Opinion Magazine
Number of visits: 9667282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુનાબોમ્બર: માનવ ચેતનાને ક્રૂર રીતે જગાડનાર પાગલ ડાહ્યો!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 July 2023

રાજ ગોસ્વામી

10મી જૂનના રોજ, થિયોડોર કઝિન્સકી નામના 81 વર્ષના એક કેદીનું, અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલી બીમાર કેદીઓ માટેની જેલમાં અવસાન થઇ ગયું. સંભવતઃ તેણે આત્મહત્યા કરી હતી. કઝિન્સકી એવા અપરાધ બદલ આજીવન કારાવાસની સજા ભોગવતો હતો, જેને આધુનિક અમેરિકામાં પહેલો ‘ઘરેલું આતંકવાદ’ તરીકે યાદ રાખવામાં આવે છે. આજે તમે છાસવારે અખબારોમાં સમાચાર વાંચો છો કે અમેરિકાની ફલાણી સ્કૂલમાં એક છોકરાએ બંધૂક ચલાવી અથવા ઢીંકણા મનોરોગીએ સમારોહમાં સામૂહિક શૂટિંગ કર્યું. આવી રીતે આતંક ફેલાવાની શરૂઆત થિયોડોર કઝિન્સકીએ કરી હતી.

1978થી 1995 વચ્ચે, આ માણસે ટપાલ મારફતે અથવા તો હાથોહાથ વીસથી વધુ ‘લેટર બોમ્બ’નું વિતરણ કર્યું હતું. એમાં 3 લોકોનાં મોત થયાં હતાં અને 23 લોકો જખમી થયા હતા. તે લોકો સાથે તેની દુ:શ્મની નહોતી. એ તેની પ્રતિકાત્મક હિંસા હતી. કેમ? તેનો જવાબ થોડીવાર પછી.

1998માં જ્યારે એ પકડાયો, ત્યારે તેણે અદાલતમાં તેનો અપરાધ કબૂલ કર્યો હતો. ત્યારથી તે આઠ આજીવન કારાવાસ ભોગવતો હતો. છેલ્લે, તેની માનસિક હાલત બગડી પછી સ્વાસ્થ્ય ચિકિત્સાની જેલમાં રાખવામાં આવ્યો હતો. એફ.બી.આઈ.એ તેની કેસ-ફાઈલમાં તેનું નામ, યુનિવર્સિટી અને એરલાઈન્સમાં બોમ્બ મોકલનાર પરથી, ‘યુનાબોમ’ (યુ.એન.એ.બી.ઓ.એમ.) રાખ્યું હતું. મીડિયાએ તેના પરથી તેનું નામ ‘યુનાબોમ્બર’ પાડ્યું હતું.

અમેરિકામાં ચિત્ર-વિચિત્ર પ્રકારના હજારો અપરાધીઓ છે. એમાંથી આપણે થિયોડોર કઝિન્સકીની વાત કેમ કરીએ છીએ? ટેડના હુલામણા નામથી જાણીતો થિયોડોર કઝિન્સકી, શિકાગોના ઈમિગ્રેન્ટ પોલિશ શ્રમિક પરિવારમાં પેદા થયો હતો. તેનો એક લઘુ બંધુ ડેવિડ હતો. પ્રાથમિક સ્કૂલમાં બધાં ટેડને એકલવાયો પરંતુ સ્માર્ટ કહેતા હતા.

હાઈસ્કૂલમાં તેની પ્રતિભા રંગ લાવી હતી. તેને ગણિત અને બાયોલોજીમાં એટલી રુચિ હતી કે લોકો તેને ‘હાલતું-ચાલતું બ્રેઈન’ અથવા ‘બ્રિફકેસ બોય’ કહેતા હતા. 15 વર્ષની ઉંમરે પરીક્ષામાં તેનું નામ રાષ્ટ્રીય મેરિટ લિસ્ટમાં આવ્યું હતું. બીજા વર્ષે, તે હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં પાસ થઇ ગયો, ત્યારે તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું. તે ત્યાં ગણિત ભણવાનો હતો. ત્રણ વર્ષ સુધી તેના સહાધ્યાયીઓ તેને ‘ઇન્ટેલિજન્ટ પણ એકલવાયો’ તરીકે ઓળખતા હતા.

હાર્વર્ડમાં હેન્રી મૂરે નામના એક મનોવૈજ્ઞાનિકે, માઈન્ડ-કંટ્રોલના પ્રયોગ માટે, વિધાર્થીઓના એક સમૂહ પર ત્રણ વર્ષ અભ્યાસ કર્યો હતો. એમાં એક ટેડ પણ હતો. આ મૂરે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા માટે કામ કરતો હતો. કહેવાય છે કે આ પ્રયોગ દરમિયાન થયેલા અનુભવોમાંથી ટેડમાં અપરાધિક વૃત્તિ પેદા થઇ ગઈ હતી.

હાર્વર્ડમાંથી નીકળીને તેણે મિશિગન યુનિવર્સિટીમાંથી ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાંથી જ તેણે પી.એચડી. પણ કરી હતી. તેને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસરની નોકરી મળી હતી. 1969માં, તેણે રાજીનામું આપી દીધું હતું. થોડા વખત માટે તે શિકાગો નજીક લોબાર્ડ ગામમાં તેનાં પેરન્ટ્સ સાથે રહ્યો અને પછી પશ્ચિમ અમેરિકાના પર્વતીય રાજ્ય મોન્ટાના લિંકન નામના એક ગામની બહાર, વીજળી કે પાણી વગરના કેબિન જેવા ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. તેમાં એક બેડ હતો, બે ખુરશીઓ હતી, સ્ટોરેજની પેટીઓ હતી અને ઘણાં બધાં પુસ્તકો હતાં. તેનો કોઈ પરિવાર નહોતો. તે સાદામાં સાદું જીવન જીવીને આત્મનિર્ભર રહેવા માંગતો હતો. તે જૂની સાઈકલ પર ગામની લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચતો હતો અને છૂટક કામો કરતો હતો.

જબરદસ્તીની નિવૃત્તિના તેના આ જીવનમાંથી તેની આતંકી ગતિવિધિનો પ્રારંભ થયો હતો. કેવી રીતે? થિયોડોર કઝિન્સકી ટેકનોલોજી અને ઔધોગિકરણ(અને તેમાંથી કેળવાયેલી આધુનિક જીવનશૈલી)નો વિરોધી હતો. એ વિરોધ તેની કેબિન પાસેથી જ શરૂ થયો હતો. તેની આસપાસ જંગલ હતું. એ સુંદર નૈસર્ગિક જગ્યા હતી. ત્યાં પ્રાકૃતિક ઝરણાં અને પાણીના ધોધ હતા. લોકો ત્યાં હરવા-ફરવા આવતા હતા. જાણે એ તેનું સ્વર્ગ હતું. એ ત્યાં રહીને જંગલમાં કેવી રીતે જીવી શકાય તે શીખી રહ્યો હતો.

1975માં, સ્વર્ગમાં ભંગાણ પડ્યું. એ ઉનાળામાં તેણે જોયું કે ત્યાં માણસોની સંખ્યા અચાનક વધી ગઈ છે. એ દૂર સુધી તપાસ કરવા ગયો તો ખબર પડી કે પહાડી મેદાનમાં બરાબર વચ્ચે રોડ બનાવી દેવામાં આવ્યો છે. તેને અકળામણ થઇ. તેને થયું કે તેની શાંતિનો ભંગ કરવામાં આવ્યો છે. તેણે નક્કી કર્યું કે સત્તાવાળાઓને પાઠ ભણાવવો પડશે.

તેણે તેની કેબિન આસપાસની જગ્યામાં આગ લગાવીને અને જમીનમાં વિસ્ફોટક દાટીને લોકોને ભગાડ્યા હતા. સ્વાભાવિક છે કે સ્થાનિક સત્તાવાળાઓ જવાબ પણ વાળ્યો હશે. તેમાં ટેડને ઔર ચાનક ચઢી અને 1978માં તેણે યુનિવર્સિટી ઓફ ઈલીનોઈસ-શિકાગોના કેમ્પસમાં બ્રાઉન રંગની પેપર-બેગ પાર્સલમાં મોકલી હતી. તેની પર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરનું રિટર્ન એડ્રેસ હતું. પાર્સલ ત્યાં પહોંચ્યું અને ફાટ્યું. એમાં ક્રૂડ બોમ્બ હતો.

તે પછી ટેડ, મોટાભાગે યુનિવર્સિટીઓ અને એરલાઇન્સની ઓફિસોમાં, લગભગ 20 જેટલા લેટર-બોમ્બ મોકલવાનો હતો. 1995માં તે પકડાયો, તે જ વર્ષે તેણે ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ નામનાં માતબર અખબારોને 35,000 શબ્દોનો એક લેખ (એને પુસ્તક જ કહેવું જોઈએ) મોકલ્યો હતો. તેનું શીર્ષક હતું; ઔધોગિક સમાજ અને તેનું ભવિષ્ય. તેમાં તેણે આધુનિક જીવનના વિરોધમાં જે વિચારો લખ્યા હતા, તે ટૂંકમાં આ પ્રમાણે છે :

“ઔધોગિક ક્રાંતિ માનવજાત માટે દુર્ઘટના છે. તેણે સમાજને અસ્થિર કરી નાખ્યો છે અને પ્રકૃતિને તબાહ કરી છે. તેનાથી માણસોમાં શારીરિક અને માનસિક પીડા વધી છે. ભવિષ્યમાં આ પીડા વધવાની છે. ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ કાં તો તૂટી પડશે અથવા ટકી જશે. ટકી જશે તો માણસો મશીન બનીને રહી જશે અને જો તૂટી પડશે તો તેનાં પણ ગંભીર પરિણામ આવશે. સિસ્ટમ જેટલી મોટી બનશે, એટલાં પરિણામ ગંભીર હશે. એટલા માટે, સિસ્ટમ મોટી થાય તે પહેલાં જ તૂટી પડવી જોઈએ. તેથી, અમે ઔધોગિક સિસ્ટમ સામે ક્રાંતિ કરવાનું આહ્વાન કરીએ છીએ. એ ક્રાંતિ કદાચ હિંસક હશે અથવા કદાચ હિંસક નહીં હોય. તે અચનાક આવશે અથવા ક્રમશ: આવશે. અમે તેનું કોઈ ભવિષ્ય ભાખી શકતા નથી.”

થિયોડોર કઝિન્સકી આધુનિક શહેરી જીવન જીવીને પરેશાન થઇ ગયો હતો અને શાંતિ મેળવવા માટે જંગલમાં રહેવા જતો રહ્યો હતો. જો કે, આધુનિકતાએ ત્યાં પણ તેનો પીછો છોડ્યો નહોતો. તેનાથી ઔર અશાંત અને અસ્વસ્થ થઈને તેણે આધુનિકતાનાં પ્રતિક સમી યુનિવર્સિટીઓ અને એર લાઈન્સને નિશાન બનાવીને દુનિયાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. તેનો રસ્તો અયોગ્ય હતો અને તેની સજા પણ મળી હતી, પરંતુ તેનો જે તર્ક હતો તે ખોટો નહોતો.

આજે થિયોડોર જેવી જ ચિંતા કરનારા ઘણા વધી ગયા છે કારણ કે તેણે અનુમાન કર્યું હતું તેમ ઔધોગિક-ટેકનોલોજીકલ સિસ્ટમ ટકી ગઈ છે એટલું જ નહીં, ઔર મજબૂત થઇ છે. માનવજાતિનો ઇતિહાસ અને ભવિષ્ય લખનારા ઇઝરાયેલી લેખક યુવલ નોઆ હરારી એટલે જ કહે છે, “માણસ સામે પરમાણું યુદ્ધ, પર્યાવરણની તબાહી અને ટેકોનોલોજીનાં ત્રણ સૌથી મોટાં સંકટ છે. બધા દેશો ભેગા મળીને પહેલાં બે સંકટનો તો સામનો કરી રહ્યા છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયો-એન્જીનિયરિંગ આપણી જોબ-માર્કેટ અને મન-મગજને હલાવી દેશે. ટેકનોલોજી માણસના તન-મનને હેક કરી રહી છે. કોમ્પ્યુટર અને એલ્ગોરિધમ્સને આપણા વિશે જેટલી ખબર છે તેટલી આપણને પણ નથી. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો વિકસાવી રહ્યા છીએ, પણ માણસની કોન્સિયસનેસ(ચેતના)ને વિકસાવી શકતા નથી, અને એનાં પરિણામ ગંભીર હશે.”

થિયોડોર કઝિન્સકીએ ક્રૂર રીતે માણસોની એ ચેતનાને જગાડવા પ્રયાસ કર્યો હતો.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ,, “સંદેશ”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાર્ત્ર અને સિમોન : એક અસ્તિત્વવાદી પ્રેમકથા

સોનલ પરીખ|Opinion - Opinion|9 July 2023

એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી …

‘ઈફ યુ આર લોનલી વ્હેન યુ આર અલોન, ધેન યુ આર ઈન બેડ કંપની.’ અને ‘વી મેક અવર ઓન હેલ ઑફ ધ પીપલ અરાઉન્ડ અસ’ જેવા સાદાં પણ ન ભૂલાય તેવાં અર્થગર્ભ વિધાનો આપનાર જ્યૉં પૉલ સાર્ત્રનો જન્મદિન 21 જૂને હતો, એ નિમિત્તે વાત કરવી છે, થોડી એમની અને થોડી એમના અને સિમોન ‘દ બુઆના અજબ પ્રેમની.

વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક અને નિરીશ્વરવાદી અસ્તિત્વવાદના સ્થાપક સાર્ત્રનો જન્મ 1905માં. પિતા ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા અને માતા ચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી ડૉક્ટર શ્વાઇત્ઝરના કાકા હતા. સાર્ત્ર એક વર્ષના હતા અને પિતાનું અવસાન થયું. ત્યાર પછી મા એને લઈને ચાર્લ્સ શ્વાઇત્ઝરને ત્યાં રહેવા ગઈ. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો સાર્ત્રને બાલ્યાવસ્થાથી જ ઘણો લાભ મળ્યો. 

પૅરિસમાં ફિલોસોફી શીખતા ત્યારે તેઓ સિમોન-દ-બૂવાના પરિચયમાં આવ્યા. બંને લગ્નજીવન વગરના મુક્ત પ્રેમ અને મૈત્રીમાં જીવનભર બંધાયેલા રહ્યાં. સિમોન પ્રખર બુદ્ધિશાળી, પ્રતિષ્ઠિત નારીવાદી ચિન્તક અને સર્જક. બંનેએ રશિયા, જર્મની, અમેરિકા, ચીન, જાપાન એમ અનેક દેશોની મુલાકાતો લીધી હતી. કેટલાક દેશોના વડાઓને પણ તેઓ મળ્યાં હતાં.

બીજા વિશ્વયુદ્ધના પ્રારંભે સાર્ત્રને ફ્રેન્ચ લશ્કરમાં જોડાવું પડ્યું. એક વર્ષ માટે જર્મનીમાં યુદ્ધકેદી રહેવું પડ્યું. મુક્ત થઈને સાર્ત્ર ફ્રાન્સમાં જર્મની સામેના ભૂગર્ભ પ્રતિકારદળોમાં જોડાયા. યુરોપીય સંસ્થાનવાદ, પશ્ચિમી સામ્રાજ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ, મૂડીવાદ, રંગભેદવાદ અને યહૂદીવિરોધી માનસના સાર્ત્ર કટ્ટર અને સક્રિય વિરોધી. સાર્ત્રે એક બાજુ શ્રમિકોનાં હિતોને આગળ કરનાર તરીકે સોવિયેત રશિયાના સામ્યવાદી શાસનનો પક્ષ લીધો હતો, તો બીજી બાજુ હંગેરી અને ચેકોસ્લોવાકિયા ઉપરના રશિયન આક્રમણને વખોડી કાઢ્યું હતું અને અલ્જિરિયાના હિંસક સ્વાતંત્ર્યસંગ્રામને ટેકો આપ્યો હતો. ત્રીજા વિશ્વના દેશોની સ્વાતંત્ર્યલડતો અને ક્રાંતિઓને સાર્ત્રનો ટેકો હતો.

1964માં તેમને સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝ ઘોષિત થયું. તેનો અસ્વીકાર કરતાં તેમણે કહ્યું કે પોતે ‘રૂપાંતરિત’ થવા માગતા નથી અને પ્રાઈઝ સ્વીકારીને પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક સંઘર્ષમાં પોતે પશ્ચિમના સાંસ્કૃતિક સંસ્થાનના પક્ષમાં છે એવું બતાવવા ઈચ્છતા નથી. ‘બિઈંગ ઍન્ડ નથિંગનેસ’ અને ‘ક્રિટિક ઑફ ડાયક્ટિકલ રિઝન’ એ તત્ત્વચિંતન અંગેના સાર્ત્રના મુખ્ય ગ્રંથો છે. તેમની બીજી મહત્ત્વની કૃતિઓમાં આત્મકથા ઉપરાંત ચાર નવલકથાઓ, પાંચ ટૂંકી વાર્તાઓ, સાત નાટકો, ત્રણ જીવનવૃત્તાંતો, અનેક નિબંધો અને સમીક્ષાલેખોનો સમાવેશ થાય છે. 1948માં કૅથલિક ચર્ચે સાર્ત્રની કૃતિઓને પ્રતિબંધિત જાહેર કરી હતી. સાર્ત્રની તમામ મહત્ત્વની કૃતિઓ અંગ્રેજી ભાષામાં સુલભ છે.

સાર્ત્રે માર્ક્સવાદ અને અસ્તિત્વવાદનો સમન્વય નવી ભૂમિકાએ કરવાના પ્રયત્નો કર્યા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં માઓવાદ અને અરાજકતાવાદી દૃષ્ટિબિન્દુના પક્ષમાં પણ જણાયા. છે. પહેલાં ફિનૉમિનૉલૉજીથી અને પછી માકર્સવાદથી પ્રભાવિત સાર્ત્રના અસ્તિત્વવાદમાં એકવાક્યતા કે સંગતિ છે કે કેમ તે અંગે ખૂબ વિવાદ થયો છે.

સાર્ત્રની ‘નૉશિયા’ નવલકથાનો મુખ્ય વિચાર એ છે કે માનવીનું કે જગતનું વાસ્તવિક અસ્તિત્વ છે ખરું, પણ તે ‘કન્ટિન્જન્ટ’ છે, એટલે કે જગતનું કે મનુષ્યનું હોવું અનિવાર્ય નથી તેમ જ તેનું ન હોવું પણ અનિવાર્ય નથી. જગત એબ્સર્ડ છે કેમ કે તે મનુષ્યની ‘રેશનાલિટી’ની અપેક્ષા પ્રમાણે ‘ઈન્ટેલેજિબલ’ બનતું નથી. જગત મનુષ્ય-નિરપેક્ષ છે – તેને મનુષ્યની પ્રગતિ, તેના ઇતિહાસ કે નિયતિ સાથે લેવાદેવા નથી. પ્રશ્નો પૂછ્યા કરતો મનુષ્ય સૃષ્ટિના અકળ મૌનથી નિરાશ થાય છે. છતાં તે પોતાના જીવનને માનવીય અર્થ આપી શકે છે. તેને પસંદગીની સ્વતંત્રતા છે, પણ પરિણામોની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની જ છે.

‘ફિલોસોફી નાઉ’ જર્નલના સાર્ત્રની જન્મશતાબ્દી નિમિત્તે પ્રકાશિત થયેલા વિશેષાંકના એક લેખમાં ડૉનહોઈએ જણાવ્યું છે કે ‘સત્તરમી સદીના દ’કાર્ત અને પાસ્કલ, અઢારમી સદીના વૉલ્તેર અને રૂસો અને ઓગણીસમી સદીના હ્યુગો અને ઝોલાની કક્ષામાં સાર્ત્રને મૂકી શકાય એમ છે. સાર્ત્રના ચિંતનનો વ્યાપ મોટો છે. પરંપરાનું પુનરાવર્તન જ કર્યા કરનારા અને સ્થગિત થઈ ગયેલાં સામાજિક મૂલ્યોને પોષ્યા કરનારા સર્જકો-ચિન્તકો કરતાં સાર્ત્ર ઘણા જુદા છે.’

સિમોનનું નામ આધુનિક નારીવાદમાં સૌ પહેલું મૂકવું પસે. ‘ધ સેકન્ડ સેક્સ’માં તેણે દર્શાવ્યું છે કે વિશ્વ પુરુષનું છે, સ્ત્રી પણ પુરુષ સંદર્ભે છે અને એને પુરુષની અપેક્ષા પ્રમાણે ઘડવામાં આવી છે. સ્ત્રીને પોતાના મૂળ અસ્તિત્વથી વિચ્છેદ પામીને અપાયેલી ભૂમિકા પ્રમાણે પ્રયોજાવું પડે છે, જે પીડાદાયક છે. એને માટે સિમોન ‘મ્યુટિલેશન’ શબ્દ વાપરે છે. સાર્ત્ર સાથેના સંબંધમાં સિમોને પોતાને વિચ્છેદનો ભોગ બનવા દીધી નથી. એ જે હતી તે જ રહી. પૂર્ણ સ્વાતંત્ર્ય, બંધનરહિત પ્રેમ, પૂરો આદર અને શાશ્વત વફાદારીનું વિશ્વ સર્જવા બંને અર્ધી સદી સુધી મથ્યાં. વ્યાખ્યામાં ન બંધાય અને સ્થાપિત ધોરણોમાં ન સમાય, જેને એ બંને ‘ઑથેન્ટિક લવ’ કહેતા એવા એમના સંબંધને અસ્તિત્વવાદી પ્રેમકથા – એક્ઝિસ્ટન્શ્યલ લવ સ્ટોરી કહેવાય? 

‘આધુનિક નારીવાદની જનેતા’ ને ‘અસ્તિત્વવાદના જનક’ તરીકે ઓળખાતી પ્રતિભાઓ વચ્ચેનો પ્રેમ એમના સમયથી માંડીને આજ સુધી વિવાદનો વિષય રહ્યો. બંને સાથે ફિલોસોફી ભણતાં. એગ્રીગેટ ફિલોસોફીના ગ્રેજ્યુએટોમાં સાર્ત્ર સૌથી પ્રતિભાશાળી હતા, સિમોન સૌથી નાની હતી. પ્રેમ પાંગરી ચૂક્યો હતો. જવાબદારી અને ખુલ્લા મન સાથે પ્રેમને જીવવાના પ્રયોગો ચાલતા હતા. ચર્ચ અને સમાજના દબાણને વશ ન થવાનું નક્કી થઈ ગયું હતું. સાર્ત્રએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો નહોતો. મૂક્યો હોત તો સિમોન એ સ્વીકારત નહીં. પરણવું, પુરુષે બહારના વિશ્વમાં શિખરો સર કરવાં ને સ્ત્રીએ ઉપેક્ષિતા બની ઘર સંભાળવું એવી પિતૃસત્તાક પરંપરાના બંને એકદમ વિરોધી હતાં. તેમણે એકબીજાના રહેવું અને સાથીને અન્ય પાત્રો સાથે સંબંધ બાંધવાનું સ્વાતંત્ર્ય પણ લેવા દેવું એવો નિર્ણય લીધો. પોતાના સંબંધને તેઓ ‘ઓપન રિલેશનશીપ’ કહેતાં. એક ઘરમાં રહેતાં નહીં, રોજ મળતાં અને કાફેમાં કલાકો વીતાવતાં. બુદ્ધિ અને સંવેદનની આ ભાગીદારી 51 વર્ષ ચાલી.

બંને માનતાં કે એમના યુગનો સૌથી મોટો પડકાર ઈશ્વરની અનુપસ્થિતિમાં સર્જાતી મુક્ત સ્વતંત્રતાની પ્રતીતિ કરવી એ છે. સિમોન એના સમયથી ઓછામાં ઓછા 50 વર્ષ આગળ હતી. ઘરગૃહસ્થીના જાણીતા રસ્તે એ ન જ ગઈ. એને બદલે તેણે બૌદ્ધિક પ્રવૃત્તિમાં રત રહેવાનું પસંદ કર્યું. છતાં એ સ્ત્રી હતી. લેખક, ચિંતક અને આધુનિક નારીવાદના પ્રણેતા તરીકેની ખૂબ પ્રભાવક કારકિર્દી ધરાવતી સિમોને લખ્યું છે, ‘મારી સૌથી મોટી સફળતા સાર્ત્ર છે.’

પણ તેઓ સુખી થયાં? એમના સંબંધો સામાજિક અને વ્યાવસાયિક વર્તુળોમાં આંખે ચડી ગયા. બધી બાજુથી જાતજાતનાં દબાણો આવવાં શરૂ થયાં. વિદ્વાનો, પત્રકારોને ચર્ચાનો વિષય મળ્યો. સ્ત્રી તરીકે સિમોન સાથે ખરાબ વર્તન પણ થતું. સિમોન અંદરથી વલોવાતી પણ ખરી. આ સ્થિતિમાં એણે સજાતીય સંબંધો પણ બાંધ્યા.

1960 પછી પ્રગટ થયેલી ડાયરીઓએ આપેલાં ચિત્રો મુજબ સિમોન પોતાના સંબંધોની જટિલતાથી હેરાન તો થઈ જ હતી. તેને પોતાને પણ નેલ્સન એલ્જર્ન સહિત હાઈ-પ્રોફાઈલ સંબંધો હતા. સાર્ત્ર તો વુમનાઈઝર તરીકે જાણીતો હતો જ. પણ બંને અપરાધભાવ અનુભવ્યા વિના અન્ય સાથે પ્રેમમાં પડવા અને એમાંથી નીકળવા સ્વતંત્ર હતાં. એથી એમની કસોટી પણ થતી. એમનો પ્રેમ હંમેશાં માલિકી વગરનો, પ્રેમ ખાતરનો પ્રેમ રહ્યો. તો પણ સાર્ત્ર અને સિમોનના સંબંધોમાંથી આપણને સમજાય છે કે પાત્રો ખૂબ નિકટ હોય, મહાબુદ્ધિશાળી હોય, વિશ્વ આખા પર અસર કરે એવા ક્રાંતિકારી વિચારો ધરાવતા હોય તેથી એમના સંબંધો અને ભાગીદારી સંપૂર્ણ જ બને એવું હોતું નથી.

બંનેની કબર પેરિસના કબ્રસ્તાનમાં જોડાજોડ છે…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 જૂન 2023

Loading

મહારાષ્ટ્ર રાજકીય કટોકટીઃ મહારાષ્ટ્રનો ગઢ જીતવા ભા.જ.પા.ની નીતિમાં સામ-દામ-દંડ-ભેદ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 July 2023

ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે, વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા ન બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે

ચિરંતના ભટ્ટ

ડિજીટલ પત્રકારત્વની ભાષામાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં એક જ કી-વર્ડ સતત ચર્ચામાં રહ્યો છે, ટ્રેન્ડમાં રહ્યો છે અને તે છે ‘મહારાષ્ટ્ર પૉલિટીકલ ક્રાઇસિસ’. પવારના પાવર પૉલિટીક્સને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે પણ થઇ રહ્યું છે તે જોઇને એમ લાગે કે જાણે બિગ-બૉસનો શો ચાલી રહ્યો હોય. વિપક્ષો સાથે કામ પાર પાડવાની, તેમને તોડવાની, પોતાની તરફ કરી દેવાની ભા.જ.પા.ની નીતિ પૂર્વ-યોજિત ગેમ પ્લાન છે. વળી ભા.જ.પા.એ જ્યાં જ્યાં આ વ્યૂહરચના અમલમાં મૂકી છે ત્યાં ત્યાં હંમેશાંથી વિપક્ષમાં કોઇ એક એવો ચહેરો રહ્યો છે જેનો પ્રભાવ બહુ મજબૂત હોય એટલે ભા.જ.પા.ને ટેકો મળે કે તે ટેકો આપે છતાં ય પ્રમુખ ચહેરામાં જે તે પક્ષના મૂળમાં જે નેતા હોય એ જ રહે પછી ભલે તે સાંકેતિક હોય. 2024 લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે એટલે ષડયંત્રો, રાજનીતિની ચોપાટ અને કહેવાતા વિશ્વાસઘાતની મોસમ પૂરજોશમાં બેઠી છે અને એમાં ય મહારાષ્ટ્રમાં તો આ મોસમ મુંબઈના વરસાદની માફક જમાવટ કરીને બેઠી છે. 

ભા.જ.પા. માટે એક તીર બે નિશાન તો શરદ પવારને મળ્યું કર્મનું ફળ

 ભા.જ.પા.એ શિવસેના અને એન.સી.પી. બન્નેના પાયા પોકળ તો કરી જ નાખ્યા પણ હવે જોવાનું એ છે કે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર વચ્ચે સત્તા માટે જે ધમાસાણ યુદ્ધ થવાનું છે, એ સંતુલન ભા.જ.પા. કેવી રીતે જાળવશે. લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકો જોઇતી હશે તો આ ત્રણેયને ખુશ રાખવા પણ જરૂરી છે. હવે શરદ પવારની હાલતની વાત કરીએ તો માળું આ તો હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો છે. વસંત પાટિલનાં પત્ની શાલિની પાટિલે એવી ટિપ્પણી કરી હતી કે આ તો સમયનું ચક્કર ફર્યું છે અને 41 વર્ષ પહેલાં શરદ પવારે જે કર્યું હતું તેવું જ આજે અજિત પવારે તેમની સાથે કર્યું. શરદ પવારે જે તે સમયે વસંતરાવ પાટિલ સાથે સીધી વાત કરવાને બદલે ધારાસભ્યો તોડ્યા હતા. આજે એમના પોતાના ભત્રીજાએ પણ એ જ રસ્તો અપનાવ્યો. ભા.જ.પા.એ તો શરદ પવાર માટે એવી સ્થિતિ કરી જેમાં તેમનો પક્ષ તો તૂટ્યો જ પણ સાથે પરિવારમાં પણ નકરી કડવાશ ફેલાઈ ગઇ. 1978માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાઁગ્રેસના બે જૂથ અલગ ચૂંટણી લડ્યા અને રાજ્યમાં જનતા પાર્ટીની સરકાર ન બને એટલે બન્નેએ સાથે મળીને સરકાર બનાવી, પણ શરદ પવારે તો પોતાની જ પાર્ટી છોડી અને ધારાસભ્યો તોડી જનતા પાર્ટીને સરકાર બનાવવા સમર્થન આપ્યું. આ રીતે માત્ર 38 વર્ષની ઉંમરે શરદ પવાર મહારાષ્ટ્રના સૌથી યુવાન મુખ્ય મંત્રી બન્યા. પણ હવે તો ઉંમર પણ શરદ પવારની પડખે નથી જે તેમણે યાદ રાખવું જરૂરી છે.

2020માં મધ્ય પ્રદેશમાં કાઁગ્રેસના 25 વધુ ધારાસભ્યો ભા.જ.પા.માં જોડાઈ ગયા હતા. આ આખો ખેલ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખેલાયો. પક્ષ છોડવાની આ શરૂઆત સિંધિયાને પગલે થઇ હતી અને 6 મંત્રીઓ પણ આ દળ-બદલમાં સામેલ હતા. આવું કરે ત્યારે ભા.જ.પા.ની ‘આકર્ષક ઑફર્સ’ હોય એ લટકામાં કારણ કે જે પણ ધારાસભ્ય કાઁગ્રેસ છોડીને ભા.જ.પા.માં આવી જાય એને કોઈ મહત્ત્વનું પદ પણ આપી દેવાય, કોઇને અધ્યક્ષ બનાવાય તો કોઇને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે એ રીતે કોઇ પદ આપવામાં આવે. ધન અને પદના પ્રલોભનોથી રાજકારણીઓ તોડવા એ ભા.જ.પા.નો જૂનો ગેમ પ્લાન રહ્યો છે. ક્યાંક ભા.જ.પા.ને સફળતા મળી તો ક્યાંક ન મળી.

મહારાષ્ટ્રમાં સત્તા હાથમાં લેવી એ ભા.જ.પા.નું લક્ષ્ય રહ્યું છે. 2024ની ચૂંટણીની તૈયારી રૂપે મહારાષ્ટ્રમાં ભા.જ.પા.એ પોતાની વ્યૂહરચના એકથી વધારે વખત વાપરી છે. મહારાષ્ટ્રમાં ઘુસવું ભા.જ.પા. માટે ક્યારે ય સરળ નહોતું, આખરે એ ત્યારે શક્ય બન્યું જ્યારે જે તે સમયે મહારાષ્ટ્ર પર જેની પકડ હતી તેવી શિવસેના સાથે ભા.જ.પા.એ હાથ મેળવ્યા. 2014થી 2019 સુધી ભા.જ.પા. અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર ચલાવી પણ 2019માં શિવસેનાને ભા.જ.પા. પાસેથી મુખ્ય મંત્રી પદ જોઇતું હતું, પણ ભા.જ.પા.એ એ વાત કંઇ ગણકારી નહીં.  આખરે ભા.જ.પા.ના દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી તરીકે અને એન.સી.પી.ના અજિત પવારને નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લેવડાવાયા. અજિત પવારે મસ્ત સોગઠી રમીને એન.સી.પી.માં વિભાજન કરી પોતાની સાથે ઘણા ધારાસભ્યો છે એવો દાવો કર્યો હતો પણ એ બધા ખાલી ફીફાં ખાંડેલા. શરદ પવારે બધા ધારાસભ્યોનો ક્લાસ લીધો, આ તરફ ફડણવીસની સરકાર ભાંગી પડી અને અજિત પાવર ચૂપચાપ શરદ પવાર પાસે પાછા ગયા. આ તરફ પાંચ દિવસમાં ફડણવીસ સરકારનો ખેલ ખલાસ થયો. મહારાષ્ટ્રમાં કાઁગ્રેસ અને શિવસેનાને શરદ પવારને કારણે એક કરી મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું ગઠબંધન રચ્યું. આ ગઠબંધનને પગલે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી બન્યા તો એન.સી.પી. તરફથી અજિત પવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા અને કાઁગ્રેસને વિધાનસભા અધ્યક્ષ પદ પણ મળ્યું. અઢી વર્ષ થયા અને શિવસેનામાં બળવાખોર રાજનેતાઓએ માથાં ઉંચક્યાં. એકનાથ શિંદે સાથે 40 ધારાસભ્યોએ સરકારને પોતાનું સમર્થન પાછું ખેંચવા કહ્યું, ઠાકરેએ બહુમત સાબિત કર્યા વિના રાજીનામું આપ્યું અને એકનાથ શિંદેને ભા.જ.પે. મુખ્ય મંત્રી બનાવ્યા. આ રાજકીય સિઝનમાં શિવસેનાના બળવા પછી એન.સી.પી.માં ભાગલા પડ્યા, અને અજિત પવારે ગયા અઠવાડિયે જાહેરાત કરી કે પોતે એન.ડી.એ. સરકારમાં જોડાશે અને સાથે 40 ધારાસભ્યને લેતા જશે. અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળ પણ શરદ પવારને આવજો કહી દેશે.

આ આખા ખેલમાં એક જગ જાહેર છતાં ય સીધી રીતે ન દેખાય એવી વાસ્તવિકતા એ છે કે 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની જરૂર છે નહીં કે તેનાથી ઊલટું. ભા.જ.પા. માટે બિહાર, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સ્થિતિ સંવેદનશીલ છે. 2019થી જ એ હવા સ્પષ્ટ હતી કે આ રાજ્યોમાં ભા.જ.પા.ને સર્વોપરી થવું હશે તો એ સરળ નથી. દક્ષિણના રાજ્યોમાં ભા.જ.પા. પોતાનો આંકડો આસાનીથી નહીં જ વધારી શકે, નોર્થ ઇસ્ટમાં પણ તે હવે વધારે બેઠકો જીતી શકે તેમ નથી. શિવસેના સાથેના ભા.જ.પા.એ 2019માં 23 બેઠક જ મેળવી. હવે આ વર્ષની શરૂઆતમાં જે રાષ્ટ્ર સ્તરે પોલ થયા એમાં એવું વર્તાયું કે લોકસભામાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી 34 બેઠક મેળવી શકે એમ છે અને ભા.જ.પા.ની ઊંઘ ઉડી ગઈ કારણ કે પછી શિવસેનાને સથવારે મહારાષ્ટ્રમાં આવેલ ભા.જ.પા.ને માંડ 14 બેઠક મળે. ભા.જ.પા. અને શિંદેવાળી શિવસેના જે 2019માં 52 ટકા વેટ શેર મેળવી શકી હતી તે ઘટીને હવે 36 જાય એવી વકી છે.

ભા.જ.પા. કોઇપણ રીતે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને તોડે એ જરૂરી છે. વળી પક્ષ તોડવામાં ભા.જ.પા.ને ફાવટ છે પહેલા શિવસેના સાથે તો એ થઈ જ ચુક્યું છે અને આ વખતે એન.સી.પી.નો વારો હતો. ભા.જ.પા.એ એક જ કાંકરે બે પક્ષી માર્યા એવું કહી શકાય કારણ કે એન.સી.પી.માં ફાંટા પડ્યા જેથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી નબળો પડ્યો અને એકનાથ શિંદેની શિવસેના પણ નબળી પડી. જે અજિત પવારને એક સમયે ભા.જ.પા.એ ભ્રષ્ટાચારી ગણાવેલા અને તેમનું રાજીનામું માગેલું એને હવે પોતાની સરકારમાં સત્તા પણ આપી છે. વળી બીજી વાસ્તવિકતા એ પણ છે કે ભા.જ.પા.એ જ્યાં પણ ગઠબંધનની સરકાર કરી છે, બીજા પક્ષોને તોડ્યા છે ત્યાંની પ્રાદેશિક પાર્ટીઓ સાથે તેમણે ઘડેલી સરકાર ટકી નથી. પંજાબમાં ભા.જ.પા.ને લોકોએ ભાવ ન આપ્યો અને આપ સત્તા પર આવી. તેલંગણા, આંધ્ર અને બિહારમાં પણ એ જ ઘાટ થયો છે. હવે અત્યારે બિહારમાં એવો અવાજ ઉઠ્યો છે કે ભા.જ.પા. મહારાષ્ટ્રવાળી કરવાનો પ્રયાસ કરે છે.

આ તોડ-ફોડની રાજનીતિ છે એ તો બધા જાણે છે પણ હકીકત એ છે કે ભા.જ.પા.નો હાથ પકડનારી શિવસેનાને માટે તેમના નેતા નરેન્દ્ર મોદી નથી જ, તેમને માટે બાળ ઠાકરેનો પ્રભાવ અને મોભો મોખરે છે. વળી અજિત પવાર ભલે કંઇપણ કરે પણ કાકા શરદ પવારને મોટાભા નહીં બનાવવાની ભૂલ તો કોઈ ભોગે નહીં કરે. આવું મોટાભાગના રાજકીય પક્ષોમાં થયું છે, દક્ષિણ ભારતમાં જય લલિતાના પક્ષના લોકોએ તેમનો વિરોધ કર્યો અને છૂટા પડ્યા તો ય તેમની તસવીર, તેમને પ્રતીકાત્મક રીતે સાથે રાખવાના બધા કીમિયા તેમણે અનુસર્યા જ. કોઇને ગમે કે ન ગમે પણ સત્ય એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભા.જ.પા.નો પ્રભાવ એટલો તો નથી જ જેટલો તે ઇચ્છે છે કે હોય. કાઁગ્રેસ તૂટી એ પછી એન.સી.પી., શિવસેના, એ.એન.એસ., એમ.વી.એ. – એવું બધું ચાલતું રહ્યું છે અને ચાલતુ રહેશે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલને કોઇ પૂછે નહીં તો અચાનક જ લોકો પગ ધોઈ પાણી પીએ. અહીં વાંદરા અને બિલાડીની વાર્તા જેવું થાય છે, સંતુલન કરી આપવાનો દાવો કરનારો વાંદરો બે ય રોટલી ખાઈ જાય છે, મજાની વાત એ છે કે વાંદરા અને બિલાડીઓના ચહેરા-પક્ષ બદલાયા કરે છે, જેવું જેનું નસીબ. વળી વિરોધપક્ષને નબળો પાડવો એ ફાયદાકારક અને શાલિન રાજનીતિ છે, પક્ષને તોડી નાખનારી તરીકે ભા.જ.પા.ની છબી ખડી થાય એ નુકસાનકારક ગણાય.

બાય ધી વેઃ

ભા.જ.પા.એ એક સમયે અજિત પવારને દગાબાજ ઠેરવ્યા હતા પણ 2024 માટે ભા.જ.પા.ને અજિત પવારની ગરજ છે. ભા.જ.પા.ને એમ લાગે છે કે શિવસેનાથી અલગ થઇને જે વેઠ્યું છે તેની ભરપાઈ કરવામાં અજિત પવાર મદદ કરશે. ભા.જ.પા. ઉત્તર ભારતની બહારના રાજ્યોમાં લોકસભાની બેઠકો વધારવા માટે સામ-દામ-દંડ-ભેદ અપનાવી રહી છે. ઉદ્વવની શિવસેનાનો પ્રભાવ શિંદેની શિવસેનાના વોટ શૅર પર પડશે જ એ ભા.જ.પા.ને ખબર છે. વળી અજિત પવાર સાથે પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, નરેન્દ્ર રાઠોડ, વિજય દેશમુખ, શિવાજીરાવ ગર્જે જેવા નેતાઓ છે જેમનો પ્રભાવ પોતાની બેઠકો સિવાયના મત વિસ્તાર પર પણ છે જેનો ફાયદો ભા.જ.પા.ને લેવો છે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ એન.સી.પી.માં થયેલી તોડફોડનો સીધો પ્રભાવ દેખાશે કારણ કે નિતીશ કુમારને એક ટેકો શરદ પવારનો પણ હતો પણ હવે શરદ પવારની સ્થિતિ જ ડામાડોળ લાગે તો આ વિરોધપક્ષોની મહાએકતા પર તેની સીધી અસર દેખાશે. વળી એન.સી.પી. તૂટે એટલે યુ.પી.એ. પર પણ તેના આંચકા લાગે જ. ઉદ્વવ ઠાકરેની શિવસેના યુ.પી.એ.માં જોડાઇ જાય એવી વકી છે પણ મજબૂતાઇની દૃષ્ટિએ શિંદે શિવસેના ભારે પડે એમ લાગે છે. ટૂંકમાં અજિત પવાર મહારાષ્ટ્રમાં સિક્કો જમાવવા ભા.જ.પા. માટે અનિવાર્ય અનિષ્ટ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જુલાઈ 2023

Loading

...102030...1,0791,0801,0811,082...1,0901,1001,110...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved