Opinion Magazine
Number of visits: 9564239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાનનો રિયાઝ -3 – પંડિત કુમાર ગાંધર્વનું કબીરગાન

અમર ભટ્ટ|Opinion - Opinion|8 April 2023

આજથી પંડિત કુમાર ગાંધર્વ જન્મશતાબ્દી વર્ષ શરૂ થાય છે. આ નિમિત્તે તેમણે ગાયેલાં કબીરનાં બે પદો પરનો ‘વિશ્વવિહાર’માં ૨૦૧૮માં પ્રકાશિત મારો લેખ વહેંચતાં અત્યંત આનંદ થાય છે. કવિ-કલાકાર ક્યારે ય જતો નથી. હરીન્દ્ર દવેના શબ્દો સહેજ બદલીને કહું – 

‘થોડોક ગાનમાં છું, થોડો સ્મરણમાં છું

સંકેલ્યો શ્વાસ દેહે, સ્વજન હું નથી ગયો’.

મને ખૂબ સ્પર્શી ગયેલી કુમારજીની બે રચનાઓની લિંક આ સાથેના લેખમાં છે.

— અમર ભટ્ટ

—— 

‘સપ્તક’ શાસ્ત્રીય સંગીત સંમેલન (પહેલીથી તેરમી જાન્યુઆરી 2018) દરમિયાન એક સાંજે અગ્રગણ્ય શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમાર ગંધર્વ (જન્મ : 8/4/1924, અવસાન :12/1/1992) ઉપર એક ફિલ્મ પ્રદર્શિત થઇ – ‘હંસ અકેલા – કુમાર ગંધર્વ’. એકે ક્ષણ ગુમાવવાનું મન ન થાય એવી સુંદર ફિલ્મ્સ ડિવીઝનની આ દસ્તાવેજી ફિલ્મ યુ ટ્યુબ પર પણ છે (https://youtu.be/Fv4ynjy8m04). 1947થી લગભગ પાંચસાત વર્ષ ટી.બી.ની જીવલેણ બિમારીને લીધે ફેફસાં પર વધુ શ્રમ ન પડે માટે ડૉક્ટરોએ એમને ગાન બંધ કરવાની સલાહ આપી હતી અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા સૂચવ્યું હતું, એટલે એ મધ્ય પ્રદેશમાં દેવાસમાં વસવાટ કરતા હતા. ગાન બંધ થયું પણ મૌનવાસ દરમિયાન ‘કાનનો રિયાઝ’ અને નિર્ગુણ સ્વરૂપનો વિચાર સતત ચાલતો રહ્યો. કુદરતનું સંગીત, પક્ષીના અવાજ, પવનનો સૂસવાટ, ફકીરોનું ગાન, ત્યાં લોકસંગીતમાં ગવાતાં કબીરનાં પદો – આ બધું જ – કુમારજીએ મૌન રહીને ગ્રહ્યું. 1952માં ભારતમાં ટી.બી.ની દવા પ્રાપ્ય બનતાં એમનો ઈલાજ શક્ય બન્યો. ગાન પુનઃ શરૂ થયું. કબીરનાં નિર્ગુણી ભજનો એમણે સ્વરબદ્ધ કરીને પોતાના કાર્યક્રમોમાં રજૂ કરવા માંડ્યાં અને એ રીતે પરંપરાથી ઉફરા જઈને શબ્દ અને સંગીતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. ફિલ્મનું નામ યથાર્થ રીતે કબીરસાહેબના એક પદ ઉપરથી છે – ‘ઉડ જાયેગા હંસ અકેલા’.

આજે કુમારજીએ ગાયેલાં કબીરનાં બે પદો વિષે વાત કરવી છે. એક છે – ‘ઝીની ઝીની બીની ચદરિયા’ (https://youtu.be/cNl_pK0u9-k) અને બીજું છે – ‘સુનતા હૈ ગુરુજ્ઞાની, ગગનમેં આવાજ હો રહી ઝીની ઝીની’ (https://youtu.be/ordi4e72nVY). બંનેમાં ‘ઝીની ઝીની’ શબ્દપ્રયોગ છે. એકમાં ચાદર વણવા માટે અને બીજામાં ગગનગેબી અવાજ માટે. ગાન સાથે માત્ર તાનપુરા અને તબલાં છે, હાર્મોનિયમની સંગત નથી.

પ્રથમ પદમાં કબીર એમનો વણાટકામનો અનુભવ કવિતામાં લાવે છે. કહે છે કે કુમારજીએ વણાટકામની સાળનો લય સાંભળીને આત્મસાત કર્યો અને એ લય આ પદમાં છે. (કવિ-કલાકારોને ક્યાં ક્યાંથી લય મળે છે? ઉમાશંકર જોશીનાં ‘નિશીથકાવ્યો’માં મુંબઈની લૉકલ ટ્રૅનનો લય છે.) સાત માત્રાનો અનોખો તાલ છે – પણ એ સાત માત્રાનો પરંપરાગત વાગતો રૂપક તાલ નથી કે નથી એમાં ભરી ભજન ઠેકાનો દીપચંદી. ‘ચદરિયા’ શબ્દનું સ્વરાંકન ઝીણવટથી સાંભળીશું તો એમાં – ‘સા’ અને ‘કોમળ રે’ – નાનકડી તાન રૂપે સાથે લીધા છે ને એ રીતે સૂરની ચાદર વણી છે. અંતરામાં ‘ઈંગલા પિંગલા’માં સહેજ ચઢેલો ‘કોમળ ધૈવત’ – બે ધૈવત વચ્ચેનો કોઈ સ્વર – જરૂર ધ્યાન ખેંચે છે. હાર્મોનિયમના શુદ્ધ ધૈવત અને કોમળ ધૈવતની વચ્ચેનો કોઈ ધૈવત, હાર્મોનિયમમાં ક્યાંથી મળે? વળી કોમળ ધૈવત ચઢેલો ને એની સંગતિમાં તાર સપ્તકનો કોમળ રિષભ (રે) પણ. (એક ઉલ્લેખ કરવાનું મન થાય છે – કવિવર ટાગોર અને ગાનસરસ્વતી કિશોરી અમોનકર પણ સંગત માટે હાર્મોનિયમ પસંદ નહોતાં કરતાં.)

બીજું પદ છે ‘ગગનમેં અવાજ હો રહી ઝીની ઝીની’. નરસિંહનું ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જરૂર યાદ આવશે. ‘અવાજ હો રહી’ ના શુદ્ધ સ્વર પછી ‘ઝીની ઝીની’ કોમળ ધૈવત પર કેવી સુંદર રીતે લીધું છે અને ‘ઝીની અવાજ’નો ભાવ પ્રદર્શિત કર્યો છે! કેરવા તાલનો એકધારો ઠેકો, ગાનમાં ‘હો જી’ના પ્રયોગથી પ્રગટ થતી લોકસંગીતની મસ્તી અને કબીરના શબ્દોમાં ને કુમારજીના ગાનમાં વ્યક્ત થતી બ્રહ્માંડનાં રહસ્યોની ખોજ, બે સ્વરો વચ્ચેના અવકાશમાં રહેલા કોઈ સ્વરની શોધમાં થઇ રહેલી સાંગીતિક યાત્રા આપણને જુદા જ સ્તરે લઇ જાય છે.

‘ઝીની ઝીની’ પ્રયોગ અન્ય કેટલી કવિતાઓની યાદ અપાવે છે – રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર -(મીરાંબાઈ), જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે – (અખો), ઝીણા ઝરમર વરસે મેહ કે ભીંજે મારે ચૂંદડલી (ન્હાનાલાલ), ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં (અનિલ જોશી) …

જેમ એકમાંથી બીજી કવિતામાં તેમ જ એકમાંથી બીજા ગીતમાં સરી પડવું ગમે છે. કુમારજીની અસરમાં મેં આપણી ભાષાનાં કેટલાંક કાવ્યો સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો – અમને ગુરુ મળ્યા છે ગરવા (મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’), વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે (મકરન્દ દવે), ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી (રાજેન્દ્ર શાહ) – પણ જ્યારે ગાવા જાઉં ત્યારે કુમારજીનું ગાન યાદ આવે છે અને સાથે સાથે ટાગોરની આ કવિતા પણ –

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક્ થઇને સાંભળી રહું છું તમને. એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યો ય જડતો નથી .. મારી ચોતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’

ઓમકારનાથ ઠાકુરે કહ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોકસંગીતમાં છે. કુમારજીનાં આ પદોમાં શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતનું ઐક્ય સાંભળો, નાદબ્રહ્મ અને શબ્દબ્રહ્મનો શુભયોગ માણો. આપણે આ ‘ગાંધર્વગાન’ને ‘મૌનના ટહુકા’ કહીશું? ‘આદિલ’ મન્સૂરીનો શેર છે –

‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,

જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે’.

(પ્રગટ : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018)
e.mail : amarbhatt@yahoo.com

Loading

ઘાંઘો રાજકીય અગ્રવર્ગ અને બિનપપ્પુ રાહુલ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 April 2023

પરિપ્રેક્ષ્ય

રાહુલ ગાંધીની પદયાત્રાએ રાજનીતિથી અલગ વિચારનો

એક સંકેત સર્જે છે એમાં શંકા નથી

પ્રકાશ ન. શાહ

દેશ એક વિલક્ષણ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. એક એવો દોર, જેમાં નાયકો હારણ હાંફળાફાંફળા દીસે છે, અને કદાચ ખુદના કહ્યામાં યે પૂરતા નથી. સરકાર સંસદને ચાલવા દેવા અગર ચલાવવા બાબતે નિરુત્સાહ હોય એ આજકાલ લગભગ રોજનું ચિત્ર છે. અને ગૃહ કામકાજ ન કરી શકે એવા સંજોગો સરજાતા રહે એમાં એને સિદ્ધિ તેમ કદાચ સલામતિ પણ વરતાય છે : ચાહે તો રાહુલનું કથિત માફી પ્રકરણ હો કે, પછી અદાણી મામલે સંયુક્ત સંસદીય સમિતિની માંગ. ગૃહ ન ચાલે એથી રૂડું શું. એવી સમજે હમણાં તો આપણો રાજકીય – શાસકીય અગ્રવર્ગ બરોબરનો લાંગરેલો છે.

લંગર છોડ્યા વગરની આ જે હલેસામાર, એની વચ્ચે હવે એક બિનપપ્પુ રાહુલ ગાંધીનો ઉદય થઈ રહેલો માલુમ પડે છે. 2024નો કોઈ તરણોપાય એ હશે કે છે એમ તો નહીં પણ સત્તાપક્ષને આજે નેતૃત્વના કરિશ્માની રીતે, સંગઠનની શક્તિની રીતે અને સાધનસંપત્તિની રીતે જે બેહિસાબ સવલત છે તે છતાં એની હાલત ગિજુભાઈની વળતા માંહેલા પેલા પાપ જેવી છે કે કોઈથી નહીં પણ ઢાબા ટબુકલાથી તો બીઉ જ બીઉ. નિરાશાવશ આડેધડ જે ભીંતપછાડ એનો તરોતાજા દાખલો તે છેક નીચલી કોર્ટે રાહુલને યદ્વાતદ્ધા અલબત કથિત કાનૂનન વાંકમાં ઠરાવ્યા એ સાથે લોકસભામાંથી તત્ક્ષણ શી રૂખસદનો મામલો. રાહુલ ગાંધીએ સંસદનું સત્તાવાર નિવાસ છોડવાની જાહેરાત કરી ન કરી અને સત્તાવર્તુળો ચીખતાં રહ્યા : અપીલમાં કેમ નથી જતા? ગહરાઇ નહીં પણ ઘાંઘાઈનો એ સાક્ષાત્કાર હતો. કેમ કે સામું પાત્ર ધારી સ્કિપ્ટ મુજબ ચાલતું ન હોય એવી એ ઘાટી હતી.

રાહુલ ગાંધીના બિનપપ્પુ અવતારને તમે પૂર્વવત્‌ હસી કાઢી શક્તા નથી તો એ પણ સાચું છે કે, પદયાત્રા સાથે એમની જે પ્રતિમા ઊંચકાઇ છે એની સામે કૉંગ્રેસની નીતિરિતિ હજુ કુંડાળાની બહાર નીકળી નથી. શશી થરુરે મોવડી મંડળની અનિચ્છા છતાં પ્રમુખપદ માટે ઉમેદવારી કરી એ ઠીક જ થયું. પણ હજુ આ પક્ષના આલા કમાનને ખરેખરનો ને ખરાખરીને ઝંઝેડાટ અનુભવાતાં અનુભવાશે. ચોકીદાર છે એ સૂત્ર નહોતું ઊંચકાયું પણ અદાણી મુદ્દો ચોક્કસ જ પકડાયો છે. પણ શશી થરુરે હમણાં કહ્યું તેમ ભેરુબંધ મૂડીવાદ એક મુદ્દો જરૂર છે, મહત્ત્વનો પણ છે, પણ તે એકમાત્ર વિમર્શમુદ્દો નથી. ન હોઈ શકે.

આવા એકમાત્ર મુદ્દાવાર દરેક પક્ષને જે તે મનોવૈજ્ઞાનિક ઘડીએ ફાવતો ને ભાવતો આવતો હોય છે અને એમાંથી જ કોઈ એક સમજ અગર પરસેપ્શન પેદા થઈ ફળ પણ આપતી હોય છે. કેટલીક વાર એ જો કે, શેરબજારના સંવેદી સૂચક આંક જેવી પણ હોય છે. જેમાં તળ વાસ્તવ ઓછું અને વા વાયે નળિયું મળ્યું એમ ‘સેન્ટિમેન્ટ’ કામ કરી જતો હોય છે.

2014 અને 2019ના પરિણામોમાં તળ વાસ્તવ કરતાં “સેન્ટિમેન્ટ”નો હિસ્સો મુદ્દલ ઓછો નહોતો. અમેરિકામાં આગોતરી મંદી જોઈ શકનાર રઘુરામ રાજન અને વિશ્વમંદી વચ્ચે ભારતને મુકાબલે હેમખેમ પાર પાડનાર મનમોહન સિંહની આર્થિક સમજ સામે મોદીનોમિક્સનો પાયો કાચો હતો, પણ લાગણી ફુગાવો બેહિસાબ હતો.

ગાંધીનેહરુપટેલની સ્વરાજ ત્રિપુટીના વારસામાં ઝોકફેર સધાયેલ એકંદરમતી અને ભાવપટ, નેહરુના વડાપ્રધાનકાળના ગાળામાં સધાયેલ સહમતી. જયપ્રકાશના આંદોલને સરજેલ મનોવૈજ્ઞાનિક વાયુમંડળ એ એકંદરે નરવાનક્કુર દોર પૈકી હતા.

આ લખતાં સહજપણે સાંભરી આવ્યું કે, ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ તો છૂટી ગયો, અને તે પણ સહજ જ ! એમની અપીલ ક્યારેક ખાસી ચાલેલી પણ કટોક્ટીરાજના અનુભવે આપણી સામે એમની કંઈ નહીં તો પણ એક એવી છબિ ઊભી કરી જે દેશને બંધક બનાવનારી અને એથી પણ વધુ તો ધ્રુવીકૃત કરનારી (પોલરાઇઝિંગ) હતી. કંઈક એવો જ અનુભવ. સમયફેરે, કદાચ આ દિવસોમાંયે થઈ રહ્યો છે. રાહલ ગાંધીની પદયાત્રાએ કોઈ પૂરા કદનું નવ્ય કથાનક કે વિવરણ (નેરેટિવ) પૂરું પાડ્યું ન હોય તો પણ ધ્રુવીકૃત ધોરણો ને વલણોમાં રાચતી રાજનીતિથી અલગ વિચારનો એક સંકેત સરજ્યો છે એમાં શંકા નથી. રાહુલ ગાંધીની પદયાત્રાએ જગવેલ સ્પંદનો-બિનકાઁગ્રેસી રાજ્યોમાં જગવેલ ઉમળકો – અને બધાં હમણાં નિર્દેશ્યાં તે પ્રાદેશિક વલણો મળીને આખો એક વૈકલ્પિક કથાપટ, ભલે પરસેપ્શન પૂરતો પણ આપી તો શકે.

નાગરિક કર્મશીલ અને અભ્યાસી
e.mail : Prakash.nireekshak@gmail.com
(પ્રગટ : “દિવ્ય ભાસ્કર”)
[મુદ્રાંકન :  હિદાયત પરમાર]

Loading

પાંચ ગઝલ

"પ્રણય" જામનગરી|Poetry|7 April 2023

(1)

એ પછી પણ કૈં જ નહિ              

     કેટલી લાંબી મથામણ !  એ પછી પણ કૈં જ નહિ !

     ગામ આખાની ભલામણ, એ પછી પણ કૈં જ નહિ !

     આ હવનકુંડે હ્રદયનું આયખું સ્વાહા કર્યું,

     શ્વાસ ઓર્યા મેં સવા મણ, એ પછી પણ કૈં જ નહિ !

     રત્ન નહિ તો છીપ ખાલી, શંખલા એ’કાદ-બે,

     ડ્હોળી નાખ્યો મેં મેરામણ, એ પછી પણ કૈં જ નહિ !

     એક- બે આંસુ નથી ખર્ચ્યા તને સમજાવવા,

     ભીની થઇ ગઇ સાવ પાંપણ, એ પછી પણ કૈં જ નહિ !

     જાણી મનનો વ્હેમ – એને ભૂલવા માંડો  ‘પ્રણય’

     જાય કોરો સાવ શ્રાવણ ! એ પછી પણ કૈં જ નહિ !

   17-05-2005
   (પ્રગટ : “કવિતા”; 31-07-2005)
•••

 (2)

બાથમાં આવે નહીં

    ખૂશ્બુઓ તો કોઇના યે હાથમાં આવે નહીં

    જિન્દગીભર કોઇ પણ સંગાથમાં આવે નહીં.

    દેહથી આગળ જવાથી પ્રેમ જેવું લાગશે,

    છે ઘણું એવું અહીં – જે બાથમાં આવે નહીં.

    હોય લખવી જો ગઝલ – તો ભાવ ઘૂંટાવા જ દે,

    મૌજ આવે છે ગઝલમાં – પ્રાસમાં આવે નહીં.

    હોય તારી એ જ ઈચ્છા, તો કશો વાંધો નહીં,

    જિન્દગી મારી ભલે અજવાસમાં આવે નહીં.

    તો સમજજો – કે નથી લાયક તમે જળને અહીં,

    જો તલબ જેવું કશું પણ પ્યાસમાં આવે નહીં.

    તો સમય થોડોક અંગત ક્ષણ મહીં પણ ગાળજો,

    જો મજા તમને ‘પ્રણય’ – અહીં ઘાસમાં આવે નહીં.

15-12-2002   
(પ્રગટ : “તાદર્થ્ય”)
•••

(3)   

અળગો થઉં તો ક્યાં !

     ઘરમાં રહું તો ક્યાં લગી-બાહર જઉં તો ક્યાં ? 

     થાક્યો છું હું તન્હાઈથી – જીવતો રહું તો ક્યાં ?

     આખી ય જિન્દગી નડી લાચારસંહિતા,

     મારી રીતે હું શ્વાસ પણ-આહીં લઉં તો ક્યાં ?

     ખડકાળ છે તમા મ- અહીં જે સંબંધ છે,

     જળ જેમ રોજ રોજ અહીં હું વહું તો ક્યાં ?

     સીધી રીતે કદી ય મને અવગણ્યો નહીં,

     એનાથી કોઇ પણ રીતે અળગો થઉં તો ક્યાં ?

     છે જર્જરિત સાવ અમારું ય ઘર અહીં,

     મારા હ્રદયની લાગણીઓ  – પાથરું તો ક્યાં ?

     હર કોઈને ‘પ્રણય’ ન કહી એ શકું કદી,

     એવી એ વાત હોય કહેવી -ક હું તો ક્યાં ?

24-12-2002
(પ્રગટ : “તાદર્થ્ય”)
પુન:લેખન : 02-06-2004)
•••

(4)    

મનને જો …              

      વીતી ગયેલ પળ ફરી ઉઘાડીએ છીએ

      જામી ગયેલ ધૂળને ઉડાડીએ છીએ !

      જંપી ગયેલ જીવને ઢંઢોળીએ છીએ,

      પોઢી ગયેલ પ્યાસને જગાડીએ છીએ.

      ખૂંદી વળીએ મનથી ધરા રજરજે લગી,

      મુઠ્ઠીમાં આસમાનને ઉગાડીએ છીએ.

      માટી ધસી પડે છે ફરી ભેખડો બની,

      મનને જો કોઇ વાતમાં લગાડીએ છીએ.

     આપી શકે ન તું ય સજા – એ ય છે સજા,

     હાથે કરીને જિન્દગી બગાડીએ છીએ.

     ઠોકર હજારવાર ‘પ્રણય’ – એ રીતે મળી,

     બહુ જાળવીને પગ હવે ઉપાડીએ છીએ.

07-04-2008
(પ્રગટ “તાદર્થ્ય”, એપ્રિલ-2012)
•••

(5)   

થયો

       આપનો હમદમ થયો

       એક માણસ કમ થયો !

       એ સમય – જાણે સમય,

       – જે ખુશી કે ગમ થયો.

       તારો-મારો સંગ પણ,

       ફૂલની મોસમ થયો.

       સૂર્ય પ્હેલાનો સમય,

       જો થયો-શબનમ થયો.

       હું ‘પ્રણય’ લાચાર છું,

       એમનો હુકમ થયો.

(પ્રગટ : “તાદર્થ્ય”; એપ્રિલ-2012)

Loading

...102030...1,1411,1421,1431,144...1,1501,1601,170...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved