Opinion Magazine
Number of visits: 9667366
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાર વગરનું ભણતર ને પાર વગરની ફી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|5 June 2023

રવીન્દ્ર પારેખ

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર તરફથી 3/5/’23નો ક્રમાંક : પપમ/વ. વિ./2023 /3943-47નો સર્ક્યુલર તમામ શિક્ષણાધિકારીઓ, શાસનાધિકારીઓને, નાયબ નિયામક(વહીવટ)ની સહી સાથે મોકલાયો છે, જેમાં ‘જૂન-23થી શરૂ થતાં નવાં શૈક્ષણિક સત્રમાં ધોરણ 6થી 12માં ગણિત તથા વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકો સંદર્ભે જણાવ્યું છે કે NCERT (નેશનલ કાઉન્સિલ ફોર  એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે Class-VI to XIIમાં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરેલ છે અને તે અનુસાર ઘટાડેલ પાઠયસામગ્રી મુજબ NCERTએ ધો. ૬થી ૧૨ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે …’ સર્ક્યુલરનો હેતુ જૂનાં પાઠ્યપુસ્તકોમાંથી સૂચવેલી સામગ્રી દૂર કરીને શિક્ષકો ભણાવે એટલો છે. એ પછી ૨૮ પાનાંઓમાં જે કૈં રદ્દ કરવામાં આવ્યું છે તેની વિગતો આપવામાં આવી છે. કમાલ એ છે કે શું ભણવાનું છે એનાં કરતાં શું નથી ભણવાનું તેની સ્પષ્ટતાઓ સત્ર શરૂ થાય એ પહેલાં જ કરી દેવામાં આવી છે. આ બધું જ ગયાં શૈક્ષણિક વર્ષમાં મહત્ત્વનું હતું એટલે ભણાવાયું, એની પરીક્ષાઓ લેવાઈ ને હવે એ નિરર્થક ઠેરવાયું છે.

NCERT દ્વારા ધોરણ ૧૦નાં પાઠ્યપુસ્તકોમાંથી પિરિયોડિકલ ટેબલ, લોકશાહી સામેના પડકારો, જન સંઘર્ષ અને ચળવળ, રાજકીય પક્ષો, ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જેવાં પ્રકરણો હટાવી દીધાં છે. આ ઉપરાંત છથી બારનાં ધોરણોમાંથી અન્ન સમસ્યા, ગરીબાઈ, અસમાનતા જેવી ઘણી સામગ્રી કાઢી નાખવામાં આવી છે. છથી આઠમાં વિજ્ઞાન વિષયમાંથી ફાઈબર અને ફેબ્રિક્સનો પાઠ હટાવી દેવાયો છે. ધોરણ બારમાંથી ગુજરાતનાં રમખાણોનું પ્રકરણ કાઢી નંખાયું છે. આ બધું નિષ્ણાતોની ભલામણથી NCERTએ કર્યું છે. એને કારણે 13.40 કરોડ વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. આ ભલામણો રેશનલાઈઝેશનને નામે થઈ છે. NCERTએ ગયે વર્ષે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવાનું જરૂરી હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં, વિષય સામગ્રીનો ભાર ઘટાડવા પર અને સર્જનાત્મક માનસિકતા સાથે પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. એ સંદર્ભે NCERTએ તમામ પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાનો હેતુ રાખ્યો છે. હેતુ સારો, પણ જે સામગ્રીની બાદબાકી કરવામાં આવી છે તેમાં શુદ્ધબુદ્ધિનો અભાવ છે. ગાંધીજીનું કદ ઘટાડવાની કોશિશ થાય અને વીર સાવરકરનું કદ વધારવાનો પ્રયત્ન થાય, એમાં વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવો છે કે તેમને ચોક્કસ હેતુ માટે તૈયાર કરવા છે તે ન સમજે એટલી પ્રજા ભોળી નથી. એટલું બધું બાદ કર્યું છે કે પાઠ્યપુસ્તક બહાર પાડવા જેટલી સામગ્રી કેવી રીતે રહી ગઈ તેનું આશ્ચર્ય થાય. લોકશાહીનો પાઠ કાઢવાનું એ રીતે શંકા જન્માવે કે પાઠની જેમ જ લોકશાહી તો નહીં નીકળી જાયને ! જો એવું નથી તો લોકશાહી ન ભણાવવાનું કારણ શું છે? ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી આજે આઉટડેટેડ હોય તો પણ, તે માનવ વિકાસ સંદર્ભે પાયાની કેટલીક સમજ પૂરી પાડે છે. ડાર્વિનનો પાઠ કાઢવાનો તો 1,800 એટલા વૈજ્ઞાનિકોએ વિરોધ કર્યો છે ને એ વૈજ્ઞાનિકો છે, રાજકારણી નથી કે વિપક્ષના સમજીને તેમને બાજુએ મુકાય. મોગલોનો ઇતિહાસ કાઢી નાખવાથી મોગલો ભારતમાં આવ્યા જ નથી એમ સિદ્ધ થઈ શકશે? તો, તાજમહાલ કે લાલ કિલ્લાનું શું કરીશું? એનો પણ દેશનિકાલ કરીશું? અંગ્રેજો મોગલોના સમયમાં આવ્યા. જો મોગલોનો નકાર હોય તો અંગ્રેજો પણ ભારતમાં નથી આવ્યા એમ માનવાનું છે?

અભ્યાસનું ભારણ ઘટાડવાનું એક કારણ કોરોનાનું આપવામાં આવ્યું છે. એ વખતે એ વાજબી પણ હશે, પણ પાઠ્યપુસ્તકમાંથી બાદબાકી કોરોના વખતમાં થઈ નથી. એ આગામી શૈક્ષણિક વર્ષ માટે થઈ છે. ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો ૨૦૨૩થી લાગુ કરવાની વાત છે, તો કોરોનાને આગળ કરવાનો કોઈ અર્થ ખરો? ભણતરનું ભારણ ઘટાડવા પાઠ કાઢ ઝુંબેશ ચાલી છે ને એમાં વિદ્યાર્થીઓને એટલા નાજુક માનવામાં આવ્યા છે કે તે ડાર્વિન કે મોગલો કે લોકશાહી કે ગાંધી-ગોડસેને નહીં જીરવી શકે. પુનરાવર્તન ટાળવામાં આવે એ જરૂરી છે, પણ જે જરૂરી જ છે એને બોજ ગણીને ભણાવવાથી દૂર રહેવું યોગ્ય ખરું? મોટે ભાગના વિદ્યાર્થીઓને તો ભણવું જ બોજ લાગે છે, તો ભણાવવાનું બંધ કરીને એમને પ્રમાણપત્રની લહાણી કરીશું? ભણવાનું બોજ લાગતું હોય કે મગજ ન ચાલતું હોય તો બોર્ડમાં હજારો વિદ્યાર્થીઓ A1, A2 ગ્રેડમાં કેવી રીતે આવે છે? એક તરફ પાઠ કાઢીને બોજ ઘટાડવાની કોશિશ ચાલે છે, તો પૂર્વ શિક્ષણ ‘બાલવાટિકા’ માટે (જે પાંચ વર્ષનાં બાળકો માટે છે) ત્રણ ત્રણ પુસ્તકો તૈયાર કરીને માથે મારવાનો મતલબ છે? વિદ્યાર્થીઓને એટલા પાંગળા કરવાની જરૂર નથી કે ભવિષ્યમાં તે પડકારોનો સામનો જ ન કરી શકે. વિદ્યાર્થીઓ પરનું ભારણ એ રીતે ચોક્કસ ઓછું કરી શકાય કે તે હજારો ખર્ચીને આ ક્લાસ કે તે ક્લાસમાં અટવાતો અટકે. એને બદલે એને એટલી મોકળાશ જરૂર આપવી જોઈએ કે તેની કલ્પનાશીલતા ને સર્જનાત્મકતાને વિકસવાની પૂરતી તકો રહે.

એક તરફ ભણતરનો બોજ ઘટાડવાની વાત છે ને બીજી તરફ ફીનું ભારણ વધે છે તે જાણે શિક્ષણ વિભાગનો વિષય જ ન હોય તેમ તે નિસ્પૃહી છે. સાદી વાત એટલી છે કે સરકાર મફત શિક્ષણ કે ગ્રાન્ટેડ સંસ્થાઓને ભણતરના બોજની જેમ જ પોતાનાં પરથી ઓવારી દેવા માંગે છે, તે એટલે કે એ બંધ થાય તો ખાનગીનું માર્કેટ ઊભું થાય ને સરકારના મળતિયાઓને ‘ખાનગી’ કમાણી કરવાનું લાઇસન્સ મળી રહે. ટૂંકમાં, સરકાર ગ્રાન્ટેડ સ્કૂલો બંધ કરવાની ફિરાકમાં છે, એટલે એ ગ્રાન્ટ ભીખ જેવી જ આપે છે, જેથી ખર્ચને ન પહોંચી વળતાં સ્કૂલો એની મેળે બંધ થાય ને ભણવું હોય તો વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો તરફ જ વળવું પડે. ખાનગી સ્કૂલોમાં ઉત્તમ શિક્ષણ અપવાદરૂપે જ અપાતું હશે. આમ તો એ ઉત્તમ રીતે ફી આવે એનાં જ દાખલા ગણતી રહે છે. તેમાં વળી કન્સેપ્ટ સ્કૂલને નામે રાજ્યભરમાં અનેક બહાને લાખો રૂપિયા ઉઘરાવાય છે. આટલી ફી પછી પણ આ સંસ્થાઓ તેનાં શિક્ષકોને પૂરો પગાર આપતી નથી. ગ્રાન્ટેડ સ્કૂલો કરતાં ફી અનેકગણી લેવાય છે, પણ શિક્ષકોને પગાર ગ્રાન્ટેડ સ્કૂલોનો અપાતો નથી, સવાલ તો એ છે કે કન્સેપ્ટ અને ડમી સ્કૂલો 50,000થી 1,00,000 સુધીની ફી શેને માટે ઉઘરાવે છે? ખાનગી શાળાઓમાં એપ્રિલ,‘22માં 33 ટકાનો વધારો સંચાલકોએ માંગેલો એ ખબર છે, એ પછી પણ ઉઘરાણીઓ તો ચાલ્યા જ કરે છે.

સ્કૂલની વાત તો છોડો, કોલેજોની ફી એટલી હોય છે કે તે ભરવા લૂંટ ચલાવવી પડે કે લોન લેવી પડે. 2 જૂનના જ સુરતના સમાચાર છે કે ભાઈબહેનની ફી ભરવા IITના વિદ્યાર્થીએ 65 લાખની લૂંટ ચલાવી. આમાં અતિશયોક્તિ હોય તો પણ ફી એટલી છે કે લૂંટ ચલાવવાનો વિચાર આવ્યા વગર ન રહે. શિક્ષણ એટલું ધંધાકીય થયું છે કે સંચાલકો ફી માટે વાલીઓને ને ફી ભરવા વાલીઓ બીજાને લૂંટે. એકાદ ખાનગી યુનિવર્સિટીની તો બી.એ., બી.કોમ.ની ચાર વર્ષની ફી જ 16.80 લાખ છે. એનો અર્થ એ થયો કે વાલીઓએ એક સંતાનને સાધારણ ગ્રેજ્યુએટ કરવો હોય તો તેની માસિક ફી 35 હજાર ભરવાની તૈયારી રાખવી પડે. ખાનગી કોલેજમાં ભણાવતા અધ્યાપકનો પગાર 35,000 નથી હોતો, પણ તેણે દીકરાને આર્ટસ કે કોમર્સ ગ્રેજ્યુએટ કરવો હોય તો મહિને 35,000 કાઢવા પડે. એ ઉપરાંત ખાવાપીવાના, પહેરવાઓઢવાના, રહેવાના ખર્ચ તો જુદા. સાધારણ માણસે ભણવા માટે મરવું પડે કે મારવા પડે એ હાલત છે ને આટલું કર્યા પછી પણ નોકરી મળે જ એની કોઈ ખાતરી નહીં.

આમ તો ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજોની ફી પણ ભારે પડતી હોય ત્યાં ખાનગીનો મોહ કેમ છૂટતો નહીં હોય તે સમજાતું નથી. સરકારી સ્કૂલોમાં ખાનગીથી ખરાબ શિક્ષણ અપાય છે એ ભ્રમ છે. ત્યાં સુવિધા ઓછી હશે, પણ ભણાવાતું નથી એવું નથી. સરકારી સ્કૂલોના શિક્ષકોને શિક્ષણેતર જવાબદારીઓ ઓછી સોંપાય ને વર્ગશિક્ષણની જ ફરજ પડાય તો શિક્ષણનું ધોરણ સુધરી શકે એમ છે, પણ એ સુધારવાની દાનત નથી, તે એટલે કે સરકારી સ્કૂલોમાં આયાતી શિક્ષકોથી, શિક્ષકોની ઘટ પૂરવાના ફાંફાં મરાય છે. એ શિક્ષણનાં હિતમાં નથી. બીજી તરફ ખાનગીમાં ફી વધુ રાખીને શિક્ષકો ઓછા પગારે રખાય છે. એટલે શિક્ષણનું હિત તો એમાં પણ જળવાતું નથી. અહીં વાલીઓનું અને શિક્ષકોનું સમાંતરે શોષણ થાય છે. આ સ્થિતિ સુધરવી જોઈએ. એ સૌથી દુ:ખદ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવી લાગુ કરાય છે કે NCERT પાઠ્યપુસ્તકો નવાં કર્યે જ જાય છે, પણ તેને ભણાવનાર શિક્ષકો સંદર્ભે સૌથી વધુ દારિદ્રય ગુજરાતમાં પ્રવર્તે છે. જો શીખવનાર જ સક્ષમ ન હોય તો શિક્ષણ નીતિ નવી હોય કે જૂની, શો ફરક પડે છે? પાઠ્યપુસ્તક ઉત્તમ હોય પણ તેને શીખવનાર ઇરાદાપૂર્વક પાંગળો જ પસંદ થાય કે તેની ઉપર શિક્ષણ સિવાયની ફરજોનું જ દબાણ રહેતું હોય તો એ શિક્ષણનો સર્વનાશ થાય એમાં શંકા નથી. ગુજરાતનું શિક્ષણખાતું ફતવાઓ બહાર પાડવામાંથી જ ઊંચું નથી આવતું. રોજ જ તેણે એટલું કહેવાનું હોય છે કે તે ન સાંભળવાની સૌને ફરજ પડે. થોડો સમય શિક્ષણખાતું ગંભીરતાથી ચૂપ રહેશે તો બીજાની વાતો સાંભળવા તેને પોતાનાં કાન ખપમાં આવશે. શિક્ષણખાતું કોઈ રીતે વિચારશીલ કે મૌલિક નથી. આમ તો NCERTની જેમ જ GCERT પણ છે, પણ તે NCERTને ફોલો કરવા સિવાય ભાગ્યે જ પોતાની રીતે વિચારે છે. જો NCERTને જ ફોલો કરવાનું ફરજિયાત હોય તો GCERTની અનિવાર્યતા કેટલી રહે? સાચું તો એ છે કે ગુજરાતનું શિક્ષણખાતું શિક્ષણવિદોથી નહીં, પણ રાજકીય નેતાગીરીના પડઘાઓથી ગૂંજે છે, તે પણ શૈક્ષણિક પાત્રતા ધરાવતા હોય તો ધૂળ નાખી, એ તો સાધારણથી ય વધુ સાધારણ છે. મૃતકોનો તો વાસ પણ નાખીએ, પણ જગતિયું કેમ કરવું એની ચિંતા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જૂન 2023

Loading

કોઈ પણ શાસનની આવરદા તેમાં કેટલા ભાગીદારો છે અને ભાગીદારીનો કેટલો અહેસાહ ધરાવે છે એના પર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 June 2023

રમેશ ઓઝા

ધ્રુવીકરણ કયારે ય એક છેડાનું નથી હોતું. એક છેડે ધ્રુવીકરણ કરાવામાં આવે એટલે સામે છેડે ધ્રુવીકરણ આપોઆપ થાય. જો આ છેડાનું ધ્રુવીકરણ ઉઘાડું, આક્રમક અને સઘન હોય તો સામેના છેડે ધ્રુવીકરણ વધારે ઝડપથી થાય. આ સ્વાભાવિક ક્રમ છે. પ્રતિક્રિયા રૂપે સામેના છેડે થતાં ધ્રુવીકરણને રોકી પણ શકાતું નથી.

૨૦૧૩ અને ૨૦૧૪માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વિકાસના નામે મત માગ્યા હતા. સબ કા વિકાસ સબ કા સાથ ત્યારે સૂત્ર હતું. ત્યારે કહેવામાં નહોતું આવ્યું કે તેમનો સાચો એજન્ડા હિંદુ રાષ્ટ્ર છે. સંઘપરિવાર દાયકાઓથી કહે છે કે અને ૨૦૧૩-૧૪માં તો ખાસ કહેવામાં આવ્યું હતું કે ભા.જ.પ. પક્ષપાતી સેક્યુલરિઝમનો વિરોધ કરે છે અને પક્ષપાતરહિત સાચા સેક્યુલરિઝમમાં માને છે. ત્યારે કહેવામાં નહોતું આવ્યું કે ભા.જ.પ. હિન્દુ ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદમાં માને છે અને સેક્યુલર રાષ્ટ્ર તેને સ્વીકાર્ય નથી. ૨૦૧૩-૧૪માં એમ પણ કહેવામાં નહોતું આવ્યું કે વિકાસ અને ગુજરાત મોડલ તો સત્તા સુધી પહોંચવા માટેનું એક બહાનું છે. વાસ્તવમાં સાચો એજન્ડા તો માથાભારે હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર છે.

સત્તા સુધી પહોંચ્યા પછી અને સત્તાનો ઉપયોગ કરીને છૂપાવેલો એજન્ડા લાગુ થવા લાગ્યો ત્યારે સ્વાભાવિક રીતે જેમને માથાભારે હિન્દુ બહુમતી રાષ્ટ્ર કબૂલ નથી એવા લોકોનું, ખાસ કરીને ઉદારમતવાદી હિન્દુઓનું આસ્તે આસ્તે ધ્રુવીકરણ થવા લાગ્યું. તેઓ બુદ્ધિશાળી છે અને તેઓ જાણે છે કે આમાં કોઈનું ભલું નથી. હિંદુઓનું પણ ભલું થવાનું નથી. જે દેશોમાં, ખાસ કરીને મુસ્લિમ દેશોમાં, ધર્મ આધારિત બહુમતી રાષ્ટ્રવાદ લાગુ કરવામાં આવ્યો છે એ દેશો બરબાદ થઈ ગયા છે. સૌથી મોટી કિંમત બહુમતી કોમ ચૂકવી રહી છે. કાયદાનું રાજ ન હોય ત્યાં શાંતિ ન હોય અને જ્યાં શાંતિ અને સૌહાર્દ ન હોય ત્યાં વિકાસ ન હોય. આ બરબાદીનો માર્ગ છે અને તેની કિંમત આપણાં સંતાનોએ ચૂકવવી પડશે. કોઈના દ્વારા કોઈ પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. ગોદી મીડિયા, ‘કાશ્મીર ફાઈલ્સ’ કે ‘કેરળ સ્ટોરી’નો આશરો લીધા વિના સ્વયંભુ પ્રજાની અંદર સામે છેડે ધ્રુવીકરણ થવા લાગ્યું.

શા માટે સાચો એજન્ડા છૂપાવવામાં આવ્યો હતો અને શા માટે સત્તા સુધી પહોંચ્યા પછી અને સત્તાનો ઉપયોગ કરીને છુપાવેલો એજન્ડા લાગુ કરવામાં આવ્યો? તેમને એમ લાગતું હતું કે ભારત જેવા વિવિધતાવાળા દેશમાં અને જ્યાં પાછો વિવિધતાનો આદર કરવામાં આવતો હોય એવા દેશમાં સાચો એજન્ડા બોલી બતાવશું તો સત્તા સુધી પહોંચવા માટે જોઈએ એટલો ટેકો નહીં મળે. એક વાર સત્તા સુધી પહોંચ્યા પછી સત્તાનો ઉપયોગ કરીને હિન્દુઓનાં વિચાર અને વલણને પ્રભાવિત કરી શકાશે. તેઓ જે પ્રયાસ કરી રહ્યા છે એ તમારી સામે છે. તેણે સામે છેડે ધ્રુવીકરણ કરવાનું કામ કર્યું છે. 

હવે વિચાર કરો કે તેમનું હિંદુત્વ નરવું અને રચનાત્મક હોય તો? એનાં કેન્દ્રમાં હિન્દુ જાગરણ, હિન્દુ નવોત્થાન, હિન્દુઓનાં સંચિત સમૃદ્ધ વારસાનો વૈશ્વિક સ્તરે પુન: આવિષ્કાર, વિકાસ, કાયદાનું રાજ, હિન્દુ સ્ત્રીઓ અને વંચિતોને ન્યાય, હિન્દુ દર્શનની આધુનિક મૂલ્યો સાથેની સુસંગતતા સ્થાપિત કરવી વગેરે હોત તો? ટૂંકમાં સ્વામિ વિવેકાનંદે જે હિન્દુ અને હિન્દુસ્તાનની કલ્પના કરી હતી એવો એજન્ડા લાગુ કર્યો હોત તો? ૧૯મી અને ૨૦મી સદીનાં પ્રારંભનાં વર્ષોમાં ભારતીય નવજાગરણ(જે મૂળમાં હિંદુ નવજાગરણ જ હતું)માં જે વિમર્શ કરવામાં આવ્યો હતો અને જે મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા તેને પકડીને સરકારે બહુમતી હિંદુઓના કલ્યાણની જહેમત કરી હોત તો? તો હિન્દુઓમાં સામેના છેડાનું ધ્રુવીકરણ ન થયું હોત. હિન્દુઓમાં સામેના છેડાનું ધ્રુવીકરણ એટલા માટે થઈ રહ્યું છે કે જે હિંદુત્વ નજરે પડી રહ્યું છે એ બુલડોઝર હિંદુત્વ છે. આ બીજાનું તો છોડો આપણા હિતની વિરુદ્ધ છે એમ પ્રગલ્ભ હિન્દુઓને લાગે છે.

અહીં ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો ગ્રામાસીની યાદ આવે છે. તેની કલ્ચરલ હેગેમની નામની એક થિયરી છે. એન્ટોનિયો કહે છે કે સત્તા મેળવ્યા પછી જો સત્તાનો લાભ લઈને સત્તાને સહારે ચોક્કસ વિચારધારા આધારિત સમાજનિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો સામે છેડે ધ્રુવીકરણ રોકી શકાતું નથી. એક જ પ્રજા બે છાવણીમાં વહેંચાઇ જાય. સત્તા દ્વારા પ્રયોજિત વિચારધારા અને વિચારધારા આધારિત રાજ્ય લાદવામાં આવે કે તરત તેનો એક વર્ગ દ્વારા  અસ્વીકાર થવા લાગશે. એન્ટોનિયોના મતે આવું શાસન બહુ લાંબો સમય ટકી શકતું નથી. તેનું પતન જલદી થાય છે કે કારણ કે તે આંતરિક ધ્રુવીકરણને નોતરે છે.

સામે છેડે એક માર્ગ એવો પણ છે જેમાં સત્તા પાછળ રહે છે. પાછળ નહીં, ખૂબ પાછળ રહે છે. સૌ પહેલાં ચોક્કસ પ્રકારનાં જીવનદર્શન અને મૂલ્યવ્યવસ્થાને પ્રજાની સમક્ષ લઈ જવામાં આવે, તેમાં રહેલા પ્રજાના શ્રેયની તેમને ખાતરી કરાવવામાં આવે, એમાં સમાજનો પ્રત્યેક વર્ગ એક સરખો ભાગીદાર હશે તેની બાંયધરી આપવામાં આવે, જે દાવા કરવામાં આવે એ પ્રામાણિક છે કે નહીં તેના વિષે ચકાસણી કરવામાં આવે, સમાજમાં સાંગોપાંગ વિમર્શ કરવામાં આવે અને છેવટે જ્યારે પ્રજા પોતે એકંદરે એમ માનતી થાય કે આ માર્ગ મહદ્દ અંશે શ્રેયસ્કર છે ત્યારે તેના પર આધારિત રાજકારણ અને રાજ્યની રચના કરવામાં આવે તો એવું રાજ્ય (શાસન) લાંબો સમય ટકી શકે છે. કારણ કે એમાં સામેના છેડે ધ્રુવીકરણ બહુ ઝડપથી થતું નથી. જેટલા ભાગીદાર વધુ અને ભાગીદારીનો અહેસાસ વધુ એટલી આવરદા વધુ. જેટલા ભાગીદાર ઓછા અને ભાગીદારીનો નકાર વધુ એટલી આવરદા ઓછી. 

એન્ટોનિયો આને કલ્ચરલ હેગેમની કહે છે. હેગેમનીનો અર્થ અહીં દાદાગીરી નથી થતો, પણ મહાજની સંસ્કૃતિ થાય છે. એકના પગલે બીજો ચાલે, બીજાના પગલે ત્રીજો એમ સ્વીકાર થતો જાય અને ભાગીદારો વધતા જાય. ટૂંકમાં પહેલાં સ્વીકૃતિ અને પછી શાસન. આવું શાસન લાંબો સમય સુધી ટકી શકે. પાંચ હજાર માઈલ્સ દૂરથી આવ્યા હોવા છતાં અને પરાયા હોવા છતાં અંગ્રેજોનું શાસન દોઢસો વરસ સુધી ટકી શક્યું એનું કારણ કલ્ચરલ હેગેમની હતું. બ્રાહ્મણથી લઈને હરિજન સુધી ભારતની પ્રજાને એમ લાગવા માંડ્યું કે આમાં આપણું શ્રેય છે. અહીં કાયદો છે, કાયદાનું રાજ્ય છે, જવાબદાર શાસન છે, ન્યાય આપનારી વ્યવસ્થા છે, કોઈક સાંભળે છે વગેરે. ટૂંકમાં પહેલાં કલ્પનાનો સ્વીકાર અને પછી શાસન.

કોઈ પણ શાસનની ચિરંજીવીતા તેમાં કેટલા ભાગીદારો છે અને ભાગીદારીનો કેટલો અહેસાહ ધરાવે છે એના પર છે. ભાગીદાર વધુ એટલી આવરદા વધુ અને ભાગીદાર ઓછા એટલી આવરદા ઓછી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 04 જૂન 2023

Loading

બ્રિજ ભૂષણ સિંહ: સિર્ફ એક બંદા કાફી હૈ!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 June 2023

રાજ ગોસ્વામી

તમે એને કેશિયસ ક્લે જુનિયરના નામથી બોલાવો કે મોહમ્મદ અલીના નામથી, તેના મુક્કાની અસર એક સરખી જ હતી. બોક્સિંગની દુનિયામાં એક એકથી ચઢિયાતા મુક્કાબાજ થયા છે, પરંતુ મોહમ્મદ અલી જેવો કોઈ થયો નથી. મુક્કાબાજ જેવી અસામાન્ય રમતના ખેલાડીઓનો પરિચય લોકોને આપવો પડે, પણ અલી એક એવો મુક્કાબાજ હતો જે પૂરી દુનિયામાં કોઈ પરિચયનો મોહતાજ નહોતો. બાળકોથી ઘરડાં સુધી સૌએ તેનું નામ સાંભળ્યું છે.

એ માત્ર મુક્કાબાજ જ નહોતો, પણ એક સાંસ્કૃતિક પ્રતિક હતો, અમેરિકાના અશ્વેત સમુદાયનો અવાજ હતો. અલીની આક્રમકતા અને વિજયની ભૂખને ગોરાઓના વર્ચસ્વ સામેના પ્રતિરોધના રૂપમાં જોવામાં આવે છે. કેશિયસ ક્લે જન્મે ઈસાઈ હતો, પણ અમેરિકન સમાજમાં ચાલતા રંગભેદના વિરોધમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને તે મોહમ્મદ અલી બની ગયો હતો.

તેની સાથે અને તેના સમાજના લોકો સાથે થતા ભેદભાવથી તેને કેટલી પરેશાની થતી હતી તેનો એક સૂચક કિસ્સો છે.

1960માં, રોમમાં યોજાયેલા ઓલેમ્પિકમાં કેશિયસ ક્લે (ત્યારે તે મોહમ્મદ અલી બન્યો નહોતો) મુક્કાબાજીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની ઉંમર 18 વર્ષની હતી. તેને વિમાનની મુસાફરીનો ડર લાગતો હતો અને પેરાશુટ પહેરીને તે રોમની ફ્લાઈટમાં ગયો હતો. તેણે તેનાથી આઠ વર્ષ મોટા અને કદાવર ઝિન્ગી પિત્રઝક્વાસ્‌કીને પછાડીને મેડલ જીત્યો, તો વતનમાં ઓહાયો નદી કિનારે વસેલા લુઇસવિલે શહેરમાં લગ્ન જેવો માહોલ હતો. કેશિયસ માત્ર ક્લે પરિવાર જ નહીં, શહેરના પૂરા અશ્વેત સમુદાયનું ગૌરવ વધાર્યું હતું.

એ પછી એક ઘટના બની, જે તેને મોહમ્મદ અલી બનવા તરફ એક ઔર ધક્કો મારવાની હતી.  નાનપણથી ‘નીગર’(નીગ્રો, જે અમેરિકામાં ગાળ ગણાય છે)નાં મહેણાં સાંભળીને મોટો થયેલો અલી એકવાર લુઇસવિલેની રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો, પણ તે અશ્વેત હતો એટલે રેસ્ટોરન્ટવાળાઓ તેને ખાવાનું આપવાની ના પાડી દીધી. અલી અકળાઈને ત્યાંથી નીકળી ગયો, નજીકમાં ઓહાયો નદીના જેફરસન કાઉન્ટી બ્રિજ પર ગયો અને ગળામાંથી ઓલમ્પિક ગોલ્ડ મેડલ ઉતારીને તેને નદીમાં ફેંકી દીધો.

1975માં પ્રગટ થયેલી તેની આત્મકથા ‘ધ ગ્રેટેસ્ટ’માં અલી લખે છે કે તે દિવસે બેવાર અપમાન થયું હતું. અલી અને એના ભાઈબંધની મોટરબાઈક ચોરતી ગેંગના એક માણસ સાથે મારામારી થઇ હતી. એ બંનેની બાઈક ચોરવા આવ્યો હતો. એ પહેલાં રેસ્ટોરન્ટ વાળાએ તેને અશ્વેત હોવાથી કાઢી મુક્યો હતો. મેડલને ફેંકી દીધો તે ક્ષણને યાદ કરીને અલી લખી છે, “મને ત્યારે પીડા કે પસ્તાવો થયો નહોતો, માત્ર રાહત અને નવી તાકાત મળી હતી.”

•••

મંગળવારની સાંજે, દિલ્હીમાં જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી ધરણાં કરી રહેલાં દેશનાં પહેલવાનો (વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા) તેમના ઓલેમ્પિક તેમ જ વિશ્વ મેડલ ગંગા નદીમાં વિસર્જિત કરવા માટે હરદ્વાર પહોંચ્યાં ત્યારે, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ મોહમ્મદ અલીની ઘટનાને તાજી કરી હતી (અમુક લોકોએ જો કે અલીની કહાનીને કાલ્પનિક પણ ગણાવી હતી, કારણ કે અલીનો મેડલ નદીમાં ડૂબી ગયો હતો કે તેનાથી ક્યાંક ખોવાઈ ગયો હતો તેને લઈને સ્પષ્ટતા નથી.)

પહેલવાનો ગંગા કિનારે પહોંચી પણ ગયાં હતાં, પરંતુ કિસાન નેતા નરેશ ટિકૈતની સમજાવટથી તેમણે પાંચ દિવસ માટે મેડલોનું વિસર્જન મુલતવી રાખ્યું હતું. ભારતીય પહેલવાન સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે મહિલા પહેલવાનોના જાતીય શોષણના આરોપસર ત્રણ પહેલવાનો એક મહિનાથી ધરણાં કરી રહ્યાં છે. રવિવારે, નવી સંસદના ઉદ્દઘાટન વખતે સંસદ સામે જ મહિલા પંચાયતનું આયોજન કરવા બદલ દિલ્હી પોલીસે પહેલવાનો સામે કાર્યવાહી કરી હતી, તેમની અટકાયત કરવામાં આવી હતી, ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ધરણા સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું. પરિણામે, પહેલવાનોએ મેડલને ગંગામાં વહાવી દેવાનું નક્કી કર્યું હતું.

તેમણે કહ્યુ હતું, “અમને આ મેડલોની જરૂરનથી કારણ કે તેને લટકાવીએ છીએ ત્યારે વહીવટીતંત્ર મોહરા તરીકે અમારોઉપયોગ કરે છે અને પછી અમારું શોષણ કરે છે. અમે જો શોષણ સામે બોલીએ તો જેલમાં પુરવાની ધમકી આપે છે. અમે તેને મા ગંગામાં વહાવી દઈશું. અમે ગંગાને પવિત્ર માનીએ છીએ – અમે મેડલો જીતવા માટે એટલી જ પવિત્રતાથી મહેનત કરી છે.”

બ્રિજ ભૂષણ સિંહ સામે પહેલવાનોનો વિરોધ સરકાર માટે શરમજનક સ્થિતિએ પહોંચ્યો છે. જે દિવસે ધરણાં કરી રહેલાં પહેલવાનોને દિલ્હી પોલીસ સડક પર ઘસેટી રહી હતી તે જ દિવસે બ્રિજ ભૂષણ સિંહ નવી સંસદમાં ખુશખુશાલ ચહેરે સેલ્ફી પડાવતા હતા. બંને વિરોધાભાસી દૃશ્યો આખા દેશે જોયાં હતાં.

રવિવાર અને મંગળવારની ઘટના પછી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ એક નિવેદનમાં કહ્યું છે કે પહેલવાનો સાથેનો વ્યવહાર અસ્વસ્થ કરનારો છે. કમિટીએ આરોપો સામે ઝડપી પોલીસ કાર્યવાહીની માંગણી કરી છે.

પોલીસ બ્રિજ ભૂષણ સિંહ સામે કેમ કારવાઈ નથી કરી રહી તે આશ્ચર્ય છે. તેની સામે એક સગીર વયની પહેલવાનના જાતીય શોષણનો આરોપ છે. દિલ્હી પોલીસે તેના પરથી 29 એપ્રિલે પોક્સો ધારામાં ફરિયાદ દાખલ કરી છે. દિલ્હી પોલીસ પહેલવાનોના આરોપો પર ધ્યાન નથી આપતી તેવી ફરિયાદ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં પછી પોલીસે સિંહ સામે ફરિયાદ દાખલ કરી હતી.

પોક્સો ધારા બાળકોના યૌન શોષણને રોકવા માટેનો કાનૂન છે અને તેમાં તત્કાળ ધરપકડની જોગવાઈ છે. ધરપકડ પછી પોલીસ આરોપીને જામીન નથી આપી શકતી. આ ધારામાં દેશમાં અનેક ધરપકડો થઇ ચુકી છે. બ્રિજ ભૂષણ સિંહ સામે તો આમ પણ 30 કેસ દાખલ થયેલા છે. તે 6 વખતથી સંસદ સભ્ય છે. ઉત્તર પ્રદેશમાં સામાજિક અને રાજકીય રૂપે તેની મોટી વગ છે.

રાજ્ય સભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો છે કે પોક્સોમાં તત્કાળ ધરપકડની જોગવાઈનો અમલ ભા.જ.પ.ના સંસદ સભ્ય અને અન્ય અપરાધીઓ માટે અલગ છે? દિલ્હી પોલીસે કહ્યું છે કે આ સંવેદનશીલ કેસમાં તપાસ ચાલુ છે અને તેનો અંતિમ રિપોર્ટ સંબંધિત અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

પહેલવાનોના આરોપનું એક કાનૂની પાસું છે તો બીજું રાજકીય પાસું પણ છે. સાધારણ કેસ હોત તો પહેલવાનોએ સડકો પર આવવું જ પડ્યું ન હોત, પરંતુ બ્રિજ ભૂષણ સિંહનું રાજકીય-સામાજિક કદ મોટું છે. એટલે જ પહેલવાનોના ન્યાય માટે શરૂ થયેલું અંદોલન હવે રાજકીય સૂચિતાર્થો સુધી પહોંચ્યું છે.

બ્રિજ ભૂષણ સિંહ જાટ સમુદાયમાંથી આવે છે. ઉત્તર ભારતમાં જાટ સમુદાયનું વર્ચસ્વ ખૂબ છે. લગભગ 30 જેટલી લોકસભા બેઠકો પર જાટ મતો નિર્ણાયક છે. એટલા માટે રાજકીય પક્ષો સાવધાનીપૂર્વક આ મુદ્દાને સ્પર્શી રહ્યા છે. પહેલવાનોના સમર્થનમાં પહેલીવાર પ્રિયંકા ગાંધી મહિના પહેલાં બહાર આવી હતી. તે પછી તરત જ બ્રિજ ભૂષણ સિંહે આરોપ કર્યો હતો કે હરિયાણાના કાઁગ્રેસ સાંસદ દીપેન્દ્ર હૂડાએ તેમની સામે રાજકીય કાવતરું ઘડ્યું છે. હૂડાએ વળતામાં સિંહ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા ધમકી આપી હતી.

ભા.જ.પ. માટે પણ સિંહ એટલા માટે જ ‘મૂલ્યવાન’ છે. એનો તાજો પુરાવો એ છે કે ખુદ બ્રિજ ભૂષણ સિંહે પોક્સો ધારામાં સુધારાની માંગણી કરી છે અને પોતાના સમર્થનમાં અયોધ્યાના સંતોને ઉતાર્યા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉતરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું છે કે સિંહને પોક્સો ધારામાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. સંતોએ 5મી જૂને અયોધ્યામાં રામ કથા પાર્કમાં પોક્સો સામે જાગૃતિ રેલીનું પણ આયોજન કર્યું, જેની અયોધ્યા પ્રશાસને મંજૂરી ના આપી. સિંહે પણ આક્રમક તેવર અખાત્ત્યાર કરતાં કહ્યું છે કે , “મારી સામે એકપણ આરોપ સિદ્ધ થશે તો હું ખુદ ફાંસી લગાવી દઈશ.”

દરમિયાનમાં, તમે એક્ટર મનોજ બાજપાઈની નવી ફિલ્મ “સિર્ફ એક બંદા કાફી હૈ” જોઈ છે? તેમાં જાતીય શોષણના આરોપ હેઠળ પોક્સો ધારાનો સામનો કરી રહેલા એક બાબાના વકીલો, ફરિયાદી સગીર યુવતીને પુખ્તવયની સાબિત કરવા માટે અદાલતમાં જન્મ તારીખને લઈને પુરાવાઓનું યુદ્ધ લડે છે. 

કંઇક એવો જ વળાંક બ્રિજ ભૂષણ સિંહના કેસમાં આવ્યો છે. તેની સામે જાતીય શોષણનો આરોપ કરનારી રોહતક – હરિયાણાની સગીર પહેલવાન યુવતીના કાકાએ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે તેમની ભત્રીજી સગીર નથી અને સરકારી નોકરીની લાલચ આપીને તેની પાસે ખોટો આરોપ કરાવામાં આવ્યો છે.

પહેલવાનોનું આ અંદોલન લાંબુ ચાલ્યું તો આ કેસમાં આવા અનેક અણધાર્યા વળાંક આવશે. વળાંકોનું એ ઊંટ કઈ તરફ બેસશે એ કોઈ અનુમાન કરી શકે તેમ નથી.

લાસ્ટ લાઈન:

“નૈતિકતા એટલે તમારે પાસે શું કરવાનો અધિકાર છે અને શું કરવું અધિકૃત છે તે વચ્ચેના ફરકની સમજ.” 

— પોટર સ્ટેવર્ટ, અમેરિકન વકીલ અને જજ

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 04 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1181,1191,1201,121...1,1301,1401,150...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved