Opinion Magazine
Number of visits: 9667353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકન લોકતંત્ર બરાબર વમળમાં ફસાયું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|13 August 2023

અમેરિકામાં રાજકીય સ્થિતિ અકલ્પનીય બની રહી છે અને અમેરિકનો શરમ પણ અનુભવી રહ્યા છે. એક બાજુ કાયદો અને કાયદાનું રાજ છે અને બીજી બાજુ લોકશાહી છે જેમાં મતદારને પોતાની પસંદગીની વ્યક્તિને ચૂંટવાનો અધિકાર છે. કાયદા અને કાયદાના પાલનની યંત્રણા તેમ જ ન્યાયતંત્ર એટલાં શક્તિશાળી અને સ્વતંત્ર છે કે ચમરબંધીને પણ જેલભેગા કરી શકે અને નાગરિકને એટલું અબાધિત લોકતાંત્રિક સ્વાતંત્ર્ય છે કે તે ગામના ઉતાર જેવા માણસને પણ ચૂંટી શકે.

અહીં એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે. માણસ ગામના ઉતાર જેવો હોય, નીચ હોય, સજાપાત્ર ગુના કર્યા હોય, સત્તાના દુરુપયોગ કરવાના ગુના માટે અભિયોગ (ઇમ્પીચમેન્ટ) ચાલ્યો હોય, જેલમાં ગયો હોય અથવા આરોપ જોતાં જેલ નિશ્ચિત હોય તો એવો માણસ ચૂંટણી કઈ રીતે લડી શકે? સત્તા તો બહુ દૂરની વાત છે.

આ જ તો મોકાણ છે. અમેરિકન બંધારણ મુજબ આવા માણસ પાસેથી અપેક્ષા રાખવામાં આવી છે કે તે નૈતિક ધોરણે ચૂંટણી લડે જ નહીં અને જો તે ચૂંટણી લડે તો નાગરિકો એવા માણસને ચૂંટે નહીં. એવો કોઈ નીચ માણસ ઓછો હોય જે ગુનેગાર સાબિત થયા પછી પણ શરમાયા વિના ચૂંટણી લડે અને જો કોઈ બેશરમ એવું કરે તો પણ લોકો થોડા એવા બેવકૂફ હોય કે નીચને મત આપીને ચૂંટે! ઉમેદવાર અને નાગરિક એમ બન્ને પાસેથી વિવેકની અપેક્ષા રાખવામાં આવી છે.

અમેરિકન રાજકારણમાં અત્યાર સુધી અપેક્ષાએ પરિણામ આપ્યું છે. ૧૯૭૪માં ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિકસને અને ૧૯૭૩માં ભૂતપૂર્વ ઉપપ્રમુખ સ્પીરો એગન્યુએ ભ્રષ્ટાચારના આરોપ થતાં રાજીનામાં આપી દીધાં હતાં. ૧૯૮૪માં ગેરી હાર્ટ નામના પ્રમુખપદના ઉમેદવાર સામે લગ્નબાહ્ય જાતીય સંબંધોનો આરોપ થતાં તેઓ પ્રમુખપદની ચૂંટણીમાંથી ખસી ગયા હતા. બીજા એક કાઁગ્રેસમેન એન્થની વેઈનરે સેક્સ સ્કેન્ડલ બહાર પડતાં ૨૦૦૫માં કાઁગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ લોકોએ એ પછી ક્યારે ય ચૂંટણી લડી નહોતી એટલે અમેરિકન નાગરિકને વિવેક કરવાનો વખત નહોતો આવ્યો.

પણ આ વખતે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગંભીર આરોપ છે, બે ઇમ્પીચમેન્ટ થયા છે અને ત્રણ આરોપમાં પ્રથમદર્શની કેસ છે એમ સ્વીકારીને અદાલતે આરોપનામાં દાખલ કર્યાં છે. હજુ એક કેસ ઊભો છે અને તેમાં પણ તેની સામેના આરોપ અદાલત સ્વીકારે એવી શક્યતા છે. એમાં સૌથી મોટો ગુનો તો ૨૦૨૧ની ઘટના છે. પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાયડન સામે ટ્રમ્પ હારી ગયા ત્યારે તેમણે પરિણામ સ્વીકારવાની જ ના પાડી દીધી હતી અને સમર્થકોને ઉશ્કેર્યા હતા કે ચૂંટણીમાં ઘાલમેલ કરવામાં આવી છે અને તેઓનો ઈરાદો શ્વેત ખ્રિસ્તી અમેરિકનો પાસેથી સત્તા છીનવી લેવાનો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ શ્વેત ખ્રિસ્તીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે સત્તાબહાર કરવામાં આવ્યા છે. ટ્રમ્પની ઉશ્કેરણીથી કેટલાક લોકો જ્યાં અમેરિકન સચિવાલય આવેલું છે એ કેપિટલ હિલના મકાન પર ચડી ગયા હતા અને ભાંગફોડ કરી હતી. છઠ્ઠી જાન્યુઆરી ૨૦૨૧નો એ દિવસ અમેરિકન ઇતિહાસમાં એ કાળો દિવસ હતો.

ટ્રમ્પની જેલ લગભગ નિશ્ચિત છે, પણ આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી ફરીવાર લડવાના છે અને અમેરિકામાં ચૂંટણી પૂર્વે યોજાતી પ્રાઈમરીમાં ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો કરતાં ઘણાં આગળ છે. અમેરિકામાં રિવાજ એવો છે કે પ્રમુખપદની ચૂંટણી પૂર્વે બન્ને મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારની પસંદગી માટે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાય છે જેને પ્રાઈમરીઝ કહેવામાં આવે છે. પ્રાઈમરીઝમાં જે સૌથી વધુ મત મેળવે તેને પક્ષ સત્તાવાર રીતે પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જાહેર કરે છે. અત્યારે રિપબ્લિકન પાર્ટીના કુલ ૧૪ ઉમેદવાર મેદાનમાં છે અને તેમાં ટ્રમ્પ આગળ છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ ટ્રમ્પને પ્રથમ નજરે દોષી ઠરાવવામાં આવે છે ટ્રમ્પની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. ટ્રમ્પ તેમના પ્રતિસ્પર્ધી કરતાં બે ડગલાં આગળ જાય છે.

ટ્રમ્પ સામેનું ત્રીજું આરોપનામું સ્વીકારાયું ત્યારે લંડનથી પ્રકાશિત થતા ‘ધ ગાર્ડિયન’ નામનાં અખબારે મથાળું બાંધ્યું હતું કે પ્રમુખપદની આવતી ચૂંટણીમાં દરેક નાગરિક જજ હશે. એ નાગરિક પણ હશે અને ન્યાયાધીશ પણ હશે. જે માણસ નીચ છે, નફ્ફટ છે, બેશરમ છે, માથાભારે છે, કાયદા મુજબ ગુનેગાર હોય તો ભલે ગુનેગાર રહ્યો; પણ એ અમારો નેતા છે અને એવો માણસ જ અમને સત્તામાં જોઈએ છે. અમને મર્યાદામાં માનનારો સભ્ય અને સંસ્કારી માણસ પ્રમુખ તરીકે નથી જોઈતો, પણ માથાભારે માણસ જોઈએ છે જે શ્વેત ખ્રિસ્તીઓનું રાજ્ય સ્થાપી આપે અને મુસલમાનો, કાળાઓ, એન.આર.આઈ.ઝ જેવા વિદેશથી આવીને અમેરિકામાં સ્થાયી થયેલા વસાહતીઓ, કાયદાના રાજમાં માનનારા ઉદારમતવાદીઓને દબાવીને રાખે. સીધાદોર કરે અને મોકો મળે ત્યારે અમેરિકામાંથી તેમને ખદેડી કાઢે. અમેરિકાના લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે નાગરિકોના એક ખાસ્સા મોટા વર્ગે નીચતાને સ્વીકૃતિની મહોર મારી છે.

ગર્વ સે કહો હમ નીચ હૈ અથવા અમે તો નીચતાના પૂજારી છીએ એવું નાગરિકો એક દિવસ કહેશે, એટલું જ નહીં એવા માણસને પ્રમુખ બનાવવા સુધી રાજકીય સક્રિયતા દેખાડશે એની કલ્પના ક્યારે ય કોઈએ નહોતી કરી. અનુમાન તો એવું હતું કે જાહેરજીવનમાં કોઈની શિથીલતા પકડાઈ જાય તો એ માણસના જાહેરજીવનનો એની મેળે જ અંત આવી જાય. એવો માણસ ચૂંટણી લડે નહીં અને લડે તો લોકો મત આપે નહીં.

પ્રાઈમરીઝમાં ટ્રમ્પની સફળતા જોતાં તેઓ રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના સત્તાવાર ઉમેદવાર બને તો આશ્ચર્ય નહીં. પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવે અને ફરીવાર પ્રમુખ બને તો પણ આશ્ચર્ય નહીં. અને શક્યતા તો પૂરી છે કે તેમને જેલની સજા પણ થાય. જો આમ બને તો અમેરિકાની સ્થિતિ કેવી થાય? રિપબ્લિકન પાર્ટીમાં આ વાતે કેટલાક લોકો ચિંતિત છે. રિપબ્લિકન પાર્ટી સામાજિક અને ધાર્મિક બાબતે રૂઢિચુસ્ત જરૂર છે, પણ નીચતાની સમર્થક નથી. ટ્રમ્પની સાથે પાર્ટીના સમર્થકો પણ નીચતાની દિશામાં એક ડગલું આગળ ગયા છે અને એ તેમને માટે ચિંતાનો વિષય છે. પક્ષ પાછળ રહી ગયો છે અને ટ્રમ્પ અને તેમના સમર્થકો પાર્ટીને લઈને આગળ નીકળી ગયા છે.

કૅરી લેક નામની એક અમેરિકન ટી.વી. એન્કરની ઝેર ઓકવાની ક્ષમતા જોઇને ટ્રમ્પે તેને શાબાશી આપી અને એવો સંકેત આપ્યો કે તે તેમની ઉપપ્રમુખપદની ઉમેદવાર હોઈ શકે છે. પછી શું જોઈએ. કેરીબહેન એટલા ગેલમાં આવી ગયાં કે તેમણે જાહેરમાં અભિપ્રાય આપ્યો કે સ્ત્રીનું સ્થાન સમાજમાં પુરુષ કરતાં ઉતરતું છે અને હોવું પણ જોઈએ. સ્ત્રી-પુરુષ સમાનતા હંબક છે.

આવા યુગની કલ્પના કરી હતી?

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 13 ઑગસ્ટ 2023

Loading

વ્યારાના વિદ્યાવતીએ આલેખેલાં સમૃદ્ધ વ્યક્તિચિત્રોનો સંચય

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 August 2023

પુસ્તક પરિચય

દક્ષાબહેન વ્યાસ

‘પથપ્રદીપ’ વ્યારાના વિદુષી દક્ષાબહેને આલેખેલાં સત્તાવીસ વ્યક્તિચિત્રોનો સંચય છે. લેખિકા નિવેદનમાં જણાવે છે કે ‘મારા ઘડતર અને વિકાસમાં સીધી કે આડકતરી રીતે ભાગ ભજવનારા અને મને આપ્તજન ગણનારા કેટલાક ગુરુજનોની હૃદયસ્થ છવિઓ અહીં અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે.’

અહીં દક્ષાબહેનનાં અધ્યાપકો, શાળાશિક્ષકો, માતપિતા અને વિદ્યાગુરુઓ છે. જાણીતા સાહિત્યકારો ઉપરાંત વ્યારાના જાહેરજીવનના સેવકોના વ્યક્તિચિત્રો પણ આલેખાયાં છે. દક્ષાબહેને પ્રાસાદિક શૈલીમાં વ્યક્ત કરેલા આદર અને કૃતજ્ઞતાભર્યા હૃદયભાવની સાચકલાઈ વાચકને પહોંચે છે. 

બ્યાશી વર્ષની વયે પણ સામાજિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય વિવેચક-સંશોધક-અનુવાદક-સંપાદક દક્ષાબહેનના સદભિ: સંગના નિમિત્ત અનેક છે.

સૂરતની એમ.ટી.બી. કૉલેજના પ્રવેશ ટાણે ‘પરમ આદરણીય મનીષી’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પહેલવહેલાં નિકટદર્શન થયાં, અને પછી આ મૂર્ધન્ય વિવેચકના માર્ગદર્શનનો લાભ દક્ષાબહેનને મળતો જ રહ્યો.

કૉલેજના આચાર્ય હતા ‘સદભાવ સભર મહેતા સાહેબ (કુંજવિહારી મહેતા)’. ‘એમની ધાક નહીં, પણ પ્રભાવ અને પ્રેમ’. આ કૉલેજના અધ્યાપક અને ગુજરાતીના જાણીતા કવિ જયંત પાઠક ‘વિદ્યાગુરુ પાઠક સાહેબ’ તે દક્ષાબહેનના સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા પરના પીએચ.ડી. સંશોધનના ગાઇડ.

થિસીસ પરથી પ્રસિદ્ધ થયેલું પુસ્તક ગુજરાતી વિવેચનમાં મહત્ત્વનું ગણાય છે. ગાઇડે થિસીસ પર ‘પાંચમા લખાણે સ્વીકૃતિની મહોર’ મારી. તે થિસીસ લખવામાં ‘વાત્સલ્યમૂર્તિ હીરાબહેન પાઠક’ના સતત ધક્કા અને માર્ગદર્શન મોટું પરિબળ હતાં. દક્ષાબહેને પીએચ.ડી. માટેના સંશોધનનો ઉલ્લેખ સાત વ્યક્તિચિત્રોમાં કર્યો છે.

પોરબંદરની કૉલેજમાં અધ્યાપન દરમિયાન એક વાર કાર્યક્રમના વક્તા ‘સૌહાર્દપૂર્ણ મહામના ગુલાબદાસ બ્રોકર’નો પરિચય દક્ષાબહેનને આપવાનો આવ્યો.

એ કૉલેજના આચાર્ય હતા ‘સૌજન્યમૂર્તિ રમણલાલ ઉમરવાડિયા’, સંસ્થાના આધારસ્તંભ હતા ‘વાત્સલ્યમૂર્તિ બાપુજી : શેઠશ્રી નાનજી કાળિદાસ મહેતા’ અને સંસ્કૃતના બહુશ્રુત અધ્યાપક ‘સાત્ત્વિકતાની અનોખી પ્રતિમા : શંકરદેવ વિદ્યાલંકાર’. આ ત્રણેય વ્યક્તિઓ અહીં છે.

દક્ષાબહેનને તેમની ‘સિસૃક્ષાને ઉજાગર કરનારા’ સંપાદકો મળ્યા – ‘ઋજુહૃદયી શાલીન ભગવતી કુમાર શર્મા’ અને ‘સ્નેહસભર પ્રબોધભાઈ રમણલાલ જોશી’.

‘શબ્દયાત્રાના સંગાથી : નવીન કા. મોદી’ સાથે શાળાકાળથી ‘જોગાનુજોગ મૈત્રીના તાણાવાણા બંધાયા’. નવીનભાઈએ દક્ષાબહેનનો પીએચ.ડી. થિસિસ કલાકો વીતાવીને ટાઇપ કરાવેલો.

લેખિકાની કલમે ‘નખશીખ સજ્જન જયંત પંડ્યા’ અને ‘સંસ્કૃતિપુરુષ દર્શક’ મળે છે. પ્રાસયુક્ત પદાવલીઓમાં તેઓ દર્શક વિશે લખે  છે : ‘સાંપ્રત સાથે સાતત્યપૂર્વક રહીને તેઓ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને ઉપાસતા રહ્યા અને પ્રશિષ્ટતાને પ્રતિબિબિંત કરતા રહ્યા.’

વ્યારાના લોકો માટે દક્ષાબહેને કરેલું યાદગાર કામ એટલે ‘અરધી-પોણી સદી પહેલાંના આ ધુળિયા ગામ’ના શ્રી શિવાજી સાર્વજનિક પુસ્તકાલયની કાયાપલટ. તેના પર તેમણે ‘યાત્રાપથ’ પુસ્તક પણ લખ્યું છે.

ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિ લોકકેળવણી સુધી વિસ્તરી. દક્ષાબહેને ગામીત આદિવાસી સમુદાય પર પણ સંશોધન કર્યું છે. દક્ષાબહેનને અનાથ બાળકો, બાળમજૂરો, અપરાધમાં આવેલાં બાળકો અને  સેક્સ વર્કર્સના સંતાનો માટે પણ કામ કર્યું છે.

અખિલ હિંદ મહિલા પરિષદના ભગિની સમાજના વ્યારા એકમમાં તેમણે મહિલાઓને બૌદ્ધિક પ્રવૃત્તિ તરફ વાળવાના ઉપક્રમો ચલાવ્યાં અને મહિલાઓ માટે નિ:શુલ્ક કાનૂની સહાય કેન્દ્રમાં છ વર્ષમાં છસોથી વધુ કેઇસેસ પર કામ કર્યું.   

તેમના આ પાસા વિશે બારડોલીના અંગ્રેજીના અધ્યાપક અને સાહિત્યના અભ્યાસી સંધ્યા ભટ્ટે લીધેલી અને ઑક્ટોબર 2016ના ‘શબ્દસૃષ્ટિ’માં પ્રસિદ્ધ થયેલી તેમની મુલાકાતમાં જાણવા મળે છે.

‘વ્યારા મારું વતન એટલે એના કણ કણ માટે વહાલ જાગે. એના વિકાસ-રકાસથી આંદોલિત થવાય. આ વતનની લાગણીની માપણી ન થાય’, એમ કહેનાર દક્ષાબહેન વ્યારાના સાર્વજનિક જીવનનો આદરપાત્ર હિસ્સો હોય તે સ્વાભાવિક છે.

એટલે વ્યારાના ત્રણ સામાજિક કાર્યકરો પણ અહીં છે : ‘સૌના લાડકવાયા ડૉ. મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ’, ‘સારસ્વત ચંપકલાલ ડાહ્યાભાઈ વ્યાસ’ અને ડૉ. માર્કંડ નરેન્દ્ર ભટ્ટ.

‘ગુરુકૃપા હિ કેવલમ’માં શાળા અને કૉલેજમાં લેખિકાના સત્તરેક શિક્ષકોનો મિતાક્ષરી પરિચય છે. છેલ્લો લેખ માતાપિતા પરનો છે. તેમાં માતુશ્રી સરસ્વતીબહેનની મહત્તા ઉપરાંત તેમણે માંદગીઓ અને સારવારમાં વેઠેલી યાતનાઓનું  બયાન સ્પર્શી જાય છે.

પુસ્તકનાં પાત્રો એકંદરે ચીલે ચાલનારા અને સપાટ છે, પણ તેમની વચ્ચે નોખાં તરી આવે છે ઉપેક્ષિત વાર્તાકાર તેમ જ શિક્ષણસંશોધક પ્રફુલ્લ દવે ઉર્ફે ઇવા ડેવ, અને રૅશનાલિસ્ટ રમણ પાઠક. ‘વાગ્દેવીના વિરલ વાણોતર : મહેન્દ્ર મેઘાણી’નું અત્યંત ઉચિત ગૌરવ અહીં થયું છે.

તેમના નાના ભાઈ ગ્રંથવિદ અને પ્રકાશક ‘જયંત મેઘાણી : શીલ સુવાસિત વ્યક્તિત્વ’ આ સંચયનું સૌથી સુંદર શબ્દચિત્ર છે. તેની નજીક વ્યારાના અંગેજીના શિક્ષક વિનુભાઈ મજમુદાર છે.

લગભગ દરેક શબ્દચિત્રમાં નાયક/નાયિકાના કદકાઠી, વરણવેશ અને વાણી-વ્યવહાર-વર્તનનું વર્ણન છે. કેટલાકને પહેલવહેલા કેવી રીતે નજીકથી મળવાનું બન્યું તેની મુગ્ધતાભરી સાંભરણો છે.

તદુપરાંત વ્યક્તિઓની સાહિત્યિક કે બૌદ્ધિક ઊંચાઈ તેમ જ તેમની ઉમદા ક્ષણો લેખિકા અસરકારક રીતે નોંધે છે. ઇવા ડેવ કે ગાંડુભાઈ દેસાઈ જેવામાં ક્વચિત લોકાપવાદના ઇંગિતો પણ છે. દર્શક, વર્ષા અડાલજા અને ડૉ. મહેન્દ્રભાઈના સમગ્ર પ્રદાનનું અવલોકન છે.

વ્યક્તિચિત્રોમાંથી કેટલીક વિશિષ્ટ માહિતી મળી આવે છે. જેમ કે ર.વ. દેસાઈના ‘પૂર્ણિમા’ નાટકમાં વર્ષાબહેને રાજેશ્વરીનો અભિનય એટલી તન્મયતાથી કર્યો કે એમના પિતા ગુણવંતરાય આચાર્યને તેમની દીકરી સાચેસાચ નાચનારી બની છે એવી લાગણી થઈ અને હૃદયરોગનો હુમલો આવ્યો.

ડૉ. મહેન્દ્રભાઈ ‘લાંચ લેવી ફરજિયાત જેવી બની જતાં હોમિયોપાથિક કૉલેજ બંધ કરવાનો નિર્ણય કર્યો.’ વ્યારાની શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રવાસ દરમિયાન આદિવાસીઓએ ગેરસમજથી કરેલા હુમલામાં એક વિદ્યાર્થી મૃત્યુ પામ્યો. તેનાથી આઘાત પામેલા બે શિક્ષકો ઇશ્વરભાઈ દેસાઈ અને પટેલ સાહેબ પોતે જ શાળા છોડીને ચાલ્યા ગયા.

સહવાસચિત્રો અને સંસ્મરણો ઉપરાંત ‘મૂલ્યવાન ખજાનાની પેઠે’ જાળવેલા પત્રો પુસ્તકની વાચનીયતામાં ઉમેરો કરે છે. લેખિકાએ ચરિત્રનાયકોના ટાંકેલા ભાવવાહી પત્રો તેમને ડૉક્ટરેટ માટે માર્ગદર્શન કે અભિનંદન આપતાં, થિસીસ માટે કે પુસ્તકની પ્રશંસા કરનારા અને તેમની નાજુક તબિયતની ચિંતા બતાવનારા છે. વર્ષાબહેનના જીવનકાર્ય પરના લેખનો ઘણો હિસ્સો પત્ર દ્વારા પ્રશ્નોત્તરીને આધારે લખાયો છે.

પત્રોની જેમ કેટલીક વ્યક્તિઓનો અંત પણ વ્યક્તિચિત્રોનો હૃદયસ્પર્શી હિસ્સો છે. હીરાબહેનની અને ઉમરવડિયાની કૅન્સરના છેલ્લા દિવસોમાં અસ્પતાલોમાં થયેલી મુલાકાતનાં ટૂંકા વર્ણનો છે. આખરી વર્ષોની લાચાર અવસ્થામાં રમણ પાઠકની તાકાત અને નવીનભાઈની ધીરજ લેખિકા નોંધે છે.

દર્શકના અવસાન પર એ લખે છે : ‘કેટકેટલું સંચિત એમની સાથે જ ચાલ્યું ગયું’. ‘જયંત મેઘાણીની શીલસુવાસિત હસ્તી કમ્પ્યૂટર પર કામ કરતાં કરતાં જ પરધામે પહોંચી ગઈ’. જયંત પાઠકે ક્યારેક લખેલી પંક્તિ શબ્દશ: સાચી પડી : ‘બસ, આમ જ હીંચકે ઝૂલતાં ઝૂલતાં જાય મીંચાઈ આંખ’.

અદકી, ઓળઘોળ, સવાદિયા જેવા શબ્દો મળે; તો બીજી બાજુ પટુકરણ, સુસ્વતા, વૈખરી, પદસંચાર, સિસૃક્ષા, અશેષપણું જેવા શબ્દો. શબ્દસમૂહો કે વાક્યો પણ કેવાં ?- ‘ચૂંધી એવી કે મસોતું પણ ઉજળું દૂધ’, ‘કાળે બહુ વહેલા અંગુઠે વાઢ મેલ્યો’, ‘મરવાનું મન થાય તેવી સ્મશાનભૂમિ’ ‘વિદ્યાર્થી પર હાથ ઉગામવાનું સપનું પણ એમને નહીં આવ્યું હોય’; બીજી બાજુ, ‘ગુરુમહિમા ગળથૂથીમાં ઊતરેલો’ અને ‘અનાહત નાદનો અનુભવ’.

પુસ્તકના મુખપૃષ્ઠ પર નાની પણ સ્વચ્છ છબિઓ કોલાજના કેન્દ્રમાં પુણ્યશ્લોક મહેન્દ્ર મેઘાણી છે. ઓછા સ્પેસિંગ અને ચુસ્ત કમ્પોઝીંગ છતાં 160 પાનાનું ‘પથપ્રદીપ’ પુસ્તક વાચનક્ષમ બન્યું છે. અલબત્ત, ઘડાયેલા વાચક-સંપાદકને કેટલીક મર્યાદાઓ નજરે ચડવાની.

સ્વામી આનંદના ‘ધરતીની આરતી’, વાડીલાલ ડગલીના ‘થોડા નોખા જીવ’ કે રઘુવીર ચૌધરી ‘સહરાની ભવ્યતા’ પુસ્તકોમાં આલેખાયેલાં વ્યક્તિચિત્રો/ચરિત્રલેખો પછીની હરોળમાં મૂકી શકાય તેવું આપણા સમયનું, વ્યક્તિચિત્રોનું આ એક નોંધપાત્ર પુસ્તક છે.

[પ્રકાશક :શબ્દલોક પ્રકાશન, 760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ 380001, પાનાં 160, રૂ.200/-]

[1000 શબ્દો]
[આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલા મારા લેખની વિસ્તૃત વર્ઝન]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચાલો, હરારી પાસે – 14

સુમન શાહ|Opinion - Opinion|13 August 2023

સુમન શાહ

આજે, હરારીને આરામ આપું. કેમ કે આજે મારે આપણ સૌ માટે સીધી ઉપયોગી વાતો કરવી છે.

એક દિવસ મને પ્રશ્ન થયેલો કે આ ‘એ.આઈ.’ આટલું બધું જાણતલ અને બાહોશ છે પણ શું એને ગુજરાતી ભાષા આવડે છે ખરી, ગુજરાતી સાહિત્ય ભણ્યું છે ખરું, કે પછી રામ રામ?

મેં નિષ્ણાતોને પૂછ્યું તો કહે, ખાસ નહીં. મેં પૂછ્યું, ખાસ નહીં એટલે કેટલું નહીં? તો કહે, થોડુંક. મેં પૂછ્યું, કારણ શું? તો કહે, ‘એ.આઈ.’ પાસે ગુજરાતી ભાષા કે સાહિત્યને પૂરા પ્રમાણમાં રજૂ કરી શકે એવો કદમાં વિશાળ અને વૈવિધ્યસભર ડેટાસૅટ નથી, છે એથી કામ ચાલે છે, પણ એ પર્યાપ્ત નથી. ડેટાસૅટ પૂરોશૂરો હોય તો જ ‘એ.આઈ.’ ઝટ અને ઘણું શીખી શકે, અને તો જ આપણે માગેલાં કામ બજાવી શકે, નહિતર વાર લાગે.

બીજું એ કે ભાષા અટપટી હોય, સંકુલ, કૉમ્પલેક્સ, તો પણ વાર લાગે. ગુજરાતી ભાષા સંકુલ છે, તેનાં વ્યાકરણવિષયક કેટલાંક લક્ષણો બીજી ભાષાઓમાં જોવા ન મળે એવાં વિશિષ્ટ છે, આગવાં. એ કારણે પણ ડેટાસૅટ વિસ્તરી શક્યો નથી.

બીજાં ત્રણ કારણો પણ મને જાણવા મળ્યાં :

’એ.આઈ.’-પાવર્ડ ગુજરાતી ભાષાપરક સેવાઓ માટેની માંગ પણ આમાં નિર્ણાયક ભાગ ભજવે છે. માંગ ન હોય તો ‘એ.આઈ.’ વિકસી શકે નહીં. માંગ વધે તો ‘એ.આઈ.’-સંશોધનો અને એને તાલીમ આપનારી મૅથડ્સમાં સુધારાવધારા થાય, નાણાં રોકનારા પણ હૉંશથી આગળ આવે. પરિણામે, એની બુદ્ધિમાં વધારો થાય, એ વિકસે.

આ મને બિલકુલ સાચું લાગેલું, આપણામાંથી કેટલાને આ સેવાઓની જરૂર પડે છે? અરે, કેટલાયને કમ્પ્યૂટરની જ જરૂર નથી વરતાતી ! ‘મને એ નથી આવડતું’ એવું કાલુંકાલું બોલતા હોય છે ! આપણે ત્યાં કમ્પ્યૂટર-ઇલ્લિટ્રસી એક વધારાની અબુધતા છે. આપણા મોટિવેશન સ્પીકર્સ જીવનોપયોગી અનેક બાબતોમાં તેમ આ પરત્વે પણ પ્રેરણો પૂરાં પાડતાં હશે, એમ ધારું છું. આપણી પ્રજાને જાતભાતની બાબતો માટે સંકોરવી કે ઢંઢોળવી પડે એ એક કાયમી જરૂરિયાત છે.

બીજું, કમ્પ્યુટેશનલ રીસોર્સિસ ન હોય તો પણ વાર લાગે – એટલે કે કમ્પ્યૂટરમાં સંચિત સ્રોતો અને આધારોનો અભાવ કે તેની અછત. જેમ કે, વિવિધ જોડણીકોશો, વ્યાકરણગ્રન્થો એવા આધારો છે. મેં કહ્યું, એ તો છે અમારે ત્યાં. તો પૂછે, કમ્પ્યૂટરાઇઝ્ડ છે? ઑનલાઇન છે? હું તરત જવાબ ન આપી શક્યો. પણ મને સમજાયું કે એવું લગભગ નિરાધાર ‘એ.આઈ.’ મૉડેલ પ્ર-ગતિ ન જ કરી શકે. એને તાલીમ આપનારા આધારો – ડેટા – જ અપર્યાપ્ત હોય તો થઈ થઈને કેટલું થઈ શકે?

ત્રીજું એ કે ગુજરાતી ભાષાની વ્યાકરણગત વિશેષતાઓ પણ અડચણ બની શકે, જેમ કે આ : ગુજરાતી ભાષા ‘એ આઇ ’ બાબતમાં ‘હાઇલિ ઇન્ફૅક્ટેડ’ મનાય છે. ગુજરાતી વાક્યમાં શબ્દો એના કાર્યની – ફન્કશનની – જરૂરત મુજબ રૂપ બદલે છે. આનો આપણને રોજિન્દો અનુભવ છે. ‘છોકરો નિશાળે જાય છે’-માં ‘છોકરો’ સિન્ગ્યુલર નૉમિનેટિવ કેસમાં છે, પણ ‘છોકરાઓ નિશાળે જાય છે’-માં એ, ‘છોકરાઓ’ થઈ જાય છે – એકવચન બહુવચન થઈ જાય છે. ‘ઇન્ફ્લેક્શન’ એક મૉર્ફોલૉજિકલ ટર્મ છે – ભાષાનું રૂપતન્ત્રીય પદ. એ પણ ‘એ.આઈ.’-ની તાલીમમાં બાધા બનતું હોય છે.

અને, ’એ.આઈ.’-ને ભાષા આવડે તે પછી જ એ ટૅક્સ્ટ, અને તે પછી જ સાહિત્ય સરજી શકે. આ મુદ્દો તો મને એકદમ ગળે ઊતરી ગયેલો કેમ કે આપણા કેટલાક સાહિત્યકારપદવાંછુઓનું એમ સ્તો છે ! તો, ‘એ.આઈ.’ ગુજરાતીમાં કાવ્ય પણ લખી આપી શકે, જરૂરી એ કે એ માટે એને કેટલાક નિયમો શીખવાડાયા હોય – સૅટ ઑફ રુલ્સ. બીજા જુદા સૅટ ઑફ રુલ્સથી એ અનુવાદો પણ કરી આપી શકે, ત્રીજાથી એ ટૂંકીવાર્તા પણ લખી આપી શકે.

++

આ બધી શરતી વાતો છે તેમછતાં તાજેતરનાં વરસોમાં ‘એ.આઈ.’-ને ગુજરાતી ભાષા અને સાહિત્ય ઠીકઠીક આવડી ગયાં છે. સાંભળો : 

’એ.આઈ.’-પાવર્ડ ઑજારોની મદદ અને સેવાઓ વડે ગુજરાતી ટૅક્સ્ટ લખી શકાય છે, ગુજરાતી ઉક્તિનું – સ્પીચનું –  સંસૃજન થઈ શકે છે. ગુજરાતી ટૅક્સ્ટનો બીજી અનેક ભાષાઓમાં અનુવાદ થઈ શકે છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે પ્રશ્નોત્તરી કરી શકાય છે. સાહિત્યના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમ જ સંશોધકો એનો લાભ લઈ શકે છે.

એક ‘ધ ગૂગલ એ.આઈ. લૅન્ગવેજ ટીમ’ છે. એણે ગુજરાતી સ્પૅલચૅક, ગુજરાતી ગ્રામરચૅક તેમ જ ‘ગુજરાતી ટૅક્સ્ટ-ટુ-સ્પીચ ઍન્જિન’ જેવાં ‘એ.આઈ.’-પાવર્ડ ઑજારો વિકસાવ્યાં છે.

‘એ.આઈ.’-પાવર્ડ ‘ગુજરાતી સ્પીચ સિન્થેસિસ’ ગુજરાતી ઉક્તિનું સંસૃજન કરી શકે છે. એને ટૅક્સ્ટના ઑડિયો રૅકૉર્ડિન્ગ માટે પ્રયોજી શકાય છે. ‘સ્ક્રૅચ’ એક શક્તિશાળી ઑજાર છે. એથી પણ ગુજરાતી ઉક્તિનું સંસૃજન થતું હોય છે.

વળી, એ ઑજારો ઉક્તિને ટૅકસ્ટમાં તેમ જ ટૅક્સ્ટને ઉક્તિમાં બદલી આપી શકે છે. દાખલા તરીકે, ‘ઍમેઝોન પૉલિ સર્વિસ’ ગુજરાતી ઉક્તિનું ટૅક્સ્ટમાં સંસૃજન કરી શકે છે અને ‘ગૂગલ ક્લાઉડ ટૅક્સ્ટ-ટુ-સ્પીચ’ ગુજરાતી ઉક્તિનું ટૅક્સ્ટમાં સંસૃજન કરી શકે છે.

‘ગુજરાતી બાર્ડ’ એક ‘એ.આઈ.’-પાવર્ડ ઑજાર છે. એ ગુજરાતી ટૅક્સ્ટ લખી શકે છે, કાવ્યો, વાર્તાઓ કે લેખો જેવી અનેક ટૅક્સ્ટ્સનું સંસૃજન કરી શકે છે. ગૂગલ ‘એ.આઈ.’-નું ‘બાર્ડ’ મૉડેલ એવી ગુજરાતી ટૅક્સ્ટનું સંસૃજન કરે છે કે એને માણસે લખેલી ટૅક્સ્ટથી બિલકુલ જુદી પાડવાનું અશક્ય થઈ પડે.

આ ‘બાર્ડ’-ને ગુજરાતી ટૅક્સ્ટ તેમ જ પુસ્તકો, લેખો અને વેબસાઈટોના સાહિત્યથી તૈયાર કરવામાં આવેલા મહા કદના ડેટાસૅટથી તાલીમ અપાઇ છે. ‘બાર્ડ’ ૪૦ ભાષાઓમાં ૨૩૦ દેશોમાં ઉપલબ્ધ છે.

મોટું કામ અનુવાદોનું છે. ’ગૂગલ ટ્રાન્સલેટ’ વડે ગુજરાતી ટૅક્સ્ટનો ૧૦૦-થી પણ વધુ ભાષાઓમાં અનુવાદ થઈ શકે છે.

‘ગ્રામરલિ’ ‘એ.આઈ.’-પાવર્ડ ઑજાર છે. આમ તો એ અંગ્રેજી ભાષા માટે વધુ ઉપયોગી છે. પણ કોઈ ગુજરાતી લેખક કશુંક લેખન અંગ્રેજીમાં કરવા માગતો હોય, તો એ એક નૉંધપાત્ર મદદનીશ પુરવાર થશે. સારું કોઈપણ લેખન ભૂલો વિનાનું હોય છે, એમાં વ્યાકરણશુદ્ધિ, સમુચિત વિરામચિહ્નો તેમ જ શૈલી જેવી બાબતો સચવાઈ હોય છે. ‘ગ્રામરલિ’ એ અંગે મદદો કરતું હોય છે. અંગ્રેજીમાં લેખન કરનારો ગુજરાતી લેખક એ પરથી શુદ્ધ ગુજરાતી લેખન શીખી શકે. ‘પોલિરાઇટિન્ગએઇડ’ પણ સારા લેખન માટે ફીડબેક પૂરા પાડતું હોય છે, એ પરથી પણ શીખી શકાય.

‘વિકિપીડીઆ’ ‘એ.આઈ.’ ઑજાર નથી પણ ‘એ.આઈ.’-નો બહુશ: વિનિયોગ કરે છે. એથી સરવાળે તો ઍન્સાયક્લોપીડીઆ સમૃદ્ધ થઈ શકે છે. પોતાના અનેક ‘બોટ્સ’-થી એ વિકિના મૂળ લેખની જોડણી અને વ્યાકરણવિષયક ભૂલો બતાવી શકે છે, સુધારી શકે છે. તથ્યો વિશે પણ ભુલસુધાર કરે છે. ઉપરાન્ત, મૂળ લેખની સમરી આપી શકે છે. મૂળ લેખનું વિશ્લેષણ કરીને તેમાં ઉપકારક ઉમેરણ થાય એવા નવા લેખો પણ સૂચવી શકે છે.

ધ્યાનપાત્ર બાબત એ છે કે આજની તારીખ સુધીમાં વિકિ વિશ્વની ૩૨૯ ભાષાઓમાં ઉપલબ્ધ છે. પોતાના અનેક ‘બોટ્સ’-થી મૂળ વિકિ-લેખના એ સંખ્યાબંધ અનુવાદ ક્ષણમાં જ આપી શકે છે. દાખલા તરીકે, સુમન શાહ નામના લેખક વિશેનો વિકિ-લેખ ક્લિક્ વારમાં જગતની અનેક ભાષાઓમાં વાંચી શકાય, ભલે એને એની જ ભાષાના લેખકે જોયો સુદ્ધાં ન હોય !

જેમ જેમ ‘એ.આઈ.’-પરક સંશોધનોનો વિકાસ થશે તેમ તેમ આ સગવડો વધશે.

એ જાણી રાખવું જરૂરી છે કે હજી આ ઑજારો એક સુજ્ઞ અને સમજદાર ગુજરાતી માણસ જેટલાં સુજ્ઞ અને સમજદાર નથી. ભૂલો પણ કરે છે.

‘એ.આઈ.’ ઑજાર ઘણી વાર લિન્ગભેદ નથી પામી શકતું – ‘એ ગયા’-નું ‘એ ગઇ’ કરી નાખે !

એની કેટલીક મર્યાદાઓ પણ છે. એનાથી ક્યારેક તળના કે દેશ્ય શબ્દો નથી પકડાતા, જેમ કે, ‘ઢેફું’. ‘એ ઢ છે’ -નો એ શું અનુવાદ કરી શકે?

એને ‘ચાંદલો’ જેવા સંસ્કૃતિ સાથે જોડાયેલા શબ્દોની પતીજ પણ નથી પડતી, એટલે હું ધારું છું કે એ આવો તરજૂમો કરી આપશે – અ રેડ સ્પોટ ઇન ધ સૅન્ટર ઑફ ફોરહેડ. ભલે, એમાં ખોટું શું? તળના રક્ષણહારો ખુશ થાય …

= = =

(08/12/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0261,0271,0281,029...1,0401,0501,060...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved