Opinion Magazine
Number of visits: 9458136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝૂકી લાગે છે

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Poetry|7 March 2023

કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે,

અગનમાં ગગનથી વર્ષા છૂટી લાગે છે.

હોમી દીધું શરીર આખું ખેતરમાં તો પણ,

આજે આ કિસ્મત ખેડૂતથી રૂઠી લાગે છે.

જગતનાં તાત પર દાંત કાઢે છે આજે તું,

તારી પણ પ્રામાણિકતા ખૂટી લાગે છે.

પ્રહ્લાદ તો જીવતો રહ્યો હશે જ પણ,

હોલિકા સંસારમાં આજે ઘૂસી લાગે છે.

ઉંબરે પહેરેદાર રાખવા પડશે હવે તો,

આસુરી શક્તિ અવકાશથી તૂટી લાગે છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

નારી દિવસ નિમિત્તે એક નજર ગઈ કાલ પર

દીપક મહેતા|Opinion - Opinion|7 March 2023

ધનકોરબાઈ

બીજી મે ૧૮૭૧ના દિવસે મુંબઈમાં એક અભૂતપૂર્વ ઘટના બની : ધનકોરબાઈ અને માધવદાસ રૂગનાથનાં લગ્ન થયાં. પણ એમાં અભૂતપૂર્વ શું? એ કે ધનકોરબાઈ વિધવા હતાં અને માધવદાસ વિધુર. આ લગ્ન એ મુંબઈ શહેરમાં થયેલું પહેલવહેલું વિધવાનું પુનર્લગ્ન. અલબત્ત, વિધવા-વિવાહ અંગેનો બાધ માત્ર ‘ઉજળિયાત’ કહેવાતી કોમો પૂરતો જ મર્યાદિત હતો. બીજા વર્ણોમાં તો તે એક સામાન્ય બાબત હતી. પણ ‘ઉજળિયાત’ વર્ગની વિધવાઓ પણ ફરી લગ્ન કરી શકે એ હેતુથી ૧૮૫૬માં વિધવા પુનર્લગ્ન અંગેનો કાયદો બ્રિટિશ સરકારે પસાર કર્યો. આ કાયદો પસાર થયા પછી પહેલવહેલાં વિધવાનાં લગ્ન બંગાળમાં ૧૮૫૬ના ડિસેમ્બરની સાતમી તારીખે થયાં. આ કાયદો ઘડવામાં અને તેને પસાર કરાવવામાં જેમનો ઘણો મોટો ફાળો તે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે છ વરસની ઉંમરની એક વિધવા બ્રાહ્મણ છોકરીનાં તે દિવસે પોતાને ખર્ચે પુનર્લગ્ન કરાવ્યાં. ત્યાર બાદ તેમના દીકરાએ પણ એક વિધવા સાથે લગ્ન કરેલાં. બોમ્બે પ્રેસિડેન્સીમાં પહેલા વિધવા વિવાહ ૧૮૬૯માં કોંકણમાં થયા અને તળ મહારાષ્ટ્રમાં ૧૮૭૫માં. સર રામકૃષ્ણ ભાંડારકરે પોતાની વિધવા દીકરી શાંતાબાઈનાં ફરી લગ્ન કરાવ્યાં, ૧૮૯૧માં. ૧૮૯૩માં મહર્ષિ ધોન્ડો કેશવ કર્વેએ પોતે એક વિધવા સાથે લગ્ન કર્યાં એટલું જ નહિ, ૧૮૯૬માં પૂના નજીક હિંગણે ખાતે વિધવાઓ માટે આશ્રમ પણ સ્થાપ્યો. આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ૧૮૭૨ના ઓગસ્ટની ૨૫મી તારીખે, અને કાઠિયાવાડમાં ૧૮૭૬ના ઓગસ્ટની ૧૯મીએ પહેલી વાર વિધવાનાં લગ્ન થયાં.

માધવદાસ અને ધનકોરનાં લગ્ન એ મુંબઈમાં થયેલાં પહેલાં વિધવા પુનર્લગ્ન, ગુજરાતીઓમાં થયેલાં પણ એ પ્રકારનાં પહેલાં લગ્ન. પણ વાત અહીં પૂરી નથી થતી. જીવ્યા ત્યાં સુધી માધવદાસ અને ધનકોર બંને, વિધવા વિવાહને ક્ષેત્રે સતત સક્રિય રહ્યાં. તેમનાં પોતાનાં લગ્ન પછી મુંબઈ અને ગુજરાતમાં તેમણે વિધવા વિવાહને સદ્ધર ટેકો આપ્યો. તેમનાં લગ્ન પછીનાં સોળ વરસમાં ૨૫ ગુજરાતી અને ૨૧ મરાઠી ભાષીઓનાં પુનર્લગ્ન થયાં જેને તે બંનેએ ટેકો આપ્યો હતો. એ પછીનાં વીસ વરસમાં બીજાં ૪૦ એવાં લગ્ન થયાં. માધવદાસના અવસાન પછી પણ ધનકોરબાઈએ વિધવા વિવાહને સક્રીય ટેકો આપવાનું ચાલુ રાખ્યું. તે અંગે તેઓ અખબારો અને સામયિકોમાં લેખો પણ લખતાં. ૧૯૦૭માં સ્ત્રી-બોધ’ સામયિકને ૫૦ વરસ પૂરાં થયાં એ પ્રસંગે તેનો જ્યુબિલી વિશેષાંક ૧૯૦૮માં પ્રગટ થયો હતો. તે પહેલાં ધનકોરબાઈનું અવસાન થયું હતું, પણ અગાઉ તેમણે લખી આપેલો લેખ આ વિશેષાંકમાં પ્રગટ થયો હતો. એ લેખ નારી દિવસ નિમિત્તે આજે અહીં મૂક્યો છે.

વિશેષ નોંધ :

સો કરતાં વધુ વરસ જૂની, જીર્ણ ફાઈલમાંથી સ્કેન કરીને આ લેખ અહીં મૂક્યો છે. સ્કેન કર્યા પછી સોફ્ટ કોપીની બને તેટલી સફાઈ કરી છે. છતાં વાંચતાં મુશ્કેલી પડે તો દરગુજર કરવા વિનંતી.

e.mail : deepakbmehta@gmail.com

 

Loading

બિજુ પટનાયક : મૃત્યુ સાથે ખેલનારા હિંમતવાન મુખ્યમંત્રી

મનમોહન શર્મા (સિનિયર પત્રકાર) અનુવાદ : હિદાયત પરમાર|Opinion - Opinion|7 March 2023

ઓરિસ્સાના લોકનેતા બીજુ પટનાયકના નામથી આજની પેઢી કદાચ જાણતી ન હોય, પરંતુ એક સમયે દેશની રાજનીતિમાં તેમનો ઘણો દબદબો હતો. પત્રકાર તરીકેના મારા 56 વર્ષમાં મેં તેમનાથી વધુ હિંમતવાન વ્યક્તિ ક્યારે ય જોઈ નથી. તેમને મૃત્યુ સાથે રમવામાં ખરેખર મજા આવતી હતી. 

(5 March 1916 – 17 April 1997)

ઘટના 1966ની છે જ્યારે હું કાઁગ્રેસના તત્કાલિન પ્રમુખ કે. કામરાજ નાડર સાથે દેશના ચૂંટણી પ્રચારના રાષ્ટ્રવ્યાપી પ્રચાર માટે દેશનો પ્રવાસ કરી રહ્યો હતો. એ દિવસોમાં ઇન્ડિયન એરલાઈન્સ પાસે બીજા વિશ્વયુદ્ધના માત્ર બે જૂના નાના ડાકોટા વિમાન હતા અને તેમાં અમે કાઁગ્રેસ અધ્યક્ષ સાથે દેશનો પ્રવાસ કરતા હતા. અમે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર પહોંચ્યા. આગળનો કાર્યક્રમ ઓડિશાના દૂરના જિલ્લા જોયપુરમાં હતો. ત્યાં કોઈ નિયમિત એરપોર્ટ નહોતું, તેથી અમારા પાયલોટ કેપ્ટન કૌલે ત્યાં જવાની ના પાડી. તેમની દલીલ એવી હતી કે તેઓ હવાઈ મુસાફરોના જીવને જોખમમાં ન મૂકી શકે. તે દિવસોમાં બિજુ પટનાયક ઓડિશાના મુખ્ય મંત્રી હતા. તેઓ કોઈ પણ ભોગે કાઁગ્રેસ અધ્યક્ષને જોયપુર લઈ જવા માંગતા હતા. આ નાજુક સમયમાં, હિંમતવાન બીજુએ કાઁગ્રેસ અધ્યક્ષને ઓફર કરી કે તેઓ તેમની પાર્ટીને તેમના પોતાના ખાનગી વિમાનને સ્વયં હંકારીને જોયપુર લઈ જશે. કામરાજ દ્વિધામાં પડી ગયા હતા, પરંતુ પટનાયકના દબાણને કારણે તેમણે હથિયાર મૂકી દીધા હતા. અમે પાંચ જણ વિમાનમાં સવાર થઈ ગયા, જેને બીજુ પટનાયક સ્વયં ચલાવી રહ્યા હતા. અડધા કલાક પછી અમારું વિમાન જોયપુર શહેર પર ફરવા લાગ્યું અને બીજુએ તેને સફળતાપૂર્વક એક ખેતરમાં ઉતારી દીધું. નગરજનો અને આસપાસના લોકોએ ક્યારે ય વિમાન જોયું ન હતું અને કહેવા લાગ્યા ‘અરે! મોટું ગરુડ આવ્યું છે. તેમની નજરોમાં વિમાન એક મોટું પક્ષી હતું. ભીડે આ પ્લેનને ચારે બાજુથી ઘેરી લીધું અને હાથોથી ચેક કરવા લાગ્યા.

બિજુ પટનાયક સાથે આ મારી પ્રથમ મુલાકાત હતી. બિજુ પટનાયક ઉડિયા હોવા છતાં ખૂબ ઊંચા અને મજબૂત શરીરના માલિક હતા. તેની ઊંચાઈ લગભગ 6 ફૂટ હતી. તેમની ગણતરી પંડિત નેહરુના ખાસ લોકોમાં થતી હતી. તે ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ હતા. એ દિવસોમાં મને ભાત ખાવાની બહુ ચીડ આવતી. કમનસીબે આ મુલાકાત દરમિયાન કાઁગ્રેસ અધ્યક્ષને છેલ્લા 15 દિવસથી રાત-દિવસ ભાત ખાવાની ફરજ પડી હતી. જ્યારે મેં બીજુ પટનાયકના બંગલામાં એક સરદારજીને જોયા, ત્યારે હું તેમની તરફ દોડ્યો અને કહ્યું, ‘સરદારજી, અહીં કોઈ રોટલી મળે?’ સરદારજીએ કહ્યું કે શહેરમાં રોટલી મેળવવી મુશ્કેલ છે, પરંતુ તે મારા માટે તેમના ઘરેથી બનાવીને ચોક્કસ લાવશે. થોડી વારમાં સરદારજી ત્યાંથી ચાલ્યા ગયા. અચાનક એક નોકર મારી પાસે પહોંચ્યો અને કહ્યું કે મેડમ મને બોલાવી રહ્યાં છે. તે મારા માટે આશ્ચર્યજનક હતું કારણ કે ત્યાં કોઈ મને ઓળખતું ન હતું. થોડી વારમાં હું આ નોકર સાથે બંગલાના એક રૂમમાં ગયો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી મારી રાહ જોઈ રહ્યાં હતાં. હું રૂમમાં દાખલ થયો કે તરત જ તેણે મને સ્પષ્ટ પંજાબીમાં પૂછ્યું, ‘કિત્થો આયે હો?’ આ મારા માટે આશ્ચર્યજનક હતું. બાદમાં જાણવા મળ્યું કે આ ભદ્ર મહિલા બીજુ પટનાયકનાં ધર્મપત્ની જ્ઞાન પટનાયક છે, જે પંજાબી છે અને લાહોરનાં રહેવાસી છે. ત્રણ દિવસ સુધી, જ્ઞાન પટનાયકની કૃપાને કારણે, મેં પંજાબી ખાવાની મજા માણી.

ઓરિસ્સાના હાલના મુખ્ય મંત્રી નવીન પટનાયક આ જ બીજુ પટનાયકના પુત્ર છે. તેઓ કદાચ એવા મુખ્ય મંત્રી છે જે ઓડિશાના મુખ્ય મંત્રી હોવા છતાં ઓડિયા ભાષા નથી જાણતા. તેમણે મને એકવાર કહ્યું હતું કે તેમણે તેમનું તમામ શિક્ષણ અમેરિકામાં લીધું છે, પરંતુ તે તૂટીફૂટી પંજાબી ખૂબ સારી રીતે બોલી શકે છે અને તેને સમજી પણ શકે છે. તેમણે સ્વીકાર્યું કે તે તેમની પંજાબી માતાની ભેટ હતી.

બીજુ પટનાયકનો જન્મ 1916માં ગંજમ જિલ્લાના એક સામાન્ય પરિવારમાં થયો હતો. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી, તેમણે બ્રિટિશ એરફોર્સમાં પાઇલટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેઓ પંડિત નેહરુની નજીક આવ્યા.

મૃત્યુ સાથે રમવાનો જુસ્સો બીજી એક ઘટનાથી પણ જોવા મળે છે. ઇન્ડોનેશિયાના પ્રમુખ નેતા ડો. સ્વૂકારણો પંડિત નેહરુના નજીકના મિત્રોમાંના એક હતા. તે દિવસોમાં ઇન્ડોનેશિયા ડચોનું ગુલામ હતું. સ્વૂકારણો તેમનાથી છુટકારો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ડચ શાસકોએ સ્વૂકારણોને મહેલમાં કેદ કર્યા હતા. ચારે બાજુ ચુસ્ત બંદોબસ્ત હતો. સ્વૂકારણો આ જેલમાંથી છુટકારો મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે પંડિત નેહરુનો સંપર્ક કર્યો. નેહરુના આદેશ પર, બીજુ પટનાયક તેમના વિમાન સાથે ઇન્ડોનેશિયા પહોંચ્યા અને તેમણે આ મહેલની છત પર પોતાનું વિમાન લેન્ડ કર્યું. બાદમાં તે વિમાનમાં ડૉ સ્વૂકારણોને ચડાવ્યા અને દિલ્હી પહોંચી ગયા. ઇન્ડોનેશિયાનું આખું વહીવટીતંત્ર અને સેના તાકી રહી. આ ઘટના પછી પટનાયક નેહરુની નજરમાં ચઢી ગયા. 1961માં તેઓ ઓડિશાના મુખ્ય મંત્રી બન્યા. તેઓ ઇન્દિરા ગાંધીનો સાથ મેળવી શક્યા નહીં અને મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. 1975 માં, જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી, ત્યારે બીજુ પટનાયક તેમના આદેશ પર ઓરિસ્સામાં MIZA હેઠળ ધરપકડ કરવામાં આવેલા પ્રથમ નેતા હતા. બિજુ પટનાયક મોરારજીના શાસનમાં સ્ટીલ મંત્રી પણ રહ્યા. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી, જ્યારે કાઁગ્રેસની તરફેણમાં દેશવ્યાપી લહેર હતી, તો પણ બીજુ પટનાયક જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા હતા.

બીજુએ અપાર સંપત્તિ એકઠી કરી અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ તરીકે પણ ઉભરી આવ્યા. તેમના પર ભ્રષ્ટાચારના દાગ હતા, પરંતુ તેમ છતાં તેઓ તેમના રાજ્યમાં લોકપ્રિય રહ્યા. જ્યારે સ્વૂકારણો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે બિજુ પટનાયકને ઇન્ડોનેશિયાની માનદ્દ નાગરિકતા આપી અને તેમને તેમના દેશનું સર્વોચ્ચ સન્માન ‘બિટાંગ જસા ઉતમા’ એનાયત કર્યું.

સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0791,0801,0811,082...1,0901,1001,110...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved