Opinion Magazine
Number of visits: 9458157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૫) 

સુમન શાહ|Opinion - Literature|8 May 2023

કાવ્યાર્થ –

રાજશેખરે કરેલું કાવ્યાર્થનું નિરૂપણ નૉંધપાત્ર છે.

સુમન શાહ

રાજશેખર આચાર્યોનો મત દર્શાવે છે કે વિવિધ કવિઓની વિવિધ શક્તિમતિને કારણે સેવ્યમાન અર્થો તો નિ:સીમ છે, પાર વગરના; જો કે એઓએ અર્થોને બે વિભાગમાં વ્હૅંચી નાખ્યા છે : વિચારિત-સુસ્થ અને અવિચારિત-રમણીય.

એક અર્થ એવો હોય છે જે વિચારવાથી સ્થિર થતો હોય છે. એ વિશે જેટલો વધુ વિચાર કરો એટલી વધુ નવીનતા સંભવે. એ અર્થ વિશે તર્કવિતર્કભર્યું ચિન્તન કરી શકાય. વિચારિત-સુસ્થ અર્થ દર્શનોમાં અને શાસ્ત્રોમાં સવિશેષે જોવા મળે છે.

પરન્તુ એક અર્થ એવો હોય છે જે વગર વિચાર્યે રમણીય દીસે છે. એ અવિચારિત-રમણીય અર્થ કાવ્યોમાં હોય છે. એનું શ્રવણ કરવાથી અને એને સમજી લેવાથી ચમત્કૃતિ ઉત્પન્ન થાય છે. એને વિશે ક્ષોદક્ષેમ અથવા તર્ક-વિતર્ક ભલે કરીએ, કશું હાથ નહીં આવે.

ઉદ્ભટ્ટ આદિ કાવ્યાચાર્યો એવો સાર રજૂ કરે છે કે શાસ્ત્રોમાં વર્ણિત અર્થ વિચારિત-સુસ્થ છે અને કાવ્યોમાં, સાહિત્યમાં, સરજાયેલો અર્થ અવિચારિત-રમણીય છે, જેને આપાત-રમણીય પણ કહેવાય છે.

એ પાયાનો ભેદ છે. એને સમજવા માટેનું એક ઉદાહરણ આ પ્રમાણે છે :

હનુમાનજી સમુદ્રનું ઉલ્લંઘન કરવા માટે પોતાની કાન્તિથી આકાશને પીળું કરતા કરતા આકાશના નીલા રંગથી નીલ કમલની શોભા ધારણ કરીને ઊડ્યા. 

આકાશના નીલ ગુણનો ત્યાગ છે અને હનુમાનજીના પીત ગુણનો સ્વીકાર છે, તેથી અહીં તદ્ગુણ અલંકાર છે. આ શ્લોકનો અર્થ સમજવાથી અને પરસ્પર રંગ બદલાય તેની કલ્પના કરવાથી આનન્દ અને આકર્ષણ અવશ્ય અનુભવાય છે; પરન્તુ, આકાશ વાસ્તવમાં રૂપરહિત છે, નીરૂપ છે, ન તો એને પોતાનો રંગ છે, ન તો એ બીજા રંગને ગ્રહી શકે છે. વિચાર કરવાથી આ અર્થ સ્થિર નથી થતો, અને તેથી, એ અવિચારિત-રમણીય છે, વિચારિત-સુસ્થ નથી.

આકાશ નીલ થઈ ગયું એ વાતે મને સાર્ત્ર યાદ આવે છે. એમણે કાવ્યસર્જનમાં ઇર્રીયાલાઇઝિન્ગ પ્રિન્સિપલ જોયો છે – અવાસ્તવીકરણનો સિદ્ધાન્ત. જે કંઈ વાસ્તવિક હોય તેને કાવ્યકલા સામાન્યપણે અવાસ્તવમાં રૂપાયિત કરી નાખે છે. (જુઓ મારું પુસ્તક, “સાર્ત્રનો સાહિત્યવિચાર”, ૧૯૮૦, ૨૦૦૭, પાર્શ્વ).

રાજશેખર કહે છે કે સારસ્વત-માર્ગ એટલે, કાવ્યસર્જનની પ્રણાલિકા. (મને તો એ જ જીવન જીવવાનો માર્ગ લાગે છે). કહે છે, એના પ્રથમ પ્રવર્તક “રામાયણ”-ના રચયિતા પ્રાચીન મુનિ વાલ્મીકિ અને “મહાભારત”-ના રચયિતા મહર્ષિ વ્યાસ છે. સારસ્વત માર્ગ અનિન્દનીય છે, વળી, કોના માટે વન્દનીય નથી? સૌ માટે આદરણીય છે. તેમ છતાં, કેટલાક લોકો કાવ્યમાં, સાહિત્યમાં, અશ્લીલ અર્થ હોવાની ફરિયાદ કરતા હોય છે, અસભ્ય ચીજો તરફ અંગુલિનિર્દેશ કરે છે, અને જણાવે છે કે એ કાવ્યોને હેય ગણવાં જોઈએ, ન ગ્રહવાં જોઈએ.

અશ્લીલનું એક ઉદાહરણ આપીને મુદ્દો સમજાવ્યો છે : ઉદાહરણ છે, વિપરીત-સુરત રતિ નું વર્ણન.

વિપરીત રતિ-ક્રિયાને કારણે થતો કનક કાંચીનો કમનીય કલકલ નાદ પતિઓ ઉપરની તરુણ રમણીઓની પ્રગલ્ભતા-ધૃષ્ટતાનો પરિચય આપે છે. અર્થાત્, રતિ-સમયમાં કામાવેશથી ઉન્મત્ત પ્રમદાઓ પતિઓની ઉપર આવી ગઈ હોય છે, તેથી એમના કટિ સંચાલનથી એમની કમરે બાંધેલા સોનાના કંદોરાની નાની ઘુઘરીઓ રણકે છે, જાંઘના સંચાલનથી જનમેલી એ રણઝણ શયાનાગારની બારીઓ બહાર પ્રસરે છે અને નીરવ આકાશમાં ચોતરફ સંભળાય છે. 

વિપરીત રતિનું આ વર્ણન અશ્લીલવાદીઓને અત્યન્ત અશ્લીલ લાગે તે સમજાય એવું છે. તેઓ એને અસભ્ય કાવ્યાર્થનું દૃષ્ટાન્ત ગણે અને તેને તેઓ હેય ગણે તે પણ સમજાય એવું છે.

પરન્તુ યાયાવરીય રાજશેખરનો મત જાણવા જેવો છે. તેઓ દર્શાવે છે કે –

સર્જનમાં પ્રસંગ આવ્યે આવાં વર્ણન કરવાં પડતાં હોય છે અને તેથી તે ઉચિત છે. કહે છે, આવા અશ્લીલ અર્થોના ઉલ્લેખ શાસ્ત્રો અને વેદોમાં પણ છે. 

ઉદાહરણાર્થે, યજુર્વેદમાં આ વર્ણન –

યોનિ-રૂપી ખરલ અને શિશ્ન-રૂપી બત્તો, એ બે શબ્દથી રચાતું નામ છે, મિથુન. મિથુનથી પ્રજનન સંભવે છે.

ઉદાહરણાર્થે, ઋગ્વેદમાં આ વર્ણન –

બૃહસ્પતિની દીકરી રોમશાએ મૈથુન માટે પતિને આહ્વાન કર્યું. ત્યારે એનાં લઘુ અને રોમરહિત અંગો જોઈને પતિ હસી પડ્યો. ત્યારે રોમશાએ એને કહ્યું : હે સ્વામિન્ ! મારી નિકટ આવી મને આલિંગો, એટલે કે મને ભોગ-યોગ્ય સમજો; મારા શરીરનાં રોમને નાનાં ન સમજો, હું સમ્પૂર્ણ શરીરે રોમશા છું, રોમવાળી પૂર્ણાંગી છું. (પછી એ ઉમેરે છે), હું એવી રોમશા છું, જેવી ગાંધાર દેશની ઘેટીઓ હોય છે.

(અહીં, ભાવાર્થ એ છે કે) ‘અજાત-લોમા સ્ત્રીનો સમ્પર્ક ન કરો’ એવી શાસ્ત્રીય આજ્ઞાથી ડરો નહીં, સ્વામિન્ ! હું સર્વાંગે રોમવાળી છું, ભોગ-યોગ્ય છું. 

શાસ્ત્રોમાં અશ્લીલ અર્થનું ઉદાહરણ –

જે સ્ત્રીનાં નેત્ર સ્વચ્છ, ધવલ અને લાંબી પલકોવાળાં હોય છે, એનું સ્મર-મન્દિર એટલે કે એની યોનિ, પ્રજનનેન્દ્રિય, હમણાં જ કાઢેલા માખણ જેવી લિસ્સી અને કોમળ હોય છે.

તાત્પર્ય એ કે પ્રસંગવશ અને આવશ્યકતાવશ આવાં વર્ણન વેદો અને શાસ્ત્રોમાં તેમ જ કાવ્યોમાં મળે છે, તેથી તેને હેય ન ગણવાં.

પાલ્યકીર્તિ નામના જૈન આચાર્ય કહે છે કે વસ્તુનું રૂપ ભલે ને ગમે તેવું હોય, કાવ્યમાં, સર્જનમાં, સરસતાનો આધાર કવિની પ્રકૃતિ છે. કવિની પ્રકૃતિ સરસ હશે તો રચનાને સરસ કરી દેશે. પ્રકૃતિ રુક્ષ – લુખ્ખી – અને નીરસ હશે, તો રચના પણ એવી જ થશે. અનુરક્ત વ્યક્તિ જે વસ્તુની સ્તુતિ કરે તે જ વસ્તુની વિરક્ત વ્યક્તિ નિન્દા કરે ! જો કે મધ્યસ્થ વ્યક્તિ એ પરત્વે ઉદાસીન રહે છે.

ઉદાસીન આવું બોલતો હોય છે –

જે પુરુષોની લાંઆંબી રાત્રિઓ પ્રિયતમા સાથે ક્ષણ પછી ક્ષણની જેમ ક્ષીણ થતી રહે છે, એને માટે ચન્દ્રમા અત્યન્ત શીતળ વસ્તુ છે. પણ જે વિરહી છે એના માટે ચન્દ્રમા બળતા અંગારાની જેમ સન્તાપકારી છે. (એ બોલતો હોય છે), મારે નથી પ્રિયતમા કે નથી મને વિયોગ ! એટલે, એ જ ચન્દ્રમા મારી સામે કાચના ટુકડાની જેમ શોભી રહ્યો છે. એ નથી તો ઉષ્ણ કે નથી શીતળ; એ નથી તો સુખદ, નથી તો દુ:ખદ !

રસપ્રદ માહિતી એ છે કે આ યાયાવરીય રાજશેખરને પત્ની હતી, એ ગૃહિણીનું નામ હતું, અવન્તિસુન્દરી. એ પણ કાવ્યશાસ્ત્રમાં રસ લેતી હશે એટલે કહે છે કે કોઈપણ વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત નથી, દરેક વસ્તુ સ્વભાવે અ-નિયત હોય છે. એટલે કે, ન તો એમાં ગુણ હોય છે, ન તો દોષ. સગુણ કે નિર્ગુણ તો કુશળ કવિના ઉક્તિવિશેષનું પરિણામ હોય છે. કાવ્યસંસારમાં કોઈપણ વસ્તુનો સ્વભાવ નિયત નથી હોતો.

અવન્તિસુન્દરીનું વચન સાંભળીને મને આપણા જમાનાના ફિલસૂફ દેરિદાનું મન્તવ્ય યાદ આવ્યું. તેઓએ દર્શાવ્યું છે કે ભાષા તફાવતોની બનેલી છે અને સતત બદલાતી રહે છે. તેથી દરેક વસ્તુપદાર્થ અસ્થાયી અને સંદિગ્ધ રહે છે. એ વાસ્તવિકતા છે.

પાલ્યકીર્તિ અને અવન્તિસુન્દરી બન્નેના મતને રાજશેખર ‘ઠીક’ ગણે છે, યુક્તિસંગત હોવાથી ગ્રાહ્ય ગણે છે. 

= = =

(05 / 08 / 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નાગરિકોને મૂળભૂત અધિકારોની સુરક્ષા આપતાં કેશવાનંદ ભારતી કેસના પચાસ વર્ષ!

કિરણ કાપુરે|Opinion - Opinion|8 May 2023

કિરણ કાપુરે

કેશવાનંદ ભારતી કેસ દેશમાં સિમાચિહ્નરૂપ ગણાય છે અને હાલમાં આ કેસને પચાસ વર્ષ પૂર્ણ થયા છે. દેશનું બંધારણ અકબંધ રહ્યું છે અને તેમાં મૂળભૂત રીતે કોઈ ફેરફાર ન થઈ શકે તેવું સુનિશ્ચિત કેશવાનંદ ભારતી કેસ દ્વારા જ થયું હતું. અને એટલે જ આ કેસને મૂળભૂત અધિકારોના કેસ તરીકે પણ ઓળખાય છે. કેસમાં એક પક્ષકાર કેરળમાં આવેલા એડનીર મઠના શંકરાચાર્ય કેશવાનંદ ભારતી હતા. સામે પક્ષે કેરળ રાજ્ય હતું. આ કેસની મહતત્તા માત્ર પ્રજા માટે નહીં, બલકે કાયદાના ક્ષેત્રના લોકો માટે પણ આ કેસ હંમેશાં સ્મૃતિમાં રાખવા સમાન છે. અને એટલે જ 24 એપ્રિલના રોજ જ્યારે આ કેસને પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડિ.વાય. ચંદ્રચુડે આ કેસને સમર્પિત એક વેબસાઇટ પણ ખુલ્લી મૂકી છે. આ વેબસાઇટમાં કેસના સંદર્ભની બધી જ માહિતી મૂકવામાં આવી છે.

કાયદાને સમજવો હંમેશાં સામાન્ય લોકો માટે મુશ્કેલ રહ્યો છે અને જ્યારે કેશવાનંદ ભારતી જેવો કેસ હોય જેમાં બંધારણની ચર્ચા થતી હોય ત્યારે તેની સમજણની ગેડ બેસતા વાર લાગે. આ કેસની કાયદાના સંદર્ભે ઘણી જગ્યાએ વાત થઈ છે, પણ અહીંયા આ પૂરા કેસના મૂળ મુદ્દાને સરળતાથી સમજવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. આ કેસનો આરંભ થાય છે કેરળમાં ભૂમિ સુધાર અર્થે ‘કેરળ લૅન્ડ રિફોર્મ એક્ટ’ લાવવામાં આવ્યો ત્યારથી. ભૂમિ સુધાર કાયદો આવતાં જ કેશવાનંદ જે મઠના શંકરાચાર્ય હતા, તે મઠની સંપત્તિ સરકારના હસ્તક જતી રહેવાની હતી. આ ઍક્ટ આવ્યો તેનું એક કારણ પણ બંધારણ હતું, જેમાં આઝાદી વખતે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેશમાં સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાના પ્રયાસ થશે. આ પ્રયાસ અર્થે રાજ્યો એવા કાયદા બનાવી રહ્યા હતા, જેનાથી આર્થિક-સામાજિક અસમાનતા ઘટે. પરંતુ જ્યારે ભૂમિ સુધાર ઍક્ટ દ્વારા મઠની જમીન લેવામાં આવી તો તે અંગે કેશવાનંદ ભારતી કેરળ હાઇકોર્ટમાં ગયા અને તેમણે બંધારણની કલમ 26નો હવાલો આપીને કાયદા સામે પડકાર ફેંક્યો. કલમ 26 મુજબ દેશના દરેક નાગરિકને ધર્મ માટે સંસ્થા નિર્માણ કરવા, તેનું મેનેજમેન્ટ કરવા અને સ્થાયી-અસ્થાયી સંપત્તિ ઊભી કરવાનો અધિકાર ધરાવે છે. કેશવાનંદ ભારતીનું કહેવું હતું કે સરકારે બનાવેલા કાયદો તેમનાં બંધારણના અધિકારને છીનવી લે છે. આ કેસ સંદર્ભે કેશવાનંદ ભારતીએ આખરે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને ત્યાં પણ પોતાના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે તેવી દલીલ મૂકી. કેશવાનંદ ભારતી તરફથી જાણીતા વકીલ નાની પાલખીવાલા અપીઅર થયા હતા. કેસ અર્થે સુપ્રિમ કોર્ટે 13 ન્યાયાધિશોની બંધારણીય બેંચ બેસાડી અને પછી શરૂ થયો સતત 68 દિવસ સુધીની ચર્ચા-દલીલોનો સિલસિલો.

આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે દેશમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી હતાં અને જો કેશવાનંદ ભારતીના પક્ષમાં ચુકાદો જાય તો તેનાથી સરકારને ધક્કો લાગવાનો હતો. અને પછી સરકાર પોતાની મુનસફી પ્રમાણે બંધારણમાં કોઈ પણ સુધારો ન કરી શકે, તે પ્રસ્થાપિત થવાનું હતું. કેસ હાઇપ્રોફાઇલ બન્યો અને તેના પર સરકારની તો નજર હતી, પરંતુ દેશભરમાંથી કાયદા નિષ્ણાતો અને જાગ્રત નાગરિકો પણ કેસમાં રસ લઈ રહ્યા હતા.

આ કેસમાં અગાઉના અનેક કેસોના ચુકાદાનો સંદર્ભ અપાયા છે અને તેમાંનો એક કેસ એટલે ‘ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય’નો. 1967ના વર્ષમાં આ કેસમાં સુપ્રિમ કોર્ટે બંધારણના મૂળભૂત અધિકારોમાં સંસદ કોઈ પણ બદલાવ ન કરી શકે તેવો ચુકાદો આપ્યો હતો. બંધારણમાં સંશોધન અંગે સંસદ પર તરાપ આવી ત્યારે સામે પક્ષે સંસદે પણ બંધારણીય કલમ 368નો હવાલો આપીને બંધારણમાં ફેરફાર કરવાના તમામ હકો પોતાના પક્ષે લઈ લીધા. તેમાં મૂળભૂત અધિકારોમાં બદલાવ કરવા વિશેની વાત પણ સમાવિષ્ટ હતી. દેશ સ્વતંત્ર્ય થયા પછી બંધારણનો અમલ થયો ત્યારે કેટલીક બાબતો અસ્પષ્ટ હતી તે આવા ચુકાદાઓથી સ્પષ્ટ થતી ગઈ. પરંતુ કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્યનો કેસ એ રીતે અલગ હતો કારણ કે તેમાં બંધારણમાં ફેરફાર કરવાનો મુદ્દો કાયમ માટે ઉકેલવવાનો હતો. આ માટે સુપ્રિમ કોર્ટે 13 ન્યાયાધિશોની બેંચ બેસાડી. અગાઉ આટલી સંખ્યામાં ન્યાયાધિશ કોઈ પણ બેંચમાં બેઠા નહોતા. મૂળ ચર્ચા હતી કે સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે કે નહીં? અને કરી શકે તો તે કેટલાં હદે?

આ મુદ્દાને લઈને બંને પક્ષે દલીલો થઈ. અરજદાર વતી જે દલીલો થઈ તેમાં એક હતી કે બંધારણમાં સંસદને 368 કલમ અંતર્ગત જે અધિકાર મળે છે તે અમર્યાદિત નથી. એટલે કે સંસદ પોતાના મુનસફી પ્રમાણે બંધારણમાં કશું ય બદલાવ ન લાવી શકે. બીજી દલીલ હતી કે બંધારણમાં જે અધિકાર આપવામાં આવ્યા છે તે નાગરિકો હકોની સુરક્ષા અર્થે આપ્યા છે. જેમ કે કલમ 19 (1) (એફ) જે નાગરિકોને સંપત્તિનો અધિકાર આપે છે. સામે પક્ષે સરકાર તરફથી બંધારણમાં સુધારો કરવાના અમર્યાદિત અધિકાર સંસદ પાસે છે તે દલીલ થઈ હતી. અને જો સંસદનો અધિકાર બંધારણ સુધારામાં મર્યાદિત કરવામાં આવશે તો સમય સાથે જે બદલાવ સમાજમાં આવશે તેની માંગને પૂરી નહીં કરી શકાય.

આ કેસને લઈને અનેક કિસ્સા પણ છે, કારણ કે અવિરત ચર્ચા-સંવાદ અને ઘટનાઓથી આ કેસ સમૃદ્ધ બન્યો છે. એક કિસ્સાની વાત કરીએ જ્યારે કેસની દલીલ આપતી વેળાએ નાની પાલખીવાલાએ એમ કહ્યું કે હું તમને એક જાણીતા વકીલે કહેલી વાતના કેટલાંક અંશ સંભળાવું છું. તેમણે કહ્યું કે તે વકીલે કહ્યું છે કે, “બંધારણ સામાન્ય કાયદાની જેમ નથી, જેમાં ઘરમૂળથી પરિવર્તન લાવી શકાય. જો સરકાર ઇચ્છે ત્યારે બંધારણ બદલી શકે તો મૂળભૂત અધિકારોનું કોઈ મહત્ત્વ રહેતું નથી.” પાલખીવાલાની દલીલ ન્યાયાધિશોને વાજબી લાગી, પરંતુ ન્યાયાધિશોએ આ વાત કયા વકીલે કહી છે તેમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ અંશો એસ.એમ. સરવાઈના છે. એસ.એમ. સરવાઈ આ કેસમાં સરકાર તરફથી દલીલ કરી રહ્યા હતા અને તેમના જ અંશો પાલખીવાલાએ ટાંક્યા.

કેસમાં ચુકાદો ન આવી શકે તેવાં ઘણા વિઘ્નો પણ આવ્યા. જેમ કે સુનાવણી દરમિયાન ન્યાયાધિશ જે. બેગને ત્રણ વાર તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા. એક સમયે એવું પણ લાગ્યું ચુકાદો નહીં આવી શકે કારણ કે નજીકના દિવસોમાં મુખ્ય ન્યાયાધિશ સર્વમિત્ર સીકરી નિવૃત્ત થઈ રહ્યા હતા. પરંતુ આખરે પાંચ મહિનામાં 68 દિવસ સુધી ચાલેલા આ કેસમાં 24 એપ્રિલ 1973ના રોજ ચુકાદો આવ્યો, જ્યારે મુખ્ય ન્યાયાધિશ સર્વમિત્ર સીકરીનો પદ પરનો અંતિમ દિવસ હતો. ચુકાદા સાત-છથી કેશવાનંદ ભારતીના પક્ષમાં આવ્યો અને તેમાં સુપ્રિમ કોર્ટે બંધારણનું ‘બેઝિક સ્ટ્રક્ચર’ એટલે કે મૂળ માળખું જસનું તસ રહેવું જોઈએ તેવો ચુકાદો આપ્યો. અલ્ટીમેટલી આ તત્કાલિન સરકારના વિરુદ્ધ ચુકાદો હતો, પરંતુ તેનાથી દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો પર જાણે એક સુરક્ષા કવચ મળ્યું, જે આજ દિન સુધી કાયમ છે. બંધારણ સર્વોપરી, કાયદાનું શાસન, ન્યાયપાલિકાની આઝાદી, કેન્દ્ર-રાજ્યનો અધિકારોનો ભેદ, સંપ્રભુતા, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી માળખું, સરકારનું સંસદીય વ્યવસ્થા, નિષ્પક્ષ ચૂંટણી, વગેરે …. એવી અનેક બાબતો જેને આપણે ‘બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રેઇની’ કહીએ છીએ. આ ક્યાંય લખાણમાં નથી, પણ મૂળ બાબતોને તેમાં સમાવી શકાય.

આ કેસમાં થયેલી ચર્ચા, સંદર્ભનો આધાર આજે પણ લેવાય છે અને તે માત્ર આપણા દેશમાં જ નહીં, બલકે વિદેશોમાં પણ. બાંગ્લાદેશની સુપ્રિમ કોર્ટે પણ કેશવાનંદનો સંદર્ભ લઈને ‘બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રેઇની’ની વાત કરી છે. કેન્યા, યુગાંડા અને સેશલ્સ જેવા દેશોએ પણ કેશવાનંદ ભારતી કેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

e.mail : kirankapure@gmail.com 

Loading

લગ્નમાં પડે એટલી મુશ્કેલી હવે કદાચ છૂટાછેડામાં નહીં પડે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2023

રવીન્દ્ર પારેખ

એક તરફ આપણે પોતાની જાતને બહુ મોડર્ન, એડવાન્સ્ડ, લેટેસ્ટ ફેશન્ડ ગણાવીએ છીએ ને લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ, હાઇફાઈ રિસેપ્શન ને સ્વિત્ઝર્લેન્ડ કે પેરિસમાં હનીમૂન ને એવું એવું તો કૈં કૈં પ્લાનિંગ કરીએ છીએ, ક્યાંક એ ખરા અર્થમાં થતું પણ હશે, પણ મોટે ભાગે તો આપણી ચામડી નીચે આપણે વધુ રૂઢિચુસ્ત, વહેમી ને દંભી માણસો છીએ તે પણ એટલું જ સાચું છે. ક્યાંક લગ્ન પહેલાં હનીમૂન થઈ ગયું હોય છે, તો ક્યાંક કુટુંબો દ્વારા સંતાનોનાં લગ્ન જ્ઞાતિમાં જ કરવાનો આગ્રહ રખાય છે, ક્યાંક છોકરી પોતાની પસંદગીનો વર શોધે છે તો માબાપ તેનું ભલું ઇચ્છવાની લ્હાયમાં પોતાને ગમતો છોકરો ભટકાડી આપે છે ને છોકરી ક્મને પરણી જાય છે અથવા તો આત્મહત્યા કરી લે છે. અમે તો કૈં જ્યોતિષ-બોતિશમાં માનતા નથી – કહીને ખાનગીમાં કુંડળી ખોલી નાખતાં માબાપો છે ને કુંડળી નથી મળતી તો દિલ મળે કે ન મળે, માબાપને કોઈ ફરક પડતો નથી, તેવું પણ છે. તેમણે તો સંતાનોને ઠેકાણે પાડવાં હોય છે. ટૂંકમાં, આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે.

ક્યારેક છોકરાંઓ પણ માથાનાં નીકળે છે. માબાપ કહે ત્યાં પરણી તો જાય છે, પણ પછી જેની સાથે પરણવું હતું એની સાથેનું કનેક્શન પણ ચાલુ રાખે છે. પછી જ્યારે ખબર પડે કે છોકરો કે છોકરી તો પૂર્વપ્રેમને ભૂલ્યાં નથી, તો માબાપ પર આભ તૂટી પડે છે ને તેઓ છાતી કૂટવા લાગે છે, પણ એ બધું ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવા જેવું જ છે. માબાપ ખોટી આનબાન ને શાનમાં સંતાનોની પથારી ફેરવી નાખે છે. એમાં સૌથી વધારે મરો તો એ નિર્દોષ વ્યક્તિનો થાય છે જે પરણીને એ ઘરમાં આવે છે. એને તો ખબર જ નથી કે એનાં આવતાં પહેલાં જ ઘરમાં ઘણું રંધાઈ ચૂક્યું છે. પછી જે કકળાટ થાય છે તે લોહીનાં આંસુ પડાવે છે. ઘરની શાંતિનો સર્વનાશ થાય છે ને રોજના ઝઘડાનો ઉકેલ છૂટાછેડામાં શોધાય છે. સાચું તો એ છે કે છૂટાછેડા પણ અત્યંત મુશ્કેલ બાબત આજ સુધી રહી છે, એટલે ઘણાં તો એનાથી દૂર જ રહેવા મથે છે.

એક સમય હતો જ્યારે લગ્ન, કોઈ એકનાં મૃત્યુ પછી જ પૂરાં થતાં. પતિપતિની વચ્ચે બને કે ન બને, જિંદગી પૂરી થતી. તેનું એક કારણ તે મહિલાઓ એટલી શિક્ષિત ન હતી તે હતું. ઘર અને વર સાચવવા સિવાય બીજું કોઈ લક્ષ્ય જ તેમની પાસે ન હતું. સાસરામાં સચવાઈ રહે એટલે દીકરીને કરિયાવર કે દહેજ અપાતું. સ્વેચ્છાએ અપાતું. તે પછીથી સાસરિયાં તરફથી હકની જેમ મંગાતું થયું. વરને મોટો કરાયો, તેને ભણાવાયો, નોકરીધંધે લગાડાયો તે વહુ માટે જ ને ! એમ કહીને દહેજ પછી પણ ઉઘરાણીઓ થતી ને દીકરીનો બાપ કટકે કટકે કપાતો રહેતો. કોઈ છોકરીનો બાપ એમ નથી કહેતો કે દીકરીને મોટી તો મેં પણ કરી છે, તેને ઘરકામ શીખવ્યું છે, ઢસરડો કરવાની ટેવ પાડી છે તે પણ વર માટે જ ને !

એ પછી તો છોકરીઓ પણ ભણીગણીને નોકરીધંધે લાગી, પ્રેમમાં પડવા લાગી, વર પસંદ કરતી થઈ, ફેર અફેરમાં પડી, ઘણાં કુટુંબોમાં તેનું વર્ચસ્વ વધ્યું, પણ સાસરામાં તેને મળવું જોઈતું માન આજે ય ઓછું જ પડે છે. તે પોતે વરને છોડતી થઈ છે, સાસરિયાંઓનાં ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરતી ને તેમને સળિયા પાછળ ધકેલતી થઈ છે. જો કે, એનું પ્રમાણ ઓછું જ છે. ભણી હોય કે નોકરી કરતી હોય તો પણ કન્યાના બાપે હજી દહેજ આપવું જ પડે છે. એરેન્જ્ડ મેરેજમાં હજી દહેજ માંગનાર ઘણાં કુટુંબો છે જ. એ ન મળે તો અસંતોષ સાસરિયાંઓનો વધતો જ આવે છે. એટલું છે કે હવે સમાજ શિક્ષિત થયો છે એટલે ઘણા વ્યવહારો અન્ડર ટેબલ થાય છે. સમાજ જેમ જેમ શિક્ષિત થયો, તેની શોષણની રીતો વધુ આધુનિક અને વધુ સૂક્ષ્મ થતી ગઈ છે. બીજી તરફ લગ્નજીવન પણ એટલું જ જટિલ અને તનાવયુક્ત થયું છે. પ્રેમલગ્ન કરનારાંઓ સુખી નથી તો, એરેન્જ્ડ મેરેજ કરનારાં બધાં દુખી જ છે એવું પણ નથી. થયું છે એવું કે સંવેદનશીલ અને સહનશીલ સમાજ હવે ઘટતો આવે છે. શાંતિનું સ્થાન અજંપાએ લીધું છે. મતભેદો અને મનભેદો આજનાં સમાજનાં વ્યાવર્તક લક્ષણો છે.

એવું નથી કે દહેજને મામલે જ છૂટાછેડા થાય છે, હવે તો શિક્ષિત પતિપત્નીનાં જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રેમ પણ ઉમેરાયો છે. નોકરીધંધા નિમિત્તે લગ્નેતર સંબંધોની ટકાવારી વધી છે. એ મુદ્દે પણ કોર્ટમાં છૂટાછેડાની અરજીઓ વધી છે. આજે ઘણાં યુગલો છૂટાં થઈને નવી જિંદગી જીવવા ઈચ્છે છે, પણ કેસનો ભરાવો એટલો છે કે વહેલો નિકાલ લાગતો નથી. વળી છૂટાં થનાર યુગલને સંપત્તિના, ભરણપોષણના, સંતાનોના એટલા બધા પ્રશ્નોનો છે કે ન્યાય મેળવવામાં સમય જાય જ છે. પરિસ્થિતિ એટલી ઘેરી બને છે કે ન સાથે રહેવાય કે ન અલગ રહેવાય. ત્રિશંકુ જેવી દશામાં વર્ષો નીકળી જતાં હોય છે, પણ કેસનો નિકાલ લાગતો નથી. દેખીતી રીતે લાગતું હોય કે પતિપત્ની વચ્ચે બધાં પ્રયત્નો છતાં કોઈ સમાધાન થઈ શકે એમ જ નથી, ત્યાં પણ છૂટાછેડા થતાં નથી ને પતિપત્નીએ કેટલોક સમય દોજખ જેવી જિંદગી જીવવી પડે છે. આવી વિષમ પરિસ્થિતિમાંથી કોર્ટે તાજેતરમાં જ એક ઉકેલ શોધ્યો છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ગયા સોમવારે કરેલા નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે પતિપત્ની વચ્ચેના તમામ સંબંધો પૂરા થાય અને તેમાં સુધારાને કોઈ અવકાશ જ ન હોય તો અત્યાર સુધી જરૂરી ગણાયેલો છ મહિનાનો વેઇટિંગ પિરિયડ વિશેષ સંજોગોમાં જરૂરી રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ પતિપત્ની વચ્ચેના સંબંધોમાં કોઈ સુધારો ન થાય એવી સ્થિતિમાં, એવી સ્થિતિમાં જ, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ અનિવાર્ય ગણ્યો નથી. આમ તો સુપ્રીમે 29 સપ્ટેમ્બર, 2022 ને રોજ આ નિર્ણય અનામત રાખ્યો હતો, પણ ગયા સોમવારે એનો ચુકાદો આપી દીધો છે. આ ચુકાદો હવે મહિલાઓને આગળ વધવાની તકો પૂરી પાડશે એવું નેશનલ કમિશન ફોર વુમન-NCWને લાગે છે. સુપ્રીમે કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરતાં  ઉમેર્યું છે કે આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ સંદર્ભે જ લાગુ થશે ને જે તે છૂટાછેડા ઇચ્છુક યુગલે સ્વેચ્છાએ, પરસ્પર સંપૂર્ણ સહમતિથી અલગ થવું હશે, તો, ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહેશે. કોઈ પણ પક્ષ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમમાં સીધી અરજી કરી શકશે નહીં. હા, સુપ્રીમને પોતાને લાગશે તો તે સામેથી કેસ હાથ પર લઈ શકશે. એ પણ સ્પષ્ટ છે કે આ ચુકાદો દરેક કિસ્સામાં લાગુ નહીં પડે. જે કિસ્સામાં મતભેદ દૂર થવાની થોડી પણ શક્યતાઓ છે, ત્યાં આ ચુકાદો લાગુ કરાશે નહીં. અત્યાર સુધી એવું હતું કે હિન્દુ મેરેજ એકટની કલમ 13બી-1 હેઠળ સંમતિથી છૂટાછેડાની અરજી પર ફેમિલી કોર્ટ પતિપત્નીને ફેરવિચારણા માટે અને સમાધાનની કોઈ શક્યતા હોય તો તે તપાસવા માટે 6થી 18 મહિનાનો ગાળો આપતી હતી ને જયાં હજી એવી તકો છે ત્યાં એ વાત હજી લાગુ પડે જ છે, પણ જ્યાં બધા પ્રયત્નો પછી પણ સમાધાનની કોઈ શક્યતા જ નથી, ત્યાં અને ત્યાં જ સુપ્રીમે 6 મહિનાની રાહ જોવાનું જરૂરી ગણ્યું નથી.

આમ તો અત્યારે પણ લગ્નોમાં ન્યાતજાત, ધર્મ, કુંડળી, ગોત્ર જેવી અનેક બાબતો મુશ્કેલીઓ ઊભી કરે જ છે ને એ બધું જોયા-તપાસ્યા પછી પણ લગ્નો સફળ થાય જ એની કોઈ ખાતરી કોઈ ધર્મ, કોઈ જ્યોતિષ, કોઈ કુટુંબ તરફથી મળતી નથી ને જિંદગીભર જોડાવા માટે બે વ્યક્તિને, ઇચ્છાથી કે અનિચ્છાથી ફરજ પાડવામાં આવે છે. ઉધારઉછીનું કરીને, કુટુંબો લખલૂટ ખર્ચ કરીને વાહવાહી લૂંટે છે ને સંતાનોની જિંદગી દાવ પર લગાવે છે. આ અગાઉ હતું ને આજે પણ છે. ક્યાંક સાચા પ્રેમની વાત બનતી પણ હશે, ક્યાંક કોર્ટ મેરેજની સાદાઈ પણ અપનાવાતી હશે, પણ છેલ્લે તો વાત કોર્ટ પર જ આવે છે. બધી જ વખતે કુટુંબ જ જવાબદાર હોય એવું પણ નથી, પતિપત્ની પણ નાની નાની વાતે છણકાતાં રહે છે. નભાવવાનું કયારેક જ બને છે ને સંતાનોનો પણ વિચાર કર્યાં વગર અલગ થવા કોર્ટ સુધી ઊભાં જ નથી રહેતાં. ક્યાંક સમજાવટ કામ કરતી પણ હશે, પણ વાતે વાતે અલગ થવાની ફેશન પડી હોય એવું પણ લાગે છે. મુશ્કેલી એ છે કે દુ:ખ તો વેઠાતું નથી, સુખ પણ વેઠાતું નથી. બહુ ઝડપથી સુખનો ઓડકાર આવી જાય છે ને પછી ફરિયાદો, આરોપો ને ઝઘડાઓનો સિલસિલો શરૂ થાય છે ને એનો છેડો છૂટા થવામાં આવે છે. આવનારા સમયમાં કદાચ લગ્નો મુશ્કેલીથી થશે, પણ છૂટાં થવાનું સરળ થઈ જશે ને જ્યાં સમાધાનની કોઈ શક્યતા જ નહીં રહે ત્યાં 6 મહિના વેઇટિંગ પિરિયડની રાહ જોવાનું ફરજિયાત ન રાખતો છેલ્લો ચુકાદો ઘણા યુગલોને ઉપકારક નીવડે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2023

Loading

...102030...1,0141,0151,0161,017...1,0201,0301,040...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved