Opinion Magazine
Number of visits: 9563328
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંખમાં આજકાલ 

ઉમેશ સોલંકી|Poetry|19 April 2023

જામ થયેલી ગટરમાં કોઈ નાખે પથ્થર

તર્ત ઊડે મચ્છર

કાલ પર હું નજર નાખું

ઊડતા મચ્છર ભાળું.

શું બાળશે?

શું અજવાળશે?

નથી ખબર

ખબર બસ

આંખમાં આજકાલ

સળગ્યા કરે મશાલ સળગ્યા કરે મશાલ.

e.mail : umlomjs@gmail.com

Loading

ઇન્દુકુમાર જાનીને સ્મૃતિ-વંદના ! 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|18 April 2023

આજે સવારમાં જ ફેસબૂક પર પાલણપુરના હિદાયતભાઈએ ઇન્દુકુમાર જાનીએ તેમની પુણ્યતિથિએ યાદ કર્યા. એ પોસ્ટ જોતાં મન ભરાઈ આવ્યું. મનમાં ઇન્દુભાઈની યાદો ઊભરાઈ આવી.

ઇન્દુકુમાર જાની 

કેટલી બધી યાદો ! 1996-97માં હું ગુજરાતી સામયિકોમાં લખતો થયો તેમાં ઇન્દુભાઈનો પણ મોટો ફાળો. ‘ભાઈ, તમે ઘણી મહેનત કરો છો, સારું લખો છો, લખતા રહો!’ – ઇન્દુભાઈએ આપેલી  એવી શાબાશી મારા માટે, કદાચ તે મેળવનારા કોઈ પણ માટે, મહત્ત્વની હતી.

મરાઠી સામયિકોની ગુણવત્તા તે જાણતા, એટલે તેમાંથી કરેલાં મારા અનુવાદ ‘નયા માર્ગ’માં હોંશથી છાપતા. બે-ત્રણ વાર તેમના સંપર્કમાં રહેલા જાણકાર મરાઠી વાચકોએ મોકલેલા મરાઠી છાપાંનાં કતરણો પણ તેમણે અનુવાદ માટેની વિનંતીસૂચક ચિઠ્ઠી સાથે મને ટપાલમાં મોકલી હતી. પુસ્તકો-નોંધો માટે પુસ્તકો પણ ઘરે મોકલતા. મને તેમની ઑફિસે કે ઘરે ધક્કો ન ખાવો પડે તેનું ધ્યાન રાખતા.

‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ની સાથે મારી લાગણીઓ, મારા વિચારોનો તાર બરાબર મળી ગયો હતો. એમણે લેખ ન છાપ્યો હોય તેવું ક્યારે ય બન્યું નથી. બે લેખો તો એમની માન્યતાથી જુદા વિષયો પરના હતા તો પણ એમણે છાપ્યા હતા.

ડૉ. પ્રકાશ આમટેના આત્મકથાત્મક પુસ્તકનો અનુવાદ 2014માં આવ્યો પણ આમટે દંપતીના કામ વિશે મને પહેલવહેલી વાર માર્ચ 1999 ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના એક લેખમાંથી જાણવા મળ્યું.  તે લેખનો મેં સત્વરે કરેલો અનુવાદ ઇન્દુભાઈએ 1 એપ્રિલના ‘નયા માર્ગ’ ખૂબ ખુશીથી છાપ્યો.

ત્યાર બાદ  બાબા આમટે, પુ.લ. દેશપાંડે, મેધાતાઈ પાટકર જેવાં પરના મરાઠી લેખો પરના મારા લેખો એ પ્રસિદ્ધ કરતાં જ રહ્યા. અંગ્રેજી સાપ્તાહિક ‘ધ વીક’ના એક વિશેષાંક પર આધારિત લેખોની ‘ભરોસાપાત્ર ભેખધારીઓ’ નામની આખી લેખમાળા તેમણે છાપી હતી.

દિલીપ રાણપુરાના ‘શિક્ષક-કથાઓ’ પુસ્તક પરનો મારો લેખ ઘણો લાંબો થઈ ગયો. એટલે મને મોકલતા સંકોચ થતો હતો. તે ‘નયા માર્ગ’માં  બે ભાગમાં આવ્યો.

આદિવાસીઓનું શોષણ, ઝૂંપડપટ્ટી, વિસ્થાપન, વંચિત બાળકો જેવું જ્યારે ક્યારે વાંચવા મળે ત્યારે થાય લાવ ને ઇન્દુભાઈને મોકલું ! ‘તમારું કશું મૂકી નથી રાખતો. લઈ જ લઉં છું’ – આવા  તેમના એક વખતના શબ્દો મને હંમેશાં યાદ રહેશે.

અલબત્ત, ખૂબ લાગણીશીલ ઇન્દુભાઈની અપેક્ષાએ હું પાર ન ઊતર્યો હોઉં, મેં ‘નયા  માર્ગ’ માટે  મારે લખવું જોઈએ એટલું મેં ન લખ્યું એવું ય મને થયા કરે છે.

વર્ષમાં ત્રણ-ચાર વાર લેખ આપવા નિમિત્તે કે સાલ મુબારક અવસરે એમના ઘરે મળવાનું થતું, ત્યારે રંજનબહેન આઇસક્રીમ અચૂક ખવડાવતા. અનૂજ અને તેના મમી-પપ્પા ત્રણેય ખૂબ  પ્રેમથી વાત કરતાં. તે સમયની તેમની આત્મીયતાની યાદ આજે અત્યારે પણ આંખ ભીની કરી જાય છે.

વર્ષો વીતતાં સમજાતું ગયું કે એક પાક્ષિક માટે, એક રાજ્યના પીડિતો-વંચિતો માટે વર્ષો લગી ગુજરાત ખૂંદનારા કેવી ઊંચાઈના કર્મશીલને હું મળતો હતો, અને એ કેટલા સહજ હતા.

મારા પિતાજીના અવસાન પર તે ઘરે મળવા આવ્યા હતા, કોવિડના પહેલાં મોજા દરમિયાન થયેલા મમ્મીના અવસાન પર પત્ર અને ફોન પર સાંત્વના આપી હતી.

એક વખત મારી મોટી માંદગીમાં ઘરે ખબર કાઢવા આવ્યા હતા. એક વખત વરસતા વરસાદે  ઇન્દુભાઈ, ચંદુભાઈ મહેરિયા, અને હું ઇન્દુભાઈની ગાડીમાં, અય્યૂબભાઈના ડ્રાઇવિંગ હેઠળ માર્ટીનભાઈ મૅકવાન, હિરેનભાઈ ગાંધી અને નીરવ પટેલના ખબર કાઢવા ગયા હતા. તે વખતે પણ ઇન્દુભાઈના હૈયાની કુમાશ મેં જોઈ હતી. આખો મોટો સંસ્મરણ લેખ લખી શકાય તેટલી યાદો; સંપાદકનું, સ્નેહીનું ઋણ.

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં ઇન્દુભાઈએ શારીરિક પીડા ખૂબ વેઠી. ફોન પર કે રૂબરૂ મળીએ ત્યારે વાત ન કરે, મિત્રો પાસેથી જાણવા મળે. મને એમ થાય કે એક માણસ અને તેના પત્નીને ભાગે કેટલી પીડા ભોગવવાની આવે !

ઇન્દુભાઈ ગયા તે દિવસો કારમા હતા. તેમને અને પરિવારને બહુ આકરા પડ્યા. સાથીઓ અને હિતચિંતકોએ મહેનત પણ કરી.

એક પછી એક માણસો એકલા-અટૂલા છેલ્લી મુસાફરીએ ચાલ્યા જતા. ખબર કાઢવા, પરિવારને દિલાસો આપવા ય ન જવાય. મહિનાઓ દિવસો સુન્ન થઈ જવાયું હતું, મનમાં ને મનમાં વલવલતા રહેવાનું, ન વંચાય, ન લખાય.

સારું થયું ડંકેશ ઓઝાએ એમના પર પુસ્તક લખ્યું. તેના ઉદ્દઘાટન કાર્યક્રમ દરમિયાન, આખી જિંદગી ઇન્દુભાઈને પડખે ઊભા રહેનારાં રંજનબહેને તેમના મથામણ-મધુર દામ્પત્ય જીવનને શોભે તેવી સ્વસ્થતા જાળવી હતી, એ અઘરું હશે. આખો પરિવાર તેમની સાથે હતો. મને ઘણી વાર ડૂમો ભરાઈ આવતો હતો .. કાર્યક્રમ બાદ ભોજન પણ હતું. હું નહોતો જોડાઈ શક્યો.

ઇન્દુભાઈને પંચોતેર વર્ષ થયાં તે અવસરે તેમનો અભિવાદન કરવાનું મિત્રોએ વિચાર્યું હતું. તેમણે ધરાર ના પાડી. તેના વિકલ્પે મિત્રોના આગ્રહથી તેમણે પોતાની જિંદગીની વાત લોકો સુધી પહોંચાડવા માટે ‘ખેતવિકાસ પરિષદના નાના સભાગૃહમાં ત્રણ દિવસ વ્યાખ્યાનો આપ્યાં.

અભિવાદનનો પ્રસ્તાવ લઈને મળવા જનારા ચાહકોને તેમણે એમનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને કહ્યું હતું : ‘જે કંઈ કર્યું એ મારી મરજી, પસંદગીથી કર્યું હતું. કોઈની પર અહેસાન કરવા માટે નહીં. મને કંઈ લોકો કંકુ-ચોખા મૂકવા નહોતા આવ્યા.’

ઇન્દુભાઈ, તમને વિનમ્ર સ્મૃતિ-વંદના !

e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સેલિબ્રિટીઓ પબ્લિક પ્રોપર્ટી છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 April 2023

રાજ ગોસ્વામી

એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પરથી, મુંબઈમાં તેની સાથે બનેલી બે ઘટનાઓની વાત લખી છે. પહેલી ઘટનામાં, પ્રીતિની દીકરી ગિયા સાથે એક પાડોશી સ્ત્રીએ ‘ગેરવર્તન’ કર્યું હતું. પ્રીતિએ લખ્યા મુજબ, તેનાં સંતાનો બીજાં બાળકો સાથે બગીચામાં રમતાં હતાં ત્યારે, એક ‘એલિટ’ ફ્લેટમાં રહેતી એક સ્ત્રીએ ગિયાનો ફોટો પાડવા પ્રયાસ કર્યો. પ્રીતિએ શાલીનતાથી તેને ફોટો પાડતાં રોકી એટલે એ સ્ત્રી જવા લાગી અને અચાનક ગિયાને ઊંચકી લઈને તેના મોઢા પર તસતસતું ચુંબન ચોડી દીધું અને ‘કયુટ બેબી’ બોલીને નાસી ગઈ. “હું સેલિબ્રિટી ન હોત તો, મેં એનું મોઢું તોડી લીધું હોત, પરંતુ તમાશો ન થાય એટલે હું શાંત રહી.”

બીજી ઘટનાની એરપોર્ટ જતી વખતની છે. પ્રીતિએ તેનો વીડિયો પણ અપલોડ કર્યો છે. તેમાં એક વ્હીલચેરમાં એક દિવ્યાંગ માણસ પ્રીતિને તેની કાર પાસે રોકવા માટે મથામણ કરી રહ્યો છે. પ્રીતિના કહેવા પ્રમાણે, આ માણસ છેલ્લા એક વર્ષથી તેને પૈસા માટે હેરાન કરી રહ્યો હતો. શક્ય હતું ત્યારે તેણે પૈસા આપ્યા પણ હતા.

પ્રીતિ લખે છે, “એ દિવસે તેણે પૈસા માગ્યા એટલે મેં તેને કહ્યું કે સોરી, આજે છુટ્ટા નથી, ક્રેડિટ કાર્ડ છે. મારી સાથે એક બહેન હતાં તેમણે પર્સમાંથી પૈસા આપ્યા. પેલાએ પૈસા પાછા ફેંક્યા અને આક્રમક થઇને કહ્યું કે આટલા ન ચાલે.”

ત્યાં ઊભેલા લોકોને આમાં જોણું થયું અને ફોટા પાડવા લાગ્યા, વીડિઓ ઉતારવા લાગ્યા. પ્રીતિ કહે છે, “કોઈએ પેલાને અમારી કારની પાછળ આવતાં ન રોક્યો. જો અકસ્માત થયો હોત તો મને જ દોષિત ઠેરવવામાં આવી હોત, મારા સેલિબ્રિટી હોવા સામે સવાલ કરવામાં આવ્યો હોત, બોલિવૂડને ગાળો પડી હોત.”

પ્રીતિએ આ બે ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેની પોસ્ટમાં એક અગત્યનો પ્રશ્ન ઉઠાવ્યો છે : સેલિબ્રિટીઓને અન્ય સામાન્ય લોકોની જેમ નિજતા(પ્રાઈવસી)નો અધિકાર નથી? શું સેલિબ્રિટીઓ પબ્લિક પ્રોપર્ટી છે કે હર કોઈ વ્યક્તિ હર કોઈ વક્ત તેનો અધિકાર જતાવા આવી શકે?

પ્રીતિ લખે છે, “લોકોએ એ સમજવાની જરૂર છે કે હું પહેલાં માણસ છું, પછી માતા છું અને એ પછી સેલિબ્રિટી છું. મારે મારી સફળતા માટે નિયમિત રીતે માફી માંગતા રહેવાનું ન હોય કે ન તો હું મહેનત કરીને જે ઠેકાણે પહોંચી છું એ માટે અને પજવવામાં આવે. આ દેશમાં બીજા લોકોની જેમ મરજી પડે તે રીતે જીવવાનો મને અધિકાર છે. મહત્ત્વની વાત એ છે કે મારાં બાળકો એમાં ભાગીદાર નથી. એ અબુધ છે અને તેમને સેલિબ્રિટી તરીકે લેવાની જરૂર નથી. એમનાથી આઘા રહો.”

સેલિબ્રિટી હોવું એ બેધારી તલવાર છે. એ લોકો મારા-તમારા જેવા બે હાથ, બે પગ, એક માથા વાળા માણસો જ હોય છે, પરંતુ તેમણે લાઈમ-લાઈટમાં રહીને પોતાની એક એવી પબ્લિક ઈમેજ ઊભી કરી હોય છે કે આપણે તેમને ‘સુપરહ્યુમન’ તરીકે જોતા થઇ જઈએ છીએ. પહેલાં એ સમજવું જોઈએ કે લોકો સેલિબ્રિટી સાથે અલગ વ્યવહાર કેમ કરે છે અને તેમના જીવનમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ હોય છે.

મનોવિજ્ઞાનમાં તેને સેલિબ્રિટી વર્શીપ સિન્ડ્રોમ કહે છે. આ એક એવી વૃત્તિ છે જેમાં વ્યક્તિ (ચાહક) સેલિબ્રિટી સાથે આત્મિયતા મહેસૂસ કરે છે. આપણે સેલિબ્રિટીને નિયમિતપણે મીડિયામાં જોતા હોઈએ છીએ, આપણે તેમના વિશે ઝીણામાં ઝીણા સમાચારો વાંચતા હોઈએ છીએ, એ આપણું મનોરંજન કરાવતા હોય છે, એ આપણા જીવનને સીધી કે આડકતરી રીતે પ્રભાવિત કરતા હોય છે. એટલે આપણે એવું માનતા થઇ જઈએ છીએ કે ‘હું તેને જાણું છું.’ આપણને સેલિબ્રિટીનો એટલો બધો પરિચય હોય છે કે એક રીતે આપણામાં તેમના પ્રત્યે અધિકારની ભાવના જાગે છે. આપણને એવું લાગવા માંડે છે કે સેલિબ્રિટીની દરેક હરકત પર ટિપ્પણી કરવાનો મને હક છે.

બીજું, સેલિબ્રિટીઓ ફેન્ટસીની દુનિયાના પ્રતિનિધિ છે જે આપણને આપણી બોરિંગ જિંદગીમાંથી છૂટવામાં મદદ કરે છે. આપણે એટલી ભંગાર જિંદગી જીવતા હોઈએ છીએ કે આપણને એવું લાગે છે કે જિંદગી તો પ્રીતિ ઝિન્ટા જેવી એક્સાઇટિંગ હોવી જોઈએ. એટલે આપણને તેની ફિલ્મથી લઈને તેના બાળક અને તેનાં કપડાંથી લઈને તેના બેડરૂમ બધામાં રસ પડે છે.

ત્રીજું કારણ બીજા કારણ સાથે જોડાયેલું છે. માણસોને સેલિબ્રિટીઓની લવ-લાઇફમાં પોતાની ખુદની ફેન્ટસી નજર આવે છે. અચેતન મનમાં, સેલિબ્રિટીઓના પ્રેમને આપણે “મોડેલ” ગણીએ છીએ અને તેની નકલ કરવા ઇચ્છીએ છીએ. જ્યારે સેલિબ્રિટીઓએ ભૂલ કરી હોય, તો લોકોમાં નારાજગી પેદા થાય છે. આનું કારણ છે. સેલિબ્રિટીઓ અથવા મનોરંજન આપણા “નાના મગજ”ને પ્રભાવિત કરે છે. વિજ્ઞાન, ફિલોસોફી, એસ્ટ્રોનોમી જેવા વિષયો સમજવા અઘરા હોય છે, એટલે “નાનું મગજ” એ દિશામાં જવા તૈયાર થતું નથી, પરંતુ સેલિબ્રિટીના હૂક-અપ કે બ્રેક-અપના સમાચાર આવે તો તે સક્રિય થઈ જાય છે.

દાખલા તરીકે, તમે “નાના મગજ”વાળાને પૂછો કે પ્રીતિનાં કેટલાં બ્રેક-અપ થયાં છે, તો તે નામ-તારીખ સાથે ગણાવશે, પણ એવું પૂછો કે પ્રીતિનાં ફેવરિટ પુસ્તકો ક્યાં છે, તો તેઓ મોઢું વકાસીને જોઈ રહેશે. હંગેરી દેશના 1,763 વયસ્કો પર કરવામાં આવેલા સર્વેમાં એવું બહાર આવ્યા હતું કે સેલિબ્રિટી પાછળ ગાંડા લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે.

સેલિબ્રિટીઓ, દુકાનના માલ-સામાનની જેમ, એક કોમોડિટી છે તે વાત વીસમી સદીના મૂડીવાદનું સર્જન છે. તે પહેલાંના સમયમાં જે લોકો સફળ હતા જે ‘ફેમસ’ ગણાતા હતા, સેલિબ્રિટી નહીં. તેમનું ફેમસ હોવું સમાજના વ્યાપક હિતમાં હતું. જેમ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે મહાત્મા ગાંધી ફેમસ હતા, કારણ કે લોકો તેમને ચાહતા હતા અને તેમનાથી પ્રેરિત હતા. એટલા માટે તેમણે ક્યારે ય પોતાના પર અધિકાર જતાવ્યો ન હતો. એ અર્થમાં તેઓ પબ્લિક પ્રોપર્ટી હતા.

ગાંધીજી માનતા હતા કે તેમનું ખાનગી કહેવાય તેવું જીવન છે જ નહીં, અને જે છે તે સઘળું સાર્વજનિક છે. એટલા માટે તેમણે તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેમના જીવનની એક પણ વાત છુપાવી નથી. સેલિબ્રિટીઓ બ્રાંડ ગણાય છે. જેમ બજારમાં મળતી કોઈ ચીજ-વસ્તુની ઉપયોગિતા એને કિંમત હોય છે તેવી રીતે સેલિબ્રિટીનું એક બ્રાંડ મૂલ્ય હોય છે. ટૂંકમાં એ પોતાને વેચતા હોય છે. એટલા માટે જ તેમની પબ્લિક ઈમેજ અને પ્રાઈવેટ જિંદગી વચ્ચેની સીમા ભૂંસાઈ જાય છે.

લોકો સેલિબ્રિટીને પબ્લિક પ્રોપર્ટી ગણે છે તેનો એક તાજો દાખલો અમિતાભ બચ્ચનનો છે. ગયા વર્ષે તેમણે કોર્ટમાંથી પોતાના પર્સનાલિટી રાઈટ્સ મેળવ્યા છે. અર્થાત, અમિતાભનું નામ, દેખાવ, અવાજ અને તેમના વ્યક્તિત્વની અન્ય ખાસિયતોના માલિક માત્ર અમિતાભ જ છે અને તેમની પરવાનગી વગર કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરી નહિ શકે. આનો અર્થ એ થયો કે અમિતાભ ધારે તો પૈસા લઈને તેમની અંગત જિંદગીને પુસ્તક સ્વરૂપે બજારમાં વેચી શકે, પણ એ અધિકાર બીજા કોઈને નથી.

પ્રીતિએ જે મુદ્દો ઉઠાવ્યો છે તે ભારત માટે નવો છે અને સેલિબ્રિટીઓ પણ સાધારણ માતા-પિતા, બહેન-દીકરી છે તેવું લોકો સ્વીકારે તેમાં સમય લાગશે. ત્યાં સુધી રસ્તે જતો દિવ્યાંગ પણ એનો અધિકાર જતાવતો રહેવાનો. અમિતાભે જ એક વાર શાહરુખ ખાનને કહ્યું હતું કે, “તમે ગમે તેટલા સાચા હો, પણ તમે સેલિબ્રિટી છો અને એટલે લોકો કાયમ તમારો દોષ જ જોવાના.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 16 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1291,1301,1311,132...1,1401,1501,160...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved