Opinion Magazine
Number of visits: 9563309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—195

દીપક મહેતા|Opinion - Opinion|6 May 2023

મુંબઈની મિલ્ક સ્ટ્રીટ અને મિન્ટ સ્ટ્રીટ 

મઝગાંવ એટલે માછલીનું ગામ કે વચલું ગામ?

નવરોજી ફરદુનજી સ્ટ્રીટ ક્યાં આવી? 

‘પ્રભુ જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો’ એમ ગાનારા અને ઇચ્છનારા માને અને કહે છે કે આજની દુનિયામાં જે કાંઈ છે તે સૈકાઓ પહેલાં, હજારો વરસ પહેલાં, આ ભવ્ય ભારતમાં હતું જ. એમને મતે પ્રાચીન ભારતમાં દૂધ-દહીંની નદીઓ વહેતી હતી. હવે, આ વાત સાચી છે કે નહિ, એ નક્કી કરવા માટે પ્રાચીન ભારતમાં તો પાછા જઈ શકાય એમ નથી. પણ હા, એક જમાનામાં આ મુંબઈ શહેરમાં તો દૂધની નદી જેવો એક રસ્તો હતો જ. ભાયખળા સ્ટેશન રોડ અને ટેન્ક પખાડી સ્ટ્રીટને જોડતો એક રસ્તો બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે બાંધ્યો. અંગ્રેજો જેમ પોતાના અમલદારોનાં નામ મુંબઈના રસ્તાઓને આપતા એમ સ્થાનિક વિશિષ્ટતાઓ પરથી પણ નામ આપતા. એટલે આ નવા રસ્તાને નામ શું આપવું એની ચર્ચા થઈ. આ નવા રસ્તાની બંને બાજુ ઠેકઠેકાણે ભેંસોના તબેલા હતા, જે મુંબઈને રોજેરોજ તાજ્જું દૂધ પૂરું પાડતા. એટલે પહેલું સૂચન થયું કે આ રસ્તાને ‘બફેલો સ્ટ્રીટ’ એવું નામ આપવું. પણ તરત કેટલાક ‘દેશી’ સભ્યોએ કહ્યું કે આવું નામ તો હાસ્યાસ્પદ બનશે. તો પછી નામ શું આપવું? એટલે કોઈએ કહ્યું કે આ ભેંસોના તબેલા શહેરને દૂધ પૂરું પાડે છે. એટલે આ નવા રસ્તાનું નામ રાખીએ મિલ્ક સ્ટ્રીટ. આ સાંભળી કોઈક ટીખળી સભ્ય બોલ્યો : એના કરતાં વોટર સ્ટ્રીટ નામ રાખો. કારણ અહીંના દૂધમાં દૂધ કરતાં પાણી વધારે હોય છે! ઘણા સભ્યો હસ્યા ખરા, પણ નામ તો પાડ્યું મિલ્ક સ્ટ્રીટ. 

બોમ્બે મિન્ટ

મુંબઈમાં જો મિલ્ક સ્ટ્રીટ હતી, તો મિન્ટ સ્ટ્રીટ પણ હતી. અને આ ‘મિન્ટ’ એટલે ફૂદીનો નહિ હોં! ખણખણતા સિક્કા બનાવનારી ટંકશાળ. ફોર્ટ વિસ્તારમાં રિઝર્વ બેન્કના જૂના મકાનની સામે આવેલું હતું આ મિન્ટનું મકાન. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૮૨૩માં આ ટંકશાળ શરૂ કરવા માટે પરવાનગી આપી. બોમ્બે એન્જિનિયર્સના મેજર જોન હોકિન્સે આ મકાનની ડિઝાઈન તૈયાર કરી અને ૧૮૨૪માં બાંધકામ પણ તેમની જ દેખરેખ નીચે શરૂ થયું. ૧૮૨૯માં મકાન બંધાઈ રહેતાં મિન્ટ શરૂ થઈ હતી. તે વખતે ફોર્ટ સ્ટ્રીટ અને એલ્ફિન્સ્ટન સર્કલને જોડતા રસ્તાને મિન્ટ રોડ નામ અપાયું હતું. મિન્ટ શરૂ થઈ ત્યારે તે બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરના તાબા નીચે હતી. પણ ૧૮૭૬ના મે મહિનાની ૧૮મી તારીખે ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયાએ તેને હસ્તગત કરી લીધી હતી. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૮માં અહીં રોયલ મિન્ટ ઓફ લંડનની શાખા શરૂ કરવામાં આવી, જ્યાં બ્રિટિશ પાઉન્ડના સિક્કા પાડવામાં આવતા. લગભગ ૧૩ લાખ સિક્કા પાડ્યા પછી ૧૯૧૯ના એપ્રિલમાં આ શાખા બંધ થઈ હતી.

૧૮૭૦માં બોમ્બે મિન્ટમાંથી બહાર પડેલો સિક્કો

પણ હવે મકરંદ દવે કહે છે તેમ ‘નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.’ આ મારગ એટલે મઝગાંવ. અસલ સાત ટાપુઓમાંનો એક. એક જમાનામાં ‘અપ માર્કેટ એરિયા.’ ધનવાનોનાં વાડી વજીફા, બંગલા, ફુવારા. અને ચાર અક્ષરના આ નામમાં બે અક્ષર – ગાંવ – તો બિચારા સીધા સાદા છે. ગુજરાતીમાં ગામ, તે મરાઠીમાં ગાંવ. પણ પહેલા બે અક્ષર ‘મઝ’નું શું? માઝાનું મઝ થયું હશે? ના. મોટે ભાગે મચ્છગાંવનું મઝગાંવ થયું. પ્રાગઐતિહાસિક કાળથી આ ટાપુ પર માછીમાર કોળીઓની વસતી. એટલે કદાચ મૂળ નામ મચ્છગાંવ. પોર્ટુગીઝ શાસન દરમ્યાન તેનું નામ હતું માસેગોંઅ. મરાઠીમાં માસે એટલે માછલી. તો બીજા કેટલાક કહે છે કે ના ભાઈ ના. આ જગ્યાને માછલી સાથે લાગતું વળગતું નથી. મૂળ નામ તો હતું મહિષ ગ્રામ, કારણ ત્યાં ઘણી ભેંસો હતી. તો એક મત વળી એવો કે નહિ માછલી, નહિ ભેંસ. આ તો સાવ સીધું  સાદું નામ છે. મરાઠીમાં ‘માજ’ એટલે વચલું. જેમ કે ‘માજઘર’ એટલે ઘરનો વચલો ઓરડો. સાત ટાપુમાં આ વચલો ટાપુ એટલે માજગાંવ, મઝગાંવ. પારસીઓમાં મઝગામવાલા અટક જોવા મળે છે. તેવી જ રીતે કોલાબાવાલા પણ હોય છે. મરાઠી ભાષીઓમાં તો માઝગાંવકર, વાંદરેકર, ગોરેગાંવકર, પાર્લેકર, માહીમકર, જેવી અટકો સામાન્ય ગણાય. પણ હિંદુ ગુજરાતીઓમાં આવી અટક ભાગ્યે જ જોવા મળે.

મઝગાંવ ૧૮૯૭માં

તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના માહિમ સ્ટેશન પાસેના ફાટકથી લેડી જમશેદજી રોડ સુધી જતા રસ્તાનું નામ હતું મોરી રોડ. ના, જી. એ જમાનામાં ઘરોમાં નહાવા-ધોવા માટે બાથરૂમ નહિ પણ ‘મોરી’ રહેતી એટલા માટે આ નામ નહોતું. મરાઠાઓની એક પેટા જાતિ તે મોરી. આ રસ્તા પર ઘણા બધા મોરીઓનાં ઘર આવેલાં હતાં એટલે આ નામ. અને આ મોરીઓ પોતાને મૌર્યોના વંશજ માને. મૌર્યોની એક શાખાનું કોંકણ પર રાજ હતું એ વાત ખરી. એમની રાજધાની હતી ‘પુરી.’ એ નગરી અરબી સમુદ્રની લક્ષ્મી દેવી તરીકે ઓળખાતી. એટલે આ મોરીઓ પાટલીપુત્રના ચંદ્રગુપ્ત મૌર્યના વંશજો. પણ આ પુરી નગરી તે કઈ? કેટલાક કહે છે કે ઘરાપુરી કહેતાં એલિફન્ટા એ જ આ પુરી નગરી. મુંબઈના એક નાના બંદરનું નામ પણ હતું મોરી બંદર. તો બીજા કેટલાકનું કહેવું છે કે ચંદ્રગુપ્ત અને તેના વંશજો તો બૌદ્ધ ધર્મ પાળતા. જ્યારે એલિફન્ટામાં શૈવ થાનક છે. બૌદ્ધ ધર્મ પાળતા વંશની રાજધાની શૈવ કેવી રીતે હોઈ શકે? એસ.એમ. એડવર્ડઝ નામના વિદ્વાન કહે છે કે આ મોરીઓ મૌર્યોના વંશજ હતા એ વાત તો સાચી. જેમ ચૌલુક્યોના વંશજો મહારાષ્ટ્રમાં ‘ચોલકે’ બન્યા તેમ જ આ મોરીઓ. પણ આ કોંકણી મૌર્યોની રાજધાની એલિફન્ટા નહિ, પણ ઠાણા હતી. એક જમાનામાં ઠાણે, નાલા, સોપારા વગેરે બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં મથક હતાં.

અંગ્રેજોએ આપેલાં નામમાંથી ઘણાં આપણે આઝાદી પછી બદલી નાખ્યાં છે. તો કેટલાંક નામ આજ સુધી ટકી રહ્યાં છે. કારણ એ નામ અંગ્રેજોએ આપેલાં ખરાં, પણ કોઈ ને કોઈ ‘દેશી’ આગેવાનની યાદમાં. પણ નામ ટકી ગયું હોવા છતાં એ વ્યક્તિ કોણ હતી, એનો એવો તે શો ફાળો હતો કે એક રસ્તાને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું – આ બધું આજે વિસરાઈ ગયું છે. આવું એક નામ તે નવરોજી ફરદુનજી સ્ટ્રીટ. કોલાબા કોઝવેથી આદમ સ્ટ્રીટના દરિયા કિનારા સુધીના રોડને ૧૮૯૭માં અંગ્રેજોએ આ નામ આપ્યું. આ નવરોજી એ જમાનામાં ‘લોકોના રખેવાળ’ તરીકે ઓળખાતા.

નવરોજી ફરદુનજી

નવરોજીનો જન્મ ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે, ભરૂચમાં. ભરૂચ અને સુરતમાં પ્રાથમિક શિક્ષણ. પછી આવ્યા મુંબઈ. ૧૮૩૦માં નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થતાં પ્રખ્યાત મરાઠી લેખક, પત્રકાર, સુધારક બાળશાસ્ત્રી જામ્ભેકર મદદનીશ પ્રોફેસર નિમાયા અને તેમના શિષ્ય નવરોજી તેમના સહાયક નિમાયા. ૧૮૪૬માં બાળશાસ્ત્રીનું અણધાર્યું અવસાન થયું. તે પછી અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નવરોજીની નિમણૂક થઈ.

આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી અદાલત મુંબઈની સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખાતી. ૧૮૪૫માં નવરોજીની નિમણૂક આ કોર્ટના દુભાષિયા તરીકે થઈ. ૧૮૬૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી નવરોજીએ આ નોકરી કરી. નવરોજીમાં રહેલો સમાજ સુધારક ધ્યાનપાત્ર રીતે બહાર આવ્યો તે તો ૧૮૫૧માં પારસી સમાજમાં સમાજ સુધારો કરવા માટે તેમણે રાહનુમાઈ માઝદીઅશના સભાની સ્થાપના કરી તે પછી. સરકારી નોકરી કરતા હોવા છતાં નવરોજી અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઊઠાવતાં અચકાતા નહોતા. તે વખતના ‘બોમ્બે ટાઈમ્સ’ના તંત્રી ડો. જ્યોર્જ બ્યુસ્ટ પહેલાં તો હિંદીઓ તરફી લખાણો માટે જાણીતા હતા. પણ ૧૮૫૭ના બળવાને કારણે તેઓ હિંદીઓના કટ્ટર વિરોધી બની ગયા. આ ‘બોમ્બે ટાઈમ્સ’ મૂળ તો અંગ્રેજ માલિકીનું હતું. પણ આર્થિક ભંડોળ વધારવાના હેતુથી ૧૮૫૦માં કેટલાક દેશીઓને પણ શેરહોલ્ડર બનાવેલા. નવરોજી તેમાંના એક. તેમની આગેવાની નીચે બધા દેશી શેરહોલ્ડર ભેગા થયા અને તેમણે ડો. બ્યુસ્ટને તંત્રીપદેથી દૂર કર્યા. કેટલાક અંગ્રેજો આથી ભડક્યા. પણ નવરોજીએ જે કાંઈ કર્યું તે કાયદાની મર્યાદામાં રહીને કર્યું હતું એટલે અંગ્રેજોના હાથ હેઠા પડ્યા. તેમાંના કેટલાકે ‘બોમ્બે સ્ટેન્‌ડર્ડ’ નામનું નવું છાપું કાઢી ડો. બ્યુસ્ટને તેના તંત્રી બનાવ્યા. તેવી જ રીતે મુંબઈની સુધરાઈના કારભારમાં ચાલતા ભ્રષ્ટાચારને તેમણે જાહેરમાં ખુલ્લો પાડ્યો. પરિણામે ૧૮૭૨માં સરકારે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરી. ૧૮૭૫માં કરદાતાઓના પ્રતિનિધિ તરીકે નવરોજી ચૂંટાયા. એ જ વરસે તેઓ ટાઉન કાઉન્સિલના પણ સભ્ય બન્યા. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નવરોજીએ ત્રણ વખત ઇન્ગ્લંડની મુસાફરી કરી. ત્યાં જુદી જુદી સરકારી સંસ્થાઓમાં ભાષણો કરી ‘દેશીઓ’ તરફ વધુ ઉદાર વલણ દાખવવા અંગ્રેજોને અપીલ કરી હતી.

ગુજરાતી પત્રકારત્વની અનન્ય સેવા પણ નવરોજીએ કરી. આજે પ્રગટ થતાં ગુજરાતી સામયિકોમાં અમદાવાદનું ‘બુદ્ધિપ્રકાશ’ સૌથી જૂનું. પણ એ આપણી ભાષાનું પહેલું સામયિક નહિ. પહેલું ગુજરાતી સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં નવરોજીએ શરૂ કર્યું અને ૧૮૪૭ સુધી પોતે ચલાવ્યું. તે પછી તેઓ ગુજરાતી વર્તમાનપત્ર ‘જામે જમશેદ’ના તંત્રી બન્યા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું અવસાન થયું. લગભગ આખી જિંદગી લોકોપયોગી કામો કર્યાં હતાં. છતાં ૧૮૮૪માં માનપત્ર આપવા માટે મળેલી સભામાં તેમણે કહેલું : “મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ જો મેં થોડીઘણી સેવા પણ કરેલી હોય તો તેમ કરીને મેં કંઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.”

હવે ક્યારેક કોલાબા વિસ્તારમાં જાવ ત્યારે આ નવરોજી ફરદુનજી સ્ટ્રીટ પર જરૂર લટાર મારજો.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; ૦૬ મે ૨૦૨૩

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૪)

સુમન શાહ|Opinion - Literature|5 May 2023

ભાવયિત્રી પ્રતિભા અને આલોચક –

રાજશેખર મનુષ્ય-વ્યક્તિની પ્રતિભાના બે પ્રકાર દર્શાવે છે : કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા. કારયિત્રી કવિને ઉપકારક નીવડે છે, ભાવયિત્રી ભાવકને. કારયિત્રી પ્રતિભાની સત્તાએ સર્જનનું કાર્ય સમ્પન્ન થાય છે. ભાવયિત્રી પ્રતિભાની સત્તાએ ભાવનનું કાર્ય સમ્પન્ન થાય છે.

એમની દૃષ્ટિએ ભાવક આલોચક છે. એમણે પ્રાચીનોનો મત ટાંકીને કહ્યું છે કે કવિ અને આલોચક જુદા નથી, એટલું જ નહીં, આલોચક પણ કવિ છે. 

આપણા જમાનાની બલ્ગેરિયન-ફ્રૅન્ચ ફિલસૂફ જુલિયા ક્રિસ્તેવા કહે છે કે બધી ભાષાકૃતિઓ એકબીજા સાથે જોડાયેલી છે, ભાષાકૃતિઓની એક જાળ છે. એ જાળ રચાઈ છે, આન્તરપાઠત્વથી – ઇન્ટરટૅક્સ્ચ્યુઆલિટીથી. તાત્પર્ય એ છે કે સર્જન અને વિવેચન વગેરે લેખનો પણ આન્તરપાઠત્વથી જોડાયેલી ભાષાકૃતિઓ જ છે, તેમની વચ્ચે ઉચ્ચાવચ ભેદ ઊભા કરવાનો ખાસ કોઈ સાર નથી.

એટલે, પ્રશ્ન એ છે કે સર્જકનો કે વિવેચકનો કોનો મહિમા કરવો. ઉત્તર સ્પષ્ટ છે, બન્નેનો. કેમ કે, મનુષ્યચિત્તની બન્ને વિશેષતાઓ છે, ફૅકલ્ટીઝ છે.

રાજશેખર કારયિત્રીના ત્રણ પેટા પ્રકાર દર્શાવે છે : સહજા, આહાર્યા, ઔપદેશિકી.

૧ : 

પૂર્વ જન્મના સંસ્કારબળે લાધેલી જન્મજાત પ્રતિભા સહજા છે. એ જન્મજાત છે તેથી આ જન્મના અલ્પ સંસ્કારોથી પણ ઉદ્બુદ્ધ થઈ જાય છે.

૨ :

શાસ્ત્રો અને કાવ્યોના અભ્યાસથી ઉત્પન્ન થયેલી પ્રતિભા આહાર્યા છે. આહાર્યા-પ્રતિભાને અધિક સંસ્કાર અથવા અધિક અભ્યાસની જરૂરત પડે છે. 

૩ : 

મન્ત્ર તન્ત્ર દેવતા ગુરુ આદિના વરદાનથી કે ઉપદેશથી પ્રાપ્ત થયેલી પ્રતિભા ઔપદેશિકી છે. આ પ્રતિભાનો જન્માન્તર સાથે કશો જ સમ્બન્ધ નથી. એને હમેશાં વરદાન અને ઉપદેશોની જરૂરત પડે છે. 

આ ત્રણ કારયિત્રી પ્રતિભાના અનુલક્ષમાં કવિઓના પણ રાજશેખરે ત્રણ પ્રકાર કહ્યા છે : 

૧ : 

સારસ્વત – એની સરસ્વતી જન્માન્તરીય સંસ્કારોથી પ્રવૃત્ત થતી હોય છે. એવો જન સ્વાભાવિકપણે જ બુદ્ધિમાન સારસ્વત કવિ છે. 

૨ :

કવિઓનો બીજો પ્રકાર, આભ્યાસિક છે. એની સરસ્વતી આ જન્મના સંસ્કારોથી ઉન્મેષિત થતી હોય છે. એવો શાસ્ત્રાભ્યાસજન્ય બુદ્ધિવાળો જન આભ્યાસિક કવિ છે. 

૩ :

મન્દબુદ્ધિ હોવા છતાં મન્ત્રોપદેશ કે અનુષ્ઠાન આદિના પ્રતાપે વાણીના વૈભવનું પ્રદર્શન કરનારો જન ઔપદેશિક કવિ છે.

કવિઓમાં તારતમ્ય હોય છે. કહેવાયું છે કે કેટલાક કવિઓની રચનાઓ એમના ઘરની ચાર દીવાલોમાં વિચરણ કરતી રહી જાય છે. કેટલાકની રચનાઓ એમના મિત્રોના ભવન સુધી જ પ્હૉંચતી હોય છે. તો કેટલાકની રચનાઓ સૌના મુખ પર પદન્યાસ કરતી કરતી વિશ્વભ્રમણની ઇચ્છા પૂર્ણ કરે છે. 

કયા વિચારોનો મહિમા કરવો…

Which thoughts to italicized…

Pic courtesy : Fiction University

ગુજરાતી સાહિત્યના આપણા વિવેચકો ઉક્ત પ્રતિભાભેદ અને ઉક્ત તારતમ્ય અનુસાર, આપણા સર્જકોના લેખાંજોખાં માંડે તો ખાસ્સું સ્વચ્છ ચિત્ર જોવા મળે. બાકી, ઍવૉર્ડીઓ અને ઇનામદારોથી મોટા ભાગના વિવેચકોની આંખો અંજાયેલી રહે છે, તેથી કેટલીયે વાર આંધળે બ્હૅરું કુટાય છે. સ્વીકારવું રહ્યું કે સમસામયિક સમીક્ષાદૃષ્ટિ ઠીકઠીક ધૂંધળી છે. 

રાજશેખર દર્શાવે છે કે ભાવયિત્રી પ્રતિભા, ભાવક કે આલોચક માટે ઉપકારક નીવડે છે. આ પ્રતિભા, કવિ માટે પણ ઉપકારક નીવડે છે. ભાવયિત્રી પ્રતિભા ધરાવતો આલોચક કવિની કવિતા-લતાને સ-ફલ બનાવે છે. પ્રાચીન આચાર્યો કહે છે કે કવિ અને આલોચકમાં ભેદ નથી, કેમ કે બન્ને કવિ છે.  

પણ કાલિદાસ કવિત્વ અને ભાવકત્વને ભિન્ન ગણે છે. કવિ શબ્દરચના કરે છે, આલોચક એનું રસાસ્વાદન કરે છે. એમ પણ કહેવાયું છે કે કેટલાક જન વાણીની કવિતા રચવામાં નિપુણ હોય છે, તો કેટલાક જન તેનું શ્રવણ કરવામાં પ્રવીણ હોય છે. 

મહાકવિ ગણાતા જૈન કવિ મંગલ આલોચકોના બે પ્રકાર દર્શાવે છે : અરોચકી અને સતૃણાભ્યવહારી. 

૧ :

અરોચકી આલોચકને સારામાં સારી કૃતિ પણ ઠીક નથી લાગતી. 

૨:

સતૃણાભ્યવહારી આલોચકો સામાન્ય હોય છે, નવાસવા હોય છે અને કુતૂહલને કારણે બધે બધી રચનાઓ વિશે કંઈ ને કંઈ કહી બેસે છે.  

જો કે, વામનના મતે અરોચકી અને સતૃણાભ્યવહારી તો કવિઓ પણ હોય છે ! 

રાજશેખર ભાવક કે આલોચકના ચાર પ્રકાર દર્શાવે છે : અરોચકી અને સતૃણાભ્યવહારી. ઉપરાન્ત, મત્સરી અને તત્ત્વાભિનિવેશી. 

મત્સરી આલોચકો ઈર્ષાને કારણે એક પણ રચનાને પસંદ નથી કરતા, કંઈ ને કંઈ દોષ કાઢે છે. 

પરન્તુ, તત્ત્વના અભિનિવેશી આલોચકો નિષ્પક્ષ અને સચ્ચાઇને વરેલા હોય છે.  

રાજશેખરે અરોચકીના પણ બે પ્રકાર દર્શાવ્યા છે : 

એક છે, સ્વાભાવિકી અરોચકતા. એના પર કેટલાયે સંસ્કાર કરો, નષ્ટ નથી થતી. 

બીજી અરોચકી છે, જ્ઞાનયોનિ. આલોચકની અરોચકતા જો જ્ઞાનજન્ય હોય તો કશીક વિશિષ્ટ રચના પર રોચકતા ઉત્પન્ન થાય છે.

સામ્પ્રતમાં આપણા કેટલા વિવેચકોએ કેટલી સર્જનાત્મક કૃતિઓનું રસાસ્વાદન કર્યું હશે? આપણા કયા વિવેચકો શ્રવણ-પ્રવીણ છે? હિસાબ તો માંડો. નિરાશ થઈ જવાશે. વર્તમાનમાં શોધીએ તો નથી મળતો અરોચકી કે સતૃણાભ્યવહારી, મત્સરી કે તત્ત્વાભિનિવેશી. 

સર્જનના તમામ સંકેતાર્થો મરણપથારીએ છે, છતાં, જ્યાં નજર પડે ત્યાં બસ સર્જકો જ સર્જકો છે ! શું કરવાનું …

= = =

(05 / 05 / 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આલમ આરા : પહેલી બોલતી ફિલ્મનો ખોવાઈ ગયેલો અવાજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 May 2023

રાજ ગોસ્વામી

ભારતની સાંસ્કૃતિક પરંપરામાં ઇતિહાસને સાચવી રાખવાની ખાસ રુચિ કે વૃત્તિ નથી એ આરોપ નવો નથી અને તેના પુરાવા અવારનવાર મળતા રહે છે. દાખલા તરીકે, ગયા વર્ષે એક સમાચાર આવ્યા હતા કે ભારતની પહેલી બોલતી હિન્દી ફિલ્મ સાથે જોડાયેલી એક માત્ર ચીજ સાડી વેચવાની એક દુકાનમાં કાટ ખાતી મળી આવી હતી.

એ ફિલ્મનું નામ ‘આલમ આરા’ (વિશ્વનો પ્રકાશ) છે અને એ ચીજનું નામ છે બેલ એન્ડ હોવેલ ફિલ્મ પ્રિન્ટીંગ મશીન. 1931માં બનેલી આ ફિલ્મની પ્રિન્ટ આ મશીન પરથી કાઢવામાં આવી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી તમામ ચીજો અને તેની પ્રિન્ટ સાવ જ ખોવાઈ ગઈ છે. એના થોડા ઘણા ફોટા અને એક આ મશીન જ બચ્યું છે.

સૌતિક બિશ્વાસ નામના પત્રકારે 2022માં, બી.બી.સી. પર એક અહેવાલ આપ્યો હતો કે ‘આલમ આરા’ના નિર્દેશક અરદેશિર ઈરાની આ મશીન લાવ્યા હતા. મુંબઈમાં ફિલ્મ સ્ટુડીઓ અને લેબોરેટરી ચલાવતા નલિન સંપત નામના એક બિઝનેસમેનના દાદાએ 1962માં 2,500 રૂપિયામાં આ મશીન ખરીદ્યું હતું. 2000ની સાલ સુધી તેઓ આ મશીન પર ફિલ્મ્સ ડિવિઝનની ફિલ્મોની પ્રિન્ટ કાઢતા હતા. એ પછી ડિજિટલ ફિલ્મોની ટેકનોલોજી આવી તે પછી મશીન નવરું થઇ ગયું.

અહેવાલ પ્રમાણે, મુંબઈમાં ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ચલાવતા શિવેન્દ્ર સિંહ ડુંગરપુર નામના ફિલ્મ મેકર અને રીસ્ટોરર છેલ્લા એક દાયકાથી ‘આલમ આરા’ની કોપી શોધતા હતા. ફિલ્મ તો ન મળી પણ અકસ્માતે આ મશીન મુંબઈના દાદર વિસ્તારમાં પેઠણી સાડીઓની દુકાનમાંથી મળી આવ્યું હતું. આ દુકાન અગાઉ સિને ફોટો કેમિકલ વર્કસ તરીકે ઓળખાતી હતી. નલિન સંપત તેના માલિક હતા. તેમના દાદા દ્વારકાદાસ સંપત કોહીનૂર ફિલ્મ કંપનીના સ્થાપક હતા.

મજાની (કે દુઃખની?) વાત એ છે કે અરદેશિર ઈરાની જે વખતે મુંબઈમાં ‘આલમ આરા’ બનાવી રહ્યા હતા ત્યારે તેમનો સ્ટુડીઓ ઈરાની ભાષામાં ‘લોર ગર્લ’ નામની પહેલી બોલતી ફિલ્મ બનાવી રહ્યો હતો. આ ફિલ્મમાં ‘આલમ આરા’ના જ બેકગ્રાઉન્ડ એકટરો અને કપડાં વાપરવામાં આવ્યાં હતાં. ડુંગરપુરે બી.બી.સી.ને કહ્યું હતું કે, “ઈરાનની આર્કાંઇવ્સમાં ‘લોર ગર્લ’ ફિલ્મ સચવાયેલી પડી છે, પણ ભારતમાં ‘આલમ આરા’ ખોવાઈ ગઈ.”

1886માં, પૂણેના પારસી પરિવારમાં જન્મેલા અરદેશિર ઈરાની મોટા થઈને અમેરિકાના યુનિવર્સલ સ્ટુડીઓના પ્રતિનિધિ બન્યા હતા અને મુંબઈમાં એલેકઝાન્ડર સિનેમા ચલાવતા હતા. એમાંથી જ તેમણે ફિલ્મ બનાવવાની કળા-કારીગરી આવડી હતી. 1917માં તેમણે પહેલી મૂંગી ફિલ્મ ‘નળ દમયંતી’ બનાવી હતી. એ અનુભવ પરથી તેમણે 1922 અને 1924માં બે ફિલ્મ કંપનીઓ ભાગીદારીમાં સ્થાપી હતી.

1925માં તેમણે પોતાની સ્વતંત્ર પ્રોડક્શન કંપની ‘ઈમ્પીરિયલ ફિલ્મ્સ’ સ્થાપી હતી. આ કંપની 62 ફિલ્મો બનાવવાની હતી. છ વર્ષ પછી, તેમની આ કંપનીએ સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ બનાવી. ફિલ્મ 14 માર્ચ 1931ના રોજ રિલીઝ થઇ હતી.

તેમાં એક રાજા અને તેની બે ઝઘડાખોર રાણીઓની વાર્તા હતી. એમાં એક ફકીર ભવિષ્યવાણી કરે છે કે એક રાણી રાજાનો વારસદાર પેદા કરશે. ગુસ્સામાં આવેલી બીજી રાણી રાજાના મંત્રીને પ્રેમ કરવા લાગી જાય છે, પણ મંત્રી તેનો ઇનકાર કરે છે એટલે રાણી તેને કારાવાસમાં નાખી દે છે અને તેની પુત્રી આલમ આરાને દેશ નિકાલ કરી દે છે. આલમ આરા મોટી થઈને પછી આવે છે અને રાજકુમારના પ્રેમમાં પડે છે. બંને રાણીનાં કરતુત ઉઘાડાં પાડે છે અને મંત્રીને છોડાવે છે.

મૂળમાં, 1929માં અમેરિકામાં ‘શો બોટ’ નામની એક આંશિક રીતે બોલતી ફિલ્મની વાર્તા પરથી મુંબઈના નાટકકાર જોસેફ ડેવિડે એ જ નામનું એક નાટક બનાવ્યું હતું. તેના પરથી પ્રેરાઈને ઈરાનીએ ‘આલમ આરા’ બનાવી હતી.

ફિલ્મમાં, માસ્ટર વિઠ્ઠલ નામના એક્ટરે રાજકુમારનો, ઝુબેદા નામની એક્ટ્રેસે આલમ આરાનો, પૃથ્વીરાજ કપૂરે મંત્રીનો, બિબ્બોએ આલમ આરાની બહેનપણીનો અને મુહમ્મદ વઝીરે ફકીરની ભૂમિકા કરી હતી. ફિલ્મમાં 7 ગીતો હતાં. એમાંથી બે ગીતો ‘દે દે ખુદા કે નામ પે પ્યારે’ લોકપ્રિય થયું હતું, જે મુહમ્મદ વઝીરે ગાયું હતું.

કહેવાય છે કે પૃથ્વીરાજ કપૂર મુંબઈ આવ્યા પછી અરદેશિર ઈરાનીને મળવા સ્ટુડિયો પર ગયા હતા. ત્યાં તેમણે અફઘાન ગાર્ડ સાથે રાત પસાર કરી હતી. સવારે અરદેશિર ઈરાનીએ જોયા તો તેમને આ ઊંચો-ગોરો પઠાણ ગમી ગયો હતો અને ‘આલમ આરા’માં ભૂમિકા આપી હતી.

તે વખતની સાઉન્ડ ટેક્નોલોજી આજની સરખામણીમાં બાળ-રમત જેવી હતી. તે વખતે રેકોર્ડિગનાં સાધનો ન હતાં, એટલે એક્ટરો સંવાદ બોલતી વખતે તેમના ખિસ્સામાં માઈક્રોફોન મૂકી રાખતા હતા. બીજું, ફિલ્મનું શુટિંગ મુંબઈની મેજેસ્ટીક ટોકીઝમાં કરવામાં આવ્યું હતું. ત્યાં લોકલ ટ્રેનની અવરજવર રહેતી હતી. એ ટ્રેનોનો અવાજ ન આવે તે માટે ફિલ્મને મધરાત પછી 1થી 4 વચ્ચે શૂટ કરવામાં આવી હતી.

ઈરાનીએ એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે મુંબઈ આવેલા એક વિદેશી નિષ્ણાત મી. ડેમિંગ પાસેથી સાઉન્ડ રેકોર્ડિંગની પાયાની તકનીક શીખી હતી. આ ડેમિંગ પ્રોડ્યુસરો પાસેથી એક દિવસના 100 રૂપિયા લઈને સાઉન્ડ રેકોર્ડ કરી આપતા હતા. એ જમાનામાં 100 રૂપિયા મોટી રકમ હતી એટલે ઈરાનીએ કરકસર કરવા માટે જાતે જ ફિલ્મનું રેકોર્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તેની અંગ્રેજી જાહેરખબરમાં એક લાઈન લખવામાં આવી હતી – ઓલ લિવિંગ. બ્રીધિંગ. હન્ડ્રેડ પરસેન્ટ ટોકિંગ. હિન્દીમાં લખવામાં આવ્યું હતું – 78 મુર્દે ઇન્સાન ઝિંદા હો ગયે. ઉનકો બોલતે દેખો. તેનો અર્થ એ હતો કે 78 એક્ટરોએ ‘આલમ આરા’માં તેમનો અવાજ આપ્યો હતો.

બોલતી ફિલ્મની વાત જ નવી હતી એટલે ‘આલમ આરા’ સફળ રહી અને તેનાથી પ્રેરાઈને ઈરાનીએ ઘણી બોલતી ફિલ્મો બનાવી. 1937માં તેમણે ‘કિસાન કન્યા’ નામની પહેલી રંગીન ફિલ્મ બનાવી હતી. ડુંગરપુર કહે છે, “હિન્દી ફિલ્મોમાં બોલતી ફિલ્મોની અસાધારણ શરૂઆત કરનાર આ ફિલ્મની એક પણ નકલ આપણે સાચવી શક્યા નથી તે દુઃખદ વાત છે. તાજમહેલની જેમ તેની જાળવણી થવી જોઈતી હતી.”

સૌતિક બિશ્વાસ પેલા અહેવાલમાં લખે છે કે 1912 અને 1931 વચ્ચે બનેલી 1,138થી વધુ મૂંગી ફિલ્મોનો અત્તોપત્તો નથી. પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આમાંની 29 ફિલ્મો સચવાઈ છે. આપણી એટલી બેદરકારી છે કે આ ફિલ્મોની પ્રિન્ટ્સ અને નેગેટિવ્ઝ દુકાનોમાં, ઘરોમાં, ભોંયતળિયે, વખારોમાં અને થાઈલેન્ડનાં સિનેમા ઘરોમાં રખડતી મળી હતી. ફિલ્મસર્જક મૃણાલ સેન 1980માં એક ફિલ્મનું શુટિંગ કરતા હતા ત્યારે જૂની બંગાળી બોલતી ફિલ્મની પ્રિન્ટ એક જૂનાં મકાનમાંથી મળી આવી હતી.

મુંબઈમાં ફિલ્મ પ્રોપ્સ વેચવાનું કામ કરતા શહીદ હુસેન અન્સારી પાસે ‘આલમ આરા’ની એક બૂકલેટ છે. તેમણે બી.બી.સી.ને કહ્યું હતું, “અમારી પાસે આ 60 વર્ષથી છે. મેં સાંભળ્યું છે કે ફિલ્મની આ એક જ ચીજ બચી છે. આવી ચીજોનું શું મૂલ્ય છે એ કોઈએ ખબર નથી.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 03 મે 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1091,1101,1111,112...1,1201,1301,140...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved