દોડી-દોડીને થાકવાનું
ઠરવાના ઠામે ઠરીને ભીતર પાછું ભાગવાનું
હાય
એવું કંઈક થાય
ઊંઘી જઉં
નામ, ઠામ ને એવું બધું ભૂલી જઉં
e.mail :umlomjs@gmail.com
![]()
દોડી-દોડીને થાકવાનું
ઠરવાના ઠામે ઠરીને ભીતર પાછું ભાગવાનું
હાય
એવું કંઈક થાય
ઊંઘી જઉં
નામ, ઠામ ને એવું બધું ભૂલી જઉં
![]()

રાજ ગોસ્વામી
ઈઝરાયલ આજકાલ તેના રાજકીય ઇતિહાસના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. તેની બેન્જામિન નેતન્યાહૂ સરકાર દેશની ન્યાયપાલિકા(જ્યુડિસિયરી)માં મોટાપાયે બદલાવ લાવવા માંગે છે અને તેનો છેલ્લા ત્રણ મહિનાથી એટલો વિરોધ થઇ રહ્યો છે કે પાછલા દિવસોમાં દેશની જનતા સડકો પર ઊતરી આવી હતી. જનતાનો એ વિરોધ એટલો આક્રમક હતો કે નેતન્યાહૂએ ઘૂંટણીએ પડીને ન્યાયિક સુધારના પ્રસ્તાવને કામ ચલાઉ પાછો ખેંચી લઈને વિરોધીઓને આ વિવાદિત યોજના પર સમજૂતી કરવાનો સમય આપ્યો છે. વિરોધીઓ જો કે સમગ્ર પ્રસ્તાવને જ ખારીજ કરવા અડી ગયા છે.
લોકોમાં ગુસ્સો વધુ તો ત્યારે ફૂટી નીકળ્યો જ્યારે નેતન્યાહૂએ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં તેમના રક્ષા મંત્રીને ગયા સોમવારે બરખાસ્ત કરી દીધા હતા. હિંસક પ્રદર્શનો અને હડતાળના પગલે દેશનું જન-જીવન ખોરવાઈ ગયું, વિમાનો ઊભાં કરી દેવાં પડ્યાં, હોસ્પિટલોમાં સેવા બંધ થઇ ગઈ, મોલ અને બેંકોએ શટર પાડી દીધાં.
નેતન્યાહૂએ તત્કાળ તો દેશને ગૃહયુદ્ધમાંથી બચાવી લીધો છે, પરંતુ રાજકીય નિરીક્ષકો હજુ અવઢવમાં છે કે આવનારા દિવસોમાં શું થશે. તેઓ નવી કાનૂની સુધાર તો કરવા માટે મક્કમ જ છે કારણ કે તેનાથી તેમની પાસે અમર્યાદ સત્તા આવી જવાની છે. જાણકાર લોકોને શંકા છે કે વિરોધીઓ કેવી રીતે સમજૂતી કરશે.\
સરકારના ટીકાકારો કહે છે કે સૂચિત કાનૂન અને બદલાવથી દેશમાં લોકતંત્ર ખતમ થઇ જશે. નેતન્યાહૂની સરકાર આ સુધારાઓ મારફતે સુપ્રીમ કોર્ટની તાકાતને સીમિત કરવા માંગે છે. જજોની નિમણૂકમાં સરકારની દખલ વધવા ઉપરાંત ખાસ તો કોઈ કાનૂનને રદ્દ કરવાની કોર્ટની સત્તા ખતમ થઇ જશે. ટૂંકમાં, સંસદ કોર્ટ પર હાવી થઇ જશે.
સુધારાઓના બિલમાં એવી પણ જોગવાઈ છે કે વડા પ્રધાનને ભ્રષ્ટાચારના આરોપસર પદ પરથી હટાવી નહીં શકાય (નેતન્યાહૂ પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપ ઘણા વખતથી છે). બિલ પ્રમાણે, વડા પ્રધાન શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય તો જ પદ પરથી હટાવી શકાય. દેશના વિપક્ષી નેતાઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારો, સરકારી અને સેનાના નિવૃત્ત અફસરો કહે છે કે નેતન્યાહૂ કાનૂનના નામે પાછલા બારણેથી તાનાશાહી લાવી રહ્યા છે.

ઈઝરાયેલના જગપ્રસિદ્ધ લેખક અને પ્રોફેસર યુવલ નોઆ હરારી તો શબ્દો ચોર્યા વગર નેતન્યાહૂની હરકતને ‘કૂ’ એટલે કે તખ્તાપલટો કહે છે. તેલ અવિવના લોકપ્રિય સમાચાર ‘હારેત્ઝ’માં લખેલા એક ધારદાર લેખમાં તેઓ કહે છે કે ઈઝરાયેલી સરકાર જે કરી રહી છે તે ન્યાયિક સુધાર નથી, તે તખ્તાપલટો છે. લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સંસદમાં તેની બહુમતીના જોરે એક બિલ મારફતે કાનૂનોમાં ફેરફાર કરે તેને રાજ્ય વિરોધી વિદ્રોહ કહેવો એ આત્યાંતિક કે વિચાર્યા વગરનું વિધાન ન કહેવાય?
હરારીને ખબર છે કે તો શું લખી રહ્યા છે અને તેના સમર્થનમાં તર્ક પણ આપે છે. માનવજાતિના ઇતિહાસ પર ‘સેપિયન્સ’ નામનું વિક્રમી પુસ્તક લખનાર હરારી કહે છે કે ઇતિહાસમાં બે પ્રકારના તખ્તાપલટ થયા છે. પહેલા પ્રકારના તખ્તાપલટમાં નીચેથી, એટલે કે સૈન્યના સ્તરેથી વિદ્રોહ થાય. જેમ કે કોઈ કમજોર, ગરીબ અને ભ્રષ્ટ દેશમાં લશ્કરના જનરલને એક દિવસ એવો વિચાર આવે કે દેશ બરાબર ચાલતો નથી અને તેના માટે મારે કશુંક કરવું પડશે.
બીજા દિવસે, રાજધાનીની સડકો પર સેનાની ટેંકો ફરવા લાગે. સશસ્ત્ર દળોની એક ટુકડી સંસદને ઘેરી લે, બીજી એક ટુકડી વડા પ્રધાનના નિવાસ્થાન પર ધાવો બોલે અને તેમને હાથકડી પહેરાવી દે અને ત્રીજી ટુકડી દેશના ટી.વી. તેમ જ રેડિયો સ્ટેશન પર કબજો જમાવી દે, જ્યાંથી જનરલ દેશને નામ સંદેશમાં ઘોષણા કરે કે જનતાની ભલાઈ માટે મેં દેશની કમાન હાથમાં લીધી છે.
જેમ કે 1958, પાડોશી પાકિસ્તાનમાં 1958માં ફિરોઝ ખાન નૂનની સરકારને બરખાસ્ત કરીને આર્મી કમાન્ડર ઇન ચીફ જનરલ અયૂબ ખાને સત્તા હાથમાં લીધી હતી. વિદ્રોહની વાત આવે ત્યારે લોકો તેનો અર્થ એવો જ કરે છે કે નાકામ કે ભ્રષ્ટ સરકાર હોય તો દેશહિત માટે સેના અથવા રાજકીય દળ, સંપ્રદાય કે વિદ્રોહી જૂથ તેને ઉથલાવીને ગેરકાનૂની રીતે ખુરશીમાં બેસી જાય. દુનિયા આવા તખ્તાપલટથી પરિચિત છે.
હરારી કહે છે, બીજા પ્રકારનો તખ્તાપલટ પણ ઇતિહાસમાં એટલો જ સામાન્ય છે, પરંતુ એ ‘ઉપર’થી થાય છે એટલે લોકો તેને ઓળખી શકતા નથી. ‘ઉપરથી તખ્તાપલટ’ ત્યારે થાય જ્યારે બંધારણીય રીતે સત્તામાં આવેલી સરકાર તેને બાધ્ય કરે તેવાં કાનૂની નિયંત્રણો દૂર કરીને અમાપ સત્તાઓ હાંસલ કરી લે. ઇતિહાસમાં આ પ્રકારની યુક્તિ બહુ જૂની છે; પહેલાં કાનૂનના રસ્તે સત્તામાં આવવાનું અને પછી એ જ સત્તાનો ઉપયોગ કરીને એ કાનૂનને કમજોર કરી નાખવાના.
સ્પેનિશ ભાષામાં આના માટે એક શબ્દ પણ છે; ઓટોગોલ્પે. આપણી સુવિધા માટે તેને ‘સેલ્ફી-કૂ’ કહી શકાય; સરકાર અથવા સરકારમાં બેઠેલો માણસ જાતે જ કૂ કરે તે. આવો તખ્તાપલટ સમજમાં ના આવે. તેમાં ટેંકો સડકો પર ન ફરે, સંસદને કબજે કરવામાં ન આવે કે ટી.વી. સ્ટેશન પરથી વિધિસર ઘોષણા ન થાય. આવો તખ્તાપલટ બંધ બારણાઓ પાછળ થાય.
તેમાં એવા નિયમો અને કાનૂનો બનાવામાં આવે જેમાં સરકાર ઈચ્છા પ્રમાણે કરી શકે અને તેને પૂછવાવાળું / રોકવાવાળું કોઈ ન હોય. તેમાં કાનૂન અને પોલીસની મદદથી બંધારણીય સંસ્થાઓ અને સિવિલ સોસાઈટીનાં જૂથો પર ‘સ્ક્રૂ’ ટાઈટ કરવામાં આવે અને વિરોધીઓને દેશના દુ:શ્મન જાહેર કરવાને બદલે અલગ-અલગ ગુનાઓમાં અપરાધી ઘોષિત કરવામાં આવે અને તેમની બોલતી બંધ કરવામાં આવે અથવા જેલમાં નાખવામાં આવે. સરકાર તેને ‘કૂ’નું નામ ન આપે. સરકાર તેને ‘જનહિતમાં કાનૂની સુધાર’નું નામ આપે.
આવા ‘ઉપરથી થયેલા તખ્તાપલટ’નાં ઉદાહરણ રશિયાના પુતિનમાં, તુર્કીના રેચપ તય્યપ એર્ડોગનમાં, હંગેરીના વિકટર ઓર્બાનમાં વેનેઝુએલાના હ્યુગો ચાવેઝ / નિકોલસ માદુરોમાં છે. ઈઝરાયેલમાં જે થઇ રહ્યું છે તે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લોકોને કહે છે તેમ, સાચેસાચ દેશને વધુ મજબૂત બનાવવા માટેના સુધાર છે કે અઘોષિત ‘સેલ્ફી-કૂ’ છે?
હરારી તેનો તર્ક આપતાં લખે છે કે આ પ્રશ્નનો ઉત્તર એ પ્રતિપ્રશ્નમાં છે કે નવા સુધારમાં સરકાર પર નિયંત્રણો છે? સરકારો જ્યારે કાનૂન અને નૈતિકતાની સીમામાં રહીને સુધાર કરે ત્યારે તે તેને મળેલી સત્તા પરનાં ચેક્સ એન્ડ બેલેન્સીસનું સન્માન કરે જેથી ભવિષ્યમાં આવનારી બીજી કોઈ સરકારોના ગળે ધુંસરી મુકાયેલી રહે. સરકાર જો પોતાને તમામ કાનૂનો કે નિયંત્રણોની ઉપર મૂકી દે તો પછી તેને તખ્તાપલટ જ કહેવાય.
ધારો કે સરકાર કોઈ ચોક્કસ વર્ગ(ઈઝરાયેલના કિસ્સામાં આરબો)નો મતાધિકાર છીનવી લે, તો સરકારના એ કદમને રોકવા માટેની વ્યવસ્થા છે? ઈઝરાયેલમાં માત્ર સુપ્રીમ કોર્ટને જ એ સત્તા છે કે આરબ નાગરિકોના મતાધિકાર, કામદારોનો હડતાળ કરવાનો હક્ક કે સરકારની ટીકા કરવાની મીડિયાની છૂટની રક્ષા કરી છે અને સરકાર એ જ સત્તા ખારીજ કરવા માંગે છે.
એવી દલીલ થઇ શકે કે સરકાર પર અંકૂશ મુકવા માટે સંસદ છે ને, પરંતુ ઈઝરાયેલની સરકાર તો સંસદને એવી બનાવી દેવા માગે છે કે તે સરકાર ઈચ્છે તે કાનૂન બનાવી શકે (જેને સુપ્રીમ કોર્ટ પણ ખારીજ કરી ન શકે) અને વડા પ્રધાનને જ અમાપ સત્તાઓ આપે. આવી સંસદ, ગુજરાતીમાં કહેવત છે તેમ, ‘ભૂવો ધૂણે તો ય ગામ ભણી’ જેવી હોય.
આવા નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું હોય કે નવી વ્યવસ્થામાં તમે કાનૂન અને સત્તાનો દુરપયોગ કરશો તો કોણ રોકશે, ત્યારે તેમનો એક બહુ જાણીતો જવાબ હોય છે; અમારામાં વિશ્વાસ રાખો, અમે જનહિતમાં કામ કરીએ છીએ. સેનાના જનરલોએ પણ જ્યારે ટેંકો પર સવાર થઈને રાજધાનીમાં સત્તા હાંસલ કરી છે ત્યારે તેમણે પણ એવી જ બાંયધરી આપી હતી; મારામાં વિશ્વાસ રાખજો, હું તમારી અને તમારા હિતોની રક્ષા કરીશ.
ટેંક પર સવાર જનરલ હોય કે ચૂંટણીના વિજયરથમાં નેતા હોય, જનતા જ્યારે ન્યાયતંત્ર જેવા ઇન્સ્ટિટ્યૂટશનને બદલે નેતાઓના ‘શુભ ઈરાદાઓ’ પર આધાર રાખતી થઇ જાય ત્યારે તેને તાનાશાહી જ કહેવાય એમ હરારી કહે છે. એ દૃષ્ટિએ બેન્જામિન નેતન્યાહૂએ ‘લોકતાંત્રિક તાનાશાહ’નું રૂપ અખત્યાર કર્યું છે. આગમી દિવસોમાં એ કેવી રીતે આગળ વધે છે તેના પર તેમનું અને ઈઝરાયેલનું ભવિષ્ય ટકેલું છે.
લાસ્ટ લાઈન :
“સાચા લોકતંત્રને કેન્દ્રમાં વીસ લોકો બેસીને ચલાવી ન શકે. તેણે નીચેથી કામ કરવું જોઈએ, લોકતંત્રનું સંચાલન ગામડે-ગામડે લોકો દ્વારા થવું જોઈએ.”
— મહાત્મા ગાંધી
![]()

રવીન્દ્ર પારેખ
‘સંકલ્પ’નું 25 માર્ચ, 2023નું એક બિલ અત્યારે ચર્ચામાં છે. કોઈકે ‘સંકલ્પ’, ગરુડેશ્વરમાંથી અન્ય ખાદ્યસામગ્રીની સાથે છાશ મંગાવી તો 6 ગ્લાસ છાશનું બિલ 1,200 રૂપિયા આવ્યું ને તેનાં પર 18 ટકા લેખે જી.એસ.ટી. ચોંટયો તે નફામાં ! મતલબ કે એક ગ્લાસ 236 રૂપિયાનો પડ્યો. એ પછી પણ 236 રૂપિયાના ઘણા ગ્લાસ પીવાઈ ગયા હશે ને કોઈનો કાંગરો ય નહીં ખર્યો હોય એમ બને. જતે દિવસે દૂરથી છાશ બતાવવાના 10 રૂપિયા ને સૂંઘવાના 15 રૂપિયા લેવાય તો પણ ઘણાં તે સૂંઘી આવે એ શક્ય છે. એનું જોઈને દૂધ ડેરીઓ છાશની કોથળી મોંઘી કરે એમ પણ બને, એ તો થાય ત્યારે, પણ એપ્રિલ બેસતાં જ અમૂલ ડેરીએ ગુજરાતમાં દૂધનો ભાવ લિટરે બે રૂપિયા વધારી દીધો છે. છ મહિનામાં આ બીજો વધારો છે ને આ એપ્રિલફૂલ નથી એટલે હસવા જતાં ‘ખસી જાય’ તો નવાઈ નહીં ! ટૂંકમાં, ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરીએ તમામ પ્રકારના દૂધ પર લિટરે બે રૂપિયા વધારી દીધા છે. તેની ખૂબી એ છે કે તે ભાવ વધારો રાતોરાત અમલમાં આવે એ રીતે કરે છે ને હુકમનો અમલ થાય જ એની પૂરતી કાળજી લે છે.
આમ તો ગાય-ભેંશ દૂધ, અમૂલના દૂધના પ્રકાર પ્રમાણે નથી આપતી, તે તો એક જ પ્રકારનું દૂધ આપે છે, પણ તેનું પ્રોસેસિંગ દૂધના પ્રકારો ને ભાવ, નફાને ધોરણે જુદા જુદા પાડી આપે છે. હવેથી અમૂલ ગોલ્ડ 64, અમૂલ શક્તિ 58, અમૂલ તાઝા 52ના ભાવે પ્રતિ લિટરે વેચાશે. અમૂલની ખૂબી એ છે કે તે ભાવ વધારા માટેનો આદર્શ પૂરો પાડે છે. તેનું જોઈને દૂધના ફેરિયાઓ પણ દૂધનો ભાવ વધારી દે છે. ફેબ્રુઆરી, 2023માં પણ અમૂલે ગુજરાત સિવાયનાં રાજ્યોમાં લિટરે 3 રૂપિયા ભાવ વધારેલો, તે ગુજરાતમમાં બાકી હતો એટલે તે વધારીને બધું સરભર કરાઇ રહ્યું છે. અમૂલે એટલું કર્યું છે કે પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ભાવ વધારવાનાં કારણોમાં એ જ જૂનાં કારણો, પશુ આહારમાં ભાવ વધારો, ઇંધણમાં ભાવ વધારો, ઉત્પાદનખર્ચમાં વધારો … વગેરે વગેરે અપાયાં છે ને એમ જ રાબેતા મુજબ ઘરનું બજેટ ખોરવાવાની વાત પણ મીડિયા દ્વારા કરાઈ છે, જેમાં જીવદયા ઓછી ને મશ્કરી વધારે છે. ગૃહિણીનું બજેટ તો ખોરવાવા જ હોય છે. તે જરા બજેટ ગોઠવવા કરે છે કે દૂધ, શાકભાજી, દવા જેવામાં ભાવ વધતાં પથારી ફરી જાય છે.
એપ્રિલથી જ જીવન જરૂરી દવાઓના ભાવ 12 ટકા વધવાની વાત પણ હતી, જેમાં આ વધારો પણ બીજા વર્ષે 10 ટકાથી વધુ થવાની શક્યતા હતી. 2022 સુધી દવામાં ભાવ વધારો બે ટકાથી વધુનો ન હતો, પણ હવે 12 ટકા સુધીનો દવામાં ભાવ વધારો ઝીંકવાની વાત હતી, પણ કેન્દ્ર સરકારે દવાઓ પરનો ભાવ વધારો પાછો ખેંચ્યો છે ને પ્રજા પર મહેરબાની કરી છે. સરકારનું આ પગલું 100 ટકા સરાહનીય છે. તેણે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021 અંતર્ગત આયાતી દવાઓ અને વિશેષ ખોરાક પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી છે એટલે દવાના ભાવ હાલ તુરત તો વધવાથી રહ્યા છે.
દૂધ ને દવાની જરૂર નાનાંથી માંડીને મોટાં સુધીનાં સૌને હોય છે. મોટેભાગની પ્રજા એવી અબૂધ છે કે તે માને છે કે બજેટ તો ભાવ વધારવા માટે જ આવે છે. એટલે કે ભાવ તો બજેટમાં જ વધે. પણ, ભાવ વધારો બારમાસી છે તે હવે લગભગ બધાં જાણી ચૂક્યાં છે. ભાવ વધારાથી લોકો અળસિયાંની જેમ જરા તરા હાલીને રહી જાય છે ને ફરી કામે વળગે છે. આ ભાવ વધારો કોઈ બીજા માટે જ હોય તેમ તે સાવ નિર્લેપ રહે છે. એક બાજુ સરકારની જી.એસ.ટી.માં લાખો કરોડોની કમાણી થયાની જાહેરાત થતી રહે છે ને લોકો પણ પોતાનામાંથી સરકાર કેવી રીતે લાખો કરોડો કઢાવી લે છે એ વાતે પોરસાય છે ને બીજી તરફ સાધારણ લોકોની કમાણી એટલી ટાંચી પડે છે કે તે આપઘાત કે છેતરપિંડી તરફ વળે છે. મોંઘવારીમાં ન પહોંચી વળતાં લોકો પેટિયું રળવા ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યાં છે તે નોંધવું ઘટે. અલબત્ત ! તેનો બચાવ ન હોય, ગુનો એ ગુનો છે ને તેનો ન્યાય કાયદો કરે એ અનિવાર્ય છે.
પણ, જે રીતે થોડે થોડે વખતે દૂધ, શાકભાજી, દવા, અનાજ, કઠોળ વગેરેના ભાવ વધે છે, તે કુદરતી નથી. તે વધુને વધુ કમાણી કરવાની ગણતરીથી વધે છે. લીંબુનાં ભાવ કિલોએ 150 આસપાસ ઉનાળાની શરૂઆતમાં જ પહોંચે એ કોઈ રીતે ઇચ્છનીય નથી, પણ ભાવ વધે છે ને બસ ! વધે જ છે. કોઈ પણ સમયે માવઠું થઈ શકે છે. એને લીધે ફળો, શાકભાજીની આવક ઘટે છે ને ભાવ વધે છે. જો કે, ભાવ વધવા માટે કારણોની જરૂર પડતી નથી. લોકોની લાચારી ભાવ વધારાનું મુખ્ય કારણ છે. લોકો ચલાવી લે છે એનો વેપારીઓ, કંપનીઓ લાભ લે છે. પ્રજા તરીકે આપણે એટલાં નિર્માલ્ય છીએ કે આપણું ખૂન કરવા છરી પણ આપણે જ આપીએ છીએ. વરસાદ, ઉત્પાદન ખર્ચ, ઇંધણમાં વધારો … વગેરે પ્રજા કરતી નથી. આટલી મોંઘવારીમાં ટેક્સનો એક રૂપિયો સરકાર ઓછો કરતી નથી ને બીજી તરફ દૂધનો ભાવ વધારો ખમે છે પ્રજા. શા માટે પ્રજાએ ભાવ વધારો ખમી ખાવો જોઈએ? એને કૈં નડતું જ ન હોય એમ એ બધા પ્રકારનો ભાવ વધારો વેઠી લે છે. આ કાયરતા ભાવ વધવાનું નિમિત્ત પૂરું પાડે છે. થોડો વખત દૂધ લેવાનું બંધ થાય તો એ દૂધ ક્યાં સુધી ડેરીઓ પોતાની પાસે રાખી મૂકવાની છે? તેને પણ દૂધ વેચવાની ગરજ તો હશે ને !વધારે નહીં, એક અઠવાડિયું દૂધનો બહિષ્કાર થાય તો ભાવ વધે એમ લાગે છે? પણ, આપણે હરામની કમાણી કરતાં હોઈએ તેમ આ ભાવ વધારો આપણને કોઈ અસર કરતો જ ન હોય તેમ ચુમાઈને બેસી રહીએ છીએ ને એનો લાભ ડેરીઓ ને બીજા વેપારીઓ ઉઠાવતા હોય છે. દૂધમાં બેફામ નફો ડેરીઓ કરે જ છે. એક પણ ડેરી બંધ નથી થઈ એ જ બતાવે છે કે કોઈ પણ સહકારી કંપનીઓ કમાય છે ને ધૂમ કમાય છે.
વધારે સાચું તો એ છે કે વચેટિયાઓએ આ દેશમાં મોંઘવારી વધારવાની સાર્વજનિક મહેનત કરી છે. ખેડૂતને કોબીનો ખર્ચ ન નીકળતો હોય ને તે માર્કેટ સુધી પહોંચાડવામાં ખોટ ખાતો હોય તો તે, પોતાને લીધે? તે જવાબદાર નથી. તેને ભાવ ન આપતી માર્કેટો તેને માટે જવાબદાર છે. કાંદાનો ભાવ ખેડૂતને કિલોનો રૂપિયો મળતો હોય ને ગ્રાહકને તે બાર રૂપિયામાં વેચાતા હોય, તો અગિયાર રૂપિયા કોણ ખાય છે? જ્યાં પણ આવું થતું હોય ત્યાં સરકારે માથું મારીને નફાનો વાજબી માર્જિન નક્કી કરવો જોઈએ. ગ્રાહકને મોંઘું પડે ને ખેડૂતને પડતર કિંમત પણ ન મળે એ વચેટિયા સંસ્કૃતિનું વરવું ઉદાહરણ છે.
કેટલીક વસ્તુઓ માણસનું સ્ટેટસ મોંઘી થવા દે છે. કોઈ નેતા કે અભિનેતા લારી પર 100 રૂપિયાનાં ભજિયાં ન ખાય. એ જ ભજિયાં સારી કોઈ હોટેલમાં હજાર રૂપિયાને હિસાબે મળે તો તે તેની હોજરીને પોષાય. પણ, લારીવાળો એમ જ 100નાં ભજિયાંનાં હજાર પડાવે તો ચામડીની ચટણી થતી હોવાનું લાગે. અત્યારે એવું કશુંક ચાલી રહ્યું હોય એમ લાગે છે. દિલ્હીની ‘પુલમેન’ હોટેલમાં 750 રૂપિયાની ચાર પાણીપુરી મળે છે. આ ભાવ પાંચેક વર્ષ પહેલાંનો છે. અત્યારે એનો ભાવ કેટલો હશે તે નથી ખબર, પણ એનો પ્રચાર કરનારા એવી રીતે કહેતાં હોય છે કે ભાવ 750 રૂપિયા નહીં, પણ સાડાસાત જ હોય. ઘણાં એવા છે જે 350ની એક કપ કોફી શહેરમાં પી આવતાં હોય છે ને રાજી પણ રહેતાં હોય છે, પણ તે રોજ એમ પીવા બેસે તો વાળ ઊતરી જાય. કોઈ વાર મધ્યમવર્ગનાં લોકો એમ પણ આનંદ માણતાં હોય છે, તો ભલે. એ સિવાય રાજી રહેવા જેવું એમની પાસે બહુ હોતું નથી.
દેખાવ ખાતર, કોઈને બતાવવા આપણે ઘણું કરીએ છીએ. કેટલાંકને તો ભાવ શું ચાલે છે એની જ ચિંતા હોતી નથી. એની પાસે હરામની કમાણી એટલી છે કે દૂધ લાખ રૂપિયે લિટર થાય તો પણ તેને વાંધો ન આવે, કારણ દેશની 90 ટકા સંપત્તિ એવાં લોકો પાસે છે ને બાકીનાં 90 ટકા લોકો પાસે દેશની 10 ટકા સંપત્તિ છે ને જે સહન કરે છે તે એવાં 90 ટકા લોકો છે. એ લોકો પણ ચૂપ જ રહેવાનાં હોય તો બીજા 10 ટકા તો બોલવાના જ નથી.
100 ટકા મૂંગી પ્રજા લોકશાહીને ખતમ કરે છે ને સરમુખત્યારીને જન્મ આપે છે એ કદી ભૂલવા જેવું નથી –
000
![]()

