Opinion Magazine
Number of visits: 9743192
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનિલ જોશીના ભરચક અસબાબની ગાંસડી છૂટ્યાની વેળા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 July 2023

પુસ્તક-પરિચય

અનિલ જોશી

‘ગાંસડી ઉપાડી શેઠની’ એ અત્યારે બ્યાંશી વર્ષના કવિ અનિલ જોશીની ભરચક અને નિખાલસ આત્મકથા છે.

‘જિવાઈ ગયેલા જીવનની આ વીતકથા’ના પોણા ત્રણસોથી વધુ પાનાંમાં યાદો, પાત્રો, પ્રસંગો, યોગાનુયોગ ઘટનાઓ, વર્ણનો, કાવ્યપંક્તિઓ, ઉલ્લેખો, સંદર્ભો, ચિંતન-અંશોની વાચનીય ભરમાર છે. મોંઘેરી જૂની મૂડી જેવા ઢગલાબંધ શબ્દો અને તળ કાઠિયાવાડની બોલીનો પાસ આનંદમાં ઉમેરો કરે છે. 

‘કન્યાવિદાય’નામની હૃદયસ્પર્શી કવિતાથી ખાસ જાણીતા અનિલે ઑક્ટોબર 2015માં એમ.એમ. કાલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકર નામના રૅશનાલિસ્ટ કર્મશીલોની હત્યાના વિરોધમાં સાહિત્ય અકાદેમી(દિલ્હી)નો પુરસ્કાર પાછો આપ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં અસાધારણ એવા આ જેશ્ચરની વાત લેખકે કોઈ હિરોઇઝમ વિના, માત્ર એક જ લીટીમાં લખી છે. ત્યાર બાદ,  રોમિલા  થાપર અને એ.જી. નૂરાનીનું, અવૉર્ડ વાપસીને બિરદાવતું  અવતરણ મૂક્યું છે.

જો કે અનિલે 2002ના ગુજરાતના રમખાણો વિશે આક્રોશપૂર્ણ અઢી પાનાં લખ્યા છે. હિંસાચારનો વિરોધ કરતું નિવેદન તેમણે ખાસ દોસ્ત રમેશ પારેખ સાથે બહાર પાડ્યું જેની પર સહી કરવામાં અનેક અગ્રણી ગુજરાતી સાહિત્યકારો પાછા પડ્યા. આખરે અનિલ ‘હુલ્લડ કાવ્યો’ અને રમેશ ‘કરફ્યુ કાવ્યો’ લખીને વ્યક્ત થયા.

જો કે આ જ કવિને શિવસેના સુપ્રીમોની ઓથ પણ મળી છે. મુંબઈ મહાનગરપાલિકામાં લૅન્ગ્વેજ ઑફિસર તરીકેની કાયમી નોકરી માટે ‘ડિગ્રીનો ટેક્નિકલ પ્રશ્ન આવ્યો’ ત્યારે બાળ ઠાકરેના  ‘એ કવિ છે એ જ મોટી ડિગ્રી છે’ એવા પ્રમાણપત્રથી નિમણૂકમાં મદદ થઈ.

‘સ્વભાવે હું નાસ્તિક હતો. ભગવાન-બગવાનમાં માનતો નહીં’ એમ અનિલ યુવાનીના ઉંબરે કહે છે, પંચોતેરની ઉંમરે રૅશનાલિઝમના ટેકામાં અવૉર્ડ વાપસી કરે છે, અને પુસ્તકના પોણા હિસ્સામાં વારંવાર ‘મા’ કહેતાં દેવી જગદમ્બાનો મહિમા કરે છે.

ઉપરોક્ત વિરોધાભાસોનો અનિલે બચાવ કે ઢાંકપિછોડો કર્યો નથી. દ્વિધાઓ-મર્યાદાઓ-ભૂલો-ઠોકરો સચ્ચાઈપૂર્વક બયાન અને આપવડાઈની ગેરહાજરી આત્મકથાને ઊંચું સ્તર આપે છે.

જન્મજાત તોતડાપણું કુમારવયે પ્રયત્નપૂર્વક દૂર કર્યું તે પહેલાંની હાલત, શાળા-કોલેજની પરીક્ષાઓમાં નિષ્ફળતા અને પાસ થવા માટેના નુસખા, મુગ્ધાવસ્થામાં ‘છોકરીને નિર્વસ્ત્ર જોવાનાં કોડ’, બે ટૂંકા ગાળાના પ્રેમપ્રકરણ, બીડી-સિગરેટ-શરાબનાં બંધાણ, વારંવારનું ડિપ્રેશન, આપઘાતની કોશિશો, નબળી કારર્કિર્દી, પૈસા કમાવા માટેની અપાત્રતા, ઘરસંસારની જવાબદારીઓ નિભાવવામાં કચાશ જેવી નબળાઈઓ વિશે કવિ તટસ્થભાવે લખે છે.

‘આત્મકથા લખવી એ મોટું દુ:સાહસ છે’ અને ‘રખડેલની આત્મકથા ન હોય’ એમ શરૂઆતમાં લખનારા કવિ આખર તરફ જતાં કહે છે : ‘મારા આત્મકથનાત્મકના કેન્દ્રમાં હું નથી રહ્યો, પણ જેમણે મને પ્રેમપૂર્વક ખભે તેડીને રમાડ્યો છે એ સર્વ વડીલો કેન્દ્રમાં છે.’

એટલે સંખ્યાબંધ વાલીઓ-વડીલો પ્રગટતા રહે છે. ઉપરાંત, જન્મ અને બાળપણના ગામ ગોંડલના કવિ મકરન્દ દવેના પ્રભાવ-પ્રેરણા અંગે વારંવાર વાંચવા મળે છે. તેમની જેમ નાથાલાલ જોષી પણ ‘મા’ની શક્તિમાં લેખકની શ્રદ્ધા જગવે છે.

બહોળા પરિવારમાં ઢસરડા કરતી ‘બાએ ધાવણ છોડાવવાં માટે એના સ્તન ઉપર કડવાણી ઘસીને મને ધવડાવ્યો … ઘરકામમાં આડો ન આવું એટલે મને અફીણનો ચમચો પાવાનું શરૂ કર્યું’, એમ લેખકને સાંભરે છે.

પિતા શિક્ષક તરીકે નોકરી શરૂ કરીને શિક્ષણાધિકારીના ઊંચા હોદ્દે પહોંચ્યા હતા. ‘ભગવાનમાં માનતો નથી ગાંધીજીમાં માનું છું’ એમ કહેતા રમાનાથ સંતાનોની બાબતમાં કુણા હતા.

પ્રસંગોપાત્ત અનેક પરિવારજનોના સરસ લઘુશબ્દચિત્રો મળતા રહે છે. પિતાની બદલી મોરબી, હિમ્મતનગર, અમરેલી અને ધ્રોળ થઈ. વેકેશન સાબરમતી આશ્રમમાં, કંડલા, ખીજડિયા જેવી જગ્યાએ વીત્યું. મોટી ઉંમરે બ્રિટન અને અમેરિકામાં રહેવાનું થયું.

આ બધી જગ્યાઓ, અને અલબત્ત વતન, ત્યાંના બનાવો, માણસો, માહોલ, ખુદની મન:સ્થિતિનું વિગતે નિરૂપણ કરવાની કોઈ તક લેખક જવા દેતા નથી. સમાજના અનેક સ્તરના કેટલાં ય નોખા-અનોખા મનેખ અને તેમના ક્યારેક કરુણ તો ક્યારેક રમૂજી કિસ્સા અહીં છે.

પુસ્તકનાં અધઝાઝેરાં પાનાં કવિની ઘડતરકથાને રસાળ, બિનસાહિત્યિક બાનીમાં માંડે છે. ઇન્ટરમાં મોરબીની કૉલેજમાં અનિલ ક્રિકેટ રમી ખાતા. ‘કવિતાબવિતામાં બહુ રસ પડતો નહીં’ કહેનાર ગુજરાતીમાં નાપાસ થયા, પણ કવિતા લખતા, છપાતી ય ખરી.

‘કુમાર’માં આવેલી એમની એક કવિતાએ, પછીના વર્ષે યશવંત શુક્લની એચ.કે. આર્ટસ ‘કૉલેજમાં પ્રવેશ અપાવ્યો’. ‘અમદાવાદ શબ્દભૂમિ’ બની તેનું દીર્ઘ મનોહર ચિત્રણ છે. કુમાર કાર્યાલય, બુધસભા, રે-મઠ, યુનિવર્સિટીનું ભાષા-સાહિત્ય ભવન, સાહિત્ય પરિષદનાં અધિવેશનો, ‘હૅવમોર’ હૉટેલમાં નિરંજન ભગતની બેઠક – આ બધામાં કવિ ઓતપ્રોત થતા જાય છે.

જો કે નોકરીઓ તો મુંબઈમાં જ છે; પહેલી કારકૂન જેવી નોકરી ‘કવિતાની લાગવગથી’ મળે છે. પછી પી.આર.ઓ., સહસંપાદક, મ.ન.પા.માં ભાષા સલાહકાર, પાર્ટટાઇમ લેક્ચરર અને આખરે લૅન્ગ્વેજ ઑફિસર.

નજીવી અનિયમિત આવકે પણ રહેઠાણ મળ્યાં, મોટા અકસ્માતમાંથી બહાર આવ્યા, પોતાનું ઘર થયું. ભણતર, નોકરી અને પોતાના ઘર જેવી બહુ પાયાની બાબતોમાં તેમને આકસ્મિક રીતે મળેલી મદદના – સહેલાઈથી ગળે ન ઊતરે, અથવા કંઈ નહીં તો અચંબો પમાડે જ તેવા તેવા યોગાનુયોગોના – કિસ્સા કવિએ નોંધ્યા છે.

ઉપરાંત પગલે મુંબઈના સાહિત્યકારો, સંપાદકો, રસિક શ્રેષ્ઠીઓ, રંગકર્મીઓ, કર્મશીલોનો સક્રિય ટેકો. મુંબઈકરો અને તેમના કલા-સાહિત્યજગત વિશે કવિ દિલથી લખે છે.

કવિનો બીજો દિલી મામલો કવિઓ સાથે દોસ્તી. ખાસ તો રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, આદિલ અને નિદા ફાઝલી. પોતાની અને બીજાની રચનાઓના સર્જનની ભાગ્યે જ વાંચવા મળે એવી એનેકડોટ્સ અહીં છે.

સદભાવી લેખકો- સહૃદયો સાથેના સંખ્યાબંધ સહવાસ-ચિત્રો, પ્રસંગો, યાદો છે. ઉમાશંકર, સુરેશ દલાલ, સુરેશ જોશી, હરીન્દ્ર દવે, સોનલ શુક્લ, મીનળ મહેતા, નામદેવ લહુટે, કાન્તિ મડિયા, મધુ રાય, ભાલચન્દ્ર નેમાડે, ધર્મવીર ભારતી, શરદ જોશી, ગણેશ દેવી – આ યાદી લાંબી થાય.

આખા પુસ્તકમાંથી પસાર થઈએ તો સ્વામી આનંદથી લઈને અત્યારના સિતાંશુ યશશ્ચન્દ્ર સુધીના પચાસથી વધુ લેખકો લાંબી-ટૂંકી જિકર છે, અને અરધી સદીના ગુજરાતી સાહિત્યની તસવીરો છે.

પુસ્તકનું મુખપૃષ્ઠ વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સર્જ્યું છે. ગુલામ મોહમ્મદ શેખે લખેલી સુંદર આવકાર નોંધનું શીર્ષક છે ‘પવનની ગાંસડી’.    

ગુલામ મોહમ્મદ લખે છે : ‘…આ સંભારણાં અનિલ જોશીની પaરદર્શી જિંદગીનો ભાતીગળ દસ્તાવેજ છે. આ ગાંસડીમાં ગોંડલની ભગવતપરાની શેરી અગિયારથી માંડીને ભાયખલાની ખોલી લગીના અનુભવોનો ભરચક ભંડાર છે …

‘જોયું, જાણ્યું, માણ્યું, વેઠ્યું તેનો નિતાર આ અંતરંગી સંભારણાંમાં રોજ બ રોજની બાનીમાં તળ કાઠિયાવાડની બોલીની આંગળી ઝાલી નિખર્યો છે.’                     

09 જુલાઈ 2023 
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલો મારો લેખ, કેટલાક ઉમેરણ સાથે, 775 શબ્દો ]

પ્રકાશક : નવજીવન સાંપ્રત, પાનાં 280, રૂ.350/- પ્રાપ્તિસ્થાન :

– નવજીવન, ફોન : 079-27540635, 27542634
– ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ફોન : 079- 26587949
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુનાબોમ્બર: માનવ ચેતનાને ક્રૂર રીતે જગાડનાર પાગલ ડાહ્યો!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 July 2023

રાજ ગોસ્વામી

10મી જૂનના રોજ, થિયોડોર કઝિન્સકી નામના 81 વર્ષના એક કેદીનું, અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલી બીમાર કેદીઓ માટેની જેલમાં અવસાન થઇ ગયું. સંભવતઃ તેણે આત્મહત્યા કરી હતી. કઝિન્સકી એવા અપરાધ બદલ આજીવન કારાવાસની સજા ભોગવતો હતો, જેને આધુનિક અમેરિકામાં પહેલો ‘ઘરેલું આતંકવાદ’ તરીકે યાદ રાખવામાં આવે છે. આજે તમે છાસવારે અખબારોમાં સમાચાર વાંચો છો કે અમેરિકાની ફલાણી સ્કૂલમાં એક છોકરાએ બંધૂક ચલાવી અથવા ઢીંકણા મનોરોગીએ સમારોહમાં સામૂહિક શૂટિંગ કર્યું. આવી રીતે આતંક ફેલાવાની શરૂઆત થિયોડોર કઝિન્સકીએ કરી હતી.

1978થી 1995 વચ્ચે, આ માણસે ટપાલ મારફતે અથવા તો હાથોહાથ વીસથી વધુ ‘લેટર બોમ્બ’નું વિતરણ કર્યું હતું. એમાં 3 લોકોનાં મોત થયાં હતાં અને 23 લોકો જખમી થયા હતા. તે લોકો સાથે તેની દુ:શ્મની નહોતી. એ તેની પ્રતિકાત્મક હિંસા હતી. કેમ? તેનો જવાબ થોડીવાર પછી.

1998માં જ્યારે એ પકડાયો, ત્યારે તેણે અદાલતમાં તેનો અપરાધ કબૂલ કર્યો હતો. ત્યારથી તે આઠ આજીવન કારાવાસ ભોગવતો હતો. છેલ્લે, તેની માનસિક હાલત બગડી પછી સ્વાસ્થ્ય ચિકિત્સાની જેલમાં રાખવામાં આવ્યો હતો. એફ.બી.આઈ.એ તેની કેસ-ફાઈલમાં તેનું નામ, યુનિવર્સિટી અને એરલાઈન્સમાં બોમ્બ મોકલનાર પરથી, ‘યુનાબોમ’ (યુ.એન.એ.બી.ઓ.એમ.) રાખ્યું હતું. મીડિયાએ તેના પરથી તેનું નામ ‘યુનાબોમ્બર’ પાડ્યું હતું.

અમેરિકામાં ચિત્ર-વિચિત્ર પ્રકારના હજારો અપરાધીઓ છે. એમાંથી આપણે થિયોડોર કઝિન્સકીની વાત કેમ કરીએ છીએ? ટેડના હુલામણા નામથી જાણીતો થિયોડોર કઝિન્સકી, શિકાગોના ઈમિગ્રેન્ટ પોલિશ શ્રમિક પરિવારમાં પેદા થયો હતો. તેનો એક લઘુ બંધુ ડેવિડ હતો. પ્રાથમિક સ્કૂલમાં બધાં ટેડને એકલવાયો પરંતુ સ્માર્ટ કહેતા હતા.

હાઈસ્કૂલમાં તેની પ્રતિભા રંગ લાવી હતી. તેને ગણિત અને બાયોલોજીમાં એટલી રુચિ હતી કે લોકો તેને ‘હાલતું-ચાલતું બ્રેઈન’ અથવા ‘બ્રિફકેસ બોય’ કહેતા હતા. 15 વર્ષની ઉંમરે પરીક્ષામાં તેનું નામ રાષ્ટ્રીય મેરિટ લિસ્ટમાં આવ્યું હતું. બીજા વર્ષે, તે હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં પાસ થઇ ગયો, ત્યારે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું. તે ત્યાં ગણિત ભણવાનો હતો. ત્રણ વર્ષ સુધી તેના સહાધ્યાયીઓ તેને ‘ઇન્ટેલિજન્ટ પણ એકલવાયો’ તરીકે ઓળખતા હતા.

હાર્વર્ડમાં હેન્રી મૂરે નામના એક મનોવૈજ્ઞાનિકે, માઈન્ડ-કંટ્રોલના પ્રયોગ માટે, વિધાર્થીઓના એક સમૂહ પર ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો. એમાં એક ટેડ પણ હતો. આ મૂરે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા માટે કામ કરતો હતો. કહેવાય છે કે આ પ્રયોગ દરમિયાન થયેલા અનુભવોમાંથી ટેડમાં અપરાધિક વૃત્તિ પેદા થઇ ગઈ હતી.

હાર્વર્ડમાંથી નીકળીને તેણે મિશિગન યુનિવર્સિટીમાંથી ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાંથી જ તેણે પી.એચડી. પણ કરી હતી. તેને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસરની નોકરી મળી હતી. 1969માં, તેણે રાજીનામું આપી દીધું હતું. થોડા વખત માટે તે શિકાગો નજીક લોબાર્ડ ગામમાં તેનાં પેરન્ટ્સ સાથે રહ્યો અને પછી પશ્ચિમ અમેરિકાના પર્વતીય રાજ્ય મોન્ટાના લિંકન નામના એક ગામની બહાર, વીજળી કે પાણી વગરના કેબિન જેવા ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. તેમાં એક બેડ હતો, બે ખુરશીઓ હતી, સ્ટોરેજની પેટીઓ હતી અને ઘણાં બધાં પુસ્તકો હતાં. તેનો કોઈ પરિવાર નહોતો. તે સાદામાં સાદું જીવન જીવીને આત્મનિર્ભર રહેવા માંગતો હતો. તે જૂની સાઈકલ પર ગામની લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચતો હતો અને છૂટક કામો કરતો હતો.

જબરદસ્તીની નિવૃત્તિના તેના આ જીવનમાંથી તેની આતંકી ગતિવિધિનો પ્રારંભ થયો હતો. કેવી રીતે? થિયોડોર કઝિન્સકી ટેકનોલોજી અને ઔધોગિકરણ(અને તેમાંથી કેળવાયેલી આધુનિક જીવનશૈલી)નો વિરોધી હતો. એ વિરોધ તેની કેબિન પાસેથી જ શરૂ થયો હતો. તેની આસપાસ જંગલ હતું. એ સુંદર નૈસર્ગિક જગ્યા હતી. ત્યાં પ્રાકૃતિક ઝરણાં અને પાણીના ધોધ હતા. લોકો ત્યાં હરવા-ફરવા આવતા હતા. જાણે એ તેનું સ્વર્ગ હતું. એ ત્યાં રહીને જંગલમાં કેવી રીતે જીવી શકાય તે શીખી રહ્યો હતો.

1975માં, સ્વર્ગમાં ભંગાણ પડ્યું. એ ઉનાળામાં તેણે જોયું કે ત્યાં માણસોની સંખ્યા અચાનક વધી ગઈ છે. એ દૂર સુધી તપાસ કરવા ગયો તો ખબર પડી કે પહાડી મેદાનમાં બરાબર વચ્ચે રોડ બનાવી દેવામાં આવ્યો છે. તેને અકળામણ થઇ. તેને થયું કે તેની શાંતિનો ભંગ કરવામાં આવ્યો છે. તેણે નક્કી કર્યું કે સત્તાવાળાઓને પાઠ ભણાવવો પડશે.

તેણે તેની કેબિન આસપાસની જગ્યામાં આગ લગાવીને અને જમીનમાં વિસ્ફોટક દાટીને લોકોને ભગાડ્યા હતા. સ્વાભાવિક છે કે સ્થાનિક સત્તાવાળાઓ જવાબ પણ વાળ્યો હશે. તેમાં ટેડને ઔર ચાનક ચઢી અને 1978માં તેણે યુનિવર્સિટી ઓફ ઈલીનોઈસ-શિકાગોના કેમ્પસમાં બ્રાઉન રંગની પેપર-બેગ પાર્સલમાં મોકલી હતી. તેની પર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરનું રિટર્ન એડ્રેસ હતું. પાર્સલ ત્યાં પહોંચ્યું અને ફાટ્યું. એમાં ક્રૂડ બોમ્બ હતો.

તે પછી ટેડ, મોટાભાગે યુનિવર્સિટીઓ અને એરલાઇન્સની ઓફિસોમાં, લગભગ 20 જેટલા લેટર-બોમ્બ મોકલવાનો હતો. 1995માં તે પકડાયો, તે જ વર્ષે તેણે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ નામનાં માતબર અખબારોને 35,000 શબ્દોનો એક લેખ (એને પુસ્તક જ કહેવું જોઈએ) મોકલ્યો હતો. તેનું શીર્ષક હતું; ઔધોગિક સમાજ અને તેનું ભવિષ્ય. તેમાં તેણે આધુનિક જીવનના વિરોધમાં જે વિચારો લખ્યા હતા, તે ટૂંકમાં આ પ્રમાણે છે :

“ઔધોગિક ક્રાંતિ માનવજાત માટે દુર્ઘટના છે. તેણે સમાજને અસ્થિર કરી નાખ્યો છે અને પ્રકૃતિને તબાહ કરી છે. તેનાથી માણસોમાં શારીરિક અને માનસિક પીડા વધી છે. ભવિષ્યમાં આ પીડા વધવાની છે. ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ કાં તો તૂટી પડશે અથવા ટકી જશે. ટકી જશે તો માણસો મશીન બનીને રહી જશે અને જો તૂટી પડશે તો તેનાં પણ ગંભીર પરિણામ આવશે. સિસ્ટમ જેટલી મોટી બનશે, એટલાં પરિણામ ગંભીર હશે. એટલા માટે, સિસ્ટમ મોટી થાય તે પહેલાં જ તૂટી પડવી જોઈએ. તેથી, અમે ઔધોગિક સિસ્ટમ સામે ક્રાંતિ કરવાનું આહ્વાન કરીએ છીએ. એ ક્રાંતિ કદાચ હિંસક હશે અથવા કદાચ હિંસક નહીં હોય. તે અચનાક આવશે અથવા ક્રમશ: આવશે. અમે તેનું કોઈ ભવિષ્ય ભાખી શકતા નથી.”

થિયોડોર કઝિન્સકી આધુનિક શહેરી જીવન જીવીને પરેશાન થઇ ગયો હતો અને શાંતિ મેળવવા માટે જંગલમાં રહેવા જતો રહ્યો હતો. જો કે, આધુનિકતાએ ત્યાં પણ તેનો પીછો છોડ્યો નહોતો. તેનાથી ઔર અશાંત અને અસ્વસ્થ થઈને તેણે આધુનિકતાનાં પ્રતિક સમી યુનિવર્સિટીઓ અને એર લાઈન્સને નિશાન બનાવીને દુનિયાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. તેનો રસ્તો અયોગ્ય હતો અને તેની સજા પણ મળી હતી, પરંતુ તેનો જે તર્ક હતો તે ખોટો નહોતો.

આજે થિયોડોર જેવી જ ચિંતા કરનારા ઘણા વધી ગયા છે કારણ કે તેણે અનુમાન કર્યું હતું તેમ ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ ટકી ગઈ છે એટલું જ નહીં, ઔર મજબૂત થઇ છે. માનવજાતિનો ઇતિહાસ અને ભવિષ્ય લખનારા ઇઝરાયેલી લેખક યુવલ નોઆ હરારી એટલે જ કહે છે, “માણસ સામે પરમાણું યુદ્ધ, પર્યાવરણની તબાહી અને ટેકોનોલોજીનાં ત્રણ સૌથી મોટાં સંકટ છે. બધા દેશો ભેગા મળીને પહેલાં બે સંકટનો તો સામનો કરી રહ્યા છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયો-એન્જીનિયરિંગ આપણી જોબ-માર્કેટ અને મન-મગજને હલાવી દેશે. ટેકનોલોજી માણસના તન-મનને હેક કરી રહી છે. કોમ્પ્યુટર અને એલ્ગોરિધમ્સને આપણા વિશે જેટલી ખબર છે તેટલી આપણને પણ નથી. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો વિકસાવી રહ્યા છીએ, પણ માણસની કોન્સિયસનેસ(ચેતના)ને વિકસાવી શકતા નથી, અને એનાં પરિણામ ગંભીર હશે.”

થિયોડોર કઝિન્સકીએ ક્રૂર રીતે માણસોની એ ચેતનાને જગાડવા પ્રયાસ કર્યો હતો.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ,, “સંદેશ”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાર્ત્ર અને સિમોન : એક અસ્તિત્વવાદી પ્રેમકથા

સોનલ પરીખ|Opinion - Opinion|9 July 2023

એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી …

‘ઈફ યુ આર લોનલી વ્હેન યુ આર અલોન, ધેન યુ આર ઈન બેડ કંપની.’ અને ‘વી મેક અવર ઓન હેલ ઑફ ધ પીપલ અરાઉન્ડ અસ’ જેવા સાદાં પણ ન ભૂલાય તેવાં અર્થગર્ભ વિધાનો આપનાર જ્યૉં પૉલ સાર્ત્રનો જન્મદિન 21 જૂને હતો, એ નિમિત્તે વાત કરવી છે, થોડી એમની અને થોડી એમના અને સિમોન ‘દ બુઆના અજબ પ્રેમની.

વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક અને નિરીશ્વરવાદી અસ્તિત્વવાદના સ્થાપક સાર્ત્રનો જન્મ 1905માં. પિતા ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા અને માતા ચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી ડૉક્ટર શ્વાઇત્ઝરના કાકા હતા. સાર્ત્ર એક વર્ષના હતા અને પિતાનું અવસાન થયું. ત્યાર પછી મા એને લઈને ચાર્લ્સ શ્વાઇત્ઝરને ત્યાં રહેવા ગઈ. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો સાર્ત્રને બાલ્યાવસ્થાથી જ ઘણો લાભ મળ્યો. 

પૅરિસમાં ફિલોસોફી શીખતા ત્યારે તેઓ સિમોન-દ-બૂવાના પરિચયમાં આવ્યા. બંને લગ્નજીવન વગરના મુક્ત પ્રેમ અને મૈત્રીમાં જીવનભર બંધાયેલા રહ્યાં. સિમોન પ્રખર બુદ્ધિશાળી, પ્રતિષ્ઠિત નારીવાદી ચિન્તક અને સર્જક. બંનેએ રશિયા, જર્મની, અમેરિકા, ચીન, જાપાન એમ અનેક દેશોની મુલાકાતો લીધી હતી. કેટલાક દેશોના વડાઓને પણ તેઓ મળ્યાં હતાં.

બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે સાર્ત્રને ફ્રેન્ચ લશ્કરમાં જોડાવું પડ્યું. એક વર્ષ માટે જર્મનીમાં યુદ્ધકેદી રહેવું પડ્યું. મુક્ત થઈને સાર્ત્ર ફ્રાન્સમાં જર્મની સામેના ભૂગર્ભ પ્રતિકારદળોમાં જોડાયા. યુરોપીય સંસ્થાનવાદ, પશ્ચિમી સામ્રાજ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ, મૂડીવાદ, રંગભેદવાદ અને યહૂદીવિરોધી માનસના સાર્ત્ર કટ્ટર અને સક્રિય વિરોધી. સાર્ત્રે એક બાજુ શ્રમિકોનાં હિતોને આગળ કરનાર તરીકે સોવિયેત રશિયાના સામ્યવાદી શાસનનો પક્ષ લીધો હતો, તો બીજી બાજુ હંગેરી અને ચેકોસ્લોવાકિયા ઉપરના રશિયન આક્રમણને વખોડી કાઢ્યું હતું અને અલ્જિરિયાના હિંસક સ્વાતંત્ર્યસંગ્રામને ટેકો આપ્યો હતો. ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્યલડતો અને ક્રાંતિઓને સાર્ત્રનો ટેકો હતો.

1964માં તેમને સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝ ઘોષિત થયું. તેનો અસ્વીકાર કરતાં તેમણે કહ્યું કે પોતે ‘રૂપાંતરિત’ થવા માગતા નથી અને પ્રાઈઝ સ્વીકારીને પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક સંઘર્ષમાં પોતે પશ્ચિમના સાંસ્કૃતિક સંસ્થાનના પક્ષમાં છે એવું બતાવવા ઈચ્છતા નથી. ‘બિઈંગ ઍન્ડ નથિંગનેસ’ અને ‘ક્રિટિક ઑફ ડાયક્ટિકલ રિઝન’ એ તત્ત્વચિંતન અંગેના સાર્ત્રના મુખ્ય ગ્રંથો છે. તેમની બીજી મહત્ત્વની કૃતિઓમાં આત્મકથા ઉપરાંત ચાર નવલકથાઓ, પાંચ ટૂંકી વાર્તાઓ, સાત નાટકો, ત્રણ જીવનવૃત્તાંતો, અનેક નિબંધો અને સમીક્ષાલેખોનો સમાવેશ થાય છે. 1948માં કૅથલિક ચર્ચે સાર્ત્રની કૃતિઓને પ્રતિબંધિત જાહેર કરી હતી. સાર્ત્રની તમામ મહત્ત્વની કૃતિઓ અંગ્રેજી ભાષામાં સુલભ છે.

સાર્ત્રે માર્ક્સવાદ અને અસ્તિત્વવાદનો સમન્વય નવી ભૂમિકાએ કરવાના પ્રયત્નો કર્યા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં માઓવાદ અને અરાજકતાવાદી દૃષ્ટિબિન્દુના પક્ષમાં પણ જણાયા. છે. પહેલાં ફિનૉમિનૉલૉજીથી અને પછી માકર્સવાદથી પ્રભાવિત સાર્ત્રના અસ્તિત્વવાદમાં એકવાક્યતા કે સંગતિ છે કે કેમ તે અંગે ખૂબ વિવાદ થયો છે.

સાર્ત્રની ‘નૉશિયા’ નવલકથાનો મુખ્ય વિચાર એ છે કે માનવીનું કે જગતનું વાસ્તવિક અસ્તિત્વ છે ખરું, પણ તે ‘કન્ટિન્જન્ટ’ છે, એટલે કે જગતનું કે મનુષ્યનું હોવું અનિવાર્ય નથી તેમ જ તેનું ન હોવું પણ અનિવાર્ય નથી. જગત એબ્સર્ડ છે કેમ કે તે મનુષ્યની ‘રેશનાલિટી’ની અપેક્ષા પ્રમાણે ‘ઈન્ટેલેજિબલ’ બનતું નથી. જગત મનુષ્ય-નિરપેક્ષ છે – તેને મનુષ્યની પ્રગતિ, તેના ઇતિહાસ કે નિયતિ સાથે લેવાદેવા નથી. પ્રશ્નો પૂછ્યા કરતો મનુષ્ય સૃષ્ટિના અકળ મૌનથી નિરાશ થાય છે. છતાં તે પોતાના જીવનને માનવીય અર્થ આપી શકે છે. તેને પસંદગીની સ્વતંત્રતા છે, પણ પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની જ છે.

‘ફિલોસોફી નાઉ’ જર્નલના સાર્ત્રની જન્મશતાબ્દી નિમિત્તે પ્રકાશિત થયેલા વિશેષાંકના એક લેખમાં ડૉનહોઈએ જણાવ્યું છે કે ‘સત્તરમી સદીના દ’કાર્ત અને પાસ્કલ, અઢારમી સદીના વૉલ્તેર અને રૂસો અને ઓગણીસમી સદીના હ્યુગો અને ઝોલાની કક્ષામાં સાર્ત્રને મૂકી શકાય એમ છે. સાર્ત્રના ચિંતનનો વ્યાપ મોટો છે. પરંપરાનું પુનરાવર્તન જ કર્યા કરનારા અને સ્થગિત થઈ ગયેલાં સામાજિક મૂલ્યોને પોષ્યા કરનારા સર્જકો-ચિન્તકો કરતાં સાર્ત્ર ઘણા જુદા છે.’

સિમોનનું નામ આધુનિક નારીવાદમાં સૌ પહેલું મૂકવું પસે. ‘ધ સેકન્ડ સેક્સ’માં તેણે દર્શાવ્યું છે કે વિશ્વ પુરુષનું છે, સ્ત્રી પણ પુરુષ સંદર્ભે છે અને એને પુરુષની અપેક્ષા પ્રમાણે ઘડવામાં આવી છે. સ્ત્રીને પોતાના મૂળ અસ્તિત્વથી વિચ્છેદ પામીને અપાયેલી ભૂમિકા પ્રમાણે પ્રયોજાવું પડે છે, જે પીડાદાયક છે. એને માટે સિમોન ‘મ્યુટિલેશન’ શબ્દ વાપરે છે. સાર્ત્ર સાથેના સંબંધમાં સિમોને પોતાને વિચ્છેદનો ભોગ બનવા દીધી નથી. એ જે હતી તે જ રહી. પૂર્ણ સ્વાતંત્ર્ય, બંધનરહિત પ્રેમ, પૂરો આદર અને શાશ્વત વફાદારીનું વિશ્વ સર્જવા બંને અર્ધી સદી સુધી મથ્યાં. વ્યાખ્યામાં ન બંધાય અને સ્થાપિત ધોરણોમાં ન સમાય, જેને એ બંને ‘ઑથેન્ટિક લવ’ કહેતા એવા એમના સંબંધને અસ્તિત્વવાદી પ્રેમકથા – એક્ઝિસ્ટન્શ્યલ લવ સ્ટોરી કહેવાય? 

‘આધુનિક નારીવાદની જનેતા’ ને ‘અસ્તિત્વવાદના જનક’ તરીકે ઓળખાતી પ્રતિભાઓ વચ્ચેનો પ્રેમ એમના સમયથી માંડીને આજ સુધી વિવાદનો વિષય રહ્યો. બંને સાથે ફિલોસોફી ભણતાં. એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. પરણવું, પુરુષે બહારના વિશ્વમાં શિખરો સર કરવાં ને સ્ત્રીએ ઉપેક્ષિતા બની ઘર સંભાળવું એવી પિતૃસત્તાક પરંપરાના બંને એકદમ વિરોધી હતાં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી.

બંને માનતાં કે એમના યુગનો સૌથી મોટો પડકાર ઈશ્વરની અનુપસ્થિતિમાં સર્જાતી મુક્ત સ્વતંત્રતાની પ્રતીતિ કરવી એ છે. સિમોન એના સમયથી ઓછામાં ઓછા 50 વર્ષ આગળ હતી. ઘરગૃહસ્થીના જાણીતા રસ્તે એ ન જ ગઈ. એને બદલે તેણે બૌદ્ધિક પ્રવૃત્તિમાં રત રહેવાનું પસંદ કર્યું. છતાં એ સ્ત્રી હતી. લેખક, ચિંતક અને આધુનિક નારીવાદના પ્રણેતા તરીકેની ખૂબ પ્રભાવક કારકિર્દી ધરાવતી સિમોને લખ્યું છે, ‘મારી સૌથી મોટી સફળતા સાર્ત્ર છે.’

પણ તેઓ સુખી થયાં? એમના સંબંધો સામાજિક અને વ્યાવસાયિક વર્તુળોમાં આંખે ચડી ગયા. બધી બાજુથી જાતજાતનાં દબાણો આવવાં શરૂ થયાં. વિદ્વાનો, પત્રકારોને ચર્ચાનો વિષય મળ્યો. સ્ત્રી તરીકે સિમોન સાથે ખરાબ વર્તન પણ થતું. સિમોન અંદરથી વલોવાતી પણ ખરી. આ સ્થિતિમાં એણે સજાતીય સંબંધો પણ બાંધ્યા.

1960 પછી પ્રગટ થયેલી ડાયરીઓએ આપેલાં ચિત્રો મુજબ સિમોન પોતાના સંબંધોની જટિલતાથી હેરાન તો થઈ જ હતી. તેને પોતાને પણ નેલ્સન એલ્જર્ન સહિત હાઈ-પ્રોફાઈલ સંબંધો હતા. સાર્ત્ર તો વુમનાઈઝર તરીકે જાણીતો હતો જ. પણ બંને અપરાધભાવ અનુભવ્યા વિના અન્ય સાથે પ્રેમમાં પડવા અને એમાંથી નીકળવા સ્વતંત્ર હતાં. એથી એમની કસોટી પણ થતી. એમનો પ્રેમ હંમેશાં માલિકી વગરનો, પ્રેમ ખાતરનો પ્રેમ રહ્યો. તો પણ સાર્ત્ર અને સિમોનના સંબંધોમાંથી આપણને સમજાય છે કે પાત્રો ખૂબ નિકટ હોય, મહાબુદ્ધિશાળી હોય, વિશ્વ આખા પર અસર કરે એવા ક્રાંતિકારી વિચારો ધરાવતા હોય તેથી એમના સંબંધો અને ભાગીદારી સંપૂર્ણ જ બને એવું હોતું નથી.

બંનેની કબર પેરિસના કબ્રસ્તાનમાં જોડાજોડ છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 જૂન 2023

Loading

...102030...1,1091,1101,1111,112...1,1201,1301,140...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved