Opinion Magazine
Number of visits: 9458186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરોડાનો શાસનકાળઃ સવાલ કરનારાઓને ચૂપ કરવા વપરાતી દરોડાની ચાબુકથી લોકશાહી લોહીલુહાણ થશે 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 March 2023

ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે

ચિરંતના ભટ્ટ

2014-2022 દરમિયાન એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – ઇ.ડી. (Enforcement Directorate) દ્વારા 3,010 વખત અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ભા.જ.પા.ના શાસનમાં દરોડાનો સિલસિલો 27 ગણ્યો વધ્યો છે. 2004થી 2014 દરમિયાન કુલ 112 દરોડા પડ્યા હતા. આ આંકડા જુલાઇ 2022માં રાજ્યસભામાં રજૂ કરાયા હતા પણ એ પછી આ લખાઇ રહ્યું છે ત્યાર સુધીમાં વિવિધ સંસ્થાઓ પર અને રાજકીય નેતાઓ પર પાડવામાં આવેલા દરોડાની સંખ્યામાં વધારો જ થયો છે.

બે-એક અઠવાડિયા પહેલા આ દરોડાના સપાટામાં બી.બી.સી.નો વારો પણ આવ્યો. નરેન્દ્ર મોદી અને ૨૦૦૨નાં રમખાણોના સંદર્ભે બનેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ રિલીઝ થઇ જેને પગલે ઘણી ચર્ચાઓ અને આક્ષેપો થયા. આ ડૉક્યુમેન્ટરી ભારતમાં સોશ્યલ મીડિયા પર શૅર ન થાય એ માટે બ્લૉક પણ કરાઇ અને તેને ભારત વિરોધી કચરાનું લેબલ પણ અપાયું – ટૂંકમાં તેની એટલી વાત થઇ કે ઉત્સુક જીવોએ એ ક્યાંકને ક્યાંકથી મેળવીને જોઇ લીધી. સહેજ સમય પસાર થયો નથી કે બી.બી.સી.ની ઑફિસિઝ પર આવકવેરાનો દરોડો પડ્યો. સરકારી સૂર એવો છે કે આવક વેરાના દરોડા અને બી.બી.સી. ડૉક્યુમેન્ટરીને કોઇ લેવાદેવા નથી.  2021માં ગુજરાતના અગ્રણી દૈનિક અખબારની ઑફિસ પર પણ ઇન્કમ ટૅક્સના દરોડા પડ્યા હતા અને એક અભિપ્રાય એવો પણ હતો કે એ અખબારે ભા.જ.પા.ની સરકાર વાળા ગુજરાતમાં કોરોનાની સારવારના મેનેજમેન્ટની પોલંપોલ વિષે એટલું લખ્યું હતું કે આ દિવસ આવીને ઊભો રહ્યો. આ જ રીતે અલ્ટ ન્યૂઝના મોહંમદ ઝુબેરને મહિના સુધી જેલમાં ગોંધી રખાયા, યુ.પી.માં સામૂહિક બળાત્કારની તપાસ કરવા ગયેલા પત્રકાર સિદ્દિક કપ્પાન સામે પણ આક્ષેપો કરાયા તો એન.ડી.ટી.વી. પર સી.બી.આઇ.ના દરોડા કરાયા, ૨૦૨૦માં દિલ્હીમાં મુસલમાનો પર થયેલી હિંસાનું રિપોર્ટિંગ કરનારી મલિયાલમ ભાષાની  ટેલિવિઝન ચેનલ ધી મીડિયા વનને 48 કલાક માટે ઑફ એર કરી દેવાઇ હતી તો માનવાધિકાર માટે કામ કરનારા હર્ષ મંદર જેવા એક્ટિવિસ્ટે પણ દરોડાનો સામનો કર્યો હતો, વળી ઑક્સફામ, એમનેસ્ટી, ગ્રીનપીસ, ભીમા કોરેગાંવ કેસ, સેન્ટર ફોર પૉલિસી રીસર્ચ પર પર દરોડાના ચાબુક વિંઝવામાં આવી. કેન્દ્રિય સંસ્થાનો જેમ કે સી.બી.આઇ., ઇ.ડી., નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને શસ્ત્ર બનાવી વિરોધીઓને ચૂપ કરવાનો પ્રયત્ન કરાયો છે.

કેન્દ્ર સરકારના વિરોધીઓ – તે વ્યક્તિગત હોય કે કોઇ સંસ્થા હોય – તેમની પર દરોડાનું શસ્ત્ર અપનાવાય છે એ વાત હવે એટલી સાહજિક બની ગઇ છે કે કોઇને હવે તેની નવાઇ પણ નથી લાગતી. આ દરોડાના વિરોધમાં ઉઠતા અવાજોને સરકાર ધ્વનિ પ્રદૂષણ સમજીને અવગણી દે છે અને કાયદાને અનુસરવાના પોતાના આગ્રહને આગળ ધરે છે. ભ્રષ્ટાચારને નાથવા માટેનો એક માત્ર રસ્તો દરોડા છે એવો અભિપ્રાય સરકાર પક્ષે ધૂંટવામાં આવે છે. દરોડાનું રાજકીયકરણ થયું છે અને ભા.જ.પા.ની કેન્દ્ર સરકાર હેઠળ જે રીતે દરોડાનો ઉપયોગ વિરોધીએને ચૂપ કરી દેવા માટે કરવા માટે થઇ રહ્યો છે તે લોકશાહી માટે જોખમી પરિસ્થિતિ ખડી કરશે એ ચોક્કસ. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ – PMLA 2002ને હથિયાર બનાવીને ઇ.ડી.એ મોદી સરકારની સામે ચૂં કે ચા કરનારાઓને ‘હખણા’ કરવામાં પાછું વળીને જોયું નથી – દરોડાનું રાજકીયકરણ તો પહેલાંની સરકારમાં પણ થયું છે પણ અત્યારે જે તેમાં એક બહુ નોંધપાત્ર ફેર આવ્યો છે – પહેલાં આ દરોડા રાજકીય રાહે થતા પણ હવે આ દરોડા રાજકીય નિયંત્રણ કરવાના આશયથી જ કરવામાં આવે છે. વળી ભેદભાવ એટલો સાફ છે કે ન પૂછો વાત – કર્ણાટક સરકાર સામે થયેલા વિવિધ કૌભાંડોના આક્ષેપો કે મધ્ય પ્રદેશમાં થયેલા મધ્યાહ્ન ભોજનના આક્ષેપો કે પછી વ્યાપમ સ્કેમમાં ભા.જ.પા.ના નેતાઓની સંડોવણી વગેરે મામલે કાં તો થોડો ઘણો ઘોંઘાટ થાય અને પછી બધું શાંત પડી જાય અથવા તો જે – તે નેતા ભા.જ.પ.માં ન હોય અને જો પક્ષ પલટો કરી લે તો આ દરોડાના દોરડામાંથી મૂક્ત થઇ જાય. આવા નેતાઓની યાદીમાં સામેલ છે આસામના મુખ્ય મંત્રી હિમન્તા બિસ્વાસ શર્મા, ભા.જ.પા. બંગાળના સુવેન્ધુ અધિકારી અને મુકુલ રોય. અગાઉની સરકારમાં એમ થતું કે કોઇ રાજકીય ચહેરાના માથે ભ્રષ્ટાચારી હોવાનું લેબલ લાગે એટલે બે આંખની શરમે પણ જે તે નેતા પક્ષમાંથી નીકળી જતા – જેમ કે કોમવેલ્થ ગેમ્સ કૌભાંડલ કે 2જી સ્કેમ – જો અત્યારની સરકારને એવો બધો કોઇ ફેર નથી પડતો. શિવસેનાના જે મંત્રીઓ સામે તપાસ ચાલતી હતી તે ભા.જ.પા.માં જોડાયા અને મામલો કોરાણે મુકાઇ ગયો.

અત્યારે પરિસ્થિતિ એવી થઇ છે કે વડા પ્રધાનની છબી પર એક સળ પડી નથી કે વિરોધીઓ પર દરોડાની ચાબુક વિંઝાઇ નથી! જે રીતે રાજકીય સરઘસો વારંવાર થાય એમ દરોડા પણ છાશવારે પડે છે. ભ્રષ્ટાચાર જે એક સમયે બહુ મોટો મુદ્દો હતો એ હવે સામાન્ય બની ગયો છે. કોઇ રાજકીય નેતા પર કે મીડિયા હાઉસિઝ પર દરોડા પડે તો સામાન્ય જનતા એ આખી બાબતને રાજકીય યુદ્ધની એક ચાલ તરીકે જ જુએ છે. અમુક ચોક્કસ લોકો કે સંસ્થાઓને દરોડાના નિશાન બનાવાય ત્યારે લોકશાહીની પકડ ઢીલી બને. તમે સહેજ અવાજ ઉઠાવ્યો નથી કે બસ તમારું આવી બન્યું વાળો અભિગમ લોકશાહીના મૂળભૂત અધિકાર – જેમાં સત્તા સામે સવાલ કરી શકાય -ની વાતનું હનન કરે છે. આમ જ ચાલે તો જે પણ સત્તાધીશોને સવાલ કરવા માગે છે તે એમ કરતાં પહેલાં બે વાર વિચાર કરશે. આ દરોડાની વાહવાહી થશે તો શાસક પક્ષના વિકલ્પ તરીકે કોઇ રાજકીય પક્ષ આવવાની શક્યતાઓ પણ પાંખી બનતી જશે. રાજકારણ બળપૂર્વકનું શાસન બને છે એમાં પસંદગીની વાત રહેતી જ નથી જે લોકશાહીનો છેદ ઉડાડનારી બાબત જ છે. લોકશાહીમાં લોકોને પોતાનો મત અલગ ધરાવવાનો અધિકાર હોય છે પણ અહીં તો માળું દરોડાની બીકથી કોઇ પોતાના અલગ વિચાર કરવાનો વિચાર નહીં કરે કારણ કે કાયદાની પકડ નહીં પણ કેન્દ્ર સરકારના સકંજામાં આવી જશે આમ કાયદાનું શાસન પણ નબળું પડે. ડર ફેલાવીના શાસન કરવાની માનસિકતા લોકશાહીને કેટલી અને કેવા પ્રકારની હાનિ પહોંચાડી શકે છે એ સમજવું જરા ય મુશ્કેલ નથી. દરોડાથી ચાલતું રાજકીય લોકશાહીનું પોત પાતળું પાડશે એ સૌથી મોટું જોખમ અને આવું શાસન ભ્રષ્ટાચારના પ્રશ્નનો જવાબ તો નહીં શોધી શકે બલકે તેની ગંભીરતા પાંખી કરશે. 

બાય ધી વેઃ 

2002નાં રમખાણો વખતે વડા પ્રધાને બી.બી.સી.ને કહ્યું હતું કે તેમને મુસલમાન વિરોધી હિંસાને લઇને એક માત્ર અફસોસ એ હતો કે તે મીડિયાને સરખી રીતે ‘હેન્ડલ’ ન કરી શક્યા. અત્યારે સાહેબનો મિજાજ જોતાં એમ કહી શકાય કે અત્યારે એ ભૂલનું ક્યાંક પુનરાવર્તન ન થઇ જાય તેની એ પૂરી તકેદારી રાખી રહ્યા છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક એડિટોરિયમાં લખાયું હતું કે 2014માં કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદી આવ્યા પછી ઘણાં પત્રકારોએ સરકાર જે વિષયો પર રિપોર્ટિંગ નથી ઇચ્છતી તેની પર રિપોર્ટિંગ કરીને પોતાની કારકિર્દી અને જિંદગી જોખમમાં મૂકી છે. લોકશાહી દેશમાં, અખબારી સ્વાતંત્ર્ય અંગે વિદેશી મીડિયા હાઉસિઝનો આ અભિપ્રાય હોય તો જાગૃત નાગરિક તરીકે આપણને શરમ આવવી જોઇએ. વર્ષો પહેલાં દૂરદર્શન પર વિક્રમ ઔર વેતાળ સિરિયલમાં એક સંવાદ હંમેશાં વેતાળનાં મ્હોંએ બોલાતો – ‘તુ બોલા ઔર મેં ચલા’, અત્યારે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને દરોડાનો અવાજ સંભળાય કે, ‘તુ બોલા ઔર મેં આયા.’

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 માર્ચ 2023

Loading

ન્યાયતંત્રએ ન્યાયતંત્રને બચાવવાનું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 March 2023

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓએ સર્વાનુમતે ચુકાદો આપ્યો છે કે હવે પછી ચૂંટણીપંચના વડા અને તેમના બીજા બે સહાયકોની નિમણૂક સરકાર મનસ્વીપણે નહીં કરે, પરંતુ વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણ મુજબ કરશે. જો વિરોધ પક્ષના નેતાનો સત્તાવાર હોદ્દો ધરાવવા જેટલી બેઠકો કોઈ પક્ષ ન ધરાવતો હોય તો લોકસભામાં સૌથી મોટા પક્ષના સંસદીય નેતાની સાથે સલાહ મસલત કરીને નિર્ણય લેવામાં આવે. આ ચુકાદો તો આવકાર્ય છે જ પણ ખુશીની વાત એ છે કે સર્વોચ્ચ અદાલતની ખંડપીઠનાં પાંચેય ન્યાયમૂર્તિઓએ સર્વાનુમતે આ ચુકાદો આપ્યો છે. આજકાલ સર્વોચ્ચ અદાલતમાં પણ ખંડપીઠ હોય તો એકાદ-બે જજ નોખા પડીને સરકારને અનુકૂળ ચુકાદાઓ આપે છે અને પછી નિવૃત્તિ પછીના લાભ લઈ લે છે. આ ખરીદવા-વેચાવાનો યુગ છે.

વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના જજોની નિમણૂકની માફક ચૂંટણીપંચના વડાની નિમણૂક બાબતે પણ બંધારણ ચૂપ છે અને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ પણ એક બંધારણીય લોકશાહી સંસ્થા છે અને તે શાસકોનાં પ્રભાવથી મુક્ત હોવી જોઈએ. લોકશાહી સંસ્થા એ કહેવાય જેના થકી લોકશાહી ટકી શકે, સંવર્ધન પામે. જો ચૂંટણીપ્રક્રિયામાં જ ઘાલમેલ થતી હોય તો લોકશાહી ક્યાંથી ટકે? પણ ખબર નહીં કેમ, પણ બંધારણ ઘડનારાઓએ આવી મહત્ત્વની સંસ્થાઓમાં નિમણૂકનો અધિકાર શાસકોને આપ્યો છે. શાસકો મોટાભાગે સનદી અધિકારીઓમાંથી કોઈની ચૂંટણીપંચના વડા તરીકે નિમણૂક કરે છે. આ ત્રુટીનો લાભ સરકાર લે છે અને અત્યારે તો ઉઘાડેછોગ તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ ઘૂંટણિયે પડી ગયું છે. સરકાર કહે એ મુજબ ચૂંટણી જાહેર કરે, સરકાર કહે એ મુજબ સમય પત્રક બનાવે, સરકાર કહે એ મુજબ જ્યાં ચૂંટણી થવાની હોય ત્યાં સરકારને અનુકૂળ હોય એવા અધિકારીઓની નિમણૂક કે બદલી કરવામાં આવે, સરકાર કહે એ મુજબ મતદારક્ષેત્રની રચના કે પુનર્રચના કરવામાં આવે, સરકાર કહે એ મુજબ આચારસંહિતા લાગુ કરવામાં આવે અને સરકાર કહે એ મુજબ આચારસંહિતાનો ભંગ કરનારાને દંડવામાં આવે અથવા આંખ આડા કાન કરવામાં આવે. વિરોધ પક્ષ હોય તો દંડવાના અને શાસક પક્ષ હોય તો આંખ આડા કાન કરવાના. સરકાર કહે એ મુજબ જે તે બૂથમાં ગેરરીતિનું ટકી ન શકે એવું બહાનું કાઢીને એ મતદારક્ષેત્રમાં ફેરચૂંટણી યોજવામાં આવે અને બીજી બાજુ ઊઘાડી ગેરરીતિ થઈ હોવા છતાં સરકારને માફક ન આવે તો ફેરચૂંટણી યોજવામાં ન આવે. વર્તમાન શાસકોએ ચૂંટણીપંચને પાંજરામાં પૂરેલા પોપટ જેવું બનાવી નાખ્યું છે. સી.બી.આઈ., ઇ.ડી., રીઝર્વ બેંક, વગેરે પણ સરકારી પોપટ છે.

ભારતીય જનતા પક્ષ પ્રમાણમાં સહેલાઇથી ચૂંટણી જીતી શકે છે એનાં મુખ્ય બે કારણો છે. એક છે ચૂંટણીપંચ પરનો કબજો. ચૂંટણીઓ ચૂંટણીપંચ નથી યોજતું, ભા.જ.પ. યોજે છે. એ લોકો તો માત્ર આદેશોનું પાલન કરે છે. ચૂંટણીઓ જીતવાનું બીજું અને કદાચ વધારે સબળ કારણ છે રાજકીય પક્ષોને આપવામાં આવતા બોન્ડ્સ. ૮૦ ટકા બોન્ડ્સ ભા.જ.પ.ને જાય છે જેનો અર્થ એ થયો કે કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતાં નાણાંનો ૮૦ ટકા હિસ્સો ભા.જ.પ.ને જાય છે. કોર્પોરેટ કંપનીઓ બીજા રાજકીય પક્ષોને બોન્ડ્સ આપતા ડરે છે, કારણ કે કાયદો એવો ઘડવામાં આવ્યો છે કે રીઝર્વ બેંક દ્વારા સરકારને ખબર પડી જાય કે કઈ કંપની કયા રાજકીય પક્ષને આર્થિક મદદ કરી રહી છે. ઉદ્યોગપતિઓ ડરે છે અને ડરવું પડે એવું વાતાવરણ પણ પેદા કરવામાં આવ્યું છે. અંગ્રેજીમાં જેને લેવલ પ્લેયિંગ ફિલ્ડ કહેવાય એવું એક સમાન મેદાન રહેવા દીધું નથી. ભા.જ.પ. નાણાંકીય તાકાતમાં બીજા રાજકીય પક્ષો કરતાં આઠ પગથિયાં ઉપર છે અને બાકીના બે પગથિયાંમાં એટલે કે ૨૦ ટકા નાણાંમાં બસો પક્ષો છે. આ જે નાણાંકીય તાકાતમાં અસમાનતા પેદા કરવામાં આવી છે એ ભા.જ.પ.ની જીતોનું બીજું કારણ છે. આને પડકારતી એક અરજી સર્વોચ્ચ અદાલતમાં ૨૦૧૭થી પડી છે અને હજુ સુધી તેને હાથ ધરવાનો સર્વોચ્ચ અદાલતને સમય મળ્યો નથી. અર્ણવ ગોસ્વામીની જામીન અરજી તાત્કાલિક સાંભળવા માટે સર્વોચ્ચ અદાલત પાસે સમય છે, લોકશાહીનો પ્રાણ હરી લેનારી ઈલેક્ટોરલ બોન્ડ્સની ગેરબંધારણીય જોગવાઈ વિશે નિર્ણય કરવાનો સર્વોચ્ચ અદાલત પાસે સમય નથી.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમણે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ્સને પડકારતી અરજીને સર્વોચ્ચ અદાલત હવે પછી ઝડપથી સાંભળશે. એ તો કોવીડને કારણે સમય મળ્યો નહોતો, બાકી અમારી પ્રતિબદ્ધતામાં કોઈ ખામી નથી. અર્ણવ ગોસ્વામીની ધરપકડની ઘટના પણ કોવીડકાળમાં જ બની હતી, પરંતુ તેને માટે કોવીડ છતાં ય અદાલત પાસે સમય હતો. ત્યારે સર્વોચ્ચ અદાલત કહી શકી હોત કે આ મામૂલી ઘટના છે અને વડી અદાલતમાં ફરી વાર અરજી કરો. કયો જજ કઈ અરજી દાખલ કરે છે, કેવો ચુકાદો આપે છે અને નિવૃત્તિ પછી ક્યાં ગોઠવાય છે એનાં પર નજર રાખો તો બધું જ સમજાઈ જશે. તો જે જોગવાઈને કારણે લોકતંત્રનો પ્રાણ હરાઈ રહ્યો છે અને દેશમાં એકપક્ષીય તાનાશાહી લાગુ થઈ રહી છે એની સામેની પિટીશન સાંભળવા માટે સર્વોચ્ચ અદાલતને છ વરસથી સમય નથી મળતો. સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચ વિશે જેમ ચુકાદો આપ્યો છે એમ ભેગાભેગ બોન્ડ્સ વિશે પણ ચુકાદો આપશે તો જ દેશમાં લોકતંત્ર બચવાનું છે. એ ક્યારે થશે ભગવાન જાણે. ન્યાયમૂર્તિઓ સરકારની તરફેણમાં ચુકાદો આપી શકે એમ નથી અને વિરોધમાં ચુકાદો આપતા ડરે છે. માટે અરુણ શૌરી કહે છે કે દરેક અનૈતિકતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવી જોઈએ. ન્યાય ન મળે તો વાંધો નહીં, કમ સે કમ પવિત્ર સ્થાને બિરાજમાન લોકો કેટલા અપવિત્ર કામ કરે છે એની તો ઇતિહાસમાં નોંધ લેવાશે. આખરે ઇતિહાસ સૌથી મોટો ન્યાયધીશ છે. વેચાઈ ગયેલા અર્ણવ ગોસ્વામીઓ અને ન્યાયમૂર્તિ ફૂકનો અને તેમને ખરીદનારા શાસકો ત્યાં નોધારા હશે.

સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠનો સર્વાનુમતે આપેલો ચુકાદો આવકાર્ય છે. રણમાં મીઠી વીરડી સમાન છે. પણ એક સમસ્યા છે. ચૂંટણીપંચના સભ્યોની નિમણૂક કરવાની ભલામણ કરવાનો અધિકાર જે ત્રણ જણને આપવામાં આવ્યો છે એમાં સૌથી તકલાદી ખૂણો મુખ્ય ન્યાયમૂર્તિનો છે. ફૂકનો મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચી જાય છે અને સોદા કરીને લાભ લઈને જતા રહે છે એ તો આપણે જોઈએ જ છીએ. અને તમને તો ખબર જ છે કે વર્તમાન શાસકોનો પહેલો ટાર્ગેટ ન્યાયતંત્ર છે. ફૂકનો ગોઠવાઈ જાય પછી ન્યાયતંત્ર કહેશે એમ કાયદાના રાજનું પાલન કરવામાં આવશે. ઉલ્લંઘન કરે એ બીજા. પાકિસ્તાન જેવું જ કાયદાનું રાજ ભારતમાં પણ હશે. ફૂકનો વડા પ્રધાન સાથે મળીને ચૂંટણીપંચના વડાઓની નિમણૂક કરશે. આ દેશના દુર્ભાગ્ય જુઓ! દેશ પાકિસ્તાનને અનુસરે છે. માટે પાકિસ્તાની કવયિત્રી ફેહમિદા રિયાઝે કહ્યું હતું કે “તુમ તો બિલકુલ હમ જૈસે નિકલે …”

લોકશાહી ઝિંદાબાદ!

અત્યારે પહેલી જરૂરિયાત ન્યાયતંત્રએ ન્યાયતંત્રને બચાવવાની છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 માર્ચ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—186

દીપક મહેતા|Opinion - Opinion|4 March 2023

જન્મે જર્મન, કર્મે હિન્દુસ્તાની સરકારી અધિકારી

જ્યોર્જ બ્યૂલરનું અણધાર્યું અવસાન : અકસ્માત કે આપઘાત?   

“વર્ણશુધ્ધિ (જોડણી) સંબંધી ને લખાણમાં કહીં કહીં ફેરફાર કરવા સંબંધી ડો. બ્યૂલરસાહેબે પ્રૂફ જોઈ જતાં કેટલીક અગત્યની ને સારી સૂચનાઓ કરી છે.” આવું લખનાર કોઈ નવોસવો લેખક નહિ, અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદ છે. ‘સરકારી નર્મગદ્ય’ની ૧૮૭૪માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં નર્મદે આ પ્રમાણે લખ્યું છે. એટલે કે, આ વિદેશી સાહેબ નર્મદની જોડણી સુધારી શકે એટલી સારી રીતે ગુજરાતી ભાષા જાણતા હતા. નર્મદના લખાણમાં ફેરફાર સૂચવી શકે એટલા કાબેલ હતા. અને સૌથી વધુ તો સ્વાભિમાનની મૂર્તિ જેવો નર્મદ તેમની સૂચનાઓને ‘અગત્યની ને સારી’ કહીને સ્વીકારે એવા મોભાદાર હતા.

જ્યોર્જ બ્યૂલર

પણ આ બ્યૂલરસાહેબ હતા કોણ? આવા સંદર્ભોનું પગેરું શોધવાની જરૂર આપણા સારા અભ્યાસીઓને પણ ભાગ્યે જ જરૂરી લાગે છે. હશે કોક સરકારી અધિકારી. એને વિષે ઝાઝી પંચાત કરવાની શી જરૂર? હા, કેટલાક વખત માટે આ બ્યૂલર અંગ્રેજ રાજના અધિકારી હતા ખરા. પણ એટલું જ નહોતા. એ હતા ઇન્ડોલોજીના એક પ્રકાંડ પંડિત. હા, કેટલાક અંગ્રેજ અફસરોએ આપણા દેશના લોકોનું બૂરું કરેલું એની ના નહિ. પણ બીજી બાજુ આ દેશનું ભલું ચાહનારા, એનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના અભ્યાસ પાછળ આખી જિંદગી ખરચી નાખનારા  અધિકારીઓ પણ હતા.

આ જ્યોર્જ બ્યૂલર જન્મે અંગ્રેજ નહોતા, જર્મન હતા. જર્મનીના બોર્સટેલ નામના નાનકડા ગામમાં એક પાદરીને ઘરે ૧૮૩૭ના જુલાઈની ૧૯મી તારીખે તેમનો જન્મ. શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી ઘરે રહીને મેળવ્યું. પછી વધુ અભ્યાસ માટે નજીકના હાનોવર ગયા. ત્યાં ફિલસૂફી, સંસ્કૃત, ઝંદ, ફારસી, આર્મેનિયન અને અરબી જેવી ભાષા શીખ્યા. માત્ર એકવીસ વરસની ઉંમરે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૮૫૮માં વધુ અભ્યાસ માટે પેરિસ અને લંડન જવાનું ઠરાવ્યું. પેરિસમાં સંસ્કૃત હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો. ૧૮૬૯થી ૧૮૬૨ સુધી લંડનમાં સંસ્કૃત અને ઇન્ડોલોજીનો અભ્યાસ કરતા રહ્યા. લંડનમાં વિખ્યાત ઇન્ડોલોજીસ્ટ મેક્સમૂલરના પરિચયમાં આવ્યા. આજીવિકા માટે ગ્રેટ બ્રિટનનાં મહારાણીની વિન્ડસર કાસલની લાઈબ્રેરીના સહાયક લાઈબ્રેરિયન તરીકે કામ કર્યું. 

પચીસ વરસની ઉંમરે પાછા સ્વદેશ ગયા. ત્યાંની એક લાઈબ્રેરીમાં કામ શરૂ કર્યું. પણ થોડા વખત પછી મેક્સમૂલર તરફથી સંદેશો મળ્યો : ‘હિન્દુસ્તાનની બનારસ હિંદુ યુનિવર્સiટીમાં ભણાવવા જવું છે? હજી આ દરખાસ્તનો જવાબ આપે એ પહેલાં બીજો સંદેશો : ‘મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પૌર્વાત્ય ભાષાઓના અધ્યાપક તરીકે કામ કરવા જવું છે?’ આજ સુધી જે હિન્દુસ્તાન વિષે ઘણું બધું વાંચ્યું હતું, જાણ્યું હતું, વિચાર્યું હતું, એ હિન્દુસ્તાન જવાની, જોવાની તક જતી કરાય? તરત મેક્સમૂલરને જવાબ મોકલ્યો : ‘તમે કહો ત્યારે મુંબઈ જવા તૈયાર છું.’

૧૮૬૩ના ફેબ્રુઆરીની દસમી તારીખે પહેલી વાર મુંબઈની ધરતી પર પગ મૂક્યો. એ પછીનાં ૧૭ વરસ બ્યૂલરે બોમ્બે પ્રેસિડન્સીમાં ગાળ્યાં. સૌથી પહેલાં બન્યા ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશન, એટલે કે શિક્ષણ અધિકારી. આ પદે નીમાનાર તેઓ પહેલા જ હતા. એટલે આખા મુંબઈ ઈલાકાના શિક્ષણના તંત્રને ગોઠવવા માટે ઘણું કામ કરવું પડે તેમ હતું. એ વખતની સરકારમાં એક વ્યક્તિ એક હોદ્દો એવો નિયમ નહોતો. એનાં બે કારણ : એક, આ સરકાર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામની વેપારી કંપનીની હતી. એટલે જ્યાં કરકસર થઈ શકે ત્યાં કરવી એ પહેલો નિયમ. બીજું, એ જમાનામાં ગ્રેટ બ્રિટન છોડીને હિન્દુસ્તાન આવવા પ્રમાણમાં ઓછા અંગ્રેજો તૈયાર થતા. કારણ અહીંની અનેક હાડમારીઓ – ગરમ, ભેજવાળી હવા, ગંદકી, રોગચાળો, બ્રિટિશ ધોરણ પ્રમાણેના શિક્ષણની ઓછપ. એટલે એક વ્યક્તિને બે-ત્રણ હોદ્દાની જવાબદારી સોંપાતી. એટલે બ્યૂલરને એલ્ફિન્સ્ટન કોલેજમાં સંસ્કૃત, પ્રાકૃત અને લેટિન ભાષાના તથા તુલનાત્મક ભાષાશાસ્ત્રના વર્ગો લેવાનું કામ પણ સોંપાયું. સંસ્કૃત ભાષા-સાહિત્ય અને ન્યાયશાસ્ત્રના જાણીતા વિદ્વાન કાશીનાથ ત્ર્યંબક તેલંગ એલ્ફિન્સ્ટન કોલેજમાં તેમના વિદ્યાર્થી હતા. અને હા. કોલેજની નવી લાઈબ્રેરી ઊભી કરવાની હતી. મુંબઈ યુનિવર્સiટીની સંસ્કૃત, લેટિન, ગ્રીક અને મરાઠીની પરીક્ષાઓમાં ચીફ એક્ઝામિનર તરીકે કામ કરવાનું હતું.

૧૮૬૪માં બ્યૂલાર યુનિવર્સિટી ઓફ બેમ્બેના ફેલો બન્યા, બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના સભ્ય બન્યા. એ જ વરસે મુંબઈના ગવર્નરે એક ગંજાવર કામ સોંપ્યું : હિંદુ કાયદાઓનો આકર ગ્રંથ (ડાઈજેસ્ટ) તૈયાર કરવાનું. એટલે મુંબઈના શાસ્ત્રીઓ પાસે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. હિંદુ કાયદાઓ વિષે એ વખતે છાપેલાં પુસ્તકો તો લગભગ હતાં જ નહિ. એટલે એ અંગેની હસ્તપ્રતો ભેગી કરીને વાંચવી પડે. એટલે હસ્તપ્રતો મેળવવા પ્રવાસો કર્યા. હસ્તપ્રતો વાંચતા જાય અને તેના સારાંશ અંગ્રેજીમાં તૈયાર કરતા જાય. અને હા. સરકારને જરૂરી હસ્તપ્રતો મેળવવા પ્રવાસ કરે ત્યારે પોતાના રસની હસ્તપ્રત જુએ તો તે પણ ખરીદી લે, પોતાને પૈસે.

બ્યૂલરની માતૃભાષા જર્મન, પણ જેને આદર્શ માનેલા તે મેક્સમૂલરની જેમ જે કાંઈ લખ્યું તે બધું અંગ્રેજીમાં. ૧૮૬૭માં તેમણે ‘ડાયજેસ્ટ ઓફ હિંદુ લો’નો પહેલો ખંડ પ્રગટ કર્યો જેમાં વારસા અંગેના કાયદાઓનો સમાવેશ થતો હતો. પણ પછી મુંબઈની હવા માફક ન આવતાં પૂના ગયા. ત્યાંની ડેક્કન કોલેજમાં સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું. તબિયત સુધર્યા પછી પાછા મુંબઈ આવી એલ્ફિન્સ્ટન કોલેજમાં કામ કરવા લાગ્યા. સાથોસાથ સંસ્કૃત હસ્તપ્રતો એકઠી કરવાનું કામ મોટે પાયે ઉપાડ્યું. એ કામમાં સગવડ થાય એટલા ખાતર સરકારે તેમને લેફ્ટન્ન્ટ જનરલનો માનદ્દ હોદ્દો આપ્યો. તેમણે એક જ વરસમાં લગભગ ૧૪ હજાર હસ્તપ્રતો ખરીદીને અથવા નકલ કરાવીને એકઠી કરી! તેને આધારે ‘ડાયજેસ્ટ ઓફ હિંદુ લો’નો બીજો ભાગ ૧૮૬૯માં પ્રગટ કર્યો. હસ્તપ્રતોની સાથોસાથ સરકારની મંજૂરી લઈને જૂનાં તામ્રપત્રો, શિલાલેખો વગેરે ઉકેલવાનું કામ પણ શરૂ કર્યું. ગુજરાતના આવા લેખોનો અભ્યાસ કરી તેને વિષે લેખો લખ્યા. ખંભાત, લીમડી, અમદાવાદના જૈન હસ્તપ્રત ભંડારોની સૂચિ તૈયાત કરી. હસ્તપ્રતો મેળવવા છેક કાશ્મીર સુધીના પ્રવાસો કર્યા. પણ પછી ફરી એક વખત નબળી તબિયત આડી આવી. લિવરની ગંભીર બીમારી લાગુ પડી. સ્વેચ્છાએ વહેલી નિવૃત્તિ લઈ ૧૮૮૦ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે બ્યુલરે ન છૂટકે હિન્દુસ્તાન છોડ્યું.

હિન્દુસ્તાન છોડ્યું ખરું, પણ તેની સાથે સતત સંકળાયેલા તો રહ્યા જ. ૧૮૮૧થી તેમણે વિયેના યુનિવર્સિટીમાં ઇન્ડો-આર્યન રિસર્ચ એન્ડ ધ ઇન્ડિયન ફિલોસોફી’ નામનો નવો વિભાગ શરૂ કરી તેમાં ભણાવવાનું શરૂ કર્યું. આ વિભાગમાં તેઓ સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, પાલી અને ગુજરાતી ભાષા શીખવતા. આ ઉપરાંત હિંદુ ધર્મશાસ્ત્ર, હિન્દુસ્તાનનાં ઇતિહાસ, ધર્મો, પ્રાચીન સાહિત્ય વગેરે વિષે જાહેર વ્યાખ્યાનો આપતા. તે પાછળનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ઇન્ડોલોજીના અભ્યાસ તરફ આકર્ષવાનો હતો. આ ઉપરાંત ઇન્ડોલોજી અંગેની વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લઈ તેમણે સંશોધન લેખો રજૂ કર્યા. આ ઉપરાંત મેક્સમૂલરે શરૂ કરેલા ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઇસ્ટ’ નામના પ્રકલ્પ સાથે પણ તેઓ જોડાયા હતા.

હિન્દુસ્તાનમાં સત્તર વરસ રહીને હિન્દુસ્તાન વિષે કામ કર્યું. બીજાં સત્તર વરસ વિયેનામાં રહી હિન્દુસ્તાન વિષે કામ કર્યું. હજી તો માંડ ૬૧ વરસની ઉંમરે પહોચ્યા હતા. ઘણાં કામ કરવાનાં અરમાનો હતાં, યોજનાઓ હતી. પણ ત્યાં જ તેમના જીવનનો અણધાર્યો અંત આવી ગયો. ઇસ્ટરની રજાઓ માણવા માટે પત્ની અને બાળક સાથે ૧૮૮૯ના એપ્રિલની પાંચમી તારીખે બ્યુલર વિયેનાથી ઝુરિક ગયા. આઠમી એપ્રિલે લેક કોન્સટન્સમાં એકલા બોટિંગ કરવા ગયા. બોટિંગના ખાસ્સ્સા જાણકાર અને અનુભવી હતા. પણ ન તો તેઓ પાછા આવ્યા, કે ન તો ઘણી મહેનત કરવા છતાં તેમનો મૃતદેહ મળ્યો.

૧૯મી સદીમાં લેક કોન્સટન્સ, ઝુરિક

સાધારણ રીતે મનાય છે કે તેઓ અકસ્માતના ભોગ બન્યા હતા. પણ કેટલાક કહે છે કે તેઓ એક કૌભાંડમાં અજાણતાં જ સંડોવાયા હતા એટલે તેમણે આપઘાત કર્યો હતો. હિન્દુસ્તાનમાં સરકારી નોકરી કરતા તેમના એક વિદ્યાર્થીએ તદ્દન બનાવટી શિલાલેખો, હસ્તપ્રતો, વગેરે ઊભાં કરીને જાતજાતની ખોટી માહિતી આપતા લેખો પ્રગટ કર્યા હતા. તેમની આ ‘શોધો’ને કારણે તેમને ઘણી નામના મળી હતી અને સરકારી નોકરીમાં બઢતી મળી હતી. પણ પછી સાચી હકીકતો બહાર આવતાં બદનામી તો થઈ જ પણ સરકારી નોકરીમાંથી પણ તેમને છૂટા કરવામાં આવ્યા. પોતાનો એક વિદ્યાર્થી આવું તરકટ કરે તેનું દુઃખ તો હતું જ, પણ પોતે એ તરકટને પકડી ન શક્યા એનો વસવસો વધુ હતો. તેને કારણે તેઓ હતાશા – ડિપ્રેશન – માં રહેતા હતા. અને એવી અવસ્થામાં જ તેમણે આપઘાત કર્યો એમ કહેવાય છે. અવસાન થયું એ વખતે તેઓ ‘એન્સાકલોપીડિયા ઓફ ઇન્ડિયન ફિલોસોફી’ અને ‘હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા બીફોર મોહમેડન ઇન્વેઝન’ જેવાં બે મોટાં કામ હાથ પર લઈને બેઠા હતા. એ બંને કામ તેમના અકાળ અવસાનને કારણે અધૂરાં રહ્યાં. આમ છતાં તેમનાં ઇન્ડોલોજી વિશેનાં પુસ્તકોની સંખ્યા ૧૮ જેટલી થવા જાય છે.

હિન્દુસ્તાનમાં હતા ત્યારે બ્યૂલરે એક સાથે બે ઘોડાની સવારી કરવાની હતી. એક બાજુથી અંગ્રેજ સરકારની જરૂરિયાતો અને માગણીઓ સંતોષવાની હતી. તો બીજી બાજુ પોતાનાં અંગત અભ્યાસ, સંશોધન અને લેખન દ્વારા જર્મનીના ઇન્ડોલોજીસ્ટોની જમાતમાં પોતાને માટે માનભર્યું સ્થાન મેળવવાનું હતું. 

બ્યૂલર હિન્દુસ્તાનમાં હતા ત્યારે સ્વિત્ઝરલેન્ડમાં રહેતા પોતાના સાળાને નિયમિત રીતે પત્રો લખતા હતા. તેમના સાળાનાં વારસોએ એ પત્રો જતનપૂર્વક જાળવી તો રાખ્યા છે. પણ કોઈ કહેતાં કોઈને જ એ જોવા-વાંચવા આપતા નથી. એ પત્રો ભવિષ્યમાં ક્યારેક પ્રકાશ્માં આવે તો બ્યૂલરનાં જીવન અને કાર્ય ઉપર, હિન્દુસ્તાન સાથેના તેમના ગાઢ સંબંધ ઉપર વધુ પ્રકાશ પડી શકે.

આવા બીજા ભારતપ્રેમી પરદેશીઓ વિષે થોડી વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 04 માર્ચ 2023

Loading

...102030...1,0821,0831,0841,085...1,0901,1001,110...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved