Opinion Magazine
Number of visits: 9458223
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—180

દીપક મહેતા|Opinion - Opinion|21 January 2023

મુંબઈ યુનિવર્સિટી કરતાં એલ્ફિન્સ્ટન કોલેજ વધુ જૂની

મૌખિક પરીક્ષા પહેલાં સૂઈ ગયેલા ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે જગાડ્યા? 

જસ્ટિસ સુજાતા મનોહર, અભિનેત્રી સ્મિતા પાટિલ, લેખિકા ધીરુબહેન પટેલ, અભિનેત્રી સ્વરૂપ સંપટ, નાગરિક હકોનાં હિમાયતી તિસ્તા સેતલવડ, કળામર્મજ્ઞ સરયુ દોશી – જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરતી આ મહિલાઓ વચ્ચે એક બાબત સમાન છે. તે કઈ?

બાળગંગાધર ટિળક, પ્રેમચંદ રાયચંદ, કવિ નર્મદ, દાદાભાઈ નવરોજી, મહાદેવભાઈ દેસાઈ, જમશેદજી તાતા, અભિનેતા સલમાન ખાન, ક્રિકેટર અજિત વાડેકર, પાકિસ્તાનના પહેલા પ્રમુખ ઇસ્કન્દર મિર્ઝા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, લેખક સુરેશ જોશી, ગાયક કુણાલ ગાંજાવાલા – આ બધા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારાઓ એક યા બીજે વખતે એક જ સંસ્થા સાથે સંકળાયેલા હતા. એ સંસ્થા તે કઈ?

જવાબ: આજના લેખને અંતે.

*

આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ બોમ્બે પ્રેસિડન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની અત્યંત વિશિષ્ટ કામગીરીની યાદ કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીની લાઈબ્રેરીમાં મળી. સભાપતિનું સ્થાન માધવદાસ રણછોડદાસે સંભાળ્યું હતું. એલ્ફિન્સ્ટનના નિકટના સાથી કેપ્ટન જર્વિસે કહ્યું કે ગવર્નર એલ્ફિન્સ્ટન પણ રાજી થાય એવું કામ આપણે કરવું જોઈએ. અને શિક્ષણના ક્ષેત્ર કરતાં વધુ સારું બીજું કયું ક્ષેત્ર આ માટે હોઈ શકે? એટલે ‘એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ’ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તથા તે અંગે મુંબઈની સરકાર અને ગ્રેટ બ્રિટનમાંની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિનંતી કરવી એમ પણ નક્કી થયું. આ કામ પાર પાડવા માટે એક સમિતિ રચવામાં આવી જેમાં આટલાનો સમાવેશ થતો હતો : જમશેદજી જીજીભાઈ, ફરામજી કાવસજી બનાજી, બહમનજી હોરમજજી વાડિયા, ધાકજી દાદાજી, દેવીદાસ હરજીવનદાસ, જગન્નાથ શંકરશેઠ, અને મહંમદઅલી રોગે.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનું બાવલું – ભાઉ દાજી લાડ  મ્યુઝિયમ

આ અંગે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. (૧૮૨૭ના સવા બે લાખ એટલે આજના કંઈ નહિ તો પચીસ કરોડ.) અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યરપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ શકી. પહેલા બે પ્રોફેસરો આર્થર બેડફર્ડ ઓર્લેબાર અને જોન હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. યુનિવર્સિટીની ઓફિસ તો એ મકાનમાં હતી જ, પણ વર્ગો પણ ત્યાં જ લેવાતા અને વાર્ષિક પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. શરૂઆતમાં આ કોલેજ અગાઉની એલ્ફિન્સ્ટન સ્કૂલ સાથે જોડાયેલી હતી. ૧૮૪૫માં કોલેજ અલગ થઈ તે પછી જોન હાર્કનેસ તેના પહેલા પ્રિન્સિપાલ બન્યા. આજે જેનું સત્તાવાર નામ જમનાદાસ મહેતા રોડ છે તે રસ્તાનું અસલ નામ હાર્કનેસ રોડ હતું કારણ એ રોડ પરના એક બંગલામાં તેઓ રહેતા હતા.

એલ્ફિન્સ્ટન કોલેજનું જૂનું મકાન, ભાયખળા

૧૮૪૫માં ઉચ્ચ શિક્ષણની દિશામાં બોમ્બે પ્રેસિડન્સીએ બીજું એક મહત્ત્વનું પગલું ભર્યું. એ વર્ષે આ ઈલાકાની પહેલવહેલી મેડિકલ કોલેજ, ગ્રાન્ટ મેડિકલ કોલેજની શરૂઆત મુંબઈમાં થઈ. તેની સાથે જોડાયેલી સર. જે.જે. હોસ્પિટલ પણ સાથોસાથ શરૂ થઈ. શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કોલેજ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજ, બંને પોતે જ વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી. ૧૮૬૦માં એ બંને કોલેજ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ ગઈ અને ત્યારથી ડિગ્રી આપવાનું કામ યુનિવર્સિટી કરતી થઈ.

૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્ત્વમાં આવી. તે વખતે તેમાં માત્ર બે જ વિદ્યા શાખા હતી – આર્ટસ અને મેડસિન. પણ શરૂઆતમાં શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં અને મેડસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા. ૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના ત્રણ-ત્રણ પેપર રહેતા : એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો.

શરૂઆતનાં ઘણાં વરસ દરેક વિષયમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. એ વખતના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો ખ્યાલ આપતો એક કિસ્સો : ૧૮૭૧માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે સંસ્કૃતના પરીક્ષક હતા પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર. મૌખિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમની અટકના alphabetical orderમાં બોલાવતા. એટલે ગોવર્ધનરામનો વારો લગભગ છેલ્લો. આગલે દિવસે આખી રાત તૈયારી કરવા જાગેલા. એટલે વારો આવે તેની રાહ જોતાં જોતાં બાંકડા પર જ સૂઈ ગયા. ભાંડારકરે બે વખત ‘ત્રિપાઠી’ના નામની બૂમ પાડી, પણ કોઈ આવ્યું નહિ. એટલે પોતાની કેબિનમાંથી બહાર જઈ જોયું તો એક વિદ્યાર્થી સૂતો હતો. ઢંઢોળીને પૂછ્યું : ‘તમે જ મિસ્ટર ત્રિપાઠી?’ ‘હા જી સાહેબ.’ ‘ચાલો મૌખિક પરીક્ષા માટે.’

મેટ્રિકની પહેલી પરીક્ષામાં ફક્ત બે ગુજરાતી છોકરા પાસ

યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી તેમાં તો માત્ર ચાર છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. લાઈસેનસિયેટ ઇન મેડસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા અને એક હતા મરાઠીભાષી. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઈ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું જૂનું મકાન

પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ અને નંબર લખવાનાં રહેતાં. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.

એલ્ફિન્સ્ટન કોલેજને તેનું પોતાનું મકાન મળ્યું તે તો છેક ૧૮૭૧માં, સર કાવસજી જહાંગીરની સખાવતથી. એ મકાન તે આજનું કોટ વિસ્તારમાં આવેલું મકાન નહિ. અસલ મકાન ભાયખળામાં વિક્ટોરિયા ગાર્ડનની સામે હતું. આજે એ મકાનમાં ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર રેલવે હોસ્પિટલ છે. ત્યાર બાદ કોલેજને હાલના કાળા ઘોડા સામેના નવા મકાનમાં ખસેડાઈ હતી. આ મકાન ૧૮૮૮માં બંધાયું હતું. આજે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બિલ્ડિંગનો દરજ્જો ધરાવે છે. આપણા પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, કવિ, વિવેચક નરસિંહરાવ દિવેટિયા આ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા.

૧૮૬૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે બીજી એક કોલેજ – વિલ્સન કોલેજ – યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ. છેક ૧૮૩૨માં સ્કોટિશ પાદરી જોન વિલ્સને ગિરગામમાં આમ્બ્રોલી ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી હતી. પછીથી તેનું નામ વિલ્સન સ્કૂલ રાખવામાં આવ્યું. ૧૮૩૬માં તેમાં ‘કોલેજ સેક્શન’ ઉમેરવામાં આવ્યું. સ્કૂલથી અલગ થયા પછી તે વિલ્સન કોલેજ તરીકે ઓળખાયું. તે પછી ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થયેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ. પહેલે વરસે તેમાં ફક્ત બે જ વિદ્યાર્થીઓ ભણવા માટે દાખલ થયા હતા.

માત્ર મુંબઈ શહેર માટે જ નહીં, આખા બોમ્બે પ્રેસિડન્સી માટે યુનિવર્સિટી અને તેની કોલેજો – ખાસ કરીને એલ્ફિન્સ્ટન કોલેજ – ઉચ્ચ કેળવણીનું કેન્દ્ર બની રહી. નવું જ્ઞાન, નવા વિચારો, નવા આદર્શો, ફેલાવવામાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ગુજરાતી સાહિત્યમાં જે સમયગાળાને પંડિત યુગ તરીકે ઓળખવાનો ચાલ છે તે સમયના ઘણાખરા લેખકો, પત્રકારો, સમાજ સુધારાના અગ્રણીઓ, યુનિવર્સિટી ઓફ બોમ્બેના, અને એલ્ફિન્સ્ટન કોલેજના જ વિદ્યાર્થીઓ હતા. આજના ગુજરાત રાજ્યના વિસ્તારમાંની પહેલવહેલી કોલેજ છેક ૧૮૭૯માં અમદાવાદમાં શરૂ થઈ, ગુજરાત કોલેજ. ત્યાં સુધી તો આખા ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મુંબઈ જ આવતા. એટલે આજના ગુજરાત રાજ્યના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વિકાસમાં મુંબઈનો ફાળો અનન્ય છે. આજના ગુજરાતના શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યની અગ્રણી સંસ્થાઓ કે વ્યક્તિઓ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, તેથી કાંઈ હકીકત બદલાઈ જતી નથી.

યુનિવર્સિટી ઓફ બોમ્બે અને તેની સાથે સંકળાયેલી કોલેજોએ બીજું એક મહત્ત્વનું કામ કર્યું તે સામાજિક સીડીનાં પગથિયાં ચડવા માટે એક ભરોસાપાત્ર સાધનની સગવડ ઊભી કરી આપી. અને પહેલાં ગ્રેટ બ્રિટનનાં અને પછી આખી દુનિયાનાં જ્ઞાન-વિજ્ઞાન, સાહિત્ય-સંસ્કૃતિ, શોધન-સંશોધન સાથે ઘરોબો બાંધી આપ્યો. આ નવી આબોહવામાં શ્વાસ લેનાર કવિ નર્મદે કદાચ એટલે જ ગાયું : ‘દીપે અરુણું પરભાત.’

*

આ લેખની શરૂઆતમાં પૂછેલા સવાલનો જવાબ : જુદાં જુદાં ક્ષેત્રની આ બધી જ અગ્રણી વ્યક્તિઓ વચ્ચે એક સમાન બાબત એ હતી કે એક યા બીજે વખતે તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણી હતી, અને એટલે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સંતાન હતી. 

e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 જાન્યુઆરી 2023

Loading

… શોધું છું

રવીન્દ્ર પારેખ|Poetry|21 January 2023

તું નથી ને હું છું

આ ક્ષણે તો એમ લાગે છે 

કે હું મારા વગર છું

કારણ 

છું એનો કોઈ ખ્યાલ પણ નથી

હું એવા સમયમાં છું

જ્યાં ઘણી ઓળખ

કરવાની રહે છે

રાત પૂરી થવામાં છે

પણ પૂરી થઈ નથી

સવાર પડવામાં છે

પણ પડી નથી

સવાર 

રાતને ખસેડવા મથે છે

પણ તારાઓને તો

કરચલીયે પડતી નથી

પહાડીઓ અંધારાની 

ઢગલીઓ જેવી જરા ય ચસકતી નથી

પવન પડી ગયો છે

નદી પર લહેર ઊઠતી નથી

એટલે એ પણ 

પાંપણ જેવો 

વળાંક લેતી અટકી ગઈ છે

પંખીઓએ હજી ડાળીઓ

ખંખેરી નથી એટલે 

ફફડાટ પણ નથી

કળીઓ પણ 

ખૂલવા વિચારે છે

પણ ડાળીએ બેઠેલો

અંધકાર ખસે તો ખીલેને !

સ્થિર છે બધું

પૃથ્વી ફરવાનું ભૂલી ગઈ છે 

કે તેણે હમણાં જ ફરવાનું શરૂ કર્યું છે

તે નથી જાણતો

કદાચ હું જ છું પહેલો

ને તું અવતરી રહી છે

તું આવે તો જીવ આવે

આવે તો ઈશ્વર બનાવીએ

કદાચ 

ઈશ્વર પહેલાંના સમયમાં છું 

ને અવતારું છું તને 

પૃથ્વી પર

પહેલો પ્રેમ કરવાનું આપણે ભાગે આવ્યું છે

એ કેવી રીતે થાય તે નથી ખબર 

તું નથી 

ને બનતાં જગતમાં 

તને ખોળું છું

ને બની રહી છે ત્યારે 

બનેલાં જગતને તારામાં ….

(પ્રગટ : “એતદ્દ”; ‘ઓક્ટોબર – ડિસેમ્બર, 2022)
000
e.mail : ravindra21111946@gmail.com

Loading

: રેત સમાધિ : લેખિકા ગીતાંજલિ શ્રી : 

બકુલા ઘાસવાલા|Opinion - Literature|21 January 2023

“ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,

ભૂરું છે નભ સ્વચ્છ, સ્વચ્છ દીસતી નથી એકે વાદળી;

ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,

જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં !” 

                           — સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ 

(‘ગ્રામમાતા’, શાર્દૂલવિક્રિડિત છંદ)

ગીતાંજલિ શ્રીની નવલકથા ‘રેતસમાધિ’માંથી પસાર થતાં મને ઉપરોક્ત પંક્તિઓ યાદ આવી કે નાયિકા માતા ચંદ્રપ્રભાદેવીનું જીવન એટલે એમની મેઘધનુષી, વાસંતી જિંદગીના ચડાવઉતરાવની, ઋતુઋતુના બદલાવની ગાથા જેમાં હેમંત, પાનખર અને વસંત પછી ફરી નવી ઋતુનું આગમન.

સમગ્ર પુસ્તક એક સ્ત્રીની જીવનકથા અને એનાં કુટુંબનાં વિવિધ પાત્રોનાં મનોવ્યાપારનું આબેહૂબ વર્ણન છે. અનોખી શૈલીમાં લખાયેલી કથાનાં પાત્રો માનુષી તો ખરાં જ ઉપરાંત ઘર અને ઘરેલુ ચીજો, વ્યંજનો, બાગબગીચા, પક્ષીઓ સમેત પાત્રો પોતપાતાની અનુભૂતિની વાતો કરતાં રહે છે. મૂળ પાત્રો તો મા, બેટી, મોટો પુત્ર, પુત્રવધૂ, ગંભીર પૌત્ર અને જીવનરસથી હર્યોભર્યો પૌત્ર સિદ્ધાર્થ ઉર્ફે સિડ છે જ ઉપરાંત કેટલાક અન્ય અગત્યનાં પાત્રો છે રોઝી, રઝા, કેકે, અલી અનવર, અનવર, નવાજભાઈ અને અન્ય ….. જો કે માનું હ્યદયસ્થ પાત્ર તો અનવર જ છે.

કથા ત્રણ ભાગમાં કહેવાયેલી છે. ‘પીઠ, ધૂપ અને હદસરહદ.’ પ્રથમ ભાગ માની એ દાસ્તાન કહે છે જેમાં પતિની ચિરવિદાય પછી મા પોતાના હોશહવાસ ગુમાવી બેસે છે અને જિંદગીથી મોં ફેરવી લે છે. કંઈક રીતે બીજી દુનિયા સાથે એનું અનુસંધાન થઈ જતું હોય તેવું લાગે. સંતાનો માને પુન:જીવન માટે ચેતનવંત બનાવવા પ્રયત્નો આદરે છે અને બેટી એમાં કંઈક અંશે સફળ થાય છે સાથે બુઆ પણ છે જેની ઘરમાં આવનજાવન પહેલાં રોઝી અને પછી રઝા રૂપે પણ થતી રહે છે. રોઝીબુઆ નાન્યતર જાતિની અવસ્થામાં છે પરંતુ મા સાથે એનો અનોખો ભાવનાત્મક સંબંધ છે. બેટી પોતાની અલગારી અને મનપસંદ જિંદગી જીવે છે. એને પુરુષ મિત્ર છે કેકે જેની સાથે એ પરણે કે નહીં તે વાત અધ્યાહાર રહે છે પરંતુ પ્રવાસી પત્રકાર કેકે એની સાથે અવારનવાર રહે છે. બેટીનું જીવન એની પોતાની મુનસફી પર પોતાની શરતે જ જિવાતું હોય છે. એને મા માટે એવો લગાવ હોય છે કે એ માને હતાશાના દોરમાંથી જીવનના પ્રવાહમાં આણી લાવવામાં છેવટે મા પ્રત્યે જ ‘માતૃભાવ’ અનુભવે છે. બેટીને ત્યાં આવ્યાં પછી મા બાગબગીચા, પોતાની હસ્તકલાઓ અને જીવનની નાનીનાની પ્રવૃત્તિઓમાં રસ લેતી થાય છે. બેત્રણ વાર બીમાર પડી હોસ્પિટલમાં પણ જાય છે. એ દરમિયાન પણ રોઝી સતત હાજર રહી માને પીઠબળ પૂરું પાડે છે. માનું તનમનથી મેકઓવર થાય છે. વેશભૂષા અને જીવનચર્યા બદલાય છે. માની સાડીઓ ગાઉનમાં તબદિલ થતી રહે છે. માનો જીવનરસ રોઝી ‘ઓડ્ઝ એન્ડ એન્ડ્ઝ’ની પ્રવૃત્તિમાં ઓચ્છવ સ્વરૂપે જીવંત કરી દે છે. બેટીનું ઘર મા, રોઝી અને પાસપડોશીઓની ચહલપહલથી ધમધમતું થઈ જાય છે. ઘરના અને લોકોના આપેલાં કપડાંથી લઈ અનેક ચીજો રમકડાં અને થેલા-થેલીમાં નવ્ય આકૃતિ પામે છે અને એની ઉપયોગિતા વધે છે. મા ફરીથી ખાયા પિયા – મઝા કિયા-ના પાર્ટી મૂડમાં પણ આવી જાય છે. મા માટે એનો દીકરો જે અહીં ‘બડે’ તરીકે ઓળખાય છે એમની, એમનાં પત્નીની, ગંભીર પ્રકૃતિના પૌત્ર અને દિલદાર પૌત્ર સિડની વિવિધ પ્રકારની લાગણીઓનો અણસાર પણ મળતો રહે છે. ત્રીજા ભાગમાં મા-બેટી સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે. નામ તો રોઝીની ઇચ્છાઓનું લેવાયું છે  પરંતુ કારણ તો માનું પોતાનું છે. આ યાત્રામાં પણ સંઘર્ષ છે, કેટલીક કડવી યાદો છે પરંતુ સદ્ ભાવ અને સૌહાર્દનો અનુભવ પણ ક્યાંક થાય છે. અંતે કથા ગીતાંજલિની પોતીકી, આગવી રીતે કે માની નિયતિ રૂપે પૂરી થાય છે.

આ કથામાં ઘટનાઓ છે અને ઘટનાલોપ છે, પાત્રોનું મનોમંથન છે, એક છત નીચે, એક સાથે ત્રણેક સદીમાં જીવતાં કુટુંબના સભ્યોની પોતપોતાની જિંદગીની અનુભૂતિનું દર્શન અહીં થાય છે, દરેકને જોડતી કડી મા અને તેની સાથેના સંબંધો છે. બધાં સાથે છતાં સૌ પોતાની રીતે એકલાં અને એકલવાયાં છે. ભૂતકાળ અને વર્તમાનનું અનુસંધાન છે તો પ્રવર્તમાન વૈશ્વિકીકરણ સાથે જોડાયેલ માર્કેટ કલ્ચર, સંયુક્ત કુટુંબોની બદલાતી તાસીર, શહેરી અને ગ્રામીણ જીવન, હોસ્પિટલ અને ડોક્ટરોની પ્રેક્ટિસની વાસ્તવિકતા, ક્રિકેટની વાતો, ગણપતિએ દૂધ પીધું, ઘર બેઠાં વ્યવસાયની વાતોથી લઈ એવો ભાગ્યે જ કોઈ મુદ્દો હશે જે લેખિકાની કલમેથી ન અવતર્યો હોય. પુસ્તકમાંથી પસાર થતાં આ કથા સરેરાશ ભારતીય કુટુંબની જિવાતી રોજિંદી જિંદગીની વાસ્તવિકતાનું જ નિરૂપણ લાગે. ખાસ કરીને મા-બેટી, ભાઈ-બહેનના સંબંધોની વાત તો આબેહૂબ વર્ણવાઈ છે. રોઝી અને માના સંબંધો તો કંઈક જુદી જ ભાત પાડે છે અને કથાના અંતમાં જ્યારે એનું અનુસંધાન દૃષ્યમાન થાય છે ત્યારે લેખિકાની કથાગૂંથણીની કલા મુખર થઈને રહે છે. મા અને મૂર્તિનો સંબંધ અનોખો, અનન્ય અને અજોડ છે. મૂર્તિનું અનુસંધાન વ્યક્તિગત રીતે તો ભાવનાત્મક છે પરંતુ બે રાષ્ટ્રો વચ્ચે તો ઐતહાસિક વારસાઈ અને માલિકી વચ્ચે પણ છે. મા પાસેથી મળેલી આ મૂર્તિ અમારી સાંસ્કૃતિક ધરોહરનો હિસ્સો છે એ જેટલું તે પાકિસ્તાન જાય છે ત્યારે ભારપૂર્વક કહેવાયા કરે છે તેટલું સામે માનું પોતાની કિશોરાવસ્થાને વફાદાર રહી પોતે પણ એ જ સાંસ્કૃતિક ધરોહરનો જીવંત, માનવીય હિસ્સો છે એવું પુરવાર કરવાનો જ નહીં એ જ સત્ય છે એમ માનવાનો હઠાગ્રહ પણ મૂર્તિ જેવો જ દૃઢ, અડગ, પુરાતન અને તૃણમૂળ છે. મૂર્તિની ઐતહાસિકતાને મ્યુઝિયમ સાથે સાંકળીને અધિકૃત કરવાનો પ્રયાસ માની હયાતીને નગણ્ય બનાવે પરંતુ એ તો પોતાનાં મૂળિયાંને જ વફાદાર રહે છે. અલબત્ત, મૂર્તિને હ્યદયસ્થ રાખીને. મૂર્તિએ પણ મા સાથે જીવનભર સંગીન સંગત કરીને સાથ નિભાવ્યો છે. બેટીને તો માનો મૂર્તિ માટેનો લગાવ કંઈક અજબગજબ જ લાગતો જેનું અનુસંધાન જ્યારે જડે છે ત્યારે બધી પરતો ઉકેલાઈને ફક્ત રાધાભાવ જ ઝળહળે છે. જે પ્રજાને બુતપરસ્તીમાં લેશમાત્ર લગાવ નથી એ જ મૂર્તિની માલિકી માટે ઐતહાસિક પુરાવાને આધારભૂત માને છે જ્યારે સામે મૂર્તિમાં જ પોતાની આસ્થા રોપતી મા પોતે જ પ્રણયની આદર્શ મૂર્તિરૂપ ઝળહળે છે ત્યારે મને તો રાધાભાવનું જ દર્શન થતું રહે છે જાણે મૂર્તિ સદૈવ ‘સોડહમ્ સોડહમ્‌’ના નાદબ્રહ્મનું રટણ કરતી રહેતી હોય ! કોણ જાણે કેમ મને મૈત્રેયીદેવીની ‘ન હન્યતે’ યાદ આવતી હતી અને ‘ન હન્યતે હન્યમાને શરીરે’ની વિભાવના તાદૃશ થતી લાગતી હતી. માનું ભાવજગત અનવર સાથે એવું અનુસંધાન પામ્યું છે કે માને મન એ જ એનું સર્વસ્વ છે. એની સ્થૂળ હયાતીનો અહેસાસ કરવો એ જ હવે એનું લક્ષ્ય છે. જોકે જીવનનાં અંતે મેળાપ થાય છે ત્યારે એક શારીરિકરૂપે અને બીજું માનસિક રીતે પોતાની વાસ્તવિક સંચેતના ગુમાવી ચૂક્યું હોય છે. પાકિસ્તાનની જેલમાં માબેટી સાથે વર્તન આપણી ધારણા બહાર સૌજન્યસભર છે. વિભાજનની વ્યથાના વીતક તો અહીં છે જ. વિભાજનની કડવી યાદો અને હિંદુસ્તાન આવવાની સફરમાં જ રોઝીનો એક નાની બાલિકા તરીકે યુવતી ચંદ્રપ્રભા સાથેનો મેળાપ અને સંબંધ એ માનવીય મૂલ્યોનું એવું જતન છે કે તે બન્નેની સમગ્ર જીવનયાત્રા દરમિયાન મહેસૂસ કરીએ તો જ સમજાય. વિભાજન સમય દરમિયાનનો ખોફ, હિંસા, નિર્દયતા, ડર સાથે એ સમગ્ર પ્રતારણા પછી પણ ટકી જવું, ક્યાંક સારપ જોવી અને અનુભવવી, સંસાર વસાવવો, એની માવજત કરવી અને મનને અતલ ખૂણે સંતાડેલી ચાહતને સંભાળીને ગોપનીય રાખવાની ત્રેવડ તો સંવેદનશીલ સ્ત્રીહ્યદયને જ હોય. એ નાજુક સંબંધોનું  જતન સર્જકે આહથી અનાહતમાં કર્યું છે. તો પણ મને એ સવાલ તો રહ્યો જ કે અંતે આ નવલકથાની આકૃતિ વેદનાનો પાલવ સમેટીને કેમ સંકોરાઈ ગઈ ?

આ કથા સીધી રીતે એક પછી ઘટનાક્રમની કડીઓ જોડતી નથી પરંતુ જીવંત પાત્રોની સાથે દરવાજા, બારી, ભીંત, અત્તર, છડી, વાળ, લેપ, વાઈન, એલાર્મ, ડોરબેલ, મેઘધનુષ જેવાં કેટલા ય પ્રતીકો અને કલ્પનોની ઝાંખી કરાવતી કરાવતી સાકાર થતી રહે છે. નવલકથામાં જ લખ્યું છે કે વાર્તા જીવે, જિવાડે, ઊડે, ચાલે, થોભે, વળે, હોય. જે હોય તે સામે આકૃતિ ધારણ કરે અને દયા, માયા, સપનાં, નિસ્પૃહીપણું, પ્રેમ, હાસ્ય, નિર્દોષતા, ચીડ, એકલવાયાપણું, વિદ્વત્તાનો ભાર અને ગાંભીર્યની ભાવનાત્મકતાની અનુભૂતિ કરાવતી રહે છે. અહીં ફક્ત માનવમેળો જ કે એમના દ્વારા લવાયેલ ‘વેસ્ટ – કચરાપટ્ટી’ જ જડે છે એવું નથી અહીં પુષ્પાવલિનો ઘટાટોપ છે, વાનગીઓનો રસથાળ છે, સાડીઓનો મેળો છે, સાડીઓની વાત નીકળી છે તો જરા એના વૈવિધ્યના ઉલ્લેખ પર પણ નજર કરી દઈએ. સાડીઓની ખૂબી-ખામીની વાત સાથે એનાં વિવિધ પ્રકારો ગણીએ જેનો સંબંધ ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક પણ છે. બાંધણી, ચંદેરી, જામદાની, ઈક્કત, તનછોઈ, મૂગા, કોટા, બાલુચેરી, બંધેજ, અજરખ, ઢાકાઈ, જરદોસી, ચિકનકારી, મધુબની, મહેશ્વરી, ભાગલપુરી ટસર, ગઢવાલી, બનારસી, ટંગાઈલ, કાંથા, પોચમપલ્લી, કટક, બંગાલી શાંતિપુરી, બસ્તર, લુગડા, પૈઠણી …. આ બધું ઉપરછલ્લું જોઈને ધરાઈ ગયા પછી એને છોડીને એ અંદરની પરત – ગડી ખોલી જોઈ રહી છે ! બડેને થયું કે એણે સાડી છોડી ગાઉન પહેર્યો છે તો એ પડી જશે અને એ પડી પણ ત્યારે નહીં ! – (૧૯૩).

વેસ્ટમાંથી બેસ્ટની કલાની રંગત છે અને પંખી-પ્રાણીઓ-નાનકડાં જીવજંતુઓની સૂરાવલિઓની  સંગત પણ છે. વર્તમાન સમયમાં મા અને રોઝીની સિસોટીના રણકારનો આનંદ છે તો એનું અનુસંધાન દેશવિભાજન સમયે સિસોટીના સહાયસૂચક અવાજની જરૂરિયાત અને ઉપયોગિતા સાથે પણ છે. 

કહેવતો અને રૂઢિપ્રયોગો અહીં સહજતાથી બોલાય છે કેટલાક ઉદાહરણો જોઈએ. 

એક દિન મરને કે લિયે હજારો દિન જીના પડતા હૈ . (પાનું : ૨૦૪) 

કાહે કે બડે, દહીં કે બડે (વડે) (પાનું : ૨૦૫) 

નીમ ઊભરી કી નીમ ડૂબી ! (પાનું : ૨૦૬ કે ૨૦૭) 

જ્યાં સીમા પાર થાય છે ત્યાં સંગમ થાય છે (પાનું : ૨૦૭). 

ઔરતોમેં ઉનકા સંસાર ઔર ટપ ટપ રસ બહાર ! (પાનું : ૨૦૭)

આ કથા સીધી સીધી શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી તો નથી જ. મારા પર એની અસર એ રીતે એ થઈ કે એક વાર હાથમાં લીધા પછી બેથી ત્રણ વાર મૂકી પણ દીધી છે છતાં ફરીથી હાથમાં લીધી અને વિચારી વિચારીને પઠન કરતી રહી. ક્યાંક મને મારી લાગણી વ્યક્ત થતી લાગી તો ક્યાંક વાસ્તવિક જિંદગીના કેટલાયે પાત્રો સામે જીવંત થઈ ગયાં અને લાગે કે ગીતાંજલિ શ્રી આ લોકોથી પરિચિત હશે ? એવું વિચારવાનું એક કારણ એ પણ ખરું કે તેઓ સુરત રહી ગયાં છે એટલે દક્ષિણ ગુજરાતથી પરિચિત છે. “માનું મૃતપ્રાય અવસ્થામાંથી જીવન તરફ પરત થવું અને પરતોનું ઉકેલાતાં રહેવું અને જિંદગીને ચાહવું એ આ કથાનો પ્રધાન ધ્વનિ છે . તો સામે  અસંમજસ, દ્વિધા, ફિકર, ઉદ્વેગ, અતીતરાગ અને એ ક્ષણોને પકડી રાખવાની જિદ પણ છે. “ઘર, ઘરની ગતિવિધિઓ અને એમાં બનતી ઘટનાઓ, લેવાતા નિર્ણયો પર અધિકાર કે સાઈડટ્રેક થવાની લાગણીઓ જેવી અનેક બાબતો વણી લેવાયેલી છે. અહીં ‘મનકી બાત’નો વિનિયોગ, વેસ્ટમાંથી બેસ્ટ, તમે કરો તે લીલા અને અમે કરીએ તે નાદાન રમત !-ની લાગણી, રિબોક જેવી કંપનીનો પગપેસારો અને સાંપ્રત સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણની પરિસ્થિતિ પર એની અસરને બખૂબી ગૂંથી લેવાયેલી છે એટલે કે સ્વદેશીની ભાવનાનો લોપ અને વિદેશી વસ્તુઓનું જ નહીં વિભાવનાનું હાવી થવું પણ મુખર કરવાનો પ્રયાસ ધ્યાનાકર્ષક બને છે. વેરવિખેર લાગતી ઘટનાઓ, મનોવ્યાપાર, અસંબંદ્ધ લાગતા આલાપ-પ્રલાપ સુગ્રથિત થઈને આશરે ત્રણસો પચ્ચોતેર પાનાંમાં નવલકથા રૂપે પ્રગટ થાય છે. ઘરના રહેવાસીઓ ઘરમાં રહે છે તો પણ સ્વથી સમષ્ટિ સુધી એમનો નાતો છે તો સમષ્ટિનો સ્વ પર પ્રભાવ સમજવો જ પડે એ અનિવાર્યતા છે. રિબોકના શૂઝનો ઘરપ્રવેશ એવો પ્રતીકાત્મક છે કે દેખીતી રીતે સહજ, પરિવર્તનશીલ અને નગણ્ય લાગે છતાં એ સીધો તમારી રહનસહન, વિચારધારા અને જીવનશૈલી પર સાંસ્કૃતિક હુમલો કરી અનિવાર્ય જરૂરિયાત રૂપે સ્થિત થઈ જાય છે. શરૂઆતમાં તો લાગે કે એનો પ્રવેશ અનાયાસ થયો પરંતુ એ કોઈ આર્થિક વ્યવસ્થાની રણનીતિ રૂપે મારા-તમારા ઘરમાં પ્રવેશી ગયો તેનો અણસાર આવે તે પહેલાં તો એની ઘૂસણખોરી તમારા જીવનમાં થઈ ગઈ અને હવે તમે હતપ્રભ થાવ કે ન થાવ તમારે સ્વીકાર્યો જ છૂટકો ! વાત એક જ ચીજની ક્યાં છે ? અહીં તો કામની કે નકામી ચીજોનો ખડકલો છે જે કન્ઝ્યુમરિઝમને બહેકાવ્યા જ કરે છે. ભારતીય રિસાઈક્લિંગની ભવ્ય પરંપરા અને આ નવ્ય મોહમયી વાપરો અને ફેંકોની ભ્રાંતિ ! વળી આ બધું મા અને મા સાથે જોડાયેલ જીવનચર્યાના ભાગરૂપે જ તો દર્શાવાયેલું સત્ય છે !

નવલકથામાં પ્રવેશીને કેટલુંક પોતાપણું અનુભવીને તો ક્યાંક અતરાપી હોવાનો તો ક્યાંક સંમતિ-અસંમતિનો ભાવ અનુભવીને પણ હું અંતે તો એ વાચનયાત્રા પાર કરી ચૂકી છું. મને તો નવાઈ એ પણ લાગી છે કે ગુજરાતી ભાષા જગતમાં એની જોઈએ એવી નોંધ લેવાઈ નથી !

હવે તો આ કૃતિને અનુવાદ માટે બુકર એવોર્ડ પણ મળી ચૂક્યો છે એ લેખિકાનાં કલમકર્મની અધિકૃત સફળતા છે. મિત્ર જવાહરભાઈનાં સૌજન્યથી આ પુસ્તક વાંચવાં મળ્યું તે બદલ એમનો અને લેખ પ્રકાશિત કરવા બદલ ‘ભૂમિપુત્ર’નો આભાર. 

પ્રગટ : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2022; પૃ. 14-16
સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1271,1281,1291,130...1,1401,1501,160...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved