Opinion Magazine
Number of visits: 9458180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન પડ્યાં પછી પણ ટંગડી તો ઊંચી જ રાખે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 January 2023

રવીન્દ્ર પારેખ

પાકિસ્તાન બધી રીતે પરવારી જવા આવ્યું છે, પણ જાત બતાવવાનું ચૂકતું નથી. ભારત તેની દાઢીમાં હાથ ઘાલવા ક્યારે ય ગયું નથી, પણ તે વર્તી એવી રીતે રહ્યું છે કે જાણે ભારતને પાકિસ્તાનની ગરજ પડી છે ને તે પાકિસ્તાનને વાટાઘાટ કરવા વિનવી રહ્યું છે, જ્યારે સ્થિતિ એથી સાવ જ ઊલટી છે. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં પ્રજાનો વિશ્વાસ ખોઈ બેઠું છે. સ્થિતિ એવી કથળી છે કે જે આતંકીઓને તેણે ઉછેર્યા એ જ આતંકીઓએ તેનાં પર હુમલાઓ કર્યા છે. પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબાના નાયબ વડા મકકીને યુ.એન.એ. દ્વારા ‘વિશ્વ આતંકી’ ઘોષિત કરવામાં આવ્યો છે. આમ તો અમેરિકા અને ભારતની સંયુક્ત દરખાસ્ત હતી, મકકીને બ્લેક લિસ્ટ કરવાની, પણ ત્યારે ચીન આડું ફાટ્યું હતું. જો કે, હવે તે ઠેકાણે આવ્યું છે અને તેનો હોલ્ડ તેણે પાછો ખેંચ્યો છે. જે ચીનના દમ પર પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓનો ને આતંકીઓનો વિશ્વ સમક્ષ બચાવ કરી રહ્યું હતું તે ચીને જ તેને યુ.એન.માં નિરાધાર કર્યું છે. હવે એ સ્થિતિ છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાઉદી અરબ અને ચીન પાસે મદદ માંગે છે ને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાટાઘાટ માટે તૈયાર થાય તેથી આરબ મુસ્લિમ રાષ્ટ્રને શરણે ગયા છે. પાકિસ્તાન માટે મદદ માંગવા આ અગાઉ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પણ કટોરો લઈને દુનિયામાં ફરી વળ્યા છે ને હવે એ કામ શાહબાઝ શરીફ કરી રહ્યા છે. તેમને એ સંકોચ ને શરમ જરૂર નડે છે કે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો ધરાવતું રાષ્ટ્ર હોવા છતાં તેણે મુસ્લિમ રાષ્ટ્રો પાસેથી આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડ્યો છે. ઈમરાન ખાને ફરી સત્તામાં આવવું છે એટલે હાલના વડા પ્રધાનની સત્તા ડામાડોળ થાય એ માટેના પ્રયત્નો પણ તેઓ કરી રહ્યા છે. ખરેખર તો એમના સમયથી જ પાકિસ્તાન પરવારવા લાગ્યું હતું. એટલે પી.ટી.આઇ. સત્તા પર આવે તો ફેર પડી જાય એવું નથી.

આપણે ગાંધીને ગમે એટલી ગાળ દઇએ, પણ તેમણે કદી પણ દેશના ભાગલાની ઈચ્છા કરી ન હતી, તેમણે તો ભાગલા પોતાની લાશ પર થશે જેવું કહીને વિરોધ કર્યો હતો, પણ તે વખતના કેટલાક રાજદ્વારી નેતાઓની સ્વતંત્રતાની ઉતાવળને કારણે હિન્દુસ્તાન, પાકિસ્તાન થઈને રહ્યું. એ વખતે થોડી ધીરજ રખાઇ હોત તો અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિનો ભોગ બનવાનું  ભારતને આવ્યું ન હોત ને પાકિસ્તાનનું હાડકું ભારતના ગળામાં કાયમી ધોરણે ફસાયું ન હોત ! એ પછી પાકિસ્તાને, નોંધ લેવી પડે એવી કોઈ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી નથી, હા, વિશ્વભરમાં આતંકી પ્રવૃત્તિઓ ફેલાવી ને હેતુપૂર્વક હુમલાઓ તેણે જરૂર કરાવ્યા. પ્રજા કલ્યાણ તરફ પાકિસ્તાન 75 વર્ષે પણ ખાસ વળ્યું નથી ને હકીકત એ છે કે પાકિસ્તાની પ્રજાની ચિંતા પાક સરકારે કરી જ નથી, એ ચિંતા કરી હોત તો લોટ માટે પ્રજામાં આટલી ખેંચાખેંચી ચાલી ન હોત. ત્યાં, લોટ 155 રૂપિયે કિલો છે. દૂધ ને શાકભાજીના ભાવ આસમાને છે. મદદ માટે અનેક દેશો પાસે હાથ લંબાવવાનો વારો પાકિસ્તાનનો આવ્યો છે. એ સંજોગોમાં મદદ માટે પડોશી દેશ ભારતને પણ તે યાદ કરે એમાં નવાઈ નથી. ભારત, ઘરનાં ઘંટી ચાટે તો ય ઉપાધ્યાયને આટો આપે એવી માનસિકતા ધરાવે છે. શ્રીલંકાની હાલત ગયા વર્ષે કથળી ત્યારે ભારત જોડે અણબનાવ છતાં, ભારતે મદદમાંથી હાથ બહાર કાઢ્યો ન હતો. બને કે બધું ભૂલીને ભારત પાકિસ્તાનને પણ મદદ કરે, પણ એની સાથે થયેલી વાટાઘાટો છેવટે તો ઘાંટાઘાંટોમાં જ પરિણમી છે. પાકિસ્તાન જાત પર જવા માટે કુખ્યાત છે. તેણે ભારતમાં આતંકી હુમલાઓ કરાવ્યા છે, કાશ્મીર બોર્ડર પર સરહદી છમકલાં થતાં જ રહે છે, કેટલુંક કાશ્મીર તેણે આંચકી લીધું છે ને પી.ઓ.કે. આપવાનું નામ નથી. એ બાપીકી મિલકત હોય તેવો હક કરે છે ને આખા કાશ્મીરમાં તેની દખલ 75 વરસે ય ઓછી થતી નથી. આ પછી પણ તે જે વાતો કરવા માંગે છે તે શું છે?

પહેલાં તો તેણે તેની આર્થિક સ્થિતિ સુધારવાની જરૂર છે, તેને બદલે કાશ્મીર વગર તેને બીજું કૈં ખપતું ન હોય તેમ છાશવારે તેની જ મેથી માર્યા કરે છે. ગયા અઠવાડિયે સંયુક્ત અરબ અમીરાત(યુ.એ.ઇ.)ના રાષ્ટ્રપતિ નાહયાનને શાહબાઝે અપીલ કરી કે ભારત સાથે તમારે સારું છે અને તમે અમારા મુસ્લિમ ભાઈ છો, તો ભારતને અમારી સાથે વાતચીત માટે તૈયાર કરો. શરીફે નાહયાનને સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હવે શાંતિ ઈચ્છે છે ને સંપૂર્ણ ઇમાનદારીથી અને ગંભીરતાથી ભારત સાથે વાત કરવા ઈચ્છે છે. એ સારી વાત છે કે શરીફ વાતચીત માટે આતુર છે, પણ કેવી વાતો માટે, તે જોવા જેવું છે. યુ.એ.ઇ.એ ક્યાં ય કાશ્મીરનો ફોડ પાડ્યો નથી, પણ શાહબાઝ શરીફ કાશ્મીરમાંથી 370મી હટાવાઈ તે ફરી લાગુ કરવાની વાત કરે છે. તેમનું કહેવું છે કે કાશ્મીરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે ને 2019માં ઓટોનોમી નાબૂદ કરવામાં આવી હતી. ભારત સાથે વાતચીત ત્યારે જ થઈ શકે જો કાશ્મીરમાં 370મી કલમ અને 35-એ ફરી લાગુ કરવામાં આવે.

ભારતે સામે ચાલીને વાતચીત કરવી છે એવું ક્યાં ય કહ્યું નથી ને જો પાકિસ્તાને વાતચીત કરવી હોય તો તેની ગરજ તો કમ સે કમ દેખાવી જોઈએ, તેને બદલે તે શેખીખોર વધારે લાગે છે. ભારત તેની કદમબોશી કરતું હોય તેમ, એ તો ભારત દ્વારા જે લાગુ કરાયું છે તેને, 5 ઓગસ્ટ, 2019ની સ્થિતિએ પૂર્વવત લાવવાનો હુકમ કરે છે. લાગે છે કે આમાં પાકિસ્તાનની વાટાઘાટની કોઈ ઈચ્છા છે? એ તો હુકમને જ વાતચીત ગણે છે. 370મી કલમ ભારત સરકારે ભારતનાં કાશ્મીરમાંથી હટાવી છે. એ કલમ હટે કે રહે, તેનો દુખાવો પાકિસ્તાનને શું કામ થવો જોઈએ? એ કલમ કાશ્મીરમાંથી હટી છે, પાકિસ્તાનમાંથી નહીં – તે વાતને શાહનવાઝે સતત યાદ રાખવાની રહે.

પાકિસ્તાને વાટાઘાટો કરવી છે કે ભારતીય રાજનીતિમાં દાખલ પડી જવું છે તે બાબતે સ્પષ્ટ થઈ જવાની જરૂર છે. આ લખ્ખણો વાટાઘાટના નથી. તે એટલા માટે પણ કે વાટાઘાટની ગરજ બતાવતું પાકિસ્તાન યુદ્ધની ધમકી આપવાનું પણ ચૂકતું નથી. તે પોતે કબૂલે છે કે ભારત સાથેનાં ત્રણ ત્રણ યુદ્ધોમાં હારવાથી ગરીબી, બેકારીનો સામનો કરવાનો પાકિસ્તાનને આવ્યો જ છે. તેને આ યુદ્ધોથી બોધપાઠ મળી ગયો છે એવું પણ તે જાહેરમાં કબૂલે છે. તે હવે દારૂગોળો પણ વેડફવા માંગતું નથી એ સારી વાત છે, પણ તેનો તોર ઓછો થતો નથી. ભીખની વિનંતી હોય, તેનો હુકમ ન થાય. પણ પાકિસ્તાન ભીખ પણ દાન આપવાની રીતે માંગે છે. ખરું તો એ છે કે વાતચીત પાકિસ્તાન કરવા માંગે છે, પણ સાથે સાથે વડા પ્રધાન મોદીને એ સંદેશો પણ આપવા માંગે છે કે આપણે બંને પરમાણુ શક્તિ ધરાવીએ છીએ ને શસ્ત્ર સજ્જ છીએ. ભગવાન ન કરે કે યુદ્ધ થાય. થાય તો કોણ બચશે? એનું પરિણામ એવું આવશે કે શું થયું હતું તે કહેવાય કોઈ નહીં રહે. કોઈ બચવાનું નથી એનું ભાન તેઓ ભારતને કરાવવા માંગે છે. જો ખરેખર બોધપાઠ મળ્યો હોય તો તે અણુયુદ્ધની ધમકી આપે? તેમની અંદરથી ઈચ્છા તો લડવાની જ છે ને તે લડવું છે એમ સીધું નથી કહેતા, પણ અણુયુદ્ધ થાય તો ભારત નહીં રહે એમ સૂચવે છે. એમને કેમ સમજાવવું કે અણુયુદ્ધ થાય તો પાકિસ્તાન પણ નહીં રહે ! એવું ભારતના વડા પ્રધાને શરીફને યાદ અપાવવાનું છે?

આ મામલે ભારતનો જવાબ અગાઉથી નક્કી છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન થાય. આતંકવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાન અટકાવે તો શાંતિ મંત્રણાનો ભારતનો ઇન્કાર જ નથી. સાથે જ પાકિસ્તાને પી.ઓ.કે.નો કબજો છોડવાનો રહે એ પણ ઉમેરવાનું ન હોય. સાચું તો એ છે કે ભારત પોતાની શરતે વાતચીત માટે તૈયાર છે ને વાતચીત માટે પાકિસ્તાનની પણ પોતાની શરતો છે. આ સ્થિતિમાં વાતચીત દૂર દૂર સુધી શક્ય લાગતી નથી. પાકિસ્તાનના યાહ્યાખાનથી માંડીને અનેક વડા પ્રધાનોએ અગાઉ પણ અનેક રમતો ને નાલાયકીઓ કરી છે ને ભારત તેમાં ભોળવાયું પણ છે. લાલબહાદુર શાસ્ત્રી જેવા વડા પ્રધાન આ જ પાકિસ્તાનની રમતમાં ભારતે ગુમાવ્યા છે. સરહદી શાંતિ અને પી.ઓ.કે. મળતાં હોય તો વાતચીત ભલે થાય, એ સિવાયનો આખો વ્યાયામ પાણી વલોવવા જેવો જ હશે એ વાત ભારતે બરાબર સમજી લેવાની રહે. એનું નામ પાક છે, બાકી, નાપાક થવામાં એને કોઈ પહોંચે એમ નથી તે આટલા અનુભવે હવે તો સમજાવું જ જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જાન્યુઆરી 2023

Loading

ઇન્દુબહેન અનિલભાઈ શાહઃ એક અણમોલ વારસો

પલ્લવી ગાંધી|Profile|20 January 2023

ઇન્દુબહેન એ ગ્રામવિકાસને વરેલા સ્વર્ગસ્થ અનિલભાઈ શાહનાં પત્ની હતાં, ઝવેરચંદ મેઘાણી અને દમયંતીબહેનનાં પુત્રી હતાં, પલ્લવી ગાંધી અને આશિષ શાહનાં વહાલસોયાં માતા હતાં. અને, સાસુ, દાદી, પરદાદી, બહેન, મિત્ર … સગપણની યાદી લાંબી છે.

આયુના નવ દાયકા એમણે આ બધી ભૂમિકા સુપેરે નિભાવી. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ ૯૪ વર્ષની વયે અમદાવાદમાં એમનું નિધન થયું.

ઝવેરચંદ મેઘાણીનાં બીજા સંતાન ઇન્દુબહેનનો જન્મ 12 ઑક્ટોબર, 1928ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. ઇન્દુબહેનને બાળપણથી જ નૃત્યનો અને ગાવાનો ઘણો શોખ. ખાસ કરીને તેઓ  પિતાનાં ગીતો જેવાં કે ‘કોઈનો લાડકવાયો,’ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ ‘મા મને કોઈ દી સાંભરે નૈ’ અને બીજી રચનાઓ મૂળ સૂરમાં, હૃદય ડોલાવતા બુલંદ અવાજમાં ગાતાં ત્યારે શ્રોતાઓને ઝવેરચંદ મેઘાણીની યાદ આવી જતી. આકાશવાણી રેડિયોના એ માન્ય ગાયિકા હતાં અને તત્કાલીન જાણીતા કવિઓનાં ગીતો ગાવાનો અને સુગમ સંગીતનો અનન્ય શોખ હતો.

ઇન્દુબહેનને નૃત્યકલાનું પણ નાનપણથી જ ઘેલું લાગ્યું હતું. બચપણથી શરૂ થયેલી નૃત્યસાધના માતા બન્યા પછી પણ ચાલુ રહી હતી. તેઓએ સ્ટેજ પર નૃત્યનાટિકા ‘અભિસાર-સન્યાસી ઉપગુપ્ત,’ છાયા નૃત્ય ‘મારા નાના ખેતરને શેઢે’ અને અન્ય નૃત્યો રજૂ કરેલાં. તેઓ લાસ્યપૂર્વક રાસ-ગરબા મોટી ઉંમરે પણ કરતાં.

ઇન્દુબહેને પોતાનું સમગ્ર જીવન પરિવારને સમર્પિત કર્યું હતું. એમણે ભજવેલી વિવિધ સાંસારિક ભૂમિકામાં માતા અને પત્ની તરીકેની ભૂમિકા નોંધનીય છે. પતિ અનિલભાઈએ ૧૯૪૨માં ગાંધીજી સાથે આઝાદીની લડાઈની ચળવળમાં ભાગ લીધો એ સાથે ઇન્દુબહેનની સમર્પણગાથા આરંભાઈ. અનિલભાઈને ૧૭ વરસની ઉંમરે એક વર્ષનો જેલવાસ થયો હતો. ઇન્દુબહેને પણ આઝાદીની ચળવળમાં ટૂંકી જેલયાત્રા વેઠી હતી.

ઉલ્લેખનીય છે કે તેમણે વિજ્યાલક્ષ્મી પંડિતનાં પુત્રી નયનતારા સાથે ઐતિહાસિક હરિપુરા કૉન્ગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો, જેમાં એમને પંડિત જવાહરલાલ નેહરુની કુટિરની દેખભાળની જવાબદારી સોંપવામાં આવી હતી.

લોકવિકાસકાર્યો માટે જીવન સમર્પિત કરનાર અનિલભાઈની સરકારી નોકરીને લીધે ગુજરાત અને અન્ય રાજ્યોમાં બદલીઓ થતી. ઇન્દુબહેન વંથલી અને રાજપુર (દેહરાદૂન) જેવા નાનાં ગામોમાં સામાન્ય સગવડ વગર રહ્યાં અને લોકહિતનાં  કાર્યોમાં પતિનો સાથ આપ્યો.  સમાજના ગરીબ અને નિઃસહાય વર્ગના લોકો માટે એમનામાં કરુણાભાવ અને સહાનુભૂતિ રહેતાં. સરકારમાં લાંબો સમય લોકવિકાસ કાર્ય કરી નિવૃત્તિ પછી “આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ” (એ.કે.આર.એસ.પી.) અને “ડેવેલપમેન્ટ સપોર્ટ સેન્ટર” (ડી.એસ.સી.) જેવી બિનસરકારી સંસ્થાની સ્થાપનામાં ઇન્દુબહેન પતિ સાથે સહભાગી રહ્યાં.

ઇન્દુબહેનનાં બન્ને સંતાનોને જીવનભર એમના સાથ-સહકાર-પ્રેમ-હૂંફ સતત મળતાં રહ્યાં. પુત્ર-પુત્રીથી લઈને પૌત્ર-પૌત્રી-પ્રપૌત્રો-પ્રપૌત્રી, સગાંસ્નેહી, સૌનાં એ ‘બા’ હતાં.

ઇન્દુબહેન ભરપૂર જીવ્યાં, પરંતુ જીવનના વિવિધ તબક્કે તેમણે સંઘર્ષ પણ ઘણો કરવો પડ્યો. માત્ર પાંચ વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું, ૧૯ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. આ ઉપરાંત ૨૦૦૭માં ૭૯ વર્ષની વયે પતિને ગુમાવ્યા. એમણે પોતે પણ બ્રેસ્ટ કૅન્સરને હિંમતભેર લડત આપી હતી. છેલ્લે, કોવિડ -19થી ગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં દાખલ થયેલાં, પણ એમાંથીયે એ સાજાં થઈ ગયેલાં.

ઇન્દુબહેન અડીખમ જીવ્યાં અને આખરી શ્વાસ સુધી લડાયક રહ્યાં. ઇન્દુબહેન ઘણી બાબત માટે યાદ રહેશે, પરંતુ એ સૌથી વધારે યાદ રહેશે એમના નિર્વ્યાજ પ્રેમ માટે. એમની કર્તવ્યપરાયણતા માટે. કૌટુંબિક ભાવના માટે.

આવાં એક પ્રેમાળ, વાત્સલ્યસભર, કર્તવ્યનિષ્ઠ  ‘બા’ અને ‘બા’નું જીવન ‘બા’ની વાતો આવનારી પેઢી માટે એક અણમોલ, પ્રેરણાદાયી વારસો બની રહેશે.

e.mail : pallavigandhi@yahoo.com 

Loading

મન્તવ્યજ્યોત (૨૭) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સંજ્ઞાપ્રક્રિયા – સૅમિયોસિસ

સુમન શાહ|Opinion - Literature|19 January 2023

સૅમિયોસિસ અથવા સાઇન-પ્રોસેસ. ગુજરાતીમાં, સંજ્ઞાપ્રક્રિયા. એ એક પ્રક્રિયા છે, ક્રિયા છે, ને તેથી સૅમિયોસિસ એક કર્મ છે, વર્તન છે. સંજ્ઞાઓને સાથે રાખીને હું એક એવું કર્મ કરું છું જેમાં સંજ્ઞાઓ અને તેનાં અર્થઘટનોનો મેં સમાસ કર્યો હોય છે; અને એ સઘળું લઈને હું આગળ ચાલું છું. મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ છે. (લેખમાં હું ‘સંજ્ઞાપ્રક્રિયા’ ને સ્થાને ‘સૅમિયોસિસ’ પ્રયોજીશ).

સંજ્ઞાઓ મને વસ્તુઓ દર્શાવે છે. જેમ કે ખુરશી એક સંજ્ઞા છે. હું એનો અર્થ ઘટાવું છું, ખુરશી મને દેખાય છે, ને હું ખુરશી સુધી પ્હૉંચી જઉં છું. સંજ્ઞા, વસ્તુ (ખુરશી) અને (હું) અર્થઘટનકાર, ત્રણ મળીને જે સંકુલ રચાય છે એને સંકેતવિજ્ઞાનમાં ‘સાઈન રીલેશનલ કૉમ્પલેક્સ’ કહે છે. સંકેતવિજ્ઞાનની એ એક અગત્યની વિભાવના છે.

સૅમિયોસિસ એ સંકુલની ભૂમિકાએ સંભવે છે. સમજીએ :

ખુરશી લાકડાની કે લોખંડની? ગાદીવાળી પોચી કે આરામ આપનારી આરામખુરશી? કે પ્લાસ્ટિકની? એમાંનો એક પણ વિશેષ કે ગુણવિશેષ ‘ખુરશી’ સંજ્ઞામાં પોતામાં નથી. એટલું જ નહીં, એ સંજ્ઞાથી જે કંઈ સૂચવાતું નથી હોતું એ માટે મારે, એટલે કે, અર્થઘટનકારે સર્વસાધારણ સ્વરૂપની વિભાવનાઓમાં જવું જરૂરી બની જાય છે. શાસ્ત્રીય રીતે એમ કહેવાય કે એથી રીલેશનલ ડેટાબેઝની કૉલમ્સમાં જે ડેટા ખૂટતો હોય તેને પામી શકાય છે અને તે માટે પૂર્તિ કરી શકાય છે.

બાકી, જનસામાન્ય અને શિક્ષિતો પણ એમ માનીને ચાલે છે કે સંજ્ઞાએ સરજેલા બધા જ અર્થસમ્બન્ધો સરળ અને અકબંધ છે; પણ હકીકત જુદી છે, સંજ્ઞાઓ માત્ર ચિહ્નો છે. ગુજરાતીમાં તો ‘સંજ્ઞા’ એટલે જ, ચિહ્ન.

મુદ્દાની બીજી વાત એ છે કે સંજ્ઞાની પાછળ તેનો યોજક પોતાના આશયને છુપાવી શકે છે. અર્થઘટનકાર એ સંજ્ઞાવૃત આશયોને પામી શકતો નથી.

પેલાએ કરેલો પ્રયોગ : ‘એ બિલ્લી છે’.

દાખલા તરીકે, કોઈ કહે કે ‘એ બિલ્લી છે’ તો ‘બિલ્લી’ સંજ્ઞા એણે અમુક યુવતી માટે પ્રયોજી છે અને તે યુવતીમાં ચપળતાથી શિકાર કરવાની ક્ષમતા છે એવો એ કહેનારનો આશય હોય, તો તે મને નથી પ્હૉંચતો. એટલું જ નહીં, એના ‘એ બિલ્લી છે’ પ્રયોગથી ‘બિલ્લી’ સંજ્ઞાનો અત્યારલગીમાં મારામાં સંચિત થયેલો અર્થ જાગે છે. મારામાં સંચિત અર્થ આ છે : બિલ્લી એક ક્યુટ અને વ્હાલ કરવું ગમે એવું પ્રાણી છે, એને પાળી-પોષી શકાય છે. એટલું જ નહીં, અમારા બે સિવાયની ત્રીજી વ્યક્તિ પાસે, કદાચ એ જ યુવતી પાસે, એક ત્રીજો અર્થ આ પણ છે : બિલ્લીથી ડરતા રહેવું કેમ કે એ વાઘતણી માસી છે. 

અમારા ભાષા-સાહિત્ય ભવનમાં એક પટાવાળો દુબળો-પાતળો અને ઢીલા સ્વભાવનો હતો, કરમાયેલો લાગે, છતાં એનું નામ ગુલાબ હતું. જોગાનુજોગ, અમારી કામવાળીનું નામ પણ ગુલાબ હતું. સાહિત્યકારોમાં ગુલાબદાસ બ્રોકર સૌને જાણીતું નામ. હું જાતે સુમન છતાં નર-નારીના ભેદ વગરનાં એ બધાં ગુલાબની સુગન્ધ લેવાનો માત્ર પ્રયત્ન કરી શકતો. મુમ્બઇ ગયો હોઉં ને કામસર ગુલાબદાસને મળવા ગયો હોઉં, તો ક્હેતા – સુમન, એનું (એમનાં પત્નીનું) નામ પણ સુમન છે ને ઘણી વાર એ મને ગુલાબ કહે છે. સ્વીકારવામાં મને થોડી મૂંઝવણ તો થતી જ ! યાદ કરો, ગુજરાતી વ્યાકરણમાં નામોને ‘સંજ્ઞા’વાચક કહ્યાં જ છે.

આમ, સંજ્ઞા એટલે ઘણું બધું અને સંજ્ઞા એટલે કંઈ નહીં. સંજ્ઞાની પ્રકૃતિ ધૂંધળી છે. સંજ્ઞાઓ વિશ્વસનીય નથી. એને કારણે પ્રજાઓ અને કોમો વચ્ચે વાદવિવાદ મતભેદ દુ:ખો ઝઘડા અને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધો થયાં છે. ભારતીય વર્ણવ્યવસ્થામાંથી અસ્પૃશ્યતા જેવું મહા દુ:ખદ દૂષણ જન્મ્યું કે સંસારમાં હિન્દુ-મુસ્લિમ કે નાઝી-જ્યૂ જેવા ઘાતક ભેદ પેદા થયા, એમાં એ સંજ્ઞાઓ અને એ સંજ્ઞાતન્ત્રોનો ફાળો ઓછો ન્હૉતો.

એમ પણ કહેવું જોઈએ કે સંજ્ઞા એટલે સાવચેતીસૂચક લક્ષણ – સિમ્પટમ. મારું મૉં લેવાઈ ગયું હોય ને હું કણસતો હોઉં એ, મને આવેલા કે આવનારા તાવનું લક્ષણ છે. સંજ્ઞાને સાવધાનીસૂચક લક્ષણ ગણીને હું તપાસ, ગવેષણા, ઇન્વેસ્ટિગેશન ચલાવું એ મારી ગતિશીલ પ્રવૃત્તિ કહેવાય અને તે પ્રવૃત્તિ સૅમિયોસિસ છે.

મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં, એક લેખમાં, મેં ‘ઑલ આઉટ ફૉર અમૂલ’ અને બીજી જાહેરાતોની સંરચનાવાદની રીતે ચર્ચા કરી છે. અમદાવાદના નહેરુ બ્રિજના એક છેડેના હોર્ડિન્ગમાં ક્રિકેટરને અમૂલ માટે આઉટ થતો ચીતર્યો હતો અને એ દિવસોમાં શ્હૅરમાં મૅચ પણ રમાતી હતી. અમૂલ કમ્પનીનો આશય તો એટલું જ સૂચવવાનો હતો કે અમૂલબટર પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આકર્ષક છે એટલે તો જુઓ ને, બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા. મને એ સૂત્રના રચયિતા કલાકારનું નામ યાદ હતું પણ આ ક્ષણે નથી યાદ આવતું.

પણ શ્હૅરમાં રમાઈ રહેલી મૅચના જીવન્ત સંદર્ભ સાથેનું અને શ્હૅરની અતિખ્યાત જગ્યા પરનું એ પેઇન્ટિન્ગ મારા માટે સંજ્ઞાતન્ત્ર હતું ને મને એના અર્થઘટન માટે પ્રેરતું હતું. અને પ્રેરાઈને મેં જે લખ્યું એ ક્રિયા કે મારી એ પ્રવૃત્તિ સૅમિયોસિસ હતી.

હું એવી પ્રવૃત્તિ કેમ કરું છું? કેમ કે ‘ઑલ આઉટ ફૉર અમૂલ’-નું એ વિશાળ હોર્ડિન્ગ કે ચિહ્નરૂપ તેમ જ લક્ષણરૂપ સંજ્ઞાઓ મને જંપવા દેતાં નથી. હું સંજ્ઞાનો સામાના અર્થ જોડે અને મારામાં કે અન્ય કોઈમાં રહેલા સંચિત અર્થ જોડે મેળ પાડતો હોઉં છું.

એમ કરીને હું એક એવો મૅસેજ રચું છું જે મને તો પ્હૉંચ્યો જ હોય છે પણ મને સાંભળનાર સૌને પ્હૉંચવાની ક્ષમતા ધરાવતો હોય છે. જેમ કે, હું કહું કે અમૂલે પોતાનું બટર વધુ ને વધુ વેચાય એવી ધંધાદારી દૃષ્ટિથી એ જાહેરાત બનાવરાવેલી અને તે માટે ‘ક્રિકેટર’ ‘ઑલ’ અને ‘આઉટ’ સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો, ચિત્ર અને જાહેરાત જેવાં સંજ્ઞાતન્ત્રોનો ઉપયોગ કરેલો, તો સૌને એ મૅસેજ ગળે ઊતરવાનો. એને કહેવાશે, એક સાર્થક સંક્રમણ – કૉમ્યુનિકેશન.

અને, એવા સાર્થક કૉમ્યુનિકેશન્સથી સૅમિયોસિસ પ્રવૃત્તિનો આકાર બંધાય છે.

પણ કૉમ્યુનિકેશનની સુખ્યાત પદ્ધતિ છે – ડીકોડિન્ગ અને તે પૂર્વે થતું ઍન્કોડિન્ગ.

ઍન્કોડિન્ગ-ડીકોડિન્ગ પણ ડીનોટેશન-કોનોટેશન અને સાઈન રીલેશનલ કૉમ્પ્લેક્સ જેવી સંકેતવિજ્ઞાનની નૉંધપાત્ર વિભાવના છે.

એ વિશે હવે પછી.

= = =

(Jan 20, 2023 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1291,1301,1311,132...1,1401,1501,160...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved