Opinion Magazine
Number of visits: 9458151
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટોટલ બેન્ગર : સાહસ, શિષ્ટાચાર અને સુંદરતાની દીપિકા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 March 2023

રાજ ગોસ્વામી

લોસ એન્જેલસમાં આ વર્ષનો ઓસ્કાર અવાર્ડ સમારોહ યોજાયો, ત્યારે તેમાં એસ.એસ. રાજામૌલીએ તેમની ફિલ્મ ‘આર.આર.આર.’ના ડાન્સ ‘નાટુ નાટુ’ અને કાર્તિક ગોન્સાલ્વિસે ડોક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હીસ્પરે’ અનુક્રમે બેસ્ટ ઓરિજીનલ સોંગ અને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ સ્વીકારીને ભારતની શાનમાં વધારો કર્યો હતો. એ ઉપરાંત, તેમાં એક ત્રીજી વ્યક્તિની ઉપસ્થિતિ પણ એટલી જ શાનદાર હતી, અને તે હતી દીપિકા પાદુકોણ. 

આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાંડ લુઈસ વ્યૂટોનની બ્રાંડ એમ્બેસેડરના નાતે, દીપિકા આ વખતના ઓસ્કારમાં એક પ્રસ્તુતકર્તાં (પ્રેઝેન્ટર) તરીકે ઉપસ્થિત હતી. 37 વર્ષની દીપિકાની 20 વર્ષની કારકિર્દીમાં આ એક સીમાચિન્હરૂપ મુકામ હતો. ખાસ તો એટલા માટે કે તેનું અંગત અને વ્યવસાયિક જીવન ખાસુ ઉતાર-ચઢાવવાળું રહ્યું છે.

બોલીવૂડની સેલિબ્રિટીઓને જોઇને પ્રેરણા અથવા મોટિવેશન મેળવવું અઘરું હોય છે કારણ કે તેઓ દેખાડા અને દંભની જિંદગી જીવતા હોય છે. મનોરંજન માટે આપણે એમના ફેન હોઈ શકીએ, પરંતુ તેમના વિચાર અને વર્તનમાં ભાગ્યે જ એવું કશું હોય છે જે આપણને આપણી જિંદગીમાં ઉપર ઉઠવા માટે પ્રેરિત કરે.

દીપિકા માટે કદાચ એવું કહી શકાય કે એ એક એવી સેલિબ્રિટી છે, જેની અંગત અને વ્યવસાયિક પ્રગતિ આ દેશનાં લાખો છોકરા-છોકરીઓ માટે રોલ મોડેલ બની શકે છે. બેડમિન્ટનની રમતમાં ઘણેખરે અંશે સફળ પિતા પ્રકાશ પાદુકોણ અને ટ્રાવેલ એજન્ટ માતા ઉજ્જલાની દીકરીને સફળતા તાસક પર મળી નથી. તેણે મહેનત કરીને એ કમાઈ છે અને વળતામાં તેની કિંમત પણ ચૂકવી છે. 

દીપિકામાં સાહસ, શિષ્ટાચાર અને સુંદરતાનો ત્રિવેણી સંગમ છે, અને એટલે જ તે તેની સમકાલીન એક્ટ્રેસથી અલગ પડે છે. સેલિબ્રિટી હોવું અથવા લાઈમ લાઈટમાં હોવું એ ખાવાના ખેલ નથી. તમને નિયમતપણે બિલ્લોરી કાચ નીચે પરખવામાં આવે છે. એવી પરીક્ષાઓમાં એ જ ટકી શકે જેનામાં પોતાના માટે સાફ દૃષ્ટિ હોય.

2005માં લિરિલ ગર્લ બનીને કેમેરાની દુનિયામાં પગ મુકનારા દીપિકા, સફળતાની તેની યાત્રામાં અનેક એવા પડાવો પરથી પસાર થઇ છે, જેમાં કાચા-પોચા લોકો તૂટીને તબાહ થઇ જાય, પણ તે દરેક અનુભવોમાંથી વધુ નક્કર અને આત્મવિશ્વાસુ બનીને આગળ વધતી રહી છે.

2014માં, દેશના સૌથી મોટા સમાચારપત્ર ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની વેબસાઈટ પર, કોઈ એક કાર્યક્રમમાંથી લેવાયેલો દીપિકાનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેમેરામેને દીપિકાથી ઉપર એવા એન્ગલથી ફોટો લીધો હતો જેમાં તેની બ્રેસ્ટ દેખાય. એ ફોટાની હેડલાઈન હતી; ઓહ માય ગોડ! દીપિકા પાદુકોણનો ક્લીવેજ શો. દીપકા તેના પર ભડકી હતી અને બીજા દિવસે તેણે ટાઈમ્સને લબડધક્કે લઈને ટ્વીટ કરી હતી; ‘હું એક સ્ત્રી છું, મને બ્રેસ્ટ પણ છે અને ક્લીવેજ પણ, તમને કોઈ પ્રોબ્લેમ છે? તમને સ્ત્રીનું સન્માન કરતાં ન આવડતું હોય તો સ્ત્રી સશક્તિકરણની વાતો ન કરતા.’

બીજા જ વર્ષે, દીપિકાએ તેની મેન્ટલ હેલ્થની સાર્વજનિક ચર્ચા કરીને સૌને ચોંકાવી દીધા હતા. સેલિબ્રિટી લોકો તેમની ઈમેજને બરકરાર રાખવા માટે નિયમિત રીતે તેમનું ચોકલેટિયું જીવન બતાવતા રહે છે અને ખરાબીને છુપાવી રાખે છે.  દીપિકાને જેમ પેલા ફોટા માટે બોલવામાં શરમ નહોતી આવી, તેવી રીતે તેના ડિપ્રેશનની વાતને પણ પરિવાર અને સાઈકિયાટ્રીસ્ટની બાજુમાં બેસીને જાહેર કરતાં હીચકીચાહટ થઇ નહોતી.

પત્રકાર બરખા દત્ત સાથે નેશનલ ટી.વી. પર પ્રાઈમ ટાઇમ શોમાં તેણે તેની બીમારીની રજેરજની વાત કરી હતી એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે તે આવી રીતે પીડાતી છોકરીને મદદ કરવા માટે એક સંસ્થા પણ શરૂ કરવા માગે છે. એ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું, “મારા આવી રીતે જાહેરમાં બોલવાથી જો કોઈ એક વ્યક્તિને સધિયારો મળતો હોય તો લેખે લાગશે. મારે સૌને એ કહેવું છે કે હું આ બધામાંથી એટલા માટે પસાર થઇ શકી કારણ કે મારી આજુબાજુમાં જબરદસ્ત સપોર્ટ સિસ્ટમ હતી.”

2020માં, દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિધાર્થીઓ પર હુમલો થયો અને કેમ્પસમાં રમખાણ ફાટી નીકળ્યું, ત્યારે બોલીવૂડમાંથી બીજા કોઈ નહીં પણ માત્ર દીપિકા દિલ્હી આવી હતી અને વિધાર્થીઓ વચ્ચે ઊભી રહી હતી. એ કશું જ બોલી નહોતી. કોઈ ભાષણ નહીં, કોઈ ટી.વી. બાઈટ નહીં, બસ ચૂપચાપ ત્યાં ઊભી રહી હતી. એ મૌન સમર્થન હતું. તેની એ તસ્વીર ખૂબ વાઈરલ થઇ હતી અને સોશ્યલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. તે વખતે પણ તે ચૂપ જ રહી હતી.

દીપિકા માટે આ સાવ નવું નહોતું. 2018માં, ‘પદ્માવત’ ફિલ્મ સામેના ફર્જી વિરોધ અને અંદોલનવેળા દીપિકાનું નાક-કાન વાઢીને લાવે તેને 1 કરોડ રૂપિયાની ઇનામ આપવાની જાહેતર થઇ હતી. ફિલ્મ રિલીઝ થઇ તે પછી ખબર પડી કે એમાં દુઃખી થવા જેવું કે વિરોધ કરવા જેવું કશું જ નથી. એ પછી આંદોલન અને દીપિકાનાં નાક-કાન ભુલાઈ ગયાં.

2020માં, એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની તપાસમાં દીપિકા પાદુકોણની મુંબઈ પોલીસે પૂછતાછ કરી હતી. તે વખતે દીપિકાની 2017ની વોટ્સઅપ ચેટ્સનો રેકોર્ડ મીડિયામાં લીક કરી દેવામાં આવ્યો હતો. દીપિકા ત્યારે પણ ચૂપ રહી હતી એ ટસની મસ થઇ નહોતી. 

તાજેતરમાં, શાહરુખ ખાનની ‘પઠાણ’ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ માટે દીપિકાને નિશાન બનાવવામાં આવી હતી. એ વિવાદ એટલો ચગાવવામાં આવ્યો હતો કે ફિલ્મની રિલીઝ વખતે કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તેમ હતો. શાહરુખ ખાને ત્યારે વ્યક્તિગત રીતે રાજ્ય સરકારોનો સંપર્ક કરીને શાંતિથી ફિલ્મ રિલીઝ થવા દેવાની વિનંતીઓ કરી હતી. આજે ‘પઠાણ’ પૂરી દુનિયામાં હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી વધુ પૈસા કમાનારી ફિલ્મ તરીકે સ્થાપિત થઇ છે અને કેન્દ્રના મંત્રી તેને ભારતનો સોફ્ટ પાવર કહે છે.

દીપિકા જ્યારે ઓસ્કારના મંચ પર ઊભી હતી, ત્યારે ભારતના એ જ સોફ્ટ પાવરનાં દર્શન થયાં હતાં. કાળા રંગના ખભા પરથી ઊતરતા ગાઉન અને ગળામાં મોતીની માળા પહેરેલી દીપિકા શાનદાર તો દેખાતી જ હતી, પરંતુ એથી ય વધુ તો ‘દેશી અંગ્રેજી’માં બોલીને તેણે ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં. ભારતના લોકો પરદેશ જાય ત્યારે અચાનક જ લહેજો બદલીને વિદેશી અંગ્રેજીમાં બોલવા મંડી પડે છે. દીપિકાએ એવા કોઈ પ્રયાસ વગર, તે જે રીતે વતનમાં બોલે છે એ જ રીતે ઓસ્કારના મંચને ગજવ્યો હતો. તેણે ‘નાટુ નાટુ’ ગીતને તાળીઓના ગડગડાટ વચ્ચે ‘ટોટલ બેન્ગર’ તરીકે ઓળખાવ્યું હતું. બેન્ગર એટલે ઠાઠિયા જેવું ધમાલિયું!

2020માં, દીપિકાને એક ઇન્ટરવ્યૂમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં તેણે કહ્યું હતું, “મારે આગામી 20 વર્ષમાં હજુ ઘણું શીખવું છે અને ઘણું આગળ વધવું છે, નહીં તો હું બંધાઈ જઈને બોર થઈ જઈશ. મેં શરૂઆત કરી ત્યારે મારી ટીકાઓ થઈ હતી, પણ મેં તેને ચેલેન્જ તરીકે સ્વિકારી લીધી, અને મારી પર તેની અસર થવા ના દીધી. બલકે, મેં એ ટીકાઓનું વિશ્લેષણ કર્યું અને એ દિશામાં કામ કર્યું હતું. હું સ્પોર્ટ્સમાં આવું છું, અને એ તમને નિષ્ફળતા-સફળતા હેન્ડલ કરવાનું શીખવાડે છે. સ્પોર્ટસે મને શિસ્ત, મહેનત અને નિષ્ઠા શીખવાડી છે.”

દીપિકાના જીવન પરથી ફિલ્મ બંને તો તેનું ટાઈટલ ‘ટોટલ બેન્ગર’ રાખી શકાય!

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 26 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિવેકાનંદની ઈડેટિક મેમરી : સ્મૃતિનું ગજબનું વિજ્ઞાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 March 2023

રાજ ગોસ્વામી

સ્વામી વિવેકાનંદ વિશે ઘણી બધી વાતો પ્રચલિત છે, પરંતુ એક વાત ખાસી વિસ્મયકારી છે; એવું કહેવાય છે કે તેઓ એક કલાકમાં 700 પાનાનું પુસ્તક વાંચી નાખતા હતા. એટલું જ નહીં, તેઓ એમાંથી શબ્દશ: આખો ફકરો બોલી જતા હતા. વિકિપીડિયા પર “ઈડેટિક મેમરી” નામનું એક પેઈજ છે. ઈડેટિક મેમરી એટલે અલ્પકાલીન સ્મૃતિનું એક આવું અસ્થાયી રૂપ, જેમાં તમે કોઈ ચીજ પર નજર નાખો, તો તે ઈડેટિક મેમરીમાં તબ્દીલ થઇ જાય અને તે ચીજ હાજર ન હોય તો પણ હૂબહૂ યાદ રહે. તેને ફોટોગ્રાફિક મેમરી પણ કહે છે; ફોટો પડ્યો હોય તે રીતે ચીજ યાદ રહી જાય.

વિકિપીડિયાના તે પેઈજમાં આ પ્રકારની સ્મૃતિવાળા 23 લોકોની એક યાદી છે. તેમાં સ્વામી વિવેકાનંદનું પણ નામ છે. તેમના નામ સામે લખવામાં આવ્યું છે; “તેઓ એક જ વાર પુસ્તક વાંચીને તેને યાદ રાખતા હતા.” એ યાદીમાં 15મી સદીના કૃષ્ણ-ભક્ત ચૈતન્ય મહાપ્રભુ, ઇન્ડોનેશિયાના પહેલા પ્રેસિડેન્ટ સુકર્ણો અને ઇટાલિયન જીનિયસ લિયોનાર્ડો દા વિન્સીનાં નામ પણ છે. પેઈજમાં જો કે એક સૂચના પણ મુકવામાં આવી છે; ઘણા લોકોએ ઈડેટિક મેમરીનો દાવો કર્યો છે, પરંતુ વિજ્ઞાનને તેનું વિશ્વસનીય પ્રમાણ મળ્યું નથી. વયસ્ક લોકોમાં તો તે સંપૂર્ણપણે ગેરહાજર હોય છે. સ્મૃતિનું વિજ્ઞાન ગજબનું છે, પણ પહેલાં વિવેકાનંદની વાત.

તેમના અમુક કિસ્સાઓ મશહૂર છે (તેની સત્યતાની ખબર નથી). એક કિસ્સો વિવેકાનંદ જ્યારે નરેન્દ્રનાથ હતા ત્યારનો છે. 1890માં નરેન્દ્રનાથ મેરઠ ગયા હતા. ત્યાં રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી અભેદાનંદ રહેતા હતા, અને તેમની મદદથી નરેન્દ્ર સ્થાનિક પુસ્તકાલયમાંથી રોજ એક ચોપડી લાવતા અને રાત સુધીમાં પૂરી કરી દેતાં. ત્યાંનો લાઈબ્રેરિયન માનવા જ તૈયાર નહોતો કે નરેન્દ્ર એક દિવસમાં ચોપડી વાંચે છે. લાઈબ્રેરિયને પરીક્ષા લેવા ચોપડીઓ સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા હતા, અને નરેન્દ્રએ શાંતિથી દરેકના જવાબ આપ્યા હતા.

એ પછી રાજસ્થાનના ખેત્રી સ્ટેટના રાજા અજીત સિંહને પણ તેમના ઝડપી વાંચનનો અનુભવ થયો હતો. રાજાએ તેનું રહસ્ય પણ પૂછ્યું હતું, અને નરેન્દ્રનાથે કહ્યું હતું કે એક બાળક જ્યારે કક્કો-બારાખડી વાંચતું હોય, ત્યારે તેનું સમ્પૂર્ણ ફોકસ એક શબ્દ પર હોય. એ મોટું થાય એટલે અભ્યાસથી ઉત્તરોત્તર એક સાથે બે-ત્રણ શબ્દો પર ફોકસ કરી શકે. એ રીતે જો કોઈ તેની એકાગ્રતાની ક્ષમતા વધારતું જાય, તો તે એક નજરમાં આખું પાનું વાંચી શકે.

“રેમિનિસન્સ ઓફ સ્વામી વિવેકાનંદ” (સ્વામી વિવેકાનંદનાં સંભારણાં) નામના પુસ્તકમાં, હરિપદા મિત્રા (જે 1892માં બેલગામમાં સ્વામીના યજમાન હતા), એક પ્રસંગ ટાંકે છે. એક દિવસ, વિવેકાનંદે મશહૂર ઇંગ્લિશ લેખક ચાર્લ્સ ડિકન્સની પહેલી નવલકથા “પિકવિક પેપર્સમાં ત્રણ-ચાર પાનાં શબ્દશ: ટાંક્યાં. મિત્રા લખે છે, “મને આશ્ચર્ય થયું કે એક સંન્યાસીને કેવી રીતે એક સેક્યુલર પુસ્તકમાંથી આટલું બધું દિલથી યાદ હોય! મને થયું કે તેમણે આ પુસ્તક બહુ વખત વાંચ્યું હોવું જોઈએ. તેમણે કહ્યું કે તેમણે બે વાર વાંચ્યું છે – એક વાર તે સ્કૂલમાં હતા ત્યારે, અને બીજી વાર પાંચ-છ મહિના પહેલાં. મેં પૂછ્યું કે તમને યાદ કેવી રીતે રહે છે, અને તેમણે કહ્યું કે, ‘સમગ્ર એકાગ્રતાથી વાંચવું પડે. જે પણ કરતા હો, તેમાં સંપૂર્ણ ધ્યાન અને ઉર્જા આપવી જોઈએ. ગાઝીપુરના પહાડી બાબા પાણી ભરવાનું વાસણ એવી રીતે સાફ કરતાં જાણે ધ્યાન, જપ કે પ્રાર્થના કરતા હોય, અને વાસણ સોનાની જેમ ઝગારા મારતું.’”

તેમના અવસાન (4 જુલાઈ 1902) પહેલાં વિવેકાનંદ બીમાર પડ્યા હતા, ત્યારે તેમના શિષ્ય સરતચંદ્ર ચક્રવર્તીએ તેમની પથારી પાસે નવા પ્રકાશિત થયેલા એન્સાઈક્લોપીડિયા ઓફ બ્રિટાનિકાના 25 ભાગ જોયા હતા. તેણે ટીપ્પણી કરી કે એક જિંદગીમાં આટલું બધું વાંચી ન શકાય. એ જાણીને છક થઇ ગયો કે વિવેકાનંદ દસ ભાગ પૂરા કરી ચુક્યા હતા અને અગિયારમો વાંચી રહ્યા હતા. એટલું જ નહીં, વિવેકાનંદે શિષ્યને પડકાર પણ ફેંક્યો હતો કે દસ ભાગમાંથી તારે જે પૂછવું હોય તે પૂછ.”

સ્મૃતિનું વિજ્ઞાન આ બાબતે શું કહે છે?

મનુષ્યના દિમાગમાં 2.5 પેટાબાઈટ્સની મેમરી સંઘરવાની ક્ષમતા છે. એક પેટાબાઈટ એટલે 1024 ટેરાબાઈટ્સ અથવા 10 લાખ ગીગાબાઈટ્સ. ચંદ્ર પર પહેલું એપોલો યાન ઉતર્યું હતું, તેમાં ખાલી 64 કિલોબાઈટ્સ (64 KB) મેમરી સ્ટોરેજની ક્ષમતાવાળી ઓપરેટિંગ સિસ્ટમ હતી. દિમાગ પ્રતિ સેકન્ડે 6,418 નર્વ ઇમ્પલ્સ (તાંત્રિક આવેગ) ચલાવે છે. દિમાગ કોઈપણ ક્ષણે 1.1 કરોડ ઈન્ફોર્મેશન અંદર સમાવી શકે છે. સાદા ઉદાહરણ મુજબ, આપણું દિમાગ વિશ્વનું સમગ્ર ઇન્ટરનેટ સમાવી શકે તેમ છે! એક સર્વસ્વીકૃત અનુમાન પ્રમાણે, આમાંથી આપણને માત્ર 40 ટકા ઈન્ફોર્મેશનનો જ સચેત રૂપે પરિચય હોય છે.

એક વાત સાચી કે સ્મૃતિની ક્ષમતાનો સંબંધ પ્રેકટીસ સાથે છે. જેમ વ્યાયામ કરવાથી સ્નાયુઓની ચુસ્તતા વધે અને લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય, તેવી રીતે નિયમિત વાંચતા રહેવાથી મગજની ક્ષમતાનો વિકાસ થતો રહે છે. વાંચવાથી માત્ર આનંદ આવે કે નવી જાણકારી મળે છે એટલું જ નહીં, મગજની પૂરી પ્રક્રિયા બદલાઈ જાય છે.

1. વાંચવાથી (ભાષા સાથે સંલગ્ન) મગજના ડાબા ટેમ્પોરલ કોર્ટેક્ષમાં નર્વ કનેકશન્સ ઔર ચૂસ્ત થાય છે.

2. વાંચવાથી પરાનુભૂતિ (એમ્પથી) વધે. વાચક પુસ્તકનાં પાત્રો, વિચારો, લાગણીઓ, ઘટનાઓને ‘જીવે,’ તેને પોતાનો અનુભવ બનાવે, અને બીજાની દૃષ્ટિએ વિચારતો, મહેસૂસ કરતો થાય.

3. મગજમાં નર્વ ફાઈબરનાં વ્હાઈટ મેટર હોય છે. કોમ્યુનિકેશનમાં તેની ભૂમિકા હોય છે. વાંચવાથી આવા વધુ વ્હાઈટ પેદા થાય છે. 

4. વાંચવાથી વર્કિંગ મેમરીની ક્ષમતા વધે. વર્કિંગ મેમરી એટલે એક સાથે બે ચીજો યાદ રાખવી તે. જેમ કે કોઈ વ્યક્તિ આપણને સરનામું સમજાવતી હોય, ત્યારે સાંભળવાની અને સરનામું યાદ રાખવાની ક્રિયા.

5. તેનાથી એકાગ્રતા વધે. એક્ચ્યુઅલી, આપણે જેને ઉત્તમ યાદદાસ્ત કહીએ છીએ, તે એકાગ્રતાનું પરિણામ છે. વાંચવાથી મગજનો એટેન્શન સ્પાન વધે છે અને તે ગહેરાઇથી વિચારે છે, જે યાદદાસ્તને તેજ કરે છે.

આપણે એક એવા કોમ્પ્યુટર જેવા છીએ, જે બાળપણમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સોફ્ટવેર પર ચાલે છે. મોટા થયા પછી એ કોમ્પ્યુટરની સ્પીડ ઓછી થઈ જાય, એપ્લિકેશન્સનો ભેગી થઈ જાય, વાઈ-ફાઈ હોટસ્પોટમાં લોચા ઊભા થાય, મેમરી અને કેશ સ્ટોર થઈ જાય અને ઓપરેટિંગ સિસ્ટમમાં વારંવાર એરર આવે. આવું થાય, ત્યારે સોફ્ટવેરને અપડેટ કરતા રહેવું પડે. આને ફિલોસોફી કહે છે. આમ છતાં અમુક પ્રોબ્લેમ પાછા આવી જ જાય, એટલે તમારું ફેક્ટરી રિસેટિંગ કરવું પડે. આને આધ્યાત્મિકતા કહે છે. સ્વામી વિવેકાનંદનું આવું રિસેટિંગ થયું હોય તે સંભવ છે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 27 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અનંત

બીજલ જગડ|Opinion - Opinion|28 March 2023

દેવત્વની કળીઓ પ્રગટી, અનંત તેજની નદીઓ વહાવી,

પાંદડીએ પાંદડીએ ગેબની અમૃતપ્યાલી ચંદ્રકાની પાયી,

અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.

આથમતી રજની ને ઊગતું પ્રભાત, હૈયામાં ગંગા વહાવી,

અંતરના આભમાં માયા માટીની કિરણમાળા પ્રગટાવી.

અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.

આભનાં ઊંડા જળથી પ્રેરણાદાયક વરસતી પુણ્યવાદળી,

આયુષ્યતીર્થ ઘાટે ઘાટેથી જગત ને છંટાઈ રહ્યું રસપાણી.

અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.

અંતરિક્ષ ઘુમ્મટમાં ભાગ્યના બ્રહ્માંડમાં બ્રહ્મમાર્ગ દાખવી,

પૃથ્વીની કઠોરતા, યાત્રાના શ્રમમાં, તડકાના કેસરમાં ન્હાઈ,

અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.

સંસારસાગરમાં પ્રારબ્ધના વેદોચ્ચારે કંઈ ઉષાગીત ગાતી, 

પુણ્યથાળ બન્યો ભાનુ ભર્યો દિન અને શશીશોભી રાત્રી,

અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.

ઘાટકોપર, મુંબઈ
e.mail bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,0581,0591,0601,061...1,0701,0801,090...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved