Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૭) 

સુમન શાહ|Opinion - Literature|15 May 2023

હવે, કુન્તક  —

એમનો સમય છે, ઇ.સ. દસમા શતકનો અન્ત અને અગિયારમા શતકનો પ્રારમ્ભ.

એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘વક્રોક્તિજીવિત’. (આત્મારામ ઍન્ડ સન્સ, દિલ્લી દ્વારા પ્રકાશિત પ્રથમ સંસ્કરણ, ૧૯૫૫)

સુમન શાહ

કુન્તક મને એ કારણે ગમે છે કે રાજશેખરની જેમ તેઓ કાવ્યપદાર્થને વાસ્તવની ભૉંય પર મૂકીને જુએ છે અને તેનું સ્વરૂપ વર્ણવે છે. કાવ્યસર્જનને રાજશેખર ‘કાવ્યનિર્માણ’ કહીને ‘નિર્માણ’ પદાર્થને આગળ કરે છે તેમ કુન્તક એને ‘કાવ્યબન્ધ’ – પોએટિક કૉમ્પોઝિશન – કહીને ‘બન્ધ’ તત્ત્વને આગળ કરે છે.  બન્ને સંજ્ઞાઓથી એમ સૂચવાય છે કે કવિએ હકીકતમાં કાવ્યનું નિર્માણ કરવાનું; કાવ્યમાં શબ્દોની ગોઠવણી, વિન્યાસ, કાળજી કરીને કરવાનો અને તેનો બન્ધ બાંધવાનો.

મને ગમવાનું બીજું કારણ એ છે કે કુન્તક કૃતિની ભાષાની વાત કરે છે, એથી સંભવતા રસાનુભવની નહીં; કેમ કે કોઈ પણ કૃતિ ભાષાની બનેલી હોય છે, એ એક ભાષિક હસ્તી હોય છે, જેને આપણે લિન્ગવિસ્ટિક ઍન્ટિટી કહીએ છીએ. અને તેઓ સમજાવે છે કે વક્રોક્તિ નામના અલંકારતત્ત્વને કારણે કૃતિની ભાષા સાહિત્યિક બને છે, જેને આપણે લિટરરી લૅન્ગ્વેજ કહીએ છીએ.

મને એમની વાણીમાં સૂક્ષ્મ એવા વ્યંગનો પણ ભાસ થયો છે : આપણે સમજવા માગીએ કે કાવ્યબન્ધ શું છે, તેનું ફળ શું છે. તેઓ કહે છે, કાવ્યબન્ધ સમુત્પન્નોના, એટલે કે, સરખી રીતે પેદા થયેલાઓના, (હું આવું ગુજરાતી કરતો જઈશ), હૃદયને આહ્લાદિત કરનારો અને કોમળ મૃદુ શૈલીથી કહેવાયેલો ધર્માદિ સિદ્ધિઓનો, એટલે કે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર સિદ્ધિઓનો, માર્ગ છે.

કુન્તક સમુત્પન્ન કોને ગણે છે? અભિજાતાનામ્ – એટલે કે, ઉચ્ચ કુળમાં જનમેલાઓને, રાજપુત્રોને. સમુત્પન્નો ધર્માદિ સિદ્ધિઓ ઇચ્છે છે ખરા પણ ક્લેશથી, એટલે કે, તે માટેના જરૂરી પરિશ્રમથી, ડરતા હોય છે. કેમ કે સ્વભાવે સુકુમાર હોય છે. એટલે બને છે શું? કુન્તક જણાવે છે કે એઓના હૃદયને કાવ્યબન્ધથી આહ્લાદ (અહીં, ખુશી) જરૂર મળે છે પણ એ પ્રકારે કાવ્ય તો એક ક્રીડનક બની જાય છે – રમકડું !

સુકુમારમતિ પરિશ્રમહીન રાજપુત્રાદિક પર અહીં પ્રહાર છે, પણ પરોક્ષપણે કુન્તક એમ સૂચવે છે કે આહ્લાદ અને કાવ્યથી મળનારી અન્ય સિદ્ધિઓ માટે ભાવકે પરિશ્રમ કરવો અનિવાર્ય છે.

વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ, પ્રસિદ્ધ કથનથી ભિન્ન પ્રકારની વિ-ચિત્ર વર્ણનશૈલી.

કુન્તકનું મન્તવ્ય છે કે વક્રોક્તિ તત્ત્વત: અલંકાર છે. શબ્દ અને અર્થ બન્નેનો અલંકાર વક્રોક્તિ છે.

મને ઉમેરવાનું સૂઝે છે કે બધા અલંકારોમાં વક્રોક્તિ-તત્ત્વ હોય જ છે, ભાષાનું એક પ્રકારનું, વાંકાપણું, જે આપણને બાંકે બિહારીલાલમાં ભળાય છે; બંકિમા, જે આપણે બીજના ચન્દ્રની માણીએ છીએ.

મને ગમવાનું સૌથી મોટું કારણ એ છે કે કુન્તક વર્ણથી શરૂ કરીને પ્રબન્ધ સુધીના સમગ્ર કૃતિદેહમાં વક્રોક્તિતત્ત્વને એક રસાયન રૂપે જુએ છે અને તે દરેકનાં સ્વરૂપ અને કાર્યને વીગતે ચર્ચે છે.

આપણને જ્ઞાન છે કે શબ્દ વર્ણથી, અક્ષરથી, બન્યો હોય છે. કુન્તક વર્ણથી શરૂ કરે છે અને સૌ પહેલી વાત કરે છે, વર્ણવિન્યાસવક્રતાની.

શબ્દ વાક્યમાં પ્રયોજાય નહીં ત્યાં લગી માત્ર શબ્દ જ હોય છે; સંભળાય ત્યારે ધ્વનિરૂપે, વંચાય ત્યારે ચિત્રરૂપે. બાકી, કોશમાં પડી રહ્યો હોય ! પણ શબ્દને ‘પ્રત્યય’ લાગે ત્યારે શું થાય છે? વ્યાકરણ અનુસાર, જેને પ્રત્યય લાગ્યો તે હવે ‘પ્રકૃતિ’ છે અને પ્રકૃતિ + પ્રત્યયથી શબ્દનું જે સ્વરૂપ પ્રગટ્યું તે ‘પદ’ છે. કુન્તક પદના પૂર્વ ભાગને, પદપૂર્વાર્ધને, બીજા ક્રમે મૂકે છે, અને તેને પદપૂર્વાર્ધવક્તા કહે છે.

હવે જો પદપૂર્વાર્ધની વક્રતા હોય તો ઉત્તરાર્ધની, એટલે કે, પ્રત્યયની કેમ નહીં? કુન્તક એને ત્રીજા ક્રમે મૂકે છે, અને તને પ્રત્યયવક્રતા કહે છે.

આપણને જ્ઞાન છે કે વાક્ય પદોથી બન્યું હોય છે. તો, એ ચૉથી વક્રતા છે, અને કુન્તક એને વાક્યવક્રતા કહે છે.

આપણને જ્ઞાન છે કે પરિચ્છેદ અથવા ફકરો કે આખું પ્રકરણ વાક્યોથી બન્યું હોય છે. તો, એ પાંચમી વક્રતા છે અને કુન્તક એને પ્રકરણવક્રતા કહે છે.

આપણને એ જ્ઞાન પણ છે કે સમ્પન્ન થયેલું આખું લેખન, એટલે કે, પ્રબન્ધ, પ્રકરણોથી બન્યું હોય છે, અને કુન્તક એને પ્રબન્ધવક્રતા કહે છે.

વર્ણ, પદપૂર્વાર્ધ, પ્રત્યય, વાક્ય, પ્રકરણ અને પ્રબન્ધ એ છ યે વક્રતાની વાત કુન્તકના શબ્દોમાં, હવે પછી …

શિલ્પાકારે ફ્રાઇ, ટૉરન્ટો યુનિવર્સિટીના પ્રાંગણમાં.

આ વિષયમાં મને કૅનેડિયન વિવેચક નૉર્થ્રોપ ફ્રાઇ (1912-1991) યાદ આવી ગયા. એમનો સુખ્યાત ગ્રન્થ છે, “ઍનેટૉમિ ઑફ ક્રિટિસિઝમ”, (1957). એમાં એમણે વિવેચન-પદાર્થ શું છે તેની અને ખાસ તો, વિવેચનદેહની ઍનેટૉમિ, એટલે કે, શરીરસંરચના-રચના, શું છે તેની નિરૂપણા કરી છે.

જ્યારે કુન્તક લેખન માત્રની, કૃતિદેહ માત્રની શરીરસંરચના-રચના શું છે તેની નિરૂપણા કરી ગયા છે, એટલું જ નહીં, લેખન માત્રનો સાહિત્યિક અવતાર શું હોઈ શકે તે દર્શાવી ગયા છે.

= = =

(05/15/ 23 : Ahmedabad)

(ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં ઉમાશંકર જોશી શિલ્પાકારે કે કશા પણ આકારે છે ખરા? કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રાંગણમાં સુરેશ જોષી શિલ્પાકારે કે કશા પણ આકારે છે ખરા? મોટાભાઓ ! મહેરબાની કરીને ‘સાહિત્યિક સંસ્કૃતિ’ સંજ્ઞાને અભડાવો ના! )

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પૂજારીમાંથી અબજોપતિ

સુરેશ જાની|Opinion - Opinion|15 May 2023

નરેન્દ્ર રાવલ

૧૯૭૪ના તે દિવસે ૧૩ વર્ષના નરેન્દ્રે જનમંગલ સ્તોત્રનું રટણ ૫૦૦મી વખત પૂરું કર્યું. આમ તો આ સ્તોત્રનાં રટણથી જીવનની વિટંબણાઓ દૂર થઈ જાય છે, એમ માનવામાં આવે છે, પણ નરેન્દ્ર માટે તો તે જરૂર કલ્યાણકારી હતું. ભુજના સ્વામીનારાયણ ગુરુકૂળમાં ૧૦૦ રૂ.ની ફી માંડ ભરી શકતા નરેન્દ્ર માટે ભાવિક ભક્તો માટે આ સ્તોત્ર વારંવાર ગાઈ, એમાંથી મળતી દક્ષિણાની રકમ   ગાડાનાં પૈડાં જેવડી મોટી હતી.  એ વખતે નરેન્દ્ર પાસે પહેરવાના જોડા પણ ન હતા. એક વખત તો વૈશાખના તાપથી તપેલી જમીન પર ચાલવાના ત્રાસથી છૂટકારો મેળવવા નરેન્દ્રે મંદિરના આંગણામાંથી જોડા પણ ક-મને ચોરવા પડ્યા હતા.

૧૯૬૧માં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં જન્મેલા નરેન્દ્રને જીવનના દસ વર્ષ તો કાંઈ તકલીફ પડી ન હતી. પણ કુટુમ્બ આર્થિક ભીંસમાં આવી જતાં તે દારૂણ ગરીબીમાં ફંગોળાઈ ગયો હતો. ભણતાં ભણતાં બ્રાહ્મણ સંસ્કારોને કારણે તેને મંદિરમાં પૂજારીને મદદ કરવાનું કામ મળી ગયું હતું. એમાંથી મળતા પગારના બળથી એનો ગુજારો થઈ જતો અને ઘેર ગામડે પણ તે નાની રકમ મોકલી શકતો હતો.

૧૯૭૮ની સાલમાં ત્યાંથી જ તો તેને કેન્યામાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં કામ કરવાની તક મળી ગઈ. નરેન્દ્ર નૈરોબી પહોંચી ગયો અને મહિને ૫૦/- $ ના માતબર પગારના જોર પર અડધા પાંદડે થયો! બે ત્રણ વર્ષે વતનની યાદ આવતાં તે દેશ પાછો ફર્યો, પણ મંદિરની નોકરી તો છૂટી જ ગઈ. ૧૯૮૧ની સાલમાં નસીબ અજમાવવા તેણે ફરીથી આફ્રિકા ગમન કર્યું અને નૈરોબીની નજીક આવેલ નકૂરુ ગામમાં સ્વામીનારાયણ મંદિરમાં પૂજા અને જ્યોતિષના સહારે રોજની ભૂખ ભાંગતો થયો. આ જ અરસામાં તેને કાશ્મીરી બ્રાહ્મણ કન્યા નીતા પંડિત સાથે પરિચય થયો જે પ્રણય અને ૧૯૮૨ માં  લગ્નમાં પાંગર્યો.

પરિણિત વ્યક્તિ સ્વામીનારાયણ મંદિરમાં પૂજાનું કામ ન કરી શકે, આથી નરેન્દ્રને મંદિર છોડવું પડ્યું . પણ એક ગ્રાહકની સહાયથી એને લોખંડના હાર્ડવેર વેચતી એક દુકાનમાં નોકરી મળી ગઈ. એમાંથી હવે એને બચત પણ થવા લાગી.

ધીમે ધીમે નરેન્દ્રના નસીબ આડેનું પાંડડું હટવા માંડ્યું. થોડાક વખત બાદ નૈરોબીના ગિકોમ્બા વિસ્તારમાં તેણે ‘સ્ટીલ સેંટર’ નામની  હાર્ડવેર  વેચવાની પોતાની નાની દુકાન શરૂ કરી. હવે એના ફળદ્રૂપ મગજમાં લોખંડના ધંધાની ગેડ બેસવા લાગી. વ્યાજબી ભાવ અને પ્રામાણિકતાના સબબે એની આવક વધવા માંડી. તેની નજર વધારે મોટા સાહસમાં ઝંપલાવવા દોડવા લાગી. આજુબાજુ રહેતી ગરીબ વસ્તીની દારૂણ હાલત જોઈ તેને થયું કે, લોખંડનાં પતરાં જો સસ્તાં બનાવી શકાય તો એ ગરીબ લોકો ઓછા ખર્ચમાં પોતાનાં ઝૂંપડાં બાંધી શકે.

૧૯૯૨માં જૂના ઘરાકો અને મિત્રો પાસેથી ઉછીની મૂડી અને બેંકમાંથી લોન લઈ નરેન્દ્રે એક ઔદ્યિગિક શેડ ભાડે રાખ્યો અને પતરાં રોલ કરવાનું એક સેકન્ડ હેન્ડ મશીન લોન પર લઈ આવ્યો. એ જ શેડના એક નાના રૂમમાં પતિ પત્ની રહેવા લાગ્યાં અને થોડાક કારીગરો રાખી પતરાં રોલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતના છ મહિના તો તેમને પગાર પણ આપી શકાતો ન હતો, પણ એક પ્રામાણિક માણસ અને ગુરુ તરીકે તેની શાખના કારણે માણસો ટકી રહ્યા. નીતા ટ્રક ચલાવીને પેદા થયેલો માલ વેપારીઓના ગોદામમાં પહોંચાડવાનું અને હિસાબ કિતાબ રાખવાનું કામ કરતી હતી. પહેલા છ મહિના તો મોટી કંપનીઓ સાથે હરીફાઈમાં ઊતરવું સહેલું ન હતું . માલ ખાસ વેચાતો જ ન હતો અને ગોદામમાં માલનો ભરાવો થતો જતો હતો.

પણ એકાએક લોખંડના ભાવમાં અભૂતપૂર્વ તેજી આવી અને એનો માલ બહુ બહોળા નફા સાથે વેચાવા લાગ્યો. બધું દેવું ચૂકવાઈ ગયું, અને ધંધો હવે પૂરઝડપે પ્રગતિ કરવા લાગ્યો.

બસ … એ ઘડી અને નરેન્દ્રે પાછું વાળીને જોયું નથી. દેવકી સ્ટીલ ઇન્ડસ્ટૃી અત્યારે કેન્યામાં સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની ગણાય છે. યુગાન્ડા, ઇથિયોપિયા અને કોન્ગોમાં પણ એનાં કારખાનાં ધમધમે છે. એના આ ઔદ્યોગિક સામ્રાજ્યમાં ૪,૦૦૦ લોકો કામ કરે છે. નિવૃત્ત થયેલા એના એક સાથીએ એની સહાયથી સ્ટીલનો વેપાર પણ શરૂ કર્યો છે. સામાજિક સેવાના કામોમાં નરેન્દ્રે લાખો ડોલરનાં દાન કર્યાં છે. નરેન્દ્ર એના જૂના સાથીઓને ભૂલી ગયો નથી. એમાંના ઘણા પણ હજુ એની સાથે છે. એમનાં બાળકોને નરેન્દ્રે શિક્ષણ અપાવ્યું છે. એ બધા એના કુટુંબીજનો જેવા બની ગયા છે.

૨૦૧૮ની સાલમાં તેમના મિત્ર અને સાથી કૈલાશ મોટાના સૂચન અને સહકારથી નરેન્દ્રે ‘ગુરુ’ નામની પોતાની આત્મકથા પણ લખી છે.

 સંદર્ભ –

https://en.everybodywiki.com/Narendra_Raval

http://www.coastweek.com/3837-Kul-Bhushan-Narendra-Raval-From-Priest-Palmist-and-Astrologer-to-Kenyan-Tycoon.htm

https://www.forbes.com/sites/mfonobongnsehe/2015/01/16/the-400-million-man-of-steel-who-said-no-to-africas-richest-man/#114054b25418

Video

https://www.youtube.com/watch?v=Cq8pFgRLkjE

https://www.youtube.com/watch?v=KfPBnTfy0aw

e.mail : surpad2017@gmail.com

Loading

માતા અને માતૃત્વ પર વાંચવા જેવાં પાંચ પુસ્તકો : “અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં” 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 May 2023

નારી શક્તિ પર સાહિત્યમાં જેટલું લખાયું છે એટલું માતૃત્વ પર લખાયું નથી. કદાચ એનું કારણ એ હશે કે માતૃત્વ નારીના અસ્તિત્વનો જ એક ભાગ ગણવામાં આવે છે. આવું વધારે તો ભારતીય ભાષાઓ છે. અંગ્રેજીમાં એવું નથી. ત્યાં માતા અથવા માતૃત્વને લઈને ખૂબ પુસ્તકો છે; ફિક્શન અને નોન-ફિક્શન બંને. આપણે ત્યાં હિન્દીમાં વાર્તાના કેન્દ્રમાં માતા હોય તેવાં પુસ્તકો ઠીકઠીક લખાયાં છે. ગુજરાતીમાં નારી ચેતના પર ઘણું વાર્તા સાહિત્ય છે, પરંતુ માત્ર માતાની ભૂમિકા જ કેન્દ્રમાં હોય તેવું સાહિત્ય ઓછું છે. છતાં, જે પણ લખાયું છે તે સુંદર અને યાદગાર છે. આવો, એવી પાંચ માતાઓ પર નજર નાખીએ :

૧. લોહીની સગાઇ – ઈશ્વર પેટલીકર

પેટલાદ નજીકના પેટલી ગામના ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ ઉર્ફે પેટલીકરનું નામ આવે એટલે સૌને તેમની સ્ત્રી પ્રધાન કાલજયી નવલકથા ‘જનમટીપ’ યાદ આવે તે સહજ છે. તેમાં ગુજરાતના શ્રમજીવી જ્ઞાતિ સામાજિક સંઘર્ષ અને નાયક-નાયિકાના અંતર સંઘર્ષની કથા છે. પેટલીકરની બીજી એટલી જ મહત્ત્વની ‘લોહીની સગાઇ’ ભારતીય કક્ષાએ ઇનામી ઠરેલી વાર્તા છે.

તેમાં એક માતાના તેની ગાંડી દીકરી સાથેના સંબંધનું માર્મિક ચિત્રણ છે. અમરતકાકી તેનું નામ. તેની એક દીકરી મંગુ જન્મથી જ ગાંડી છે. ગામલોકો તેને ગાંડાના દવાખાને ભરતી કરવાની સલાહ આપે છે. અમરતનો માતૃપ્રેમ કેવો છે તે વાર્તાના પ્રારંભે જ સ્પષ્ટ થઇ છે; “મંગુને ગાંડાનાં દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરતકાકીને આપતા ત્યારે તેમની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં અને દરેકને એ એક જ જવાબ આપતાં ‘હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય.’”

ગાંડી દીકરીના લાલનપાલનમાં માની મમતા કસોટીએ ચડે છે. અંતે, ગામમાં એક સ્ત્રી ગાંડપણમાંથી સાજી થઈને આવે છે તેમાંથી પ્રેરણા લઈને અમરત મંગુને દવાખાને મુકવા તૈયાર થાય છે. ઘરે આવ્યા પછી અમરતનનું દિલ મંગુની યાદમાં વ્યથિત રહ્યા કરે છે અને રાત સુધીમાં એ આત્મગ્લાનિ અને પસ્તાવો તેની પર એવો હાવી થઇ જાય કે માતા પોતે જ ગાંડી થઇ જાય છે. પેટલીકરે આ વાત એક યાદગાર અને મર્મસ્પર્શી વાક્યથી રીતે મૂકી હતી; “અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં.” આ વાક્ય આજે પણ ગુજરાતી વાચકોના હૈયે વસેલું છે. એક માતા દીકરીની જેમ ગાંડી થઈને તેની ‘નાત’ની થઇ જાય એ કેવો પ્રેમ!

૨. રેત સમાધિ – ગીતાંજલિ શ્રી

ગયા વર્ષે, સાહિત્યના નોબેલ કહેવાતા બૂકર પારિતોષિક મળવાના કારણે જગપ્રસિદ્ધ બનેલી હિન્દી લેખિકા ગીતાંજલિ શ્રીની નવલકથા આમ તો એક મધ્યમ વર્ગીય પરિવારની દિનચર્યા, સગાં-સંબંધીઓ, વાદ-વિવાદ, લગાવ-અલગાવ અને ઈચ્છાઓ-સપનાંનું ચિત્રણ કરે છે. એમાં એક દીકરી અને માના સંબંધની આસપાસ વાર્તા ફરે છે. 

નવલકથા 80 વર્ષની એક વૃદ્ધ ચંદ્રપ્રભા વિશે છે. તેના પતિનું અવસાન થઇ ચુક્યું છે. ચંદ્રપ્રભા ડિપ્રેશનમાં આવીને તેના ઓરડામાં ભરાઈ ગયેલી છે. તેનો દીકરો અને દીકરી તેને બહાર લાવવા મહેનત કરે છે. એમાં, પરિવારના આપસી સંબંધો પણ ઉજાગર થાય છે. એક દિવસ અચાનક ચંદ્રપ્રભાને પાકિસ્તાન જવાનો વિચાર આવે છે, અને ખાટલામાંથી ઊભી થઈને જતી રહે છે. બધા તેને શોધે છે, પણ ચંદ્રપ્રભા તેની જૂની યાદો, જૂની જગ્યાઓ અને જૂના સંબંધોની ખોજમાં સરહદ પાર જતી રહે છે. 

ચંદ્રપ્રભા મૂળ પાકિસ્તાનની ચંદા હતી અને ત્યાં તેના વિવાહ અનવર સાથે નક્કી થયા હતા, પરંતુ વિભાજન પછી તે ભારત આવીને ચંદ્રપ્રભા બનીને નવી જિંદગી શરૂ કરે છે. બે સંતાનોની મા, ચંદ્રપ્રભાએ તેનો વર્તમાન તો જીવી લીધો છે, પરંતુ કદાચ અતીત જીવવાનો રહી ગયો હતો. હવે તે પાછી ચંદા બનીને અનવરને શોધવા નીકળે છે. પ્રેમી તરીકે વિખૂટાં પડેલાં બંને મળે છે અને એકબીજાની માફી માંગે છે.

૩. મા – મેક્સિમ ગોર્કી

રશિયન લેખક મેક્સીમ ગોર્કીએ, ૧૯૦૬માં લખેલી ‘મધર’ નવલકથા આજે પણ વિશ્વસાહિત્યની મહાન કૃતિઓમાં ગણાય છે. એમાં એક એવી મહિલાના જીવનની વાત છે જે એક રશિયન કારખાનામાં કામ કરે છે અને ગરીબી તેમ જ ભૂખ સાથે સંઘર્ષ કરે છે. તેનો પતિ શરાબી છે અને તેની મારપીટ કરે છે અને દીકરાની સંપૂર્ણ જવાબદારી માતા પર નાખી દે છે. એ દીકરો પણ પિતાન જેમ શરાબી બની જાય છે પણ અચનાક ક્રાંતિકારી પ્રવૃતિઓમાં સામેલ થઈને જીવન બદલી નાખે છે. આ નવલકથામાં શોષિતોના ઉદ્ધારની અને મજદૂરોની ક્રાંતિની વાત છે. સાથે એક માતાની કરુણાની કથની પણ છે. ગુજરાતીમાં જયા ઠાકોરે ‘મધર’નો સરસ અનુવાદ કર્યો છે.

૪. હજાર ચૂરાશીર મા – મહાશ્વેતા દેવી

અમદાવાદની ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી વિભાગનાં પ્રોફેસર ડો. નિયતિ અંતાણી ‘સાહિત્યસેતું’ સામાયિકમાં લખે છે, “નક્સલવાદીઓનો દાવો હંમેશાં એવો રહ્યો છે કે તેમણે ગરીબ-શોષિત-વંચિત અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવ્યાં છે. સિત્તેરના દાયકામાં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદીઓ પર થયેલું સરકારી દમન એટલું આત્યંતિક અને ઘાતકી હતું કે નક્સલવાદી હોવાના આરોપસર ઘણા નિર્દોષ નવલોહિયા-આશાસ્પદ લોકોને પોલીસે નક્સલવાદી હોવાના આરોપસર ખતમ કરી નાખ્યા. ‘હજાર ચુરાશીર મા’ કથામાં મહાશ્વેતાદેવી એ ગાળાના બંગાળની વાત કરે છે. 1974માં લખાયેલી આ કથાનો વિષય નક્સલ પ્રવૃત્તિમાં સામેલ પુત્રના મૃત્યુ પછી પ્રવૃત્ત થતી માતાનું છે. તેનો નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. પિતા બાપ તેને ઓળખવાથી આઘો રહે છે પણ સુજાતા (મા) પાછી પડતી નથી.

5. માય લાઈફ ઇન ફૂલ – ઈન્દ્રા નૂઈ

12 વર્ષ સુધી પેપ્સીકોમાં સી.ઈ.ઓ. રહેનાર પ્રથમ ભારતીય મહિલા ઈન્દ્રા નૂઈની ‘માય લાઈફ ઇન ફૂલ’ આમ તો એક મહિલા તરીકે અમેરિકાની કોર્પોરેટની દુનિયામાં તેમની પ્રગતિની કથા છે, પરંતુ એક દીકરી તરીકે તેમની જીવનયાત્રામાં તેની માતાની ભૂમિકા શું હતી અને એક માતા તરીકે તેમની બે દીકરીઓનાં જીવનમાં ખુદની ભૂમિકા શું હતી તેનું સુંદર વર્ણન કર્યું છે. તેનો એક નાનકડો સુંદર કિસ્સો ઈન્દ્રાએ લખ્યો છે :

શુક્રવારે મોડી રાત સુધી હું ઓફિસમાં હતી. ડલાસથી સ્ટિવ(પેપ્સીકોના CEO સ્ટિવ રેઇનમન્ડ)નો ફોન આવ્યો કે મને પેપ્સીકોની પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે અને બોર્ડમાં સામેલ કરશે. હું સાતમા આસમાને પહોંચી ગઈ. ફટાફટ ઘરે જવા નીકળી. 10 વાગવા આવ્યા હતા. શિયાળાની રાતમાં રોડ સૂમસામ હતા. હું કિચનના દરવાજેથી ઘરમાં આવી અને ટેબલ પર મારી ચાવીઓ અને બેગ મૂકી.

મને બધાને સમાચાર કહેવાનું એક્સાઈટમેન્ટ હતું. ત્યાં મારી મા આવી. “એક જોરદાર સમાચાર છે,” હું લગભગ ચીસ પાડી બોલી.

“સમાચારને રાખ બાજુએ,” મા બોલી, “પહેલાં બહાર જા અને દૂધ લઇ આવ.”

હું ચાવી ઊઠાવીને કારમાં બેઠી અને એક માઈલ દૂર સ્ટોપ એન્ડ શોપમાંથી એક ગેલન દૂધ લઈ આવી. હું પાછી કિચનમાં આવી ત્યારે ગુસ્સામાં તમતમી ગયેલી હતી. મેં દૂધની બોટલ ધડામ કરતી ટેબલ પર પટકી.

“મને આજે જ પેપ્સીકોની પ્રેસિડેન્ટ બનાવવામાં આવી છે, અને તને સમાચાર સાંભળવાની ફુરસત નથી,” હું જોરથી બોલી.

“સાંભળ,” મા બોલી, “તું પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉ કે ગમે તે, તું જ્યારે ઘરે આવે ત્યારે પત્ની છું, માતા છું, દીકરી છું. ઘરમાં તારી જગ્યા બીજું કોઈ ના લે, એટલે ઘરે આવતી વખતે પેલો પ્રેસિડેન્ટનો મુગટ ગેરેજમાં મૂકીને આવજે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 14 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1391,1401,1411,142...1,1501,1601,170...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved