Opinion Magazine
Number of visits: 9743344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે !

રમેશ સવાણી|Opinion - Opinion|2 August 2023

રમેશ સવાણી

વડા પ્રધાન ચિંતનશીલ હોવા જોઈએ, વિવેકબુદ્ધિવાળા હોવા જોઈએ. દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વિપક્ષનો આદર કરનારા હોવા જોઈએ. નાગરિકોને પ્રેરણા મળે તેવું તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ ! નાગરિકોને વડા પ્રધાન પ્રત્યે ભક્તિ નહીં પણ ગૌરવ થાય તેવા હોવા જોઈએ !

દુ:ખની વાત એ છે કે આપણા વડા પ્રધાન ગામના સરપંચ પણ ન બોલે તેવું બોલે છે ! લોકોને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચૂપ રહે છે, અને પોતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે જ મોં ખોલે છે ! જેમ કે : [1] હું ચોકીદાર છું ! [2] હું ચા વેચતો હતો ! [3] હું તો ફકીર છું, ઝોળો લઈ ચાલ્યો જઈશ ! [4] મેં 35 વર્ષ ભિક્ષા માંગીને ખાધું છે ! [5] મારી માતા વાસણ ઉટકતી હતી ! [6] હું ગરીબ છું, મારી પાસે કાર પણ નથી ! [7] હું કામદાર છું ! [8] તેઓ મને ગાળો આપે છે ! [9] વિપક્ષો મને કામ કરવા દેતા નથી ! [10] વિપક્ષોનું ગઠબંધન બનાવટી છે ! [11] નેહરુએ આમ કર્યુ અને તેમ કર્યું ! [12] બધી ખરાબી કાઁગ્રેસની છે !

સરપંચ કદાય આવું બોલે તો માફ કરી શકાય; પરંતુ વડા પ્રધાન આવું બોલી શકે નહીં ! વડા પ્રધાને મહત્ત્વના મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ ! જેમ કે : [1] રોજગાર. [2] મોંઘવારી. [3] સારું અને મફત શિક્ષણ. [4] સારી અને મફત આરોગ્ય સેવા. [5] કાયદાનું શાસન. બંધારણીય મૂલ્યો. [6] નાગરિકોની સુરક્ષા. મહિલા, બાળકો, વંચિતો, દલિતો, લઘુમતીની સુરક્ષા. દેશની સરહદોની સુરક્ષા. [7] કૃષિ ઉપજના ભાવ. [8] ભ્રષ્ટાચાર, કાળું નાણું. [9] સારી અર્થવ્યવસ્થા. [10] રૂપિયાની મજબૂતી. [11] સ્વરોજગાર / લધુઉદ્યોગ.

વડા પ્રધાન લોકોની સમસ્યા જોવાને બદલે પોતાની સમસ્યાઓના જ રોંદણાં રોવે છે ! લોકોનું ધ્યાન ભટકાવવા મંદિરોમાં જઈને આરતી ઊતારે છે ! આશારામ જેવા ધર્મના પાખંડીઓને પંપાળે છે ! કોર્પોરેટ કથાકારો / ફિલ્મ કલાકારો અને ડાયરાના કલાકારો પાસે વાહવાહી કરાવે છે ! દરબારી મીડિયા / IT Cell મારફતે જૂઠાણાં / અર્ધસત્ય ફેલાવે છે ! વિપક્ષને ખલનાયક અને ના-લાયક ચિતરે છે ! લોકોને ગેરમાર્ગે દોરવા જ 18-18 કલાક કામ કરે છે ! 

વડા પ્રધાનની કળા જૂઓ; 10 લાખનો સૂટ પહેરે છતાં પોતાને ફકીર તરીકે, ગરીબ તરીકે સ્થાપિત કરી શકે છે ! CBI, ED, IT, NIA જેવી એજન્સીઓ તથા SC, EC, CAG જેવી બંધારણીય સંસ્થાઓ વડા પ્રધાનની કઠપૂતળી બની ગઈ છે; વડા પ્રધાન પાસે સંસદમાં બહુમતી છે, તેમની 18થી વધુ રાજ્યોમાં સરકારો છે, છતાં વડા પ્રધાન કહે છે કે ‘વિપક્ષો મને કામ કામ કરવા દેતા નથી !’ લોકો માની પણ જાય છે ! વડા પ્રધાન પોતાના પક્ષમાં ભૂતકાળમાં CBIએ કરોડોના કૌભાંડમાં જેમની પર રેઈડ પાડેલ હોય તેવા જેલનિવાસી ક્રિમિનલોનું સ્વાગત કરે છે. ભ્રષ્ટ નેતાને મુખ્ય મંત્રી બનાવે છે, ઉપ મુખ્ય મંત્રી બનાવે છે ! છતાં લોકોની ધારણા બની ગઈ છે કે વડા પ્રધાન ભ્રષ્ટાચારને બિલકુલ ખતમ કરી દેશે ! સરહદ પર સૈનિકો શહીદ થતાં રહે છે; ચીને લદાખમાં આપણા 64માંથી 27 પેટ્રોલિંગ થાણાં પચાવી પાડ્યા છે; ત્યાં આપણું લશ્કર જઈ શકતું નથી; ચીને અરુણાચલ પ્રદેશના શહેરોનાં નામ બદલી નાખ્યાં છે; આપણી સરહદમાં ચીને ગામડાં ઊભાં કર્યા છે; છતાં લોકો કહે છે કે પાકિસ્તાન અને ચીન વડા પ્રધાનથી થરથર કાંપી રહ્યા છે ! 9 વરસના શાસન દરમિયાન કાશ્મિરી પંડિતોનું પુવર્વસન ન કર્યું છતાં દરબારી મીડિયા વડા પ્રધાનને હિન્દુ હ્રદય-સમ્રાટ કહે છે ! કિસાનો આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરે છે, છતાં કિસાનોની ડબલ આવક થઈ ગઈ છે; એ ભ્રમ લોકોના ગળે ઊતરાવી દીધો છે ! રાંધણ ગેસ સિલિન્ડરના રૂપિયા 400માંથી રૂપિયા 1,100 થયા, છતાં ઉજ્જવલા યોજનાની સફળતા ગીતો ગવડાવે છે ! મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ થાય છે, દલિત કન્યાઓ પર ગેંગરેપ થાય છે; છતાં વડા પ્રધાન ‘બેટી બચાઓ’ અભિયાનની સફળતાના ઢોલ પીટે છે ! ‘નોટબંધીનું સારુ પરિણામ ન આવે તો લોકો કહે ત્યાં ચાર રસ્તાએ ઊભો રહીશ અને લોકો જે સજા કરે તે ભોગવીશ !’ તેમ કહેનાર વડા પ્રધાન તો નોટબંધીનું નામ જ લેતા નથી ! છતાં લોકો ભૂલી ગયા ! કોરોના સેકન્ડ વેવમાં લાખો લોકોના મોત ઓક્સિઝનના અભાવે થયાં છતાં સંસદમાં વડા પ્રધાને કહ્યું કે ‘એક પણ મોત ઓક્સિઝનના અભાવને કારણે થયું નથી !’ છતાં પીડિત પરિવારો આ જૂઠને પચાવી ગયા ! કોણ જાણે લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે કે રોજગાર / શિક્ષણ / આરોગ્ય / સલામતી જેવા બુનિયાદી મુદ્દાઓ કરતાં ધર્મ / જાતિ / ગોત્ર / આસ્થા / નકલી રાષ્ટ્રવાદ / નકલી ભક્તિ / નફરત / ધૃણાના મુદ્દાઓ લોકોને બેહદ ગમે છે ! ધર્મનો નશો એવો છે કે તેમાં અસત્ય સત્ય અને સત્ય અસત્ય દેખાય છે ! તેમાં અવગુણ ગુણ અને ગુણ અવગુણ દેખાય છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ પણ એક ભાગ્ય છે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|2 August 2023

ગઝલ લખવી એટલે મારી દૃષ્ટિએ તો પાણીના દોરડા વણવા જેવું કઠિન કામ છે. લોકો ભલે સમજે કે છંદ આવડી જાય એટલે ગઝલ બહુ જ સરળતાથી લખી શકાય. ફક્ત છંદ આવડવાથી ગઝલ લખી શકાતી નથી. ગઝલમાં કાફિયા અને રદીફ પણ છંદ જેટલાં જ મહત્ત્વના છે. કાફિયા તો પ્રત્યેક શેરમાં બદલાતા હોય છે પણ રદીફ તો મતલાથી મક્તા સુઘી એક જ રફતારમાં ચાલતો હોય છે. ઉત્તમ ગઝલ રદીફ કેવો છે તેના પર આધાર રાખે છે. છંદ આવડવાથી તમે કાફિયા અને રદીફ સહારે ગઝલનું ખોખું કે પછી શરીરનો આકાર તમે ગઝલને આપી શકો. મિત્રો, ગઝલમાં મહત્ત્વ છે ગઝલત્વનું. જે ગઝલનો આત્મા ગણાય છે. સુંદર શરીર હોય પણ આત્મા વિનાનું શરીર કેવું લાગે જરા કલ્પના કરી જુઓ તો ખ્યાલ આવી જશે. એવું જ ગઝલમાં છે છંદ જાણતા હોય પણ ગઝલત્વ ના હોય તો તે ગઝલ આત્મા વિનાનું શરીર જેવી લાગે.

મારા પરમ મિત્ર સકૂર સરવૈયા જે દોઢેક દાયકો મારા ગામમાં રોચેસ્ટરમાં હતા, અને ત્યાર બાદ અહીંથી ૯૦ માઈલ દૂર શર્મન ગામમાં પોતાની દવાની દુકાન ખોલી. પોતે એક ફાર્માસિસ્ટ, અને બે પાંદડે થતાં થતાં તેઓ એક ખોટે રવાડે ચડી ગયા. આજથી દોઢ બે દાયકા પહેલાં અછાંદસ કવિતા લખતાં લખતાં છંદનો કોઈ અભ્યાસ કર્યા વિના અછાંદસની જેમ ગઝલ દિવસે ના લખાય એટલી રાતે લખવા માંડ્યા. અને પછી રાત દિવસ ગઝલ સંગ્રહ પ્રગટ કરવાનાં સ્વપ્ન જોતાં આ ફાર્માસિસ્ટ સંગ્રહ પ્રગટ કરવા એક નહિ પણ એક આખું ટોળું મળી ગયું, કે ચઢ જા બેટા શૂળી પર! અને આ ફાર્માસિસ્ટ પાસે અલ્લાહની મહેરબાનીથી ડોલરની કોઈ તંગી ન હતી એટલે ગઝલકાર થવાના સમણાં જોતાં સકૂર મિયાંએ પોતાનું નામ ‘શબાબ કાયમી” ધારણ પર કરી લીધું.

આ બધી અછાંદસ ગઝલનો સંગ્રહ પ્રગટ કરવા તેમણે વડોદરા ડૉ. રશીદ મીરને આ ગઝલ મોકલી આપી. આ ગઝલ સારા કાગળમાં સુઘડ રીતે રશીદભાઈ છાપી તો આપશે, સાથો સાથ ગઝલના છંદને પોતે ગઝલના જાણકાર હોવાથી મઠારી પણ આપશે, તેમ જ તેની પ્રસ્તાવના યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગઝલકાર ભાઈ અદમ ટંકારવી લખશે. એવું આદિલ મન્સૂરી સાહેબે સકૂર મિયાંને ગોઠવી આપ્યું, એટલે સકૂરભાઈ એ આ સંગ્રહ આદિલ મન્સૂરીને અર્પણ કર્યો. ત્રણ ચાર મહિના બાદ આ સંગ્રહ ” અજંપો” નામે પ્રગટ થયો, સુંદર કાગળ અને સરસ છાપકામ અને અદમ ટંકારવી સાહેબે ગઝલના રૂપ રંગ પ્રમાણે લખેલ પ્રસ્તાવના સાથે. તેની ત્રણ ચાર નકલ રશીદ મીર સાહેબે સકૂર ભાઈને મોકલી આપી.

અજંપાની ગઝલ જોતાં જ શકુરભાઈ ખુદ અજંપામાં ખોવાઈ ગયા, તેમણે લખેલી ગઝલનું રૂપરંગ એમનું એમ જ રાખી દેવામાં આવેલ. ગઝલમાં ક્યાં ય કોઈ ફેરફાર નહીં, ગઝલસંગ્રહ પ્રગટ કરવા ગયો ત્યારે આદિલભાઈએ સકૂરભાઈને કહેલ કે, શકુરભાઈ તમે બિલકુલ ચિંતા ન કરશો. તમારી પ્રત્યેક ગઝલને હું, અદમભાઈ, મીર સાહેબ મઠારીને છંદ ચકાસીને પછી જ ગઝલ સંગ્રહ રૂપે આપણે પ્રગટ કરીશું. આદિલભાઈ અને મીર સાહેબે જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે સંગ્રહની ગઝલમાં કોઈ ફેરફાર ન જોતા શકુરભાઈ દુઃખી થઈ ગયા.

તેમણે મને તે જ સમયે ઘરેથી ફોન કર્યો કે પ્રીતમ, હું અને તારી ભાભી હમણાં જ તને મળવા શર્મનથી રોચેસ્ટર આવી રહ્યાં છીએ. મને થયું સકૂરભાઈને એવું તે મારું શું કામ પડ્યું હશે, કે મને કહે કે હું તને બઘી વાત ફોન પર કરવાને બદલે તારા ઘરે આવીને વિગતવાર વાત કરીશ. આમ તો હું સકૂરભાઈને રોચેસ્ટરથી નહોતો ઓળખતો, પણ મારા અને સકૂરભાઈના સંબંધ ઘાટકોપરથી. મારા બનેવી પ્રતાપ ભટ્ટને કારણે, સકૂરભાઈને અમેરિકા બોલાવનાર પણ મારા બનેવી પ્રતાપ ભટ્ટ જ હતા. હું અને શકૂરભાઈ મારી બહેનના ઘરે ઘણી વખત સાથે પણ રહેલા. હું ભારતથી અમેરિકા પ્રથમ વાર આવ્યો ત્યારે મને એરપોર્ટ પર લેવા આવનાર પણ શકૂરભાઈ જ હતા. અમારા સંબંધ સાહિત્યને કારણે નહોતા, અમે તેમના ઘરે વારંવાર જતાં અને તેઓ પણ મારે ઘેર આવતાં.

શનિવારની સાંજે મારે ઘરે શકૂરભાઈ આવ્યા ત્યારે તેનો ચહેરો ઊતરી ગયેલ હતો. મને થયું કે શું થયું હશે? બીનાએ ચા બનાવી એટલે શકૂરભાઈ અને ભાભીએ ચા પીને, મારા હાથમાં ‘અજંપા”ની એક નકલ મૂકી. મેં મારા સ્વભાવ પ્રમાણે સકૂરભાઈને કહ્યું, ‘ખરા છો? તમે, આપણે રોજ ફોન પર વાત કરીએ છીએ પણ તમે ક્યારે ય મને કહેતા કે બોલતા નથી કે મારો સંગ્રહ પ્રગટ થવા ગયો છે. તમે મને ન કીધું મને તેનું કોઈ દુઃખ નથી. સંગ્રહ પ્રગટ થયો છે તેનો આનંદ વ્યક્ત કરવાને બદલે અત્યારે તમારું મોઢું અબરખના ડૂચા જેવું કેમ લાગે છે?

શકૂરભાઈએ બઘી વાત મને વિગતવાર કરી, ત્યારે મને પણ વેદનાનો અજંપો લાગ્યો. શકૂરભાઈ મને કહે કે આજે સવારે ચાર કોપી આવી છે. તેમાંથી એક કોપી મેં અહીં આવતાં પહેલાં શિકાગોમાં ડો. અશરફ ડબાવાલાને મોકલી આપેલ છે. આ એક કોપી હું તને વાંચવા આપું છું પણ તું મહેરબાની કરીને કોઈને ન આપતો. હું તારા ઘરેથી જ હમણાં સાંજે રશીદ મીર ને ફોન કરીને જણાવું છું કે મારો આ સંગ્રહ રદ્દબાતલ કરે અને મહેરબાની કરીને કોઈને તેની એક પણ કોપી આપે કે વેચે નહીં.

સકૂરભાઈએ તેમના ગઝલ સંગ્રહની ૫૦૦ નકલને ઊકરડે ફેંકી દીધી / ફેંકાવી દીઘી. બે પાંચ દિવસ બાદ સકૂરભાઈનો ગઝલસંગ્રહ ડો. અશરફ ડબાવાલાને શિકાગો મળ્યો ત્યારે અશરફભાઈ એ ફોન કરીને સકૂરભાઈને જણાવ્યું કે તમારી ગઝલ સારી છે, પણ છંદ વિના ‘ફોટો ફ્રેમ વિનાની તસ્વીર ભીંત પર મૂકી હોય તેવી લાગે છે’. તમે અજંપા વિશેનો જે અજંપો કાગળમાં દર્શાવ્યો છે, તે વાંચી મને એટલું કહેવાનું મન થાય છે. કે ‘તમારો કાગળ તો મને એક અછાંદસ કાવ્ય જેવો લાગ્યો.’ બે પાંચ મહિના બાદ શકૂરભાઈ મને કહે કે તને કોઈ ગઝલના જાણકારી સાથે ઓળખાણ હોય તો તું તેને વાત કર. જો તે મારી ગઝલને છંદમાં મઠારી આપશે તો, એ જે કહેશે તે પ્રમાણે આપણે તેને મહેનતાણું આપશું. મેં સકૂરભાઈને કહ્યું, શકૂરભાઈ આ અનુભવ પછી તો કંઈક શીખો. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય, તમે એમ કરો ગઝલ છંદનો અભ્યાસ કરો. મારી પાસે “નઝર” ગફૂરીનું ‘છંદસમજ ગઝલ સહજ’ અને જમિયત પંડ્યાનું ગઝલના છંદ શીખવા માટેનું એક પુસ્તક હતું. આ બે પુસ્તકો મારી પાસે હતા જે મને કવિ મિત્ર કૈલાસ પંડિતે ૧૯૯૦માં હું મુંબઈ ગયો હતો ત્યારે મને આપેલાં. આ બંને પુસ્તકો મેં સકૂરભાઈને મોક્લી આપ્યાં. શકૂરભાઈ લગભગ દોઢ બે વરસ આ પુસ્તક વાંચી તેમણે ખુદ જાતે મથીને અજંપાની બધી ગઝલ જેટલી થઈ શકે તે બધી છંદમાં લખવાની કોશિશ કરી અને એકાદ વરસ બાદ, આ બઘી ગઝલને એમણે ૨૦૦૫માં “શબાબ કયમી”ના નામે, “બે દમ ચલમના’માં પ્રગટ કરી.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

‘મિની સૌરાષ્ટ્ર’ની આ દાસ્તાંમાં સમાજકારણ, રાજકારણ, અર્થકારણની સામગ્રી પડેલી છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 August 2023

સુપ્રતિષ્ઠ સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસે પોતાના ગામ ‘રામપુર’ની વાત સમાજશાસ્ત્રીય કરતાં વધુ તો આર.કે. નારાયણની ઢબે માંડીને ક્યારેક નવી ભોં ભાંગી હતી એને લાયક ખાણદાણ આપણે ત્યાં પણ હોઈ શકે છે

પ્રકાશ ન. શાહ

લખવાનો ધક્કો તો પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણીની સુરત-પાટી ત્રયીમાંથી પસાર થતાં લાગેલો છે. પણ એમાં પ્રવેશી શકું તે પહેલાં જળબંબોળ જૂનાગઢ વિશે સાંભળું છું અને મહાલક્ષ્મી શેરીના કોઈક ઢોળાવ પરની ‘ભટ્ટ ખડકી’ ખાબકી આવી સહસા ચિત્તનો કબજો લે છે. એમાં વાંક ને જવાબદારી અલબત્ત યોગેશ વૈદ્યના હૃદ્ય કવિક્રમની છે. એમણે આ ખાનદાન, દુનિયાદારી અર્થમાં સુખી નયે હોય એવા નિવાસઝુમખાને એકદમ જ આત્મીય બનાવી દીધેલ છે. શા હાલ હશે એના આ પૂર વચાળે, એવું જો કે વિચારવું જરૂરી નથી; કેમ કે બે’ક દાયકા પરના ભૂકંપ સાથે અહીં ‘ભયની મારી હજાર ભીંતો ભડકી’ અને પેઢાનપેઢી જ્યાં જીવ્યાં તે સૃષ્ટિ સંકેલાઈ ગઈ છે. ક્યારેક ‘ઓરસિયા પર શ્લોક પ્રસરતો દાદા ચંદન ઘસતા / ઘરના નાના ખૂણે કેટલા ઈશ્વર આવી વસતા’ એ સૃષ્ટિએ હવે ક્યાંક બીજે હોવાનું છે – અને કવિ પરિવાર અન્યત્ર સ્થાયી થઈ પોતાની રીતે જીવન માણતો પણ હશે સ્તો. (બાકી, ‘ભટ્ટ ખડકી’માં રહ્યા ત્યારે તો પિંજર જેવું ખુલ્લું રહી ગયું હોય પણ પંખી એમાંથી ઊડી જવા ન ઈચ્છે એમ રહેવું કોઠે પડી ગયું હતું.)

યોગેશ વૈદ્યના કાવ્યલોકમાં સરી જવાનો અથ‌વા પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના વારાથી સુપ્રતિષ્ઠ ‘ડેઝર્ટેડ વિલેજ’ જે ઘસાતાં ગામડાંની યાદ લઈ આવે છે એમાં અટવાઈ જવાનો ખયાલ તો ક્યાંથી હોય? જીવન અંતે તો ગતિ અને સ્થિતિનું કાવ્ય છે અને ઇતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી. ઈતિહાસમરમી ઈ.એચ. કાર વખતોવખત કહેતા કે મનુષ્યજાતિની નિયતિ એક નાવિક જેવી છે. છોડેલા કિનારાનાં ભવ્ય ખંડેરો કે ખખડી ગયેલા ખાનદાન ખોરડાં ભણી મોં ઠેરવી બેસવાનું બેમતલબ છે. વસ્તુત: આપણી નૌકા જે અખાતમાં પ્રવેશી છે તે તરફ જ નજર નોંધી બંદરશોધ ચલાવવાની છે. કહ્યું ને, ઇતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી … તો, રાધાના નામ પેઠે કાળજે ધરી કે મોરપીંછ પેઠે મસ્તકે ધરી વ્રજ મેલી ક્યાંક પૂગવું રહે છે જ્યાં દ્વાર ખુલ્લાં હોય કે ખોલી શકીએ.

વિશ્વવાર્તાની જેમ લાંબી પ્રસ્તાવના કીધી પણ તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે સ્થળાંતરિતોના દસકા જેવા આયોજન કરવા લાગ્યા છીએ. ભારત એટલે ગામડાં એમ આપણે કહેતાં આવ્યાં એ કંઈ ખોટું નથી. પણ વીતેલા દસકાઓમાં શહેરીકરણનો સપાટો જોઈએ તો તરતનાં વરસોમાં અધઝાઝેરું ગુજરાત ગ્રામીણ નહીં પણ શહેરી હશે.

નાનુભાઈ વાનાણી

ચોપડે ચડ્યા વગરની વણનોંધી, કથિત પરપ્રાંતીય શ્રમશક્તિ, કુદરતી આપત્તિ પછી ખુદ ગુજરાતમાં કેટલી એમ જ અલોપ થઈ જતી હશે, ન જાને! ખાંડવવન દહન વિનાનું ઈન્દ્રપ્રસ્થ કલ્પવું એ ખરે જ એક મહાભારત કામ રહ્યું છે.

વધુ વહી જતો લાગું તે પહેલાં અટકું અને નાનુભાઈની ત્રયી નિમિત્તે બે’ક વાતો કરું. સુરતના વરાછા, કતારગામ, અમરોલી અને મોટા વરાછા વિસ્તાર છેલ્લાં સાઠ વરસમાં ‘મિની સૌરાષ્ટ્ર’ લેખે ઉભર્યાં છે. સૌરાષ્ટ્રના ચૂંટણીજંગમાં સુરતની સામેલગીરી ને સુરતમાં સૌરાષ્ટ્રની સામેલગીરી તે લક્ષમાં લઈએ તો ‘સુરતમાં સૌરાષ્ટ્રની ‘સૂરત’ તરત સમજાશે. સચોટ કહ્યું છે કે નાનુભાઈએ પ્રસ્તાવનામાં કે અહીં સાહસ ને સંઘર્ષ તે અમારો ‘વીર’ રસ છે; અમારા શરૂઆતના સમયે અને અભણ, ગંદા, ઘસીય, ગોવિંદા, રોકેટ કહેવાઈ હાંસીપાત્ર બન્યા તે ‘હાસ્ય’ રસ છે; અમારી સખાવતો તે ‘વાત્સલ્ય’ રસ છે, ગેરકાયદે બાંધકામોનું ઘોર જંગલ તે ‘બીભત્સ’ રસ છે; અકલ્પનીય આર્થિક વિકાસ તે ‘અદ્દભુત’ રસ છે; શરૂઆતના દિવસોમાં અમારા પરિણીત યુવાનોએ અહીં અને એમની પત્નીઓએ વતનમાં રહી જે વિયોગ સહન કર્યો તે વિરહનો ‘શૃંગાર’ રસ છે; વિચલિત થયા વગર વધતા રહેવું તે અમારો ‘શાંત’ રસ છે, અને પૈસાની ભક્તિ તે અમારો ‘ભક્તિ’ રસ છે.

પુરુષાર્થ, પરમાર્થ અને સ્વાર્થની આ મહાભારત કથા છે. બીજી પાસ, નાનુભાઈએ ‘વાંચે તે જાણે’ એવી ટૅગ-ટિપ્પણ સાથે સુરતની આર્થિક ક્રાંતિનું ‘રહસ્ય’ ખોલવાનીયે કોશિશ કરી છે. અને આ બધું કરતી વખતે ને કરતે છતે સૌરાષ્ટ્રના પોતાના મૂળ વતનગામ ‘પાટી’નુંયે ચિત્ર ગામની ખુદની આત્મકથની રૂપે આપ્યું છે. વતનભૂમિ અને કર્મભૂમિ બેઉને પૂરા હૃદયથી વરેલી શખ્સિયતની કલમે સાંપડેલી સામગ્રી વિશે વધુ નહીં કહેતાં આટલે જ અટકીશું.

એક રાજકીય કાર્યકર તરીકે નાનુભાઈએ પક્ષીય માળખા બહાર ઊઠીને કરેલી આ ચિત્રણા નિશ્ચયે સરાહનીય છે. એમાં વતનભૂમિ ને કર્મભૂમિ વચ્ચે સમજપૂર્વકનો સહૃદય લગાવ છે, તો નવી જગ્યાએ બનતા દાયિત્વની ખબર પણ છે. પોતે જ પક્ષ સાથે છે એને અંગે પણ એમનો દાયિત્વબોધ કેવોક હશે તે વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે વિજય છતાં મતોની ઘટેલી ટકાવારી વિશેની એમની ચિંતામાં વરતાય છે. કાર્યકર આધારિત અને વિચારધારા આધારિત પાર્ટીમાંથી આપણે મોદી આધારિત પાર્ટીમાં તો નથી ફેરવાઈ ગયા ને. સત્યમેવ જયતેને બદલે જો જીતા વહી સિકંદર, એવું તો નથી ને, આ પ્રકારના પ્રશ્નો એમણે એક જાહેર મુલાકાતમાં ઉઠાવ્યા હતા તેનું આ ક્ષણે સ્મરણ થાય છે.

ભારતમાં સમાજશાસ્ત્રની નવી ભોં ભાંગનાર તરીકે એમ.એન. શ્રીનિવાસ અને એમણે માંડેલી પોતાના ગામની દાસ્તાં ‘રામપુર’ આદરભેર સંભારાય છે. ‘રામપુર’ની લેખનધારી શાસ્ત્રીય નહીં એટલી આર.કે. નારાયણની કલમે ચાલી આવતી વાર્તાની તરેહની છે. નાનુભાઈની આ સામગ્રી સુરતથી સુપરિચિત સમાજશાસ્ત્રીઓની આપણી શૃંખલા પૈકી ઘનશ્યામ શાહ, વિદ્યુત જોશી, ગૌરાંગ જાની કોઈક તપાસી એને પલટાતા સમાજના પાઠ્યપુસ્તક તરીકે કેમ ન જોગવી આપે વારુ? નાગરિકતાના શિક્ષણની એ અચ્છી હાથપોથી પણ બની રહેશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 02 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0731,0741,0751,076...1,0801,0901,100...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved