Opinion Magazine
Number of visits: 9458186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈરાદાપૂર્વક ભૂંસી નંખાયેલી સ્ત્રી સ્વપ્નદૃષ્ટા : સાવિત્રીબાઈનું સ્મરણ

દેબરતી મિત્રા • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|10 January 2023

આપણા દેશની શહેરી અને માલદાર વર્ગની વસ્તી માટે ૩ જાન્યુઆરીનો વર્ષાંતે આવતી રજાની ઋતુનો થાક અને આવનારા સપ્તાહોનાં કામના દિવસોના ભયથી વિશેષ કોઈ અર્થ નથી હોતો. સ્ત્રીઓનાં જીવન અને સદીઓથી બહિષ્કૃત જ્ઞાતિઓ માટે મહત્ત્વ ધરાવતી આ તારીખ અંગે દેશનો મહત્તમ હિસ્સો અજાણ હોય છે. સંભવિત છે કે આ લેખ વાંચતી જો તમે સ્ત્રી છો તો શિક્ષણ મેળવ્યાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત હતું. કોઈને પણ એવો પ્રશ્ન થાય છે કે આપણા રાષ્ટ્રના અત્યંત સ્તરબદ્ધ સમાજમાં સૌથી નીચલા સ્તરે જ્ઞાનનું પહોંચવું શક્ય કેવી રીતે થયું?

જવાબમાં ‘સમાજ સેવીઓ’, જે સામાજિક પ્રશ્નો સાથે સામાન્ય રીતે સંકળાયેલા હોય છે, મહદંશે એ ભૂમિકામાં પુરુષ હોવાની પૂર્વધારણા સાથે આપવામાં આવે છે. લોકોની સમાજ સેવીના ખ્યાલ સાથે બંધબેસતો, ભાગ્યે જ એ સ્ત્રીનો ચહેરો હોય છે, એમાં ય ખાસ કરીને સાડીમાં સજ્જ બાલિકાવધૂ. સાવિત્રીબાઈ ફૂલે એવું એક નામ છે જેમણે સમગ્ર જીવન કચડાયેલાંના ઉત્થાન અર્થે સમર્પિત કર્યું, પરંતુ મુક્તિ અને તેના વારસા માટેના લાંબા સંઘર્ષમાં ખોવાઈ પણ ગયું.

જન્મ-જયંતી પર સાવિત્રીબાઈનું સ્મરણ

સાવિત્રીબાઈનો જન્મ સતારા, મહારાષ્ટ્રના એક ગામમાં પછાત એવી માલીસ જાતિમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે એમનું લગ્ન જ્યોતીરાવ ફૂલે સાથે કરવામાં આવ્યું. પતિના સહયોગથી શિક્ષણ મેળવીને ૧૮૦૦ની સદીમાં સાવિત્રીબાઈ સૌથી વિશિષ્ટ સ્ત્રીઓમાંના એક બન્યાં. પતિ અને બે સ્ત્રી સહિયોગીઓ, શગુનાબાઈ અને ફાતિમા શેખ સાથે મળીને નીચલી જ્ઞાતિઓની છોકરીઓ અને વ્યક્તિઓને ભણાવવા માટે શાળાઓ શરૂ કરી. ૧૮૦૦ની સદીમાં વૈભવી ગણાતું શિક્ષણ ઉચ્ચ વર્ગના પુરુષો પૂરતું સીમિત હતું અને વેદો અને શાસ્ત્રો દ્વારા શિક્ષણ મેળવવું સ્ત્રીઓ તથા “નીચલી જાતિઓ” માટે પાપ મનાતું હતું.

શાળાઓ શરૂ કરવી, એ પણ સ્ત્રીઓ દ્વારા, ખૂબ કઠિણાઈભર્યું હતું. ના કેવળ એનો સખત વિરોધ થયો પરંતુ એના સ્થાપકોને અતિશય અપમાન અને હુમલાઓ સહન કરવા પડતાં. આમ છતાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ કોઈ શિક્ષણ મેળવી શકે એવું વાતાવરણ ઊભું કરવાની નેમને કારણે તમામ વિઘ્નો સામે એ ટકી શક્યાં. વિદ્યાર્થીઓ માટે માત્ર શાસ્ત્રોનો અભ્યાસ પૂરતો ના હોઈ શકે એવું માનતા સાવિત્રીબાઈને મક્કમ નારીવાદી ઉપરાંત સ્વપ્નદૃષ્ટા કહી શકાય. એ અંગ્રેજી શિક્ષણની તરફેણમાં હતાં કારણ કે એમના મત મુજબ જ્ઞાતિ વ્યવસ્થાનાં દૂષણોને મનમાંથી ધોઈ નાખવા એ સક્ષમ હતું. શિક્ષણ પ્રત્યે એમનો અભિગમ વ્યવહારુ હતો અને અન્ય વિષયોની સાથોસાથ ઔદ્યોગિક કામ અને રોજીંદુ કામ પણ શિખવાડી શકાય એવી ગોઠવણને પ્રોત્સાહિત  કરતાં.

વિધવા પુનર્લગ્ન શરૂ કરવા અને બાળલગ્ન અને દહેજ જેવાં સામાજિક દૂષણો નાબૂદ કરવાના હેતુથી પતિ સાથે મળીને સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજની સ્થાપના કરી. આંતર-જ્ઞાતિ લગ્નોને આ દંપતી ટેકો આપતાં અને માનતા કે મનુષ્ય સર્જિત જ્ઞાતિપ્રથાની બેડીઓ વ્યક્તિ પવિત્ર છે કે અપવિત્ર એ નક્કી કરવાનું માપદંડ હોઈ શકે નહીં. સાવિત્રીબાઈના મતે માત્ર સાચું શિક્ષણ મનુષ્યને બનાવી કે તોડી શકે અને જીવન જીવવાની નીતિ શિખવાડી શકે.

સાવિત્રીબાઈનો બીજો નમૂનેદાર સુધાર હતો બાળહત્યા પ્રતિબંધક ગૃહ જે એમણે પોતાના ઘરેથી જ આરંભ કર્યો જેમાં બાળહત્યાથી બચી ગયેલાંની સંભાળ તે લેતાં. અહીં બળાત્કાર પીડિતાઓનો આવકાર થતો અને કુંવારી માતાઓની સુવાવડ કુશળ અને સુરક્ષિત હાથોમાં થતી. જો શિશુની માતા એની સંભાળ લઈ શકે એમ ના હોય તો ગૃહમાં બીજા બાળકો જોડે મૂકીને માતાને જવાની છૂટ હતી.

સાવિત્રીબાઈના ઉપર દર્શાવેલા કાર્યો ભારતીય સમાજને એમણે આપેલી જીવન પર્યંતની ભેટોમાંનો અંશ માત્ર છે. આ લેખનો આશય એમની સિદ્ધિઓની યાદી બનાવી એમને યાદ કરવા લાયક બનાવવાનો નહીં, પરંતુ એમને ભૂંસી નાખવાના, ભૂલાવી દેવાના પ્રયાસોને પડકારવાનું માધ્યમ બનવાનો અને આ બાબત માટે જવાબદાર સામાજિક પરિબળોને સમજવાનો છે. એવું જોગાનુજોગ ન હોઈ શકે કે મોટા ભાગના ઇતિહાસનાં પુસ્તકોમાં એમને એમના પતિ જ્યોતીબા રાવ ફૂલેના સમાજલક્ષી કાર્યોની પશ્ચાદભૂમાં દર્શાવવામાં આવે છે. મામા પરમાનંદ જેવા એમના વખતની માતબર વ્યક્તિને એમના માટે ખૂબ આદર હોવા છતાં સ્ત્રી લડવૈયા હોવાના એમના વ્યક્તિત્વને તાજેતરમાં ઘટાડીને પુરુષના મદદનીશ તરીકે દર્શાવવાના પ્રયત્નના સાક્ષી હોવું પીડાદાયક છે.

સાવિત્રીબાઈ ફૂલે અને એમના જેવી સ્ત્રીઓના પ્રતિનિધિત્વ સંદર્ભે બેવડું દમનનું વરવું સ્વરૂપ કામ કરે છે. ના કેવળ જ્ઞાતિપ્રથામાં એમના નીચા દરજ્જાને લીધે પરંતુ સ્ત્રી હોવાને લીધે પણ એમને ના બરાબર ગણવામાં આવે છે. એમની ઓળખનો આ આંતરછેદ એમને આપણા ઇતિહાસનાં પુસ્તકોમાં અમર થવામાં અવરોધે છે. બીજા શબ્દોમાં, આ પાછળનું કારણ છે બ્રાહ્મણ પિતૃસત્તા જે ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ જ્ઞાતિના પુરુષોના ગુણગાન ગાય છે. આ સિવાય દલિત પુરુષો અને અન્ય જ્ઞાતિના પુરુષો ઉલ્લેખ પામે છે. કમનસીબે, જે જૂથ પાછળ રહી જાય છે તેમાં એવી સ્ત્રીઓનો સમાવેશ છે જેમણે લોકો જેના ખરેખર હક્કદાર છે એવી મુક્તિ અપાવવા માટે પોતાનું જીવન દોજખમાં ગુજાર્યું.

અત્યંત વિભાજનકારી જ્ઞાતિપ્રથાના ઉપલા સ્તરના લોકો દ્વારા મહદઅંશે નિયંત્રિત શિક્ષણ વ્યવસ્થા દ્વારા સ્વતંત્રતાની લડતમાં હિસ્સો લેનારી આ  સ્ત્રી સુધારકો અને કર્મશીલોનાં નામોને અનુકૂળતાપૂર્વક અદૃશ્ય બનાવી દેવાયા છે. કેવી આ કરુણાંતિકા છે કે સાવિત્રીબાઈ જ્ઞાતિ સમસ્યાને જે શિક્ષણ વ્યવસ્થાની મદદથી નાબૂદ કરી શકાશે એવું વિચારતા હતાં તે જ શિક્ષણ વ્યવસ્થાએ જ્ઞાતિ પ્રથાને દૃઢ બનાવી અને એમ કરવાની પ્રક્રિયામાં એમને જ ભોગ બનાવ્યાં. આવી કહાનીઓને વિકસવા માટે જરૂરી અવકાશ આ પરંપરાગત વૃત્તાંતોએ પૂરો પાડ્યો નહીં.

દર વર્ષે એમની જન્મજયંતી પર, થોડાં લોકો એમને યાદ કરે છે અને માંગણી કરે છે કે આ તારીખ ભારતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે, પરંતુ આ તમામ વિનંતીઓ અને દાવાઓને નજરઅંદાજ કરવામાં આવે છે. ભારતમાં હંમેશાં સ્ત્રીને તેના કુટુંબના પુરુષ સભ્ય સાથેના સગપણથી જ ઓળખવામાં આવશે, ભલે પછી એ પુરુષ સભ્ય પાંચ વર્ષનું બાળક કેમ ના હોય? હંમેશાં “એમની પત્ની”, “એમની દીકરી”, “એમની બહેન” અથવા “એમની માતા”; સ્ત્રી ક્યારે ય વ્યક્તિ માત્ર હોતી નથી — ભલે ને એણે પોતાના સમયની સૌથી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને સ્વતંત્રતા ચળવળમાં અમાપ કાર્યોનું યોગદાન કર્યું હોય. સાવિત્રીબાઈના કિસ્સામાં, એમના નામની પાછળ એમના પતિની અટક ના લાગતી હોત તો આપણામાંના બહુ ઓછા એમને ઓળખી શકત, એમણે સ્થાપેલી તમામ ચીજોમાં એમનું સમાન અને કદાચ વધુ યોગદાન હોવા છતાં.

આ ત્રીજી જાન્યુઆરીએ, ભારતીય નારીવાદી ચળવળના પ્રણેતા, ભારતના પ્રથમ કેળવણીકાર અને ખૂબ જ ઉદાર સ્ત્રી એવા સાવિત્રીબાઈને યાદ કરીએ, જે ભુલાઈ ગયા છે અને જેમનો માત્ર સગપણ સંદર્ભે જ ઉલ્લેખ કરવામાં આવે છે. સ્ત્રીત્વને અને સમયમાં ખોવાઈ ગયેલી તમામ શક્તિશાળી સ્ત્રીઓને ઉજવીએ. આ નવા વર્ષે નાનામાં નાની ચીજોના વૃત્તાંતો બદલીએ અને સમાજમાં મોટા બદલાવના સાક્ષી બનીએ.

સ્રોત: 

https://www.shethepeople.tv/top-stories/inspiration/remembering-savitribai/?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

નોટબંધી : ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 January 2023

તમને જો યાદ હોય તો અયોધ્યા વિવાદનો નિર્ણય કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો ‘નનામો’ લખ્યો હતો. મતલબ કે તે ચુકાદા પર કોઈ જજના હસ્તાક્ષર નહોતા. એની સામે સવાલો થયા ત્યારે તે વખતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (અને હાલ ભા.જ.પ.ના રાજ્યસભા સદસ્ય) રંજન ગગોઈએ એક ઇન્ટરવ્યૂમાં વળતો સવાલ કર્યો હતો; “ચુકાદા પર શા માટે કોઈના હસ્તાક્ષર હોવા જોઈએ?” એના પર કાનૂની વર્તુળમાં બહુ ગુસપુસ થઇ હતી. અમુક લોકોને જસ્ટિસ ગગોઈની વાત ઉચિત લાગી હતી તો અમુક લોકોએ કહ્યું હતું આ ભારતમાં કાનૂની પરંપરાની વિરુદ્ધ છે.

કોર્ટની ભાષામાં તેને ‘પર કુરિયમ’ (બાય ધ કોર્ટ) જજમેન્ટ કહે છે. કોઈ કેસમાં એકથી વધુ જજ ઉપસ્થિત હોય ત્યારે, તેમાં બહુમતી જજના મતને કોર્ટ પોતાના નામે (બેંચના નામે નહીં) ઘોષિત કરે છે. નિયમિત ચુકાદામાં એ કેસ અંગે નિર્ણય કરનારા જજનાં નામ મુકવામાં આવે છે. ટૂંકમાં, ‘પર કુરિયમ’ ચુકાદાને પૂરી કોર્ટનો સર્વસંમત ચુકાદો ગણવામાં આવે છે. એમાં એક મુશ્કેલી એ છે કે બહુમતી બેંચમાં કોઈ જજનો ભિન્ન મત (ડિસેન્ટ) હોય તો ‘નનામા’ ચુકાદામાં તે ખબર નથી પડતો.

કાનૂનમાં ભિન્ન મત એટલે એટલે કોઈ કેસનો નિર્ણય કરતી વખતે એક અથવા એકથી વધુ જજ કાયદાનું અર્થઘટન જુદી રીતે કરે, જે બહુમતી જજથી ભિન્ન હોય. ભારતીય (અને વિશ્વમાં અન્ય દેશોમાં પણ) ભિન્ન મતનું બહુ અગત્યનું સ્થાન છે. તેનાથી ચુકાદામાં ફર્ક નથી પડતો, પરંતુ ભવિષ્યમાં અન્ય કેસની સુનાવણીઓ કે નિર્ણયો દરમિયાન ભિન્ન મત અગત્યનો સંદર્ભ બની જાય છે. દાખલા તરીકે, 1976માં, ઇન્દિરા ગાંધીની કટોકટી વખતે બહુમતી ચાર જજોએ કહ્યું હતું કે દેશમાં કટોકટી હોય ત્યારે કોઈ વ્યક્તિને તેની ગેરકાયદે અટકાયત સામે કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર નથી.

દેશના ઇતિહાસમાં જેને કલંક તરીકે ઓળખવામાં આવે છે તે કટોકટીમાં બહુમતી જજોની આવી ભૂમિકા ટીકાનું પાત્ર બની હતી અને તેમની પર સરકાર સામે ઘૂંટણીએ પડી જવાનો આરોપ મુકાયો હતો, પરંતુ એ બેંચમાં પાંચમાં જજ  જસ્ટિસ એચ.આર. ખન્ના લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્યના હીરો તરીકે બહાર આવ્યા હતા. તેમણે તેમાં ભિન્ન મત આપ્યો હતો અને કહ્યું હતું કે બંધારણની કલમ 21ની ગેરહાજરીમાં પણ કાનૂનના પ્રમાણ વગર રાજ્ય તેના નાગરિકને જીવન જીવવાના અને સ્વતંત્રતાના અધિકારથી વંચિત રાખી ન શકે. કોઈ પણ સભ્ય સમાજમાં આ તો બુનિયાદી નિયમ છે, એમ જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું.

આજે સુપ્રીમ કોર્ટના એ બહુમતી ફેંસલાને કોઈ યાદ કરતું નથી, પરંતુ એચ.આર. ખન્નાના ડિસેન્ટીંગ જજમેન્ટને કોર્ટોમાં ટાંકવામાં આવે છે અને કાનૂનની સ્કૂલોમાં ભણાવામાં આવે છે. તેમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પ્રમોશનથી વંચિત રાખવામાં આવશે એવી સંભવનાની ખબર હતી, છતાં જસ્ટિસ ખન્ના બહુમતી ફેંસલાથી અલગ પડ્યા હતા. જાણીતા ન્યાયવિદ નાની પાલખીવાલાએ કહ્યું હતું, “જે માણસની આવી ઊંચાઈ હોય તેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું પદ કશું ઉમેરી ન શકે.”

1986થી 2016 સુધી અમેરિકન સુપ્રીમ કોર્ટના એસોસિએટ જજ તરીકે કામ કરનાર જસ્ટિસ એનોટોનિન સ્કાલિયાએ કહ્યું હતું કે “ઇતિહાસ ગવાહ છે કે કોર્ટના નિર્ણયો ભયાનક રીતે ભૂલ ભરેલા હતા, ત્યારે એ વાત આશ્વાસનરૂપ છે કે અમુક જજો એવા પણ હતા જેમણે જોખમને ભાળ્યું હતું અને સ્પષ્ટ રીતે તેમની ચિંતાને  વ્યક્ત પણ કરી હતી.”

ડિસેન્ટીંગ જજમેન્ટની આ અગત્યતાના સંદર્ભમાં, નોટબંધી પર ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલાને જોવો જોઈએ. મોદી સરકાર માટે 2023ની શરૂઆત શુભ સમાચારથી થઇ છે.  2016માં, મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટોને બજારમાંથી રાતોરાત પાછી ખેંચી લીધી હતી, તેની સામે 58 જેટલી અરજીઓ થઇ હતી. તેના પર ફેંસલો આપતાં, સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે બહુમતીથી ઠરાવ્યું હતું કે નોટબંધી કરવાનો સરકારનો નિર્ણય કાનૂની પ્રક્રિયાને અધીન હતો. અર્થાત, સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાનૂનના દાયરામાં રહીને જ નોટબંધી જાહેર કરી હતી. 

સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેણે નોટબંધીનો નિર્ણય કાનૂની હતો કે નહીં તેના પર જ વિચાર કર્યો છે. તેનાથી લોકોને જે હાડમારી ભોગવવી પડી અથવા નોટબંધી કરવા પાછળનો સરકારનો હેતુ સર થયો કે નહીં તે જોવાનો કોર્ટે ઇન્‌કાર કરી દીધો છે. ઇન ફેક્ટ, ફેંસલો વાંચી સંભાળવનારા જસ્ટિસ બી.આર. ગવઈએ તો એમ પણ કહ્યું કે નોટબંધીથી તેના ઉદેશ્ય (બ્લેક માર્કેટિંગ અને ટેરર ફંડિંગની સમાપ્તિ) હાંસલ થયા છે કે નહીં તે પ્રાસંગિક નથી.

કુલ પાંચમાંથી 4 જજ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ એ.એસ. બોન્ન્પ્પા અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યમે સરકારના આ નિર્ણયને ઉચિત ઠેરવ્યો હતો પરંતુ પાંચમા મહિલા જજ, જસ્ટિસ બી.વી. નાગરત્ન તેમની સાથે સંમત ન થયાં અને તેમણે ભિન્ન મત આપ્યો. નોટબંધીના કારણ દેશમાં લોકોને જે હાલાકી ભોગવવી પડી અને અર્થતંત્રને કમરટોડ ફટકો પડ્યો તેની વેદનાનો પડઘો જસ્ટિસ નાગરત્નના ભિન્ન મતમાં પડ્યો છે. તેમણે નોટબંધીના નિર્ણયની યોગ્યતા પર સવાલ ઉઠાવતાં પાંચ મહત્ત્વની વાતો કરી હતી;

1. સરકારે 500 અને 1000ની નોટો પાછી ખેંચવાની ભલામણ કરી તેમાં રિઝર્વ બેંકે તેના દિમાગનો સ્વતંત્ર ઉપયોગ કર્યો નહોતો. આખી પ્રક્રિયા 24 કલાકમાં પાર પાડવામાં આવી હતી એટલે બેંકને વિચારવાનો સમય પણ આપવામાં આવ્યો નહોતો.

2. આ ભલામણ સરકારની હતી, બેંકની નહીં. સરકારે પત્ર લખ્યો હોય અને બેંક તેના પર મત્તું મારે તેને ‘બેંકની ભલામણ’ ન કહેવાય. બીજું, આર.બી.આઈ.ના એક્ટના સેક્શન 26(2) મુજબ આ ભલામણ કોઈ એક સિરીઝની નોટો માટે છે, આખી સિરીઝ માટે નહીં. બહુમતી જજોએ સેક્શનમાં ‘કોઈપણ’ (‘એની’) શબ્દનો અર્થ ‘તમામ’ (‘ઓલ’) કર્યો છે તે ખોટો છે.

3. બેંક કોઈ ચોક્કસ સિરીઝની નોટ પાછી ખેંચી લે તેની સરખામણીમાં, કેન્દ્ર સરકાર તમામ સિરીઝને પાછી ખેંચી લેવાની ભલામણ કરે એ વધુ ગંભીર બાબત છે. એ કામ વૈધાનિક નોટિફિકેશન કરવું જોઈતું હતું, વહીવટી નોટિફિકેશનથી નહીં. આવી નિર્ણાયક બાબતમાં સંસદની ઉપેક્ષા કરવામાં આવે તે લોકશાહી માટે બરાબર નથી.

4. નોટબંધીના પગલાંથી ઊભી થયેલી સમસ્યાઓની બેંકના કેન્દ્રીય બોર્ડને ખબર હતી કે નહીં તે એક પ્રશ્ન છે. આટલા મોટા પ્રમાણમાં બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાથી તેની પ્રતિકૂળ અસરો કેવી પડશે તે બોર્ડે વિચાયું હતું ખરું? કેન્દ્રીય બોર્ડનો ઉદેશ્ય ભલે ઉમદા અને ઉચિત હોય, પણ જે રીતે તેનો અમલ કરવામાં આવ્યો હતો તે કાનૂની નહોતો.

5. નોટબંધી પાછળનો ઉદેશ્ય ઉત્તમ હતો પરંતુ તે કરવા માટેનાં પગલાં કાનૂની વિશ્લેષણમાં ગેરકાનૂની હતાં.

સુપ્રીમ કોર્ટની ન્યાયિક દરમિયાનગીરીને માત્ર નોટબંધી કરવાના નિર્ણયની પ્રક્રિયા સુધી જ સીમિત રાખી હતી અને બહુમતીથી ચાર જજોએ પ્રક્રિયાને દોષમુક્ત જાહેર કરીને બીજી કોઈ ટીપ્પણી કરવાનું યોગ્ય ન માન્યું. કોર્ટના આ વલણથી નાગરિકોને જે તકલીફ ભોગવવી પડી તેની ગંભીરતા હલકી પડી ગઈ. નોંધવા જેવી વાત એ છે કે દેશમાં આમ લોકોમાં નોટબંધીને લઈને કોઈ સકારાત્મક ભાવના નથી કારણ કે તેમને જે તકલીફ ભોગવવી પડી તેનો ફાયદો કે પરિણામ શું આવ્યું તેનો તેની પાસે કોઈ જવાબ નથી. એમાં તો સરકાર પાસે પણ કોઈ જવાબ નથી અને એટલે જ દરેક ચૂંટણી સભામાં પોતાની સિદ્ધિઓ ગણાવતી સરકારે એકવાર પણ નોટબંધીને તેની સફળતામાં સામેલ નથી કરી. સરકારને ખબર છે કે લોકોમાં તેને લઇને રોષ છે અને એટલે જ સરકાર એવી રીતે વર્તી રહી છે જાણે નોટબંધી જેવું કશું હતું જ નહીં.

એટલે છ વર્ષ પછી સુપ્રીમ કોર્ટ તે નિર્ણયને ઉચિત ઠેરવતો ફેંસલો આપે તેમાં ન તો સરકારને કોઈ ખુશી છે કે ન તો લોકોને તેની ખાસ પડેલી. વિરોધ પક્ષો આક્રમક રીતે તર્ક આપી રહ્યા છે કે જાત-ભાતના સ્પેશ્યલ દિવસો મનાવતી સરકાર ‘નોટબંધી દિવસ’ કેમ નથી મનાવતી? વિવેકપૂર્ણ દૃષ્ટિએ જોવા જાવ તો સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો કોઈ ફેંસલો આવવાની સંભાવના પણ નહોતી. જાણે કે તે એક દુ:સ્વપ્ન હતું અને તેને ‘ન થયું’ ગણવાનું શક્ય નહોતું.

મજાની વાત એ છે કે આ ફેંસલાને તમે ચાહે તે રીતે લઇ શકો છો. શાસક ભા.જ.પ.ના પ્રવકતાઓ બહુમતી જજોના નિર્ણયને સરકારની જીત તરીકે ગણાવે છે. 58 અરજીકર્તાઓ, વિપક્ષો અને સરકારના ટીકાકારો જસ્ટિસ નાગરત્નના ભિન્ન મતને સરકારને પડેલી ફટકાર તરીકે આગળ ધરે છે. સરવાળે એટલું જ કહેવાય કે જેમ નોટબંધી એક વ્યર્થ કવાયત હતી, તેમ સુપ્રીમ કોર્ટે પણ આ કેસ પાછળ સમય જ બરબાદ કર્યો છે. દેશના એક એક નાગરિકને સ્પર્શતા આ મુદ્દા પર નિર્ણય ન લેવો એ પણ એક પ્રકારનો નિર્ણય જ છે.

લાસ્ટ લાઈન :

“આ નિર્ણયથી ટૂંકા ગાળ માટે તકલીફ પડશે. પુન:મુદ્રીકરણના સમય દરમિયાન કરન્સીની અછતથી આર્થિક ગતિવિધિને થોડો સમય અસર થશે.” 

— તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી

“જે લોકો એમ કહે છે કે નોટબંધી લાંબા ગાળા માટે ફાયદાકારક છે તેમણે યાદ રાખવું જોઈએ કે લાંબા ગાળે તો આપણે બધા મરી જવાના છીએ.” 

— ડો. મનમોહન સિંહ

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મનોભાવ

બીજલ જગડ|Opinion - Opinion|10 January 2023

ભમરા, વાયરા, પતંગિયા, આગિયા, 

ફૂલો પર બેસી સુગંધ પી પી ધરાઈ.

પાંખડી મારા મનની શતદલ થઈ છે,

ફરર દઈ ઉડી રંગીન પતંગિયાની રજાઈ.

ડાળી ડાળી ક્ષણે ક્ષણે કૂંપળ ફૂટે છે,

ઓસ પૂછે ફૂલને તું કેમ કરી છલકાઈ.

ખીલે ફૂલ જ્યારે ભમરાને મજા પડે,

વાયરાની ભવ્યતા ને સુગંધ બધે ફેલાઈ.

છે તારું સ્મરણ ને ગઝલ ઉપવનની.

વાત કાનમાં કહેવી ગઝલ રૂપે ગવાઈ.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,1391,1401,1411,142...1,1501,1601,170...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved