Opinion Magazine
Number of visits: 9667177
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસદીય ખડી સમિતિની ભલામણમાં અસંમતિને મુશ્કેલીમાં મૂકતો પેચ છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 August 2023

એક વાર જવાહરલાલે કહ્યું હતું કે વડાપ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ વચ્ચે મતભેદ હોય ત્યારે હું પ્રમુખ સાથે રહેવું પસંદ કરીશ

પ્રકાશ ન. શાહ

હવે તો ખાસાં આઠ વરસ થયાં એને : વર્તમાન શાસન વ્યવસ્થા – ડબલ એન્જિન સરકાર – હસ્તક સમાજસંભાળ બાબતે સહિષ્ણુતાને મુદ્દે પ્રશ્નાર્થ ઊભો થયો ત્યારે સંવેદનશીલ સર્જકોએ એવોર્ડ વાપસીનો રાહ લીધો હતો. આમ તો એનાથી શેક્યો પાપડે દેખીતો ન ભાંગે, પણ ચોક્કસ અર્થમાં સત્તાપક્ષ ને સત્તારૂઢ વિચારધારાની સ્વીકૃતિનો નૈતિક પાયો જોખમાય જરૂર. ગમે તેમ પણ, આપણે તો બને કે આખા ઘટનાક્રમને લગભગ ભૂલી જવામાં હોઈએ, પણ એકાએક જ એ મુદ્દો વળીને સામે આવ્યો છે …. તે પણ, જોવાનું એ છે કે, સરકારી પાટલીઓ પરથી કે લેખકો ને કલાકારોને છેડેથી નહીં !

વાત એમ છે કે ગયે અઠવાડિયે પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ અંગેની સંસદીય ખડી સમિતિ(પાર્લમેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઑન ટ્રાન્સ્પોર્ટ, ટુરિઝમ ઍન્ડ કલ્ચર)નો હેવાલ સદનના ટેબલ પર મુકાયો છે. 2015ના ઘટનાક્રમ સંદર્ભે ભલામણ હેવાલ 2019થી આવેલી નવી લોકસભામાં (અને તે પણ એની મુદ્દત પૂરી થવા આડે મહિના ગણાતા હોય ત્યારે) રજૂ થાય એ આલમની આઠમી અજાયબી હોય તો નવમી વળી એ છે કે શૂરા સાંસદોને લોકશાહીની દૃષ્ટિએ અભિવ્યક્તિની આઝાદી અને અસંમતિના અવાજનું કોઈ બુનિયાદી મૂલ્ય પાધરું વસ્યું જણાતું નથી. રાજ્યસભાના દસ અને લોકસભાના એકત્રીસ મળી કુલ એકતાલીસ સાંસદોમાંથી સમ ખાવા પૂરતા બે જ જણે જુદો સૂર પુરાવ્યો છે. બાકી, એકતાલીસમાંથી ઓગણચાલીસની તોતિંગ બહુમતીનું કહેવું છે કે એવોર્ડ વાપસી જેવા ‘અણછાજતા બનાવો’ એવૉર્ડની એકંદર પ્રતિષ્ઠા અને મોભાને હાણ પહોંચાડે છે અને અન્ય એવૉર્ડ-સન્માનિત પ્રતિભાઓની સિદ્ધિઓને ઝાંખી પાડે છે. આનું વારણ શું. તો કહે, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે સન્માનિત પ્રતિભાઓની આગોતરી સંમતિ ઉપરાંત બાંહેધરી પણ મળી રહે કે ભવિષ્યમાં તેઓ તે પરત નહીં કરે. એટલું જ નહીં ‘એવૉર્ડ પરત કરનારને ભવિષ્યમાં આવા કોઈ એવૉર્ડ બાબતે લક્ષમાં લેવામાં નહીં આવે.’

જે બે સાંસદો જુદા પડ્યા છે (સી.પી.એમ.ના રહીમ અને કૉંગ્રેસના મુરલીધરન્‌) એમણે કહ્યું છે કે એવૉર્ડ વાપસી એક વિરોધરીતિ છે તે આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત એક સમિતિ તરીકે ખરેખર તો આપણે સરકારને આગ્રહી ભલામણ કરવી જોઈએ કે એણે વિરોધ પાછળના વાસ્તવિક મુદ્દાને સમજી એના ઉકેલનો પ્રયાસ કરવો જરૂરી છે. દેશની સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ ત્યારે વિશ્વનાથ તિવારી હતા. ચાલુ વરસે એમને પદ્મશ્રીનું માન મળ્યું ત્યારે એમણે ‘એક તટસ્થ લેખક’ તરીકે આ વણમાંગ્યા સન્માન પરત્વે ‘દેર આયે દુરસ્ત આયે’ની તરજ પર આભાર લાગણી પ્રગટ કરી હતી. એવૉર્ડ વાપસી અંગે એમની નારાજગી એમણે છુપાવી નહોતી અને જ્યારે વિરોધકૂચ અકાદેમીને દ્વારે પહોંચી ત્યારે એમણે તાળાબંધ દરવાજાની અંદર રહીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું.

જે ઇતિહાસસમજ સંબંધિત સૌને હોવી જોઈએ તે એ છે કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા છે. એના પહેલા પ્રમુખ તરીકે જવાહરલાલ નેહરુ વડા પ્રધાનને નાતે હોદ્દાની રૂએ નહોતા, લેખકને નાતે ચૂંટાયેલ જણ હતા. સરકારે અકાદેમી સ્થાપવાની પહેલ જરૂર કરી પણ વાંસોવાંસ વિધિવત્ સ્પષ્ટતા પણ કરી કે અકાદેમી એક સ્વાયત્ત સંસ્થા તરીકે પોતાની કામગીરી બજાવી શકે તે દૃષ્ટિએ સરકાર તેના પર કોઈ અંકુશ મૂકવાથી પરહેજ કરશે. અકાદેમીનું, કેમ કે તે 1860ના સોસાઇટી ઍક્ટ મુજબ નોંધાયેલ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે અને તેમાં બેસતા લેખકો રાજ્યના પ્રતિનિધિઓ નથી. સરસ કહ્યું હતું જવાહરલાલે કે કોઈ બાબતમાં વડા પ્રધાન નેહરુ અને અકાદેમી પ્રમુખ નેહરુ જુદા પડે તો હું અકાદેમી પ્રમુખની સાથે રહેવું પસંદ કરીશ. 

વડા પ્રધાન કદાચ સોવિયેત બાબતમાં દરમિયાન ન પણ થયા હોત, પણ ડૉ. ઝિવાગોના લેખક પાસ્તરનાકને રશિયામાં કનડગતનો અનુભવ થયો ત્યારે અકાદેમી પ્રમુખના ફોનથી, પાસ્તરનાક વતનનિકાલ થાય એ ભય ટળ્યો હતો તે વિગત ઇતિહાસદર્જ છે. ગમે તેમ પણ, આપણે પ્રસ્તુત ખડી સમિતિની અણુમતી સાથે સંમત થઈશું કે એવૉર્ડ વાપસી એક વિરોધરીતિ છે અને એની પૂંઠે રહેલ મુદ્દાને શાસને સમજી તેના નિકાલની કોશિશ કરવી જોઈએ. અસંમતિના અવાજને જમાત બહાર ન કરાય.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 ઑગસ્ટ 2023

Loading

માણસાઈને નકારનારો હિંદુ દેશ અને ધર્મ માટે જોખમી

રમેશ ઓઝા|Opinion - Opinion|3 August 2023

રમેશ ઓઝા

આપણી નજર સામે પાકિસ્તાન બરબાદ થઈ ગયું હોવા છતાં આપણે પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેતા નથી. ઊલટું પાકિસ્તાનનો માર્ગ અપનાવ્યો છે. આપણી નજર સામે કેટલાક મુસ્લિમ દેશો ખુવાર થઈ ગયા છે, પણ આપણે એમાંથી કાંઈ શીખતા નથી. હજુ નજીકના ભૂતકાળમાં જર્મનીએ અને ઇટલીએ જે માર્ગ અપનાવ્યો હતો અને એ પછી એ બે દેશોમાં અને દુનિયામાં જે બન્યું એનો વધારે નહીં તો થોડો ઇતિહાસ તો જાણતા જ હશો. એમ કહેવાય છે કે ઇતિહાસ ધડો લેવા માટે ભણાવાય છે. શું કરવું અને શું ન કરવું એ વાતનો ધડો ઇતિહાસમાંથી મળે છે. શાસન કેમ કરાય એ અકબર પાસેથી શીખવા જેવું છે અને શાસન કેમ ન કરાય એ ઔરંગઝેબ પાસેથી શીખવા મળે. શાસન કેમ કરાય એ અંગ્રેજો પાસેથી શીખવા મળે અને શાસન કેમ ન કરાય એ પેશ્વાઓ પાસેથી શીખવું જોઈએ.

પણ ઇતિહાસના ઘડામાં એકલું અમૃત ક્યાં છે? એમાં ઝેર પણ ભરપૂર માત્રામાં છે અને એ જ વધારે છે. ધડો તો એ લોકો માટે છે જેનામાં નીરક્ષીર વિવેક કરવાની આવડત છે અને એવા લોકો હંમેશાં ઓછા હોય છે. જો એમ ન હોય તો પોતાની સગી આંખે પાકિસ્તાનની બરબાદી જોયા પછી કોઈ પાકિસ્તાનનો માર્ગ અપનાવે?

આજે આપણો દેશ પાકિસ્તાનના માર્ગે છે. જયપુરથી મુંબઈ આવતી ટ્રેનમાં રેલવે સુરક્ષા દલના એક જવાને ત્રણ મુસ્લિમ પેસેન્જર અને એક તેના સિનિયરને મારી નાખ્યા એ આનું પ્રમાણ છે. ભારતમાં રહેવું હશે તો મોદી-યોગીને મત આપવા પડશે એવું બોલતો એ જવાન વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડે છે. તે માનસિક તાણમાં હતો, વગેરે પ્રકારનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પણ પેલો વીડિયો બનાવટી છે એમ કોઈએ કહ્યું નથી. એ માનસિક તણાવમાં હશે પણ એની ના નહીં, પણ તેનું માનસ કોમી ઝેરથી ભરેલું હતું એનો પણ સ્વીકાર કરવો રહ્યો. ઝેર જ્યારે લોકોનાં માનસનો કબજો લઈ લે અને લોકો કોઈને “દુ:શ્મન” ઠરાવીને પોતે જ બારોબાર સજા કરવા માંડે ત્યારે સમજી લેવું કે એ માર્ગ પાકિસ્તાનનો માર્ગ છે. મલાલા યુસુફ્ઝાઈ જેવી મુસ્લિમ કન્યાઓને ભણવાનો અધિકાર છે કે નહીં એ નક્કી કરવાનો અધિકાર મુસ્લિમ કન્યા નથી ધરાવતી પાકિસ્તાનમાં મુસ્લિમ પુરુષો ધરાવે છે. આધુનિક શિક્ષણ મેળવવા શાળાએ જનારી મુસ્લિમ કન્યા ઇસ્લામની દુ:શ્મન છે અને માટે સજાને પાત્ર છે. “દુ:શ્મન”ની ઓળખ નેતાઓ કરે છે, ધર્મગુરુઓ કરે છે, જે તે સમાજના મુખિયાઓ કરે છે, આજના યુગમાં પક્ષપાતી મીડિયા કરે છે અને રોગ વકરતા વકરતા છેલ્લે લોકો કરવા માંડે છે. આ રીતે ઝેરી વર્તુળ પૂરું થાય છે.

પાકિસ્તાની કવયિત્રી ફહમિદા રિયાઝે પાંચેક વરસ પહેલાં ભારતને ઉદ્દેશીને એક કવિતા લખી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. કવયિત્રી કાંઈક દુઃખ સાથે અને કાંઈક આશ્ચર્ય સાથે આપણને કહે છે કે “તુમ તો બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છૂપે થે ભાઈ.” કવિતા લાંબી છે અને ઈન્ટરનેટ પર મળે છે. શરમાયા વિના વાંચવાનો પ્રયાસ કરજો. અને વળી ઝેરનો સંગ્રહ કરવામાં અને ઝેર ઓકવામાં શરમ ન આવતી હોય તો કોઈ આંગળી ચીંધે એમાં શું કામ શરમાવું જોઈએ!

કવિતાની પહેલી જ પંક્તિમાં બે વાત કહેવાઈ છે. એક તો “બિલકુલ”. કોઈ ફરક નહીં. તમે બિલકુલ એ જ કરી રહ્યા છો જે અમારે ત્યાં થઈ રહ્યું છે. વળી અમારા જે હાલ થયા છે, એ નજર સામે હોવા છતાં. તો પછી અત્યાર સુધી જે ભારત દેશ નજરે પડતો હતો એ શું હતું? જો આ જ અસલિયત હતી તો અત્યાર સુધી ક્યાં છૂપાયેલા હતા?

આજકાલ ભારતમાં એ વિષે પણ ચર્ચા થઈ રહી છે જે કદાચ હજુ સુધી તમારા સાંભળવામાં કે વાંચવામાં નહીં આવી હોય. વેદો અને ઉપનિષદોનું ભારત, જૈન અને બૌદ્ધ ધર્મનું એટલે કે શ્રમણ દર્શનનું ભારત, સંતો અને સૂફીઓનું ભારત, રાજા રામમોહન રાય અને તેમના જેવા બીજા સમાજ-સુધારકો અને નવજાગરણનું વિમર્શકર્તાઓનું ભારત, ગાંધી અને નેહરુનું ભારત, બંધારણમાં કલ્પેલું ભારત સાચું હતું કે પછી અત્યારે જે નજરે પડી રહ્યું છે એ સાચું ભારત છે? કયું ભારત અપવાદરૂપ છે અને કયું કાયમી? ડૉ રામમનોહર લોહિયાએ દાયકાઓ પહેલાં ‘હિંદુ બનામ હિંદુ’ નામનું એક નાનકડું પુસ્તક લખીને કયો હિંદુ સાચો એની થોડીક વાત કરી હતી. એક હિંદુ એ છે જે સર્વસમાવેશક છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીઓને રસોડામાં ગોંધી રાખે છે અને દલિતોને ગામની બહાર રાખે છે. એ હિંદુ એ છે જે આખા જગતને એક કુટુંબ સમજે છે અને એક હિંદુ એ છે જે સ્ત્રીને ઘરની બહાર જવા દેતો નથી અને દલિતને ગામમાં પ્રવેશવા દેતો નથી.

અને આ બન્ને હિંદુ પાછા એક જ છે. ડૉ લોહિયાના કહેવા મુજબ હિંદુ બનામ હિંદુનું યુદ્ધ એક જ હિંદુની અંદર ચાલી રહ્યું છે. હિંદુની અંદર માણસાઈને નકારનારો બીજો હિંદુ બેઠો છે તેને આપણે બહુ ગંભીરતાથી લીધો નહોતો. આપણે આશ્વસ્ત હતા કે હિંદુ જ્ઞાતિઓ દ્વારા આંતરિક રીતે વિભાજીત છે એટલે માણસાઈને નકારનારા હિંદુની ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. એ મોટી ભૂલ હતી અને હવે તો સમાજશાસ્ત્રીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે કયો હિંદુ સાચો? હિન્દુએ અત્યાચારો સહ્યા છે તો કર્યા પણ એટલા જ છે. અલબત્ત નિર્બળની સામે અને એ પણ પોતાનાંઓની સામે.

માણસાઈને નકારનારો હિંદુ દેશ માટે અને હિંદુ ધર્મ માટે જોખમી છે, જે રીતે માણસાઈને નકારનારો મુસલમાન ઇસ્લામ માટે અને પાકિસ્તાન માટે જોખમી છે.    

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑગસ્ટ 2023

Loading

લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે !

રમેશ સવાણી|Opinion - Opinion|2 August 2023

રમેશ સવાણી

વડા પ્રધાન ચિંતનશીલ હોવા જોઈએ, વિવેકબુદ્ધિવાળા હોવા જોઈએ. દેશના નાગરિકો પ્રત્યે સંવેદનશીલ હોવા જોઈએ. વિપક્ષનો આદર કરનારા હોવા જોઈએ. નાગરિકોને પ્રેરણા મળે તેવું તેમનું વ્યક્તિત્વ હોવું જોઈએ ! નાગરિકોને વડા પ્રધાન પ્રત્યે ભક્તિ નહીં પણ ગૌરવ થાય તેવા હોવા જોઈએ !

દુ:ખની વાત એ છે કે આપણા વડા પ્રધાન ગામના સરપંચ પણ ન બોલે તેવું બોલે છે ! લોકોને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચૂપ રહે છે, અને પોતાને સ્પર્શતા મુદ્દાઓ અંગે જ મોં ખોલે છે ! જેમ કે : [1] હું ચોકીદાર છું ! [2] હું ચા વેચતો હતો ! [3] હું તો ફકીર છું, ઝોળો લઈ ચાલ્યો જઈશ ! [4] મેં 35 વર્ષ ભિક્ષા માંગીને ખાધું છે ! [5] મારી માતા વાસણ ઉટકતી હતી ! [6] હું ગરીબ છું, મારી પાસે કાર પણ નથી ! [7] હું કામદાર છું ! [8] તેઓ મને ગાળો આપે છે ! [9] વિપક્ષો મને કામ કરવા દેતા નથી ! [10] વિપક્ષોનું ગઠબંધન બનાવટી છે ! [11] નેહરુએ આમ કર્યુ અને તેમ કર્યું ! [12] બધી ખરાબી કાઁગ્રેસની છે !

સરપંચ કદાય આવું બોલે તો માફ કરી શકાય; પરંતુ વડા પ્રધાન આવું બોલી શકે નહીં ! વડા પ્રધાને મહત્ત્વના મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ ! જેમ કે : [1] રોજગાર. [2] મોંઘવારી. [3] સારું અને મફત શિક્ષણ. [4] સારી અને મફત આરોગ્ય સેવા. [5] કાયદાનું શાસન. બંધારણીય મૂલ્યો. [6] નાગરિકોની સુરક્ષા. મહિલા, બાળકો, વંચિતો, દલિતો, લઘુમતીની સુરક્ષા. દેશની સરહદોની સુરક્ષા. [7] કૃષિ ઉપજના ભાવ. [8] ભ્રષ્ટાચાર, કાળું નાણું. [9] સારી અર્થવ્યવસ્થા. [10] રૂપિયાની મજબૂતી. [11] સ્વરોજગાર / લધુઉદ્યોગ.

વડા પ્રધાન લોકોની સમસ્યા જોવાને બદલે પોતાની સમસ્યાઓના જ રોંદણાં રોવે છે ! લોકોનું ધ્યાન ભટકાવવા મંદિરોમાં જઈને આરતી ઊતારે છે ! આશારામ જેવા ધર્મના પાખંડીઓને પંપાળે છે ! કોર્પોરેટ કથાકારો / ફિલ્મ કલાકારો અને ડાયરાના કલાકારો પાસે વાહવાહી કરાવે છે ! દરબારી મીડિયા / IT Cell મારફતે જૂઠાણાં / અર્ધસત્ય ફેલાવે છે ! વિપક્ષને ખલનાયક અને ના-લાયક ચિતરે છે ! લોકોને ગેરમાર્ગે દોરવા જ 18-18 કલાક કામ કરે છે ! 

વડા પ્રધાનની કળા જૂઓ; 10 લાખનો સૂટ પહેરે છતાં પોતાને ફકીર તરીકે, ગરીબ તરીકે સ્થાપિત કરી શકે છે ! CBI, ED, IT, NIA જેવી એજન્સીઓ તથા SC, EC, CAG જેવી બંધારણીય સંસ્થાઓ વડા પ્રધાનની કઠપૂતળી બની ગઈ છે; વડા પ્રધાન પાસે સંસદમાં બહુમતી છે, તેમની 18થી વધુ રાજ્યોમાં સરકારો છે, છતાં વડા પ્રધાન કહે છે કે ‘વિપક્ષો મને કામ કામ કરવા દેતા નથી !’ લોકો માની પણ જાય છે ! વડા પ્રધાન પોતાના પક્ષમાં ભૂતકાળમાં CBIએ કરોડોના કૌભાંડમાં જેમની પર રેઈડ પાડેલ હોય તેવા જેલનિવાસી ક્રિમિનલોનું સ્વાગત કરે છે. ભ્રષ્ટ નેતાને મુખ્ય મંત્રી બનાવે છે, ઉપ મુખ્ય મંત્રી બનાવે છે ! છતાં લોકોની ધારણા બની ગઈ છે કે વડા પ્રધાન ભ્રષ્ટાચારને બિલકુલ ખતમ કરી દેશે ! સરહદ પર સૈનિકો શહીદ થતાં રહે છે; ચીને લદાખમાં આપણા 64માંથી 27 પેટ્રોલિંગ થાણાં પચાવી પાડ્યા છે; ત્યાં આપણું લશ્કર જઈ શકતું નથી; ચીને અરુણાચલ પ્રદેશના શહેરોનાં નામ બદલી નાખ્યાં છે; આપણી સરહદમાં ચીને ગામડાં ઊભાં કર્યા છે; છતાં લોકો કહે છે કે પાકિસ્તાન અને ચીન વડા પ્રધાનથી થરથર કાંપી રહ્યા છે ! 9 વરસના શાસન દરમિયાન કાશ્મિરી પંડિતોનું પુવર્વસન ન કર્યું છતાં દરબારી મીડિયા વડા પ્રધાનને હિન્દુ હ્રદય-સમ્રાટ કહે છે ! કિસાનો આર્થિક ભીંસના કારણે આત્મહત્યા કરે છે, છતાં કિસાનોની ડબલ આવક થઈ ગઈ છે; એ ભ્રમ લોકોના ગળે ઊતરાવી દીધો છે ! રાંધણ ગેસ સિલિન્ડરના રૂપિયા 400માંથી રૂપિયા 1,100 થયા, છતાં ઉજ્જવલા યોજનાની સફળતા ગીતો ગવડાવે છે ! મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ થાય છે, દલિત કન્યાઓ પર ગેંગરેપ થાય છે; છતાં વડા પ્રધાન ‘બેટી બચાઓ’ અભિયાનની સફળતાના ઢોલ પીટે છે ! ‘નોટબંધીનું સારુ પરિણામ ન આવે તો લોકો કહે ત્યાં ચાર રસ્તાએ ઊભો રહીશ અને લોકો જે સજા કરે તે ભોગવીશ !’ તેમ કહેનાર વડા પ્રધાન તો નોટબંધીનું નામ જ લેતા નથી ! છતાં લોકો ભૂલી ગયા ! કોરોના સેકન્ડ વેવમાં લાખો લોકોના મોત ઓક્સિઝનના અભાવે થયાં છતાં સંસદમાં વડા પ્રધાને કહ્યું કે ‘એક પણ મોત ઓક્સિઝનના અભાવને કારણે થયું નથી !’ છતાં પીડિત પરિવારો આ જૂઠને પચાવી ગયા ! કોણ જાણે લોકોના મગજમાં ખતરનાક વાઈરસ ઘૂસાડી દીધો છે કે રોજગાર / શિક્ષણ / આરોગ્ય / સલામતી જેવા બુનિયાદી મુદ્દાઓ કરતાં ધર્મ / જાતિ / ગોત્ર / આસ્થા / નકલી રાષ્ટ્રવાદ / નકલી ભક્તિ / નફરત / ધૃણાના મુદ્દાઓ લોકોને બેહદ ગમે છે ! ધર્મનો નશો એવો છે કે તેમાં અસત્ય સત્ય અને સત્ય અસત્ય દેખાય છે ! તેમાં અવગુણ ગુણ અને ગુણ અવગુણ દેખાય છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0421,0431,0441,045...1,0501,0601,070...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved