Opinion Magazine
Number of visits: 9458224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બહુમતીથી લેવાયેલા નિર્ણયો બંધનકર્તા હોય તો પણ, તે યોગ્ય હોય જ એ જરૂરી નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 January 2023

આમ તો હાઇકોર્ટે આપેલો ચુકાદો માન્ય ન હોય તો તેને સુપ્રીમમાં પડકારી શકાય છે, પણ ક્યાંક તો અટકવાનું હોય છે એટલે સુપ્રીમનો ચુકાદો તો માથે ચડાવવાનો રહે જ છે. કદાચને સુપ્રીમનો ચુકાદો માન્ય ન હોય તો પણ તેને પડકારી શકાતો નથી. તેનો અર્થ એવો પણ નહીં જ કે સુપ્રીમનો ચુકાદો દરેક વખતે યોગ્ય જ હોય. એવું પણ ક્યારેક બને છે કે સુપ્રીમની બેન્ચના બધા જ જજ સર્વાનુમતે નિર્ણય લઈ શકતા નથી ને ત્યારે અલગ પડતા જજના ચુકાદા સિવાયના મતોને આધારે, બહુમતીએ ચુકાદો અપાય છે. ઘણીવાર એવા ચુકાદાઓ પણ આવે છે કે આશ્ચર્ય થાય, આઘાત લાગે, પણ એ સુપ્રીમકોર્ટનો ચુકાદો છે એટલે તેને માન આપવું જ પડે, ભલે પછી એ ચુકાદો કોઈને યોગ્ય લાગે કે ન લાગે.

જેમ કે, સુપ્રીમનો એક ચુકાદો એવો આવ્યો કે થિયેટરમાં બહારથી ખાદ્ય સામગ્રી લઈ જઈ શકાય નહીં ને જરૂર પડે તો થિયેટરમાંથી જ જે તે સામગ્રી ખરીદવાની રહે. થિયેટર માલિકની સત્તા જ ત્યાં ચાલે ને તેનાં નીતિનિયમોને જ પ્રેક્ષકોએ પાળવાના રહે. પ્રેક્ષકોને ઠીક ન લાગે તો તે થિયેટરમાં ન જવા કે જઈને ત્યાંની સામગ્રી ન ખરીદવા માટે મુક્ત છે. આ સુપ્રીમકોર્ટનો ચુકાદો છે એટલે તે દરેકને બંધનકર્તા રહે જ, છતાં સાધારણ માણસને સવાલો તો થાય જ છે. થિયેટરનો માલિક સ્વતંત્ર છે ને તે પોતાના વિસ્તારમાં મન ફાવે તે ભાવ લઈ શકે, તો પ્રેક્ષક પણ સ્વતંત્ર છે, તે પણ ભારતનો જ નાગરિક છે એવું, નહીં? તે થિયેટર માલિકે યાદ નથી રાખવાનું? અલબત્ત ! એ અંગે સુપ્રીમે કોઈ ફોડ પાડ્યો નથી. પ્રેક્ષકને થિયેટર માલિક પોતાની વસ્તુઓ ખરીદવાનું સીધું કે આડકતરું દબાણ ઊભું ન કરી શકે એવું ખરું કે કેમ? એવું દબાણ એટલે ઊભું થાય છે, કારણ, બહારથી વસ્તુઓ ન લાવવાની પ્રેક્ષકોને ફરજ પાડવામાં આવે છે. અહીં એવી દલીલ થઈ શકે કે પ્રેક્ષકોને થિયેટરમાં જવાનું ફરજિયાત નથી, એ બીજે જઈ શકે, પણ બીજે ક્યાં જાય? ત્યાં પણ આવા જ માલિકો હોવાના ને ! એનું પાછું એસોસિએશન હોય, એ ઓછું જ સસ્તું આપવાના હતા ! કાગડા તો કાળા જ હોવાના ને ! એ જો સસ્તું ને સારું આપતાં હોય તો કોઈ બહારથી લાવે જ શું કામ? આ તો સસ્તું લાવવા ન દેવું અને મોંઘું ખરીદવાની ફરજ પાડવી ! આ યોગ્ય છે? એ સાચું કે એ થિયેટર છે, જિમ નથી કે કોઈ હેલ્ધી ફૂડની આશા રાખે, પણ હેલ્ધી ફૂડના ભાવમાં થિયેટરમાં ઓછું હેલ્ધી વેચાતું હોય તો તેને એટલે ચલાવી લેવાનું, કારણ એ થિયેટર માલિકના વિસ્તારમાં વેચાય છે અને તેવું વેચવાનો તેને અધિકાર છે? થિયેટર માલિકની અંગત માલિકીમાં સરકાર મનોરંજન કર વસૂલી શકે, જે આમ તો પ્રેક્ષકોને ખંખેરીને જ વસૂલાય છે, છતાં તે વાજબી ભાવે પોપકોર્ન કે કોલ્ડ ડ્રિંક્સ મળે એવી અપેક્ષા ન રાખી શકે. માન્યું કે પ્રેક્ષકો થિયેટર માલિકને ફરજ ન પાડી શકે, પણ સરકાર તો માલિકને ફરજ પાડી શકે ને? કે એ પણ માલિકના વિસ્તારમાં દખલ ન દઈ શકે? ગુજરાતની અને જમ્મુ કાશ્મીરની હાઇકોર્ટે એવું ઠરાવ્યું પણ ખરું કે પ્રેક્ષકોને તેની ખાદ્ય સામગ્રી કે પાણી થિયેટરમાં લઈ જતાં રોકી શકાય નહીં, પણ સુપ્રીમ કોર્ટે એ ચુકાદાને ઊલટાવીને થિયેટર માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો. હવે એ પ્રેક્ષકોએ જોવાનું છે કે તેમણે થિયેટરમાં જવું કે ન જવું? ડેરીઓ કે લારીઓ ભાવ વધારે તો તેને પડકારી શકાય, પણ થિયેટર માલિક પોપકોર્ન પણ, પિસ્તાના ભાવે વેચે તો તેને પડકારી ન શકાય, કારણ આ વેપલો તે તેનાં થિયેટરમાં કરે છે ને તેવું તે કરી શકે એવું સુપ્રીમે પ્રમાણિત કરેલું છે.

એવી જ રીતે નોટબંધીનું સરકારનું પગલું પણ સુપ્રીમકોર્ટના 5માંથી 4 જજોએ પ્રમાણિત કર્યું. એક જજે સ્પષ્ટપણે જાહેર કર્યું કે સરકારનું નોટબંધીનું પગલું ગેરકાયદેસર હતું. એમનું કહેવું છે કે સરકાર આ રીતે નોટબંધી એટલે કરી શકે નહીં, કારણ કે તેને એવી કોઈ સત્તા નથી. બેન્ચે એમ પણ ઉમેર્યું કે આર્થિક નિર્ણયોને પાછા ન ખેંચી શકાય. એ સમજી શકાય એવું છે, પણ નોટબંધીનો લેવાયેલો નિર્ણય યોગ્ય હતો કે કેમ તે અંગે સ્પષ્ટ નિર્ણય સુપ્રીમ પાસેથી અપેક્ષિત રહે. જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરની વડપણ હેઠળની બંધારણીય બેન્ચે ચાર-એક બહુમતીથી ચુકાદો આપતા જણાવ્યું કે નોટબંધીની કેન્દ્રને સત્તા છે ને સરકારે રિઝર્વ બેન્કની ગાઈડ લાઇન્સ મુજબ જ નોટબંધીનો નિર્ણય લીધો છે. નોટબંધીની વિરુદ્ધમાં 58 જેટલી અરજીઓ આવી હતી, એ બધી અરજીઓ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી. સરકારે નવ નવેમ્બરે દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં અનેકગણો વધારો થયો હતો ને એ અંગે ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આર.બી.આઇ. સાથે ચર્ચા કર્યા પછી જ 8 નવેમ્બરે ચલણી નોટોને ડિમોનેટાઇઝ કરવાનો નિર્ણય લીધો હતો. 8 નવેમ્બર, 2016 ને રોજ વડા પ્રધાને રાત્રે બાર વાગ્યાથી 500 અને 1000ની નોટો રદ્દ થવાની જાહેરાત કરી હતી. નોટબંધી દ્વારા સરકારનું લક્ષ્ય કાળું નાણું દૂર કરવાનું, દેશને કેશલેસ બનાવવાનું, નકલી નોટો નાબૂદ કરવાનું, મોટી નોટોની બંધી દ્વારા સંગ્રહખોરી રોકવાનું ને આતંકવાદીઓ, નક્સલીઓની કમર તોડવાનું હતું. એ લક્ષ્યો પાર પડ્યા કે નહીં તે અંગે સુપ્રીમે જાહેર કર્યું કે એ મુદ્દો જ નથી. એ પણ ખરું કે જે હેતુસર નોટબંધી લાગુ કરવામાં આવી હોય તે હેતુ પાર પડ્યા કે નહીં તે જોવા-તપાસવામાં સુપ્રીમે રસ ન દાખવ્યો.

ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમની કલમ 26(2) સરકારને ચોક્કસ મૂલ્યની ચલણી નોટોની કોઈ ચોક્કસ શ્રેણીની નોટ રદ્દ કરવાની સત્તા આપે છે, પણ ચોક્કસ મૂલ્યની નોટોને સંપૂર્ણપણે રદ્દ કરવાની સત્તા આપતી નથી. એ સંદર્ભે જેમનો મત ચાર જસ્ટિસના મતથી અલગ પડે છે તે જજ બી.વી. નાગરત્નનો નિર્ણય વધુ ધ્યાન ખેંચે છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નોટબંધીનો નિર્ણય સરકારનો છે ને રિઝર્વ બેન્કની તો માત્ર ભલામણ જ હતી. આવી ભલામણ કરવાનું પણ સરકાર તરફથી જ કહેવાયું હતું. એ પણ ખરું કે આ મામલે જરૂરી પ્રક્રિયા માટે પૂરતો સમય લેવાયો ન હતો. 7મીએ સરકાર દ્વારા રિઝર્વ બેંકને ભલામણ કરવાનો પત્ર મોકલાયો ને 8મીએ તો નોટબંધીનો નિર્ણય જાહેર પણ થઈ ગયો. જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્વાયત્ત સંસ્થાન હોય તો આ વલણ યોગ્ય નથી જણાતું. ખરેખર તો આ નિર્ણય રિઝર્વ બેન્કનો હોવો જોઈતો હતો, પણ સરકારનો હતો ને સરકારને તો નોટબંધી કરવાની સત્તા જ નથી. જસ્ટિસ નાગરત્નનું કહેવું છે કે આ પગલું સંસદમાં કાયદો બનાવીને લેવાની જરૂર હતી, તેને બદલે ગેઝેટ નોટિફિકેશનથી જ કામ લેવાયું. આર.બી.આઇ. અને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબોમાં પણ વિરોધાભાસ હોવાનું નાગરત્નને લાગ્યું છે. સરકારનો હેતુ સાચો હોય તો પણ કાયદેસર નથી એવું મહિલા જસ્ટિસ નાગરત્નનું સ્પષ્ટપણે માનવું છે.

સરકાર બચાવમાં કહે છે કે નકલી નોટોમાં, નોટબંધી લાગુ થવાથી ઘટાડો થયો છે, જ્યારે હકીકત એ છે કે 2000ની નોટ ચલણમાં આવી તે સાથે જ પાકિસ્તાનથી 2000ની નકલી નોટો ભારતમાં ઘૂસાડવામાં આવી હતી, એટલું જ નહીં, 2000ની નોટો જ દરોડામાં એટલી પકડાઈ કે નકલી નોટો રોકવા બે હજારની નોટો છાપવાનું માંડ રહ્યું હોય તો નવાઈ નહીં ! એની પણ કમાલ જ છે ને કે 1000ની નોટોનો સંગ્રહ ઘટાડવા તેને ચલણમાંથી નાબૂદ કરી ને 2000ની નોટો છાપવાનું શરૂ કર્યું. હવે 2000ની નોટથી સંગ્રહ વધે કે ઘટે તે પ્રશ્ન જ છે. સરકારનું માનવું છે કે ડિજિટલ ટ્રાન્જેક્શન્સ વધતાં ચલણી નોટોનો વપરાશ ઘટ્યો છે. એ સાચું કે 2016માં 6,952 કરોડનાં ડિજિટલ ટ્રાન્જેક્શન્સની સંખ્યા 1.09 લાખ હતી, જે ઓકટોબર, 2022માં 12 લાખ કરોડ સાથે 730 કરોડની સંખ્યા પર પહોંચી છે. રહી વાત નોટોનાં સર્ક્યુલેશનની, તો નોટબંધી જાહેર થઈ તે 8 નવેમ્બરે 17.94 લાખ કરોડની રોકડ ચલણમાં હતી ને 23 ડિસેમ્બર, 22ને રોજ બજારમાં 32.42 લાખ કરોડની રોકડ ફરતી હતી. મતલબ કે માર્કેટમાં 83 ટકાનો વધારો રોકડમાં થયો છે. જો આ સ્થિતિ હોય તો ચલણી નોટોનો વપરાશ ઘટવાની વાત કેટલી સાચી તે વિચારવાનું રહે.

ટૂંકમાં, જે હેતુથી નોટબંધી કરવામાં આવી એમાં સફળતા ખાસ મળી નથી ને એની નકારાત્મક અસરો એટલી થઈ ને આઘાત પણ એટલો લાગ્યો કે લોકોને તેની કળ વળતાં ઘણો સમય લાગ્યો છે. જો કે, એનાં પરિણામોમાં જવાનું સુપ્રીમકોર્ટે સ્વીકાર્યું નથી. એટલે લોકોએ તો એમ જ માનવાનું રહે કે સરકાર પણ પરિણામની પરવા કર્યા વગર કોઈ પણ નિર્ણય થોપી દે તો તેને લોકશાહી છે એટલે ચુમાઈને પણ લોકોએ માથે ચડાવવાનો રહે ને કોઈ એની સામે ગમે તેટલી અરજીઓ કરે તો પણ એને ફગાવવા સુપ્રીમકોર્ટ ક્યાં નથી? ન્યાયને એટલે જ કદાચ આંધળો કહ્યો હશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2023

Loading

ફિલ્મી પઠાણ : અબ્દુલ રહેમાનથી બાદશાહ ખાન સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2023

આજકાલ શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ’ ચર્ચામાં છે. શાહરૂખ ખાન તેમાં એક એવા જાંબાઝ ખુફિયા પોલીસ ઓફિસર પઠાણની ભૂમિકા કરે છે, જે દેશવિરોધી માફિયાઓ સામે એકલા હાથે જંગ કરે છે. અફઘાનિસ્તાનની પશ્તુન જાતિમાંથી આવતા પઠાણ પાત્રોની હિન્દી ફિલ્મોમાં હાજરી એટલી જ જૂની છે, જેટલી જૂની સ્વતંત્રતા છે. જે વર્ષે ભારત એક આઝાદ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો, એ જ વર્ષે, 1947માં, પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરે ‘પઠાણ’ નામનું નાટક ભજવ્યું હતું. નાટકમાં, એક પઠાણ તેના હિંદુ મિત્રના દીકરાને વિભાજનની હિંસામાંથી બચાવવા માટે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપે છે તેવી વાર્તા હતી.

પૃથ્વીરાજના પેશાવરના મિત્ર ચંદ બિસ્મિલે, પઠાણ લોકો ‘વ્યાજખોર’ અને ‘ચોકીદાર’ હોય છે તેવી વ્યાપક માન્યતાને તોડવા માટે આ નાટક લખ્યું હતું અને પૃથ્વીરાજને તત્કાલીન રાજકીય વાતાવરણમાં એ નાટક ભજવવા જેવું લાગ્યું હતું. એમાં પૃથ્વીરાજ કપૂરે જ પઠાણની ભૂમિકા કરી હતી. કપૂર આમ તો ખત્રી હિંદુ હતા, પરંતુ પેશાવરમાં તેમના વડવાઓ પશ્તુ બોલતાં હતા એટલે તેઓ પોતાને ‘હિંદુ પઠાણ’ તરીકે ઓળખાવતા હતા.

આ કપૂર પઠાણને ફિલ્મો કે કળા સાથે કોઈ લેવાદેવા નહોતી, પરંતુ પૃથ્વીરાજના પિતા બશેશ્વરનાથ કપૂર, જે બ્રિટિશ પોલીસમાં સબ-ઇન્સ્પેકટર હતા, તેમણે સહપરિવાર મુંબઈ આવીને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવાનો પ્રયાસ કર્યો હતો (તમને જો યાદ હોય તો રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં તેમની ભૂમિકા હતી). તે વખતે ‘ફિલ્મ ઇન્ડિયા’ નામનું ફિલ્મ સામયિક ચલાવતા અને તીખી કલમ માટે જાણીતા ફિલ્મ વિવેચક બાબુરાવ પટેલે લખ્યું હતું, “આ પઠાણો એક્ટર્સ બનવા આવ્યા છે, પણ એમના માટે અહીં જગ્યા નથી.”

એ વખતે યુવાન પૃથ્વીરાજે પટેલને કહ્યું હતું, “બાબુરાવ, આ પઠાણને ચેલેન્જ ન આપતા. ભારતની ફિલ્મોમાં જગ્યા નહીં હોય તો સાત સમંદર પાર કરીને હોલિવૂડ જઈને એક્ટર બનીશ.” બહુ ઓછા લોકોને જાણ હશે કે પૃથ્વીરાજનો નાના ભાઈ ત્રિલોક કપૂર પણ એકટર હતો. 1933માં, ‘ચાર દરવેશ’ નામની ફિલ્મથી તેણે સફળ શરૂઆત કરી હતી.

સંભવત: હિન્દી સિનેમાના પડદા પર પઠાણની પહેલી ભૂમિકા, પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરની જ ફિલ્મ ‘છલિયા’(1960)માં એક્ટર પ્રાણની હતી. મનમોહન દેસાઈ નિર્દેશિત ‘છલિયા’ના નિર્માતા તરીકે આમ તો તેમના ભાઈ સુભાષ દેસાઈનું નામ છે, પરંતુ મૂળે આ ફિલ્મનો વિચાર રાજ કપૂરનો હતો. રાજ ત્યારે હિરો તરીકે સ્થાપિત હતા. વિભાજનમાં પતિ-પરિવારથી છૂટી ગયેલી સ્ત્રી શાંતિ(નૂતન)ની આનંદ રાજ આનંદની વાર્તા રાજ કપૂરને પસંદ પડી ગઈ હતી અને તેના પરથી ફિલ્મ બનાવાનું નક્કી કર્યું હતું.

આનંદ રાજ આનંદ (તે ટીનુ આનંદના પિતા થાય) પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરનું સર્જન હતા. તેમણે રાજ કપૂરની ‘આગ,’ ‘આહ,’ ‘અનાડી’ અને ‘સંગમ’ લખી હતી. આનંદે રશિયન લેખક ફ્યોદોર દોસ્તોવયસ્કીની નવલકથા ‘વ્હાઈટ નાઈટ’ પરથી ‘છલિયા’ની પ્રેરણા લીધી હતી. ફિલ્મની સફળતામાં કલ્યાણજી-આણંદજીના સંગીતે બહુ મોટો ભાગ ભજવ્યો હતો. ‘છલિયા મેરા નામ,’ ‘ડમ ડમ ડિગા ડિગા,’ ‘તેરી રાહોં મેં ખડે હૈ,’ અને ‘મેરે તૂટે હુએ દિલ સે’ આજે પણ એટલાં જ લોકપ્રિય ગીતો છે.

તે વખતે હિન્દી ફિલ્મોમાં ખલનાયક તરીકે જાણીતા થઇ ગયેલા પ્રાણ કિશન સિકંદ ઉર્ફે પ્રાણે ‘છલિયા’માં અબ્દુલ રહેમાન નામના પઠાણની ભૂમિકા કરી હતી. એ પઠાણ આમ રહેમદિલ હતો, અને આમ નિર્મમ હતો. તેણે શાંતિને તોફાનીઓથી બચાવી હતી એટલું જ નહીં, તેની બહેન તરીકે ઘરમાં આશરો આપ્યો હતો પઠાણની ખુદની બહેન સકીના ભારતમાં રહી ગઈ હતી. તેણે ઘરમાં રહેતી શાંતિનો ચહેરો જોવાનો પણ ઇન્‌કાર કરી દીધો હતો, જેથી તેની બહેન ભારતમાં જ્યાં પણ હોય ત્યાં તેની સાથે પણ કોઈ ‘હિંદુ કે શિખ’ એવો જ વ્યવહાર કરે. પઠાણે આવી રીતે પાંચ વર્ષ સુધી શાંતિને ઘરમાં રાખી હતી, પણ પાછળથી છલિયા સાથે જૂનું વેર વસુલવા શાંતિનું જ અપહરણ કરવાની ધમકી આપી હતી.

તે વખતે કોઈને અંદાજ પણ નહીં હોય કે પ્રાણનો આ અબ્દુલ રહેમાન વર્ષો પછી ‘ઝંઝીર’નો દિલેર શેરખાન પઠાણ બનીને દર્શકો પર છવાઈ જશે. પઠાણ લોકો અત્યંત વિશ્વાસપાત્ર હોય છે તેવી છાપ ઊભી કરવામાં બે ફિલ્મોનો મોટો ફાળો છે; એક, હેમેન ગુપ્તા નિર્દેશિત અને બલરાજ સાહની અભિનીત ‘કાબૂલીવાલા’ (1961) અને બીજી ‘ઝંઝીર’ (1973). યોગનુગોગ, ‘કાબૂલીવાલા’માં પઠાણનું નામ પણ અબ્દુલ રહેમાન જ હતું. આ ફિલ્મ રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા પરથી બનાવામાં આવી હતી. ટાગોરે ૧૮૮૨માં, તેમના બંગાળી મેગેઝીન ‘સાધના’ માટે ‘કાબૂલીવાલા’ વાર્તા લખી હતી.

પ્રાણ પંજાબી હિંદુ હતા પરંતુ ઊંચી પડછંદ કાયા અને ઘેઘૂર અવાજના કારણે કોઈને પણ પઠાણ હોવાનો ભ્રમ થઇ જાય તેવા હતા. ઇન ફેક્ટ, સલીમ-જાવેદની પટકથા પરથી પ્રકાશ મહેરાએ ‘ઝંઝીર’ બનાવાનું નક્કી કર્યું ત્યારે સૌથી પહેલાં શેરખાનના પાત્ર માટે પ્રાણનું નામ નક્કી થઇ ગયું હતું. પ્રકાશ મહેરાએ ‘છલિયા’માં પ્રાણનું કામ જોયું હતું, એટલે ‘ઝંઝીર’ની વાત આવી ત્યારે તેમણે સૌથી પહેલાં શેરખાન માટે પ્રાણની જ કલ્પના કરી હતી.

એ વખતે હીરો વિજયની ભૂમિકા કોણ કરશે એ નક્કી નહોતું કારણ કે તે વખતના મોટા ભાગના હીરોએ ‘ઝંઝીર’ કરવાની ના પાડી હતી. સલીમ ખાન એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “રાજ કુમાર અને ધર્મેન્દ્રએ વિજયની ભૂમિકા કરવાની ના પાડી તે પછી પ્રાણ સાહેબે જ પ્રકાશ મહેરાની અને દેવ આનંદ સાથે મિટિંગ ગોઠવી હતી, પરંતુ દેવ સાહેબે (હીરોનું કોઈ ગીત ન હોવાથી) પણ ના પાડી એ પછી પ્રાણે નવોદિત અમિતાભનું નામ સૂચવ્યું હતું.”

વિતરકોએ પ્રાણના નામ પર જ ફિલ્મ હાથમાં લેવાની હા પાડી હતી, કારણ કે અમિતાભનું નામ ત્યારે મોટું નહોતું અને તેના નામે લાઈનબંધ ફ્લોપ ફિલ્મો બોલતી હતી. લોકો ફિલ્મમાં પ્રાણને જોવા માટે જ થિયેટરમાં આવ્યા હતા પણ બહાર નીકળ્યા ત્યારે તેમને ભાવિ સુપરસ્ટાર અને એન્ગ્રી યંગ મેન અમિતાભ બોનસમાં મળ્યો હતો.

બોક્સ ઓફિસ પર પ્રાણનો કેવો ભાવ હતો તેની સાબિતી એ વર્ષે આવેલી મનોજ કુમારની ફિલ્મ ‘શોર’ છે. એ ફિલ્મમાં રાણી(જયા ભાદુરી)ના પિતા ખાન બાદશાહની ભૂમિકાની પણ પ્રાણને ઓફર થઇ હતી. ‘ઝંઝીર’ માટે પ્રાણે હા પાડી તેના થોડા જ દિવસો પછી મનોજ કુમારે તેમનો સંપર્ક કર્યો હતો અને ‘શોર’ના પઠાણની ભૂમિકા સૂચવી હતી. એક ઇન્ટરવ્યૂમાં પ્રાણે કહ્યું હતું, “ઉપકાર’ અને ‘પૂરબ ઔર પશ્ચિમ’ પછી મને મનોજ કુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો નહોતો. ‘શોર’માં તેમણે મને પઠાણનો રોલ ઓફર કર્યો હતો, પરંતુ મેં તે વખતે ‘ઝંઝીર’ માટે હા પાડી હતી એટલે પઠાણને બે રોલ કરું એ યોગ્ય નહોતું.”

ત્યાં સુધી કે પ્રાણે મનોજ કુમારને એવું સૂચન કર્યું હતું કે તે જો પઠાણના પાત્રમાં ફેરફાર કરે તો તે ફિલ્મ કરવા તૈયાર છે. મનોજ કુમારે ત્યારે જવાબમાં કહ્યું હતું, “પ્રાણસાબ, તમે પ્રકાશ મહેરા સાથે બંધાયેલા હો તો હું પણ મારી પટકથા સાથે બંધાયેલો છું. વાંધો નહીં, હું બીજા કોઈને લઈશ. અને એ રીતે ‘શોર’માં એ ભૂમિકા પ્રેમનાથ પાસે ગઈ હતી.”

1992માં, અમિતાભ બચ્ચને ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં બાદશાહ ખાનની ભૂમિકા કરી હતી, એ કદાચ પડદા પર આવેલો છેલ્લો લાર્જર ધેન લાઈફ પઠાણ હતો. કંઇક અંશે તેમાં ‘ઝંઝીર’ના શેરખાન જેવી જ દિલેરી અને નિષ્ઠા હતી. ‘ખુદા ગવાહ’ના બાદશાહનો એક સંવાદ, ફિલ્મોના પઠાણોના ચરિત્ર્યને ઉજાગર કરે છે; “મેરા નામ બાદશાહ ખાન હૈ … ઈશ્ક મેરા મજહબ, મોહબ્બત મેરા ઈમાન .. ઉસી મોહબ્બત કે લિયે કાબુલ કા પઠાણ સર ઝમીં-એ-હિન્દુસ્તાન સે મહોબ્બત કા ખૈર માંગને આયા હૈ .. આઝમાઈશ કડી હૈ, ઇમ્તિહાન મુશ્કિલ, લેકિન હૌંસલા બુલંદ … જીત હંમેશાં મહોબ્બત કા હુઆ હૈ … સદીઓં સે યહી હોતા હૈ, યહી હોગા … ખુદા ગવાહ હૈ.”

પ્રગટ :  ‘સુપરહિટ’ નામક સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 04 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મન્તવ્યજ્યોત (૨૫) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સંકેતપરક સ્વતન્ત્રતા

સુમન શાહ|Opinion - Literature|5 January 2023

આ અગાઉના લેખમાં મેં કહ્યું હતું કે ગુજરાતીના સારા પ્રૉફેસરને સાંભળવાથી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ ‘સંકુલ’ ‘સુસ્પષ્ટ’ ‘પ્રતીતિ’ વગેરે બોલતાં થઈ જાય છે. તેઓ ’સર્વશ્રેષ્ઠ’ ‘સંયમ’ ‘ગામ્ભીર્ય’ ‘ઘનતા’ ‘પ્રાધાન્ય’ ‘સવિશેષ’ ‘સુશ્લિષ્ટ’ કે ‘રસાનુભવકારી’ લખતાં પણ થઈ જાય છે. અને, એક દિવસ ‘વિદ્વાન’ થઈ જાય છે, ‘મહાન’ ગણાવા માંડે છે.

એમ થાય એમાં કંઈ ખોટું નથી. આ કપરા કાળમાં એ પ્રૉફેસર અને એની એ વિદ્યાર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓ, સૌ, સદ્દનસીબવાળાં ગણાય.

પણ સાચું એ પણ કહ્યુ હતું કે એની ‘એવી’ વિદ્વત્તા જુદી જ ચિન્તાનો વિષય બને છે. કેમ કે એનું શબ્દભંડોળ ઠિંગરાઈ ગયું હોય છે. કેમ કે એની મતિ ભાષાના એ ઓરડામાં કૅદ થઈ ગઈ હોય છે. એ એવા અને એટલા જ શબ્દોનો ગુલામ બની ગયો હોય છે.

કહ્યું હતું કે બીજા શબ્દોમાં એમ કહેવાય કે એની ‘સંકેતપરક સ્વતન્ત્રતા’ નષ્ટ થઈ ગઇ હોય છે – સૅમિયોટિક ફ્રીડમ.

આ ‘સૅમિયોટિક ફ્રીડમ’-ને સમજાવવા મારે નીચે મુજબના માર્ગે જવું રહેશે. એ માર્ગ મેં કોરેલો છે. એ માટે પરિભાષાને કઠોરતાથી તજી દીધી છે અને ન ગમવા છતાં શાસ્ત્રીયતાને ઑગાળી નાખી છે. તેમ છતાં, વાચકમિત્રોએ એ પર ધીમાં પણ નિશ્ચલ ડગ ભરવાં પડશે.

Pic courtesy : CanStockPhoto

સૅમિયોટિક્સ અથવા સૅમિયોલૉજીને ગુજરાતીમાં સંકેતોનું વિજ્ઞાન કહેવાય – સંકેતવિજ્ઞાન. કેટલાક વિદ્વાનો એને સંજ્ઞાવિજ્ઞાન પણ કહે છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ અને પ્રત્યય મળીને પદ તેમ જ ધ્વનિ અને અર્થ મળીને શબ્દ બને છે; તેમ આમાં, સંકેતક અને સંકેતિત મળીને સંજ્ઞા બને છે. અને, સંજ્ઞાથી જે જ્ઞાન થવાનું હોય તે આપણને થાય છે. સંકેતવિજ્ઞાન સંજ્ઞાઓ પ્રતીકો અને તેમના વિનિયોગોનું અથવા અર્થઘટનનું અધ્યયન છે.

ભાષાના શબ્દોને ભાષિક સંકેતો કહેવાય – વર્બલ. પણ આપણી આસપાસ બિનભાષિક સંકેતો ઘણા છે – નૉનવર્બલ.

સોમવારે મારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ લીલાં ખમીસ પ્હૅરીને આવ્યા હોય તો એ ‘રંગ’ કશાકનો સંકેત છે. મંગળવારે બધા બુલ્ગાનીન બીયર્ડમાં (દાઢી રાખવાની એક ફૅશન) કે બ્લૂ જીન્સમાં આવ્યા હોય તો એ ‘ફૅશન’ સંકેત છે. બુધવારે બધી જ છોકરીઓ પોપટી સાડીમાં આવી હોય અને તે દિવસે બધા જ અધ્યાપકમિત્રો ગળે કેસરી ખેસ લટકાવીને આવ્યા હોય, તો એ ‘પહેરવેશ’ એક સંકેત કહેવાશે.

(મારો એ બુધવાર કેવો રંગરંગીન !)

અમુક કલાકે મન્દિરનો ઘંટ વાગે, તો એ ‘અવાજ’ સંકેત છે. ચૂંટણી-વિજેતાઓ બૅન્ડવાજાં ઉપરાન્ત હાકોટા પાડતા જતા હોય એ ‘ક્રિયા’ કે ‘પ્રવૃત્તિ’ સંકેત છે. ખોપરી અને તેની નીચે ક્રૉસમાં બે હાડકાં ચીતર્યાં હોય, તો એ ‘દૃશ્ય’ સંકેત છે. કોઈ વ્યક્તિ ડોકું ઊંચું અને નીચું ધુણાવે; કોઈ જમણે-ડાબે ધુણાવે; કોઈ તમને તાકીને હથેળીનાં વચલાં બે આંગળાં પોતાની તરફ હલાવીને બોલાવે; કોઈ પોતાને હોઠે આંગળાં ચૉંટાડીને તરત તમારી તરફ મોકલે, તો એ બધા ‘હાવભાવ’ સંકેત છે. વગેરે વગેરે.

સાર એ કે રંગ, ફૅશન, પહેરવેશ, અવાજ, દૃશ્ય, ક્રિયા, પ્રવૃત્તિ, હાવભાવ વગેરે વગેરે બિનભાષિક સંકેતો છે. સમજવાનું એ છે કે સંકેતવિજ્ઞાન એ દરેકને પણ ભાષાઓ જ ગણે છે કેમ કે એ દરેક સંકેત પણ કશુંક કહે છે. સંકેતવિજ્ઞાન વર્બલની સરખામણીમાં વધારે તો નૉન-વર્બલનું વિજ્ઞાન છે.

આ વિષયમાં મને અત્યન્ત નૉંધપાત્ર લાગેલા પ્રશ્નો ત્રણ છે : ૧ : સંકેતકનો દરજ્જો કોને / શેને આપી શકાય? : ૨: સંકેતિત કોને સમજાય – ગુજરાતી ભાષકને કે કોઈપણ મનુષ્યને? : ૩ : એકને જે સંકેતિત સમજાય તે જ દરેકને સમજાય? :

પ્રશ્ન મેં ઉઠાવ્યા તો ઉત્તર પણ હું જ આપું. (અમારી એક કામવાળી છોકરી કૈલાસને કહીએ કે – પંખો બંધ કર, તો તરત હસીને ક્હૅ – હું નહીં કરું, જેણે ચાલુ કર્યો હોય, એ કરે !)

પ્રશ્ન ૧ -નો ઉત્તર : વિશ્વની કોઈપણ ચીજ સંકેતક બની શકે, એને એ દરજ્જો આપી શકાય. સૂનો પડેલો પથરો કે લાકડાનું એક ઢીમચું (ઇશ્વરનો) સંકેતક બની શકે. હાથરૂમાલ, અમુક પરફ્યુમ, મૉંએથી વ્હીસલ કે રેડ રોઝ (પ્રેમપ્રણયનાં) સંકેતકો છે. સંકેતકો અનેક છે : આંગળી અને અંગૂઠાથી વગાડાતી ચપટી. ઓમ્. ક્રૉસ. કપાળમાં ચાંલ્લો, તિલક કે ત્રિપુણ્ડ. સીધો કે સ્હૅજ જમણી તરફ વાળેલો સ્વસ્તિક. માથે કાશ્મીરી, કાળી કે સફેદ ટોપી, ફૂમતાવાળી ઊંચી લાલ ટોપી, પાઘડી, ફૅંટો કે ફાળિયું. વિવિધ રંગની લાંબી અને ટૂંકી ધજાઓ. દરેક દેશનાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત. સાડીછેડો જમણે અને ડાબે. અરે, જમણો હાથ અને ડાબો હાથ પણ સંકેતકો છે.

આવા મતલબનું કવિ બૉદ્લેરે કહ્યું હતું – મનુષ્ય પ્રતીકોના જંગલમાં વસે છે.

પ્રશ્ન ૨ -નો ઉત્તર : સામાન્યપણે સંકેતિતને દરેક મનુષ્ય પામી શકે છે. એ માટે એણે ગુજરાતી કે ભારતીય અથવા તો હિન્દુ કે મુસલમાન કે ખ્રિસ્તી હોવું અનિવાર્ય નથી. જેમ કે, દાઢી અને જીન્સની ‘ફૅશન’ એ જાણે છે. એ ‘હાવભાવ’ એ પણ પામે છે. પરન્તુ ‘અધ્યાપક’ ‘સાડી’ ‘ખેસ’ કે ‘મન્દિર’-ના સંકેતિતો સામાન્યપણે દરેક મનુષ્યને નહીં પ્હૉંચે, સિવાય કે એ ગુજરાતી ભાષક પણ હોય.

પ્રશ્ન ૩-નો ઉત્તર : સંકેતિત એકને સમજાય તે જ સામાન્યપણે દરેકને ન સમજાય. સફેદ રંગથી હું સમજું શુભમંગળ પણ મધુ મંગેશકર એને અશુભઅમંગળ સમજે. દાઢી અને જીન્સથી હું સમજું યુવાની પૂરબહારમાં અને જોશમાં ખીલી પણ મનુ મારવાડી એને છેલબટાઉવેડા સમજે. પોપટી સાડીઓથી મને લાગે કે મારા વર્ગમાં વનસ્પતિ – પ્રકૃતિ – છવાઈ ગઈ છે પણ લાલબહાદુરસિંહ કો યે બકવાસ દિખે. મન્દિરનો ઘંટ મને જણાવે કે આરતીનો સમય થઈ ગયો છે પણ કરીમચાચા માટે એ માત્ર અવાજ હોય. ખોપરી નીચે હાડકાંનું દૃશ્ય જોઇને હું ડરું પણ મારો અમેરિકન ફ્રૅન્ડ સ્ટીવન્સન મને હસે, બાળક પણ ગણે.

(મેં જ્યાં જ્યાં ‘વગેરે વગેરે’ અને ‘સામાન્યપણે’ કહ્યું છે તે, સ્વીકારો કે વિધાનોની વ્યાપકતા સૂચવવા માટે છે.)

ત્રણેય ઉત્તરનો સાર એ છે કે સંકેતકો અને સંકેતિતો શબ્દ અને અર્થની તુલનાએ વધારે મુક્ત છે. ઉચ્ચારણ, વ્યાકરણ કે જોડણીનો તો પ્રશ્ન જ નિર્મૂળ થઈ જાય છે અને તેથી ખૂબ મૉકળાશ મળે છે. માણસ સ્વભાષાની સીમાઓ સાચવીને કે ઓળંગી જઈને પરભાષીઓ લગી આરામથી પ્હૉંચી શકે છે. એથી એક મનુષ્યને બીજા મનુષ્યો સાથે કમ્યુનિકેટ થવાની અને એ માટે ઍક્સ્પ્રેસ થવાની ઘણી સ્વતન્ત્રતા મળે છે.

એ સ્વતન્ત્રતાનું નામ છે, સૅમિયોટિક ફ્રીડમ – સંકેતપરક સ્વતન્ત્રતા.

પેલી વિદ્યાર્થિનીને કે વિદ્યાર્થીને સંસ્કૃત શબ્દોવાળી એ પરિભાષા જરૂર બચાવી શકે, શરત એ કે એ અધ્યાપક હોય અને પરિભાષાને યથાસ્થાને યુક્તિપૂર્વક વાપરી જાણે. નહિતર, એ વિદ્યાર્થિની કે વિદ્યાર્થી તત્સમ અને દેશ્ય શબ્દોની દિશાઓ ભૂલી જશે. ગામડાગામના ધુમાડિયા રસોડામાં જેટલા સંકેતકો હશે તેને એ ઝીલી નહીં શકે, સંકોચાઈ જશે અને એની સૅમિયોટિક ફ્રીડમ એટલી ઘટી જશે. આનું પ્રતિ-દૃષ્ટાન્ત એ કે ગ્રામવાસી જન તદ્ભવ કે તત્સમની દિશાઓમાં નથી પ્રવેશી શકતો. શહેરી ભાઈબંધ જોડે એ રેસ્ટોરાંમાં ગયો તો હોય છે પણ છરીકાંટા સહિતની ટેબલમૅનર્સના સંકેતો એને મૂંઝવતા હોય છે.

જે ગુજરાતી શિક્ષિતો અંગ્રેજી શબ્દોની કે હિન્દી સિનેમાના પ્રભાવે કરીને હિન્દી શબ્દોની ભરમારથી જીવનવ્યવહાર કે સંદેશાવ્યવહાર ચલાવતા હશે, જેને તેઓ પોતાની વિશેષતા સમજતા હોય છે, તો એમની જાણ બહાર એમની સ્વતન્ત્રતા ઘટી જવાની. તેઓ ગુજરાતી ભાષામાં સર્જન કરતાં હશે તો એ ઘટાડાની અસર તેમાં પણ વરતાશે. જતે દિવસે એ વ્યવહારોની મર્યાદાઓને તેઓ જાણી શકશે નહીં અને જાણશે ત્યારે મૉડું થઈ ગયું હશે. સમર્થો આમાં અપવાદો છે પણ તેઓથી આ સર્વસાધારણ મુદ્દો પુરવાર થાય છે.

પેટ ‘ઠોકીને’ ખાધું : એ બાંગડને મારા ‘તાબામાં’ રાખીશ : સરખું વરત ને, શું ‘ગોથાંપિલ્લાં’ કર્યા કરે છે? : લોહી ‘પી’ ગ્યો : ‘ધૂનમાં ને ધૂનમાં’ હું એ બાજુ ચાલી ગયો : મારા બેડરૂમમાં આમ ‘ચોરપગલે’ નહીં આવવાનું : મારું ‘માથું’ ન ‘ખા’ :  પેલાએ મનુને એવી ‘ફાચર’ મારી કે વાત પતી ગઈ : તેં ‘બાફ્યું !’ જોજે હવે તારી શી ‘વલે’ થાય છે : આવા તો ગુજરાતીમાં એટલા બધા પ્રયોગો છે કે ગણતાં થાકી જઈએ. પણ હું ગુજરાતી ભાષાને આવાં કારણોસર ભારે સર્જનાત્મક ક્હૅતાં નહીં થાકું.

ઉપર્યુક્ત લગભગ દરેક પ્રયોગમાં માનવીય વર્તનની અસાધારણતા છે – જેમ કે, પેટને ઠોકાય નહીં; બાંગડને તાબામાં રાખવાનું મુશ્કેલ; સરખું વર્તન કરનારો ગોથાંપિલ્લાં ન કરે; લોહી પીવાની વસ્તુ નથી; ચાલવું અને ધૂનમાં ને ધૂનમાં ચાલવું. બેડરૂમ અને ચોરપગલાં. માથું, ખાવાની વસ્તુ નથી. મનુ નામનો મનુષ્ય અને ફાચર. સામાન્યપણે વરાળથી પકવવીએ એને બાફવું કહેવાય, એથી વલે નથી થતી – બૂરા હાલ.

જોઈ શકાશે કે દરેક પ્રયોગમાં ભાષા ફંટાઈને બિનભાષિક સંકેતોની દિશામાં સંચરે છે. અને તેથી, એ દરેક પ્રયોગ એક ‘સૅમિયોસિસ’ ઊભું કરે છે – એટલે કે, અર્થસૂચનને બધી બાજુએથી પામવા માટેની એક સંકુલ રચનાપ્રક્રિયા.

ભાષા મરી રહી છે એમ ન કહો; એમ કહો કે ભાષા આવડતી’તી પણ એ શબ્દો શબ્દગુચ્છો વાક્યો રૂઢિપ્રયોગો કે કહેવતો વાપરવાને બદલે આપણે ઓછા શબ્દોથી કામ પતાવતા થયા; ટૂંકાક્ષરીઓ કે ઇમોજી જેવાં ચિત્રોથી મુદ્દો પૂરો કરવાની કુટેવને વશ થયા. અને ત્યારે, દેખીતું છે કે ઉતાવળ થાય, આજકાલ ઘણાને લાગે છે એમ જોડણી અને વ્યાકરણ પંચાત લાગે.

આમ આપણા જીવનમાં શબ્દો છે પણ સંકેતો ય છે. જીવન એ બન્નેથી ચાલે છે. એટલે, સંકેતવિજ્ઞાનની છતરી હેઠળ ભાષાવિજ્ઞાન આવી જાય છે એમ સમજી રાખવું બહુ જરૂરી છે.

સ્વિસ ભાષાવિજ્ઞાની ફર્ડિનાન્ડ દ સૉસૂર પછી ‘બાયોસૅમિયોટિક્સ’ વિકસ્યું છે – ધરતી પરના જીવોનું વિજ્ઞાન અને સંકેતવિજ્ઞાન. એ દિશાનું ગહન વિજ્ઞાન. યાદ આવે છે કે સૅમિયોટિક્સનો નિર્દેશ મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં મેં ૧૯૮૬માં કરેલો; એ પછી આજે કર્યો. નથી ખબર કે બાયોસૅમિયોટિક્સની વાત વીગતે ક્યારે ય કરી શકીશ કે કેમ.

ત્રણ બાબતો નૉંધપાત્ર છે : ૧ : દરેક મનુષ્ય સંકેતપરક સ્વતન્ત્રતાને લાયક છે : ૨ : સંકેતપરક સ્વતન્ત્રતાનો અર્થ જ એ કે હું ગમે એ વસ્તુને સંકેતક બનાવી શકું અને તેમાં મારી મરજી મુજબનો સંકેતિત આરોપી શકું : ૩ : એટલું જ નહીં, અન્યોએ આકારેલા સંકેતકોને પણ હું સ્વેચ્છાએ સ્વીકારું.

પણ એ ત્રણ બાબતોને કારણે દુ:ખદાયી પ્રશ્નો જન્મે છે. પેલો મનુ મંગેશકર બાંયો ચડાવીને મને ધમકાવી શકે – શી રીતે સફેદ રંગ શુભમંગળ છે? અમે લોકો તો એથી શોક અને રુદન સમજીએ છીએ. મનુ મારવાડીને હું પૂછી શકું – છેલબટાઉવેડા એટલે શું? વ્યાખ્યા આપ ! સ્ટીવન્સનને કહી શકું – તમે હાળા અમેરિકનો દુનિયાને શસ્ત્રો વેચો છો તે ખોપરી-હાડકાના દૃશ્યથી શેના ડરો, સમજાય છે મને.

ધર્મયુદ્ધો, ક્રુસેડ્સ, વર્ણ વર્ણ વચ્ચે ઝઘડા, કોમો વચ્ચે હુલ્લડો, જાતિઓ વચ્ચે ઘર્ષણ, લડાઈઓ અને યુદ્ધો થયાં છે એમાં પ્રજાઓએ સંકેતપરક સ્વતન્ત્રતાનો દુરુપયોગની હદે ઉપયોગ કર્યો છે. ઇતિહાસમાં અનેક દાખલાઓ મોજૂદ છે : વર્ણભેદ – વર્ણો અને દલિતો. જાતિભેદ – હિન્દુ અને મુસ્લિમ – નાઝિ અને યહૂદી, રંગભેદ – નિગર અને વ્હાઇટ …

સંકેતપરક સ્વતન્ત્રતાનો દુરુપયોગ થવાનાં અનેક કારણો છે. મુખ્ય કારણ એ છે કે સંજ્ઞાઓને જે કોઈ અર્થ સૌ પોતપોતાના સ્વાર્થ અનુસાર ચૉંટાડે છે કેમ કે અર્થ તો બહાર જોઈએ તેટલા અને તેવા મળી રહેતા હોય છે.

આપણા કેટલાયે અધ્યાપકો અને વ્યાખ્યાનકારો અર્થ બાબતે આવી જ દોડ લગાવતા હોય છે. હાથ પરના વિષયમુદ્દાને હડસેલીને વિશ્વયુદ્ધો, ટૅક્નોલૉજિ, પશ્ચિમની સંસ્કૃતિ, સૅક્યુલારિઝમ, આધુનિકતાવાદ વગેરે દિશાઓમાં ઊડવા લાગે છે !

સંકેતવિજ્ઞાનનો આ કેન્દ્રવર્તી સૂર ધ્યાનમાં લેવાની જરૂરત છે : શબ્દ કે સંકેતો કે સંજ્ઞાઓ અર્થ લઇને નથી જન્મ્યાં હોતાં : જેમ કે, હું ‘ગાય’ કહું તેમાં, એ માતા છે, પવિત્ર છે, એના શરીરમાં બધા દેવો વસે છે વગેરે અર્થો સંભર્યા નથી હોતા. મીનિન્ગ, ઇન-બિલ્ટ નથી. પણ એક બોલ્યો, બીજાએ સ્વીકાર્યું, એ સ્વીકારની દીર્ઘ પરમ્પરા બની, અને એ ચૉંટાડેલો અર્થ જ સૌને ‘સહજ’ લાગવા માંડ્યો ! પણ હકકીત જુદી છે. ખરેખર તો ‘ગાય’-નો એ અર્થ સમયાન્તરે અને કેટલા ય સાંસ્કૃતિક તત્ત્વો તેમ જ પરિબળોનું ફળ છે. એટલે એનો આંખો મીંચીને સ્વીકાર ન કરાય. કોઈ પણ શબ્દ કે સંકેત કે સંજ્ઞાનું પાછલે પગે ચાલતા જઈને કાળજીથી વિશ્લેષણ કરવું જોઈએ. 

રોલાં બાર્થ જેને ‘રીવર્સલ’ કહે છે તે છે એ.

એટલે, બધા સંકેતવિજ્ઞાનીઓ સૂચવે છે કે દરેક સંકેતક અને સંકેતિતનું તથા કોઈ પણ સૅમિયોસિસનું એ સ્વરૂપનું વિશ્લેષણ કરો.

એ વિશ્લેષણને સૅમિયોટિક ઍનાલિસિસ કહેવાય છે.

એ વિશે હવે પછી…

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1431,1441,1451,146...1,1501,1601,170...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved