Opinion Magazine
Number of visits: 9743069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વતનની ઘૂળથી માથું ભરી લઉં આદિલ ……….. આદિલ મન્સૂરી 

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|28 July 2023

૧૯૯૫ના ઑકટોબર માસની એક વીકએન્ડમાં, રોચેસ્ટર-ટોરાન્ટોમાં મેં આદિલ મન્સૂરીનું કાવ્યવાંચન ગોઠવ્યું હતું. ટોરાન્ટોના કાર્યક્રમ બાદ, રવિવારની બપોરે મારા ઘરે નિરાંતે અમે બંને જણા બેઠા હતા. તે વખતે મેં કવિતાને નામે કોરા કાગળ પર કરેલા આડાઊભા લીટા આદિલભાઈને દેખાડયા. તે સાંજે સહપરિવાર સાથે વાળુપાણી કરતાં કવિ આદિલ મન્સૂરીએ તેના રમૂજી સ્વભાવ પ્રમાણે મને કહ્યું, ‘તમે આજથી હવે લઘુકાવ્ય પર હાથ અજમાવો. તમે માનો કે ન માનો તમારાં લઘુ કાવ્યમાં ક્યાંક ઊંડાણ છે તો કોઈક કાવ્યમાં ચમત્કૃતિ પણ જોવા મળે છે. એટલે તમને એક ખાસ સૂચન કરવાનું મન થાય છે કે તમે કોઈ એક પ્રતીક તે કોઈ એક કલ્પન પર એકથી વિશેષ લધુકાવ્યો લખો. માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે.’

આ પ્રમાણે મને જણાવી કહે કે, ‘લધુકાવ્ય લખવાં એટલે ડાબા હાથનો ખેલ, લ્યો, હું તમને એક લધુકાવ્ય સંભળાવું.’

‘એક પનિહારી

બેડું લઈને આવીઃ

કૂવો ભરી ગઈ.

લધુકાવ્ય સંભળાવતાં આદિલ જાણે મારી સાથે લઘુકાવ્યની અંતકડી રમતા હોય તેમ મને કહે કે ,’લ્યો, હવે તમે મને એક શીઘ્ર લઘુકાવ્ય રચીને સંભળાવો …’ 

આદિલના ઉમંગ પર મેં મારા ઘરની ખુલ્લી બારી બહાર નજર કરી તો ચારે બાજુ અમાસનું ઘોર અંઘારું છવાયું હતું. મારા પડોશીના ઘરની પરસાળમાં એક વીજળીનો દીવો ટમટમતો હતો. આ દૃશ્યને આંખ સામે રાખી મેં ફકત ગમ્મત ખાતર આદિલને એક શીઘ્ર લઘુકાવ્ય સંભળાવ્યું;

એક દીવો 

રાત આખી અંઘકાર 

બાળતો રહ્યો!

મારા હોઠેથી આ શબ્દો પૂર્ણ થયા ન થયા ત્યાં આદિલે રંગમાં આવી જઈ મને દાદ આપતાં કહ્યું, ‘અરે! ક્યા બાત હૈ ! જિગર, બહુત ખૂબ. તમે જરા એ કાવ્યને ફરી એક વાર મને સંભળાવો તો !’ મારા લધુ કાવ્યને ફરી એક વાર સાંભળ્યા બાદ તેમણે મને કહ્યું, ‘બહુ જ સુંદર ….. બસ, લ્યો ત્યારે આ શુભ ચોઘડિયે કરો તમે લધુકાવ્યના શ્રીગણેશ….. ‘ દોસ્તો ! કવિતાની શૈલીમાં અમેરિકાને હું મારો વનવાસ લેખું છું. અમેરિકા એટલે પરીઓ અને કમ્પ્યુટરનો દેશ. ચોમેર ફેલાયેલ ગુલાબી વાતાવરણ મારી ભીતર આકાર લેતી માણસાઈની ભાષાને સમજવા અસમર્થ જણાતાં મેં યંત્રની ભાષા સાથે એટલે કમ્પ્યુટરની ભાષા સાથે મૈત્રીનો હાથ મિલાવ્યો. ટૂંક સમયમાં માણસની ભાષા ભૂલી યંત્રની ભાષા સાથે હળીમળી ગયો.

એ ઢળતી સાંજે ગઝલકાર આદિલ મન્સૂરીએ જો મને કવિતા લખવા પ્રોત્સાહિત ન કર્યો હોત તો! કદાચ આજ મારે મન ડૉલર જ માણસ ! ડૉલર જ ભાષા ! ડૉલર જ વ્યવહાર ….અને સાચું કહું તો રાત્રે સ્વપ્નો ય હું ડૉલરનાં જ જોતો હોત !

•••

શનિવારની એક સાંજે હું એકાદ બે કલાકથી આદિલભાઈને ફોન કરવાની કોશિશ કરતો હતો પણ આદિલસાહેબ આજે મળતા ન હતા. છેવટે મોડી સાંજે ફોન પર તેમનો ભેટો મને થયો.

‘અરે! દાદા ક્યારનો કલાકોથી ફોન કરું છું ક્યાં ખોવાઈ ગયા હતા?’ “પોસ્ટ બૉકસમાં ટપાલ લેવા ગ્યો હતો. શું તમને ‘ઘબક’ મળ્યું?’

‘આજે બપોરે ટપાલમાં આવ્યું, મીર સાહેબે શૂન્ય પાલનપુરી વિશેષાંક પ્રગટ કર્યો છે.’

‘પાલણપુરે આપણને અગણિત ગઝલકારો આપ્યા, તેમાં શૂન્યભાઈનું યોગદાન ખાસ કરીને ઉમર ખય્યામની રુબાઈનો એમણે ગુજરાતીમાં કરેલો અનુવાદ લાજવાબ છે. થોડુંઝાઝું તેમનું કામ ગઝલના છંદ શાસ્ત્રના પુસ્તકોમાં. આ બઘા પાલણપુરીમાં મારી દૃષ્ટિએ સૈફ પાલનપુરીની ગઝલો શ્રેષ્ઠ છે. ભલે, તેમણે આંગળીના વેઢે ગણાય એટલી ગઝલો લખી. તમે ક્યારેક ફુરસદે તેમની ગઝલ પર નજર નાંખજો. હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમને તેની પ્રત્યેક ગઝલમાંથી એકાદ બે ઉચ્ચ કોટિના શેર ચોક્ક્સ મળી રહેશે.’

સૈફે ગઝલો ઉપરાંત ઘણાં સુંદર મજાના મુક્તકો પણ આપ્યાં છે, એમાં કોઈ ના નહીં. મારી દૃષ્ટિએ આ માણસ ખરેખર સંવરેલો, સંવેદનશીલ ગઝલકાર હતો. પણ સાથી શાયર મિત્રોએ સૈફને ખોટે રવાડે એટલે કે નઝમ તરફ ચઢાવી દીઘો. “અરે,સૈફ આપકી નઝમ મેં ક્યા તાકાત હૈ!” સરવાળે આપણને સૈફ પાસેથી જે સુંદર ગઝલો મળવી જોઈતી હતી તેને બદલે મળ્યો નઝમનો ઢગલો. ખરેખર આપણાં યુગનું આ કમભાગ્ય છે.’

•••

એક વીક ઍન્ડમાં સાંજે હું જમીને ઊભો થાઉં છું ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. ફોન લેતાં જ સામે છેડેથી આદિલભાઈનો મીઠો સૂર મારે કાને પડયો. ‘લાહોરમાં વસતા મારા પરમ મિત્ર ઝફર ઈકબાલને ગુજરાતી રદીફ ને ઉર્દૂ ગઝલ લખવા માટે રમેશ પારેખનો સમ્રગ કવિતાનો સંગ્રહ “છ અક્ષરનું નામ” ઉથલાવતો હતો. રમેશની ગઝલના બેચાર રદીફ મને બહુ જ ગમી ગયા જેવા કે, “ચશ્માના કાચ પર”, “કાગડો મરી ગયો’ વગેરે. રમેશને વાંચતાં મને તમારી સાથે વાત કરવાનું મન થયું. આ પહેલાં મેં રમેશની સમગ્ર કવિતાના સંગ્રહમાં ઉપર છલ્લી નજર ફેરવેલ. આજે ઝફર સાહેબને ચૂંટેલા રદીફ મોકલવા માટે સવારથી રમેશના સંગ્રહને લઈને બેઠો છું. આપણા ગુજરાતી ગઝલના વિદ્ઘાનો કે વિવેચકોએ રમેશની ગઝલ પર ઘ્યાન નથી આપ્યું. બસ છંદ દોષને લક્ષ્ય બનાવી કારણ વિનાના ખોટા બૂમબરાડા કર્યે રાખ્યા છે. જે વાત સાવ તુચ્છ છે એને બધા આજ લગી વળગીને બેઠા છે. આજે રમેશની ગઝલને નિરાંતે વાંચતાં મને એક બાબત ચોક્ક્સ સમજાણી કે રમેશ પારેખની ગઝલનું જોઈએ એવું આજ લગી મૂલ્યાંકન જ થયું નથી. તેની પ્રત્યેક ગઝલમાં ભારોભાર કવિતા છે. મારી દૃષ્ટિએ રમેશ ગીતકવિ જેટલો જ ઉત્તમ ગઝલકાર છે. પછી ઝફર સાહેબની વાતે વળગ્યા. આ ઝફર ઈકબાલ મને ગાલિબ જેટલા જ પ્રિય છે. ભલે ઝફર સાહેબ વ્યવસાયે વકીલ રહ્યા પણ આજે વર્તમાનમાં ઉર્દૂ ગઝલમાં  તેમના જેવો ઉત્તમ ગઝલકાર ભાગ્યે જ કોઈ મળે. આ માણસ સવારે પોતાનું નિત્યકર્મ પતાવી એકવાર પલાંઠી વાળીને ટેબલ-ખુરશી પર બેસી જાય પછી વીસ ગઝલ લખીને જ ઊઠે. એમની ગઝલની ખાસ વિશેષતા તો એ છે કે તેમની ગઝલમાં ન તો ફરી એક શબ્દ કે ફરી પાછો એ જ વિચાર આપણને એમની બીજી કોઈ ગઝલમાં જોવા મળે. તેમની હરેક ગઝલ એક નવું જ ફૂલ  અને નવી એક મહેક! તેમની ગુજરાતી રદીફ સાથેના ઉર્દૂ ગઝલસંગ્રહ “તરકીબ”નું હું સંપાદન કરી રહ્યો છું.

ભારતથી અમેરિકા અવારનવાર આવતા સાહિત્યકારો, કલાકારો અને કથાકારને સાંભળવા જતા મારા બેચાર અંગત મિત્રો મરીઝ સાહેબ વિશેની થોડીક વાતો અને તેમની ગઝલના થોડાક શેર સાંભળી આવ્યાં હશે એટલે એકાદ બે મિત્રોને થયું કે આપણા માનનીય કથાકાર આ ગઝલકારની આટલી કદર કરે છે તો પછી આપણે સુરત કે મુંબઈમાં મરીઝ સાહેબનું એકાદ સ્મારક બનાવી નાંખીએ તો એ રીતે આપણું નામ અને આપણા પ્રિય કથાકારની ઈચ્છા પૂર્ણ થઈ જાય. એકાદ  અઠવાડિયા બાદ જ્યારે આદિલભાઈ સાથે ફોન પર મારી વાત થઈ ત્યારે આ જ વાત મેં તેમને કરી. ‘અરે! તમે એ મિત્રને કહેજો કે, મરીઝ સાહેબ તો આજ લગી મૃત્યુ જ કયાં પામ્યા છે. સ્મારક, કબર તો મૃત્યુ પામનારની પાછળ બનાવવામાં આવે છે.’

આજથી લગભગ પાંચેક દાયકા પહેલાં એકાદ મુશાયરામાં કે પછી કોઈ મહેફિલમાં યુવાન આદિલની મુલાકાત ઉર્દૂના નામાંકિત ગઝલકાર ફિરાક ગોરખપુરી સાથે થયેલ. પ્રથમ મુલાકાતે જ આદિલની ગઝલથી પ્રભાવિત થયેલ ફિરાક સાહેબે, આદિલને પ્રશ્ન પૂછ્યો, “બરખુરદાર, તમારી દૃષ્ટિએ ગઝલ કોને કહેવાય?” યુવાન આદિલે પોતાની રીતે ફિરાકસાહેબને ગઝલની વ્યાખ્યા સમજાવી. “આદિલમિયાં, છંદ, કાફિયા અને રદીફ તો ગઝલનું શરીર છે. તમે મને જે કહ્યું એમાં ભલા ગઝલનો આત્મા કયાં છે? લ્યો હું તમને ગઝલનો આત્મા શું છે એ સમજાવું છું. “માનો કે એક હરણ વન વગડે પોતાની મસ્તીમાં ચરી રહ્યું છે. બરાબર એ જ વખતે ગીચ ઝાડીમાંથી એક સિંહ છલાંગ મારતો આવી ચડે છે, ભયભીત હરણ જીવ બચાવવા દોટ મૂકે છે. શિકાર હાથમાંથી છૂટી ન જાય તે માટે સિંહ પાછળ દોડે. બરાબર એ વખતે હથેળીમાં જીવ લઇને દોડતાં હરણની સામે એક ઝરણું આવી જાય. જો હરણ ઝરણું કૂદી જાય તો જિંદગી, નહીંતર મોત. મૃત્યુની આખરી ક્ષણે હરણના મુખમાંથી એક જ વખત એક તીણી ચીસ નીકળે છે તે ગઝલ.’ ફિરાક સાહેબની આ વાતને આદિલે હ્રદયમાં ઘૂંટી લીઘી હતી. આ એક કારણે જ ગુજરાતી સાહિત્ય-જગતમાં આદિલ મન્સૂરીની ગઝલ ગુજરાતના બીજા ગઝલકારો કરતાં જુદી તરી આવે છે.

એક જમાનામાં ગઝલ સાકી, સુરા, જામ, વગેરે રદીફ કાફિયામાં અટવાયેલ હતી. આ પરંપરામાંથી ગઝલને બહાર કાઢવાનો અને ગઝલને એક અનોખો નવો વળાંક આપવાનો યશ આદિલ મન્સૂરીને ફાળે જાય છે. આદિલસાહેબ જેટલા ઉત્તમ ગઝલકાર હતા, એટલા જ એક ઝિંદાદિલ નમ્ર સ્વભાવના મૃદુ માનવી હતા. આજથી વીસેક વર્ષ પહેલાં હું અમેરિકન ગુજરાતી કવિઓની કવિતાનો પ્રથમ સંગ્રહ “બરફમાં મેઘઘનુષ” કરતો હતો, ત્યારે મેં આદિલ સાહેબને પૂછ્યું કે આદિલભાઈ, તમારા પરિચયમાં મારે શું લખવું? ત્યારે મને તેમણે કહ્યું, “બસઃ આટલું જ લખોઃ

“જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે,

નામ, ઘંઘો, ઘર્મ ને જાતિ ગઝલ.”

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

જ્યોતિભાઈ : પારદર્શક પારસમણિ

મિતા ઝવેરી|Profile|28 July 2023

મહાન વ્યક્તિના સમકાલીન હોવાનો આપણને મોકો ન મળ્યો હોય. પરંતુ, મહાન વ્યક્તિના સમયમાં જન્મેલા, મહાન વ્યક્તિ પાસે ઊછરેલા કે મહાન વ્યક્તિનાં પગલે ચાલવાનો જેમણે પ્રયાસ કર્યો હોય અને પોતાના જીવન થકી અનેકને તે પગલે ચાલવા પ્રોત્સાહિત કર્યા હોય એવી વ્યક્તિને મળવાનો આનંદ ઓછો તો ન જ હોય ને !

જ્યોતિભાઈ – માલિનીબહેન દેસાઈ

ગાંધી-વિનોબાના સમયમાં ઊછરેલા અને એમના પગલે ચાલનારા દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રયોગશીલ સમાજ-સેવકોનાં નામ કિશોર અવસ્થામાં પપ્પા પાસેથી સાંભળેલાં. એ પૈકીનું એક સન્માનીય નામ એટલે, જ્યોતિભાઈ દેસાઈ. પછી તો પરણીને જે પરિવારમાં આવી ત્યાં જ્યોતિભાઈ, એમનાં જીવનસંગિની માલિનીબહેન અને દીકરી સ્વાતિબહેન તો સ્વજન જ. તેઓનું સુરત રોકાણ હોય ત્યારે અમારે ઘરે રાત્રે વાર્તાની મહેફિલ જામે. જ્યોતિભાઈની વાર્તાઓ સાંભળવી તો ગમે જ. પણ, તેઓને વાર્તા કહેતા જોવા એ પણ એક લ્હાવો જ. બાલવાડીનો શિક્ષક આખે આખો એમાં ઝળકે. બાળકોનાં ‘તોફાની જ્યોતિદાદા’ વાર્તા કહેતી વખતે બાળકો જેવાં અને બાળકો જેવડાં જ બની જાય ! હાથ લાંબા ટૂંકા કરી, વાર્તામાં આવતા દરેક પાત્રનો અભિનય કરે. પ્રાણીઓના અવાજો કરે. મોઢાના હાવભાવ એવા કરે કે, જીવનના નવે નવ રસ બરાબર ઓળખી શકાય.

જ્યોતિભાઈનું વ્યક્તિત્વ પારદર્શક. દેશ હોય કે વિદેશ, પોતાના નિશ્ચિત સિદ્ધાંતોમાં ક્યાં ય બાંધછોડ ન કરે. જે જેવું લાગે તેવું કહે. જે યોગ્ય ન લાગે તેનો વિરોધ કરે. અને જે વાત એક વખત સમજાઈ જાય તેનો વિના સંકોચ તરત જ સ્વીકાર કરે. જ્યોતિભાઈ, પોતાને જે કંઈ સમજાયું તે જીવવા સતત પ્રયત્નશીલ રહ્યા. એક શિક્ષકમાં જોઈએ એવા નીડરતા, સમાનતા, સંવેદનશીલતા, કાર્યશીલતા, મૌલિકતા, સર્જનશીલતા, સ્વતંત્રતા જેવા ગુણોને જીવનારા જ્યોતિભાઈના સંપર્કમાં આવનારા વિદ્યાર્થીઓને આ પારસમણિનો સ્પર્શ થયા વગર રહેતો નહીં. એમના કોઈ ને કોઈ એક કે એકથી વધુ ગુણોનો વિકાસ જે તે વિદ્યાર્થીના જીવનમાં થયો. વિદ્યાર્થીઓમાં રહેલા માનવતાનાં બીજનો વિકાસ પણ જ્યોતિભાઈના સંપર્કથી થતો રહ્યો. જે દ્વારા સમાજ કે રાષ્ટ્રને ઉપયોગી કાર્યોમાં એ વિદ્યાર્થીઓ પ્રવૃત્ત થયા. આવા પારદર્શક પારસમણિ જ્યોતિભાઈના વ્યક્તિત્વનું ઘડતર કેવી રીતે થયું અને તેઓએ શું કામગીરી કરી એ જાણવાની સહેજે ઉત્કંઠા જાગે જ. અહીં, એક સતત પ્રવૃત્ત અને પ્રયોગશીલ વ્યક્તિત્વની ઝાંખીનો પ્રયાસ છે.

વર્ષ 1926ના મે માસની પાંચમી તારીખે મુંબઈમાં માતા ઉર્મિલાબહેન અને પિતા કનૈયાલાલ દેસાઈને ત્યાં જન્મ. બાળપણમાં બાળસહજ તોફાનો અને યુવાવયે મનમાં ઊભરતી સંવેદનાઓને સથવારે, આસપાસના વાતાવરણમાં ચાલતી વૈચારિક, સામાજિક કે રાષ્ટ્રીય ચળવળમાં આગળ પડતા રહી જ્યોતિભાઈ રાજકારણના ઉંબરે પહોંચી ગયા હતા. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હોત તો આ દેશને એક સારો રાજકારણી મળ્યો હોત એમાં કોઈ શંકા નથી. પરંતુ, સ્વાતંત્ર્યસેનાની માતાપિતા તરફથી મળેલ નિસ્પૃહ સેવાભાવનાના ગુણવિકાસ થકી તેમ જ સ્વામી આનંદ જેવા ઉત્તમ સાક્ષરનો સ્પર્શ પામેલા જ્યોતિભાઈના હાથે એક શિક્ષક તરીકે અનેક સત્કાર્યો થવાનાં હતાં. તેથી, મુંબઈના એ વખતના મુખ્ય મંત્રી બાળાસાહેબ ખેરના ગ્રામોત્થાન માટેના માર્ગદર્શન તેમ જ ‘આદર્શ બાળમંદિર’ની સ્થાપક બેલડી પ્રભુભાઈ અને ધનુબહેનના સંપર્કથી જ્યોતિભાઈ ગામડાં તરફ વળ્યા. અને આદિવાસીઓ માટે જીવન સમર્પિત કરી દીધું. મુંબઈ તથા આસપાસનાં અન્ય અનેક શહેરો તરફથી સ્થાયી થવા માટે જ્યોતિભાઈને એ વખતે અને એ પછી પણ ઘણાં આમંત્રણો મળ્યાં. પરંતુ શહેર અને તેના વ્યવહારોની મર્યાદાઓ તેમ જ શોષણ વિશે સજાગ થઈ ચૂકેલા જ્યોતિભાઈને ગામડું એવું તો વળગ્યું કે તેઓએ ગૂંદીથી શરૂ કરીને કોસબાડ, લોકભારતી સણોસરા અને અંતે ઘણો લાંબો સમય જુગતરામભાઈ દવેની વેડછી સંસ્થામાં જ રહીને સ્વનું અને સંપર્કમાં આવનાર સર્વનું જીવન સમૃદ્ધ કર્યું.

નવલભાઈ શાહના કહેવાથી જ્યોતિભાઈ ધોળકા તાલુકામાં આવેલા સંતબાલજીના ગુંદી આશ્રમમાં જોડાયા. લંડનથી બી.એડ. કરીને આવ્યા પછી દહાણુ નજીક કોસબાડ ટેકરી પર સ્થિત સ્વામી આનંદ સાથે રહેવાનું બન્યું. આમ તો સ્વામીદાદા આજીવન જ્યોતિભાઈના ઘડવૈયા રહ્યા. પરંતુ, ખાસ કરીને પ્રથમ મિલનથી જ ઉભય પક્ષે જે બાપ-બેટાનો અનોખો નાતો બંધાયો હતો તે નાતે જ્યોતિભાઈના મનમાં ઊઠતા વિવિધ વિચારો, લાગણીઓ કે રાષ્ટ્રહિત માટેની માંગણીઓને સ્વામીદાદા જોતા, સમજતા, મઠારતા અને સતત ઘડતા રહ્યા. લોકભારતી સણોસરા સંસ્થામાં જરૂરિયાત ઊભી થતાં સ્વામીદાદા જ્યોતિભાઈને સણોસરા મૂકવા ગયેલા. એ વખતે, પોતે પંદર દિવસ સાથે રહેશે, એ સમય દરમિયાન નાનાભાઈએ જ્યોતિભાઈની કસોટી કરી લેવાની; એ વાતનો ઉત્તર આપતાં નાનાભાઈ ભટ્ટે કહ્યું, ‘તમે લાવેલ ભાઈની કસોટી કરનાર હું કોણ ?’ ચોકસાઈ અને સમયપાલનના આગ્રહી સ્વામીદાદા તો ગાંધીજીને પણ ‘નવજીવ’નના તંત્રીલેખ અંગે તાકીદ કરતા ! આવા સ્વામી આનંદ પાસે ઘડાયેલા જ્યોતિભાઈએ સણોસરામાં 1959થી 1967 સુધી અધ્યાપક, નિયામક તરીકેની બેવડી જવાબદારી ઘણી સરસ રીતે નિભાવી. સ્વામીદાદા ઉપરાંત, એ સમયના મહાનુભાવો પૈકી રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ, પ્રભાવતી દીદીનો સ્નેહ સ્પર્શ પણ જ્યોતિભાઈને મળ્યો. તેમ જ દેશ વિદેશનાં અનેક વ્યક્તિત્વોનો સંપર્ક કોઈ ને કોઈ કારણે થયા કર્યો. જે દ્વારા જ્યોતિભાઈના જીવન ઘડતરને ઇજન મળતું રહ્યું.

સ્વાતંત્ર્યની લડત વખતે 1942માં ગાંધીજીએ ભારત છોડોની ચળવળ શરૂ કરી. એ સમયે રાષ્ટ્રભરમાં સ્વતંત્રતાનો જુવાળ અને જુસ્સો એવા હતા કે અનેક લોકો અને નવલોહિયા યુવાનો એમાં જોડાયેલા. જ્યોતિભાઈ પણ એ વખતે જેલમાં ગયેલા. જેલમાંથી છૂટીને ગાંધીજીને જોવાની ઇચ્છા. મુંબઈમાં દરિયાકિનારે ગાંધીજી દરરોજ ફરવા નીકળે એ તેમને ખબર એટલે એક વખત પોતાના પિતરાઈઓ સાથે પહોંચી ગયા જૂહુને કિનારે. ગાંધીજી આગળ અને બંધુટોળી પાછળ. ગાંધીજીનો પગ ઊપડે એટલે એ પગલામાં યુવા જયોતિભાઈ પગ મૂકે ! જરા વારે ગાંધીજીને અણસાર આવતાં પાછળ ફરી જોયું. જાણે, ‘મારા પેગડામાં પગ ઘાલવો સહેલો નથી’ એમ કહેતા ન હોય ! પણ, સ્નેહ અને હિંમતથી સભર ‘જ્યોતિ’ નામક આ યુવક અનેક નાની-નાની ચળવળોને પોતાની સૂઝ, સમજ અને પ્રયાસ દ્વારા ન્યાય અપાવવાનો છે, એવી ભાવિના ગર્ભની કોઈને ક્યાં ખબર હતી ?!

ગ્રામસેવાની રીતસરની કોઈ તાલીમ જ્યોતિભાઈએ લીધી નહોતી. ગ્રામસેવાનું કોઈ કામ આગોતરા આયોજનથી ઉપાડ્યું પણ નહોતું. પરંતુ, જ્યોતિભાઈ શિક્ષક એટલે મૂળે ન્યાય અને મૂલ્યોની સાચવણી સાથે માનવ-ઘડતરનો સહજ સ્વભાવ. તેથી, જે તે સંસ્થામાંથી જ્યારે, જ્યાં, જે કાર્યમાં, જે જરૂરિયાત ઊભી થઈ તેમાં, જ્યારે જે સૂઝ્યું કે જ્યારે જે યોગ્ય કરવાની જરૂરિયાત જણાઈ તે કરતા ગયા. ગ્રામસેવાનું કામ સહેલું તો નહોતું જ પરંતુ સત્ય, અહિંસા, શ્રમ, સ્વાશ્રય, સાદગી જેવાં મૂલ્યો ગાંઠે બાંધેલાં હોવાથી જ્યોતિભાઈએ ભોગાવા ગામ પાસે ટ્રેન પર થયેલ ધાડપાડુઓની ધાડ વખતે, ભાલ વિસ્તારના દુષ્કાળ વખતે, કર્ણાટકની નદી તુંગભદ્રામાં ફેલાતા પ્રદૂષણ સામેની લડત વખતે કે ત્રિપુરામાં આવતાં બાંગ્લાદેશી શરણાર્થીઓના વ્યવસ્થાપન જેવા અનેક પ્રસંગોએ ઝડપી અને યોગ્ય નિર્ણયો લીધા. અયોગ્ય કાર્યપદ્ધતિનો વિરોધ કર્યો. મૂલ્યોને કારણે વહોરેલી આપત્તિનો હિંમતથી સામનો કર્યો. આમ, જાતે જીવીને સાથીઓ અને વિદ્યાર્થીઓને, નીડરતા અને હિંમત દાખવી સચ્ચાઈને પક્ષે રહેવાનું ઉદાહારણ પૂરું પાડતા રહ્યા.

આ ઉપરાંત, ઝેરનું મારણ ઝેરના નાતે, કશે કોઈ હથિયારનો ઉપયોગ કર્યા વગર જ, વાટાઘાટો કે જનસમુદાયનો સાથ લઈ જનસામાન્યને પડતી તકલીફો માટે પ્રશાસનને એવી જ તકલીફોનો અહેસાસ કરાવીને ઇચ્છિત ઇલાજ માટે અહિંસક લડત આપી. આ ઉપરાંત, ગુજરાતમાં નર્મદા બચાવો આંદોલનમાં જ્યોતિભાઈએ સક્રિય ભાગ ભજવેલો. અને એ વખતે પાંચ વખત જેલમાં પણ ગયેલા !

જ્યોતિભાઈના એક શિક્ષક તરીકેના વ્યક્તિત્વની વાત કરું એ પહેલાં એમના વિદ્યાર્થી તરીકેના લંડન યુનિવર્સિટીમાં થયેલા અનુભવ અને સમજણ વિકાસની વાત મૂકવી યોગ્ય લાગે છે. જ્યોતિભાઈ લંડન યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કરવા ગયા ત્યારે એમના મનમાં ફોરેન લેંગ્વેજ તરીકે અંગ્રેજી સારું ભણાવી શકાય એ માટે મુખ્ય વિષય વિજ્ઞાન સાથે ગૌણ વિષય તરીકે અંગ્રેજી વિષય રાખવો એમ હતું. પરંતુ, કોઈ નિયમાનુસાર એ વિષય તેઓથી રાખી શકાય એમ નહોતો. એ વાતનો જ્યોતિભાઈએ વિરોધ કર્યો. તેઓ યુનિવર્સિટી ડાયરેક્ટર પ્રોફેસર રીડને મળ્યા. પ્રોફેસર રીડે જ્યોતિભાઈને પૂછ્યું, “તું વિષય બાબતે શા માટે માથાકૂટ કરે છે ? ‘તું કોણ છે ?’ તે તારે જાણવું છે કે નહીં ?” જ્યોતિભાઈ વિચારમાં પડી ગયા. અને પછી તો એ બાબતે જ્યોતિભાઈ એવા જાગૃત થયા કે લંડન યુનિવર્સિટીમાં સહુના માનીતા વિદ્યાર્થી બની ગયા. એટલું જ નહીં, આ સ્વની શોધની ધૂન એમણે દેશમાં આવીને પોતાના વિદ્યાર્થીઓ કે શિબિરાર્થીઓને પણ લગાડી !

શિક્ષણ એટલે પુસ્તકમાં લખાયેલ વાંચવું, ગોખવું અને ઓકવું એમ નહીં, ખરું શિક્ષણ તો અનુભવોથી મળે. ગાંધી વિદ્યાપીઠ, વેડછીમાં જીવનલક્ષી શિક્ષણ અપાતું, વિવિધ પ્રયોગો થતા. પ્રત્યક્ષ કાર્ય અને અનુભવ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર થતું. જીવન ઉપયોગી તમામ કાર્યો જાતે કરવાનાં રહેતાં. તેથી, કોઈ કામનો છોછ ન રહેતો. શાળા, કૉલેજનું સંચાલન પણ વિદ્યાર્થીઓ જ મળીને કરતા. તેથી દરેક વિદ્યાર્થીની આયોજન શક્તિનો વિકાસ થતો અને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ પણ વધતો. વિદ્યાર્થીઓને આવું જીવનલક્ષી શિક્ષણ આપનારા શિક્ષકોમાં જ્યોતિભાઈ ખરા પ્રયોગવીર. એટલે જ રાષ્ટ્રીય ચળવળના અગ્રણીઓ પણ એમના પર પસંદગી ઉતારતા.

મધ્ય પ્રદેશમાં જયપ્રકાશજીની સમક્ષ જે બાગીઓએ સમર્પણ કરેલું તે તમામને ગ્વાલિયર શહેરની મોટી જેલમાં રખાયા હતા. આ બાગીઓ સમાજમાં સહજતાથી ભળી શકે એ માટેના પ્રયાસો શરૂ કરેલા ત્યારે પણ કાશીનાથજીએ જ્યોતિભાઈને મદદ માટે બોલાવેલ. આ કાર્યમાં જુગતરામકાકા પાસેથી શીખેલા આશ્રમ સર્જનના પાઠને જ્યોતિભાઈએ વિદ્યાર્થીઓને સાથે રાખીને જેલમાં પણ અમલમાં મૂક્યો. અને જેલમાં બબલભાઈ મહેતાના સથવારે કાંતણ, વણાટ, ઉદ્યોગ, સ્વચ્છતા જેવાં કાર્યો સરસ રીતે કર્યાં. શહેરમાં જ્યાં તેઓનું પોતાનું રહેઠાણ હતું એ ધર્મશાળાને પણ સ્વચ્છ અને સમારકામ કરીને સરસ બનાવી દીધેલી. પરિણામે સ્થાનિકોનો સહકાર સારી રીતે મળ્યો. ‘સારા કાર્યને સૌનો સાથ મળે’ એ વાત અહીં સાચી ઠરી.

ભાર વગરનું ભણતર, પ્રત્યક્ષ શિક્ષણ વગેરે શબ્દો આજે સંભળાય છે ખરા, પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં આ પ્રકારનું શિક્ષણ અપાતું દેખાય છે. અથવા તો આજે આ શબ્દો વિશેની સમજ બદલાઈ છે. એટલે, જે કંઈ થાય છે તે જીવનચાલક બને છે પણ જીવનલક્ષી જણાતું નથી. જે સમયે નઈ તાલીમ વિષયક પ્રયોગો થઈ રહ્યા હતા તે સમયે જ્યોતિભાઈ એ પ્રયોગોના સાક્ષી અને વિશેષ કરીને પ્રયોગકર્તા રહ્યા છે. વિદ્યાર્થીને શું અને કઈ રીતે આપવું તે જ્યોતિભાઈ બહુ સારી રીતે જાણતા હતા. ‘શીખવાની પ્રક્રિયા આનંદદાયક હોય’ એ વિચારને જ્યોતિભાઈ અમલમાં મૂકીને વિદ્યાર્થી પાસેથી જોઈતું કાર્ય કરાવતા. અહીં મધ્ય પ્રદેશના ટવલાઈ ગામની જીવન શાળાના વાર્ષિક ઉત્સવનો પ્રસંગ યાદ આવે છે. વાર્ષિક ઉત્સવો એ શીખવાની પ્રક્રિયાનો જ એક પ્રકાર હોય છે. એ શાળાના વાર્ષિક ઉત્સવમાં જ્યોતિભાઈએ શાળાનાં ત્રણથી સાત એમ તમામ ધોરણનાં તમામ બાળકો ભણે એવી ગોઠવણ કરી ત્રણ ટુકડી પાડી. બજારુ વસ્તુ નહીં, પર્યાવરણને નુકસાન નહીં અને ટુકડી સામૂહિક નિર્ણય લ્યે, એવી ત્રણ શરતો મૂકીને શાળા અને શાળા પરિસરના શણગારની જવાબદારી એ ત્રણેય ટુકડીઓને સોંપી. અને જે કાર્ય થયું તેમાંથી વિદ્યાર્થીઓમાં મૈત્રી વધી, વિદ્યાર્થીઓની નિર્ણય શક્તિ વધી તેમ જ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં રહેલી સૂઝ અને કાર્યશક્તિનો પરિચય થયો. પરિણામે એ પછીનાં વર્ષોમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથેની કામગીરી અને સમન્વયમાં સરળતા રહી.

વિદ્યાર્થીઓ સમજે, વિચારે, પૂછે, ચર્ચા કરે અને એ દ્વારા જે કંઈ શીખે તે પ્રક્રિયા એટલે જ કેળવણી. જ્યોતિભાઈ આવી કેળવણીના હિમાયતી તો ખરા જ. અને દૃઢપણે માનતા હતા કે, વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ ખીલવી જોઈએ. વિદ્યાર્થીઓ પ્રશ્ર્ન પૂછતા થાય, એ પ્રશ્ર્નો અંગે જાતે વિચારતા થાય, પરસ્પર ચર્ચા કરે અને જાતે જ જે સમજાય એ પરથી ઉકેલ શોધે. શિક્ષક કહે તે જ કરવું એમ નહીં, વિદ્યાર્થીને પોતાને જેમાં રસ પડે તે કરે, જે ગમતું હોય તે જાતે શીખે. એવી શિક્ષણ પદ્ધતિ જ યોગ્ય ગણાય. જ્યોતિભાઈ, વર્ગખંડમાં કેળવણીની આવી વિવિધ પ્રક્રિયાઓનો અમલ કરતા. જો કે, જેમ ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ કે મૂલ્યોને આદર્શરૂપે સ્વીકારાય છે પરંતુ એનો અમલ કરવામાં આંખ આડા કાન થાય છે; તે જ રીતે, કેળવણીની આ યોગ્ય પ્રક્રિયાના જ્યોતિભાઈના સાહસ કે પ્રયોગનો પણ ક્યાંક, ક્યારેક વિરોધ થતો.

જ્યોતિભાઈના હૈયે વિદ્યાર્થીઓનું હિત મોખરે રહેતું. તેથી એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રેમ આપતા તો સાથે સાથે ચોક્સાઈનો આગ્રહ પણ રાખતા. વેડછી સંસ્થામાં અનેકવિધ શિબિરો થતી. ક્યારેક તો બહારથી એટલે કે વિદેશથી પણ ઘણાં મહેમાનો આવતાં. જ્યોતિભાઈ આ તમામની વ્યવસ્થાની જવાબદારી વિદ્યાર્થીઓ કે બહારથી આવેલ શિબિરાર્થી સ્વયં-સેવકોની સહાયથી સારી રીતે પાર પાડતા. આ સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ કે સ્વયંસેવકોને જ્યોતિભાઈ પાસેથી આતિથ્યભાવની સાથે સાથે નિયમિતતા, સજાગતા/સતર્કતા અને ચોક્સાઈના પાઠ શીખવા મળતા. જે તે સમયે એ વિદ્યાર્થીઓ કે બહારથી આવેલા શિબિરાર્થી સ્વયંસેવકોને જ્યોતિભાઈ કઠોર લાગતા પણ તેમની પાસેથી શીખવા મળેલ ગુણો જ્યારે જીવનમાં ઉપયોગી સાબિત થયા, એ કારણે તેઓને આજે પણ બહુ માનપૂર્વક યાદ કરે છે.

જ્યોતિભાઈએ શિક્ષણ વિષયક પ્રયોગો કર્યા. એ વિષયક ઘણું વાંચ્યું, 7 પુસ્તકો અને અનેક સામયિકોમાં અનેક લેખોમાં ગુજરાતી, હિંદી, અંગ્રેજી એમ ત્રિવિધ ભાષાઓમાં ઘણું લખ્યું. શિક્ષણના જ વિવિધ વિષયો પર પ્રવચનો આપીને ઘણું સમજાવ્યું પણ ખરું. આ ઉપરાંત, વાચનના શોખીન જ્યોતિભાઈ નવલકથા, પર્યાવરણ, રાજનીતિ કે ઇતિહાસનાં પુસ્તકો આજે પણ વાંચતા રહે છે.

જ્યોતિભાઈ પોતાને સમજાયું એ રીતે પોતાનું જીવન જીવ્યા અને આજે 97 વર્ષે પણ નવું નવું શીખતા, સમજતા મોજથી જીવન જીવી રહ્યા છે. એમના નિર્ણયો કે પ્રયોગોમાં એમનાં પત્ની માલિનીબહેન કે જેઓ પોતે પણ શિક્ષક હતાં, સ્નેહભાવ જેમની આગવી ઓળખ હતી, તેઓએ સ્નેહથી સાથ આપ્યો છે. જ્યોતિભાઈ અને માલિનીબહેનની સેવાભાવના, હિંમત, સ્વતંત્રતા, જીવમાત્ર પ્રત્યેની સંવેદનશીલતા અને સેવાભાવ દીકરી સ્વાતિમાં ઊતર્યા છે.

પોતાના જીવનનો નિર્ણય જાતે જ લઈ શકે એવો એમનો ઉછેર મા-બાબાના જીવન દ્વારા સહજ જ થયો. સ્વાતિબહેન, ડેડિયાપાડાના આદિવાસી વિસ્તારમાં વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.

સદીના આરે પહોંચેલા જ્યોતિભાઈ કે જેમનું શરીર વૃદ્ધ દેખાય છે પણ મનથી તો આજે પણ યુવાનો જેવો તરવરાટ છે. એમની કોઈ એક જ બાબત વિશે વાત કરવી હોય તો હું એમની હકારાત્મકતાને પસંદ કરું. સામાન્ય રીતે, ‘અમારા જમાનામાં’ એમ કહીને વાતની શરૂઆત કરતાં વડીલો પાસેથી બાળકો અને યુવાનો છટકવાનો રસ્તો જ શોધતાં હોય. પરંતુ, આ મસ્તીખોર જ્યોતિદાદાને મળવા તો આબાલવૃદ્ધ સહુ કોઈ ઇચ્છે. કારણ ? કારણ એ જ કે, એમને આજના સમય, આજની ટેકનોલોજી કે આજનાં યુવાનો માટે કોઈ ફરિયાદ નથી. બલકે, આજની ટેકનોલોજીનો ઉપયોગ તેઓ કરે છે. તેમ જ આજનાં યુવાનોમાં રહેલી ભરપૂર શક્તિનું તેઓ સન્માન કરે છે. આજે પણ જ્યોતિભાઈને મળનાર સહુ કોઈને એમના પારદર્શક પારસમણિ વ્યક્તિત્વનો સ્પર્શ થયા વગર રહેતો નથી. આવા વ્યક્તિત્વને ઈશ્વરે અમરત્વ આપવું જોઈએ.

વિરમું …

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જૂન 2023; પૃ. 06-08

Loading

તું અને હું.

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|28 July 2023

હરિ તું શબ્દને ઉચ્ચાર હું.

હરિ તું સત્ત્વ એનો સાર હું.

તારી કૃપા થકી તું મળતો,

હરિ તું પ્રાર્થનાને પોકાર હું.

નથી ભૂલાતી વત્સલતાને,

હરિ તું સત્યને આચાર હું.

જુગલબંધી નયનની હોયને,

હરિ તું લોચન અશ્રુધાર હું.

પનારો તારો અવિરત મારે,

હરિ તું નિરાકાર આકાર હું.

નાતો નિભાવે ઉરથી અધિક,

હરિ તું અંદરને બારોબાર હું.

પોરબંદર.
e.mail : chaitanyajc555@gmail.com

Loading

...102030...1,0791,0801,0811,082...1,0901,1001,110...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved