Opinion Magazine
Number of visits: 9667531
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૬)

સુમન શાહ|Opinion - Literature|13 May 2023

કવિઓના પ્રકાર –

કાવ્યશાસ્ત્રમાં, કવિઓના ત્રણ પ્રકાર વર્ણવાયા છે :

શાસ્ત્ર-કવિ. કાવ્ય-કવિ. શાસ્ત્ર અને કાવ્ય બન્નેમાં પ્રવીણ, ઉભય-કવિ.

સુમન શાહ

શ્યામદેવ જણાવે છે કે એ ત્રણમાં ઉત્તરોત્તર કવિ, શ્રેષ્ઠ છે. એટલે કે, શાસ્ત્ર-કવિથી કાવ્ય-કવિ અને કાવ્ય-કવિથી ઉભય-કવિ ચડિયાતો છે.

પણ વાસ્તવને ઓળખનારા રાજશેખર કહે છે – ના ના, પોતપોતાના વિષયમાં બધા શ્રેષ્ઠ છે. તેઓ સરસ કહે છે કે – રાજહંસ ચન્દ્રિકાપાન નથી કરી શકતો અને ચકોર નીરક્ષીર-વિવેકમાં સમર્થ નથી. એટલે કે, પોતપોતાના વિષયમાં બન્ને શ્રેષ્ઠ કલાવિદ છે.

તદનુસાર, શાસ્ત્ર-કવિ શાસ્ત્રીય ગમ્ભીરતાને કારણે રસ, ધ્વનિ આદિ દ્વારા કાવ્યમાં રસ-સમ્પદાની શોભા વધારતો હોય છે. તેવી રીતે, કાવ્ય-કવિ તર્કકર્કશ શાસ્ત્રીય જટિલ વિષયોને પોતાની સુકુમાર કલાકૃતિથી સરસ અને સુન્દર બનાવી શકતો હોય છે. ઉભય-કવિ બન્ને વિષયોમાં સિદ્ધહસ્ત હોવાને કારણે વાસ્તવમાં બન્નેમાં શ્રેષ્ઠ નીવડતો હોય છે.

રાજશેખર એક નૉંધપાત્ર સત્ય ઉચ્ચારે છે. કહે છે – અમે માનીએ છીએ કે કાવ્ય અને શાસ્ત્રનો ઉપકાર્ય-ઉપકારક ભાવ છે; શાસ્ત્ર દ્વારા કાવ્યને ઉપકાર થાય છે અને કાવ્ય દ્વારા શાસ્ત્રને. કવિ જો શાસ્ત્રોનો પણ વિદ્વાન હોય તો એની રચના અધિક ગમ્ભીર, સરસ અને ઉચ્ચ કોટિની નીવડી આવે છે. કેવળ શાસ્ત્ર જાણનારો વિદ્વાન કવિતાનો વિરોધી હોય છે, એ જો કવિતા કરે, તો અરોચક અને નીરસ નીવડતી હોય છે. જ્યારે, કાવ્યનું જ્ઞાન શાસ્ત્રીય વાક્યોના પોષણમાં સરળતાથી સહાયક નીવડે છે. પરન્તુ, કેવળ કાવ્યજ્ઞાનમાં શાસ્ત્રીય ગામ્ભીર્યનો અભાવ રહેતો હોય છે.

અહીં રાજશેખર સઘળા કવિ-ભેદ સાચવે છે છતાં તરત સમતા ભણી વળી જાય છે. આમે ય મને તેઓ પ્લુરાલિસ્ટ વરતાયા છે. મેં જ્યારે જોયેલું કે એમણે શાસ્ત્ર-કવિ અને કાવ્ય-કવિના પેટા પ્રકારો પણ દર્શાવ્યા છે, ત્યારે મને મારું આ મન્તવ્ય દૃઢ થતું લાગેલું.

કાવ્ય-કવિના પ્રકાર જોઈએ. એમણે ૮ પ્રકાર દર્શાવ્યા છે, તે આ પ્રમાણે છે :

૧ : રચના-કવિ

આ કવિ કેવળ શબ્દોની રચનાછટા દાખવતો હોય છે. એની કૃતિ પઠન-શ્રવણમાં સુન્દર પ્રતીત થાય છે પણ અર્થ બાબતે એમાં ગમ્ભીરતા નથી હોતી.

૨ : શબ્દ-કવિ

એમાં એક છે, નામ-કવિ

એ નામવાચક સુબન્ત (નામાદિ) શબ્દો બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – જેમ પુરુષ માટે વિદ્યા, રાજા માટે મહિમા, વૈદ્ય માટે પ્રજ્ઞા, ભવિષ્યદર્શી માટે બુદ્ધિ, સજ્જન માટે દયા,  વગેરે વગેરે …

અહીં અનેક નામો – સુબન્ત શબ્દો – એકનીએક ક્રિયા સાથે જોડાયા છે, એટલે એના રચનાકારને નામ-કવિ કહેવો જોઈશે.

એમાં બીજો છે, આખ્યાત-કવિ 

એ આખ્યાત પદ બહુ વાપરતો હોય છે.

ઉદાહરણ – સમુદ્રમાંથી અમૃતમન્થન પ્રસંગે, ગુરુએ – બૃહસ્પતિએ – કરેલી અમૃતમન્થનની ઘોષણા સાંભળીને દેવતાગણ અટ્ટહાસ્ય કરતા’તા, પ્રસન્ન થતા’તા, ગર્જના કરતા’તા, ફરકતી ભુજાઓનો પરસ્પર આઘાત કરતા’તા, સ્તુતિ કરતા’તા, પ્રમુદિત થતા’તા.

અહીં નામ-પદ તો એક-બે જ છે, બાકી બધાં આખ્યાત અથવા ક્રિયાપદ છે.

૩ : નામાખ્યાત-કવિ

આ કવિ નામ અને ક્રિયાપદ બન્નેનાં મિશ્રણ કરતો હોય છે.

૪ : અર્થ-કવિ

ઉદાહરણ – કુમાર કાર્તિકેયના જન્મમહોત્સવ પ્રસંગે, હાથ ઊંચા કરીને એક બાજુએથી ભૃંગિરિટ ગણ આવી રહેલો ને બૂમો પાડીને કહેતો’તો – હે ગણો ! બેસી શું રહ્યા છો, દેવીએ (પાર્વતીએ) પુત્ર પ્રસવ્યો છે, ગાવ અને નાચો. એવી જ રીતે, બીજી બાજુએથી ચામુણ્ડા આવી રહેલી; બધાં પરસ્પર મળીને આલિંગન કરતાં કરતાં નાચવા લાગેલાં. એમનાં ગળામાં લટકતી પુરાણાં સૂકાં હાડકાંની માળાઓ પરસ્પર અથડાઈ એટલે એનો એવો તો ભયંકર ધ્વનિ થયો કે દેવતાઓનો દુન્દુભિ ધ્વનિ તો ક્યાં ય દબાઈ ગયો.

અહીં કવિએ શબ્દરચના તો કરી જ છે પણ અપેક્ષા એ રાખી છે કે પ્રધાનપણે અર્થ ચમત્કારી બની આવે.

૫ : અલંકાર-કવિ

એમાં એક છે, શબ્દાલંકાર-કવિ

ઉદાહરણ – ખેદ છે કે મેં મારાં પાપકર્મોને લીધે વિષમ રણ પ્રાપ્ત ન કર્યુ ને વિષ-મરણ પ્રાપ્ત કર્યું. હું મન્દભાગી ભાગીરથીમાં ન મરીને સાધારણ એવી રથ્યામાં – ગલીમાં – દુર્ગતિ પામીને મર્યો.

અહીં, વિષમ-રણ અને વિષ-મરણ, ભાગીરથ્યામ્ અને મન્દભાગી રથ્યામ્ -માં પાદમધ્યયમક શબ્દાલંકાર છે.

એમાં બીજો છે, અર્થાલંકાર-કવિ.

ઉદાહરણ -ફરફરતી જિહ્વારૂપી પતાકાવાળા અને ફણારૂપી છત્ર ધારણ કરનારા સર્પરાજ વાસુકીની દાંતરૂપી શલાકાઓનો ભંગ કરવા માટે મારી ભુજાઓ સમર્થ છે.

અહીં, જિહ્વા-પતાકા, ફણચ્છત્ર, દંષ્ટ્રા-શલાકા વગેરેમાં રૂપક અલંકારની પ્રધાનતા પ્રતીત થાય છે.

૬ : ઉક્તિ-કવિ

ઉદાહરણ – યૌવન ! આ સુનયના રમણીમાં તું રમણીય ક્રીડાઓ કરી રહ્યું છે. એની સુન્દર પાતળી કમર કોઈના શ્વાસથી ભંગ થવા યોગ્ય છે, સ્તનોની વિશાળતા સુન્દર ભુજલતાઓ જોડે આલિંગન કરી રહી છે, અને એનું મુખચન્દ્ર આંખોની નલિકાથી પાન કરવાને યોગ્ય આકર્ષક થઈ ગયું છે.

અહીં યૌવનના આરમ્ભનું વર્ણન છે. કવિએ શ્વાસભંગ માટે યોગ્ય કટિ, સ્તનોની વિશાળતાને આલિંગન, અને મુખચન્દ્રનું નેત્રનલિકાથી પાન, વગેરે ઉક્તિઓમાં વિશેષતા દાખવી છે.

૭ : રસ-કવિ

ઉદાહરણ – મોટે ભાગે લોકોમાં જાણીતું છે કે પ્રસિદ્ધ તામ્રવર્ણી નદી સમુદ્ર સાથે સંગમ કરે છે, ત્યાં ઉચ્ચ કોટિનાં મોતી ઘણાં ઉત્પન્ન થાય છે. કાલિદાસે પણ એની ચર્ચા કરી છે. કવિ વર્ણન કરે છે : હે કૃશોદરિ ! સમુદ્રમાં ભળી જતી આ નદીને જો, છિપોનાં સમ્પુટથી નીકળેલા એના જલકણ સુન્દરીઓના વિશાળ સ્તન-તટો પર મોતીના હાર રૂપે શોભે છે.

અહીં, કવિ સમ્ભોગ શ્રૃંગારરસ પૂર્ણ કરવામાં સફળ રહ્યો છે.

૮ : માર્ગ-કવિ

ઉદાહરણ – પૂર્વકાળે શિવજીની નેત્રજ્વાળાથી કામદેવ બળી રહ્યો’તો, ત્યારે એના પ્રિય મિત્ર ગ્રીષ્મે એને દાહશમનની ઔષધિઓ પ્રદાન કરેલી, જેથી એનો તાપ શાન્ત થઈ શકે – જેમ સુગન્ધબાલાની ગન્ધથી – માલતીની છાલથી – ચન્દન વૃક્ષોના સારથી – અશોકનાં લીલાં સરસ પલ્લવથી – શિરીષનાં પુષ્પથી અને પક્વ કેળાંથી થઈ શકે છે. તાત્પર્ય એ છે કે આ બધાં સાધન ગ્રીષ્મકાળે શીતળ, એટલે કે કામક્રીડા-નાં જીવન હોય છે. 

અહીં, કવિએ મૂળથી માંડીને ફળ સુધીની ઔષધિઓનો વર્ણનક્રમ આકર્ષક રીતે તેમ જ વૈદર્ભી રીતિ અથવા માર્ગ અનુસાર સાચવી બતાવ્યો છે.

રાજશેખરે કવિઓની દસ અવસ્થા પણ દર્શાવી છે. ક્રમશ: જોઈએ :

૧ :

કવિત્વપ્રાપ્તિની ઇચ્છાથી કાવ્ય અને તદંગભૂત અલંકાર છન્દ કલા આદિ વિદ્યાઓના જ્ઞાન માટે ગુરુકુળમાં જાય, એ જન કાવ્યવિદ્યાસ્નાતક છે.

૨ :

મનમાં ને મનમાં કાવ્યરચના કરે છે પણ સંકોચવશ, અથવા દોષ નીકળશે એવા ડરને કારણે, કોઈને સંભળાવે નહીં, મનમાં જ રાખે, એ જન હૃદયકવિ છે.

૩ :

પોતાની રચનાની વિપરીત આલોચના થશે એવા ભયથી, એ રચના બીજાની છે, એમ કહીને પઠન કરે, એ જન અન્યાપદેશી કવિ છે.

૪ :

કંઈક રચના કરવા લાગ્યો હોય પણ પુરાતન કવિઓમાંથી કોઈ એકને પોતાનો આદર્શ માનીને એની છાયામાં કાવ્ય રચ્યા કરતો હોય, એ જન સેવિતા કવિ છે.

૫ :

જુદા જુદા વિષયો લઈને ફૂટકળ રચનાઓ કર્યા કરે, કોઈ એક નિબન્ધન પર જાય નહીં, એ જન ઘટમાન કવિ છે.

૬ :

એક સમ્પૂર્ણ નિબન્ધ-કાવ્યનું નિર્માણ કરે, એ જન મહાકવિ છે.

૭ :

જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી પ્રબન્ધ-રચનાઓ અને ભિન્ન ભિન્ન રસમાં સ્વતન્ત્રતાપૂર્વક નિર્બાધ કાવ્યનિર્માણ કરવામાં સમર્થ હોય, એ જન કવિરાજ છે. સંસારમાં કવિરાજ ગણ્યાગાંઠ્યા હોય છે.

૮ :

મન્ત્ર વગેરેનાં ઉપદેશ અને અનુષ્ઠાનથી કાવ્યસિદ્ધિ પ્રાપ્ત કરે, એ જન આવેશિક કવિ છે.

૯ :

પોતે જ્યારે ઇચ્છે ત્યારે ધારાપ્રવાહથી કોઈપણ વિષય પર કાવ્યરચના કરી પાડે, એ અવચ્છેદી કવિ છે.

૧૦ :

અવિવાહિત કન્યાઓ કે કુમારો પર મન્ત્રશક્તિ દ્વારા સરસ્વતીનો સંચાર કરે, એમની પાસે કાવ્યો કરાવે, એ જન સંક્રામયિતા કવિ છે.

બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ —

કોઈને લાગે કે આ જાતના પ્રકારભેદ અને તેનાં આટલાં બધાં વર્ગીકરણથી, ટૅક્સોનૉમિથી, શો લાભ? યાદ કરો, કેળવણીપરક અમેરિકન મનોવિજ્ઞાની બૅન્જામિન સૅમ્યુઅલ બ્લૂમે રચેલી ટૅક્સોનૉમિ, કેળવણીક્ષેત્રે કેટલી લોકપ્રિય થયેલી.

આ કવિભેદનિરૂપણ અને તેનાં વર્ગીકરણથી સીધી કે આડકતરી રીતે કાવ્યવિદ્યા અને કાવ્યપરમ્પરા જેવાં અતિ આવશ્યક વાનાંનો મહિમા સૂચવાય છે. લાભ એ કે એ મહિમા આત્મસાત્ થાય તો કાવ્યકલાજ્ઞાન મળે, પ્રેરણા અને શીખ પણ મળે; કાવ્યદોષથી બચી શકાય, કાવ્યગુણની સૂઝબૂઝનો વિકાસ થાય. કલા અને અકલા વચ્ચેનો મૂળ ફર્ક શું છે તે સમજાય.

આ સઘળા કવિભેદ કવિઓની ભિન્ન ભિન્ન વર્તણૂકોનો પણ પરિચય આપે છે. એ વર્તણૂકો સાર્વત્રિક અને સર્વકાલીન છે, કોઈપણ ભાષાસાહિત્યના કવિઓમાં, સર્જકોમાં, જોવા મળે છે.

આપણે ત્યાં ક્યાં નથી એવી બધી વર્તણૂકો …

(હવે પછી, કુન્તક — )

= = =

(05/12/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી?

રમેશ સવાણી|Opinion - Opinion|12 May 2023

આપણા વડા પ્રધાન ત્રણ નેતાઓની લાંબી લીટી ભૂંસી, પોતાની ટૂંકી લીટી લાંબી દેખાડવાની સતત કોશિશ કરે છે. નકલ કરે છે, પણ મેળ પડતો નથી !

[Illustration courtesy : The Print]

પ્રથમ છે, જવાહરલાલ નેહરુ. તેમની આંતરરાષ્ટ્રીય છબિને નાની કરવા વડા પ્રધાને અનેક દેશોની યાત્રા કરી. પરંતુ એ સમજી શક્યા નહીં કે નેહરુ વિદેશમાં જઈને ‘અબ કી બાર ટ્રમ્પ’ જેવી મૂર્ખતા કરતા ન હતા ! નેહરુ કોર્પોરેટ મિત્રોને ઠેકો મળે તે માટે વિદેશ યાત્રા કરતા ન હતા ! નેહરુ ભારત નિર્માણ માટે લાગેલા હતા. નેહરુ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. વડા પ્રધાન તો વૈજ્ઞાનિક અભિગમને સાવ ફાલતું સમજે છે ! વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાદળાં છે અને તેમાં આપણું ફાઈટર વિમાન રડારમાં દેખાશે નહીં, એટલે એટેક કરવાનો મોકો છે !’ વડા પ્રધાને 5 મે 2023ના રોજ, કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું કે “કાઁગ્રેસ સતામાં આવશે તો બજરંગ બલિ હનુમાનની પૂજા કરતા બજરંગદળ પર પ્રતિબંધ મૂકશે !” આમાં કોઈ તર્ક ખરો? 1984માં બનેલા બજરંગ દળની સરખામણી, સદીઓથી પૂજાતા બજરંગ બલિ સાથે કરી શકાય? વડા પ્રધાનને ગણેશજીમાં કોસ્મેટિક સર્જરી દેખાય છે ! બંધારણનાં આર્ટિકલ- 51A (h) મુજબ “દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ, જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવે.” નેહરુમાં આ ભાવના હતી, વડા પ્રધાનમાં તો બધું વિપરીત જોવા મળે છે ! નેહરુ આધુનિકતાવાદી હતા; જ્યારે વડા પ્રધાન revivalist-પુનરુત્થાનવાદી છે. નેહરુ Harmony-સંવાદિતાના માસ્ટર હતા; જ્યારે વડા પ્રધાન Polarisation-ધ્રુવીકરણના માસ્ટર છે ! એટલે નેહરુને આંબી શકવાની કોઈ શક્યતા જ નથી. નફરત ફેલાવવી સહેલી છે, સમજણ રોપવાનું કામ અઘરું છે. અઘરું કામ નેહરુએ કર્યું હતું.

બીજા છે, ઇન્દિરા ગાંધી. બાંગ્લાદેશ દેશ યુદ્ધને ભૂંસી નાખવા વડા પ્રધાને સર્જીકલ સ્ટ્રાઈક કરી ! પરંતુ ઇન્દિરાજી જેવી ઈમેજ બનાવી ન શક્યા !

ત્રીજા છે, ગાંધીજી. ગાંધીજીની સાદગી કરતાં પોતાની ફકીરી મહાન છે, તેવું દેખાડવાની કોશિશ કરી. સંન્યાસી બની હિમાલય જઈ તપસ્યા કરવાની વાત કરી ! પણ વચ્ચે 10 લાખનો સૂટ આવી ગયો ! કોર્પોરેટ મિત્રો તથા કોર્પોરેટ ધર્મ ધર્મગુરુઓ વચ્ચે આવીને ફકીરી છીનવી ગયા !

ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજી પ્રેસથી ડરતા ન હતાં; પણ આપણા વડા પ્રધાન પ્રેસથી ફફડે છે, તેથી દરબારી-ગોદી મીડિયાની હજારો કોશિશ છતાં; રોજે કરોડો રુપિયા ખર્ચ કરવા છતાં; વડા પ્રધાનની છબિ મોટી બનતી નથી ! મહાન કાર્યો કરવાથી મહાન છબિ બનતી હોય છે; નફરત ફેલાવવાથી છબિ ક્યારે ય મોટી બની શકે નહીં !

શું ગાંધીજી / નેહરુ / ઇન્દિરાજીએ ક્યારે ય નફરત ફેલાવી હતી? 

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાજપ્રવર્તક નૃત્યના તાલબંધમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|12 May 2023

પ્રકાશ ન. શાહ

હમણાં ભાવનગરમાં દર્શક એવૉર્ડ સમારોહમાં સહભાગી થવાનું બન્યું ત્યારે આપણા અનુત્તમ વિદ્યાવ્યાસંગી લાભુદાદા (લાભશંકર પુરોહિત) સાથેના અનૌપચારિક વાર્તાવિનોદમાં એક મજાનો મુદ્દો સામે આવ્યો. એમણે વર્ષો પર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે ત્રણ વ્યાખ્યાનો લોકભારતીમાં દર્શકની ઉપસ્થિતિમાં આપેલાં અને આ નવલકથા પોતાની દૃષ્ટિએ શી વાતે ક્લાસિક છે તે સ્ફુટ કરવાની કોશિશ કીધી હતી. આ વ્યાખ્યાનો એમની પાસે ટાંચણરૂપે સચવાયાં હશે, પણ લખાયાં નથી. અનુકૂળતાએ તે ગુજરાતવગાં બને તો એ સૌ સહૃદયો સારુ રૂડી લબ્ધિ લેખાશે.

લાભશંકર પુરોહિત

પણ હમણાં તો મેં એની જિકર કરી તે લાભુદાદાના એક વિશેષ અવલોકનને મિશે, કે ત્રણ ભાગના લખાવા વચ્ચે જે લાંબો સમયગાળો વીત્યો છે એનોયે સંદર્ભ સમજવો જોઈશે. આ યુગસંદર્ભ કહો, કાળસંદર્ભ કહો તે ચોક્કસ જ મહત્ત્વની બીના

છે. ‘સંસ્કૃતિ’ વિધિવત્ સંકેલવાનું બન્યું ત્યારે ઉમાશંકરે કહ્યું જ હતું ને કે આ સામયિક શરૂ કરેલું તે સમય સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવા વાસ્તે.

ગમે તેમ પણ, શિશુવિહાર પરિસરમાં હતા અને જેમ લાભુદાદાના તેમ એનાયે પોંખણાનો અવસર હતો એટલે શિશુવિહારના સ્થાપક માનદાદા(માનભાઈ ભટ્ટ)નુંયે સ્મરણ થવું સ્વાભાવિક હતું. ભાવનગર રાજ્યની વિધિવત્ સોંપણી ભારત સરકારને થઈ ત્યારે સમારોહની વ્યવસ્થા ગોદી કામદારોના આનંદ મંગળ મંડળે સંભાળી હતી. વ્યવસ્થાથી પ્રસન્ન થયેલા રાજવી કૃષ્ણકુમારસિંહજીએ ‘આનંદ મંગળ’ના મિત્રોને પૂછ્યું કે ‘છોકરાઓ, શું કરો છો?’ ગોદી કામદારોના નેતા માનભાઈએ એ મતલબનું કહ્યું કે આપ જે નથી કરતા તે. પછી ફોડ પાડ્યો કે આ બાળકો પાસે રમતગમતનાં સાધનો, ધોરણસરનું ને વિશાળ ક્રીડાંગણ, કશું નથી. એને પગલે જે હુકમ થયો તે શિશુવિહાર અને વ્યાયામપ્રવૃત્તિ સારુ જમીનની ફાળવણીનો.

આ વાત જાણવાની થઈ ત્યારે જોડાજોડ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માંહેલો જમીનફાળવણીનો કિસ્સોયે સાંભરતો હતો. દેખીતી સાવ નકામા જેવી જમીન ગોપાળબાપાએ સયાજીરાવ ગાયકવાડ પાસે માગી લીધી. ગાયકવાડે આપી તો ખરી – પણ સ્વભાવે પ્રજાની ભાળ રાખનાર જીવ તે પૂછ્યા વિના ન રહી શક્યા કે અહીં રાની પશુ હશે, એનો ભો નથી લાગતો? બાપાએ રાજાને કહ્યું કે આ ‘તમારી પડખેના દીપડા’ ન રંજાડે તો બસ.

આપણા સમયમાં તો રાજદ્રોહના ખાનામાં પડી તેને શોભીતી કારવાઈપાત્ર ઠરાવે એવા આ ઉદ્ગારો હતા. કેમ જાણે કોઈ પિયુસિએલ ઍક્ટિવિસ્ટ ન હોય! વસ્તુતઃ માનશંકર ભટ્ટ, ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, એવી એકબે પેઢી ગાંધીયુગમાં આવી ગઈ જેણે માર્ક્ સને ગાંધીસાત્ અગર ગાંધીને માર્ક્ સસાત્ કરીને પોતપોતાનાં જીવન જીવી જાણ્યાં. એમનો જે મિજાજ, અક્ષરજીવન અને જાહેરજીવનની સંમિલનભૂમિએ, એ વ્યક્ત કરવા સારુ તો અજ્ઞેયની લેખિની જોઈએ :

હમ ન પિઠ્ઠૂ હૈં ન પક્ષધર હૈં
હમ હમ હૈં ઔર હમેં
સફાઈ ચાહિએ સાફ હવા ચાહિએ
ઔર આત્મ-સન્માન ચાહિએ જિસકી
લીક
હમ ડાલ રહે હૈં :
હમારી જમીન સે હટ જાઓ.

તો, સમય, એ સમયનો મિજાજ ને (ભાવ) ભૂમિ, બહુ સમર્પકપણે ગોવર્ધનરામે પરિષદના સ્થાપના અધિવેશનમાં મૂકી આપ્યાં છે. 1905નું વરસ છે; દેશમાં બંગભંગગત પ્રક્ષોભ ને જાગૃતિનો માહોલ છે; પણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહી અરુણોદય આગમચ કશોક સ્ફૂર્તિસંચાર છે; આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો કંઈક પૂર્વસંચાર પણ છે; અને ગોમાત્રિ અધ્યક્ષીય ઉદ્બોધનમાં પરિષદના ઉપક્રમની ભૂમિકાએ વાત માંડે છે :

“બન્ધુજનો, આ યુગ, રાજકીય, સાંસારિક અને અન્ય વિષયના સમાજોનો છે. કોઈ સ્થાને કૉંગ્રેસો તો કોઈ સ્થાને કૉન્ફરન્સો, કોઈ સ્થાને ક્લબ નામે તો કોઈ સ્થાને ઍસોસિયેશન નામે, સમાજો આ તેમ અન્ય દેશોમાં ભરાય છે. જ્યાં સર્વ પાસ આવા સતારના રણકારા સંભળાય છે, ત્યાં આપણા એકતારાનો ધ્વનિ પણ તેમાં ભળે અને સામાજિક પ્રવૃત્તિના લક્ષમાં કાંઈક વૃદ્ધિ કરે તો તે ચિત્ર દેખીતું સુન્દર જ છે. જ્યાં ચારે પાસ ગાનતાન મચી રહેતું હોય એવા પ્રદેશમાં ઊભું રહેલું પ્રાણી ગાનાદિકમાં કુશળ નહીં હોય તો બોલ્યા વિના તેના હૃદયમાં ગાન ઉતારવા માંડશે, તેના હાથપગ તેની પ્રેરણા વિના તાલ આપતા હોય તેમ નૃત્ય કરશે, અને પ્રસિદ્ધપણે વર્તતા ગાનમાં અપ્રસિદ્ધપણે આ હૃદય અને શરીર લય પામશે. આવી જાતના લયનું કારણ આ સૃષ્ટિનો જડ-ચેતન-વ્યાપી એક નિયમ છે અને તે નિયમનું નામ Rhythmic Law – તાલબન્ધ અથવા અનુપ્રાસયોજના આપીએ તો સમજાય એવું છે. આપણી સાહિત્ય પરિષદ, આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યમાં આવા તાલબન્ધ નિયમના બળથી ઊભી છે.”

આ તો પરચક્ર તળે ‘સ્વ’ની ખોજમથામણના ઉદ્ગારો હતા. હવે તો સ્વચક્રના સમયમાં છીએ ત્યારે એક સમાજપ્રવર્તક નૃત્ય વચાળે આપણે ટટ્ટાર મેરુદંડ સોતા કેળવવો ઘટતો વિવેક શો છે એનો એક સોજ્જો સંકેત ચુંવાળીસમા પ્રમુખ નારાયણ દેસાઈના અધ્યક્ષીય અભિભાષણમાંથી મળી રહે છે :

“… શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઇરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠાં રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સમ્માન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચી લાવે છે …”

આ બધું કહેતી વખતે એમના મનમાં પ્રત્યક્ષ વિગત શું હશે એનું અનુમાન આપણે પક્ષે અશક્ય નથી. પણ એક લોકાયની અક્ષરસેવીને સહજ એમણે જ તે વાત ખોલી આપી અને બોલી બતાવી છે :

“… એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઈષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે …”

દેખીતી રીતે જ, ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકરણ પરત્વે એક લોકાયની સાહિત્યકારનો આ એક ખરી દૂંટીનો ઉદ્ગાર હતો. જ્યાં સુધી સમયસંદર્ભનો સવાલ છે, ભાવનગરના જ એક ઉલ્લેખથી અટકવા ઇચ્છું છું. 1984નું વરસ હતું. જ્યોર્જ ઓરવેલની કીર્તિદા કૃતિ ‘1984’ વિશે મારે ભાવનગરના એક્સેલ સ્ટડી સર્કલમાં વાત કરવી એવું તેડું લઈ જયન્ત મેઘાણીના સૂચનથી નાનાભાઈ ભટ્ટના પુત્ર પ્રશાન્તભાઈ મને મળવા આવ્યા અને મેં પણ હા પાડી – ભાવનગર જવાનું ને વળી ઓરવેલ વિશે બોલવાનું! સર્વસત્તાવાદી બળોના વિશ્વઉપાડાની ચર્ચા ઓરવેલે ‘1984’માં કરી છે અને એમાં ‘બિગ બ્રધર’ બધું જ જુએ છે એ તરજ પર મેં વાર્તાસાર આપી ઘટતાં ટીકાટિપ્પણ સાથે મારું વક્તવ્ય સમેટ્યું. સભાના અધ્યક્ષસ્થાને મૂળશંકર મો. ભટ્ટ હતા. સરસ સમાપનવચનો ઉચ્ચાર્યાં એમણે કે પ્રકાશભાઈએ ઓરવેલનો જે સાર આપ્યો એનો અર્થ એટલો જ કે જો સમાજમાં ‘નાનાભાઈ’ઓ નહીં પાકે તો મોટાભાઈઓ ચઢી વાગશે!

આખા આર્યાવર્તના એક સમાજપ્રવર્તક નૃત્યના તાલબંધને અનુલક્ષીને આ ક્ષણે આટલું જ.

મે 4, 2023
 e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પ્રમુખીય’, “પરબ”, મે 2023

Loading

...102030...1,1441,1451,1461,147...1,1501,1601,170...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved