Opinion Magazine
Number of visits: 9553998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નર્મદનું પહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|24 August 2025

ગ્રંથયાત્રા – 11

આજે જેનો એક સો બાણુંમો જન્મ દિવસ છે તે નર્મદાશંકર લાલશંકર દવે ઉર્ફે નર્મદ વધારે જાણીતો થયો કવિ અને સમાજ સુધારક તરીકે. પણ ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠીએ મુંબઈમાં પ્રગટ થયેલું તેનું પહેલું પુસ્તક નહોતું કવિતાનું કે નહોતું સમાજ સુધારા વિશેનું. એનું પહેલું પુસ્તક હતું છંદશાસ્ત્ર, એટલે કે પિંગળ વિશેનું. એનું નામ પિંગળ પ્રવેશ. નર્મદના પિતા એ જમાનાના જાણીતા લહિયા હતા. કેપ્ટન જર્વિસના હાથ નીચે કામ કરેલું અને શીલા છાપથી છાપવા માટે કેટલાંક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરેલી. આ અંગે ‘મારી હકીકત’માં નર્મદે લખ્યું છે : “અસલના લહિયાઓના અક્ષર જાડા ને લાલશંકરની કલમ અસલથી જ સાફ ને પાતળીપાતળી તેથી દશ ઉમેદવારોમાં એ પસાર થયા ને પછી જોન્સે (સુરતની અદાલતના જજ) તીસને પગારે મુંબઈ જવાનું કહ્યું … એના હાથના લખેલાં પુસ્તકો ઘણાં જ છે. એના જેટલું કોઈ લહિયાએ લખ્યું નહિ હોય. મુંબઈમાં ત્રણ-ચાર શીલા છાપખાનામાં જેટલી ગુજરાતી ચોપડીઓ જેટલી વાર છપાઈ છે તેમાંની ઘણી એક એના જ હાથની છે.” એટલે પિતા પાસે જ આખું પુસ્તક લખાવી, શીલા છાપ છાપખાનામાં છપાવી પ્રગટ કર્યું. અલબત્ત, કમનસીબે એ પહેલી આવૃત્તિની નકલ આજે ક્યાં ય જોવા મળતી નથી. પિતા લાલશંકર આ પુસ્તકના માત્ર લહિયા જ નહોતા. નર્મદે પોતાનું આ પહેલું પુસ્તક અર્પણ પણ તેમને જ કર્યું છે. સાથે લખ્યું છે : એમનો અપૂર્વ પ્રેમ તથા કવિતા પ્રકરણ સંબંધી પ્રથમ આવો ગ્રંથ કરવાની એઓની જ શુભ આજ્ઞા – એ આદિક કારણો ઉપરથી આ નાનો ગ્રંથ એમના આજ્ઞાંકિત પુત્ર નર્મદાશંકરે પ્રણામ પૂર્વક અર્પણ કર્યો છે.” 

એટલું જ નહિ, આવું પુસ્તક લખવાની નર્મદને પ્રેરણા આપનાર પણ પિતા લાલશંકર હતા. તેમની આ પ્રેરણા અને ‘પિંગળ પ્રવેશ’ના પ્રકાશન પાછળ નાનો પણ રસિક ઇતિહાસ છે. ૧૮૫૫ના ઉત્તરાર્ધમાં નર્મદે કવિતા લખવાનું શરૂ કર્યું. પણ ‘મારી હકીકત’માં નર્મદ એકરાર કરે છે કે “એ કવિતા મેં પિંગળના કાયદા પ્રમાણે કરી નહોતી, પણ શામળદાસના દોહરા, ચોપાઈ, છપ્પા વાંચેલા એ ઢાળ પ્રમાણે અને કવિ દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઈને કરી હતી.” એટલે કે શરૂઆતમાં તો નર્મદ દલપતરામ અને બીજાઓની કવિતાનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરતો હતો. છંદોના શાસ્ત્રને ‘પિંગળ’ કહેવાય એ વાતની પણ ત્યારે નર્મદને ખબર નહોતી. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકનો ઓક્ટોબર ૧૮૫૫નો અંક વાંચતાં તેને એ વાત જાણવા મળી. તેણે પહેલાં તો પિંગળના પુસ્તકની મુંબઈમાં શોધખોળ કરી. પણ ક્યાં ય મળ્યું નહિ એટલે ૧૮૫૬ના ફેબ્રુઆરીની ૧૬મી તારીખે નર્મદે ‘મિત્ર શિરોમણી કાવ્યોપનામક ભાઈ મનમોહનદાસ વી. રણછોડદાસજી’ને કાગળ લખ્યો. તેમાં નર્મદે લખેલું : “હું કવિતા પ્રકરણમાં છેક અજાણ્યો છઉં, પરંતુ એ વિષય જાણવાની મારી ઉત્કંઠિત ઇચ્છા છે ને ગમ પણ પડશે એમ ધારું છઉં, વાસ્તે તમે મારો કર ગ્રાહી પિંગળ ક્ષેત્રની જાત્રા કરાવશો એમ આશા રાખું છઉં. મારે માસ એપ્રિલમાં લગન સારું સુરત આવવું છે તે સમયે તમારાં દર્શન કરવાની તથા કેટલી એક શિક્ષા લેવાની આશા રાખું છું. પરંતુ હાલ પિંગળ શાસ્ત્ર પ્રવેશક કિયા ગ્રંથો વાંચવા જરૂરના છે તે લખવું.”

મદદ કરવાની વાત તો દૂર રહી, મનમોહનદાસે નર્મદના પત્રનો જવાબ સુધ્ધાં આપ્યો નહિ. એટલે ૧૮૫૬ના નવેમ્બરમાં નર્મદ સુરત ગયો ત્યારે તેણે પિંગળ વિશેના પુસ્તકની શોધ આદરી. પોતાના મિત્ર અને ‘જ્ઞાન સાગર’ના મુદ્રક જદુરામની સાથે પિંગળની શોધમાં નીકળ્યો. ગોરધન નામના એક કડીઆના ઘરેથી તેના ગુરુ લાલદાસના લખેલા ગ્રંથ ‘છંદ રત્નાવલી’ની હસ્તપ્રત મળી. પણ કડીઓ એ હસ્તપ્રત નર્મદ પોતાને ઘરે લઈ જાય તે માટે તૈયાર ન થયો. એટલે, રોજ સવારે કલમ, શાહીનો ખડિયો, ને કોરા કાગળ લઈને નર્મદ એ કડિયાને ઘરે જતો. અને રોજ થોડી થોડી નકલ કરતો. જો કે થોડા દિવસ પછી કડિયાને નર્મદ પર વિશ્વાસ બેઠો એટલે રોજ થોડાં પાનાં નર્મદ ઘરે લઈ જાય તે માટે તે તૈયાર થયો. નર્મદ નોંધે છે : “એ પિંગળના પુસ્તકની મતલબ મેં મારી મેળે સંસ્કૃતને જોરે સમજી લીધી.”

નર્મદના હસ્તાક્ષર

૧૮૫૭ના જાન્યુઆરીમાં ‘બુદ્ધિપ્રકાશ’માં છપાયેલ કવિ દલાપતરામની પિંગળ અંગેની લેખમાળા વિષે નર્મદ ઘસાતું બોલ્યો ત્યારે પિતા લાલશંકરે ટકોર કરી કે ‘હું તો તારી હોશિયારી ક્યારે જાણું કે પિંગળ બનાવે ત્યારે.’ આમ, કદાચ અજાણતાં જ, દલપતરામ સાથેની સ્પર્ધાનો ભાવ પિતાએ નર્મદના મનમાં રોપ્યો હોય એમ બને. બસ, બીજું બધું લખવાનું બાજુએ મૂકીને નર્મદ પિંગળ વિશેનું પુસ્તક લખવા મંડી પડ્યો. ‘લલગૂ સમજી સગણ ને જગણે જાણ લગૂલ’ એ કુન્ડલિયો બનાવી પિતાને સંભળાવ્યો ત્યારે તેઓ ખુશ થયા ને બોલ્યા કે હવે મારી ખાતરી થઈ. એ જ વર્ષના ફેબ્રુઆરીમાં નર્મદ મુંબઈના ગોકુલદાસ તેજપાલ વિદ્યાલયમાં મહિને ૨૮ રૂપિયાના પગારે માસ્તર તરીકે જોડાયો. સાંજે નિશાળ છૂટે તે પછી પણ તે નિશાળમાં રોકાતો અને દરિયો, આકાશ, હોળી વગેરે જોવાતાં જાય તેવા એકાંતમાં પિંગળ પ્રવેશ માટેની કવિતા બનાવતો. માર્ચ મહિનામાં પુસ્તક પૂરું કરી, પિતા પાસે હસ્તપ્રત લખાવી, મુંબઈના શીલાછાપ છાપખાનામાં છપાવી તેણે ‘પિંગળ પ્રવેશ’ બહાર પણ પાડી દીધું. પહેલી આવૃત્તિની પ્રસ્તાવના નીચે નર્મદે ૬ એપ્રિલ, ૧૮૫૭ની તારીખ નાખી છે.

આજના જમાના માટે પણ અસાધારણ ગણાય એટલી ઝડપે, ‘સત્યપ્રકાશ’ના ૧૨મી એપ્રિલના અંકમાં મહીપતરામ રૂપરામ નીલકંઠે લખ્યું : “જે પિંગળ વિષે હંમે આશા રાખતા હતા તે છપાઈ ચૂકો છે. એની નકલ એના બનાવનાર કવિ નર્મદાશંકર લાલશંકરની કીરપાથી હમને પહોંચી છે. એ વાંચવાથી માલમ પડે છે કે એ ગ્રંથ ઘણો જ ઉપયોગી ને પ્રૌઢ છે, અને એના કાબેલ બનાવનારને આપણા નામાંકિત કવિઓની પદવીમાં દાખલ કરે છે. કવિતાના નિયમો વિષે ગુજરાતી ભાષામાં આજ સુધી એક્કો પુસ્તક નહિ હતું એ ખોટ ભાઈ નર્મદાશંકરે પૂરી પાડી છે.” 

અલબત્ત, પાછળથી ‘નર્મગદ્ય’ની સરકારી આવૃત્તિ અંગે મતભેદ થતાં નર્મદ અને મહિપતારામના સંબંધો વણસ્યા હતા. તો જેઓ લગભગ આખી જિંદગી એકબીજાના હરીફ રહ્યા તે દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૭ના જૂન અંકમાં લખ્યું : “ગુજરાતી ભાષામાં કવિતાની રીત જાણવાનો ગ્રંથ આજ સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાવ્યો છે. એ પુસ્તક બનાવતાં તેને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે.” અહીં દલપતરામની ખેલદિલીની નોંધ લેવી જ જોઈએ. જે વિષય પર પોતે લેખમાળા લખી રહ્યા હતા તે જ વિષયના પુસ્તકને તેમણે ઉમળકાથી આવકાર્યું છે.

બીજી આવૃત્તિ, ૧૮૬૦

આમ, પિંગળપ્રવેશથી નર્મદ જાણીતો થયો. એટલું જ નહિ, તેની ૫૦૦ નકલ છપાવેલી તે પ્રમાણમાં ઝડપથી વેચાઈ ગઈ હશે, કારણ ૧૮૬૦ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે તેની બીજી આવૃત્તિની ૫૦૦ નકલ છપાઈ હતી. આ આવૃત્તિમાં નર્મદે ઘણા સુધારાવધારા કર્યા હતા અને તે શીલાછાપ પદ્ધતિથી નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરતા નર્મદના મિત્ર નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈ હતી. પુસ્તકની ત્રીજી આવૃત્તિ પણ પ્રગટ થઈ હતી, પણ તેની પ્રકાશન સાલ જાણવા મળી નથી. 

પુસ્તકને અંતે નર્મદે પહેલી વાર કવિતા કરનારને સૂચના આપી છે. તેની નવ સૂચનામાંથી કેટલીક તો આજના નવા કવિને પણ ઉપયોગી થાય તેવી છે : જેમ કે, ‘જેમ બને તેમ કવિતા મોઢે ને મોઢે જોડી રાખવાની ટેવ રાખવી. કેટલુંક મોઢે જોડ્યા પછી કાગળ ઉપર લખવું. પ્રથમ કાગળ ઉપર જોડતા જવું નહિ.’ વળી લખે છે : બીજાના શબ્દ અને બીજાના વિચાર ચોરીને કવિતા ન કરવી. પણ જેમ બને તેમ પોતાના વિચાર પોતાની જનમની ઢબથી બહાર કાઢવા. છે ને આ શબ્દો આજે આટલાં વરસ પછી પણ કોઈ નવા કવિને કામ લાગે તેવા. 

XXX XXX XXX

23 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

નીતિશ કુમાર રહે કે જાયઃ બિહારની ચૂંટણીમાં NDAએની અગ્નિ-પરીક્ષા, એ પણ ચક્રવ્યૂહ સાથે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 August 2025

બિહારમાં પરિવર્તનનું ચોમાસું બેઠું છે. એક માત્ર સવાલ એ છે કે પાણી ઓસરી ગયાં પછી કોણ અડીખમ ઊભું હશે?

ચિરંતના ભટ્ટ

બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર વેળા વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ નથી કે કોણ જીતશે – પ્રશ્ન એ પણ છે કે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ ચૂંટણી લડશે કે નહીં. બે દાયકાના રાજકીય વર્ચસ્વ પછી, તેમના સંભવિત પ્રસ્થાનથી 2014 પછી ભારતીય પ્રાદેશિક રાજકારણમાં સૌથી મોટું પુનર્ગઠન થઈ શકે છે. જો નીતિશ કુમાર 15 સપ્ટેમ્બર સુધીમાં નિવૃત્તિની જાહેરાત કરે છે, તો એવી અપેક્ષા રાખી શકાય કે ભા.જ.પ. પરિણામોના 24 કલાકની અંદર ચિરાગ પાસવાનને ડેપ્યુટી સી.એમ. પદ આપશે. જો તેઓ રહેશે, તો NDA રહેશે; જો તેઓ જશે, તો બિહાર ત્રિ-માર્ગીય લડાઈમાં પ્રવેશ કરશે જે 2029 માટે ભારતની વિપક્ષી વ્યૂહરચનાને નવો આકાર આપી શકે છે.

NDA માટે, નીતિશ માત્ર એક સાથી નથી – તે વિશ્વસનીયતાના મુખ્ય સૂત્રધાર છે. તેમના કુર્મી-OBC ગઠબંધને એક પછી એક વિજય હાંસલ કર્યો છે. તેમના વિના, JD(U) એક ખોખલું કવચ બની જાય છે, અને ભા.જ.પ.ની સામે એક એવા રાજ્યમાં એકલા જવાની પહેલી નક્કર આકરી વાસ્તવિક કસોટીનો સામનો કરશે છે જ્યાં તે ક્યારે ય પ્રબળ પ્રાદેશિક ખેલાડી રહ્યો નથી. તાજેતરના આંતરિક મતદાન દર્શાવે છે કે જો નીતિશ કુમાર બહાર નીકળી જાય તો NDA 140+ બેઠકોથી ઘટીને 110-115 થઈ જશે – જે 243 બેઠકોવાળી વિધાનસભામાં સત્તા ગુમાવવા માટે પૂરતું છે.

ચિરાગ પાસવાન આ તકને સારી પેઠે પારખે છે. તેમનું “ચિરાગ કા ચૌપાલ” અભિયાન એ જ યુવાન, મહત્ત્વાકાંક્ષી મતદારોને લક્ષ્ય બનાવે છે જેઓ એક સમયે નીતિશ તરફ વળ્યા હતાં. ચિરાગ પાસવાનનું ટાર્ગેટ ઑડિયન્સ પણ એ જ મતદારો છે. આ માટે એ જોવાનું એ રહેશે કે : જો નીતિશ પાછળ હટશે, તો ચિરાગ 50+ બેઠકો અને ડેપ્યુટી સી.એમ. પદની માંગ કરશે. ભા.જ.પ.નો આ માગ પ્રત્યેનો પ્રતિભાવ નક્કી કરશે કે NDA ગઠબંધન રહેશે કે પછી તે જુનિયર ભાગીદારો સાથે રાખીને ભા.જ.પ.ની પેટાકંપની બનશે.

નીતીશ કુમાર

તેજશ્વી યાદવનો પોતાનો આગવો જૂગાર છે. વિપક્ષને લોહીની ગંધ આવે છે. તેજશ્વી યાદવે પહેલેથી જ જાહેર કરી દીધું છે કે “INDIA બ્લોકમાં નીતિશ માટે કોઈ જગ્યા નથી” – નીતિશના બહાર નીકળવાથી NDA તૂટી જશે તેવી આશા રાખતા સિદ્ધાંતવાદી દેખાવા માટે આ એક ગણતરીપૂર્વકનું પગલું છે. શાતિર રાજકારણ તો છે જ કારણ કે તેજશ્વી યાદવ RJDને સ્થિર વિપક્ષ તરીકે મૂકે છે જ્યારે NDA જોરદાર વાયરામાં ફૂંકાઈ જશે. 

મતદારોનો મિજાજ પણ બદલાયો છે. મધુબની અને દરભંગા જેવા મતવિસ્તારોના ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં દેખાઇ આવે છે કે નીતિશના 20 વર્ષના કાર્યકાળથી લોકો હવે થાક્યા છે. તેમને પણ કંઇક નવું જોઇએ છે. બિહારના યુવાનો(18-25 વર્ષની વયના)માં બેરોજગારી 47% પર છે – જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. હજુ પણ માઇગ્રન્ટ્સ રેમિટન્સ પર નિર્ભર પરિવારો માટે, રોજગારીની તંગી રહે, નોકરીઓ થોડી હોય ત્યારે “સુશાસન”નાં વચનો પોકળ લાગે છે.

જો INDIA તેના વર્તમાન ગઠબંધન(RJD + કાઁગ્રેસ + ડાબેરી)ને જાળવી શકે, અને નીતિશ કુમાર બહાર નીકળી જાય, તો તેઓ 125+ બેઠકો માટેને સ્થિતિમાં છે. ગણિત સરળ છે : સત્તા વિરોધી અને વિપક્ષી એકતાનો સરવાળો એક નવી તાકાત ખડી કરશે. આ સંજોગોમાં પ્રશાંત કિશોરનું એક્સ ફેક્ટર પણ જોવું રહ્યું. આ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી, બધી 243 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમનું તો બેબાક બનીને નીતિશ કુમારનું ક્રૂર મૂલ્યાંકન કરી દીધું છે. નીતિશ કુમારને “શારીરિક અને માનસિક રીતે અયોગ્ય” કહેવું – ફક્ત બોલાઇ ગયેલા શબ્દો નથી નથી; તે નીતિશ કુમાર પછીના કાળ માટેની સ્થિતિ અને ત્યારનો માહોલ તૈયાર કરવાની સજ્જતા છે. 

સર્વે દર્શાવે છે કે 62% મતદારો ફક્ત અલગ મેનેજમેન્ટ જ નહીં, પણ પરિવર્તન ઇચ્છે છે. શહેરી વ્યાવસાયિકો, પરત ફરેલા સ્થળાંતર કરનારાઓ અને કંટાળી ગયેલા યુવાનો માટેની તેમની દલીલ 8-12% મત હિસ્સો મેળવી શકે છે. ત્રિ-માર્ગીય સ્પર્ધામાં, પ્રશાંત કિશોરનો પ્રદેશ એક કિંગમેકર પ્રદેશ કહી શકાય. આ તેમનું એક સોલિડ પત્તું છે. 

જો કે આ જેટલું સોલિડ લાગે છે એટલું સોલિડ સાચા અર્થમાં હોય એ પણ જરૂરી છે. તેમાં પણ મુશ્કેલીઓ છે. બિહારમાં ત્રીજા પક્ષોને ઐતિહાસિક રીતે મત તો મળી જાય છે પણ બેઠકો નથી મળતી. લોકપ્રિયતાને વિધાનસભા સત્તામાં રૂપાંતરિત કરવા માટે પ્રશાંત કિશોરે રાજ્યભરમાં 15%થી વધુ મત મેળવવાની જરૂર છે.

મતદારોની વાસ્તવિકતા સાવ અલગ છે. તેમની જિંદગી આ રાજકારણના નાટકોથી જૂદી અને દૂર છે. તેમની જિંદગીઓ સંતુલનમાં જાણે લટકતી હોય તેવી હોય છે. નોકરી એટલે કે રોજગારીની વાત કરીએ તો બિહારમાં ઔદ્યોગિક વિકાસ સ્થિર થઇ ગયો છે, મુઝફ્ફરપુરમાં જે ટેક્સટાઇલ હબ્ઝના વચન અપાયા હતા તે ક્યારે ય સાકાર થયા જ નહીં. સ્થળાંતર – માઇગ્રેશનનો પ્રશ્ન પણ છે. સિવાન જેવા જિલ્લાઓમાં રહેતા પરિવારોમાંથી આજે પણ 60%+ પુરુષોને રોજગારી માટે મુંબઈ કે દિલ્હી જવું પડે છે. નીતિશ કુમારના શાસનમાં રસ્તાઓ સુધર્યા છે, પરંતુ વીજળી પુરવઠો અને સ્વાસ્થ્ય સંભાળ અંગેનાં વચનો હજી પૂરાં નથી થયાં.  RTE અમલીકરણ ઠેકાણા વગરનું છે; ખાનગી કોચિંગ હજુ પણ મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પર કાબૂ ધરાવે છે. નક્કર વાસ્તવિકતાઓ એ વાતનો પુરાવો છે કે વિકાસના સંદેશાઓ હવે નીતિશની આસાન અને ઑટોમેટિક જીતને માટે પૂરતાં નથી, તેવી કોઈ ખાતરી રાખવી એ મુર્ખામી હશે.

લોકશાહીને નામે બૂમ પડાય એવી સ્થિતિ પણ છે. લોકશાહી પર SIR વિવાદનું દબાણ છે. સિસ્ટમેન્ટિક ઇન્ટેસિવ રિવિઝનને નામે અમલમાં મુકાયેલા સુધારાને કારણે બિહારની મતાદાર યાદીમાંથી લાખો નામોની બાદબાકી થઇ ગઇ છે. ચૂંટણી પંચે તો તેને “ભૂલ સુધારણા” એટલે કે ઇરર કરેક્શનનું લેબલ આપી દીધું છે પણ વિરોધ પક્ષોનો આરોપ છે કે લધુમતી વર્ગના લોકો અને સ્થળાંતર કરનારા નાગરિકોને આ “ભૂલ”ને નામે મતાધિકારથી વંચિત રાખવાનો ઇરાદો છે. આંકડાની વાત કરીએ તો કિશનગંજ અને અરરિયા જેવા મુસ્લિમ વસ્તીવાળા મતવિસ્તારોમાં, રાજ્યના સરેરાશ કરતા 12-18% વધુ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉચ્ચ જાતિનું પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં, માંડ 3-4% નામો કાઢી નખાયા હતા. જો આ આખા બનાવને, આ સ્થિતિને સફળતાપૂર્વક પડકારવામાં આવે, તો તેને કારણે ચૂંટણીમાં વિલંબ થઇ શકે છે અથવા ફરીથી મતદાર નોંધણી અભિયાન ચલાવવાનું દબાણ પણ આવી શકે છે. INDIA બ્લોક માટે, તે NDAની નિષ્પક્ષ ચૂંટણીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવવા માટે આ આખો ખેલ એક બારુદનું કામ કરી શકે છે. 

જ્યારે રાજકારણમાં મંથન ચાલી રહ્યું છે, ત્યારે બિહાર શાંતિથી ભારતના ભવિષ્યનું વહન કરે છે તેવું લાગે. મ્યુનિસિપલ ચૂંટણીમાં બ્લોકચેન-સક્ષમ મોબાઇલ મતદાન જ્યાં પણ અમલમાં મુકાયું ત્યાં મતદાનમાં 73% વધારો દર્શાવવામાં આવ્યો છે. જો વિધાનસભા ચૂંટણીમાં આ ડિજિટાઇઝેશનને લાગુ કરવામાં આવે તો પછી માઇગ્રેટ થયેલા કામદારો માટે ચૂંટણીમાં ભાગ લેવું સરળ થઇ જશે અને આખી ચૂંટણી પ્રક્રિયામાં એક ક્રાંતિ આ શકે છે. ડિજિટલ સમાવેશ વિરુદ્ધ ડિજિટલ વિભાજનનો પ્રશ્ન આવી સ્થિતિમાં ખડો તો થાય જ. સીધી વાત છે કે નબળી કનેક્ટિવિટી ધરાવતા ગ્રામીણ વિસ્તારો છે તેના કરતાં વધુ હાંસિયામાં ધકેલાઈ જવાનો ભય રહે, જ્યારે શહેરી મતદારો માટે આ સુવિધા બહુ સારી સાબિત થાય છે. 

યુ.પી.-બિહાર આમે ય ચૂંટણી માટે અગત્યના રાજ્યો છે. બિહારમાં જે પણ ખેલ થાય તેની રાષ્ટ્રીય અસરોની વિચારણા કરીએ તો ત્રણ મોટી કસોટી થઇ શકે છે. એક તો એ કે શું ભા.જ.પા. મજબૂત પ્રાદેશિક સાથીઓ વિના બિહાર પર પ્રભુત્વ મેળવી શકે છે? બિહાર એ બતાડી દેશે કે 2024ની ગઠબંધન વ્યૂહરચના જરૂરિયાત હતી કે પસંદગી. બીજું એ કે 2029 માટે INDIA બ્લોક ચૂંટણી માટે કેટલો તૈયાર છે. બિહારની જીત રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓ માટે એક દૃષ્ટાંત બની શકે છે અને INDIA બ્લોક માટે આત્મવિશ્વાસ પૂરો પાડનારી સાબિત થઇ શકે છે. બિહારમાં જે પારંપરિક જાતિગત રાજકારણ છે તે ડિજીટલ હસ્તક્ષેપ સામે ટકી જશે?  બ્લોકચેન વોટિંગ અને સોશ્યલ મીડિયા પ્રચાર જૂની શૈલીઓને પડકારનારા છે.  

ડિજીટલ એજમાં આપણે મેટ્રિક્સની વાત કરવી પડે. આગાહીના આગવા મેટ્રિક્સ છે. જો નીતિશ કુમાર ચૂંટણી લડે તો NDA 130-140 બેઠકો, ભારત 90-100, અન્ય 10-15 જો નીતિશ કુમાર ચૂંટણી ન લડે તો : NDA 110-120, ભારત 115-125, જન સુરાજ 8-15 – એવી સ્થિતિ થવાની શક્યતા છે. પ્રશાંત કિશોર એ સત્તાનું સંતુલન સાભાળનારી હંગ એસેમ્બલી લઇને બેઠા છે – કોઈ તેના પરિણામો માટે તૈયાર નથી પણ એનો ડર તો રાખવો જ જોઇએ. 

બાય ધી વેઃ 

બિહાર 2025ની ચૂંટણી માત્ર મુખ્ય મંત્રી બદલવાની વાત નથી – અહીં ભારતનું જાતિને મામલે સૌથી સતર્ક રાજ્ય વધુ જટિલ, વધુ ડિજીટલ કે વધુ અણધાર્યું બની જશે કે કેમ તેની પણ વાત છે. જો નીતિશ કુમાર ખસી ગયા તો તેઓ એ બોધ સાથે ખસશે કે લોકશાહીમાં તમે તમારી છેલ્લી ચૂંટણીમાં કેવો દેખાવ કર્યો છે તેટલા જ મજબૂત રહો છો. વળી બિહારમાં જ્યાં ગઠબંધનો પૂરની મોસમમાં બદલાતા ગંગાના પ્રવાહની જેમ બદલાય છે ત્યારે રાજકારણના બાહોશ અનુભવી ખેલાડીને પણ પોતે આ પ્રવાહમાં તણાઇ ગયા હોવાનું ભાન થઇ જ શકે છે. બિહારમાં પરિવર્તનનું ચોમાસું બેઠું છે. એક માત્ર સવાલ એ છે કે પાણી ઓસરી ગયાં પછી કોણ અડીખમ ઊભું હશે? જો નીતિશ કુમાર હટી જશે તો માત્ર ટોચનું પદ ખાલી હશે એમ નહીં હોય પણ તે બિહારને એ વાત યાદ કરાવશે કે અનુભવી રાજકારણીઓ પણ બહાના પૂરાં થાય તે પહેલાં ગઠબંધનને અલવિદા કહી દે છે. બિહારમાં ગઠબંધન ચોમાસા જેવાં છે, ચેતવણી વિના ગાયબ થઇ જાય એવા. નીતિશ કુમાર વગર આ વખતે એવું ય બને કે વિરોધ પક્ષ કલ્પના કરી શકે તેના કરતા વધારે જ ધોવાણ થઇ જાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2025

Loading

બંધારણમાં ઘણી ચીજો વિવેક પર છોડવામાં આવી છે જેનો અવિવેકીઓ લાભ લે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 August 2025

રમેશ ઓઝા

“દેશનાં બંધારણે જેમને બંધારણીય જવાબદારી સોંપી છે એ માણસ જો કેટલીક જવાબદારીનું વહન ન કરે અને નહીં કરવા પાછળનું કોઈ કાઈ કારણ પણ ન આપે તો શું સર્વોચ્ચ અદાલતે કશું નહીં કરવાનું? શું તેના હાથ બંધાયેલા છે?” 

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ આર.એસ. ગવઈએ આ સોંસરો સવાલ ગુરુવારે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યો હતો અને હંમેશ મુજબ સોલિસિટર જનરલે કોઈ સીધો જવાબ નહોતો આપ્યો. 

સર્વોચ્ચ અદાલતમાં પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ સમક્ષ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માગેલા માર્ગદર્શન વિષે સુનાવણી ચાલી રહી છે જેને અંગ્રેજીમાં પ્રેસિડેન્ટશિયલ રેફરન્સ તરીકે ઓળખાવવામાં આવે છે. ગયા એપ્રિલ મહિનામાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે દેશના રાષ્ટ્રપતિ કે રાજ્યોના ગવર્નર અનુક્રમે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખરડાને જો મંજૂરીની મહોર પણ ન મારે અને કારણ આપીને પાછો પણ ન કરે તો એવા સંજોગોમાં ત્રણ મહિના પછી એ ખરડાને કે પ્રસ્તાવને મંજૂર થયેલો ગણવો. સર્વોચ્ચ અદાલતે આવો ચુકાદો એટલા માટે આપ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કેટલાક રાજ્યપાલો વરસો સુધી ખરડાઓને નથી મંજૂરી આપતા કે નથી કારણ બતાવીને પાછો કરતા. બસ નિર્ણય લીધા વિના બેસી રહે છે. જેમ કે તામિલનાડુના રાજ્યપાલ પાંચ વરસથી રાજ્ય વિધાનસભાએ મંજૂર કરેલા ખરડાને નહોતા મંજૂરી આપતા કે નહોતા કારણ આપીને પાછો કરતા. બીજાં વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં પણ રાજ્યપાલો આવું જ કરે છે જેની અવધિ બેથી ત્રણ વરસની છે. આની સામે ત્રણ રાજ્યોની સરકારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી અને અપીલના પ્રતિસાદમાં સર્વોચ્ચ અદાલતે ઉક્ત ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા પછી રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ પાસેથી માર્ગદર્શન માગ્યું હતું. સર્વોચ્ચ અદાલતમાં એ બાબતે સુનાવણી ચાલી રહી છે. 

બંધારણીય જોગવાઈ એવી છે કે સંસદ કે રાજ્યોની વિધાનસભા ખરડો પસાર કરે એ પછી રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે તેને મંજૂરી આપવાની હોય છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ખરડો નામંજૂર કરવાનો અધિકાર છે, પણ એને માટે કારણ આપવું જરૂરી છે. બંધારણમાં એવી પણ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ખરડો પાછો કરે અને સંસદ અથવા વિધાનસભા એ ખરડાને ફરી વાર પસાર કરે તો એ સંજોગોમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેને મંજૂરી આપવા બંધાયેલા છે. બીજી વાર તેને નામંજૂર રાખવાનો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને અધિકાર નથી. બંધારણમાં એક ત્રુટિ પણ છે. રાષ્ટ્રપતિએ કે રાજ્યપાલે કેટલા વખતમાં ખરડો પાછો કરવો એ વિષે કોઈ સમયાવધિ બતાવવામાં આવી નથી. 

રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર કામકાજ ન કરી શકે એવા હલકા ઉદ્દેશથી વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલો ખરડાઓને મંજૂરી આપતા નથી, મંજૂરી નહીં આપવા માટેનાં કારણ આપીને તેને પાછો પણ કરતા નથી અને સમયાવધિની અસ્પષ્ટતાનો લાભ લઈને તેના પર બેસી રહે છે. આમ કરીને વર્તમાન શાસકો જે તે રાજ્યોની પ્રજાને મેસેજ આપે છે કે શાસન તો માત્ર અમે જ કરીશું અને જો બીજા પક્ષોને શાસન કરવા ચૂંટી કાઢશો તો અમે તેને કામ કરવા નહીં દઈએ. જો પોતાનું અને રાજ્યનું ભલું ઈચ્છતા હો તો અમને ચૂંટો. તેઓ નાગરિકોને વિકલ્પહિન કરવા માગે છે. એકપક્ષીય શાસન ઈચ્છે છે. વડા પ્રધાન કહે છે એમ “મધર ઓફ ડેમોક્રસી”ની આ સ્થિતિ છે. 

ભારત સમવાય સંઘ છે જેનું સતાવાર નામ છે યુનિયન ઓફ ઇન્ડિયા. જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ એ સતાવારપણે સંઘ સરકાર છે અર્થાત્ યુનિયન ગવર્ન્મેન્ટ. એમાં રાજ્યો ઘટક છે અને તેનાં સ્પષ્ટ અધિકારો છે. ભારતના નાગરિકોને પોતાની પસંદગીના પક્ષને મત આપીને ચૂંટવાનો અધિકાર છે. વર્ષોથી એવું જોવા મળી રહ્યું છે કે ભારતનો નાગરિક લોકસભાની ચૂંટણીમાં એક પક્ષને મત આપે અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બીજા પક્ષને મત આપે. દિલ્હીમાં આવું વ્યાપકપણે જોવા મળ્યું હતું. લોકશાહીની આ જ તો ખૂબી છે. પણ વર્તમાન શાસકો લોકશાહીને ખતમ કરવા માગે છે. ડબલ એન્જીન સરકારનો મતલબ જ આ થાય છે. ઉજવળ ભવિષ્ય જોઈતું હોય તો અમને મત આપીને ચૂંટો અને જો બીજાને તક આપશો તો અમે તેને કામ કરવા નહીં દઈએ. અમારા ખાંધિય દરેક રાજ્યમાં બેઠા છે. 

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને અત્યારે માણસાઈ, સભ્યતા, ગરિમા જેવા ગુણોની ખૂબ યાદ આવતી હશે. પણ આ એ જ માણસ છે જે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારનો ખાંધિયો હતો. તેઓ પશ્ચિમ બંગાળની સરકરને કામ જ કરવા નહોતા દેતા. ખરડા મંજૂર નહોતા કરતા અને નહોતા મંજૂર નહીં કરવા પાછળનું કારણ આપતા. મર્યાદાની બહાર જઇને રાજ્ય સરકારની ટીકા કરતા હતા. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાની અધ્યક્ષતા કરે છે અને તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષોને બોલવા નહોતા દેતા અને અપમાન કરતા હતા. તેમનું વર્તન એક ઉદ્દંડ ખાંધિયાનું હતું. એટલે જ્યારે તેમને અપમાનપૂર્વક રાજીનામું આપવું પડ્યું ત્યારે કોઈએ ખેદ પણ વ્યક્ત નહોતો કર્યો. એ ખાંધિયા ધનખડે ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી થોડો સમય ઉપાડો લીધો હતો એ કદાચ યાદ હશે. તેઓ કહેતા હતા કે ન્યાયતંત્ર કરતાં લોકપ્રતિનિધિ ગૃહ સર્વોપરી છે, કારણ કે તે નાગરિકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. ઈરાદો સ્વતંત્ર ન્યાયતંત્રને ખતમ કરવાનો હતો અને તેઓ આ બકવાસ તેમના આક્કાઓના કહેવાથી કરતા હતા. અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે જો લોકપ્રતિનિધિગૃહ સર્વોપરી છે તો રાજ્યોની વિધાનસભા શું છે? શું એ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી? જવાબ બહુ સ્પષ્ટ છે, બી.જી.પી.ના લોકપ્રતિનિધિ સર્વોપરી છે બીજા નહીં. 

આખો સંઘપરિવાર લઘુતાગ્રંથિથી પીડાતો મનોરૂગ્ણ છે. ભયભીત છે. તાનાશાહોના આ જ સ્વભાવલક્ષણો હોય છે. તેઓ ડરેલા હોય છે. 

અહી ૧૯૮૦ના દાયકાના ભારતીય જનતા પક્ષની યાદ આવે છે જ્યારે તે લોકશાહીનો પૂજારી હતો. કેન્દ્ર સરકારે રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેના સંબંધો વિષે અભ્યાસ કરવા, રાજ્યપાલોની ભૂમિકા સ્પષ્ટ કરવા અને સમવાય ભારતનો ઢાંચો મજબૂત બને એ માટે જરૂરી ભલામણો કરવા ન્યાયમૂર્તિ આર.એસ. સરકારિયાની અધ્યક્ષતા હેઠળ ત્રણ સભ્યોના એક પંચની રચના કરી હતી. ૧૯૮૮માં જ્યારે સરકારિયા પંચનો સંપૂર્ણ અહેવાલ આવ્યો ત્યારે લોકસભામાં ભારતીય જનતા પક્ષ માત્ર બે બેઠકો ધરાવતો હતો. દેખીતી રીતે ત્યારે ભા.જ.પ.ને લોકતંત્રની ખૂબ જરૂર હતી. વાજપેયી-અડવાણી ત્યારે સરકારિયા પંચનો અહેવાલ માથે લઈને નાચતા હતા. આખો સંઘપરિવાર સરકારિયા પંચનો પૂજારી હતો. ખાતરી કરવી હોય તો સંઘ પરિવારના મુખપત્રો, ભા.જ.પ.ના ઠરાવો, સંસદમાંની ચર્ચાઓ અને જાહેર વક્તવ્યો તપાસી જાઓ. ત્યારે સીડી ચડવી હતી એટેલ લોકશાહીનો ખપ હતો. અત્યારે સીડી ચડી ગયા પછી ઉતરવું નથી એટલે લોકશાહી, ફેડરલ ઇન્ડિયા અને સ્વતંત્ર ન્યાયતંત્ર કઠે છે. 

અને હા, આ લેખના પ્રારંભમાં મુખ્ય ન્યાયમૂર્તિનો જે સવાલ ટાંક્યો છે એનો જવાબ સોલિસિટર જનરલે શું આપ્યો? બૌદ્ધિક દરિદ્રતા અને બૌદ્ધિક અપ્રમાણિકતાનું એમાં દૃષ્ટાંત જોવા મળશે. બંધારણમાં ક્યાં સમયમર્યાદા બતાવી છે? બંધારણમાં ઘણી ચીજો વિવેક પર છોડવામાં આવી છે જેનો અવિવેકીઓ લાભ લે છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2025

Loading

...102030...118119120121...130140150...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved