Opinion Magazine
Number of visits: 9458224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|11 December 2022

બી.જે.પી.એ ગુજરાતમાં ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. ૧૯૮૫ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કાઁગ્રેસને કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો મળી હતી અને ૫૫.૫૫ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.ને ત્યારે ૧૪.૯૬ ટકા મત સાથે માત્ર ૧૧ બેઠકો મળી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૯.૧૦ ટકા મત સાથે લોકસભાની ૫૧૫ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને ૭.૭૪ ટકા મત સાથે માત્ર બે બેઠકો મળી હતી. બન્ને ચૂંટણીઓ ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરતમાં યોજાઈ હતી જેનું આ પરિણામ હતું. ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણી પછી થોડાક જ મહિનામાં અનામતવિરોધી આંદોલન થયું હતું અને ગુજરાતના પાટીદારોનો કાઁગ્રેસ સાથે સંબંધવિચ્છેદ થયો હતો.

આ ઘટના ૩૭ વરસ જૂની છે અને ૩૭ વરસમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાની કેમિસ્ટ્રી વિકસાવી છે, પણ કોઈ અકળ કારણસર ગુજરાત પ્રદેશ કાઁગ્રેસ ચૂંટણી જીતવાની નથી કોઈ કેમેસ્ટ્રી વિકસાવી શકી કે નથી બી.જે.પી.ની કેમેસ્ટ્રીમાં કોઈ ઘોંસ પાડી શકી. તમને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૨૦૦૨માં ગોધરા-ગુજરાતકાંડ પછી તરતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૧૨૭ બેઠકો અને ૪૯.૮ ટકા મત મળ્યા હતા અને એ પછી તેમાં ઉત્તરોત્તર ઘટાડો જ થયો હતો. નરેન્દ્ર મોદી સ્વયં ગુજરાતના મુખ્ય પ્રધાન હોવા છતાં અને ગુજરાત મોડેલની મુઠ્ઠી હજુ ઊઘાડી નહોતી પડી એ છતાં બી.જે.પી.ને એ પછીની કોઈ ચૂંટણીમાં ૧૨૭ બેઠકો અને ૪૯ ટકા મત મળ્યા નહોતા. ૨૦૧૭ની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર ૯૯ બેઠકો મળી હતી, જ્યારે કે હિંદુહ્રદયસમ્રાટ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને દેશના વડા પ્રધાન તરીકે સાક્ષાત્‌ હાજરી ધરાવતા હતા.

તો પછી આ વખતે એવું શું બન્યું કે બી.જે.પી.એ ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો? કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે એવી કોઈ સિદ્ધિ મેળવી નથી કે પ્રજા સમરકંદ બુખારા ઓવારી જાય! ઊલટું બી.જે.પી.ને મત નહીં આપવા માટે વધુ કારણો હતાં. જવાબ બહુ સરળ છે. ગુજરાત પ્રદેશ કાઁગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટી બી.જે.પી.ની બી ટીમ છે. આ છે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા કે વિનિંગ કેમેસ્ટ્રી. ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીનો યુગ પૂરો થયો એ પછીથી ગુજરાતના કાઁગ્રેસના નેતાઓની કોઈ સક્રિયતા ક્યારે ય નજરે પડી નથી. આ હું પહેલીવાર નથી કહેતો અનેકવાર કહી ચુક્યો છું અને બીજા અનેક લોકો અનેકવાર કહી ચુક્યા છે. આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇશારે રચાયેલી બી ટીમ છે એ પણ હું ૨૦૧૧માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન શરૂ થયું ત્યારથી કહેતો આવ્યો છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૨૭ વરસની એન્ટી ઇન્કમબન્સીને માત આપીને ૧૯૮૫નો રેકોર્ડ બી.જે.પી. તોડી શકી એનાં કારણો આ છે, બાકી જે ૨૦૦૨થી ૨૦૧૭નાં વર્ષોમાં ન બન્યું એ આજે કેમ બને!  

૨૦૧૭માં બી.જે.પી.ની મોટા પાયે પીછેહઠ થઈ હતી એનું કારણ રાહુલ ગાંધીએ ત્યારે કરેલો અથાક પરિશ્રમ હતો. તેમણે ત્યારે ગુજરાત ખુંદી વળ્યું હતું. આ સિવાય હાર્દિક પટેલના કારણે પટેલોના એક વર્ગનો કાઁગ્રેસને ટોકો મળ્યો હતો. ૨૦૧૭ પછીથી ગુજરાત કાઁગ્રેસના નેતાઓએ હજુ વધુ સરસાઈ મેળવવા અને વધુ જગ્યા બનાવવા કોઈ મહેનત કરી હોય એવું જોવા મળ્યું નથી. આ વખતે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારમાં ખાસ રસ લીધો નહોતો અને સમય આપ્યો નહોતો.

રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રા કાઢી રહ્યા છે અને એમ લાગે છે કે તેમની પ્રાથમિકતા કાઁગ્રેસના નવસર્જનની છે. તેમને સમજાઈ ગયું છે કે પક્ષનું નવસર્જન નીચેથી લોકોની વચ્ચે જવાથી અને નવયુવાનોને ભરતી કરવાથી થવાનું છે, ગુજરાત કાઁગ્રેસના નેતાઓ જેવાઓનો બોજો ઊંચકવાથી નથી થવાનું. તેઓ પક્ષ માટે બોજારૂપ છે. આવા લોકોને બી.જે.પી.માં જવું હોય તો જતા રહે અથવા પક્ષની અંદર હાંસિયામાં પડ્યા રહે, પણ પક્ષને એવા લોકોનો જ ખપ છે જે પક્ષ માટે નવસર્જનના યજ્ઞમાં ઉપયોગી થાય. ગુજરાતમાંથી એક માત્ર જિગ્નેશ મેવાણી સિવાય આવી લાયકાત બીજો કોઈ કાઁગ્રેસી નેતા ધરાવતો નથી. જિગ્નેશ મેવાણી બી.જે.પી.ના તોફાન વચ્ચે વડગામમાંથી બીજી વખત ચૂંટણી જીતી શક્યા છે એ તેમની મહેનત અને રાજકીય પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

જે બી.જે.પી.એ ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યો એનો દિલ્હી મહાનગરપલિકામાં અને હિમાચલ પ્રદેશમાં પરાજય થયો. ચૂંટણી પંચ દરેક રીતે મદદરૂપ બન્યું હોવા છતાં. રાહુલ ગાંધીએ ગુજરાતની જેમ હિમાચલ પ્રદેશમાં પણ કોઈ સઘન પ્રચાર નહોતો કર્યો. આમ બી.જે.પી. અજેય છે એવું નથી. ચોવીસે કલાક સક્રિય રહેતો અને નજરે પડતો રાજકીય વિકલ્પ હોય તો મતદાતાઓને જોઇએ છે. પશ્ચિમ બગાળ અને બિહાર આનાં ઉદાહરણ છે. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી. આમ આદમી પાર્ટીનું કામ કાઁગ્રેસને નુકસાન પહોંચાવાનું અને બી.જે.પી.ને મદદરૂપ થવાનું હતું જે તેણે કરી આપ્યું. આમ આદમી પાર્ટીના જુવાળની અને તે કાઁગ્રેસની જગ્યા લેશે વગેરે વાતો થતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીને કાઁગ્રેસની ચોથા ભાગની બેઠકો નથી મળી.

આવતા વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણાયક નીવડવાની છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022

Loading

ચલ મન મુંબઈ નગરી— 174

દીપક મહેતા|Opinion - Opinion|10 December 2022

‘કોકોનટ’ શબ્દમાંના ‘કોકો’નો અર્થ થાય છે ‘ખોપરી’

શેરડી એટલે મધમાખી વગર મધ બનાવતું હિન્દુસ્તાની ઘાસ!      

‘ગોળ કેરી ભીંતલડી ને
  શેરડી કેરા સાંઠા 
  ટોપરે ઘર છાયાં
  બચ્ચાં બારણાં ઉઘાડો’

બકરીએ ઘર બનાવ્યું નામની વાર્તામાં આવતું આ જોડકણું આજે તો લગભગ ભૂલાઈ ગયું છે. કારણ આજનાં બાળકોને આવી વાર્તાઓમાં ભાગ્યે જ રસ પડે. પણ આ જોડકણામાં સૌથી જૂની બે વનસ્પતિનાં નામ અજાણતાં જ સંકળાઈ ગયાં છે. મુંબઈના સાત ટાપુ જ્યારે એકમેકથી જૂદા હતા ત્યારે જાતભાતનાં ઝાડોની વાડીઓ અહીં હતી. તાડ વાડી, ફણસ વાડી, ફોફળ વાડી, જામ્બુલ વાડી, અને લટકામાં પાછી ખેત વાડી પણ ખરી. શેરડી અને નાળિયેરથી બકરીબાઈનું ઘર બંધાય કે ન બંધાય, પણ આપણા ઘરના મંગળ પ્રસંગોમાં એમની હાજરી તો હોય જ. એટલું જ નહિ, આ બંને અનેક જીવોની તરસ પણ છીપાવે.

કેટલાકને મતે શેરડીનું પિયર છે ભારત. ઈ.સ. પૂર્વે ૫૧૦માં પર્શિયાના દરાયસે જ્યારે હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે તેણે અહીં શેરડીના સાંઠા જોયા હતા. તેમાંથી મીઠો મધુરો રસ નીકળતો હતો તે જોઈને તેને ખૂબ નવાઈ લાગેલી. તેણે નોંધ્યું છે કે હિન્દુસ્તાનમાં એક એવું ઘાસ ઊગે છે જે મધમાખી વગર પણ મધ બનાવી શકે છે. હા જી. વનસ્પતિ શાસ્ત્રની દૃષ્ટિએ શેરડી એ એક જાતનું ઘાસ જ છે. તેમાંથી સાકર કઈ રીતે બનાવાય તેની રીત દાયકાઓ સુધી ગુપ્ત રાખવામાં આવેલી. પણ શેરડીમાંથી બનાવેલી સાકર બીજા દેશોમાં મોકલીને અહીંના લોકો ઘણા પૈસા રળતા. સાકર, શક્કર, શર્કરા, શુગર. નામરૂપ જૂજવાં. અંગ્રેજીનો શુગર શબ્દ ઊતરી આવ્યો છે સીધો સંસ્કૃત શબ્દ શર્કરામાંથી. બોલો, મેરા ભારત મહાન.

આ શેરડીનો રસ એ એક જમાનામાં મુંબઈમાં આમજનતાનું પીણું, ખાસ કરીને ઉનાળામાં. હાથ વડે ચાલતા સંચામાં બે સિલિન્ડર સામસામી દિશામાં ફરતાં જાય. કોલ્હુ (એ સંચાનું નામ) ચલાવનાર એ બે સિલિન્ડરની વચ્ચે એક પછી એક તાજી શેરડીનો લીલો છમ્મ સાંઠો ગોઠવતો જાય. રસ નીકળે તે ગરણીમાં ગળાઈને જાય સીધો નીચે રાખેલા વાસણમાં. એકનો એક સાંઠો બે-ત્રણ વખત પીલાય. પછી સાંઠાના કૂચાના ઢગલા ભેગો ભળી જાય. પીલતી વખતે સાથે થોડું આદુ નાખ્યું હોય. તમે માગો તો કાચના ગ્લાસમાં બરફ પણ નાખી આપે. પણ એ બરફ તે ‘બજાર આઈસ’ હોં! એક ગ્લાસ પીઓ તો બત્રીસ કોઠે દીવા થઈ જાય અને કવિ કલાપીના કાવ્ય ગ્રામ્ય માતાની પેલી પંક્તિઓ યાદ આવે :

પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

હા, એક જમાનામાં મુંબઈમાં શેરડીનો રસ વેચનારા ઠેર ઠેર જોવા મળતા. વહેલી સવારે ગાડું આવીને શેરડીના સાંઠા દુકાન પાસે ઠાલવે. મોટે ભાગે બળદ માંદા ન હોય. એ વખતે ગાડાંને રબરનાં ટાયરવાળાં પૈડાં નહિ. મજબૂત લાકડાનાં પૈડાં પર લોખંડનો પાટો ચડાવ્યો હોય. ગાડું હાંકતાં બે બળદ અને ગાડાવાળો, એમ ત્રણેને ઘણી મહેનત પડે. એમાં ય જો ભલે નાનો, પણ ઢાળ ચડવાનો હોય તો તો આવી જ બને! પછી વીજળીથી ચાલતાં કોલ્હુ આવ્યાં અને રબરના પાટાવાળાં ગાડાં. કોલ્હુ અને ગાડું, બંને સડસડાટ દોડે. પણ પછી એક બાજુથી લોકોના ગમા-અણગમા બદલાતા ગયા. બીજી બાજુથી જગ્યાનાં ભાડાં સતત વધતાં ગયાં. એટલે જેમ એકલી ચાની દુકાન પોસાય નહિ, તેમ એકલા શેરડીના રસની દુકાન પણ પોસાય નહિ. અને બજારમાં જાત જાતનાં ઠંડાં-ગરમ પીણાં આવતાં ગયાં તેમ તેમ શેરડીના રસનો ધંધો મોળો પડતો ગયો. છતાં, શોધો તો આજે પણ મુંબઈમાં શેરડીનો રસ પીવા તો મળે. પણ લાંબા ફેશનેબલ ગ્લાસમાં, સ્ટ્રો નાખીને. અને હા, ‘બજાર આઈસ’ તો નહિ જ, હોં!

શેરડીના રસ કરતાં નાળિયેર પાણી વધુ નસીબદાર. કારણ, એક તો મુંબઈને લાંબો દરિયા કિનારો. દરિયે ચાલવા કે ફરવા જઈએ ત્યારે નાળિયેર પાણી તો પીવું પડે એવી હજી લોકોની માન્યતા. વળી એમાં દુકાનની કે મોટી જગ્યાની જરૂર નહિ. નાળિયેર ટોપલામાં, કે બહુ બહુ તો રેંકડીમાં રખાય. સાધનમાં એક-બે કોયતા. ઘણા લોકો સીધું નાળિયેર જ મોઢે માંડે અથવા તેમાં સ્ટ્રો નાખીને પીએ. એટલે ઝાઝા ગ્લાસની ય જરૂર નહિ. નાળિયેરની મુખ્યત્વે ત્રણ જાત : નુસ્તા પાણી : પાણી વધારે, પણ થોડું તૂરું. મલાઈ-પાણી, પાતળી મલાઈ સાથે મીઠું પાણી. અને કોપરા-પાણીમાં જાડું કોપરું વધુ, પાણી ઓછું, પણ મીઠું. વળી નાળિયેર વેચનારાઓની બીજી પણ એક જમાત. રોજ સવારે સાઈકલ પર નાળિયેર લઈને નીકળી પડે. બાંધેલા ઘરાકોને ત્યાં જોઈતાં નાળિયેર રોજ પહોંચાડે. કેરળનાં લાલ છાલનાં નાળિયેર અહીં બહુ ઓછાં જોવા મળે. મોટા ભાગનાં લીલી છાલનાં. આખા દેશમાં સૌથી વધુ નાળિયેર થાય કર્ણાટકમાં. દેશના કુલ ઉત્પાદનમાં તેનો હિસ્સો ૩૦ ટકા જેટલો. દક્ષિણનાં તમિળનાડુ, કેરળ, અને આંધ્ર પ્રદેશ ભેગા કરો તો એમનો કુલ હિસ્સો બીજા ૬૦ ટકા! એટલે કે દક્ષિણનાં રાજ્યોની મોનોપોલી. ત્યાંથી રોજ ઢગલાબંધ ટ્રક નાળિયેર મુંબઈમાં ઠલવાય અને ૭૦થી ૧૦૦ રૂપિયે નંગના ભાવે વેચાય. 

નાળિયેરીનાં ઝાડને વ્યવસ્થિત વાવવાની પહેલ ઓસ્ટ્રોનેશિયન લોકોએ કરી હતી. બીજાં ઘણાં ઝાડ એક દેશથી બીજે દેશ જમીન માર્ગે પહોંચ્યાં. જ્યારે નાળિયેરી મોટે ભાગે સમુદ્ર વાટે બીજા દેશો સુધી પહોંચી. અંગ્રેજીનો કોકોનટ શબ્દ મૂળ પોર્ટુગીઝ ભાષાના ‘કોકો’ શબ્દ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘માથું’ કે ‘ખોપરી.’ સૂકા નાળિયેર(શ્રીફળ)નો આકાર માણસના માથા કે ખોપરી જેવો હોય છે તેથી આ નામ. વળી પોર્ટુગીઝ ભાષાની ઘણી લોકકથાઓમાં ‘કોકો’ નામની ડાકણ પણ જોવા મળે છે. વળી, આપણે જેને ‘કોપરું’ કે ‘ખોપરું’ કહીએ છીએ તેને હિન્દીમાં ‘ખોપડા’ કહે છે જેને સીધો સંબંધ છે ‘ખોપરી’ સાથે. કેટલાકને મતે હોમ-હવનમાં જે નાળિયેર હોમાય છે તે મૂળમાં થતા મનુષ્યબલિનું પ્રતિક છે. આયુર્વેદ અને એલોપથી પણ નાળિયેરનાં પાણીના કેટલાક આરોગ્યની દૃષ્ટિએ ફાયદા સ્વીકારે છે. પણ આવા કોઈ પણ લાભ માટે નાળિયેર ખોલ્યા કે કાપ્યા પછી તરત તેનું પાણી પી લેવું જોઈએ. પણ હવે તો કેટલીક કંપનીઓએ બાટલીમાં ભરેલું નાળિયેર પાણી પણ બજારમાં મૂક્યું છે.

ક્યાં મોટા માથા જેવું નાળિયેર અને ક્યાં નાનકડું લીબું! પણ તેના ય ફાયદા અનેક. એટલે એક જમાનામાં ઠેર ઠેર લીંબુ-પાણી વેચનારા ફેરિયા જોવા મળતા. આપણું આ લીંબુ પાણી જ ઉત્તર ભારતમાં ‘શિકંજી’ તરીકે ઓળખાય છે. જો કે લીંબુ પાણીમાં જે સાકર, મસાલો વગેરે વપરાય તેની ગુણવત્તા વિષે ઘણાને સંદેહ રહે. ખટાશ માટે સાઈટ્રીક એસિડનો ઉપયોગ થતો હોવાનું પણ કહેવાય છે. વળી ચોમાસામાં તો આ ધંધો બંધ જેવો. લોકોમાં પ્રચલિત વસ્તુઓને થોડી બદલી, સુધારીને વેચતી કંપની ખાણી-પીણીની ઘણી વસ્તુઓ બજારમાં મોંઘા ભાવે વેચે છે તેમ સીધાસાદા લીંબુ પાણીને પણ બાટલીમાં ભરીને વેચાતી થઈ છે.

વચ્ચે થોડાં વરસ મુંબઈમાં ‘નીરો’ ઘણો પોપ્યુલર થયેલો. દરેક રેલવે સ્ટેશન પર નીરાના સ્ટોલ્સ હોય જ. સ્ટેનલેસ સ્ટીલની પવાલીમાં ઠંડો નીરો ભર્યો હોય. એક ગ્લાસ પીઓ તો તરબતર. પછી ગમે તે કારણસર નીરાનું ચલણ ઘટતું ગયું. એક કારણ એ પણ ખરું કે એ સવારના નવ-દસ વાગ્યા સુધી જ પી શકાય. ગરમી વધે તેમ તેમાં આથો આવીને તેની તાડી બનવા લાગે.

ગુજરાત અને ખાસ કરીને કાઠિયાવાડમાં ‘સોડા’ કલ્ચર જેટલું વિકસ્યું છે તેટલું મુંબઈમાં વિકસ્યું નથી. એક લોકપ્રિય સિરિયલમાં મુંબઈના પરામાં આવેલી સોસાયટીના પુરુષો લગભગ રોજ રાતે સોડા પીવા એકઠા થાય છે એવું બતાવાય છે. પણ આવું ‘સોડા કલ્ચર’ કાઠિયાવાડનું છે, મુંબઈનું નહીં. તેવી જ રીતે ‘લસ્સી કલ્ચર’ જેટલું પંજાબ, દિલ્હી વગેરેમાં ખીલ્યું છે તેટલું મુંબઈમાં નથી ખીલ્યું. બંને લસ્સી પણ સાવ જૂદી. મુંબઈની સારી લસ્સી પણ પંજાબીને મન તો દહીનું ગળ્યું પાણી! પંજાબી લસ્સી આપણને જાડો રગડો લાગે. તો બીજી બાજુ ગરમ મસાલા દૂધ એ મહારાષ્ટ્રની ખાસિયત. જો કે મુંબઈમાં થોડીક મરાઠી હોટેલો સિવાય બીજે બહુ જોવા ન મળે. પણશીકર જેવી કેટલીક દુકાનો તો આ મસાલા મિલ્ક માટે પ્રખ્યાત. મરાઠી હોટેલોમાં – અને ઘરોમાં પણ – જોવા મળે તે ‘પીયૂષ’ પણ બીજી હોટેલોમાં ભાગ્યે જ જોવા મળે. જે તેના શોખીન ન હોય તેમને માટે તો શ્રીખંડમાં પાણી નાખીને તેને છાશની જેમ વલોવવાથી જે તૈયાર થાય તે ‘પીયૂષ.’ પણ શોખીનો માટે તો તે અમૃતતુલ્ય!

ગરમ મસાલા મિલ્ક ભલે બહુ લોકપ્રિય ન બની શક્યું હોય પણ સરકારી આરેએ મુંબઈગરાને ‘કોલ્ડ ફ્લેવર્ડ મિલ્ક’ પીતા કર્યા. ‘એનર્જી’ નામ નીચે જૂદી જૂદી ફ્લેવરમાં વેચાતી બાટલીઓ ઠેર ઠેર દેખાય. તેમાં સૌથી વધુ પોપ્યુલર કદાચ પીળા રંગનું પાઇનએપલ મિલ્ક. આરેની હરીફાઈમાં બીજી કંપનીઓ પણ આવી. તો પૂંઠાનાં ખોખાં – કાર્ટન –માં ભરીને આવું દૂધ વેચનારી કંપનીઓ પણ આવી. તેમાં સૌથી વધુ પીવાય છે કદાચ ચોકલેટ મિલ્ક, ખાસ કરીને ટીન એજર્સનું એ માનીતું. દિલ્હીમાં અને ઉત્તર ભારતનાં ઘણાં શહેરોમાં ઉનાળામાં ઠંડુ પાણી વેચતી હાથલારીઓ કે રેંકડીઓ જોવા મળે. મુંબઈમાં જોવા ન મળે. જો કે હવે ઉત્તર ભારતમાં પણ ‘મિનરલ વોટર’ની બોલબાલા થઈ છે. તો ગુજરાતનાં ઘણાં નાનાંમોટાં શહેરોમાં પ્લાસ્ટીકના નાના પાઉચમાં પાણી વેચાતું જોવા મળે, ખાસ તો ઉનાળામાં. પણ મુંબઈમાં એ ભાગ્યે જ જોવા મળે.

મુંબઈ પીએ છે, સતત પીતું રહે છે. જે પીએ છે એ બદલાય છે. પણ પીવાનું બદલાતું નથી. હવે પછી કરશું મુંબઈના ‘પીવા’ની થોડીક વાત. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ડિસેમ્બર 2022

Loading

દિલીપ કુમાર: અભિનયના શહેનશાહને અંજલિ

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Opinion|10 December 2022

હિન્દી ફિલ્મજગતના અગ્રગણ્ય અભિનેતા દિલીપ કુમારે 7 જુલાઈ 2021ના રોજ 98 વર્ષના દીર્ઘ આયુષ્ય બાદ ચિરવિદાય લીધી. એના જવાથી અભિનયક્ષેત્રે ન પુરાય એવી ખોટ પડી છે એમ કહેવું વધુ પડતું નથી. એની જીવન યાત્રા હવે પૂરી થઈ છે, પણ જો એ જીવિત હોત તો 11મી ડિસેમ્બરે એણે એકસો વર્ષ પૂરા કર્યાં હોત. એ પ્રસંગે આ મહાન કળાકારને અંજલિ અર્પીએ.

આગવી પ્રતિભા ધરાવતા આ કળાકારે અભિનય ક્ષેત્રે નવો માર્ગ કંડાર્યો, અને, એના પુરોગામીઓમાં ક્યારેય ન જોયેલી આવી નૂતન અભિનયકળાનું અનુકરણ કરીને એના પછીના કેટલાય કળાકારો એના જેવા થવા મથ્યા. પણ દિલીપ કુમારે એનું આગવું સ્થાન ટકાવી જ રાખ્યું.

1940ના દાયકાના મધ્યથી માંડીને અને 1950ના અને 1960ના — અને 1970ના પણ — દાયકાના એના સમકાલીનો રાજ કપૂર અને દેવ આનંદ સાથે દિલીપ કુમાર પોતે, એમ આ ત્રણ કળાકારોની હિંદી ફિલ્મ જગતમાં ટોચની ત્રિપુટી હતી. 1940નો ઉત્તરાર્ધ અને 1950 અને 1960ના દાયકા દરમિયાન તો, એમની ફિલ્મો દ્વારા આ ત્રણે લોકમાનસ પર છવાઈ ગયા હતા. અન્ય નવા નાયકો પણ આ ગાળા દરમિયાન આવ્યા, પણ આ ત્રણેનું મોખરાનું સ્થાન તો રહ્યું જ.

દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદનું પોતપોતાનું અભિનયક્ષેત્રે આગવું પ્રદાન અને સ્થાન હતું. રાજ કપૂરે મનોરંજન અને ‘મેસેજ’નો મેળ કરીને મોટા ભાગની ફિલ્મો બનાવી, છેક એની પહેલી ફિલ્મ “આગ” (1948)થી શરૂ કરીને. “બરસાત,” “આવારા,” “આહ,” “બુટ પોલિશ,” શ્રી 420” — એ દરેક ફિલ્મમાં સંદેશ હતો, અને સાથે જ મનોરંજનનો મસાલો પણ હતો. એ પછીની ફિલ્મોમાં પણ મુખ્યત્વે એ જ વલણ રહ્યું.

દેવ આનંદે મુખ્યત્વે દેખાવડા, છટાદાર અને સ્ત્રીઓને મોહિત કરે (ladykiller looks) એવા નાયકના પાત્રો કર્યાં; યુદ્ધના વસ્તુવાળી “હમ દોનો”માં પણ એનું આ ઇમેજ કાયમ રહ્યું.

આ બન્નેથી વિરુદ્ધ દિલીપ કુમાર જુદો પડી આવતો હતો. એણે કરેલા ઘણા ધીર-ગંભીર ને કરુણાન્ત પાત્રોને કારણે એને tragedy kingનું બિરુદ મળ્યું, પણ એના અભિનયની વિવિધતા અને તે પરની એની હથોટીને કારણે આ ઇમેજમાં એ બંધાયેલો ન રહ્યો, અને એની આગવી પ્રતિભાનો પરચો કરાવતો રહ્યો. એની કેટલીય ફિલ્મો આ બાબતની સાબિતી આપે છે.

એનો  કાર્યકાળ પાંચ દાયકા જેટલો લાંબો હતો, પણ તેમાં એણે સંખ્યાબંધ ફિલ્મોમાં કામ ન કર્યું. એને ઓફર થતી ફિલ્મોમાંથી કઈ ફિલ્મો સ્વીકારવી તેને એણે પોતાની પસંદગીની બાબત બનાવી દીધી હતી. જો કે સંખ્યાની દૃષ્ટિએ 1947થી 1955ના ગાળાની એની ફિલ્મો જોતાં, 1955 પછી એણે આ પસંદગીનો, choosy થવાનો, રાહ અપનાવ્યો હોય એવું લાગે છે. ઉપરાંત, આ એની કારકિર્દીના શરૂઆતનાં, ફિલ્મજગતમાં સુસ્થાપિત થવાનાં વર્ષો હતાં. એની વધતી જતી લોકપ્રિયતાને કારણે ફિલ્મનિર્માતાઓ આ ગાળા દરમિયાન એને વધુ ને વધુ ફિલ્મોમાં લેતા રહેતા હતા.

એની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જ tragedy kingનું બિરુદ પ્રાપ્ત કરનાર આ દિગ્ગ્જ કળાકારની પ્રતિભા માત્ર કરુણાન્ત ફિલ્મો પૂરતી જ સીમિત નહોતી તેની પ્રતીતિ એણે એની શરૂઆતની ફિલ્મો દ્વારા જ કરાવી દીધી હતી. 1947થી 1955 દરમિયાનની ફિલ્મોમાંની “આન” (1952) અહીં ઉલ્લેખનીય છે. ઉપરાંત, આ જ ગાળાની કરુણાન્ત અથવા ગંભીર વિષયવસ્તુવાળી ફિલ્મો પણ પૂરેપૂરી ગંભીર કે ભારેખમ નહોતી. આ ગાળાની એની ઘણીય ફિલ્મોમાં હળવી sequences પણ હતી, અને આવી ફિલ્મોમાં એનું પાત્ર પણ આખીય ફિલ્મ દરમિયાન ગંભીર કે ભારેખમ નહોતું. “જુગનુ,” “નદિયા કે પાર,” “અંદાઝ,” “આરઝૂ,” “બાબુલ,” “તરાના,” “ફૂટપાથ”  આનાં ઉદાહરણો છે.

વળી, દિલીપ કુમારે એની પ્રથમ ફિલ્મ “જ્વાર ભાટા” (1944)થી જ અનન્ય સફળતા પ્રાપ્ત ન કરી. શરૂઆતની થોડીક ફિલ્મો પછી 1947ની “જુગનુ” અને 1948ની “શહીદ”થી એ વધુ નામવન્ત કળાકાર થયો. 1949ની “અંદાઝ”થી તો એની કારકિર્દી પૂરઝડપે ગતિ કરવા માંડી.

ઉપરાઉપરી ગંભીર કથાવસ્તુવાળી અથવા કરુણાન્ત ફિલ્મોમાં કામ કરવાથી એના માનસ પર અસર થઈ, અને એને હળવી ફિલ્મો તરફ વળવાની સલાહ મળી. અભિનયક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતા આ કળાકારે આવી ફિલ્મોમાં પણ તરત જ એનો પરચો બતાવી દીધો. 1952ની “આન”થી માંડીને ત્યાર પછીની “આઝાદ,” “નયા દૌર,” “મધુમતી,” “પૈગામ,” “કોહિનૂર” અને “ગંગા જમના“ આનાં કેટલાક ઉદાહરણો છે. આ ફિલ્મો હળવી અથવા જુસ્સાદાર વિષયવસ્તુવાળી હતી.

અને આ tragedy kingનું હાસ્ય જોયું હોય તો? જે રીતે ગંભીર મુખમુદ્રા અને તેને અનુરૂપ અભિનય દ્વારા એ પ્રેક્ષકોને આંજી શકતો, તે જ રીતે એનું હાસ્ય પ્રકાશ પાથરી દેતું એમ કહેવું પણ અતિશયોક્તિ તો નથી જ. “હુસ્નવાલોકો ન દો દિલ,” “બેઈમાન તોરે નૈનવા, નીંદિયા ન આયે,” અને “નૈન મિલે નૈન હુએ બાવરે” જેવા એની શરૂઆતના ગાળાની ફિલ્મોના ગીતોમાં દિલીપ કુમારનું મૃદુ હાસ્ય અને પ્રેમની છટા અનન્ય છે. ત્યાર પછીની ફિલ્મોમાંથી તો અનેક ઉદાહરણો મળી આવે છે, જેમ કે “માંગકે સાથ તુમ્હારા,” “સુહાના સફર ઔર યે મૌસમ હસીં,” “નૈન લડ જઇ હેં,” “તેરે હુસ્નકી ક્યા તારીફ કરું,” “એક શહેનશાહને બનવાકે હસીં તાજમહેલ.”

અને આ ઉપરાંત કેટલાય ગીતો અને સંવાદો મારફત એણે નિ:શંક દર્શાવી દીધું કે માત્ર tragedy king કરતાં એ કાંઈ કેટલોય વધુ વિવિધતાસભર અભિનેતા હતો.

1950ના દાયકાના અંત પછી તો દિલીપ કુમારે વિવિધતાસભર ફિલ્મો એક પછી એક આપી, જેમાં “લીડર,” “રામ ઔર શ્યામ” અને “ગોપી” સરખી હાસ્યપ્રધાન, અને “આદમી,” “સંઘર્ષ,” “દિલ દિયા દર્દ લિયા” અને “સગીના” જેવી કથાપ્રધાન અનેક ગણાવી શકાય.

દિલીપ કુમાર અભિનયનો શહેનશાહ કહેવાય છે, અને તે યોગ્ય જ છે. સંવાદો બોલવાની એની આગવી છટા, એની personality, અને પરદા પર એનું છવાઈ જવું — આ બધા થકી એનું સર્વોચ્ચ સ્થાન વધુ ને વધુ મજબૂત થતું ગયું. એના પાત્ર મારફત એ પ્રેક્ષકોના માનસ પર છવાઈ જતો, પછી તે ભૂમિકા હળવી કે દમામદાર હોય અથવા કરુણ પાત્રાલેખનવાળી હોય.

અભિનયના આ શહેનશાહના નમૂનેદાર અભિનયના ઉદાહરણો માટે એની અનેક ફિલ્મો ગણાવી શકાય, પણ “અંદાઝ,” “દીદાર,” “દાગ,” “અમર,” “ફૂટપાથ,” “દેવદાસ,” “મધુમતી,” “મુગલ-એ-આઝમ,” “ગંગા જમના” અને “સગીના”ને એની શ્રેષ્ઠ કથાપ્રધાન ફિલ્મોમાં, તેમ જ “નયા દૌર,” “કોહિનૂર,” “લીડર,” “રામ ઔર શ્યામ” અને “ગોપી”ને એની જુસ્સાદાર અને હળવાશવાળી ફિલ્મોમાં ગણી શકાય. આમાંની “અંદાઝ,” “અમર,” “દેવદાસ” અને “મુગલ-એ-આઝમ” જેવી ફિલ્મોમાં એ ભગ્નહૃદયી નાયક થયો, અને જે-તે પાત્રને સાદ્યંત જીવંત કરીને એના અભિનયનો ડંકો વગાડી દીધો.

“દેવદાસ”ના થયેલા અનેક સંસ્કરણોમાં, સૌમિત્ર ચેટરજી અભિનિત બંગાળી “દેવદાસ” સહિત, દિલીપ કુમારની તુલનામાં કોઈ ટકી શકે નહિ. એણે જે રીતે પ્રાણ રેડીને, ઊંડાણપૂર્વક દેવદાસનું પાત્ર સજીવ કર્યું છે તે માટે પ્રશંસાના શબ્દો સદાય ઓછા જ પડવાના.

એના વિવિધતાસભર અભિનય માટે તો હજી કેટકેટલી ફિલ્મો ગણાવી શકાય. ક્યારેક ચીલાચાલુ અને ઉત્તમ ન ગણાય એવી ફિલ્મોમાં પણ એણે ભૂમિકા કરી. ફિલ્મોનું કથાવસ્તુ ચીલાચાલુ હોય, પણ દિલીપ કુમારના અભિનયમાં ક્યાંય ઓટ આવતી નથી. “અનોખા પ્યાર,” “શબનમ,” “આઝાદ,” “ઇન્સાનિયત,” “ઉડન ખટોલા,” “લીડર” આનાં ઉદાહરણો છે.

“આઝાદ” અને “બૈરાગ” જેવી ફિલ્મોમાં એણે ત્રણ પાત્રોની ભૂમિકા નિભાવી. તેમાં, “આઝાદ”ના અબ્દુલ રહીમ ખાનના પાત્રમાંની એની અદાકારીનો ચમકારો તો ખરે જ માણવા જેવો છે!

દિલીપ કુમારની ઐતિહાસિક કે રાજાશાહી કથાવસ્તુવાળી ફિલ્મોનો ઉલ્લેખ પણ જરૂરી છે. “આન”નો જય તિલક, “યહૂદી”નો પ્રિન્સ માર્કસ, “કોહિનૂર”નો યુવરાજ દેવેન્દ્ર બહાદુર, અને “મુગલ-એ-આઝમ”નો સલીમ — આ બધા પાત્રોમાં એની અદાકારી તો સુંદર છે જ, પણ તેમાં એ અસલ રાજવી અને ખૂબ દમામદાર પણ લાગે છે.

“મુગલ-એ-આઝમ”માં કેમેરા જયારે એના ચહેરા પર હોય, અને એને કોઈ સંવાદ બોલવાનોય ન હોય ત્યારે પણ, પાટવી કુંવરના પાત્રમાં અને પોષાકમાં એ એવો તો દમામદાર લાગે છે, અને આ મૂક અભિવ્યક્તિમાં પણ એની એવી છટા છે જેનો જોટો જડવો મુશ્કેલ છે.

દિલીપ કુમારના અભિનયની વિશિષ્ઠતા એ છે કે એના પાત્ર થકી એ આખી ફિલ્મમાં છવાઈ તો જાય છે જ, પણ જે-તે પાત્રમાં કરૂણતા તેમજ હાસ્ય, ખેલદિલી, ઉમંગ જેવા સંવેદનો એ એની આગવી છટામાં જે રીતે રજૂ કરે છે તે જ એને બીજાઓથી જુદો પાડીને અનન્ય સ્થાન અપાવે છે.

એની અભિનિત ફિલ્મો ઊંચી ગુણવત્તાવાળી હોય કે સામાન્ય હોય, એના અભિનયમાં ઉણપ ભાગયે જ દેખાશે.

અભિનયના આ સમ્રાટે એના ઉચ્ચ પદે પહોંચવા, એની કારકિર્દીની શરૂઆતમાં જે પ્રયાસો કર્યા તેમાંનો એક અહીં જોઈએ. દેવિકા રાણીએ એને ફિલ્મોમાં કામ કરવા આમંત્ર્યો ત્યારે ફિલ્મ અભિનયકળાનો એને કોઈ અનુભવ નહોતો. એનો ખાસ શોખ તો ક્રિકેટ રમવાનો હતો. એણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ફિલ્મોમાં આવતાં પહેલાં એણે માત્ર બે જ હિન્દી ફિલ્મો જોઈ હતી.

તેથી, અભિનયકળા ખિલવવાના હેતુથી દિલીપ કુમારે ગેરી કૂપર અને ઇન્ગ્રીડ બર્ગમેન અભિનીત “For Whom the Bell Tolls” એક આખુંય અઠવાડિયું, સળંગ શૉમાં 21 વખત જોઈ — આ બન્ને ફિલ્મ તારકોના અભિનયનો ઝીણવટથી અભ્યાસ કરવા.

એની આગવી અભિનયપ્રતિભાની વાત કરતાં એ પણ નોંધવું જોઈએ કે ક્યારેક એ એના સંવાદો જરૂર કરતાં વધુ ભારેખમ કરી મૂકતો (affectation). જો કે અભિનયકળા  પરની એની પકડને કારણે, ભજવાતા પાત્રની મજા માણવામાં તે બહુ અવરોધરૂપ નહોતું  થતું.

દિલીપ કુમારના પાછળના ગાળાની ફિલ્મો એની વય અને તે સાથેના એના ઇમેજ પ્રમાણે બનાવીને ફિલ્મકારોએ જનતા સામે ધરી. આમાં “ગોપી,” “બૈરાગ,” “શક્તિ,” “ક્રાંતિ,” “વિધાતા,” “મશાલ,” “સૌદાગર” વગેરેનો સમાવેશ થાય. આ બધામાં એની આગવી અદાકારી તો છે જ, પણ, એના માતબર અભિનય અને મોટા ભાગે મજબૂત કથાવસ્તુવાળી એની ‘40-’50-’60ના દાયકાની ફિલ્મોની સરખામણીમાં આ પાછળના ગાળાની ફિલ્મોમાં લોકભોગ્ય મનોરંજન વધારે છે, તેમ જ તેમની એકંદર ગુણવત્તા એટલી ઊંચી જણાતી નથી. તે કારણે આ ફિલ્મો ‘40-’50-’60ના દાયકાની એની અભિનીત ફિલ્મો કરતાં ક્યારેક ઊણી ઊતરે છે. એની ફિલ્મો જાણે કે 1970 પહેલાની અને 1970 પછીની, એમ બે ગાળામાં વહેંચાઈ ગઈ છે.

દિલીપ કુમારે મહેબૂબ, બિમલ રોય, નીતિન બોઝ, બી.આર. ચોપરા, કે. આસિફ, તપન સિંહા, સુભાષ ઘાઈ, યશ ચોપરા જેવા ફિલ્મકારોની ફિલ્મો તો કરી જ, પણ હૃષીકેશ મુખરજી જેવા નવી તરાહના ફિલ્મકારે પણ દિલીપ કુમારને લઈને 1957માં “મુસાફિર” બનાવી. જુદી તરાહની આ ફિલ્મમાં ત્રણ ભાગ છે. પહેલા બેમાં દિલીપ કુમારનો ઉલ્લેખ માત્ર છે; એ પરદા પર આવતો નથી. ત્રીજા ભાગમાં એ દેખાય છે. ફરી એક વખત આ અભિનયસમ્રાટે અહીં સુંદર  અભિનયનાં અજવાળાં પાથર્યાં છે.

દિલીપ કુમાર પછીની પેઢીમાં, નસીરુદ્દીન શાહ, સંજીવ કુમાર, ઇરફાન ખાન અને અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ એની બરોબરીમાં ટકી શકે એવા સક્ષમ છે અથવા હતા. રાજેશ ખન્નાની ફિલ્મોની રજત જયંતિના અનન્ય વિક્રમો સ્થાપિત થયા. તેમ છતાં, દિલીપ કુમારનો જે એકંદર પ્રભાવ અને એની જે છટા હતાં એ તો એના જ, એમ કહ્યા વિના રહી નહિ શકાય.

પરદા પર દિલીપ કુમારનાં ગીતો માટે શરૂઆતના વર્ષોમાં મુહમ્મદ રફી, તલત મહેમૂદ અને મુકેશ હતા. પછી મહેન્દ્ર કપૂર અને કિશોર કુમારે પણ એના માટે પાર્શ્વગાયન કર્યું. પણ “મુસાફિર”માં દિલીપ કુમારે એના પોતાના અવાજમાં લતા મંગેશકર સાથે ગાયેલા ગીતમાં એનો ધીમી હલકવાળો મધુરો અવાજ સાંભળવા મળે છે. એણે એના પોતાના જ અવાજમાં વધુ ગીતો કેમ નહીં ગાયાં હોય? હવે તો એ ભેદ જ રહેવાનો.

દિલીપ કુમારની પ્રતિભાને વધુ ઊંડાણથી જોવા માટે આથી વધારે લખવાનો અવકાશ છે, પણ આ મહાન કળાકારની આ અંજલિ અહીં જ સમાપ્ત કરીએ. 

———————————————     

e.mail : surendrabhimani@gmail.com

Loading

...102030...1,1711,1721,1731,174...1,1801,1901,200...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved