Opinion Magazine
Number of visits: 9567103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમને તમારી ઈચ્છા જેવું કૈં છે કે પછી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 February 2023

રવીન્દ્ર પારેખ

હા, હું તો સીધું જ પૂછું છું કે તમને તમારી ઈચ્છા જેવું કૈં છે કે પછી, બીજા જીવાડે છે એમ જ તમે જીવો છો? આ સવાલ તમે તમને પણ પૂછો ને વિચારો કે કેટલી બાબતોમાં તમે તમારી ઈચ્છા મુજબ જીવી શકો છો, વર્તી શકો છો? પહેલે તબક્કે તો તમને એમ જ લાગશે કે હું મારી ઈચ્છા મુજબ જ તો જીવું છું, વર્તું છું? મારી ઈચ્છા મુજબ ભણ્યો, પરણ્યો, નોકરી કરી તો આ કેમ એમ પૂછે છે કે મને મારી ઈચ્છા જેવું કૈં છે કે નહીં? તમે પૂરેપૂરા ગુલામ છો એવું કહેવાનું નથી, તમે તમારી રીતે જ રહો છો એ ય માની લઉં, પણ જરા આજુબાજુ જુઓ, જે ચાલે છે તે જુઓ ને વિચારો કે કોઈ તમારી જાણ બહાર તમારી ઉપર વર્ચસ્વ તો નથી જમાવતું ને? તમારી જાણ બહાર કોઈ તમારા પર હાવિ તો નથી થઈ રહ્યું ને? સવારથી ઊઠો છો ને રાત્રે પથારીમાં પડો છો ત્યાં સુધીમાં એમ જ જરા પોતાને પૂછજો કે કઇ કઇ બાબતમાં તમારો કક્કો ખરો થયો છે ને કઇ વાતમાં તમે બીજાની વાતમાં આવી જઈને તે પ્રમાણે કર્યું છે? જે જવાબ આવશે તેમાં થોડું એવું પણ હશે કે તમે બીજાની સૂચના કે ઈચ્છા પ્રમાણે વર્ત્યા હો. આમ થવું સ્વાભાવિક છે. આટલી મોટી દુનિયામાં અનેક બાબતોની અસર આપણા પર મોડી વહેલી ને ઓછી વત્તી થતી જ રહે છે, એટલે કોઈ પ્રભાવ વગર જ જીવી જવાય એ શક્ય નથી.

આપણે છાપાં વાંચીએ છીએ, મેગેઝિન્સ જોઈએ છીએ, ટી.વી. પર ફિલ્મો, સિરિયલો જોઈએ છીએ. એમાં અનેક ફેશન જોઈએ છીએ, રીત-રિવાજો જોઈએ છીએ, ખાવા-પીવાનું જોઈએ છીએ, એમાંનું ઘણું આપણને નથી ગમતું તો ઘણું ગમે પણ છે. એવું કૈં જોવા-કરવાનું, ખરીદવા-વેચવાનું ગમે છે. આ બધું, જાણ્યે -અજાણ્યે થાય છે. માણસ જન્મથી એકલો હોય ને તેને કોઈના સંપર્કમાં આવવાનું ન થાય તો તે કશા ય વૈવિધ્ય વગરનો, જંગલી જેવો જ રહે, પણ એવું બહુ બનતું નથી. માણસને આપણે સામાજિક પ્રાણી કહ્યો છે એટલે તે સમાજમાં તો ભળવાનો જ. ભળે એટલે અન્યની અસરમાં આવવાનો ને સારુંનરસું બધું જ શીખવાનો. બલકે, આવું કશું શીખવા-જાણવાનું થાય એટલે તો સમાજ અસ્તિત્વમાં આવ્યો. માણસ બીજાની અસરમાં ન આવે એવું તો ઈચ્છવા જેવું પણ નથી. મુદ્દો એ છે કે કોઇકની કે કશાકની અસરમાં કેટલું આવવું? કોઈ અસરથી જાતને રોકવી કે કોઈ ખેંચે તો તે પ્રવાહમાં તણાયા કરવું?

અત્યારે સમૂહ માધ્યમો, બજારો અને ટેક્નોલોજીનો જે પ્રભાવ માનવ સમાજ પર પડી રહ્યો છે તે પરથી તો માણસ એટલી ખરાબ રીતે ફસાઈ રહ્યો છે કે તેમાંથી તે છૂટે એ અશકયવત છે. આવી ફસામણીમાંથી એ છૂટી શકે એ પણ મુશ્કેલ છે. મુશ્કેલ એટલે કે એ ફસાયો છે એવી ખબર પણ એને શરૂઆતમાં તો પડતી જ નથી. ખબર પડે તો છૂટે ને ! જરા વિચારીએ કે ટૂથબ્રશ કે પેસ્ટ કઇ વાપરવી ત્યાંથી માંડીને રાત્રે મચ્છરથી બચવા કઇ કોઈલ વાપરવી ને તે ય તમારી પસંદગીની જ હોય એવું ઓછું જ બનવાનું. તમારે પેસ્ટ, કોલગેટ વાપરવી નથી એવું નક્કી કરો ત્યાં સુધીમાં તો ડાબર, સેન્સોડાઈન, વિકોથી માંડીને અનેક વિકલ્પો તમારી સામે હાજર થઈ જાય છે. આમ તો એ બધી પેસ્ટમાંથી કોઈનો પણ વિચાર તમારા મનમાં નથી, પણ એટલી બધી પેસ્ટ અનેક પ્રકારનાં માધ્યમોમાં તમારી સામે અથડાતી રહે છે કે કશુંક જુદું વિચારી શકો એટલી જગ્યા જ તમને મળતી નથી ને છેવટે જે સતત દેખાયા કરે છે તેમાંથી જ કોઈ એક પર તમારી પસંદગી ઊતરે છે. આવું બીજી ચીજ વસ્તુઓની બાબતમાં પણ બને છે. દરેક વખતે આ બધું ઇરાદાપૂર્વક થાય છે એવું પણ નથી. કેટલુંક અજાણતાં થતું હશે તો કેટલુંક ઇરાદાપૂર્વક પણ થતું હશે, પણ એ બધાંની વત્તીઓછી અસર આપણા પર થાય છે તેની ના પાડી શકાશે નહીં.

સ્ત્રીઓની વાત કરીએ તો એમણે શું પહેરવું. કેવાં સેન્ડલ પહેરવાં, કેવી વાનગીઓથી પતિને રાજી રાખી શકાય, સારો પતિ મેળવવા કયું વ્રત કરવું, ચોમાસામાં છત્રીનો કલર કયો સારો કે ઉનાળામાં લિપસ્ટિકનો કયો શેડ વધુ સારો કે આઇબ્રો કેવી હોય તો બોય ફ્રેન્ડને આકર્ષી શકે કે લગ્ન પછી હનીમૂન પર કયું હિલસ્ટેશન સારું કે અથાણાં, પાપડ, વડીની જાળવણી કેવી રીતે કરી શકાય કે બર્થડે પર પાર્ટનરને કઇ ગિફ્ટ આપવી કે ડેટ પર કયા પ્રકારની સુરક્ષા રાખવી, પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા કેવો મેકઅપ કરવો કે  ઇન્ફેક્શનમાં કઈ ટ્રીટમેન્ટ વધુ સારી કે ડિલિવરી વખતે પેટ પર પડેલા સ્ક્રેચ કેવી રીતે દૂર કરી શકાય, શું કરવાથી બેડ પર પાર્ટનર એકદમ એક્સાઇટ થઈ જાય, હેરસ્ટાઇલ કેવી કરવાથી પ્રેમી ઓવારી જાય જેવી એટલી બધી ટિપ્સ અપાતી રહે છે કે તમ્મર આવી જાય. આવી ટિપ્સ પાછાં માધ્યમો પોતપોતાની રીતે આપતાં હોય ને તે સાવ સામા છેડાની હોય એમ પણ બને. ઘણીવાર તો સમજ જ ન પડે કે કોનું માનવું ને એમ માનવામાં પોતાનું માનવું તો કૈં જુદું જ હોય. મોટા ભાગની સ્ત્રીઓને તો માર્ગદર્શન પણ મળતું હશે, પણ જે સેન્સિટિવ છે, પોતાની રીતે વિચારે છે એને તો આવાં ટિપ્પણી-મારથી અકળામણ પણ થાય. આવું સ્ત્રીઓ માટે જ છે એવું નથી, પુરુષોને પણ ઘણી બધી રીતે માધ્યમો ખેંચે જ છે. કઈ બ્લેડ વાપરવી, શેવિંગ ક્રીમ કયું સારું, શર્ટિંગ, પરફ્યુમ કયું સારું જેવી અનેક બાબતે પુરુષોને પણ મીડિયા ખેંચે જ છે.

ઘણીવાર તો સ્ત્રી કે પુરુષને પસંદગી કે ટિપ્સને મામલે એવા સવાલો થાય છે કે મને મારા જેવું કૈં છે કે નહીં? મને મારી પસંદગી જેવું કૈં ખરું કે કેમ? મારે કયું શેમ્પૂ વાપરવું કે કયા બૂટ પહેરવા એ બીજા નક્કી કરી આપે? મારે શું ખરીદવું કે શું ન ખરીદવું એ બીજા નક્કી કરી આપે? કેમ, મને એટલી પણ સમજ કે પક્વતા નથી કે હું મારે માટે છોકરી કે નોકરી શોધી શકું? એવું કેમ લાગે છે કે કોઈ મારું બ્રેઇન વોશ કરે છે? મને મદદની જરૂર હશે તો હું જરૂર પ્હોંચીશ મીડિયા પાસે, પણ મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કંપની તેની પ્રોડક્ટ લઈને મારાં બેડરૂમ સુધી આવી જાય એ તો બરાબર નથી ને ! ઘણીવાર તો એવો વહેમ પડે કે મારું મગજ હવે મારું રહ્યું નથી, મારા મગજનું સંચાલન બહારનાં તત્ત્વો કરે છે. એ ઈંજેક્ટ કરે છે, મારે કેમ વર્તવું, કેમ રહેવું, શું ખરીદવું, ક્યાંથી, કઈ બ્રાન્ડ લેવી, વગેરે પર મારું કોઈ નિયંત્રણ નથી. કોઈ મારામાં રહીને મારે બદલે વિચારે છે ને હું એવા વહેમમાં છું કે આ બધું હું કરું છું. કોઈ વાર તો એમ લાગે છે કે હું કોઈ કમાન્ડ ઉઠાવનાર રોબોટથી વિશેષ કૈં નથી. ઘણીવાર તો એવી ગૂંગળામણ પણ થાય છે કે એક ટાંકણી ખરીદવા જેટલી મોકળાશ પણ મારાંમાં કેમ નથી? ઘણાંને આવાં સવાલો થાય છે ને ઘણાંને એમાં કશું જ અજુગતું લાગતું નથી. ‘એ તો એમ જ હોય ને !’ – જેવું રાષ્ટ્રીય આશ્વાસન એમને હાથવગું હોય છે. આમાં થોડી અતિશયોક્તિ કોઈને લાગે એમ બને, પણ આવી અસરોમાંથી સંવેદનશીલ વ્યક્તિ મુક્ત છે એવું લાગતું નથી. રાજકારણ, ધર્મ, શિક્ષણ, બજાર .. વગેરેની ઘણી વાતો આપણાં મનનો, આપણાં જ્ઞાનતંતુઓનો કબજો લઈ લે છે ને અમુક સમય સુધી તો બધું સહન પણ થાય છે, પણ પછી અસહ્ય થતાં મન બળવો પોકારે છે. જો કે, એથી બહુ ફેર પડતો નથી. મોડા વહેલાં નિયતિ તો આપણી, શરણાગતિની જ હોય છે. કોઈ આપણે બદલે તો આપણામાં નથી જીવતુંને એ આજનાં સંવેદનશીલોનો સજીવ પ્રશ્ન છે. એ સમસ્યા તો છે જ, પણ એનો ઉકેલ દેખાતો નથી. વધારે તો શું કહું?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

ખળભળાવી દે તેવું હિન્દી નાટક : Enter at Your Own Risk

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2023

દેશના લાગણીશીલ નાગરિકને ખળભળાવી દે તેવું, પૂરેપૂરું યુવાઓએ તૈયાર કરેલું ‘એન્ટર એટ યુઅર ઓન રિસ્ક’ (Enter at Your Own Risk) નામનું નાટક અમદાવાદના સ્ક્રૅપયાર્ડ થિએટરમાં ગઈકાલ, શનિવારે, રાત્રે ભજવાયું.

અનિવાર્યપણે અસ્વસ્થ કરે તેવું લખનારા ઉર્દૂ લેખક સઆદત હસન મન્ટો(1912 -1955)ની ચાર વાર્તાઓ પર આધારિત આ નાટકનું દિગ્દર્શન 28 વર્ષના સાવન ઝાલરિયાએ કર્યું છે.

માઇકનો ઉપયોગ સદંતર ન હોય એવું આ પરફૉર્મન્સ ક્ષણે ક્ષણ કલાકારોની શારીરિક ઉર્જા બતાવે છે, અને પ્રેક્ષકોને લગભગ સતત નાના-મોટા ઝાટકાથી ધૂજાવે છે.

નાટકના અંતે પ્રેક્ષકો એવા સુન્ન બની જાય છે કે તેમનાથી તાળીઓ પડતી નથી, તેને બદલે કેટલીક ક્ષણો માટે એક ભેદી મૌન છવાઈ જાય છે.                                        

જાણકારોને ખ્યાલ જ હોય કે આવી દાદ પરફૉર્મન્સની દુનિયામાં વિરલ હોય છે, જે સાવન અને તેની મંડળીને મળે છે એવું ફરીથી એક વાર દેખાયું.

ભારત-પાકિસ્તાનના ભાગલાની ભીષણતા, ઇશ્વર-અલ્લાહ અને ધર્મ-મજહબ, ધર્મઝનૂન, લડાયક રાષ્ટ્રવાદ, કોમવાદનું રાજકારણ, રાજ્યસત્તાનો જુલમ,અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ જેવા વિષયોને આવરી લે છે. દેશ અને ધર્મનાં પ્રતીકો, ચિહ્નો, નારા, ગીતો જેવી બાબતો તરફ નાટક ક્રિટિકલી જુએ છે.

આ બધાનો ભોગ સ્ત્રીઓ કેવી રીતે બને છે તેની ચોંકાવી નાખે તેવી રજૂઆત મંચ પર  જોવા મળે છે, જેના માટે કલાકાર યુવતીઓને સલામ કરવાની થાય. 

મન્ટોની કલમે શબ્દદેહ પામેલા, ભારત-પાકિસ્તાનના ભાગલા સમયના પાગલોના અમર પાત્રોની ધમાચકડીથી નાટક શરૂ થાય છે. દેખીતી શારીરિક ધાંધલ-ધમાલ તેમ જ વાતની રમૂજો સાથે માનવસ્વભાવ અને સમાજ પરનો વેધક કટાક્ષ જોડાયેલો હોય છે.

નાટક આગળ વધે છે તેમ હાસ્ય પાંખું અને કડવું બને છે. ભય અને હિંસા છવાતાં જાય છે. નાટકના અંત તરફ ફરી પાગલખાનામાં મસ્તીમજાક, પછી હિંસાચાર અને બધે મોત, આખરે મન્ટોનું ભાષ્ય.

ધર્મસંસ્થા અને રાજ્યસંસ્થાની સત્તાએ સીંચેલાં ઝનૂનથી પાગલ થઈ જતા સમાજના મોટા હિસ્સાની વાત પાગલોનાં માધ્યમથી આપણી સામે આવે છે, દેશકાળ અંગે પ્રેક્ષકોને ખિન્ન બનાવી દે છે.

મન્ટોની ભારત-પાકિસ્તાન ભાગલા પરની વાર્તાઓ પર આધારિત સંહિતા(સ્ક્રિપ્ટ)ના લેખકો રાશિ મિશ્રા, સુક્રિતિ ખુરાના અને અને રાજેશ ખુરાના છે. સાવને થોડાંક દૃશ્યો ઉમેર્યાં છે.

પંચોતેર વર્ષ પહેલાંની વિભીષિકા પરની વાર્તાઓ સાથે લેખકો 2020-21 સુધીના કેટલાક બનાવો મૂકે છે. નાટકનાં દૃશ્યોમાં અતીત અને સાંપ્રત, વિસ્મૃતિ અને અનુભૂતિ, કલ્પના અને વાસ્તવ, ગાંડપણ અને શાણપણ, દેશ અને રાષ્ટ્ર – આવી વિભાવનાઓ એકબીજા સાથે ભળતી રહે છે, વિખરાતી રહે છે.   

આ ગતિશીલતા નાટકની દૃશ્યરચનાઓમાં પણ છે. માત્ર બે પાત્રો વચ્ચેનાં દૃશ્યો પણ પાત્રોની મૂવમેન્ટથી મંચને ભરેલો રાખે છે. એવાં દૃશ્યોમાં બે પાત્રો જે તાકાતથી કમાલ કરી જાય છે, તે સમૂહ દૃશ્યોમાં પણ છે જ. 

પાત્રો સીડી પર અને ઝાડ ચઢે છે, સાવ ઓછી ઊંચાઈવાળા ખાટલા નીચે સૂએ છે, કાર્ટૂન  સ્ટ્રીપમાં હોય તેમ એકબીજાનો પીછો કરે છે, ઝાટકા ખાય છે, નાટકના પોલીસનું ટૉર્ચર ઝીલે છે, પળવાર ઊંધે માથે ઊભા રહે છે, વીંઝોળાય છે, ખેંચાય છે, ફેંકાય છે  – અને આવું કેટલું ય !

માઇકનો બિલકુલ ઉપયોગ ન કરવા છતાં લગભગ દરેક કલાકારની અવાજની તાકાત અને ફેંક દાદ માગી લે છે. થકવી નાખે તેવી અ‍ૅક્શનવાળા અભિનયમાં કોઈ કલાકાર કચાશ રાખતી/તો નથી.

રંગબેરંગી દુપટ્ટા, પાયજામા, કાપડના ટુકડા, તૂટેલો પૃથ્વીનો ગોળો, સીવવાનો પોર્ટેબલ સંચો જેવી વસ્તુઓનો આબાદ ઉપયોગ થયો છે. ઓછા ઉપયોગ છતાં પ્રકાશ આયોજન બિલકુલ ધારી અસર ઉપજાવે છે.

પાર્શ્વધ્વનિ અને સંગીતનો અત્યંત અસરકારક ઉપયોગ અહીં છે. કાર્ટૂન સ્ટ્રીપનો સાઉન્ડટ્રૅક, બારણે ટકોરા, રમખાણોની ચીસાચીસ, સાયરનોની કિકિયારીઓ, હથિયારોના ધણણાટી, સુરક્ષા દળોના પડઘમ. તેની સાથે અહીં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌અમૃતા પ્રીતમનો જાણીતો મરસિયો ‘આજ આખાં વારિસ શાહનુ’ અને જાણે ભૈરવી તરીકે ફૈઝ અહેમદ ફૈઝની ‘બોલ કે લબ આઝાદ હૈ તેરે’  જેવી ગઝલ કાને પડતાં રહે છે.

સ્ક્રૅપયાર્ડ ચલાવનાર સમર્પિત રંગકર્મી કબીર ઠાકોર જણાવે છે કે દિલ્હીના અક્ષરા થિએટર્સ નામના વૃંદે આ નાટક દેશના કેટલાંક શહેરોની જેમ અમદાવાદમાં પણ માર્ચ 2019માં ભજવ્યું હતું.

તેનાથી કબીર અને સાવન અતિશય પ્રભાવિત હતા. મૂળ નાટકના નિર્માણની ઘેરી છાપ  સ્ક્રૅપયાર્ડએ કરેલા નાટ્યપ્રયોગ પર હોવાનું કબીર વિગતવાર જણાવે છે.

Enter At Your Own Risk જેવાં નાટકો બહુ ઓછા થાય છે. સહુ નાગરિકોએ અને તેમાં ય સિવિલ સોસાયટી, અર્થાત્‌ નાગરિક સમાજ જેવી વ્યાપક સંજ્ઞામાં માનતા સહુએ તો આ નાટક અચૂક જોવા જેવું છે.

આ નાટક યુવાઓએ કરેલું નાગરિક સમાજ માટેનું એક સ્ટેટમેન્ટ છે, તે જોવું એ આપણી સામેલગીરી – સાઝેદારી છે. 

નાટકની નિષ્ઠાવાન મંડળી આ મુજબ છે : 

  • કલાકારો : અઝાજ, અનન્યા, અમન, આયુષી, પ્રિતેશ, યશ, રાકેશ, રિકેશ, લક્ષ્ય, શર્વરી, શિલ્વા, સૂરજ, હેત, ક્ષિતિજ. 
  • સાથીદારો –  પ્રકાશ : સાવન; સંગીત અને બૅનર્સ : હર્ષિલ;                   
  • વીડિયો પ્રોજેક્શન : હાર્દિક; પોસ્ટર : કલ્પેશ
  • સહાયક દિગ્દર્શક : ચૈતાલી

*** આ નાટક આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ રાત્રે સાડા આઠ વાગ્યે ફરીથી ભજવાશે. સ્થળ પર ટિકિટો મળી શકશે. 

ઑનલાઇન ટિકિટ માટેની લિન્ક : https://allevents.in/…/enter-at-your-own…/80002076540875 

26 ફેબ્રુઆરી 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારત માટે ખતરનાક કહેવાયેલા જ્યોર્જ સોરોસની વાત કેમ ગંભીરતાથી લેવી જોઇએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 February 2023

સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધીશોને કારણે ઓપન સોસાયટી પર – લોકશાહી પર તવાઇ આવે છે

ચિરંતના ભટ્ટ

જ્યૉર્જ સોરોસ – આ નામે મોટા માથાવાળાં ગુજરાતીઓને અને ભારતનાં મીડિયાને અકળાવી દીધા છે. આ અકળામણનું કારણ એ છે કે 17મી ફેબ્રુઆરીએ મ્યુનિચ સિક્યોરિટી કૉન્ફરન્સમાં અમેરિકન અબજોપતિ રોકાણકાર અને ફિલાન્થ્રોપિસ્ટ સોરોસે દાવો કર્યો કે, “યુ.એસ.એ.ની શોર્ટ સેલર હિન્ડેબર્ગ રિસર્ચે વિશ્વના ધનિક માણસ ગૌતમ અદાણી સામે જે રિપોર્ટ જાહેર કર્યો છે તેને કારણે રોકાણકારોનો ભારત પ્રત્યેનો આત્મવિશ્વાસ હચમચી ગયો છે.” તેમણે ઉમેર્યું કે, “મોદી અને અને આ બિઝનેસ ટાયકૂનને સારાસારી છે, તેમનું નસીબ એકબીજા સાથે જોડાયેલું છે. અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક માર્કેટમાં ફંડ ખડા કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને નિષ્ફળતા મળી અને તેમણે સ્ટૉકમાં છબરડા કર્યા અને અંતે પત્તાનાં મહેલની માફક એમના સ્ટૉક ખડી પડ્યા.” – હા, તમને થશે કે આ બધું તો પતી ગયું તો એમાં શું, પણ સોરોસ આટલેથી ન અટક્યા. તેમણે આગળ એમ કહ્યું કે, “મોદી આ વિષય પર ચૂપ છે પણ તેમણે સંસદમાં વિદેશી રોકાણકારોના સવાલોના જવાબ તો આપવા જ પડશે. તેમણે એવું ય ભવિષ્ય ભાખ્યું કે આ જે પણ થયું છે તેને કારણે ભારતની સરકાર પર નરેન્દ્ર મોદીની પકડ નબળી પડશે જ અને ત્યાં જે સંસ્થાકીય પરિવર્તન અને સુધારાની જરૂર છે, તે થવાની શક્યતાઓ વધશે. તેમણે આ વાત પૂરી કરતાં એમ કહ્યું કે હું કદાચ અણસમજુ હોઇ શકું છું પણ ભારતમાં લોકતાંત્રિક પુનઃર્જીવન અને બદલાવની મને ચોક્કસ અપેક્ષા છે.”

જ્યોર્જ સોરોસ

જ્યૉર્જ સોરોસની આ ટિપ્પણી ભારત અંગે અને ભારતના રાજકીય શાસક પક્ષ સામે એક અલગ પ્રકારનો ડર અને ગેરસમજ પેદા કરશે, જે બહુ ચિંતાજનક બાબત છે એવો અવાજ વહેતો થયો. યુ.એસ.એ. મહાસત્તા હોવાને નાતે ત્યાં ન્યૂ યોર્કમાં બેઠેલા સોરોસ જેવા મોટાં માથાઓને એમ લાગે છે કે તેમનો દૃષ્ટિકોણ આખી દુનિયાના વહેવાર કે વિચારો પર સીધી અસર કરે છે એવું કહી આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રાયસી ડાયલૉગમાં તેમને વૃદ્ધ, ધનિક, ધર્માંધ અને ખતરનાક જેવા વિશેષણોથી નવાજ્યા. સ્મૃતિ ઇરાનીએ પણ સોરાસના આ નિવેદનની નિંદા કરી હતી.

જો કે સોરોસ આ પ્રકારની વાત પહેલીવાર નથી કરી. 2020માં દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સોરોસે નરેન્દ્ર મોદી માટે એમ કહ્યું હતું કે, “પ્રજાસત્તાક રીતે ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ભારતને એક હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે અને કાશ્મીર પર પ્રતિબંધ લગાડી એ ત્યાંના લોકોને દંડી રહ્યા છે અને CAA જેવા કાયદાઓ દ્વારા અનેક મુસલમાનોનું નાગરિકત્વ છીનવી લેવાની ધમકી આપી રહ્યા છે.”

જ્યૉર્જ સોરોસ એક એવું નામ છે જે 1992ના દાયકામાં ઘરઘરાઉ બન્યું કારણ કે તેમમે બ્રિટિશ પાઉન્ડની સામે બૅટ કરવાનું નક્કી કર્યું. પાઉન્ડ સામે શોર્ટ પોઝિશનિંગ કરીને 1 બિલિયન ડૉલર્સ કમાનરા જ્યૉર્જ સોરોસને કારણે ‘બ્લેક વેડનસ્ડે’ શબ્દ પ્રયોગ પ્રચલિત બન્યો જે બ્રિટિશ સરકાર માટે એવો ફટકો હતો કે એમાં તેમને ક્યારે ય કળ ન વળી. જ્યૉર્જ સોરોસ – ફિલાન્થ્રોફિસ્ટ (દાનેશ્વરી કે પરોપકારી) પણ છે અને તેમણે તેની સંસ્થા ઓપર સોસાયટી ફાઉન્ડેશન મારફતે માનવાધિકાર અને લોકતાંત્રિક સરકારોને, લગભગ 100 દેશોમાં અનેકવાર સામાજિક સંસ્થાઓ, શિક્ષણને લગતી યોજનાઓ કે પબ્લિક હેલ્થ માટે અબજો ડૉલર્સની મદદ કરી છે.

સોરોસનું જીવન તેમના આ વિચારોને આકાર આપનારું રહ્યું છે. સોરોસ યહૂદી પરિવારમાં, હંગરીના બુડાપેસ્ટમાં જન્મ્યા. વકીલ પિતાએ નાઝી કેમ્પમાંથી નામ બદલીને જેમ તેમ પોતાના પરિવારને બચાવ્યો. યુદ્ધમાં હંગરી સોવિયેત કેમ્પમાં ગયું અને મોટા થઇ રહેલા સોરોસે સોવિયેટ સામ્યવાદનો અનુભવ કર્યો. 17મે વર્ષે ઇંગ્લેન્ડ જઇને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણનારા સોરોસને ફાસીવાદ અને સામ્યવાદની ક્ષતિઓ સમજાઇ. બન્ને વાદ – પોતાના સત્યનો બેફામ દબાવ કરતા અને આમ બન્ને ‘ઓપન સોસાયટી’ના વિરોધી ગણાય. ઓપન સોસાયટીનો વિચાર પણ સમજવા જેવો છે – ઓપન સોસાયટી એટલે એવો સમાજ જ્યાં કોઇ પણ એક વિચારધારા ધરાવતું જૂથ એવો દાવો ન કરે કે તેમને બધું જ ખબર છે, તેમની પાસે બધા જવાબો છે અને ન તો તેઓ સત્તાનો ઉપયોગ કરીને પોતાના જવાબો સમાજ કે તેમનાથી અલગ વિચાર ધરાવનારાઓને બળજબરીથી માનવા દબાણ કરે. સોરોસે હેજ ફંડ મેનેજર તરીકે પોતાની કારકિર્દી ઘડી, એક એવા વિચારને સાથે રાખ્યો કે સમાજ સંપૂર્ણ ન હોઇ શકે પણ વિવિધ અભિગમને સાથે રાખીને સતત એવા સુધારા સાથે સમાજે આગળ વધવુ જોઇએ જેનાથી સફળતાને વરી શકાય. મુક્ત અને સમાન સમાજનું બંધારણ ઇતિહાસમાંથી શીખેલા બોધને આધારે થઇ શકે એમ માનતા સોરોસે માર્કેટ ઇકોનોમીના પરિવર્તનની રાહ પકડી. તેમણે માર્કેટ ફંડામેન્ટાલિઝમ – બજારી કટ્ટરવાદને પડકાર્યો, ફ્રી માર્કેટને લગતી ગેરમાન્યતાઓ ખતમ કરી. તેમના મતે આ બધી લેવડદેવડ વ્યવહારુ બની જાય છે જેનું કેન્દ્ર માત્ર પૈસા હોય છે. તેમને આમ કહેવા માટે વખોડાયા પણ બીજા વિચારકોએ પણ તેમને ટેકો આપ્યો. એવો વિચાર મક્કમ થયો કે એક માત્ર ફ્રી માર્કેટ જ ઓપન સોસાયટીનો પાયો બની શકે, એ વિચારમાં કોઇ દમ નથી કારણ કે ફ્રી માર્કેટની ગેરમાન્યતાઓ છે જેમાં આર્થિક સત્તાની શતરંજ ચાલે છે.

ડેથ કેમ્પ (નાઝીવાદ) કે ગુલગમાં (સામ્યવાદ) માણસોને મારી નખાવાથી સમાજનો ખાત્મો નથી થતો. એક મોકળો સમાજ ત્યારે ખતમ થવા માંડે છે જ્યારે કોઇ પણ ટીકા કે અસંમતિને રાષ્ટ્રવિરોધીનું લેબલ લગાડી દેવામાં આવે છે. સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધીશોને કારણે ઓપન સોસાયટી પર – લોકશાહી પર તવાઇ આવે છે, એનાથી રાષ્ટ્રને નુકસાન નથી થતું પણ મોકળાશ ભર્યો સમાજ પાંગળો બને છે, બંધ થતો જાય છે, સંકોરાતો જાય છે.

આપણે ત્યાં બી.બી.સી.ની જૂની ડૉક્યુમેન્ટરી ચર્ચામાં આવી અને બી.બી.સી.ની ઑફિસીઝ પર દરોડા પડ્યા. શું આ ઓપન સોસાયટી છે? ખુન્નસ કાઢવાની માનસિકતા સમાજની મોકળાશને પાંગળી કરશે. લોકશાહી સૂતરને તાંતણે લટકણિયાની માફક માત્ર શોભા પૂરતી ન રહી જાય તેની જવાબદારી સત્તાધીશો અને મતદાતાઓ તમામની છે.

સોરોસે જે કહ્યું, અદાણીએ ભૂતકાળમાં હિન્ડનબર્ગ રિપોર્ટને જે રીતે નકાર્યો કે આપણા રાજકારણીઓએ સોરોસની ટિપ્પણી સામે જે પ્રતિક્રિયા આપી આ તમામને 360 ડિગ્રીમાં નિષ્પક્ષ રીતે જોવું જરૂરી છે. સોરોસે જે પણ કહ્યું છે તેમાં રહેલી આર્થિક ચેતવણીને ગંભીરતાથી લેવી પડે, ગોટાળાવાળા મૂડીવાદને કારણે ભારતની છબી ખરડાઇ છે એમાં ના નહીં અને વડા પ્રધાને આ પ્રકારની ઘટનાઓને લઇને વિદેશી રોકાણકારોને જવાબ આપવો રહ્યો. અદાણી જૂથ હિન્ડનબર્ગ સામે બદનક્ષીનો દાવો ન કરી શક્યું, તેમણે એફ.પી.ઓ. પાછો ખેંચી લીધો આ બતાડે છે કે એ રિપોર્ટમાં કંઇક તો દમ હશે જ. વળી ભૂતકાળમાં પણ લલિત મોદી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવાઓએ આપણી બૅંકિંગ સિસ્ટમની ઉધઈ જાહેર કરી જ છે. સોરોસે જે 1992માં બ્રિટનમાં કહ્યું એ હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી માટે કર્યું. ભારતના આર્થિક સંસ્થાનો પર, અહીં થતી કામગીરી પર સવાલ થાય એ સ્વાભાવિક છે.

સોરોસની વાતને ભારતની લોકશાહી પરનો ગણતરીપૂર્વકનો હુમલો ગણાવનારાઓએ પેલો હિંદી વાક્ય પ્રયોગ યાદ કરવો રહ્યો, ‘ખુદ કે ગિરેબાનમેં ઝાંક કે દેખીએ.’

બાય ધી વેઃ

જમણેરીઓના રોષનું અવારનવાર ટાર્ગેટ બનનારા સોરોસ વૈશ્વિક સ્તરે ફાઇનાન્સિંગ માટે બહુ મોટું  નામ ગણાય અને માટે જ તેમના રાજકીય વિચારો હંમેશાં મહત્ત્વના ગણાયા છે. સોરોસે નરેન્દ્ર મોદીને હંમેશાં વખોડ્યા છે એમ નથી, તેમણે ડિજીટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત મિશન માટે તેમની પ્રશંસા પણ કરી હતી. સોરોસની વાતને ગંભીરતાથી લીધે જ છૂટકો કારણ કે આપણને એક દેશ તરીકે આર્થિક સમાજિક ભેદમાં – અલગ સ્તરોમાં જીવવાની ટેવ છે – દેશના ધનિકોને પારદર્શક ઇન્ક્વાયરી માફક નથી આવતી – એ થશે તો એક સમાન અને મુક્ત સમાજને ક્યાંક પગ ટેકવવાની જગ્યા મળશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,1831,1841,1851,186...1,1901,2001,210...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved