Opinion Magazine
Number of visits: 9554018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિગ્રી પુરાણ …

નારણ મકવાણા|Opinion - Opinion|1 September 2025

ઘોળીને પી જવી છે, ધરાવો ડિગ્રી.
બહુ તડપાયા હવે તો બતાવો ડિગ્રી.

નેતા થાવા હશે ફરજિયાત ય ડિગ્રી,
સાચી જે હોય શાને છુપાવો ડિગ્રી.

ઉલ્લુ છે આ પ્રજા, ઠોક ભાષણબાજી,
ફાવે તે ફોર્મમાં બસ લખાવો ડિગ્રી.

ચાલે છે ને અહીં ચાલશે બહુમત બસ,
ઊંચો હોદ્દો મળે તો ફગાવો ડિગ્રી.

સીલેબસ, યુનિવર્સિટી ને ડિગ્રી જૂઠી,
સત્તાના તૉરમાં બસ ચલાવો ડિગ્રી.

ઓરીજીનલ પ્રમાણો બતાવ્યા ખાસ્સા,
તેથી આ નોકરી, ખાસ લાવો ડિગ્રી.

મળતી ના નોકરી, થાય નાહિમ્મત જો,
કિસ્સા હો આપઘાતો, જલાવો ડિગ્રી.

નગરી અંધેર છે, આજ ગંડું રાજા,
શોધો મૂરખ ને ફાંસી ચડાવો ડિગ્રી.

૨૯/૦૮/૨૦૨૫

Loading

કરોડો વર્ષ પછી પણ માનવજાતિને ડહાપણની દાઢ ફૂટી જ નથી!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 September 2025

રાજ ગોસ્વામી

એક વર્ષ પહેલાં સમાચાર આવ્યા હતા કે દેશ-દુનિયાની સેલિબ્રિટી વ્યક્તિઓએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યા છે. ડેનિસ હોપ નામના અમેરિકાના એક કાર સેલ્સમેને લ્યુનાર એમ્બેસી સ્થાપીને દાવો કર્યો હતો કે ચંદ્ર તેની માલિકીનો છે. અલબત્ત, આ છેતરપીંડી હતી.

સૃષ્ટિની માલિકી કોની? સૂરજ મારા બાપ-દાદાનો નથી. ચંદ્ર અને મંગળ નાસાના નામે લખાયો નથી. દરિયા પર મારા દોસ્તનો અધિકાર નથી. ઓક્સિજનનું વસિયત બન્યું નથી. વાસ્તવિક રીતે જોવા જઈએ તો આપણામાંથી કોઈ આ પૃથ્વી પરની જમીનના માલિક નથી. 

અબજો વર્ષોથી અજરામર આ પૃથ્વી પર, આંખનો એક પલકારો ગણાય તેવાં 80-90 વર્ષ માટે માંડ જીવતો કાળા માથાનો નશ્વર માનવી, સૃષ્ટિના કોઈ હિસ્સા પર માલિકીનો દાવો કરે એ કેટલું હાસ્યાસ્પદ કહેવાય! આપણા પગ નીચે જે કાંકરા છે અને આપણા ઘરના પાયામાં જે માટી છે તે આપણી માલિકીની નથી. વાસ્તવમાં, સૃષ્ટિ આપણી માલિક છે. જેમ એક પથ્થર સૃષ્ટિનો હિસ્સો છે, તેમ માણસ પણ સૃષ્ટિનો ‘ગુલામ’ છે.  

સૃષ્ટિ માટે એક પથ્થર અને એક માણસ બંને સરખા છે, પરંતુ કાળક્રમે વિકસિત મગજના બળે આપણે ‘ભાડાના ઘર’માં માલિક બની બેઠા છીએ એટલું જ નહીં, કાલિદાસની જેમ, જે ઝાડની ડાળી પર બેઠા છીએ તેને જ કાપી રહ્યા છીએ. તાજેતરમાં, ‘હોમો સેપિયન્સ’ પુસ્તકની ગ્રાફિક નોવેલના પ્રમોશન માટે મુંબઈ આવેલા ઈઝરાયેલી લેખક-ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે “સેપિયન્સ એટલે ડાહ્યો. તમને લાગે છે કે માણસો આજે ડાહ્યા છે?” તેના જવાબમાં હરારીએ કહ્યું હતું;

યુવલ હરારી

“વ્યક્તિગત સ્તરે આપણામાં ડહાપણ અને કરુણાની જબરદસ્ત ક્ષમતા છે, પણ પ્રજાતિની દૃષ્ટિએ આપણે સ્ટુપિડ છીએ. પર્યાવરણના સ્તરે આપણે આપણા અને અન્ય પ્રાણીઓ-વનસ્પતિઓના જીવનને તબાહ કરી રહ્યા છીએ. રશિયા-યુક્રેન અને અમેરિકા-ચીન વચ્ચેનો તનાવ આપણને વિશ્વ યુદ્ધ તરફ લઇ જશે. આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ અને બાયોએન્જિનીયરિંગ જેવી નવી ટેકનોલોજીઓ કલ્યાણકારી કામોમાં જ ઉપયોગમાં લેવાય તે માટે વૈશ્વિક સહકાર અને નિયંત્રણ અનિવાર્ય છે પરંતુ આપણે એ માટે સંગઠિત થઈએ એટલું ડહાપણ આપણામાં છે નહીં. રમતોની દુનિયામાં વર્લ્ડ કપ યોજવા માટે જુઓ દેશો વચ્ચે કેવો સહકાર સધાય છે! બધાની રાષ્ટ્રીય વફદારીઓ અલગ છે પણ રમત માટેના નિયમોમાં બધા સંમત થાય છે. કંઇક એવો જ સહકાર જળવાયુ પરિવર્તન કે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ માટે ન સાધી શકાય?”

નથી સાધી શકાતો, એ હકીકત છે. ન્યુક્લિયર હથિયારો ભેગાં કરવાની ગાંડી દોડને કે પછી યુદ્ધનાં મેદાનો પર મનફાવે તે રીતે મલ્લકુસ્તીઓને રોકવા માટે એન.પી.ટી. (નોન-પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન્સ ટ્રીટી) કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવાં વૈશ્વિક સંગઠનો ઊભાં કરવામાં આવ્યાં હતાં, પણ એમાં અમેરિકા જેવા તાકાતવર દેશો કે ઈરાન, નોર્થ કોરિયા, ક્યુબા જેવા ‘આવારા’ દેશો વૈશ્વિક સહમતીની ઐસીતૈસી કરીને તેમનાં બાવડાં ફુલાવતા રહ્યા છે. એનું મૂળ કારણ, ઉપર વાત કરી તેમ, માલિકીપણાની વૃત્તિ છે. 

દુનિયામાં જેટલાં પણ આંતરરાષ્ટ્રીય વેરઝેર છે તે સાર્વજનિક સંશાધનોની માલિકીને લઈને છે. માનવજાતિનો ઇતિહાસ તપાસો (જેવી રીતે હરારીએ ‘હોમો સેપિયન્સ’માં તપાસ્યો છે) તો ખબર પડે કે આપણે જ્યારે હજુ પારણામાં હતા ત્યારે સૃષ્ટિનાં સમગ્ર સંશાધનો સૌના માટે ઉપલબ્ધ હતાં. જીવ-જંતુ અને પ્રાગૈતિહાસિક હોમો સેપિયન્સ બધા તેનો સહિયારો ઉપયોગ કરતાં હતાં. તે વખતે માલિકીની કોઈ ભાવના નહોતી. માણસનો વિકાસ થયો ત્યારે તેણે તેની વિશિષ્ટ હિંસાનો ઉપયોગ કરીને સંશાધનો પર એકાધિકાર સ્થાપવાનો શરૂ કર્યો. 

માણસ આફ્રિકાનાં જંગલોમાંથી નીકળીને દુનિયા ભરમાં ફેલાઈ ગયો તેની પાછળ નીતનવાં સંશાધનો શોધીને તેના પર માલિકી સ્થાપવાનો જ ઉદેશ્ય હતો. એ સિલસિલો આજે પણ ચાલુ જ છે. આજે પૃથ્વી પર જમીનનો એક ટુકડો એવો નથી, એક ઝાડ એવું નથી જેના પર કોઈનો અધિકાર ન હોય. બધા ઝઘડા એ અધિકારને લઈને જ છે. 

બાકી હોય તેમ માણસે ચંદ્ર અને મંગળ પર નજર બગાડી છે. આપણે ત્યાં શું કામ અબજો ડોલરોનો ખર્ચ કરીને સ્પેસ રિસર્ચ કરી રહ્યા છીએ? કારણ કે પૃથ્વી પર આપણા દા’ડા ભરાઈ ગયા છે અને આપણે વૈકલ્પિક ઘરની તલાશ કરવી પડશે. ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગે અનુમાન કર્યું છે કે આપણે જળવાયુ અને ટેકનોલોજીના ક્ષેત્રે એવાં ‘પાપ’ કર્યાં છે કે જીવ બચાવવો હશે તો 600 વર્ષ સુધીમાં પૃથ્વી છોડવી પડશે. 

ધારો કે જે દેશ સૌથી પહેલાં અંતરિક્ષમાં પાણી શોધશે અને જીવનની સંભવાનાને સાબિત કરશે, તે શું ત્યાં આશ્રમ ખોલીને બીજા દેશોને આમંત્રણ આપશે? ના, એ સૌથી પહેલાં તેનો રૂમાલ મૂકીને “આ જગ્યા મારી” એવું સાબિત કરશે. ધારો કે એ ‘રૂમાલ’ કોઈકે ખસેડી નાખ્યો તો? તો પછી જેવું પૃથ્વી પર થાય છે તેવું મંગળ પર શરૂ થશે; મારામારી, કાપાકાપી અને બોમ્બ ધડાકા. 

વ્યક્તિગત સ્તરે આપણે અને તમે ભલે સંતોષી જીવન જીવતા હોઈએ, પરંતુ સામૂહિક સ્તરે મનુષ્યજાતિ અત્યંત લાલચી અને હિંસક છે. જેમ એક માણસ પાસે બહુ સત્તા આવી જાય અને તે અહંકારી બને ને છાકટો થઇ જાય, તેવી રીતે માનવજાતિ પણ એટલી તાકાતવર બની ગઈ છે કે તેને એવું લાગે છે કે આખી દુનિયા (અને હવે તો બીજા ગ્રહો) તેની એકાધિકારમાં આવે છે. 

આપણે બીજા પ્રાણીઓની સરખામણીમાં એક સફળ અને સક્ષમ પ્રજાતિ તરીકે શરૂઆત કરી હતી અને એમાં આપણે આજે તાકાતવર બનીને અનેક પ્રકારની સીમાઓમાં બંધાઈ ગયા છીએ, જ્યાં એકબીજા સાથે સ્પર્ધા કરવા સિવાય બીજો કોઈ સહકાર રહ્યો નથી. આજે દરેક દેશ તેના સંકુચિત હિતોને આગળ વધારવા કે પછી તેનું રક્ષણ કરવા માટે જાતભાતના પેંતરા કરે છે અને એમાં અસલામતી, ઈર્ષ્યા અને અન્યાયની ભાવના મજબૂત થતી ગઈ છે જે માણસને વધુ મહત્ત્વાકાંક્ષી અને હિંસક બનાવી રહી છે. એમાં જરા ય આશ્ચર્ય નથી કે પારસ્પરિક શ્રદ્ધા અને સહકારના તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે. એનું તાજું ઉદાહરણ કોરોનાની મહામારી છે. એમાં વૈશ્વિક સહકારની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. 

પેલા ઇન્ટરવ્યૂમાં હરારી કહે છે, “માનવજાતિ પાસે આજે એટલી તાકાત આવી ગઈ છે કે તેણે એ માનવાનો પણ ઇનકાર કરવા માંડ્યો છે કે બાકી બધા જીવોની જેમ તે સૃષ્ટિની ઇકોસિસ્ટમનો એક હિસ્સો છે (માણસ પોતાને પ્રકૃતિથી અલગ અને ઉપર માને છે). જોખમ એ છે કે જ્યારે ઇકોસિસ્ટમ ફસડાઈ પડશે, ત્યારે આપણો પણ ખાત્મો બોલાઈ જશે, પણ આપણે જાણે અજરામર છીએ એવા ભ્રમમાં એ જોખમની ઉપેક્ષા કરી રહ્યા છીએ. 

“મુસીબત એ છે કે આ બધાં પરિવર્તન એટલાં સુક્ષ્મ અને ધીમાં હોય છે કે આપણી નજરમાં પણ નથી આવતાં. હું જયારે નાનો હતો ત્યારે કરોળિયાથી ડરતો હતો, પણ મોટરકારની બીક કોઈને નહોતી. આ વિચિત્ર ન કહેવાય? કારણ કે કરોળિયો ભાગ્યે જ કોઈનો જીવ લે છે પણ કારથી દર વર્ષે લાખો લોકો મરી જાય છે. વાસ્તવમાં, કાર હજુ સો વર્ષ જૂની જ છે, એટલે આપણામાં તેનો ડર પેદા થયો નથી. આપણે તાત્કાલિક જોખમને પારખવામાં પાવધરા છીએ પણ લાંબા ગાળાના નુકશાનને જોઈ શકવા સક્ષમ નથી.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “ગુજરાત મેઈલ”; 31 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હાર ન થાય ત્યાં સુધી રાજકારણીઓ હાર પહેરતા રહે છે …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 September 2025

રવીન્દ્ર પારેખ

લગભગ બધાં જ ક્ષેત્રોમાં નિવૃત્તિ વય નક્કી હોય છે, પણ રાજકારણમાં નિવૃત્તિનું ઠેકાણું નથી. રાજકારણીઓ ચૂંટણીમાં હારી જાય તો ઘરે બેસતા હશે કે પક્ષને જરૂર હોય તો પક્ષનું કામ કરતાં હશે, બાકી, મૃત્યુ નિવૃત્ત કરે તે સિવાય રાજકારણીઓ સ્વેચ્છાએ નિવૃત્ત થવા રાજી હોતા નથી. સાધારણ નોકરી કરનાર પણ તંદુરસ્ત હોય તો નોકરી છોડવા તૈયાર થતો નથી, તે એટલે પણ કે નિવૃત્તિ પછી પગાર આવતો બંધ થઈ જાય છે. વળી, નોકરીમાં પેન્શન જેવું પણ હવે ખાસ રહ્યું નથી, એટલે હાડકાં ચાલતાં હોય ત્યાં સુધી કોઈ નોકરી છોડવા તૈયાર થતું નથી, પણ, નવાને પણ તક મળવી જોઈએ, એટલે નિવૃત્તિની વય નક્કી કરવામાં આવી છે. એ વયમાં પણ એકવાક્યતા નથી. કોઈ 58 વર્ષે, તો કોઈ 60 વર્ષે નિવૃત્ત થાય છે. કોઈ 62, તો કોઈ 65, તો ખાસ કેસમાં કોઈ 70 વર્ષે પણ રિટાયર થાય છે. મજાની વાત એ છે કે સરકાર નિવૃત્તોને ફરી ફિક્સ પગારે નોકરી આપવા તૈયાર થાય છે, પણ શિક્ષકોની કાયમી ભરતી કરતાં તેની ચામડી તતડે છે. આવા વેપલા કરતી સરકારમાં નિવૃત્તિ વય નક્કી નથી. નિવૃત્તિ પછી પેન્શન વગેરે લાભો પણ મળતા હોય છે, તો ય ભાગ્યે જ કોઈ રાજકારણી નિવૃત્તિ લેવા તૈયાર હોય છે. તેનું સીધું કારણ એ કે કોઈ નેતા કે રાજકારણી લોકોની નજરમાંથી ઊતરી જવા તૈયાર નથી. પદ પર જે માન-સન્માન મળે છે, તે સત્તા છોડ્યા પછી ભાગ્યે જ મળતું હોય છે. એ ઉપરાંત પગાર, ભથ્થાંની કે કર રાહત….ની જે સગવડ સત્તા પર હોવાથી મળે છે, તે સત્તા છૂટતાં મળતી નથી તે હકીકત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજકારણીની કોઈ નિવૃત્તિ વય નક્કી ન હોય એ મતલબનું વિધાન એક પુસ્તકનું વિમોચન કરતી વખતે કર્યું. તેમણે કહ્યું કે હું 75 વર્ષે નિવૃત્ત થઈશ કે કોઈએ પણ નિવૃત્ત થવું જોઈએ એવું મેં ક્યારે ય કહ્યું નથી, સાથે જ એમ પણ ઉમેર્યું કે તેમનું અગાઉનું નિવેદન કોઈ નીતિનિયમ પર આધારિત ન હતું. તે નિવેદન મોરોપંત પિંગળેની રમૂજી શૈલીનો એક ભાગ માત્ર હતું. જુલાઈમાં કહેવાયેલી વાતને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાઁગ્રેસે જોડી અને  ખાસો હોબાળો કર્યો. નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે ને ભાગવત 11 સપ્ટેમ્બરે 75 વર્ષ પૂરાં કરે છે. ભાગવતે અગાઉ 75 વર્ષે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી, ત્યારે મોદીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. કાઁગ્રેસ આનો વધુ લાભ ઉઠાવે એ પહેલાં 28 ઓગસ્ટે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી સંઘની વ્યાખ્યાનમાળાનાં પ્રશ્નોત્તરી સત્રમાં ભાગવતે રોકડું કર્યું કે જે કામ કરી શકે એમ છે, એમણે સક્રિય રહેવું જ જોઈએ. અમે સંઘના સ્વયંસેવકો છીએ. સંઘ કહેશે તે કરીશું. પોતાને વિષે બોલતાં તેમણે કહ્યું કે હું 80 વર્ષનો થાઉં અને સંઘ કહે કે શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘમાં ઉંમર આધારિત નિવૃત્તિના નિયમો નથી, પણ ઉંમરની ચિંતા કર્યા વગર સ્વયંસેવકો સેવા કરે એવી અપેક્ષા સંઘની રહે છે.

મૂળ વાત મોરોપંત પિંગળેની રમૂજની હતી, પણ હસવામાંથી ખસવું થયું. એ રમૂજ ભાગવતને નામે ચડી. નાગપુરમાં સ્વર્ગસ્થ મોરોપંતને સમર્પિત એક પુસ્તકના વિમોચન સમારંભમાં ભાગવતે તેમની રમૂજી શૈલી વિષે વાત કરતા કહ્યું કે 75ની ઉંમર થાય તેનો અર્થ એ કે હવે તમે અટકો અને બીજાને આગળ આવવા દો. વાત એમ હતી કે મોરોપંત 75 વર્ષના થયા ત્યારે સંઘના નેતા એચ.વી. શેષાદ્રીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. તે વખતે મોરોપંતે રમૂજમાં કહ્યું કે 75 વર્ષે કોઈ શાલ ઓઢાડે તો સમજી જવું કે એ નિવૃત્તિનો સંકેત છે. એ ધ્યાને લઈને યુવા નેતાઓને આગળ આવવા દેવા જોઈએ. આ વાત મોરોપંતની હતી, પણ ભાગવતે તે ટાંકી તો વિપક્ષે તેનો પોતાની તરફેણમાં ઉપયોગ કરવા વાત મોદી સાથે જોડી દીધી. વાત એવી ચગાવાઈ કે ભાગવતે મોદીને નિવૃત્ત થવાનો સંકેત આપ્યો છે એમ જ લાગે, પણ હકીકત એ છે કે ભાગવતે મોદીનું નામ પણ દીધું નથી.

‘સંઘનાં 100 વર્ષ’ નિમિત્તે શરૂ થયેલ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળામાં ભાગવતે કહ્યું કે ભાષા તરીકે અંગ્રેજી શીખવાનો વાંધો ન હોવો જોઈએ. હા, તેને માટે અંગ્રેજ થવાની જરૂર નથી. 2. ભારતને સમજવા સંસ્કૃત શીખવું જરૂરી છે. ૩. મુખ્ય પ્રવાહને ગુરુકુળ શિક્ષણ સાથે જોડવું જોઈએ. 4. નોકરી શોધનાર કરતાં નોકરી આપનાર જરૂરી છે. 5. શિક્ષણનું લક્ષ્ય નોકરી જ હોય એ ઠીક નથી. 6. સંઘ બંધારણમાં જોગવાઈ મુજબ અનામતનું સમર્થન કરે છે. 7. દંપતીને ત્રણ બાળકો હોવાં જોઈએ. 8. ઘૂસણખોરી બંધ થવી જોઈએ. આપણા દેશમાં મુસ્લિમો પણ છે ને તેમને પણ નોકરીની જરૂર છે, તો બહારથી આવી ચડેલાઓને નોકરી ન આપવી જોઈએ. 9. ધર્માન્તરણ અને ગેરકાયદે સ્થળાંતર વસ્તી વિષયક અસંતુલનનાં મુખ્ય કારણો છે … આવી ઘણી વાતો ભાગવતે કરી.

એ ખરું કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે કેટલાક સમયથી ચડભડ ચાલ્યા કરે છે. ભા.જ.પ. પ્રમુખ જે.પી. નડ્ડાએ થોડા સમય પર એવી ટિપ્પણી કરી હતી કે ભા.જ.પ. એવો સમૃદ્ધ પક્ષ છે કે તેને હવે કોઈ (સંઘ)ની જરૂર નથી. આ વાતે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. બાકી હતું તે મોરોપંતની વાત ભાગવતની છે એમ ઠઠાડીને કાઁગ્રેસે એવું ચિત્ર ઊભું કર્યું કે સંઘમાંથી જ ભા.જ.પ. વિરુદ્ધ અવાજ ઊઠ્યો છે એવું લાગે, જ્યારે  વાસ્તવિકતા એ છે કે સંઘ ભા.જ.પ.ના નિર્ણયોમાં દખલ દેતો નથી. ભા.જ.પ.ના પ્રમુખ નક્કી કરવામાં સંઘનો ફાળો નથી. એ કામ સંઘે કરવાનું હોત તો અત્યાર સુધીમાં તે થઈ ગયું હોત ! ભા.જ.પ. સલાહ માંગે તો સંઘ આપે છે, બાકી સંઘ, ભા.જ.પ. પર પોતાને થોપતો નથી. એ ખરું કે ભા.જ.પ. અને સંઘના લક્ષ્યો એક જ છે, પણ બંને સ્વતંત્ર રીતે સક્રિય છે. ભાગવતે એ પણ સ્પષ્ટ કર્યું કે ભા.જ.પ. કે સંઘને એકબીજા માટે મતભેદ હોય તો પણ તે મનભેદ નથી.

સાચું તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંતરિક રીતે એવી નીતિ ઘડી હતી કે નેતા 75ની ઉંમરે પહોંચે તો તેમને માર્ગદર્શક મંડળીના સભ્ય બનાવી દેવા. એ નીતિ અનુસાર વડા પ્રધાન મોદી 75 પછી નિવૃત્ત થવા જોઈએ, પણ ભા.જ.પ. અપવાદ કરે એમ બને. 2024માં કેજરીવાલે, મોદીને 17 સપ્ટેમ્બર, 2025ને રોજ 75 પૂરાં થતાં નિવૃત્તિની વાત કરી, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે મોદી 2029 સુધી ને તે પછી પણ દેશનું નેતૃત્વ કરશે. આમ તો 75 પછી પણ વડા પ્રધાન તરીકે સક્રિય રહેનાર અટલબિહારી વાજપેયી અને મોરારજી દેસાઈ યાદ આવે જ, એટલે 75 વર્ષે નિવૃત્ત થવાનો નિયમ નથી, પણ મોદી અને શાહે 75 પછી માર્ગદર્શક મંડળીના સભ્ય બનાવી દેવાની નીતિ ઘડી તે હવે લાગુ પડશે કે એ બાજી હવે ફોક ગણવાની છે તેનો ખુલાસો થવો જોઈએ.

શિવસેના યુ.બી.ટી. નેતા સંજય રાઉતનો પ્રશ્ન છે કે 75 પછી નિવૃત્તિ નથી, તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, જસવંતસિંહ જેવા નેતાઓને પરાણે નિવૃત્ત કેમ કરાયા? એવું નથી કે 75નો નિયમ લાગુ થયો જ નથી. 2019ની ચૂંટણી વખતે એ નીતિ અનુસાર જ અડવાણી, જોશી, સુમિત્રા મહાજન, કલરાજ મિશ્ર જેવા નેતાઓને ટિકિટ આપવામાં ન આવી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 75થી વધુ વયની કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. એ જ નિયમ 2૦24ની ચૂંટણી વખતે પણ લાગુ કરવામાં આવ્યો અને રાજેન્દ્ર અગ્રવાલ, રીટા બહુગુણા જોશી, સત્યદેવ પચૌરી જેવાની ટિકિટ કપાઈ.

જોવાનું એ રહે કે મોદી 75 પછી નિવૃત થાય છે કે તેમને અપવાદ ગણીને વડા પ્રધાન પદે ચાલુ રખાય છે. નિયમો બધા માટે સરખા હોય, પણ અપવાદ એ નિયમ ચાલુ રાખવા જ કરવાનો થાય છે, જોવાનું એ રહે કે નિયમ કરતા અપવાદો વધે નહીં ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 સપ્ટેમ્બર 2025

Loading

...102030...111112113114...120130140...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved