Opinion Magazine
Number of visits: 9667489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દુકુમાર જાનીને સ્મૃતિ-વંદના ! 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|18 April 2023

આજે સવારમાં જ ફેસબૂક પર પાલણપુરના હિદાયતભાઈએ ઇન્દુકુમાર જાનીએ તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. એ પોસ્ટ જોતાં મન ભરાઈ આવ્યું. મનમાં ઇન્દુભાઈની યાદો ઊભરાઈ આવી.

ઇન્દુકુમાર જાની 

કેટલી બધી યાદો ! 1996-97માં હું ગુજરાતી સામયિકોમાં લખતો થયો તેમાં ઇન્દુભાઈનો પણ મોટો ફાળો. ‘ભાઈ, તમે ઘણી મહેનત કરો છો, સારું લખો છો, લખતા રહો!’ – ઇન્દુભાઈએ આપેલી  એવી શાબાશી મારા માટે, કદાચ તે મેળવનારા કોઈ પણ માટે, મહત્ત્વની હતી.

મરાઠી સામયિકોની ગુણવત્તા તે જાણતા, એટલે તેમાંથી કરેલાં મારા અનુવાદ ‘નયા માર્ગ’માં હોંશથી છાપતા. બે-ત્રણ વાર તેમના સંપર્કમાં રહેલા જાણકાર મરાઠી વાચકોએ મોકલેલા મરાઠી છાપાંનાં કતરણો પણ તેમણે અનુવાદ માટેની વિનંતીસૂચક ચિઠ્ઠી સાથે મને ટપાલમાં મોકલી હતી. પુસ્તકો-નોંધો માટે પુસ્તકો પણ ઘરે મોકલતા. મને તેમની ઑફિસે કે ઘરે ધક્કો ન ખાવો પડે તેનું ધ્યાન રાખતા.

‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ની સાથે મારી લાગણીઓ, મારા વિચારોનો તાર બરાબર મળી ગયો હતો. એમણે લેખ ન છાપ્યો હોય તેવું ક્યારે ય બન્યું નથી. બે લેખો તો એમની માન્યતાથી જુદા વિષયો પરના હતા તો પણ એમણે છાપ્યા હતા.

ડૉ. પ્રકાશ આમટેના આત્મકથાત્મક પુસ્તકનો અનુવાદ 2014માં આવ્યો પણ આમટે દંપતીના કામ વિશે મને પહેલવહેલી વાર માર્ચ 1999 ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના એક લેખમાંથી જાણવા મળ્યું.  તે લેખનો મેં સત્વરે કરેલો અનુવાદ ઇન્દુભાઈએ 1 એપ્રિલના ‘નયા માર્ગ’ ખૂબ ખુશીથી છાપ્યો.

ત્યાર બાદ  બાબા આમટે, પુ.લ. દેશપાંડે, મેધાતાઈ પાટકર જેવાં પરના મરાઠી લેખો પરના મારા લેખો એ પ્રસિદ્ધ કરતાં જ રહ્યા. અંગ્રેજી સાપ્તાહિક ‘ધ વીક’ના એક વિશેષાંક પર આધારિત લેખોની ‘ભરોસાપાત્ર ભેખધારીઓ’ નામની આખી લેખમાળા તેમણે છાપી હતી.

દિલીપ રાણપુરાના ‘શિક્ષક-કથાઓ’ પુસ્તક પરનો મારો લેખ ઘણો લાંબો થઈ ગયો. એટલે મને મોકલતા સંકોચ થતો હતો. તે ‘નયા માર્ગ’માં  બે ભાગમાં આવ્યો.

આદિવાસીઓનું શોષણ, ઝૂંપડપટ્ટી, વિસ્થાપન, વંચિત બાળકો જેવું જ્યારે ક્યારે વાંચવા મળે ત્યારે થાય લાવ ને ઇન્દુભાઈને મોકલું ! ‘તમારું કશું મૂકી નથી રાખતો. લઈ જ લઉં છું’ – આવા  તેમના એક વખતના શબ્દો મને હંમેશાં યાદ રહેશે.

અલબત્ત, ખૂબ લાગણીશીલ ઇન્દુભાઈની અપેક્ષાએ હું પાર ન ઊતર્યો હોઉં, મેં ‘નયા  માર્ગ’ માટે  મારે લખવું જોઈએ એટલું મેં ન લખ્યું એવું ય મને થયા કરે છે.

વર્ષમાં ત્રણ-ચાર વાર લેખ આપવા નિમિત્તે કે સાલ મુબારક અવસરે એમના ઘરે મળવાનું થતું, ત્યારે રંજનબહેન આઇસક્રીમ અચૂક ખવડાવતા. અનૂજ અને તેના મમી-પપ્પા ત્રણેય ખૂબ  પ્રેમથી વાત કરતાં. તે સમયની તેમની આત્મીયતાની યાદ આજે અત્યારે પણ આંખ ભીની કરી જાય છે.

વર્ષો વીતતાં સમજાતું ગયું કે એક પાક્ષિક માટે, એક રાજ્યના પીડિતો-વંચિતો માટે વર્ષો લગી ગુજરાત ખૂંદનારા કેવી ઊંચાઈના કર્મશીલને હું મળતો હતો, અને એ કેટલા સહજ હતા.

મારા પિતાજીના અવસાન પર તે ઘરે મળવા આવ્યા હતા, કોવિડના પહેલાં મોજા દરમિયાન થયેલા મમ્મીના અવસાન પર પત્ર અને ફોન પર સાંત્વના આપી હતી.

એક વખત મારી મોટી માંદગીમાં ઘરે ખબર કાઢવા આવ્યા હતા. એક વખત વરસતા વરસાદે  ઇન્દુભાઈ, ચંદુભાઈ મહેરિયા, અને હું ઇન્દુભાઈની ગાડીમાં, અય્યૂબભાઈના ડ્રાઇવિંગ હેઠળ માર્ટીનભાઈ મૅકવાન, હિરેનભાઈ ગાંધી અને નીરવ પટેલના ખબર કાઢવા ગયા હતા. તે વખતે પણ ઇન્દુભાઈના હૈયાની કુમાશ મેં જોઈ હતી. આખો મોટો સંસ્મરણ લેખ લખી શકાય તેટલી યાદો; સંપાદકનું, સ્નેહીનું ઋણ.

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ઇન્દુભાઈએ શારીરિક પીડા ખૂબ વેઠી. ફોન પર કે રૂબરૂ મળીએ ત્યારે વાત ન કરે, મિત્રો પાસેથી જાણવા મળે. મને એમ થાય કે એક માણસ અને તેના પત્નીને ભાગે કેટલી પીડા ભોગવવાની આવે !

ઇન્દુભાઈ ગયા તે દિવસો કારમા હતા. તેમને અને પરિવારને બહુ આકરા પડ્યા. સાથીઓ અને હિતચિંતકોએ મહેનત પણ કરી.

એક પછી એક માણસો એકલા-અટૂલા છેલ્લી મુસાફરીએ ચાલ્યા જતા. ખબર કાઢવા, પરિવારને દિલાસો આપવા ય ન જવાય. મહિનાઓ દિવસો સુન્ન થઈ જવાયું હતું, મનમાં ને મનમાં વલવલતા રહેવાનું, ન વંચાય, ન લખાય.

સારું થયું ડંકેશ ઓઝાએ એમના પર પુસ્તક લખ્યું. તેના ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન, આખી જિંદગી ઇન્દુભાઈને પડખે ઊભા રહેનારાં રંજનબહેને તેમના મથામણ-મધુર દામ્પત્ય જીવનને શોભે તેવી સ્વસ્થતા જાળવી હતી, એ અઘરું હશે. આખો પરિવાર તેમની સાથે હતો. મને ઘણી વાર ડૂમો ભરાઈ આવતો હતો .. કાર્યક્રમ બાદ ભોજન પણ હતું. હું નહોતો જોડાઈ શક્યો.

ઇન્દુભાઈને પંચોતેર વર્ષ થયાં તે અવસરે તેમનો અભિવાદન કરવાનું મિત્રોએ વિચાર્યું હતું. તેમણે ધરાર ના પાડી. તેના વિકલ્પે મિત્રોના આગ્રહથી તેમણે પોતાની જિંદગીની વાત લોકો સુધી પહોંચાડવા માટે ‘ખેતવિકાસ પરિષદના નાના સભાગૃહમાં ત્રણ દિવસ વ્યાખ્યાનો આપ્યાં.

અભિવાદનનો પ્રસ્તાવ લઈને મળવા જનારા ચાહકોને તેમણે એમનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહ્યું હતું : ‘જે કંઈ કર્યું એ મારી મરજી, પસંદગીથી કર્યું હતું. કોઈની પર અહેસાન કરવા માટે નહીં. મને કંઈ લોકો કંકુ-ચોખા મૂકવા નહોતા આવ્યા.’

ઇન્દુભાઈ, તમને વિનમ્ર સ્મૃતિ-વંદના !

e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સેલિબ્રિટીઓ પબ્લિક પ્રોપર્ટી છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 April 2023

રાજ ગોસ્વામી

એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરથી, મુંબઈમાં તેની સાથે બનેલી બે ઘટનાઓની વાત લખી છે. પહેલી ઘટનામાં, પ્રીતિની દીકરી ગિયા સાથે એક પાડોશી સ્ત્રીએ ‘ગેરવર્તન’ કર્યું હતું. પ્રીતિએ લખ્યા મુજબ, તેનાં સંતાનો બીજાં બાળકો સાથે બગીચામાં રમતાં હતાં ત્યારે, એક ‘એલિટ’ ફ્લેટમાં રહેતી એક સ્ત્રીએ ગિયાનો ફોટો પાડવા પ્રયાસ કર્યો. પ્રીતિએ શાલીનતાથી તેને ફોટો પાડતાં રોકી એટલે એ સ્ત્રી જવા લાગી અને અચાનક ગિયાને ઊંચકી લઈને તેના મોઢા પર તસતસતું ચુંબન ચોડી દીધું અને ‘કયુટ બેબી’ બોલીને નાસી ગઈ. “હું સેલિબ્રિટી ન હોત તો, મેં એનું મોઢું તોડી લીધું હોત, પરંતુ તમાશો ન થાય એટલે હું શાંત રહી.”

બીજી ઘટનાની એરપોર્ટ જતી વખતની છે. પ્રીતિએ તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે. તેમાં એક વ્હીલચેરમાં એક દિવ્યાંગ માણસ પ્રીતિને તેની કાર પાસે રોકવા માટે મથામણ કરી રહ્યો છે. પ્રીતિના કહેવા પ્રમાણે, આ માણસ છેલ્લા એક વર્ષથી તેને પૈસા માટે હેરાન કરી રહ્યો હતો. શક્ય હતું ત્યારે તેણે પૈસા આપ્યા પણ હતા.

પ્રીતિ લખે છે, “એ દિવસે તેણે પૈસા માગ્યા એટલે મેં તેને કહ્યું કે સોરી, આજે છુટ્ટા નથી, ક્રેડિટ કાર્ડ છે. મારી સાથે એક બહેન હતાં તેમણે પર્સમાંથી પૈસા આપ્યા. પેલાએ પૈસા પાછા ફેંક્યા અને આક્રમક થઇને કહ્યું કે આટલા ન ચાલે.”

ત્યાં ઊભેલા લોકોને આમાં જોણું થયું અને ફોટા પાડવા લાગ્યા, વીડિઓ ઉતારવા લાગ્યા. પ્રીતિ કહે છે, “કોઈએ પેલાને અમારી કારની પાછળ આવતાં ન રોક્યો. જો અકસ્માત થયો હોત તો મને જ દોષિત ઠેરવવામાં આવી હોત, મારા સેલિબ્રિટી હોવા સામે સવાલ કરવામાં આવ્યો હોત, બોલિવૂડને ગાળો પડી હોત.”

પ્રીતિએ આ બે ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેની પોસ્ટમાં એક અગત્યનો પ્રશ્ન ઉઠાવ્યો છે : સેલિબ્રિટીઓને અન્ય સામાન્ય લોકોની જેમ નિજતા(પ્રાઈવસી)નો અધિકાર નથી? શું સેલિબ્રિટીઓ પબ્લિક પ્રોપર્ટી છે કે હર કોઈ વ્યક્તિ હર કોઈ વક્ત તેનો અધિકાર જતાવા આવી શકે?

પ્રીતિ લખે છે, “લોકોએ એ સમજવાની જરૂર છે કે હું પહેલાં માણસ છું, પછી માતા છું અને એ પછી સેલિબ્રિટી છું. મારે મારી સફળતા માટે નિયમિત રીતે માફી માંગતા રહેવાનું ન હોય કે ન તો હું મહેનત કરીને જે ઠેકાણે પહોંચી છું એ માટે અને પજવવામાં આવે. આ દેશમાં બીજા લોકોની જેમ મરજી પડે તે રીતે જીવવાનો મને અધિકાર છે. મહત્ત્વની વાત એ છે કે મારાં બાળકો એમાં ભાગીદાર નથી. એ અબુધ છે અને તેમને સેલિબ્રિટી તરીકે લેવાની જરૂર નથી. એમનાથી આઘા રહો.”

સેલિબ્રિટી હોવું એ બેધારી તલવાર છે. એ લોકો મારા-તમારા જેવા બે હાથ, બે પગ, એક માથા વાળા માણસો જ હોય છે, પરંતુ તેમણે લાઈમ-લાઈટમાં રહીને પોતાની એક એવી પબ્લિક ઈમેજ ઊભી કરી હોય છે કે આપણે તેમને ‘સુપરહ્યુમન’ તરીકે જોતા થઇ જઈએ છીએ. પહેલાં એ સમજવું જોઈએ કે લોકો સેલિબ્રિટી સાથે અલગ વ્યવહાર કેમ કરે છે અને તેમના જીવનમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ હોય છે.

મનોવિજ્ઞાનમાં તેને સેલિબ્રિટી વર્શીપ સિન્ડ્રોમ કહે છે. આ એક એવી વૃત્તિ છે જેમાં વ્યક્તિ (ચાહક) સેલિબ્રિટી સાથે આત્મિયતા મહેસૂસ કરે છે. આપણે સેલિબ્રિટીને નિયમિતપણે મીડિયામાં જોતા હોઈએ છીએ, આપણે તેમના વિશે ઝીણામાં ઝીણા સમાચારો વાંચતા હોઈએ છીએ, એ આપણું મનોરંજન કરાવતા હોય છે, એ આપણા જીવનને સીધી કે આડકતરી રીતે પ્રભાવિત કરતા હોય છે. એટલે આપણે એવું માનતા થઇ જઈએ છીએ કે ‘હું તેને જાણું છું.’ આપણને સેલિબ્રિટીનો એટલો બધો પરિચય હોય છે કે એક રીતે આપણામાં તેમના પ્રત્યે અધિકારની ભાવના જાગે છે. આપણને એવું લાગવા માંડે છે કે સેલિબ્રિટીની દરેક હરકત પર ટિપ્પણી કરવાનો મને હક છે.

બીજું, સેલિબ્રિટીઓ ફેન્ટસીની દુનિયાના પ્રતિનિધિ છે જે આપણને આપણી બોરિંગ જિંદગીમાંથી છૂટવામાં મદદ કરે છે. આપણે એટલી ભંગાર જિંદગી જીવતા હોઈએ છીએ કે આપણને એવું લાગે છે કે જિંદગી તો પ્રીતિ ઝિન્ટા જેવી એક્સાઇટિંગ હોવી જોઈએ. એટલે આપણને તેની ફિલ્મથી લઈને તેના બાળક અને તેનાં કપડાંથી લઈને તેના બેડરૂમ બધામાં રસ પડે છે.

ત્રીજું કારણ બીજા કારણ સાથે જોડાયેલું છે. માણસોને સેલિબ્રિટીઓની લવ-લાઇફમાં પોતાની ખુદની ફેન્ટસી નજર આવે છે. અચેતન મનમાં, સેલિબ્રિટીઓના પ્રેમને આપણે “મોડેલ” ગણીએ છીએ અને તેની નકલ કરવા ઇચ્છીએ છીએ. જ્યારે સેલિબ્રિટીઓએ ભૂલ કરી હોય, તો લોકોમાં નારાજગી પેદા થાય છે. આનું કારણ છે. સેલિબ્રિટીઓ અથવા મનોરંજન આપણા “નાના મગજ”ને પ્રભાવિત કરે છે. વિજ્ઞાન, ફિલોસોફી, એસ્ટ્રોનોમી જેવા વિષયો સમજવા અઘરા હોય છે, એટલે “નાનું મગજ” એ દિશામાં જવા તૈયાર થતું નથી, પરંતુ સેલિબ્રિટીના હૂક-અપ કે બ્રેક-અપના સમાચાર આવે તો તે સક્રિય થઈ જાય છે.

દાખલા તરીકે, તમે “નાના મગજ”વાળાને પૂછો કે પ્રીતિનાં કેટલાં બ્રેક-અપ થયાં છે, તો તે નામ-તારીખ સાથે ગણાવશે, પણ એવું પૂછો કે પ્રીતિનાં ફેવરિટ પુસ્તકો ક્યાં છે, તો તેઓ મોઢું વકાસીને જોઈ રહેશે. હંગેરી દેશના 1,763 વયસ્કો પર કરવામાં આવેલા સર્વેમાં એવું બહાર આવ્યા હતું કે સેલિબ્રિટી પાછળ ગાંડા લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે.

સેલિબ્રિટીઓ, દુકાનના માલ-સામાનની જેમ, એક કોમોડિટી છે તે વાત વીસમી સદીના મૂડીવાદનું સર્જન છે. તે પહેલાંના સમયમાં જે લોકો સફળ હતા જે ‘ફેમસ’ ગણાતા હતા, સેલિબ્રિટી નહીં. તેમનું ફેમસ હોવું સમાજના વ્યાપક હિતમાં હતું. જેમ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે મહાત્મા ગાંધી ફેમસ હતા, કારણ કે લોકો તેમને ચાહતા હતા અને તેમનાથી પ્રેરિત હતા. એટલા માટે તેમણે ક્યારે ય પોતાના પર અધિકાર જતાવ્યો ન હતો. એ અર્થમાં તેઓ પબ્લિક પ્રોપર્ટી હતા.

ગાંધીજી માનતા હતા કે તેમનું ખાનગી કહેવાય તેવું જીવન છે જ નહીં, અને જે છે તે સઘળું સાર્વજનિક છે. એટલા માટે તેમણે તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેમના જીવનની એક પણ વાત છુપાવી નથી. સેલિબ્રિટીઓ બ્રાંડ ગણાય છે. જેમ બજારમાં મળતી કોઈ ચીજ-વસ્તુની ઉપયોગિતા એને કિંમત હોય છે તેવી રીતે સેલિબ્રિટીનું એક બ્રાંડ મૂલ્ય હોય છે. ટૂંકમાં એ પોતાને વેચતા હોય છે. એટલા માટે જ તેમની પબ્લિક ઈમેજ અને પ્રાઈવેટ જિંદગી વચ્ચેની સીમા ભૂંસાઈ જાય છે.

લોકો સેલિબ્રિટીને પબ્લિક પ્રોપર્ટી ગણે છે તેનો એક તાજો દાખલો અમિતાભ બચ્ચનનો છે. ગયા વર્ષે તેમણે કોર્ટમાંથી પોતાના પર્સનાલિટી રાઈટ્સ મેળવ્યા છે. અર્થાત, અમિતાભનું નામ, દેખાવ, અવાજ અને તેમના વ્યક્તિત્વની અન્ય ખાસિયતોના માલિક માત્ર અમિતાભ જ છે અને તેમની પરવાનગી વગર કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરી નહિ શકે. આનો અર્થ એ થયો કે અમિતાભ ધારે તો પૈસા લઈને તેમની અંગત જિંદગીને પુસ્તક સ્વરૂપે બજારમાં વેચી શકે, પણ એ અધિકાર બીજા કોઈને નથી.

પ્રીતિએ જે મુદ્દો ઉઠાવ્યો છે તે ભારત માટે નવો છે અને સેલિબ્રિટીઓ પણ સાધારણ માતા-પિતા, બહેન-દીકરી છે તેવું લોકો સ્વીકારે તેમાં સમય લાગશે. ત્યાં સુધી રસ્તે જતો દિવ્યાંગ પણ એનો અધિકાર જતાવતો રહેવાનો. અમિતાભે જ એક વાર શાહરુખ ખાનને કહ્યું હતું કે, “તમે ગમે તેટલા સાચા હો, પણ તમે સેલિબ્રિટી છો અને એટલે લોકો કાયમ તમારો દોષ જ જોવાના.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 16 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નેધરલેન્ડ કેવી રીતે સાઈકલોનો દેશ બન્યો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 April 2023

1 કરોડ 72 લાખ વસ્તી સામે 2 કરોડ 3 લાખ સાઇકલ!

રાજ ગોસ્વામી

ઉત્તર-પૂર્વી યુરોપમાં નેધરલેન્ડનામનો એક દેશ છે. તેને હોલેન્ડ પણ કહેવામાં આવે છે. નેધરલેન્ડ શબ્દનો અર્થ થાય છે ‘નીચલો ભૂભાગ.’ અહીં દેશનો લગભગ 50 પ્રતિશત હિસ્સો સમુદ્ર તળથી કેવળ 1 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. અહીં 21 પ્રતિશત વસ્તી અને 26 પ્રતિશત ક્ષેત્રફળ સમુદ્ર તળની નીચે વસવાટ કરે છે.

તાજેતરમાં તેની રાજધાની એમ્સ્ટરડેમમાં, આઈ નદીની નીચે, દેશનું સૌથી મોટું સાઈકલ પાર્કિંગ (ઓપન હેવન ફ્રન્ટ) ખોલવામાં આવ્યું છે. તેમાં એક સાથે 11,000 સાઈકલો સમાઈ શકે છે. તમને થશે કે ખાલી એક જ શહેરમાં આટલી બધી સાઈકલોનું એક પાર્કિંગ હોય તો, આખા દેશમાં નાના-મોટાં લગભગ 1 હજાર શહેરોમાં કેટલી સાઈકલો હશે?

તમને જાણીને આશ્ચર્ય થશે કે નેધરલેન્ડમાં તેની કુલ વસ્તી કરતાં સાઈકલ વધારે છે; 1 કરોડ 72 લાખ વસ્તી છે અને સાઇકલની સંખ્યા 2 કરોડ 3 લાખ છે! નેધરલેન્ડ સાઈકલોનો દેશ કહેવાય છે. અહીં 36 પ્રતિશત ડચ લોકો રોજિંદી અવરજવર માટે સાઈકલ વાપરે છે, જયારે 45 પ્રતિશત મોટરકાર અને 11 પ્રતિશત પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. નેધરલેન્ડના રાષ્ટ્રવ્યાપી (ગ્રામીણ અને શહેરી) ટ્રાન્સપોર્ટેશનમાં સાઈકલિંગનો હિસ્સો 21 પ્રતિશત છે. શહેરોમાં તો એ વધુ છે. એમ્સ્ટરડેમમાં 38 પ્રતિશત, ઝ્વોલેમાં 46 પ્રતિશત લોકો સાઈકલ પર ફરે છે.

આપણે ત્યાં જેમ હાઇવેઝનું દેશવ્યાપી નેટવર્ક છે તેવી રીતે નેધરલેન્ડમાં ડચ સાઈકલ નેટવર્ક નામની સંસ્થા દેશમાં સાઈકલ માટેના રસ્તાઓ નિર્માણ કરવાનું અને તેની સાર-સંભાળ રાખવાનું કામ કરે છે. દેશમાં 1,40,000 કિલોમીટરનું રોડ નેટવર્ક છે, તેમાં 35,000 કિલોમીટરના રસ્તાઓ સાઈકલ માટે સમર્પિત છે.

યુરોપિયન દેશોની એક ખાસિયત એ છે કે ત્યાંના લોકો આફતને અવસર ગણીને તેનું એવું સમાધાન શોધે છે જે બીજા લોકો માટે પ્રેરણાદાયી બની જાય છે. વૈજ્ઞાનિક અભિગમ એને જ કહે છે. સમસ્યાના નામે રડતા રહેવાને બદલે તેનું સમાધાન શોધવા માટે પ્રયાસ કરવા. ત્યાંના લોકોમાં સામાજિક જાગૃતિ એટલી બધી છે કે સરકાર, બજાર અને સમાજ ત્રણે ભેગા થઇને સામાજિક સુવિધા કેવી રીતે સુધરે તેની સતત ચિંતા કરતા હોય છે.

આપણે ત્યાં ઊંધું છે. પહેલાં તો ‘મારે શું’નો અભિગમ છે. આપણે ઘરનો કચરો બારણા બહાર ફેંકી દઈને આપણા પૂરતા ચોખ્ખા રહીએ છીએ. સાર્વજનિક સભ્યતા અને શિસ્તના નામે આપણે ઝીરો છીએ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના એક અભ્યાસ પ્રમાણે અડધી સદીમાં ભારતમાં વાહનોની સંખ્યામાં ૭૦૦ ઘણો વધારો થયો છે. ૧૯૫૧માં ભારતમાં ૩ લાખ વાહનો હતાં, ૨૦૧૫માં તે સંખ્યા ૨૧ કરોડ થઇ છે. 

દેશમાં રોડ-રસ્તા અને પબ્લિક ટ્રાન્સપોર્ટની નબળી સેવાના કારણે નાના-મોટા શહેરોમાં સવાર-સાંજ ટ્રાફિક જામ થઇ જવાના કારણે અવાજની સાથે હવાના પ્રદૂષણમાં પણ એટલો જ વધારો થઇ રહ્યો છે. આપણે ત્યાં આનો ઉપાય કરવાની એક પણ રાષ્ટ્રીય ચળવળ નથી. ‘સબ ચલતા હૈ’ એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. એક દેશની રાષ્ટ્રીય સમસ્યાને કેવી રીતે સુલઝાવે છે તેનું નેધરલેન્ડ ઉદાહરણ છે.

દ્વિતીય મહાયુદ્ધ અગાઉ, નેધરલેન્ડ-વાસીઓ અવરજવર માટે સાઈકલનો જ ઉપયોગ કરતા હતા. ત્યાંના લોકોમાં સાઈકલિંગ જાણે પ્રાચીન સમયની પરંપરા હોય તેવો મોહ હતો. યુદ્ધ દરમિયાન અને પછી ઔધોગિકરણમાં જબરદસ્ત ગતિ આવી હતી અને યુરોપ-અમેરિકામાં ઓટોમોબાઇલ્સનું ઉત્પાદન વધ્યું હતું. 1950 અને 60ના દાયકામાં નેધરલેન્ડની અર્થવ્યવસ્થામાં તેજી આવી તેની સાથે મોટરકારના વેચાણમાં ઉછાળો આવ્યો હતો. તેમાં અન્ય યુરોપિયન દેશોની માફક, નેધરલેન્ડમાં રોડ્સ પર મોટરકારોનો ઝમેલો વધવા લાગ્યો હતો અને સાઈકલ સવારો માટેની જગ્યા સંકોચાઈ ગઈ હતી. એમ્સ્ટરડેમના અડોસપડોસમાં દર વર્ષે 7 ટકાના દરે સાઈકલો ગાયબ થવા લાગી હતી.

તેની સાથે બીજી સમસ્યા પણ આવી. મોટરકારના વપરાશની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધવા લાગી. 1971માં, નેધરલેન્ડમાં મોટર અકસ્માતોમાં 3,000 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાં 450 બાળકો હતાં. નેધરલેન્ડવાસીઓને આટલી મોટી સંખ્યામાં બાળકોનું જીવન બરબાદ થતું જોઈને આઘાત લાગી ગયો.

એમાં, 1973ના મધ્ય પૂર્વ તેલ સંકટમાં તેલ ઉત્પાદક દેશોએ અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં તેલની નિકાસ અટકાવી દીધી. તેના પગલે ડચ લોકોને થયું કે મોટરકારો સફેદ હાથી જેવી થઇ ગઈ છે. આ બે સમસ્યાઓથી લોકોમાં કાર પ્રત્યે ઘૃણા અને સાઈકલ પ્રત્યેનો ઝુકાવ વધ્યો.

એમાંથી દેશમાં એક સાર્વજનિક ચળવળનો પ્રારંભ થયો; સ્ટોપ દે કિન્ડરમૂર્ડ (સ્ટોપ ધ ચાઈલ્ડ મર્ડર). એ એક સંગઠિત ચળવળ હતી. તેમાં સભ્યો બનાવવામાં આવતા હતાં. તેઓ સમસ્યા અંગે જનજાગૃતિ કરવા માટે કાર્યક્રમો કરતા હતા. તેઓ જ્યાં વધુ અકસ્માતો થતા હોય તેવી જગ્યાઓએ જઈને સામૂહિક ડીનર પાર્ટી કરતા હતા, જેથી આવતા-જતા લોકો અને સરકારી માણસોનું ધ્યાન ખેંચાય.

એ સંગઠનની પહેલી અધ્યક્ષ એક મહિલા હતી. તેણે એ દિવસોને યાદ કરીને કહ્યું હતું, “હું એમ્સ્ટરડેમ રહેતી હતી. મારાં નાનાં બાળકો હતાં. મેં બાળકો ભોગ બનતાં હોય તેવા અનેક અકસ્માતો જોયા હતા. મેં જોયું હતું કે રોડ્સ બનાવવા માટે થઈને શહેરમાં ઠેકઠેકાણે તોડફોડ કરવામાં આવી હતી. શહેરમાં જે પરિવર્તન આવી રહ્યું હતું તેનાથી મને ચિંતા થઇ હતી – તેનાથી અમારી જિંદગી પ્રભાવિત થતી હતી. ગલી-ગુંચીઓ ત્યાં રહેતાં લોકો માટે રહી નહોતી, પણ ટ્રાફિક નામના અજગરના કબજામાં હતી. મને બહુ ગુસ્સો આવતો હતો. અમે સંસદ સભ્યો અને વડા પ્રધાનના ઘર સુધી દેખાવો કર્યા હતા. અમે અમારાં બાળકો માટે રસ્તાઓ, ગલીઓ સુરક્ષિત બનાવવા માંગતા હતાં.”

અલબત્ત, તેમની ધરપકડ થતી હતી અને તેમનો ‘અપરાધ’ અખબારોના પાને ચઢતો હતો, પણ સંગઠનને એ સંતોષ હતો કે તેમનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. 70ના દાયકામાં નેધરલેન્ડમાં એવા રાજકારણીઓ હતા જે માનતા હતા કે મોટરકારોનો વધુ પડતો ઉપયોગ સમાધાનને બદલે સમસ્યા બનવાનો છે.

મજાની વાત એ છે કે સરકારે સ્ટોપ દે કિન્ડરમૂર્ડને સુરક્ષિત અર્બન પ્લાનિંગ માટેની એક અગત્યની ચળવળ ગણી એને તેને આર્થિક સહાય આપી. એમાંથી ‘વૂનેર્ફ’ નામના રોડ અને ગલીઓનો ખયાલ વિકસ્યો. ડચ ભાષામાં ‘વૂનેર્ફ’ એટલે ‘જીવંત સ્ટ્રીટ,’ જ્યાં રાહદારીઓ, સાઈકલ સવારો અને મોટર કારો સુધ્ધાં આરામથી, એકબીજાને નડ્યા વગર, ધીમી ગતિએ અવરજવર કરી શકે. 

આ ચળવળ સફળ થઇ એનું એક કારણ એ હતું કે નેધરલેન્ડમાં સાઈકલિંગની પરંપરા જૂની હતી અને લોકોનો તેની સાથે ભાવનાત્મક લગાવ હતો. ધીમે ધીમે રાજકારણીઓ અને સરકારને સાઈકલિંગનું મહત્ત્વ સમજાવા લાગ્યું અને 1980ના દાયકામાં ટ્રાન્સપોર્ટેશનની નીતિઓમાં સાઈકલ પ્રત્યે ઝુકાવ આવ્યો અને પછી ડચ શહેરોમાં રોડ-રસ્તાઓ અને ગલી-ગુંચીઓ સાઈકલો ફરી શકે તેવી બનાવામાં આવી.

નેધરલેન્ડમાં આજે સાઈકલિસ્ટ યુનિયન સક્રિય છે અને તેમાં 34,000 સભ્યો છે. આ યુનિયન દુનિયાના અન્ય દેશોને પણ સાઈકલ-સવારી કેવી રીતે પ્રચલિત કરાય તે માટે જરૂરી મદદ કરે છે. આ યુનિયનનો પ્રવક્તા કહે છે, “અમે મોટી સિદ્ધિ હાંસલ કરી છે, પણ અમારી લડાઈ હજુ જારી છે. અર્બન પ્લાનરો હજુ પણ તેમની યોજનાઓમાં મોટરકારોને પ્રાથમિકતા આપે છે. અમે જંપીને બેસવાના નથી.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 16 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1711,1721,1731,174...1,1801,1901,200...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved