Opinion Magazine
Number of visits: 9458206
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેળવણીમાં મેળવણી અને મેળવણીમાં કેળવણી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 February 2023

રવીન્દ્ર પારેખ

આજનો લેખ કેળવણીને લગતો છે. તે સીધો સ્ત્રીઓને લગતો નથી, પણ સ્ત્રીઓને કેળવણી સાથે પણ લેવાદેવા છે જ, એટલે સાવ જ વિષયાંતર ન લાગે એમ બને. કેળવણી, પછી તે કોઈ પણ વર્ગ, જાતિ-જ્ઞાતિને માટે હોય, પણ તે દરેક ભારતીયને કોઈકને કોઈક રીતે સ્પર્શે તો છે જ, કેળવણી માટે આપણી નિસ્બત કેવીક છે, તે અંગે અહીં વાત કરવા ધારી છે. પ્રાચીનકાળથી આપણે શિક્ષણનો મહિમા સ્વીકાર્યો છે ને ગુરુઓ દ્વારા જુદી જુદી વિદ્યાઓ શિષ્યોને ઉપલબ્ધ કરાવવાની પરંપરા વર્ષો સુધી ચાલી છે. એ પરંપરામાં શૂદ્રને અને કન્યાને વિદ્યાનો સીધો અધિકાર ન હતો, પણ રાજા કે રંકનાં સંતાનો ગુરુના આશ્રમમાં સાથે રહી શિક્ષા પ્રાપ્ત કરતા. કૃષ્ણ અને સુદામાએ સાંદીપનિના આશ્રમમાં સાથે વિદ્યા પ્રાપ્ત કરી. એકલવ્યને શિક્ષાનો અધિકાર ન હતો, પણ તેણે દ્રોણની પ્રતિમા સ્થાપી અને તેમની પાસેથી પરોક્ષ રીતે શિક્ષા પ્રાપ્ત કરી. શિક્ષાનું ત્યારે મહત્ત્વ હતું. સંપત્તિવાન પણ શિક્ષાનું મહત્ત્વ સમજતા ને રાજાઓ પણ સંતાનોને કેળવણી માટે ગુરુકુળમાં મોકલતાં. જો કે, દ્રૌપદી કે સીતા કે ગાંધારી કોઈ આશ્રમમાં રહીને ભણી હોય એવું જણાતું નથી. વૈદિક કાળમાં ગાર્ગીનો વિદુષી તરીકેનો ઉલેખ છે, પણ તેણે પણ વિધિવત શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાની જાણકારી નથી. રાજકારભારમાં રઝિયા સુલતાન, રાણી લક્ષ્મીબાઈ, રાણી અહલ્યાબાઈનો ઉલ્લેખ છે, પણ શિક્ષાનો અધિકાર સ્ત્રીઓને ન હતો, એવું લાગે છે.

અંગ્રેજોનાં શાસન દરમિયાન અને સ્વાતંત્ર્યોત્તર કાળમાં કન્યા કેળવણીનો વ્યવસ્થિત પ્રારંભ થયો. 1857થી યુનિવર્સિટીનો મહિમા વધ્યો ને આજે તો 1,113 યુનિવર્સિટીઓ અને 43,796 કોલેજો દેશમાં છે. ગુજરાતમાં જ છેલ્લાં 5 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની ટકાવારી 21 ટકા વધી છે, પાંચ વર્ષમાં જ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ 70,999 છે તો વિદ્યાર્થિનીઓનું 1.24 લાખ વધ્યું છે.

આ બધું જોતાં શિક્ષણની વધેલી ટકાવારી સંદર્ભે આનંદનો અનુભવ થવો જોઈએ, પણ થતો નથી. એક પ્રકારની ગ્લાનિનો જ અનુભવ થાય છે. તેનું સીધું કારણ એ છે કે શિક્ષણ વધ્યું છે, પણ તેનું મૂલ્ય ઘટ્યું છે. જ્ઞાન વગર પણ સંપત્તિને જોરે પ્રભાવ પાથરવાનું સરળ થઈ ગયું છે. શિક્ષિત હોવું ઘણીવાર બેકારીનું, નિરાશાનું, આપઘાતનું કારણ બને છે તે દુ:ખદ છે. પૂરતું ભણતર છતાં, યોગ્ય નોકરી નથી. એ જ કારણે યુવાનો દેશ છોડીને વિદેશને વ્હાલું કરી રહ્યા છે. સરકારને પણ ‘વિદેશ ગમન’ની ચિંતા હોય એવું લાગતું નથી. સરકારને બાહ્ય દેખાડા ને વૈશ્વિક ટાપટીપમાં જેટલો રસ છે, એટલો પાયાના પ્રશ્નોમાં નથી. યુવાનોને અહીં ભણતરની, નોકરીની, તકો આપવાને બદલે સરકાર તેનાં પ્રોજેક્ટોમાં વિદેશી રોકાણ અને નોકરીની સુવિધા પૂરી પાડે છે. દેશી, વિદેશી થઈ રહ્યા છે ને વિદેશી, દેશી ! તંત્રો એટલાં ભ્રષ્ટ છે કે યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય તકો પૂરી પાડી રહ્યાં છે. આખા ય દેશમાં વિકાસ, વ્યવસ્થા અને વિજ્ઞાપનને મામલે અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાએ આડો આંક વાળ્યો છે. કામ થાય છે, પણ થાય છે ત્યારે એ કામ કરાવનારને લૂંટાયાનો જ અનુભવ થાય છે ને એ વ્યાપક અને ઊંડા ભ્રષ્ટાચારનું પરિણામ છે.

આપણે શિક્ષણને ભોગે સંપત્તિઓનો મહિમા વધાર્યો એને કારણે સાચા શિક્ષિતો હાંસિયામાં ધકેલાયા ને ભ્રષ્ટાચારથી આગળ આવેલાઓએ સત્તા ને સંપત્તિ પર કબજો વધારવા માંડ્યો. રાજકારણ કેવળ સંપત્તિ શાસ્ત્રીઓનો જ વ્યવસાય બની રહ્યું. પૈસા હોય તો રાજકારણમાં આવો અને આવીને ખર્ચેલાં નાણાંનું અનેકગણું વળતર મેળવો. આવું ભ્રષ્ટાચારે શક્ય કરી આપ્યું. એને કારણે ઉચ્ચ શિક્ષણ પામેલાઓ હતાશ થયા. એમણે જોયું કે ઓછી પાત્રતાવાળો જાતિ, જ્ઞાતિ ને ભ્રષ્ટાચારથી આગળ, ઉચ્ચ સ્થાનોમાં બિરાજમાન છે. આજે ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં બિરાજમાન કુલપતિઓ કરતાં વધુ પાત્રતાવાળા અધ્યાપકો સાધારણ નોકરી કૂટે છે ને ઉચ્ચ હોદ્દે રાજકીય વગ, ભ્રષ્ટાચાર અને સંપત્તિ આરામ ફરમાવે છે. નબળો મંત્રી તેની હાથ નીચેના કલેક્ટરો ને કમિશનરો સાથે કેવી રીતે વર્તે છે તે કોઇથી અજાણ્યું નથી.

ઓડિશાના આરોગ્ય મંત્રી દાસની બીજા એક એ.એસ.આઈ. દાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી છાતી પર ગોળી મારી હત્યા કરી નાખી. મંત્રી દાસ, ચાલુ વિધાનસભાએ પોર્ન ફિલ્મ જોતાં પકડાયેલા ને અઠવાડિયા માટે સસ્પેન્ડ પણ થયેલા, તો પોલીસ દાસને આ મામલે અણબનાવ થયેલો એવી શંકા પણ સેવાય છે. ટૂંકમાં, બંને પક્ષે ગરબડ છે. આવું અનેક જગ્યાએ હશે જ. કારણો અનેક હોઈ શકે છે, પણ આપણે શિક્ષણની ધરાર અવગણના કરી છે ને તેને ભોગે અનેક ભ્રષ્ટતાઓ ને વિકૃતિઓ પોષી છે. શિક્ષણમાં જ અનેક સ્તરે ભ્રષ્ટતા આચરાતી હોય અને એવાં ભ્રષ્ટ શિક્ષિતો પણ જ્યાં જાય ત્યાં ભ્રષ્ટતા ન આચરે તો જ આશ્ચર્ય થાય. લાખો રૂપિયા ખર્ચીને ડૉક્ટર કે એન્જિનિયર બનેલો વિદ્યાર્થી દયા દાનમાં તો ઓપરેશન ન કરે કે પુલ ન બાંધે. એ ભણતરમાં ખર્ચેલાં નાણાં તો વસૂલ કરશે જ ને ! એ પૈસા ખર્ચીને ભ્રષ્ટ રીતે જે તે ક્ષેત્રમાં પ્રવેશ્યો હોય તે પ્રમાણિકતાથી સેવા કરે એવું તો સપનું ય ન પડે. બધે જ બધું ભ્રષ્ટ છે એવું નથી, પણ હાલમાં તો આનું પ્રમાણ ચરમસીમાએ છે. આ બધાંમાં શિક્ષણની મજાક ઊડે છે. પૈસા હોય તો ગમે તે શિક્ષણ કે નોકરી પ્રાપ્ત કરી શકાય એ હદે ભ્રષ્ટતાઓ વિકસી છે. અરે ! ભણ્યા વગર પણ ભણેલાની કક્ષાના લાભ પૈસાને જોરે લેનારાઓનો તોટો નથી.

છેલ્લાં થોડાં વર્ષોમાં બાર બાર વખત ગુજરાતમાં જુદી જુદી નોકરીનાં પેપરો ફૂટે ને તેનું ભાન સરકારને છેક હવે થાય અને તે કાયદો કરવાનું વિચારે એની પણ કમાલ જ છેને ! હૈદ્રાબાદમાં છપાયેલું જુનિયર ક્લાર્કનું પેપર લાખોમાં વેચાય ને તે ખરીદાય પણ ને એ વેપલામાં સાડા નવ લાખ ઉમેદવારોના ઉજાગરા દાવ પર લાગે એ શરમજનક છે. એના પરથી એટલું ફલિત થાય છે કે કોઈ પણ પ્રકારની સાચી મહેનત કરતાં પૈસા વધુ મહત્ત્વના છે. પૈસા હોય તો પેપર ફોડી શકાય ને ફૂટેલું પેપર પણ એવી જ રીતે પૈસા ખર્ચીને, ગરીબ, લાચાર ને સાચાનું ભવિષ્ય ધૂળધાણી કરી શકે છે. ખોટી રીતે આગળ જવાના એટલા બધા માર્ગો પૈસાએ ખોલી આપ્યા છે કે પૈસા વેરતા જાવ ને ધારેલું પદ પ્રાપ્ત કરો. એક કાળે આવું ન હતું, હવે આવું જ છે. પૈસા હોય તો આ બધું સરળ છે. ઉપલે સ્તરે યોગ્ય સ્થાનો પર બેઠેલાં ભ્રષ્ટ ને જૂઠાં લોકોને કારણે આ બધું બને છે. એ કેવી રીતે શક્ય છે ને ક્યાં સુધી શક્ય છે એની એક કલ્પના કરી છે. આમ જ થાય છે એવું નથી, પણ એમ થતું જ નથી એવું પણ નથી –

એક બાપ તેનાં વેદિયા દીકરાને કહે છે કે નકામા ઉજાગરા કરીને વાંચવાનું બંધ કર, તો દીકરો મૂંઝાય છે કે પપ્પા ન વાંચવાનું કેમ કહે છે, તો બાપ ખુલાસો કરતાં કહે છે કે થોડા લાખ ખર્ચીને તે પેપર ફોડી લાવ્યો છે. તો દીકરો કહે છે કે પેપર હોય તો ય શું? એના જવાબો તો પરીક્ષામાં લખવા પડશેને. બાપે એનો રસ્તો પણ કાઢ્યો કે પૈસા આપતાં પેપર લખનારો પણ મળી ગયો છે. દીકરો એ વાતે ગૂંચવાય છે કે એ લહિયો ખોટા જવાબ લખશે તો નાપાસ તો પોતે થશે. પિતા કહે છે કે એ ચિંતા પણ છોડ. ખોટા જવાબના ખરા માર્કસ મૂકી આપનાર એક્ઝામિનર પોતે જ પૈસા લઈને એ કામ કરી આપશે. છોકરો કહે છે કે છેલ્લી ઘડીએ એ નામુકર ગયો તો મારી તો ડિગ્રી જાય. બાપ હસતાં હસતાં કહે છે કે ડોબા, વાંચવાનું બંધ કર. તને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટનું યુનિવર્સિટીનું સર્ટિફિકેટ છપાવી આપું, પછી છે કૈં? તો, દીકરો શંકાથી કહે છે કે એમ નકલી સર્ટિફિકેટથી નોકરી ન મળે. તો બાપ કહે છે કે આપણી પાસે એટલા પૈસા છે કે નોકરીએ બીજાઓને તું રાખીશ. દીકરો કહે છે – ના, મારે તો સ્વમાનથી જીવવું છે. તો બાપ કહે છે – તું જરૂર કલેકટર કે કમિશનર થઈશ. દીકરો ખુશ થાય છે તો બાપ, નિરાશ થતાં કહે છે, એનાં કરતાં તો મંત્રી થા. માનથી રહીશ અને સ્વમાની કલેકટર કે કમિશનરને એડીએ રાખીશ.

તો, આવી સ્થિતિ થઈ શકે છે. પૈસા હોય તો કોઈ પણ પદ પ્રાપ્ત કરી શકાય એમ છે. આ બધાં પદો એક કાળે યોગ્ય વ્યક્તિને અપાતાં, હવે એ પૈસા ખર્ચનારને મળે છે ને એ કૈં દાન નથી. એ તો અનેકગણું વસૂલી લેવા અંગેનું રોકાણ છે. અજ્ઞાન, ભ્રષ્ટતા, અસત્ય જેવું બધું જ સત્યમાં ફેરવી શકાય છે, જો પૈસા હોય તો ! એ શક્ય બન્યું છે, સંપત્તિને આપણે શિક્ષણની ઉપર મૂકી છે એટલે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 05 ફેબ્રુઆરી 2023

Loading

સોનલ, મીરાં, આલા ખાચર અને ‘મધુશાલા’

સોનલ પરીખ|Opinion - Opinion|6 February 2023

રમેશ પારેખ એટલે ગુજરાતી કવિતાનું માઈલસ્ટોન અને હરિવંશરાય બચ્ચન એટલે હિંદી કવિતાનું માઈલસ્ટોન. જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી પંક્તિઓ, એવી રચનાઓ આ બન્ને આપી શકે. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં આ બંનેને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે.

આ બન્ને કવિઓનો જન્મદિન 27 નવેમ્બરે (હોય) છે એ આપણને ખબર છે?

‘સોનલ, તમે હાથમતીનું વહેણ અને અમે ઢળતા સૂરજ, સોનલ, તમે સોનમુખીનું ફૂલ ને અમે બળતા બુરજ’ આ પંક્તિ રમેશ પારેખની જ હોઈ શકે અને ‘મિટ્ટી કા તન મિટ્ટી કા મન, ક્ષણભર જીવન મેરા પરિચય’ આ પંક્તિ હરિવંશરાય બચ્ચનની જ હોઈ શકે. 

રમેશ પારેખ

એક સમય એવો હતો જ્યારે યુનિવર્સિટીની કૉલેજો અને હૉસ્ટેલોમાં રમેશ પારેખનો ડંકો વાગતો. છોકરીઓને થતું પોતે કોઈની સોનલ બને અને છોકરાઓને થતું, પોતાને પણ કોઈ સોનલ મળે. ર.પા.ની આ સોનલ કોણ છે એ શોધવા યુવાનો જ નહીં, કાવ્યરસિકો અને વિવેચકો પણ આતુર આતુર હતા.

27 નવેમ્બરે આ ભવ્ય કવિનો જન્મદિન. 27 નવેમ્બરે બીજા એક ભવ્ય કવિ હરિવંશરાય બચ્ચનનો પણ જન્મદિન. રમેશ પારેખ એટલે ગુજરાતી કવિતાનું માઈલસ્ટોન અને હરિવંશરાય બચ્ચન એટલે હિંદી કવિતાનું માઈલસ્ટોન. જીવ સોંસરી જાય ને ઘણી વાર જીવલેણ લાગે એવી પંક્તિઓ, એવી રચનાઓ આ બન્ને આપી શકે. રમેશ પારેખ એટલે સોનલ, મીરાં અને આલા ખાચરની સૃષ્ટિ અને બીજું ઘણું બધું. હરિવંશરાય બચ્ચન એટલે ‘મધુશાલા’, ‘નીડ કા નિર્માણ ફિર ફિર’ અને ‘જો બીત ગઈ સો બાત ગઈ’નું અનુરણન અને બીજું ઘણું બધું.

યુરોપમાં ચૌદમી-પંદરમી સદીથી શરૂ થઈ ગયેલી નવજાગૃતિ – રેનેસાં ભારતમાં ઘણી મોડી આવી. પણ એ પછી અંગત અનુભૂતિની અભિવ્યક્તિ, કલ્પના, સૌંદર્ય તરફનું આકર્ષણ, વિસ્મય, એક જ સૂક્ષ્મ ચેતનાનું સમગ્ર વિશ્વમાં દર્શન, સામાજિક-ધાર્મિક-રાજનૈતિક અને સાહિત્યિક બંધનો અને રૂઢિઓ સામે વિદ્રોહ અને ઉન્મુક્ત પ્રેમ – આ બધી એની અસરો ભારતના સર્જકો પર મોટા પ્રમાણમાં જોવા મળી. આ રોમેન્ટિસિઝમ, જેને હિંદીમાં છાયાવાદ કહે છે તેની વિશેષતાઓ બચ્ચનજી અને ર.પા. આ બન્ને કવિઓએ ભરપૂર ઝીલી છે.

હરિવંશ રાય બચ્ચન

હરિવંશરાય બચ્ચનનો જન્મ 1907માં અને રમેશ પારેખનો 1940માં. હરિવંશરાય બચ્ચનના પુત્ર અમિતાભ 1942માં જન્મ્યા છે એ જોતાં હરિવંશરાય બચ્ચન અને રમેશ પારેખ વચ્ચે ખાસ્સું એક પેઢીનું અંતર. પણ એમના શબ્દોની તાજગી અને અર્થની સુગંધ વચ્ચે કોઈ અંતર નથી. બંને કવિઓએ રોમેન્ટિસિઝમનાં શિખરો સર કર્યાં, પછી એની અસરમાંથી નીકળી પણ ગયા અને પોતીકા બળથી પોતાના શબ્દો અને ભાવોને માંજ્યા અને કંડાર્યા. પોતાની જાતને સાથે લઈને બેઠા હોઈએ એવા એકાંતમાં આ બંનેને વાંચીએ તો એમની રચનાઓનું અજવાળું આપણને આપણાં સ્વપ્નો અને સન્નાટાઓની મુખોમુખ કરી દે. 

બંને શબ્દોના જાદુગર. પણ બચ્ચનજી સોફેસ્ટિકેટેડ, ર.પા. સીધાસાદા. બચ્ચનજી પ્રયાગના એમ.એ., અંગ્રેજી કવિ ડબલ્યુ.બી. યેટ્સ પર કેમ્બ્રિજમાં પીએચ.ડી., વર્ષો સુધી અંગ્રેજીના અધ્યાપક અને ભારતના વિદેશ મંત્રાલયના હિંદી ભાષાના વિશેષજ્ઞ. ર.પા.નું ભણતર અમરેલીમાં. ચિત્રકાર બનવું હતું પણ આર્થિક ભીડને લીધે પંચાયત કચેરીમાં નોકરી લીધી ને ત્યાંથી જ રિટાયર્ડ થયા. સંગીત અને ચિત્રનો શોખ તરીકે સાથ ખરો. પોતાનાં બધાં કાવ્યો એમને યાદ ન રહેતા. સ્ટેજ પર બોલવા ઊભા થાય ત્યારે ખિસ્સામાંથી ચબરખી શોધે. પણ એક વાર બોલે એટલે બુલંદ બની જાય. ધેઘૂર આંખો કોઈ અન્ય લોકને તાકે ને અવાજ-શૈલી અને સંવેદનની એમની બળકટતા શ્રોતાઓને પણ એમના વિશ્વમાંથી ઊંચકી લે, ‘તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકરધાડું, મારે ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું’.

રમેશ પારેખનો પહેલો કાવ્યસંગ્રહ ‘ક્યાં’ (1970) બે પારિતોષિક વિજેતા થયો. કવિ સામયિકોમાં ને મુશાયરાઓમાં ખૂબ ગાજ્યા. એમની સોનલે ભાવકોને વશ કરી લીધા. નવ વર્ષ બાદ આવ્યા એક પછી એક ત્રણ સંગ્રહો ‘ખડિંગ’ (1979), ‘ત્વ’ (1980) અને ‘સનનન’ (1981). પછીના સંગ્રહો ‘ખમ્મા આલા બાપુને’ (1885) અને ‘મીરાં સામે પાર’ (1986) અન્ય બે વિશિષ્ટ પાત્રોને લાવ્યા. સોનલને સુરેશ દલાલ ‘વાસ્તવિક કલ્પના અથવા કાલ્પનિક વાસ્તવિકતા’ કહેતા. આલા બાપુ હતા સૌરાષ્ટ્રના ખલાસ થઈ ગયેલા નાનાં રજવાડાઓના કરુણ દશામાં મુકાયેલા મિથ્યાભિમાની ધણીઓના પ્રતિનિધિ – જાણે ટ્રેજિકોમેડી કે ટિયરફૂલ કોમેડીનો મૂર્તિમંત અવતાર. અને મીરાં એટલે પ્રેમ, પીડા, અધ્યાત્મ અને કાવ્યત્વનું શિખર.

1989માં આવ્યો ‘વિતાન સુદ બીજ’. દરેક સંગ્રહને વાચકો અને વિવેચકોએ વધાવ્યો અને પારિતોષિકોથી નવાજ્યો પણ. એમની લોકપ્રિયતા એટલી હતી કે એમનાં કાવ્યોનો સમગ્ર ગ્રંથ ‘છ અક્ષરનું નામ’ પ્રગટ થયો એની ચાર વર્ષના ગાળામાં ત્રણ આવૃત્તિ થઈ! આ પછી પણ એમણે ત્રણ કાવ્યસંગ્રહો આપ્યા. સાથે બાળસાહિત્ય પણ ખેડ્યું.

‘તેરા હાર’ બચ્ચનજીનું પહેલું પ્રકાશન. 1935માં આવેલી ‘મધુશાલા’એ તેમને શિખરે બેસાડ્યા. અદ્દભુત ‘મધુશાલા’ને મન્ના ડેએ અદ્દભુત કંઠે અને જયદેવના એવા જ અદ્દભુત સંગીત નિર્દેશનમાં ગાઈ છે. એના પછી આવ્યા ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ અને બચ્ચનજી હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક બન્યા. હાલા એટલે મદિરા. તેને જ વર્ણ્યવિષય માનીને થતી રચનાઓ એ હાલાવાદ. બચ્ચનજી લખે છે, ‘કભી ન કણભર ખાલી હોગા, લાખ પિયે દો લાખ પિયે; પાઠકગણ હૈ પીનેવાલે, પુસ્તક મેરી મધુશાલા’. મધુશાલા ફક્ત સુરાલય નથી. મધુશાલા પ્રતીક છે – પ્રણયનું, જિંદગીનું, ડૂબી જવાય એવી મસ્તીનું અને તરી જવાય એવી વિરક્તિનું – ‘મધુર ભાવનાઓં કી સુમધુર નિત્ય બનાતા હૂં હાલા; ભરતા હૂં ઈસ મધુ સે અપને અંતર કા પ્યાસા પ્યાલા; ઉઠા કલ્પના કે હાથોં સે સ્વયં ઉસે પી જાતા હૂં; અપને હી મેં હૂં મૈં સાકી, પીનેવાલા, મધુશાલા’ અને ‘જગતી કી શીતલ હાલા સી પથિક, નહીં મેરી હાલા; જગતી કે ઠંડે પ્યાલે સા પથિક, નહીં મેરા પ્યાલા; જ્વાલ સુરા જલતે પ્યાલે મેં દગ્ધ હૃદય કી કવિતા હૈ; જલને સે ભયભીત ન હો જો, આયે મેરી મધુશાલા’.

‘મધુશાલા’, ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ ઉમર ખય્યામની રુબાઈઓથી પ્રભાવિત હતા. ઉપરાંત કાવ્યસંગ્રહો ‘નિશાનિમંત્રણ’ (1938) – ‘એકાન્તસંગીત’, ’સતરંગિની’ (1945) અને ‘મિલનયામિની’ (1950), અંગત વ્યથાકથા સાથે ત્યારના દેશકાળની હૃદયસ્પર્શી વાતો કહેતા ચાર આત્મકથાનકો  -‘ક્યા ભૂલૂં ક્યા યાદ કરું?’ ‘નીડ કા નિર્માણ ફિર’ ‘બસેરે સે દૂર’ અને ‘દશદ્વાર સે સોપાન’ અને ગંભીર અધ્યયનના પરિણામસ્વરૂપ ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો, સમીક્ષાત્મક નિબંધો. સંઘર્ષ અને વ્યથા, મસ્તી અને ફિલોસોફીના ગાયક બચ્ચનજી લેખન અને જીવનમાં આડંબરને પ્રવેશવા દીધા વિના એકાકી છતાં ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા. રોબર્ટ ફ્રોસ્ટની ‘ધ વૂડસ આર લવલી’નો બચ્ચનજીએ કરેલો અનુવાદ જ જોઈ લો, ‘ગહન સઘન મનમોહક તરુગણ મુજકો આજ બુલાતે હૈં, કિંતુ કિયે જો વાદે મૈંને યાદ મુજે આ જાતે હૈં, અભી કહાં આરામ બદા યહ નેહ-નિમંત્રણ છલના હૈ, અરે અભી સોને સે પહલે મુજકો મીલોં ચલના હૈ …’

અને કદી ભૂલી નહીં શકીએ ર.પા.ની આ અને આવી પંક્તિઓને પણ, ‘હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે’ ‘આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈ, કોઈ રાત લઈને આવ્યા છે … આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ, સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે’ ‘તમારા કંઠમાં પહેલા તો એક છિદ્ર મળે, પછી તરસ ને પછીથી હરણ મળે તમને’ ‘મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોટમોટ પોઢેલો નાગ છે’ ‘આ હથેળી બહુ વહેમવાળી જગા છે, અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે’

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે, કોઈની હથેળીને કંઈ કેટલી વાર ટેરવાં ભરીને પીએ ને ચાલ્યા કરીએ : બસ, આ પહૂંચે, દૂર નહીં કુછ, ચાર કદમ અબ ચલના હૈ, ચહક રહે સુન, પીનેવાલે; મહક રહી, લે, મધુશાલા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 નવેમ્બર 2022

Loading

ભાવ વધવા માટે ને વજન ઘટવા માટે હોય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 February 2023

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે માણસ તરફનો ભાવ વધવો જોઈએ તેને બદલે ઘટે છે ને ચીજવસ્તુઓના ભાવ ઘટવા જોઈએ, તે વધે છે. બીજી તરફ, માણસનું વજન ઘટવું જોઈએ તે વધે છે ને ચીજવસ્તુઓનું ભાવને હિસાબે, વજન વધવું જોઈએ, તે ઘટે છે. પહેલાં ભારે ગુણ ઊંચકવા માટે માણસનું વજન ઓછું પડતું, હવે પેકિંગનું વજન ઓછું પડે છે ને માણસ ન ઊંચકાય એવો થતો આવે છે. કોઈ માણસ વજન કાંટે ઊભો રહે તો કાંટો જ બોલી ઊઠે છે – ભાઈ, એક સાથે એક જ આવો ! મોંઘવારીએ એટલું કર્યું છે કે માણસ સસ્તો થઈ ગયો છે ને તે પાણીને ભાવે મળે છે ને પાણી દૂધને ભાવે ખપે છે. એક જમાનામાં દૂધ સંપૂર્ણ ખોરાક ગણાતું, તે હજી સંપૂર્ણ ખોરાક છે જ, પણ ડેરીઓ માટે ! બે દિવસ પર જ અમુલ ડેરીએ દૂધનો ભાવ રાતોરાત જ લિટરે ત્રણ રૂપિયા વધારી દીધો છે. એણે ગયા ઓગસ્ટ, ઓક્ટોબરમાં પણ ભાવ વધારેલો જ, પણ 2023નાં વર્ષમાં મહિનો થઈ જવા છતાં ભાવ વધારવાનું અમુલને યાદ જ ન આવ્યું, તે કદાચ પોતાનું દૂધ પીવાની અસર નહીં થતી હોય એટલે હશે કે બીજું દૂધ પીધું હશે તેથી, પણ એકાએક યાદ આવ્યું, એટલે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભાવ વધારી દીધા ને બીજું દૂધ પીવાનું ચાલુ રહેશે તો ભાવવધારો નિયમિતપણે જળવાઈ રહે એમ બને. અમુલ ગુજરાતની ડેરી છે એવું યાદ આવ્યું હશે કે કેમ, પણ તેણે આ ભાવવધારો ગુજરાતમાં લાગુ ન કરીને ગુજરાતની દયા ખાધી છે એટલે અહીંનાં બાળકોને તો જૂના ભાવે તંદુરસ્તી જળવાશે, પણ અન્ય રાજ્યોનાં બાળકોને એ લાભ વધેલા ભાવે જ જાળવવાની છૂટ છે. એમ બધાંની દયા ખાતાં પાર કયાં આવે? આખી દુનિયાની વસ્તીનો રેકોર્ડ ભલે ભારત તોડે, પણ અમુલ ભાવવધારાનો રેકોર્ડ તોડે તો ય ‘આણંદ’ થાય. મહિને, બે મહિને ભાવ વધારતા જઈને ગિનેસ બુકમાં નામ નોંધાવવાનું સહેલું નથી. એમાં વળી અમુલ તો પ્રમાણિક દૂધ ડેરી છે. દૂધાળું ઢોરને પોતાનું દૂધ માફક નહીં આવતું હોય કે અન્ય કોઈ કારણે, દૂધ, ડેરીમાં ભરાય છે, પણ દાણના ભાવ વધ્યા, ઘાસ મોંઘું થયું, ઉત્પાદન ખર્ચ વધ્યું … જેવાં અગાઉ આપેલાં તે જ કારણો ભાવ વધારવા માટે અમુલે આપ્યાં છે. અમુલ ડેરીનો ઉપકાર એટલો કે તે કિંમત વધારે છે, પણ પેકિંગમાં લિટરથી ઓછું દૂધ આપતી નથી. પ્રોમિસ એટલે પ્રોમિસ ! પ્રાણ જાય, પર વચન …

એનાથી ઊલટું પારલે-જી બિસ્કિટનું છે. પારલે કંપની કિંમત વધારતી નથી, પણ વજન ઘટાડે છે. તેનું 5 રૂપિયાનું પેકેટ 1994થી 2021 સુધી 4 રૂપિયામાં મળતું હતું. એ હવે 5 રૂપિયાનું થયું છે. વચ્ચેનાં વર્ષોમાં ભાવ વધારી શકાય એમ ન હતું, કારણ પાર્લે ગ્લુકો જોડે બાળકોને અને ઘણાંને એક પ્રકારનું અનુસંધાન હતું. એટલે ભાવ ચાર રૂપિયા રાખીને કંપનીએ 100 ગ્રામ વજન ઘટાડી અનુક્રમે 92.5, 88, 55 ગ્રામ કર્યું. 55 ગ્રામ વખતે 4નાં 5 રૂપિયા થયા. આજે પણ 5 રૂપિયામાં બિસ્કિટ્સ તો મળે છે, માત્ર વજન 45 ગ્રામ થયું છે. હા, 5 ગ્રામ એકસ્ટ્રા પણ અપાય છે. 5 રૂપિયામાં 5 ગ્રામનું તો કંપની જ દાન કરે છે. બહુ આનંદ થાય છે કે આપણી પ્રજાને સરકાર મફત અનાજ આપે છે, પાર્લે કંપનીની જેમ કેટલીય કંપનીઓ આપણને તેલ, ઘી જેવી ઘણી સામગ્રી એકસ્ટ્રા આપે છે, એ ઉપરાંત બીજા કેટલાં બધાં તો ડિસ્કાઉન્ટ પણ આપે છે, આખો દેશ એક પર એક ફ્રી, ડિસ્કાઉન્ટ, એકસ્ટ્રા, ફ્રી ને એવી જાતભાતની સ્કિમો પર નભે છે. કમાલ છે ને કે આપણે જીવદયા પર, રામ ભરોસે કેટલી બધી પ્રગતિ કરી નાખી છે !

અમુલે ભાવ વધાર્યો, પણ વજન પૂરું આપ્યું, પારલેએ ભાવ ન વધાર્યો ને વજન ઘટાડ્યું, જ્યારે પતંજલિએ ભાવ પણ વધાર્યો ને વજન પણ ઘટાડ્યું. ગયા ઓકટોબર સુધી પતંજલિનું એક શેમ્પૂ 200 એમ.એલ.ના 105 રૂપિયાના ભાવે મળતું હતું, તે નવા પેકિંગમાં 120ના ભાવે 180 એમ.એલ. લઈને આવ્યું છે. 15 રૂપિયા વધ્યા ને 20 એમ.એલ. ઘટ્યું. આ ત્રણેક કંપનીની તો નમૂના દાખલ વાત કરી, બાકી, આવું બીજી ઘણી કંપનીઓ દ્વારા કરમુક્ત મનોરંજન અપાતું જ રહે છે, શરત એટલી કે પૈસા ફેંકો, તમાશા દેખો. 15 રૂપિયા વધારે આપો ને 20 એમ.એલ. ઓછું મેળવો ને એવું એવું તો આપણે લલ્લુઓ એટલું બધું પામીએ છીએ કે છેડો જ ન આવે ને છેડો મૂકવાનું મન થાય તે નફામાં !

બિસ્કિટનું પેકેટ લો, તો તેનાં પર ટેક્સ ! કોઈ વેપાર તમારે નામે ન કરો, તો પણ જી.એસ.ટી. તો ખરો જ ! જી.એસ.ટી.માં ને જી.એસ.ટી.માં તો સરકાર તરી ગઈ ને બીજાં ઘણાં તો હજી ગળચકાં ખાતાં પરવારતાં જ નથી. કોઈ હોટેલમાં જાવ, તો ખાધાં વગર બહાર આવશો, પણ ટેક્સ વગર નહીં અવાય. ટ્રેનમાં જાવ, પ્લેનમાં જાવ, ટેક્સ ખરો જ. ઓક્સિજન સિલિન્ડર કે ગેસનું સિલિન્ડર, બંને કહેવાય તો સિલિન્ડર જ. એટલું આપણે ગિલિન્ડરો સમજીએ જ છીએ ને આપણે સમજીએ કે ના સમજીએ ટેક્સનો ધર્મ છે લાગવાનો એટલે એ તો લાગવાનો જ ! એ બધા પર ટેક્સ ચૂકવ્યા પછી, વર્ષને અંતે ઇન્કમ ટેક્સ પણ ભરવાનો. ઇન્કમ હોય કે ન હોય, ટેક્સ તો હોય જ ! ત્યારે કોઈ લલ્લુ પૂછે કે સાહેબ, સેલ્સટેક્સ, સર્વિસટેક્સ, ડ્યૂટી, જી.એસ.ટી. વગેરે વગેરે ચૂકવી તે રકમ ઇન્કમમાંથી જ ગઈ છે, તો તે મજરે આપોને, તો સાહેબ કહેશે, લલ્લુ, 50 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શન દાંડિયા રાસ રમવા આપ્યું છે? ને લલ્લુ કહે કે 50,000થી વધારે ગજવામાંથી જાય છે ને ઇન્કમ જેવું તો કૈં રહેતું જ નથી, તો સાહેબ કહેશે, બેટા, ઇન્કમ ન હોય તો સરકાર માઈબાપની મફત અનાજની લાઇનમાં ઊભો રહી જા. આટલાં બધાંને મફતનું ખાવાની ટેવ પાડી છે તે એકાદ બે મફતિયા વધી જશે તો સરકારને કૈં ખૂટવાનું નથી. સરકાર આમ પણ દયાળુ છે, ભલે વજન વધારે હોય, પણ તું ભારે નહીં પડે !

ટૂંકમાં, આપણા પર કેટલાં બધાંની મહેર છે તેનું આપણને ભાન જ નથી. પારલે કંપની 5 ગ્રામ એકસ્ટ્રા આપે ને તે ય 5 રૂપિયામાં. એ લાભ વહેલી તકે લઈ લેવો જોઈએ. અત્યારે 5 રૂપિયામાં 50 ગ્રામ તો આવે છે ! એવું ન થાય કે કાલે 5 રૂપિયાનું પેકેટ લેવા જઈએ ને હાથમાં બિસ્કિટને બદલે રેપર જ આવે. આટલી મોંઘવારીમાં 5 રૂપિયાનું રેપર મળે તે ઓછું છે? એક સમય હતો જ્યારે સ્ટાન્ડર્ડ રેટ ને વેટનો જમાનો હતો. જે ભાવે તે ખવાય, પણ ગમે તે ભાવે વેચાય નહીં. એવી જ રીતે વજન 10, 20 કે 5, 10નાં ગુણાંકમાં જ નક્કી થતું. એ હવે બદલાઈ ગયું છે. એક બિસ્કિટ 9.4546 ગ્રામનું પણ હોય. તેલ, દિવેલ 452.5142 એમ.એલ. પણ ભરાય. તમને શંકા હોય તો જાતે વજનિયા લાવીને ભજનિયા ગાઈ લો. એક જમાનામાં તોલમાપ-ધારો હતો. હવે તોલમા-પધારો તેવી સ્થિતિ છે. શું છે કે હવે બધું મુક્ત થઈ ગયું છે, એટલે અર્થતંત્ર પણ મુક્ત થયા વગર કેમ રહે? એ ખબર નથી પડતી કે આ જ જો મુક્ત અર્થતંત્ર હોય તો અનર્થતંત્ર કોને કહેવાતું હશે?

– ને આ મોંઘવારી મોંઘવારીનું શું માંડ્યું છે તમે લોકોએ? સરકાર આટલાં મોંઘા ઘઉં, ચોખા ખરીદતી હોય, તેને ય બધા જ ટેક્સ લાગતા હોય ને તે જો અનાજ મફત આપી શકતી હોય, તો આપણે શેનાં મોંઘવારીની મેથી માર્યાં કરીએ છીએ? સાચું તો એ છે કે આપણને ટેવ પડી ગઈ છે, રડવાની, બાકી કેટલા બધા એવા છે જેમને હજાર રૂપિયે લિટર પેટ્રોલ થાય તો ય પેટનું પાણી હાલે એમ નથી, ન જ હાલે, કારણ પેટમાં પાણીને બદલે પેટ્રોલ પડેલું છે. એક બાજુ સરકાર બજેટમાં, કરદાતાને હજારો રૂપિયાનો ફાયદો, જુદી જુદી સ્કિમ હેઠળ કરાવી શકતી હોય ને તે જો ટેક્સ જતો કરી શકતી હોય તો આપણે શેનું કૂટ્યાં કરીએ છીએ, આખો દિવસ? મોંઘવારી તો સરકારને ય લાગે જ છેને ! એને ટેક્સ ન લાગે, પણ મોંઘવારી ય ન લાગે એવું નથી ! સીધી વાત છે કે કમાવું તો સરકારે પણ હોય જ છે. તેને માટે ટેક્સ નાખવો જ પડે ને ટેક્સ પડે એટલે વસ્તુ મોંઘી થાય જ. થોડી ધીરજ રાખો, એવી સ્કિમ આવવાની છે કે બધું જ મોંઘું થાય તો પણ લોકોને ટેક્સ ભરવામાંથી જ ફુરસદ નહીં મળે. ટેક્સ ભરવાનું કામ આપીને સરકાર બેકારી ઘટાડે એમ બને. એ મજૂરી જ એવી હશે કે માથું જ ન ઊંચકાય, કરદાતા જ ‘ઊંચકાઈ’ જાય ! માથું ઊંચકાય તો મોંઘવારીની બૂમ ઊઠેને ! મોંઘવારી દૂર કરવાનો આનાથી મોટો બીજો કીમિયો નથી.

માનીએ કે ન માનીએ પણ આપણે તો છેક હવે આઝાદ થયાં છીએ. કૈં પણ કરો, કોઈ પૂછે જ નહીં ! આવી આઝાદી અગાઉ હતી? કોઈને ભાવ આપો કે ગમે તે ભાવ લો, કોઈ ના પૂછે. અંગ્રેજોના વખતમાં 92.5 ગ્રામનું કે 45 ગ્રામનું બિસ્કિટનું પેકેટ હતું? કાલે ઊઠીને કોઈ 1.234 ગ્રામ ચોખાનો ભાવ 4.321 રૂપિયા માંગે ને કોઈ 4.567 રૂપિયાની કડકડતી નવી નોટ ધરીને બાકીના રોકડા માંગે તો આપવા પડે એનું નામ મુક્ત અર્થતંત્ર. આજે ફરિયાદ કોઈ કરતું નથી. કરે તો તેનું ભાગ્યે જ કૈં ઊપજે એમ છે. કોઈ નાનો વેપારી પાંચ રૂપિયાનું પેકેટ 6 રૂપિયામાં વેચે તો તેની સામે ફરિયાદ થઈ શકે, પણ કોઈ કંપની 2.4 રૂપિયામાં 3.2 ગ્રામ બિસ્કિટ આપે તો તેને પડકારી શકાય કે કેમ તે નથી ખબર ને હવે તો નાનો વેપારી 5નું પેકેટ 6માં વેચે તે કંપની કૈં અક્કલ વેચીને બેઠી છે કે તે પોતે જ 5નાં 6 છાપીને ન વેચી શકે? નાનાં વેપારીનું એ ગજું નથી કે તે 5નાં 6 કરે, એ કામ હવે કંપનીઓએ જ માથે લઈ લીધું છે. નકામી એ બિચારાને કાળા બજારની તક ક્યાં આપવી? સાચું ખોટું તો ક્યાં કરવા જવું, પણ આપણે ભ્રષ્ટાચારમાં, અત્યાચારોમાં, ખૂનામરકીમાં, કાયદા ચાતરવામાં, દવાદારૂમાં વૈશ્વિક સ્તરે આખી દુનિયાને પાછળ પાડી દીધી છે. કોઈ દેશે સ્વતંત્રતા પ્રાપ્ત થયાનાં 75 વર્ષમાં જ આટલી પ્રગતિ કરી હોય એવો બીજો દેશ દેખાતો નથી. તમને દેખાય છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,1121,1131,1141,115...1,1201,1301,140...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved