Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 June 2023

રમેશ ઓઝા

એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતમાં અંદાજે ૬૫ ટકા હિંદુઓને હિંદુ બહુમતીવાળું હિંદુરાષ્ટ્ર જોઈતું નથી. કારણો તેમનાં પોતપોતાનાં હશે. બુદ્ધિમાન હિંદુઓને લાગતું હશે કે આ માર્ગે આ જગતમાં કોઈ દેશ બે પાંદડે થયો નથી. જે જે દેશોએ ધર્મ, વંશ, ભાષા આધારિત બહુમતી રાષ્ટ્રવાદનો માર્ગ અપનાવ્યો છે એ બધા ખુવાર થયા છે. આ માર્ગે કોઈ દેશ આબાદ થયો હોય એવું એક ઉદાહરણ બતાવો. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે આમાં અમારી ભાષાકીય, પ્રાદેશિક અને અન્ય અસ્મિતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. જેટલો હું હિંદુ છું એટલો હું તમિલ પણ છું. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે ભારતમાં હિંદુના નામે માત્ર સવર્ણ હિંદુઓને જ ગણતરીમાં લેવામાં આવે છે. હિંદુ સમાજમાં અત્યાર સુધી સવર્ણોએ જ સરસાઈ ભોગવી છે. હિંદુ રાષ્ટ્રમાં તેમની ફરીવાર સરસાઈ સ્થાપશે.

ટૂંકમાં બંધારણમાં જે ભારતીય રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી છે એ ભલે સહિયારું છે, એમાં ભલે બીજાને સ્વીકારવા પડે છે, કહો કે સહન કરવા પડે છે, એમાં ભલે આપણે બહુમતીમાં હોવા છતાં આપણને મોટો ભાગ મળતો નથી; પણ એમાં આપણો જે કોઈ ભાગ છે એ સુનિશ્ચિત છે. બંધારણીય રક્ષણ સાથે અધિકારપૂર્વકનો છે. મુસલમાનને ધકેલવામાં કદાચ આપણે જ ધકેલાઈ જઈએ! કોને ખબર છે. બંધારણીય ભારતીય રાષ્ટ્ર નજર સામે છે, લેખિત છે, આપણે તેનો અનુભવ કર્યો છે; જ્યારે હિંદુ રાષ્ટ્ર તો ભરેલા નારિયેળ જેવું છે. એ કેવું હશે અને એમાં આપણે ક્યાં હશું એના વિષે કોઈ ફોડ પાડવામાં આવતો નથી.

કદાચ કેટલાક હિંદુઓને, ખાસ કરીને યુવા હિંદુઓને અનુભવે હવે એમ પણ સમજાયું હશે કે  હિન્દુત્વવાદી શાસકો પાસે ડરાવવા-રડાવવા-પોરસાવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી. ચોવીસે કલાક હિંદુ-મુસ્લિમ કરીને લોકોને ધૂણાવે છે. આર્થિક બાબતે આ લોકો ગંભીર નથી અને કોઈ સમજ પણ નથી.

આવાં આ ચાર કારણો છે અને ૬૫ ટકા હિંદુઓ આમાંથી કોઈના કોઈ કારણે હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે. ૬૫ ટકા એ કોઈ નાનો આંકડો નથી અને તેમાં કદાચ ટકા બે ટકાનો વધારો થઈ શકે છે, ઘટવાનો તો કોઈ સવાલ જ નથી.

પણ એ ૬૫ ટકા હિંદુઓને એક સૂત્રે કેવી રીતે બાંધવા?

એક સીધો અને સરળ ઉપાય છે વિપક્ષી એકતા. બી.જે.પી.ના ઉમેદવારની સામે વિરોધ પક્ષોનો જો એક જ ઉમેદવાર હોય તો મતોનું વિભાજન ન થાય અને બી.જે.પી.ને હરાવી શકાય. અહીં એક ગૃહિત છે જેના તરફ આપણું ધ્યાન જતું નથી. મતોનું વિભાજન એટલા માટે થાય છે (એમ માનવામાં આવે છે) કે જે તે પક્ષ જે તે અસ્મિતાઓનું કે પછી સમાજવિશેષના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આને કારણે બી.જે.પી. વિરોધી મતદાતા પોતાનાં સમાજવિશેષનાં હિતોનું રક્ષણ કરનારા પક્ષને મત આપે છે અને એ રીતે મતોનું વિભાજન થાય છે. ટૂંકમાં ગૃહિત એવું છે કે મતદાતા વિભાજીત છે અને જે તે પક્ષો વિભાજીત મતદાતાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે પક્ષો વચ્ચે એકતા સધાવી જોઈએ.

આ ગૃહિત સાવ ખોટું છે એમ ન કહી શકાય. કાઁગ્રેસના એકચક્રી શાસનના દિવસોમાં આ ગૃહિત વધારે સાચું હતું અને વધારે પ્રાસંગિક હતું, પરંતુ અત્યારના કોમી ધ્રુવીકરણના યુગમાં એ એટલું સાચું અને એટલું પ્રાસંગિક નથી. ૬૫ ટકા હિંદુઓને સમજાઈ ગયું છે અથવા સમજાઈ રહ્યું છે કે સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે. અને જો આ નથી સમજાયું કે નથી સમજાઈ રહ્યું તો એને સમજાવી શકાય એમ છે.

અહીં રાહુલ ગાંધી અને તેમની કલ્પનાની નૂતન કાઁગ્રેસ પિક્ચરમાં આવે છે. એક તરફ વિરોધ પક્ષો છે જે જૂના ગૃહિત ઉપર ચૂંટણીકીય સમજૂતી કરવા માગે છે અને બીજી તરફ રાહુલ ગાંધી છે જે નવા ગૃહિત પર ભરોસો કરે છે. પટેલ અને ક્ષત્રીય સામસામે લડીને મતવિભાજન ન કરે અને તેમાં તેમનું હિત છે એ જૂનું ગૃહિત છે અને આજે જ્યારે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે ત્યારે ભારતીય હોવાપણામાં અથવા સહિયારાપણામાં પટેલ અને ક્ષત્રીય બન્નેનું હિત છે એ નવું ગૃહિત છે. રાહુલ ગાંધીએ જૂનું ગૃહિત ૨૦૧૯ પછી છોડી દીધું છે અને સહિયારા, સેક્યુલર લોકતાંત્રિક, બંધારણીય ભારતીય રાષ્ટ્રના સ્વીકારમાં જ દેશનું કલ્યાણ છે અને તેમાં દરેક પ્રજાવિશેષનો સમાવેશ થાય છે. આ જ વાત ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજીએ ભારતીય પ્રજાને સમજાવી હતી.

આ માર્ગ કપરો છે, પણ સમય ધીરેધીરે અનુકૂળ થઈ રહ્યો છે. ગુસ્સો આવે અને અકળામણ થાય એવી નિરાશાજનક રાજકીય સ્થિતિમાં પણ ૬૫ ટકા હિંદુ નાગરિકોએ મોરચો સંભાળી રાખ્યો. પ્રચંડ વાવાઝોડામાં ઓથ વિના ઊભા રહ્યા. આ કોઈ નાનીસૂની વાત નથી. બીજું, રાહુલ ગાંધી તૂટ્યા નથી. તેમને તોડવા માટે શું શું નથી કર્યું! લખતાં પણ શરમ આવે એવા નીચ પ્રહારો તેમના ઉપર કરવામાં આવ્યા હતા. કીડી ઉપર કટક ઉતાર્યું અને એ પછી પણ કીડી અડીખમ ઊભી છે. મેદાન છોડ્યું નથી. ત્રીજું તેઓ લાંબી લડત માટે પ્રતિબદ્ધ છે એમ હવે લોકોને પ્રતીતિ થવા લાગી છે. સહિયારા ભારતમાં ભારતની પ્રજાનું સહિયારું કલ્યાણ છે એ વાત લોકો સુધી લઈ જવી હશે તો સંકોચ વિના ડર્યા વિના ખોંખારો ખાઈને એ ભાષામાં જ બોલવું પડશે જે રીતે ગાંધીજી બોલતા હતા. રાહુલ ગાંધીની જેમ ગાંધીજીને બદનામ કરીને તોડવામાં એ લોકોએ ક્યાં કાંઈ બાકી રાખ્યું છે! ૬૫ ટકા વિરુદ્ધ ૩૫ ટકાનું હિંદુ ધ્રુવીકરણ થઈ ચુક્યું છે એટલે હવે હિંદુ નારાજ થશે એવો ડર રાખવાની જરૂર નથી.

જોતા રહો, રાહુલ ગાંધીનું નૂતન રાજકારણ કઈ રીતે ઉઘાડ પામે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—202

દીપક મહેતા|Opinion - Opinion|24 June 2023

પાલવા બંદરની પૂતળાં પરિષદ

છત્રપતિની છાયામાં મળ્યા પાંચ મહાનુભાવ     

સ્થળ : પાલવા બંદર પર છત્રપતિ શિવાજી મહારાજના પૂતળા નજીકનો બગીચો 

દિવસ : ૨૦૧૫ પછીનો કોઈ પણ દિવસ

સમય : મધરાત

સંત્રી : છત્રપતિ શિવાજી મહારાજ યાન્ચા વિજય અસો! 

પંચ પુરુષની પધરામણી :

છત્રપતિ : પધારો, પધારો મારી માતૃભૂમિના સપૂતો, પધારો.

(પાંચે જણ ‘માના ચા મુજરા’ કરીને આસન ગ્રહણ કરે છે.)

છત્રપતિ : આપણી આ માયભૂમિને સ્વતંત્ર કરવા માટે આપ સૌએ અનન્ય ભોગ આપ્યો છે એ હું જાણું છું. પણ આજે આપને મોઢે આપની વાત સાંભળવાની અમારી ઇચ્છા છે.

વાસુદેવ બળવંત ફડકે અને ગોપાળકૃષ્ણ ગોખલે 

વાસુદેવ બળવંત ફડકે : છત્રપતિનો જય હો! ૧૮૮૦ના જાન્યુઆરીની ત્રીજી તારીખની વહેલી સવારે ઠાણેની જેલની કોટડીમાંથી બહાર કાઢી મારા હાથે-પગે બેડીઓ પહેરાવવામાં આવી. મેં બહાર જોયું તો અધિકારીઓ દોડાદોડી કરતા હતા. થોડી વારે જેલનો અડીખમ દરવાજો ખૂલ્યો અને મને બહાર જેલરની ઓફિસમાં લઈ ગયા. અધિકારીઓએ કાગળ-પત્રોની આપ-લે કરી, સહી-સિક્કા કર્યા. જેલના રજિસ્ટરમાં મારી પણ સહી લીધી. પછી એક અધિકારીએ બંધ કવરમાંથી એક કાગળ કાઢીને વાંચ્યો : ‘મિસ્ટર વાસુદેવ બળવંત ફડકે … કન્વિક્ટેડ ફોર લાઈફ … હેન્ડેડ ઓવર ટુ આર્મી પોલિસ ફોર ટ્રાન્સપોર્ટેશન ટુ એડન સેન્ટ્રલ પ્રિઝન.’ અમારો વરઘોડો પહોંચ્યો ઠાણે સ્ટેશન. ત્યાંથી મઝગાંવ બંદર. તેહરાન નામની આગબોટ પર મને ચડાવી દીધો. લંગર ઊપડ્યું. બેડી પહેરેલા હાથ મહામહેનતે મેં જોડ્યા અને બોલ્યો : ‘હે ભારત માતા! હવે ક્યારે ય ફરી આપનાં દર્શન થવાનાં નથી. એક દિવસ મારી માતૃભૂમિ મુક્ત થશે, મને ખાતરી છે. પણ હવે કિનારો દેખાતો બંધ થવાની તૈયારીમાં છે. મા! તુઝે સલામ!

મંત્રી : મહારાજ! એડન ગયા પછી અભેદ્ય કિલ્લા જેવી જેલમાંથી વાસુદેવરાવ ભાગી શક્યા હતા, પણ થોડા વખતમાં પકડાયા અને ફરી એ જ જેલમાં સિતમની ચક્કીમાં પિસાયા. જેલની હોસ્પિટલમાં જ ૧૮૮૩ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે તેમનો દેહાંત થયો.

છત્રપતિ : પણ એમનો ગુનો શો હતો?

મંત્રી : આપખુદ પરદેશી શાસનનો સશસ્ત્ર વિરોધ.

છત્રપતિ : એમાં ગુનો ક્યાં આવ્યો? આપખુદશાહીનો વિરોધ કરવો એ તો દરેક નાગરિકની ફરજ છે.

મંત્રી : હા મહારાજ. પણ પરદેશીઓ એમ નહોતા માનતા. એટલે વાસુદેવરાવનો ભોગ લીધો. પણ આજે ય આ સ્વાતંત્ર્ય સેનાની મુંબઈમાં હાજર છે, સદેહે નહિ તો પૂતળા રૂપે. લોકો જેને ધોબી તળાવ તરીકે ઓળખે છે તેનું નામ પાડ્યું છે પરમ ક્રાંતિવીર વાસુદેવ બળવંત ફડકે ચોક, અને ત્યાં મૂક્યું છે તેમનું પૂતળું.

છત્રપતિ : આપના જેવા સ્વાતંત્ર્યવીરોથી જ આપણો દેશ ઉજળો છે, વાસુદેવરાવ!

મંત્રી : છત્રપતિ! મોટા મોટા અંગ્રેજ અમલદારો પણ જેમનાથી ડરતા એવા આ છે લોકમાન્ય ટિળક.

ટિળક : સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તે મેળવીને જ જંપીશ. હા, મેં આમ કહ્યું હતું, પણ હું જીવ્યો ત્યાં સુધીમાં એ હક્ક મેળવી ન શક્યો. પણ મેં જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને જોયા ત્યારે મને ખાતરી થઈ કે આ માણસ તો મારા દેશને આઝાદી અપાવીને જ જંપશે. હા, અમારી વચ્ચે મતભેદો હતા, પણ મનભેદ નહોતો. અંગ્રેજ સરકારે ત્રણ-ત્રણ વખત મારા પર ‘સેડેશન’નો આરોપ મૂકીને કેસ કર્યા. બે વખત સજા થઈ. એક વખત માંડલેની જેલમાં મોકલ્યો. એ વખતે આંદામાનની જેલ જેટલી જ ખરાબ એ જેલ ગણાતી. આ જેલવાસે મારી તબિયતની વાટ લગાડી. ૧૯૧૭માં નાશિકમાં એક ભાષણમાં મેં કહેલું તેમ હું સ્વભાવે યુવાન છું. હા, મારું શરીર વૃદ્ધ થયું હશે, પણ તેની અંદર એક તરુણ જીવે છે. એટલે હું ભલે ગમે તેટલું જીવું, પણ હું ઘરડો થવાનો નથી. કારણ હું જીવ્યો સ્વતંત્રતા માટે. સ્વતંત્રતાને નથી કોઈ હથિયાર કાપી શકતું, નથી તેને અગ્નિ બાળી શકતો, કે નથી એને પાણી ડૂબાડી શકતું. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા મહેમાન બનીને, પણ પછી આપણા દેશના માલિક બની બેઠા. છત્રપતિ! આપણો દેશ આઝાદ થાય એ દિવસ હું જોઈ ન શક્યો.

મંત્રી : છત્રપતિ! ૧૯૨૦ના ઓગસ્ટની પહેલી તારીખે લોકમાન્ય કાળધર્મ પામ્યા. ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલા સરદાર ગૃહથી છેક ગિરગાંવ ચોપાટી સુધીની સ્મશાનયાત્રામાં બે લાખ લોકો જોડાયા અને મહાત્મા ગાંધી આખે રસ્તે ઉઘાડે પગે ચાલ્યા. અને હા, બ્રિટિશ સરકારે સુધ્ધાં બધા નિયમ નેવે મૂકીને લોકમાન્યના અંતિમ સંસ્કાર ચોપાટી પર કરવાની પરવાનગી આપેલી. પછીથી એ જગ્યાએ લોકમાન્યનું પૂતળું મૂકાયું.

છત્રપતિ : આજેય જીવે છે લોકમાન્ય, કેટલાયે દેશપ્રેમીઓના હૈયામાં.

મંત્રી : છત્રપતિ! આ છે નામદાર ગોપાલ કૃષ્ણ ગોખલે.

ટિળકને બેઠેલા જોઈ ઘડીભર અચકાય છે.

ટિળક : (ઊભા થઈને) પધારો ગોપાળરાવ.

ગોખલે : છત્રપતિ! આ બાળગંગાધર અને હું સાથે હતા, અને છતાં સાથે નહોતા. અમારું ધ્યેય તો એક જ હતું, માભોમની આઝાદી. પણ ત્યાં સુધી પહોંચવાના અમારા રસ્તા જૂદા હતા. અમે બંને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના વિદ્યાર્થી. અમે બંને ગણિતના અધ્યાપક બન્યા. અમે બંનેએ ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં સાથે કામ કર્યું. ૧૮૯૫માં અમે બંને ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના જોડિયા મંત્રી બન્યા. એ વખતે કાઁગ્રેસમાં બે જૂથ હતાં : જહાલ અને મવાળ. ટિળક જહાલ પક્ષના અગ્રણી, હું મવાળ પક્ષનો. પણ ધીમે ધીમે અમારા વચ્ચેના મતભેદ ઊંડા થતા ગયા. ૧૯૦૭માં સુરતમાં કાઁગ્રેસનું અધિવેશન ભરાયું.

ટિળક : છત્રપતિ! ગોપાળરાવ રાસ બિહારી ઘોષને કાઁન્ગ્રેસના પ્રમુખ બનાવવા માગતા હતા. જ્યારે હું અને મારા સાથીઓ લાલા લજપતરાયને એ સ્થાન મળે એ માટે બનતું બધું કરી છૂટવા માગતા હતા. પણ અધિવેશન માટે બાંધેલા મંડપમાં પથ્થરબાજી થઈ, ખુરસીઓ ફેંકાઈ, લાકડીઓ ઊછળી, ભાગદોડમાં કેટલાય પડ્યા-આખડ્યા. એમના બૂટ-ચંપલ મેદાનમાં જ્યાં જુઓ ત્યાં દેખાતા હતા. પણ છત્રપતિ! એક ક્ષણ હું ક્યારે ય ભૂલી શકું નહિ. મારા વિરોધીઓનું ટોળું મને મારવા માટે સ્ટેજ પર ધસી આવતું હતું. એ જોઈને આ ગોપાળરાવ સ્ટેજ પર આવીને મારી ઢાલ બનીને મારી પડખે ઊભા રહ્યા, અને મારો જીવ બચાવ્યો.

ગોખલે : છત્રપતિ! અમે એકબીજાના હરીફ હતા, દુ:શ્મન નહોતા. અને અમારું સપનું તો એક જ હતું. હિન્દુસ્તાનને સુખી, સમૃદ્ધ, અને સ્વતંત્ર જોવાનું.

મંત્રી : છત્રપતિ! મહાત્મા ગાંધી ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી તેઓ ગોખલેએ સ્થાપેલ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાવાનું વિચારતા હતા. પણ ત્યાં તો ૧૯૧૫ના ફેબ્રુઆરીની ૧૯મીએ ગોખલેજીનું નિધન થયું અને ગાંધીજીએ ‘એકલા ચલો રે’ નો મારગ અપનાવ્યો.

ગોખલે : મોહનદાસ ગાંધી સર્જાયા હતા મહાત્મા ગાંધી બનવા માટે. કોઈ સોસાયટીમાં બંધાય તો એ ગાંધી શાના? 

મંત્રી : છત્રપતિ! હવે પધારે છે એક અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી, બંધારણ નિષ્ણાત, સમાજના છેવાડે રહેલા માણસોના નેતા અને ઉધ્ધારક, બાબાસાહેબ આંબેડકર. જેમની અંગત લાઈબ્રેરીમાં પચાસ હજાર કરતાં વધુ પુસ્તકો હોય એવા વિદ્વાન નેતા.

છત્રપતિ : પધારો બાબાસાહેબ!

બાબાસાહેબ આંબેડકર

બાબાસાહેબ : છત્રપતિ! મારી કારકિર્દીની શરૂઆત થઈ મુંબઈમાં. ગવર્નમેન્ટ લો કોલેજનો બે વરસ પ્રિન્સિપાલ રહ્યો. અને મારા ક્ષર દેહનો વિલય થયો તે પણ મુંબઈના વરલીના દરિયા કિનારા નજીક. દેશ-પરદેશમાં ઘણું ભણ્યો, ડિગ્રીઓ મેળવી. દેશના રાજકારણમાં પડ્યો. ચૂંટણીઓ લડ્યો, હાર્યો અને જીત્યો. આઝાદી પછી દેશનું બંધારણ ઘડવામાં નિમિત્ત બન્યો. પણ રાત-દિવસ મને જેમની સતત ચિંતા રહેતી એ તો મારા દલિત બાંધવો અને બહેનોની. પરદેશમાં ભણીગણીને પાછો આવ્યો અને ગાયકવાડી વડોદરાની નોકરીમાં જોડાવાનું આમંત્રણ મળ્યું તે સ્વીકાર્યું. પણ હું દલિત સમાજનો, એટલે ડગલે ને પગલે મારે અપમાન, અન્યાય સહન કરવાં પડ્યાં. પછી મુંબઈની સિડનહામ કૉલેજમાં જોડાયો. તો ત્યાં પાણી પીવા માટે મારો ગ્લાસ અલગ રખાતો હતો, તેને બીજું કોઈ અડતું પણ નહિ. પછી તો પાર્લામેન્ટમાં બેઠો, સેન્ટ્રલ ગવર્ન્મેન્ટનો મિનિસ્ટર થયો. પણ હું સતત વિચારતો હતો કે મારા દલિત બાંધવોને બંધનમુક્ત કઈ રીતે કરવા? ઘણું વાંચ્યા-વિચાર્યા પછી મને જવાબ મળ્યો : હિંદુ ધર્મનો ત્યાગ. આ ધર્મમાં રહીને દલિતો ક્યારે ય હક્ક કે માન-સન્માન નહિ મેળવી શકે એમ મને લાગ્યું. અને મેં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૬ના ઓક્ટોબરની ૧૪મી તારીખ. નાગપુરમાં મેં અને મારી પત્નીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. એ વખતે મારા પાંચ લાખ જેટલા અનુયાયીઓ પણ બૌદ્ધ બન્યા. પછી તો કારવાં આગે બઢતા ગયા. પણ હજી આજે ય મંઝીલ દૂર છે એ હું જાણું છું.

મંત્રી : છત્રપતિ! બાબાસાહેબના અવસાન પછી ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ બહુમાનથી નવાજ્યા હતા. અને મુંબઈમાં મંત્રાલય નજીક તેમનું પૂતળું મૂકાયું છે.

છત્રપતિ : આ ‘મંત્રાલય’ એ વળી શું? ત્યાં મંત્ર-તંત્ર થાય છે?

મંત્રી : ના, જી. જ્યાં મારા જેવા મંત્રીઓનું કાર્યાલય આવેલું છે તે મંત્રાલય. પહેલાં સચિવાલય કહેતાં, તેની પહેલાં સેક્રેટરિયેટ.

છત્રપતિ : ઓહો! તો તો ત્યાં રોજેરોજ લોકોનું ભલું થાય તેવાં કામ થતાં હશે. ખરું ને!

મંત્રી (સવાલનો જવાબ આપવાનું ટાળે છે) : હવે પધારે છે હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે. 

બાળાસાહેબ ઠાકરે

ઠાકરે : સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ, છત્રપતિ! આપના ભગવા ઝંડાને આખા મહારાષ્ટ્રમાં ફરકાવવા માટે મેં મારું જીવન હોડમાં મૂક્યું હતું. પણ તે પહેલાં અમારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે ખાસ્સી લાંબી ચળવળ ચલાવવી પડી હતી. મારા પક્ષનું નામ શિવ સેના, એટલે કે આપની સેના. ધનુષ બાણ એ અમારું નિશાન. મરાઠી માણુસની આન, બાન, શાન, એ અમારું ધ્યેય. મારી કારકિર્દીની શરૂઆત મેં એક છાપામાં કાર્ટુનિસ્ટ તરીકે કરેલી. અને પછી આખી જિંદગી કાર્ટૂન જેવાઓ સામે લડ્યો. 

ફડકે, ટિળક, ગોખલે, આંબેડકર, ઠાકરે : અરે! આપણે બધા પોતપોતાનું સ્થાન છોડીને અહીં છત્રપતિની છાયામાં ભેગા થયા છીએ, પણ મહાત્મા ગાંધી ક્યાં?

મંત્રી : એ તો બેઠા છે જુહુને કિનારે, પલાંઠી વાળીને, મૌન ધારણ કરીને. આંખો બંધ છે એટલે જોતા કશું નથી, પણ જાણે છે બધું જ. ધ્યાનથી સાંભળશો તો  ક્યારેક નિસાસા જેવો શબ્દ સંભળાશે : ‘હે રામ!’

છત્રપતિ : આજની આ વિશેષ પરિષદ સંકેલતાં પહેલાં આપણે સૌ સાથે મળીને ગાઈએ :

જય જય મહારાષ્ટ્ર માઝા, ગર્જા મહારાષ્ટ્ર માઝા.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; ૨૪ જૂન 2023)

Loading

કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી !

રમેશ સવાણી|Opinion - Opinion|24 June 2023

રમેશ સવાણી

વ્હાઈટ હાઉસ ખાતે, અમેરિકાના પ્રમુખની હાજરીમાં 22 જૂન 2023ના રોજ, યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વડામપ્રધાનને Wall Street Journalના પત્રકાર Sabrina Siddiquiએ સવાલ પૂછ્યો કે : “ભારત હંમેશાં ખુદને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર કહે છે. પરંતુ ઘણા માનવ અધિકાર સંગઠનો કહે છે કે આપની સરકારે ધાર્મિક લઘુમતી સાથે ભેદભાવ કર્યો છે. આપ આજે વ્હાઈટ હાઉસમાં ઊભા છો; જ્યાં દુનિયાના કેટલાં ય નેતાઓએ લોકતંત્રની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આપ અને આપની સરકાર લઘુમતીઓની રક્ષા માટે અને અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે શું પગલાં લેશો?”

આ સવાલ સાંભળતી વેળાએ વડા પ્રધાનના ચહેરા પર અકળામણ જોઈ શકાતી હતી. વડા પ્રધાને હિન્દીમાં જવાબ આપ્યો : “મને આશ્ચર્ય છે કે આપ કહો છો કે લોકો કહી રહ્યા છે ! લોકો કહે છે, પરંતુ ભારત લોકતાંત્રિક દેશ છે. ભારતના DNAમાં લોકતંત્ર છે ! લોકતંત્ર અમારી રગોમાં છે, લોકતંત્રને અમે જીવીએ છીએ. અમારા પૂર્વજોએ એને શબ્દોમાં ઢાળ્યું છે અમારા સંવિધાન રૂપે. અમારી સરકાર લોકતંત્રના આધારે બનેલ સંવિધાનના આધારે ચાલે છે. અમે સિદ્ધ કર્યુ છે કે ડેમોક્રસી કેન ડીલિવર ! જ્યારે હું ડીલિવર કહું છું ત્યારે જાતિ, પંથ, ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવની ત્યાં જગ્યા હોતી નથી ! જ્યારે આપ લોકતંત્રની વાત કરો છો તો જો હ્યુમન વેલ્યૂ ન હોય, હ્યુમેનિટી ન હોય, માનવ અધિકાર ન હોય, તો તે લોકતંત્ર જ નથી. અને જો લોકતંત્રને આપ સ્વીકાર કરો છો, લોકતંત્ર માટે જીવો છો તો પક્ષપાતનો કોઈ સવાલ જ નથી ઉઠતો ! માટે ભારત; સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ એ મૂળભૂત સિદ્ધાંતોને લઈને ચાલે છે. ભારત સરકારના જે બેનિફિટ છે, તે સૌને મળે છે, જે હક્કદાર છે. માટે ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી, ન ધર્મના આધાર પર કે ન જાતિના આધાર પર, ન ઉંમરના આધાર પર કે ન ભૂ-ભાગના આધાર પર.”

થોડાં પ્રશ્નો : 

[1] વડા પ્રધાને હંમેશાં વિપક્ષને ઊતારી પાડવા જ પોતાની શક્તિ / સરકારની શક્તિ વાપરી છે; સવાલો ઊઠાવનાર એક્ટિવિસ્ટોને / વિદ્યાર્થી નેતાઓને / પત્રકારોને જેલમાં પૂરાવ્યા છે ! અસહમતિના અવાજને કચડી નાંખવા CBI / ED / ITનો દુરુપયોગ કર્યો છે; તે બધું વડા પ્રધાન ભૂલી ગયા હશે? અવાજ ઉઠાવનારને દેશદ્રોહી / અર્બન નક્સલ / ટુકડે ટુકડે ગેંગનો સિક્કો મારી જેલમાં પૂર્યા છે; શું આ લોકતાંત્રિક મૂલ્ય છે? વડા પ્રધાનની આલોચના કરનારાઓ પાછળ ગંદી ગાળો ભાંડવા ટ્રોલસેનાનો ઉપયોગ શું લોકતાંત્રિક છે?  

[2] ‘ભારત સરકારના જે બેનિફિટ છે, તે સૌને મળે છે’ તે વડા પ્રધાનની કૃપાથી નથી મળતા, પરંતુ બંધારણના અધિકારથી મળે છે ! એટલે જ RSSએ બંધારણ અમલમાં મૂકાયું ત્યારે બંધારણની નકલો જાહેરમાં સળગાવી હતી; તે વડા પ્રધાન ભૂલી ગયા હશે? 

[3] ‘ભારત સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા પ્રયાસ’ એ મૂળભૂત સિદ્ધાંતનો અમલ ભારતમાં થતો હોય તો ન્યૂર્યોર્કના રસ્તાઓ પર વડા પ્રધાનનો વિરોધ કેમ? 75 અમેરિકન સંસદસભ્યોએ વડા પ્રધાનની નીતિઓની આલોચના કેમ કરી? શું ‘સબ કા સાથ-‘નું સૂત્ર ભેદભાવવાળી નીતિના બચાવ માટેનું નથી? નફરતની નીતિને ઢાંકવા માટેનું આ કાગળી-સૂત્ર નથી? 

[4] શું ગોદી મીડિયામાં રોજ હિન્દુ-મુસ્લિમની ડીબેટ થતી નથી? ‘હેટ સ્પીચ’ બાબતે સુપ્રિમકોર્ટે સરકારને નપુંસક કહીને નાક કાપ્યું છે; એ વડા પ્રધાન ભૂલી ગયા હશે? 

[5] ‘જો હ્યુમન વેલ્યૂ ન હોય, હ્યુમેનિટી ન હોય, માનવ અધિકાર ન હોય, તો તે લોકતંત્ર જ નથી.’ આ ઉપદેશ વડાપ્રધાન કોને આપતા હશે? શું આ ઉપદેશ મુજબ વડા પ્રધાનની કરણી છે? વડા પ્રધાને BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો; અને નફરત ફેલાવતી ફિલ્મને ટેક્સ ફ્રી કરી; શું આ લોકતાંત્રિક મૂલ્ય છે? અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવા, BBCની દિલ્હી-મુંબઈ સહિત 20 ઓફિસ પર Income Tax ના દરોડા પડાવ્યા; એ હરકત શું સૂચવે છે? NDTVના પત્રકાર રવિશકુમારની આલોચના સહન થતી ન હતી એટલે અદાણીને કહીને NDTV ચેનલ જ ખરીદી લીધી; શું પ્રધાન મંત્રીના મોંમાં લોકતંત્રની વાત શોભે છે ખરી? 

[6] માનવ અધિકારનું કામ કરતી સંસ્થા Amnesty Internationalની દિલ્હીની કચેરી વડાપ્રધાને બંધ કરાવી દીધી; ક્યા મોઢે માનવ અધિકારની વાત કરતા હશે? 

[7] સુપ્રિમકોર્ટના 4 જસ્ટિસે 12 જાન્યુઆરી 2018ના રાજ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકતંત્ર બચાવવા બૂમો પાડી હતી અને એ રીતે સરકારનું નાક કાપ્યું હતું; તે વડાપ્રધાન ભૂલી ગયા હશે? 

[8] કિસાન આંદોલનમાં 700થી વધુ કિસાનોના જીવ ગયા ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે ‘એ લોકો મારા માટે થોડાં મર્યા છે?’ વડા પ્રધાને કિસાન નેતાઓને ‘આંદોલનજીવી’ કહીને લોકતંત્રની મશ્કરી કરી હતી તે વડા પ્રધાન ભૂલી ગયા હશે? સરકારે, કિસાન આંદોલન વેળાએ ટ્વિટરના CEO જેક ડોર્સીને ટ્વિટર બંધ કરવાની ધમકી આપેલ; તે ધમકી લોકતંત્રની સુરક્ષા માટે આપી હતી? 

[9] મહિલા પહેલવાનો સામે પોલીસનો ઉપયોગ કર્યો અને યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ સિંહને છાવર્યો ! ફેઈક એન્કાઉન્ટનો પર્દાફાશ કરનાર IPS અધિકારી સતિષ વર્માને શા માટે ડિસમિસ કરાવ્યા? 2002ના કોમી તોફાનોમાં ભોગ બનનાર સાથે ઊભા રહેનાર IPS અધિકારી આર. બી. શ્રીકુમારને શા માટે જેલમાં પૂરાવેલ? વડા પ્રધાન ક્યા આધારે કહેતા હશે કે ભેદભાવ થતો નથી? 

[10] ‘ગોલી મારો લાલો કો’ કહેનારને કેબિનેટ મંત્રી બનાવો છો, ત્યારે ‘સબ કા સાથ’નો ઉપદેશ શોભે છે ખરો? હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટે નફરત ફેલાવનાર સામે પગલાં લેવા કહ્યું છતાં પણ ચૂપ રહેનાર વડા પ્રધાન ક્યા મોઢે ‘સબ કા સાથ’ની વાત કરતા હશે?

ભારતના અધિકારીઓએ વ્હાઈટ હાઉસના અધિકારીઓ પર દબાણ કરેલ કે ભારતના વડા પ્રધાન અને અમેરિકન પ્રેસિડેન્ટ લખેલું સંયુક્ત નિવેદન આપશે; પરંતુ વ્હાઈટ હાઉસના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સનો આગ્રહ રાખ્યો, તો રસ્તો એ કાઢવામાં આવ્યો કે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર બે જ પ્રશ્નો પૂછી શકાશે ! આ કેવી પ્રેસ કોન્ફરન્સ કે પ્રશ્નો પૂછવાની પણ ટોચ મર્યાદા ! બીજી બાજુ વડા પ્રધાન લોકતંત્રનો ઉપદેશ આપે છે ! વડા પ્રધાને સવાલ સાંભળતી વેળાએ ઈયરફોનનો ઉપયોગ કર્યો હતો; મતલબ કે સવાલ અંગ્રેજીમાં હોય તેથી તેનું ભાષાંતર થઈ શકે ! 13 વર્ષ CM અને 9 વર્ષ PM રહ્યા છતાં અંગ્રેજીમાં પૂછાયેલ સરળ પ્રશ્ન સમજી શકવાના ફાંફાં છે; પરંતુ ભક્તોને રાહુલ ગાંધી પપ્પૂ લાગે છે ! વડા પ્રધાનનો જવાબ એવો હતો જાણે કોઈ તાલુકાના મામલતદાર જવાબ આપી રહ્યા હોય ! પોતે દેશના વડા પ્રધાન છે, એને છાજે તેવો જવાબ પણ તેઓ આપી શક્યા ન હતા ! ભક્તો કહેતા થાકતા નથી કે ‘વડા પ્રધાને તો વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે !’ પરંતુ વડા પ્રધાનની અમેરિકા યાત્રાએ તો વિશ્વ-ડંકાની હવા જ કાઢી નાખી ! Sabrina Siddiquiએ લોકશાહીની વ્યાખ્યા પૂછી ન હતી; પરંતુ વડા પ્રધાન તો ભળતું જ બોલવા લાગ્યા ! જે બોલ્યા તેમાં શબ્દે-શબ્દે જૂઠ ટપકતું હતું ! મહાન દેશના વડા પ્રધાન દુનિયા સમક્ષ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા !

કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી ! શું આ રીતે વિશ્વમાં ભારતનો ડંકો વાગશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0971,0981,0991,100...1,1101,1201,130...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved