Opinion Magazine
Number of visits: 9458136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—191

દીપક મહેતા|Opinion - Opinion|8 April 2023

મુંબઈના ભૂત, વર્તમાન, અને ભાવિમાં એક સાથે જીવવું છે?

તો ચાલો ભૂલેશ્વર 

મુંબઈના ભૂત, વર્તમાન, અને ભાવિમાં તમારે એક સાથે જીવવું છે? અને એ પણ ટાઈમ મશીન વગર? તો ચાલો ભૂલેશ્વર. થોડાં થોડાં ડગલાંમાં તમે આ ત્રણે કાળમાં જીવી શકો. સો-સવાસો વરસ જૂનાં મકાનોની અહીં નવાઈ નથી. અને મંદિરો તો ૨૦૦-૩૦૦ વરસ કે તેથી ય વધુ જૂનાં. અહીંની ગલીઓમાંની દુકાનોમાં અને ફૂટપાથો પર બેઠેલા ફેરિયાઓના માલના ઢગલામાં તમને આજના જીવનની જરૂરિયાતની હર કોઈ વસ્તુ મળી રહે, હા એને પકડી પાડવાની નજર તમારામાં હોવી જોઈએ. અને ભાવિ? ત્યાં જુઓ. પહેલાં અહીં ચાલી જેવું બે માળનું મકાન હતું. હવે નથી. તેની જગ્યાએ છે બહુમાળી ઈમારત. 

ભૂલેશ્વર મંદિરનું એક શિલ્પ 

પણ વેઇટ અ મિનિટ! આ ભૂલેશ્વર નામ પડ્યું કઈ રીતે? સાવ સીધો સાદો જવાબ જોઈતો હોય તો એટલો જ કે અહીં આવેલા ભૂલેશ્વરના મંદિર પરથી આ આખા વિસ્તારનું નામ પડ્યું ભૂલેશ્વર. એક બાજુ ગિરગામ રોડ, બીજી બાજુ કાલબાદેવી રોડ. એ બે વચ્ચેનો કેટલોક ભાગ તે ભૂલેશ્વર. વાહન-વ્યવહારની દૃષ્ટિએ ભૂલેશ્વર એક ટાપુ છે. નજીકનાં રેલવે સ્ટેશન બે : ચર્ની રોડ અને મરીન લાઈન્સ. પણ ત્યાં ઊતર્યા પછી ટેક્સીવાળાને પૂછો તો મોં મચકોડીને ચાલતો થાય. એ સાંકડા અને અટપટા રસ્તાઓ પર BESTની બસ તો સપનામાં પણ જોવા ન મળે. હા, તમારી મોટરમાં જઈ તો શકો, પણ ચાલતાં જાવ તો મોટર કરતાં વહેલા પહોંચી શકો. આવા આ વિસ્તારના લગભગ કેન્દ્રમાં આવેલું છે શંકરનું ભૂલેશ્વર મંદિર.

આવી અનેક ગલીઓ જ્યાં છે તે ભૂલેશ્વર 

ભોલે બાબા, ભોલે નાથ, તેમ ભોલે ઈશ્વર, બધાં શંકર કહેતાં મહાદેવનાં નામ. ભોલે અને ઈશ્વર એ બે શબ્દો ભેગા થઈને બન્યો શબ્દ ભોલેશ્વર. પણ ખરી મુશ્કેલી અહીંથી શરૂ થાય છે. ભાષાના પંડિતો તો કહે કે ભોલેશ્વર તો જાણે બરાબર. પણ તેમાંથી ભૂલેશ્વર કઈ રીતે થાય? તો જવાબમાં કેટલાક કહેશે કે ભાઈ, લોકોની જીભ કાંઈ તમારા ભાષાશાસ્ત્ર પ્રમાણે ચાલતી નથી, પોતાની સગવડ પ્રમાણે ચાલે છે. જેમ કે માટુંગા પછીના વિસ્તારનું મૂળ નામ સિવ, એટલે કે સીમ હતું. કારણ એક જમાનામાં ત્યાં મુંબઈ શહેરની સીમા પૂરી થતી. અંગ્રેજોએ મૂળ ઉચ્ચાર જાળવી રાખવાના ઈરાદે તેનો સ્પેલિંગ કર્યો Sion. પણ થોડું ઘણું અંગ્રેજી જાણતા લોકો એ જમાનામાં પણ અંગ્રેજીના Lion શબ્દથી પરિચિત. બંનેના સ્પેલિંગ સરખા. એટલે આપણા લોકોએ ઉચ્ચાર કરી નાખ્યો સાયન! તો પછી ભોલેશ્વરનું ભૂલેશ્વર પણ કેમ ન થઈ શકે?

કહેવાય છે કે આ વિસ્તારમાં એક સો જેટલાં મંદિર આવેલાં છે. તેમાં સૌથી મહત્ત્વનું છે ભૂલેશ્વર મંદિર. પણ એ બંધાવ્યું કોણે? ફરી ‘ઝાઝા મચ્છર ઝાઝા જૂઆ, ત્યાં (દીપક) મહેતાના ઉતારા હુઆ.’ નહિ નહિ તો પાંચ દંતકથા મળે છે. એક કથા કહે છે કે ભોલાનાથ નામનો એક પરદેશી આ વિસ્તારની મુલાકાતે આવેલો તેણે આ મંદિર બંધાવેલું અને તેના નામ પરથી આ મંદિરનું નામ પડ્યું. પણ સવાલ એ થાય કે એવું તે શું થયું કે એક પરદેશી મુસાફર અજાણ્યા મલકમાં મંદિર બંધાવે? અને મંદિર કાંઈ રાતોરાત બંધાય નહિ. તો શું એ પરદેશી બે-ચાર વરસ અઠે દ્વારકા કરી મુંબઈમાં રહી પડ્યો હશે?

તો બીજી કથા પ્રમાણે એક વાણિયા વિધવા બાઈએ આ મંદિર બંધાવેલું. બાઈ પાસે ધનના ઢગલા, પણ શેર માટીની ખોટ. છુટ્ટે હાથે દાન-ધરમ કરે તો ય એની પૂંજી તો ખરચે ન ખૂટે વા કો ચોર ન લૂંટે. એટલે પછી એ બાઈએ બંધાવ્યું આ મંદિર. આજના નારીવાદીઓને આ વાત ગમશે કે નહિ એની તો ખબર નથી. પણ અહીં મુશ્કેલી એ છે કે આ કથા આ મંદિરના નામ અંગે કશો ખુલાસો કરતી નથી.

દંત કથા નંબર ત્રણ. આજે જ્યાં આ મંદિર આવેલું છે એ જગ્યાએ પોતાને માટે ઠાઠમાઠવાળું મકાન બંધાવવાનું શરૂ કરેલું એક માલેતુજાર વાણિયા બાઈએ. મકાનના પાયા માટે ખોદકામ પણ શરૂ થઈ ગયેલું. ત્યાં એક દિવસ સવારે થોડા મજૂરો બાઈ પાસે આવ્યા. તેમના હાથમાં હતું એક શિવલિંગ જે ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવેલું. બસ! બાઈએ કહ્યું : ‘આ તો ભગવાનની ભૂમિ કહેવાય. અને પોતાને માટે ઘર બંધાવવાને બદલે બંધાવ્યું મહાદેવ માટે આ મંદિર. પણ ફરી એ જ મુશ્કેલી : આમાં મંદિરના નામનો ખુલાસો ક્યા?

હવે ચોથી વાત. હા, આ મંદિર એક બાઈએ બંધાવેલું એ ખરું. પણ એ હતી કોળી જાતિની, વાણિયણ નહોતી. આ કથા પ્રમાણે અસલ મંદિર તો નાની દેરી જેવું હતું. હાલનું મંદિર તે જગ્યાએ પછીથી બંધાયું. દંતકથા પ્રમાણે મમ્માદેવી એ પણ પાર્વતીનું એક રૂપ છે. એટલે કે કોળી લોકો શંકર-પાર્વતીના પૂજકો. એટલે કોઈ કોળી સ્ત્રી આવું મંદિર બંધાવે તો તે સમજી શકાય. પણ ફરી, નામનો ખુલાસો?

પાંચમી કથા કહે છે કે આ મંદિર બંધાવનારનું નામ હતું મંગેશ આનંદરાવ દોન્દે. જાતે શેણવી. સુતાર જાતિના મદન કેશવજીની વિધવા લક્ષ્મીબાઈ પાસેથી આ જમીન ખરીદીને તેમણે મંદિર બંધાવેલું. પછીથી જે જગ્યા ફોફળ વાડી તરીકે ઓળખાઈ તે બધી જગ્યા આ વિધવા બાઈની માલિકીની હતી. પણ તેણે જમીન એક સાથે ન વેચતાં કટકે કટકે વેચી – પણ એક શરતે : એ જગ્યા પર મંદિર બાંધવાનું, બીજું કાંઈ નહિ! તેની જમીનના બીજા ટુકડા પર સુંદર બાવાજી બારભાયાએ ગણપતિનું મંદિર બંધાવ્યું. ત્રીજો ટુકડો વેચ્યો મુકુન્દ ગુજ્જરને રામેશ્વર મંદિર બંધાવવા માટે. ચોથા ટુકડા પર આત્મારામ વિશ્વનાથે ત્રણ મંદિર બંધાવ્યાં : કાળભૈરવ, કાશીવિશ્વેશ્વર, અને નર્મદેશ્વર. અને જમીનનો છેલ્લો ટુકડો ખરીદ્યો ભાઈદાસ સકીદાસે અને એ જગ્યા પર મંદિર બંધાવવાને બદલે તળાવ ખોદાવ્યું જે ભૂલેશ્વર તળાવ તરીકે ઓળખાતું. મુંબઈનાં બીજાં અનેક તળાવોની જેમ આજે તો તેનું નામ નિશાન શોધ્યું જડે તેમ નથી.

ભૂલેશ્વર કબૂતરખાનું, જે આજે નથી

એક જમાનામાં ભૂલેશ્વરનું કેન્દ્ર હતું કબૂતરખાનું. તળાવની જેમ તેનું પણ આજે નામ નિશાન નથી. છેલ્લાં કેટલાંક વરસથી એમ મનાતું થયું છે કે કબૂતરખાનાને કારણે આસપાસના લોકોની તબિયત પર માઠી અસર થાય છે. પણ કબૂતરખાનાં એ માત્ર જીવદયાનાં પ્રતીક જેવાં નહોતાં. મુંબઈ જેવા શહેરમાં પણ માણસ બીજા જીવો સાથે વિના વિરોધે જીવી શકે છે એ વાતની સાબિતી જેવાં હતાં. આ કબૂતરખાનાથી ત્રણ રસ્તા નીકળે. એક જઈને મળે કાલબાદેવી રોડને. બીજો જાય પાંજરાપોળ તરફ. આ બંને રસ્તા લગભગ સીધા. પણ ત્રીજો રસ્તો થોડો વાંકોચૂંકો, અને તે જઈને મળે દાદીશેઠ અગિયારી લેનને. આ લેન પાછી જોડે ગિરગામ રોડને કાલબાદેવી રોડ સાથે.

ભૂલેશ્વરની ફૂલ ગલ્લી

આ લખનારને આ ત્રીજો રસ્તો સૌથી વધુ જાણીતો. અનેક વાર એ રસ્તા પરથી પસાર થવાનું. ફળ-ફૂલ ખરીદવાં છે? ચાલો ભૂલેશ્વર. વર્ષો સુધી શાક તો ભૂલેશ્વરની શાક ગલ્લીમાંથી જ આવતું. ફરસાણની ખરીદી માટે રાજનગર ફરસાણ હાઉસ. મીઠાઈ તો રતનલાલની જ. સોપારી અને મુખવાસ નાનાલાલ સોપારીવાલાનાં. જન્માષ્ટમી કે બીજા વારતહેવારે ફૂલ, હાર લાવવા માટે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં જ જવું પડે. ફૂલ ગલ્લી સામસામે બે : એક મોટી, બીજી નાની. મોટીમાં ‘જથ્થાબંધ’ ફૂલ વેચાય. નાનીમાં છૂટક. જથ્થાબંધ ફૂલો વજનથી નહિ, ‘ધડી’ના માપે વેચાય. આ ધડી એટલે વાંસની (હવે પ્લાસ્ટિકની) ટોપલી. ‘એક ધડી ગલગોટા’ માગો એટલે દુકાનદાર એક ટોપલી ભરીને ગલગોટા આપે.

આજે તો હવે મુંબઈનાં ઘરોમાં બારી-બારણાં પર ‘ચક’ ભાગ્યે જ જોવા મળે. ભગવદ્ ગોમંડળ કોશમાં આ શબ્દનો અર્થ આમ આપ્યો છે : “કનાત; પડદો; સળીઓનો બનાવેલ પડદો; વાંસની સળીઓનો પડદો; બારી બારણામાં નાખવાનો જાળીદાર અંતરપટ.” આ ‘ચક’ શબ્દના બે રૂઢિ પ્રયોગ પણ નોંધ્યા છે : ચક નાખવો = (૧) અંતરપટ રાખવો; પડદો નાખવો. (૨) હાટ માંડવું; વંઠી જવું; છિનાળવું થઈ જવું. એક જમાનામાં મુંબઈના મધ્ય વર્ગનાં ઘરોમાં આ ‘ચક’નું જબરું ચલણ. કોશમાં જે ‘સળીઓ’નો ઉલ્લેખ છે તે કાચની સળીઓ. નાની-મોટી સાઈઝની, જાતભાતના રંગોની, અર્ધપારદર્શક કાચની પોલી સળીઓ. ભૂલેશ્વરની શાક માર્કેટની બહાર આ ‘ચક’નો સામાન વેચતી બે-ત્રણ દુકાન. સળીઓ ઉપરાંત અનેક રંગના કાચના મણિ, સળીઓ પરોવવા માટેના મજબૂત મીણ પાયેલા દોરા, લાંબી-પાતળી સોય, વગેરે બધી સામગ્રી એ દુકાનોમાં મળે. ત્યાંથી જરૂરી માલ-સામાન લાવીને ગૃહિણીઓ બપોરે નવરાશના સમયમાં ‘ચક’ બનાવે. ઘર બે પાંદડે થયું હોય તો બે સળી વચ્ચે એક-એક એલચી કે લવિંગ પણ પરોવાય. કંઈ કેટલાયે વખત સુધી વિંધાયેલા એલચી-લવિંગની આછી સુગંધ ઘરમાં ફેલાતી રહે.

આ ચક પાછા બે જાતના. આખા અને અડધા. બારીઓ પર મોટે ભાગે અડધા હોય, બારણાં પર આખા. થોડી વધુ આવડત હોય તો તેમાં મોર-પોપટ કે ફૂલોની ડિઝાઈન બને એવી રીતે સળીઓ અને મણકા પરોવાય. અને હા! આ ચક એટલે મોતીનાં તોરણ નહિ હો! એ તો બારણાના મથાળે બંધાય. આ ચક તો આખાં બારી-બારણાંને આવરી લે. પણ આ ચક લગાડવા પાછળનો હેતુ? આજના જેવું ‘પ્રાઈવસી’નું વળગણ એ જમાનામાં નહોતું. ચાલી કે બ્લોકમાં (ત્યારે હજી ‘ફ્લેટ’ શબ્દ ચલણી નહોતો બન્યો) મુખ્ય બારણું દિવસે મોટે ભાગે ખુલ્લું રહે. મકાનમાં રહેતાં છોકરાં જ નહિ, મોટેરાંઓ પણ બિન્દાસપણે આવ-જા કરે. એટલે આ ચકનો મુખ્ય હેતુ ઘરની શોભા વધારવાનો. કપડાના પડદા આવ્યા એ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગના ઘરોમાં આ ‘ચક’નું ચલણ હતું. આજે? ગૂગલ જેવા ગૂગલ પર પણ તેનું ચિત્ર કે ફોટો મળતાં નથી!

પણ આ તો ‘જાના થા જાપાન, પહુંચ ગયે ચીન’ જેવું થયું, નહિ? ભૂલેશ્વરની વાત બાજુએ રહી ગઈ અને ચક-પુરાણ ચાલ્યું. વાંધો નહિ. આવતા શનિવારે ફરી મળશું ભૂલેશ્વરમાં. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 એપ્રિલ 2023

Loading

કાનનો રિયાઝ -3 – પંડિત કુમાર ગાંધર્વનું કબીરગાન

અમર ભટ્ટ|Opinion - Opinion|8 April 2023

આજથી પંડિત કુમાર ગાંધર્વ જન્મશતાબ્દી વર્ષ શરૂ થાય છે. આ નિમિત્તે તેમણે ગાયેલાં કબીરનાં બે પદો પરનો ‘વિશ્વવિહાર’માં ૨૦૧૮માં પ્રકાશિત મારો લેખ વહેંચતાં અત્યંત આનંદ થાય છે. કવિ-કલાકાર ક્યારે ય જતો નથી. હરીન્દ્ર દવેના શબ્દો સહેજ બદલીને કહું – 

‘થોડોક ગાનમાં છું, થોડો સ્મરણમાં છું

સંકેલ્યો શ્વાસ દેહે, સ્વજન હું નથી ગયો’.

મને ખૂબ સ્પર્શી ગયેલી કુમારજીની બે રચનાઓની લિંક આ સાથેના લેખમાં છે.

— અમર ભટ્ટ

—— 

‘સપ્તક’ શાસ્ત્રીય સંગીત સંમેલન (પહેલીથી તેરમી જાન્યુઆરી 2018) દરમિયાન એક સાંજે અગ્રગણ્ય શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમાર ગંધર્વ (જન્મ : 8/4/1924, અવસાન :12/1/1992) ઉપર એક ફિલ્મ પ્રદર્શિત થઇ – ‘હંસ અકેલા – કુમાર ગંધર્વ’. એકે ક્ષણ ગુમાવવાનું મન ન થાય એવી સુંદર ફિલ્મ્સ ડિવીઝનની આ દસ્તાવેજી ફિલ્મ યુ ટ્યુબ પર પણ છે (https://youtu.be/Fv4ynjy8m04). 1947થી લગભગ પાંચસાત વર્ષ ટી.બી.ની જીવલેણ બિમારીને લીધે ફેફસાં પર વધુ શ્રમ ન પડે માટે ડૉક્ટરોએ એમને ગાન બંધ કરવાની સલાહ આપી હતી અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા સૂચવ્યું હતું, એટલે એ મધ્ય પ્રદેશમાં દેવાસમાં વસવાટ કરતા હતા. ગાન બંધ થયું પણ મૌનવાસ દરમિયાન ‘કાનનો રિયાઝ’ અને નિર્ગુણ સ્વરૂપનો વિચાર સતત ચાલતો રહ્યો. કુદરતનું સંગીત, પક્ષીના અવાજ, પવનનો સૂસવાટ, ફકીરોનું ગાન, ત્યાં લોકસંગીતમાં ગવાતાં કબીરનાં પદો – આ બધું જ – કુમારજીએ મૌન રહીને ગ્રહ્યું. 1952માં ભારતમાં ટી.બી.ની દવા પ્રાપ્ય બનતાં એમનો ઈલાજ શક્ય બન્યો. ગાન પુનઃ શરૂ થયું. કબીરનાં નિર્ગુણી ભજનો એમણે સ્વરબદ્ધ કરીને પોતાના કાર્યક્રમોમાં રજૂ કરવા માંડ્યાં અને એ રીતે પરંપરાથી ઉફરા જઈને શબ્દ અને સંગીતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. ફિલ્મનું નામ યથાર્થ રીતે કબીરસાહેબના એક પદ ઉપરથી છે – ‘ઉડ જાયેગા હંસ અકેલા’.

આજે કુમારજીએ ગાયેલાં કબીરનાં બે પદો વિષે વાત કરવી છે. એક છે – ‘ઝીની ઝીની બીની ચદરિયા’ (https://youtu.be/cNl_pK0u9-k) અને બીજું છે – ‘સુનતા હૈ ગુરુજ્ઞાની, ગગનમેં આવાજ હો રહી ઝીની ઝીની’ (https://youtu.be/ordi4e72nVY). બંનેમાં ‘ઝીની ઝીની’ શબ્દપ્રયોગ છે. એકમાં ચાદર વણવા માટે અને બીજામાં ગગનગેબી અવાજ માટે. ગાન સાથે માત્ર તાનપુરા અને તબલાં છે, હાર્મોનિયમની સંગત નથી.

પ્રથમ પદમાં કબીર એમનો વણાટકામનો અનુભવ કવિતામાં લાવે છે. કહે છે કે કુમારજીએ વણાટકામની સાળનો લય સાંભળીને આત્મસાત કર્યો અને એ લય આ પદમાં છે. (કવિ-કલાકારોને ક્યાં ક્યાંથી લય મળે છે? ઉમાશંકર જોશીનાં ‘નિશીથકાવ્યો’માં મુંબઈની લૉકલ ટ્રૅનનો લય છે.) સાત માત્રાનો અનોખો તાલ છે – પણ એ સાત માત્રાનો પરંપરાગત વાગતો રૂપક તાલ નથી કે નથી એમાં ભરી ભજન ઠેકાનો દીપચંદી. ‘ચદરિયા’ શબ્દનું સ્વરાંકન ઝીણવટથી સાંભળીશું તો એમાં – ‘સા’ અને ‘કોમળ રે’ – નાનકડી તાન રૂપે સાથે લીધા છે ને એ રીતે સૂરની ચાદર વણી છે. અંતરામાં ‘ઈંગલા પિંગલા’માં સહેજ ચઢેલો ‘કોમળ ધૈવત’ – બે ધૈવત વચ્ચેનો કોઈ સ્વર – જરૂર ધ્યાન ખેંચે છે. હાર્મોનિયમના શુદ્ધ ધૈવત અને કોમળ ધૈવતની વચ્ચેનો કોઈ ધૈવત, હાર્મોનિયમમાં ક્યાંથી મળે? વળી કોમળ ધૈવત ચઢેલો ને એની સંગતિમાં તાર સપ્તકનો કોમળ રિષભ (રે) પણ. (એક ઉલ્લેખ કરવાનું મન થાય છે – કવિવર ટાગોર અને ગાનસરસ્વતી કિશોરી અમોનકર પણ સંગત માટે હાર્મોનિયમ પસંદ નહોતાં કરતાં.)

બીજું પદ છે ‘ગગનમેં અવાજ હો રહી ઝીની ઝીની’. નરસિંહનું ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જરૂર યાદ આવશે. ‘અવાજ હો રહી’ ના શુદ્ધ સ્વર પછી ‘ઝીની ઝીની’ કોમળ ધૈવત પર કેવી સુંદર રીતે લીધું છે અને ‘ઝીની અવાજ’નો ભાવ પ્રદર્શિત કર્યો છે! કેરવા તાલનો એકધારો ઠેકો, ગાનમાં ‘હો જી’ના પ્રયોગથી પ્રગટ થતી લોકસંગીતની મસ્તી અને કબીરના શબ્દોમાં ને કુમારજીના ગાનમાં વ્યક્ત થતી બ્રહ્માંડનાં રહસ્યોની ખોજ, બે સ્વરો વચ્ચેના અવકાશમાં રહેલા કોઈ સ્વરની શોધમાં થઇ રહેલી સાંગીતિક યાત્રા આપણને જુદા જ સ્તરે લઇ જાય છે.

‘ઝીની ઝીની’ પ્રયોગ અન્ય કેટલી કવિતાઓની યાદ અપાવે છે – રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર -(મીરાંબાઈ), જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે – (અખો), ઝીણા ઝરમર વરસે મેહ કે ભીંજે મારે ચૂંદડલી (ન્હાનાલાલ), ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં (અનિલ જોશી) …

જેમ એકમાંથી બીજી કવિતામાં તેમ જ એકમાંથી બીજા ગીતમાં સરી પડવું ગમે છે. કુમારજીની અસરમાં મેં આપણી ભાષાનાં કેટલાંક કાવ્યો સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો – અમને ગુરુ મળ્યા છે ગરવા (મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’), વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે (મકરન્દ દવે), ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી (રાજેન્દ્ર શાહ) – પણ જ્યારે ગાવા જાઉં ત્યારે કુમારજીનું ગાન યાદ આવે છે અને સાથે સાથે ટાગોરની આ કવિતા પણ –

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક્ થઇને સાંભળી રહું છું તમને. એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યો ય જડતો નથી .. મારી ચોતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’

ઓમકારનાથ ઠાકુરે કહ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોકસંગીતમાં છે. કુમારજીનાં આ પદોમાં શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતનું ઐક્ય સાંભળો, નાદબ્રહ્મ અને શબ્દબ્રહ્મનો શુભયોગ માણો. આપણે આ ‘ગાંધર્વગાન’ને ‘મૌનના ટહુકા’ કહીશું? ‘આદિલ’ મન્સૂરીનો શેર છે –

‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,

જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે’.

(પ્રગટ : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018)
e.mail : amarbhatt@yahoo.com

Loading

ઘાંઘો રાજકીય અગ્રવર્ગ અને બિનપપ્પુ રાહુલ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 April 2023

પરિપ્રેક્ષ્ય

રાહુલ ગાંધીની પદયાત્રાએ રાજનીતિથી અલગ વિચારનો

એક સંકેત સર્જે છે એમાં શંકા નથી

પ્રકાશ ન. શાહ

દેશ એક વિલક્ષણ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. એક એવો દોર, જેમાં નાયકો હારણ હાંફળાફાંફળા દીસે છે, અને કદાચ ખુદના કહ્યામાં યે પૂરતા નથી. સરકાર સંસદને ચાલવા દેવા અગર ચલાવવા બાબતે નિરુત્સાહ હોય એ આજકાલ લગભગ રોજનું ચિત્ર છે. અને ગૃહ કામકાજ ન કરી શકે એવા સંજોગો સરજાતા રહે એમાં એને સિદ્ધિ તેમ કદાચ સલામતિ પણ વરતાય છે : ચાહે તો રાહુલનું કથિત માફી પ્રકરણ હો કે, પછી અદાણી મામલે સંયુક્ત સંસદીય સમિતિની માંગ. ગૃહ ન ચાલે એથી રૂડું શું. એવી સમજે હમણાં તો આપણો રાજકીય – શાસકીય અગ્રવર્ગ બરોબરનો લાંગરેલો છે.

લંગર છોડ્યા વગરની આ જે હલેસામાર, એની વચ્ચે હવે એક બિનપપ્પુ રાહુલ ગાંધીનો ઉદય થઈ રહેલો માલુમ પડે છે. 2024નો કોઈ તરણોપાય એ હશે કે છે એમ તો નહીં પણ સત્તાપક્ષને આજે નેતૃત્વના કરિશ્માની રીતે, સંગઠનની શક્તિની રીતે અને સાધનસંપત્તિની રીતે જે બેહિસાબ સવલત છે તે છતાં એની હાલત ગિજુભાઈની વળતા માંહેલા પેલા પાપ જેવી છે કે કોઈથી નહીં પણ ઢાબા ટબુકલાથી તો બીઉ જ બીઉ. નિરાશાવશ આડેધડ જે ભીંતપછાડ એનો તરોતાજા દાખલો તે છેક નીચલી કોર્ટે રાહુલને યદ્વાતદ્ધા અલબત કથિત કાનૂનન વાંકમાં ઠરાવ્યા એ સાથે લોકસભામાંથી તત્ક્ષણ શી રૂખસદનો મામલો. રાહુલ ગાંધીએ સંસદનું સત્તાવાર નિવાસ છોડવાની જાહેરાત કરી ન કરી અને સત્તાવર્તુળો ચીખતાં રહ્યા : અપીલમાં કેમ નથી જતા? ગહરાઇ નહીં પણ ઘાંઘાઈનો એ સાક્ષાત્કાર હતો. કેમ કે સામું પાત્ર ધારી સ્કિપ્ટ મુજબ ચાલતું ન હોય એવી એ ઘાટી હતી.

રાહુલ ગાંધીના બિનપપ્પુ અવતારને તમે પૂર્વવત્‌ હસી કાઢી શક્તા નથી તો એ પણ સાચું છે કે, પદયાત્રા સાથે એમની જે પ્રતિમા ઊંચકાઇ છે એની સામે કૉંગ્રેસની નીતિરિતિ હજુ કુંડાળાની બહાર નીકળી નથી. શશી થરુરે મોવડી મંડળની અનિચ્છા છતાં પ્રમુખપદ માટે ઉમેદવારી કરી એ ઠીક જ થયું. પણ હજુ આ પક્ષના આલા કમાનને ખરેખરનો ને ખરાખરીને ઝંઝેડાટ અનુભવાતાં અનુભવાશે. ચોકીદાર છે એ સૂત્ર નહોતું ઊંચકાયું પણ અદાણી મુદ્દો ચોક્કસ જ પકડાયો છે. પણ શશી થરુરે હમણાં કહ્યું તેમ ભેરુબંધ મૂડીવાદ એક મુદ્દો જરૂર છે, મહત્ત્વનો પણ છે, પણ તે એકમાત્ર વિમર્શમુદ્દો નથી. ન હોઈ શકે.

આવા એકમાત્ર મુદ્દાવાર દરેક પક્ષને જે તે મનોવૈજ્ઞાનિક ઘડીએ ફાવતો ને ભાવતો આવતો હોય છે અને એમાંથી જ કોઈ એક સમજ અગર પરસેપ્શન પેદા થઈ ફળ પણ આપતી હોય છે. કેટલીક વાર એ જો કે, શેરબજારના સંવેદી સૂચક આંક જેવી પણ હોય છે. જેમાં તળ વાસ્તવ ઓછું અને વા વાયે નળિયું મળ્યું એમ ‘સેન્ટિમેન્ટ’ કામ કરી જતો હોય છે.

2014 અને 2019ના પરિણામોમાં તળ વાસ્તવ કરતાં “સેન્ટિમેન્ટ”નો હિસ્સો મુદ્દલ ઓછો નહોતો. અમેરિકામાં આગોતરી મંદી જોઈ શકનાર રઘુરામ રાજન અને વિશ્વમંદી વચ્ચે ભારતને મુકાબલે હેમખેમ પાર પાડનાર મનમોહન સિંહની આર્થિક સમજ સામે મોદીનોમિક્સનો પાયો કાચો હતો, પણ લાગણી ફુગાવો બેહિસાબ હતો.

ગાંધીનેહરુપટેલની સ્વરાજ ત્રિપુટીના વારસામાં ઝોકફેર સધાયેલ એકંદરમતી અને ભાવપટ, નેહરુના વડાપ્રધાનકાળના ગાળામાં સધાયેલ સહમતી. જયપ્રકાશના આંદોલને સરજેલ મનોવૈજ્ઞાનિક વાયુમંડળ એ એકંદરે નરવાનક્કુર દોર પૈકી હતા.

આ લખતાં સહજપણે સાંભરી આવ્યું કે, ઇંદિરા ગાંધીનો ઉલ્લેખ તો છૂટી ગયો, અને તે પણ સહજ જ ! એમની અપીલ ક્યારેક ખાસી ચાલેલી પણ કટોક્ટીરાજના અનુભવે આપણી સામે એમની કંઈ નહીં તો પણ એક એવી છબિ ઊભી કરી જે દેશને બંધક બનાવનારી અને એથી પણ વધુ તો ધ્રુવીકૃત કરનારી (પોલરાઇઝિંગ) હતી. કંઈક એવો જ અનુભવ. સમયફેરે, કદાચ આ દિવસોમાંયે થઈ રહ્યો છે. રાહલ ગાંધીની પદયાત્રાએ કોઈ પૂરા કદનું નવ્ય કથાનક કે વિવરણ (નેરેટિવ) પૂરું પાડ્યું ન હોય તો પણ ધ્રુવીકૃત ધોરણો ને વલણોમાં રાચતી રાજનીતિથી અલગ વિચારનો એક સંકેત સરજ્યો છે એમાં શંકા નથી. રાહુલ ગાંધીની પદયાત્રાએ જગવેલ સ્પંદનો-બિનકાઁગ્રેસી રાજ્યોમાં જગવેલ ઉમળકો – અને બધાં હમણાં નિર્દેશ્યાં તે પ્રાદેશિક વલણો મળીને આખો એક વૈકલ્પિક કથાપટ, ભલે પરસેપ્શન પૂરતો પણ આપી તો શકે.

નાગરિક કર્મશીલ અને અભ્યાસી
e.mail : Prakash.nireekshak@gmail.com
(પ્રગટ : “દિવ્ય ભાસ્કર”)
[મુદ્રાંકન :  હિદાયત પરમાર]

Loading

...102030...1,0481,0491,0501,051...1,0601,0701,080...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved