Opinion Magazine
Number of visits: 9458172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારીક કશુંક 

ઉમેશ સોલંકી|Poetry|28 April 2023

અંધારું

પેટમાં કાળુંભમ્મર અંધારું

અંધારું

ડૂંટીને અંદર ખેંચી ગયું

વિચારને ભરખી ગયું

પછી

દાંતવાટે નખવાટે બહાર આવ્યું

શરીરને ચાટવા લાગ્યું

ધીમે-ધીમે ફેલવા લાગ્યું,

પછી

ડિલ છીનવી ગીધડાનું

ઊડવા લાગ્યું

ચાંચ મારવા લાગ્યું,

ચાંચ મારે ત્યાં અંધારું:

ચકલીને ચાંચ મારી

ચકલી કાળીમેશ

ઘુવડની આંખ ફોડી

રાત કાળીમેશ

ડાળી પર ચાંચ ઠોકી

પાન કાળાંમેશ,

પછી

વિચારવા લાગ્યું:

“આમ ચાંચ માર્યા કરીશ

તો વરસો વીતશે

રહેશે તો ય દુનિયા અડધી ધોળી-ધોળી”

અચાનક એક તુક્કો ઊઠ્યો

પાંખો ફફડાવી

ઊંચે ને ઊંચે જવા લાગ્યું

પહોંચ્યું સૂરજ કને,

પછી

સૂરજને ચાંચ મારી

દુનિયા કાળીમેશ,

હવે

શું ઘાસ શું થોર

શું ડુક્કર શું મોર

શું ઘાવ શું લગાવ

શું ભરચક શું અભાવ

બધ્ધેબધ્ધું અંધારું

આંખ ન જોઈ શકે એવું કાળુંભમ્મર અંધારું

તોયે

પેટથી ઉપર 

છાતીમાં

બારીક કશુંક ઝળહળ્યા કરતું.

અંધારું એનાથી ફફડ્યા કરતું

e.mail : umlomjs@gmail.com

Loading

પાઠ કાઢનારને પાઠ ભણાવવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 April 2023

રવીન્દ્ર પારેખ

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT-એન.સી.ઈ.આર.ટી.) અત્યારે ઠીક ઠીક ચર્ચામાં છે ને તેનાં તઘલખી તુક્કાઓ દ્વારા તેણે શૈક્ષણિક સંસ્થાઓ, તેનાં શિક્ષકો અને વૈજ્ઞાનિકોને ઘણાં આશ્ચર્ય અને આઘાતો આપ્યાં છે. આ કાઉન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકોમાં રિસર્ચને નામે ઈરાદાપૂર્વકની બાદબાકીનો જે અણઘડ રીતે મહિમા થઈ રહ્યો છે તે શિક્ષણ ક્ષેત્રે ઘણાં જોખમો ઊભાં કરે એમ બને. તેણે મોગલોના ઇતિહાસના પાઠ કાઢી નાખ્યા છે, ગાંધીજીની હત્યાને લગતી સામગ્રીની બાદબાકી કરી છે, 2002માં જે ગોધરાકાંડ થયેલો ને તે પછી જે તોફાનો થયેલાં તે પ્રકરણ ધોરણ 12માંથી કાઢી નાખવામાં આવ્યું છે, તેથી તે વખતે સંસદમાં અપાયેલી માહિતી કે તોફાનોમાં અંદાજે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા તે રેકોર્ડ તો કાઢી શકાય એમ નથી. માહિતી દૂર થતાં જે હજારેક જીવ ગયા તે ગયા નથી એમ કહેવાશે? એ જીવો પરત આવી જશે? ટેક્સ્ટબુકમાંથી એ વિગતો જાય તો મીડિયામાં જે સચવાયું છે તે નાબૂદ થઈ જશે? એટલું ઓછું હોય તેમ છેલ્લે છેલ્લે ધોરણ 9-10નાં વિજ્ઞાનનાં પુસ્તકોમાંથી ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરી પણ એન.સી.ઈ.આર.ટી.એ કાઢી નાખી છે. આ બધું કેમ થાય છે ને એમાં કોનો દોરી સંચાર છે તે કલ્પવાનું બહુ અઘરું નથી.

ઇતિહાસ જોડે ચેડાંની નવાઈ નથી, પણ વિજ્ઞાન પણ હવે તેમાંથી બાકાત નથી. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આજે બહુ સ્વીકાર્ય નથી, પણ ઉત્ક્રાંતિ જે ક્રમે થઈ તેમાં તેનું ચોક્કસ મહત્ત્વ છે. વિદ્યાર્થીઓ એ ક્રમ જાણે, શીખે એ માટે પણ તે દુનિયા આખીમાં ભણાવાય છે, પણ એન.સી.ઈ.આર.ટી.એ કોરોનાને નામે એ પાઠ કાઢી નાખીને જે વીરત્વ દાખવ્યું છે એથી દેશના 1,800 જેટલા વૈજ્ઞાનિકોએ, વિજ્ઞાનના શિક્ષકોએ, લેખકોએ વાંધો ઉઠાવીને એ પાઠ ફરી અભ્યાસક્રમમાં દાખલ કરવાની ખુલ્લી સહી ઝુંબેશ ચલાવી છે. જે પરિવર્તનો એન.સી.ઈ.આર.ટી.એ અભ્યાસક્રમોમાં કર્યાં છે તે શુદ્ધ બુદ્ધિથી થયાં હોવાનું એટલે લાગતું નથી, કારણ એમાં રાજકીય પૂર્વગ્રહો સંભળાયા કરે છે. કોઈ પણ વિદેશી શાસક તેનાં પ્રચારનું ધ્યાન રાખે અને તેની તરફેણનો ઇતિહાસ ભણાવે એ થતું આવ્યું છે. આ દેશે મોગલોનું અને અંગ્રેજોનું શાસન જોયું છે ને તેની સૈકાઓ સુધી ગુલામી વેઠી છે. એ પહેલાં હિન્દુ રાજાઓ આજની ‘હિન્દુત્વ’ની કશી ફ્લેવર ધરાવતા ન હતા. એમની વિલાસિતા ને એમનાં અંદરોઅંદરના કુસંપને કારણે જ વિદેશી પ્રજા આ દેશ પર શાસન કરવામાં સફળ રહી. બલકે, અંગ્રેજોને શાસન કરવાનું નિમંત્રણ આ દેશના ગદ્દારોએ આપ્યું અને રોબર્ટ ક્લાઇવે અંગ્રેજી સલ્તનતનો દેશમાં પાયો નાખ્યો. એ પહેલાં બાબરથી ઔરંગઝેબ સુધી મોગલોનું શાસન રહ્યું અને ત્યારે પણ હિન્દુ રાજાઓ અને હિન્દુ પ્રજાની કોઈ કારી ફાવી ન હતી. એ તો આજે હિન્દુ હિન્દુનું સંકીર્તન ચાલે છે, બાકી હિન્દુઓ સક્ષમ હોત તો સેંકડો વર્ષોની ગુલામી સામે ન આવી હોત. એવું ન હતું કે હિન્દુ રાજાઓ ત્યારે હતા જ નહીં. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ જેવાં વીરો અને વીરાંગનાઓનો તોટો ન હતો, પણ શત્રુઓની સામે ટકવાનું મુશ્કેલ હતું. વળી વિદેશી શાસકો વધુ ક્રૂર અને ઘાતકી હતા. વધુ શસ્ત્ર સરંજામ ધરાવતા હતા. ભારતના જ હિન્દુઓને લશ્કરમાં જોડીને તેનો હિન્દુઓ પર જ ઉપયોગ કરવામાં શાસકો સફળ થયા હતા. હિન્દુઓને વટલાવીને, તેમનાં મંદિરો તોડીને, તે પર મસ્જિદો બાંધીને સમગ્ર પ્રજાને હતોત્સાહ કરવાની કોઈ તક વિદેશી શાસકો ન ચૂક્યા, પણ કેટલાક શાસકો કળાપ્રીતિ, સ્થાપત્યપ્રીતિ પણ ધરાવતા હતા, તેનો એકડો કાઢી ન શકાય. અંગ્રેજોના સમયમાં કેટલાક સુધારાઓ પણ થયા એની નોંધ લેવી જ પડે. એ વખતે જે ઇતિહાસ લખાયો તે જે તે શાસકની આરતી ઉતારનારો હોય તો પણ તેમાં જે સાચું હોય તેટલું તો સ્વીકારવાનું રહે જ છે. એન.સી.ઈ.આર.ટી.નાં ડિરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીને આ અંગે પુછાયું તો તેમણે જણાવ્યું કે પાઠ્યપુસ્તકોમાં જે બાદબાકી કરવામાં આવી છે તે તેમણે ચાર્જ સંભાળ્યો એ પહેલાંની છે. ગમ્મત તો એ છે કે જે રાજ્યમાં ગોધરાકાંડ સર્જાયો એની વાતો અન્ય રાજ્યોમાં ભણાવાતી હતી, માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓને જ એ માહિતી અપાતી ન હતી.

ધારો કે કોઈ કોમ કે ધર્મ પ્રત્યે અણગમો હોય એટલે તેનો પાઠ કાઢી નાખવાનો હક એન.સી.ઈ.આર.ટી.ને મળી જતો નથી. ઇતિહાસમાં કોઈ ખામી હોય તો તે જરૂર સુધરાવે, પણ ખામીને કારણે આખા યુગ પર ચોકડી ન મારી શકાય. ધોરણ 12ના ઇતિહાસના પાઠમાંથી 28 પાનાંનું મોગલ શાસકોનું પ્રકરણ કાઢી નંખાયું. મોગલો કે અંગ્રેજી સત્તા પરત્વે ગમે એટલા વાંધા હોય તો પણ એવું કદી સાબિત ન થઈ શકે કે મોગલો આ દેશમાં આવ્યા જ ન હતા કે અંગ્રેજો એ આ દેશને ગુલામ બનાવ્યો ન હતો. અંગ્રેજો આવ્યા એ સ્વીકારવાનું હોય તો એ ગયા તે પણ સ્વીકારવું પડે. ગાંધી સામે ગમે એટલો તિરસ્કાર હોય તો પણ, અંગ્રેજોને કાઢવામાં એમનો ફાળો ન હતો એવું ભલે કેટલાંક ભારતીયો માને, તેથી કૈં દુનિયાને દેખાતું નથી એવું નથી. કેટલાક ભારતીયો ભલે ગાંધી કરતાં ગોડસે મહાન હતો એવું માનતા હોય તો પણ, તેણે દેશને આઝાદી અપાવી હતી એનો છેદ  ઉડાવી શકાય નહીં. બાકી, ખોટું જ સાબિત કરવું હોય તો કૈં પણ થઈ શકે એવી રાજકીય સગવડો હાથવગી છે જ ! આજે ભા.જ.પ.ની સરકાર છે એટલે એ ભા.જ.પ. તરફી કૈં પણ કરવા સક્ષમ છે, પણ એ કદી સાબિત થઈ શકે એમ નથી કે 2014 પહેલાં પણ કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર હતી. એ સ્વીકારવું જ પડે કે ગમે એટલા વાંધા કાઁગ્રેસ સામે હોય તો પણ, નહેરુ દેશના પહેલા વડા પ્રધાન હતા. સારું કે ખરાબ, મુખ્યત્વે કાઁગ્રેસનું જ શાસન 2014 સુધી દેશમાં હતું. એ શાસનનાં જ સારાં માઠાં પરિણામો આજ સુધી ભોગવતાં હોઈએ તો પણ 1947માં ભા.જ.પ.નું શાસન હતું એ ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ સાબિત થઈ શકે એમ નથી. એ વખતે નહેરુ હતા તે હતા જ ! ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી એ તથ્ય ભા.જ.પ. કદી છેકી શકે એમ નથી. નહેરુનો પાઠ કાઢી નાખવાથી નહેરુ નામશેષ થઈ શકશે?

એટલે એન.સી.ઈ.આર.ટી. એ ચેષ્ટાઓ ન કરે તો ચાલે જે કેવળ બાલિશ છે. એમાં રમૂજ થાય એવી વાત તો એ છે કે આ ‘પાઠ કાઢ અભિયાન’ વિદ્યાર્થીઓનાં હિતમાં ચલાવાયું. એન.સી.ઈ.આર.ટી. જ જગત આખામાં એવી વ્યવસ્થા છે જે ઈચ્છે છે કે વિદ્યાર્થી ઓછું ભણે, બાકી બધાં જ ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ ખૂબ ભણે. એન.સી.ઈ.આર.ટી.ને પૂછવામાં આવ્યું કે ‘પાઠ કાઢ અભિયાન’નો હેતુ શો છે? તો એનો રાજકીય જવાબ હતો કે પાઠ નથી કાઢ્યા, કેટલુંક પુનરાવર્તન હતું તે દૂર કર્યું. એવું કરવાની જરૂર કેમ પડી? તો એનો જવાબ હતો કે કોરોના સમયમાં વિદ્યાર્થીઓ પર ભારણ ન વધે ને અભ્યાસક્રમ તર્કસંગત બને. વિદ્યાર્થીઓની આટલી દયા કોઈએ ખાધી નથી. એ સાહેબોને પૂછી શકાય કે કેટલાક વિદ્યાર્થીઓને તો ભણવું જ ભાર રૂપ લાગે છે, તો એમને સીધું બોર્ડની પરીક્ષાનું પ્રમાણપત્ર મળી જાય એવી કોઈ જોગવાઈ થઈ શકે એમ છે? વિદ્યાર્થીઓને ભણ્યા વગર પ્રમાણપત્ર મળી જાય, અરે ! નોકરી જ મળી જાય તો કોઈ કાકો ભૂલમાં ય સ્કૂલ કે યુનિવર્સિટીનાં પગથિયાં ચડવા રાજી ન થાય એમ બને. તો, આવું ભારણ ન વધે એવી કોઈ વ્યવસ્થા એન.સી.ઈ.આર.ટી. કરવા તૈયાર છે? ને અભ્યાસક્રમ તર્કસંગત કરવા પાઠ કાઢ્યા તો સવાલ એ થાય કે ગોધરકાંડનું પ્રકરણ, ડાર્વિનની થિયરી … આ બધું તર્કસંગત ન હતું? એ તર્કસંગત નથી કે એન.સી.ઈ.આર.ટી.માં તર્કદોષ છે એનો જવાબ કોણ આપશે?

મુશ્કેલી એ થઈ છે કે વિદેશી સત્તાએ મરજી મુજબનો ઇતિહાસ લખાવ્યો, પણ હવે વિજેતા દેશી પક્ષો  પોતાની રીતે ઇતિહાસ રચવાની પેરવીમાં છે. કાઁગ્રેસનું શાસન દાયકાઓ સુધી રહ્યું ને તેણે મોગલોનો ઇતિહાસ પોતાની રીતે ભણાવ્યો ને એવી અસર ઊભી થઈ કે દેશમાં મોગલોનાં શાસન સિવાય બીજું કૈં બહુ મહત્ત્વનું ન હતું. એ પછી ભા.જ.પ.નું શાસન આવ્યું ને તેણે નહેરુને બાજુ પર મૂક્યા. ગાંધી કરતાં ગોડસેનું મહત્ત્વ સિદ્ધ કરવાની કોશિશો થઈ. એ તો છે જ ને કે રામ, રાવણ વગર યાદ કરવાનું શક્ય નથી, કૃષ્ણ, કંસ વગર યાદ ન કરાય એ સમજી શકાય એવું છે. ભા.જ.પ.નાં શાસનમાં એટલું જરૂર થયું છે કે સરદાર વૈશ્વિક ઊંચાઈએ પહોંચડાયા છે. એમને ન તો ગાંધીએ ન્યાય કર્યો કે ન તો નહેરુએ. સરદારનું સ્થાન તો સ્પષ્ટ થયું છે, પણ એન.સી.ઈ.આર.ટી. કશાકથી પ્રેરાઇને જે રીતે ઇતિહાસ જોડે ચેડાં કરે છે તે ક્ષમ્ય નથી. ઇતિહાસને સુધારી શકાય, એ છેકીને એવું કૈં બન્યું જ નથી એમ સાબિત કરવામાં તો કોઈ બુદ્ધિમાની નથી. ઇતિહાસ કાઢવાથી બદલાતો નથી, તે વધુ સજીવ થાય છે. સોમનાથ કેટલી વાર તૂટયું તો પણ રહ્યું, તાજમહાલ કાગળ પરથી નીકળી શકે, યમુના પરથી કાઢવાનું અઘરું છે.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઍપ્રિલ 2023

Loading

કોરોનાકાળમાં કળાની સમીપે : 4

અમર ભટ્ટ|Opinion - Opinion|27 April 2023

25 ઍપ્રિલ 2021ના દિવસે હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત રાજન મિશ્રાનું કોરોનામાં દુઃખદ અવસાન થયું. સૅકન્ડ વૅવ પૂરજોશમાં હતો. પંડિત રાજન મિશ્રા ખૂબ ગમતા ગાયક. અમદાવાદ સાથે  પંડિત રાજન-સાજન મિશ્રાનો અનોખો નાતો હતો.  એમના 1990-91થી 2020 સુધી અઢળક કાર્યક્રમો માણ્યા હતા. મારી પત્ની વિરાજ એમની શિષ્યા હોવાથી અમારે ઘેર પણ એમની અવરજવર રહેતી અને એમના સૂરીલા વ્યક્તિત્વનો અને એમની ઉષ્માનો અનુભવ અનેક વાર મને થયેલો. બીજે દિવસે દૂરદર્શન પર પંડિત રાજન મિશ્રાની સ્મૃતિમાં આ વિરલ બેલડીએ ગાયેલો રાગ બિહાગ સાંભળ્યો કવિ હરીન્દ્ર દવેની ગઝલના એક શેરની પ્રથમ પંક્તિ  આમ છે –

“થોડી કવનમાં છું, થોડો સ્મરણમાં છું”. આ શબ્દો સહેજ બદલીને જાણે કે પંડિત રાજન મિશ્રા કહી રહ્યા હતા! –

“થોડોક ગાનમાં છું, થોડો સ્મરણમાં છું 

સંકેલ્યો શ્વાસ દેહે, સ્વજન હું નથી ગયો.”

2020માં લોકડાઉનના પ્રથમ દિવસે જ સમજાયું કે સર્જનાત્મકતાનું લોકડાઉન ન થઇ શકે; હૃદયના ભાવોનું લોકડાઉન ક્યારે ય ન થઇ શકે. અનેક સાવચેતી ને વૅક્સિનના બંને ડૉઝ લેવા છતાં હું ઝડપાયો – અલબત્ત નહીંવત અસર થઇ. પણ ભાગ્યમાં 14 દિવસનો એકાંતવાસ મળ્યો. સુખદ પરિણામ એ આવ્યું કે કેટલાંક પુસ્તકો વાંચી શક્યો; સુંદર સંગીત માણી શક્યો ને કેટલીક રચનાઓ સ્વરબદ્ધ કરી શક્યો, જે માત્ર તાનપુરા પર મારા તે વખતના ખોખરા અવાજમાં, ગાઈને મૉબાઇલમાં ઝીલી લીધી. સર્જનની પ્રથમ ક્ષણને તત્કાલીન એ રીતે કેદ કરી.

ગાનસરસ્વતી કિશોરી આમોનકર જfયારે ગાતાં ત્યારે રાગ સાથે મૈત્રી બાંધતાં હોય એવું અનુભૂતિ સૌને થતી. આ દિવસોમાં શ્રોતાઓને સમાધિની સ્થિતિમાં લઇ જનારાં કિશોરીજીનો રાગ અલ્હૈયા બિલાવલ ત્રણ દિવસ સતત સાંભળ્યો (https://youtu.be/ZkBMsVfRn4Q ). સૂરની લગાવટ, એકથી બીજા સ્વર પર જતી સ્વરયાત્રા, તાન લઈને સમ (તાલનું ચક્ર જ્યાંથી શરૂ થાય તે પ્રથમ માત્રા), પર આવવું, બંદિશની પ્રસ્તુતિ અને અંતે અનુભવાતી શાંતિ! આ સઘળું અંદર ઉતારીને મેં મારા ipadમાં તાનપુરો ચાલુ કર્યો અને મારા રૂમમાં ચાલતાં ચાલતાં કવિ મનોહર ત્રિવેદીના આ ગીતની સ્થાયી અલ્હૈયા બિલાવલમાં સ્વરબદ્ધ કરી – 

“ચાલું મોજ પ્રમાણે 

કોઈ કશું ના પૂછે ગાછે કોઈ કશું ના જાણે

મોજ પ્રમાણે આંખ ભરીને ભરચક ભરચક ઊંઘું 

જાણે કોઈ અજાણ્યાં પુષ્પો ડાળ નમાવી સૂંઘું

હું મારું નહીં માનું પણ આ ખેંચે કોણ પરાણે? ( https://youtu.be/rveV4tAbzS8 )

કોણ જાણે  કેમ પણ બિલાવલ રાગ પરિચિત અને ગુજરાતી ફ્લૅવર ધરાવતો લાગ્યો. પછી જાણવા મળ્યું કે પંડિત ઓમકારનાથજીએ મુંબઈ યુનિવર્સiટીમાં 8/1/1962થી 12/1/1962 “મહાગુજરાતનું સંગીત સત્વ” એ વિષય પર પાંચ વ્યાખ્યાન આપેલાં; અને તેમાંનાં એકમાં તેમણે કહેલું કે આપણાં પ્રભાતિયાંમાં બિલાવલ રાગનો એક પ્રકાર – શુક્લ બિલાવલ છે.

મોજ પ્રમાણે ચાલવાનું સ્વાતંત્ર્ય મળ્યું તે બદલ આપણા દેશના બંધારણનો મનોમન આભાર માન્યો. બંધારણનો વિચાર મને એક પુસ્તક પાસે લઇ ગયો – Sixteen Stormy Days –  સોળ તોફાની દિવસો – લેખક : ત્રિપુરદમન સિંઘ.

1951માં ભારતના બંધારણમાં કરવામાં આવેલ પ્રથમ સુધારાની પાર્શ્વભૂમિકા આ પુસ્તકમાં વાર્તાની જેમ વર્ણવાઈ છે. આ સુધારા ઉપરની ચર્ચા 16 દિવસ ચાલી હતી એટલે પુસ્તકનું આ શીર્ષક લેખકે પસંદ કર્યું.

લોકો કાયદાના નક્કર શબ્દોથી ડરે છે; પણ કાયદાના અભ્યાસી તરીકે અને લૉ કૉલેજના વિઝિટિંગ પ્રૉફેસર તરીકે મારે અધિકારપૂર્વક કહેવું છે કે આપણે જો કાયદાને પણ નજીકથી નિહાળીએ તો કદાચ એની બીક નહીં લાગે. એમાં પણ આપણા બંધારણને એક જીવંત દસ્તાવેજ – લિવિંગ ડોકયુમેન્ટ – તરીકે જોવામાં આવે છે. એમાં, કવિતા કે કોઈ પણ કળાની જેમ જ, અર્થઘટનની અઢળક શક્યતાઓ પડેલી છે. બંધારણને પણ, કવિતા ને કવિની જેમ, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવાથી એક જુદો જ દૃષ્ટિકોણ મળે છે. કોલંબિયા લૉ સ્કૂલના અમારા પ્રોફેસર કહેતા કે “We cannot separate past and present otherwise we will embarrass future.” (આપણે અતીત અને વર્તમાનને અલગ ન કરી શકીએ, નહીં તો આપણે  ભવિષ્યને અગવડમાં મૂકીશું.)

બંધારણ ઘડાયાની પ્રક્રિયા રસપ્રદ છે. આપણે વિશ્વના અનેક દેશોનાં બંધારણોમાંથી આપણે માટે અનુકૂળ વિચારો લીધા. બંધારણના ઘડવૈયાઓએ ઋગ્વેદની આ ઋચાનો વિચાર અમલમાં મૂક્યો એમ કહું? – आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः। (સૌ દિશાઓમાંથી અમને ભવ્ય વિચારો પ્રાપ્ત થાઓ.) યુ.એસ.એ.ના બિલ ઑફ રાઈટ્સ ઉપર આપણા બંધારણમાં મૂળભૂત અધિકારોનું પ્રકરણ આધારિત છે. (જો કે યુ.એસ.એ.માં શસ્ત્ર ધારણ કરવાનો હક્ક પણ બંધારણના બીજા સુધારાથી અપાયો છે; જયારે આપણે ત્યાં શાંતિપૂર્ણ રીતે હળવા મળવાની સ્વતંત્રતા અનુચ્છેદ 19(1)(બ) નીચે છે.) અનુચ્છેદ 19(1)(એ) નીચે વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મળ્યું જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. બંધારણીય સભાની ચર્ચાઓમાં પણ વ્યક્તિગત અધિકારો, વ્યક્તિસ્વાતંત્ર્ય વગેરે ઉપર ભાર આપવામાં આવ્યો હતો. મિલકત ધારણ કરવાનું સ્વાતંત્ર્ય પણ અનુચ્છેદ 19(1)(એફ) નીચે આપવામાં આવ્યું હતું. સાથેસાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચે દેશની સાધનસંપત્તિ “બહુજન સુખાય બહુજન હિતાય” વપરાય અને આર્થિક સત્તાનું પણ વિકેન્દ્રીકરણ થાય તે જોવા તરફ રાજ્યે પોતાની નીતિઓ ઘડવી તેવી માર્ગદર્શિકા પણ બંધારણમાં છે. આઝાદી મળી તે પહેલાં બ્રિટિશ ભારતમાં  પ્રાંતીય  સભાઓની ચૂંટણી થઇ. એમાં ભારતની તમામ પુખ્ત વયની વ્યક્તિઓને મતાધિકાર નહોતો. મત આપવા માટે મતદાતા સ્ત્રી કે પુરુષ જમીનધારક, શિક્ષિત કે કરદાતા હોય તે જરૂરી હતું. એટલે પ્રાંતીય સભામાં  ભારતની તમામ પુખ્ત વયની પ્રજાનું નહીં; પણ માત્ર 28% પ્રજાનું પ્રતિનિધિત્વ હતું. બંધારણ ઘડવા માટે બંધારણીય સભા બનાવવા જોગવાઈ થઇ તેમાં પ્રાંતીય સભાના સભ્યોએ ચૂંટેલ પ્રતિનિધિઓ જ બંધારણીય સભાના સભ્યો બન્યા. એટલે આવી સભા દ્વારા આપવામાં આવેલ બંધારણ તે ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓએ આપેલું બંધારણ ન કહેવાય એમ વિચારીને બંધારણમાં અનુચ્છેદ 368 નીચે બંધારણમાં સુધારા અંગે જોગવાઈ કરી હતી – કદાચ એમ વિચારીને કે બંધારણ અમલી બને પછી પુખ્ત વયની દરેક વ્યક્તિને મતાધિકાર મળે તે પછી  પ્રજાસત્તાક ભારતમાં જે  પ્રથમ ચૂંટણી થાય તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંધારણમાં સુધારો કરી શકે. બંધારણીય સભાની ચર્ચાઓ વાંચીએ ત્યારે બંધારણના ઘડવૈયાઓની  દીર્ઘદૃષ્ટિને આપોઆપ નમન થઇ જાય છે.

26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું. પ્રથમ સામાન્ય ચૂંટણી 1951ના અંતમાં કે 1952ની શરૂઆતમાં યોજાવાની હતી. પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચેની પ્રથમ સરકારે  જમીનદારીપ્રથા નાબૂદીનો ખૂબ પ્રચાર કર્યો હતો. જુદાં જુદાં રાજ્યો જમીન સુધારણાના કાયદાઓ ઘડી રહ્યાં હતાં. જમીનદારોના મતે તેમના મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો. પટણા હાઈકૉર્ટે 12 માર્ચ 1951ના મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં બિહારનો જમીન સુધારણાનો કાયદો ગેરબંધારણીય ઠરાવ્યો. બીજી બાજુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંતર્ગત “ઑબ્ઝર્વર”, “ક્રૉસરોડ્સ” જેવાં વર્તમાનપત્રો સરકારની નીતિઓની  સખ્ત ટીકા કરતાં હતાં. આ બધાંથી નહેરુ સરકાર ભીંસમાં આવી હતી. અકળાયેલા નહેરુએ કહેવું પડ્યું –

“Somehow, we have found that this magnificent constitution that we had framed was later kidnapped and purloined by lawyers.” (ગમે તે રીતે પણ આપણે જે ભવ્ય બંધારણ ઘડેલું તેનું  વકીલોએ હરણ કરીને એને તફડાવી લીધું છે.)

આઝાદી પહેલાં બ્રિટિશ પાસે હતી તેવી સંપૂર્ણ સત્તા પોતાની પાસે છે તેવી સરકારની ભ્રાંતિ પટણા હાઈકૉર્ટના ચુકાદાથી ચૂર થઇ ગઈ. બંધારણ અમલી બન્યાના 16 મહિનામાં જ અને પ્રજાસત્તાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં બંધારણમાં સુધારા કરવાની જરૂરિયાત સરકારને જણાઈ. આ સુધારામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને મિલકતના અધિકાર પર વ્યાજબી નિયંત્રણો મૂકવાની કવાયત શરૂ થઇ. બંધારણમાં 9મું પરિશિષ્ટ ઉમેરીને તેમાં મૂકવામાં આવેલ કાયદાઓની બંધારણીયતા પડકારી શકાય નહીં તેવી જોગવાઈ કરવાનું વિચારાયું. લેખક ત્રિપુરદમનસિંઘ કહે છે કે 9મું પરિશિષ્ટ તે સરકાર માટે “બંધારણીય સુરક્ષાપેટી” – “Constitutional Vault” હતી. આ સુધારા ઉપર સંસદમાં ઉગ્ર ચર્ચાઓ થઇ. 16 દિવસ ચાલેલી ચર્ચાને અંતે આ સુધારો પસાર થયો. આ પુસ્તકમાં સુધારા પહેલાંની ઘટનાઓનું રોમાંચક, દિલધડક વર્ણન છે. બંધારણ અમલમાં આવ્યાના માત્ર 16 મહિનામાં જ ભારતને એનું “નવું બંધારણ” મળ્યું તેનું વાર્તાસ્વરૂપનું આલેખન ભાષાસમૃદ્ધિ અને અંદરની સમૃદ્ધિ બંને વધારે છે. આ સુધારો શંકરી પ્રસાદના કેસમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમ કૉર્ટે ઠરાવ્યું કે બંધારણમાં સુધારો કરવાનો સંસદને અબાધિત અધિકાર છે. પ્રથમ સુધારો અને એ પછીની ઘટનાઓ ધારાતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે અને સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સર્વોપરિતા ને વર્ચસ્વ મેળવવા અંગેની સ્પર્ધાનું કારણ બન્યાં. આ સ્પર્ધા 1973માં 13 ન્યાયાધીશોની બૅન્ચ દ્વારા કેશવાનંદ ભારતીના કેસમાં આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદા સુધી પહોંચી  જે અંતે કોઈ ચોક્કસ તંત્ર નહીં પણ બંધારણ સર્વોપરિ છે તે ખ્યાલમાં પરિણમી. (એક રસપ્રદ વાત – તત્કાલીન કાયદા મંત્રી ડૉ. આંબેડકરે સંસદમાં પ્રથમ સુધારાના સમર્થનમાં વક્તવ્ય આપ્યું હતું. મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં પટણા હાઈકૉર્ટે આપેલ ચુકાદો બિહાર સરકારે સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યો. આ કેસ ચાલ્યો તે સમયે ડૉ. આંબેડકરે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. સુપ્રીમ કૉર્ટમાં જમીનદારો તરફથી વકીલ તરીકે ડૉ. આંબેડકરે દલીલો કરી હતી.)

The Tunnel of Time : ધ ટનલ ઑફ ટાઈમ : સુખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણની સ્મરણયાત્રાનું આ પુસ્તક છે. 2021 આર.કે. લક્ષ્મણનું જન્મશતાબ્દી વર્ષ પણ હતું. માર્ચ 23, 2023ના એક અહેવાલ પ્રમાણે ભારતની સુપ્રીમ કૉર્ટના હાલના મુખ્ય ન્યાયમૂર્તિએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે તેમના પ્રિય પત્રકાર કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ છે. આ પુસ્તકમાં દરેક પ્રકરણને અંતે આર.કે. લક્ષ્મણનાં કાર્ટૂન મૂકાયાં છે. સ્મરણો નદીની જેમ વહે છે. આર.કે. લક્ષ્મણ લંડન હતા ત્યારે ટી.એસ. એલિયટ, ગ્રેહામ ગ્રીન અને બર્ટ્રાન્ડ રસેલ સાથેની એમની મુલાકાતો થઇ હતી. વિદ્યાર્થીકાળમાં એમને સ્પર્શી ગયેલી વાત દરેક સર્જકને સ્પર્શે તેવી છે – એક દિવસ એક કાર્ટૂન જોઈને એનાથી પ્રભાવિત થઇ તે એની નકલ કરવા બેઠા ત્યારે તેમના ભાઈએ કહ્યું –  “Copying? Never ….. It is like eating leftover food from someone else’s plate.” સફળ કાર્ટૂનિસ્ટની વિચારપ્રક્રિયા અને સ્તરમાં નહીં ઉતરીને પણ સચોટ અભિવ્યક્તિ કઈ રીતે થઇ શકે એની વાત સરળતાથી એમણે આલેખી છે.

કાવ્યાસ્વાદના રમેશ પારેખના પુસ્તક “ચાલો એકબીજાને ગમીએ”માં એમણે મરાઠી કવિ વિંદા કરંદીકરની કવિતા “ઉત્સવ”નો ગુજરાતી અનુવાદ મૂક્યો છે, જેમાં બંધારણ પણ છે ને લક્ષ્મણ પણ –

“આજનો દિવસ મને ઉજવવા દો!

આજે આર.કે. લક્ષ્મણે લખી આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા 

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે 

કચરાના ઢગલા અહીંથી ખસેડશે તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો!

કચરામાંથી અન્ન ઉઠાવીને જીવંત રહેવાનો હક આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો?

તેમ ન હોય તો સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ 

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં આજનો દિવસ મને ઉજવવા દો!”

e.mail : amarbhatt@yahoo.com

Loading

...102030...1,0261,0271,0281,029...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved