Opinion Magazine
Number of visits: 9667176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં ગઠબંધનનો ઇતિહાસઃ આંકડાના ખેલ સાચવવામાં એક થતા વિરોધપક્ષો હંમેશાં સ્થિરતા નથી લાવી શકતા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|23 July 2023

નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ની લીટી નાની કરવાને બદલે આ એક થયેલા વિરોધ પક્ષો જો બહેતર રાષ્ટ્ર બનાવવાની દિશામાં નક્કર વાતો કરશે, તો તેમનું ‘નેરેટિવ’ મજબૂત બનશે. સામાજિક ન્યાયનો બચાવ, ધર્મનાં શસ્ત્રકરણનો વિરોધ, હાંસિયામાં ધકેલાયેલાઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થશે તો વિરોધપક્ષોના I-N-D-I-Aની અસર ૨૦૨૪માં દેખાઈ શકે છે

2024ની ચૂંટણીનો ગરમાવો અચાનક જ 18મી જુલાઈએ થયેલા તાપણામાંથી વર્તાવા માંડ્યો. એક તરફ શાસક પક્ષ ભા.જ.પા.એ એન.ડી.એ. – નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના 38 ભાગીદારોને ભેગા કરીને બેઠકનું આયોજન કર્યું તો બીજી તરફ 26 વિપક્ષી નેતાઓએ બેંગાલુરુમાં એક નવું જોડાણ બનાવવા માટે બેઠક કરી અને આ નવા ગઠબંધનને નામ મળ્યું INDIA – એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ. વિરોધ પક્ષોએ વર્તમાન શાસક પક્ષના વિરોધમાં નવા ગઠબંધનની જાહેરાત કરી છે ત્યારે એ વિચારવું પડે કે ગઠબંધનની સરકારથી શું ફેર પડે છે.

ચિરંતના ભટ્ટ

હવે પહેલાં તો એ સ્વીકારી લઈએ કે સાહેબને કંઇ ફેર પડતો નથી કે એ NDAની બેઠક બોલાવે અને ચર્ચા કરે પણ આ મહાગઠબંધન – INDIA-વાળું થયું એટલે બેઠક તો બોલાવવી પડે અને એમ કરીને તેમણે બતાડી પણ દીધું. ગઠબંધનની સરકાર ભારતમાં બને એ કંઈ નવી વાત નથી. ભારત દેશને અંગ્રેજોના સંકંજામાંથી મુક્તિ મળી પછી મોટાભાગના રાજ્યોમાં લગભગ 2 દાયકા સુધી તો કાઁગ્રેસનું જ રાજ હતું, 1969માં કાઁગ્રેસમાં ફાંટા પડ્યા છતાં પણ ઇંદિરા ગાંધીએ અન્ય પક્ષોની મદદથી પોતાની સરકારની આખી ટર્મ પૂરી કરી હતી. 1971માં ઇંદિરા ગાંધીની કાઁગ્રેસ પાર્ટીને પૂરી બહુમતી મળી અને એક જ પક્ષે સરકાર રચી પણ એ સરકાર 1977 સુધી ચાલી. 1975માં કટોકટીની જાહેરાત થઇ, નવેસરથી ચૂંટણીની જાહેરાત થઇ ૧૯૭૭માં કાઁગ્રેસની નાલેશીભરી હાર થઇ અને એ વખતથી રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનની સરકાર એક સામાન્ય બાબત બની ગઈ.  ભારતમાં ગઠબંધનની સરકારના ઇતિહાસ પર નજર નાખીએ તો સૌથી પહેલા તો 70 દાયકાની મધ્યે એવા લોકો ભેગા થયા જેમને ઇંદિરા ગાંધીની તાનાશાહી સામે વાંધો હતો. ઇંદિરાના શાસનના વિરોધીઓએ ભેગા મળીને જનતા પાર્ટી રચવામાં જરા ય વાર નહોતી લગાડી. જેને પણ ઇંદિરા ગાંધી અને કટોકટી સામે વાંધો હતો, પછી ભલેને તે વ્યક્તિ કાઁગ્રેસની સભ્ય જ કેમ ન હોય તે જનતા પાર્ટીમાં જોડાઈ જતી. કાઁગ્રેસના મોટાં નામો જ નહીં પણ જન સંઘ જેવા પક્ષો પણ પોતાની ઓળખ હટાવીને જનતા પાર્ટી સાથે એક થઈ ગયા હતા અને સાથે લોક દળના ચરણ સિંઘ પણ જનતા પાર્ટીમાં જ જોડાયા જે મોરારજી દેસાઈની માફક વડા પ્રધાન પણ બન્યા. જો કે આ ગઠબંધન બહુ લાંબુ ન ચાલ્યું કારણ કે ઉમેદવારો વચ્ચે જબરા વાંધા-વચકા હતા અને આખી ય ગોઠવણ ખોરવાઈ ગઈ.  

ત્યાર બાદ ગઠબંધન વારો આવ્યો 1989-90 દરમિયાન જ્યારે જનતા દળ, તેલુગુ દેસમ પાર્ટી, દ્રવિડ મુન્નેત્ર કઝગમ, અસોમ ગણા પરિષદ અને કાઁગ્રેસ (સમાજવાદી) પક્ષ ભેગા થયા. આ વખતે  નેશનલ ફ્રંટની રચના થઈ. ભા.જ.પા. અને અન્ય ડાબેરી પક્ષોએ જોડાયા વિના આ પક્ષને ટેકો આવ્યો. ઇંદિરા ગાંધીની હત્યા પછી 1984માં કાઁગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર જીત મળી હતી પણ એ જ કાઁગ્રેસ 1989માં કાઠું ન કાઢી શકી. કાઁગ્રેસ સાથે કોઈ સાથી પક્ષો નહોતા અને કાઁગ્રેસને 197 બેઠકો મળી પણ 146 બેઠકો વાળા નેશનલ ફ્રંટને ભા.જ.પા.ના ટેકાને કારણે બીજી 86 બેઠકો, ડાબેરી પક્ષોને કારણે બીજી ૫૨ બેઠકો મળી, જેને કારણે વી.પી. સિંઘ વડા પ્રધાન બન્યા. આ તરફ રથયાત્રા કરવા નીકળેલા અડવાણીની ધરપકડ થઈ એમાં ભા.જ.પા.એ ટેકો પાછો ખેંચી લીધો અને સરકારનું પોટલું વળી ગયું. ત્રીજી વાર ગઠબંધન થયું 1990-91 દરમિયાન અને વી.પી. સિંઘની સરકાર પડી ભાંગી પછી મુખ્ય જનતા દળમાંથી છૂટા પડેલા ચંદ્ર શેખરે બનાવેલી સમાજવાદી જનતા પાર્ટીમાં પરિણમ્યું જેમાં 64 સાંસદો હતા અને કાઁગ્રેસના ટેકાથી ચંદ્રશેખર વડા પ્રધાન પણ બન્યા. સાત મહિનામાં આ ગોઠવણનું બાળ મરણ થયું કારણ કે સરકાર રાજીવ ગાંધીની જાસૂસી કરે છે એવા આક્ષેપો મુકાયા અને કાઁગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. 1996-98માં યુનાઇટે ફ્રંટના નામે ગઠબંધન થયું અને બે વર્ષમાં બે વડા પ્રધાનો આવ્યા; એચ.ડી. દેવ ગૌડા અને એલ.કે. ગુજરાલ. જનતા દળ, સી.પી.આઇ., કાઁગ્રેસ (T), સમાજવાદી પાર્ટી, ડી.એમ.કે., એ.જી.પી., તમિળ માનિલા કાઁગ્રેસ (TMC), તેલુગુ દેસમ પાર્ટી આ ગઠબંધનમાં ભેગા હતા અને બહારથી કાઁગ્રેસનો ટેકો હતો.  29 પક્ષો અને 9 સ્વતંત્ર ઉમેદવારોએ લોકસભામાં હાજરી નોંધાવી. અહીં રાષ્ટ્રીય, રાજ્ય સ્તરીય પક્ષોનો ખીચડો હતો અને તત્કાલિન કાઁગ્રેસ(I)ને અત્યાર સુધીની સૌથી ખરાબ હાર વેઠવી પડી. આ બધામાં ભા.જ.પા. મજબૂત બની અને અટલ બિહારી વાજપાયીની સરકાર બની પણ ટકી નહીં જેને પગલે મળેલી બેઠકોમાં થર્ડ ફ્રંટનો વિચાર અમલમાં મુકાયો. ૧૪૦ બેઠકો ધરાવતી કાઁગ્રેસે સરકાર ચલાવવાની ના પાડી પણ ગઠબંધનને ટેકો આપ્યો, પણ ફરી એકવાર મતભેદોને પગલે સરકાર પડી ભાંગી.

1998માં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ – NDA અસ્તિત્વમાં આવ્યું જેમાં ભા.જ.પા., એ.આઇ.ડી.એમ.કે., બીજુ જનતા દળ, શિવસેના, લોક શક્તિ, અરુણાચલ કાઁગ્રેસ, સમતા પાર્ટી, અકાળી દળ, પી.એમ.કે. વગેરે જોડાયા. આ ગઠબંધને ચાર વાર લોકસભાની ચૂંટણી જીતી પણ આ ગઠબંધનમાં પક્ષોની આવન-જાવન ચાલુ રહી છે. ૨૫ વર્ષ ટક્યુ હોય એવું આ એક જ ગઠબંધન છે. યુ.પી.એ. – યુનાઇટે પ્રોગ્રેસિવ અલાયન્સ 2004થી 2014 દરમિયાન બે ચૂંટણી જીત્યું જેમાં કાઁગ્રેસ, એન.સી.પી., ડી.એમ.કે., આર.જે.ડી., એલ.જે.પી. અને પી.એમ.કે. ભેગા હતા.

આ વિગતો પરથી એ તો સ્પષ્ટ સમજાય છે કે જ્યારે પણ ગઠબંધનમાં કોઈ એક પક્ષ વધુ પડતો બળુકો હોય તો એ ગઠબંધનના બંધનો બહુ લાંબા ટક્યા નથી. અત્યારે આપણા રાજકારણમાં જે ચાલી રહ્યું છે એમાં વિરોધ પક્ષોના મુદ્દા છે બેઠકોની વહેંચણીની રૂપરેખા નક્કી કરવી, સંકલન અને સંવાદ સારી રીતે, સ્પષ્ટ રીતે થાય તેની તકેદારી રાખવી. આ તરફ ભા.જ.પા.ને નવા વિસ્તારોમાં બેઠકો જીતવાની છે કારણ કે તો જ જ્યાં આ વખતે જીત નથી મળવાની ત્યાં સંતુલન કરી શકાશે, વળી ભા.જ.પા.એ જૂના સાથીઓને રાખવાના અને નવાઓને લાવવાની તજવીજ પણ કરવાની છે. ભા.જ.પા. બીજા પક્ષોમાં તોડફોડ કરી પોતાની સાથે બધાને લાવે તો છે પણ એ પોતાના સાથી પક્ષોની કાળજી રાખવામાં કાચી પડે છે એવી છાપ બદલવામાં પણ ભા.જ.પા.ને રસ હોય. હવે આ જે વિરોધ પક્ષો ભેગા થયા છે એમાં શરૂઆતમાં જ ચણભણ શરૂ થઈ ગઇ. ક્યાંક વાંદરા અને બે બિલાડી વાળી વાર્તા જેવો ઘાટ ન થાય કે બધા પોતા પોતાની સત્તા માટે લડતા રહે અને લાભ કોઈ બીજું લઈ જાય. વળી ભૂતકાળમાં એ સ્પષ્ટ રહ્યું છે કે કાઁગ્રેસના ગઠબંધનોમાં રહેલા પક્ષોને લોકશાહી સ્વતંત્રતા રહી છે પણ ભા.જ.પા.માં આવી કોઈ ગેરંટી નથી. એન.ડી.એ.ને યાદ કરવાનો વારો ત્યારે આવ્યો જ્યારે બેંગાલુરુમાં વિરોધપક્ષોએ મિટીંગ કરી. વળી આ બધો જ બેઠકોનો ખેલ છે 26 વર્સિસ 38ના આ ખેલમાં કયો પક્ષ ખરેખર કેટલી બેઠકો લાવી આપશે એ દાખલાનો તાળો મેળવવો સૌથી અગત્યની બાબત છે.

ભારતને સર્વાંગી બહુમત ક્યારે ય સદતો નથી, સર્વાંગી બહુમતને કારણે ખડું થતું એકચક્રી શાસન લોકશાહીને માટે જોખમી છે એ પણ જાણીતું સત્ય જ છે. વિરોધપક્ષોએ જે I-N-D-I-A રચીને જાણે એવો સંદેશ આપ્યો કે તેઓ ભા.જ.પા.ના વિરોધમાં એકસાથે મળીને કામ કરશે. આમ તો અત્યાર સુધી ભા.જ.પા.ને મોટે ભાગે નબળા વિરોધ પક્ષનો ફાયદો મળ્યો છે પણ આ જે નવું ગઠબંધન છે એ જો પોતાનો એજન્ડા સ્પષ્ટ રાખે તો ભા.જ.પા.ને મજબૂત લડત આપી શકે. મણિપુરને મામલે INDIAએ મળીને તેજાબી પગલાં લેવાની દિશામાં આગળ વધશે? કે પછી ભા.જ.પા.એ કંઇ નથી કર્યું ના રાગડા તાણશે? આ પ્રકારના સંજોગોમાં જે પ્રતિભાવો આવશે તેના આધારે આ રાજકારણીઓની કટિબદ્ધતા અને નિષ્ઠાની ક્યાસ કાઢી શકાશે.

બાય ધી વેઃ

ભા.જ.પા.ને સળી કરતાં સારી પેઠે આવડે છે અને એ સળીબાજીને જવાબ આપવામાં વિરોધપક્ષો આ એકઠી થયેલી શક્તિ વેડફી ન નાખે એ જરૂરી છે. ભારત વર્સિસ ઇન્ડિયા વચ્ચેના નેરેટિવમાં વિરોધપક્ષો અને ભા.જ.પા.એ શરૂઆતમાં રમી પણ લીધું. નરેન્દ્ર મોદી અને ભા.જ.પા.ની લીટી નાની કરવાને બદલે આ એક થયેલા વિરોધ પક્ષો જો બહેતર રાષ્ટ્ર બનાવવાની દિશામાં નક્કર વાતો કરશે તો તેમનું ‘નેરેટિવ’ મજબૂત બનશે. સામાજિક ન્યાયનો બચાવ, ધર્મનાં શસ્ત્રકરણનો વિરોધ, હાંસિયામાં ધકેલાયેલાઓને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થશે તો વિરોધપક્ષોના I-N-D-I-Aની અસર ૨૦૨૪માં દેખાઈ શકે છે.  ભા.જ.પા.ને માટે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળમાં બેઠકો મેળવવાનો પ્રશ્ન તો હતો જ એમાં આ 26 પક્ષો ભેગા થયા ત્યાં ભા.જ.પા.ને પોતાના 38 સાથી પક્ષો યાદ આવી ગયા કારણ કે અહીં એક જણથી કામ ચાલવાનું નથી. વિરોધપક્ષોને પોતાના પડકારો પણ છે કારણ કે તેમને તેમનો વધુ પડતો આત્મવિશ્વાસ નડી શકે છે. વળી આટલું મોટું ગઠબંધન બને તો તેનો ચહેરો કોણ? હજી એવી કોઈ સ્પષ્ટતા નથી અને મોટે ભાગે ગઠબંધન હોય ત્યારે ચૂંટણી જીતે પછી જ વડા પ્રધાનનો ઉમેદવાર નક્કી થતો આવ્યો છે. વળી વિરોધપક્ષે મોદીની મીડિયા સ્ટ્રેટેજીમાંથી જરૂરી બાબતો ઉપાડીને લોકોના મનમાં ઘર કરવું પડશે, નારાઓ લોકપ્રિય કરવા પડશે, બહુ વૈચારિક રીતે બેઠકો શૅર કરવી પડશે કારણ કે આ બધું નહીં થાય તો 26 પક્ષોનું ગઠબંધન અર્થહીન રહેશે. આગામી નવ મહિનામાં આ ગઠબંધન દેશનો વિચાર કરે સ્વાર્થી માનસિકતા ન રાખે તો કંઇ જુદું પરિણામ આવવાની આશા રાખી શકાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2023

Loading

લોકશાહી ત્યારે જ ટકે જ્યારે સત્તાધીશોની સત્તાને નિયંત્રિત રાખવામાં આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 July 2023

રમેશ ઓઝા

યુવાલ નોઆહ હરારીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ સાંપ્રતયુગના પહેલી હરોળના ચિંતક છે, યહૂદી છે અને જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવે છે. તેમનાં માનવજાતિનાં ઇતિહાસનાં બે પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે, અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે, પણ જે વાચકો અંગ્રેજી વાંચી શકે છે તેમને ’21 Lessons for the 21st Century’ વાંચવાની ખાસ ભલામણ છે. યુવાલ હરારીએ ઇઝરાયેલમાં ચાલી રહેલા આંદોલન વિષે જે લેખ લખ્યો છે એ વિષે કેટલીક વાત કરવી છે, પણ એ પહેલાં આદોલન કોણ કરી રહ્યા છે અને તેનું કારણ શું છે એ જાણી લઈએ.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આજે જે રીતે વિશ્વના કેટલાક લોકશાહી દેશોમાં જોવા મળી રહ્યું છે એમ તાનાશાહ છે. લોકતાંત્રિક માર્ગે સત્તામાં આવ્યા પછી એ જ લોકતંત્રને ક્ષીણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૧ની સાલમાં ઇઝરાયેલમાં વડા પ્રધાન નેતાન્યાહુને ત્યાંની લોકસભાની ચૂંટણીમાં સુજ્ઞ નાગરિકોએ અન્ય રાજકીય પક્ષોએ મળીને મોરચો રચીને પરાજીત કર્યા હતા. અલબત્ત તેમનો લીકુડ પક્ષ પ્રતિનિધિગૃહમાં સૌથી મોટો પક્ષ તો હતો જ, કારણ કે આપણી જેમ ઝનૂની યહૂદીઓનો એક મોટો વર્ગ ઇઝરાયેલમાં છે જેને મુસલમાનોને હેરાન થતાં જોઇને પરપીડનનું સુખ મળે છે. નાગરિક સમાજે આગળ આવીને અમેરિકામાં ટ્રમ્પને અને બ્રાઝીલમાં જેર બોલસાનારોને હરાવ્યા હતા. તુર્કીમાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ઓર્દેગોનને પરાજીત કરવામાં સફળતા મળી નહોતી. ઇઝરાયેલમાં અન્ય પક્ષો સરકાર ચલાવી શક્યા નહીં અને ૨૦૨૨માં ફરી ચૂંટણી યોજવી પડી જેમાં નેતાન્યાહુના પક્ષને જેમ તેમ સરકાર રચી શકાય એટલી બેઠકો તો મળી પણ બહુમતી નહીં મળી.

બેન્જામીન નેતાન્યાહુને કોઈ સવાલ કરે એ ગમતું નથી. તેને નૈતિકતાની તેમ જ લોકતાંત્રિક મર્યાદાઓ માફક આવતી નથી. તેને જિંદગીભર સત્તા છોડવી નથી અને એમાં બહુમતી મળી નહીં. તેમણે ઇતામાર બેન-ગ્વિર નામના ગામના ઉતાર જેવા માણસના પક્ષનો ટેકો મેળવ્યો અને તેને ગૃહ પ્રધાન બનાવ્યો. આ માણસ કાનમાંથી કીડા ખરે એવી ગંદી ભાષામાં મુસલમાનો અને ઉદારમતવાદી યહૂદીઓ વિષે બોલે છે. પણ આપણે ત્યાં અને જગતના બીજા દેશોમાં જોવા મળી રહ્યું એમ તેનાં પણ સમર્થકો છે જેને ગંદકી અને અસંસ્કાર જોઇને અકળામણ નથી થતી. બેન-ગ્વીર એક કરતાં વધુ વખત જેલમાં જઈ આવ્યો છે અને તેને નેતાન્યાહુએ ઇઝરાયેલનો ગૃહ પ્રધાન બનાવ્યો. ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતમાં પીટીશન કરવામાં આવી અને ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલતે બેન-ગ્વિરની પ્રધાન તરીકેની નિમણૂકને ગેર બંધારણીય ઠરાવી.

હવે? લોકશાહી દ્વારા સત્તા સુધી પહોંચેલા તાનાશાહ સર્વોચ્ચ અદાલતની સ્વતંત્રતા અને બંધારણનિષ્ઠા જોઇને લાલચોળ થઈ ગયા. તેમણે બેન-ગ્વિરને કહ્યું કે થોડો સમય રાહ જો હું સર્વોચ્ચ અદાલતને ઠીક કરું છું અને તને પાછો પ્રધાન બનાવું છું. આ બાજુ બેન-ગ્વિર છાતી ઉપર બેઠો છે અને કહે છે કે કાં પ્રધાન બનાવ અથવા તું પણ મારી માફક ઘરે બેસ.

બેન્જામીન નેતાન્યાહુએ ગયા માર્ચ મહિનામાં સર્વોચ્ચ અદાલતની પાંખો કાપવાનો પ્રયાસ કર્યો અને ઇઝરાયેલમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. ઇઝરાયેલમાં સતત બાવીસ અઠવાડિયાંથી આંદોલન ચાલી રહ્યું છે અને થમવાનું નામ નથી લેતું. મને ખાતરી છે મોટાભાગના વાચકો આ વિષે ખાસ કાંઈ નહીં જાણતા હોય. એનું કારણ એ છે કે ગોદી મીડિયા તમને એ જ બતાવે છે જે બતાવવાનું કહેવામાં આવે છે. ઘેટાંને તેનો માલિક જે ચારો આપે એ ઘેટાં ચરે છે.

યુવાલ હરારી

હવે હરારી શું કહે છે એ જોઈએ : “ઇઝરાયેલ માટે ગર્વ ધરાવનારો હું નાગરિક છું, પણ અત્યારે ચિંતિત છું કે મારા દેશની સરકાર મારા દેશમાં તાનાશાહી લાદવા માગે છે. ઇતિહાસમાં એવા ઘણા તાનાશાહો આવ્યા છે જેમણે બંદૂકથી સત્તા કબજે નથી કરી, પણ લોકશાહી માર્ગે કરી છે.  તેમની એ રમત સમજવામાં વાર લાગે છે અને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. લોકશાહી ત્યારે જ ટકે જ્યારે સત્તાધીશોની સત્તાને નિયંત્રિત રાખવામાં આવે. ન્યાયતંત્ર ઉપરાંત ફેડરલ સ્ટ્રકચર, અલગ અલગ સ્તરે અનેક પ્રતિનિધિગૃહો વગેરે અમેરિકામાં સત્તાધીશોને નિયંત્રણમાં રાખે છે. પણ ઇઝરાયેલ પાસે તો સર્વોચ્ચ અદાલત સિવાય નિયંત્રણ કરનારી કોઈ વ્યવસ્થા નથી. જો સર્વોચ્ચ અદાલતને પાંગળી કરી નાખવામાં આવશે તો સત્તાધીશો મનમાની કરી શકશે. એ પછી ચૂંટણી યોજાશે, પણ રશિયામાં યોજાય છે એવી નામ પૂરતી.”

તેમણે અમેરિકાને અને જગત આખાના અનિવાસી યહૂદીઓને આગળ આવીને ઇઝરાયેલના લોકતંત્રને બચાવી લેવા અપીલ કરી છે. દેખીતી રીતે નેતાન્યાહુના ભક્તો તેમને દેશદ્રોહી તરીકે ઓળખાવશે.

હરારી બહુ મોટા વિચારક છે. પણ તેમણે જે દલીલો કરી છે એમાં તેમણે એક મહત્ત્વની તાકાતનો ઉલ્લેખ કર્યો નથી. લોકશાહી બચાવનારું અને શાસન-વ્યવસ્થામાં સંતુલન જાળવનારુ એક અત્યંત મહત્ત્વનું પરીબળ છે વિવિધતા. બહુ ગણતરીપૂર્વક મુસલમાનોને યહૂદી શાસકોએ ઇઝરાયેલ બહાર અથવા પાડોશી મુસ્લિમ દેશોને લાગીને આવેલી સરહદે ધકેલવામાં આવ્યા છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇન નામના મુસ્લિમ બહુમતી દેશમાં ધરાર વસાવવામાં આવેલું યહૂદી રાષ્ટ્ર છે. મુસલમાનોએ દેખીતી રીતે તેનો વિરોધ કર્યો હતો એટલે ઇઝરાયેલી શાસકોએ ઇઝરાયેલના અસ્તિત્વને નામે અત્યાચારો કર્યા હતા અને હજુ કરી રહ્યા છે. ઇઝરાયેલના હરારીઓએ ત્યારે મુસલમાનો સાથે કરવામાં આવતા અન્યાયનો વિરોધ નહોતો કર્યો. તેમને મૂળસોતાં ઊખેડી નંખાયાં ત્યારે ચૂપ રહ્યા હતા. જો ઇઝરાયેલમાં મુસલમાનોને નાગરિક અધિકારો સાથે નાગરિકનો દરજ્જો આપવામાં આવ્યો હોત તો નેતાન્યાહુ તાનાશાહ ન થઈ શક્યો હોત. એક જ કોમવિશેષમાંથી ચૂંટણી જીતી શકાય એટલા ઝનૂનીઓને રાજકીય રીતે એકઠા કરવા એ સહેલું કામ છે. અનેકવિધ કોમમાં એ મુશ્કેલ બને છે.

પાકિસ્તાને પણ આ જ માર્ગ અપનાવ્યો હતો અને પરિણામ આપણી નજર સામે છે. પાકિસ્તાનમાંથી હિંદુઓને હેરાન કરીને તગેડવામાં આવતા હતા ત્યારે પાકિસ્તાનના હરારીઓ મૂંગા રહ્યા હતા. આવું જ બંગલાદેશમાં અને જગતનાં બીજા દેશોમાં બન્યું હતું અને અપવાદ વિના દરેક દેશો બરબાદ થઈ ગયા છે. ઇઝરાયેલ પણ એક તાનાશાહના કારણે બરબાદીના માર્ગે જઈ રહ્યું છે એ જોઇને હરારી દુઃખી છે. ઇઝરાયેલમાં અત્યાર સુધી એક વણલખી સમજણ રહી છે. અસ્તિત્વના નામે મુસલમાનોને હેરાન કરીને તગેડવામાં આવે. તેમને નાગરિક અધિકારો આપવા એ તો બહુ દૂરની વાત થઈ. પણ યહૂદીઓને ભેદભાવ વિના નાગરિક અધિકારો આપવામાં આવે, લોકતંત્રને સુરક્ષિત રાખવામાં આવે, ઉદારમતનો આદર કરવામાં આવે, જાહેરજીવનમાં ધર્મને વચ્ચે લાવવામાં ન આવે, વગેરે. અત્યાર સુધી આ માર્ગ અપનાવવામાં આવતો હતો અને હરારી જેવા સેક્યુલર ઉદારમતવાદીઓને તેની સામે વાંધી નહોતો. રાજ્ય ભલે પક્ષપાતી હોય પણ યહૂદીઓને તો સ્વતંત્રતા મળે છે ને?

નેતાન્યાહુએ વણલખી પરંપરાને તોડી છે. સત્તાભૂખ્યા તાનાશાહે ઉદારમતવાદી સેક્યુલર યહૂદીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. આવું આ પહેલાં ક્યારે ય નહોતું બન્યું. માટે હરારીઓ ડરી ગયા છે, પણ આવું તો એક દિવસ બનવાનું જ હતું. બાવળની વાવણી કરો તો વહેલા કે મોડા કાંટા તો ઊગવાના જ. જો ઉદારમતવાદી યહૂદીઓ ત્યારે મુસલમાનોના પડખે ઊભા રહ્યા હોત તો ઇઝરાયેલમાં લોકતાંત્રિક રાજકીય સંતુલન જળવાઈ રહ્યું હોત અને નેતાન્યાહુને પેદા થતો રોકી શકાયો હોત. જો પાકિસ્તાનના ઉદારમતવાદી મુસલમાનો હિંદુઓના પડખે ઊભા રહ્યા હોત તો પાકિસ્તાનની દુર્દશા ન થઈ હોત.

અહીં બે અભિપ્રાય ટાંકવા જરૂરી લાગે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાયેલની સ્થાપના કરવાની વાત આવી ત્યારે તેમાં ગાંધીજીનો ટેકો માગવામાં આવ્યો હતો. ગાંધીજીએ ઇઝરાયેલની દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યહૂદીઓ ઈચ્છે ત્યારે જેરુસલેમ જઈ શકે છે અને જો કોઈને ત્યાં સ્થાયી થવું હોય તો થઈ શકે એવી માગણી પેલેસ્ટાઇનના શાસકો પાસે કરવી જોઈએ. એક કોમ માટે અલાયદો દેશ સ્થાપવાની શી જરૂર છે! અને જો દેશ વસાવવો જ હોય તો તે પેલેસ્ટાઇનના મુસલમાનોનાં દિલ જીતીને વસાવવો જોઈએ. છાતી પર ચડીને નહીં અને જો મુસલમાનોની છાતી પર ચડીને યહૂદીઓ દેશ વસાવશે તો યહૂદીઓ ક્યારે ય સુખેથી નહીં જીવી શકે. આજે પરિણામ જુઓ. એક યહૂદી તાનાશાહ યહૂદીઓનું જ સુખ છીનવી રહ્યો છે. અનીતિનાં પરિણામ આવાં જ હોવાનાં.

બીજો અભિપ્રાય વિશ્વપ્રસિદ્ધ વિચારક અને પૌર્વાત્યવાદની સ્થાપના કરનારા એડવર્ડ સઈદ(કે સિદ)નો છે. તેમણે કહ્યું હતું કે આરબ એક જાતિવાચક શબ્દ છે, ધર્મવાચક નથી. આજે લોકો આરબ એટલે મુસલમાન એવી જે સમજણ ધરાવે છે એ ખોટી છે. એક જમાનામાં આરબ દેશોમાં ત્રણેય ધર્મના (મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદીઓ) લોકો રહેતા હતા અને પોતાને આરબ તરીકે ઓળખાવતા હતા. જો ઇઝરાયેલના યહૂદીઓ આરબ તરીકેની વ્યાપક ઓળખ અપનાવે તો ઇઝરાયેલના આરબ યહૂદીઓ આરબ મુસલમાનો સાથે સુખેથી જીવી શકે. સહઅસ્તિત્વ માટે ધાર્મિક ઓળખ અપનાવવા કરતાં પ્રાદેશિક જાતિય ઓળખ વધારે ઉપયોગી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 જુલાઈ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—206

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2023

બ્રિટનની પાર્લામેન્ટના પહેલા હિન્દી સભ્ય કોણ?   

(ભીખા શેઠ અને રઘલો ભીખા બહેરામના કૂવાથી દાદાભાઈ નવરોજીના પૂતળા તરફ ચાલતા જઈ રહ્યા છે.)

ભીખા શેઠ : રઘલા, તુને માલમ છે કે ગાંધીજી લોનું ભનવા બ્રિટન ગિયા તે વારે કોના પર ભલામણ ચિઠ્ઠી લઈ ગયેલા?

રઘલો : સું સેઠ! તુને હજી રાતે પીધેલી તારી ઊતરી લાગતી નથી. મહાત્મા ગાંધીજીને તે વલી ભલામણ ચિઠ્ઠીની જરૂરત પડે?

ભીખા શેઠ : અરે અક્કલમુઠ્ઠીના! એવન ભનવા ગિયા ત્યારે મહાત્મા બનિયા હુતા નહિ. એ તો હુતા ૧૯ વરસના મોહનદાસ કરમચંદ ગાંધી. અને એવન ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે મુંબઈથી લંડન જવા નીકલિયા તે વારે તેઓ તન ભલામણ ચિઠ્ઠી સાથે લઈ ગિયા હુતા. તેમાંની એક હુતી દાદાભાઈ નવરોજી પરની.

રઘલો : તે સું દાદાભાઈ બહુ પૈસાવાલા હુતા? 

ભીખા શેઠ : વેપાર કરતા હુતા એટલે બે પાનરે સુખી તો હુતા, પણ ગ્રેટ બ્રિટનના પોલિટિક્સમાં બી પડેલા હુતા. અને તુને માલમ છે? ૧૮૯૨માં એવન ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના મેમ્બર ચૂંટાઈ આવેલા. 

રઘલો : એક હિન્દી, અને બ્રિટનની પાર્લામેન્ટનો ચૂંટાયેલો મેમ્બર?

ભીખા શેઠ : હા, અને લંડનના એક પરગણામાંથી બીજા અંગ્રેજ ઉમેદવાર સામે ચૂંટણી લડીને મેમ્બર બનનારા એવન પહેલા હિન્દુસ્તાની હુતા.

પાર્લામેન્ટની ચૂંટણી માટે દાદાભાઈનો પ્રચાર કરતા અંગ્રેજો

રઘલો : એ તો એવન ગોરાઓના દેસમાં જનમિયા હોસે, એટલે.

ભીખા શેઠ : નિ રઘલા. પાર્લામેન્ટના મેમ્બર બનિયા પછી એવનની સામે એક પ્રોબ્લેમ ઊભો થિયો. અત્તાર સુધી દરેક મેમ્બર બાઈબલ પર હાથ રાખી શપથ લેતા હુતા. પણ દાદાભાઈ તો પાક્કા જરથોસ્તી. એટલે એવને તેમ કરવા ‘ના’ ભણી. અને પારસીઓના પવિત્ર પુસ્તક ‘ખોરદે અવસ્તા’ પર હાથ રાખી શપથ લેવાની મંજૂરી લીધી. અને રઘલા, એવનનો જનમ નવસારીમાં થિયો હૂતો.

રઘલો : ઓહો! તારે વિલાયતમાં બી નવસારી નામનું ગામ છે?

ભીખા શેઠ : હવે તુને નક્કી તાડી દિમાગ પર ચડી છ. અરે ઘોઘા! આપના ગુજરાતનું નવસારી. 

રઘલો : સું વાત છે! મારા વલહાડ પાસેનું નવસારી?

ભીખા શેઠ : હા રઘલા. પણ તારે એ વડોદરાના ગાયકવાડના તાબામાં હુતું. ૧૮૨૫ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ખોડાયજીએ દાદાભાઈને આય દુનિયામાં મોકલ્યા. એવનનાં માય-બાપ રહેતા હુતા મુંબઈના માંડવી નામના મોહલ્લામાં. નવરોજી પાલનજી દોરડી અને એવનનાં ધણિયાણી માણેકબાઈ એક નાનકડા ઘેરમાં જેમ તેમ ગુજારો કરતાં. નવરોજી હતા અમારા પારસીઓના દસ્તૂર. 

દાદાભાઈ માટે બહાર પાડવામાં આવેલી અપીલ

રઘલો : પન ગરીબ માયબાપનો પોરિયો  છેક વેલાત પહોંચ્યો કેમનો?

ભીખા શેઠ : જો ડીકરા! પહેલાં એવન ગાયકવાડી રાજના દીવાન બનિયા. પછી મુંબઈ આવી અમારા પારસીઓમાં ‘સમાજ સુધારો’ કરવા એકુ મંડલી શુરુ કીધી અને ‘રાસ્ત ગોફતાર’ નામનું ચોપાનિયું બી શુરુ કીધું. એલ્ફિન્સ્ટન કોલેજમાં ગણિત અને ફિલસૂફિયાના પ્રોફેસર બનિયા. ૧૮૫૫માં લંડન ગિયા અને કામા એન્ડ કંપનીના એક ભાગિયા બનિયા. જો કે તનેક વરસ પછી બીજા ભાગિયાઓ સાથે જીવ ઊંચો થતાં છુટ્ટા થઈ ૧૮૫૯માં કોટનના વેપાર માટે પોતીકી કંપની શુરુ કીધી. સાથે સાથે વિલાયતમાં રહેતા હિન્દીઓની સુખાકારી માટે કામ કરતા થિયા. ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશન શુરુ કરી હિંદીઓ બાબતની ગેરસમજનો દૂર કરી તેમના વાજબી હક્ક માટે બુલંદ અવાજ ઉઠાવિયો. બ્રિટનની પાર્લામેન્ટના મેમ્બરો સાથે ઉઠતા-બેસતા થિયા. તો માયભૂમિમાં ૧૮૮૫માં સુરુ થયેલી ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૧૮૮૬માં બીજા સરનસીન (પ્રમુખ) બનિયા. બાદમાં ૧૮૯૩ અને ૧૯૦૬માં ફરી સરનસીન તરીકે ચૂંટાઈ આવ્યા. માયભૂમિને માટે ઘન્ંના સોજ્જાં કામ કરીને ૯૧ વરસની જૈફ ઉંમરે ૧૯૧૭ના જૂનની ૩૦મી તારીખે એવન મુંબઈમાં જ ખોડાયજીને પ્યારા થઈ ગિયા. 

રઘલો : હવે હમજ્યો કે એવનનું બાવલું અઈ કેમ મૂકેલું છ.

ભીખાજી : બાવલું તો છે જ પણ અહીંથી નજીક દાદાભાઈ નવરોજી રોડ બી આવેલો છે. પાકિસ્તાનના કરાચીમાં અને વેલાતનાં ફિન્સબરીમાં બી એવનના નામના રોડ. આપરા દિલ્લીમાં બી ‘નવરોજી નગર’ કરીને એક એરિયા છે. 

રઘલો : સેઠ, એક બાબત પૂછું?

ભીખા શેઠ : સું?

રઘલો : બીજાં બધાં પૂતલાંઓએ તો પોતાની વાત પોતાની જુબાને કીધી. પણ આ દાદાભાઈ સાહેબની બધી વાત તેં જ કેમ કીધી?

ભીખા શેઠ : જો રઘલા! આય દાદાભાઈ એટલે નમનતાઈનું જ પૂતલું. એવન પોતાને મોએ પોતાની વાત કભ્ભી બી નિ કરે. એટલે એવનની વાત મેં કીધી. અને બીજી એક વાત : આપના દેશની સરકારે તન તન વખત દાદાભાઈના માનમાં ટપાલની ટિકેત બહાર પાડી છે : ૧૯૬૩, ૧૯૯૩, અને ૨૦૧૭માં. 

(બંને જણા ચાલતા ચાલતા દાદાભાઈના પૂતલા લગન આવી પૂગે છે.)

દાદાભાઈ : આવો, આવો. તમારી જ રાહ જોતો હૂતો.

ભીખા શેઠ : કેમ વારુ?

દાદાભાઈ : સબબ કે સર ફિરોઝશાહ મહેતા આજે અહીં પધારવાના છે.

ભીખા શેઠ : ઓહોહો! અરે રઘલા, જલ્દીથી બધી તૈયારી કરી નાખ. 

રઘલો : ફિરોઝશાહ, કે એક્તર ફિરોઝ ખાન?

ભીખા શેઠ : હવે મૂંગો મર, ગધેરા! 

(હળવી, પણ મક્કમ ચાલે ફિરોઝશાહ મહેતા આવે છે.)

ફિરોઝશાહ : સલામ, દાદાભાઈ સાહેબ! 

દાદાભાઈ : પધારો પધારો. ઘન્ના લાંબા વખત પછી મલવાનું થિયું.

ફિરોઝશાહ : પેલા એક ગઝલકારે કહ્યું છે ને તેવું જ કૈક થિયું :

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું!

નહીંતર મિલનનો માર્ગ છે વીટીથી ફૌંટન સુધી! 

જુઓ, મારી વાત સમજો. મારા બાવા ઝાઝું ભણેલા નહિ હુતા, પણ ગણેલા હુતા. એટલે કલકત્તા સાથે વેપાર કરતા. એ સબબે ત્યાંની આવનજાવન બી રહેતી. અને હા. એવનનું અંગ્રેજી ખાસ્સું પાવરફૂલ. એટલે કેમિસ્ટ્રીની એક ચોપડીનો તરજુમો કિધેલો અને નિશાળના પોરિયાઓ માટે ભૂગોળની એક ચોપડી બી લખેલી. આપરું ગાડું જરા સારું ચાલિયુ. ૧૮૬૪માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. થયો અને પછી યુનિવર્સિટીમાંથી એમ.એ.. આય બોમ્બે યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવનાર હું પહેલવહેલો પારસી હૂતો. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ હુતા વાઈસ ચાન્સેલર. એવન એટલા ખુસ મારા પર, કે જમશેદજી જીજીભાઈની સ્કોલરશીપ મને મળે તેવી જોગવાઈ કીધી. પણ મેં કીધું કે નહિ, હું ભણવા લંડન જાવસ તો મારા બાવડાના જોરે. ગિયો, અને લિંકન્સ ઈનમાં દાખલ થિયો. ૧૮૬૮માં બેરિસ્ટર થિયો તે પહેલાં અહીંથી બીજો કોઈ બી પારસી બેરિસ્ટર થિયો હૂતો નિ. પણ મારે પ્રેક્ટિસ તો મારા દેશમાં જ કરવી હુતી. એટલે મુંબઈ આવી પ્રેક્ટિસ શુરુ કીધી. આજે બી લોક જે માર્કેટને ‘ક્રાફર્ડ માર્કેટ’ કહી બોલાવે છે તે આર્થર ક્રાફર્ડ પર પૈસાની બાબતમાં ગફલા કરવાનો કેસ મંડાયો. તેના તરફથી બોમ્બે મ્યુનિસિપાલ્ટી એકટમાંનાં છીંડાંનો ફાયદો વકીલે લીધો. તે વારે મેં સરકારને કીધું કે આય એક્ટમાં જે જે છીંડાં છે તે પૂરવાં જોઈએ. સરકારે કહ્યું કે તો નવો એકટ તમે જ તૈયાર કરી આપો. આપરે તો આખ્ખો કાયદો નવેસરથી લખી નાખિયો, જે ૧૮૭૨માં પાસ થિયો. તે વારથી ઘણા લોક મુને ‘ફાધર ઓફ બોમ્બે મ્યુનિસિપાલીટી’ કહીને બોલાવતા. 

મ્યુનિસિપાલિટીના મકાનની બહાર સર ફિરોઝશાહ મહેતાનું પૂતળું 

રઘલો : અચ્છા, એટલે એવનનું બાવલું મુનશીપાલ્ટીના મકાનની બહાર ઊભું કીધેલું છે. 

ભીખા શેઠ : હા, અને તે જગાથી સુરુ થતા રોડનું નામ બી સર ફિરોઝશાહ મહેતા રોડ એવું રાખિયું છે. અને લોકો જેને હેંગિંગ ગાર્ડન કહીને ઓલખે છે તેનું બી ખરું નામ છે ફિરોઝશાહ મહેતા ગાર્ડન.

ફિરોઝશાહ મહેતા ગાર્ડન ઉર્ફે હેંગિંગ ગાર્ડન

ફિરોઝશાહ : આય પોલિટિક્સ એક એવી જાળ છે કે એકવાર અંદર ઘૂસો, પછી બહાર નીકલવાનું એકદમ કઠિન. ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની ૧૮૮૫માં શુરુઆત થઈ તે વારથી તેની સાથે જોડાયો અને તેની કલકત્તા સેશનનો પ્રમુખ બી બનિયો. તે વખતે હજી કાઁગ્રેસ અને બ્રિટિશ સરકાર આમનેસામને નહિ હૂતી. ૧૮૮૭માં સરકારે મારી નિમણૂક બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અને ૧૮૯૩માં ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં કીધી. 

ભીખાશેઠ : આપે એકુ છાપું બી સુરુ કીધેલું, નહિ?

ફિરોઝશાહ : હા, ૧૯૧૦માં ‘ધ બોમ્બે ક્રોનિકલ’ નામનું આઠવારિયું સુરુ કીધું.

દાદાભાઈ : આય ફિરોઝશાહે મુંબઈની એટલી તો સેવા કીધી કે લોક એવનને ‘ધ લાયન ઓફ બોમ્બે’ અને ‘મુંબઈનો બેતાજ બાદશાહ’ કરી ઓળખવા લાગિયા. ૧૯૧૫ના નવેમ્બરની પાંચમી તારીખે ફિરોઝશાહ બેહસ્તનશીન થિયા. 

ભીખા શેઠ : મુને એક વાત યાદ આવે છે, જે સર હોમી મોદીએ ફિરોઝશાહ સાહેબની અંગ્રેજીમાં બાયોગ્રાફી લખેલી છે. એવન જ્યારે સાતેક વરસના હુતા ત્યારે જીવલેણ તાવમાં પટકાયા. દિવસો સુધી બેસુધ રહ્યા. બીજા બધા ડોક્ટર હાર્યા એટલે એ વખતના નામીચા ડોક્ટર ભાઉ દાજીને ઘેર બોલાવિયા. એવને તપાસીને કીધું કે આય છોકરાનું દિમાગ વધુ પડતું તેજ છે. એટલે આવી માંદગી આવી છે. આ પોરિયો બચશે કે નહિ, એ કહેવું મુસ્કેલ છે. પણ જો જીવશે તો ઘણો મોટ્ટો માનુસ થશે. થોરા દિવસ પછી એક દિવસ છોકરો સફાળો જાગીને જોર જોરથી રડવા લાગ્યો. માઈબાપે પૂછયું કે બેટા કેમ રડે છે, તો કહે કે હું તો એક બહુ જ મોટ્ટા ખુસ્નુમાં બાગમાં ગિયો હૂતો. એકેક ફૂલ પાસે જઈને હુન્ગતો હૂતો તેવામાં મારાં દાદીમાં આયાં. મુને જોઇને જોરથી ધક્કો મારિયો તે એ બાગમાંથી હું સિધ્ધો આય આપના ઘેરમાં આયો. આય સમજીને ઘરના ગલ્ઢેરાએ કીધું કે આ તો બહુ સોજ્જાં શુકન થિયાં. એ બાગ તે બેહસ્ત. આવરી નાની ઉંમરના દોતરાને ત્યાં જોઈને જ દાદી માએ ધક્કો મારીને તેને બહાર કાઢી મૂકયો અને છોકરો મોતના દરવાજેથી પાછો ઘેર આયો.

ફિરોઝશાહ : સાચું ખોટું તો ખોડાયજી જાને. ચાલો, સલામ આપ સૌને.

ભીખા શેઠ : પધારજો. 

તો સાહેબો, સવારની અવરજવર શુરુ થઈ ગઈ છે. એટલે હવે વધુ વાત આવતા શનિવારે. પન અહીં નહિ. આપના દેશની ઔદ્યોગિક ક્રાંતિના પહેલા મશાલચી જમશેદજી તાતાના પૂતલા પાસે ભેગા થઈશું. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 જુલાઈ 2023)

Loading

...102030...1,0581,0591,0601,061...1,0701,0801,090...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved