Opinion Magazine
Number of visits: 9667359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વલીવિરહ

સંકલન – સુરેશ જાની|Opinion - Opinion|28 June 2023

જન્મ –જુલાઈ 1941, કાણોદર, પાલનપુર પાસે  : અવસાન : 23 જૂન 2023, અમદાવાદ

વલીભાઈ માટે ‘હતા’ શબ્દ વાપરતાં જીવડો ચૂંથાય છે. પણ ….

કાણોદર, અમદાવાદ જ નહીં પણ દુબાઈમાં; અમેરિકામાં હ્યુસ્ટન અને એલનટાઉનમાં; કેનેડામાં ટોરોન્ટો અને વાનકુવરમાં; ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, સિડની અને ટાઉન્સવિલેમાં ફેલાઈને સમૃદ્ધ થયેલા ‘મુસા’ કુટુંબના મોભી આદરણીય વલીભાઈ મુસા જન્નત નશીન થયા છે.

માત્ર મુસા કુટુમ્બના જ નહીં આ લખનારના પણ તેઓ મોટાભાઈ સમાન હતા. અનેક બ્લોગર-સર્જકોના મિત્ર અને હિતેશ્રીને આ લખનારે ‘હાહાકાર’નું લાડકું બિરૂદ આપ્યું હતું. (હાસ્ય હાઇકુ કાર).

‘વેબ ગુર્જરી’ના તંત્રીમંડળમાં પણ તેઓ આરંભકાળથી સંકળાયેલા હતા, અને છેવટ સુધી નિયમિત પ્રદાન કરતા રહ્યા હતા.

હળવા મિજાજના પણ ગુજરાતી ભાષા શાસ્ત્રના ઊંડા અભ્યાસુ તેમ જ બહુ ઉચ્ચ કક્ષાના લેખક એવા વલીભાઈના ઘણા બધા પ્રિય વિષયોમાંનો એક ‘ગાલિબ’ની રચનાઓનું રસદર્શન હતો.

પાકા મુસ્લિમ હોવા છતાં તેઓ ધર્મ નિરપેક્ષ અને માનવધર્મને વરેલા હતા અને કાણોદર ગામના અગ્રગણ્ય નાગરિક અને દાનવીર હતા. 

***********************

પ્રિય બ્લોગર મિત્ર સ્વ. પુરૂષોત્તમ દાવડાએ વર્ષો પહેલાં લખેલ આ પરિચય એમના જીવન પર ચપટીક પ્રકાશ પાડે છે –

વલીભાઈનો જન્મ ૧૯૪૧માં આવેલા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતાં, પણ એમણે પોતાના બધા બાળકોને સારું શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલનો પણ સમાવેશ થઈ જાય છે.

વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tellની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે. વલીભાઈ ૧૯૫૯માં મેટ્રિક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.

વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી, જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ, મેડિકલ ફેસિલિટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિદ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.  ૨૦૦૭માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales”ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજ સુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.

ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે. જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યાં કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજિક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદ્દભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”

વલીભાઈ કહે છે, “વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છું. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલાં વર્ષો સુધી મારું સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદ્દભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે. આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”

આજે વલીભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃત્તિઓ છે, સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે –

“એકવાર કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન,
થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.”

બસ, વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.”

વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગશે.

– પી કે. દાવડા

મિત્રાંજલિ

ધરતી પર એક સિતારો ટમટમીને દૃષ્ટિથી ઓઝલ થયો.
અનેક આંખોમાં પ્રેમનું તેજ આંજી ગયો.

– રેખા સિંધલ

અફસોસ, વલીભાઈ વયા ગયા
બસ ખુદા પાસે ચાલ્યા ગયા
હવે તો સંયમ કેળવવો આપણે
આંખો અશ્રુભીની કરતા ગયા

– કાસમ અબ્બાસ કાલાવડવાળા

સર્વમિત્ર-શા,
સાહિત્યપ્રેમી,
જિંદાદિલ વલીદા!
અમ હ્રદયે
સદા રહેશો!

– હરીશ દવે

Absolutely shocking and unbelievable news. At a personal level. I had spent some quality time with Valibhai and his family twice. Such genuine, affectionate and perfect gentleman is truly hard to find on the earth. I join you all in praying for the eternal peace to the departed friend. May God bless his soul. Amin, Sumamin.

– Narendra Phanse

અરે! આમ અચાનક? આવી ઉતાવળ? નજીકના ભૂતકાળમાં એમની વાર્તા – ‘શુભસ્ય શીઘ્રમ’ વાંચવામાં આવી હતી. વલીભાઈના આત્માને શાંતિ હો, એવી પ્રાર્થના.

– રાજુલ કૌશિક

તમે શું ગયા, મહેફિલમાંથી રોશની ગાયબ. હાઈકુના હાઈ કમાન્ડર જેવી વલીભાઈની ખોટ જરૂર સાલશે. ૐ શાંતિ શાંતિ શાંતિ.

– પ્રવીણા કડકિયા

શ્રી વલીભાઈના અવસાનના સમાચાર વાંચી દિલગીરી થઈ છે. શ્રી વલીભાઈની જાણકારી ઈન્ટરનેટ પર જુદા ગુજરાતી બ્લોગો પર તેમનાં લેખો વાંચી તેમનો પરિચય થયો હતો. ગુજરાતી ભાષામાં તેમનું ચોગદાન તેમનાં વાંચકો લાંબા સમય સુધી યાદ કરશે.

– પ્રભુલાલ ભારદિયા

શ્રી વલીભાઈ મુસાની સર્જકતાની સૌરભ ઝીલવા અમે સદ્દભાગી થયા છે. સાહિત્ય વિશે ચિંતન મનન કરવાની પ્રેરણા એમના સાથેના વિચાર વિમર્શે મળી છે અને મારી સર્જકતાની ગુણવત્તા માટે સભાન કર્યા છે. તેમની વિવેચન કલમ પ્રસાદીનો આ લેખ દ્વારા સાહિત્યનો એક આગવો પરિચય મને માણવા મળ્યો.

– રમેશ પટેલ (આકાશદીપ)

e.mail : surpad2017@gmail.com

Loading

સો વર્ષે સોનું

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Short Stories|27 June 2023

સોનાની ઈંટો ભરેલી એક ગાડી ઉજ્જડ જગ્યામાં આવેલા એક જૂના, વણવપરાયેલા મકાનના ચોગાનમાં આવી. એ ચોગાનના એક ખૂણામાં કૉફિનના આકારની ચાર કાચની પેટીઓ તૈયાર હતી.

ગાડીમાંથી ચાર જણ ઊતર્યા અને એ કોફિનોમાં સૂઈ ગયા. સૂતા પહેલાં બધાંએ એક ખાસ તૈયાર કરેલું   રસાયણ પીધું. આ રસાયણની અસરથી તેઓ એકસો વર્ષ સુધીની ઊંઘ ખેંચી શકશે, અને જ્યારે ઊઠશે ત્યારે, સૂતી વખતે હતા તેવા જ હશે, એમની વય વધશે નહીં, એવી ટોળકીના નાયક ભદ્રેશ લોખંડવાલાની યોજના હતી.

એ ચાર દોસ્તો, ભદ્રેશ લોખંડવાલા, પ્રફુલ્લ હાંસોટિયા, મધુકર દમણિયા અને કશ્યપ નાગરેચા, બધા ય કરામતી હતા. ક્યાં હાથ મારીને માલ-મિલ્કતની ઉચાપત કરવી તેની જ પેરવીમાં રહેતા. એમનાં કાંઇ વ્યવસ્થિત નોકરી-ધંધા નહોતા. છૂટાછવાયા કામો કરીને અને બની શકે ત્યારે ઉઠાંતરી કરીને માલમત્તા ભેગી કરવાનું રાખ્યું હતું.

આ પ્રકારના ધંધાપાણીમાં થોડો વખત પળોટાઈને એમણે મોટો શિકાર કરવાનું નક્કી કર્યું. આ ચારેયમાં ભદ્રેશ “બ્રેઇન” હતો, અને વિજ્ઞાન અને કમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવતો. બાકીના ત્રણ મગજ કરતાં બળનો ઉપયોગ વધુ કરતા.

એક વખત કાળજીપૂર્વકનું પ્લાનિંગ કરીને આ ટોળકીએ સોનાની ઈંટો લાવતી એક ટ્રક પર છાપો માર્યો, અને તેમાંથી સારી એવી ઈંટોની ઉચાપત કરી. 

વિજ્ઞાન, કમ્પ્યુટર અને અદ્યતન ટેક્નોલોજીનો લાભ લઈને, આ લૂંટને પૂરેપૂરી એમની પોતાની કરવાની યોજના ભદ્રેશે એની દીર્ઘદૃષ્ટિ વાપરીને વિચારી રાખી હતી. તે મુજબ તેઓ વસતિથી દૂરના આ વણવપરાયેલા મકાનના ચોગાનમાં આવ્યા.

એકસો વર્ષ સૂઈને જ્યારે તેઓ ઊઠ્યા ત્યારે ચારમાંથી ત્રણ જ જણ ઊઠ્યા. કશ્યપ નાગરેચાની કોફીનમાં કશીક ખામી રહી જવાથી એને આ કોફીનની અને પેલા રસાયણની ધારી અસર ન થઈ, અને માત્ર એનો મૃતદેહ જ મળ્યો. તેથી એને ત્યાં જ પડતો મૂકીને બાકીના ત્રણ ગાડીમાં સોનાની ઈંટો સાથે ત્યાંથી રવાના થયા.

ભદ્રેશની યોજના મુજબ આ સોનાની લૂંટ કરવા અને તેનો ભાગ પાડવા બધા કબૂલ થયા હતા, પણ થોડું આગળ જતાં મધુકર દમણિયાની દાનત બગડી, અને બધા ય સોનાનો માલિક થવાનું સ્વપ્નું સેવતાં એણે એના સાથીઓનું કાસળ કાઢી નાખવાનું વિચાર્યું. પણ તેનો અમલ કરવાની ઝપાઝપીમાં એ પોતે જ માર્યો ગયો.

આ બધી પેંતરાબાજી દરમિયાન એમની ગાડી પણ હવે એમનો સાથ આપતી ન હતી, અને થોડુંક ચાલ્યા પછી તે પણ અટકી ગઈ. ત્યાં સુધીમાં ભદ્રેશ અને પ્રફુલ્લ વસતિથી ઘણે દૂર એક ખુલ્લી, વેરાન જગ્યામાં આવી ગયા હતા. બગડેલી ગાડી એમણે પડતી મૂકી, અને ખભા પરની બેગોમાં સોનાની ઈંટો ભરીને ચાલવા માંડ્યા. સમય જતાં ખાવાનું ખૂટ્યું. પાણીની એક માત્ર મશક બચી, અને તે ભદ્રેશ પાસે હતી. સખત તડકામાં બન્ને ચાલી રહ્યા હતા. તરસ લાગતી ત્યારે ભદ્રેશ પાણી પી લેતો. પ્રફુલ્લને પીવું હોય ત્યારે એ ભદ્રેશને પાણી માટે કહેતો, અને એક ઘૂંટડા માટે ભદ્રેશ સોનાની એક ઈંટ એની પાસેથી માગતો.

બેગમાંની સોનાની ઈંટોએ તેમનું કામ કર્યું, અને ભદ્રેશની મતિ બગડી. એના લોભની સીમા ન રહી, અને હવે એણે એક ઘૂંટડાનો ભાવ એકને બદલે બે ઈંટોનો કરી નાખ્યો. પ્રફુલ્લ માટે આ તદ્દન ખોટનો સોદો હતો. ધૂંધવાતાં ધૂંધવાતાં એણે બે-એક વખત તો બબ્બે ઈંટો આપીને પાણીનો એક-એક ઘૂંટડો ભર્યો, પણ તે પછી પાણી માંગવાને બહાને, સોનાની ઈંટો ભદ્રેશને આપવાને બદલે એના માથામાં મારીને એનો ખાતમો કરવાનો પ્રયાસ કર્યો. 

ભદ્રેશ ગાંજ્યો જાય એવો ન હતો. પ્રફુલ્લની જ ઈંટો છીનવી લઈને તેના વડે જ ભદ્રેશે એને મારી નાખ્યો. હવે મશકનો માલિક એ એકલો જ હતો, પણ ધોમ તડકામાં મશકમાંનું પાણી પણ છેવટે ખૂટી ગયું. તરસથી વ્યાકુળ, લથડિયાં ખાતો ભદ્રેશ કોઈ વસતિ દેખાતી હોય એવી જગ્યાએ જવા મરણિયા પ્રયાસો કરતો આગળ વધ્યો, પણ ભૂખ, તરસ અને થાકથી જમીન પર ફસડાઈ પડ્યો.

બન્ને હાથોમાં સોનાની ઈંટો રાખીને “પાણી પાણી”ની બૂમો પાડતો ભદ્રેશ, એક ઘૂંટડાને માટે બે, ત્રણ કે ચાર ઈંટો આપવા તૈયાર હતો. પણ ન તો કોઈ આવ્યું કે ન તો ક્યાંયથી પાણીનો મેળ પડ્યો.

કેટલીક વાર પછી એક કાર ત્યાંથી નીકળી, અને જમીન પર કોઈને પડેલો જોતાં ચાલકે કાર અટકાવી. ઊતરીને ભદ્રેશ પાસે ગયો તો ભદ્રેશે દયામણે ચહેરે અને હતું એટલું બળ એકઠું કરીને એને કહ્યું, “પાણી, … પાણી મળશે, પાણી? આ સોનાની ઈંટો છે, બધી જ તમારી.” અને એટલું કહીને તરફડિયા ખાતા ભદ્રેશે પ્રાણ છોડ્યો. ચાલક પાછો ગાડીમાં આવ્યો. “શું હતું? કોણ છે?”

ગાડીમાંની એની સ્ત્રીમિત્રે એને પૂછ્યું. “મને એણે સોનાની ઈંટો બતાવી, અને હું એને પાણી આપું તો તે સોનું હું લઈ શકું, એમ કહ્યું,” ચાલકે જવાબ વાળ્યો. “આ નવાઈની વાત નહીં? સોનાથી શું થાય?

કોઈ સોનું શું કરવા આપે, એની જરૂર શી? કદાચ એક સમયે તેની કાંઈક કિંમત હશે,” સ્ત્રીમિત્રે કહ્યું. પુરુષે કહ્યું, “મારી પાસે પાણી હોત તો એને આપી દેત; હવે તો બિચારાનો જાન ગયો. પણ સોનાને શું કરું? ચાલો, શહેરમાં જઈને ખબર આપીએ. સુધરાઈના માણસો આવીને આનો નિકાલ કરશે.”

e.mail : surendrabhimani@gmail.com

Loading

કોરોનાકાળમાં કળાની સમીપે : 5 

અમર ભટ્ટ|Opinion - Opinion|27 June 2023

દક્ષિણ ભારતના વિખ્યાત સંગીતકાર ઇલિયારાજાનું વાક્ય છે –

“Music can not only heal, but also hide the pain that you nurse in your everyday life.”

કલાએ મને કોરોનાના સૅકન્ડ વૅવની ભયાનકતા અને કેટલીક ગમતી વ્યક્તિઓ ગુમાવ્યાનું દુઃખ સહન કરવામાં મદદ કરી.

એકાંતવાસના પ્રથમ દસેક દિવસમાં જ મારાથી ચારેક સ્વરાંકનો થઈ ગયાં. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાથે આ દરમિયાન ફૉન પર વાર્તાલાપ થયો. મેં કહ્યું કે 14 દિવસમાં જાણે કે વધારે પડતાં સ્વરાંકનો થઇ ગયાં તેવું લાગે છે! રાજેન્દ્રભાઈએ કહ્યું કે દાહોદમાં કેટલા ય દિવસો એવા ગયા હતા કે જ્યારે તેમણે રોજની ત્રણ-ચાર ગઝલો લખી હોય. એક વિવેચકે તેમને ચેતવ્યા હતા કે જરા જો જો, ઉતાવળ તો નથી થતી ને? આ ચેતવણી પરથી તેમણે ગઝલ લખી –

“જરા ધીરે, જરા ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો

અરે શબ્દનો રસ્તો છે અનાયાસ, ઉતાવળ ન કરો”

મરીઝ સાહેબનો શેર છે –

“ઓ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી

આ ગઝલ છે, કાંઈ એમાં ઝડપથી લખાય ના”

બીજા એક શેરમાં મરીઝ સાહેબ કહે છે –

“શબ્દોના સંગ સંગમાં ચિત્રણની વાત છે,

લખવામાં તો ગઝલની કલા, આસ્તેથી ચાલ”

કોઈ પણ સર્જન ઉતાવળે ન કરવું જોઈએ તે જાણતો હોવા છતાં 14 દિવસમાં આ પાંચમું સ્વરનિયોજન થયું – “ઉતાવળ ન કરો”

( https://youtu.be/QEY2g_ihrsM )

આ સમયમાં એવી પણ પ્રતીતિ થઇ કે કાયદો અને કાવ્યગાન બંનેમાં શબ્દના અર્થઘટનની પ્રક્રિયા છે – એકમાં વાણી-વિચારથી અને બીજામાં સૂરથી. બંને સાથે સંકળાયેલો હોવાથી મનોજ ખંડેરિયાના આ શબ્દો ખૂબ ગમે છે –

“જિંદગી જીવવા શબદ આપી,

કેવી માંગ્યા વગર મદદ આપી”

કાનૂન અને સંગીત બંનેનું અંતિમ ધ્યેય સમાજમાંથી વિસંવાદ દૂર કરી સમાજને સુરીલો બનાવવાનું છે.

બે ફિલ્મ્સ “ધ પૉસ્ટ” અને “માર્શલ” તથા ભારતની સુપ્રીમ કૉર્ટનો સીમાચિહ્નરૂપ કેસ– કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઑફ કેરળ :

તાળાબંધી દરમિયાન ઘણા વકીલોની પરિસ્થિતિ ટીમમાંથી પડતા મૂકાયેલા ક્રિકેટર જેવી હતી. શું કરવું એ પ્રશ્ન મારા જેવા અનેક વકીલોને થયો હતો. એક ખ્યાતનામ ક્રિકેટરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે તે ભારતની ટીમમાંથી પડતો મૂકાયો હતો ત્યારે તે શું કરતો હતો. તેનો જવાબ ખૂબ સુંદર હતો – “I went back to basics.”

 

મારી જેમ ઘણા વકીલોએ આ ક્રિકેટરના વાક્યને અમલમાં મૂકીને કાયદાના વિષયોના પાયાના સિદ્ધાંતોનું પુનરાવર્તન કરવા જુદા જુદા વિષયો પર યોજાયેલા કેટલાક ઑનલાઇન પરિસંવાદોમાં ભાગ લીધો. એમાં પણ ભારતના

બંધારણને લગતા પરિસંવાદો તો ખૂબ જીવંત બન્યા. આપણા બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે તે યુ.એસ.એ.ના બંધારણ પર આધારિત છે. કોરોનાના દિવસોમાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાના મૂળભૂત અધિકારોને સ્પર્શતી બે ફિલ્મ્સ જોઈ- “ધ પૉસ્ટ” અને “માર્શલ”.

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા દિગ્દર્શિત અને સ્વનામધન્ય અદાકારો મેરિલ સ્ટ્રીપ અને ટોમ હેન્કસ દ્વારા અભિનિત ફિલ્મ “ધ પૉસ્ટ” ફર્સ્ટ ઍમેન્ડમેન્ટ દ્વારા રક્ષિત વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર છે – જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. ફિલ્મનું કથાનક આમ છે – અમેરિકન સરકારની વિયેતનામ યુદ્ધ નીતિને લગતા કેટલાક ગોપનીય દસ્તાવેજો 1971માં વર્તમાનપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ પાસે પહોંચે છે. તે પ્રકાશિત થાય તો સરકાર ઊઘાડી પડી જાય તેમ છે. તેથી તેનું પ્રકાશન નહીં કરવા સરકાર હુકમ કરે છે. નીચલી અદાલત પ્રકાશન સામે મનાઈહુકમ ફરમાવે છે. કેસ અંતે યુ.એસ.એ.ની સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. બીજા જાણીતા વર્તમાનપત્ર ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની આર્થિક સ્થિતિ બહુ સારી નથી. જો આ દસ્તાવેજો ‘વૉશિંગ્ટન પોસ્ટ’ છાપે તો વર્તમાનપત્ર પોતાની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરી શકે તેમ છે; પણ તે છાપે તો અદાલતના હુકમના અનાદર બદલ સજા પણ થઇ શકે તેમ છે. એટલે પ્રેસ સ્વાતંત્ર્ય અને જાહેર જનતાના સાચી વાત જાણવાના અધિકારના અમલ માટે સુપ્રીમ કૉર્ટમાં ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ના કેસમાં સાથે ‘વૉશિંગ્ટન પૉસ્ટ’ પણ જોડાય છે. કાયદાના ક્ષેત્ર માટે બહુ મહત્ત્વના પુસ્તક “The Least Dangerous Branch”ના લેખક અને બંધારણીય વિદ્વાન ઍલેક્ઝાન્ડર બિકેલ વર્તમાનપત્રો તરફથી વકીલ તરીકે દલીલો કરે છે. યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ વર્તમાનપત્રોની તરફેણમાં ચુકાદો આપે છે. વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું આમ રક્ષણ થાય છે.

“માર્શલ” ફિલ્મ યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટના પ્રથમ શ્યામ ન્યાયાધીશ થરગૂડ માર્શલની, તે ન્યાયાધીશ બન્યા તે પહેલાંની, વકીલ તરીકેની કારકિર્દી પર છે – ખાસ કરીને શાળાશિક્ષણમાં જાતિભેદ નાબૂદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કેસ “બ્રાઉન વિ. બૉર્ડ ઑફ ઍજ્યુકેશન”માં માર્શલની વકીલ તરીકેની ભૂમિકા ઉપર આ ફિલ્મ આધારિત છે. અમેરિકામાં કાળી પ્રજાનાં સંતાનોને માટે અલગ શાળાઓ હતી. કૅન્ટકી નામના રાજ્યમાં ઓલિવર બ્રાઉનની પુત્રીને, તે કાળી હોવાથી, તેની નજીકમાં આવેલી શાળામાં દાખલ કરવાનો શાળા દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો. તેણે કાળા વિદ્યાર્થીઓ માટે અલગ સ્થપાયેલી ને બ્રાઉનના ઘરથી ઘણી દૂર આવેલી શાળામાં જવું પડે તેમ હતું. સમાનતાના અધિકારના રક્ષણ માટે બ્રાઉન દ્વારા કેસ કરવામાં આવ્યો, જે યુ.એસ.એ.ની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો. બ્રાઉન વતી વકીલ તરીકે થરગૂડ માર્શલે દલીલો કરી હતી. 1954માં આ કેસનો, સમાનતાના અધિકારનું રક્ષણ કરતો, ચુકાદો આવ્યો અને શાળાશિક્ષણમાં જાતિભેદનો અંત આવ્યો. જો કે ઘણાં રાજ્યોએ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો. યુ.એસ.એ.ની દક્ષિણમાં આવેલ રાજ્ય આર્કાન્સોના ગવર્નરે આ ચુકાદાનો અમલ કરવાની ધરાર ના પાડી ત્યારે 1957માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રીય સેના મોકલીને યુ.એસ.એ. સુપ્રીમ કૉર્ટના ચુકાદાનો અમલ કરાવ્યો હતો.

ભારતીય સુપ્રીમ કૉર્ટનો એક એવો કેસ, જેના ઉપર આપણે ત્યાં કેમ હજી સુધી કેમ ફિલ્મ બની નથી તેનું મને આશ્ચર્ય છે, તે કેશવાનંદ ભારતીનો કેસ. આ કેસ ઐતિહાસિક, અદ્વિતીય અને અતિખ્યાત છે. ઐતિહાસિક કારણ કે તેમાં આપવામાં આવેલા સિદ્ધાંતને કારણે આપણી લોકશાહી અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થયું; અદ્વિતીય કારણ કે તે સુપ્રીમ કૉર્ટની અત્યાર સુધીમાં બનેલી મોટામાં મોટી (13 ન્યાયાધીશોની) બેન્ચ દ્વારા આપવામાં આવેલો એકમાત્ર અને અત્યાર સુધીમાં સુપ્રીમ કૉર્ટ સમક્ષ ચાલેલા કેસોમાં સૌથી લાંબો સમય (68 દિવસ) ચાલેલો કેસ છે; અતિખ્યાત કારણ કે આ કેસમાં આપવામાં આવેલા સિદ્ધાંતને ઘણા બધા અન્ય દેશોમાં અનુસરવામાં આવે છે. આ કેસમાં ભારતના અત્યંત જાણીતા ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા અરજદાર કેશવાનંદ ભારતી તરફથી વકીલ હતા અને સરકાર તરફથી મુંબઈ સરકારમાં લાંબામાં લાંબો સમય ઍડવોકેટ જનરલ રહી ચૂકેલા બંધારણીય નિષ્ણાત હોમી સીરવાઈ વકીલ હતા. કેસના ચુકાદાને તારીખ 24/4/2023ના દિવસે 50 વર્ષ પૂર્ણ થયાં.

કોરોનાકાળ દરમિયાન કેશવાનંદ ભારતી, જે કેરળમાં આવેલ એડ્નીર મઠના શંકરાચાર્ય હતા તે 6 સપ્ટેમ્બર 2020ના દિવસે અવસાન પામ્યા. 2020 તે નાની પાલખીવાલાનું જન્મશતાબ્દી વર્ષ હતું. આ કેસને અને એમાં પાલખીવાલાએ કરેલ દલીલોને યાદ કરીને કોરોના દરમિયાન અનેક ઓનલાઇન કાર્યક્રમો યોજાયા. કેસમાં મુદ્દો હતો – બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા પર કોઈ મર્યાદા છે કે તે અમર્યાદિત છે અને આવા સુધારાની આડમાં સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે? 1971માં સંસદે બંધારણમાં કેટલાક સુધારા કર્યા. એમાં 25મો સુધારો એવો હતો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આગળ વધારવા સંસદે કોઈ કાયદો પસાર કર્યો હોય તો તે કાયદો કોઈ પણ અદાલતમાં પડકારી શકાશે નહીં, ભલે પછી તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય. કેશવાનંદ ભારતીએ કેરળના જમીન સુધારણાના કાયદાઓ, જેને લીધે પોતાના મઠની જમીન સરકાર હસ્તક જાય તેમ હતી, તે સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યા. તેની સાથે બંધારણના સુધારાઓને પણ પડકાર્યો. 7 વિરુદ્ધ 6ની બહુમતીથી સુપ્રીમ કૉર્ટે ઠરાવ્યું કે સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પણ આવી સત્તા નીચે તે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકે નહીં.

બંધારણના વિકાસની પ્રક્રિયા રોમાંચક છે. 1965માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આપેલ પ્રવચનમાં જર્મન કાયદાશાસ્ત્રી પ્રૉફેસર ડિટ્રીશ કોનરાડે બંધારણમાં સુધારો કરવા ઉપર ગર્ભિત મર્યાદાઓ છે તેવો સિદ્ધાંત સદૃષ્ટાંત સમજાવેલો. તેમણે કેટલાક કલ્પિત પ્રશ્નો કરેલા –

1. શું સંસદ બંધારણમાં એવો સુધારો કરી શકે કે ભારત દેશ (કે જે અનુચ્છેદ 1 નીચે રાજ્યોનો સંઘ – યુનિયન ઓફ સ્ટૅટ્સ – છે) તે હિન્દ અને તામિલનાડુ એમ બે ભાગમાં વહેંચાયેલો દેશ-ડિવીઝન ઓફ સ્ટૅટ્સ – છે?

2. શું સંસદ બંધારણમાં સુધારો કરીને ભારતને સાર્વભૌમ ગણતંત્રને બદલે રાજાશાહી દેશમાં પરિવર્તિત કરી શકે?

જેમ ગ્રીસના ડેમોસ્થેનિસ કે રોમના સિસેરોની વક્તૃત્વકલા વિષે ઘણું લખાયું છે તેમ પાલખીવાલાની, ખાસ કરીને આ કેસમાં પ્રદર્શિત થયેલી, વાક્ છટા વિષે પણ ઘણું બધું લખાયું છે. બંધારણમાં સુધારો કરવા ઉપર સંસદની ગર્ભિત મર્યાદાઓ હોવાથી સુધારા નીચે બંધારણનું મૂળભૂત માળખું બદલી શકાય નહીં તેવો સિદ્ધાંત સુપ્રીમ કૉર્ટે આ કેસમાં આપ્યો, જે વિશ્વભરમાં બૅઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તરીકે જાણીતો છે. 13માંથી 11 ન્યાયાધીશોએ અલગ અલગ ચુકાદાઓ આપ્યા. 6 ન્યાયાધીશો સંસદની બંધારણમાં સુધારો કરવાની ગર્ભિત મર્યાદાના પક્ષમાં હતા; અન્ય 6 તેથી વિરુદ્ધનો મત ધરાવતા હતા. છેવટે 13મા ન્યાયમૂર્તિ હંસરાજ ખન્નાનો મત નિર્ણાયક બન્યો અને આમ સંસદની બંધારણ સુધારવાની સત્તા પર અંકુશ આવ્યો. કેસની આગળપાછળની ઘટનાઓ, તેમાંના રમૂજપ્રેરક પ્રસંગો, અદાલતમાં થયેલી ઉગ્ર દલીલો અને સ્વયંસ્ફૂર્ત ઉદ્દભવેલી હળવી ક્ષણો – આ બધું જ એક ઉત્તમ ફિલ્મ માટે કથાવસ્તુ બની શકે તેમ છે.

પછી તો ઘણું બધું બન્યું- ચુકાદો 24/4/1973ના દિવસે આવ્યો. 25/4/1973ના રોજ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સર્વમિત્ર સિક્રી નિવૃત્ત થયા. તેમના પછી વરિષ્ઠતાના ક્રમમાં ન્યાયમૂર્તિ શેલત હોવાથી તે મુખ્ય ન્યાયમૂર્તિ બને તેવો શિરસ્તો હોવા છતાં તેમના અને અન્ય બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ – ગ્રોવર અને હેગડે-ના ચુકાદાઓ સરકાર વિરુદ્ધ હોવાથી તે ત્રણેયની વરિષ્ઠતા બાજુએ મૂકીને સરકારની તરફેણમાં ચુકાદો આપનાર ન્યાયમૂર્તિ એ.એન. રેસાહેબને સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ નિયુક્ત કર્યા. પરિણામે શેલત, ગ્રોવર અને હેગડેએ રાજીનામાં આપ્યાં. સરકારની ખૂબ ટીકા થઇ. કેશવાનંદ ભારતી કેસે પણ વિશ્વની સફર ખેડી. બાંગ્લાદેશ, બેલિઝ, કોલંબિયા જેવા દેશોની અદાલતોના ચુકાદાઓમાં આ કેસમાં આપણી સુપ્રીમ કૉર્ટે આપેલ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો;

દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન જેવા દેશોમાં એની નોંધ લેવાઈ, તો મલેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા, કેન્યા જેવા દેશોની અદાલતોએ આ કેસનો સંદર્ભ આપીને તેમાંનો નિયમ તે દેશોમાં કેમ લાગુ નથી પડતો તેનાં કારણો આપ્યાં. મારા સદ્દનસીબે ભારતના ભૂતપૂર્વ સોલીસીટર જનરલ અંધ્યારૂજિનાનું, આ કેસના તાદ્રશ વર્ણનનું પુસ્તક આ દિવસોમાં હું વાંચી શક્યો. –

“Kesavananda Bharati Case- the untold struggle for supremacy between the Supreme Court and Parliament” (“કેશવાનંદ ભારતી કેસ – સુપ્રીમ કૉર્ટ અને સંસદ વચ્ચે સર્વોપરિતા અંગેનો વણકહેવાયેલો સંઘર્ષ”)

એક ને એક જ સ્થળે મળિયેં અમે :

સંગીત, ફિલ્મ્સ અને પુસ્તકોમાં 14 દિવસ ક્યાં વીતી ગયા તે ખબર પણ ન પડી. આ દિવસોમાં કોઈ પૂછે કે ક્યાં છો તો એનો જવાબ પણ કવિ રાજેન્દ્ર શુકલના આ શબ્દો ગાઈને આપવાનું ગમતું હતું –

“એક ને એક જ સ્થળે મળિયેં અમે

હોઈએં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે”

તમે પણ આ રચના માણો.

( https://youtu.be/dFd8s7EOgSI )

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, જૂન 2023
e.mail : amarbhatt@yahoo.com

Loading

...102030...1,0921,0931,0941,095...1,1001,1101,120...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved