Opinion Magazine
Number of visits: 9458203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કસ્તૂરબાને અપાયેલી અંજલિ અને અવતરણો 

આશા બૂચ|Gandhiana|21 February 2023

તુષારભાઈ ગાંધીએ લખેલી ડાયરીના છેલ્લાં પાનાંઓમાં આ અંજલિઓ વાંચતાં હૃદય દૃવી ઊઠ્યું, લેખકની અનુમતિથી અનુવાદ કર્યો. આમ તો આ કસ્તૂરબા(11 એપ્રિલ 1869 – 22 ફેબ્રુઆરી 1944)ની પણ તિથિએ પ્રકાશિત થાય તેવી ગણતરી.

— આશા બૂચ 

બાના અવસાન બાદ બાપુએ ઘણા પ્રસંગોએ એમના વ્યક્તિત્વની મૂલવણી આંકી અને પોતાના જીવનમાં આપેલા એમના ફાળાની અવારનવાર નોંધ લીધેલી. અન્ય લોકોએ પણ બાના માનમાં અંજલિ આપી હતી. હું તેમાંની કેટલીક અહીં ફરી રજૂ કરું છું.

બાપુ બાને પોતાના અહિંસાના ગુરુ તરીકે સ્વીકાર કરે છે :

જ્યારે હું મારી પત્નીને મારી ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે તેની પાસેથી હું અહિંસાનો પાઠ શીખ્યો. એક તરફ એનો મારી માગણીનો મક્કમ પ્રતિકાર, અને બીજી બાજુ મારી મૂર્ખામીને કારણે વેઠવા પડેલ દરદને શાંતિથી સહન કરવાની તેની શક્તિએ મને મારી જાત માટે શરમનો અનુભવ કરાવ્યો અને હું તેના પર આધિપત્ય જમાવવા જન્મ્યો છું, એવી મૂર્ખામીભરી વિચારધારામાંથી મને બચાવી લીધો અને એ મારી અહિંસાની મોટી ગુરુ બની.

એમ.કે. ગાંધી, ‘હરિજન’  02 ડિસેમ્બર 1938

લોર્ડ અને લેડી વૅવેલના શોક સંદેશનો બાપુનો પ્રત્યુત્તર : 

મારી પત્નીના અવસાન બદલ આપ અને લેડી વેવેલે પાઠવેલ પ્રેમભર્યા દિલાસાના સંદેશ બદલ હું આભાર વ્યક્ત કરું છું. જો કે તેના મૃત્યુને મેં આવકાર્યું, કેમ કે શરીરને ભોગવવી પડતી પીડામાંથી તેને મુક્તિ મળી, પરંતુ મને થવું જોઈએ તેના કરતાં મને વધુ દુઃખ તેને ગુમાવવાનું થયું.

અમે એક અસાધારણ કહેવાય એવાં દંપતી હતાં. 1906માં અનેક પ્રયાસો બાદ અને પરસ્પરની સંમતિથી અમે ઇન્દ્રયો પર સ્વચ્છાએ અંકુશ રાખવાને અમારો જીવન મંત્ર બનાવ્યો. તેને પરિણામે અમે બંને પહેલાં કયારે ય નહોતાં તેટલાં નિકટ આવ્યા તેનો મને ખૂબ આનંદ થયો. અમે બંને બે અલગ વ્યક્તિ મટી ગયાં. મારી ઈચ્છા નહોતી તો પણ તેણે મારામાં સંપૂર્ણપણે ઓગળી જવાનું પસંદ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે તે ખરા અર્થમાં મારી ‘ઉત્તમ અર્ધાંગિની’ બની.

એ બહુ મક્કમ ઈચ્છા શક્તિ ધરાવનાર મહિલા હતી, કે જેને હું મારી નાની વયે તેને જીદ્દીપણું માનવાની ભૂલ કરતો. પણ તેની એ મક્કમ નિર્ણય શક્તિએ તેને અજાણતાં જ મારી અહિંસક રીતે અસહકારની કલાને  વ્યવહારમાં કેમ મુકવી તેની ગુરુ બનવામાં મદદ કરી.

 બાપુની બાને અંજલિ : ‘એ મારાથી ઊંચેરી હતી’ 

બા મારાથી કોઈ પણ અર્થમાં મારી પાછળ નહોતી. ઊલટાનું એ મારાથી ઊંચેરી હતી. હું કદાચ ક્યારેક હતાશાની ખાઈમાં સારી જતો, તો એ મારી પ્રતિજ્ઞાને ખરા અર્થમાં વળગી રહેવા મને જાગૃત રાખતી. તેણે હંમેશ મારી રાજકીય લડતોમાં સાથ આપ્યો અને પોતે એવા જંગમાં કૂદી પડવા ક્યારે ય ખચકાઈ નહીં. તે અશિક્ષિત હતી, પરંતુ મારા મતે એ સાચા શિક્ષણનું દૃષ્ટાંત હતી. એ એક સમર્પિત વૈષ્ણવ હતી. પણ તેણે પોતાના દિમાગમાંથી જ્ઞાતિ પ્રથા વિશેના તમામ ખ્યાલોનું નામનિશાન ભૂંસી નાખ્યું અને એક હરિજન બાળાને પોતાના સંતાનવત પ્રેમ આપ્યો. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ ભજનમાં ગાયા છે એ આદર્શોને તેણે મૂર્તિમંત કરી બતાવ્યા. ક્યારેક એવા સંયોગો ઊભા થયા કે હું મૃત્યુ સાથે સંઘર્ષ ખેલી રહ્યો હતો. મારા આગાખાન મહેલમાં કરેલા અનશન વખતે હું મોતના મુખમાંથી પાછો આવેલો. પણ તેની આંખમાં આંસુનું ટીપું પણ નહોતું, ક્યારે ય આશા કે હિંમત ન ગુમાવ્યા અને ઈશ્વરને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરતી રહી.

બાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બાપુની અંજલિ : 

બાની વિદાયની તારીખ હતી 22ની ફેબ્રુઆરી 1944. આ ઘટના 1947માં જ્યારે બાપુ રમખાણોથી ગ્રસ્ત નોઆખલી અને ટીપેરા વિસ્તારમાં શાંતિ યાત્રા માટે ઘૂમી રહ્યા હતા ત્યારની છે.

19 ફેબ્રુઆરી મહાશિવરાત્રી હતી, શિવની પૂજાનો તહેવાર. તે દિવસે બાપુ બીરામપુરમાં હતા, અને તેમને માટે એ દિવસ દરદભરી યાદો લાવનાર હતો. ત્રણ વર્ષ પહેલાં એ દિવસે તેમણે પોતાના સહધર્મચારિણી કસ્તૂરને આગાખાન મહેલની કેદમાં ગુમાવ્યાં હતાં. ત્યારથી તેઓ દર પુણ્ય તિથિએ અનશન અને પ્રાર્થના કરતા. બહારથી એ કોઈ પણ એક સામાન્ય દિવસ જેવો જ દિવસ ભાસતો, જે પ્રાતઃકાળ ચાર વાગે શરૂ થતો અને અવિરત પણે કાર્યો ચાલતાં. તેમના મનથી તેનું કેવું અત્યંત વ્યક્તિગત મહત્ત્વ હતું તેની સાબિતિ તેમની ડાયરીમાં એક અછડતા ઉલ્લેખમા મળી આવે છે : “આજના દિવસે અને બરાબર આ જ સમયે (સાંજના 7.35 વાગે) બાએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.”

સાંજે 7.35 વાગે બાપુને કાંતેલા સૂતરની આંટી પહેરાવેલા બાના ફોટા પાસે નાનો દીપ પ્રગટાવેલો તેની આસપાસ કેટલાક લોકો એકઠા મળ્યા. એ સૂતરની ફરી આંટી બનાવીને વણવા માટે મોકલી આપવામાં આવતું; એક પણ વસ્તુનો વ્યય ન થતો. ભગવદ્દ ગીતાના પ્રથમ છ અધ્યયનના પઠન સમયે બાપુ બેઠા રહ્યા, અને પછી થાક વર્તાવાને કારણે આડા પડ્યા. બાદમાં તેઓએ ઉલ્લેખ કરેલો કે જ્યારે તેઓ બાકીના ગીતા પાઠને સાંભળતા સૂઈ ગયા હતા ત્યારે તેઓને પોતાની પ્રિય પત્ની સાથે એકત્વ સધાયાનો ભાસ થયો. તેમને બાની હાજરીનો અનુભવ થયો. તેઓ વધુમાં લખે છે, “ગીતાના અધ્યયન દરમ્યાન ત્રણ વર્ષ પહેલાં બાની અંતિમ ક્ષણોનું દૃશ્ય મારા અંતઃચક્ષુ સામે તદ્દન તાદૃશ થઇ ગયું. મને એવો ભાસ થયો કે તેનું માથું ખરેખર મારી છાતી ઉપર ટેકવેલું હતું. ગીતાના છ અધ્યાય સાંભળ્યા બાદ જ્યારે મેં આરામ કરવા આંખ મીંચી ત્યારે આ અનુભવ થયો.” તેમણે વેદના સાથે અભિપ્રાય આપ્યો કે “માટે કબૂલ કરવું જોઈએ કે તેના (કસ્તૂરબા) વિના હું અહિંસા અને સ્વ શિસ્તના મારા પ્રયાસોમાં સફળ ન થયો હોત. તે મને બીજા કોઈના કરતાં વધુ સારી રીતે સમજી શકતી. તેની વફાદારીનો કોઈ જોટો નહોતો. મને તેના અંતિમ દિવસ સુધી ખ્યાલ નહોતો કે કોના ખોળામાં તેની આંખ મીંચાશે. પણ અંત સમય નજીક આવ્યો તે પહેલાં તેણે મને પાસે બોલાવ્યો અને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા. એવી હતી બા. આપણે તેનો શ્રાદ્ધ દિવસ તેના ગુણોનું સ્મરણ કરીને અને બને તેટલાને આપણા વર્તનમાં ઊતારીને પાળી શકીએ. મેં આવી કપટ રહિત શ્રદ્ધા, નિઃસ્વાર્થ એકનિષ્ઠા અને સેવા ભાવના જેવી તેનામાં હતી તેવી અન્ય કોઈનામાં હોય તે નથી જાણ્યું. અમારા વિવાહ થયા ત્યારથી એ હંમેશ મારા જીવનના હરેક સંઘર્ષમાં અડગ સત્યનિષ્ઠા સાથે મારી પડખે ઊભી રહી અને મારા જીવનના ધ્યેયને સિદ્ધ કરવા તન અને આત્માની તમામ શક્તિ સાથે પોતાની જાતને સમર્પિત કરી દીધી – એવી એની રીત કે જેની કોઈ તુલના ન થઇ શકે.”

(આ ચાર અંજલિઓ બાપુએ આપેલી, જે કેટલાક લોકોના વાંચવામાં આવી હશે, પરંતુ તેનું પુનઃપઠન બાપુના માનવીય પાસાને ઉદ્ઘાટિત કરે છે અને તેમની અત્યંત અંગત ભાવનાઓ આપણા હૃદયને ભીંઝવી જાય છે. હવે બીજી અંજલિ સુભાષચંદ્ર બોઝે આપેલી તે પ્રસ્તુત છે. આજે મહાત્મા ગાંધી અને તેમના સાથીદારો સાથેના તેમના સંબંધો વિષે ઘણો કીચડ ઉછાળવામાં આવે છે, જે એમ કરનારના અજ્ઞાન અને સ્વાર્થપટુતાનું પરિણામ છે. આ અંજલિથી સુભાષબાબુ અને ગાંધીજી-કસ્તૂરબા વચ્ચેના અમાપ આદર અને સન્માનનું દ્યોતક સાબિત થાય છે.)

નેતાજી સુભાષચંદ્ર બોઝની બાને અંજલિ : 

“ભારતીની પ્રજાની માતાને અંજલિ”

શ્રીમતી કસ્તૂરબા ગાંધીનું નિધન થયું. તેઓ પૂનામાં બ્રિટિશ રાજની કેદમાં 74 વર્ષની વયે અવસાન પામ્યાં. દેશમાં અને વિદેશમાં રહેતા મારા 38,80,00,000 દેશવાસીઓ સાથે હું કસ્તૂરબાના મૃત્યુ માટે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરું છું. તેઓ ખૂબ કરુણ સંયોગોમાં મૃત્યુને વર્યાં, પરંતુ એક ગુલામ દેશના પ્રજાજન માટે આથી વધુ સન્માનનીય અને ગૌરવશાળી મોત ન હોઈ શકે. ભારતને અંગત ખોટ પડી છે. દોઢ વર્ષ પહેલાં પૂનાની કેદમાં પુરાયા બાદ કસ્તૂરબા ગાંધીનું અવસાન એ તેમની સાક્ષીમાં બીજા કેદીનું અવસાન થયું છે. પહેલું મૃત્યુ તે એમના આજીવન કાર્યકર અને અંગત મંત્રી મહાદેવ દેસાઈનું. વર્તમાન કારાવાસ દરમ્યાન ગાંધીજીએ આ બીજી અંગત ખોટ સહન કરી છે.

હું મારા તરફથી એ મહાન મહિલા, કે જે ભારતની પ્રજાની રાષ્ટ્ર માતા હતી, તેને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું, અને ગાંધીજીને આ શોકના સમયમાં અંતરની દિલસોજી પાઠવું છું. મને અવારનવાર શ્રીમતી કસ્તૂરબા ગાંધીના અંગત પરિચયમાં આવવાનો મોકો મળેલો, અને હું થોડા શબ્દોમાં તેમને માટેની અંજલિ આપીશ. તેઓ એક આદર્શ ભારતીય નારી હતાં – સશક્ત, ધૈર્યવાન, શાંત અને સ્વનિર્ભર.

સુભાષબાબુ, કનુ ગાંધી, કસ્તૂરબા તેમ જ કહાનદાસ; સેવાગ્રામ આશ્રમ

પોતાની માતૃભૂમિ માટેના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન ભારતની લાખો કન્યાઓ વચ્ચે ફરીને કામ કર્યું તેથી તેઓ તેમને માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યાં. દક્ષિણ આફ્રિકાના વસવાટથી શરૂ કરીને લગભગ ત્રીસેક વર્ષ સુધી તેઓએ પોતાના મહાન પતિની સાથે અનેક કસોટીઓ અને યાતનાઓ સહી છે. તેમની ઘણી જેલયાત્રાઓએ તેમનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી, પરંતુ જેલવાસનો તેમની 74 વર્ષની આયુમાં પણ ડર નહોતો લાગતો. જ્યારે પણ મહાત્મા ગાંધીએ નાગરિક અસહકારની ચળવળનું એલાન કર્યું, ત્યારે કસ્તૂરબા એ લડતની આગેવાનીમાં તેમની સાથે જ સામેલ રહેતાં, ભારતની કન્યાઓ માટે એક અભૂતપૂર્વ દૃષ્ટાંત અને પુત્રો માટે પોતાની બહેનોને ભારતના આઝાદી સંગ્રામમાં પાછળ ન રાખવા માટેનો પડકાર પૂરો પાડ્યો.

કસ્તૂરબા એક શહિદના મૃત્યુને વર્યાં. તેઓ ચાર મહિનાથી હૃદયના રોગથી અસરગ્રસ્ત હતાં. પરંતુ એ નિર્દય બ્રિટિશ સરકારે સમસ્ત રાષ્ટ્રની સ્વાસ્થ્યના મુદ્દાને મધ્ય નજર રાખીને કસ્તૂરબાને માનવતાના પાયા ઉપર મુક્ત કરવાની વિનવણીને અનસૂની કરી. બ્રિટિશરોને એવી ધારણા હતી કે ગાંધીજીને આવી માનસિક યાતનાઓ આપશે તો તેઓ શરીર અને મનથી ભાંગી પડશે અને શરણાગતિ સ્વીકારવા મજબૂર થશે. હું એ ક્રૂર લોકો, કે જેઓ એક બાજુ સ્વતંત્રતા, ન્યાય અને નૈતિક કારણોસર લડવાનું આહ્વાન આપે છે, અને બીજી બાજુ ઠંડે કલેજે આવી હત્યા કરે છે તેને માટે માત્ર મારો તિરસ્કાર વ્યક્ત કરી શકું. એ લોકો મહાત્મા ગાંધીને સમજી નથી શક્યા. તેઓ ભારતની પ્રજાને નથી સમજી શક્યા.

બ્રિટિશ સરકાર ગમે તેટલો માનસિક ત્રાસ અને શારીરિક યાતનાઓ ગાંધીજી અને ભારતની પ્રજા ઉપર ગુજારે તો પણ તેઓએ લીધેલાં પગલાંમાંથી તેઓ એક તસુ પણ પાછા નહીં હઠે. યુદ્ધની ભયાનક્તામાંથી ઉગારવા ગાંધીજીએ બ્રિટિશ સરકારને ભારત છોડવાની હાકલ કરી. બ્રિટિશ સલ્તનતે અપમાનકારક ઉત્તર આપી તેમને એક સામાન્ય ગુનેગારની માફક કેદમાં પૂર્યા. એ અને એમનાં ઉમદા ધર્મપત્ની ગુલામ દેશમાં ફરી મુક્ત થાય તેના કરતાં એ જેલમાં મૃત્યુ પામે એવી એની નેમ.

બ્રિટિશ સરકાર કસ્તૂરબા હૃદયની બીમારીથી તેના પતિના સાનિધ્યમાં કેદમાં મૃત્યુ પામે એ માટે દૃઢનિશ્ચયી હતી. એ લોકોએ પોતાની એ ગુનાહિત ઈચ્છાઓ પૂરી કરી, અને એ એક પ્રકારના ખૂનના કૃત્ય કરતાં જરા પણ ઓછું નથી. પરંતુ દેશમાં વસતા અને વિદેશમાં રહેતા ભારતીયો માટે આ ઘટના યાદ અપાવે છે કે બ્રિટિશરો આપણા નેતાઓનો એક પછી એક નિર્દયી રીતે નિકાલ કરવા કટિબદ્ધ છે.

જ્યાં સુધી બ્રિટિશ સત્તા ભારતમાં રહેશે ત્યાં સુધી આપણા દેશ વિરુદ્ધ આવા ભયંકર દુષ્ટ કૃત્યો  વિના રોકટોક ઘટયા જ કરશે. શ્રીમતી કસ્તૂરબા ગાંધીના મૃત્યુનો બદલો ભારતના પુત્ર અને પુત્રીઓ એક જ રીતે લઇ શકે, અને એ છે બ્રિટિશ સામ્રાજ્યનો ભારતમાં સદંતર નાશ. પૂર્વ એશિયામાં બ્રિટિશ શાસકો વિરુદ્ધ જે સૈનિકોએ સશસ્ત્ર સંગ્રામ આદર્યો છે તેમના ખભ્ભા પર આ ખાસ જવબદારી છે. અહીં રહેતી મહિલાઓની પણ આ જવબદારીમાં ભાગીદારી છે. આપણી આ દુઃખદ પળોમાં આપણે જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા બ્રિટિશરને ભારતમાંથી હદપાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણી સશસ્ત્ર લડાઈ ચાલુ જ રહેશે એ પ્રતિજ્ઞા ફરીથી લઈશું.

(તુષારભાઈ ગાંધી લિખિત ‘The Lost diary of Kastur – my Baa પુસ્તકના અંત પૃષ્ઠોમાં આ અંજલિઓ મુકાઈ છે, જે એમની અનુમતિ સાથે ‘ઓપિનિયન’ના વાચકો માટે સાદર પ્રસ્તુત)

e.mail : 71abuch@gmail.com

Loading

વિશ્વની માતૃભાષા તો મૌન જ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat|20 February 2023

રવીન્દ્ર પારેખ

આવતી કાલે માતૃભાષા દિવસ છે. જ્યારથી વિશ્વ, દિવસો ઉજવતું થયું છે, કેલેન્ડર નાનું પડવા માંડ્યું છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ જ ‘વર્ષ નાનું ને દિવસ ઝાઝા’ થઈ ગયા છે. રોજના તહેવારોથી વર્ષ ફાટ ફાટ થવા લાગ્યું છે. એમાં થોડા દિવસો ભૂલી જવાય તો વર્ષ થોડું સાંકડું થાય, પણ તે કોઈ ભૂલવા દે એમ નથી. ફેબ્રુઆરી બેસે ત્યારથી જ વેલેન્ટાઇન્સ ઊઠવા માંડે છે. ગણપતિ ચોથ તો હવે ગોકુળ અષ્ટમીથી જ ગાજવા માંડે છે. નવરાત્રિની પ્રેક્ટિસ પણ હવે મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. વૉટ્સએપ પર રેડ એલર્ટ્સની જેમ જ ચેતવણીઓ આવતી રહે છે – આજે રોઝ ડે છે, ફ્રેંડશિપ ડે છે, હિન્દી દિવસ છે, માતૃભાષા દિવસ છે … વગેરે.

એમ તો માતૃભાષા દિવસની ઉજવણીનાં અનેક આયોજનો થાય છે ને કોઈએ સ્વિચ ઓફ કરી હોય તેમ બીજે જ દિવસે તેનું નાહી પણ નંખાય છે. એવું બધા જ ‘ડે’ માટે થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે થાય છે તે એટલું યાંત્રિક અને નિર્જીવ છે કે ઘણી વાર તો આ દિવસો રોબોટ્સ ઉજવતા હોય એવું લાગે. ક્યાંક ખરેખર જીવંતતાનો અનુભવ થતો ય હશે, પણ મોટે ભાગે તો આપણે કેટલાક દિવસો ટેવ વશ, ‘ઊજવી’ કાઢીએ છીએ. આપણાં મોટે ભાગનાં ઉજવણાં જીવ વગરનાં છે. કેટલાકમાં તો નર્યો દેખાડો જ છે. ઘણી વાર તો વહેમ પડે છે કે દિવસો સેલ્ફી માટે છે કે સેલ્ફી દિવસો માટે છે? મોબાઈલે એક આખી ફોરવર્ડિયા સંસ્કૃતિ ઊભી કરી છે જે કૈં પણ જાણ્યા મૂક્યા વગર બધું ફોરવર્ડ કરીને ખુશ થયા કરે છે.

આવું બધું માતૃભાષા દિવસે પણ થાય છે. 17 નવેમ્બર, 1999ને રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવાની યુનેસ્કોએ જાહેરાત કરી અને 2000ની સાલથી દર 21મી ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવાય છે. વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાતી હશે ને ભારતની વાત કરીએ તો ભારતમાં જ 427 ભાષા-બોલી બોલાય છે. વિશ્વની સૌથી વધારે માતૃભાષા ધરાવતી 30 ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન 23મું છે. આ વખતે પણ માતૃભાષાનું મહત્ત્વ સમજાવતા અનેક કાર્યક્રમો થશે, વક્તવ્યો, વંદનાઓ થશે, સ્પર્ધાઓ, સન્માનો થશે ને રાત સુધીમાં તો માતૃભાષાનો વીટો વળી જશે. એમાં ગુજરાત મોખરે હશે. માતૃભાષાનું સૌથી વધારે નાટક વિશ્વમાં ગુજરાતમાં થતું હોય તો નવાઈ નહીં ! આમ કહેવાનું ગમતું નથી, પણ હકીકત એ છે કે ગુજરાતમાં માતૃભાષાનું થાય છે એવું અપમાન બીજે નહીં થતું હોય. માતૃભાષાનું એટલું જ લાગતું હોય તો પુછાય ખરું કે સરકારે ગુજરાતી માધ્યમની શાળાઓ કઇ ખુશીમાં બંધ કરી છે? વિદ્યાર્થીઓ નથી મળતા એટલે ગુજરાતી સ્કૂલો બંધ કરવી પડે છે – એવું બહાનું આગળ કરાય છે, તો પ્રશ્ન એ થાય કે ગુજરાતમાં હવે અંગ્રેજો જ પેદા થાય છે? આ સુધારો અંગ્રેજો ગયા પછી આવવાનું શું કારણ છે? એ સમયમાં માત્ર અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલી શક્યા હોત, અંગ્રેજો, કારણ એમનું શાસન હતું, પણ એવું ન થયું ને અંગ્રેજોએ ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરી. કમાલ એ છે કે અંગ્રેજ સરકારે ગુજરાતી સ્કૂલો ચાલુ કરી ને ગુજરાત સરકારે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરીને અંગ્રેજી માધ્યમની સ્કૂલોને ઉત્તેજન આપ્યું. કેમ, ગુજરાતની માતૃભાષા અંગ્રેજી છે?

એ સાચું કે ટેકનિકલ એજ્યુકેશન કે એન્જિનિયરિંગ કે મેડિકલ શિક્ષણમાં લોકોનો રસ વધ્યો ને કેટલુંક અંગ્રેજીમાં જ શક્ય હતું એટલે અંગ્રેજી તરફનો ઝોક વધે તે સમજી શકાય, તેટલા પૂરતું અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારવાનો પણ વાંધો ન હોય. જો કે, બધાં જ કૈં ડોક્ટર્સ કે એન્જિનિયર્સ થવાના ન હતા. ગુજરાતને બધા વિષયોનું સ્કૂલનું શિક્ષણ તો ગુજરાતીમાં જ અપાતું હતું ને કોલેજોમાં તો આમ પણ અંગ્રેજીમાં જ મોટે ભાગના વિષયો ભણાવાતા હતા, ત્યારે પણ વૈજ્ઞાનિકો, ડોકટરો, એન્જિનિયરો પેદા થયા જ, તો છેલ્લાં થોડાં વર્ષોમાં એવું શું થયું કે કે.જી., નર્સરીથી જ અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધવા માંડી? પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં જ અપાય એવું જગત આખું પોકારી પોકારીને કહે છે તે આપણી પ્રજાને કે સરકારને કેમ સમજાતું નહીં હોય? ક્યાં ય માતૃભાષાને ભોગે અંગ્રેજીનો મહિમા નથી થતો, એ ગુજરાતમાં જ થાય છે ને કદાચ સૌથી વધુ થાય છે.

આમ થાય છે એમાં ભાષા કરતાં પણ ખાનગી સ્કૂલ, કોલેજો વધુ કારણભૂત છે. સરકારની એ જવાબદારી હતી ને છે કે પ્રાથમિક શિક્ષણ તે વિના મૂલ્યે આપે. એનો ખર્ચ સરકારને માથે હતો ને કોઈ પણ સરકાર ઈચ્છે કે તેનો બોજ ઘટે. એ તો જ ઘટે, જો ગ્રાન્ટેડ સ્કૂલો ઘટે. હવે એવું તો હતું નહીં કે વિદ્યાર્થીઓ ઘટી ગયા તેથી સ્કૂલો બંધ કરવી પડે, કારણ વસ્તી તો વધતી જ હતી, તેથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો તો હતો જ. આવામાં કોઈ ફળદ્રૂપ ભેજાને થયું હશે કે ગ્રાન્ટ વગર સ્કૂલો ચાલુ થાય તો ધારેલી ફી વાલીઓ પાસેથી વસૂલી શકાય. વેલ, ખાનગીમાં પણ એકડિયું, બગડિયું જ કરાવવાનું હોય તો વાલીઓ કૈં બહુ ફી આપીને ઊંધા ના વળે. એનો તોડ એવો કઢાયો કે અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો શરૂ થાય તો મોંઘી ફી આપીને પણ વાલીઓ તેમનાં સંતાનોને અંગ્રેજીમાં ગોટપીટ કરતાં જોઈ શકે. કેટલાક વાલીઓ તો ગુજરાતીમાં ય ખાસ ભણ્યા ન હતા, પણ તેમની ઈચ્છાની પૂર્તિ સંતાનોમાં થતી હોય તો થોડું વધારે ખર્ચાવા તે તૈયાર હતા. અંગ્રેજો હતા ત્યારે ન હતું, એટલું અંગ્રેજીનું આકર્ષણ વાલીઓને પછી વધ્યું. તેમને સંતાન અંગ્રેજીમાં બોલતું થાય તેનું ભારે આકર્ષણ હતું. ઘરમાં કોઈ આવતું તો છોકરાં પાસે ‘એ-ફોર એપલ’ કે ‘જેક એન્ડ જિલ …’ સફળતાપૂર્વક બોલાવવામાં વાલીઓને જન્મારો સાર્થક થયાનું લાગતું. એમને તો ગુજરાતી પણ કોઈ અંગ્રેજીમાં ભણાવે તો બેડો પાર થઈ જાય એવું હતું, તે ત્યાં સુધી કે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં નર્સરીની ટીચર બાળકને ગુજરાતીમાં સમજાવતી તો અશિક્ષિત વાલીને વાંધો પડતો કે ટીચર અંગ્રેજીમાં સૂચના આપવાને બદલે ગુજરાતીમાં આપે છે. અંગ્રેજી મીડિયમમાં બાળક ભણતું હોય તો ગુજરાતીમાં કોઈ વાત કરી જ કેમ શકે? પણ હકીકત એ હતી કે બાળક ‘એ- ફોર એપલ’ હજી તો શરૂ જ કરતું હોય ત્યાં ટીચર અંગ્રેજીમાં સૂચના આપે તો તે સમજી કઇ રીતે શકે, જો માબાપ ઘરમાં ગુજરાતી પણ પૂરું બોલી ના શકતા હોય? ખરેખર તો વાલીએ ગુજરાતી સિવાય બીજી ભાષા જ બહુ જાણી નથી, અંગ્રેજીનો તો સંપર્ક જ નથી, તો બાળક સ્કૂલમાં ગુજરાતીમાં જ સહેલાઈથી સમજશે કે ટીચર એને અંગ્રેજીમાં સમજાવે તો જ સમજવાનું સરળ થશે? પણ, વાલીને ઉતાવળ છે, રાતોરાત ખાનદાન અંગ્રેજી માધ્યમનું થઈ જાય એની !

ટૂંકમાં, સરકારે ધંધો કરવો હતો એટલે તેણે અંગ્રેજીનો મહિમા કર્યો ને વાલીઓએ તો ખાનદાન જ અંગ્રેજી કરવું હતું, વધારામાં કેટલાક નેતાઓ પણ અંદર ખાને અંગ્રેજી માધ્યમને ઉત્તેજન આપતા હતા, કારણ એ સ્કૂલો એમની કે એમના સંબંધીઓની હતી ને એમ કરવાથી પ્રાથમિકના બોજમાંથી છૂટાય એમ હતું ને ખાનગીમાં કમાણી થાય એમ હતું, એટલે માતૃભાષા ગુજરાતી, હાંસિયામાં ધકેલાતી ગઈ. આજે તો ગુજરાત તેની માતૃભાષા અંગ્રેજી બનાવવા માટે સખત પ્રયત્નો કરી રહ્યું છે. લાગે છે, કોઈ રાજ્યમાં અંગ્રેજીની આટલી ઘેલછા નહીં હોય ! હજી મહારાષ્ટ્રમાં મરાઠી, બંગાળમાં, બંગાળી, પંજાબમાં પંજાબીનો મહિમા છે, પણ ગુજરાતમાં ગુજરાતીનું  મમત્વ જણાતું નથી. વિદેશ અભ્યાસ માટે જનાર અંગ્રેજી શીખે ને સજ્જ થાય એની જરા પણ ના નથી, પણ અંગ્રેજી, અમેરિકા કે ઈંગ્લેન્ડમાં જેટલું ખપમાં આવશે, એટલું રશિયા, જાપાન, ફ્રાંસમાં આવવાનું નથી. જે તે દેશમાં તો જે તે દેશની ભાષા જ શીખવી પડશે, એટલે અહીંનું અંગ્રેજી બધા જ દેશોમાં ચાલી જશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. અગાઉ પણ જે વિદેશ જવા માંગતા હતા, તે જરૂરી અંગ્રેજી અહીંથી શીખીને જતા હતા ને અંગ્રેજી માધ્યમ વગર પણ વિદેશમાં તેમનો કારભાર ચાલ્યો હતો.

આજે ભલે વિદેશ જવા માટે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ લેવાય, પણ આખું ગુજરાત તો ઈંગ્લેન્ડમાં વસવાનું નથી, થોડા તો અહીં જ રહેવાના છે, એમને અંગેજ બનાવવાનું કે ગુજરાતને ઈંગ્લેન્ડ બનાવવાનું યોગ્ય છે? સવાલોનો સવાલ તો એ છે કે અહીંના લોકોને અંગ્રેજ બનાવીને સરકારે કરવું છે શું? ગુજરાતમાં ગુજરાતી રહે તો તેની એટલી સૂગ ન હોવી જોઈએ કે ગુજરાતીઓએ ગુજરાતી શીખવા ઈંગ્લેન્ડ કે અમેરિકા જવું પડે ! માતૃભાષાની ઉપેક્ષા, માણસને તેનાં મૂળ સંસ્કાર, ખાનપાન અને રહેણીકરણીથી પણ ઉપેક્ષિત કરે એમ બને. અન્ય રાજ્યનાં લોકો કરતાં ગુજરાતીઓ મૂળને છોડીને ઉધારની સંસ્કૃતિ પર વધારે નિર્ભર રહેતાં જણાય છે. એ જ કારણ છે કે ગુજરાતીઓ વધુ ફેશનેબલ છે. બીજાની નકલ કરવાનું તે ગૌરવ લઈ શકે છે. બીજાનો ખોરાક, બીજાનું સંગીત, બીજાની કળા, બીજાનાં રીતરિવાજો ગુજરાતીઓને વધુ માફક આવે છે. તેનું એક કારણ એ કે અન્ય કોઈ રાજ્ય કરતાં અહીંની પ્રજા દેશવિદેશમાં પહેલેથી જ વેપાર ખેડતી આવી છે. સુરત તો ચોર્યાસી બંદરો સાથે સીધું વાણિજ્ય ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. એમાં વળી ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં શરૂ થઈ. એનો પ્રભાવ દેશ આખા પર પડ્યો. વિદેશ ખેડવાને લીધે ગુજરાત અંગ્રેજીના પ્રભાવમાં પણ આવ્યું ને  અંગ્રેજી વગર નહીં ચાલે એ ગ્રંથિએ અંગ્રેજી માધ્યમનો મહિમા વધાર્યો. આદાનપ્રદાન એક વાત છે ને આંધળું અનુકરણ બીજી વાત છે. અનુકરણમાં બાવાના બે ય બગડે. ન સરખી નકલ થાય, ન મૂળ સચવાય ! આજે એ સ્થિતિ છે કે નથી અંગ્રેજી પૂરું આવડતું કે નથી ગુજરાતી ! સો વાતની એક વાત, માધ્યમ કોઈ પણ હોય, ગુજરાતમાંથી ગુજરાતીને દેશવટો અપાતો હોય તો ગુજરાતીઓને તાબોટા ફોડીને નાચવા ન દેવાય. એવું સરકાર કરતી હોય કે પ્રજા, બધી રીતે નિંદનીય ને ધિક્કારને પાત્ર છે. આ બધું ચાલી રહ્યું હોય ને દેખાવ ખાતર માતૃભાષા માટે બહુ વહી જતું હોય તેવું નાટક, ગુજરાતીને મરતી નહીં બચાવી શકે. માતૃભાષાની હત્યા કરીને અંગ્રેજીનો મહિમા કરનારાઓ દેશદ્રોહી નથી એવું કઇ રીતે માનવું? આપણે વિશ્વ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ ત્યારે હસવું એ વાતે આવે છે કે ગુજરાતમાં જ માતૃભાષાનો મહિમા ન હોય ને આપણે વિશ્વની માંડીએ છીએ ! વિશ્વ, દરેક માતૃભાષાને ઉજવવા આખા વિશ્વમાં એક દિવસ મનાવે તેનો આનંદ જ હોય, પણ અહીં ગુજરાતી ભાષા ઉજવવા જેવી સ્થિતિમાં નથી ત્યારે આનંદ નથી, ઉદાસી છે. પ્રશ્ન એ છે કે આખા વિશ્વની કોઈ એક માતૃભાષા હોય ખરી? હોય. મૌનની ભાષા ! જેને કોઈ મૂળાક્ષર, કોઈ શબ્દો કે વિરામ ચિહ્ન વગર ચાલે ને જે આખા વિશ્વમાં પણ ચાલે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ફેબ્રુઆરી 2023

Loading

આત્માની અંધારી રાત

કવિ : સેન્ટ જૉન ઑવ ધ ક્રોસ સ્પૅનિશમાંથી અંગ્રેજી અનુવાદ : ડેવિડ લૂઈસ ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|19 February 2023

૧.

અંધારી રાતે,

પ્રજ્વલિત પ્રેમથી વ્યગ્ર,

આનંદિત!

અણદીઠો નીકળ્યો,

ઘર મારું હવે નિરાંતમાં છે.

૨.

અંધકાર અને સુરક્ષા વચ્ચે,

ગુપ્ત નિસરણી તરફ, વેશપલટે,

આનંદિત!

અંધકાર અને ગુપ્તતામાં,

ઘર મારું હવે નિરાંતમાં છે.

૩.

આનંદિત એ રાતે ,

છાનોમાનો, અણદીઠો,

મુજથી જ અદૃશ્ય,

બાહ્ય પ્રકાશ કે ભોમિયા રહિત,

લઈ પ્રજવળતો ફક્ત હૃદય તણો.

૪.

મધ્યાહ્નના સૂર્યથી ય ચોક્કસ

પ્રકાશ તે દોરી ગયો મને

જે સ્થળે મારી પ્રતિક્ષામાં હતો,

જેને ઓળખતો હતો હું સારી પેઠે 

જ્યાં અન્ય કોઈ ન હતું.

૫.

હે પથદર્શક રાત;

પરોઢથી પણ સુંદર રાત;

હે રાત, કરાવ્યો તેં મેળાપ

પ્રેમીનો પ્રિયજન સાથ,

પરિવર્તિત કર્યા તેને તેના પ્રેમમાં.

૬.

માત્ર તેને કાજે અક્ષત રાખેલી,

ફૂલ સમી મારી છાતી પર,

વિસામો કરી તેણે નિંદ્રા લીધી;

મેં તેની માવજત કીધી ને ડોલતાં

સિડર વૃક્ષોએ પંખો નાખ્યો.

૭.

મિનારા પરથી વહેતી હવામાં

લહેરાતા તેના કેશ હતા,

ને ગરદન પર હળવે હાથે

મને તેણે જેવો ટપાર્યો,

ત્યજી ગયું સઘળું સંવેદન મને.

૮. 

વિસ્મૃતિમાં રહી સતત,

ટેકવી શિશ મુજ વહાલા પર;

જગત અને જાતથી પણ અજાણ,

વિસરાયેલાં લીલી પુષ્પો મધ્યે

ફગાવી સઘળી ચિંતા મારી.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,0971,0981,0991,100...1,1101,1201,130...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved