોડા મહિના બંધ રહેલું. તે પછી એકાદ મોટો પોપડો 12 જુલાઇ, 2019 ને રોજ ખરી પડતાં તે બંધ કરવાનો અને નવું બાંધવાનો નિર્ણય સત્તાવાળાઓએ લીધો. એ વાતને ય વર્ષો થયાં. વચ્ચે એવી વાત પણ આવી કે હવે એ નાટકને માટે ફરી બંધાવાનું નથી, પણ અન્ય કમર્શિયલ હેતુ માટે તેનો ઉપયોગ થવાનો છે. એ સંદર્ભે પૂર્વ મેયરને પૂછતાં તેમણે વિશ્વાસ આપ્યો કે ત્યાં નાટ્યગૃહ જ બનશે. એ વાતને ય સમય થયો, ગાંધી સ્મૃતિનો કોઈ અણસાર અત્યારે તો વર્તાતો નથી. ત્યાં ભવન થવાનું છે કે બીજું કૈં એનો પણ કોઈ ફોડ કોર્પોરેશન પાડતું નથી. આમ તો ત્યાં હેરિટેજ થીમ પર ઓડિટોરિયમ થવાની વાત હતી, પણ બાંધ્યાં પહેલાં જ તે હેરિટેજમાં ન જાય તો સારું. હેરિટેજમાં ગણાવવા પણ કોઈ ઇમારત તો જોઈશે. એવું કૈં થશે કે કેમ એની ચિંતા છે. આમ તો આ ભવન માટે 24 સભ્યોની સમિતિ બનાવાઇ છે. સભામાં 46 કરોડ ખર્ચવાની વાત પણ થઈ છે જે સમય જતાં વધે એમ બને. આ સમિતિની કેટલી મીટિંગ થઈ છે તે નથી ખબર, પણ તેમાં નાટ્યકારો પણ છે. એમની અને કોર્પોરેશન વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન છે કે માત્ર વચ્ચેથી દિવસો જ પસાર થાય છે તે પણ નથી ખબર, પણ સમિતિના નાટ્યકારોએ આ મામલો તાકીદે હાથ પર લઈને જે તે સ્થિતિની સ્પષ્ટતા કરવી જોઈએ. કમ સે કમ એમણે આ જગ્યાનો નાટ્ય, કલા પ્રવૃત્તિ સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ નહીં જ થાય એની ખાતરી મેળવવી જોઈએ અને પ્રજાને આપવી જોઈએ.

હાલના મેયરની પણ ટર્મ પૂરી થવામાં છે. અત્યારે ઇલેક્શનનો વાવર ચાલે છે. નવા મેયર આવે તેમને  ‘ગાંધી સ્મૃતિ ભવન’માં કેટલો રસ હશે તે નથી ખબર, પણ જે રીતે કળાકીય પ્રવૃત્તિઓ સુરત મહાનગર પાલિકામાં ક્ષીણ થતી આવે છે તે જોતાં લાગે છે કે ‘ગાંધી સ્મૃતિ ભવન’ વિષે કોઈ સત્તાધીશ ગંભીર નહીં હોય. કોર્પોરેશનની વ્યાખ્યાન માળાઓ, નાગરિક સન્માન અને અન્ય કળાકીય પ્રવૃત્તિઓનો કોર્પોરેશનમાં હ્રાસ થયો છે તે જોતાં ગાંધી સ્મૃતિ ફરી સજીવન થાય એમ લાગતું નથી. એ સંજોગોમાં હાલના મેયરે એટલું પાકું કરી લેવું જોઈએ કે ગાંધી સ્મૃતિ ફરી સજીવન થશે. કમ સે કમ કોર્પોરેશને એટલી ખાતરી પ્રજાને આપવી જોઈએ કે ગાંધી સ્મૃતિ થઈને રહેશે. ગાંધી સ્મૃતિનાં પુનર્નિર્માણ માટે ટેન્ડર બહાર પડ્યું હતું એ ખ્યાલ છે, પણ તે કોઈક કારણોસર નકારવામાં આવ્યું. એ પછીની ગતિવિધિની ખબર નથી.

– અને આ શહેરનાં સાહિત્યકારો અને કલાકારોને તે શું કહેવું? આ જ મુદ્દે અગાઉ પણ આ જગ્યાએથી વાત થઈ છે, પણ એ જાણે કોઈ બીજા જ પ્રાણીને લગતી વાત હોય તેમ સૌ ચૂપ છે. આ શહેરનો હાલનો દરેક કલાકાર જ્યોતિ વૈદ્યથી અને તેનાં નાટકોથી પરિચિત છે. એની ખબર પણ નહીં પડે એ રીતે જ્યોતિ વૈદ્યના નામનું પાટિયું કોઈ ઉદ્યાનને ખાનગીમાં મારીને કોર્પોરેશને ફરજ બજાવી લીધી છે. એની વિધિવત જાહેરાત થઈ હોત તો આનંદ થયો હોત. જ્યોતિ વૈદ્ય કૈં બાગનાં પાટિયાનાં જ મહોતાજ નથી. એમનાં નાટકો આજની પેઢી સહિત ગુજરાત આખું ભજવે છે. એવી વ્યક્તિનું નામ ગાંધી સ્મૃતિ સાથે જોડીને એમનું યોગ્ય તે તર્પણ પાલિકાએ કરવું જોઈએ. વધારે નહીં તો ગાંધી સ્મૃતિનું ‘ગાંધી જ્યોતિ ભવન’ એટલું તો ઓછામાં ઓછું થઈ જ શકે. કોર્પોરેશન એટલી ફરજ બજાવે તે નાટ્ય કલાકારોએ જોવાનું રહે. કમ સે કમ આ મુદ્દે અવાજ ઉઠાવીને સજીવ હોવાની ખાતરી કલાકારો આપે તો ય ઘણું. કલાકારો સાવ નિર્વીર્ય તો ન હોવા ઘટે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 નવેમ્બર 2022

Loading

“આટલાં જૂઠાણાં ફેલાવવાનો અધિકાર તમને કોણે આપ્યો?”

અનુવાદક : નંદિતા મુનિ|Opinion - Opinion|14 November 2022

રાજમોહન ગાંધીનો જવાહરલાલ નેહરુ વિશે ફેલાવાતા જૂઠા સમાચારો બાબતે અફસોસ

‘ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવ’માં મહુવા મોઇત્રા સાથે પોતાના છેલ્લા પુસ્તક ‘1947 પછીનું ભારત :  ચિંતન અને સ્મૃતિઓ’ વિશે ચર્ચા કરતી વખતે ઇતિહાસવિદ્‌ રાજમોહન ગાંધીનો કંઠ લાગણીથી અવરુદ્ધ બની ગયો હતો.

પ્રશ્ન : તમને સૌથી દુ:ખદ વસ્તુ શું લાગે છે?

ઉત્તર : ઉચ્ચ સ્થાનેથી અત્યાચારો વિશે સેવવામાં આવતું મૌન.

પ્રશ્ન : આવું કોણે જણાવ્યું?

ઉત્તર : એ જ વ્યક્તિએ, જેનો કંઠ વર્તમાન ભારતમાં જવાહરલાલ નેહરુને નફરતનું નિશાન બનાવવાની નવી પ્રણાલિકા વિશે વાત કરતા રુંધાઇ ગયો હતો.

પ્રશ્ન : ભારતીયો હજી નેહરુ પ્રત્યે આટલી ઊંડી લાગણી ધરાવે છે?

ઉત્તર : હા. કમ સે કમ એક ભારતીયને તો એવી લાગણી છે જ. અને શક્ય છે કે હિમાલયને પણ એવી લાગણી થતી હોય.

***

નેહરુ વિશે ફેલાવાઈ રહેલા વિષાક્ત જૂઠાણાં અને ભારતીય સમાજના એક મોટા હિસ્સા દ્વારા એના સત્ય તરીકે સ્વીકાર વિશે એક સાહિત્ય ઉત્સવમાં બોલતી વખતે ઇતિહાસકાર રાજમોહન ગાંધી લાગણીવશ થઈ ગયા હતા.

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી હાલ અર્બાના-શેમ્પેઇન, યુ.એસ. ખાતેના ઈલિનોઈ વિશ્વવિદ્યાલયમાં  સંશોધન પ્રાધ્યાપક છે. કસૌલી(હિમાચલ પ્રદેશ)માં યોજાતા ખુશવંત સિંહ સાહિત્ય ઉત્સવમાં તેઓ પોતાના નવા પુસ્તક ‘1947 પછીનું ભારત : ચિંતન અને સ્મૃતિઓ’ વિશે તૃણમૂલ કાઁગ્રેસનાં લોકસભા સદસ્ય મહુઆ મોઈત્રા સાથે ચર્ચા કરી રહ્યા હતા.

નેહરુ વિશે પૃચ્છાના જવાબમાં એમણે કહ્યું હતું કે “જે રીતે અમેરિકામાં રહેતા શ્વેતવર્ણીઓનો મોટો ભાગ એવું માનવા લાગ્યો છે કે બરાક ઓબામાનો જન્મ અમેરિકામાં નહોતો થયો, એ જ રીતે ભારતમાં અત્યારે કરોડો ભારતીયો એવું માનવા લાગ્યા છે કે જવાહરલાલ નેહરુના પિતા મોતીલાલ નેહરુ મુસ્લિમ હતા. છેલ્લાં કેટલાં ય વર્ષોથી આ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

“જો મોતીલાલ નેહરુ કે એમના કોઇ પૂર્વજ મુસ્લિમ હોત – જે તદ્દન ખોટી વાત છે – તો પણ, એ કોઈ ગુનો કે ગેરલાયકાત તો નથી જ. પૂર્વજોનાં કૃત્યના કારણે કોઇ પણ વ્યક્તિ પર આરોપ મૂકવો, સજા આપવી કે હત્યા કરવી યોગ્ય નથી.”

87 વર્ષની વયના વિદ્વાને આગળ ઉમેર્યું: “નેહરુએ જેલમાં ચૌદ વર્ષ ગાળ્યા, અને જેલની બહાર આવ્યા ત્યાં તરત એમનાં પત્નીનું અવસાન થયું. એમ છતાં, એક સારા, મહાન અને ઓજસ્વી વ્યક્તિ વિશે કેટલી સાવ જૂઠી વાતો ફેલાવાઇ છે! નેહરુની નીતિઓની તમે ટીકા કરી શકો, પણ આવાં નરાતાળ જૂઠાણાં ફેલાવવાનો હક્ક તમને કોણે આપ્યો છે?”

લાગણીથી કંઠ રુંધાઇ જવાના કારણે રાજમોહન કેટલોક સમય બોલી ન શક્યા. પછી એમણે શ્રોતાજનો સામે – જેમાં કાઁગ્રસના એક સમયના મંત્રી મણિશંકર ઐયર પણ શામેલ હતા – અંગુલિનિર્દેશ કર્યો અ‍ને કહ્યું : “હા, આ બાબતે હું ભાવુક થઈ જાઉં છું. અને હિમાલયને જોઈને મારી આ લાગણી વધારે તીવ્ર બને છે. જવાહરલાલ નેહરુ હિમાલયને ચાહતા હતા. હિમાલય આ જૂઠાણાંનો વિરોધ કરશે, ખુદ પૃથ્વી પણ વિરોધ કરશે. એમની નીતિઓની જેટલી આકરી ટીકા કરવી હોય એ કરવાની તમને સ્વતંત્રતા છે; પણ એક ઉમદા અને સારા માનવ વિશે ગંદા જૂઠાણાં બોલવાની નીચતા તો ન બતાવો.”

મહાત્મા ગાંધી વિશે રાજમોહને કહ્યું : “ગાંધી અને ભારતના બીજા કેટલા ય લોકો બાબતે આશ્ચર્યજનક વાત છે કે એમના સમયના તમામ પ્રશ્નો હલ ન કરવા માટે તો ઠીક, પણ વર્તમાન સમયના પ્રશ્નો હલ ના કરવા માટે પણ એમનો દોષ કાઢવામાં આવે છે. આ તો બહુ વધારે પડતું કહેવાય. ગમે તેમ તો ય, એ માનવી હતા. કેટલાક પ્રશ્નો આપણે પણ હલ કરવાના રહે …

“માની લો, કે એમણે હજાર – અરે, દસ હજાર ભૂલ કરી. ગાંધી, નહેરુ અને પટેલ – માની લો કે એમણે લાખો ભૂલ કરી. પણ એ લોકો જેમાં વિશ્વાસ રાખતા હતા એ આદર્શોનું શું?”

એમણે આગળ ઉમેર્યું : “ગાંધીની નિંદા કરો, તો એ તો સલામત છે. એમને કશું નુકસાન થવાનું નથી. પણ જો તમે સમાનતા, મૈત્રી, પારસ્પરિક આદર, શ્રદ્ધા કે ગૌરવને નુકસાન પહોંચાડશો, તો હું તમારો શત્રુ છું.”

સ્વાતંત્ર્ય પછીના કાળમાં ભારતીય પ્રજાનાં મૂલ્યોમાં આવેલા પરિવર્તન વિશે અફસોસ કરતાં રાજમોહન ગાંધીએ જણાવ્યું : “ભારતના મોટા ભાગના લોકોએ નિશ્ચય કર્યો હતો કે ભાગલા સમયના અત્યાચારો છતાં, ભારત સર્વનો દેશ બનશે. અત્યારે તમે જાણો જ છો કે શું થઈ રહ્યું છે. અનેક દુ:ખદ ઘટના થઈ રહી છે; યંત્રણાજનક બનાવો બની રહ્યા છે. અને સૌથી દુ:ખદ ઘટના શું છે એ જાણો છો?  આ અત્યાચારો વિશે ઉચ્ચ સ્થાનેથી સેવવામાં આવતું મૌન.”

એમણે ઉમેર્યું : “મૌન એક ઉમદા સદ્‌ગુણ છે … પણ તમે એક રાષ્ટ્રના નેતા હો અથવા અસરકારક મંચ ધરાવતા વ્યક્તિ હો; લોકો તમને સાંભળતા હોય, તમને માન આપતા હોય અને તમારા અનુસરણમાં પોતાના વિચારો ઘડતા હોય ત્યારે, કંઇક ક્રૂર કે નિર્મમ ઘટના બને ત્યારે તમારે કંઈક બોલવું જ રહ્યું.”

વિપક્ષોની એકતાની સંભાવના વિશે તેમણે કહ્યું : “(અત્યારના ભારતના વિપક્ષોની) નીતિ છે કે શત્રુઓને ભૂલી જવા અને સાથીઓનો નાશ કરવો. આનો હલ શોધવો પડશે.

“આ માટે જરૂરી છે હૃદયની ઉદારતા, ધૈર્ય, બધી દિશામાં સંપર્ક કરીને સૌને સાથે લાવવાવાળી વ્યક્તિઓ. કદાચ જરૂરી છે કે કોઇ અગત્યની ભૂમિકાવાળી વ્યક્તિના પતિ કે પત્ની એને ભારપૂર્વક કહે કે  “બંધ કરો આ બધી મૂર્ખતા! એને બદલે કંઇક રચનાત્મક કામ કરો.”

રાજમોહન ગાંધી 1989માં અમેઠી બેઠક પરથી રાજીવ ગાંધી સામે જનતા દળના ઉમેદવાર તરીકે, અને 2014માં પૂર્વ દિલ્હીની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં તેઓ અસફળ રહ્યા હતા.

એ પછીથી તેઓ પક્ષમાં સક્રિય રહ્યા નથી, પણ 2019માં પૂર્વ દિલ્હીની બેઠકના ‘આપ’ના ઉમેદવાર અતીશીને એમણે સમર્થન આપ્યું હતું. હિમાચલની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વાર બેઠક જીતવા માટે ‘આપ’ ઉત્સુક છે.

(તા. 18 ઑક્ટોબર 2022ના ‘ટેલિગ્રાફ’ અખબારમાંથી)
e.mail : nandita.muni@gmail.com
મૂળ અંગ્રેજી લખાણની લિંક :

https://www.telegraphindia.com/india/rajmohan-gandhi-rues-fake-news-about-jawaharlal-nehru/cid/1892660                                        

Loading

લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહે તો જ કામ થાય : સરદાર પટેલ 

સોનલ પરીખ|Opinion - Opinion|13 November 2022

·       ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ

·       વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મક્કમતાથી સામનો કરો

·       મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા

·       જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે, અહિંસક એને કહેવાય એને 

·       લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય 

—     સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર પટેલ તેમના પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું. લગભગ 158 કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3,000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’એ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શ્રોતાઓનાં હૃદય ધબકારા ચૂકી ગયાં.

દરમિયાન પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા હોય છે એથી પ્રવાસીઓને સૂચના આપવામાં આવી કે વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળી જવું કેમ કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની સંભાવના ઘણી હોય છે. પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઊતારી દીધું. 

સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છેઃ ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ આ હતી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના હૃદયની મજબૂતી.

વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં સરદાર પટેલ છે એવી ખબર પડતાં જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યાં ખાટલા બિછાવ્યા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા. અંધારું થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા કે.બી. લાલ નામના અધિકારીએ પછીથી લખ્યું હતું : ‘હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ આ હતું સરદારનું સંવેદનશીલ, જવાબદાર નેતૃત્વ.

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગાંધીજી, પંડિત નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેની જીવનકથા લખી છે. એમનું કહેવું છે કે ‘જે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરી છે. આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ઇતિહાસ ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો.

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું.

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા.

સરદાર પટેલ કહેતા, ‘ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ.’ ‘વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મજબૂત હાથોથી સામનો કરો.’ ‘મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા.’ ‘અહિંસક એને કહેવાય જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે.’ ‘લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય.’

સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની હતી કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે, એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ભારતરત્ન વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો પણ ઘણું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર 2022

Loading

...102030...1,1951,1961,1971,198...1,2101,2201,230...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved