Opinion Magazine
Number of visits: 9567153
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના કાળમાં કળાની સમીપે : 2

અમર ભટ્ટ|Opinion - Opinion|26 February 2023

અમર ભટ્ટ

કોરોનાના દિવસોમાં મારા વકીલાતના વ્યવસાયને સંબંધિત કાંઈ કરતાં કાંઈ કામ ન હતું, ત્યારે કૉર્ટ અને કાયદાને લગતી વાત હોય તેવું એક પુસ્તક અનોખો રોમાંચ કરાવી ગયું – “ધી સ્ટ્રેંજ આલ્કેમી ઑફ લાઈફ ઍન્ડ લૉ”. લેખક છે 1994થી 2009 સુધી દક્ષિણ આફ્રિકાની બંધારણીય અદાલતના ન્યાયાધીશ રહી ચૂકેલા Albie Sachs – આલ્બિ સાક્સ.

શ્વેત હોવા છતાં યુવા વયે નેલ્સન મંડેલાની ચળવળને ટેકો આપવા બદલ એમને જેલ થયેલી; એમના પર અત્યાચાર ગુજારવામાં આવેલો અને એમને દેશનિકાલ કરવામાં આવેલા. પછી ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કર્યા બાદ એ મોઝામ્બિકમાં કાયદા મંત્રાલયમાં કાર્યરત હતા ત્યારે એમની મોટર પર દક્ષિણ આફ્રિકી ગોરી સરકારના કહેવાથી બૉમ્બ ફેંકવામાં આવેલો. એમને ગંભીર ઇજા થયેલી – એક હાથ અને એક આંખ એમણે ગુમાવી; પણ દૃઢ મનોબળ અને આંતરસૂઝ સાથેનો  આત્મવિશ્વાસ એમની આગવી મિરાત હતાં. 1993માં નેલ્સન મંડેલાએ એમને બંધારણ ઘડવાની સમિતિમાં આમંત્રણ આપ્યું અને પછી ત્યાંની સર્વોચ્ચ અદાલત – બંધારણીય કૉર્ટ -ના ન્યાયાધીશ તરીકે એમને નીમ્યા. પુસ્તકની પ્રસ્તાવનામાં ઇંગ્લેન્ડની સર્વોચ્ચ અદાલતના તે સમયના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ લૉર્ડ વુલ્ફે નોંધ્યું છે કે ‘ન્યાયની પ્રક્રિયામાં રસ ધરાવનાર તમામ માટે આ પુસ્તક ખૂબ રસપ્રદ છે અને જો મારા પર કૈં પણ જવાબદારી હોય તો તે કહેવાની જવાબદારી છે કે દરેક ન્યાયાધીશ જેની નિયુક્તિ માટે હું જવાબદાર છું તેણે આ પુસ્તક વાંચવું જોઈએ.’

લગભગ 300 પાનાંનું પુસ્તક હું તો એકીબેઠકે વાંચી ગયો. મુખપૃષ્ઠ ઉપર જુડિથ મેસન નામની એક કલાકારે ભૂરા રંગના પ્લાસ્ટિકમાંથી બનાવેલું એક ફ્રૉક છે. જુડિથે એ કેમ બનાવ્યું? એના નિવેદનમાં એ નોંધે છે કે ફિલા એન્ડવાન્ડવે નામની એક શ્યામ સ્ત્રીએ મૌન રહીને અત્યાચાર સહ્યો પણ પોતાના સાથીદારોનાં નામ ગોરી સરકારને ન આપ્યાં. એની હત્યા કરવામાં આવી તે પહેલાં તેને દિવસોના દિવસો નગ્ન હાલતમાં રાખવામાં આવી હતી. ભૂરા રંગના પ્લાસ્ટિકની બેગ વડે તેણે પોતાની નગ્નતા ઢાંકી હતી. જુડિથે બનાવેલ ડ્રેસ પર તેણે ફિલાને ઉદ્દેશીને એક પત્ર ચીતર્યો છે. જસ્ટિસ આલ્બિ સાકસના કહેવાથી આ ડ્રેસ દક્ષિણ બંધારણીય અદાલતમાં ભૂતકાળમાં થયેલા અત્યાચારોની યાદગીરી રૂપે મૂકવામાં આવ્યો છે. આમ તો આખું પુસ્તક નિતાંત રસપ્રદ છે; પણ એમાંની, મને અંદરથી ભીંજવી ગયેલી, કેટલીક વાત વહેંચવી છે –

– રંગભેદ નીતિ નાબૂદ થયા પછી દક્ષિણ આફ્રિકામાં ટ્રુથ ઍન્ડ રિકન્સીલિએશન ઍક્ટ (સત્ય અને મનમેળ કાયદો) ઘડવામાં આવ્યો. એ કાયદા નીચે નિયુક્ત થયેલ કમિશન સમક્ષ જે કોઈ ગોરી સરકારના કહેવાથી કાળા લોકો પર પોતે ગુજારેલા અત્યાચારની સંપૂર્ણ જાહેરાત અને સાચી કબૂલાત કરે તેને દિવાની કે ફોજદારી કોઈ પણ સ્વરૂપની કાનૂની કાર્યવાહી સામે રક્ષણ આપવાની જોગવાઈ હતી. આ કાયદાની બંધારણીયતા દક્ષિણ આફ્રિકાની અદાલતમાં પડકારાઈ હતી. આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે એવું નોંધતા અદાલતે ઠરાવ્યું કે દક્ષિણ આફ્રિકી બંધારણનો હેતુ દેશના નવનિર્માણનો છે. ભૂતકાળની ભૂલનો દસ્તાવેજ આંખ સમક્ષ હોવો જોઈએ અને સાથે સાથે નિખાલસ અને સાચો એકરાર કરનારને સંપૂર્ણ માફી આપી એવા અત્યાચારો ફરીથી ન થાય તે ધ્યાનમાં રાખી દૃષ્ટિ ભવિષ્ય તરફ રાખીને આગળ વધવાનું છે.  “ક્ષમા વીરસ્ય ભૂષણમ્”ને અહીં બંધારણીય માન્યતા મળે છે.

અનિલ જોશીનું ગીત છે –

કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી ધોળો વરસાદ તારા દેશમાં 

આપણે તો નોધારા ભટકી રહ્યાં છીએ ચામડીના ખોટા ગણવેશમાં.

– ત્યાંની બંધારણીય અદાલતનું મકાન ગાંધીજી અને મંડેલાને જોહાનિસબર્ગની જે જેલમાં રાખવામાં આવ્યા હતા તે જેલના પરિસરમાં બનાવવામાં આવ્યું છે એમ લેખક નોંધે છે. આ મકાનની ડિઝાઇન નક્કી કરવાની જ્યુરીમાં ભારતના પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા અધ્યક્ષ પદે હતા. બંધારણીય અદાલતમાં ન્યાયાધીશોને બેસવાનું સ્થળ એ રીતે બનાવાયું છે કે જ્યાંથી તેમને બહાર અવરજવર કરતા લોકોના પગ માત્ર દેખાય, ચહેરાઓ નહીં – એટલે કે – લોકોના ચહેરા જોયા વગર સર્વને સમાન ન્યાય મળી રહે તેવી વિભાવના આ અદાલતની ડિઝાઇન પાછળ છે.

આલ્બી સાક્સ

– પોતે આપેલ ચુકાદાઓનાં તારણો પર એ કઈ રીતે પહોંચ્યા તે આ લેખકે સાહિત્યિક રીતે સમજાવ્યું છે. એ નોંધે છે કે ઘણી વાર ન્હાતાં ન્હાતાં, આર્કિમિડિઝની જેમ, એમને તારણો ને કારણો જડ્યાં છે. કેસની અંદર સમાયેલ માનવીય અધિકારોના ભંગના પ્રશ્નો જોઈને કેટલી ય વાર આ ન્યાયાધીશ રડ્યા છે તેનો પણ અહીં એકરાર છે. ન્યાયાધીશે અનુભવેલું મનોમંથન આપણે પણ અનુભવી શકીએ એટલું અદ્દભુત આ આલેખન છે. “લાફ ઈટ ઑફ” નામના પ્રકરણમાં લાફ ઈટ ઑફ નામની એક કંપની ઉપર ટ્રેડમાર્ક ભંગનો કેસ થયેલો તેની વાત છે. આ કંપની પૅરડી-વક્રોક્તિ-નો ઉપયોગ કરીને ટી-શર્ટ બનાવતી હતી. બ્લેક લૅબલ નામના એક બિયરની પૅરડી “બ્લૅક લૅબર વ્હાઇટ લાય” એ રીતે કરીને બનાવેલ ટી-શર્ટ માટે બ્લૅક લૅબલ બિયર બનાવતી કંપનીએ લાફ ઈટ ઑફ ઉપર  ટ્રેડમાર્ક ભંગનો કેસ કર્યો હતો. પ્રશ્ન વાણી સ્વાતંત્ર્ય અને ટ્રેડમાર્કના હક્કો વચ્ચેના ઘર્ષણનો હતો. લાફ ઈટ ઑફની તરફેણમાં ચુકાદો આપતા આ ન્યાયાધીશે નોંધ્યું છે –

“Does the law have a sense of humor?… A society that takes itself too seriously risks bottling up its tensions and treating every example of irreverence as a threat to its existence. Humor is one of the great solvents of democracy. It permits the ambiguities and contradictions of public life to be articulated in non-violent forms. It promotes diversity. It enables a multitude of discontents to be expressed in a myriad of spontaneous ways. It is an elixir of constitutional health.”

(“શું કાયદા પાસે હાસ્ય મળી શકે? જે સમાજ પોતાને અત્યંત ગંભીરતાથી લે છે તે પોતાના તણાવોને બાટલીમાં પૂરી દેવાનું જોખમ ધરાવે છે અને અનાદરના દરેક ઉદાહરણને પોતાના અસ્તિત્વ સામે ધમકીરૂપે જુએ છે. હાસ્ય લોકશાહી માટે ઉત્તમ દ્રાવક પદાર્થ  છે. તે જાહેર જીવનની સંદિગ્ધતાઓ અને વિરોધાભાસોને અહિંસક રીતે અભિવ્યક્ત કરી શકે છે. તે વિવિધ સ્વરૂપના અસંતોષોને વ્યક્ત કરવા અસંખ્ય સ્વયંસ્ફૂર્ત રસ્તાઓ કરી આપે છે. હાસ્ય એ (દેશના) બંધારણીય સ્વાસ્થ્ય માટે ઉત્તમ રસાયણ છે”)

– એમના પર બૉમ્બ ફેંકાયો તે અંગેના કાવતરામાં સક્રિય ભાગ લેનાર હેન્રી આલ્બિ સાકસને મળે છે અને પશ્ચાતાપ અનુભવે છે; આલ્બિ એને કમિશન પાસે જઈને સત્ય વાત જાહેર કરવા કહે છે, અને એ પછી એની સાથે પોતાના એકમાત્ર હાથ વડે “શૅક હૅન્ડ” કરવાનું વચન આપે છે. થોડો સમય બાદ એક કાર્યક્રમમાં આલ્બિ અને હેન્રીનો અનાયાસ ભેટો થાય છે. એ મુલાકાત કમિશન પાસે નિખાલસ કબૂલાત પછીની છે. બન્ને  “શૅક હૅન્ડ” કરે છે. છૂટા પડ્યા  પછી હેન્રી બે અઠવાડિયા સુધી સતત રડતો હતો એમ કાર્યક્રમના આયોજકો આલ્બિને જણાવે છે. વાંચીને મને કલાપી યાદ આવે છે –

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે 

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

કાયદાનું સકારાત્મક પાસું કેવું હોઈ શકે અને કાયદો સમાજને અને વિચારધારાને બદલવા માટે કઈ રીતે ઉપયોગી થઇ શકે તે આ પુસ્તકમાંથી જાણવા મળે છે.

ત્રીસ વર્ષથી વકીલાતના ક્ષેત્રમાં હોવા છતાં આપણે તો કશું કર્યું જ નથી એવી અનુભૂતિ આ પુસ્તક વાંચીને થઇ. ક્યાંક વાંચેલા ગીતના આ શબ્દો યાદ આવી ગયા –

ગાયું જે કહેવાય એવું ક્યાં ગાયું?

સપ્ટેમ્બર 2020માં કોરોના આવ્યે 6 માસ થયા. આ વ્યાધિનો કેર ઓછો ન થયો. મૃત્યુ આંક વધતો ગયો. ઘેર બેઠા રમેશ પારેખના સમગ્ર કાવ્યોમાંથી પસાર થઈ રહ્યો હતો. મીરાંની મનોદશામાં પહોંચીને લખાયેલું ર.પા.નું એક ગીત સ્વરબદ્ધ કરવાનો આનંદ લીધો. એમાં પણ કાયદાની પરિભાષાના બે શબ્દો છે- “ગુનો” અને “માફી”.

ગિરધર ગુનો અમારો માફ 

તમે કહો તો ખડખડ હસીએ, વસીએ જઈ મેવાડ 

માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ 

સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએ સાફ 

મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું 

વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું 

પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ

મનની વ્યગ્રતાએ આ ગીત પણ તાર સ્વરે ગવડાવ્યું. સંગીતની પરિભાષામાં કહું તો સાધારણ રીતે હું કાળી 1 સૂરથી ગાઉં છું, પણ આ ગીત એના મધ્યમ(“મ” સ્વર)થી એટલે કે કાળી 3ને “સા” માનીને સ્વરાંકિત થયું. ર.પા.ના આ મીરાંકાવ્યમાંના અંતરાની પ્રથમ પંક્તિમાં “વસ્તુ અમોલિક દી મેરે સત્‌ગુરુ”ના સ્વરો અને અંતરાની બીજી પંક્તિમાં પણ એ જ ઢાળ, પણ બીજા સ્કેલથી, બેસી ગયા.  ગાર્ગી વોરાના અવાજમાં સાંભળો.

સપ્ટેમ્બર 2020માં અમેરિકાની સુપ્રીમ કૉર્ટનાં જસ્ટિસ શ્રીમતી રૂથ બૅડર ગિન્સબર્ગ(વ્હાલસોયું નામ આર.બી.જી.)નું અવસાન થયું. આખા અમેરિકાએ આ ઉદારમતવાદી ન્યાયાધીશના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. “નૉટોરિયસ આર.બી.જી.” તરીકે જાણીતાં આ ન્યાયાધીશ જાતિવિષયક ભેદભાવને વખોડતા એમના ચુકાદાઓ માટે પ્રખ્યાત હતાં. એમના જીવન પર આધારિત ફિલ્મ “ઑન ધ બૅઝિસ ઑફ સૅક્સ” ઘેર બેઠા માણી. આર.બી.જી.ના પાત્રમાં  અભિનેત્રી ફૅલિસિટી જૉન્સનો અભિનય અત્યંત આકર્ષક છે. આર.બી.જી. ન્યાયાધીશ બન્યાં તે પહેલાંની એમની વકીલ તરીકેની કારકિર્દીમાં જાતિભેદ નાબૂદી અને બન્ને જાતિઓને સમાન તક મળે તે માટે આર.બી.જી.એ કરેલા સંઘર્ષની કથા છે. મજાની વાત એ હતી કે સ્ત્રીઓને પુરુષો જેવા જ હક્ક મળે તે માટેની એમની લડત શરૂ થઈ એક પુરુષ તરફથી સમાન અધિકાર માટે તેમણે કરેલા એક કેસથી. એક હાર્વર્ડ લૉ સ્કૂલમાં નવમાંનાં એક વિદ્યાર્થી તરીકે એડમિશન લીધા બાદ એમને જાતિભેદનો અનુભવ અનેક વાર થયો. પુરુષપ્રધાન વ્યવસાયમાં એક સ્ત્રીની હાજરી અને એમાં પણ આટલી વિખ્યાત યુનિવર્સિટીમાં સ્થાન એમનો જાતિવિષયક ભેદભાવ સામેનો પ્રથમ કેસ એ પુરુષ તરફથી લડ્યાં હતાં. અમેરિકાના ટૅક્સ કૉડ અંતર્ગત નીચેના કરદાતાને પોતાનાં આશ્રિતોની સંભાળ રાખવાનો ખર્ચ કરમાં મજરે મળી શકે તેવી જોગવાઈ હતી –

1. જો કરદાતા સ્ત્રી હોય,

2. જો કરદાતા વિધુર હોય અથવા 

3. જો કરદાતા એવો પતિ હોય કે જેનાં પત્ની શારીરિક અક્ષમતા ધરાવતાં હોય અથવા કોઈ સંસ્થામાં સારવાર અર્થે દાખલ હોય.

રૂથ બૅડર ગિન્સબર્ગ

કોઈ અવિવાહિત પુરુષને પોતાનાં માતાપિતાની સંભાળ રાખવાનો ખર્ચ ટૅક્સ કૉડ નીચે મજરે મળી ન શકે. ચાર્લ્સ મૉરિત્ઝ અવિવાહિત પુરુષ હતો અને તેનાં માતાની સંભાળ લેવા તેણે એક નર્સ રાખેલ હતી તેનો ખર્ચ તેને મજરે ન મળ્યો. આર.બી.જી.એ ચાર્લ્સ મૉરિત્ઝ વતી આ જોગવાઈ સમાનતાના અધિકારનો ભંગ કરે છે તેવી દલીલ કરીને આ જોગવાઈની બંધારણીયતા પડકારી. અમેરિકાના બંધારણમાં સમાનતાનો અધિકાર છે જેમાં “કાયદા સમક્ષ સર્વની સમાનતા અને સર્વને કાયદાનું સમાન રક્ષણ” હોય એવી વિભાવના છે. (ભારતના બંધારણ નીચે પણ આ મૂળભૂત હક્ક છે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.) ત્યાંની ફેડરલ કૉર્ટે આર.બી.જી.ની દલીલ સ્વીકારી અને આ જોગવાઈ સમાનતાના હક્ક વિરુદ્ધની ઠરાવી. પછી તો જાતિભેદના અનેકાનેક કેસો સ્ત્રીઓ વતી પણ કર્યા. કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત આર.બી.જી.ને પ્રમુખ રોનાલ્ડ રેગને  વૉશિન્ગટન ડી.સી., ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાની ફેડરલ કૉર્ટમાં ન્યાયાધીશ નિયુક્ત કર્યા. મારા કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉના વિદ્યાર્થી તરીકેના એક વર્ષમાં અમે આર.બી.જી.ને અલપઝલપ મળેલા તે યાદ આ ફિલ્મ જોઈને તાજી થઇ. 1993માં પ્રમુખ બિલ ક્લિન્ટને એમને અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નીમ્યાં, ત્યારથી 2020 સુધી એમણે લોકોનાં જીવનને સ્પર્શે તેવી બાબતો પર અનેકવિધ ચુકાદાઓ આપ્યા અને બંધારણના સર્જનાત્મક અર્થઘટન દ્વારા લોકોને રાજ્ય સામે વિવિધ વ્યક્તિગત હક્કો આપીને એમનાં જીવન સમૃદ્ધ કર્યાં.

આ ફિલ્મમાં આર.બી.જી.એ સમાનતાની તરફેણમાં કરેલી દલીલનું એક વાક્ય સ્પર્શી ગયું –

“We are not asking you to change the Country. That has already happened without the Court’s permission. We are asking you to protect the right of the Country to change.”

ફિલ્મને અંતે આર.બી.જી.ને પોતાને (એમનો અભિનય કરનાર અભિનેત્રીને નહીં) અમેરિકાની સુપ્રીમ  કૉર્ટનાં પગથિયાં ચડતાં બતાવાયાં છે તે દૃશ્ય જોઈને  મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. આમ, પુસ્તક, કાવ્ય અને ફિલ્મ ત્રણેયમાં કાયદાની પારિભાષિક શબ્દાવલી હોઈ જીવને થોડી ટાઢક વળી.

e.mail : amarbhatt@yahoo.com
પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”; ફેબ્રુઆરી 2023

Loading

શૂન્યથી સંગમ સુધી

રોહિત શુકલ|Opinion - Opinion|26 February 2023

ભારત એક ખોજ : 

રોહિત શુક્લ

વીતેલા, લગભગ સાત-આઠ દાયકાથી વિશ્વમાં માનવ ઉપર પ્રચંડ આઘાતો કરાઈ રહ્યા છે. મુસોલિની, હિટલર, સ્તાલિન, માઓ અને હવેના પુતિન, શી જીંગ, ઉત્તર કોરિયા, મ્યાનમાર, અફઘાનિસ્તાન, સીરિયા, વગેરેની એક મોટી યાદી છે. આ તમામ અપૂર્ણાંકોનો લ.સા.અ. કાઢીએ તો કેવું ચરિત્ર નીપજે ? હિંસા, ડર, ખમીર અને ઝમીરનું હનન, નિ:સહાયતા અને પીડા જાણે કે માનવ-જીવનનું ચરિત્ર બની ગયું છે ! તેમાં શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પાયમાલીના પ્રબંધો ઉમેરીએ તો સમગ્ર જગતના નિયંતા ગણાતા ઈશ્વરે ક્યાંક છુપાઈ જવું પડે ! સાંકડી માનસિકતા માત્ર બે જ લક્ષણોને પહેચાની શકે છે : પૈસા અને સત્તા. પરસ્પર પૂરક બનીને મ્હાલતી આ વ્યવસ્થા પૂર્ણપણે માણસખાઉં બની રહી છે. ભારતમાં માંડ દસ ટકા લોકો પાસેની સંપત્તિ લગભગ એંશી ટકા કેમ હશે ? આ અર્થતંત્રો, સમાજ અને રાજકીય વ્યવસ્થાને બાટલીમાં પૂરી વારંવાર ‘હૂકમ મેરે આકા’ કહેવડાવનારની માનસિકતા અને સંવેદનશીલતા(સંવેદનહીનતા ?!)ની સામે વિકલ્પ કયો ?

સત્તા અને પૈસાની આ નાગચૂડમાં ઘણું બધું નાશ પામતું જાય છે. નફરત, હિંસા, આપખુદી, માનસિક ગુલામી, લાચારી વગેરે માનવ અસ્તિત્વની ગરિમાને લજવે છે. આ સંજોગોમાં – નફરતના બજારમાં, પ્રેમની એક પરબ મંડાય તે જરૂરી હતું. પણ સત્તા-પૈસાની સાઠમારી બધે જ વ્યાપેલી હતી. તેમાં સાતમી સપ્ટેમ્બર ૨૦૨૨ના દિવસે એક નવો જ સૂર્ય ઊગ્યો અને આશાનું કિરણ ફૂટ્યું; પેલી ગઝલની પંક્તિઓની જેમ જ :

“દમ સા ઘૂટતા હૈ મગર, ગમ કી સીયાં રાતોં મેં,

શમ્મા કી લૌ કો કોઈ ધીરે સે બઢા દેતા હૈ.”

ગૂંગળામણ તો છે જ પરંતુ અંધારું સ્હેજ-સાજ ઓસર્યું છે ખરું ! આ કોઈ દાવાનળ નથી, માત્ર આગિયાના ઝબકારા છે. પાનબાઈ કહે છે તેમ :

‘વીજને ઝબકારે મોતી રે પરોવો’ આ જુગનુના ઝબકારે નફરત છોડો – દિલથી દિલ મેળવો. રાહુલ ગાંધીની આ યાત્રા ૩૦મી જાન્યુઆરી ‘શહીદ દિવસે’ કશ્મીરમાં વીરમી તેના ફલિતાર્થો પાર વગરના છે.

સત્તા-પૈસાના ખેલાડીઓ આ યાત્રાની આધ્યાત્મિકતાને સમજી જ નહીં શકે; જો કે રાહુલ ગાંધીએ શેરે કશ્મીર સ્ટેડિયમની સભામાં આ ફલિતાર્થો સાવ સ્પષ્ટ કરી આપ્યા છે. આ સ્પષ્ટતાઓ સમજીએ :

(૧)       શૂન્યતાથી સંગમ સુધી : દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા રાહુલ ગાંધી એક અદ્ભુત અનુભૂતિ પામ્યા છે. તેઓ કહે છે તેમ, કશ્મીરિયત શિવની શૂન્યતા અને ઇસ્લામની ફના છે. પોતાના વડવાઓ આ શૂન્યતા લઈને નીકળ્યા અને ઈલાહાબાદના સંગમમાં ગંગા-જમની તહજીબની રીતે તેને વહાવી ! આ દેશમાં નફરત ફેલાવનારા અને તેમાંથી પ્રગટતી હિંસાનો ભોગ થઈ પડનારા પ્રેમની આ નાનકડી દુકાનમાંથી બે ઘૂંટ આચમન કરે તો બધું જ સ્વાહા થઈ જાય. રાહુલ ગાંધીની યાત્રામાં – ખાસ કરીને કશ્મીરમાં ભારે ઠંડી વચ્ચે પણ ઊમટી પડેલી ભીડ આની ગવાહી પૂરે છે. આંસુઓનાં તોરણ બાંધેલી મહિલાઓ અને વૃદ્ધોએ આ શૂન્યતા અને પ્રેમનો સાક્ષાત્કાર કર્યો હશે ?

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી માત્ર કૉંગ્રેસના માણસ તરીકે ચાલ્યા નથી. ‘चरैव: चरैव:’ શાસ્ત્રવચનનું પ્રમાણ પણ પૂરું પાડે છે. તે માત્ર દેહથી ચાલ્યા નથી; વડદાદાએ દાદીને લખેલા પત્રો અને સમગ્ર ઇતિહાસભાન સાથે તે સંચર્યા છે. ત્યારે તો શિવની શૂન્યાવસ્થાના વાહક બનીને ગંગા-જમની તહજીબની છલાંગ લગાવી શક્યા છે. ફિલસૂફીના અભ્યાસને કારણે તેઓ કહી શક્યા કે ‘મારે ઈંટ-ચૂનાનું કોઈ મકાન-ઈમારત નથી, સરકારી, આવાસોમાં હું જીવ્યો છું. પરંતુ કશ્મીરિયત મારું ઘર છે.’ આ કક્ષાએ વિચારનાર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરનાર કોઈક તપસ્વી જ હોઈ શકે !

(૨)       પ્રેમની બુલંદી : માત્ર સત્તા-પૈસાની કાવાદાવાભરી કૂટનીતિ એટલે જ રાજકારણ – એ સમીકરણ આ યાત્રાએ ખોરવી નાખ્યું છે. કદાચ તે ફરી વધુ વિકરાળ સ્વરૂપે ઊભું થાય પણ ખરું. આ સત્તા-પૈસા એટલે જ કદાચ અહીરાવણ-મહીરાવણ હશે. શ્રી રામ એક દસ માથાંળા રાવણને તો હણી શકે પણ પેલા અહી/મહી રાવણનું શું ? તેમનું તો લોહીનું એક ટીપું જમીન ઉપર પડે તે સાથે બીજા હજાર પેદા થતા. સત્તા-પૈસાની લાલસા આવી જ – રક્તપિપાસુ બની રહે છે. મોબ લિંચીંગથી બુલડોઝર સુધીની આવૃત્તિઓ બહાર પડી છે.

વિશેષ નોંધપાત્ર બાબત એ બની કે નફરતના આ ધીખતા ધંધાવાળા પણ પ્રેમની હાટડી તરફ – કાંઈક છદ્મવેશે તો કંઈક કુતૂહલવશ સંચર્યા છે. આર.એસ.એસ.ના વડા મસ્જિદમાં જાય, મુસ્લિમોના પ્રતિનિધિઓને મળે અને (કમ સે કમ ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી) ઇસ્લામોફોબિયાનાં શસ્ત્રોને મ્યાન કરવાની સૂચના સર્વોચ્ચ કેન્દ્રસ્થાનેથી આવે તે શું સૂચવે છે ? આમાંથી ઘણું એ જ અહી/મહી રાવણી ચાતુર્ય હોઈ શકે – વરુણ ગાંધીએ તલવારના વાર કરીને હાથ વાઢી નાંખવાની વાત કરી હતી; કદાચ તેમની અંદરના ખૂનના કોઈક કતરાને કશ્મીરિયતનો ધ્વનિ સંભળાયો પણ હોય !

આમ તો સમગ્ર વિશ્વમાં, પણ ખાસ કરીને તાજેતરનાં વર્ષોમાં ભારતમાં ‘મહાભારત’ પુરાણ આદર્શરૂપે પ્રસ્થાપિત થયું છે. વ્યાસમુનિએ મહાભારત રચીને જગતનું વાંછનીય મોડલ પ્રસ્થાપિત કરવા ધાર્યું હતું. પરંતુ બન્યું શું ? જીવનની સાવ છેવાડાની ઉત્તરાવસ્થામાં તેમને સમજાયું કે આ તો ‘નફરતનું બજાર’ સર્જાઈ ગયું ! મહાભારતના સર્જન બદલ પીડા પામતા બેઠા હતા; ધ્યાન-સમાધિ છૂટી ગયાં હતાં અને વિક્ષિપ્ત મનોદશામાં હતા. ત્યાં બ્રહ્માજીએ નારદજીને મહર્ષિ પાસે મોકલ્યા. દેવર્ષિ નારદે મહર્ષિ વેદવ્યાસને બ્રહ્માજીના મોકલેલા ચાર શ્લોક સંભળાવ્યા. આ ચાર શ્લોક એટલે ચતુ:શ્લોકી ભાગવત. શ્રીમદ્ ભાગવત નકરા પ્રેમનો ગ્રંથ છે. તેમાં ય દશમસ્કંધ અને મહારાસ દ્વારા નફરતના બજારમાં પ્રેમની હાટડી ખૂલી ગણાય. રાધા ગોપીઓ – ગોવાળો અને દામોદર – ગોવર્ધનધારી કુંજબિહારી શ્રીકૃષ્ણ પ્રત્યે તો રસખાન પણ ખેંચાઈ આવેલા. નરસૈયાને પણ શિવજીએ મહારાસના દર્શન કરાવેલા. રાહુલ ગાંધીનું આ કાર્ય સૌનાં દિલો સુધી પહોંચ્યું છે.

*         એટલે જ ઘણી સ્ત્રીઓએ રડતાં-રડતાં, પોતાના જ કુટુંબીઓ ઉપર ગુજારેલા બળાત્કારની કથનીઓ કહી. તેમણે કોઈ ઉપાય ન માંગ્યો કે ન માંગી કોઈ સજા – માત્ર દિલ ખોલ્યું અને થોડાંક આંસુ સારીને હળવી થઈ. જુગનુના ચમકારામાં પણ આશા તો છે ને !

*         ઠંડીમાં ધ્રૂજતા – લગભગ નિર્વસ્ત્ર ગરીબ બાળકોને જોઈને એટલા હલી ગયા કે પોતે કશ્મીરની ઠંડીમાં પણ અડધી બાંયના ટી-શર્ટ-ભેર જ ચાલ્યા. પેલા મો.ક. ગાંધીએ પણ કાયમ માટે પોતડી સ્વીકારી હતી. ઇંગ્લેંડના શહેનશાહને મળવા ગયા ત્યારે પણ ‘નંગા ફકીર’ બનીને જ ગયા.

*         પદયાત્રા પડતી મૂકવી પડે તેવું દર્દ ઘૂંટણમાં ય ઊપડ્યું હતું. પણ રસ્તામાં શું બન્યું ?! આ મનોસ્થિતિ અને શારીરિક અવસ્થામાં ચાલતા હતા ત્યાં એક નાની બાળા આવી. તેણે કહ્યું – ‘તમને પગમાં પીડા થાય છે તે મને તમારા મોઢા ઉપરથી દેખાય છે. હું પણ તમારી સાથે ચાલત પણ મારાં માતા-પિતા ના પાડે છે. પણ તમે ચાલતા જ રહેજો – અમારી આજ અને આવતીકાલ માટે પણ તમે ચાલો. આ એક પત્ર તમને આપું છું – પછીથી વાંચજો.’ એ છોકરીના ગયા પછી શ્રી રાહુલ ગાંધીએ તે ચિઠ્ઠી વાંચી અને અચાનક દરદ દૂર થઈ ગયું !

અલબત્ત, પંડિત નહેરુના વૈજ્ઞાનિક અભિગમ સાથે આવા ચમત્કારો સુસંગત નથી જ ! આ એક કાકતાલીય ન્યાય પણ હોઈ શકે. પણ મુદ્દો માત્ર શારીરિક પીડા દૂર થવાના ચમત્કારનો નથી. યાત્રા દરમિયાન કોઈક ખૂણાના ગામની છોકરી રાહુલ ગાંધીને મળવા દોડી આવે, તેમના ચહેરા ઉપર મીટ માંડીને તેમની પીડા જૂએ, આ યાત્રા પોતાના જેવી અનેક કન્યાઓનાં જીવન માટે શા માટે અને કેટલી મહત્ત્વની છે તે સમજે અને યાત્રા ચાલુ જ રાખવાની વિનંતિ કરે – તેમાં ભરોભાર ચમત્કાર જ ચમત્કાર છે. બાઇબલમાં કહેવાયું છે :

‘એન્ડ ગોડ સેઈડ લેટ ધેર બી લાઈટ, એન્ડ ધેર વોઝ લાઈટ.’

ઈશ્વરે પ્રકાશનું સર્જન કર્યું તે ચમત્કાર કરતાં અદકેરો ચમત્કાર ઈશ્વરના મનમાં સૃષ્ટિ પ્રતિ કરુણા ઊભરાઈ તે છે. આ કરુણાના સાગરે તેથી જ પ્રકાશનું સર્જન કર્યું !

ભારતમાં જેટલી યાત્રાઓ થઈ છે તેટલી અન્ય ક્યાં ય થઈ નથી. ભારતમાં જેટલી વૈચારિક ક્રાંતિઓ થઈ છે તેટલી અન્યત્ર ક્યાં ય થઈ નથી. આ દેશના પ્રવાહો મુક્ત અને અસ્ખલિત વહેવા ટેવાયેલા છે. તેને પ્રેશર કુકરના ડોઘલામાં પૂરી ઢાંકણું બંધ કરી પોતપોતાની ખિચડી પકવવા વાપરી ન શકાય. આ યાત્રાએ આવી ગૂંગળામણ સામે સંવેદના અને પ્રેમભરી મોકળાશ કરી આપી છે.

મીર્ઝા ગાલીબે કહ્યું છે ને :

‘રગો મેં દોડને ફિરને કે હમ નહીં કાઈલ,

જો આંખ સે ટપકે ના વો લહૂ લહૂ ક્યા હૈ’

આ સુદીર્ઘ પરિપાટીમાં, ‘ભોમિયા વિના’, અભય પામીને અને ‘મસ્તકને ઉન્નત રાખીને’ નીકળી પડનાર આ ભારતીય માનુષે વિશ્વની પીડાઓને નિવારવાનો કીમિયો બતાવ્યો છે. પેલા ગાંધીને ચૂકી જનાર નોબલ આ ગાંધીને ચૂક્યા વગર શાંતિનું નોબલ અર્પે તેમાં તેનું પોતાનું પણ ગૌરવ છે.

e.mail : shuklaswayam345@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—185

દીપક મહેતા|Opinion - Opinion|25 February 2023

ગુજરાતના ચાહક–અભ્યાસી ફાર્બસનું એકે સ્મારક ગુજરાતમાં નથી

પણ મુંબઈમાં તેમના નામની સંસ્થા આજે ય અડીખમ ઊભી છે  

અમને ખબર છે, સુજ્ઞ વાચકો જરૂર તેમના સવાલના જવાબની રાહ જોતા હશે : “ગયે અઠવાડિયે ‘ફોર્બ્સ ફોર્બ્સ’ કર્યા કરતા હતા, તો એ અંગ્રેજ સાહેબ હતા કોણ?” 

ઔપચારિક જવાબ તો બે-ચાર શબ્દોમાં આપી શકાય : એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ હતા એક અંગ્રેજ સનદી અધિકારી. આજના વાતાવરણથી ટેવાયેલા કેટલાક વાચક મનોમન બોલશે : અચ્છા અચ્છા! એટલે અંગ્રેજ સરકારને રાજી રાખવા એક સંસ્થા સાથે તેમનું નામ જોડી દીધું. આજે જેમ કોઈ સંસ્થા સાથે રાતોરાત અલાણા-ફલાણા નેતાનું નામ જોડાય છે, દરેક સરકારી જાહેર ખબરને તેમના ફોટા શોભાવે છે, તેમ. પણ એવું નહોતું. ગુજરાત અને તેની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, સાહિત્ય વગેરેના પરમ ચાહક હતા, એ સાહેબ. અભ્યાસી હતા. ગુજરાતી સરસ રીતે વાંચી-બોલી શકતા. અંગ્રેજી ભાષામાં ગુજરાતના ઇતિહાસનું પહેલવહેલું પુસ્તક બે દળદાર ભાગમાં તેમણે લખેલું. આટલું જાણ્યા પછી આ ફોર્બ્સ સાહેબ વિષે વધુ જાણવાનું મન થયું ને? તો હવે વાંચો આગળ.

એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ 

આખું નામ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ. પણ કવિ દલપતરામ તેમને ફાર્બસ કહેતા એટલે ગુજરાતીઓ તેમને ‘ફાર્બસ’ તરીકે વધુ ઓળખે. જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે. જોન ફોર્બ્સ-મિચેલ અને એન પોવેલને કુલ છ સંતાનો. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. યુવાન વયે તેમની આંખોમાં સ્થાપત્ય વિશારદ થવાનું સપનું અંજાયું હતું. પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિ બસેવી પાસે તેમણે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછી  બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તે માટે ઈસ્ટ ઇન્ડિયા કોલેજમાં જોડાવાનું જરૂરી હતું.

૧૮૪૧ના જાન્યુઆરીની ૭, ૮, અને ૯ તારીખે લેવાયેલી પ્રવેશ પરીક્ષામાં ફાર્બસ બેઠા અને બીજા સોળ પરીક્ષાર્થીઓ સાથે એ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પછીથી તેઓ કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા અને હેલબરી અને ઈમ્પિરિયલ સર્વિસ કોલેજમાં અભ્યાસ કર્યો. અહીંના અભ્યાસકાળ દરમ્યાન તેઓ પ્રખ્યાત ઇન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા. અગાઉ સ્થાપત્યકલાનો ભલે થોડો, પણ અભ્યાસ કર્યો હતો, અને હવે આ પુસ્તકો દ્વારા તેઓ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિચયમાં આવ્યા. હિન્દુસ્તાનમાંના લાંબા વસવાટ દરમ્યાન તેનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, અને સાહિત્યમાં જે ઊંડો રસ ફાર્બસે લીધો તેનાં મૂળ આ બે ઘટનામાં શોધી શકાય.

તાલીમ પૂરી થયા પછી બોમ્બે પ્રેસિડન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. ત્યારે તેમની ઉંમર હતી ૨૧ વર્ષ. પણ તે પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં — પગ મૂક્યો. આપણે ત્યાં અભ્યાસ કે સંશોધનના ક્ષેત્રે કેવી કેવી વેઠ ઉતારાય છે તેના દાખલા ફાર્બસ વિષે જે લખાયું છે તેમાંથી મળે છે. એક ‘અભ્યાસી’એ ફાર્બસ પરના લેખમાં લખ્યું છે કે ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે વિષે ફાર્બસ આટલું કામ કરી શક્યા એનું કારણ એ હતું કે તેમણે લગ્ન કર્યાં નહોતાં. પહેલી વાત તો એ, કે લગ્ન કર્યાં હોય તો આવાં કામ થઈ જ ન શકે એવી વાત જ વાહિયાત છે. પણ હકીકતમાં ફાર્બસે તો લગ્ન પણ કર્યાં હતાં. આપણા આ મુંબઈમાં જ ૧૮૪૬ના માર્ચની પચ્ચીસમી તારીખે માર્ગારેટ મોઇર ફોર્બ્સ-મિચેલ સાથે ફાર્બસનાં લગ્ન થયાં. લાંબા લગ્ન જીવન દરમ્યાન તેમને છ સંતાનો થયાં. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. સરકારી નોકરીમાંથી રજા લઈ ફાર્બસ થોડા વખત માટે સ્વદેશ પાછા ગયેલા તે સમય ગાળાને બાદ કરતાં જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં, બલ્કે બોમ્બે પ્રેસિડન્સીમાં જ વિતાવ્યાં હતાં.

ફોર્બ્સનાં પત્ની માર્ગારેટ (પાછલી વયે)

હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. આ માટે તેમને અહમદનગર મોકલવામાં આવ્યા. ૧૮૪૩ના નવેમ્બરની ૨૦મી તારીખે તેઓ અહમદનગર પહોંચ્યા તે પછી બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી અને તેમાં પાસ થયા. ત્યાર બાદ અહમદનગરના થર્ડ આસિસ્ટન્ટ કલેકટર તરીકે તેમની નિમણૂક થઈ. ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે ફાર્બસે મરાઠી માટેની પરીક્ષામાં પણ સફળતા મેળવી. પરિણામે ૧૮૪૪ના નવેમ્બરની આઠમીથી તેમને બઢતી મળી, અને ખાનદેશના ‘સેકન્ડ આસિસ્ટન્ટ કલેકટર’ તરીકે નિમણૂક થઈ. ૧૮૪૬ના એપ્રિલ સુધી તેઓ આ પદે રહ્યા.

એ વર્ષના એપ્રિલની છઠ્ઠી તારીખે ફાર્બસની નિમણૂક મુંબઈની સદર અદાલત(બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત)ના એક્ટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે થઈ. પણ બે જ દિવસ પછી, આઠમી એપ્રિલે, તેમની નિમણૂક અમદાવાદના અસિસ્ટન્ટ જજ તરીકે થઈ. જો કે એ વર્ષના નવેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રહી સદર અદાલતનું કામ કરતા રહ્યા. એ પછી નવેમ્બર મહિનામાં તેઓ અમદાવાદ ગયા. અને ત્યારથી તેમના ગુજરાત સાથેના પરસ્પર હિતકારી સંબંધની શરૂઆત થઈ. ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તેમના મનમાં ઠસી ગઈ: આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા.

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી ગુજરાતીના કોઈ સારા શિક્ષકનું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ કવિ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. પહેલી વાર બંને મળ્યા તે જ દિવસથી દલપતરામ ફાર્બસના ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા, પણ પછી ગુજરાત અંગેના સંશોધનમાં તેમના મદદનિશ બની રહ્યા. અને અમુક અંશે બંને વચ્ચે મૈત્રીસંબંધ પણ બંધાયો. ફાર્બસ ગુજરાતી બોલતાં-વાંચતાં તો જલદી શીખી ગયા. તેઓ અંગ્રેજીમાં ગુજરાતનો ઇતિહાસ લખવા ધારતા હતા. એ માટેની કાચી સામગ્રી એકઠી કરવાનું કામ તેમણે દલપતરામને સોંપ્યું. દલપતરામ પ્રવાસ ખેડીને જરૂરી હસ્તપ્રતો મેળવતા કે તેની નકલ કરાવી લેતા. ફાર્બસે આ કામ માટે પોતે પણ પ્રવાસ કર્યા હતા અને દલપતરામ ઉપરાંત બીજાઓની મદદ પણ લીધી હતી.

કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા ફાર્બસે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે અમદાવાદમાં બોલાવી. એ સભામાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. ૧૯મી સદીમાં ગુજરાતનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વગેરેના અભ્યાસમાં આ સોસાયાટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આજના ગુજરાતીભાષી પ્રદેશમાંથી પહેલું અખબાર અને પહેલું સામયિક આ સંસ્થાએ શરૂ કર્યું. ઘણાં પુસ્તકો પ્રગટ કર્યા. સરકારી નોકરીમાં બદલીઓ થતી રહી. જ્યાં ગયા ત્યાં ફાર્બસે ગુજરાતી સંસ્કૃતિ અંગેનું કોઈ ને કોઈ કામ કરવાનો પ્રયત્ન કર્યો.

સરકારી નોકરીમાંથી રજા લઈને ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી પોતાની સાથે લઈ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ નામના બે દળદાર ભાગમાં ગુજરાતનો ઇતિહાસ પહેલી વાર અંગ્રેજીમાં લખીને પોતાને ખર્ચે પ્રગટ કર્યો. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક પ્રગટ થયું તે પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા અને નોકરીમાં ફરી જોડાયા. ફરી બદલીઓ. ૧૮૬૧માં તેમની નિમણૂક મુંબઈની સદર અદાલતના જજ તરીકે થઈ. આ સદર અદાલત એટલે બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત.

બોમ્બે હાઈ કોર્ટની સ્થાપનાની જાહેરાત કરતો બ્રિટનનાં મહારાણીનો ઢંઢેરો

૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ બહાર પાડ્યું. તેમાં બોમ્બે હાઈ કોર્ટમાં કુલ છ ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી. આ છમાંના એક હતા એલેક્ઝાન્ડર ફાર્બસ. આમ, તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા છ ન્યાયાધીશોમાંના એક બન્યા. બોમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબ સાઈટ પર લખવામાં આવ્યું છે: “મિસ્ટર જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ આઈ.સી.એસ. હિન્દુસ્તાનની સનદી સેવાના સભ્ય હતા અને ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે જે પહેલા છ ન્યાયાધીશોની નિમણૂંક થઈ તેમાંના તેઓ એક હતા. તેઓ પોતાના જમાનાના એક ઉમદા ન્યાયાધીશ હતા. આ દેશ વિષે તેઓની ઊંડી જાણકારી, હિન્દુસ્તાનની ભાષાઓ, તેના રીતરિવાજો પશ્ચિમ ભારતનું લોકસાહિત્યની જાણકારી વગેરેને લીધે તેઓ હિન્દુસ્તાનીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના સ્વભાવમાં એક ‘સંતનાં લક્ષણો’ જોવા મળતાં હતાં.”

મુંબઈ આવ્યા પછી થોડા વખતમાં તેઓ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના ઉપપ્રમુખ બન્યા, યુનિવર્સિટી ઓફ બોમ્બેના વાઈસ ચાન્સેલર બન્યા, સર જે જે સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રમુખ બન્યા. ૧૮૬૫માં તબિયત બગડતાં ડોક્ટરોની સલાહથી હવાફેર માટે પૂના ગયા. પણ ત્યાં તબિયત વધુ બગડી. અને માત્ર ૪૩ વરસની વયે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે ફાર્બસનું પૂનામાં અવસાન થયું.

ફાર્બસના અવસાન પછી તેમનું વસિયતનામું લંડનની રજિસ્ટ્રીમાં પત્ની અને પુત્રોએ ૧૮૬૯ના જુલાઈની ૨૪મી તારીખે રજિસ્ટર કરાવ્યું હતું. આ અંગેની નોંધમાં વસિયતનામામાંની કુલ મિલકત એક સો પાઉન્ડ કરતાં ઓછી હોવાનું જણાવ્યું છે. એ જમાનામાં પણ આ રકમ ઘણી નાની ગણાય. આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને, આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કેય જાહેર સ્મારક અમદાવાદમાં નથી. હા, મુંબઈમાં તેમની યાદગીરી સાચવતી સંસ્થા આજે ય અડીખમ ઊભી છે. બીજા કેટલાક ભારતપ્રેમી અંગ્રેજો અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 25 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,1841,1851,1861,187...1,1901,2001,210...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved